Opinion Magazine
Number of visits: 9555530
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

વિશ્વશાંતિનો આધાર માનવની ઓળખ અને વફાદારી પર નિર્ભર છે

આશા બૂચ|Opinion - Opinion|24 January 2015

આજ કાલ મોટા ભાગના જાગૃત વિચારકો, કર્મશીલો અને દેશ દુનિયા માટે નિસ્બત ધરાવનારાઓની ફરિયાદ છે કે વિશ્વ શાંતિ જોખમમાં છે. તે માટે રાજકારણ, ધર્મ અને કેટલાકબળિયા દેશોની વિદેશનીતિને કારણભૂત માનવામાં આવે છે. એક એવી લાગણી પ્રવર્તે છે કે કળિયુગ આ પીડા લઈને આવ્યો છે; ‘પહેલાં’ એટલે કે સતયુગમાં સહુ સારા વાનાં હતાં, બધું સોનાનું હતું. એ તો આપણી પેઢી નવજાગૃતિ (રેનેસાં) વખતે, કેથલિક-પ્રોટેસ્ટંટ વચ્ચેના સંઘર્ષ સમયે અને બે વિશ્વયુદ્ધના સંહાર વખતે હાજર નહોતી તેથી તે કાળની ક્રૂરતા અને સામાન્ય પ્રજાની પીડાનો જાતે દેખેલો, સાંભળેલો અનુભવ નથી, તેથી આપણે આજની સ્થિતિને સહુથી વધુ ખતરનાક માનીએ છીએ.

જ્યારે જ્યારે અને જ્યાં જ્યાં અંદરુની સંઘર્ષ કે બે દેશો વચ્ચે લડાઈ ફાટી નીકળે છે તેનાં કારણો અને મૂળ તપાસવા જતાં એક વાત વધુ ને વધુ સ્પષ્ટ થતી જાય છે કે ક્યાંક ને ક્યાંક માનવ જાત પોતાની ઓળખ ગુમાવતો જાય છે. જરા વધુ વિગતે જોઈએ. એક તો કોઈ પણ વ્યક્તિને એક કરતાં વધુ ઓળખ હોય છે. ઓળખનું વૈવિધ્ય જોઈએ તે પહેલાં કેટલીક પરિભાષાઓ વિષે આપણી સમજણ સ્પષ્ટ છે કે નહીં તે ચકાસી લઈએ. દુનિયા એક વિશાળ ભૌગોલિક ફલક છે જે કુદરતી છ-સાત ભૂ ભાગમાં વિભાજીત થયેલો છે જેને આપણે ‘ભૂ ખંડ’ તરીકે ઓળખીએ છીએ. એ અખંડ ભૂ ખંડોને વહીવટી સરળતા અને સત્તાની મહેચ્છાને કારણે 300થી વધુ દેશોમાં ફાળવી દીધા જેને ભૌગોલિક સીમાઓ અને સરકારો હોય છે. એક ખંડમાં અનેક દેશો સમાયેલા છે, જેમાં એક કરતાં વધુ ધર્મ પાળનારા, ભાષાઓ બોલનારા, ચિત્ર વિચિત્ર પોશાકો પહેરનારા, જાતજાતના રીત રિવાજો પાળનારા, અસંખ્ય તહેવારો ઉજવનારા, જાત જાતનો ખોરાક આરોગનારા રંગ બેરંગી ત્વચા ઓઢનારા લોકો વસે છે, એ હકીકત પણ બાવા આદમના જમાનાથી જાણીતી છે.

હવે એક વ્યક્તિનું એક ખંડ નિવાસી તરીકે, એક દેશના નાગરિક તરીકે, એક ધર્મના અનુયાયી તરીકે, એક સમાજના સભ્ય તરીકે શું કર્તવ્ય છે, કઈ કઈ ફરજો છે એ પણ જુદા જુદા કાયદાઓ અને સામાજિક ધારાધોરણો દ્વારા નિશ્ચિત કરવામાં આવ્યું છે. એશિયા ખંડના વતની તરીકે મારી ફરજ છે કે હું તે વિશેની ભૌગોલિક માહિતી જાણું, તેની આબોહવા અને કુદરતી સંપદા વિષે રસ ધરાવું જેથી મારા સામાન્ય જ્ઞાનથી જે ભૂ ખંડની રહેવાસી છું તેના વિષે પૂરતી સમજણ કેળવાય. આ બહુ અઘરું નથી અને લોકોને ખંડની બાબતમાં વિવાદ ઓછો થાય છે એટલા આપણા સદ્દનસીબ. એક દેશના નાગરિક તરીકે મારી ફરજો વધે છે. હું ‘ભારતીય છું’ એમ કહેવા માટે મારા મનમાં સ્વદેશાભિમાન હોવું ઘટે, દેશના તમામ કાયદાઓ અને નિયમોનું સુપેરે પાલન કરવાની ક્ષમતા અનિવાર્ય ગણાય, દેશની સુરક્ષા માટે સક્રિય ફાળો આપવો જરૂરી બને સ્થાનિક પંચાયતથી માંડીને સમગ્ર દેશના વહીવટને સુચારુ રૂપે ચલાવવા માટે મારે ફાળે આવતા તમામ કરવેરા ભરવા એ પણ એટલી જ મહત્ત્વની ફરજ બની રહે છે. હવે ભલા, એક ખંડના નિવાસી તરીકેની ફરજો દેશના નાગરિકની ફરજોની આડે નથી આવતી ને?

પરંતુ માનવ જીવન એટલું સરળ નથી. જેમ જેમ એ વધુ ને વધુ ‘સુ સંસ્કૃત’ થતો ગયો તેમ તેમ ધર્મ અને સામાજિક ધોરણોનો એ પાબંદ થતો ગયો. છતાં સ્વદેશાભિમાનની લાગણી કાયમ રાખવા માટે મારી ધાર્મિક માન્યતાઓ અને બાહ્યાચાર આડખીલી રૂપ ન બનવા જોઈએ કેમ કે  સ્વદેશાભિમાન મારા દેશને વફાદાર રહેવા અને તેનું બાહ્ય આક્રમક તત્ત્વોથી રક્ષણ કરવા જરૂરી છે જ્યારે મારી ધાર્મિક માન્યતાઓ અને બાહ્યાચાર માત્ર મારી અંગત શ્રદ્ધા અને માન્યતાનો વિષય છે. દેશના કાયદાઓનું પાલન કરવા માટે મારે મારા ધર્મગુરુના માર્ગદર્શનની જરૂર ન પડે કેમ કે કાયદાઓ માનવ અધિકારના રક્ષણ માટે ઘડાયા છે જેને કોઈ પણ ધર્મ ટેકો આપે જ. અને જો કોઈ એવો દાવો કરે કે મારો ધર્મ દેશના કાયદાઓના પાલન માટે અમને મનાઈ ફરમાવે છે તો તેમણે પોતાના ધર્મગુરુઓ કે જેઓ ધાર્મિક પુસ્તાકોમાંના ઉપદેશનું અર્થઘટન કરે છે તેમને સવાલ કરવા જોઈએ. હું શંકરને ભજું કે રામને, આવક વેરો અને વેચાણ વેરો ભરતાં મને શંકર કે રામ થોડા રોકે? હું મંદિરમાં જાઉં કે ચર્ચમાં, આ દેશની સુરક્ષામાં તો મારો ફાળો એક નાગરિક તરીકે જ રહેવાનોને?

એવી જ રીતે મારી માતૃભાષા ગુજરાતી હોય, હિન્દી હોય કે તમિલ, હું કપાળે તિલક કરવા, સાડી પહેરવા અને મને ગમતા ભગવાનની મૂર્તિને અભિષેક કરવા સ્વતંત્ર છું એ આપણે બધા અનુભવીએ છીએ. આમ ભાષા મારી ઈશ્વર વિશેની શ્રદ્ધામાં વિઘ્નરૂપ નથી બનતી. મારી ત્વચા ઘઉં વર્ણી હોય કે શ્યામ રંગની, ગોરી હોય કે રતાશ પડતી હોય રોટલી કે ઈડલી-સાંભાર ખાવાનો મારો અબાધિત અધિકાર ખરો કે નહીં? શું ગુજરાતી સજ્જન ઈડલી-સાંભાર ખાય તો દક્ષિણ ભારતીય બની જાય અને ગુજરાતી ભાષા છોડાવી પડે? મારો કહેવાનો મતલબ એ છે કે એક જ વ્યક્તિની જુદી જુદી ઓળખ હોય છે અને એ મુજબ તેની અલગ અલગ ફરજો અને કર્તવ્યો હોય છે પણ તેમાંનાં એકેય કર્તવ્યો એકબીજાની વિરુદ્ધ નથી આવતાં. ઉદાહરણ તરીકે હું ભારતમાં રહેતી ત્યારે ગુજરાતી બોલતી હતી અને યુનાઇટેડ કિંગ્ડમમાં રહું છું તો પણ બોલી શકું, માત્ર હવે આવકવેરો યુનાઇટેડ કિંગ્ડમમાં ભરું છું અને કપડાં અહીંની આબોહવા મુજબના પહેરું છું. હું અહીં પણ હિંદુ ધર્મનું પાલન કરું છું છતાં આ દેશના તમામ કાયદાઓનું પાલન કરું છું જે મને અને બીજા તમામ નાગરિકોને સલામત રહેવાના અધિકારો આપે છે. મારી અંગત માન્યતાઓ, રહેણીકરણી કે સાંસ્કૃિતક મૂલ્યો આ દેશ પ્રત્યેની વફાદારીને આડે ન આવવાં જોઈએ. સમજવાની વાત એ છે કે કોઈ પણ દેશના કાયદાઓ, ધર્મનાં મૂલ્યો, સામાજિક ધારા ધોરણો, ભાષાની ખૂબીઓ, પહેરવેશની રીત ભાત, ખાણી-પીણીના રિવાજો એક બીજાનું ખંડન કરનારા, તોડી પાડનારા કે આડે આવનારા હોતા જ નથી, અને એટલે તો એક દેશમાં મોટા ભાગના લોકો તદ્દન હળી મળીને સુમેળથી શાંતિપૂર્વક રહે છે.

છેલ્લાં કેટલાક વર્ષો દરમ્યાન જેઓ પોતાની નાગરિક તરીકેની ફરજોને પોતાના ધર્માંધ વિચારો સાથે સેળભેળ કરીને બંનેના નિયમો વિરુદ્ધનું અવિચારી વર્તન કરીને સમજ તથા ધર્મને ભયમાં મૂકી રહ્યા છે. હું કાશ્મીરની મૂળ વતની યુનાઇટેડ કિંગ્ડમમાં સ્થાઈ થઈ હોઉં તો પણ મને માદરે વતનના પ્રશ્નો જરૂર સતાવે, પણ એથી કરીને જો ભારત-પાકિસ્તાનની સરહદ પર ગોળીબાર થાય કે ઘુસણખોર અને સ્થાનિક પ્રજા વચ્ચે કોમી રમખાણ થાય તો તેનો નિવેડો લાવવાની ફરજ એ બે દેશોની સરકાર, લશ્કર અને ઝઘડતી બે કોમના લોકોની છે. મારે જો કંઈ પણ કરવું હોય તો કાશ્મીર જઈને સરહદની બંને તરફના લોકોને આ પ્રશ્નનો શાંતિમય ઉકેલ લાવવા મદદ કરવી જોઈએ, પણ એ તો તો જ બને જો હું પોતે દરેક પ્રશ્નનો શાંતિમય ઉકેલ લાવી શકાય એ સિદ્ધાંતમાં શ્રદ્ધા ધરાવતી હોઉં. એ મુદ્દા પર યુનાઇટેડ કિંગ્ડમમાં રહેતી પાકિસ્તાનની પ્રજા પર આક્રમણ કરવાનો તો મને લેશ માત્ર અધિકાર નથી. દેશના જવાબદાર નાગરિક તરીકેની આ ફરજોનું ઉલ્લંઘન વધુને વધુ લોકો કરતા થયા છે, જેને પરિણામે વિશ્વભરમાં સરકારો પોતાના જ નાગરિકોની વફાદારી પરથી વિશ્વાસ ગુમાવતી જાય છે, અને તેમને નાગરિકોને બદલે ગુનેગારો ગણી સતત કાયદાની નજરકેદમાં રાખવા લાગી છે.

થોડા વખત પહેલાં, ઓસ્ટ્રેલિયામાં આતંકવાદી હુમલાનો બનાવ બન્યો, તેના પ્રતિસાદ રૂપે ત્યાંના તત્કાલીન વડાપ્રધાન જુલિયા ગીલાર્ડનું તે વેળાનું ફરમાન ધ્યાન ખેંચે તેવું છે : ‘શરિયા કાયદો અમલમાં આવે એવી માંગણી કરનાર મુસ્લિમ પ્રજાને બુધવાર સુધીમાં ઓસ્ટ્રેલીયા છોડવાનું ફરમાન કરવામાં આવે છે કેમ કે ઓસ્ટ્રેલીયા ફેનાટીક મુસ્લિમને આતંકવાદી તરીકે જુએ છે. દરેક મસ્જિદની તપાસ કરવામાં આવશે અને દરેક મુસ્લિમ બંદો આ કાર્યમાં સહકાર આપશે. બીજા દેશમાંથી આવેલ મુસ્લિમ લોકોએ અમારી જીવન પદ્ધતિ અપનાવવાની રહેશે નહીં કે અમે તેમની રીતે રહીએ એવી અપેક્ષા રાખે. જો એ લોકો આ રીતે રહી ન શકે તો તેમને ઓસ્ટ્રેલિયા છોડવાની છૂટ છે. ઘણા ઓસ્ટ્રેલિયનને ભય છે કે અમે કોઈ એક ધર્મના લોકોનું અપમાન કરીએ છીએ, પણ હું ખાતરી આપું છું કે અમે જે કરવા જઈ રહ્યા છીએ એ ઓસ્ટ્રેલિયાની પ્રજાના હિતમાં છે. અમે અહીં ઇંગ્લિશ બોલીએ છીએ નહીં કે બીજા ઇસ્લામિક દેશોની જેમ આરેબીક કે ઉર્દૂ, એટલે જો તમે આ દેશમાં રહેવા ઈચ્છતા હો તો સારું એ છે કે તમે ઇંગ્લિશ બોલતાં શીખો. અમે જીસસમાં શ્રદ્ધા ધરાવીએ છીએ જે અમારો ભગવાન છે અને અમે ભગવાનમાં માનીએ છીએ. અમે ક્રીશ્ચિયાનિટીમાં માનીએ છીએ અને તેને અનુસરીએ છીએ અને બીજા ધર્મને નથી અનુસરતા એથી કરીને અમે કોમવાદી નથી બનતા. આ કારણે તમને ભગવાનની છબીઓ અને પુસ્તકો ઠેકઠેકાણે જોવા મળશે. આ માટે તમને જો કોઈ વાંધો હોય તો તમે ઓસ્ટ્રેલિયા છોડીને દુનિયામાં ક્યાં ય પણ જઈ શકો છો. ઓસ્ટ્રેલિયા અમારો દેશ છે અને આ અમારી સંસ્કૃિત છે. અમે તમારો ધર્મ નથી પાળતા પણ અમે તમારી લાગણીઓનો આદર કરીએ છીએ અને એથી જ તો તમે કુરાન વાંચવા માંગતા હો અને નમાઝ પઢવા માંગતા હો તો લાઉડ સ્પીકરમાં મોટે મોટેથી બોલીને અવાજનું પ્રદૂષણ ન વધારશો. અમારી શાળાઓ, ઓફીસ કે જાહેર સ્થળોમાં કુરાન ન વાંચશો કે નમાઝ ન પઢશો. તમને જો અમારા રાષ્ટ્ર ધ્વજ કે રાષ્ટ્રગીત સામે કોઈ વાંધો હોય કે અમારી જીવન પદ્ધતિ કે ધર્મ સામે વાંધો હોય તો મહેબાની કરીને ઓસ્ટ્રેલિયા છોડીને  ચાલ્યા જાઓ અને ફરી કદી અહીં ન આવશો.’

પૂર્વ વડાપ્રધાન જુલિયા ગીલાર્ડના આ મક્કમ ફરમાન સાથે મોટા ભાગના લોકો સહમત થશે. અહીં એક વાત ધ્યાનમાં રાખવા જેવી ખરી કે તેઓ લાઉડ સ્પીકરમાં કે શાળા-ઓફિસમાં નમાઝ પઢનારાઓને અને જેમને ભગવાની છબી પસંદ નથી તેવા શાંતિપ્રિય મુસ્લિમોને પેલા શારીયા કાયદાની સ્થાપના માટે હિંસક માર્ગ લેનારા આતંકવાદી ચપટીભર લોકોના જ પલ્લામાં બેસાડે છે એ યોગ્ય કહેવાશે? વળી આમ કરવાથી થોડા માથાભારે લોકો તેમના દેશમાંથી નીકળીને ‘પોતાના’ કહેવાતા ઇસ્લામિક દેશમાં જશે. એટલેક ે આતંકી હઠશે, આતંકવાદ નહીં મરે. આ તો કચરો મારા ફળીયામાંથી કાઢીને પાડોશીના ઘરમાં નાખવા જેવી વાત થઈ. વળી ઈરાન, ઈરાક કે પાકિસ્તાન જેવા દેશોમાં માનો કે બધા તાલીબાન, અલ કાયદા કે આઈ.એસ.ના અનુયાયીઓ એકઠા થશે તો શું દુનિયા સલામત બનશે? જેલમાં ગુનેગારોને પૂરી રાખવાથી સમાજમાંથી ગુનાખોરીનું પ્રમાણ ઘટયું છે કે ગુનેગાર જેલમાંથી વધુ ગુના શીખીને રીઢો ગુનેગાર બનીને બહાર આવે એવું વધુ સંભવે છે? એમ તો અત્યાર સુધીમાં અસંખ્ય આતંકવાદીઓનો ખાત્મો બોલાવવામાં અનેક  દેશોની સરકારો સફળ થઈ છે છતાં મજાની વાત એ છે કે એ સહસ્ત્ર ફેણ વાળો નાગ ફરી ફરી ફૂંફાડા મારે છે. એ હકીકત રાજકારણીઓ, ધર્મ ઉપદેશકો, સમાજશાસ્ત્રીઓ અને માનવ જાતને શિક્ષિત કરીને તેના ઘડતરમાં ફાળો આપનાર માત-પિતાથી માંડીને તમામ લાગતા વળગતાએ સમજીને વિચારવું રહ્યું કે હવે સમય પાકી ગયો છે કે કોઈ એક કોમ, ધર્મના લોકો કે દેશના નાગરિકોની સામે આંગળી ચીંધી તેમને બદનામ કર્યે, પોતાના દેશમાંથી તડીપાર  કર્યે, ગોળીએ ઉડાવી દીધે કે કારાગારમાં પૂરી દીધે આ મહા પ્રશ્નનો ઉકેલ નહીં આવે. જરૂર છે માનવ માત્રની વિચારધારાની રુખ બદલવાનો, તેની માનસિકતાને સાચી દિશામાં વાળવાનો.

ગાંધીજીએ કહેલું, ‘વ્યક્તિના દુષ્ટ કર્તવ્યને બદલો, તે માટે એ વ્યક્તિને ન ધિક્કારો કેમ કે તેના જેવા અન્ય પેદા થશે.’ આજે જે સંકટ ઈસ્લામને નામે ફેલાઈ રહ્યું છે તે માત્ર એ ધર્મના અનુયાયીઓને જ અસરકર્તા નથી નીવડતું. હિંદુ, જુઈશ, બુદ્ધિસ્ટ અને ક્રિશ્ચિયન ધર્મના અનુયાયીઓ ભૂતકાળમાં આવા અંધકાર યુગમાંથી પસાર થઈ ચુક્યા છે. તો તેઓ તેમને માર્ગ દેખાડે અને એમના જ ધર્મના ઉપદેશનો સાચો મતલબ સમજવાની કોશિષ કરીને એક ધર્મ નિરપેક્ષ માનવતાવાદી દુનિયા સાથે મળીને રચવાની હાકલ કરે જેમાં કોઈ ધર્મને બીજા ધર્મ તરફથી ભય નહીં હોય અને દરેક દેશના નાગરિકો માનવ અધિકારોની રક્ષાની જાળવણી માટે તમામ કાયદાઓ, નિયમોનું તટસ્થ પણે પાલન કરતો હશે. એવો મૈત્રીનો હાથ લંબાવવાથી જ આજની પરિસ્થિતિનો હાલ આવશે. વિશ્વૈક્ય અને વિશ્વશાંતિ જેવી અમૂલ્ય ચીજ મેળવવા આટલું જરૂર કરીએ.

e.mail : 71abuch@gmail.com

Loading

રજની કોઠારી નામે એક તારો ખર્યો !

પ્રકાશ ન. શાહ|Samantar Gujarat - Samantar|24 January 2015

રજની કોઠારી નામે એક તારો ખર્યો !

દિલ્હી 2015. જામીનધન્ય પક્ષપ્રમુખ અને તેજતર્રાર પોલીસ અફસર, બેઉ અડખેપડખે …

વોટ અ ફ્રેમ, માય ડિયર સર !

દેશની રાજધાનીમાં વિધાનસભાનો જંગ જામવો અને રાજ્યશાસ્ત્રી રજની કોઠારીનું જવું  : અનાયાસ બની આવેલો આ જોગાનુજોગ જાન્યુઆરી 2015માં ઊભીને નાગરિક સહચિંતનનો એક અચ્છો અવસર પૂરો પાડે છે.

કિરણ બેદી અને શાઝિયા ઇલ્મી વગેરે ભા.જ.પ.માં પ્રવેશ્યાં એ સાથે, એક અર્થમાં દિલ્હીનું ચૂંટણી યુદ્ધ કેમ જાણે આપની જ ‘એ’ અને ‘બી’ ટીમો વચ્ચે લડાઈ રહ્યું લાગે છે. દસમી ફેબ્રુઆરીએ પરિણામ જે પણ આવવાનું હોય, હાલની પ્રચારઝુંબેશમાં અને સાતમી ફેબ્રુઆરીના મતદાનમાં મોખરાનો મુદ્દો પૂર્વે કદાચ કદાપિ નહીં એ રીતે રાજકારણમાં નાગરિક સંડોવણીનો છે. પરંપરાગત રાજયશાસ્ત્રને રાજ્યકેન્દ્રીમાંથી આજના પ્રજાપરક મુકામ લગી લઈ આવવાની જે સંક્રાતિ, રજની કોઠારી એના અગ્રચિંતક રહ્યા. માત્ર વિચારક જ નહીં પણ એક પ્રકારે કર્મશીલ ઝુકાવ સુદ્ધાં એમનો રહ્યો તે એ અર્થમાં કે પરિબળો અને પ્રવાહને સમજવાના તબક્કે ન અટકતાં એને અંગે રચનાત્મક મોડ અને મરોડનીયે  કોશિશ એમની રહી.

પાલનપુરના ઝવેરી પરિવારનું એ સંતાન. દોમદોમ સાહ્યબીભર્યા વેપારધંધાની કારકિર્દી સહજ હશે, પણ એ વિરમ્યા વિદ્યાવ્યાસંગમાં વડોદરે. રાવજી મોટા ફરતે જે વિચારમંડળી જામી એનો પણ એમના ઘડતરમાં ચોક્કસ ફાળો. દેશે એમને ઓળખ્યા પિસ્તાળીસેક વરસ પહેલાં, ‘પોલિટિક્સ ઇન ઇન્ડિયા’ એ કલાસિક કિતાબથી સ્વરાજના પહેલા બે દાયકા, કોઠારીની નિરીક્ષા અને નુક્તચેની મુજબ, ‘કોંગ્રેસ પ્રથા’એ સાચવી લીધા. સબળ વિરોધપક્ષ ન હોય, દ્વિપક્ષ પ્રથા નાખી નજરે જણાતી ન હોય તો પણ ભિન્ન મતોને સમાવતી કોંગ્રેસ પ્રથામાં લોકશાહી સંતુલનની કાર્યગુંજાશ હતી. કોંગ્રેસ તૂટી ત્યારે ઇંદિરા ગાંધી ગરીબી હટાઓ અપીલ સાથે એક નવા વર્ગને સક્રિય રીતે જોડવામાં સફળ રહ્યાં.

એમનું આ ‘નવું રાજકારણ’ કારણગતપણે આગળ ચાલી શકે તે માટે કોઠારી વગેરેએ ત્યારે લોકસભા અને વિધાનસભાઓની ચૂંટણી જુદી પાડવાનું સૂચન કર્યું હતું. જે 1971ની મધ્યસત્ર ચૂંટણી સાથે અમલમાં મૂકાયું અને ઇંદિરાજીને ફળ્યું. તે પછી ત્રણચાર વરસે છાત્રયુવા નાગરિક શક્તિને ધોરણે જયપ્રકાશ ચિત્રમાં આવ્યા ત્યારે, બને કે રજનીભાઈ વગેરે એક સંમિશ્ર પ્રકાશમાંથી પસાર થયા હશે. રાજ્ય મારફતે આમ નાગરિક તરફે કામની પરિપાટીને બદલે એમાં રાજ્ય સમક્ષ પડકાર હતો તે બાબતે કઈ હદે આગળ વધવું ન વધવું એવી ભાવદ્વિધા પણ હશે. પણ કટોકટીરાજ સાથે સાફ થઈ ગયું કે રાજયકેન્દ્રી નહીં તો પણ નકરો રાજ્ય આધારિત અભિગમ પ્રજાપરક પુનર્વિચાર માગે છે. કટોકટી વચ્ચે કોઠારી આ મુદ્દે નિર્ભીકપણે સક્રિય રહ્યા અને જનતા પક્ષમાં જોડાયા વગર 1977નો એનો ઢંઢેરો ઘડવામાં એમના અને તારકુંડે જેવા બિનપક્ષીય બૌદ્ધિકોનો સિંહફાળો રહ્યો.લોકશાહી પુન:પ્રતિષ્ઠા તે અલબત્ત એક મોટી વાત હતી અને ટૂંકજીવી જનતા પ્રયોગ તૂટ્યો ત્યારે સમજાઈ રહેલું વાનું એ હતું કે પરંપરાગત રાજનીતિમાંથી નવો વિકલ્પ ઉપજાવવા સારુ ઘણુબધું નવયોજવું રહે છે. જયપ્રકાશે છતે જનતાપક્ષે લોકસમિતિ અને છાત્રયુવા સંઘર્ષ વાહિની જેવાં સંગઠનો વિકસાવવાપણું જોયું – અને જનતંત્ર સમાજ તેમ જ પિ.યુ.સિ.એલ. તો હતાં જ – એનું રહસ્ય આ સમજમાં હતું. એ જ અરસામાં દેશમાં એન.જી.ઓ.નું નવુ પરિબળ ઉભર્યું ત્યારે એક તબક્કે કોઠારીનું આકલન એ હતું કે એમાંથી નવી રાજકીય પ્રક્રિયા શરૂ થઈ વિકલ્પની ભોં ભાગશે. અલબત્ત, તે શકય ન બન્યું પણ જયપ્રકાશના આંદોલનથી ઉપસી રહેલી એક વાત જનતા પ્રયોગ તેમ એન.જી.ઓ. ઘટનાક્રમમાં અંકે થઈને રહી કે સ્થાપિત પક્ષોના હાડમાં પડેલ યથાસ્થિતિ(સ્ટેટસ કો)વાદ સામે નાગરિક સહભાગિતા જેવું પ્રજાસૂય રાજકારણ અનિવાર્ય છે.

અણ્ણા આંદોલન અને નિર્ભયા જાગૃતિની અગનભઠ્ઠીમાંથી યાજ્ઞસેની દ્રૌપદીની જેમ આપ ઘટનાનો ઉદય થયો તેનો સંદર્ભ આ છે. કિરણ બેદીનો (જેમ અણ્ણાની કોર કમિટી માંહેલા જિંદાલનો) ઝુકાવ શરૂથી ભા.જ.પ. તરફ હતો એ વિગત ભલે નોંધીએ, પણ એની ગલીકૂંચીમાં નહીં જતાં અહીં એટલું અવશ્ય કહીએ કે અરવિંદ કેજરીવાલ અને કિરણ બેદીની તાજેતરનાં વર્ષોની રાષ્ટ્રીય સ્વીકૃતિની પૃષ્ઠભૂ પ્રધાનપણે અણ્ણા આંદોલનની છે. તેથી ભા.જ.પ. જયારે કિરણ બેદીને આગળ કરે છે ત્યારે એનો મનોવૈજ્ઞાનિક બેત સ્વાભાવિક જ અણ્ણા આંદોલનના લાભાર્થીરૂપે ઉભરવાનો અને એટલે અંશે આપની અપીલને ઘટાડવાનો છે. ન.મો. ભા.જ.પ.ની કિરણગતિને કઈ રીતે જોઈ શકાય?

એક બાજુ, એમાં પોતાની ધાટીની રાજનીતિ અધૂરી છે અને પરંપરાબાહ્ય કશુંક જરૂરી છે એવી ભા.જ.પી. સમજ કામ કરી રહી છે. બીજી બાજુ, કિરણ બેદીની ભા.જ.પ.ગતિમાં જે પરિબળ પરિવર્તનનું હોઈ શકતું હતું તે યથાસ્થિતિને શરણે ગયાનું ચિત્ર ઉપસે છે : જામીનધન્ય પક્ષપ્રમુખ અને તેજતર્રાર પોલીસ અધિકારી, આ ફ્રેમ પોતે જ કેટલું બધી કહી દે છે !

રજનીભાઈ એના મોકે ગયા. પણ ખરેખર તો, આપના પૂર્વરંગરૂપ અણ્ણા આંદોલન અગાઉથી એ આજાર ચાલતા જ હતા. અહીં જે સામ્પ્રતને સમજવાની ચર્ચા કરી છે એનો આધાર વસ્તુત : જેમ એમની સ્કૂલના છેલ્લા દાયકાઓના ચિંતનનો છે તેમ આ ગાળામાં દેશના રાજકારણ ને જાહેર જીવનમાં સક્રિય સૌની સાહેદીનોયે છે .. 

… ઓવર ટુ દિલ્હી !

સૌજન્ય : “દિવ્ય ભાસ્કર”, 24 જાન્યુઆરી 2015

Loading

ધરતીની આરતી ઉતારનાર સંન્યાસી


સંજય શ્રીપાદ ભાવે, સંજય શ્રીપાદ ભાવે|Opinion - Literature|24 January 2015



હિમાલય સહિત ભારત ખૂંદનારા સ્વામી આનંદે બળવાન ગદ્યમાં ચરિત્રો અને ધર્મ-સમાજચિંતનના નિબંધો લખ્યા છે




દસ વર્ષના એક બાળકને એક સાધુએ લાલચ આપી, 'ચાલ બચ્ચા, તને ભગવાન દેખાડું.' એટલે છોકરો તો ચાલી નીકળ્યો. વર્ષો લગી ભમ્યાં પછી, ઝાલાવાડના શિયાણી ગામમાં જન્મેલો આ હિમ્મતલાલ મહાશંકર દવે, અનોખો સંન્યાસી બન્યો – સ્વામી આનંદ (1887-1976).

આ એવા ગુજરાતી સાહિત્યકાર કે જેમણે આત્મકથા લખવા માટે ઉદાસિન ગાંધીજી પાસે જીદ કરી 'સત્યના પ્રયોગો' લખાવી, બાઇબલના અંશોને 'ઇશુ ભાગવત' નામે કાઠિયાવાડીમાં ઢાળ્યા, ગીતામાંથી તારવેલાં એકસો આઠ શ્લોકમાંથી 'બને એટલી સહેલી ભાષામાં' 'લોકગીતા' તૈયાર કરી, રેચેલ કાર્સને પર્યાવરણ જાળવણી વિશે લખેલા પાયાના વિશ્વવિખ્યાત પુસ્તક 'સાયલન્ટ સ્પ્રિન્ગ'(1962)નો સાર આપ્યો, અણુશસ્ત્રમુક્તિ પરની બર્ટ્રાન્ડ રસેલની વાતને ગુજરાતીમાં મૂકી. હિમાલય સહિત ભારત ખૂંદનારા રચનાત્મક કાર્યકર સ્વામી આનંદે તદ્દન જુદી ભાતના બળવાન ગદ્યમાં ચરિત્રો અને ધર્મ-સમાજચિંતનના નિબંધો લખ્યા છે. તેમના ચૂંટેલાં લખાણોનું, ગુજરાતી ભાષાને ચાહનારા સહુને ગમતું જાણીતું પુસ્તક તે 'ધરતીની આરતી' (1977). 


સ્વામી 'બચપણનાં બાર વર્ષ' નામના સંભારણાંમાં માહિતી આપે છે કે સ્વમાની માતા તેમના પિતાથી છૂટાં પડીને બહેનની સાથે ગિરગામના લત્તામાં મોરારજી ગોકળદાસના શ્રેષ્ઠી પરિવારની નોકરીમાં રહ્યાં. મુંબઈના વસવાટથી મરાઠી ભાષાની ફાવટ અને તેની સંસ્કૃિતની છાપ તેમના પર હંમેશ માટે રહી. સારા-નરસા જાતભાતના જે બાવાઓ સાથે એ દોઢ દાયકો રખડ્યા-રઝળ્યા તે વિશે તેમનો 'મારા પિતરાઈઓ' નામે રસભર લેખ છે. છેવટે રામકૃષ્ણ મિશનના 'નિર્વ્યસની, ભણેલા અને શ્રેષ્ઠ અર્થમાં સેવાભાવી' સંન્યાસીઓમાં જોડાયા. 



અલબત્ત તેમના માટે સંન્યાસ એટલે દેશનાં અને જનહિતનાં નિરપેક્ષ કામ. ગાંધીજીનાં છાપાં અને પ્રેસનાં શરૂનાં વર્ષોનાં સંચાલક, રાજદ્વારી અને સામાજિક લડતો તેમ જ કાર્યક્રમોમાં બાપુના વિશ્વાસુ કાર્યકર્તા. બિહાર ધરતીકંપની મદદ-ટુકડીના મુખી, બારડોલી સત્યાગ્રહમાં સરદારના મંત્રી, થાણાના ગાંધી આશ્રમના સ્થાપક-મંત્રી, આદિવાસી સેવા મંડળના એક આદ્ય સ્થાપક, ભાગલા વખતે પંજાબ, દેહરાદૂન તેમ જ હરદ્વારમાં નિરાશ્રિતો વચ્ચે લાંબો સમય કામ. આ યાદી લાંબી થઈ શકે. છેલ્લાં વર્ષો થાણા જિલ્લાની કોસબાડની ટેકરીઓ પર નિવૃત્તિમાં ગાળ્યાં. જો કે મનથી તો તે આજીવન હિમાલયના અનુરાગી રહ્યા, જેની સાખ પૂરે છે તેમનાં પુસ્તકો 'હિમાલયનાં તીર્થસ્થાનો' અને 'બરફ રસ્તે બદરીનાથ'. 



ચરિત્રલેખોનાં સંચયો છે 'કુળકથાઓ', 'ધરતીનું લૂણ' 'નઘરોળ', 'સંતોના અનુજ' અને 'સંતોનો ફાળો'. તેમાં મૉનજી રુદર છે જે દીકરીના વિધવાવિવાહની સામે પડેલી આખી ન્યાત સામે લડે છે, અંગ્રેજ અધિકારીઓને ઠેકાણે બ્રિટિશ રેલવેના સ્ટેશન-માસ્ટર છોટુભાઈ દેસાઈ, શુક્રતારક સમા મહાદેવભાઈ દેસાઈ, જેવાં ગુજરાતી સાહિત્યના કેટલાક અમર પાત્રો હરફનમૌલા લેખકે આલેખ્યાં છે. 'મોતને હંફાવનારા' પુસ્તકમાં કુદરતી આપત્તિઓ, એક્સપેડિશન્સની જીવલેણ આફતો, જર્મન યાતનાછાવણીઓ, મોટા રોગચાળા જેવી કસોટીઓમાંથી જિજીવિષા અને અને શ્રદ્ધાને બળે ટકી ગયેલાંની હેરતકથાઓ છે, જે પહાડખેડૂ વિલ્ફ્રેડ નૉઇસના 'ધે સર્વાઇવ્ડ' પર આધારિત છે. યુરોપના પ્રવાસી સંશોધક સ્વેન હેડિનની સાહસભરી આત્મકથા 'એશિયાના ભ્રમણ અને સંશોધન' નામે છે. 'નવલાં દર્શન'માં અનેક પ્રાંતોના લોકોના જીવનના અપાર વૈવિધ્યનું વર્ણન છે. 'અનંતકળા'માં કેળવણીકાર નાનાભાઈ ભટ્ટ પરના લાંબા સંકિર્તન ઉપરાંત કિરતારની કળા, જન્મ-મૃત્યુ,ધર્મ, સંસ્કૃિત, નિયતિ, ભક્તિ, શાશ્વતની ખોજ જેવા વિષયો પર રોચક શૈલીમાં દીર્ઘ લેખો છે.



ગુજરાતી ભાષાના મોટા શૈલીકાર આનંદના વિચિત્ર છતાં પણ મોહક ગદ્યના અનેક અંગ-રંગ છે. તેમાં મરાઠી, હિન્દી, ઉર્દૂ અને અંગ્રેજી ભાષા તેમ જ સૌરાષ્ટ્રની ગ્રામભાષા, સૂરતી, થાણાશાહી, સાધુશાઈ બોલીઓની મનસ્વી છતાં ય મનોહર લીલા છે. રમણીય ચિત્રાત્મકતા, ઉછળતો જોસ્સો અને અઢળક ભાષાસિદ્ધિને કારણે વાચક શૈલીમાં તણાતો રહે.



સ્વામીએ એમને ગમતાં પણ ઘસાતા-ભૂસાતા પ્રાણવાન જૂના શબ્દો, રૂઢપ્રયોગો અને કહેવતોનો સંગ્રહ કર્યો હતો જે 'જૂની મૂડી' નામે પ્રસિદ્ધ થયો છે. તેમાંના કેટલાક શબ્દપ્રયોગો છે : અડબાઉ, ઉપટામણી, પોમલી, મુતલક, કાતરિયું ગેપ, તેલપળી કરવી, કુલડીમાં રાંધ્યું ને કોડિયામાં ખાધું. વળી 'ઓલ્ડ મૅન ઍણ્ડ ધ સી' માટે ભાભો અને મહેરામણ, વિલિયન બ્રાયનના 'પ્રાઇસ્ ઑફ ધ સોલ' માટે આતમનાં મૂલ કે બાઇબલના 'પ્રૉડિગલ સન' માટે છેલછોગાળો, 'સર્મન ઑન ધ માઉન્ટ' માટે ટીંબાનો ઉપદેશ કે 'સૉલ્ટ ઑફ ધ અર્થ' માટે ધરતીનું લૂણ શબ્દો કદાચ આ શબ્દશિલ્પી ઘડી શકે ! 



'નકરા લેખન કે વક્તૃત્વની સેવાક્ષેત્રમાં કશી કિંમત નથી' એમ માનતા સ્વામી તેમનાં લખાણોનાં પુસ્તકો કરવાની બાબતમાં ઉદાસીન હતા, અને ગુજરાતી સાહિત્ય તેના આ ગદ્યસ્વામી માટે ઉદાસીન છે. દિલ્હીની કેન્દ્રીય સાહિત્ય અકાદમીએ 'કુળકથાઓ' પુસ્તકને 1969ના વર્ષ માટેનું ઇનામ જાહેર કર્યું હતું. 'લખાણ સાથે વળગેલા યશ અને અર્થ બંનેના વણછામાંથી બચવાની સતત તકેદારી' તરીકે સ્વામી આનંદે તેનો અસ્વીકાર કર્યો હતો. તેમણે આપેલી સાધુની સોંસરી વ્યાખ્યા સર્વકાલીન માપદંડ છે : 'સાધુ 'દો રોટી, એક લંગોટી'નો હકદાર. એથી વધુ જેટલું એ સમાજ પાસેથી લે, તેટલું હકબહારનું … સાધુ લે તેનાથી સહસ્ત્રગણી સેવા કરે ત્યાં સુધી તો એણે નકરી અદાયગી કરી; દુનિયાની ઘરેડે જ ચાલ્યો … એથી વધુ કરે તેની વશેકાઈ.'

સૌજન્ય : લેખકની સાપ્તાહિક ‘કદર અને કિતાબ’ કટાર, “નવગુજરાત સમય”, 21 જાન્યુઆરી 2015

http://navgujaratsamay.indiatimes.com/navgujarat-samay-supplementaries-gujarati-columnist/kadar-ane-kitab/articleshow/45966568.cms#gads

Loading

...102030...3,8273,8283,8293,830...3,8403,8503,860...

Search by

Opinion

  • યા દિલ કી સુનો દુનિયાવાલો, યા મુઝકો અભી ચૂપ રહને દો
  • સમસ્યા : અંતર્ગોળ અને બહિર્ગોળ પેટની
  • સરકારમાં બેઠેલ વ્યક્તિઓમાં નવા વિચારો, નવી દિશા, વિકાસના નવા આયામો, સમસ્યા નિવારણ અંગે સાચી સમજણ નહિ કેળવાય ત્યાં સુધી બધું વ્યર્થ છે !
  • તેઓ મેકોલે જયંતી કેમ ઊજવે છે?
  • ધર્મેન્દ્ર – નોટ જસ્ટ અ હી-મેન 

Diaspora

  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved