Opinion Magazine
Number of visits: 9695005
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

બરાકના રાજમાં બુકરની યાદ

દિવ્યેશ વ્યાસ|Opinion - Opinion|5 April 2015

અમેરિકાના પહેલા અશ્વેત રાષ્ટ્રપ્રમુખ તરીકે બરાક ઓબામા પહેલી વખત ૨૦૦૯માં ચૂંટાયા, ત્યારે તેમની સામે હારનારા ઉમેદવાર જોન મૈકેને એક શાનદાર વાત કરી હતી, "સદી પહેલાં જ્યારે બુકરે વ્હાઇટ હાઉસમાં પગ મૂક્યો ત્યારે જ બરાક ઓબામાના અમેરિકન પ્રમુખ થવાનાં બીજ વવાઈ ગયાં હતાં!" આ બુકર એટલે બુકર ટી. વોશિંગ્ટન, એક અશ્વેત અમેરિકન શિક્ષણકાર, જેમણે અમેરિકામાંથી રંગભેદને નાબૂદ કરવા માટે શિક્ષણના યજ્ઞ થકી આજીવન એક શાંતક્રાંતિ ચલાવી હતી.

બુકર અમેરિકાના એવા પહેલાં આફ્રિકન-અમેરિકન / અશ્વેત નાગરિક છે, જેમને અમેરિકાના પ્રમુખ દ્વારા વ્હાઇટ હાઉસમાં આમંત્રિત મહેમાન બનવાનું બહુમાન પ્રાપ્ત થયેલું. એટલું જ નહીં, એપ્રિલ-૧૯૪૦માં અમેરિકાની ટપાલ ટિકિટ પર સ્થાન મેળવનારા તેઓ પહેલા અશ્વેત નાગરિક બનેલા. એમ તો તેમની છાપવાળો અડધા ડોલરનો સિક્કો પણ ચલણમાં મુકાયો હતો.

પાંચ એપ્રિલ, ૧૮૫૬ના રોજ અમેરિકાના વર્જિનિયા સ્ટેટમાં જન્મેલા બુકર ટી. વોશિંગ્ટનનો આજે જન્મદિવસ છે. માત્ર અમેરિકન જ નહીં વિશ્વભરના અશ્વેત અને પછાત-વંચિત લોકોના પ્રેરણામૂર્તિ એવા બુકરની જિંદગી કેવી સંઘર્ષમય હતી, તેના વર્ણન માટે માત્ર એક જ વાત કાફી છે કે તેઓ ગુલામ પરિવારમાં પેદા થયેલા અને એ પણ કોઈ ગોરા પુરુષ થકી, જેનું નામ તેમને આજીવન જાણવા મળ્યું નહોતું. તેમની અટક સાવકા પિતા પાસેથી 'ઉપકાર' રૂપે મળેલી!

બુકર આમ તો મવાળવાદી ગણાતા હતા, કારણ કે તેમને ઉગ્ર-લોહિયાળ સંઘર્ષ કરતાં શિક્ષણની શક્તિ પર વધારે ભરોસો હતો. બાળપણથી જ ભણવામાં હોશિયાર એવા બુકરને પહેલેથી સમજાઈ ગયું હતું કે રંગભેદને નેસ્તનાબૂદ કરવો હોય અને અશ્વેત લોકોને પણ ગોરાઓના સમકક્ષ બનાવવા હોય તો શિક્ષણ વિના ચાલવાનું નથી. અલબત્ત, શિક્ષણ એટલે માત્ર અક્ષરજ્ઞાન મેળવીને કોઈનું ભલું થઈ શકે નહીં, અશ્વેતોની નવી પેઢીને શિક્ષિતની સાથે સાથે આર્થિક સ્વાવલંબનના પાઠ ભણાવવા અત્યંત જરૂરી છે, તે અંગે પણ તેઓ સભાન હતા અને એટલે જ એમણે માત્ર પચીસ વર્ષની યુવાન વયે ટસ્કેજીમાં શૈક્ષણિક સંસ્થા સ્થાપી ત્યારે શિક્ષણની સાથે ઉદ્યોગને પણ એટલું જ મહત્ત્વ આપ્યું હતું. ટસ્કેજીમાં અશ્વેત વિદ્યાર્થીઓને ઉદ્યોગ-વ્યવસાયનું વ્યાવહારિક જ્ઞાન મળે, એ માટે વિશેષ કાર્યશાળાઓ ઊભી કરી હતી. અબ્રાહમ લિંકન, બુકર, કાર્વર, માર્ટિન લ્યુથર કિંગ જેવા અનેક મહાનુભાવોના પ્રયાસો પછી એક અમેરિકન અશ્વેત આજે વ્હાઇટ હાઉસમાં રાજ કરી શકે, એટલો સક્ષમ થયો છે.

બુકરના જન્મદિવસે અશ્વેતના ઉદ્ધારની સાથે શિક્ષણની ચર્ચાપણ કરવી જ રહી. અમેરિકામાં વસતી એક ગુજરાતી યુવતીએ તાજેતરમાં ગુજરાતના એક વિચારપત્રમાં અહેવાલ લખ્યો છે, જેમાં અમેરિકામાં શિક્ષણ ક્ષેત્રની બદહાલતનો આછો ચિતાર મળે છે. આ અહેવાલમાં ૧૨મી માર્ચ, ૨૦૧૫ના રોજ ન્યૂ યોર્ક શહેરની લગભગ ૨૦૦ શાળાના વિદ્યાર્થીઓ અને વાલીઓએ કરેલા વિરોધ-પ્રદર્શનની વાત છે. પબ્લિક સ્કૂલના શિક્ષકોના મૂલ્યાંકન માટે રજૂ થયેલા ખરડાના વિરોધમાં લોકોએ દેખાવો કર્યા હતા. શિક્ષણના નામે બાળકો પર લદાતા બોજ અને શિક્ષણના ખાનગીકરણ સામે અવાજ ઉઠાવવામાં આવ્યો હતો.

આશા રાખીએ બરાકના રાજમાં બુકરના શિક્ષણ અંગેના વિચારો, જે ગાંધીજીના વિચારો સાથે ઘણું સામ્ય ધરાવે છે, તેને ફરી યાદ કરીને અનુસરવામાં આવે.

… અને આપણે ત્યાં ? વાત છોડો ને યાર ! 

e.mail : divyeshvyas.amd@gmail.com

સૌજન્ય : ‘સમય સંકેત’ નામે લેખકની કોલમ, “સંદેશ”, 05 અૅપ્રિલ 2015


http://sandesh.com/article.aspx?newsid=3060726

Loading

કાગડા બધે … !

ઋતા શાહ|Opinion - Opinion|5 April 2015

૧૨મી માર્ચ, ૨૦૧૫નો દિવસ. જે યોગાનુયોગ દાંડીકૂચના પંચ્યાશી વરસનો દિવસ અને સેલ્માથી મૉન્ટગોમરી માર્ચના પચાસ વરસની ઉજવણીના પંદર દિવસ પછીનો દિવસ. ગાંધીજીએ ૧૯૩૦માં દોરેલી દાંડીકૂચ અને માર્ટિન લ્યુથર કિંગે ૧૯૬૫માં સેલ્માથી મૉન્ટગોમરી દોરેલી Civil Right movement. બંને લોકોના હક માટેની અહિંસક લડત.

આ દિવસે ન્યુયૉર્ક શહેરની લગભગ ૨૦૦ જેટલી સ્કૂલના વિદ્યાર્થીઓ અને વાલીઓએ તેમની સ્કૂલ બહાર શાંતિપૂર્વક દેખાવો કર્યા. એનું કારણ એ હતું કે ન્યુયૉર્ક રાજ્યનાં ગવર્નર કુએમોએ પબ્લિક સ્કૂલના શિક્ષકોનાં મૂલ્યાંકન માટેનું નવું બિલ મૂક્યું છે. જો તે સફળ થાય તો.

૫૦ ટકા જેટલા શિક્ષકોનાં મૂલ્યાંકનનો આધાર વાર્ષિક પરીક્ષાનાં ગુણ પર રહે.

• ૩૫ ટકા જેટલો આધાર બહારનાં નિષ્ણાતની એક જ મુલાકાતનાં નિરીક્ષણ પર રહે.

• ૧૫ ટકા (ફક્ત!) જેટલો આધાર સ્કૂલના પ્રિન્સિપાલ, જે શિક્ષકના કામને નજીકથી દરરોજ જુએ છે, જરૂર પ્રમાણે દોરે છે, તેના મૂલ્યાંકન પર રહે.

ટૂંકમાં, એક જ વાર્ષિક પરીક્ષા પર મોટા ભાગનો ભાર રહે. સ્વાભાવિક રીતે જ વિદ્યાર્થીઓ અને શિક્ષકોનો બધો જ સમય અને શક્તિ વાર્ષિક પરીક્ષાની તૈયારીમાં ખર્ચાઈ જાય. તો પછી બાળકના માનસિક, શારીરિક વિકાસ અને ચેતો વિસ્તારનું શું ? આસપાસનાં વાતાવરણ, મ્યુિઝયમ, પ્રાણીસંગ્રહાલય, પ્રવાસો, પુસ્તકો, ફિલ્મો, રમત-ગમતો વગેરેમાંથી સહજ રૂપે પોષાતા અને વિસ્તરતાં કૌતુકનું શું ? અસરપસરની હૂંફ-સમજ અને એકબીજા સાથે હળીમળીને કામ કરવાથી થતાં જીવનઘડતરનું શું ? વળી, શિક્ષણ વિભાગે આ પરીક્ષાઓનો વહીવટ પ્રાઇવેટ કંપનીને સોંપ્યો છે, જે બાળકો અને શિક્ષણના ભોગે મિલિયન ડૉલર્સનો વેપાર કરે છે. વળી, આ પરીક્ષાઓ “High Stake”- ભારે બોજવાળી નિર્ણયાત્મક પરીક્ષા છે. કૉલમ્બિયા યુનિવર્સિટીના Humanityના પ્રોફેસરે જાત અનુભવ ખાતર આ પરીક્ષા લઈ જોઈ. એમણે કહ્યું કે આ પરીક્ષા મારે માટે પણ અઘરી છે. બાળકના શૈક્ષણિક વિકાસથી તદ્દન વિરુદ્ધ છે, અને અકારણે બાળક લઘુતાગ્રંથિ અને માનસિક તાણ અનુભવે છે જે બિનજરૂરી છે.

૨૦ વરસથી બાળકોના સાઇકોલૉજિસ્ટ તરીકે કામ કરતાં એક વાલીનું કહેવું છે કે એમણે પરીક્ષાના માહોલમાં નકારાત્મક વાતાવરણમાં ઊછરી રહેલા ઘણા વિદ્યાર્થીઓની સારવાર કરી છે. તેમના મતે નાની ઉંમરથી દરરોજ ઘણો સમય હોમવર્ક અને પરીક્ષાની તૈયારીમાં વીતાવવાથી કુટુંબ સાથેના સહજ મિલન અને હૂંફનો સમય રહેતો નથી. જેની સહુના – બાળક અને મોટેરાના વિકાસ માટે હવા-પાણી અને ખોરાક જેટલી પ્રાથમિક જરૂરિયાત છે. આનું પરિણામ આગળ જતાં માનસિક અને શારીરિક ડિપ્રેશન અને આત્મવિશ્વાસના અભાવમાં દેખાય છે. તો સૉફ્ટવેર એન્જિનિયર વાલીનું કહેવું છે કે ઘણા શિક્ષકો આર્થિક અને શૈક્ષણિક રીતે અવિકસિત સ્કૂલમાં દિલ દઈને કામ કરે છે. આ સ્કૂલોના ટેસ્ટ-સ્કોર સ્વાભાવિક રીતે નીચો છે. તો સમય અને શક્તિ ભરપૂર આપતા આવા પ્રતિબદ્ધ શિક્ષકોનો શું વાંક ? સહુ બાળકોને ખીલવા માટે સમાન તક – Equal Opportunity – હોવી જોઈએ, એ માટેના હકથી બાળકને કેમ વંચિત રાખી શકાય ?

આ દેખાવો દરમિયાન અનેક જગ્યાએ વિદ્યાર્થીઓ અને વાલીઓએ પ્રતિકાત્મક માનવ સાંકળ રચી હતી, જે સૂચવતી હતી.

‘We love our teachers.’

‘More teaching less testing.’

‘Test – Stress’

‘Save public education.’

Don’t judge a child / teacher because of his/her zip code.’

‘Protect our schools.’

ચાલો, દાંડીકૂચનાં પંચ્યાસીમા વરસે અને સેલ્માથી મૉન્ટગોમરી કૂચનાં પચાસ વરસે, આશા રાખીએ કે જાગૃત અને પ્રતિબદ્ધ વિદ્યાર્થીઓ અને વાલીઓનો નાનો પણ મક્કમ, અવાજ શિક્ષણવિભાગ અને સરકારને પહોંચે.

૨૩ માર્ચ, ૨૦૧૫

Hamilton Heights, New  York City — e.mail : rutanyc@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 01 અૅપ્રિલ 2015, પૃ. 19

Loading

ગાંધીકથાકાર, ચરિત્રકાર, સર્વોદયી નારાયણ દેસાઈની વિદાય

ઉર્વીશ કોઠારી|Opinion - Opinion|4 April 2015

તા. ૧૫ માર્ચ, ૨૦૧૫, રવિવાર. આજે સવારે સમાચાર મળ્યા. નારાયણ દેસાઈ ગયા. થોડા સમય પહેલાં એ કૉમામાં સરી ગયા પછી થોડા રિકવર થઈ રહ્યા હતા. ૯૦ વર્ષની ઉંમર તેમની સામે હતી ને દૃઢ મનોબળ તેમની સાથે. તેમની રિકવરીના સમાચાર જાણીને એકથી વધારે વાર એવો વિચાર આવ્યો હતો કે કાકા સાજા થાય પછી ‘સાર્થક સંવાદ શ્રેણી’ માટે તેમનો દીર્ઘ ઇન્ટરવ્યૂ કરવો છે; પરંતુ એ તક ન મળી.

આ લખાણમાં નારાયણભાઈના જીવન વિશેની વિગતો આપવાનો ઉપક્રમ નથી. થોડી અનૌપચારિક વાતો અને થોડાં સંભારણાં યાદ કરવાં છે.

મહાદેવભાઈ દેસાઈ પ્રત્યે અનન્યભાવ અને આદરને કારણે નારાયણભાઈ વિશે સાંભળેલું ખરું, પણ તેમને મળવાનું નડિયાદમાં તેમની ગાંધીકથા દરમિયાન થયું. ‘દિવ્ય ભાસ્કર’ની રવિવારની પૂર્તિ માટે તેમનો આખું પાનું ભરીને, એકંદરે જરા જુદી જાતનો કહેવાય એવો ઇન્ટરવ્યૂ કર્યો હતો. એ વખતે તેમણે ખૂલીને જવાબ આપ્યા હતા. પણ તેમના વ્યક્તિત્વમાંથી અનાવિલત્વની ઝીણી-ઝીણી ફુવારીઓ સતત ઊડતી રહેતી. (ક્યારેક તેમાંથી ફુવારો પણ થઈ જાય.) તેમની સાથે એક જ મુલાકાતમાં ફાવી જાય, એવી શક્યતા મારા જેવા માટે ઓછી. હવામાંથી આદર ડાઉનલોડ કરવાનું અમસ્તું ઓછું ફાવે. એટલે પ્રત્યક્ષ અનુભવ (કે વાચન) પછી જ ભાવ કે અભાવ જાગે. (ગાંધીની વાત કહેવા માટે ‘ગાંધીકથા’ના સ્વરૂપ સામે મને કેટલાક પ્રશ્નો હતા.)

નારાયણભાઈને ફરી જોવા-મળવાનું નડિયાદમાં જ થયું. નડિયાદ મહિલા આર્ટસ કૉલેજના આચાર્ય અને પરમ મિત્ર હસિત મહેતાએ ગુજરાતી સામયિકો વિશે એક અનોખો સેમિનાર તેમની કૉલેજમાં યોજ્યો. તેમાં રમણ સોની, દીપક મહેતા, જયદેવ શુક્લ જેવા સાહિત્ય અને અધ્યાપન જગતનાં ઘણાં નામો ઉપરાંત કુલીનકાકા (કુલીનચંદ્ર યાજ્ઞિક), રઘુવીર ચૌધરી, મહેન્દ્ર મેઘાણી અને નારાયણ દેસાઈ પણ ઉપસ્થિત હતા. (બધાં નામ અહીં આપતો નથી.)

એક વાર એવો ભેદી કાર્યક્રમ યોજાયો હતો કે સાહિત્ય પરિષદ(અમદાવાદ)ના પુસ્તકાલયમાં નારાયણભાઈ તેમને ગાંધીકથા દરમિયાન ભેટ તરીકે મળેલી ગાંધીજીની પ્રતિમા પરિષદને આપવાના હતા અને એ પુસ્તકાલયમાં વચ્ચોવચ મૂકાવાની હતી. પરિષદ-પ્રમુખ તરીકે ગાંધીજીની પ્રતિમા મૂકાય ત્યાં સુધી ઠીક, પણ એ પ્રતિમાના બેઝની પાછળ લખાયેલી ભેટની વિગતો પણ એમની એમ જ હતી, એ જરા વિચિત્ર લાગે એવું હતું.

નારાયણભાઈ સાહિત્ય પરિષદના પ્રમુખ બન્યા તે પહેલાં ઘણા બધાને બોલાવીને મળતા હતા. એવી રીતે મને પણ મળ્યા હતા. પણ તેમની સાથેની પહેલી – અને હવે છેલ્લી – નિરાંતવી, અનૌપચારિક મુલાકાત ૨૦ ઓક્ટોબર, ૨૦૧૪ની સાંજે થઈ. મિત્ર હસિત મહેતા સાથે તેમણે સંદેશો પાઠવ્યો હતો. એ સાંજે લગભગ એક-સવા કલાક સુધી, તેમના સદ્દગત મિત્ર નાનુભાઈ મઝુમદારના ભાઈ કિશોરભાઈના પંચવટી(અમદાવાદ)ના ઘરે ગપ્પાંગોષ્ઠિ થઈ. તેમને ‘સાર્થક જલસો’ના બે અંક આપ્યા. તેમણે મારી હાજરીમાં પાનાં ફેરવીને, શાંતિથી વાંચવાનું કહીને એ પાસે મૂક્યા.

ઘણા વખતથી સમયના અભાવે આવી મુલાકાતોની નોંધ કરી શકતો નથી, પણ તે દિવસે વળતાં ટ્રેનમાં જ નોંધ કરી લીધી હતી. એટલે એમાંથી થોડી વાતો, નારાયણભાઇ વિશેની મારી અંતરંગ સ્મૃિત તરીકે મૂકીને એમને વિદાય પાઠવું છું.

* * *

ટાગોરનાં ગીતોનો અનુવાદ

નાનુભાઈ મઝુમદારને વી.એસ. હોસ્પિટલમાં દાખલ કર્યા એ વખતની વાત કરતાં નારાયણભાઈએ કહ્યું હતું. ‘તેમને જોવા એટલા બધા લોકો આવતા હતા કે નર્સ કહે, આખી હોસ્પિટલમાં દર્દી આ એક જ લાગે છે. કેટલા બધા લોકો એમને જોવા આવે છે. એમની સાથે રાત રોકાવા માટે હું અહીં રહ્યો હતો. અમે નવ-દસ જણ રાત રોકાવા માટે તૈયાર રહેતા હતા. હું એમને ટાગોરનાં ગીતોના અનુવાદ કરીને સંભળાવતો. એ તેમાં કંઈ સૂચવે. એમને સંભળાવ્યા પછી જ હું ફાઇનલ કરું. એ મરણપથારીએ હતા. સાથે અરુણ ભટ્ટ પણ બેઠેલા હતા. એ સારુ ગાય. પણ નાનુભાઈએ મને રવીન્દ્રસંગીત ગાવા કહ્યું. હું વિચારતો હતો કે તેમની આ અવસ્થા માટે કયું ગીત ગાઉં. એટલામાં તે કૉમામાં જતા રહ્યા. અને પછી કદી બહાર આવ્યા જ નહીં. મને તેનો એટલો વસવસો રહી ગયો કે હું તેમને છેલ્લે છેલ્લે ગીત સંભળાવી શક્યો નહીં, એ અફસોસને કારણે મેં તેમને યાદ કરીને રવીન્દ્રનાં સો ગીતોના અનુવાદ કર્યા. પણ એ સ્વાનતઃ સુખાય. એ પ્રકાશિત કર્યા નથી. રવિ-ગીત તરીકે જે પ્રકાશિત કર્યા એ તો ચાળીસેક જ છે.’

રેંટિયાસંગીત અને રવીન્દ્રસંગીત

‘અત્યારના માહોલમાં ડિપ્રેશન નથી આવતું?’ એના જવાબમાં એમણે કહ્યું હતું,’ જ્યારે પણ એવું લાગે ત્યારે રેંટિયો કાંતું છું. (બાજુમાં પડેલી પેટી બતાવી) તેમાં સૌથી પહેલાં તો મેડિટેશન, પછી રિધમ અને ક્રિએટિવિટી તો ખરી જ.

બીજું છે રવીન્દ્ર-સંગીત. હું ગાઉં છું. બહુ સારો અવાજ તો નથી, પણ મારી રીતે ગાઉં. રવીન્દ્ર-સંગીત મને મારી સાસુ પાસેથી જાણવા-શીખવા મળ્યું. એ રવીન્દ્રનાથનાં પહેલી બેચનાં મહિલા શિષ્યાઓમાં. રવીન્દ્રનાથ ઘણી વાર ટ્યુન બનાવે, પણ પછી ભૂલી જાય. એટલે એ કોઈને સંભાળાવી રાખે અને કહે કે હું ભૂલી જઉં તો તારે મને યાદ અપાવવાની. એટલે એ મારાં સાસુને સંભાળવતાં. એ ૯૪ વર્ષની વયે ગયાં. પણ ૯૨ વર્ષ સુધી ગાતાં હતાં. છેલ્લે એ શબ્દો ભૂલી જાય ત્યારે હું એમને શબ્દો યાદ કરાવતો હતો.

બીજો મહાદેવભાઈનો વારસો. મહાદેવભાઈએ ગાંધીજી પાસે જતાં પહેલાં ટાગોરના ચિત્રાંગદા જેવા અનુવાદ કરેલા. એટલે એમનો મૂળ જીવ તો ટાગોરનો. આ બાબતમાં હું ગાંધીજી કરતાં ટાગોરની વધારે નજીક છું.

રાજગોપાલાચારી – રાજાજી, એમ.એસ. સુબ્બલક્ષ્મી સાથેનો નાતો

હું બનારસ હતો ત્યારે રાજાજીએ તેમનાં બહેનનાં અસ્થિ ગંગામાં વિસર્જન માટે મને મોકલ્યાં હતાં. મેં વિસર્જન કરીને તેમને વિગત લખી કે મને વિધિવિધાન તો ખબર નથી, પણ મેં નદીની વચ્ચે જઈને ઈશોપનિષદનો પાઠ કરીને વિસર્જન કર્યું. એ પત્રના જવાબમાં રાજાજીએ લખ્યું કે મહાદેવભાઈ હોત તો આવું જ કરત. આ ઘટનાના થોડા મહિના પછી રાજાજીનું અવસાન થયું, ત્યારે તેમનાં બધાં પરિવારજનો હાજર હોવા છતાં, તેમનાં અસ્થિ બનારસ અને અલાહાબાદમાં વિસર્જન કરવા માટે મને કહેવામાં આવ્યું.

રાજાજીને પત્રકારો જોડે વ્યક્તિગત સંબંધો હતા. એટલે ૧૯૪૨ પછી તેમનો રસ્તો જુદો પડ્યો, અને એ લગભગ પાકિસ્તાનની તરફેણમાં હોય એવું લાગતું હતું, ત્યારે પણ બધા પત્રકારો તેમની સાથે હતા. તમિલનાડુના મોટા અખબાર કલ્કિના એડિટરનું તેમણે સુબ્બલક્ષ્મી સાથે લગ્ન કરાવ્યું હતું. રાજાજીના સંબંધે હું જઉં ત્યારે સુબ્બલક્ષ્મી મારી સામે ગાય અને ભારત-રત્ન સુબ્બુલક્ષ્મી વેઢમી બનાવીને જમાડે. કારણ કે હું મહાદેવ દેસાઈનો દીકરો અને મહાદેવભાઈ રાજાજીના મિત્ર.

વિદ્યાપીઠનું કુલપતિપદું, પરિષદનું પ્રમુખપદું

‘જોબ સેટિસ્ફેક્શન કેવુંક મળ્યું?’ એવા સવાલના જવાબમાં એમણે કહ્યું, ‘જોબ સેટિસ્ફેક્શનનો સવાલ નથી, કારણ કે બન્ને ઠેકાણેથી મને સામેથી કહ્યું હતું અને મારી શરત હતી કે સર્વ સમંતિ હોય તો જ હું પદ સ્વીકારું. પરિષદમાં એટલું થયું કે મારા કાર્યકાળમાં અમદાવાદ કેન્દ્રી પરિષદ ગુજરાતમાં ઠેકઠેકાણે પહોંચી અને બધાને લાગ્યું કે પરિષદ અમારે આંગણે આવી.’

‘વિદ્યાપીઠમાં એ લોકો મને વેડછી મળવા – કહેવા આવ્યા હતા. વિદ્યાપીઠમાં એવો ધારો છે કે કુલપતિના મૃત્યુ પછી જ નવો કુલપતિ નીમાય, પરંતુ મેં પહેલેથી કહ્યું હતું કે હું એવું ઇચ્છતો નથી. આમ તો મેં એમને તારીખ પણ આપી દીધી હતી, પણ અત્યારે કુલનાયક પણ નવા હોય ત્યારે હું છોડી દઉં એના કરતાં કુલનાયક આવે ને સેટ થઈ જાય પછી હું છોડીશ.’ (તા.ક. – નારાયણભાઇ પછી ઈલાબહેન ભટ્ટ આ પદે નીમાયાં.)

અમારી વાતચીત વખતે એક બહેન કશીક સહી કરાવવા આવ્યાં અને કાકા આગળ મોટા અવાજે બોલવા લાગ્યાં, એટલે કાકા સહેજ બગડ્યા. કહે, ‘મેં મશીન પહેરેલું છે. એટલે મોટેથી બૂમો નહીં પાડો તો ચાલશે.’

હવે ગમે તેટલું મોટેથી બોલવાથી પણ કાકા સાંભળે એમ નથી. ફેસબુક પર તેમના મૃતદેહના ક્લોઝ-અપ જોઇને ખેદ થાય છે. કાકા માટે પ્રચંડ માત્રામાં આદરભાવ ન હોવા છતાં, માપસરનો પ્રેમભાવ થયો, તેના કારણે હું એમને ફેસબુક પર મુકાતા ભયાનક સ્વરૂપના ફોટાથી યાદ રાખવા માગતો નથી.

સૌજન્ય : http://urvishkothari-gujarati.blogspot.in/

સૌજન્ય : “નિરીક્ષક”, 01 અૅપ્રિલ 2015; પૃ. 06−07

Loading

...102030...3,8343,8353,8363,837...3,8403,8503,860...

Search by

Opinion

  • એક સરકારી કર્મીનો પ્રેમપત્ર
  • બંધારણ – દેશનું દર્પણ, દેશની ઓળખ, દેશની શોભા  
  • નથુરામનું ‘હુતાત્મા’ પદ અને કુરુંદકરનો તર્ક
  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ
  • ઝાંઝવાનાં જળ

Diaspora

  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved