કેતકીબહેન,
આપનો ઓનલાઈન ઓપિનિયન મેગેઝિનમાં પ્રસિદ્ધ થયેલો લેખ, મારો પ્રવાસ ધરી શોધવાની રખડપટ્ટી ખૂબ જ ગમ્યો … નવી દુનિયા અને નવી માહિતીનો પરિચય થયો … એક સ્ત્રી થઈ આપે જે હિમત સાથે જે પ્રવાસ કર્યો તે અન્યો માટે પ્રેરણાદાયી છે. આપના પ્રવાસ વર્ણનમાં આવતાં વાક્યો જેવાં કે ….
"આશ્ચર્ય અને મૂંઝવણની માછલીઓ મારા પેટમાં સળવળાટ કરતી હતી. અબુધ બાળકની જેમ ચોતરફ ડાફોળિયાં મારતી મારી આંખો અને સતત ૧૮૦ અંશના ખૂણે ઘૂમતી ડોક જોઈને કદાચ ટૅક્સીડ્રાઇવરને તેની ટૅક્સી સીધી દવાખાને હંકારી જવાનું મન થયું હશે."
"જો હું આ બધું ખાતી હોઉં, ભાવતું હોય તો એના પાયામાં રહેલ પ્રક્રિયા મારે જોવી જ રહી. જો એ ન જોઈ શકું તો મારે માંસાહાર છોડી દેવો જોઈએ."
"કદાચ પૈસાદાર અને કહેવાતા શિષ્ટ સમાજ કરતાં એ નિમ્ન મધ્યમ અને ગરીબ વર્ગમાં સભ્યતા વધુ હતી"
વાંચવા ખૂબ જ ગમ્યા …
આ ઉપરાંત, મારું ગ્રામીણ વેબપેજ www.vadgam.comની મુલાકાત લેવા આમંત્રણ આપું છું ….
At – Vadgam (Laxmanpura), Po-Ta-Vadgam, District Banaskantha, North Gujarat, India – 385 410
Email-nitin.vadgam@gmail.com
nitin2550@yahoo.co.in
![]()


આપણે ત્યાં એક વિભાજન એવું છે કે એક બાજુ બૌદ્ધિકો છે અને એક બાજુ કર્મશીલો. પણ કેટલીક વ્યક્તિ એવી પણ હોય છે કે જે ટેબલ લેમ્પ અને ટેબલની સીમાથી બહાર જઈને બૌદ્ધિક હોવાની સાથે સાથે એ કર્મશીલ પણ હોય. ગુજરાતમાં ડૉ. ગણેશ દેવી એક એવું નામ છે. મૂળ અંગ્રેજીમાં પ્રોફેસર પણ આપણી પરંપરાની અંદર સંન્યાસ લઈએ અને પછી એક બીજો વેશ ધારણ કરીએ એમ તેમણે બધું છોડીને અત્યારે તેઓ છેલ્લાં 15 વર્ષોથી બહુ જ સક્રિય રીતે આદિવાસી ભાષા, સંસ્કૃિત અને એ સિવાય વિમુક્ત જનજાતિ (ડિનોટિફાઈડ ટ્રાઈબ્સ) અને એમના અધિકારો માટે સતત કામ કરતા રહ્યા છે. ભૂંસાતી જતી ભાષાઓનાં જતન અંગેનાં તેમનાં કામ માટે થોડાં વર્ષો પહેલાં એમને ‘યુનેસ્કો’નો પ્રતિષ્ઠિત લિંગ્વાપેક્ષ એવોર્ડ મળ્યો એ પહેલાં પણ તેમને નેધરલેન્ડની સરકારનો એવોર્ડ મળી ચૂકેલો અને ભારતની કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો અંગ્રેજી સાહિત્યમાં પ્રદાન માટે એમને એવોર્ડ પણ મળી ચૂક્યો છે. હાલમાં જ તેઓ પદ્મશ્રીથી સન્માનિત થયા છે. તેમની સાથે થોડી અંતરંગ, થોડી બહિરંગ વાતો. (ય.દ.)
ઉ.:
ઉ.: અમે અંગ્રેજીમાં ગુજરાતીનો થોડો અનુવાદ અને અન્ય ભાષાઓમાંથી ગુજરાતીમાં તેમ જ અંગ્રેજીમાં અનુવાદ, એ પ્રકારે લગભગ પાંચ-છ વર્ષ આ ઉપક્રમ ચલાવ્યો. પણ વચ્ચે 1986ના સપ્ટેમ્બરમાં સુરેશભાઈનું અવસાન થયું. અને લગભગ એકાદ મહિના પછી હું ઈંગ્લેન્ડ ગયો. તે સમયે મેં અંગ્રેજીમાં એક પુસ્તક લખવાની શરૂઆત કરેલી. જે ત્યાર પછી ‘આફ્ટર એમનેઝિયા’ નામથી પ્રકટ થયું. આ પુસ્તકને સાહિત્ય અકાદમીનો એવોર્ડ આપવામાં આવ્યો. ઈંગ્લેન્ડથી પાછો આવ્યો ત્યારે અહીં સાવલીમાં દુકાળ. તે સમયે આપણા ગુજરાતમાં દુકાળ હતો. બે-ત્રણ વર્ષ વરસાદની અછત હતી. મેં સાવલીમાં કંઈક દુકાળ–રાહતનું કામ શરૂ કર્યું. પહેલી વાર જિંદગીમાં પુસ્તકો, ગ્રંથો બાજુ પર મૂકી સમાજ સુધી પહોંચવાની મારી શરૂઆત હતી. મેં જોયું તો ગામડાંઓ છે, નાનાં નાનાં ગામડાંઓ (હવે તો સાવલીની પણ કાયાપલટ થઈ ગઈ છે. ઇન્ડસ્ટ્રિયલ થઈ ગયું છે. પણ 30 વર્ષ પહેલાં નાનાં નાનાં ગામડાંઓ હતાં.) જયદેવ શુકલ આપણા ગુજરાતના કવિ ત્યાં હતા. એ અને યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પણ સાથે આવતા હતા. હું જ્યારે અહીં આવ્યો તો ભીખુભાઈ પારેખ, વી.સી. હતા. ભીખુભાઈએ મને આઈ.એ.એસ. સેન્ટર ચલાવવા માટે આપ્યું હતું. ત્યાં વિદ્યાર્થીઓને અંગ્રેજી ભણાવવાનું અને સાથે સાથે શાસકીય તાલીમ આપવી એ મારું કામ હતું. ત્યાં જે વિધાર્થીઓ આવતા હતા તેમાંથી લગભગ 100-150 વિધાર્થીઓએ મારી સાથે દુકાળ-રાહત કામમાં સાવલી આવવાનું શરૂ કર્યું. પછી અમે અહીં વડોદરામાં થોડી પસ્તી ભેગી કરી, નાણાં ઊભાં કર્યાં. ગરબાના સમયે ગરબાનાં થોડાં ગીત અને એવું કંઈક કરીને જેટલું બને તેટલું ફંડ ભેગું કર્યું અને સાવલી તાલુકાનાં ગામડાંઓ સુધી ઘાસચારો, દવાઓ, ખાવાનું લઈ જતા હતા. પણ અત્યારે હું કહી શકીશ કે એ બધું કામ ચેરિટીના રૂપમાં હું કરતો હતો. સામાજિક કામ વિશે ખાસ સભાનતા મને હતી નહીં. સામાજિક કાર્યમાં જે સંકુલતા હોય છે તે વિશે હું જાણતો નહીં. સુરેશભાઈના અવસાન પછી શિરીષભાઈ પંચાલે અને ગુલામમોહમ્મ્દ શેખસાહેબે ખાસ્સી મદદ કરી. બે-ત્રણ વર્ષ ‘સેતુ’ મેગેઝિન ચાલ્યું. પણ પછી બંધ થયું. ‘સેતુ’ સારું ચાલતું હતું તો પણ મેં એવું વિચાયું કે તેનું સમાપન કરવું જોઈએ. શેક્સપિયર વિશે એવું જાણ્યું હતું કે Every tragedy or comedy of Shakespeare is successful because he never exploited his success. લોકો તો કામમાં અપયશ મળે ત્યારે કામ છોડે છે. પુનઃઆવૃત્તિ ન કરવી જોઈએ. હાલમાં જ એકાદ વર્ષ પહેલાં અમે વડોદરામાં એક મોટી સભાનું આયોજન કર્યું હતું એમાં દેશના 320 ભાષાઓના પ્રતિનિધિઓ એકઠા થયા હતા. આપણા દેશમાં લગભગ પહેલી વાર જ આટલી મોટી સંખ્યામાં ભાષાઓનું પ્રતિનિધિત્વ થયું હતું. નારાયણ દેસાઈ અને મહાશ્વેતા દેવીએ અમારાં પ્રમુખ અતિથિ હતાં. નારાયણભાઈએ ખૂબ સરસ વક્તવ્ય આપ્યું. તે સમયે એમણે મને કહ્યું કે ગણેશ એક કામ કરો કે આ જ પ્રકારની મીટિંગ ફરી વાર કરશો નહીં. એમના કહેવાનો અર્થ હતો કે એક સારું કૃત્ય થાય જિંદગીમાં તો એની પુનરાવૃત્તિ ન કરવી જોઈએ. આ પ્રકારે ‘સેતુ’ બંધ થયું એનું મને દુઃખ નથી.
બીજો દાખલો છે કે જ્યારે 1998માં અમે અખિલ ભારતીય વિમુક્ત સમાજ સંગઠનની સ્થાપના કરેલી ત્યારનો. એમાં સૌથી પહેલાં તો સાહિત્યિકો અને સર્જકો હતા. લક્ષ્મણ ગાયકવાડ મહારાષ્ટ્રના, મહાશ્વેતા દેવી બંગાળનાં, હું હતો, પછી ભૂપેન ખખ્ખર એમાં સામેલ થયા. ગોવિંદ નિહલાની આવ્યા, જ્યા બચ્ચન આવ્યાં. ઘણા બધા સાથે આવતા ગયા. ડી.એન.ટી.ના ડિનોટિફાઈડ ટ્રાઈબના પ્રશ્નો છે તે આદિવાસીના પ્રશ્નોથી અલગ છે. આ લોકો ઉપર ખૂબ અન્યાય થયેલ છે. પોલીસ તરફથી મુશ્કેલી આવે છે. તેઓ સ્ટીગમેટાઈઝ છે. કલંકિત જીવન જીવવાનું આખી જિંદગી જન્મથી મૃત્યુ સુધી – અને મૃત્યુ પછી પણ, કારણ કે એમના માટે સ્મશાનની વ્યવસ્થા તેમના ગામમાં મળતી નથી. અમે હોમ મિનિસ્ટ્રી અને હ્યુમન રાઈટ્સ સંસ્થામાં ગયા. જેટલા વડાપ્રધાનો હતા એમની સાથે મળીને ચર્ચા કરી. મને યાદ છે કે હું વી. પી સિંહસાહેબ, ચંદ્રશેખર, અટલ બિહારી વાજપેયી, ડૉ. મનમોહન સિંહને મળ્યો. દરેકને જઈને આ સમાજ વિશે માહિતી આપી કે આ લોકો પરના જુલમ છે તે બંધ કરો અને એ સરકાર જ કરી શકશે કારણ એ કાનૂન દ્વારા જુલમ નિર્માણ થયા છે અને એ કાનૂન દ્વારા જ બંધ થઈ શકશે. કાનૂન 1871નો ક્રિમિનલ ટ્રાઈબ્સ એક્ટ કે જે ખોટો હતો તે આમના ઉપર થોપવામાં આવ્યો હતો. રવિશંકર મહારાજ જેના સદસ્ય હતા એવા એક કમિશનની 1939માં નિમણૂક થઈ હતી. “અંત્રોલિકર કમિટી” રવિશંકર મહારાજ અને અંત્રોલિકર એ બધાએ ફરીને ગુજરાત અને મહારાષ્ટ્રમાં જે જ્ગ્યાએ આ લોકોના કેમ્પ હતા, બંદી શાળાઓ હતી, સેટલમેન્ટ કહેવાતું હતું એના ખૂબ ઊંડાણથી અભ્યાસ કર્યો. અંત્રોલિકર કમિટિનો રિપોર્ટ ખૂબ સરસ હતો. મુંબઈ સરકારે એમનો રિપોર્ટ સ્વીકાર્યો. ત્યાર પછી આઝાદી મળી અને એ રિપોર્ટના આધારે કેન્દ્ર સરકારે આયંગર કમિટી બનાવી. આ કમિટીએ અંત્રોલિકરના રિપોર્ટનો દાખલો લઈને એક રાષ્ટ્રવ્યાપી રિપોર્ટ બનાવ્યો જેના આધારે 1871નો કાનૂન હતો તે રદ્દ કરવામાં આવ્યો અને તેથી પહેલાં જે જાતિઓ નોટિફાઈડ હતી એમને ડિનોટિફાઈડ કરવામાં આવી. પણ 1952 પછી ડિનોટિફિકેશન થયું ત્યારથી લગભગ સદીના અંત સુધી બીજું કશું જ આ લોકો માટે થયું નથી. એ જાતિઓ અંગે લોકોની સામાજિક–માનસિકતાનો જે ફેર આવવો જોઈતો હતો તે બિલકુલ નથી આવ્યો. એટલે લગભગ રોજેરોજ આ જાતિના લોકોને અન્યાયનો અને અસહિષ્ણુતાનો સામનો કરવો પડે છે. દિલ્હીમાં તો જ્યારે કોઈ જગ્યાએ ચોરી થાય તો તરત બીજે દિવસે છાપામાં આવે છે કે એવું માનવામાં આવે છે કે નજદીકના કોઈ પારધીએ ચોરી કરેલી હશે. આ ખોટું છે. આપણે ત્યાં કોઈ બીજા પ્રકારની હેરાફેરી કરે તો આપણે કોમનું નામ લઈ – કે પાટીલ કે રેડ્ડી કે મહેતા સમાજે કર્યું એવું તો નથી કરતા પણ પારધીનું નામ આવે છે, સાંસીનું નામ આવે છે, છારાઓનું નામ આવે છે. આ બધું ખોટું છે. જેથી સામાન્ય છારા બાળક કે જે પ્રતિભાશીલ હોય તો પણ એને સ્કૂલમાં અથવા કોલેજમાં ભણવા મુશ્કેલી થાય છે. અમારા ત્યાં એક સંમેલનમાં એક પારધીબહેન આવ્યાં હતાં. સારાં ગાયક હતાં. 1998ની આ વાત છે. આ બહેન મુંબઈથી આવતાં હતાં. અમે એમને ટિકિટ મોકલાવી અને થોડાં નાણાં. આ બહેને નવી સાડી ખરીદેલી. તો મુંબઈમાં પોલીસે આ બહેનની સાડી કાઢી લીધી એની ઊલટતપાસ સાથે. ‘તમારી પાસે સાડી આવી ક્યાંથી?’ આપણે મહાભારતમાં વાંચીએ છીએ કે દ્રૌપદીનું વસ્ત્રહરણ થયું આ આપણા જમાનામાં પણ એ થઈ રહ્યું છે. અને આ દરેક ડી.એન.ટી. ને રોજ ભોગવવું પડે છે. અમે અત્યાર સુધી કસ્ટોડિયલ ડેથના કિસ્સાઓમાં સંખ્યાંબંધ કોર્ટ કેસ કર્યા. પોલીસ અકાદમીમાં જઈને પણ ચેતના જાગૃતિનું કામ કર્યું. આ બધું કર્યું પણ અંતે પી.એમ.એ. કમિટી નીમી હતી કે જેને ટી.એ.જી. કહેવામાં આવી. આપણે ત્યાં શ્રી કાનજી પટેલ અને હું એમાં સભ્યો હતા. અમે રિપોર્ટ બનાવ્યો. આ રિપોર્ટનો સરકાર સ્વીકાર કરશે અને લગભગ આવતા 6 થી 8 મહિનામાં એક નવો કાનૂન આવશે. આયંગર કમિટી પછી 2012માં એટલે 60 થી 70 વર્ષ પછી આ લોકો માટે નવી વ્યવસ્થા થશે એવી આશા છે. ખબર નથી થશે કે નહીં થાય, પણ જે અમારે કામ કરવું હતું તે પૂરું કર્યું છે, હું તો સાધુ પ્રકારનો માણસ નથી. હું ખરાબ માણસ છું એવું હું માનું છું. પણ હું કહી શકીશ કે ડી.એન.ટી.ના વિષયમાં મેં પોતાનું કામ કર્યું છે. નવી પેઢીના યુવાઓએ આ સંઘર્ષ પ્રક્રિયા આગળ લઈ જવી જોઈએ એવી જરૂરિયાત છે. એ જો ભૂલી જાય તો ફરી એક વાર કોઈકને આ રીતે સંઘર્ષ કરવો પડશે. તો પોલિસી લેવલના આ દાખલા આપ્યા.


ઉ.: વાત સાચી છે. ભાષા પ્રવાહી હોય છે. એવી ભાષા છે જે અમુક સમયમાં અમુક લિપિમાં લખાય છે, અને અન્ય સમયમાં અન્ય લિપિમાં. સંસ્કૃત ભાષા પોતે શારદામાં લખાતી હતી. હવે નાગરીમાં લખાય છે અને મોડીમાં. મોડી લિપિ ઘણી બધી ભાષા માટે વાપરવામાં આવતી હતી. એટલે લિપિ અને ભાષાનો ખાસ તાર્કિક સંબંધ નથી. ભાષા બદલાય છે અને ન બદલાતી હોય તો ભાષા મરે છે. જે બદલાતી રહે છે એ જ ભાષા જીવતી રહે છે. પણ પ્રવાહો ઉપર ક્યારેક આપણે ડેમ બનાવીએ અથવા કૃત્રિમ રીતે એનો પ્રવાહ બંધ કરીએ તો મુશ્કેલી આવે છે. ખાસ કરીને જો કોઈક આપણને કહે કે તમે ફલાણી ભાષા બોલો છો એને લિપિ નથી, લખાયેલ નથી તો તમારા માટે અમે સ્કૂલ નિર્માણ નહીં કરીએ અથવા કોલેજ કે યુનિવર્સિટી નિર્માણ નહીં કરીએ. તો પછી ત્યાંનાં બાળકોને અન્ય કોઈ ભાષા થકી જ પ્રગતિની તક મળે છે. ત્યાં સુધી નહીં. જેથી દેશમાં જ્યાં અવિકસિત વસતિ છે તે ભાષાના કારણે આપણે જો રાષ્ટ્રીય નિરક્ષરતાનો નકશો બનાવીશું તો એવું જોવા મળશે કે જ્યાં આ પ્રકારની બોલીઓ છે અથવા અક્ષર વગરની ભાષા, (જ્ઞાન વગરની હું નથી કહેતો ઘણી બધી ભાષાઓ છે જેમાં ખૂબ જ્ઞાન છે પણ અક્ષર લિપિ નથી) તો લગભગ નિરક્ષરતા જે વિસ્તારોમાં છે એ વિસ્તાર એવો છે જ્યાં આ પ્રકારની બોલીઓ છે એટલે આ વિષય ઉપર ગંભીરતાથી ફરી એક વખત વિચાર કરવો જોઈએ કે નિરક્ષરતા અને ભાષા એટલે શું? ભાયાણી સાહેબનું જે કહેવું હતું તે બિલકુલ યોગ્ય છે. ભાષા આપમેળે મરતી નથી. જૂના ઘણા બધા પ્રાચીન શબ્દો અત્યાર સુધી આપણે ત્યાં વપરાય છે. જે રીતે મુસળ શબ્દ 4000 વર્ષ પહેલાંનો છે. પણ અત્યાર સુધી ચાલ્યો આવ્યો છે પણ જ્યારે કોઈ કાયદો અથવા કોઈ ભૂલભરી પોલિસી દ્વારા ભાષાઓ ઉપર બંધન આવે ત્યારે ભાષાઓને મારવામાં આવે છે એમ કહેવાય. ભાષા પોતે મરતી નથી. ભાષા મૃત્યુહીન છે પણ એના ઉપર મૃત્યુદંડ ઠોકવામાં આવે છે. ગ્રીક ભાષામાં એક શબ્દ છે અફેસિયા. અફેસિયા એક બીમારીનું નામ છે. એટલે વાચાવિહીનતા, વાચાભ્રંશ, વાચાભ્રમ. અત્યારે દુનિયામાં ઘણી બધી ભાષાઓ ઉપર અફેસિયાની સજાનું ફરમાન થઈ રહ્યું છે. ‘યુનેસ્કો’નો એક અંદાજ છે કે વીસમી સદીની શરૂઆતમાં દુનિયામાં લગભગ 7000 ભાષાઓ હતી તેમાંથી એકવીસમી સદીના અંત સુધી માત્ર 300 જીવતી રહેશે.
ઉ.: હું ભાગ્યશાળી રહ્યો છું કે વડોદરામાં આવ્યો તો સુરેશભાઈને મળવાનું થયું. ત્યાર પછીના સમયમાં નારાયણભાઈ દેસાઈને સાહિત્ય અકાદમી એવોર્ડ સમારંભમાં પહેલી વાર મળ્યો, કારણ કે એ જ વર્ષે એમને પણ એમના પુસ્તક માટે એવોર્ડ મળ્યો હતો. વિજય તેંડુલકર સાથે દોસ્તી હતી, કારણ કે તેંડુલકર સાહેબને નેહરુ ફેલોશિપ ‘હિંસા’ વિષય ઉપર કામ કરવા મળી અને મને પણ નેહરુ ફેલોશિપ એ જ વિષય ઉપર કામ કરવા માટે આપવામાં આવી હતી. એટલે એ રીતે અમારી મિત્રતા થઈ. મહાશ્વેતાબહેનને એક વાર મેં પત્ર લખ્યો હતો. 1980માં ‘સેતુ’ના સંદર્ભમાં. અને એમની – ‘જગમોહન : ધ એલિફન્ટ’ – નામની ખૂબ જાણીતી વાર્તા છે તો એ ગુજરાતીમાં અનૂદિત થઈ ‘સેતુ’માં પ્રગટ થઈ હતી. પછી ‘સીડ’ નામની બીજી વાર્તા અમે પ્રકટ કરી હતી. પણ તેમને પ્રત્યક્ષ કદી મળવાનું થયું ન હતું. હું એક વાર બંગાળ ગયો હતો અને એ સમય એવો હતો કે ત્યારે બુધન સબરનું મૃત્યુ થયેલું. લગભગ બુધનના મૃત્યુ પછી તરત જ હું બંગાળ ગયો હતો અને ત્યારે મહાશ્વેતાદેવીને મળવાનું થયું. અમે મળ્યાં ત્યારે એમને ખબર પડી કે મને વિમુક્ત વિચરતી જનજાતિ માટેના પ્રશ્નોમાં રસ છે, અને મને ખબર પડી કે એમને પણ એ પ્રકારનો રસ છે. અમે જ્યારે પહેલી વાર મળ્યા ત્યારે એમની ઉંમર લગભગ 70 વર્ષની ઉપર હતી અને હું લગભગ 50 વર્ષનો હતો. ત્યારે જ અમે નક્કી કર્યું કે દેશભરમાં ફરીશું અને જ્યાં જ્યાં વિમુક્ત વિચરતી જનજાતિની વ્યક્તિઓ છે એમને મળીશું. એમની પરિસ્થિતિ સમજી લઈશું અને એ પરિસ્થિતિનો ચિતાર સરકાર સામે, ન્યાયક્ષેત્ર સામે, પોલીસ સામે મૂકીશું, તે વિશે લખીશું અને લોકોને ભેગા કરીશું. આશરે 3 લાખ કિ.મી. અમે સાથે ફર્યાં. સુરતથી જલગાંવ સુધી થર્ડ કલાસ પેસેન્જર ટ્રેનમાં આખી રાત બેસીને, તે સમયે મહાશ્વેતાબહેનને મેગ્સેસે એવોર્ડ પણ મળ્યો હતો, જ્ઞાનપીઠ એવોર્ડ પણ મળેલો, દુનિયાભરમાં મશહૂર વ્યક્તિ, આટલી મોટી ઉંમર અને ઉપરથી ડાયાબિટીસનો પ્રોબ્લેમ. કોઈક વાર બેસવાની જગ્યા ન મળે તો ઊભાં ઊભાં વાતો કરતાં. એ એમની વાર્તાઓ ક્યારે લખી, કયા પ્રસંગમાં નિર્મિત થઈ એ બધું કહેતાં. અમે અમરાવતી ગયાં. ત્યાં સિકલ સેલ એનિમિયા રોગનો પ્રશ્ન પ્રચંડ હતો. મહારાષ્ટ્ર સરકારે એક સમિતિ નીમેલી. ડોક્ટરે તો જાહેર કર્યું કે આ તો જિનેટિક રોગ છે એટલે આપણે ખાસ કરવા જેવું નથી. માત્ર આયર્ન કે ટેબ્લેટ આપીએ. આ વાત લઈને મહાશ્વેતાબહેને એક ગજબની વાર્તા લખી ‘મહાદુ’ નામની. મહાદુ અમરાવતીનો કોરકુ જાતિનો એક છોકરો કે જે છેલ્લો બચ્યો છે અને મૃત્યુની રાહ જોઈ રહ્યો છે. કોરકુ લોકોનું આખું જંગલ અંગ્રેજોએ કપાવ્યું અને તેનાં લાકડાં સુરત – હાવરા રેલવે લાઈનમાં નીચે સ્લીપર નાખવામાં આવ્યા તે કોરકુના જંગલમાંથી આવ્યા. દૂરથી રેલવે આવે છે અને સિસોટીથી મહાદુ થોડો વિચલિત થાય છે અને રેલવેની ગંધ આવે છે. એને થાય છે આપણા પૂર્વજનોની કોઈ સુગંધ આવે છે. તે દોડતો દોડતો રેલવેમાં બેસી મુંબઈ પહોંચી જાય છે. મુંબઈમાં જે પદાર્થ એને જિંદગીમાં કદી જોવા મળ્યો નહોતો તે પદાર્થ એટલે અન્ન જોવા મળે છે. જે તે ખાય છે અને તેનું કદ વધે છે, મહાકાય થાય છે. મહાદુ આખું મુંબઈ ખાય છે. અનેક પેઢીઓની આ ભૂખ છે. એનું માથું આકાશને અડે છે. પછી તે નીચે ઝૂકીને આખો અરબી સમુદ્ર પીએ છે અને હાથ ઊંચા કરી તારા લઈને નવા અક્ષરથી દુનિયાનો ઇતિહાસ લખે છે. અદ્દભુત કથા. આથી હું મહાશ્વેતાબહેનની લેખનની કેમેસ્ટ્રી સમજી ગયો કે તેમનું જ લખાણ છે તે અનુભવના આધારે છે, કલ્પનાના આધારે નથી. પછી એમાં કલ્પના ઉમેરે છે, કારણ કે શબ્દનો કીમિયો એમની પાસે છે.
કૃષ્ણ અને કવિતાનો સંબંધ આપણી ભાષામાં નરસિંહ મહેતા જેટલો જૂનો તો છે જ. પરફોર્મિંગ આર્ટસનાં મુખ્ય મધ્યકાલીન સ્વરૂપ આખ્યાન અને ભવાઈ પણ કૃષ્ણના રંગે રંગાયાં હતાં. આપણાં લોકગીતોને તો કૃષ્ણ વિના ચાલે જ નહિ. ઓગણીસમી સદીમાં રંગભૂમિની શરૂઆત થઈ ત્યારે પણ બીજી પૌરાણિક કથાઓની સાથે કૃષ્ણકથા પણ રંગમંચ પરથી રજૂ થવા લાગી. પણ આ બધાંની સરખામણીમાં આપણી ભાષાની નવલકથાનો કૃષ્ણકથા સાથે ઘણો મોડો સંબંધ બંધાયો. હકીકતમાં પુરાણકથાઓ તરફ જ આપણા નવલકથાકારોનું ધ્યાન બહુ મોડું ગયું. ૧૮૬૬માં નંદશંકર મહેતાએ ઐતિહાસિક નવલકથા ‘કરણઘેલો’થી ગુજરાતી નવલકથાનો આરંભ કર્યો અને પહેલી સામાજિક નવલકથા મહીપતરામ રૂપરામ નીલકંઠની ‘સાસુ વહુની લડાઈ’ પણ તેના પછી એ જ વર્ષે પ્રગટ થઈ. તે પછી કેટલાક વખત સુધી આપણી નવલકથા ઐતિહાસિક અને સામાજિક એવી બે જ ધારાઓમાં વહેતી રહી. આજે આપણને નવાઈ લાગે પણ પહેલી પૌરાણિક નવલકથા આપણને છેક ૧૯૧૫માં મળે છે – મણિલાલ જીવરામ ગાંધીની ‘અભિમન્યુનું યુદ્ધગમન અને ઉત્તરાની વિનવણી.’ તેમાં એક પાત્ર તરીકે કૃષ્ણ રજૂ થયા છે. તે પછી કૃષ્ણને લગતી બીજી નવલકથા મળે છે છેક ૧૯૪૦માં, ‘રાધા-કૃષ્ણ : દર્શાદર્શ મેળ.’ લેખક છે કનૈયાલાલ ચંદુલાલ લલ્લુભાઈ.