Opinion Magazine
Number of visits: 9695571
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ધર્મનિરપેક્ષતા અને પરંપરાના સંસ્કાર

એસ. ડી. દેસાઈ|Opinion - Opinion|3 March 2015

મુસ્લિમ જન તો તેને કહીએ જે પીડ પરાઇ જાણે રે,

પરદુઃખે ઉપકાર કરે તોયે મન અભિમાન ન આણે રે …

નરસિંહ મહેતાના ભજનનો પહેલો શબ્દ વાંચી આજના માહોલમાં ઘણી આંખો પહોળી થાય. પરંતુ ફિનિક્સ આશ્રમમાં ગાંધીજી જેમને ’ઇમામસાહેબ’ કહેતા અને દક્ષિણ આફ્રિકા

છોડી ભારત આવવાના હતા ત્યારે વિદાય-સમારંભમાં પોતાના ’સહોદર’ કહેલા તે, ધીકતો ધંધો છોડી ’ગાંધીભાઈ’ના આશ્રમના અંતેવાસી થયેલા અબ્દુલકાદર બાવઝીર પ્રાર્થનાસભામાં અચૂક હાજર રહે અને આ શબ્દફેર સાથે ભાવવાહી કંઠે ભજન ગાય તથા કુરાનનાં વચનો પણ સંભળાવે.

રાવજીભાઈ પટેલ (’ગાંધીજીની સાધના’, નવજીવન)માં નોંધે છે, ’તેઓ કહેતા કે સાચો હિંદુ સાચો મુસલમાન છે અને સાચો મુસલમાન સાચો હિંદુ.’ Vishvabharti Quarterly (શાંતિનિકેતન, ૨ ઑક્ટોબર ૧૯૪૯)ના Gandhi Memorial Peace Numberના આરંભે રવીન્દ્રનાથ ટાગોર અને જે. બી. કૃપાલાણીના લેખોની વચ્ચે આ ભજનનો એક વિરલ અર્થગ્રાહી અંગ્રેજી અનુવાદ છે, તેની માત્ર પહેલી કંડિકામાં ’વૈષ્ણવજન’ની જગાએ Lord Omnipresent શબ્દો વાપર્યા છે : Him we call the man of the Lord Omnipresent … નરસિંહ, ગાંધીજી, અનુવાદક અને ઇમામસાહેબનો આદર્શ, મનુષ્યનો ધર્મનિરપેક્ષ આદર્શ જુઓ !

મૂળ વાત, વિદાય-સમારંભની. રાવજીભાઈ નોંધે છે, ‘પ્રાર્થના પછી બધાં એક પછી એક ગાંધીજીને પગે લાગ્યાં. તેમણે કોઈને મીઠી લપડાક મારી, કોઈને મધુરો મુક્કો માર્યો, કોઈનો બરડો થાબડ્યો અને દરેકને કાંઈ ને કાંઈ કહી સ્નેહરસે ભીંજવ્યા. ઇમામસાહેબનો વારો આવ્યો. ગાંધીજીએ તો ઇમામસાહેબને બાથમાં ભીડ્યા. છાતીસરસા ખૂબ ચાંપ્યા. તેમના સામું જોઈ મીટેમીટ માંડી અને દયાર્દ્રભાવે બોલ્યા, ‘મારી માતાએ બે જન્મ્યાં. એક હું અને બીજા તમે. આપણે બે સહોદર ભાઈ છીએ.’

૧૯૧૫માં ગાંધીજીની પાછળ ઈમામસાહેબ પણ પત્ની અને બે દીકરીઓ સાથે અમદાવાદ આવ્યા. ગાંધીજીએ સાબરમતી આશ્રમ સ્થાપ્યો. તેમાં જ ઈમામસાહેબે પોતાનું મકાન બાંધ્યું, જે પછી ’ઈમામ મંઝિલ’ કહેવાયું. આજીવન તેઓ તેમાં રહ્યા. એમની પુત્રી અમીનાનાં લગ્ન મોગલ ખાનદાનના ગુલામરસૂલ કુરેશી સાથે નક્કી થયાં ત્યારે કંકોતરી ગાંધીજીએ પોતાના નામે લખી અને આમંત્રિતોને પાઠવીને જાતે લગ્ન કરાવ્યાં. આશ્રમની મિલકતના પ્રથમ ટ્રસ્ટીઓમાં એક ઇમામ સાહેબ. આજે આશ્રમના ’સુરક્ષા અને સ્મારક ટ્રસ્ટ’ના પ્રમુખ ટ્રસ્ટી એમના દૌહિત્ર હમીદ કુરેશી છે.

ધર્મનિરપેક્ષ વાતાવરણમાંથી પ્રાપ્ત સંસ્કાર અને વસુધૈવ કુટુંબકમ્-ના પારંપરિક કૌટુંબિક સંસ્કાર કેવા સ્વાભાવિક જીવનપથનું નિર્માણ કરી શકે તેનું નમૂનારૂપ ઉદાહરણ આ કુટુંબે અનાયાસ પૂરું પાડ્યું, જે સમગ્ર દેશને માટે પ્રેરણારૂપ બને. નેતા બન્યા વિના આચારથી દાખલો બેસાડી રાહ ચીંધવામાં ગાંધીજીની મહાનતા, તેથી તો જૉન હૉમ્ઝે એમને ‘The greatest man since Jesus Christ’ કહ્યા.

હમીદ કુરેશીનાં લગ્ન આશ્રમવાસી હરજીવનદાસનાં દીકરી પ્રતિમા કોટક સાથે. એમનાં પોતાનાં પાંચ સંતાનોમાંથી દીકરી શમીમનું લગ્ન ખ્રિસ્તી અમેરિકન નાગરિક સાથે, જે મૂળ ઇટાલિયન. યાસ્મિનનું લગ્ન પણ ખ્રિસ્તી અમેરિકન સાથે, જેનું કુટુંબ જર્મન. એક પુત્રનાં પત્ની ખ્રિસ્તી, જે સ્વિટ્ઝર્લૅન્ડથી અમેરિકા આવી વસેલાં. બીજાનું દીપ્તિ કાંટાવાલા અને ત્રીજાનું પ્રતિષ્ઠિત નાગર કુટુંબનાં સોનલ દેસાઈ સાથે, જેના અભિનયને ૧૯૮૦માં અંગ્રેજી નાટક ’ધ મૅચમેકર’માં બિરાદાવ્યાનું મને સ્મરણ છે. હમીદભાઈના ભાઈ વહીદભાઈના દીકરાનું લગ્ન હેમાંગિની ચોકસી સાથે. સોનલના પિતા બાહોશ વકીલ સુશીલ દેસાઈ મારી કૉલેજમાં દર શનિવારે લૉ શીખવવા આવતા. છોકરી મુસ્લિમ કુટુંબમાં જાય તે સામે એમનાં બહેનનો સખત વિરોધ. જમાઈને જોયા-ઓળખ્યા પછી વિરોધ વાત્સલ્યમાં પલટાયેલો, અને અંતસમયે લાગણીપૂર્વક ઇચ્છા વ્યક્ત કરી કે જમાઈ અગ્નિદાહ આપે. અને એમ જ થયેલું.

લગ્ન માટે ધર્મને બદલે ખાનદાની જોવાનો આ આવકાર્ય ’ચેપ’ ક્યારે ય કાબૂમાં ન આવ્યો ! વહીદ કુરેશીની ચારે ય દીકરીઓનાં લગ્ન હિંદુ કુટુંબોમાં. આ ચારમાંથી બેનો ગુજરાત અને અમદાવાદને વિશેષ પરિચય. ગુજરાતમાં ટેલિવિઝનનાં આરંભનાં વર્ષોમાં જેના મુખે શુદ્ધ ઉચ્ચાર અને યોગ્ય આરોહ-અવરોહમાં સમાચાર સાંભળવા ગમતા એવો એક પરિચિત ચહેરો તે રુઆબનો. એનું લગ્ન દક્ષિણ ભારતના યુવાન સાથે. ત્રણેક દાયકા પહેલાં અમદાવાદ નજીક વિમાની અકસ્માત થયેલો. એમાં ‘આવિષ્કાર’ લોકનૃત્યવૃંદ સપડાયેલું. બચી જનારાંઓમાં એક શિરીન. તેનું લગ્ન ખંભોળજા કુટુંબમાં. સ્મરણ છે કે બન્નેએ જે ગુજરાતી પ્રાથમિક શાળામાં શિક્ષણ લીધેલું. તેમાં મારાં પત્ની શિક્ષિકા. શાળા બહાર પણ બન્ને પારંપરિક રીતે ગુરુને આદર આપે.

આ લખાણ હમીદભાઈ(૮૮)ની એક નોંધ, એમની સાથે થયેલી વાતચીત અને હાથવગા અલ્પ સંદર્ભોને આધારે તૈયાર કર્યું છે. ગાંધી – પરંપરાની એમની નમ્રતા. આપપ્રસિદ્ધિથી દૂર રહે. એમનો જન્મ ૧૯૨૭માં આશ્રમ મધ્યે ઇમામ મંઝિલમાં. ગાંધીજીના ખોળે ચડેલ કેટલાંકમાંના એક. સ્વાતંત્ર્યસેનાની. પ્રતિમાબહેન સાથે રજિસ્ટ્રેશન લગ્ન થયું ત્યારે એક સાક્ષી કવિ સ્નેહરશ્મિ, બીજા ’ગાંધીજીની દિનવારી’ (૧૯૧૫-૧૯૪૮ અને ૧૮૬૯-૧૯૧૫) તથા ગાંધીજી સંબંધિત અન્ય પુસ્તકોના લેખક ચંદુલાલ દલાલ. સ્વાતંત્ર્ય માટે સમાજના તમામ ક્ષેત્રોની વ્યક્તિઓએ આપેલા સમર્પણની ગાથા જાણવા નૂતન ભારતનું સર્જન જોવા અધીરી, સદ્ય મંતવ્ય આપી બેસતી આજની અને આવતી કાલની કહેવાતી, યુવાન પેઢી પાસે પરંપરા અને પરિપ્રેક્ષ્ય જાણવા-સમજવા સમય નથી. એમને એમની ગમતી રીતે એ પ્રતીતિપૂર્વક પહોંચાડવાના મૌલિક તરીકા શોધવા બાકી છે. હમીદભાઈની માતા અમીનાબહેનને ગાંધીજીએ એક પત્રમાં ’અસીમ હિંમતવાળી વ્યક્તિ’ કહ્યાં છે. પિતા અને પતિ બંને સ્વાતંત્ર્યલડતમાં પૂર્ણ પ્રદાન કરે, બંને જેલમાં. નાનાં બાળકો છતાં અમીનાબહેન પોતે જેલમાં જવા અધીરાં. ગાંધીજી પ્રેમપૂર્વક તેમને રોકે. કહે, ’બાળકો અને તંદુરસ્તી સાચવ. તારો પણ સમય આવશે.’ પછી તો તેઓ ત્રણેક વાર જેલમાં ગયાં. 

હમીદભાઈને પૂછ્યું, તો એમનાં થોડાં સ્મરણો સાંભળવા મળ્યાં. લાગણીસભર છતાં રતિભાર રંજ વિનાના મગરૂર સ્વરે એમણે જે વાતો કરી, તેમાંની એક, દંતકથાનાં પરિમાણ ધરાવતી હૃદયસ્પર્શી વાત છે. પિતા ગુલામરસૂલ કુરેશી અને માતા અમીનાબહેનનાં લગ્નને હજુ માંડ દસ વર્ષ થયાં હતાં, હમીદભાઈ પોતે ચાર વર્ષના. બોરસદ સત્યાગ્રહ માટે બહેનોને મોકલવાની. ગાંધીજીએ નામ માંગ્યાં. લાંબી કતાર લાગી ગઈ. તેમાં અમીનાબહેન પણ ઊભાં. કોઈએ ધ્યાન દોર્યું. ગાંધીજી બોલ્યા, ’બહાદુર પિતાની બહાદુર દીકરી.’ એમનો વારો આવ્યો, ત્યારે ગાંધીજી કહે, ’પતિની સંમતિ છે? લઈ આવો.’

બીજા જ દિવસે અમીનાબહેન વિસાપુર પહોંચ્યાં, જ્યાં પતિ ગુલામરસૂલ કેદી તરીકે ખેતરમાં પાવડો લઈ મજૂરી કરે. કેદીનો પોષાક. લાંબી દાઢી. વચ્ચે વાડ. આ તરફ બાળકો સાથે અમીનાબહેન. કહે, ’રજા આપો.’  જવાબ મળ્યો, ‘રજા છે.’ પછીના પ્રશ્નનો જવાબ સરળ નહોતો. ’આ બાળકોનું શું?’ ક્ષણેકમાં જવાબ મળ્યો, ‘ત્રણ દરવાજા મૂકી આવો. બીજાં બાળકો ભેગાં રહેશે.’ ગાંધીજીની તો એ તબક્કે હાકલ હતી કે બાળકો સહિત સર્વસ્વનું સમર્પણ કરવા તૈયાર રહેવું. જેમના આચાર અને વિચારમાં ભેદ નહીં, તેને કોણ ન અનુસરે ? પર્લ બકે તો એમનું ખૂન થયું, ત્યારે કહેવું પડેલું,’O India ! Be worthy of your Gandhi !’

જો કે ત્રણદરવાજા જવું ન પડ્યું. અમીનાબહેન બોરસદ ગયાં, જેલમાં ગયાં ને ઉદ્યોગપતિ અંબાલાલ સારાભાઈનાં લડતને સમર્પિત બહેન અનસૂયાબહેન છાત્રાલય ચલાવે, તેઓ ત્રણે બાળકોને લઈ ગયાં અને તેમની સંભાળ રાખી …

— આ ભારતીયતા છે. આ લખાણ લખ્યું તે કોઈ વ્યક્તિનાં ગુણો ગાવાં નહીં, મનુષ્યને કોઇ પણ પ્રકારના ટૅગ વિના મનુષ્ય તરીકે જોતી, આખી પૃથ્વી એક કુટુંબ છે, એવી પર્વતો જેટલી પુરાતન ભારતીય પરંપરાનું ગીત ગાવા.

૨૨ ફેબ્રુઆરી, ૨૦૧૫

સૌજન્ય : “નિરીક્ષક”, 01 માર્ચ 2015, પૃ. 14-15

Loading

મોરારજી દેસાઈ સાથેનાં સંસ્મરણો

રતિભાઈ પંડ્યા|Opinion - Opinion|3 March 2015

ઇ.સ. ૧૯૫૨માં મુંબઈ રાજ્યની વિધાનસભાની પ્રથમ ચૂંટણીમાં મોરારજીભાઈ કૉંગ્રેસનો પ્રચાર કરવા અમરેલી આવેલા, ત્યારે તેમને પ્રથમ વાર જોયાનું અને સાંભળ્યાનું યાદ આવે છે. મારી તે વખતની સોળ વર્ષની ઉંમરે મહાન નેતા મોરારજીભાઈને જોવા કરતાં તેઓ જે હેલિકૉપ્ટરમાં આવેલા તેને જોવાનું વધુ આકર્ષણ હતું. તેમણે ભાષણમાં કૉંગ્રેસપક્ષના ઉમેદવાર જીવરાજ મહેતાને મત આપવા બે બળદની જોડીના નિશાન પર સિક્કો મારવા જાહેરસભામાં બધાને વિનંતી કરેલી. સ્થાનિક અખબાર ‘પ્રકાશ’માં પાંખોવાળો મોર અને મોઢું મોરારજીભાઈનું તેવું કાર્ટૂન છપાયું : નીચે લખાણમાં ‘મોરલો મુંબઈથી અમરેલી આવીને ઊડી ગયો’ લખ્યું હતું. ઇ.સ. ૧૯૫૬માં મહાગુજરાતની ચળવળ વખતે અમદાવાદમાં બીજી વખત મોરારજીભાઈને જાહેરસભામાં સાંભળવાની તક મળી જેમાં, સામાન્ય બહુમતી લોકોની ઇચ્છા વિરુદ્ધ પણ પોતાનો મત વ્યક્ત કરતા મોરારજીભાઈને સાંભળેલા. તેઓ ગુજરાત-મહારાષ્ટ્રનું સંયુક્ત દ્વિભાષી રાજ્ય રહે તેની તરફેણમાં હતા. આર્થિક સામ્રાજ્ય ધરાવતું મુંબઈ શહેર મહારાષ્ટ્રમાં જાય અને ગુજરાતનું અલગ રાજ્ય બને, તે ગુજરાતની પ્રજાને નુકસાનકારક નીવડે, તેમ તેઓ માનતા હતા. તેની સામે ઇન્દુલાલ યાજ્ઞિકની આગેવાની હેઠળ મહાગુજરાતનું આંદોલન જોરશોરથી ચાલતું હતું. લાંબો સમય લડત ચાલી અને આખરે મોરારજીભાઈની ઇચ્છા વિરુદ્ધનું અલગ ગુજરાતનું રાજ્ય ૧૯૬૦માં અસ્તિત્વમાં આવ્યું.

૧૯૭૮માં મોરારાજીભાઈ વડાપ્રધાન હતા, તે વખતે ગોવધબંધીનું આંદોલન પૂરજોરમાં ચાલતું હતું. વિનોબાજીએ આ મુદ્દે ઉપવાસ પર ઊતરવાની જાહેરાત કરેલી, તેથી કેન્દ્ર સરકારે ગોપ્રેમીઓની તથા ભારતના દરેક રાજ્યના મુખ્ય પ્રધાનો અને નિષ્ણાતોની બેઠક દિલ્હીમાં બોલાવેલી. દરેક રાજ્યમાંથી ૫-૭ પ્રતિનિધિઓ આવેલા, તેમાં હું મુંબઈની કાંદિવલી ગૌશાળાના મૅનેજર તરીકે ગયેલો. જુદાં જુદાં રાજ્યોના પ્રતિનિધિઓ જૂથવાર ઊભેલા અને તે વખતના કૃષિપ્રધાન સૂરજીતસિંહ બરનાલા, મોરારજીભાઈને પ્રાંતવાર પ્રતિનિધિઓનો પરિચય કરાવતા હતા. તેમાં મને મહારાષ્ટ્રમાંથી આવેલા પ્રતિનિધિમંડળમાં જોઈ સીધો ગુજરાતી ભાષામાં પ્રશ્ન પૂછ્યો, ‘તમે લોકભારતી – ગુજરાત છોડી ક્યારના મહારાષ્ટ્રના પ્રતિનિધિ બની ગયા ?’ મેં વિગત સમજાવી કે હું અહીં બે વર્ષ માટે લોન સર્વિસ ઉપર મુંબઈ કાંદિવલી ગૌશાળાની માંગણી હોવાથી આવેલો છું. મને આશ્ચર્ય એ વાતનું થયું કે આટલા બધા વિશાળ જનસમૂહ વચ્ચે, મોરારજીભાઈ વડાપ્રધાન હોવા છતાં, મને વર્ષો પહેલાં લોકભારતીમાં પાંચ-સાત મિનિટ માટે મળેલા છતાં ઓળખી ગયા કે આ માણસ મહારાષ્ટૃીયન નહીં, પરંતુ ગુજરાતી છે. મેં તેમની યાદ શક્તિ અને સ્મૃિતને મનોમન વંદન કર્યા.

લોકભારતી-સણોસરામાં નાનાભાઈ ભટ્ટની સ્મૃિતમાં યોજાયેલી વ્યાખ્યાનમાળામાં ‘ભગવદ્દગીતા’ ઉપર મોરારજીભાઈ પ્રવચન કરવા આવેલા ત્યારે બે દિવસ સંસ્થામાં રોકાયેલા અને વહેલી સવારે તેમની સાથે ફરવા જવામાં મારું નામ દર્શકે સૂચવેલું. સવારે પાંચેક વાગ્યે હું મહેમાનઘરે મોરારજીભાઈને લેવા ગયો ત્યારે તેઓ રાહ જોઈને બહાર ઊભા હતા. સમયસર પહોંચવા બદલ ધન્યવાદ આપી તેઓ ઝડપથી ચાલવા માંડ્યા. સંસ્થાના મુખ્ય દરવાજેથી પાકી સડક ઉપર સાંઢીડા મહાદેવના રસ્તે એકાદ કિલોમિટર ચાલ્યા પછી, પાછા ફરતાં મેં ટેલિયાવડ પાસેના ટૂંકા રસ્તે સંસ્થામાં જઈ શકાય છે અને તે કાચો રસ્તો છે, પણ શૉર્ટકટ છે, તેમ સૂચવ્યું, એટલે તેમણે ઉપદેશ આપતાં હોય તેમ કહ્યું. ‘જીવનમાં શૉર્ટકટ કદી ન અપનાવો, આપણે હંમેશાં રૉયલ રોડ ઉપર જ ચાલવાનું રાખવું !’ હું ચૂપચાપ તેમની સાથે પાકે રસ્તે – રૉયલ રોડ પર ચાલવા માંડ્યો.

૧૯૭૯માં વડાપ્રધાન મોરારજીભાઈ લોકભારતીમાં એક વિશાળ ખેડૂત સંમેલનમાં આવેલા. તે વખતે એક ખાસ કાર્યક્રમ યોજાયેલો, જેમાં ગોવિકાસ અને ગ્રામવિકાસના ભાગ રૂપે સંસ્થાની ઉત્તમ અને સારી વંશાવળીવાળી ગાયનો વાછરડો (ધણખૂંટ) બાજુના પીપરડી ગામની ગ્રામપંચાયતને ગોસુધારણા માટે અર્પણ કરવાનો કાર્યક્રમ ગોઠવાયેલો. મોરારજીભાઈના શુભહસ્તે ગામના ગોવાળને ખૂંટઅર્પણનો વિધિ પતી ગયો, પછી દર્શકે પ્રાસંગિક શબ્દો કહેવાનું સૂચવ્યું. મને આ બાબતની તૈયારી વિના મોરારજીભાઈની હાજરીમાં બોલતા થોડો સંકોચ થયો, પરંતુ દર્શકના સૂચનને ધ્યાનમાં લઈ ગ્રામવિકાસ અને ગોવિકાસમાં ધણખૂંટ(આખલા)નું મહત્ત્વ સવિશેષ રહેલું છે, તે વાત સમજાવી, હળવાશથી કહ્યું કે સ્વરાજપ્રાપ્તિ પછીથી ગામડાનો વિકાસ કરવા માટે ગ્રામસેવક તાલુકામાં તાલુકા વિકાસ અધિકારી અને જિલ્લામાં જિલ્લા અધિકારી જેવા અનેક અધિકારીઓની નિમણૂક કરવામાં આવે છે, છતાં ગામડાંઓનો જોઈએ, તેવો વિકાસ થયો નથી. આ બધા વિકાસ અધિકારીઓને બદલી જો ગામડે-ગામડે સાચી જાતના ધણખૂંટની નિમણૂક કરવાની વ્યવસ્થા કરી હોત, ગાયોનો અને તે થકી, ગામડાંઓનો વિકાસ વધારે સારી રીતે થઈ શક્યો હોત ! આ સાંભળી ગંભીર મુખમુદ્રાવાળા મોરારજીભાઈ હસી પડ્યા. મોરારજીભાઈને આ રીતે જાહેરમાં હસાવવા બદલ દર્શકે મને અભિનંદન આપેલ તે યાદ રહી ગયું છે.

મોરારજીભાઈ લોકભારતીમાં બે દિવસ રોકાયેલા. તે વખતે તેમને નજીકના ૧૦ કિલોમિટર દૂર ભાવનાથ મહાદેવના મંદિરે દર્શન કરવા અને ફરવા લઈ જવાની વિચારણા ચાલતી હતી ત્યારે મોરારજીભાઈએ પૂછ્યું કે મંદિરમાં હરિજનોને આવવાની છુટ્ટી છે ? દર્શકે ખાતરી કરવા મને પૂછ્યું. મેં કહ્યું, મંદિરના પૂજારી દલપતગિરિને હું સારી રીતે ઓળખું છું, ત્યાં હરિજન-પ્રવેશની છુટ્ટી છે. મંદિરે ગયા પછી મોરારજીભાઈએ પૂજારીને ફરી પૂછી ખાતરી કરી લીધી અને હરિજનો ત્યાં મંદિરમાં દર્શને આવી શકે છે, તે જાણી ખુશી વ્યક્ત કરેલી.

પૂર્વઅધ્યાપક, લોકભારતી, સણોસરા

સૌજન્ય : “નિરીક્ષક”, 01 માર્ચ 2015, પૃ. 18

Loading

ઘેટ્ટોઆઇઝેશન વિશે

ઘનશ્યામ શાહ|Samantar Gujarat - Samantar|2 March 2015

કરુણાનો ગુણ સમાજકાર્યના પ્રાધ્યાપક અને કાર્યકર માટે સૌથી પ્રથમ અનિવાર્ય શરત છે. સમાજના પીડિતો અંગે સંવેદનશીલતા ન હોય, તે અંગે અનુકંપા ન હોય, તો તે વ્યક્તિ ગમે તેટલી વિદ્વાન હોય, ચારિત્ર્યશીલ હોય તો પણ તે સમાજકાર્ય ન કરી શકે. આમ છતાં, જો તે આ વ્યવસાયમાં હોય તો તેનું કાર્ય યંત્રવત્, કરવા ખાતર, પગાર મેળવવા માટેનું હોય છે. વાસ્તવિકતામાં આ કાર્ય સત્ત્વહીન હોય છે. પણ ફક્ત પીડિત માટેની અનુકંપા સામાજિક કાર્યકર માટે પૂરતી નથી, કારણ કે સામાજિક કાર્યકર પરગજુથી વિશેષ છે. એનું કાર્ય એકલ-દોકલ પીડિત વ્યક્તિને મલમ-પટ્ટા કે રાહત આપવાથી ઘણું વિશેષ છે. ફક્ત કરુણાથી પ્રેરાઈ પાંચ-દશ-પચ્ચીસ દુઃખીજનોને તાત્કાલિક રાહત આપવાથી પ્રશ્ન પતતો નથી. કેટલીક વખત એવું પણ બને કે આવેશમાં આવી દયાની ભાવનાથી અમુક પ્રકારની મદદ કરવાથી દાનવીરને કંઈક કર્યાનો સંતોષ થાય, પણ લાભાર્થીને લાંબા ગાળે નુકસાન પણ પહોંચી શકે. એટલે પ્રશ્ન-પીડાનાં કારણો અને એનાં જુદાં-જુદાં વિવિધ પાસાં સમજવાં જરૂરી છે. એટલે ડૉ. આંબેડકર કહે છે તે પ્રમાણે પ્રજ્ઞા વગરની સંવેદનશીલતા પીડિતોના પ્રશ્નનો ઉકેલ નથી. પ્રજ્ઞાથી પ્રશ્નનાં મૂળ કારણો સમજવા માટેનો રસ્તો મળે છે. પ્રશ્નને સમજવા વાસ્તવિક પરિસ્થિતિનું તલસ્પર્શી બારીકાઈથી અવલોકન, જે-તે પરિસ્થિતિને સ્થળ અને સમયના સંદર્ભમાં જે-તે સામાજિક, આર્થિક, ઐતિહાસિક પરિબળોની સમજ, એનું પૃથક્કરણ, બૌદ્ધિક-તાર્કિક (rational) રીતે કરવાં જરૂરી છે. આમ કરવાથી પરિસ્થિતિની ગહન સમજ આવે. આમાંથી સમાજકાર્ય માટે વ્યૂહરચના અને પગલાં ઉદ્દભવે. કાર્યક્રમો તૈયાર થાય. એટલે કરુણા અને પ્રજ્ઞા સમાજકાર્યનાં મૂળભૂત અંગો છે. પ્રસ્તુત પુસ્તકનાં લેખિકા ગૂજરાત વિદ્યાપીઠના સમાજકાર્યના પ્રાધ્યાપક છે. ૨૦૦૨માં ગુજરાતમાં જે હિંસાનું તાંડવ થયું, તેનાથી તેઓ વ્યથિત હતાં. આ અમાનુષી હિંસાનો ભોગ બનેલા પીડિતોની સ્થિતિને સમજવા માટે આ અભ્યાસ છે.

૨૦૦૨નાં કોમી હુલ્લડ કે જનસંહાર – જે કહો તે – ગુજરાતના સમાજનો સૌથી શરમજનક કાળો ધબ્બો છે. આ હિંસાના અમાનુષી તાંડવમાં સેંકડો નિર્દોષ લોકોના જાન લેવાયા, કેટલીક સ્ત્રીઓ પર કહેવાતા ‘ધર્મ’ના નામે બળાત્કાર થયા, નાનાં માસૂમ બાળકોનો ભોગ લેવાયો અને સેંકડો લોકોને ઘરબાર છોડી બીજે જવાની ફરજ પડી. પીડિતોની કથની લેખિકાએ સાંભળી. વિગતો પુસ્તકમાં નોંધવામાં આવી છે. લેખિકા બતાવે છે કે આ હિંસાનું તાંડવ ફક્ત આવેશનું પરિણામ ન હતું. એના માટે ઘણા સમયનું હિન્દુત્વની માન્યતા ધરાવતાં સંગઠનોનું આયોજન હતું. આ સમગ્ર બનાવ દરમિયાન પોલીસનું પક્ષપાતી વલણ અને રાજ્યની નિષ્ક્રિયતાએ લઘુમતી કોમના લોકોને બેઘર બનાવ્યા. હિંસામાં હોમી દીધા. આ અવલોકન બીજા અભ્યાસુઓએ પણ કર્યું છે.

હિંસાનો ભોગ બનેલા જેઓ કોઈક રીતે પણ જાન બચાવી શક્યા, તેઓ સંતાતા-છુપાતા ભાગ્યા. કેટલા ય દિવસો સુધી ખેતરોમાં છુપાયા. કોઈક પરમાર્થીઓને ત્યાં આશ્રય લીધો. આમ કરતાં રાહત-છાવણીઓમાં પહોંચ્યા. આ છાવણીઓ મોટા ભાગનાં ધાર્મિક સંગઠનો અને કેટલાંક સેવાભાવી નાગરિક સંગઠનોએ શરૂ કરી હતી. પાછળથી રાજ્ય આ છાવણીઓની મદદે પહોંચ્યું. સમય જતાં આ છાવણીઓ એક પછી એક બંધ થઈ. જેઓ કોઈ પણ રીતે મૂળ ગામમાં કે લત્તામાં પાછા સલામત જગ્યાએ જઈ શકતાં હતાં, તેઓ ધીરે-ધીરે પાછાં ગયાં. પણ એમાંનાં ઘણાં મૂળ ગામ, વિસ્તારમાં જઈ શકે તેમ ન હતાં, કારણ કે ત્યાં જો પાછાં જાય તો ફરીથી એમનાં જીવન ભયમાં મુકાય. એમનાં ઘરબાર ખતમ કરવામાં આવ્યાં હતાં, એમનો વ્યવસાય છીનવાઈ ગયો હતો. એટલે તેઓ જાય તો ક્યાં જાય ? આ પરિસ્થિતિમાં એમના માટે સલામત નવી વસાહતો જરૂરી હતી. કોઈ પણ રાજ્યનો રાજ્યધર્મ છે કે આ પીડિતોના પુનઃવસવાટની વ્યવસ્થા કરે. આંતરિક વિસ્થાપિતોના પુનઃવસવાટ અંગે યુનાઇટેડ નેશન્સ (UNO) દ્વારા કેટલાક માર્ગદર્શક સિદ્ધાંતો તૈયાર થયા છે, જે ભારતે સ્વીકાર્યા છે. આ સિદ્ધાંતો ગુજરાત સરકારે લેખિકાના મતે મહદ્દ  અંશે નજરઅંદાજ કર્યા છે. એટલું જ નહીં ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટમાં સોગંદનામા(affidavit)માં કહ્યું કે ગુજરાતમાં બધા જ ૨૦૦૨ના પીડિતો પોતાના વતન પાછા ગયા છે અને કોઈ વસાહત નથી. પણ જ્યારે એક સ્વૈચ્છિક સંસ્થાએ અસ્તિત્વ ધરાવતી વસાહતોનો અભ્યાસ-વિગતો-કોર્ટમાં રજૂ કરી ત્યાર પછી આવી વસાહતોનું અસ્તિત્વ સરકારે સ્વીકાર્યું.

પ્રસ્તુત અભ્યાસ આ વસાહતોમાં વસતાં કુટુંબો-પીડિતોનો છે. સરકારના નકારાત્મક વલણને કારણે આ વસાહતો ધાર્મિક સંસ્થાઓએ શરૂ કરી. આને પરિણામે પીડિતોને ઇચ્છાએ-અનિચ્છાએ ધાર્મિક સંસ્થાઓમાં અને ધાર્મિક માહોલમાં ધકેલવામાં આવ્યા. પીડિતો પાસે કોઈ વિકલ્પ ન હતો. આ પરિસ્થિતિમાં ધાર્મિક વલણો અને માનસિકતા, ધર્મ આધારિત ઓળખ-આઇડેન્ટિટી કેવી રીતે ક્ષીણ થાય ? સમાજમાં સાંપ્રદાયિકતા ઓછી કરવી હોય, ધાર્મિક સંકુચિતતા અને આઇડેન્ટિટીને ક્ષીણ કરવી હોય, તો ધાર્મિક સંગઠનોની પકડ અને વર્ચસ્વ ક્ષીણ કરવાં જ પડે. આ બિનસાંપ્રદાયિક રાજ્યની જવાબદારી છે. જો રાજ્ય આ જવાબદારી બજાવવામાં આંખ આડા કાન કરે, તો કોમી polarisation વધે કે ઘટે ? પ્રસ્તુત અભ્યાસ આ પ્રશ્ન અંગે વાચકને વિચાર કરતો કરે તેવી અપેક્ષા અસ્થાને નથી.

વિસ્થાપિત પીડિતોની વસાહતો ગામ/નગરનું બીજું ફળિયું, પોળ કે લત્તો નથી. અભ્યાસ બતાવે છે કે આ વસાહતોમાં વસવાટ કરનારા પોતાની સલામતી માટે અહીં રહે છે. આ વસવાટો પાયાની મૂળભૂત જરૂરિયાતો – રસ્તા, વીજળી, પાણી, ગટર, શૌચાલય વગેરે – જે પૂરી પાડવાની રાજ્યની લઘુતમ જવાબદારી છે, તેનાથી વંચિત છે. અહીં બાળકો માટે શિક્ષણની પૂરતી વ્યવસ્થા નથી. તેઓ પ્રાથમિક આરોગ્ય – સેવાથી વંચિત છે. મૂળ વતનમાં હતા, તેના કરતાં એમની અહીં આજીવિકાની તકો ખૂબ મર્યાદિત છે. આ જગ્યાએ આજે લગભગ દશ વર્ષથી રહે છે, પણ અહીં એમને પરાયાપણું લાગે છે. ઊખડેલા-ઊખડેલા હોય એવું અનુભવે છે. જે ગામ કે શહેર નજીક આ વસાહતમાં તેઓ રહે છે, તેઓ તે શહેર કે ગામને ‘પોતીકું’ માની શકતા નથી. મૂળ વતનની વારંવાર યાદ આવ્યા કરે છે. હિજરાય છે પણ પાછા જઈ શકતા નથી. આ વસવસા સાથે આ વસાહતોમાં રહે છે.

આ અલાયદી વસાહતો, જેને ઘેટ્ટોઝ કહેવામાં આવે છે. આ પરિસ્થિતિ માટે કયાં કારણો જવાબદાર છે ? લેખિકા આ કારણો આ પ્રમાણે નોંધે છે : પીડિતાના પુનઃવસવાટ માટે રાજ્યની નિષ્ક્રિયતા, સરકારી તંત્રનો ભેદભાવપૂર્ણ અભિગમ, બહુમતીનો મુસ્લિમો પ્રત્યે પૂર્વગ્રહ અને આક્રમક કટ્ટરવાદી માનસિકતા જવાબદાર છે. સમાજનો બહુમતી વર્ગ અને સરકાર અહીં વસવાટ કરતા લોકોને કંઈક ઘૃણાથી તુચ્છકારથી, દુશ્મન તરીકે જુએ છે. ત્યાં જવાનું અને ત્યાંના લોકોને મળવાનું ટાળે છે.

અહીં ઘેટ્ટો શબ્દ અંગે ઠીક વિચાર કરવા જેવો છે. લેખિકાને ઘેટ્ટો શબ્દનો કોઈ ગુજરાતી પર્યાય ન મળ્યો, એટલે આ અંગ્રેજી શબ્દનો યથાવત્ ઉપયોગ કર્યો છે. વિનીત જોડણીકોશ, બૃહદ્દ ગુજરાતી કોશ(કે.કા. શાસ્ત્રી રચિત)માં ઘેટ્ટો શબ્દ નથી. વિનયન શબ્દકોશ (ભટ્ટ અને ભટ્ટ) અને અંગ્રેજી-ગુજરાતી કોશ (દેશપાંડે) અંગ્રેજી શબ્દ Ghettoનો અર્થ આપે છે : યહૂદીવાડો – લત્તો – વિસ્તાર. લેખિકા પણ આ અર્થને અનુસરે છે. સત્તરમી સદીમાં યુરોપમાં જ્યુ (યહૂદી) લોકોનો નગરબહાર વસવાટ. આ પ્રજા માટે કેટલાંક નિયંત્રણો હતાં. તેવું જ અમેરિકામાં શ્યામ(નિગ્રો)ની વસાહતો. આ લોકો સાથે પૂર્વગ્રહપ્રેરિત ઘૃણાપૂર્વક વ્યવહાર થયા. તેઓ સામાજિક-આર્થિક ભેદભાવનો ભોગ બનેલા હોય અને તેઓને માટે સામાજિક-આર્થિક તકો મર્યાદિત હોય. અભ્યાસમાં થયેલ વસવાટના લોકોની સ્થિતિ આવી જ છે; એટલે ઘેટ્ટો શબ્દ યથાર્થ છે.

શું આ પ્રકારના વસવાટ ફક્ત યુરોપમાં જ હતા અને આપણે ત્યાં આવું કંઈ હતું જ નહીં ? ઘેટ્ટોનો સમાનાર્થી શબ્દ આપણે ત્યાં નથી ? સંસ્કૃિતની ભવ્ય ગાથામાં માનનારા આનો જવાબ હકારાત્મક આપશે અને વેદ-પુરાણોને ટાંકશે. પણ વાત સાચી છે ખરી ? ભારતના કોઈ પણ બિનઆદિવાસી ગામમાં, ઉત્તર, દક્ષિણ, પૂર્વ કે પશ્ચિમ પ્રદેશમાં દરેક ગામ અને નગરમાં ગામબહાર વસવાટ જોવા મળશે કે જ્યાં વસવાટ કરતા લોકો સદીઓથી ભેદભાવ અને ઘૃણાના ભોગ બનેલા છે. આ વસાહત એટલે એક વખત જેને ‘અંત્યજો’ કહેતા તેમની. આ પરિસ્થિતિ આજે પણ છે. ૧૯૪૮માં ડૉ. આંબેડકરે લખ્યું છે કે, ‘દરેક હિન્દુ ગામમાં ઘેટ્ટો હોય છે. હિન્દુઓ ગામમાં રહે છે અને અસ્પૃશ્યો ઘેટ્ટોમાં.’ ઉપર જણાવ્યું તે પ્રમાણે ભલે જોડણીકોશ કે અંગ્રેજી-ગુજરાતી કોશમાં ઘેટ્ટોનો અહીંનો સંદર્ભ ન હોય, પણ સદ્દનસીબે ભગવદ્દગોમંડળ ઘેટ્ટો શબ્દનો અર્થ આપણા વાસ્તવિક સંદર્ભમાં આપે છે. ઘેટ્ટો એટલે આપણે ત્યાં ‘અસ્પૃશ્ય ગણાતા લોકોને રહેવાની જગ્યા – ઢેડવાડો.’ અંગ્રેજ ઘેટ્ટો શબ્દનાં બધાં જ લક્ષણો આ દલિતોને લાગુ પડે છે. આપણે સવાલ કરવો જોઈએ કે આપણા સમાજમાં આંખે વળગીને દેખાય તેવી હકીકતને આપણે કેમ જોવાથી વિમુખ છીએ ? જે વિદ્વાનો શબ્દમાં રાચે છે, એનો મહિમા ગાય છે – તેવા સર્જકો આવી સામાજિક વાસ્તવિકતાથી કેમ વિમુખ છે?

મુસ્લિમ ઘેટ્ટોઆઇઝેશન અને ૨૦૦૨ના કોમી દાવાનળને લેખિકા ગુજરાતના કોમી વિસંવાદિતા અને રાજકારણના ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં મૂકે છે. આ જરૂરી છે. આ પરિપ્રેક્ષ્યની માહિતીનો આધાર ઇતિહાસવિદો અને સમાજવૈજ્ઞાનિકોના પ્રાપ્ત અભ્યાસો છે. સમાજકાર્યનો વિદ્યાર્થી સમાજશાસ્ત્રી નથી. લેખિકાનો એવો દાવો પણ નથી. એમની પાસે સમાજશાસ્ત્રી અભિગમની અપેક્ષા પણ ન રાખી શકાય. પણ આજે આપણે બધાએ વિચાર કરવાનો છે, આપણી જાતને સવાલ કરવાનો છે કે આપણો દેશ અને રાષ્ટ્રનો ખ્યાલ શો છે? આજે ઘણા નેતાઓ કહે છે કે એમના માટે ભારત રાષ્ટ્ર પહેલું છે, મુખ્ય છે. પણ આ ‘રાષ્ટ્ર’ કે ‘દેશ’ની પ્રાથમિકતા એટલે કઈ-કઈ બાબતોની પ્રાથમિકતા ? આ દેશ/ રાષ્ટ્ર (નેતાઓ અને ઘણાબધા બૌદ્ધિકો પણ આ બંને વિભાવનાઓને એકબીજાના પર્યાય તરીકે વાપરે છે. પણ સૈદ્ધાંતિક રીતે તે જુદા છે), જેને ‘ભારતમાતા’ કહેવામાં આવે છે, તે કોણ ? આ અંગેની આપણી શી કલ્પના છે ? રાજકીય સીમાડાઓ વચ્ચેની ભૌતિક ભૂમિ કે તેમાં વસતા લોકો ? આ લોકો આર્થિક, સાંસ્કૃિતક, સામાજિક રીતે ભિન્ન – ભિન્ન છે. આ લોકોમાં, મુસ્લિમ, શીખ, બુદ્ધિસ્ટ, ખ્રિસ્તી, દલિત, વિચરતી જાતિ, આદિવાસી વગેરે આવે છે કે નહીં ? આ દેશ એટલે શહેરમાં રહેતા, બોલકા, વર્ચસ્વ ધરાવતા જ લોકો કે દરરોજ ખેતર, ખાણ અને કારખાનામાં કામ કરતા લોકો ખરા કે નહીં ? કોઈ પણ સમાજ / દેશની સમૃદ્ધિનો પાયો જેઓ શ્રમ કરી મૂડી પેદા કરે છે, તે શ્રમિકો છે; મૂડી પર વર્ચસ્વ ધરાવતા નહીં. દેશની કલ્પનામાં આ શ્રમિકો જેઓ સતત શોષણના ભોગ બનેલા છે, તેઓનું શું સ્થાન છે ?

આઝાદીની ચળવળ વખતે ડૉ. આંબેડકરે અસ્પૃશ્યતાના સવાલને અને તેનાથી પીડાતા લોકોના પ્રશ્નને પ્રાધાન્ય આપ્યું. એટલે ૧૯૩૦ના દાયકામાં એમને ‘દેશદ્રોહી’ કહેવામાં આવ્યા હતા. રાષ્ટ્ર અંગેના અલગ- અલગ ખ્યાલને કોમવાદ સાથે સંબંધ છે. જ્યારથી આપણે રાષ્ટ્રના વિચારમાં પ્રવર્તમાન સ્થાપિત ધર્મ-સંસ્કૃિતને પ્રાધાન્ય આપવાના ખ્યાલને પોસવા લાગ્યા, ત્યારથી કોમી વિખવાદની શરૂઆત થઈ. આજે પણ એ ચાલુ જ છે. આ વિચારસરણીમાં દલિત, એક વખતે સરકાર અને ઉપલા વર્ગે ગણેલ ‘ગુનેગાર’ જાતિઓ (ex-criminal tribes), મુસ્લિમોના ઘેટ્ટો આપણે જોઈ શકતા જ નથી. કારણકે આ પીડિતો-શ્રમિકો આપણી ‘દેશ’ કે ‘રાષ્ટ્ર’ની કલ્પના બહાર છે. એટલે તેઓ અંગે આપણામાં સંવદનશીલતા જ નથી. જરૂર છે નવેસરથી રાષ્ટ્રના ખ્યાલ અંગે વિચારવાની, નવા સવાલો ઊભા કરવાની. આ કામ સમાજવૈજ્ઞાનિકોનું, ઇતિહાસવિદોનું છે, પણ તે સાથે સૌ સમાજ અંગે ચિંતિત વ્યક્તિઓનું છે.

આ પુસ્તકમાં મુસ્લિમ ઘેટ્ટોની સ્થિતિનો ચિતાર આપ્યો છે, એને આપણે ‘રાષ્ટ્ર’ના ખ્યાલના સંદર્ભમાં જોઈશું, તો વધુ ફળદાયી નીવડશે. લેખિકાનો આ અભ્યાસ પાછળનો એક ઉદ્દેશ એ પણ છે કે આવા અભ્યાસો દ્વારા સમાજકાર્યના ‘વિદ્યાર્થીઓમાં સંવેદનશીલ મુદ્દા અંગે તટસ્થ સમજ ઊભી થાય.’ હું ઇચ્છું છું કે આ કાર્ય વિદ્યાર્થીઓ અને અન્ય વાચકોની સંવેદનહીનતા સચેત કરે. અભ્યાસ માટે ડૉ. દામિની શાહને અભિનંદન.

ડૉ. દામિની શાહ કૃત ‘મુસ્લિમ ઘેટ્ટોઆઇઝેશન : એક કરુણ દાસ્તાન (ગુજરાતના 2002ના રમખાણોના સંદર્ભે)’ની પ્રસ્તાવના; ગુર્જર સાહિત્ય ભવન, રતનપોળ નાકા સામે, અમદાવાદ 380 001; પૃ. 16+172; કિમ્મત રૂ. 247.

સૌજન્ય : “નિરીક્ષક”, 01 માર્ચ 2015, પૂ. 03 અને 04

Loading

...102030...3,8543,8553,8563,857...3,8603,8703,880...

Search by

Opinion

  • એક સરકારી કર્મીનો પ્રેમપત્ર
  • બંધારણ – દેશનું દર્પણ, દેશની ઓળખ, દેશની શોભા  
  • નથુરામનું ‘હુતાત્મા’ પદ અને કુરુંદકરનો તર્ક
  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ
  • ઝાંઝવાનાં જળ

Diaspora

  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved