Opinion Magazine
Number of visits: 9555538
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સ્થાપત્ય અને સંસ્કૃિત : અદ્દભુત સ્વામીનારાયણ મંદિર

કનુ સૂચક|Opinion - Opinion|22 October 2014

અર્ધ વર્તુળાકાર ક્ષેત્રમાં, ઘટ્ટ વૃક્ષોથી ભરપૂર, લીલીછમ પ્રકૃતિની વચ્ચે ન્યુજર્સીના રોબીન્સવિલે ગામના છેવાડે, બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામીનારાયણ સંસ્થા દ્વારા, વિશ્વના સૌથી વિશાળ મંદિરની રચના થઈ રહી છે. ૨૦૦૯માં મંદિરનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું, અને આયોજન મુજબ, ૨૦૧૭-૨૦૨૦માં તે પૂરી રીતે પૂર્ણ થઈ જવાની આયોજકોને અપેક્ષા છે. ઓગસ્ટ ૨૦૧૪માં સંસ્થાના જ્યોતિર્ધર અને પ્રમુખ સંત પ્રમુખસ્વામીના હસ્તે મુખ્ય મંદિરનું ઉદ્દઘાટન થયું. આ પ્રસંગે અનુપમ મંદિર જોવાની ઉત્કંઠા અને સંપ્રદાયના પ્રમુખ પ્રમુખસ્વામીની ઉપસ્થિતિને લીધે સ્વામીનારાયણ સંપ્રદાયના હજારો અનુયાયીઓ અને હિંદુ ભાવકોનો જાણે પારાવાર હેલે ચઢ્યો.

નિરાંતે મંદિર જોઈ શકાય તે માટે ૧૧.૦૯.૨૦૧૪ના દિવસે અમે આ ૧૬૨ એકરના વિશાળ પરિસરમાં પ્રવેશ કર્યો, ત્યારે તેના પ્રવેશદ્વારથી જ ઉત્તમ વ્યવસ્થાના દર્શન થયાં. પાનખરનાં પગરણ પડી ચૂક્યાં છે. પરિસરને ઘેરતાં લીલાછમ વૃક્ષોની વચ્ચે પીળચટ્ટા પર્ણો પહેરી ઊભેલાં વૃક્ષો પર, સૂર્યના કોકરવર્ણ કિરણો નયનરમ્ય રંગોળી રચતાં હતાં. મુખ્ય મંદિરના પ્રવેશદ્વારની સામે મનુષ્ય રચિત નાનકડાં સરોવરમાં કૃત્રિમ કમલદલમાં નાનકડી દેવડી અને તેની બન્ને બાજુએ અભિષેક કરતાં ફુવારાઓ મન પ્રસન્ન કરી દે છે. હજુ નિર્માણનું કામ ચાલુ જ છે. માણસો ઠેર ઠેર કામ કરતાં દેખાય છે. ભારતથી આવેલાં કારીગરો સાથે સેવા આપતાં સ્વયંસેવકો સર્વત્ર દેખાય છે. આધુનિક મશીનોની હારો પણ દેખાય છે.

મંદિરમાં પ્રવેશ સમયે કર્ણને ગમે તેવાં મંજુલ સ્વર કોઈ ખૂણેથી વહેતાં હતાં. થયું કે આયોજકોએ તેવી વ્યવસ્થા ગોઠવી હશે. સ્થિર ઊભાં રહી શબ્દો પકડવા કોશિષ કરી. ‘મારી નાડ તમારે હાથ હરિ! સંભાળજો રે, મુજને પોતાનો જાણીને પ્રભુપદ આપજો રે.’ હાથમાં હથિયાર સાથે આરસ કંડારતા કારીગરના ગળામાંથી એ સૂરો આવતાં હતાં. શબ્દો કદાચ જુદા હશે પણ ભાવ સમર્પણનો જ સૂરમાં વહેતો હતો. સમર્પણમાં સોંપી દેવાની નીડરતા છે અને તેમાંથી નિષ્પન્ન શ્રદ્ધા શ્રદ્ધાળુઓ માટે સંકટ સમયની સાંકળ છે. આ મંદિરો એટલે શ્રદ્ધાસ્થાનકો. અને આ શ્રદ્ધાસ્થાનકો આપણી સંસ્કૃિતને સાચવતા સેતુઓ છે.

આ જ સંસ્થા દ્વારા સ્થાપિત દિલ્હી અને ગાંધીનગરનાં અક્ષરધામ મંદિરો જોયાં છે. યુ.કે. લંડનમાં નીસડન ગામનું મંદિર પણ જોયું છે. સ્થાપત્યોની દૃષ્ટિએ તે બધાં જ ઉત્તમ સ્થાપત્યો છે. વાસ્તુશાસ્ત્રના નિયમો અનુસાર તેમની રચના થઈ છે. નીસડન મંદિરમાં પણ ઇટાલી વગેરે દેશોમાંથી આરસની નિકાસ ભારતમાં કરી અને તેમાં ગુજરાત-રાજસ્થાનના શ્રેષ્ઠ સલાટો પાસે મૂર્તિવિધાન તેમ જ અન્ય કોતરણી કરાવી તે સામગ્રી લંડન મોકલવામાં આવી. નકશાઓ મુજબ મંદિર રચના માટે જરૂરી ગોઠવણી માટે દરેક શિલ્પને અનુક્રમના આંકડાઓ આપવામાં આવેલાં. આ મંદિરોના સ્થળના વાતાવરણને પણ ગણતરીમાં લેવામાં આવ્યાં છે અને તે મુજબ શિલ્પોની સામગ્રીની કસોટી કરવામાં આવી છે. નીસડન મંદિરમાં થયેલ યોગ્ય પ્રકારના, ઋતુઓને અનુરૂપ લાકડા અને તેની કોતરણી વગેરેમાં યોગ્ય કારીગરોના ઉપયોગને લીધે સંપૂર્ણ મંદિર સંસ્કૃિતની ઓળખ બની ગયું છે. સ્તંભોની રચના માટે મૂકેલાં શિલ્પો તેની કોતરણીના કસબથી મનોહારી છે. વિશેષતા એ છે કે એ શિલ્પોની રચના એટલી કાળજીપૂર્વક થઈ છે કે તેને એક ઉપર એક ગોઠવતાં વચ્ચે સાંધામાં જવલ્લે જ સિમેન્ટનું પુરાણ કરવું પડ્યું છે.   

ભારતના પુરાતત્વ વિભાગ દ્વારા વૈજ્ઞાનિક પદ્ધતિથી થયેલા સર્વેક્ષણ મુજબ આપણા જૂનામાં જૂનાં મંદિર-સ્થાપત્યોની આયુ વધુમાં વધુ ૨૦૦૦ વર્ષની છે. આધાર વિહિન લોકવાયકાઓમાં ઘણી વખત અતિશયોક્તિ થતી રહી છે અને અમુક મંદિરોની આયુ વધુ હોવાની હોડ થતી હોય છે. સ્થાપત્યોના વિકાસક્રમમાં મધ્યકાલીન યુગ, ભારત સહિત, સમગ્ર વિશ્વમાં સુવર્ણયુગ ગણી શકાય. આ સમયમાં નવી રચનારીતિ અને તેમાં ઉન્મેષ જોવા મળે છે. આ મંદિરમાં એ સુવર્ણકાળ અને પછીના સમયના ઉન્મેષનો પણ સમન્વય દેખાય છે. પ્રાકૃતિક તત્ત્વો અને માનવીય અભિગમ બન્નેનો સુમેળ તે શિલ્પશાસ્ત્રો. અગ્નિ, જળ, વાયુ, ભૂમિ અને આકાશ તે પાંચ પ્રાકૃતિક તત્ત્વો સ્થાપત્યો-બાંધકામ માટે મહત્ત્વના અને આધારરૂપ તત્ત્વો છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ તે જીવનઘડતરનાં આધાર તત્ત્વો છે અને મંદિર સ્થાપત્યોની રચના માટેના તે મૂલાધાર તત્ત્વો છે. વાસ્તુિવદ્યા માટે જેને એક પ્રમાણગ્રંથ ગણવામાં આવે છે તે પ્રાચીનગ્રંથ ‘માનસાર’ની વ્યાખ્યા મુજબ “જ્યાં દેવ, મનુષ્ય, પશુ અને પંખી વસે છે તે સંબંધિત શાસ્ત્ર તે વાસ્તુશાસ્ત્ર.” આ શાસ્ત્રો અંગે વિસ્તૃત ચર્ચા અહીં અપ્રસ્તુત છે, પરંતુ તેમાં વપરાતાં થોડાં શબ્દો જોઈએ.

વાસ્તુ : ઘર, જમીન, વસવાટ માટે આ શબ્દનો પ્રયોગ થાય છે. પ્રચલિત રીતે આપણે ગૃહપ્રવેશ કે ઘરના પાયા નાખવા માટેની પ્રક્રિયા માટે આ શબ્દ વાપરીએ છીએ.

સ્થપિત : એટલે કે જે સ્થાયી છે તે –જમીન, જગ્યા, ઘર, મકાન, સ્થળ, બાંધકામ વગેરે માટે વપરાય છે.

સ્થાપત્ય : રચના, કૌશલ, યોજના પુર:સર બાંધકામ, કસબ, કારીગીરી, નિર્માણ વગેરે માટે વપરાય છે.   

સ્થપતિ :  મુખ્ય વડો, મુખ્ય કારીગર, નિર્માણ નિયામક વગેરે અને પ્રચલિત રૂપે આપણે અંગ્રેજી શબ્દ ‘આર્કિટેક્ટ’નો પ્રયોગ કરીએ છીએ. 

શિલ્પ :  ઘાટ, આકાર વગેરે. આ શબ્દ પથ્થર, માટી કે ધાતુઓમાં ઘાટ કે કોતરણી કરવામાં આવે તે સઘળાને શિલ્પ  કહેવામાં આવે છે.

સ્થાપત્ય સમજવા કર્મ, પ્રજ્ઞા, શીલ અને શૈલીની સંયુક્ત પ્રક્રિયા જાણવી જોઈએ. આમ કરવાથી સ્થાપત્યનું યોગ્ય મૂલ્યાંકન શક્ય બને.

સ્થાપત્ય નિર્માણની પ્રક્રિયામાં સ્થપતિ અને તેની સાથે કામ કરનારનું વિશેષ મહત્ત્વ છે. તે વાસ્તુકલાનો મુખ્ય પુરુષ અથવા સ્થાનાધિપતિ ગણાય છે. જે વેદવિદ્દ્, શાસ્ત્રપારંગત અને વાસ્તુક્લાનો જાણકાર હોવો જોઈએ. અન્ય મહત્ત્વના ત્રણ શિલ્પીઓ સ્થપતિની આજ્ઞા અને માર્ગદર્શન મુજબ કાર્ય કરે છે. ૧.  સૂત્રજ્ઞ અથવા સૂત્રગ્રાહી : જે  વાસ્તુિવદ્યાનો સંપૂર્ણ જાણકાર તેમ જ રેખાજ્ઞ-નકશા દોરી જાણનાર હોવો જોઈએ. ૨. વર્ધકી-માનકર્મજ્ઞ : એટલે માપ-પરિમાણનો જાણકાર, વિવેકમતિ-એટલે કે સારાસારનો વિચાર કરી નિર્ણય લે અને ચિત્રકર્મજ્ઞ-ચિત્રકલાનો જાણકાર હોવો જોઈએ; અને ૩. તક્ષક :  આ કારીગર-સલાટ-સુથારનો વિભાગ સંભાળે છે. તે પણ શિલ્પ અને તેને લગતા શાસ્ત્રોમાં નિપુણ હોવો જોઈએ.

ન્યુજર્સીના મંદિર નિર્માણમાં પુરાતન અને આધુનિક શિલ્પશાસ્ત્રનો સમન્વય થયો છે. આ નિર્માણ માટે જે લોકોએ કામ કર્યું છે તેઓનાં નામ અને કામના ક્ષેત્ર અંગે માહિતી પૂછતાં જાણવા મળ્યું કે બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામીનારાયણ સંસ્થામાં વિજ્ઞાનથી માંડી કલાના ક્ષેત્રમાં જાણકારી ધરાવતાં અને તેમાં નિષ્ણાત અનુયાયીઓની જાણે કે એક સેના છે. સંસ્થાની સેવા માટે તત્પર આ સેવકસેનાની નિષ્ઠા અદ્દભુત છે. અહીં રોબીન્સવિલે સ્વામીનારાયણ મંદિરના બાંધકામ અને શિલ્પનિર્માણ કાર્ય માટે આવાં વિવિધ ક્ષેત્રના નિષ્ણાતોએ સેવા આપી છે. લંડન-નીસડનમાં આજ સંસ્થાના મંદિર માટે અનેક પેઢીઓથી મંદિર નિર્માણના કાર્યમાં વ્યસ્ત સોમપુરા પરિવારના એક સ્થપતિ ચંદ્રકાંત સોમપુરાએ સેવા આપેલી.

અમેરિકાના સતત પરિવર્તિત હવામાનને લક્ષ્યમાં રાખી રોબીન્સવિલેના મુખ્ય મંદિરને ચારે તરફથી અને શિખરની ઉપરથી ઈંટ-સિમેન્ટની ઊંચી દિવાલો અને છતથી રક્ષિત કરવામાં આવ્યું છે જેથી કોઈ પણ પ્રકારના હવામાનની અસર અંદરના મંદિર પર પડે નહીં. નિર્માણકર્તાઓનો દાવો છે કે આનાથી આવતાં હજાર વર્ષથી વધુ આ મંદિર અખંડિત ટકી રહેશે. મુખ્ય મંદિરની બહારની દિવાલ અને તેને રક્ષણ આપતી દિવાલો વચ્ચે પ્રદક્ષિણા પથની રચના થયેલી છે. બહારની દિવાલોની બહારના ભાગને પણ રક્ષણ મળે અને સાથે સાથે સુંદર દર્શન મળે તે માટે નવગ્રહ દેવડીઓની રચના કરી છે. સાથે સાથે ઉપયોગ અને સુવિધા માટે અન્ય સભાગૃહો, સાંસ્કૃિતક કાર્યો માટેના તેમ જ શૈક્ષણિક પ્રવૃત્તિ માટેના વિશાળ ઓરડાઓ વગેરેની ખૂબ જ વિચારપૂર્વક રચના કરવામાં આવી છે. નિર્માણકર્તાઓ આને માત્ર ધર્મ નહીં પરંતુ ભારતીય સંસ્કૃિતના વાહક સાધન તરીકેની પરિકલ્પના કહે છે તે સાર્થક લાગે.

બહારની સંરક્ષક દિવાલોમાં બનેલું ભવ્ય પ્રવેશદ્વાર, તેમાં સુંદર સ્થાપત્યના નમૂના સમા સ્તંભો, તેમાં કોરેલાં શિલ્પો અને ભવ્ય તોરણ દ્વારા ભાવકોને આવકારે છે અને મુખ્ય મંદિરના વિશાળ સભાગૃહમાં લઈ જાય છે. આ સુંદર સભાગૃહના સૌન્દર્યનું નિરીક્ષણ કરવા ભાવકની આંખો રોકાય તે પહેલાં જ મુખ્ય મંદિરનું અનુપમ પ્રવેશદ્વાર અને તેમાંથી થતું ધવલ સૌન્દર્યથી નીતરતું સ્થાપત્ય દર્શન. ભાવકો અને સ્થાપત્ય દર્શનની ભાવના લઈ આવેલાં દરેક માટે એક અનોખો અનુભવ. મન અને વાણી ઘડીભર માટે વિભોર થઈ જાય. આંખો અજબ બની સ્થિર થઈ જાય. પલકારો મારવાની નાનકડી ક્ષણ પણ અકારી લાગે તેવું આ અદ્દભુત દર્શન. અમાપ માનવશક્તિનું આ ઉત્તમ ઉદાહરણ છે. મંદિરના ગૃહમંડપથી ગર્ભમંડપ સુધીની યાત્રા એટલે આનંદ સમાધિની અનુભૂતિ. મંદિર નિર્માણ માટે વાસ્તુશાસ્ત્રનો આ જ ઉદ્દેશ હતો. ચાર ધર્મો અને પાંચ મહાભૂત તત્ત્વો સાથે જીવનનું અનુસંધાન પામતી પ્રક્રિયા.

આખું મંદિર ઈટાલિયન આરસથી બાંધવામાં આવ્યું છે. આ આરસને ભારતના સલાટો અને કારીગરોએ કોતર્યાં છે. ૧૩૪ ફૂટ લાંબા અને ૮૭ ફૂટ પહોળા મંદિરમાં ૧૦૮ સ્તંભોની રચના કરવામાં આવી છે. ૧૦૦૦ જેટલાં ભાવકો દર્શનનો લાભ લઈ શકે તેવાં વિશાળ સભાગૃહમાં અનુકુળ પ્રકાશ અને વાતાયનની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે. સામે શિખરબંધી ત્રણ ગર્ભગૃહની રચના કરવામાં આવી છે તેમાં ભક્તો ભાવની અનુભૂતિ કરે તેવી અત્યંત સુંદર દેવ પ્રતિમાઓનું પ્રતિષ્ઠાન થયું છે. ભૂતળ(ફ્લોર)માં રંગબેરંગી આરસને નયનરમ્ય ગોઠવણીપૂર્વક જડવામાં આવ્યાં છે. સ્તંભોના કણકણ પર અનેકવિધ પ્રતિમાઓ કોતરવામાં આવી છે. છત (શિલિંગ) અને શિખરો પર થયેલું કોતરકામ આંખોના નેજવે થાક લાગે પરંતુ જોયા જ કરવાનું મન થાય તેવું સુંદર છે. ગુરુપ્રતિમા અને સાત્ત્વિક ભાવના પ્રતીક સમા કમળ અને કમળદળની રચના જોઈ ભારતના કળાકર્મીઓને નમન કરવાનું મન થાય. ગર્ભગૃહની દિવાલો અને પ્રદક્ષિણાપથ પર હાથી અને આપણા રાષ્ટ્રીય પક્ષી મોરના શિલ્પોનું વૈવિધ્ય વર્ણનાતીત છે તે માટે એટલું જ કહી શકાય કે તે તો માત્ર ‘જોવું અને માણવું.’ મંદિરની વિશેષતા જ એ છે કે તે ભવ્ય છે પરંતુ તેમાંથી નીતરતી સાત્ત્વિકતા આંખને ઠારે છે, અજાયબ થવાય છે તે મનને શાંતિપ્રદેશમાં લઈ જાય છે. અહીં ભાવકને ભક્તિનો અને સ્થાપત્ય દર્શને આવેલને નમ્રતાનો અનુભવ થાય છે. માનવને મળેલી શક્તિ અહીં પ્રભુતા પામે છે. આ મંદિરના નિર્માણનું કાર્ય પૂરું થયું નથી. મંદિર નિર્માણ માટે રાજસ્થાન-ગુજરાતના ૨૦૦૦થી વધુ સલાટો અને કારીગરોએ કામ કર્યું છે. ૨૦૨૦ની આજુબાજુ જયારે તે પૂર્ણ થશે ત્યારે કદાચ તે વિશ્વની એક વધુ અજાયબીમાં સ્થાન પામે તેવી શક્યતા વિચારી શકાય.  

આ સંસ્થાના પૂજનીય પ્રમુખસ્વામી મહારાજે ૧૯૪૦થી આ સંસ્થાનો પદભાર સંભાળ્યો છે ત્યારથી આજ સુધીના પોતાના કાર્યકાળ દરમિયાન ૭૧૩થી પણ વધુ મંદિરોના નિર્માણ માટે પ્રેરણા આપી છે. વિશ્વના મોટામાં મોટાં મંદિરો બનાવવાનો અને લોકોને તે અર્પણ કરવાનો કીર્તિમાન-વિક્રમ સ્થાપેલ છે તેની નોંધ ‘ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ‘માં લેવાણી છે. ભૌતિક નિર્માણથી આધિભૌતિક ભાવ તરફની આ ગતિની નોંધ માત્ર ઇતિહાસની આંકણીમાં સમાપ્ત નહીં રહે, પરંતુ તેની દૂરગામી અસર સંપૂર્ણ માનવસમાજના માનસ ઘડતરમાં આવનારી સદીઓ સુધી પ્રસરતી રહેશે અને ભારતીય સંસ્કૃિત ઉત્તમ વારસાનું પ્રતીક બની રહેશે તેવું સંસ્થાનું માનવું છે. અબાલવૃદ્ધ દરેકના વિકાસ માટે આ સંસ્થાની પ્રવૃત્તિઓ માત્ર એક સંપ્રદાયથી વિશેષ માનવીય મૂલ્યોનાં વિકાસનું મહત્ત્વનું કારણ બની રહેશે.  

૩ વિવેક, વિદ્યા વિનય વિવેક સોસાયટી, ૧૮૫ એસ.વી.રોડ, વિલેપાર્લે (પશ્ચિમ) મુંબઈ-૪૦૦ ૦૫૬

e.mail : kanubhai.suchak@gmail.com

Loading

આજ દિવાળી, કાલ દિવાળી

દીપક મહેતા|Opinion - Opinion|21 October 2014

દિવાળીના દીવા પ્રગટ્યા છે. શેરીમાં, ઘેર ઘેર, ગોખલે, ટોડલે, એટલે કે છજાની કે વરન્ડીની કિનારે કોડિયાં ઝગમગે છે. નાના છોકરાઓની ટોળી ઊંચા રાખેલા હાથમાં જ્યોત ટમટમતા મેરાયા લઈને ઘર ઘર ઘૂમવા નીકળે છે. લલકારતી જાય છે :

આજ દિવાળી, કાલ દિવાળી, ગામના છોકરા ખાય સુંવાળી,
મેઘ મે…ઘ રાજા, દિવાળીના બાજરા…તાજા

સવારે કુંભારને ત્યાંથી મેરાયું લાવી, કપાસિયા ભરી, વાટ ગોઠવી, તેલ પૂરીને સૌએ તૈયાર રાખ્યું હોય. દિવાળીની બધી ધામધૂમ, ઝાકઝમાળ ને રીતરસમોની વચ્ચે આ હતો માત્ર નાના છોકરાઓનો પોતાનો જ નાનકડો ઉત્સવ. ધનતેરસ (કે ધણતેરશ)ના બમ્બૂડા ફેરવવામાં તો મોટા છોકરા પણ ભળે. શેરીના દરેક ઘરે મેરાયું પૂરાવવા જવાનું. આશીર્વાદ પણ શરતી આપવાનો :

ઘી પૂરે એને ઘેટ્…ટા, તેલ પૂરે એને ટેટ્…ટા

મેરાયામાં ઘી પૂરનારાને ત્યાં બેટો ને તેલ પૂરનારાને ત્યાં બેટી આવવાનું આ વરદાન!

નવા વરસને – બેસતા વરસને મળસ્કે બોદા માટલાના ઠબઠબાટ ને થાળીના ધણધણાટ પથારીમાં પડ્યા પડ્યા ઉપરાઉપરી સાંભળ્યા કરવાની અમને કેટલી ઉત્સુકતા રહેતી! ઘરનું દળદાર કાઢવાના ને લખમીજીને નોતરવાના લોકવિધિથી નવા વરસના શ્રીગણેશ થતા. એ વિધિ માટે રાખી મૂકેલું ખોખરું હાંડલું કે એવું કોઈ ભંગાર વાસણ વેલણથી ઠપકારતી ગૃહિણીઓ એક પછી એક ઘરમાંથી નીકળે. ટાઢનો ચમકારો, ક્યાંક ટમટમતાં કોડિયાંનો આછો ઉજાસ. શેરીના ચોકમાં જઈને ઠોબરું ફોડે. ઘરે પાછી વળતાં એ ઠમ ઠમ થાળી વગાડતી આવે. જતી વેળા ગણગણતી જાય :

અડઘો ફોડું, દડઘો ફોડું, કુંવારો ઘર છે એને માથે ફોડું.

બિચારો કુંવારો! પરણી ન શક્યો, ને ઘરઘી પણ ન શકે! ને વળતી વેળાએ જપતી આવે :

અળશ જાય, લખમી આવે, અળશ જાય, લખમી આવે.

− હરિવલ્લભ ભાયાણી

(જન્મ : 26 મે 1917 − અવસાન : 25 માર્ચ 2006)

સૌજન્ય : ‘ફ્લેશબેક’, દીપક મહેતા સંપાદિત ‘અક્ષરની આરાધના’, “ગુજરાતમિત્ર”, 20 અૉક્ટોબર 2014

Loading

નવા વિક્રમ વર્ષે, મામલો ભૂખનો નહીં એટલો ભાવઠનો છે

પ્રકાશ ન. શાહ|Samantar Gujarat - Samantar|21 October 2014

બેસતાં અને સંકેલાતાં વિક્રમ વરસોના સંધિદિવસોમાં હરિયાણા અને મહારાષ્ટ્રનાં વિધાનસભા પરિણામોને કઈ રીતે જોશું વારુ ? હરિયાણા અને મહારાષ્ટ્રમાં લોકસભાની ચૂંટણીમાં મળેલા મતોને મુકાબલે ભા.જ.પ.ના મતો ઓછા છે એ જો એક વાસ્તવકથન છે તો તેથી સહેજ પણ ઓછું નહીં એવું વાસ્તવકથન એ પણ છે કે અખિલ હિંદ મુખ્ય પક્ષ બનવા તરફની ભા.જ.પ.ની ગતિ અનિરૂદ્ધ છે, અને ક્યારેક કૉંગ્રેસની હતી એવી પ્રભાવક ઉપસ્થિતિ માટેનો એનો પથ એક અર્થમાં પ્રશસ્ત વરતાય છે. મહારાષ્ટ્રમાં એને ધાર્યું પરિણામ (એટલે કે સુવાંગ પોત્તીકી સાદી બહુમતી) હાંસલ ન હોય તો પણ સૌથી મોટા પક્ષ તરીકેનું એનું ઉભરવું, એ પેલી અખિલ હિંદ અનિરુદ્ધતાના મનોવૈજ્ઞાનિક સમર્થનને બેલાશક દૃઢાવે છે.

આ ઘટનાક્રમમાં કૉંગ્રેસનું ઉત્તરોત્તર સંકોચન જો સ્પષ્ટ દેખાય છે તો એટલું જ સ્પષ્ટ એ પણ દેખાય છે કે ભા.જ.પે .આગેકૂચની આ પ્રક્રિયામાં પોતાના પ્રાદેશિક ભેરુઓ અને ભિલ્લુઓની બાલાશ જાણવાની દરકાર લગભગ છોડી દીધી છે. મહારાષ્ટ્રમાં જેમ ભા.જ.પ.ની તેમ શિવસેનાની બેઠકો પણ વધી છે તે સાચું; પણ રાજકીય પ્રભાવમાં શિવસેનાની સરસાઈ ઓજપાઈ ગઈ છે એ પણ એટલું જ સાચું છે. રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી (એન.સી.પી.)એ ભા.જ.પ.ને અંગે સમર્થનનો ભાવ પ્રગટ કર્યો કે શિવ સેના અને ભા.જ.પ. વિચારધારાકીય જોડકાં હોવા છતાં અલગથલગ જેવાં જણાયાં એનો એક અર્થ એવો પણ થઈ શકે કે આ પરિણામો રાજકીય નવજોડાણની સંભાવના પ્રગટ કરનારાં છે.

ક્યારેક કૉંગ્રેસની બી ટીમ રહેલી શિવ સેના એના યુતિ વર્ચસ્ પછી હવે જે તબક્કામાં છે એને પણ સમજવાની જરૂર છે. હિંદુત્વ અને મરાઠી માણૂસ એની બુનિયાદ રહેલી છે. તે સાથે ક્યારેક દક્ષિણ ભારતીય કે કવચિત્ ગુજરાતી અને લગભગ બધો વખત મુસ્લિમ એવું ધિક્કાર – નિશાન શિવસેનાની ખાસિયત રહી છે. પોતાને ‘પોઝિટિવ સેક્યુલરિઝમ’ના ખાનામાં ખતવતા હિંદુત્વવાદી ભા.જ.પે. શિવસેનાની કોમી તાસીરને પ્રાદેશિક ઓળખ ધરાવતા પક્ષના લેબલ તળે સતત ક્લીન ચિટ પણ હમણાં સુધી આપેલી છે. ગમે તેમ પણ, શિવ સેનાની ‘મરાઠી માણૂસ’ અપીલ હવે પૂર્વવત્ નથી. એનું સીધું કારણ કદાચ એ છે કે નવી પેઢીને – ખાસ કરીને ‘એસ્પિરેશનલ મિડલ ક્લાસ’ને – આ બધા જૂનાપુરાણા બોજ અને લપસીંદરને મુકાબલે નવી વિકાસ અપીલ ખપે છે જેનું સપનું મોદી ભા.જ.પે. ઠીક વેચી જાણ્યું છે.

કૉંગ્રેસનું સતત સંકોચન, પ્રાદેશિક પક્ષોને સ્થાને (અગર તેમના છતાં) નવી એક પક્ષ પ્રભાવ પ્રક્રિયા, આ બધું પોતે કરીને ક્યારેક સૌએ સ્વપ્નેલ સ્વસ્થ દ્વિપક્ષ પ્રથાના ઉદયની સંભાવના વ્યક્ત કરતું વરતાય તો એ સમજી તો શકાય, પરંતુ તે ગ્રાહ્ય જણાતું નથી એવો અધીન મત પણ અહીં નિઃસંકોચ દોહરાવવો જોઈએ.

કૉંગ્રેસ(અગર તેને હસ્તક એક પક્ષ પ્રભાવ પ્રથા)ની વિકલ્પભૂખ પૂર્વે અપેક્ષિત અને અભિમત કોઈ બે વિશેષણ અને વિશેષતા રહ્યાં હોય તો તે ‘સ્વચ્છ’ અને ‘સ્વસ્થ’ દ્વિપક્ષપ્રથાનાં છે. કૉંગ્રેસ કાળક્રમે જે રીતના ‘ઇંદિરા કલ્ટ’માં દેખીતી રાજકીય લબ્ધિ છતાં અધોગતિ પામી, છેલ્લા ગાળામાં ભા.જ.પ.ની મોદીગતિ બહુ ઝડપથી એ જ પ્રતિમાન અને પરિમાણ ધારણ કરી રહી છે. મની પાવર અને મસલ્સ પાવરના ઉપયોગમાં હવે કૉંગ્રેસના વિક્રમો ભા.જ.પ. સન્મુખ હાંફતા બલકે અસ્તંગમિતમહિમા વરતાય છે. કાળાં નાણાં વિષયક વીરવાણીમાં બહાદૂરીપૂર્વક પીઠેહઠ ભા.જ.પ.ના રાજકીય ચારિત્ર્યનું દુર્દૈવ વાસ્તવ પ્રગટ કરે છે; અને આપણી પ્રજાસૂય પછડાટનો સિલસિલો બરકરાર રાખે છે.

આ સંજોગોમાં ભા.જ.પ.ની લાયકાત અહીં પૂર્વે પણ કહેવાનું બન્યું છે તેમ સબ્સ્ટિટ્યૂટ(બદલીબંધુ)ની હોય તો પણ યથાર્થ-યથાર્હ વિકલ્પ(ઑલ્ટરનેટિવ)ની નથી. સફાઈ ગાંધી અને ચાચા નેહરુ આદિને ઉપરછલ્લા કો-ઓપ્ટ કરીને ભા.જ.પ. રંગરોગાનની ફિરાકમાં હોય તો પણ સ્વરાજઆંદોલનમાં ગાંધીનેહરુપટેલ આદિએ જે વિશ્વદર્શન વિકસાવ્યું અને સ્વાતંત્ર્યોત્તર તબક્કામાં રોય, આંબેડકર, લોહિયા, જયપ્રકાશ આદિએ એને જે રીતે ઉર્જિત, સંમાર્જિત, સંસ્કૃત કર્યું તેની સામે હિંદુત્વ રાજનીતિનો હાલનો મુકામ વસ્તુતઃ જનમનરંજન અને સ્વપ્નવંચનથી વિશેષ નથી.

હમણાં કહ્યું કે બેઉ એક જ વિચારધારાનાં છતાં શિવ સેના અને ભા.જ.પ. વચ્ચેનો ફરક સેનાને નહીં પકડાયેલા એવા વિકાસમુદ્દાનો છે. એસ્પિરેશનલ મિડલ કલાસ – અભીપ્સુ યુવા મધ્યમ વર્ગ પરત્વે ‘જાદુનગરીસે આયા કોઈ જાદુગર’ (જે જરૂર પડ્યે ‘ઝાડુનગરી’ અને ‘ઝાડુગર’નો પણ ખેલ પાડી શકે) તરેહનો મોદી દોર ચાલુ છે. ‘વિકાસ’ પરત્વે વાસ્તવબોધ કમ અને પ્રચારભૂરકી ઝાઝી એવો ઘાટ છે. સંપોષિત અને સહભાગી વિકાસની વિભાવના આ મોદી વિમર્શ ઉર્ફે પ્રચારઝુંબેશમાં અક્ષરશઃ અગરાજ છે.

મહારાષ્ટ્રમાં હિંદુત્વ રાજનીતિના વિકાસવેશી વિસ્તરણ સાથે દેશના સ્વરાજવિમર્શ વિષયક એ બુનિયાદી પ્રશ્નો ઊભા થાય છે જે એક સૈકાથી પણ વધુ વર્ષો પૂર્વે ગાંધી-સાવરકર લંડનમાં એકમંચ થયા ત્યારે નાટ્યાત્મક રીતે, કહો કે જગતતખતે આવ્યા હતા.

‘હિંદ સ્વરાજ’ની વિચારણા અક્ષરબદ્ધ કરવા તરફ જઈ રહેલા સત્યાગ્રહી ગાંધી અને હિંદુત્વને પરિભાષિત કરવા તરફ જઈ રહેલા ક્રાંતિવીર સાવરકર બેઉ કને પોતપોતાનો ઇતિહાસબોધ હતો અને પોતપોતાની રીતે ઇતિહાસકર્તવ્યની સમજ પણ હતી. આ સંદર્ભમાં અહીં પૂરી ચર્ચામાં નહીં જતાં એટલું જ કહેવું બસ થશે કે એક અભિગમ ભારતીય સંસ્કૃિત અને પશ્ચિમની વૈકલ્પિક વિચારણાઓના સંમિલનમાંથી વિશ્વમાનવતાની ભૂમિકાએ નવી દુનિયા ભણીનો હતો તો બીજો  રાષ્ટ્ર-રાજ્યની યુરોપિયન અવધારણા સ્વીકારી (માનસિક સંસ્થાનવાદપૂર્વક), એમાં સાંકડા રાષ્ટ્રવાદને સંભરનારો હતો. ગાંધી આજે એલ.પી.જી. રેજિમ સામે પડકાર બનીને ઊભો છે, સાવરકર પરંપરામાં મોદી રાજ અંધ વિકાસવાદ ભણી ધસી રહ્યું છે.

સાંકડા રાષ્ટ્રવાદમાં નહીં બંધાયેલા અને વિશ્વમાનવતાના સંસ્પર્શે ઝંકૃત નેહરુને મિશ્ર અર્થતંત્રરૂપે લોકશાહી સમાજવાદની અપીલ અવશ્ય હતી, પણ વિકાસની એમની અવધારણા ઔદ્યોગિક ક્રાંતિ, ઔદ્યોગિકીકરણની અને યંત્રવાદ આદિમાં નિબદ્ધ હતી. સ્વરાજપૂર્વ વરસોમાં ગાંધીએ આ મુદ્દે પોતાના ‘વારસ’ને જાહેરમાં પડકારતાં સંકોચ કર્યો નહોતો. ૧૯૬૨-૬૩માં એક તબક્કે નેહરુએ ગૃહમાં કહ્યું પણ હતું કે ગાંધીનો રસ્તો વિચારણીય હતો. ગાંધી-કલમે વિકસત-વિલસંત લોકશાહી સમાજવાદ કે પછી લોકશાહી સમાજવાદના પાસ સાથેનો ગાંધીમાર્ગ એ વૈશ્વિકીકરણની દુર્નિવાર ગતિમાં કદાચ એક એવું સંબલ છે જે ‘વિકાસ’ થકી વધતા વંચિતોની હાલની અનવસ્થાને સ્થાને માનવીય વ્યવસ્થા શક્ય બનાવે.

સૈકાથી વધુ વરસો પૂર્વે લંડનમાં ગાંધી-સાવરકર એકમંચ થયા ત્યાંથી લઈને આટલે લાંબે પને ચર્ચા વિસ્તારવાનો આ અભિગમ ખાસ તો વિકલ્પવાંછના મોદી ભા.જ.પ.માં ગંઠાઈ જાય તે કોઈ જવાબ નથી એ સમજાવવા સારુ લીધો છે. આર્થિક ચર્ચાને જગદીશ ભગવતી જ નહીં અમર્ત્ય સેન સ્કૂલથી પણ આગળ લઈ જવાની જરૂરત જ્યારે સમજાશે ત્યારે એ મુદ્દો પણ સ્પષ્ટ થઈને રહેશે કે આજે જે ભૂખ ભાંગતું જણાય છે તેનાથી ભાવઠ ભાંગવાની નથી.

ગમે તેમ પણ, વાતથી શરૂઆત આપણે ચૂંટણીથી કરી હતી તો તે સમેટીએ પણ સહેજસાજ ચૂંટણીચર્ચા સાથે જ : બિહાર અને ઉત્તર પ્રદેશમાં પેટા ચૂંટણીનાં પરિણામો મોદી ભા.જ.પ. સામે ઠપકાની દરખાસ્ત રૂપ હતાં, પણ કેટલાક પક્ષોએ મળીને બેઠકોમાં અંકગણિતની દૃષ્ટિએ આણેલો એ ફેરફાર કોઈ રાસાયણિક પ્રક્રિયા તો બનતાં બનશે. જ્યાં સુધી સત્તાપક્ષ(ભા.જ.પ.)નો સવાલ છે, આપણે એના દિલ્હીદાવને આતુરતાથી જોઈશું. જોઈએ, એ નવેસર લોકચુકાદા ભણી જવાનું ઔચિત્ય પ્રમાણે છે કે પછી રઘુકુલરીતિ છાંડીને આયારામ ગયારામ વ્યાયામમાં સલામતી શોધે છે.

દરમ્યાન, ભૂખ અને ભાવઠ વચ્ચે, બદલી દાવ અને વિકલ્પ વચ્ચે વિવેક કરી શકતી જ્યોતિ નવે વરસે ઓર ઝગો !

ઑક્ટોબર ૧૯, ૨૦૧૪

સૌજન્ય : “નિરીક્ષક”, 01 નવેમ્બર 2014

Loading

...102030...3,8583,8593,8603,861...3,8703,8803,890...

Search by

Opinion

  • યા દિલ કી સુનો દુનિયાવાલો, યા મુઝકો અભી ચૂપ રહને દો
  • સમસ્યા : અંતર્ગોળ અને બહિર્ગોળ પેટની
  • સરકારમાં બેઠેલ વ્યક્તિઓમાં નવા વિચારો, નવી દિશા, વિકાસના નવા આયામો, સમસ્યા નિવારણ અંગે સાચી સમજણ નહિ કેળવાય ત્યાં સુધી બધું વ્યર્થ છે !
  • તેઓ મેકોલે જયંતી કેમ ઊજવે છે?
  • ધર્મેન્દ્ર – નોટ જસ્ટ અ હી-મેન 

Diaspora

  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved