Opinion Magazine
Number of visits: 9694620
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

તંત્રીને કૅબિનમાંથી બહાર કાઢ્યો હતો વિનોદ મહેતાએ


રમેશ ઓઝા
, રમેશ ઓઝા|Opinion - Opinion|10 March 2015

વિનોદ મહેતાની સ્કૂલ વધારે પ્રભાવી અને વધારે ટકાઉ સાબિત થઈ એનું મુખ્ય કારણ વિનોદ મહેતાની એકનિષ્ઠા હતી. તેમણે માત્ર અને માત્ર પત્રકારત્વ કર્યું હતું. બીજા પત્રકારોની માફક રાજકારણમાં નહોતા ગયા, રાજ્યસભામાં મનોનીત સભ્ય નહોતા બન્યા, કોઈ આયોગ કે સમિતિઓમાં નહોતા ગયા કે ઇલેક્ટ્રૉનિક જર્નલિઝમનો યુગ શરૂ થયા પછી એમાં પગપેસારો નહોતો કર્યો. સોનિયા ગાંધી માટે તેમને અને તેમને માટે સોનિયા ગાંધીને આદર હોવા છતાં એનો તેમણે કોઈ લાભ નહોતો લીધો

૧૯૮૦ પછી ભારતીય પત્રકારત્વમાં નવો યુગ શરૂ થયો હતો. પરિવર્તન અનેકમુખી હતું. એક જમાનામાં જ્યુટ પ્રેસ તરીકે ઓળખાતા અખબારી ઉદ્યોગમાં નવા લોકો દાખલ થયા હતા જેઓ જ્યુટ પ્રેસના મારવાડી માલિકોને હટાવી તો નહોતા શક્યા, પરંતુ તેમને કૂણા તો પાડ્યા હતા. બીજું, ચેલાપતી રાવ, ફ્રૅન્ક મોરાયસ અને એન.જે. નાનપોરિયા, શામ લાલ જેવા આઝાદી પહેલાં પત્રકારત્વમાં પ્રવેશેલા તંત્રીઓનો યુગ સમાપ્ત થયો હતો. તેમની રૂઢિચુસ્ત પત્રકારત્વની એક સ્કૂલ હતી જેના છેલ્લા પ્રતિનિધિ તંત્રી ગિરિલાલ જૈન હતા. એ ઉપરાંત પ્રિન્ટિંગ ટેક્નૉલૉજીમાં પણ ક્રાન્તિ થઈ હતી જેણે છાપાં તેમ જ સામયિકોને સુંદર અને આકર્ષક બનાવવા માટેનો રસ્તો ખોલી આપ્યો હતો. ક્મ્પોઝિંગ અને છપાઈ આસાન થઈ ગઈ હતી જેને કારણે છાપાં-સામયિકોની પૃષ્ઠસંખ્યામાં વધારો થયો હતો. કાગળની આયાત પરના પ્રતિબંધ દૂર થયા હતા, ન્યુઝપ્રિન્ટના ક્વોટા ખતમ થયા હતા અને નેપાનો પીળો કાગળ છાપાંઓમાંથી ગાયબ થઈ ગયો હતો.

સૌથી મહત્ત્વનું પરિવર્તન પત્રકારત્વના બદલાયેલા મિજાજનું અને વલણનું હતું. ઇમર્જન્સી પહેલાં ઘટેલી ઘટનાના વૃત્તાંતને પત્રકારત્વ માનવામાં આવતું હતું. સમાચારનાં પાનાંઓમાં શુદ્ધ સમાચાર એટલે કે હાર્ડ ન્યુઝ એટલે કે ઘટેલી ઘટનાઓનો અહેવાલ છપાતો હતો અને અંદર તંત્રીના પાનામાં એનું વિવેચન છપાતું હતું. ઘટેલી ઘટના પહેલાં ઘટી રહેલી ઘટના, ઘટી શકતી ઘટના કે નહીં ઘટેલી ઘટના પણ ન્યુઝ હોઈ શકે છે એ ઇમર્જન્સી પહેલાં પત્રકારત્વ માટે અજાણી ચીજ હતી. ઇમર્જન્સી પછી સ્વાભાવિકપણે પત્રકારત્વે કરવટ બદલી હતી, કારણ કે ઇમર્જન્સી પોતે જ અનેક રહસ્યો અને ગોપિત પડળ ધરાવનારી ઘટના હતી. આ રીતે ઘટના પાછળની ઘટનાને શોધવાનો યુગ ઇમર્જન્સી પછી અને ઇમર્જન્સીને કારણે શરૂ થયો હતો.

આમાં ત્રણ તંત્રીઓનું યોગદાન મહત્ત્વપૂર્ણ હતું. એક ગયા ડિસેમ્બર મહિનામાં અવસાન પામેલા બી.જી. વર્ગીસ, બીજા એમ.જે. અકબર અને ત્રીજા રવિવારે અવસાન પામેલા ‘આઉટલૂક’ મૅગેઝિનના તંત્રી વિનોદ મહેતા. હિન્દી ભાષામાં રાજેન્દ્ર માથુર, પ્રભાષ જોશી અને સુરેન્દ્ર પ્રતાપ સિંહનું નામ આપી શકાય. ગુજરાતીમાં હસમુખ ગાંધીએ નવો ચીલો પાડ્યો હતો. આમાં બી.જી. વર્ગીસે ઘટના હોવા છતાં નહીં નજરે પડતી ઘટના કે નહીં જોવામાં આવતી ઘટનાને અખબારોનો વિષય બનાવ્યો હતો. દાયકાઓ સુધી જામીનના અભાવે કે લુલા ન્યાયતંત્રને કારણે કાચા કેદીઓએ જેલમાં સબડતા રહેવું પડે એ શરમજનક ઘટના હોવા છતાં એને ઘટના તરીકે જોવામાં નહોતી આવતી. કેદી જેલ તોડે એ ઘટના કહેવાય, કેદી કેદમાં રહે એ ઘટના ન કહેવાય એવી જે જૂની સમજ હતી એને બી.જી. વર્ગીસે તોડી નાખી હતી. ટૂંકમાં, બધિર વ્યવસ્થાને કારણે જેને અન્યાય થઈ રહ્યો છે એ માણસ પહેલી વાર છાપાના પહેલા પાને આવ્યો હતો. બી.જી. વર્ગીસના પત્રકારત્વને ગ્રાસરૂટ જર્નલિઝમ તરીકે ઓળખવામાં આવતું હતું.

એમ.જે. અકબરે અને સુરેન્દ્ર પ્રતાપ સિંહે કલકત્તામાંથી અનુક્રમે અંગ્રેજીમાં ‘સન્ડે’ અને હિન્દીમાં ‘રવિવાર’ નામનાં સાપ્તાહિક શરૂ કર્યા હતાં જેની સાથે સામયિક પત્રકારત્વમાં નવો યુગ શરૂ થયો હતો. ‘ઇલસ્ટ્રેટેડ વીકલી’ અને ‘ધર્મયુગ’ કરતાં આ સામયિક વધારે સમકાલીન અને વધારે તાજાં લાગતાં હતાં. અકબરે એ પછી ‘ટેલિગ્રાફ’ દૈનિક કાઢીને પત્રકારત્વમાં અખબારી સૌંદર્યનો નવો યુગ શરૂ કર્યો હતો.

આ બધામાં વિનોદ મહેતાની સ્કૂલ વધારે પ્રભાવી અને વધારે ટકાઉ સાબિત થઈ હતી. આમાં મુખ્ય કારણ વિનોદ મહેતાની એકનિષ્ઠા હતી. તેમણે માત્ર અને માત્ર પત્રકારત્વ કર્યું હતું. બીજા પત્રકારોની માફક રાજકારણમાં નહોતા ગયા, રાજ્યસભામાં મનોનીત સભ્ય નહોતા બન્યા, કોઈ આયોગ કે સમિતિઓમાં નહોતા ગયા કે ઇલેક્ટ્રૉનિક જર્નલિઝમનો યુગ શરૂ થયા પછી એમાં પગપેસારો નહોતો કર્યો. સોનિયા ગાંધી માટે તેમને અને તેમને માટે સોનિયા ગાંધીને આદર હોવા છતાં એનો તેમણે કોઈ લાભ નહોતો લીધો. તેઓ ધારત તો મનમોહન સિંહના પ્રેસ-ઍડ્વાઇઝર બની શક્યા હોત કે નૅશનલ ઍડ્વાઇઝરી કાઉન્સિલના સભ્ય થઈ શક્યા હોત કે રાજ્યસભામાં જઈ શક્યા હોય, પરંતુ તેમણે પત્રકારત્વને જ પોતાનો ધર્મ માન્યો હતો.

વિનોદ મહેતાએ અખબારોમાં સૌંદર્યકીય પરિવર્તન ઉપરાંત વિષયવસ્તુમાં અને એની રજૂઆત (પ્રેઝન્ટેશન)માં પરિવર્તન કર્યું હતું. સાધારણ વાચક સમાચાર વાંચે અને માત્ર મુઠ્ઠીભર પ્રગલ્ભ વાચક તંત્રીલેખ વાંચે એવા જે બે ધ્રુવ હતા એને વિનોદ મહેતાએ તોડી નાખ્યા હતા. હાર્ડ ન્યુઝ અને ગંભીર મલ્લીનાથી વચ્ચે અનેક પ્રકારનાં ફીચર્સ હોઈ શકે છે એ વિનોદ મહેતાએ બતાવી આપ્યું. તેમણે અખબારોમાં ઓપેડ પેજ દાખલ કરીને ન્યુઝ-મૅગેઝિનોને એના ઢાંચામાં પરિવર્તન કરવા મજબૂર કર્યા હતાં. અણધાર્યાપણું તેમના પત્રકારત્વનું વિશેષ અંગ હતું. કોઈ પણ વિષય, કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ દૃષ્ટિકોણ તેમના દ્વારા સંપાદિત છાપાં અને સામયિકમાં જોવા મળી શકતાં હતાં.

વિનોદ મહેતાની હજી એક બીજી વિશેષતા એ હતી કે ખૂબ સારું લખી શકતા હોવા છતાં તેઓ બહુ ઓછું લખતા. પોતાના સર્જન કરતાં તેઓ જેનું સંપાદન કરતા હોય એના સર્જનમાં અને એની બારીકમાં બારીક પ્રક્રિયામાં વધારે રસ લેતા. આ રીતે ભારતીય પત્રકારત્વમાં પહેલી વાર વિનોદ મહેતાએ તંત્રીને કૅબિનમાંથી બહાર કાઢ્યો હતો. તંત્રી ન્યુઝ-રૂમમાં હોવો જોઈએ, પ્રોડક્શન-રૂમમાં હોવો જોઈએ. કૅબિનમાં તો ત્યારે જ હોવો જોઈએ જ્યારે કંઈક લખવું હોય કે કોઈક મુલાકાતી મળવા આવ્યો હોય.

સૌજન્ય : ‘મંતવ્ય-સ્થાન’ નામક લેખકની કટાર : “ગુજરાતી મિડ-ડે”, 09 માર્ચ 2015

http://www.gujaratimidday.com/features/columns/vinod-mehta-editor

Loading

ચાર લઘુ વાર્તાઓ

ગુણવંત વૈદ્ય|Opinion - Short Stories|10 March 2015

… 1 …

કેડી

જેઇનની મુલાકાત એના અજ્ઞાત બોનમેરો ડોનરની સાથે આજે પ્રથમવાર ગોઠવાઈ હતી. પુત્રીના જીવનદાતાને રૂબરૂ મળવા જેઇન સાથે એના હરખઘેલા માતાપિતા પીટર અને માર્ગ્રેટ પણ ફૂલોનો મોટો ગુલદસ્તો લઈ આવી પહોચ્યાં. એમના મિત્રો ડાંસ કરતા હતા.

મહેમાનોની ભીડમાં છ આંખો પેલા ડોનરને શોધતી હતી. ડોક્ટર પીટરસને તેવામાં જાહેરાત કરી, 'પ્લીઝ વેલકમ મિસ્ટર કે.ડી.' તાળીઓના ગડગડાટ વચ્ચે બધાની નજર દ્વાર તરફ ગઈ. 

પીટર અને માર્ગરેટ તો સ્તબ્ધ જ થઈ ગયાં !! પીટરની આંખોમાં ખુન્નસ આવ્યું અને હાથની મુઠ્ઠીઓ વળી હતી … હાથમાંનો બિયરનો ગ્લાસ જોરથી ભોંય પર પછાડી  'નો … નો …' કહેતો એ પગ પછાડતો તરત બહાર જ નીકળી ગયો !!! હાક … થુ …. કરતી માર્ગરેટ પણ બહાર નીકળી ગઈ ! એમના વર્તાવથી ત્યાં હાજર રહેલા સહુ કોઈ અવાક થઈ ગયાં ! 

.. ત્યાં પ્રવેશનાર એક સુકલકડી અશ્વેત  હતો !!! 

રંગભેદની નીતિના બે પ્રચંડ સક્રિય સમર્થકો માટે કદાચ અલગતાવાદનો મુદ્દો અગ્રતાક્રમમાં સહુથી વધુ પ્રબળ  દાવેદાર હતો.   

જેઇનની વ્હીલચેર તરત જ આવનારની પાસે દોડી જ ગઈ … 

એની નસોમાં કૃષ્ણદાસના વહેતા થયેલા ભેદભાવરહિતના નવા પાણીએ નવી પેઢીમાં સમજદારીની નવી કેડી જ કંડારી !! 

બે રંગભેદીઓ પલાયન થયા હતાં. 

'કેડી … કેડી … કેડી ….'ના શોર વચ્ચે, જેઇન કૃષ્ણદાસને વળગી. 

વિશ્વ બદલાયું હતું …..

જેઇન માંડ માંડ બોલી શકી : 'થેંક્યુ'.

•

… 2 …

ઉકેલ …..?

ખુશાલની વાતે રઘુની ઊંઘ જ ઊડી ગઈ.

'એક ઉપાય છે' રઘુએ વિચાર્યું. …. જાતતપાસનો.

તપાસમાં તે દિવસે માને એક શેઠની કારમાં બેસીને એણે જાતે જ્યારે જતાં જોઈ, ત્યારે તો રઘુ અવાક જ થઈ ગયો ……

છેવટે છાપાવાળા જ્ગદીશચન્દ્રની પારખુ નજર એની મદદે આવી. 

***

રઘુ દિવસે છાપાંની ફેરી કરતો અને રાતે સ્ટેશને ચાય વેચતો. લખમી લોકોનાં ઘરકામ કરતી. તોયે એમને પૈસે ખેંચ રહેતી. તેથી નછૂટકે સાંજે બે કલાક સરલાની સાથે બનીઠનીને લખમી પણ ધંધે જવા જ માંડી, …. રઘુની જાણબહાર …

***

ધંધેથી આવીને લખમીએ સ્નાન કરીને, સ્વચ્છ લૂગડું પહેરીને દીવો કર્યો પછી કમાણી ભગવાન આગળ મૂકીને દિલથી ક્ષમા માગી.  પછી કમાણીના પૈસા લઈને રાશન ખરીદવા એ દુકાને દોડી. રઘુ હજી ઘરે આવ્યો ન હતો. 

***

ઝૂંપડીમાં ખામોશી હતી. ખાતી વખતે રઘુએ કહ્યું, 'છાપખાને સાંજે એક સફાઈ કામદારની નોકરી પડી છે, રોજના બસો રૂપિયા છે, તું જશે, મા?'

લખમી તરત  બોલી ઊઠી, 'હા, હા, કેમ નહીં ..?' 

મા માની ગઈ એનો રઘુએ મનમાં હાશકારો કર્યો. 

'હાશ, ગંદવાડથી તો છૂટી  …' લખમી બબડી. 

બે સફળતા ઝૂંપડીમાં મનોમન હરખાતી હતી … એકમેકથી અલગ, અજાણ ….

***

રઘુનાં ખભે મૂકીને જગદીશે ચલાવેલ બંદૂકની ગોળી ધારેલા નિશાન પર વાગી હતી …..

બીજે દિવસથી છાપખાને લખમીનું નિજી સફાઈકામ વધ્યું ….!

છતાં  ચૂપ જ રહી …. રઘુના ભણતર કાજે !!

….. બિચારી. 

•

… 3 …

વેદના

શ્રીમતી : 'આ શીરો કેમ બધેબધ મુક્યો? પાથરણું ય ઘીવાળું કર્યું.' 

'મેં નથી મુક્યો ….' મેં કહ્યું. 

શ્રીમતી : 'તમે નથી મુક્યો? મેં પણ નથી મુક્યો, અહીં ત્રીજું તો કોઈ આવ્યું નથી …' 

સવાલ વાજબી હતો.

'…. નક્કી, બલ્લુ ….' …. અને એ વિચારે અમારી આંખો હરખભીની જ થઈ !!! 

નાનકડા બ્લ્લુને પૂછવાથી કદાચ 'એનાથી કશુક ખોટું થયું છે' એવી આછેરી ભાવના એનામાં જન્મી જાય તો? એવું તો હું કદાપિ ઇચ્છતો જ ન હતો. 

***

સવારે દાદીને પૂજા કરતી બલ્લુ એકીટશે જોતો. ક્યારેક સવાલો પણ પૂછતો. 

આજે પૂછે કે "બધા ભગવાન એક જ વાટકીમાં કેમ જમે?' 

……. એટલે પ્રસાદની મુકેલી એક જ વાટકીમાંથી બધા ફોટા આગળ ચપટી શીરો બાલકૃષ્ણ ઉર્ફે બલ્લુએ જ મુક્યો હતો એમ માનવાને કારણ મળ્યું  !!!  

***

‘પરંતુ ….. 'દાદા, તમે ક્યારે મરી જવાના?' એમ નાસમજ બલ્લુ પાસે મને કહેવડાવનાર બલ્લુની જનેતા સુધી આજના આનંદની વાત મારે પહોંચાડવી કે કેમ ?’ એ મથામણ હતી.

***

'વહુ, સૌને ગર્વ થાય એવું મહાન કામ બલ્લુએ આજે કર્યું. પણ તારે શી લેવાદેવા? તારા આજ પર્યંતના અસંખ્ય અક્ષમ્ય અપરાધો, વેદનાઓ તો હું ભૂલી ગયો છું. પરંતુ મારા પૌત્રમાં અમારી વિરુદ્ધ અકારણ ઝેર ભરવા બદલ તો તને માફી કદાપિ નહીં જ મળે. જન્મોજન્મ ….' ડાયરીમાં મેં છેલ્લો ફકરો લખ્યો.

સ્મૃિતપટે અનુભવો ઉપસી જ આવ્યા ….. ધિક્કાર શબ્દ વામણો બન્યો. ……

•

… 4 …

સંકલ્પ

તે દિવસ પણ હું મારી જગાએ પહોચ્યો. ઝાડેથી ઝોળી, લાકડી પાડયાં. પછી જમણો પગ ઉપર સુધી વાળીને બાંધી દીધો. થેલીમાંથી ઝોળી, લૂંગી કાઢયાં. બાંધેલો પગ ઢંકાતી લૂંગી પહેરી દીધી. પગરખાં અને થેલી ઝોળીમાં મૂકયાં. ઝોળી ખભે ભેરવી અને હું  રસ્તા ઉપર આવ્યો.

'માઈ, દયા કરો … ભગવાન તમારું ભલું કરશે  …'  કહેતો હું ફરતો હતો. સમયાંતરે મારી ભરાતી હથેળી ગંજીના ગજવે ઠલવાતી હતી. …. ઠક ઠક કરતો હું આગળ જતો હતો. ત્યાં જ …. એક બેકાબૂ મોટરકાર પૂરપાટ ધસી આવી. લાકડી અને ઝોળી ફંગોળાયાં. કમાણી રસ્તે વેરાઈ ગઈ. હું હવામાં ઉછળી નીચે પડ્યો ! …. પાછળથી આવતી બીજી કાર મને વધુ કચડી ગઈ !! 

એક મહિને હું જ્યારે ભાનમાં આવ્યો ત્યારે મારા બંને પગ ન હતા !!  

બેકારીની નિરાશાએ જ મને ખોટું કરવા પ્રેર્યો હતો, જેની સજા મને મળી. 

'વિક્લાંગી સહાય' મેળવવા હું જરા પણ લાયક નથી તેથી હું વિનમ્રતાથી એનો અસ્વીકાર કરું છું. હું ફક્ત મહેનતથી જ કમાઈશ. 

અત્યાર સુધી મેં છુપાવેલી એક બીજી વાત પણ કહું? 

હું  એક ગ્રેજ્યુએટ છું અને કોઈ પણ નિરાશા મને હવે વિકલાંગ નહીં જ બનાવે. કદાપિ નહીં …..

… મારો આ સંકલ્પ સરકારી અફસરને જણાવી હું ખૂબ હળવો થયો. 

નિરાશા એ જ તો મોટી વિકલાંગતા છે.

e.mail :  gunvantvaidya@outlook.com

Loading

કાળની કેડીએ ઘડીક સંગ

નિરંજન ભગત|Poetry|10 March 2015

રે ભાઈ, આપણો ઘડીક સંગ;
આતમને તો ય જનમોજનમ લાગી જશે એનો રંગ !
ધરતી આંગણ માનવીના આ ઘડીક મિલનવેળા,
વાટમાં વચ્ચે એક દી નકી આવશે વિદાયવેળા!
તો કેમ કરીને ય કાળ ભૂલે ના એમ ભમીશું ભેળા !
હૈયાનો હિમાળો ગાળી ગાળીને વહશું હેતની ગંગ !
પગલે પગલે પાવક જાગે ત્યાં ઝરશું નેનની ઝારી,
કંટકપથે સ્મિતવેરીને મ્હોરશું ફૂલની ક્યારી;
એકબીજાને જીતશું, રે ભાઈ, જાતને જાશું હારી !
ક્યાં ય ના માય રે આટલો આજ તો ઉરને થાય ઉમંગ !

Loading

...102030...3,8513,8523,8533,854...3,8603,8703,880...

Search by

Opinion

  • એક સરકારી કર્મીનો પ્રેમપત્ર
  • બંધારણ – દેશનું દર્પણ, દેશની ઓળખ, દેશની શોભા  
  • નથુરામનું ‘હુતાત્મા’ પદ અને કુરુંદકરનો તર્ક
  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ
  • ઝાંઝવાનાં જળ

Diaspora

  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved