Opinion Magazine
Number of visits: 9558422
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

હરિનો સંગ, કવિતા અને સંગીતનો રંગ

દીપક મહેતા|Opinion - Literature|26 August 2014

હરિને સંગે. ઓડિયો સીડી. સ્વરાંકન-સંકલન અમર ભટ્ટ. વાદ્ય સંગીત નિર્દેશન અમિત ઠક્કર. કલાકારો ગાર્ગી વ્હોરા, ઐશ્વર્યા મઝુમદાર, પુરુષોત્તમ ઉપાધ્યાય, ઓસમાણ મીર અને અમર ભટ્ટ. રજૂઆત અગત્સ્ય ફાઉન્ડેશન, ૪૭ બ્રાહ્મણ મિત્ર મંડળ સોસાયટી, એલિસ બ્રીજ, અમદાવાદ ૩૮૦ ૦૦૬ 

આપણા આદિ કવિ નરસિંહ મહેતાનું એક અત્યંત જાણીતું પદ છે : ‘હળવે હળવે હળવે હરજી મારે મંદિર આવ્યા રે.’ તેમાં એક પંક્તિ આ પ્રમાણે છે : ‘જાગી જાગી જાગી હું તો હરિને સંગે જાગી રે.’ પણ આમ તો કહી શકે કોઈ ગોપી કે નરસિંહ જેવો પરમ ભક્ત. પણ હરિ સંગે જાગવું એટલે શું એની ઝલક પામવી હોય તો એક સહેલો રસ્તો કાનવગો છે – ‘હરિને સંગે’ સીડીમાંનાં દસ ગીતો સાંભળવાં, ફરી ફરી સાંભળવાં. હરિના સંગની સાથે સાથે સંતર્પક સંગીતના રંગનો સંગ પણ માણવા મળશે.

કવિતા અને સંગીત બંનેની પાકી સમજ અને સૂઝ ધરાવતા આપણા અગ્રણી ગાયક-સંગીતકાર અમર ભટ્ટનાં સ્વરાંકનોમાં વૈવિધ્ય છે, પણ કાવ્યત્વને ભોગે નહિ. શાસ્ત્રીય સંગીત, ઉપશાસ્ત્રીય સંગીત, લોકસંગીતનો પાસ આ ગીતોનાં સ્વરાંકનોને લાગ્યો છે જરૂર, પણ કાવ્યના મૂળ રંગને ઢાંકી દે એવો અને એટલો નહિ. સંગીતકાર અને ગાયક કલાકારો અહીં કાવ્યકૃતિની આગળ ચાલતા નથી, સાથે ચાલે છે, કદાચ પૂરેપૂરા ઔચિત્યપૂર્વક એક ડગલું પાછળ રહે છે. આપણા ચાર ટોચનાં ગાયક-ગાયિકાનો સાથ આ સંગને સફળ બનાવે છે.

નરસિંહની ઉપર ઉલ્લેખેલી કૃતિ ગાર્ગી વ્હોરાએ આમ તો પારંપરિક ઢાળમાં રજૂ કરી છે, પણ સંગીતકારે અને ગાયિકાએ તેમાં ઘણું બારીક નકશીકામ પોતાની ગાંઠેથી ઉમેર્યું છે. મીરાંબાઈના ઘણાં કાવ્યો આપણે ગુજરાતી કે હિન્દીમાં સાંભળ્યાં હોય. પણ અહીં મારવાડી બોલીની મુલાયમતાને પૂરેપૂરી સાચવીને ગાર્ગી વ્હોરાએ ‘દરદ ન જાણ્યાં કોય’ કૃતિ અત્યંત નજાકતપૂર્વક રજૂ કરી છે. રાગ દેશી પર આધારિત બંદિશમાં બંધાયેલું આ પદ એક વાર સાંભળ્યા પછી ઝટ મનનો પીછો છોડે તેમ નથી. ઐશ્વર્યા મઝુમદારે બે કૃતિઓ રજૂ કરી છે : કવિ નાનાલાલનું કાવ્ય ‘હરિ આવો ને’, અને રમેશ પારેખની કૃતિ ‘હું મારી મરજીમાં નહિ.’ નાનાલાલની કૃતિને ગરબા રૂપે રજૂ કરવાનું પ્રલોભન ટાળવું સહેલું નથી. પણ અહી સંગીતકારે તાલનું વજન ગરબાના સ્વરૂપનું રાખ્યું હોવા છતાં તેની રજૂઆત ગરબાની બની ન જાય તેની કાળજી રાખી છે. કવિ સુંદરમનું ગીત ‘પ્રભુ મારી અંધારી રાત્યુંને’ તથા રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ની ગઝલ ‘ફર્યા કરે છે’ને પુરુષોત્તમ ઉપાધ્યાયનો સદાબહાર કંઠ મળ્યો છે. સુંદરમની કૃતિને પણ ભજન તરીકે કે મિસ્કીનની કૃતિને પરંપરાગત ગઝલ ગાયકીની ઢબે રજૂ કરવાનો સહેલો માર્ગ સંગીતકારે અપનાવ્યો નથી.

લોકસંગીતનાં ઉત્તમ તત્ત્વોને જાળવનાર છતાં લોકસંગીતને વટાવી ખાવાનો પ્રયત્ન ન કરનાર ઓસમાણ મીરના કંઠે અહીં બે કૃતિઓ સાંભળવા મળે છે : કવિ ઉશનસનું કાવ્ય ‘અષાઢે તણખલું ના તોડીએ જી,’ અને ચંદ્રકાંત શેઠનું ‘ગોદ માતાની ક્યાં?’ રાગ દુર્ગા પર આધારિત સ્વરાંકનમાં હરીશ મિનાશ્રુની કૃતિ ‘સાધો હરિ સંગે હરીફાઈ’ અમર ભટ્ટે પોતાના કંઠે નજાકતભરી રીતે રજૂ કરી છે. દયારામનું પદ નિશ્ચેના મહેલમાં વસે મારો વ્હાલમો’ આમ તો ખૂબ જાણીતું છે, પણ તેની શબ્દયોજના અને લયકારી સરળ નથી, કૈંક અટપટી અને ગાઈને રજૂ કરવામાં દુર્ગમ બને તેવી છે. પણ તેને પોતાની રીતે સ્વરબદ્ધ કરીને પોતાને જ કંઠે રજૂ કરવાનું સાહસ અમરભાઈએ કર્યું છે. વાદ્ય સંગીતનો સાથ બધા ગીતોમાં એવી નાજુક રીતે લેવાયો છે કે ગીતના શબ્દો, ભાવ કે તેમના આકલન આડે તે ન આવે. સંગીત એ અમરભાઈનો પ્રોફેશન નથી, પણ સંગીત એમની પેશન છે. સારી અને સાચી કવિતાને પામવી એ એમને માટે ફેશન નથી પણ પોતે સ્વીકારી લીધેલ વોકેશન છે. પરિણામે આપણને તેમની પાસેથી કાવ્ય-સંગીતની કેટલીક ઉત્તમ રચનાઓ મળી છે. આ સીડીમાંનાં ગીતો સાંભળતાં હરિનો સંગ તો મળશે, પણ સાથોસાથ કાવ્યનો અને સંગીતનો રંગ પણ મળશે.

સૌજન્ય : ‘સાઉન્ડટૃેક’, દીપક મહેતા સંપાદિત ‘અક્ષરની આરાધના’, “ગુજરાતમિત્ર”, 25 અૉગસ્ટ 2014

Loading

નર્મદનું પહેલું પુસ્તક

દીપક મહેતા|Opinion - Literature|24 August 2014

આજે જેનો ૧૮૧મો જન્મ દિવસ છે તે નર્મદાશંકર લાલશંકર દવે ઉર્ફે નર્મદ વધારે જાણીતો થયો કવિ તરીકે અને સમાજ સુધારક તરીકે. પણ પ્રગટ થયેલું તેનું પહેલું પુસ્તક નહોતું કવિતાનું કે નહોતું સમાજ સુધારા વિશેનું. એનું પહેલું પુસ્તક હતું છંદશાસ્ત્ર, એટલે કે પિંગળ વિશેનું. એનું નામ પિંગળપ્રવેશ.

નર્મદના પિતા એ જમાનાના જાણીતા લહિયા હતા. મુંબઈમાં કેપ્ટન જર્વિસના હાથ નીચે કામ કરેલું અને શિલાછાપથી છાપવા માટે કેટલાક પુસ્તકોની હસ્તપ્રત તૈયાર કરેલી. આ અંગે ‘મારી હકીકત’માં નર્મદે લખ્યું છે : “અસલના લહિયાઓના અક્ષર જાડા ને લાલશંકરની કલમ અસલથી જ સાફ ને પાતળી તેથી દશ ઉમેદવારોમાં એ પસાર થયા ને પછી જોન્સે (સુરતની અદાલતના જજ) તીસને પગારે મુંબઈ જવાનું કહ્યું … એના હાથનાં લખેલાં પુસ્તકો ઘણાં જ છે. એના જેટલું કોઈ લહિયાએ લખ્યું નહિ હોય. મુંબઈમાં ત્રણ-ચાર શિલાછાપખાનામાં જેટલી ગુજરાતી ચોપડીઓ જેટલી વાર છપાઈ છે તેમાંની ઘણીએક એના જ હાથની છે.” એટલે પિતા પાસે જ આખું પુસ્તક લખાવી, શિલાછાપ છાપખાનામાં છપાવી પ્રગટ કર્યું. અલબત્ત, આપણા કમનસીબે એ પહેલી આવૃત્તિની નકલ આજે ક્યાં ય જોવા મળતી નથી.

પણ પિતા લાલશંકર આ પુસ્તકના માત્ર લહિયા જ નહોતા. નર્મદે પોતાનું આ પહેલું પુસ્તક અર્પણ પણ તેમને જ કર્યું છે. સાથે લખ્યું છે : “એમનો અપૂર્વ પ્રેમ તથા કવિતા પ્રકરણ સંબંધી પ્રથમ આવો ગ્રંથ કરવાની એઓની જ શુભ આજ્ઞા – એ આદિક કારણો ઉપરથી આ નાનો ગ્રંથ એમના આજ્ઞાંકિત પુત્ર નર્મદાશંકરે પ્રણામપૂર્વક અર્પણ કર્યો છે.” એટલું જ નહિ, આવું પુસ્તક લખવાની નર્મદને પ્રેરણા આપનાર પણ પિતા લાલશંકર હતા. તેમની આ પ્રેરણા અને ‘પિંગળપ્રવેશ’ના પ્રકાશન પાછળ નાનો પણ રસિક ઇતિહાસ છે. ૧૮૫૫ના ઉત્તરાર્ધમાં નર્મદે કવિતા લખવાનું શરૂ કર્યું. પણ ‘મારી હકીકત’માં નર્મદ એકરાર કરે છે કે “એ કવિતા મેં પિંગળના કાયદા પ્રમાણે કરી નહોતી, પણ શામળદાસના દોહરા, ચોપાઈ, છપ્પા વાંચેલા તે ઢાળ પ્રમાણે અને કવિ દલપતરામ તથા મનમોહનદાસની છપાયેલી ચોપડીઓમાંની કવિતા જોઈ જોઇને કરી હતી.” એટલે કે શરૂઆતમાં તો નર્મદ દલપતરામ અને બીજાઓની કવિતાનું અનુકરણ નહિ, તો ય અનુસરણ કરતો હતો. છંદોના શાસ્ત્રને ‘પિંગળ’ કહેવાય એ વાતની પણ ત્યારે નર્મદને ખબર નહોતી. ‘બુદ્ધિપ્રકાશ’ માસિકનો ઓક્ટોબર ૧૮૫૫નો અંક વાંચતાં તેને એ વાત જાણવા મળી. તેણે પહેલાં તો પિંગળના પુસ્તકની મુંબઈમાં શોધખોળ કરી. પણ ક્યાં ય મળ્યું નહિ એટલે ૧૮૫૬ના ફેબ્રુઆરીની ૧૬મી તારીખે નર્મદે ‘મિત્ર શિરોમણી કાવ્યોપનામક ભાઈ મનમોહાનદાસ વી. રણછોડદાસજી’ને કાગળ લખ્યો. તેમાં નર્મદે લખેલું : “હું કવિતા પ્રકરણમાં છેક અજાણ્યો છઉં, પરંતુ એ વિષય જાણવાની મારી ઉત્કંઠિત ઈચ્છા છે ને ગમ પણ પડશે એમ ધારું છઉં, વાસ્તે તમે મારો કર ગ્રાહી પિંગળ ક્ષેત્રની જાત્રા કરાવશો એમ આશા રાખું છઉં. મારે માસ એપ્રિલમાં લગન સારુ સુરત આવવું છે તે સમયે તમારાં દર્શન કરવાની તથા કેટલી એક શિક્ષા લેવાની આશા રાખું છું. પરંતુ હાલ પિંગળ શાસ્ત્ર પ્રવેશક કિયા ગ્રંથો વાંચવા જરૂરના છે તે લખવું.”

પણ મદદ કરવાની વાત તો દૂર રહી, મનમોહનદાસે નર્મદના પત્રનો જવાબ સુધ્ધાં આપ્યો નહિ. એટલે ૧૮૫૬ના નવેમ્બરમાં નર્મદ સુરત ગયો ત્યારે તેણે પિંગળ વિશેના પુસ્તકની શોધ આદરી. પોતાના મિત્ર અને જ્ઞાન સાગરના મુદ્રક જદુરામની સાથે પિંગળની શોધમાં નીકળ્યો. ગોરધન નામના એક કડિયાના ઘરેથી તેના ગુરુ લાલદાસના લખેલા ગ્રંથ ‘છંદરત્નાવલી’ની હસ્તપ્રત મળી. પણ કડિયો એ હસ્તપ્રત નર્મદ પોતાને ઘરે લઈ જાય તે માટે તૈયાર ન થયો. એટલે, રોજ સવારે કલમ, શાહીનો ખડિયો, ને કોરા કાગળ લઈને નર્મદ એ કડિયાને ઘરે જતો. અને રોજ થોડી થોડી નકલ કરતો. જો કે થોડા દિવસ પછી કડિયાને નર્મદ પર વિશ્વાસ બેઠો એટલે રોજ થોડાં પાનાં નર્મદ ઘરે લઈ જાય તે માટે તે તૈયાર થયો. નર્મદ નોંધે છે : “એ પિંગળના પુસ્તકની મતલબ મેં મારી મેળે સંસ્કૃતને જોરે સમજી લીધી.” 

૧૮૫૭ના જાન્યુઆરીમાં ‘બુદ્ધિપ્રકાશ’માં છપાયેલ કવિ દલપતરામની પિંગળ અંગેની લેખમાળા વિષે નર્મદ ઘસાતું બોલ્યો ત્યારે પિતા લાલશંકરે ટકોર કરી કે ‘હું તો તારી હોશિયારી ક્યારે જાણું કે પિંગળ બનાવે ત્યારે.’ આમ, કદાચ અજાણતાં જ, દલપતરામ સાથેની સ્પર્ધાનો ભાવ પિતાએ નર્મદના મનમાં રોપ્યો હોય એમ બને. બસ, બીજું બધું લખવાનું બાજુએ મૂકીને નર્મદ પિંગળ વિશેનું પુસ્તક લખવા માંડી પડ્યો. ‘લલગૂ સમજી સગણ ને જગણે જાણ લગૂલ’ એ કુંડળિયો બનાવી પિતાને સંભળાવ્યો ત્યારે તેઓ ખુશ થયા ને બોલ્યા કે હવે મારી ખાતરી થઈ. એ જ વર્ષના ફેબ્રુઆરીમાં નર્મદ મુંબઈના ગોકુલદાસ તેજપાલ વિદ્યાલયમાં મહિને ૨૮ રૂપિયાના પગારે માસ્તર તરીકે જોડાયો. સાંજે નિશાળ છૂટે તે પછી પણ તે નિશાળમાં રોકાતો અને દરિયો, આકાશ, હોડી વગેરે જોવાતાં જાય તેવા એકાંતમાં પિંગળપ્રવેશ માટેની કવિતા બનાવતો. માર્ચ મહિનામાં પુસ્તક પૂરું કરી, પિતા પાસે હસ્તપ્રત લખાવી, મુંબઈના શિલાછાપ છાપખાનામાં છપાવી તેણે ‘પિંગળપ્રવેશ’ બહાર પણ પાડી દીધું.  પહેલી આવૃત્તિની પ્રસ્તાવના નીચે નર્મદે ૬ એપ્રિલ, ૧૮૫૭ની તારીખ નાખી છે.

આજના જમાના માટે પણ અસાધારણ ગણાય એટલી ઝડપે, ‘સત્યપ્રકાશ’ના ૧૨મી એપ્રિલના અંકમાં મહીપતરામ રૂપરામ નીલકંઠે લખ્યું : “જે પિંગળ વિષે હમે આશા રાખતા હતા તે છપાઈ ચૂકો છે. એની નકલ એના બનાવનાર કવિ નર્મદાશંકર લાલશંકરની કીરપાથી હમને પહોંચી છે. એ વાંચવાથી માલમ પડે છે કે એ ગ્રંથ ઘણો જ ઉપયોગી ને પ્રૌઢ છે, અને એના કાબેલ બનાવનારને આપણા નામાંકિત કવિઓની પદાવિમાં દાખલ કરે છે. કવિતાના નિયમો વિષે ગુજરાતી ભાષામાં આજ સુધી એક્કો પુસ્તક નહિ હતું એ ખોટ ભાઈ નર્મદાશંકરે પૂરી પાડી છે.” અલબત્ત, પાછળથી ‘નર્મગદ્ય’ની સરકારી આવૃત્તિ અંગે મતભેદ થતાં નર્મદ અને મહીપતરામના સંબંધો વણસ્યા હતા. તો જેઓ લગભગ આખી જિંદગી એકબીજાના હરીફ તરીકે રહ્યા તે દલપતરામે ‘બુદ્ધિપ્રકાશ’ના ૧૮૫૭ના જૂન અંકમાં લખ્યું : “ગુજરાતી ભાષામાં કવિતાની રીત જાણવાનો ગ્રંથ આજ  સુધી કોઈએ બનાવેલો નહોતો તે હાલ મુંબઈમાં ભાઈ નર્મદાશંકરે બનાવીને છપાવ્યો છે. એ પુસ્તક બનાવતાં તેને ઘણી મહેનત પડી હશે અને એ વિશેનું પુસ્તક ગુજરાતી ભાષામાં પહેલવહેલું થયું છે.” અહીં દલપતરામની ખેલદિલીની નોંધ લેવી જ જોઈએ. જે વિષય પર પોતે લેખમાળા લખી રહ્યા હતા તે જ વિષયના પુસ્તકને તેમણે ઉમળકાથી આવકાર્યું છે.

આમ, પિંગળપ્રવેશથી નર્મદ જાણીતો થયો. એટલું જ નહિ, તેની ૫૦૦ નકલ છપાવેલી તે પ્રમાણમાં ઝડપથી વેચાઈ ગઈ હશે, કારણ ૧૮૬૦ના જાન્યુઆરીની છઠ્ઠી તારીખે તેની બીજી આવૃત્તિની ૫૦૦ નકલ છપાઈ હતી. આ આવૃત્તિમાં નર્મદે ઘણા સુધારાવધારા કર્યા હતા અને તે શિલાછાપ પદ્ધતિથી નહિ, પણ મુવેબલ ટાઈપ વાપરતા અને નર્મદના મિત્ર નાનાભાઈ રૂસ્તમજી રાણીનાના યુનિયન પ્રેસમાં છપાઈ હતી. પુસ્તકની ત્રીજી આવૃત્તિ પણ પ્રગટ થઈ હતી, પણ તેની પ્રકાશન સાલ જાણવા મળી નથી. પિંગળપ્રવેશની શરૂઆતમાં નર્મદ મૂળાક્ષરો, હ્રસ્વ અને દીર્ઘ અક્ષરો, લઘુ-ગુરુનો ભેદ, છંદના ગણો, વગેરેની સમજૂતી પદ્યમાં આપી છે. તે પછી ૨૦ માત્રામેળ છંદોનું બંધારણ સમજાવ્યું છે – પહેલાં પદ્યમાં અને પછી તેની સમજૂતી રૂપે ગદ્યમાં. ત્યાર બાદ અક્ષરમેળ છંદોની સમજૂતી આપી છે. જેની સંખ્યા ૭૫ જેટલી છે. ત્યાર બાદ બીજી કેટલીક શાસ્ત્રીય બાબતોની છણાવટ કરી છે.

પુસ્તકને અંતે નર્મદે પ્રથમ કવિતા કરનારને સૂચના આપી છે. તેની નવ સૂચનામાંથી કેટલીક તો આજના નવા કવિને પણ ઉપયોગી થાય તેવી છે : જેમ કે, ‘જેમ બને તેમ કવિતા મોઢે ને મોઢે જોડી રાખવાની ટેવ રાખવી. કેટલુંક મોઢે જોડ્યા પછી કાગળ ઉપર લખવું. પ્રથમ કાગળ ઉપર જોડતા જવું નહિ.’ વળી લખે છે : ‘બીજાના શબ્દ અને બીજાના વિચાર ચોરીને કવિતા ન કરવી. પણ જેમ બને તેમ પોતાના વિચાર પોતાની જનમની ઢબથી બહાર કાઢવા.’ છે ને આ શબ્દો આજે દોઢ સો વર્ષ પછીયે કોઈ પણ નવા કવિને કામ લાગે તેવા.

XXX XXX XXX

સૌજન્ય : દીપક મહેતા સંપાદિત ‘ગ્રંથયાત્રા’, “ગુજરાતમિત્ર”, 24 ઓગસ્ટ 2014

Loading

અનુશાસનનાં સંપૂર્ણ અભાવ

નિહાર મેઘાણી|Opinion - Opinion|24 August 2014

વિકસિત દેશોની મુલાકાત લઈ પાછા ફરેલા ભારતીયો ત્યાંની સ્વચ્છતા વિષે અચૂક વખાણ કરશે. અલબત્ત, તેમાનાં જ કેટલાંકને ત્યાંની ‘વધારે પડતી’ ચોખ્ખાઈથી અનઇઝીનેસ પણ ફીલ થવા માંડતી હોય છે. કારણ કે ભારતીય ગંદકીનાં મૂળભૂત સંસ્કારોની અભિવ્યક્તિને ત્યાં ફરજિયાતપણે અંકુશમાં રાખવી પડતી હોય છે.

અનુશાસનનાં સંપૂર્ણ અભાવમાં જીવતી ભારતીય પ્રજા માટે ચોખ્ખાઈ બિલકુલ અગત્યનો મુદ્દો નથી, કારણ કે ગંદકી સાથેનું સહઅસ્તિત્વ બધાને અનુકુળ આવી ગયું છે. આપણાં રસ્તા, હોસ્પિટલો, રેસ્ટોરાનાં રસોડાં, બસ-અડ્ડા, રેલવે સ્ટેશનો, એરોપ્લેનનાં ટોયલેટ, કામ કરવાની જગ્યાઓ, બિલ્ડીંગના દાદરા, સરકારી સ્કૂલો, તીર્થસ્થાનો તથા તમામ જાહેર શૌચાલયો આપણી બેઢંગી અને ગોબરી રહેણીકરણીની સાક્ષી પૂરાવે છે. જ્યાં ને ત્યાં ગૂ-ત્યાગ કરતાં રખડતા કૂતરા, તથા જ્યાં ને ત્યાં પાનની પીચકારીથી પોતાની સિગ્નેચર ચોટાડતાં લુખ્ખાઓ વચ્ચે સ્વચ્છતા અંગેની સમજણમાં પૂર્ણતઃ એકરૂપતા દેખાય છે. આપણા તીર્થસ્થાનો કોહવાણની દુર્ગંધથી મઘમઘતા હોવા છતાં પ્રતિષ્ઠિત ઘરોનાં કહેવાતા ચોખલિયાઓ પણ ધાર્મિક લાગણીના આવેગમાં આવી જઈ, આ જાતની જગ્યાઓ પર ગૌરવ-પૂર્વક આળોટવા જતા હોય છે.

જાહેર સ્થળોને ‘સરકારી માલિકીની જગ્યા’ માની લઈ તેને બદબૂદાર બનાવતા રહેવાની માનસિકતા આપણી પ્રજામાં કોમન-સેન્સની ડેફિશિયન્સી બતાવે છે. કોઈ પરદેશી પ્રજા ફૂટબોલની મેચ બાદ પોતાની સીટ નીચેનો કચરો વીણીને પ્લાસ્ટિક બેગમાં ભરી લે એ ઘટના આપણને સૌને દિગ્મૂઢ બનાવી મુકે છે કારણ કે આપણે તો આવી કોઈ હરકતની કલ્પના પણ કરી નથી ! આપણે કહેવાતા ઉત્સવ-પ્રેમીઓ માટે તહેવાર એટલે માનવ-મહેરામણનું ઉમટી પડવું, ખૂબ ઘોંઘાટ કરવો, ટ્રાફિક-જામ કરવો અને આખરે આખેઆખા ઇલાકાને ગંદવાડમાં બદલીને બેજવાબદાર બની ચાલતી પકડવી. તહેવારની ઉજવણી એટલે જાહેરમાં બેતમીઝ બની, આવી વિકૃતિઓ આચરી તેનો આનંદ લેવો અને તેનો ગર્વ પણ લેવો.

સમાજની અંદર રહેતા નાગરિકો એકબીજાને આદર આપે તથા એકબીજાને અગવડરૂપ ન બનવા અંગે કાળજી લે એ ભાવનાને વિકસિત દેશોમાં ‘સિવિક સેન્સ’ કહેવામાં આવે છે. આ જાતની સેન્સ માટે ભારતીય મગજો બહુ કેળવાયેલાં નથી. ગીવ એન્ડ ટેક જેવું આ સરળ ગણિત આપણે હજુ શીખ્યા નથી.

જે લોકશાહીમાં નૈતિકતાનું સ્તર નિમ્ન હોય એવી પ્રજા પાસે જાહેરમાં રીતભાત-પૂર્વક વર્તવા અંગે જો કે વધુ પડતી અપેક્ષા રાખી શકાય નહિ.

https://www.facebook.com/nihar.meghani?fref=ts

Loading

...102030...3,8973,8983,8993,900...3,9103,9203,930...

Search by

Opinion

  • કૉમનવેલ્થ ગેમ્સ / ઓલિમ્પિક તો બહાનું છે, ખરો ખેલ તો જુદો જ છે !
  • સત્યકામ – ધર્મેન્દ્ર અને ઋષિકેશ મુખર્જીની શ્રેષ્ઠ ફિલ્મ
  • નાયકન : પોતાના જ બનાવેલા રસ્તામાં અટવાઈ જતા ઘાયલ માણસની જીવન યાત્રા
  • ‘પંડિત નેહરુ, રામની જેમ, અસંભવોને સંભવ કરનારા હતા !’
  • વીસમી સદીની પહેલી બ્લોક બસ્ટર નવલકથા

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved