Opinion Magazine
Number of visits: 9772466
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

બંધારણના મૂળ આમુખમાં સેક્યુલર શબ્દ કેમ નહોતો?

રમેશ અોઝા|Opinion - Opinion|2 February 2015

જો નરેન્દ્ર મોદીની સરકારે જાણીબૂજીને બંધારણના આમુખમાંથી સેક્યુલર શબ્દ હટાવવાની રમત કરી હોય તો એ આધુનિક રાજ્યમાં શ્રદ્ધા ધરાવનારાઓએ સાવધાન રહેવું પડે એવી ગંભીર ઘટના છે

૨૬ જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિને ભારત સરકારના માહિતી અને પ્રસારણ ખાતાએ એક ઍડ્વર્ટાઇઝમેન્ટ અખબારોમાં રિલીઝ કરી હતી, જેમાં ભારતના બંધારણનું આમુખ આપવામાં આવ્યું હતું. આમુખમાં બે શબ્દો આપવામાં આવ્યા નહોતા. આ બે શબ્દો હતા – સેક્યુલર અને સોશ્યલિસ્ટ. જાહેરખબરમાંથી આ બે શબ્દો જાણીબૂજીને હટાવવામાં આવ્યા હતા કે પછી ભૂલ હતી એ વિશે વિવાદ ચાલી રહ્યો છે. સરકારની મથરાવટી જમણેરી હિન્દુ રાષ્ટ્રવાદીની છે એટલે શંકા જવી સ્વાભાવિક છે. વર્તમાન કેન્દ્ર સરકારને સમાજવાદ અને સેક્યુલરિઝમ માટે સૂગ છે એટલે સર્વસાધારણ ધારણા એવી છે કે સરકારે જાણીબૂજીને આમ કર્યું હોવું જોઈએ.



આ વિવાદ પછીની સરકારની પ્રતિક્રિયા વિવાદને શમાવવાની જગ્યાએ વિવાદને વકરાવનારી છે અને શંકાને વધારે મજબૂત કરનારી છે. શંકાને પુષ્ટિ આપનારું નિવેદન માહિતી અને પ્રસારણ ખાતાના રાજ્ય કક્ષાના પ્રધાન જયવર્દનસિંહ રાઠોડે કર્યું હતું. તેમણે બચાવ કર્યો હતો કે ૨૬ જાન્યુઆરી ૧૯૫૦ના દિવસે જે બંધારણ લાગુ કરવામાં આવ્યું હતું એમાં આ બે શબ્દો નહોતા. તેમણે શંકાનું નિરાકરણ કરતાં પાછો એવો પણ બચાવ કર્યો હતો કે આગળની UPA સરકારે જે જાહેરખબર આપી હતી એમાં પણ એ બે શબ્દો નહોતા અને વર્તમાન સરકારે એ જાહેરખબર આખેઆખી ઉઠાવી હતી. બીજું આવું જ શંકા પેદા કરનારું નિવેદન કેન્દ્રના કમ્યુિનકેશન અને ઇન્ફર્મેશન ટેક્નૉલૉજી ખાતાના પ્રધાન રવિશંકર પ્રસાદે કર્યું હતું. તેમણે કહ્યું હતું કે કેન્દ્ર સરકાર આ મુદ્દે ચર્ચા કરવા તૈયાર છે. મૂળ આમુખમાં આ બે શબ્દોને સમાવવામાં આવ્યા નહોતા અને એની પાછળ કારણ હતું. જવાહરલાલ નેહરુએ અને ડૉ. આંબેડકરે આ બે શબ્દો માટે આગ્રહ નહોતો રાખ્યો, તો શું તેઓ પણ ઓછા સેક્યુલર હતા? એ પછી સરકાર પર જ્યારે પસ્તાળ પડવા માંડી ત્યારે કેન્દ્રના શહેરી વિકાસ ખાતાના પ્રધાન વેન્કૈયા નાયડુએ ખુલાસો કર્યો હતો કે કેન્દ્ર સરકાર બંધારણના આમુખમાં કોઈ પરિવર્તન કરવા માગતી નથી અને સેક્યુલરિઝમ ભારતની પ્રજાના લોહીમાં છે એટલે કોઈએ ડરવાની જરૂર નથી. વડા પ્રધાન હંમેશ મુજબ ચૂપ છે.


એ વાત ખરી છે કે બંધારણના મૂળ આમુખમાં આ બે શબ્દો નહોતા. આ બે શબ્દો ઇમર્જન્સીમાં ઇન્દિરા ગાંધીની સરકારે બંધારણમાં ૪૨મો સુધારો કરીને ઉર્મેયા હતા. મૂળ આમુખમાં આ બે શબ્દો નહોતા એની પાછળ કારણ હતું. આમુખમાં બંધારણનો આખો સાર આવી જાય છે અને ગણતરીના શબ્દોમાં જ્યારે આખા બંધારણનો સાર અને આત્માને અભિવ્યક્ત કરવા હોય ત્યારે શબ્દોની ચોકસાઈ જરૂરી છે. આમુખમાં એવા જ શબ્દો વાપરવામાં આવ્યા છે જેની વ્યાખ્યા કરવાની જરૂર ન હોય. મૂળ આમુખમાં સોવરેન, ડેમોક્રૅટિક, રિપબ્લિક, જસ્ટિસ, લિબર્ટી, ઇક્વલિટી અને ફ્રેટરનિટી જેવા શબ્દો વ્યાખ્યા કર્યા વિના વાપરવામાં આવ્યા છે, કારણ કે આઝાદીના આંદોલન દરમ્યાન આ શબ્દો પાછળની ભાવના સ્પષ્ટ થઈ ગઈ હતી અને સર્વસંમતિ બની ગઈ હતી. સેક્યુલર શબ્દ એટલા માટે મૂકવામાં નહોતો આવ્યો કે એના અનેક અર્થો થાય છે. નાસ્તિક, ધર્મવિરોધી, ધર્મની બાબતમાં સંપૂર્ણપણે તટસ્થ અને ધર્મનિરપેક્ષ એવા અનેક અર્થો થાય છે. ભારતનું સેક્યુલરિઝમ તો પાછું જરૂર પડે તો ધર્મની બાબતમાં હસ્તક્ષેપ કરનારું પણ છે. મૂળભૂત માનવીય મૂલ્યો અને ધાર્મિક મૂલ્યો જ્યારે અથડાય ત્યારે સરકાર ધાર્મિક બાબતોમાં હસ્તક્ષેપ કરવાનો અધિકાર ધરાવે છે. જેમ કે ધાર્મિક શ્રદ્ધાના નામે કોઈની સાથે અસ્પૃશ્યતાનો વ્યવહાર ન કરી શકાય. માનવીય ગૌરવ દલિતનો મૂળભૂત અધિકાર છે અને ઉવેખી ન શકાય એવું માનવીય મૂલ્ય પણ છે.



૬૫ વર્ષ પછી હજી આજે પણ જેનો અર્થ અને ભાવના રૂઢ નથી થયા એ સેક્યુલર શબ્દ આમુખમાં વાપરવામાં નહોતો આવ્યો એનું બીજું પણ એક કારણ હતું. બંધારણના મૂળભૂત અધિકારોના પ્રકરણમાં અને ખાસ કરીને આર્ટિકલ ૨૫ અને ૨૬માં તેમ જ રાઇટ ટુ ફ્રીડમ અને રાઇટ ટુ ઇક્વલિટીને લગતા આર્ટિકલ્સમાં સેક્યુલરિઝમના ભારતીય સ્વરૂપની વિગતે અને ઝીણવટપૂર્વક વ્યાખ્યા કરવામાં આવી છે. ભારતનું સેક્યુલરિઝમ એકંદરે ધર્મનિરપેક્ષ અને જરૂર પડ્યે હસ્તક્ષેપ કરવાના સરકારના અધિકારવાળું છે. આમ જ્યારે અનેક અર્થોવાળા શબ્દની યોગ્ય સ્થળે વિગતે અને ચોકસાઈપૂર્વક સ્પક્ટતા કરવામાં આવી હતી એટલે આમુખમાં સેક્યુલર શબ્દ મૂકવાની બંધારણ ઘડનારાઓને જરૂર નહોતી લાગી. ઇન્દિરા ગાંધીની સરકારે સોશ્યલિસ્ટ અને સેક્યુલર શબ્દ ઉર્મેયા હતા, જેની ખરું પૂછો તો કોઈ જરૂર નહોતી. આમાં સોશ્યલિઝમ શબ્દ તો સાવ નિરર્થક હતો. અર્થનીતિ રાજ્યની શ્રદ્ધા અને આત્મા ન હોઈ શકે. એ પ્રસંગોપાત્ત જરૂર પડ્યે બદલાતી રહેતી હોય છે. ૧૯૯૧ પછી કૉન્ગ્રેસ સરકારે જ સમાજવાદને તિલાંજલિ આપવાનું શરૂ કર્યું હતું. 



ઇમર્જન્સીમાં ઇન્દિરા ગાંધીની સરકારે બંધારણમાં બીજા પણ સુધારા કર્યા હતા જેમાં સૌથી ઘાતક સુધારો બંધારણના મૂળભૂત માળખામાં પરિવર્તન કરવાનો સંસદ અધિકાર ધરાવે છે એ હતો. ૧૯૭૭માં ઇન્દિરા ગાંધીનો પરાજય થયો અને કેન્દ્રમાં જનતા પાર્ટીની સરકાર આવી હતી. જનતા પાર્ટીમાં ભારતીય જનસંઘ એક ઘટક પક્ષ હતો અને અટલ બિહારી વાજપેયી અને લાલ કૃષ્ણ અડવાણી સરકારમાં સિનિયર પ્રધાનો હતા. જનતા પાર્ટીની સરકારે બંધારણના મૂળભૂત માળખામાં સુધારો કરવાનો લોકપ્રતિનિધિઓ અધિકાર ધરાવે છે એવો સુધારો રદ કર્યો હતો એટલું જ નહીં, બંધારણના મૂળભૂત માળખામાં સંસદ કોઈ પણ સંજોગોમાં સુધારો ન કરી શકે એવું ઉમેરવામાં આવ્યું હતું. અહીં યાદ રાખવું જોઈએ કે એ જ જનતા પાર્ટીની સરકારે આમુખમાં ઉમેરવામાં આવેલો સેક્યુલર શબ્દ હટાવ્યો નહોતો, જેમાં વાજપેયી-અડવાણી ભાગીદાર હતા. આનું કારણ એ હતું કે ત્રણ દાયકા દરમ્યાન સેક્યુલરિઝમ ભારતીય રાજ્યનો આત્મા છે જેની વ્યાખ્યા બંધારણમાં યોગ્ય સ્થળે કરવામાં આવી છે.



નરેન્દ્ર મોદીની સરકારે હજી એક ઇતિહાસ યાદ રાખવાની જરૂર છે જે તાજો છે અને એનો પોતાનો NDA સરકારનો છે. વાજપેયી સરકારે નિવૃત્ત ન્યાયમૂર્તિ એમ.એન. વેન્કટચેલૈયાની અધ્યક્ષતામાં નૅશનલ કમિશન ફૉર રિવ્યુ ઑફ વર્કિંગ કૉન્સ્ટિટ્યુશન નામના એક પંચની રચના કરી હતી જેને બંધારણના પુનમૂર્લ્યાંકનનું કામ સોંપ્યું હતું. કમિશને અહેવાલ આપ્યો હતો કે ભારતના બંધારણના મૂળભૂત માળખામાં પરિવર્તન કરવાની જરૂર નથી, કરવું પણ ન જોઈએ અને સંસદને એવો અધિકાર પણ નથી.



જો નરેન્દ્ર મોદીની સરકારે જાણીબૂજીને આવી રમત કરી હોય તો એ આધુનિક રાજ્યમાં શ્રદ્ધા ધરાવનારાઓએ સાવધાન રહેવું પડે એવી ગંભીર ઘટના છે. દેશમાં વ્યાપક ઊહાપોહ થઈ રહ્યો છે એનું કારણ આ છે.

સૌજન્ય : ‘મંતવ્ય સ્થાન’ નામક લેખકની કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 02 ફેબ્રુઆરી 2015

http://www.gujaratimidday.com/features/columns/2015-02-02-06-48-46-2

Loading

ભારતીય શબ્દોની વૈશ્વિક સ્વીકાર્યતા

દિવ્યેશ વ્યાસ|Opinion - Opinion|2 February 2015

શ્રીમદ્દ ભગવદ્દ ગીતાના દસમા અધ્યાય, વિભૂતિ યોગમાં, શ્રીકૃષ્ણે પોતે વૃક્ષોમાં પીપળો, પશુઓમાં સિંહ, પક્ષીઓમાં ગરુડ, શસ્ત્રોમાં વજ્ર, નદીઓમાં ગંગા, શબ્દોમાં ઓમકાર હોવાની વાત કરીને શ્રેષ્ઠતા ત્યાં પ્રભુતાનો સિદ્ધાંત સમજાવ્યો હતો. આ તર્જ પર કહેવું હોય તો કહી શકાય કે શ્રીકૃષ્ણ ડિક્શનરીઓમાં ઓક્સફર્ડ બનવાનું પસંદ કરે! ઓક્સફર્ડની અંગ્રેજી ડિક્શનરી વિશ્વશ્રેષ્ઠ મનાય છે, કારણ કે તે લગભગ તમામ શબ્દોને આવરી લેતી અને ભૂલરહિત છે. ઓક્સફર્ડ ડિક્શનરીમાં શબ્દોની સાચી જોડણી, શબ્દનો અર્થ, તેનું ઉચ્ચારણ તેમ જ શબ્દનો સંક્ષિપ્ત ઇતિહાસ પણ જાણવા મળે છે. ઓક્સફર્ડ ડિક્શનરીને યાદ કરવાના આજે બે નિમિત્ત છે. એક તો ઇ.સ. ૧૮૮૪ની આજની તારીખે એટલે કે ૧ ફેબ્રુઆરીના રોજ ઓક્સફર્ડ ડિક્શનરીનો પહેલો ખંડ પ્રસિદ્ધ થયો હતો. બીજું નિમિત્ત એ છે કે ઓક્સફર્ડ યુનિર્વિસટી પ્રેસ દ્વારા જ પ્રકાશિત કરવામાં આવતી ઓક્સફર્ડ એડવાન્સ્ડ લર્નર્સ ડિક્શનરી(ઓએએલડી)ની નવમી સંશોધિત-સંવર્ધિત આવૃત્તિ તાજેતરમાં ૧૯ જાન્યુઆરી, ૨૦૧૫ના રોજ પ્રકાશિત કરવામાં આવી છે.

એકવીસમી સદીમાં દુનિયા એક નાનકડા ગામડા જેવી બની ગઈ છે ત્યારે આંતરરાષ્ટ્રીય સ્તરે અંગ્રેજી અવ્વલ છે અને અંગ્રેજી વિશ્વભાષાનો દરજ્જો અને દબદબો ભોગવે છે, એવું કહીએ તો પણ અતિશયોક્તિ ન ગણાય. અંગ્રેજી વેપારી ભાષા તરીકે પણ વગોવાતી હોવા છતાં તે કરોડો લોકોની વહાલી ભાષા છે. અંગ્રેજીની સ્વીકાર્યતા આટલી વ્યાપક હોવાના ઐતિહાસિક કારણોની ચર્ચા તો ઘણી લાંબી થાય, પણ એક બાબત નોંધવી જ રહી કે ભાષા તરીકે અંગ્રેજીએ અનેક પ્રદેશો-દેશોની ભાષાના શબ્દોને આવકાર્યા અને સ્વીકાર્યા હોવાને કારણે જ તે આ હદે સ્વીકાર્ય બની છે. અંગ્રેજી ભાષાની જેમ અંગ્રેજીનો શબ્દકોશ એવી ઓક્સફર્ડ ડિક્શનરી પણ નવા નવા શબ્દોને સ્વીકારે છે અને પોતાનામાં સમાવતી રહી છે. એમાં ય ઓક્સફર્ડ એડવાન્સ્ડ લર્નર્સ ડિક્શનરી, જે ખાસ કરીને એવા લોકોને ધ્યાનમાં રાખીને પ્રકાશિત કરવામાં આવી છે, જેમના માટે અંગ્રેજી બીજા ક્રમની ભાષા છે, એટલે કે જે લોકોની માતૃભાષા અંગ્રેજી નથી એવા લોકો માટે આ ડિક્શનરી પ્રકાશિત થાય છે.

ઓક્સફર્ડ એડવાન્સ્ડ લર્નર્સ ડિક્શનરીનું પહેલી વાર ૧૯૪૮માં પ્રકાશન કરવામાં આવ્યું હતું. આ ડિક્શનરીનું આજ સુધીમાં ત્રણ કરોડ ૮૦ લાખ કોપીનું વેચાણ થયું છે તો ૧૩ લાખ લોકોએ તેની એપ ડાઉનલોડ કરી છે. ઓક્સફર્ડ યુનિર્વિસટી પ્રેસ મુદ્રિત સ્વરૂપ ઉપરાંત છેલ્લાં કેટલાંક વર્ષોથી ડી.વી.ડી. ફોરમેટમાં પણ પ્રસિદ્ધ કરે છે. લર્નર્સ ડિક્શનરીનું આ વખતે પહેલી વાર ઓનલાઇન વર્જન પણ લોન્ચ થયું છે.

ઓક્સફર્ડ એડવાન્સ્ડ લર્નર્સ ડિક્શનરીની જે લેટેસ્ટ નવી આવૃત્તિ પ્રકાશિત થઈ છે, તેમાં ૯૦૦ જેટલા નવા શબ્દો ઉમેરવામાં આવ્યા છે. આપણા માટે આનંદની બાબત એ છે કે ૯૦૦ શબ્દોમાંથી ૨૪૦થી વધારે શબ્દો તો ભારતીય ભાષાઓના અને ભારતીય અંગ્રેજીના સમાવાયા છે. ભારતીય લોકો દુનિયાભરમાં પ્રસર્યા છે અને છેલ્લાં કેટલાંક વર્ષોથી વિદેશોમાં જે રીતે ભારતીય મૂળના લોકો પ્રભાવશાળી બનતા ગયા છે, તેને કારણે ભારતીય ભાષા અને સંસ્કૃિતનો પ્રભાવ પણ વિસ્તર્યો છે. ઓક્સફર્ડની લેટેસ્ટ આવૃત્તિમાં ખાસ કરીને ભારતીય ભોજનના શબ્દોને સ્થાન મળ્યું છે. ભારતીય વ્યંજનો ગ્લોબલ થઈ રહ્યા છે ત્યારે ભારતીય ભાષાના 'પાપડ', 'ખીમા' અને 'કરી લીફ' (કઢીમાં નાખવાની પાંદડી) જેવા શબ્દોને સમાવવામાં આવ્યા છે. ભારતમાં બોલાતી અંગ્રેજી ભાષામાં અનેક નવા અંગ્રેજી શબ્દો સર્જાયા છે તો સાથે સાથે અંગ્રેજી શબ્દોને ભારતમાં નવો-વિશિષ્ટ અર્થ પણ પ્રાપ્ત થયો છે. આવા શબ્દોમાં 'જુગાડ', 'કિટ્ટી પાર્ટી', 'વિદેશી', 'મિક્સી' (ખાદ્ય પદાર્થો માટેનું મિક્ચર), 'ટાઇમપાસ'નો સમાવેશ થયો છે. ઓ.એ.એલ.ડી.ની આઠમી આવૃત્તિમાં રોટી, થાળી, પાન, બિરયાની, ભાજી, સમોસાં, સારી, દુપટ્ટા, સલવાર, કમિઝ, ચુડીદાર, બોલિવૂડ, ભાંગડા, રાગ, મોન્સુન, મેદાન, ઓટો રિક્સા વગેરે આશરે ૨૦૦ જેટલા શબ્દો સમાવાયા હતા.

ઓક્સફર્ડ ડિક્શનરી સતત અપડેટ થતી રહે છે. ડિક્શનરી તરોતાજા રાખવા માટે તેના નિષ્ણાતો સમગ્ર વિશ્વમાં ફરે છે અને અંગ્રેજીમાં પ્રચલનમાં આવ્યા હોય એવા નવા નવા શબ્દો શોધે છે અને આ નવા શબ્દો અંગે ચર્ચા-વિચારણા કરીને કયા કયા શબ્દોને નવી આવૃત્તિમાં સમાવવા એનો નિર્ણય લેવામાં આવે છે. હવે તો સોશિયલ મીડિયામાં વપરાતા નવા શબ્દોને પણ આ ડિક્શનરીમાં સમયાંતરે સમાવવામાં આવે છે. નવી આવૃત્તિમાં ૨૦ ટકા શબ્દો સોશિયલ મીડિયામાંથી લેવાયા છે!

ઓક્સફર્ડ જેવી વિશ્વમાન્ય ડિક્શનરીમાં ભારતીય શબ્દો ઉમેરાય તેનો ગર્વ લેવાની સાથે સાથે આપણે ભારતીય ભાષાઓના શબ્દકોશ અંગે પણ ચિંતા અને ચર્ચા કરવી રહી. ગુજરાતીમાં નર્મદે તૈયાર કરેલો નર્મ કોશ, ગાંધીજીની પ્રેરણાથી તૈયાર થયેલો સાર્થ જોડણીકોશ, કે.કા. શાસ્ત્રીએ તૈયાર કરેલો શબ્દકોશ છે તો રતિલાલ ચંદરયાના અથાક પ્રયાસોથી ગુજરાતી લેક્સિકોન નામે ઓનલાઇન કોશ પણ ઉપબ્ધ થયો છે. જો કે, ગુજરાતી ભાષાના આ જુદા જુદા કોશ અંગે મોટા ભાગના કોસિયા (કોમન મેન) અજાણ છે, એ કમનસીબી ક્યારે દૂર થશે?

e.mail : divyeshvyas.amd@gmail.com

સૌજન્ય : ‘સમય સંકેત’ નામે લેખકની કોલમ, “સંદેશ’, 01 ફેબ્રુઆરી 2015

http://sandesh.com/article.aspx?newsid=3037512

Loading

એન.આર.આઈ. ભારતીયોને બોબી જિન્દાલનો ડાબા હાથનો તમાચો

જેકબ ડેવિસ|Opinion - Opinion|1 February 2015

ભારત-ભારત કરીને કૂદાકૂદ કરતા એન.આર.આઈ.ઓને એવા જ એક એન.આર.આઈ. બોબી જિન્દાલે પાંચ આંગળાંની છાપ ગાલ ઉપર ઊપસી આવે એવો જોરદાર તમાચો ઠોક્યો છે.

અમેરિકાના લુસિયાના રાજ્યના ગવર્નર અને ભવિષ્યમાં અમેરિકાના પ્રેસિડન્ટ બનવાની ભરીભરી શક્યતા ધરાવનાર બોબી જિન્દાલે ભારતીય ઓળખ બાબત અણગમો વ્યક્ત કરી જણાવ્યું કે ‘મારાં માતાપિતા ૪૦ વર્ષ પહેલાં ‘ભારતીય અમેરિકન’ બનવા નહિ, પણ ‘અમેરિકન’ બનવા ભારત છોડીને આવ્યાં હતાં. અમેરિકા દેશ નહિ, સ્વપ્ન છે.’

અહીં એક નુક્તેચીની કરી લઉં કે કોઈએ એક-બે વર્ષ પહેલાં એક સરસ કૉમેન્ટ કરી હતી કે ‘જો અમેરિકા દરવાજા ખોલી નાખે, તો ભારતના અડધા કરતાં વધારે ભારતીય રીતસર અમેરિકા તરફ દોટ મૂકે !’ અમેરિકાને એમની મરજી વિરુદ્ધ ફરજિયાત દરવાજા બંધ કરવા પડે એવી પરિસ્થિતિ પેદા થાય. અર્થાત્‌ ‘અમેરિકા સ્વપ્ન’ છે, એ હકીકત સ્વીકારીને ચાલવામાં વાંધો નથી.

જિન્દાલે એ પણ કહ્યું કે ‘જે લોકો પોતાની જૂની સંસ્કૃિતને વળગી રહેવા માગે છે કે નવી સંસ્કૃિત ઊભી કરવા માગે છે કે અન્ય સંસ્કૃિત સાથે ભળી જવા માગે છે, તે અંગે જે ભેદભાવ છે, તે સ્વાયત્ત રાષ્ટ્ર માટે વાજબી છે !’ એટલે પોતે સ્વીકારેલા દેશમાં તમામ ભેદભાવ વાજબી રીતે સ્વીકારવા તે સંમત છે. જ્યારે આપણે એક રાષ્ટ્ર, એક સંસ્કૃિત, એક ભાષા, એક ધર્મ, અને એક વોટ નોટ-કરીને લડવામાંથી ઊંચા આવતા નથી. બોબી જિન્દાલ ગર્વનર બને કે એક નાના ગામડાગામમાં મેયર બને તો પણ અહીં પતાસાં વહેંચાય છે. પણ અહીંની નાગરિક બનેલી બાઈ વડાંપ્રધાન ના બની બેસે એ માટે ચોટલો જ નહિ, ડોકાં કાપવા પણ તૈયાર છીએ ! જેના પિતા ભારતીય હતા, એ સિવાય કશું ભારતીય નથી, ન ભાષા, ન માતા, ન પતિ, ન કુટુંબ, છતાં વિલિયમ્સ ઘર-ઘરનું લાડકું નામ બની ગયું ! આપણને પરાયાં આપણાં લાગે છે ને આપણા પરાયાં !

આ એન.આર.આઈ. (મને ખબર નથી કે પરદેશના નાગરિક થઈ ગયા છે, તેઓ પણ એન.આર.આઈ. ગણાય કે નહિ!) પરદેશમાં લઘુમતી તરીકે મળતા ભરપૂર લાભ મેળવે છે. માનવ-અધિકાર આગળ ધરી સમાન હક્કો મેળવે છે. તે પોતાના પિતૃઓના દેશને આ બાબતથી વંચિત રાખવા માગે છે ! હું હમણાં જ પરદેશમાં ગયો હતો. ત્યાં પુષ્ટિમાર્ગના એક મંદિરનું ઉદ્દઘાટન હતું. અને અમને પણ આમંત્રણ હતું. એક યજમાન મિત્ર કહે : ‘અહીંની સરકાર આપણી લઘુમતી માટે ખૂબ સારી છે. અમને આ મંદિરના ઉદ્દઘાટન (પ્રાણપ્રતિષ્ઠા) માટે ૪૦,૦૦૦/- ડૉલર આપ્યા છે. એટલે અમારો જમણવાર સહિત તમામ ખર્ચ એમાંથી નીકળી જાશે.’ મેં કહ્યું : ‘તમારે જલસા છે !’

એ જ એન.આર.આઈ. ભારતમાં એકચક્રી રાજ્ય સ્થાપવા ગતિમાન છે ! જે લાભ પોતાને મળે છે, એ લાભ પોતાના પિતૃદેશમાં લઘુમતીઓ લઈ ન જાય તે માટે ખૂબ સતર્ક છે ! પરદેશના નાગરિક થઈ ગયેલા લોકોના ઘેરઘેર એક જ વાત થતી. ‘ભારતમાં આપણી સરકાર ક્યારે લાવીએ. અને આપણી સંસ્કૃિત ક્યારે બચાવીએ.’ કહેવાનું મન તો થયું કે ‘ભલા માણસ દેશ છોડી દીધા પછી તમારાં છોકરાંને બચાવો તો ય ઘણું છે !’

એક-બે જગ્યાએ મેં જીભાજોડી પણ કરી. પછી હકીકત સ્વીકારી લીધી. એક જગ્યા પર જમવા ગયા. યજમાન યુવાનને તો આવા રાજકારણમાં રસ નહોતો. પણ તે ઘરના વડીલે મને પૂછ્યું : ‘આ વખતની ચૂંટણીમાં આપણી સરકાર નક્કી જ છે. તમને શું લાગે છે ?’ જીભાજોડી કરી મારે જમવાનો મૂડ બગાડવો નહોતો, છતાં મેં તેમને કહ્યું : ‘જો ચાલે તો આજે જ તમારા નેતાની તાજપોશી કરી આવો.’

મને કહે ‘હા, આ લઘુમતીને પાઠ શીખવે એવી સરકારની જરૂર છે.’ જો કે વાતનો ત્યાં અંત આવ્યો અને સુખેથી જમવાનું પત્યું. પરદેશમાં પોતાને જે લાભ મળે છે, તે પોતાના દેશમાં બીજાને ન મળે તે જોવા આકાશપાતાળ એક કરતી આ લાગણી કયા કારણે બળવતર બને છે, મારા માટે તેની મૂંઝવણ હજી જેમની તેમ છે !

સૌજન્ય : “નિરીક્ષક”, 01 ફેબ્રુઆરી 2015, પૃ. 04-06

Loading

...102030...3,9003,9013,9023,903...3,9103,9203,930...

Search by

Opinion

  • તમાકુ ને પ્લાસ્ટિક : સઘળું ઇલાસ્ટિક !
  • યુદ્ધોન્માદી માહોલ, વસમા પાડોશી અને સંરક્ષણ બજેટ
  • શું ભારતની પ્રજા આવું કરી કે સહી શકશે?
  • સોશિઅલ મીડિયા એન્ટિ-સોશિઅલ છે…?
  • અમેરિકાના હાલ બેહાલ, હાથનાં કર્યા હૈયે વાગ્યાઃ વૈશ્વિક મહાસત્તાનો આત્મવિશ્વાસ જ આત્મઘાતક બન્યો

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 

Poetry

  • ગઝલ
  • વિધ્વંસ
  • કવિ
  • ગઝલ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved