Opinion Magazine
Number of visits: 9771920
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કદમોથી પણ વિશેષ થકાવટ હતી ‘મરીઝ’ મંઝિલ ઉપરથી પાછા ફરેલી નિગાહમાં

તેજસ વૈદ્ય|Opinion - Literature|19 February 2015

મરીઝ એવા શાયર હતા કે જેના વિશે નિઃશંકપણે કહી શકાય કે 'ભાગ્યે જ જન્મે'. તેના એક એક શેર જીવનના અર્કમાંથી નીકળેલું અત્તર છે. ધર્મગ્રંથો જે વાત થોથાં ભરીને કહે છે એ મરીઝ માત્ર બે લીટીમાં કહી દે છે. મરીઝે જેવું લખ્યું છે એવું જ જીવ્યું છે, તેથી આજે પણ તેઓ આપણી વચ્ચે તેમના લખાણરૂપે જીવે છે. રવિવારે જન્મજયંતી છે એ નિમિત્તે યાદ કરીએ મરીઝસાહેબને.

ગુજરાતી તરીકે ગૌરવ લેવાનું મન થાય એવાં ઘણાં વ્યક્તિત્વો ગુજરાતે આપ્યાં છે. કેટલાંક વ્યક્તિત્વોની તેમના સમયમાં ખૂબ બોલબાલા હોય છે. ચારે તરફ તેમનો જય જયકાર થતો હોય છે. પછી અચાનક એવા વ્યક્તિત્વના આભામંડળનાં આભલાં ઝાંખાં પડવા માંડે છે. ઓસરતાં પૂરની જેમ તેમની પ્રતિભાનાં પાણી ઓસરવા માંડે છે. તેને વ્યક્તિત્વ ન કહેવાય.

ખરું વ્યક્તિત્વ એ છે કે વ્યક્તિની બિનહયાતીમાં તેનું નામ તેની હયાતી કરતાં મોટું થતું જાય. તેનાં કામની નોંધ વધારે લેવાય. તેમની ખોટ વધુ સાલે. આવું વ્યક્તિત્વ એટલે શાયર અબ્બાસ અબ્દુલ અલી વાસી 'મરીઝ'. 

મહોબ્બતના દુઃખની એ અંતિમ હદ છે,
મને મારી પ્રેમાળ મા યાદ આવી.

મરીઝના જીવન અને તેની રચનાઓને જોવામાં આવે તો માલૂમ થાય કે કોઈ ઈશ્વરી ફરિશ્તો ધરતી પર ચક્કર લગાવીને ગયો. ગયો પણ એવી માવજતપૂર્વક કે જીવતેજીવ તો તેણે પણ પોતાની પૂરતી નોંધ લેવા દીધી નહીં. કોઈ યોગભ્રષ્ટ આત્મા માત્ર હાજરી પુરાવવા પૂરતો પૃથ્વી પર અવતરે ને ચાલ્યો જાય એવી રીતે એ ગયો. જીવતરનું વસ્ત્ર કોઈ પણ દાગ વગર એમનું એમ રચયિતાને સોંપવાનું છે એમ કબીરે ગાયું છે. 'જ્યોં કી ત્યોં ધર દિન્હી ચદરિયાં'ની જેમ મરીઝે તનચાદર એકદમ ઊજળી જ ખુદાને દીધી હશે. તે ગયો ચૂપચાપ પણ જે વાંચે તેને અંતરથી રળિયાત કરી દે તેવી ગઝલો, નઝમો અને મુક્તકો મૂકતો ગયો. મરીઝનો રચનાસંગ્રહ 'આગમન' ગુજરાતી સાહિત્યની લગડી છે. જીવનના અર્કને ચૂંટી ચૂંટીને એને 'આગમન'ના દરેક શેરમાં કેદ કરવામાં આવ્યો છે. એમાં જે ફિલસૂફી અને જીવનસાફલ્ય છે એ તમને કદાચ ધર્મગ્રંથોનાં થોથાંમાં પણ નહીં મળે. જીવનને સમજવું હોય તો 'જીવનને જીવી નાખવાની જડીબુટ્ટી' કે 'સુખની સૂંઠનો ગાંગડો' કે 'પ્રેરણાની પડીકી' કે 'યુ મે વીન' ટાઇપના પોઝિટિવ થિંકિંગનાં પીપૂડાં વગાડતાં સેલ્ફહેલ્પ પુસ્તકો વાંચવાની જરૂર નથી. એ પુસ્તકો માનસિક રીતે પુખ્ત ન થઈ શકેલા નાદાન જીવો માટે છે. 'આગમન' વાંચો. તમારા જીવનના કપરા સમયમાં તમારો કોઈ જૂનો દોસ્ત મળવા આવ્યો હોય અને એકદમ ભેટીને હૂંફ પૂરી પાડતો હોય એવું અનુભવશો. 

બધો આધાર છે એના જતી વેળાના જોવા પર,
મિલનમાંથી નથી મળતા મહોબ્બતના પૂરાવાઓ

મરીઝની મજા એ છે કે તેની રચનાનું પોત ખૂબ ઊંડું છે અને શબ્દો સરળ છે. તે ગંભીરમાં ગંભીર ફિલસૂફીને બે લીટીના શેરમાં કહી દે છે. ધર્મગ્રંથો જે વાત થોથાં ભરીને કહે છે એ મરીઝ એક શેરમાં ઝીલી શકે છે. મરીઝ એટલા માટે એવું લખી શક્યા કે એણે આજીવન સંજોગોના તંગ દોરડા પર જીવન વિતાવ્યું હતું. તંગ દોરડા પર તો ઘણાં લોકો જીવન વિતાવે છે, પણ મરીઝની મહાનતા એ હતી કે તેમણે ક્યારે ય પોતાની માસૂમિયત ગીરવે નહોતી મૂકી. સ્વ. કવિ વિપિન પરીખે મરીઝને આપેલી અંજલીરૂપ આ નઝમ વાંચો … 

કવિઓ હંમેશાં માટે બાળક રહે
એવું બનતું નથી.
અળોટાવું પડે છે, દાઝવું પડે છે.
લોકો શીખવે છે અવનવા, કડવા મીઠા પાઠ.
આંખો બનતી જાય છે ખંધી, રીઢી, શબ્દે વેપારી.
તમે નાની'સી વાતમાં ખડખડ હસી પડનારા,
શબ્દો તમારા શિશુ જેવા જ કાલાકાલા,
હસવું આવે પણ વ્હાલા લાગનારા,
ક્યારેક લથડતા, એકબીજા પર ગબડી પડનારા,
તમે સભાને હસતી જોઈ નિર્દોષ મૂંઝાનારા,
આમતેમ જોનારા,
જાણે કશું જ ન સમજનારા,
વળી પાછું શરૂ કરનારા, સાવ ભોળા, નિર્દોષ,
નાજુક ધ્રૂજતી હથેળીમાં આખું હૃદય મૂકી દેનારા,
તમે કહો : કવિઓની વચ્ચે … આ વીસમી સદીમાં, આ મુંબઈમાં,
તમે આંખોમાં શિશુને કેવી રીતે સાચવી શક્યા?

* * *

મુંબઈનો ભીંડીબજાર ઇલાકો જેટલો પેચીદો છે એટલો જ પચરંગો છે. ત્યાં કવિતા અને ક્રાઇમ સાથે સાથે ચાલે છે. મરીઝનું એ ઠેકાણું હતું. અમદાવાદમાં રહેતા જિજ્ઞોશ મેવાણી નામના યુવાન સાહિત્યપ્રેમી અને કર્મશીલે મરીઝ પર રિસર્ચ કર્યું છે. જિજ્ઞેશ નોંધે છે કે ભીંડીબજારની એક ગલીમાં હિન્દુસ્તાનના મહાન વાર્તાકાર સઆદત હસન મન્ટોની ઓરડી હોય તો બીજી કોઈ ખોલીમાં માફિયા કરીમલાલા અને દાઉદ ઇબ્રાહિમની ખોલી. કૈફી આઝમી જેવા શાયર 'કેફે અશરફી'માં બેઠક જમાવતા તો ડો કરીમલાલા પણ ત્યાં જ બેસતા. મુંબઈની ભીંડીબજાર અને મોહમ્મદ અલી રોડ પર મરીઝના શેર સાંભળવા લોકો ટોળે વળતા હતા. મહોલ્લામાંથી તે પસાર થતાં હોય ત્યારે તેમને રોકીને શેર સંભળાવવાની ગુઝારીશ કરનારા અનેક લોકો હતા. ચાની કેન્ટિનમાં તો ટેબલ પર મરીઝનો મુશાયરો જ જામતો હતો. એ રીતે મરીઝસાહેબ લાઇવ મહેફિલના માણસ હતા. ગલી અને ટેબલ મહેફિલો મરીઝથી રોશન થતી હતી. મરીઝના પરિચિત હોય એવા કેટલાક શાયરો, લેખકો અને મિત્રોને જિજ્ઞેશ રૂબરૂ મળ્યો છે. તેમની પાસેથી મરીઝ વિશેના રોચક અને અજાણ્યા પ્રસંગો તેણે નોંધ્યા છે. એમાંના કેટલાક પ્રસંગો જોઈએ.

આપણા જાણીતા કવિ સ્વ. હરીન્દ્ર દવે મરીઝના નજીકના દોસ્ત હતા. તેમણે નોંધ્યું હતું કે એક રિક્સા સાથે અકસ્માત થયા બાદ મુંબઈની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા ત્યારે ડોક્ટર મહેતાએ ઓપરેશન અગાઉ હૂંફ આપતાં કહ્યું કે, "ચિંતા કરતા નહીં, તમે તો ખૂબ લાંબું જીવવાના છો." ત્યારે મરીઝે તાબડતોબ સ્ફુરેલો શેર કહ્યો કે,

ન માંગ એની પાસે ગજાથી વધુ જીવન,
એક પળ એ એવી દેશે વિતાવી નહીં શકે.

વાતવાતમાં મરીઝે કેવી મહાન વાત કહી દીધી. કપરા સંજોગોમાં પણ જીવન પ્રત્યેની તેમની નિર્લેપતા અકબંધ રહેતી હતી. મરીઝની વિચારવાની પેટર્ન પણ શાયરાના હતી. તેમણે કેટલાંક ચુનંદા શેર એ રીતે વાતવાતમાં લખી નાખ્યા છે કે તેમને કદાચ સપનાં પણ આવતાં હશે તો શાયરીની ઢબે જ રદિફ કાફિયા સાથે આવતાં હશે.

દાવો અલગ છે પ્રેમનો દુનિયાની રીતથી,
એ ચૂપ રહે છે જેનો અધિકાર હોય છે.

નવસારીના શાયર રાઝ નવસારવીનો એક પ્રસંગ જોઈએ. જુવાનીનાં કેટલાંક વર્ષ રાઝ નવસારવીએ મુંબઈમાં ગાળ્યાં હતાં. શાયર નૂરી સાથે તેઓ ઘણી વાર મરીઝને મળ્યા હતા. ૧૯૬૦ના દાયકાની વાત છે. રાઝ નવસારવી નોંધે છે, "ભીંડીબજારની ઝમઝમ રેસ્ટોરાંમાં અમારી બેઠક રહેતી હતી. મરીઝસાહેબ સફેદ પેન્ટ-શર્ટમાં આવે. ચાલ સહેજ લથડાતી હોય. ક્યાંકથી થોડું ઠપકારીને આવ્યા હોય. અમારી બેઠકની મહેફિલ શરૂ થાય. શરાબ અને શાયરી બંને સાથે ચાલે. નૂરીસાહેબ કાયમ મરીઝને સાંભળવાનો આગ્રહ રાખતા. મરીઝ જે શેર સંભળાવે તે ટપકાવી પણ લેતા. મરીઝ જે રદિફ કાફિયા પર ગઝલ લખે એના પર જ તેઓ શેર લખતા. જેમ કે, મરીઝનો એક શેર છે,

હું ખુદ અગર પીઉં તો ભયંકર ગુનો બને,
આ દુનિયાના લોક રોજ મને ઝેર પાય છે.

એમાં સહેજ ફેરફાર કરી નૂરીસાહેબ લખે છે,

બસ એ નવાઈ છે કે મરણ આવતું નથી,
દુનિયાના લોક રોજ મને ઝેર પાય છે.

મરીઝનો એક શેર છે,

રાતોના જાગરણનું ગજું ક્યાં હવે 'મરીઝ',
દિવસના વખતે પણ ઊંઘી જવાય છે.

નૂરીએ કોપી કરી

'નૂરી' એ ગાઢ ઊંઘના દિવસ વહી ગયા,
અડધી જ રાતથી હવે જાગી જવાય છે.

મરીઝે પછી નૂરી પર જ વ્યંગ કરતો શેર લખ્યો કે,

કર મારા હૃદયના ઊભરા એકઠા તું હરીફ,
દરિયાનું ફીણ પણ અહીં દરિયો ગણાય છે.

નૂરીસાહેબને આ શેરથી ખૂબ લાગી આવ્યું હતું. એ જોઈને મરીઝે કહ્યું કે હું તો મજાક કરું છું, ખોટું ન લગાડો. નૂરીસાહેબે કહ્યું કે, "જો મરીઝ દરિયો હોય તો ફીણ થવામાં મને સહેજે ય વાંધો નથી."

કોઈનું દિલ દુભાય એ મરીઝસાહેબને જરા ય ન પોસાય. કોઈ પોતાનો ઉપયોગ કરી જતું હોય અને મરીઝ એ જાણતા હોય એ છતાં ય તેમના પ્રત્યે મરીઝને અંશમાત્ર પણ દંશ નહીં. તેઓ બધાને એકસરખી નજરે જ નિહાળતા હતા. તેમનો શેર છેને,

કુતૂહલતા અને આનંદની દ્રષ્ટિ રાખ દુનિયા પર
પડે છે જેમ બાળકની નજર કોઈ તમાશા પર …

* * *

સિદ્ધપુરમાં રહેતા વયોવૃદ્ધ દાઉદભાઈ રાવત પાસેથી એક પ્રસંગ મળે છે. સિદ્ધપુરમાં જવાહર સિદ્ધપુરીને ત્યાં મુશાયરો યોજાયો હતો. જવાહરભાઈના ઘરમાં દરિયાની એક તસવીર હતી. મરીઝ એ તસવીર જોતા રહ્યા. પછી કહ્યું કે આ તસવીર જોઈને મને એક શેર સૂઝ્યો છે. એ શેર એટલે …

કહો દુશ્મનને દરિયાની જેમ હું પાછો જરૂર આવીશ,
એ મારી ઓટ જોઈ કિનારે ઘર બનાવે છે.

બીજા દિવસે બધા ઘરની બહાર જતા હતા ત્યારે ઘરના દાદરેથી ઊતરતા હતા એ વખતે કોઈની નનામી જઈ રહી હતી. ગણ્યાગાંઠયા ડાઘુઓ નનામી લઈ જતા હતા. એ જોઈને મરીઝે તરત ખિસ્સામાંથી ચબરખી કાઢીને ઓરડામાં જઈને શેર ટપકાવ્યો …

આ દુનિયાના લોક, આ દુનિયાની રીત,
કદી સાચા માણસને ફાવે નહીં,
જીવો તો કરે દાટવાની જ વાત,
મરો તો દફન કરવા આવે નહીં.

* * *

મરીઝને કદાચ બે ટંકનાં ભોજન વગર ચાલી જાત, પણ મદિરા વગર મરીઝની કલ્પના કરવી નામુમકિન છે. મરીઝે ક્યારે ય પોતાનાં દુઃખો દોસ્તોને પણ દેખાડયાં નથી. તેમના દોસ્તો કવિ હરીન્દ્ર દવે કે શાયર કાબિલ ડેડાણવી પાસે એકાદ બે પ્રસંગ માંડ મળે છે, જેમાં તેમણે પોતાની આપવીતી કહી હોય. કાબિલે એક જગ્યાએ કહ્યું છે કે "મરીઝને ચાહકો ફરતે વીંટળાઈને શેરોશાયરી કરતો અને વાહવાહી મેળવતો જોઈને એમ જ લાગે કે આના જેવો સુખી જીવ કોઈ હશે જ નહીં. પણ તેમને ક્યાંથી ખબર હોય કે રાત્રે બચ્ચાં ભૂખ્યાં ના સૂઈ જાય એટલા માટે આ માણસ બે રૂપિયામાં કોઈને ગઝલ વેચીને આવ્યો હશે. વર્ષોનાં વર્ષો સુધી અમે મરીઝને કપડાંની નવી જોડમાં જોયો નહીં હોય. આ છતાં પણ તેણે ક્યારે ય તકલીફોનાં રોદણાં રોતો જોયો નથી."

મરીઝે પોતાનું દર્દ પોતાની ગઝલોમાં ઠાલવ્યું અને મદિરામાં ઓગાળ્યું છે. તમામ સંજોગો વચ્ચે મરીઝ ખુમારીપૂર્વક ઊભા રહ્યા છે. તેઓ લાચાર જણાયા નથી. સહાનુભૂતિ મેળવવાનો વિચાર તેમને આવી શકે એવું તેમના વિશે કલ્પવું એ તેમના અપમાનસમું છે. બેસુમાર પડેલા સંજોગોને મરીઝે એ રીતે સાચવી લીધા જાણે ગણકાર્યા જ ન હોય. એક પ્રસંગ જુઓ. સફેદ પેન્ટ-શર્ટ મરીઝનો કાયમી પોશાક હતો. મુશાયરામાં પણ તેઓ એ પહેરીને જ આવતા હતા. શાયર અસીમ રાંદેરીએ તેમને એક શેરવાની લઈ આપી હતી. પૈસાની તાણને કારણે થોડા દિવસમાં એ શેરવાની તેમણે એક મારવાડીને વેચી દીધી હતી. કાબિલ ડેડાણવીએ એક મુશાયરામાં તેમને પૂછયું કે, "પેલી શેરવાની ક્યાં ગઈ?" તો કહે કે, "એ તો મારવાડીને ત્યાં ગીરવે મૂકવી પડી હતી. હવે પાછી લેવા કોણ જાય?" કાબિલ ડેડવાણીએ પૂછયું, "કેમ?" તો કહે કે, "એક વાર દીધું એટલે દીધું. આપણે એના જેવા મારવાડી થોડા છીએ." વેદનાને પણ તેઓ એવી રમૂજી રીતે રજૂ કરતા કે દુઃખ થાય એવા પ્રસંગોમાં પણ સામેવાળો હસી પડે. તેમણે શેર પણ એવા જ રચ્યા છે. એક શાયરની એ તાકાત હોય છે કે એ રુદનને પણ રમૂજના વાઘા પહેરાવી શકે છે. જાણીતા કવિ સિતાંશુ યશશ્ચંદ્રે મરીઝ વિશે કહ્યું છે કે, "કરુણ હાસ્ય એટલે કે વેદના વિલક્ષણ વિનોદ મરીઝની રચનાઓની વિશેષતા રહ્યો છે." 

આવીને આંગળીમાં ટકોરા રહી ગયા,
સંકોચ આટલો ન કોઈ બંધ દ્રા દે.

સિકંદરો અને હિટલરો યુદ્ધો તો જીતી શકે છે, પણ દુઃખોને જીતી નથી શકતા. મરીઝ જેવા શાયરોની એ શાનદારિયત છે કે એને દુઃખની તમા પણ નથી હોતી. દુઃખને માણસ ગણકારે જ નહીં એ ફિતરત તેને ફકીરી અને ઓલિયા કક્ષાએ મૂકે છે. મરીઝે કોઈ લોબાનોની ધૂણી નહોતી જલાવી. દેખીતા કોઈ અર્થમાં તે ધાર્મિક નહોતો, પણ તેના પરિચયમાં આવનાર દરેક વ્યક્તિ કહેતી કે આ માણસ ખુદાઈ નૂર લઈને જન્મ્યો હતો.

હું 'મરીઝ'નો મોટો ફેન છું : પંકજ ઉધાસ

ગુજરાતના જાણીતા ગઝલગાયક મનહર ઉધાસે ગાયેલી મરીઝની કેટલીક રચનાઓ પોપ્યુલર થઈ છે. તેમના નાના ભાઈ પંકજ ઉધાસે ૮૦ના દાયકાના એન્ડમાં 'રજૂઆત' નામનું ગુજરાતી ગઝલ આલબમ આપ્યું હતું. જેમાં મરીઝની નઝમ ગાઈ હતી.

પંકજ ઉધાસ ટીનેજર હતા ત્યારે મરીઝના સંપર્કમાં આવ્યા હતા. મરીઝ વિશેની પોતાની કેફિયત જણાવતાં તેઓ કહે છે કે, "સોળેક વર્ષની ઉંમરે હું મુંબઈના બિરલા સભાગૃહમાં પહેલી વખત મરીઝને મળ્યો હતો. પરિચય મારા મિત્ર અને જાણીતા ગુજરાતી ગઝલકાર સ્વ. કૈલાસ પંડિતે કરાવ્યો હતો. એ વખતે મારા મોટા ભાઈ મનહર ઉધાસ પણ સાથે હતા. ત્યાં મુશાયરો યોજાયો હતો જેમાં મેં તેમને સાંભળ્યા હતા. મરીઝસાહેબ વોરા હતા એટલે ગઝલપઠનમાં તેમની એક વોરાસાઈ છાંટ હતી, જે સરસ હતી. પઠન વખતે તેમનાં ચશ્માં વારંવાર ઊતરી જતાં હતાં અને તે નાક પરથી ચશ્માં ચઢાવ્યા કરતા હતા. મરીઝનું મેં જોયેલું એ પહેલું ચિત્ર મને આટલાં વર્ષે પણ તંતોતંત યાદ છે. મુશાયરા પછી તેમણે કૈલાસ પંડિતને કહ્યું કે, "જો દોસ્ત, મેં એક નવો શેર લખ્યો છે, સાંભળ." પછી તેમણે ખિસ્સામાંથી બસની એક ટિકિટ કાઢી અને એની પાછળ લખેલો એ શેર સંભળાવ્યો. તેમણે જે રીતે બસની ટિકિટ કાઢી અને શેર સંભળાવ્યો એ દૃશ્ય મને કુતૂહલભર્યું લાગ્યું અને ખૂબ ગમ્યું. એ પછી વિવિધ બેઠક અને મુશાયરામાં પણ મેં તેમને ખૂબ માણ્યા હતા. દરમ્યાન પુરુષોત્તમ ઉપાધ્યાય તેમ જ કેટલાક કવિમિત્રોએ મરીઝનો સન્માન સમારંભ મુંબઈમાં યોજ્યો હતો. એમાં મેં મરીઝની એક ગઝલ ઠુમરીના અંદાજમાં બહેલાવીને રજૂ કરી હતી. ગુજરાતી સુગમ સંગીતમાં ગઝલ ઠુમરી શૈલીમાં એ વખતે નહોતી ગવાતી. મને આનંદ છે કે મેં મરીઝની ગઝલ એ રીતે રજૂ કરી.

મરીઝને ગુજરાતના ગાલિબ કહેવામાં આવે છે એ વિશે પંકજ ઉધાસ કહે છે કે, "હું માનું છું કે મરીઝસાહેબ મિર્ઝા ગાલિબથી એક તાંતણો ઓછા ઊતરે એવા શાયર નહોતા. મરીઝના કેટલાક શેરમાં વિઝ્યુલાઇઝેશનનું એટલું ઊંડાણ છે કે ગાલિબસાહેબના શેરોમાં પણ એ નથી જોવા મળતું.

તેમના શેરોમાં સાહજિકતા છે, પ્રયાસ નથી. મેં 'રજૂઆત' નામનું ગુજરાતી આલબમ ૧૯૮૮-૮૯માં રજૂ કર્યું હતું, જેમાં મેં મરીઝની નઝમ રેકોર્ડ કરી હતી.

ભવ્ય એક કલ્પનાસૃષ્ટિને ઉલેચી નાખી,
આજ મેં લક્ષ્મીની તસવીરને વેચી નાખી.

માણસની લાચારી કઈ હદની હોય કે એ લક્ષ્મીની તસવીરને વેચી નાખે. એ નઝમમાં વેદનાની સાથે વ્યંગ છે. હું માનું છું કે એવી કલ્પના મરીઝ જ કરી શકે!

e.mail : tejas.vd@gmail.com

સૌજન્ય : લેખકની ‘છપ્પનવખારી’ નામે કટાર, “સંદેશ”, 18 ફેબ્રુઆરી 2015

http://www.sandesh.com/article.aspx?newsid=3043816

Loading

કથળેલા શિક્ષણ સામે કૌશલ્ય નિર્માણની વાતો!!!

સનત મહેતા|Opinion - Opinion|19 February 2015

‘શિક્ષણનો અધિકાર’ : 2015માં પાંચ વરસની ઉંમરે પ્રાથમિક શિક્ષણ માટે પ્રવેશ મેળવનાર બાળકનું 2028માં ભાવિ અંધકારમય હશે! 

એક જમાનો હતો જ્યારે, શિક્ષણવિદો અને દાનમાં વિદ્યાદાનને શ્રેષ્ઠ માનનારા શ્રીમંતો કે ટ્રસ્ટો, શિક્ષણના ઉચ્ચ ધોરણ જાળવતી સંસ્થાઓ સ્થાપતા અને સમાજને શ્રેષ્ઠ શિક્ષણ આપતા. અલબત્ત, એની સંખ્યા ઓછી હતી પણ એમનું ધોરણ ઊંચું રહેતું. આવી સંસ્થઓ, એના સંચાલકો અને એના શિક્ષકો સમાજમાં ઊંચો આદર વણમાગ્યો મેળવતા. સ્વાતંત્ર્ય પછી, રાજ્ય સંચાલિત શિક્ષણ સંસ્થાઓ અને શિક્ષણનો વ્યાપ વધ્યો પણ એનું ધોરણ ટ્રસ્ટ સંચાલિત સંસ્થાઓની તુલનામાં નીચું રહેતું હતું. આજે જ્યારે શિક્ષણ અને આરોગ્યને મૂળભૂત બાબતો તરીકે આર્થિક વિકાસમાં લગભગ સર્વ પ્રકારની સરકારોમાં સ્વિકૃતિ મળી છે ત્યારે ચિત્ર સાવ ઊલટું થઈ રહ્યું છે. ભારતમાં સાક્ષરતા માટે નાણાંની ફાળવણી વધી છે. માળખાકિય સગવડો સતત મોનિટર થઈ રહી છે, પરંતુ ધોરણ બધે જ કથળ્યું છે. નફાના હેતુવગર વિદ્યાદાનના ઈરાદા સાથેની શિક્ષણ સંસ્થાઓની જગા બજારે લીધી છે. સાવ સાદી ભાષામાં વર્ણવીએ તો શિક્ષણની હાટડીઓ પૂરબહારમાં ખૂલી રહી છે.

સાદો હિસાબ માંડીએ તો 2015માં ભારતનો પાંચ વરસનો બાળક શાળા પ્રવેશ કરશે તે 2021માં યુનિવર્સિટી શિક્ષણને પાત્ર બનશે. આ એ જ સમય બનશે જ્યારે, ભારતની જનસંખ્યા 140 કરોડ પર પહોંચી જશે અને ત્યારે 2028માં ભારત વિશ્વનો સૌથી વધુ જનસંખ્યા ધરાવનારો દેશ હશે. એ સમયે આપણી સામે ગંભીર સવાલ એ હશે કે, ભારતની સમૃદ્ધિને સંપૂર્ણ સલામતી આપવા માટેના જરૂરી સ્નાતકો ભારત પાસે હશે ખરા? શિક્ષણના સ્તરની હાલની હાલત અને શિક્ષણ સંચાલનની સ્થિતિ જોતાં સવાલનો જવાબ ઘસીને ‘ના’માં આપવો પડશે. અલબત્ત, છેલ્લાં ત્રણ ચાર વર્ષથી આ સવાલને બાજુએ અંકબંધ રાખી, બધી રાજ્ય અને કેન્દ્ર સરકારો, સ્કીલ ડેવલપમેન્ટ એટલે કે, ઉદ્યોગો માટે ઉપયોગી થાય એવા કુશળ સ્નાતકો તૈયાર કરવાની પ્રતિબદ્ધતા બતાવી રહ્યા છે. કૌશલ્ય વિકાસ કરવો હશે તો પણ, અત્યારના શિક્ષણ-પછી એ પ્રાથમિક, માધ્યમિક કે ઉચ્ચત્તર હોય, હાલના જેવા જ શિક્ષિતો પેદા કરશે તો એને કૌશલ્યભર્યા કેવી રીતે બનાવી શકાશે?

ભારતમાં 24 કરોડ બાળકોએ શાળાપ્રવેશ મેળવ્યો હોય તો એની રાષ્ટ્રની સાક્ષરતા વધારવામાં ઓછા વધતો લાભ મળશે. એ ખરું! પણ, સવાલોનો સવાલ એ હશે કે, મોટા ભાગનું શિક્ષણ નળબું હશે. શાળાઓ અસંખ્ય હશે, ઉચ્ચ સ્તરના શિક્ષણનો વ્યાપ વધ્યો હશે પણ કોલેજના શિક્ષણનું સ્તર કથળેલું હશે. માધ્યમિકમાંથી ઉચ્ચત્તર શિક્ષણમાં જનાર વિદ્યાર્થીઓનું 2004ની સાલનું 11 ટકા પ્રમાણ 2011માં 23 ટકા પહોંચ્યું હતું. 2015માં, ભારતમાં અંદાજે 35,000 કોલેજો અને 700 યુનિવર્સિટીઓ હોવાનો અંદાજ છે. હજુ વધુ યુનિવર્સિટીઓ ખૂલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઘણી નવી મેનેજમેન્ટ અને ટેકનોલોજીની સંસ્થાઓ સ્થાપવાની ગૌરવભેર જાહેરાતો કરી છે. બીજી નવી 60 યુનિવર્સિટીઓ તેમ જ ઈજનેરી અને મેડિકલ કોલેજો ખોલવા માગે છે. પણ, આમાંથી મોટા ભાગની ખાનગી ક્ષેત્રમાં થનાર છે. ખાનગી ક્ષેત્ર, ઉચ્ચત્તર શિક્ષણના 60 ટકા વિદ્યાર્થીઓને આજે પણ શિક્ષણ પૂરું પાડે છે. અહીં, સવાલ શિક્ષણના સ્તરનો છે. ભારતમાં બહુ જૂજ કોલેજો, શિક્ષણના સ્તરની ચિંતા સેવે છે. આવી સ્થિતિમાં સંશોધનની તો વાત શું કરવી?  

આ બધાનું પરિણામ કેવું આવે છે? ઉદ્યોગો કુશળ સ્નાતકોની ભરતી માટે ફાંફા મારે છે તો બીજી તરફ ત્રીજા ભાગના આ સ્નાતકો બેરોજગાર ફરે છે. કેટલાક તજ્જ્ઞોનું આ સ્નાતકોના સ્તર અને શક્તિના પરિક્ષણ પછી એવું તારણ છે કે, યુનિવર્સિટીઓ યોગ્ય રીતે પરીક્ષા લે તો 70 ટકા સ્નાતકો નાપાસ થાય. તજ્જ્ઞો બીજું એવું તારણ કાઢે છે કે, ભારતમાં વર્ષે સાત લાખ ઈજનેરો બહાર પડે છે. એમાં માત્ર 30 ટકા જ નોકરીને પાત્ર છે. કમ્પ્યૂટર એન્જિનિયરિંગના સ્નાતકમાં માત્ર 15 ટકાની ભાષા અને સોફ્ટ કોશલ્ય સંતોષજનક હોય છે.

ગુજરાત જેવા ‘મોડલ’ રાજ્યમાં મુખ્યપ્રધાન તરીકે મોદી સાહેબે સરકારી યુનિવર્સિટીની સંખ્યા બાર કરી નાંખી પણ, આમાંથી છમાં કુલપતિ નથી. 11માં રજિસ્ટ્રાર કે લાઈબ્રેરિયન નથી. ગુજરાતની સરકારી ડિગ્રી, ડિપ્લોમા, ઈજનેરી કોલેજોમાં 89 ટકા સ્ટાફ ઓછો છે. 16 સરકારી કોલેજોમાં આચાર્ય, પ્રાધ્યાપક, કમ્પ્યૂટર પ્રોગ્રામર, લેબ આસિસ્ટન્ટ અને હિસાબી અધિકારીની એક હજારથી વધુ જગા ખાલી છે. સરકાર આની ભરતીની મંજૂરી આપતી નથી. બેંકની લોન લઈને, દેવું કરીને કે પેટે પાટા બાંધી મા-બાપો સંતાનોને ભણાવે છે. એનો બદલો સરકાર પોતે જ આપતી ન હોય તો પછી સેલ્ફ ફાયનાન્સ સંસ્થાઓ શું ન કરે? જ્યાં સરકારી અને તે પણ ઈજનેરી કોલેજોમાં અડધી કોલેજોમાં આચાર્ય, જ્યાં જરૂરી 280 પ્રાધ્યાપકોમાંથી માત્ર 27 પ્રાધ્યાપકો જ નિમ્યા હોય એ તંત્ર, કૌશલ્ય વિકાસની મોટી વાતો કરે એનો અર્થ ખરો! ટૂંકમાં, ગુજરાતના લોકમતે ગુજરાતનાં સંતાનોના ભાવિ માટે ગંભીર વિચાર કરવાની અને અવાજ ઉઠાવવાની જરૂર છે. આમ નહીં થાય તો 2015માં પાંચ વરસની ઉંમરે પ્રાથમિક શિક્ષણ માટે પ્રવેશ મેળવનાર બાળકનું 2028માં ભાવિ અંધકારમય હશે.

સૌજન્ય : “દિવ્ય ભાસ્કર”, 19 ફેબ્રુઆરી 2015

Loading

— અને શિક્ષણ

ભરત મહેતા|Opinion - Opinion|18 February 2015

જે વીરલાઓને આજે મોકળું મેદાન મળ્યું તે વીરલાઓને એન.ડી.એ. કાળમાં જરાક જેટલો સમય મળેલો ત્યારે એ વીરલાઓ શિક્ષણમાં અંબાણી-બિરલાને લઈ આવેલા. ઉચ્ચ શિક્ષણ માટે જે સમિતિ એમણે સ્થાપેલી એનું નામ ‘અંબાણી-બિરલા સમિતિ’ હતી. આ સમિતિએ જે દસ્તાવેજ તૈયાર કર્યો એનું નામ ‘અંબાણી-બિરલા રિપોર્ટ’, જે મહત્ત્વનો ઐતિહાસિક દસ્તાવેજ છે. આ વીરલાઓના, પુત્રનાં લક્ષણ પારણામાં એમ આ રિપોર્ટમાં રંગેચંગે સ્વીકારાયું કે ‘શિક્ષણ મૂડીરોકાણનું ઉત્તમ ક્ષેત્ર છે.’ આ સમિતિની ભલામણ હતી કે ઉચ્ચ શિક્ષણના સમગ્ર ક્ષેત્રનું ખાનગીકરણ કરી દેવું જોઈએ ! આ સમિતિની રચના જ બતાવે છે કે શિક્ષણ પર ‘બજાર’નું કેવું અને કેટલું પ્રભુત્વ હશે. જ્યારે એન.ડી.એ.  કાળ હતો, ત્યારે તો બત્રાનાં પતરાં ખખડતાં નહોતાં હવે તો બત્રાજીનો વેદ વદે છે અને શ્રુતિ તો એવી છે કે સ્મૃિત (ઈરાની) શાખ નહીં, શાખાની શાખાઓ શાળાઓ રૂપે જ આપશે ! વિવિધ ભારતી પાસેથી નહીં પણ ‘વિદ્યાભારતી’ પાસેથી મેળવેલું ‘જ્ઞાન’ વહેંચવામાં આવશે. કૉંગ્રેસે શિક્ષણને ખાડે નાખેલું છે. હવે શિક્ષણમાં અખાડાયુદ્ધ જ શરૂ થવાનું છે જેના અણસાર વર્તાય છે.

શું આ વીરલાઓ પાસે આશા રાખી શકાશે કે શિક્ષણમાં અચ્છે દિન આયેંગે ? વૈશ્વિકીકરણના માહોલમાં શિક્ષણનાં (કુ)લક્ષણો આ રીતે પ્રગટ થતાં રહ્યાં છે : ઉચ્ચ-મૂલ્યબોધવાળા મનુષ્યનું નિર્માણ કરવાની પ્રક્રિયા સમા શિક્ષણના મૂળભૂત ઉદ્દેશોને નગણ્ય લેખવામાં આવે છે. સામાજિક પરિપ્રેક્ષ્યથી શિક્ષણને કાપી નાંખવામાં આવ્યું છે. ‘બજાર’ની જરૂરત મુજબ શિક્ષણનું નિર્ધારણ કરવાનું છે. રાજ્યનો હસ્તક્ષેપ હરપળે રાખવાનો છે. કૉમન યુનિવર્સિટી ઍક્ટ ગુજરાતમાં લાવવાની બબ્બે વાર નાકામ કોશિશ કરનારા આ વીરલાઓ જ હતા જ્યાં શિક્ષણની સ્વાયત્તતાનો ખાતમો બોલાવવાની પેરવી હતી – જે ઍક્ટ મહેનતપૂર્વક ‘સંતાડી’ રાખવામાં આવેલો. પ્રજાસમક્ષ રજૂ જ નહોતો કરાયો. ભૂતકાળની ઘટના એટલે દોહરાવું છું, આ વીરલાઓની વૃત્તિનો ખ્યાલ આવે. અંબાણી-બિરલાએ શિક્ષણની કબરનો છેલ્લો ખિલ્લો એમ કહીને ઠોક્યો કે ખાનગી યુનિવર્સિટી નીલ પાસ ! જાવ ઉદ્યોગપતિઓ લહેર કરો. નદી-નાળાં-સમંદર-રોડ-પર્વત તો તમને આપ્યાં જ હતાં તો તમારા યજ્ઞમાં વધુ એક આહુતિ. શિક્ષણની પણ હાટડીઓ માંડો. ટૂંકમાં, શિક્ષણ એક પણ્યપ્રવૃત્તિ (comodity) બની ગયું છે. શિક્ષણનું આ વેપારીકરણ (comodification) એ વૈશ્વિકીકરણનો શિક્ષણ પર પડેલો પ્રભાવ છે. એ લોકો સ્પષ્ટ માને છે કે શિક્ષણ જ્યારે એક લે-વેચની સામગ્રી બની ગઈ છે ત્યારે એમાંથી નફાની મલાઈ ખાવાની શરમ શી ? છાશ લેવા જવું ને દોણી સંતાડવી ? તેથી આઝાદ ભારતમાં ચોમેર અધધધ કહી શકાય, એવી શિક્ષણની હાટડીઓ મંડાઈ ગઈ છે. રિલાયન્સ કે નિરમા – ગાંધીજી, ભગતસિંહ, જગદીશચંદ્ર બોઝ, વિક્રમ સારાભાઈ કે પ્રેમચંદજી પેદા કરવા માટે શિક્ષણનું કારખાનું થોડું ખોલે ? એને તો જોઈતો હોય છે થોકડાબંધ રોકડો નફો. છાશવારે સંસ્કૃિતની વાતો કરનારાની, સંસદને વંદન કરનારની અસલી સંસ્કૃિત આ છે. સરસ્વતી(જ્ઞાન)ને બજારુ બનાવી દેવાઈ છે. આ દુઃશાસનકર્તાઓ સરસ્વતીનું ચીરહરણ કરી રહ્યાં છે ત્યારે આખી સભા ચૂપ છે ! લેખકો, પત્રકારો, કળાકારો, સમૂહમાધ્યમોને આ વસ્ત્રાહરણ દેખાતું નથી ?

શિક્ષણમાં ઉદ્યોગોની વધુમાં વધુ ભાગીદારી કોણીએ એવો ગોળ લગાડીને આપવામાં આવી રહી છે કે આ ઉદ્યોગો રોજગારી પૂરી પાડનારા છે. જો આવું જ હોત તો કરોડો શિક્ષિત બેરોજગારોને એમને ત્યાં બોલાવતા કોણ અટકાવે છે ? ખાનગી સંસ્થાઓમાં કૅમ્પસડ્રાઇવ નાટક ચાલે જ છે. જેમાં કૅમ્પસ પરથી ભરતી થાય, એની ટકાવારી સંસ્થા હરખાતી-હરખાતી બતાવે … પછી એક-બે વર્ષમાં જ પેલાઓને છુટ્ટા કરાય. ખાનગી સંસ્થા અને ઉદ્યોગમાલિકોનું આ ષડ્યંત્ર હવે તો જગજાહેર છે. ઉદ્યોગોને તો જેવો અને જેટલો કુશળ (skilled) મજૂર જોઈએ છે, તેવો અને તેટલો જ શિક્ષણ પામેલો જોઈએ છે. વધુ જ્ઞાનવાનનો એને ખપ નથી. આમ, વૈશ્વિકીકરણમાં શિક્ષણનો ઢાંચો ઉદ્યોગકેન્દ્રી બની રહ્યો છે, જે એકાંગી વિકલાંગ સમાજ સર્જશે. લાખો ગૃહિણીઓ, ખેડૂતો, વંચિતો એમને, એવા કરોડોને કોણ શિક્ષણ આપશે ? કલ્યાણરાજ્યના સેવાકીય ક્ષેત્રને આ રીતે નફાકેન્દ્રી ઉદ્યોગોના હવાલે કરી દેવાયું છે. કોઈ પણ પક્ષના દરેક બજેટમાં ઉદ્યોગના સરેરાશ ૪૫થી ૬૫ હજાર કરોડનું દેવું માફ કરાય છે, જ્યારે બીજી તરફ આટ્ર્સ-કૉમર્સમાં પણ પૅમેન્ટ સીટ છે !

વૈશ્વિકીકરણના કારણે શિક્ષણ પર પડેલી એક વધુ અસર છે – ઊંચી ફી, ખાનગી સંસ્થાઓએ રોકાણ મુજબ ફી લેવાની ? ના, ઊભા રહો. ઊંચી ફીમાં રાજ્ય કહેશે તેવી ‘સમાનતા’ (!) રાખવાની ! ફી- નિર્ધારણમાં આ રીતે વપરાયેલો ‘સમાનતા’ શબ્દ પણ ‘વિકાસ’ શબ્દની જેમ પોતાની ગરિમા ખોઈ બેઠો. ‘સમાનતા’ શબ્દની આ દશા થશે, એની તો કોઈને કલ્પના પણ નહીં હોય. વંચિત છે એમને તો વંચિતો જ રહેવાનું છે. શિક્ષણથી પણ આઝાદી પછી કોઈને કોઈ સ્વરૂપે આ પ્રશ્નો હતા. પરંતુ ’૯૦ના વૈશ્વિકીકરણના વેગીલા પ્રવાહ પછી નર્યા સપાટી ઉપર આવી ચૂક્યા છે.

વૈશ્વિકીકરણમાં શિક્ષણની બીજી એક સ્થિતિ એ થઈ છે કે અહીં આલોચનાત્મક ચિંતન ક્રિટિકલ થિન્કિંગને જરા ય સ્થાન નથી. ચિત્રોથી પ્રશ્ન પૂછશો તો સરકાર ધમકાવે તે પહેલા મોરલ પોલીસ તૂટી પડશે. ફિલ્મથી પ્રશ્નો નહીં પૂછવાના. બત્રા બોલે તે સત્ય ! ‘પરઝાનિયા’ ફિલ્મ નહીં બતાવવા દઈએ, પી.કે.માં તોડફોડ કરીશું. ભલે ચોમેર બ્લુ ફિલ્મો વેચાય કે સંસદમાં જ જોતાં સાંસદો પકડાય !

ચિંતનશીલ વ્યક્તિની વૈશ્વિકીકરણમાં જરૂર નથી. ચિંતનશીલ વ્યક્તિ ખતરનાક હોય છે. આવી વ્યક્તિઓ એમના જુઠ્ઠાણાંસભર પ્રચારનો પર્દાફાશ કરે છે. રાજ્યને કરોડરજ્જુ વગરનું, ગુલામી માનસવાળું સંપૂર્ણ વફાદાર સૈન્ય જોઈએ છે. તાર્કિક ચિંતનને હવે સ્થાન નથી. તેથી ઇતિહાસ, રાજનીતિ, તત્ત્વજ્ઞાન, સાહિત્ય, સમાજશાસ્ત્ર હવે ભણવાની જરૂર નથી. વિજ્ઞાનમાં પણ કેવળ એપ્લાઈડ સાયન્સ જ ભણવાનું. થિયરી વગર ચાલશે ! હવે આ બધું ભણાવવાની જરૂર નથી અથવા એમાંથી ‘બજાર’ને ખપમાં આવે તેવું જ ભણવાનું. શિક્ષણનો માપદંડ છે એ ‘બજાર’માં કેટલો નફો રળી આપશે ! એને કમ્પ્યૂટર બરાબર આવડતું હશે પણ એનું માનસ વૈજ્ઞાનિક નહીં હોય. આવો ‘રૉબોટ સમાજ’ એમને સર્જવો છે.

વર્ચસ્વ ધરાવતા સ્થાપિત વર્ગે એમના નિજી સ્વાર્થ માટે જ્ઞાનના સ્વરૂપ સાથે આ રીતે ચેડાં કર્યાં છે. એ વિકૃત (ડિસ્ટોર્ટેડ) જ્ઞાનને ફેલાવે છે. બત્રા જેવા અનધિકૃત, અવૈજ્ઞાનિકને જાણીબૂઝીને પ્રોત્સાહન આપે છે. પછી આ દેશમાં વૈજ્ઞાનિકો, ઇજનેરો, નેતાઓ સાગમટે ગણેશને દૂધ પિવડાવે નહીં તો નવાઈ ! હમણાં વડાપ્રધાને હોદ્દા મુજબ, નાનો માણસ નાનું ગપ્પું મારે, મોટો મોટું ફટકારે, તેમ ફટકાર્યું. ગણેશના શિરચ્છેદ પછી હાથીનું મસ્તક લગાવાયું છે. (પુરાણકથામાં) તેથી ભારતમાં સર્જરીવિદ્યા હતી ! પંડિત નેહરુથી શરૂ થયેલ વડા પ્રધાન પરંપરામાં આપણે ક્યાં પહોંચ્યા એનો આ એક અંદાજ છે. મધ્યપ્રદેશમાં ત્રણ દાયકાથી ચાલતો ‘ઔરંગાબાદ વિજ્ઞાનશિક્ષણ કાર્યક્રમ’ હમણાં બંધ કરી દેવાયો, બીજી તરફ બત્રાજીનાં પુસ્તકોની શ્રેણી ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળે છાપી. નરેન્દ્ર મોદી, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા જેવા રાજકર્તાઓએ પ્રસ્તાવના લખી. આ આખું મિશન એક માનસિકતા – માઇન્ડસેટ – ઘડવા માટે છે. આ ઘટના પણ વૈશ્વિકીકરણથી, એના એજન્ડાથી પર નથી. જેમ સંસ્થાનવાદ વખતે પુનરુત્થાનવાદી ચેતનાને બળ દેવાતું, શાસન એને પ્રોત્સાહન આપતું, તેવું જ આ છે. વાલીને યજમાન ગણાવી શાળામાં યજ્ઞ કરાવો. વેંડી ડોનિગર કે એ.કે. રામાનુજનનાં પુસ્તકો સામે પ્રતિબંધ લાવનાર તરીકે બત્રાજી વિખ્યાત છે. આર.એસ.એસ. સંચાલિત ‘અખિલ ભારતીય વિદ્યા સંસ્થાન’ના મહાસચિવ હતા. તેમનાં પુસ્તકો ગુજરાતની ચાલીસહજાર શાળાઓમાં મફત વિતરિત કરાયાં. હજાર જગ્યાએ ‘પૈસા નથી’ની રાડો પાડનાર શિક્ષણતંત્રને આ માટે એકાએક પૈસા મળી ગયા ! એક જ વ્યક્તિને આટલું સ્થાન ? આ લોકશાહી રાષ્ટ્ર કે હિન્દુ રાષ્ટ્ર ? એ ગ્રંથોમાં જુઠ્ઠાણાંઓ ધમધોકાર છે. સ્ટેમસેલ રિસર્ચ મહાભારતકાળમાં હતું, સંજયના કારણે કહી શકાય કે ટેલિવિઝન હતું, પુષ્પક વિમાનની કંપની હતી, અનશ્વરથ હતા, તેથી મોટરકાર પણ હતી. એ પુસ્તકમાં અખંડ ભારત દર્શાવાયું છે – ભારત, પાકિસ્તાન, અફઘાનિસ્તાન, નેપાળ, ભૂતાન, તિબેટ, બાંગ્લાદેશ, શ્રીલંકા, મ્યાનમાર ! વૈદિક ગણિત જ સાચું ગણિત છે. નવી પેઢીને, કૂમળા છોડને આ રીતે વાળી નાખવાના. કૂવામાંનાં દેડકાં બનાવવાનાં. આમ, કૉંગ્રેસે કરેલ શિક્ષણના વેપારીકરણમાં ભા.જ.પ. ભગવા રંગનું વેપારીકરણ અથવા તો ભગવાકરણનો વેપાર શિક્ષણ દ્વારા ઉમેરવા માંગે છે.

વૈિશ્વક બજારના અન્ય ઘટકો – સેટેલાઇટ, ડિજિટલ ટેક્નોલૉજી, કમ્પ્યૂટર્સ વગેરેની શિક્ષણમાં બોલબાલા વધી છે. તેથી સમાજમાં અત્યંત આધુનિકથી માંડી અત્યંત સામાન્ય શાળાઓનો ભેદ સર્જાયો છે. જેની પાસે જેવા પૈસા તેમાં જાવ. વડોદરામાં એક તરફ મોંઘીદાટ નવરચના શિક્ષણસંસ્થા છે, તો બીજી તરફ કડકબજારમાં પ્રતાપ હાઈસ્કૂલ પણ છે. શિક્ષણમાં વર્ગભેદ સર્જાયો છે. અતિ આધુનિક સુવિધાગ્રસ્ત શાળાઓ સામાજિક દરજ્જાની સૂચક બની છે. વૈશ્વિકીકરણે આમ શિક્ષણને પણ્યપ્રવૃત્તિ અને ક્રયવસ્તુ બનાવ્યા પછી એમાં ‘બ્રાન્ડ નેમ્સ’ ઊભાં કરે છે. આ આખી રીતભાતમાં વૈશ્વિકીકરણની વિજ્ઞાપનકળાનો ય ફાળો છે. છેવટે બધાંને સમાન ગુણવત્તાવાળું શિક્ષણ પૂરી પાડવાની પોતાની બંધારણીય ફરજમાંથી રાજ્યે પોતાના હાથ ઊંચા કરી નાખ્યા છે.

બીજી તરફ ઑપન યુનિવર્સિટીઓ, રેડિયો-ટીવી દ્વારા શિક્ષણ જેવી ઔપચારિક શિક્ષણપદ્ધતિઓ આમજનતાના શિક્ષણ માટે છે. આમ, શિક્ષણનું ‘નાટક’ ચાલે છે. રાબેતા મુજબની શાળાઓ, યુનિવર્સિટી બંધ કરી દેવાની, જેથી ખાનગી માલિકોને જલસા. એમ.એસ. યુનિવર્સિટીએ તાજેતરમાં જ પાદરામાં આટ્ર્સ ફૅકલ્ટી બંધ કરી. ઉસમાનપુરાનો(અમદાવાદ)ની શાળામાં વહીવટી કચેરી થઈ ગઈ. મીઠાખળી (અમદાવાદ)ની મ્યુિનસિપલ શાળા નંબર વીસનો બનાવ આ દૃષ્ટિએ ઐતિહાસિક છે. ’૯૭માં આ સરકારી શાળાનું પંદર ઓરડાનું તે કાળે કાયદેસર કિંમત સવા પાંચ કરોડનું મકાન, મેદાન સાથે ખાનગી સંસ્થાને અંગ્રેજી શાળા ખોલવા માટે ભાડાપેટે આપવામાં આવ્યું. બીજી ઑક્ટોબરે આ જગ્યાએ ‘મહાત્મા ગાંધી ઇન્ટરનેશનલ ઇંગ્લિશ સ્કૂલ’ શરૂ થઈ ! ત્યારે ત્યાં જુનિયર કે.જી.ની ફી રૂપિયા ૧૮,૦૦૦/- હતી ! મકાનના ભાડા પેટે વાર્ષિક ભાડું ૧૦૧ રૂપિયા ! ૪૦ વર્ષ માટે આ જગા ભાડે અપાઈ ચૂકી છે. A.I.D.S.O.ની લોકલડત ચાલી. સર્વશ્રી દર્શક, યશવંતભાઈ શુક્લ, ચુનીભાઈ વૈદ્ય, પ્રકાશભાઈ શાહ સમેત અનેક અગ્રણીઓએ એમાં ભાગ લીધો. ડૉ. યશપાલે (યુજીસી ચૅરમેને) ટેકો જાહેર કર્યો; પરિણામ શૂન્ય. લોકલડતના કાર્યકરોએ એક વર્ષ સુધી ફૂટપાથ પર વંચિતો માટે શાળા ચલાવી. આજે ગાંધીના નામે એ જગાએ વેપલો ચાલુ છે. ભેદભાવપૂર્ણ સમાંતર શિક્ષણવ્યવસ્થા સરકાર દ્વારા જ ઊભી થઈ રહી છે, તેનું આ ઉદાહરણ છે. દિલ્હી યુનિવર્સિટીમાં ૧૦+૨+૩નું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરીને સ્નાતક કોર્સ ચાર વર્ષનો કરવાના જે ધમપછાડા સરકારે કર્યા, એ પણ આનું જ ઉદાહરણ છે. જેમ જાહેર એકમોને તાળાં વાગે, તો ખાનગી ઉદ્યોગપતિઓને મોકળું મેદાન મળે તે જ નીતિ આ છે. રાબેતા મુજબની શાળા/ કૉલેજો/ યુનિવર્સિટીઓને સરકાર તાળાંબંધી કરી રહી છે, જેથી શિક્ષણ પાછળ સરકારે બજેટ ફાળવવું જ ન પડે.

આઝાદ ભારતના પહેલા શિક્ષણપંચે – બી.જી. ખરે કમિશને શિક્ષણ પાછળ રાષ્ટ્રીય બજેટના ૧૦% વાપરવાનું સૂચન કર્યું હતું. ક્યારે ય આ દેશમાં શિક્ષણ પાછળ ૫% પણ વપરાયા નથી ! વર્ષોનાં વર્ષો સુધી શિક્ષકની ભરતી જ ન થાય. દા.ત., આંકલાવની આટ્ર્સ-કૉમર્સ કૉલેજમાં ૧૯૯૪થી આજ લગી અંગ્રેજીના પ્રાધ્યાપક જ નથી ! સરકારી શાળાઓમાં આવું થાય છે. બિનશૈક્ષણિક કર્મચારીઓની ભરતી થતી નથી. પરિણામ એ આવ્યું છે કે ઝૂંપડપટ્ટીમાં ખાનગીશાળાઓ શરૂ થઈ છે ! મોટી ખાનગી સંસ્થાઓને સરકાર મદદ કરે છે, અને સરકારી શાળાઓને નહીં. જમીન સસ્તા ભાવે, આવકવેરામાંથી મુક્તિ, સી.બી.એસ.ઇ.નું ત્વરિત જોડાણ જેવા લાભો અપાઈ રહ્યા છે.

૮મી સપ્ટેમ્બર, ૨૦૦૪ના રોજ (આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ) ‘હિન્દુસ્તાન ટાઇમ્સ’માં આવેલા સમાચાર આ સંદર્ભે જોવા મળે છે.

‘Directorate of Education (Delhi) has decided to close down 35 Government Schools … This is in addition to the 55 schools already closed.’ ફાટફાટ થતાં શહેરમાં આવી અવળીગંગા કેમ ? આ ગંગાનું શુદ્ધિકરણ ન કરાય ? પછીથી આ શાળાનાં મકાનોમાં કાં તો શૉપિંગ સેન્ટર્સ બને છે. અથવા તો ખાનગી શાળાઓ.

૧૮૮૨માં ઇન્ડિયન એજ્યુકેશન કમિશનની સામે મહાત્મા જ્યોતિબા ફુલેએ, ૧૯૧૧માં ઇમ્પિરિયલ એસેમ્બ્લીમાં ગોપાલકૃષ્ણ ગોખલેએ કે સંવિધાનસભામાં ડૉ. આંબેડકરે ‘મફત અને ફરજિયાત શિક્ષણ’ની વકીલાત કરી હતી. આઝાદી પછીના નેતાઓ કેટલાં વામણાં છે કે આટલી નાની માંગ પણ એ પૂરી કરી શક્યા નથી.

લેખના અંતે આ મહાનુભાવોને સહેતુક યાદ કર્યા છે. વૈશ્વિકીકરણ એકદમ નવીનક્કોર ઘટના નથી. સામ્રાજ્યવાદના ઉદયથી વિકાસ સુધીની એની ગતિ છે. સંસ્થાનવાદ વખતે સામ્રાજ્યવાદે શિક્ષણ સાથે એવો જ વ્યવહાર કરેલો. આજનું વૈશ્વિકીકરણ સંસ્થાનવાદનું પરિષ્કૃત અને અધિક શક્તિશાળી સ્વરૂપ છે. પોતાના વેચાણ માટે બજાર મેળવવું, કુદરતી સંસાધનો પર પ્રભુત્વ મેળવવું એ એનો આજે ય હેતુ છે. ૧૮મી-૧૯મી સદીના સંસ્થાનવાદ સાથે તેથી એને સરખાવી શકાય. એની સામે ત્યારે ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર, જ્યોતિબા ફુલે, આંબેડકર આ માંગ કરી રહ્યા હતા. આજે આ કોણ કરશે ? આજે તો શિક્ષિતો વૈશ્વિકીકરણના ચળકાટથી અત્યંત પ્રભાવિત છે, અભિભૂત છે. એ વંચિતોની વકીલાત કરશે ? ‘જ્ઞાન’ જે માનવસંસ્કૃિતના વિકાસની ચાવી છે, સામ્રાજ્યવાદીઓના નફા સાથે ટકરાય તો પ્રશ્નો ઊભા થાય, તેથી એ સાચું જ્ઞાન નહીં પણ જ્ઞાનનાં વિકૃત, સીમિત અને અનધિકૃત સ્વરૂપોને જ ખપમાં લે છે. સંસ્થાનવાદે જે સીમિત ‘શિક્ષણવ્યવસ્થા’ પૂરી પાડી હતી, તેમાં ભારતની યુવા પેઢીને સાચા અર્થમાં શિક્ષિત બનાવવાનો હેતુ ન હતો, હકીકતે તો – એમને એમની નોકરશાહીને મજબૂત કરવી હતી. આજે વૈશ્વિકીકરણમાં શિક્ષણ સાથે આ જ વ્યવહાર થઈ રહ્યો છે. સાચું જ્ઞાન તો સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વની માંગણી કરે. એ વૈજ્ઞાનિક, લોકશાહીયુક્ત અને ધર્મનિરપેક્ષ સમાજવ્યવસ્થાની માંગ કરે, જે આજના શિક્ષણના સ્વરૂપમાં દેખાતું નથી. મોટા ભાગની સંસ્થાઓ વૈશ્વિકીકરણના વિરૂપ ચહેરાને માનવીય બતાવવાના દલાલ રૂપે કામ કરે છે. આજે શિક્ષણતંત્રનો આવો ઉપયોગ થઈ રહ્યો છે, તેથી શાળા-કૉલેજોએ પોતાની સર્જનાત્મક ઊર્જા ગુમાવી છે અને માત્ર વિધિ-વિધાનો, કર્મકાંડ ચાલે છે.

શિવે કામદેવને ભસ્મ કરી દીધો હતો. ત્યાર બાદ રતિના વિલાપના કારણે શિવે અંગ વિનાના, અનંગની રચના કરી આપી. અનંગની સામે લડવું કઠિન છે. સંસ્થાનો વખતે સામ્રાજ્યવાદ નજર સામે હતો તેથી એની સામે શિવ જોગમાયા સંગ ધૂણન્તા ઓતરાદી વાયરા ઊઠેલા. પણ એ આજે અનંગ સ્વરૂપે છે. એણે ભારતીયતાનું, સંસ્કૃિતનું કવચ પહેરી લીધું છે, તેથી વૈશ્વિકીકરણથી સજ્જધજ્જ સામ્રાજ્યવાદનો સામનો સંસ્થાનવાદ જેટલો સહેલો નથી. પહેલાં બ્રિટિશરો સામે લડવાનું હતું, હવે તો અર્જુનની જેમ પોતીકા જ સામે છે. વિષાદયોગને ખંખેરીને રણટંકાર કર્યા સિવાય બીજો રસ્તો છે જ નહિ.

સૌજન્ય : “નિરીક્ષક”, 16 ફેબ્રુઆરી 2015, પૃ. 08 – 10

Loading

...102030...3,8903,8913,8923,893...3,9003,9103,920...

Search by

Opinion

  • તમાકુ ને પ્લાસ્ટિક : સઘળું ઇલાસ્ટિક !
  • યુદ્ધોન્માદી માહોલ, વસમા પાડોશી અને સંરક્ષણ બજેટ
  • શું ભારતની પ્રજા આવું કરી કે સહી શકશે?
  • સોશિઅલ મીડિયા એન્ટિ-સોશિઅલ છે…?
  • અમેરિકાના હાલ બેહાલ, હાથનાં કર્યા હૈયે વાગ્યાઃ વૈશ્વિક મહાસત્તાનો આત્મવિશ્વાસ જ આત્મઘાતક બન્યો

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 

Poetry

  • ગઝલ
  • વિધ્વંસ
  • કવિ
  • ગઝલ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved