Opinion Magazine
Number of visits: 9771429
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

વિદ્રોહ અને ગુમનામી

તેજસ વૈદ્ય|Opinion - Opinion|17 June 2015

હાલમાં જ પશ્ચિમ બંગાળમાં કાઝી નઝરૂલ ઇસ્લામ એરપોર્ટનું ઉદ્દઘાટન થયું. જેના પ્રથમ મુસાફર વડાપ્રધાન નરેન્દ્ર મોદી બન્યા હતા. એરપોર્ટને કાઝી નઝરૂલ ઇસ્લામ એવું નામ અપાયું છે. જે બંગાળના કવિ, સ્વાતંત્ર્યવીર, સંગીતકાર હતા. તેઓ પાકિસ્તાન બનવું જોઈએ એવા આંદોલનના પ્રખર વિરોધી હતા. બંગાળમાં રવીન્દ્રનાથ ઠાકુર પછી કોઈનું નામ એટલા જ પ્રેમાદરપૂર્વક લેવાતું હોય તો એ કાઝી નઝરૂલ ઇસ્લામ છે. પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનર્જીને નઝરૂલનાં કાવ્યો કંઠસ્થ છે. બાંગ્લાદેશે તો તેમને રાષ્ટ્રીય કવિ ઘોષિત કર્યા છે. ભારતે તેમને પદ્મભૂષણથી નવાજ્યા છે. નઝરૂલ જનતાના કવિ હતા. રવીન્દ્રનાથ ઠાકુરે તેમની નૃત્યનાટિકાનું પુસ્તક 'વસંત' તેમને સર્મિપત કર્યું હતું. તેમના જીવનનાં છેલ્લાં પચીસેક વર્ષ ભયંકર હતાં. તેમને એવી બીમારી લાગુ પડી હતી જેને લીધે તેઓ સ્મરણશક્તિ અને અવાજ ગુમાવી બેઠા હતા. જે માણસ વિદ્રોહનો પર્યાય હતો એનાં છેલ્લાં વર્ષો ગુમનામ હતાં. કાઝી નઝરૂલ ઇસ્લામ વિશે જાણવાનો પ્રયાસ કરીએ

કેટલાંક પાત્રો એવાં હોય છે કે જેમને ઇતિહાસ દિલથી યાદ રાખે છે. તેમનાં નામ પાઠયપુસ્તકોમાં હોંશભેર લેવાય છે. રાષ્ટ્ર તેમનાં ગીતો ગાય છે. તે આમ જનતાના રુદિયે રાજ કરે છે. જો કે, ઇતિહાસમાં અંકિત આવાં વ્યક્તિત્વોને સમય એટલે કે ખુદ ઇતિહાસ ક્યારેક અન્યાય પણ જબરો કરે છે. વાત થોડી અટપટી છે. સરળ કરી દઈએ. બંગાળી ભાષામાં રવીન્દ્રનાથ ઠાકુર ઉપરાંત કાઝી નઝરૂલ ઇસ્લામ પણ ઊંચા ગજાના કવિ હતા. બંગાળમાં તો કાઝી નઝરૂલ ઇસ્લામના નામનાં એરપોર્ટ બંધાયાં છે. બાંગ્લાદેશના રાષ્ટ્રકવિ એવા નઝરૂલના નામની અનેક સ્કૂલો, કોલેજો અને જાહેર માર્ગો ત્યાં છે, પરંતુ આવું દિગ્ગજ નામ બંગાળી સિવાય ખાસ કોઈ જાણતું નથી.

કલકત્તાના ચુરૂલિયામાં જન્મેલા કાઝી નઝરૂલ ઇસ્લામ કવિ, સ્વાતંત્ર્યવીર અને સંગીતકાર હતા. રવીન્દ્રનાથ ઠાકુરે જેમ રવીન્દ્ર સંગીત નામની સંગીતની આગવી શાખા વિકસાવી હતી એવી જ રીતે કાઝી નઝરૂલ ઇસ્લામે પણ પોતાનાં ગીતોની આગવી સંગીતશૈલી વિકસાવી હતી જે 'નઝરૂલ ગીતી' તરીકે જાણીતી છે. બંગાળનાં પ્રસિદ્ધ ગાયિકા જ્યુથિકા રોય નઝરૂલ ગીતી ખૂબ ગાતાં હતાં. સંગીતકાર સચીનદેવ બર્મને ગાયક તરીકે પહેલું જે ગીત રેકોર્ડ કર્યું એ કાઝી નઝરૂલ ઇસ્લામનું હતું. નઝરૂલ પોતે અદ્દભુત વાંસળીવાદક હતા. બંગાળી ભાષાના કેટલાક વિવેચકો તેમને રવીન્દ્રનાથ ઠાકુર પછીના બીજા મહાન કવિ ગણે છે. કેટલાંક તેમને કવિ કરતાં ય મહાન સંગીતકાર ગણે છે.

બંગાળ તેમ જ બાંગ્લાદેશના હૈયે તેમ જ હોઠે રહેલા આ મહાન કવિના જીવનની વિટંબણા એ હતી કે તેમણે જીવનનાં પચીસેક વર્ષ ગુમનામીમાં વિતાવ્યાં હતાં. અલબત્ત, બંગાળ અને બાંગ્લાદેશ તો તેમના નામનાં ઓવારણાં લેતા હતા, પરંતુ એ વર્ષો તેમનાં એવાં હતાં કે તેમને પોતાને જ ખબર નહોતી કે પોતે કોણ છે? વિચારો કે જેને રાષ્ટ્રનાં મહાન ખિતાબો અને અકરામો એનાયત થતાં હોય, જેને રાષ્ટ્રકવિ ઘોષિત કરવામાં આવતા હોય અને એ માણસને પોતાને જ કશું ખબર ન પડતી હોય એવી દશામાં એ હોય તો એ વિધિની કેવી વિચિત્રતા કહેવાય? સમયે તેને કરેલો એ કેવો અન્યાય કહેવાય? જીવનની કેટલીક ગતિ અકળ જ નહીં અકળાવનારી હોય છે.

કાઝી નઝરૂલ ઇસ્લામ એટલે કોણ? આવો સવાલ જો બંગાળમાં પૂછવામાં આવે તો દશમાંથી આઠ કે નવ લોકો તેમના વિશેની વિગતો જણાવી શકે. આ જ સવાલ જો બાંગ્લાદેશમાં પૂછવામાં આવે તો દશમાંથી દશ લોકો તેમનું સમગ્ર જીવન કહી સંભળાવે. મુદ્દાની વાત એ પણ છે કે બંગાળ અને બાંગ્લાદેશમાં જો આવો સવાલ પૂછવામાં આવે તો લોકો સવાલ પૂછનારની કિંમત કરી લે. હાંસી ઉડાવે.

ઉર્દૂ પછી સૌથી વધુ ગઝલો ગુજરાતમાં લખાય છે. ગુજરાતમાં કાવ્યોનાં સામયિકો પણ માતબર ચાલે છે. ગુજરાતમાં નવા યુવા કવિઓનો પણ મોટો ફાલ આવ્યો છે. જેમાંના કેટલાંક ખરેખર ગુણિયલ કાવ્યો લખે છે. છતાં ગુજરાતના કેટલા યુવા કવિઓને કાઝી નઝરૂલ ઇસ્લામ વિશે ખબર હશે એ સવાલ છે અને શોધનો વિષય પણ છે! રવીન્દ્રનાથ ઠાકુર વિશે લોકોને ખબર છે, પણ નઝરૂલ વિશે ગુજરાતના કવિઓને જો ન ખબર હોય તો એ વાંક ગુજરાતના સાક્ષરોનો છે.

કાઝી નઝરૂલ ઇસ્લામ ૮ વર્ષના હતા ત્યારે તેમના પિતા ગુજરી ગયા હતા. ઘરમાં ગરીબી હટાવી ન શકાય એવા દુ:શ્મનની જેમ ઘેરો ઘાલીને બેઠી હતી. ચુરૂલિયા ગામમાં જ આવેલી એકમાત્ર મક્તબ-મદ્રેસામાં તેમણે ફારસી અને અરબીની પ્રાથમિક તાલીમ મેળવી હતી. એ જ શાળામાં પછી તેમણે ભણાવ્યું પણ હતું. કટ્ટર મુસ્લિમ પરિવારમાંથી આવતા હોવા છતાં નઝરૂલે નાની ઉંમરે જ કુર્રાન ઉપરાંત બંગાળી ભાષામાં અનુદિત 'રામાયણ', 'મહાભારત' વગેરે ધર્મગ્રંથો વાંચી લીધા હતા. એ ઉપરાંત પણ અન્ય ધર્મોના ગ્રંથ તેમણે વાંચી લીધા હતા. બધું વાંચ્યા પછી તેમને એ સમજાતાં વાર ન લાગી કે સાંપ્રદાયિક સદ્દભાવના પાયાની બાબત છે. ધર્મથી ઉપર ઊઠીને માણસે માનવતાનો જય જયકાર કરવો રહ્યો. સૌથી મોટો ધર્મ માણસ એ માણસ થઈને રહે એ છે, નહીં કે એ કોઈ ધર્મનો અનુયાયી. વાંચો નઝરૂલનું આ કાવ્ય :

એ કોણ લોકો છે જેઓ માણસ સાથે ઘૃણા કરીને
કુર્રાન, વેદ, બાઇબલને ચૂમે છે!
તેમની પાસેથી ગ્રંથો છીનવી લો.
મનુષ્યને મારીને ગ્રંથ પૂજે છે, ઢોંગીઓનાં ટોળાં.
સાંભળો હે મૂર્ખાઓ!
મનુષ્ય જ ગ્રંથ લાવ્યા છે
ગ્રંથ નથી લાવ્યા કોઈ મનુષ્યને.
લશ્કરી છાવણીમાં રૂમી અને ઉમર ખય્યામ!

એ વખતે અંગ્રેજોનું રાજ હતું તેથી રાષ્ટ્રીય એકતા કેટલી જરૂરી છે એની સ્પષ્ટતા તેમના મનમાં હતી. ગામમાં શિક્ષણપ્રાપ્તિની અન્ય કોઈ વ્યવસ્થા નહોતી, તેથી તે 'લીટો દળ' નામની નાટયમંડળી સાથે જોડાયા હતા. એ મંડળી વિભિન્ન સામાજિક અને રાજકીય સમસ્યાઓ પર વ્યંગ નાટકો ભજવતી હતી. તેમણે નાનપણમાં બેકરીમાં પાંઉ શેકવાની નોકરી પણ કરી હતી. લીટો દળ સાથે જોડાયા બાદ તેમનામાં વિદ્રોહનાં બીજને હવા, પાણી અને ખાતર મળ્યાં. એક દિવસ તેઓ એ નાટયમંડળીના પ્રમુખ પણ બન્યા. ચંચળ જીવના નઝરૂલ ત્યાં ઝાઝું ન ટક્યા અને રાનીગંજ – બર્દવાન જઈને સ્કૂલમાં આઠમા ધોરણમાં ભર્તી થઈ ગયા. હોસ્ટેલમાં રહેવા લાગ્યા. ૧૯૧૭માં સ્કૂલનાં અંતિમ વર્ષોમાં ફીનાં ફાંફાં પડયાં એટલે ભણવાનું પડતું મૂકી દીધું. એ વખતે તેમની ઉંમર ૧૮ વર્ષ હતી. પછી તેઓ બ્રિટિશ આર્મીમાં જોડાયા. એ વખતે પ્રથમ વિશ્વયુદ્ધ ચાલતું હતું. સિપાહી તરીકે ૪૯મી બંગાળ રેજિમેન્ટના સભ્ય તરીકે તેમને નૌશેરા મોકલવામાં આવ્યા અને ત્યાંથી કરાંચીની છાવણીમાં મોકલવામાં આવ્યા. તેઓ છાવણીમાં ક્વોર્ટર માસ્ટર હતા. જેનું કામ સિપાઈઓને મદદરૂપ થવાનું અને સગવડ સાચવવાનું હતું. લશ્કરી છાવણીના આ દિવસો દરમ્યાન નઝરૂલે એક પંજાબી મૌલવી પાસેથી ફારસી ભાષાનું વધુ જ્ઞાન મેળવ્યું અને મહાકવિ રૂમી, હાફિઝ, ઉમર ખય્યામની રચનાઓનો ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો. લશ્કરી છાવણીમાં કોઈ સિપાઈ સાહિત્યનો અભ્યાસ કરે એ વાત જ કેટલી ઇન્ટરેસ્ટિંગ છે નહીં !

૧૯૨૦માં નઝરૂલ રેજિમેન્ટમાંથી નીકળીને કલકત્તા આવી ગયા. ત્યાં બંગાળી મુસ્લિમ લિટરરી સોસાયટી સાથે જોડાયા. એ પછી પોતાનો પહેલો કાવ્યસંગ્રહ 'બોધન' રજૂ કર્યો. એ પછી તો કવિ તરીકે નામના મેળવવા લાગ્યા. નઝરૂલ રવીન્દ્રનાથ ઠાકુરને પોતાના ગુરુ માનતા હતા. ૧૯૨૨માં તેમનું વિદ્રોહી નામનું કાવ્ય બિજલી નામના સામયિકમાં છપાયું અને દેશભરમાં તેમનું નામ જાણીતું થઈ ગયું. એ પછી 'વિદ્રોહી કવિ' તરીકે તેમનું નામ જાણીતું થઈ ગયું અને અંગ્રેજોની તેમના પર વિશેષ નજર પણ રહેવા માંડી. ઓગસ્ટ ૧૯૨૨માં તેમણે 'ધૂમકેતુ' નામનું સામયિક શરૂ કર્યું. સપ્ટેમ્બરમાં ત્યાં દરોડો પડયો અને નઝરૂલની ધરપકડ કરવામા આવી.

૧૪ એપ્રિલ, ૧૯૨૩ના રોજ તેમને અલિપોરની જેલમાંથી હુગલીની જેલમાં લઈ જવાયા. જ્યાં તેમણે અંગ્રેજો સામે ૪૦ દિવસના ઉપવાસ આદર્યા. એક મહિના કરતાં લાંબા તેમના ઉપવાસ ચાલ્યા અને પછી ડિસેમ્બર મહિનામાં તેમને જેલમાંથી છોડી મુકાયા. જેલવાસ દરમ્યાન તેમણે ઘણાં કાવ્યો લખ્યાં અને સંગીતબદ્ધ કર્યાં. એ દાયકામાં તેમની ઘણી રચનાઓ પર અંગ્રેજોએ પ્રતિબંધ મૂક્યો હતો. ધર્મ અને રાજનીતિના નામે લોકોને જે રીતે ઉશ્કેરવામાં આવતા હતા એનો નઝરૂલે પોતાનાં કાવ્યોમાં પર્દાફાશ કર્યો હતો. લોકો ધર્મ નહીં પણ માનવતાના ધોરણે એક થઈને બ્રિટિશરો સામે લડત માંડે એ માટે તેઓ સતત કાર્યરત હતા. ધર્મ અને જાતિના ધોરણે પાકિસ્તાન નામનો અલગ દેશ બનવો જોઈએ એના તેઓ સખત વિરોધી હતા.

પુત્રનું નામ કૃષ્ણમોહમ્મદ

તેમણે પ્રમિલાદેવી નામની હિન્દુ મહિલા સાથે પ્રેમવિવાહ કર્યા હતા. પ્રમિલાદેવી બ્રહ્મસમાજ સાથે જોડાયેલાં હતાં. નઝરૂલનાં લગ્નનો કેટલાંક રૂઢિચુસ્ત મુસ્લિમોએ વિરોધ કર્યો હતો. નઝરૂલને તેની પરવાહ જ નહોતી, કારણ કે તેઓ ધર્મના દંભ અને રૂઢિચુસ્તતાના જૂના બંડખોર હતા. નઝરૂલને ચાર સંતાન થયાં હતાં. જેનાં નામ જાણવા જેવાં છે. એક પુત્રનું નામ કૃષ્ણ મોહમ્મદ હતું. બીજાનું નામ અરિન્દમ, ત્રીજાનું નામ સવ્યસાચી અને ચોથો અનિરુદ્ધ.

ગાંધીજીના અસહકાર આંદોલનથી પ્રભાવિત થઈને નઝરૂલે કાવ્ય લખ્યું હતું. જેનો એક અંશ જુઓ, "પરાધીન માતાના આંગણામાં આ કૌન પાગલ પથિક દોડી રહ્યો છે. એની પાછળ એનાં ત્રીસ કરોડ ભાઈ-બહેનો મોતને હાકલ નાખતાં નાખતાં ગીત ગાતાં જઈ રહ્યાં છે." ગાંધીજી સાથે તેઓ કેટલીક બાબતે અસહમત પણ હતા. એ અસહમતી આદરપૂર્વકની હતી.

ગુમનામ વર્ષો

બિનસાંપ્રદાયિકતાને પોંખનારા અને પોષનારા જે નીવડેલા કવિઓ દેશમાં થયા છે એની પ્રથમ પંક્તિમાં કાઝી નઝરૂલ ઇસ્લામ બિરાજે છે. તેમનાં કાવ્યોમાં ફાસિઝમ અને દમન સામે વિદ્રોહ હતો. દરેક ધર્મના દંભ સામે તેમનાં કાવ્યો પરબારો પડકાર હતા. નઝરૂલે વાર્તા, નવલકથા, નિબંધો વગેરે પણ લખ્યાં હતાં, પરંતુ તે ઓળખાયા કાવ્યોથી. તેમણે ચાર હજાર કાવ્યો બંગાળીમાં લખ્યાં. એમાંથી ઘણાં ખરાં કાવ્યોને સ્વરબદ્ધ પણ તેમણે જ કર્યાં હતાં.

૧૯૪૨માં તેમની ઉંમર ૪૩ વર્ષની હતી. એ વખતે નહોતું પાકિસ્તાન રચાયું કે નહોતું પૂર્વ પાકિસ્તાન એટલે કે આજનું બાંગ્લાદેશ. ૪૩ વર્ષની ઉંમરે તેમને કોઈ અજીબ બીમારી લાગુ પડી હતી. એ બીમારીને લીધે તેમણે પોતાનો અવાજ અને મેમરી એટલે કે સ્મરણશક્તિ ગુમાવી હતી. ૧૯૫૫ પછી તો તેઓ સાવ જીવતુંજાગતું પૂતળું બની ગયા હતા. ૧૯૬૨માં તેમના પત્નીનું અવસાન થયા પછી તો લગભગ આઇ.સી.યુ.માં જ રહ્યા. ૧૯૭૬માં તેમનો દેહાંત થયો હતો. જીવનનાં પચીસેક વર્ષ તેમણે સાવ ગુમનામીમાં વિતાવ્યાં. એ વર્ષોમાં તેમને પોતાના અસ્તિત્વની ય ખબર નહોતી. ૧૯૭૧ના ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પાકિસ્તાનથી અલગ થઈને સ્વતંત્ર દેશ બન્યો. ત્યાર પછી નઝરૂલને બાંગ્લાદેશના રાષ્ટ્રીય કવિ ઘોષિત કરવામાં આવ્યા હતા. વિટંબણા જુઓ કે જેને પોતે શું છે એની ખબર નથી તેને રાષ્ટ્રીય કવિ જેવી શ્રેષ્ઠ ઉપાધિ આપવામાં આવી ત્યારે એના માન-અકરામની પણ ક્યાંથી ખબર હોય!

બંગાળના સાહિત્યની વાત થાય છે ત્યારે રવીન્દ્રનાથ ઠાકુર, તારાશંકર બંદોપાધ્યાય, સુનીલ ગંગોપાધ્યાય વગેરેનો જ વધુ ઉલ્લેખ થાય છે. કાઝીનો ઉલ્લેખ લોકો ચૂકી જાય છે અથવા જાણી જોઈને ચાતરી જાય છે. કાઝી બાંગ્લાદેશના રાષ્ટ્રીય કવિ હતા, પરંતુ સવાયા ભારતીય કવિ હતા.

દરેક ઉત્કૃષ્ટ કવિનાં નસીબ રવીન્દ્રનાથ ઠાકુર જેવાં નથી હોતાં કે દેશ સમગ્ર તેમની રચનાઓનો મુરિદ હોય અથવા તો સમગ્ર દેશના લોકો તેમનાં નામ અને કેટલીક રચનાથી વાકેફ હોય. કોઈ કવિ કે લેખક એવી પૂર્વધારણા કે ગણતરી સાથે લખતો ય નથી હોતો કે તેની રચના તેની ભાષા પૂરતી મર્યાદિત ન રહેતાં જગત સમગ્રમાં પ્રસરે. એ તો સહજ રીતે પોતાનું કર્મ અદા કરતો હોય છે. આ વાતની સાખ પૂરીને એ લખવાનું કે એ જવાબદારી લોકોની છે. લોકોએ પોતાની ભાષાના ઉત્કૃષ્ટ સાહિત્ય સુધી પહોંચવું રહ્યું. પોતાની ભાષા સિવાયની અન્ય ભાષાના ઉમદા સાહિત્ય સુધી પહોંચવું રહ્યું. એ લોકોની જવાબદારીની વાત છે.

રવીન્દ્રનાથ ઠાકુર અને નઝરૂલ : એક દાખલારૂપ દોસ્તી

કાઝી નઝરૂલ ઇસ્લામનું કવિતાના ક્ષેત્રમાં ત્યારે આગમન થયું હતું જ્યારે સાહિત્યમાં રવીન્દ્રનાથ ઠાકુરનો ડંકો વાગી ચૂક્યો હતો. બંગાળના ઘણા કવિની રચનાઓ પર ઠાકુરનો પ્રભાવ દેખાતો હતો. કાઝી પણ ઠાકુરને પોતાના ગુરુ માનતા હતા. કાવ્યરચનામાં કાઝીએ પોતાની મૌલિક મુદ્રા વિકસાવી હતી. બંગાળીઓએ તેમને દિલથી બિરદાવ્યા હતા.

ઠાકુર અને કાઝીની કવિતાઓનો ટોન અલગ અલગ છે. મજાની વાત એ છે કે બંને સાહિત્ય ઉપરાંત સંગીતના પરખંદા હતા. બંનેએ પોતાની આગવી સંગીતશૈલી આપી હતી. રવીન્દ્ર સંગીત અને નઝરૂલ સંગીત. બંનેમાં સામ્ય એ પણ હતું કે બંનેનાં કાવ્યોમાં જે પુણ્યપ્રકોપ હતો એ માણસ માણસના પરસ્પર પ્રેમ માટે પ્રયાસબદ્ધ હતો. નઝરૂલ હાઈસ્કૂલમાં અભ્યાસ કરતા હતા ત્યારે તેમના દોસ્તે રવીન્દ્રનાથ ઠાકુરની કોઈ રચનાની ટીકા કરી તો નઝરૂલે તેને ઈંટ મારીને ઘાયલ કર્યો હતો. પોલીસ કેસ થયો હતો અને નઝરૂલે કેટલાક કલાકો જેલમાં વિતાવવા પડયા હતા.

રવીન્દ્રનાથ ઠાકુરના નોબેલ પારિતોષિક કાવ્યસંગ્રહ 'ગીતાંજલિ'નાં અનેક કાવ્યો નઝરૂલને મોઢે હતા. તેઓ જ્યારે દોસ્ત મોહમ્મદ શહિદુલ્લાહ સાથે શાંતિનિકેતનમાં રવીન્દ્રનાથ ઠાકુરને મળવા ગયા ત્યારે ત્યાં પહોંચતા સુધીમાં ગીતાંજલિના કેટલાં ય કાવ્યો શહિદુલ્લાહને સંભળાવ્યાં હતાં. ઠાકુર અને નઝરૂલનો ભેટો થયો ત્યારે શહિદુલ્લાહે કહ્યું કે ગીતાંજલિના ઘણાં કાવ્યો કાઝીને કંઠસ્થ છે. એ સાંભળીને રવીન્દ્રનાથે કહ્યું કે, "વાહ, તમારી મેમરીને દાદ દેવી પડે. મને પણ ગીતાંજલિનાં મારાં કાવ્યો કંઠસ્થ નથી." નઝરૂલે કહ્યું કે, "ગુરુદેવ, મારી એવી લાંબા સમયથી ઇચ્છા છે કે તમારું એકાદ કાવ્ય તમારા અવાજમાં સાંભળું." ગુરુદેવે કહ્યું કે, "મારી પણ એવી ઇચ્છા છે કે તમારાં કાવ્ય તમારા અવાજમાં સાંભળું." સહેજ પણ આગ્રહ કે ઔપચારિકતા વગર નઝરૂલે પોતાનું કાવ્ય લલકારવા માંડયું.

રવીન્દ્રનાથ ઠાકુર, હું તમારું ખૂન કરવા આવ્યો છું

૬ જાન્યુઆરી, ૧૯૨૨ના રોજ બંગાળી વીકલી 'બિજલી'માં કાઝીની પ્રખ્યાત રચના 'વિદ્રોહી' છપાઈ હતી. એના બીજા જ દિવસે એ મેગેઝિનના ચાર અંક લઈને નઝરૂલ રવીન્દ્રનાથ ઠાકુર પાસે મારતે ઘોડે પહોંચ્યા. દાદરો ચઢતાં ચઢતાં કાઝીએ ઉત્સાહભેર કહ્યું કે "ગુરુદેવ… ગુરુદેવ." ઠાકુરે તેમને જોઈને હસતાં હસતાં કહ્યું કે, "કાઝી શું થયું છે? કેમ આટલું જોશભેર બોલો છો?" કાઝીએ કહ્યું કે, "ગુરુજી હું તમારું ખૂન કરવા આવ્યો છું." ગુરુદેવે કહ્યું કે, "મારામાં વળી ખૂન કરવા જેવું શું છે?" તમે ઉપર આવો, બેસો અને માંડીને વાત કરો." કાઝી અને ગુરુદેવ બેઠા અને કાઝીએ પોતાની કવિતા વિદ્રોહીનું પઠન શરૂ કર્યું. કવિતાના વિવિધ આરોહ-અવરોહ સાથે કાઝીની ભાવભંગિમા પણ એને અનુરૂપ થઈ જાય. જાણે નાટકનો કલાકાર કાવ્યમંચન કરતો હોય એ રીતે તેમણે કવિતા વાંચી. કવિતા પૂરી થઈ એટલે રવીન્દ્રનાથ ઠાકુર ઊભા થયા. તેમને ગળે વળગાળ્યા અને કહ્યું કે, "નઝરૂલ, તમે ખરેખર મારું ખૂન કરી નાખ્યું."

૧૯૨૨ના ઓગસ્ટમાં નઝરૂલે 'ધૂમકેતુ' સામયિક શરૂ કર્યું ત્યારે ઠાકુરને જણાવ્યું કે તમે આશીર્વાદરૂપે કંઈક લખી આપો. એ વખતે ઠાકુરે ધૂમકેતુ નામના તારાને કેન્દ્રમાં રાખીને એક કાવ્ય લખી આપ્યું હતું જે એ સામયિકના દરેક અંકમાં મુદ્રાલેખની જેમ છપાતું હતું. એ સામયિક માટે તેમની ધરપકડ થઈ ત્યારે ૧૯૨૩માં કાઝીએ હુગલીની જેલમાં પોતાની ભૂખ હડતાળ શરૂ કરી હતી. એ વખતે રવીન્દ્રનાથ શિલોંગમાં હતા. તેમને જાણ થઈ ત્યારે ખૂબ ચિંતા થઈ અને નઝરૂલને ટેલિગ્રામ કર્યો કે, "ગીવ અપ યોર હંગર સ્ટ્રાઇક, અવર લિટરેચર ક્લેઇમ્સ યુ – તમે ભૂખ હડતાળ છોડી દો. આપણું સાહિત્ય એવી માંગ કરે છે."

આ એક વાક્ય બે કવિઓની મહાનતા દર્શાવે છે. રવીન્દ્રનાથ ઠાકુર પોતે વ્યક્તિગત રીતે પણ એવો આગ્રહ કરી શકતા હતા કે તમે અનશન સમેટી દો. ઠાકુરનો નઝરૂલ પર એટલો હક અને પ્રેમ બનતો જ હતો, પણ ઠાકુર કહે છે કે આપણું સાહિત્ય એવું તમારી પાસે માગે છે કે તમે ભૂખ હડતાળ સમેટી લો. ઠાકુર સમગ્ર બંગાળી સાહિત્યને બાથમાં લઈને એનો હવાલો આપીને આજીજી કરે છે. અફસોસ કે એ ટેલિગ્રામ કાઝીને ન મળ્યો. કાઝી હુગલી જેલમાં હતા અને રવીન્દ્રનાથે પ્રેસિડેન્સી જેલના સરનામે એ ટેલિગ્રામ મોકલ્યો હતો. તેમને પ્રેસિડેન્સીમાંથી હુગલી જેલમાં તબદિલ કર્યા છે એ ઠાકુરને ખબર નહોતી.

રવીન્દ્રનાથ ઠાકુરે પછી પોતાના પુત્રને લખેલા એક પત્રમાં જણાવ્યું હતું કે, "કાઝી એ જેલમાં નથી એવો એક મેમો મને અંગ્રેજ સરકારે મોકલ્યો હતો. કાઝી એ જેલમાં નથી એ મને ખબર નહોતી પણ અંગ્રેજોને તો ખબર હતી જને! પરંતુ તેઓ કાઝીને આત્મહત્યા કરતાં અટકાવવા માગતા ન હતા." જો કે, મહિનાની ભૂખ હડતાળ પછી કાઝીને છોડી મૂકવામાં આવ્યા હતા. કાઝીને જેલ થઈ ત્યારે રવીન્દ્રનાથે તેમના પર પ્રેમ વરસાવતાં પોતાની નૃત્યનાટિકા 'વસંત'નું પુસ્તક તેમને સર્મિપત કર્યું હતું. રવીન્દ્રનાથ ઠાકુરે પરિવાર સિવાયની અન્ય કોઈ વ્યક્તિને પુસ્તક સર્મિપત કર્યું હોય એવી એ પહેલી ઘટના હતી. એ પુસ્તકના અર્પણવાક્યરૂપે ઠાકુરે લખ્યું, 'પ્રિય કવિ નઝરૂલ ઇસ્લામને …'

નઝરૂલને કવિ તરીકે ઉલ્લેખવાનું રવીન્દ્રનાથ ઠાકુરનું ચોક્કસ પ્રયોજન હતું. કેટલાંક હિન્દુ કવિ તેમ જ સાહિત્યકાર નઝરૂલને કવિ ગણતા નહોતા, તેથી એ લોકોને ઠંડો સણસણતો જવાબ આપવા ઠાકુરે એમ લખ્યું હતું. પુસ્તક અર્પણ કર્યું એ વખતે કાઝી અલીપુર સેન્ટ્રલ જેલમાં હતા. રવીન્દ્રનાથ ઠાકુરે તેમના મિત્ર પવિત્ર ગંગોપાધ્યાયને 'વસંત' પુસ્તક આપીને કાઝીને પહોંચાડવાનું કહ્યું હતું. સાથે સાથે કહ્યું હતું કે, "નઝરૂલે દેશના જીવનમાં વસંત રેલાવી છે, તેથી આ પુસ્તક હું તેને સર્મિપત કરું છું. મારા આશીર્વાદ સદાય તેની સાથે છે અને કહેજે કે કવિતા લખવાનું ક્યારે ય બંધ ન કરે. લડવા માટે અનેક સૈનિકો મળી રહેશે, પણ સૈનિકોને પાનો ચઢાવવા માટે કવિ તો જોઈશેને!"

૧૯૭૨માં રવીન્દ્રનાથ ઠાકુરનું ગીત આમાર સોનાર બાંગ્લા બાંગ્લાદેશનું રાષ્ટ્રગીત ઘોષિત થયું અને એ પછી કાઝી નઝરૂલ ઇસ્લામનું ગીત ચલ ચલ ચલ બાંગ્લાદેશના યુદ્ધગીત તરીકે ઘોષિત થયું હતું.

કાઝી અને ઠાકુરની દોસ્તી સાહિત્યની અદ્દભુત મિસાલ હતી. જ્યારે પણ સાહિત્યમાં વાડાપંથી કે કોમી આડખીલીઓ ઊભી થશે ત્યારે એ દોસ્તી દીવાદાંડીની જેમ ઉપદ્રવીઓની આંખો ઉઘાડવા માટે બત્તી ધરશે.

e.mail : tejas.vd@gmail.com

સૌજન્ય : ‘છપ્પનવખારી’ નામે લેખકની કોલમ, “સંદેશ”, 17 જૂન 2015

http://www.sandesh.com/article.aspx?newsid=3087529

Loading

હમ ન પીઠ્ઠૂ હૈ, ન પક્ષધર હૈ

વિપુલ કલ્યાણી|VK - Ami Ek Jajabar|17 June 2015

અમારાં મિત્ર, શશીબહેન પટેલ કનેથી દક્ષિણ ગુજરાતના કાંઠા વિસ્તારની એક કહેવત સાંભળ્યા કરી છે : ‘ભરવાડો બારે દિવસનો સૂતકારો; સાત ગાભણી, સાત દૂઝણી ને અલખિયાંનો પાર નહીં.’

ખેર ! … ડાયસ્પોરાની ગુજરી જામેલી છે; હાક વાગતાં જે કોઈ ડોકાયા તે સૌ વરણાગિયા હાટડી માંડીને બેઠા છે; તેડાગર ફૂલેકે ચડેલા છે; કીડિયારું ઊભરાઈ રહ્યું છે; ટૂંકામાં, વેપલો જોરમાં છે !

વારુ, … દેશપરદેશ છવાઈ ગુજરાતી અાલમમાં કોઈપણ શુભ પ્રસંગે રાંદલ તેડવાનો ચાલ છે. આઠ દિવસ સુધી આનંદમંગળ વર્તે છે. રાંદલને રાજી કરવા અને તેના પૂર્વ પ્રસંગની યાદ આપી, તેની સરસાઈ બતાવવા, રાંદલનો ઘોડો ખૂંદવા માટે રાંદલની ભૂઇને બોલાવાય છે.

રાંદલ એટલે રન્નાદેવી, રન્નાદે, સૂર્યની પત્ની. સૂર્યની પૂજા આખા ભારતવર્ષમાં વ્યાપ્ત થઈ છે. ભગવદ્દગોમંડળ વિગતે નોંધે છે તે અનુસાર, સૂર્યની પૂજા માટે સાક્ષાત્ સૂર્યનાં દર્શન કરવાને બદલે તેનાં મૂર્ત સ્વરૂપનાં દર્શન કરવાની વૃત્તિ બંધાઈ અને તેનાં ધીરેધીરે મંદિરો બંધાયાં. તેમાં સાકાર દેવ તરીકે સૂર્યની પૂજા થવા માંડી. પછી કાલાંતરે સૂર્યને પૂજે અને તેની સ્ત્રીને ન પૂજે, એ અયોગ્ય લાગવાથી સૂર્યની સ્ત્રીની પૂજા સ્ત્રીઓએ કરવા માંડી. એ સૂર્યની સ્ત્રી તે રન્નાદે કે રાંદલ. રન્નાદે એટલે માતા. ગુજરાતમાં સીમંત પ્રસંગે માતાની સ્થાપના થાય છે, એટલે કે સાત જાતનાં ધાન્ય વાવી જવારા ઉગાડવામાં આવે છે. બાજોઠ ઉપર તેમની સ્થાપના કરી કેળના સ્તંભની માંડવી બનાવી તેને વસ્ત્રોથી આચ્છાદિત કરવામાં આવે છે. … કહે છે કે રાંદલની ભૂઇ સાધારણ રીતે સુતાર, કુંભાર કે એવાં વસવાયા જાતની હોય છે. ઘણીવાર તો તે વાળંદ પણ હોય છે. ઘણીવાર રાંદલ સાથે જાગ તેડે છે. જાગ તેડવાનો ભપકો જુદો છે. તેમાં સૂર્યદેવની પૂજા વધારે શાસ્ત્રીય રીતે કરવામાં આવે છે. રાંદલ તેડવાનું એક મોટું કારણ રાંદલને ખુશ કરવાં એ છે, પણ તેથી વધુ સૂર્યદેવને ખુશ કરવા એ છે.

હવે, દોસ્ત મારા, અા યાયાવરી પંખીઅોની નાત ચણવા અાવે, તેવાકમાં, ચોમેર ડાયસ્પોરી માતાના જાગ તેડવાનાં ટાણાં મંડાયાં જો. અને ભૂઇઅોએ, અને વળી તેને સ્થાને ભૂવાઅોએ પણ, ઘોડો ખૂંદવાની ભભક, અહીંતહીં, જોમભેર, મારી જ જાણવી.

… પરંતુ, ભઈલા, ધીરા ખમી પૂછીએ કે અા ‘ડાયસ્પોરા સાહિત્ય’, ભલા, કઈ બલા છે ? ‘અર્વાચીન ગુજરાતી સાહિત્યની વિકાસરેખા−૫’ના, પૃષ્ટ 335-343 પર પથરાયા, परिशिष्ट-३માં, ધીરુભાઈ ઠાકર નોંધે છે :

‘ડાયસ્પોરિક સાહિત્ય ગુજરાતી સાહિત્યના મુખ્ય પ્રવાહની શાખા જ છે. એનું સર્જન ગુજરાતી સાહિત્યનાં સ્વીકૃત અને પરંપરાને અવલંબીને થાય છે. તેની રચના વિદેશી સમાજની વચ્ચે થતી હોવાને કારણે વિષય વિદેશમાંનાં અનુભવ-અવલોકનો હોય અને વિદેશસ્થિત વ્યક્તિના જીવનનો સંસ્કારઘટ્ટ કે વિદેશની ધરતી પર વસીને વિદેશી સમાજની તાસીર દર્શાવે, તેની વિશિષ્ટતાને સ્વાનુભવ દ્વારા ઉપસાવી અાપે તે ડાયસ્પોરિક સાહિત્ય એમ વ્યાખ્યા બાંધી શકાય. પણ સામાન્ય રીતે વિદેશમાં વસતા લેખકોનાં તમામ લખાણોને ડાયસ્પોરિક સાહિત્ય ગણવામાં અાવે છે. એમ ડાયસ્પોરિક કેવળ સ્થળવાચક નહીં પણ ગુણવાચક શબ્દ છે, વિદેશીય સમાજનો સંસ્કાર દર્શાવતી પરિભાષા છે એમ સમજવું જોઈએ.’

‘શૂન્ય’ પાલનપુરી ગાય છે તેમ, ‘હિમ્મત બોલી અલ્લાબેલી / સાત સમન્દર તરવા ચાલી / જ્યારે કોઈ નાવ અકેલી’ની જેમ, દોરીલોટોખલીતો લઈને સૈકા, બે સૈકાથી દેશાવર ગયેલા અાપણા લોકોને વાચા અાપતું ગુજરાતી સાહિત્ય અાફ્રિકે તેમ જ અાથમણી કોરે અાવેલા મોટામસ્સ દેશોમાં સર્જાતું રહ્યું છે. ધીરુભાઈ કહે છે તેમ, ‘પણ સામાન્ય રીતે વિદેશમાં વસતા લેખકોનાં તમામ લખાણોને ડાયસ્પોરિક સાહિત્ય ગણવામાં અાવે છે.’ − અા લગીર યોગ્ય નથી. તેમનું તમામ સાહિત્ય ડાયસ્પોરિક નથી જ નથી. ગુજરાતી ડાયસ્પોરિક ક્ષેત્રોમાં ફક્ત વસવાટ કરવાને કારણે પોતાનું સર્જાતું તમામ સાહિત્ય ડાયસ્પોરિક બનતું નથી તે તેનો પાયાનો એક નિયમ છે.

મનુભાઈ પંચોળી ‘દર્શકે’ ‘ઇતિહાસ અને કેળવણી’માં નોંધ્યું છે તેમ, ‘કાટવાળા વાસણમાં દૂધ જમાવીએ તો તે દહીંથી ઝેર ચડે છે. તેવું અંદરની અવિદ્યાને દૂર કર્યા પહેલાં મેળવેલી સિદ્ધિ વિષે પણ બનતું દેખાયું છે.’ માટે પ્રથમ પહેલાં, ડાયસ્પોરિક સાહિત્ય બાબત અા કહેવાતી અવિદ્યાને દૂર કરીએ.

ઇન્ટરનેટી જ્ઞાનકોશ વિકિપીડિયાના જણાવ્યા મુજબ, અમેરિકાના એક જાણીતા રાજ્યનીતિશાસ્ત્રના પ્રાધ્યાપક, વિલિયમ સેફ્રાને, 1991માં પ્રકાશિત એક લેખ વાટે, વિવિધ સ્થળાંતરિત સમુદાયોથી ડાયસ્પોરિક સમુદાયના તફાવત બાબત છએક મુદ્દાઅોની છણાવટ કરી છે. These included criteria that the group maintains a myth or collective memory of their homeland; they regard their ancestral homeland as their true home, to which they will eventually return; being committed to the restoration or maintenance of that homeland; and they relate ‘personally or vicariously’ to the homeland to a point where it shapes their identity. સેફ્રાનની વ્યાખ્યાઓ યહૂદી ડાયસ્પોરાના વિચારથી પ્રભાવિત હોવા છતાં, તેમણે અા સંજ્ઞાના વિસ્તરતા ઉપયોગનો સ્વીકાર કર્યો છે.

બીજી તરફ, 2005ના અરસામાં, અમેરિકાના એક સમાજશાસ્ત્રી રોજર્સ બ્રુબેકરે ડાયસ્પોરા નામક સંજ્ઞાના થતાં વિસ્તરણની રજૂઅાત કરી છે. He suggests that one element of this expansion in use ‘involves the application of the term diaspora to an ever-broadening set of cases: essentially to any and every nameable population category that is to some extent dispersed in space’. Brubaker has used the WorldCat database to show that 17 out of the 18 books on diaspora published between 1900 and 1910 were on the Jewish diaspora. The majority of works in the 1960s were also about the Jewish diaspora, but in 2002 only two out of 20 books sampled (out of a total of 253) were about the Jewish case, with a total of eight different diasporas covered.

‘નમસ્કાર – અાફ્રિકાના’ નામક જૂથની વેબપેઇજ પર ડાયસ્પોરા અંગે અાવી મતલબનો ફકરો જોવા મળે છે : The term diaspora refers to the movement of any population sharing common ethnic identity who were either forced to leave or voluntarily left their settled territory, and became residents in areas often far remote from the former. Diasporic cultural development often assumes a different course from that of the population in the original place of settlement. It tends to vary in culture, traditions and other factors between remotely separated communities. The last vestiges of cultural affiliation in a diaspora is often found in community resistance to language change and in maintenance of traditional religious practice.

ખેર ! … ‘બુદ્ધિધન છે કેવાં સાચા ?’, નામે એક લેખમાં, શૈલેષ ટેવાણી, “નાંદીકાર”ના માર્ચ, 2010ના અંકમાં, નોંધે છે :  ‘સાચો નાટ્યકાર જીવનના દરેક પ્રહરે, દરેક પ્રસંગે નાટકને ખાતો-પીતો હોય છે. એ વાંચે છે, પચાવે છે, જુએ છે, પચાવે છે. અનુભવે છે. ને એમાંથી અભિવ્યક્ત થવા મથતું સઘળું હૃદયમાં સંઘરતો, સંવિત્્માં ઊતારતો, સાચવતો રહે છે. કઈ ક્ષણે, કયા ચોઘડિયે, કયા નિમિત્તે અને કઈ કથા-પાત્ર રૂપે એ નાટકને અાકાર અાપશે તે કદાચ, જાણતો નથી; કદાચ, ઊંડે ઊંડે જાણે છે કે પોતે ક્યારેક અાવું અાવું રચી કાઢશે !’

ડાયસ્પોરા બાબત, ગુજરાતી ડાયસ્પોરા અંગે, ગુજરાતી ડાયસ્પોરિક સાહિત્ય વિશે અાપણી માદરી જબાનના વિદ્વાનો અા કેડાના સાચેસાચ ભોમિયા બની જાય તે દિવસના સહજ સ્વાભાવિક અોરતા જ હોય. પરંતુ અાજે અાપણા ક્ષેત્રમાં તેનો અભાવ છે અને ક્યાંક ક્યાંક અધૂરિયાઅો પોતાની અધૂરપો ઢાંકવા ખાબકી લીધા દીધા કરે છે. અા અાપણી કમનસીબી છે.

રાજકોટમાં અબીહાલ ‘ગુજરાતી ડાયસ્પોરા સાહિત્ય : વલણો અને વહેણો’ નામે એક પરિસંવાદનું અાયોજ થયેલું. મોટીમસ્સ તાસમાં પથરાયા ચૂરમાંના લાડવા પર ખસખસ ભભરાવીએ તેમ નામોનો ય અહીં છંટકાવ થયેલો. તેની ત્રીજી બેઠકનું અધ્યક્ષપદ મારે જાળવવાનું હતું તેમ વાંચી હું દિગ્મૂઢ હતો. હું તો વિલાયતમાં છું. કોઈએ અા પરિસંવાદ મિષે મને અાગોતરી પડપૂછ કરી નથી અને અાજ લગી અધિકૃત અામંત્રણ સુધ્ધાં પણ મોકલાયું નથી ! … યોજના અને વ્યવસ્થાને નામે અા બધી લોલેલોલ … કેન્દ્રીય ‘સાહિત્ય અકાદેમી’ પાસેથી કોઈક લાગો લેવાનો અહીં બેત હોય તો ય નવાઈ નહીં !

પહેલે ઝાટકે થયું કે નોતરેલા સમૂહમાં અને શ્રોતાવર્ગમાં કેવી છાપ પેદા થઈ હોય ? ‘પેલા’ હાજરી માટેના પ્રમાણપત્રને સારુ હાજર કરાયેલા ‘બચાઇડા’ શ્રોતાવર્ગને તો કદાચ ઝાઝી ગતાગમ ન ય હોય, પરંતુ બાકીસાકી ? વિવેક બૃહસ્પતિની ધજાપતાકા લઈને અહીંતહીં જાતરાએ નીકળી પડતા અાયોજકો અને ભાષણિયાઅોને માટે કદાચ નવાઈ ન પણ હોય ! યાયાવરી પંખીની જમાતને શું લાગ્યું હોય ? … કોણ જાણે ? … કોણ કહેશે ? … અાપણો તો સંસ્કૃત સમાજ કહેવાય છે, ત્યારે અા અાવો તે કેવો ‘વિવેક’ ?

નાનાભાઈ ભટ્ટે ‘ગૃહપતિને’ નામક ચોપડીમાં લખ્યું છે : ‘માખણિયો એ માત્ર છાત્રાલયની નહીં પણ અાખા જગતની વિભૂિત છે. જ્યાં જ્યાં મનુષ્યની નબળાઈ છે, જ્યાં જ્યાં કાન કાચા છે, જ્યાં જ્યાં અાંખે અંધાપો છે, જ્યાં જ્યાં હલકા સ્વાર્થ અને રાગદ્વેષ ભર્યા છે, જ્યાં જ્યાં હૈયાં છીછરાં છે, ત્યાં ત્યાં માખણિયો જન્મ્યા વિના રહેતો જ નથી. અાવા માખણિયા લોકોએ મોટાં મોટાં રાજ્યો ઊથલાવી પાડ્યાં છે, પ્રજાઅોના કલ્યાણમાર્ગોનો અવરોધ કર્યો છે, મોટા મોટા અાશ્રમોમાં ઝેર વાવ્યાં છે, સંસ્કારી કુટુંબોમાં ચીરા પડ્યા છે અને હજી અાજે પણ જગતમાં શું શું કરી રહ્યા છે.’

અાપણા અા વણખેડાયેલા ક્ષેત્રમાં ય અાવી ‘વિભૂતિઅો’ની કોઈ કમી નથી. અમાસની ઘોર અંધારી રાતે ય, વળી, અામતેમ દેખા દેતી જોવા મળી પણ જાય ! … જેવા અાપણા નસીબ ! … અને તેમ છતાં, અા મુદ્દે વિચારલક્ષી વાદ-સંવાદ જ અાવશ્યક છે, વ્યક્તિલક્ષી નહીં.

ભારતના લોકો વિદેશોમાં પૈસા કમાવાના મામલામાં તો આગળ છે જ, ભારતમાં રહેનાર પોતાના પરિવારના લોકોને પણ તેનો ફાયદો પહોંચાડવામાં તેઓ પાછળ નથી. 2010-11ના વર્ષ દરમ્યાન વિદેશોમાં વસી રહેલા ભારતના લોકોએ દેશમાં 56 અબજ ડોલરની રકમ મોકલી છે. આ તેનાથી અગાઉના વર્ષની સરખામણીમાં બે અબજ ડોલર વધુ છે. પ્રવાસી ભારતીય મામલાઓના મંત્રી વાયલાર રવિએ જાતે આ વાતની માહિતી આપી. તેમણે કહ્યું કે દેશમાં 2010-11માં 55.9 અબજ ડોલરના મનીઓર્ડર (વિદેશમાં વસેલા ભારતીયો દ્વારા મોકલવામાં આવેલા નાણાં) મોકલ્યા છે. દેશમાં 2009-10માં 53.9 અબજ ડોલરનું રેમિટેંસ આવ્યું હતું, જ્યારે 2008-09માં આ રકમ 46.9 અબજ ડોલરની રહી હતી. વિશ્વ બેન્કે આની પહેલાં જ આ વર્ષમાં જ પોતાના રિપોર્ટમાં કહ્યું હતું કે પ્રવાસી ભારતીયો દ્વારા 2010-11માં 55 અબજ ડોલરની રકમ મોકલાવે તેવી આશા છે.

પરદેશે વસી જમાતનું ધન અામ ફરી ફરી લોહચૂંબક સાબિત બને છે. અને દરેક ક્ષેત્રમાં, અાવી અાવી અસર અાજે અનુભવવા મળે છે. તો સાહિત્ય ક્ષેત્ર કોરુંકટ્ટ કેમ કરી રહી જાય ? શાસનથી માંડી ખાનગી ક્ષેત્ર પણ અા સારુ સ્વાભાવિક બાકાત નથી. અા સમજાય છે, કેટલેક અંશે અાવકાર્ય પણ છે. પરંતુ અા ચાલ એકમાર્ગી અાજ સુધી રહ્યો છે. જગતભરમાં પથરાઈ ગુજરાતી જમાતને શો લાભ મળ્યો ? શો મળે ? ઉત્તમ વહેંચવાનું બનતું હોય તેવો અનુભવ નથી; જે કંઈ જોવા પામીએ છીએ તે કૂતરાને જાણે કે ચાનકી ધરતાં હોય કે પછી કોઈક ‘ધરમકરમ’ના ભાવમાં કીડિયારું પૂરવાના ઘાટ હોય, તેમ દીસે છે ! 

લંડનથી અમદાવાદનું અંતર 6,840.11 કિલોમિટર યાને કે 4,250.36 માઈલનું છે. વિમાન વાટે 8 કલાક, 49 મિનિટનું જ છેટું છે. અમેિરકાથી હવે વારસાનું વતન પંદરવીસ કલાકને અંતરે જ પડે છે. સમાજનો કેટલોક વર્ગ બે પાંદડે સુખી બનતો ગયો છે. પરિણામે અાવનજાવન સહેલીસટ્ટ બની છે.

થોડા સમય પહેલાં, અમેિરકાનિવાસી સાહિત્યકાર અને જાણીતા શહેરી નટવર ગાંધીનો એક લેખ ‘ગુજરાતી ડાયસ્પોરા લેખન – સ્વતંત્રતાની હાકલ’ નવેમ્બર 2010ના “અોપિનિયન”માં અગ્રલેખ રૂપે પ્રગટ કરેલો. અા અને અાવા સંદર્ભોમાં, તેમાંની મોટા ભાગની બાબતો અાજે ય પ્રસ્તુત છે.

નટવરભાઈના મત મુજબ, ગુજરાતી ડાયસ્પોરી જગતના ‘ગુજરાતી લેખકોએ હવે અવસ્થાવાન બનવું જોઈએ અને પોતા પર જ અાધાર રાખવો જોઈએ. પોતાના મૂળ વતનનાં કોઈક પ્રમાણપત્રની તેમણે અાશા અપેક્ષા રાખવી નહીં જોઈએ કેમ કે તેવાં તેવાં ઉછીનાં સઘળાં પ્રમાણપત્રોની કિંમત સહજ સ્વાભાવિક કોડીની પણ ઠરતી નથી. તેમની અહીંની સાહિત્યિક પ્રવૃત્તિઅોની સરાહના મેળવવા સબબ ભારત ભણી સતત ગોઠવાયેલી તેમની નજર ઊઠાવી લઈ, તેમણે તેમની અા સાહિત્યિક સાંકળ તોડી કાઢવી જોઈએ. તેમના અા વસવાટી જીવનમાં જાતભાતની રસિક વાતો ભરી પડી છે. તે વિશેનાં લખાણો તેમણે કરવાં જોઈએ. અા બધા અનુભવોને બોલતા કરવા જોઈએ. …

નટવર ગાંધીનો અાખરી ફકરો ભારે સૂચક છે : ‘સાહિત્યિક સંસ્થાઅોએ તેમ જ અકાદમીઅોએ અહીંનાં વાતાવરણને સાનુકૂળ સાહિત્યલેખન થાય તે માટે સક્રિયપણે લાગી પડવું જોઈએ. અહીંના વાતાવરણને ધ્યાનમાં લઈને પુસ્તક પ્રકાશનનાં તેમ જ સામિયક પ્રગટ કરવાંનાં કામ હાથ લેવાં જોઈએ. વતનથી લેખકો તેમ જ કવિઅોને જંગી ખરચ કરીને મહેમાન તરીકે તેડાવવાને ઠેકાણે, તેમણે જેમનો અવાજ ક્યાં ય સંભળાતો નથી તેવાં તેવાં સ્થાનિક ગુજરાતી લેખકો અને કવિઅોની સભાબેઠકો રાષ્ટૃીય સ્તરે ભરવી જોઈએ. તદુપરાંત, અહીં સર્જાતાં ગુજરાતી સાહિત્યને કેન્દ્રમાં રાખવાનું ગુજરાતી લેખકોએ અને સાહિત્યિક સંસ્થાઅોએ કામ કરવું રહે છે. બે સદી પહેલાં, એમરસને જે પ્રકારે અમેરિકી સાહિત્યનો અોચ્છવ કરી જાણેલો, તેવી જ રીતે, ચાલો, અાપણે ય અાપણાં વાતાવરણની છાપવાળાં અમેરિકી ગુજરાતી સાહિત્યને વધાવી જાણીએ.’

ગુજરાતી ડાયસ્પોરિક સાહિત્યજગતમાં કામ પાડતા, અહીંના અને તહીંના, તમામે તેનું ફેરવાચન કરવાની અને તે સઘળી બાબતો ધ્યાનમાં લેવાની તાતી જરૂર છે.

વાંચક દોસ્ત, અન્ય કોઈક સંદર્ભે, ઉમાશંકર જોશીએ, એકદા, કહેલું :  ‘કેટલા બધા માણસો એવા છે જેઓ માત્ર ચૂપચાપ વાંચે છે. તેઓ કહેવા આવવાના નથી કે આ બરાબર લખ્યું છે કે બરાબર લખ્યું નથી; પણ બેઠાબેઠા એ આપણો તોલ કરે છે. એ લોકો સંકોચથી પોતાનો અભિપ્રાય પ્રગટ કરવાના નથી. પણ ધ્યાનમાં રાખવાનું છે કે આપણે જે કાંઈ બોલ્યા, જે કાંઈ લખ્યું તે બધાનું જેઓમાં જોવાની શક્તિ છે તેવા વિચક્ષણ માણસો અવલોકન કરી રહ્યા છે. આપણી તેમની પ્રત્યે જવાબદારી છે.’

અાવી અાવી જવાબદારીઅો અાપણા અા ડાયસ્પોરા વીરોમાં ય ઉતરજો. ગુજરાતી સાહિત્ય ઘણી બધી રીતે અાજે એક એવા ચોખંભે અાવીને ખડું છે, જ્યાંથી તે અાગળ ધપે તેને સારુ કોઈક મુઠ્ઠી ઊંચેરા અને દૂરંદેશ અાગેવાનની મનીષા છે. ઉર્દૂ જબાનના એક ઊંચેરા શાયર, જોશ મલીહાબાદી  (5 ડિસેમ્બર 1894 – 22 ફેબ્રુઅારી 1982)નો એક શેર અાથીસ્તો સાભરે છે :

ऐ ख़ुदा हिन्दोस्ताँ को बख़्श ऐसे आदमी
जिनके सर में मग़ज़ हो और मग़ज़ में ताबिन्दगी

એ પરવરદિગાર ! હિન્દુસ્તાનને એવા તું માણસો દે કે જેને શિરમાં દિમાગ હોય, અને વળી, જેને ય પોતીકું નૂર હોય.

અા પરવરદિગારને અાપણી પ્રાર્થના હજો : અા ક્ષેત્રે ય ‘એવા તું માણસો દે કે જેને શિરમાં દિમાગ હોય, અને વળી, જેને ય પોતીકું નૂર હોય.’

પાનબીડું :

26 જૂન 2010ના “દિવ્ય ભાસ્કર”માં, પ્રકાશ ન. શાહે ‘હમારી જમીન સે હટ જાઅો’ નામે મજેદાર એક સાપ્તાહિકી લેખ અાપ્યો હતો. લેખમાં છેલ્લે ફકરે અાવું ય લખાણ હતું :

કદાચ, આ મછંદરોને નવા ગોરખની જરૂર છે, જે એમને ઝંઝેડી (લોકશાહી રાહે ઝૂડીને) જગાડે કે તમે શું કરી રહ્યા છો. … અને ત્યારે સાંભરી આવે છે (સચ્ચિદાન્દ હીરાનન્દ વાત્સયાયન) ‘અજ્ઞેય’ની આપાત્કાલીન કાવ્ય પંક્તિઓ :

હમ ન પીઠ્ઠૂ હૈ, ન પક્ષધર હૈ
હમ હમ હૈં ઔર હમેં
સફાઈ ચાહિયે, સાફ હવા ચાહિયે
ઔર આત્મસન્માન ચાહિયે જિસ કી લીક
હમ ડાલ રહે હૈ.

હમારી જમીન સે
હટ જાઓ.

e.mail : vipoolkalyani.opinion@btinternet.com

સૌજન્ય : “ઓપિનિયન”, 26 ફેબ્રુઆરી 2012; પૃ. 01-03

Loading

વિતંડાવાદ ભારતની રાષ્ટ્રીય બીમારી છે

રમેશ ઓઝા

, રમેશ ઓઝા|Samantar Gujarat - Samantar|17 June 2015

યોગ એ આંતરિક વિકાસની એક શુદ્ધ સેક્યુલર પ્રક્રિયા છે. હવે તો બાબા રામદેવે એને આંતરિક પણ રહેવા નથી દીધી અને એને શારીરિક કસરતમાં ફેરવી નાખી છે. રામદેવના યોગમાં અને જિમ્નૅસ્ટિકમાં હવે બહુ ફરક નથી. આપણે જે યોગાસન વિશ્વમાં પહોંચાડી રહ્યા છીએ એ યોગશાસ્ત્રમાં બતાવેલા હેતુ વિનાનાં આસનો છે અને એટલે કસરત છે

આ વર્ષથી દર વર્ષે ૨૧ જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઊજવવાનો યુનોએ નિર્ણય લીધો છે. યુનોએ કૅલેન્ડરના ઘણા દિવસોને અલગ-અલગ મૂલ્યો, પરંપરાઓ અને વ્યક્તિઓ સાથે જોડ્યા છે જેથી જગતમાં જાગૃતિ તેમ જ સહિયારાપણું વિકસે. દાયકા પહેલાં મહાત્મા ગાંધીના જન્મદિવસ બીજી ઑક્ટોબરને આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ તરીકે ઊજવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો અને હવે યોગને વૈશ્વિક માન્યતા આપી છે. ભારતમાં વિકસેલા યોગશાસ્ત્રને યુનોએ માન્યતા આપી એ જોઈને રાજી થવું હોય તો એમાં કોઈ વાંધો નથી, પરંતુ એમાં બહુ પોરસાઈને ગાંડા થવાની જરૂર નથી. યુનોએ ચીંધેલા વિશેષ દિવસોની ઉજવણીને વિશ્વદેશો અને પ્રજા ગંભીરતાથી લેતાં નથી. ચોક્કસ મૂલ્યોના વિસ્તાર અને સ્વીકાર માટે યુનો કોઈ મોટી જહેમત ઉઠાવે છે એવું પણ નથી. આને કારણે કૅલેન્ડરના પચાસેક દિવસોએ કોઈ ને કોઈ ઔપચારિક ઉજવણી કરવામાં આવે છે. બીજી ઑક્ટોબરને આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ તરીકે ઊજવવાથી જગતમાંથી હિંસા સમાપ્ત નથી થઈ છતાં લોકજાગૃતિ માટે આવા અવસર ખપના છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગયા વર્ષે યુનો ગયા હતા ત્યારે તેમણે યુનોની સામાન્ય સભાને સંબોધતાં સૂચન કર્યું હતું કે યોગશાસ્ત્ર આખા વિશ્વ માટે ઉપયોગી છે અને એના પચાર-પ્રસાર માટે યુનોએ પહેલ કરવી જોઈએ. તેમણે વર્ષમાં એક દિવસ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઊજવવાની ભલામણ કરી હતી જે યુનોએ મંજૂર રાખી છે.

યુનોના આ નિર્ણયનો જગતના કોઈ મુસ્લિમ બહુમતી દેશે કે ખ્રિસ્તી બહુમતી દેશે વિરોધ કર્યો હોય એવું મારા જોવામાં આવ્યું નથી, પરંતુ ભારતમાં કારણ વિના વિવાદ ચાલી રહ્યો છે. વિવાદ પેદા કર્યા વિના જાણે આપણને ચાલતું જ નથી. હિન્દુત્વવાદીઓ આમાં હિન્દુ ધર્મનો વિજય સમજે છે, જ્યારે યોગ એ આંતરિક વિકાસની એક શુદ્ધ સેક્યુલર પ્રક્રિયા છે. હવે તો બાબા રામદેવે એને આંતરિક પણ રહેવા દીધી નથી, એને શારીરિક કસરતમાં ફેરવી નાખી છે. રામદેવના યોગમાં અને જિમ્નૅસ્ટિકમાં હવે બહુ ફરક નથી. અત્યારે આપણે જે યોગાસન વિશ્વમાં પહોંચાડી રહ્યાં છીએ એ યોગશાસ્ત્રમાં બતાવેલાં હેતુ વિનાનાં આસનો છે એટલે કે કસરત છે. બાકી તો યોગસૂત્રમાં પહેલું સૂત્ર યોગ: ચિત્તવૃત્તિ નિરોધ: છે. આનો અર્થ થાય છે ચિત્તની વૃત્તિઓને રોકવી. બીજું સૂત્ર છે તદ દ્રક્ટુ: સ્વરૂપે અવસ્થાનમ્ જેનો અર્થ થાય છે પોતાના મૂળ સ્વરૂપમાં સ્થિર થવું. આ ત્યારે જ બને જ્યારે વૃત્તિઓ સમેટાઈ ગઈ હોય અને આત્મસ્વરૂપ (સત્) સમજાઈ ગયું હોય. સમજાવું પણ બરોબર નથી, પમાયું હોય. પ્રારંભમાં જ આવતાં આ બે સૂત્રો પરથી ખ્યાલ આવી જશે કે યોગશાસ્ત્ર અને એના રચયિતા પતંજલિ માણસને ક્યાં પહોંચાડવા માગે છે. બાબા રામદેવ અને બીજા કેટલાક કહેવાતા યોગીઓ જે કરે છે એ મહદંશે યોગાસનોનો ધંધો કરે છે. બાબા રામદેવે યોગસૂત્રનાં અહીં ટાંકેલાં પહેલાં બે વચનો પામી લીધાં હોત તો તેઓ અત્યારે જે કરે છે એ કરતા જ ન હોત. ૧૧૦૦ કરોડ રૂપિયાનો વેપલો જેની વૃત્તિઓનો નિરોધ થઈ ચૂક્યો હોય, પોતાના મૂળ સ્વરૂપને પામી લીધું હોય અને એમાં સ્થિર થઈ ગયો હોય એ કરે નહીં. આ ગંગાસતીના શબ્દોમાં અધૂરિયાઓનો ખેલ છે.

આમ વિશ્વમાં જે યોગાસનો જઈ રહ્યાં છે એ અધૂરિયાઓ દ્વારા કસરતના સ્વરૂપમાં કે બીમારીના ઇલાજ (થેરપી)ના સ્વરૂપનાં જઈ રહ્યાં છે એના મૂળ સ્વરૂપમાં તેના આત્મા સાથે નથી જઈ રહ્યાં. યુનોના નિર્ણયથી રાજી જરૂર થઈએ, પણ હરખપદૂડા થવાની જરૂર નથી. ભારતમાં જે લોકો યોગનો વિરોધ કરી રહ્યા છે એ પણ એટલા જ બેવકૂફ છે જેટલા હરખપદૂડા હિન્દુવાદીઓ છે. જે શાસ્ત્રને ચોક્કસ કોઈ ધર્મ સાથે, બાહ્ય કર્મકાંડી ધાર્મિકતા સાથે, દેખીતી રીતે ઈશ્વર સાથે કોઈ જ સંબંધ નથી એનો ધર્મના નામે શા માટે વિરોધ કરવામાં આવે છે? સાંખ્ય અને યોગ ભારતનું દાર્શનિક યુગ્મ છે. એકમાં દર્શન છે અને બીજામાં પ્રક્રિયા છે. આમાં સાંખ્ય તો અનીશ્વરવાદી દર્શન તરીકે ઓળખાય છે. યોગ હિન્દુઓની ધાર્મિક વિધિ છે એવી જે સમજ કેટલાક ગેરહિન્દુઓ ધરાવે એ કેવળ એક અજ્ઞાન છે. અજ્ઞાન જ્યારે હિન્દુઓ ધરાવતા હોય ત્યાં બીજાની શી ફરિયાદ કરવી. મુસ્લિમો હિન્દી ભાષાને હિન્દુઓની સમજીને એનો અસ્વીકાર કરે. હિન્દુઓ ઉર્દૂ ભાષાને મુસ્લિમોની સમજીને એનો અસ્વીકાર કરે. મુસ્લિમો આયુર્વેદને હિન્દુઓનો સમજીને એનો અસ્વીકાર કરે અને હિન્દુઓ યુનાનીનો મુસ્લિમોની સમજીને એનો અસ્વીકાર કરે એના જેવી આ વાત થઈ. આવો વિરોધ બુદ્ધિ વિનાનો છે.

આગળ કહ્યું એમ, જગતના કોઈ મુસ્લિમ બહુમતીવાળા કે ખ્રિસ્તી બહુમતીવાળા દેશોમાં યુનોના નિર્ણયનો વિરોધ નથી થઈ રહ્યો, માત્ર ભારતમાં વિરોધ થઈ રહ્યો છે. આનું એક કારણ વિતંડાના આપણા જૂના સંસ્કાર છે. અમર્ત્ય સેન કહે છે એમ, આપણે આગ્યુર્મેન્ટેટિવ ઇન્ડિયન છીએ. એટલે તો નિર્દોષ ભાષાઓને ધર્મ સાથે જોડીને આપણે એને ટાર્ગેટ બનાવીએ છીએ. બીજું કારણ ઓળખ ઓગાળી નાખવાના અને ઓળખ ટકાવી રાખવાના દુરાગ્રહો છે. વાસ્તવમાં યોગાસન કરવાથી નથી કોઈની ઓળખ ઓગળી જવાની કે નથી કોઈની ઓળખ ટકવામાં કોઈ વધારો થવાનો. વળી યોગાસન ક્યાં કોઈ માટે ફરજિયાત છે? ૯૦ ટકા હિન્દુઓ યોગાસન નથી કરતા તેમને તો કોઈએ સજા કરી નથી. યુનોએ તો અંદાજે પચાસેક જેટલા દિવસોને ચોક્કસ ધોરણ, મૂલ્યો કે પ્રણ સાથે ઊજવવાનું કહ્યું છે એની કેટલા લોકોને જાણ છે? હમણાં ૩૧ મેએ ઍન્ટિ ટબૅકો ડે મનાવાયો હતો. તમાકુ ખાનારો તમાકુ ખાય જ છે, તો પછી વિવાદ શા માટે?

સૌજન્ય : ‘કારણ-તારણ’ નામે લેખકની કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 17 જૂન 2015

http://www.gujaratimidday.com/features/columns/feature-columns-17-6-2015-4

Loading

...102030...3,8333,8343,8353,836...3,8403,8503,860...

Search by

Opinion

  • તમાકુ ને પ્લાસ્ટિક : સઘળું ઇલાસ્ટિક !
  • યુદ્ધોન્માદી માહોલ, વસમા પાડોશી અને સંરક્ષણ બજેટ
  • શું ભારતની પ્રજા આવું કરી કે સહી શકશે?
  • સોશિઅલ મીડિયા એન્ટિ-સોશિઅલ છે…?
  • અમેરિકાના હાલ બેહાલ, હાથનાં કર્યા હૈયે વાગ્યાઃ વૈશ્વિક મહાસત્તાનો આત્મવિશ્વાસ જ આત્મઘાતક બન્યો

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 

Poetry

  • ગઝલ
  • વિધ્વંસ
  • કવિ
  • ગઝલ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved