Opinion Magazine
Number of visits: 9555530
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

હાથીને મણ મળશે પણ કીડીને કણ મળશે?

આશા બૂચ|Samantar Gujarat - Samantar|22 January 2015

તાજેતરમાં રાજકોટ, જામનગર અને અમદાવાદ-વડોદરા વચ્ચે પાંચેક અઠવાડિયાં ગાળવાનો લ્હાવ મળ્યો. તે વખતે અખબારોમાં આવતા સમાચારો દ્વારા અને જાગૃત નાગરિકો સાથેના સંવાદ મારફતે કેટલીક રસપ્રદ માહિતી મળી અને પ્રબુદ્ધ સ્વજનોના અભિપ્રાયો અનાયાસ જાણવા મળ્યા જે અહીં ટપકાવું.

એક સમાચાર હતા : ‘અમદાવાદમાં વિશ્વની સૌથી મોટી હોલસેલ માર્કેટ બનશે. 500 એકર જમીન પર ચીની પેઢી સાથે મળીને આ સાહસ થશે. અઢી લાખ કામદારોને રોજગારી મળશે.” એ વાંચતાં જાણે સંવાદદાતા, હોલસેલ માર્કેટના માલિક અને તે માટેની પરવાનગી આપનાર સત્તાધારીઓ એક ખુશ ખબર સુણાવતા હોય તેવો ટોન સંભળાયો. હા જ તો વળી, ગુગલ પર ‘દુનિયાની સૌથી મોટી હોલસેલ માર્કેટ’ લખો અને તેમાં અમદાવાદની આ માર્કેટનું નામ આવે તો કયો ગુજરાતી ન પોરસાય?

વધુ માહિતી વાંચતાં જણાયું કે ઇન્ડિયા ઇન્ડસ્ટ્રીઅલ ટ્રૈડ સેન્ટરનો આ પ્રોજેક્ટ છે. દોઢ અબજ ડોલર ખર્ચવાના વચન પર સહી સિક્કા થયા છે અને આવતા ત્રણ વર્ષમાં 75 કરોડ ડોલરનું રોકાણ કરવામાં આવશે તેવું આયોજન છે. ગ્રાહક વપરાશની ચીજો અને ઔદ્યોગિક માલ સામાનના ભારતીય અને વિદેશી ઉત્પાદકોનાં માલનું વેચાણ। કરતી આ હોલસેલ માર્કેટમાં નાણાં ચીની કંપનીના રોકાશે અને તેની વ્યવસ્થા અને સંચાલન ભારતીય કંપનીનું રહેશે. વેપારની અન્ય જોગવાઈઓ ઉપરાંત કર્મચારીઓ માટે ચાર હજાર ફ્લેટ્સ પણ બનાવાશે જેને માટે રાજ્ય સરકાર સાથે જમીન મેળવવા વાટાઘાટ ચાલે છે.

હવે આ સમાચાર તો ભારતની વેપારી ક્ષેત્રે થઈ રહેલી ઉન્નતિ અને આર્થિક સમૃદ્ધિના દ્યોતક છે એટલે તેમાં કંઈ ખાસ નવું નથી, પણ મારા સંપર્કમાં આવેલ શિક્ષિત લોકોનાં પ્રતિભાવોએ મને આ લખવા પ્રેરી. એ પ્રતિભાવોનો સાર કંઈક આવો હતો : ‘જુઓ, માત્ર પાંચ મહિનામાં નરેન્દ્ર મોદીની સરકારે ઘણું સારું કરી બતાવ્યું છે, હો. હવે જમાનો જ સુપર માર્કેટ અને ઈન્ટરનેટ વેપારનો છે. મોદી પોતાના વતનને લાભ થાય એનું ધ્યાન તો રાખે ને, ભાઈ સાહેબ? અઢી લાખ કામદારને રોજગારી મળે અને રહેવા આવાસો મળે તે કંઈ જેવી તેવી સુવિધા ગણાય? વળી એ હોલસેલ માર્કેટની આજુબાજુનો વિસ્તાર ટ્રક અને મોટર ગાડીઓથી ધમધમતો થઇ જશે અને દેશ વિદેશના નાના મોટા વેપારીઓ સોદા કરવા આવતા થઈ જશે તે નફામાં. આપણને (ગુજરાતીઓને, અને ખાસ કરીને અમદાવાદના ઉચ્ચ માધ્યમ વર્ગના લોકોને જ તો, વળી) તો ભાઈ ઘી કેળાં, તો બીજાની શી પરવા?’

મારા દેશ બંધુઓ-ભગિનીઓનો ઉત્સાહ મંદ ના પડે એવી હળવાશથી મેં કહ્યું, ‘તમે સિક્કાની એક બાજુ જોઈ, હવે આપણે એ અખબારોના સંવાદદાતા, હોલસેલ માર્કેટના માલિક અને તે માટેની પરવાનગી આપનાર સત્તાધારીઓને પૂછીએ કે ભાઈ આ 500 એકર જમીનના માલિક અત્યારે કોણ છે? એ કંઈ સાવ વેરાન અને બિન વારસ જમીન તો નહીં હોય. એવડો મોટો જમીનનો પટ ખરીદવા જતાં નાના મોટા જમીનના માલિકોને શું વળતર અપાયું અને તેઓ ક્યાં સ્થળાંતર કરી જશે? એવી જ રીતે આ ખુશ ખબરનો ઢોલ પીટનારા અઢી લાખ લોકોને રોજગારી મળશે એ કહેશે પણ તેને કારણે કેટલા લાખ લોકો બેકાર બનશે એ કેમ નથી કહેતા? જરા વિચાર કરો, એ મહાકાય માર્કેટમાં આવનાર માલ હાલમાં બીજા નાના મોટા વેપારીઓ-ઉદ્યોગપતિઓ લે-વેચ કરે જ છે, તો એમના પેટ પર પાટુ નહીં પડે? યાદ રાખવું ઘટે કે એ અઢી લાખ તો માત્ર વાણોતર હશે જે પોતાના નાના વેપારના એકદા ‘માલિક’ હશે. એટલે કાકા મટીને ભત્રીજા થવાની વાત છે.

મોટા પહોળા રસ્તાઓ પર દોડતાં ગંજાવર વાહનો અને ચકમક થતી મોટર ગાડીઓના હોર્નથી પ્રભાવિત થનારા ગુજરાતીઓને ખ્યાલ છે જ કે ભારતના ધનાઢય અને સાધન સંપન્ન વેપારીઓ જ આ હોલસેલ માર્કેટનો લાભ લઈ શકશે. બીજું, જેનું નાણું તેનું ગાણું એ વાત વ્યાપાર અને વ્યવહાર કુશળ ગુજરાતી પ્રજાથી વધુ સારી રીતે કોણ સમજી શકે? ભારતની વહીવટી વ્યવસ્થા ગમે તેટલી સારી હશે, પણ તે અને ગ્રાહકો રૂપી બે બિલાડી વચ્ચે ન્યાય તોળનાર ચીની કંપની રોટલાનો મોટો ટુકડો જપ્ત કરી જશે તેમાં લેશ શંકા નથી. નાણાંકીય ગુલામીનો દરવાજો જાતે જઈને ખખડાવવો તે આનું નામ. ચીની કંપની આપણી લાલચુ વૃત્તિ અને મૂર્ખામી પર હસતી હશે.

દુ:ખની વાત એ છે કે અમેરિકા પાસે ‘વર્લ્ડ ટ્રેડ સેન્ટર’ હતું તો ભારત કહે, ‘હમ ભી કુછ કમ નહીં હૈ’. પણ પશ્ચિમના દેશો પોતાની જ આ મૂડીવાદી અર્થવ્યવસ્થા અને બજારુ વૃત્તિથી વાજ આવી ગયા છે. જુઓ શું થયું? સંપત્તિ એક જગ્યાએ એકઠી કરી તો બીજાની ઈર્ષ્યાને પાત્ર ઠર્યા અને આતંકવાદીઓએ જોડિયા ટાવરને ઘડીમાં ફૂંકી માર્યા. કેન્દ્રીય અર્થ વ્યવસ્થાને પગલે કેન્દ્રીય સમાજ અને રાજ્ય વ્યવસ્થા આવે જે શોષણ અને અન્યાયનું મૂળ હોય છે. જપાન અને ચીનમાં બને છે તેમ એ ચાર હજાર આવાસોમાં રહેતા કામદારો ઘડીભર  વિચારશે કે અમે તો અમારી જમીન અને નાનો સૂનો વેપાર વેંચીને બેકાર થયેલા હતા, તો ભલું થાજો આ બહુ રાષ્ટ્રીય કંપનીનું કે તેણે અમને રોટી, કપડાં અને મકાન આપ્યાં.

થોડાં વર્ષો પછી એમની આંખ ઉઘડશે કે તેમની પાસે માનવ શક્તિની બહાર હોય તેટલું કામ લેવામાં આવે છે, કુટુંબ સાથે ગાળવા સમય નથી રહેતો, કામ કરવાની વ્યવસ્થા સારી નથી અને વધારામાં એ હોલસેલ માર્કેટને થતો મોટા ભાગનો નફો તેના ચીની અને ભારતીય માલિકો જ ઢસડીને પોતાના ઘર ભેગો કરે છે અને પોતાને ભાગે રસ ચુસાઈ ગયેલા ગોટલા જ આવે છે. તે વખતે અન્યાય સામે માથું ઊંચકવા જેટલી શક્તિ પણ તેમનામાં નહીં રહી હોય. જમીનદારીના જમાનામાં જેમ બંધુઆ મઝદૂર હતા તેમ હવે આ નવી રીત છે જે કંપનીના માલિકો અને તેના કામદારોને એક પ્રકારના માલિક-ગુલામના ચોકઠામાં મૂકી દેવાની જેની તેમને – ખરું જોતાં કામદાર વર્ગને – જાણ પણ ન થાય તેવી રીતે ફૂંકી ફૂંકીને ભોળવવામાં આવે છે.

હું મારા તમામ ગુજરાતી ભાઈ-બહેનોને યુનાઇટેડ કિંગ્ડમ અને અમેરિકા જઈને જાત તપાસ કરવાનું આમંત્રણ આપું છું (અલબત્ત, તેમના પોતાને હિસાબે અને જોખમે). ખેતી, ડેરી અને તેને લગતા તમામ ગૃહોદ્યોગ-ગ્રામોદ્યોગને આધુનિકતાને નામે કેન્દ્રિત કરીને મૂડીવાદ અને બજારુ વેપાર વાણિજ્ય વિકસાવવાને પરિણામે આજે પાતાળમાં ચાંપી દેનારી મંદીના ભોગ બનવું પડ્યું છે. હોલસેલ માર્કેટ્સ પેલી માન્ચેસ્ટરની સૂતરની મિલોની જેમ માંદી પડી, મોટી મોટી સુપર માર્કેટ્સ ખુલતાં નાની દુકાનો અને છૂટક વેપારીઓ બેકાર બનતા જાય છે અને સરકારી મદદ પર અથવા સદાવ્રત પર નભતા થાય છે. વિદેશમાં એક બાજુ શ્રમનું મહત્ત્વ હોવાને કારણે  ડોકટરનો દીકરો કે દીકરી પ્લમર થવાનું પસંદ કરે કેમ કે તેમાં આવક વધુ છે તો બીજી બાજુ કોલસાની ખાણ કે કાપડની મિલમાં કામ કરનારનાં સંતાનો સુપર માર્કેટની ફર્શ સાફ કરીને ગુજરાન ચલાવે છે. જો અમદાવાદમાં ખુલનારી વિશ્વની મોટામાં મોટી હોલસેલ માર્કેટ અને તેના જેવાં બીજાં સાહસો થતાં રહેશે તો જગતનો તાત મનાતો ખેડૂત અને પ્રજાને પ્રેમથી સ્થાનિક ઉદ્યોગોથી પેદા થયેલ માલ વેચનારો વણિક એ માર્કેટમાં અભેરાઈઓ પર દેશ-વિદેશની સસ્તી ચીજો ગોઠવનારો એક વાણોતર માત્ર બની જાય એ પરિસ્થિતિ દૂર નહીં હોય.

મોદીની આપેલી મધલાળથી મોહી પાડનારાઓને એટલી જ વિનંતી કે આવા બહુરાષ્ટ્રીય કેન્દ્રિત વેપાર સાહસોથી હાથી જેવી મૂડી રોકનાર વિદેશી કંપનીઓને મણના હિસાબે નફો મળી રહેશે પણ તેમાં કામ કરનારને અને જેની જમીન અને વેપાર ખૂંચવી લેવામાં આવશે તેવી કીડીઓને કણ પણ નહીં મળે એ હકીકત સમજે અને અસર પામનાર તમામ લોકોની સાથે મળીને લેવાનાર પગલાનો સક્રિય વિરોધ કરે.

e.mail : 71abuch@gmail.com

Loading

Nonviolence and Parenting

Arun Gandhi|Gandhiana|21 January 2015

This story by Arun Gandhi, grandson of Mahatma Gandhi, is one of the most powerful examples of effective parenting I have ever heard. By one simple act, his father taught him a critically important lesson that, unfortunately, many people never grasp.

•


             

Manilal Gandhi    

When I was sixteen years old, we lived in South Africa about eighteen miles outside the city. One Saturday my father had to go to town to attend a conference and he didn’t feel like driving so he asked me if I would drive him into town and bring him back in the evening. My parents also gave me many small chores to do in town, like getting the car serviced and the oil changed.

When I left my father at the conference venue, he said, “At five o’clock in the evening, come here and pick me up, and we’ll go home together.”

I said, “Fine.” I rushed off, did all my chores as quickly as possible, left the car in the garage—and went straight to the nearest movie theatre. I got so engrossed in a double feature that I didn’t realize the passage of time. The movie ended at 5:30, and I came out and ran to the garage and rushed to where Dad was waiting for me. It was almost six o’clock when I reached there and he was wondering what had happened to me. The first question he asked me was, “Why are you late?”

Instead of telling him the truth, I lied to him, and I said, “The car wasn’t ready; I had to wait for the car,” not realizing that he had already called the garage.

When he caught me in the lie, he said, ‘There’s something wrong in the way I brought you up that didn’t give you the confidence to tell me the truth, that made you feel you had to lie to me. I’ve got to find out where I went wrong with you, and to do that I’m going to walk home.” There was absolutely nothing I could do to make him change his mind—and I couldn’t leave him and go away. For five and a half hours I crawled along in the car behind Father, watching him go through all this pain and agony for a stupid lie. I decided then and there that I was never going to lie again.

It’s almost fifty years since the event, and every time I think about it I still get goose bumps. That is the power of nonviolent action. It’s a lasting thing. It’s a change we bring through love, not fear. Anything that is brought by fear doesn’t last. But anything that is done by love lasts forever.

Loading

પેશાવરથી પેરિસ : અંદરની હિંસા અને બહારની હિંસામાં ફર્ક છે? …

રાજ ગોસ્વામી|Opinion - Opinion|20 January 2015

યુરોપ બીજા મહાયુદ્ધમાં ઝુલસ્યું હતું ત્યારે એક અમેરિકન મહિલા જે. કૃષ્ણમૂર્તિને મળવા આવી હતી. એના બે દીકરા હતા. એક ઇટલીમાં ‘શહીદ’ થઈ ગયો હતો અને બીજો જે 16 વર્ષનો હતો એ યુદ્ધની ગિરફતમાં ન આવી જાય તે માટે કૃષ્ણમૂર્તિની મદદ લેવા આવી હતી. એણે એના માનસિક સંતાપ અને ઉકળાટની વાત કરી. કૃષ્ણમૂર્તિએ એને એમના ચિર-પરિચિત અંદાજમાં સૂચન કર્યું કે દીકરાને બચાવવો હોય તો એણે અમેરિકન હોવાની ઓળખ છોડી દેવી પડે, ધન-દોલત અને લાલચ જતી કરવી પડે, બીજા પર પ્રભુત્વ જમાવવાની કોશિશ બંધ કરવી પડે અને માત્ર રહેણી-કરણીમાં જ નહીં, વિચારોમાં, સંબંધોમાં સાવ સાદી જિંદગી જીવવાનું શરૂ કરવું પડે. મહિલાએ કહ્યું, ‘કૃષ્ણજી, આટલું બધું છોડવું તો બહુ અઘરું છે. આ બધી પરિસ્થિતિઓ સામે લડવા હું તો બહુ નાની છું.’

કૃષ્ણમૂર્તિએ આ કિસ્સો યાદ કરીને કહ્યું હતું કે એના દીકરાના વિનાશ માટે એ ખુદ જવાબદાર હતી. દુનિયામાં જે યુદ્ધ ચાલે છે તેના માટે પ્રત્યેક વ્યક્તિ જવાબદાર છે, કારણ કે એની અંદર પૈસાનું, પોઝિશનનું, સંબંધોનું, માન્યતાઓનું અને વિચારોનું યુદ્ધ ચાલે છે. કૃષ્ણમૂર્તિ કહેતા કે વૈચારિક માન્યતાઓમાંથી આતંક પેદા થાય છે. ચાહે એ માન્યતા રાષ્ટ્રવાદમાં હોય, આદર્શમાં હોય, ધર્મમાં હોય કે સંપ્રદાયમાં હોય, એ એકબીજાને તોડવાનું કામ કરે છે અને એ વિભાજન, અલગાવમાંથી ઘર્ષણ પેદા થાય છે.

પેશાવર કે પેરિસની આતંકી ઘટનાને ઇસ્લામિક આતંકવાદના ચશ્માંમાંથી જોઈને એને ‘એ તો એવા જ છે’ અથવા ‘મારે શું લેવા-દેવા?’ એવા સીમિત દાયરામાં મૂકી દેવું આસાન અને અનુકૂળ છે, પરંતુ યુદ્ધ કે આતંક કે હિંસા કે સંઘર્ષને સમજવો હોય તો કેન્દ્રમાં બીજી વ્યક્તિ નહીં, સ્વયં આપણે હોવા જોઈએ. દુનિયામાં જે પણ છે, સારું કે ખરાબ, એ આપણું જ એક્સ્ટેન્શન છે. દુનિયા આપણાથી અલગ નથી, આપણે જ દુનિયા છીએ.

આપણું પૂરું જીવન પસંદગીઓ આધારિત છે. આપણે આપણી જરૂરિયાતો અને માનસિકતા પ્રમાણે કેટલીક બાબતો સ્વીકારીએ છીએ અને કેટલીક બાબતો છોડી દઈએ છીએ. જીવનના વિભિન્ન સ્તર પર પસંદગી-નાપસંદગી, સ્વીકાર-અસ્વીકાર અને લગાવ-અલગવાની પ્રક્રિયા નિરંતર ચાલતી રહે છે. આ અવિરત પ્રક્રિયામાં એક સંઘર્ષ હોય છે.

જેને આપણે મહત્ત્વાકાંક્ષા કહીએ છીએ એ આ પસંદગીની પ્રક્રિયાનું જ બીજું નામ છે. આપણે કંઈક બનવા માગીએ છીએ, આપણે પદ અને પ્રતિષ્ઠા ઇચ્છીએ છીએ, આપણને ઇજ્જત અને વાહવાહી જોઈએ છીએ, આપણને આપણી આજુબાજુમાં મર્યાદિત માણસો પરની સત્તાનો વિસ્તાર કરીને સમાજ કે દેશ પર સત્તા જમાવવી છે, હું અભણ છું તો બુદ્ધિશાળી બનવું છે, અશાંત છું તો પલાંઠી મારી ધ્યાન ધરવું છે, એક પત્નીથી સંતોષ નથી તો બીજી સ્ત્રીનો સંગ શોધવો છે, સિગારેટથી કામ ચાલતું નથી એટલે દારૂની જરૂરિયાત છે, 25 હજારની નોકરી ઓછી પડે છે એટલે એક લાખની કંપનીમાં જવું છે, મોહ-માયાથી પેટ ભરાઈ ગયું છે એટલે ઉત્તમ સાધુ બનવું છે. પૂરી જિંદગી આપણે માનસિક આવેગો પ્રમાણે પસંદગી કરતા રહીએ છીએ. ‘કંઈક કરવાની’ અથવા ‘કંઈક બનવાની’ આ પ્રક્રિયા મહત્ત્વાકાંક્ષા છે. જીવન એટલા માટે સંઘર્ષોની એક લાંબી સાંકળ જેવું છે.

આપણી પોતાની અને આપણે જેને બાહ્ય જગત કહીએ છીએ તે દુનિયાની પૂરી કહાની આવી મહત્ત્વાકાંક્ષાઓની બનેલી છે. માણસે એની ઇચ્છા પ્રમાણે આ દુનિયાનો વિકાસ કર્યો છે. માણસ ગુફામાં રહેતો હતો ત્યાંથી બહાર નીકળીને એણે દુનિયામાં એ બધી જ વસ્તુઓનું સર્જન કર્યું જે એને પૂરા સંસાર, પૂરા બ્રહ્માંડમાં રહેવા લાયક સૌથી શ્રેષ્ઠ જગ્યા તરીકે સાબિત કરે. કૃષિ ક્રાંતિ, ઔદ્યોગિક ક્રાંતિ, ટેક્નોલોજિકલ ક્રાંતિ અને ઇન્ફર્મેશન ક્રાંતિના પડાવો પર માણસે જીવનને બહેતરથી અતિ બહેતર બનાવ્યું છે પરંતુ એને શાંતિ કેમ નથી મળી? વિકાસની આ પૂરી દડમજલના અંતિમ દોર પર એનો સંઘર્ષ કેમ ખતમ થયો નથી?

ચાહે વ્યક્તિગત જીવન હોય, સામાજિક જીવન હોય કે રાષ્ટ્રીય જીવન હોય – અા તમામ સ્તરે માણસ અસંતુષ્ટ, દુ:ખી અને ખિન્ન રહ્યો છે. માણસે જ્યારે જ્યારે નવો વિકાસ, નવી શોધખોળ, નવી સિદ્ધિ કે નવી ક્રાંતિ કરી છે ત્યારે ત્યારે એણે સુખ અને શાંતિના આગલા પડાવ પર જવાની આશા બાંધી છે. વિકાસની સફરમાં માણસને કૃષ્ણ, બુદ્ધ, મહાવીર, પયગંબર, ગાંધી અને કૃષ્ણમૂર્તિ જેવા માર્ગદર્શક પણ મળ્યા છે પણ માણસનો સંઘર્ષ યથાવત્ રહ્યો છે, શાંતિની ચીસ થમી નથી.

એ આશ્ચર્ય નથી કે જે માણસે કલાકોમાં ઇન્ટરનેશનલ પ્રવાસ કરી શકાય તેવા જેટ પ્લેન બનાવ્યાં છે તે જ માણસે અત્યંત ઘાતક મિલિટરી ફાઇટર પ્લેન પણ બનાવ્યાં છે ? યુ. જી. નામના બીજા એક કૃષ્ણમૂર્તિ બ્રિટિશ ચિંતક બટ્રાન્ડ રસેલને મળ્યા ત્યારે તેમના વિશ્વશાંતિના પ્રયાસોની (સાચી) મજાક કરતાં યુ.જી.એ એમને કહ્યું હતું, ‘તમે જે હાઇડ્રોજન બોમ્બની નિંદા કરો છો અને તેના વિનાશની અપીલ કરો છે એ તમારા પોલીસમેનનું જ એક્સ્ટેન્શન છે. જે જાન-માલની રક્ષા કરવાની જરૂરિયાતમાંથી પોલીસમેનનો જન્મ થયો હતો તે જ જરૂરિયાતમાંથી હાઇડ્રોજન બોમ્બનો જન્મ થયો છે. બોમ્બને કાઢતા પહેલાં પોલીસમનને કાઢો. કાઢશો?’

પેશાવરમાં આતંકવાદીઓએ બંદૂકથી નિર્દોષ માણસને રહેંસી નાખ્યા અને આપણે કકળાટ કરી મૂક્યો. 2008માં અજમલ કસાબ અને એના બીજા 9 ‘ભાઈબંધો’એ ચાર દિવસ સુધી 12 શૂટઆઉટ અને બોમ્બિંગ કરીને 164 મુંબઈગરાને ઉડાવી દીધા હતા તેવી જ રીતે બે બંદૂકધારીઓએ પેરિસમાં બે દિવસમાં 20 માણસોને ઉડાવી દીધા.

આ કત્લેઆમમાં ઇસ્લામિક આતંકની વાસ્તવિકતા તો છે જ પરંતુ એથી ય મોટી વાસ્તવિકતા એ છે પરધર્મીની હત્યા કરવાના ધાર્મિક ઝનૂન પાછળ ગુફાવાસી આદિમાનવની એ સુરક્ષા છે જેના કારણે એણે ગધેડાના હાડકામાંથી ભાલો બનાવીને પાડોશીને માર્યો હતો.

માણસ એની હિંસક સંસ્કૃિતનો વારસદાર છે. દ્વિતીય મહાયુદ્ધમાં મિત્ર રાષ્ટ્રોએ ભેગા મળીને હિટલરનો ખાત્મો કર્યો ત્યારે એવી આશા હતી કે સંસારમાં હવે શાંતિનો સૂરજ ઊગશે. આજે 50 વર્ષ પછી દુનિયા આતંકના યુદ્ધ સામે ઝઝૂમી રહી છે. તમામ વિકાસ પછી પણ મરવાની અને મારવાની માણસની વૃત્તિમાં કોઈ ફરક આવ્યો નથી.

ગુફામાં બેસીને ગધેડાના હાડકાને અણી કાઢનારોએ માણસ આજે વ્હાઇટ હાઉસમાં બેઠો છે, અફઘાનિસ્તાનમાં બેઠો છે, ઇરાક-સીરિયામાં બેઠો છે કે ઉત્તર કોરિયામાં બેઠો છે.

મંચ પર ચઢીને આપણે એક બાજુ શાંતિ અને પ્રેમની વાતો કરીએ છીએ અને બીજી તરફ સેકન્ડોમાં સંહાર કરે તેવાં સાધનો ય બનાવીએ છીએ. આ ગડબડ નથી ? આશ્ચર્ય છે કે માણસ શાંતિ માટે યુદ્ધ કરે છે! જંગલમાં રહેતાં પશુ માણસ કરતાં ય હિંસક છે પરંતુ એ બીજા પશુને ત્યારે જ મારે છે જ્યારે એને ભૂખ મિટાવવાની હોય. પૃથ્વી પર માણસ એકમાત્ર એવું પ્રાણી છે જેની પાસે ભૂખ મિટાવવાનાં તમામ સાધન મોજૂદ હોવા છતાં એ માત્ર માન્યતા, શ્રદ્ધા કે વિચારને લઇને બીજા માણસની હત્યા કરે છે.

1985માં સંયુક્ત રાષ્ટ્ર સંઘની 40મી વર્ષગાંઠ પર જે. કૃષ્ણમૂર્તિને વિશ્વશાંતિની ચર્ચા કરવા બોલાવાયા હતા. તેમણે ત્યારે કહ્યું હતું કે, ‘આપણે સ્વયંને એ સવાલ પૂછવો જોઇએ કે આપણી અંદર દુ:ખ, સંતાપ અને ચિંતાનું ક્યારે ય સમાપન થશે કે નહીં.’ મોટાભાગના લોકો પોતાના ગિરેહબાનમાં જોતા ડરે છે અને પોતાનામાં પરિવર્તન સામે પ્રતિરોધ પેદા કરી લે છે. વિકાસની લાંબી યાત્રામાં માણસનું મસ્તિક યુદ્ધ, હિંસા, સંઘર્ષ અને નફરત માટે સંસ્કારિત થઈ ગયું છે. માનવીય મસ્તક સંઘર્ષ અને હિંસાના સંસ્કારથી બંધાયેલું છે. આ મસ્તક એની સંસ્કારબદ્ધતાથી મુક્ત થઈ શકે?

મિલિટરી યુદ્ધ કહો કે ધાર્મિક આતંકવાદ, હિંસાની અનિવાર્યતા આપણી અંદર છે. ઘરમાં પતિ-પત્ની વચ્ચે કે પાડોશમાં બે પરિવાર વચ્ચે જે થઈ રહ્યું છે તે જ જુદા અને મોટા સ્વરૂપે બે દેશો કે બે સંપ્રદાયો વચ્ચે થઈ રહ્યું છે. મૂળ સવાલ એ છે કે માણસમાં વૈચારિક ક્રાંતિ કેવી રીતે આવે? નવા વિચારો, નવી માન્યતાઓ, નવા આદર્શો કે નવા ચિંતનોથી માણસની મૂળભૂત વૃત્તિમાં કોઈ ફરક આવ્યો નથી. એક ઉપાય માણસના મસ્તકમાં કેમિકલ પરિવર્તન લાવવાનો છે. એમ તો અમેરિકા જિનેટિક એન્જિનિયરિંગ દ્વારા ‘રોબોટિક સૈનિકો’ પેદા કરવા પર કામ કરી રહ્યું છે. જે મશીનની જેમ આદેશ પ્રમાણે જ કામ કરે. આ જિનેટિક ટેક્નોલોજી ભવિષ્યના આતંકવાદીઓના હાથમાં આવી જાય તો ?

તો ફરી પાછો મુંબઈ, પેશાવર અને પેરિસનો કકળાટ.

https://www.facebook.com/raj.goswami.31/posts/894211883962489:0

Loading

...102030...3,8323,8333,8343,835...3,8403,8503,860...

Search by

Opinion

  • યા દિલ કી સુનો દુનિયાવાલો, યા મુઝકો અભી ચૂપ રહને દો
  • સમસ્યા : અંતર્ગોળ અને બહિર્ગોળ પેટની
  • સરકારમાં બેઠેલ વ્યક્તિઓમાં નવા વિચારો, નવી દિશા, વિકાસના નવા આયામો, સમસ્યા નિવારણ અંગે સાચી સમજણ નહિ કેળવાય ત્યાં સુધી બધું વ્યર્થ છે !
  • તેઓ મેકોલે જયંતી કેમ ઊજવે છે?
  • ધર્મેન્દ્ર – નોટ જસ્ટ અ હી-મેન 

Diaspora

  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved