Opinion Magazine
Number of visits: 9694634
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

હમ ન પીઠ્ઠૂ હૈ, ન પક્ષધર હૈ

વિપુલ કલ્યાણી|VK - Ami Ek Jajabar|17 June 2015

અમારાં મિત્ર, શશીબહેન પટેલ કનેથી દક્ષિણ ગુજરાતના કાંઠા વિસ્તારની એક કહેવત સાંભળ્યા કરી છે : ‘ભરવાડો બારે દિવસનો સૂતકારો; સાત ગાભણી, સાત દૂઝણી ને અલખિયાંનો પાર નહીં.’

ખેર ! … ડાયસ્પોરાની ગુજરી જામેલી છે; હાક વાગતાં જે કોઈ ડોકાયા તે સૌ વરણાગિયા હાટડી માંડીને બેઠા છે; તેડાગર ફૂલેકે ચડેલા છે; કીડિયારું ઊભરાઈ રહ્યું છે; ટૂંકામાં, વેપલો જોરમાં છે !

વારુ, … દેશપરદેશ છવાઈ ગુજરાતી અાલમમાં કોઈપણ શુભ પ્રસંગે રાંદલ તેડવાનો ચાલ છે. આઠ દિવસ સુધી આનંદમંગળ વર્તે છે. રાંદલને રાજી કરવા અને તેના પૂર્વ પ્રસંગની યાદ આપી, તેની સરસાઈ બતાવવા, રાંદલનો ઘોડો ખૂંદવા માટે રાંદલની ભૂઇને બોલાવાય છે.

રાંદલ એટલે રન્નાદેવી, રન્નાદે, સૂર્યની પત્ની. સૂર્યની પૂજા આખા ભારતવર્ષમાં વ્યાપ્ત થઈ છે. ભગવદ્દગોમંડળ વિગતે નોંધે છે તે અનુસાર, સૂર્યની પૂજા માટે સાક્ષાત્ સૂર્યનાં દર્શન કરવાને બદલે તેનાં મૂર્ત સ્વરૂપનાં દર્શન કરવાની વૃત્તિ બંધાઈ અને તેનાં ધીરેધીરે મંદિરો બંધાયાં. તેમાં સાકાર દેવ તરીકે સૂર્યની પૂજા થવા માંડી. પછી કાલાંતરે સૂર્યને પૂજે અને તેની સ્ત્રીને ન પૂજે, એ અયોગ્ય લાગવાથી સૂર્યની સ્ત્રીની પૂજા સ્ત્રીઓએ કરવા માંડી. એ સૂર્યની સ્ત્રી તે રન્નાદે કે રાંદલ. રન્નાદે એટલે માતા. ગુજરાતમાં સીમંત પ્રસંગે માતાની સ્થાપના થાય છે, એટલે કે સાત જાતનાં ધાન્ય વાવી જવારા ઉગાડવામાં આવે છે. બાજોઠ ઉપર તેમની સ્થાપના કરી કેળના સ્તંભની માંડવી બનાવી તેને વસ્ત્રોથી આચ્છાદિત કરવામાં આવે છે. … કહે છે કે રાંદલની ભૂઇ સાધારણ રીતે સુતાર, કુંભાર કે એવાં વસવાયા જાતની હોય છે. ઘણીવાર તો તે વાળંદ પણ હોય છે. ઘણીવાર રાંદલ સાથે જાગ તેડે છે. જાગ તેડવાનો ભપકો જુદો છે. તેમાં સૂર્યદેવની પૂજા વધારે શાસ્ત્રીય રીતે કરવામાં આવે છે. રાંદલ તેડવાનું એક મોટું કારણ રાંદલને ખુશ કરવાં એ છે, પણ તેથી વધુ સૂર્યદેવને ખુશ કરવા એ છે.

હવે, દોસ્ત મારા, અા યાયાવરી પંખીઅોની નાત ચણવા અાવે, તેવાકમાં, ચોમેર ડાયસ્પોરી માતાના જાગ તેડવાનાં ટાણાં મંડાયાં જો. અને ભૂઇઅોએ, અને વળી તેને સ્થાને ભૂવાઅોએ પણ, ઘોડો ખૂંદવાની ભભક, અહીંતહીં, જોમભેર, મારી જ જાણવી.

… પરંતુ, ભઈલા, ધીરા ખમી પૂછીએ કે અા ‘ડાયસ્પોરા સાહિત્ય’, ભલા, કઈ બલા છે ? ‘અર્વાચીન ગુજરાતી સાહિત્યની વિકાસરેખા−૫’ના, પૃષ્ટ 335-343 પર પથરાયા, परिशिष्ट-३માં, ધીરુભાઈ ઠાકર નોંધે છે :

‘ડાયસ્પોરિક સાહિત્ય ગુજરાતી સાહિત્યના મુખ્ય પ્રવાહની શાખા જ છે. એનું સર્જન ગુજરાતી સાહિત્યનાં સ્વીકૃત અને પરંપરાને અવલંબીને થાય છે. તેની રચના વિદેશી સમાજની વચ્ચે થતી હોવાને કારણે વિષય વિદેશમાંનાં અનુભવ-અવલોકનો હોય અને વિદેશસ્થિત વ્યક્તિના જીવનનો સંસ્કારઘટ્ટ કે વિદેશની ધરતી પર વસીને વિદેશી સમાજની તાસીર દર્શાવે, તેની વિશિષ્ટતાને સ્વાનુભવ દ્વારા ઉપસાવી અાપે તે ડાયસ્પોરિક સાહિત્ય એમ વ્યાખ્યા બાંધી શકાય. પણ સામાન્ય રીતે વિદેશમાં વસતા લેખકોનાં તમામ લખાણોને ડાયસ્પોરિક સાહિત્ય ગણવામાં અાવે છે. એમ ડાયસ્પોરિક કેવળ સ્થળવાચક નહીં પણ ગુણવાચક શબ્દ છે, વિદેશીય સમાજનો સંસ્કાર દર્શાવતી પરિભાષા છે એમ સમજવું જોઈએ.’

‘શૂન્ય’ પાલનપુરી ગાય છે તેમ, ‘હિમ્મત બોલી અલ્લાબેલી / સાત સમન્દર તરવા ચાલી / જ્યારે કોઈ નાવ અકેલી’ની જેમ, દોરીલોટોખલીતો લઈને સૈકા, બે સૈકાથી દેશાવર ગયેલા અાપણા લોકોને વાચા અાપતું ગુજરાતી સાહિત્ય અાફ્રિકે તેમ જ અાથમણી કોરે અાવેલા મોટામસ્સ દેશોમાં સર્જાતું રહ્યું છે. ધીરુભાઈ કહે છે તેમ, ‘પણ સામાન્ય રીતે વિદેશમાં વસતા લેખકોનાં તમામ લખાણોને ડાયસ્પોરિક સાહિત્ય ગણવામાં અાવે છે.’ − અા લગીર યોગ્ય નથી. તેમનું તમામ સાહિત્ય ડાયસ્પોરિક નથી જ નથી. ગુજરાતી ડાયસ્પોરિક ક્ષેત્રોમાં ફક્ત વસવાટ કરવાને કારણે પોતાનું સર્જાતું તમામ સાહિત્ય ડાયસ્પોરિક બનતું નથી તે તેનો પાયાનો એક નિયમ છે.

મનુભાઈ પંચોળી ‘દર્શકે’ ‘ઇતિહાસ અને કેળવણી’માં નોંધ્યું છે તેમ, ‘કાટવાળા વાસણમાં દૂધ જમાવીએ તો તે દહીંથી ઝેર ચડે છે. તેવું અંદરની અવિદ્યાને દૂર કર્યા પહેલાં મેળવેલી સિદ્ધિ વિષે પણ બનતું દેખાયું છે.’ માટે પ્રથમ પહેલાં, ડાયસ્પોરિક સાહિત્ય બાબત અા કહેવાતી અવિદ્યાને દૂર કરીએ.

ઇન્ટરનેટી જ્ઞાનકોશ વિકિપીડિયાના જણાવ્યા મુજબ, અમેરિકાના એક જાણીતા રાજ્યનીતિશાસ્ત્રના પ્રાધ્યાપક, વિલિયમ સેફ્રાને, 1991માં પ્રકાશિત એક લેખ વાટે, વિવિધ સ્થળાંતરિત સમુદાયોથી ડાયસ્પોરિક સમુદાયના તફાવત બાબત છએક મુદ્દાઅોની છણાવટ કરી છે. These included criteria that the group maintains a myth or collective memory of their homeland; they regard their ancestral homeland as their true home, to which they will eventually return; being committed to the restoration or maintenance of that homeland; and they relate ‘personally or vicariously’ to the homeland to a point where it shapes their identity. સેફ્રાનની વ્યાખ્યાઓ યહૂદી ડાયસ્પોરાના વિચારથી પ્રભાવિત હોવા છતાં, તેમણે અા સંજ્ઞાના વિસ્તરતા ઉપયોગનો સ્વીકાર કર્યો છે.

બીજી તરફ, 2005ના અરસામાં, અમેરિકાના એક સમાજશાસ્ત્રી રોજર્સ બ્રુબેકરે ડાયસ્પોરા નામક સંજ્ઞાના થતાં વિસ્તરણની રજૂઅાત કરી છે. He suggests that one element of this expansion in use ‘involves the application of the term diaspora to an ever-broadening set of cases: essentially to any and every nameable population category that is to some extent dispersed in space’. Brubaker has used the WorldCat database to show that 17 out of the 18 books on diaspora published between 1900 and 1910 were on the Jewish diaspora. The majority of works in the 1960s were also about the Jewish diaspora, but in 2002 only two out of 20 books sampled (out of a total of 253) were about the Jewish case, with a total of eight different diasporas covered.

‘નમસ્કાર – અાફ્રિકાના’ નામક જૂથની વેબપેઇજ પર ડાયસ્પોરા અંગે અાવી મતલબનો ફકરો જોવા મળે છે : The term diaspora refers to the movement of any population sharing common ethnic identity who were either forced to leave or voluntarily left their settled territory, and became residents in areas often far remote from the former. Diasporic cultural development often assumes a different course from that of the population in the original place of settlement. It tends to vary in culture, traditions and other factors between remotely separated communities. The last vestiges of cultural affiliation in a diaspora is often found in community resistance to language change and in maintenance of traditional religious practice.

ખેર ! … ‘બુદ્ધિધન છે કેવાં સાચા ?’, નામે એક લેખમાં, શૈલેષ ટેવાણી, “નાંદીકાર”ના માર્ચ, 2010ના અંકમાં, નોંધે છે :  ‘સાચો નાટ્યકાર જીવનના દરેક પ્રહરે, દરેક પ્રસંગે નાટકને ખાતો-પીતો હોય છે. એ વાંચે છે, પચાવે છે, જુએ છે, પચાવે છે. અનુભવે છે. ને એમાંથી અભિવ્યક્ત થવા મથતું સઘળું હૃદયમાં સંઘરતો, સંવિત્્માં ઊતારતો, સાચવતો રહે છે. કઈ ક્ષણે, કયા ચોઘડિયે, કયા નિમિત્તે અને કઈ કથા-પાત્ર રૂપે એ નાટકને અાકાર અાપશે તે કદાચ, જાણતો નથી; કદાચ, ઊંડે ઊંડે જાણે છે કે પોતે ક્યારેક અાવું અાવું રચી કાઢશે !’

ડાયસ્પોરા બાબત, ગુજરાતી ડાયસ્પોરા અંગે, ગુજરાતી ડાયસ્પોરિક સાહિત્ય વિશે અાપણી માદરી જબાનના વિદ્વાનો અા કેડાના સાચેસાચ ભોમિયા બની જાય તે દિવસના સહજ સ્વાભાવિક અોરતા જ હોય. પરંતુ અાજે અાપણા ક્ષેત્રમાં તેનો અભાવ છે અને ક્યાંક ક્યાંક અધૂરિયાઅો પોતાની અધૂરપો ઢાંકવા ખાબકી લીધા દીધા કરે છે. અા અાપણી કમનસીબી છે.

રાજકોટમાં અબીહાલ ‘ગુજરાતી ડાયસ્પોરા સાહિત્ય : વલણો અને વહેણો’ નામે એક પરિસંવાદનું અાયોજ થયેલું. મોટીમસ્સ તાસમાં પથરાયા ચૂરમાંના લાડવા પર ખસખસ ભભરાવીએ તેમ નામોનો ય અહીં છંટકાવ થયેલો. તેની ત્રીજી બેઠકનું અધ્યક્ષપદ મારે જાળવવાનું હતું તેમ વાંચી હું દિગ્મૂઢ હતો. હું તો વિલાયતમાં છું. કોઈએ અા પરિસંવાદ મિષે મને અાગોતરી પડપૂછ કરી નથી અને અાજ લગી અધિકૃત અામંત્રણ સુધ્ધાં પણ મોકલાયું નથી ! … યોજના અને વ્યવસ્થાને નામે અા બધી લોલેલોલ … કેન્દ્રીય ‘સાહિત્ય અકાદેમી’ પાસેથી કોઈક લાગો લેવાનો અહીં બેત હોય તો ય નવાઈ નહીં !

પહેલે ઝાટકે થયું કે નોતરેલા સમૂહમાં અને શ્રોતાવર્ગમાં કેવી છાપ પેદા થઈ હોય ? ‘પેલા’ હાજરી માટેના પ્રમાણપત્રને સારુ હાજર કરાયેલા ‘બચાઇડા’ શ્રોતાવર્ગને તો કદાચ ઝાઝી ગતાગમ ન ય હોય, પરંતુ બાકીસાકી ? વિવેક બૃહસ્પતિની ધજાપતાકા લઈને અહીંતહીં જાતરાએ નીકળી પડતા અાયોજકો અને ભાષણિયાઅોને માટે કદાચ નવાઈ ન પણ હોય ! યાયાવરી પંખીની જમાતને શું લાગ્યું હોય ? … કોણ જાણે ? … કોણ કહેશે ? … અાપણો તો સંસ્કૃત સમાજ કહેવાય છે, ત્યારે અા અાવો તે કેવો ‘વિવેક’ ?

નાનાભાઈ ભટ્ટે ‘ગૃહપતિને’ નામક ચોપડીમાં લખ્યું છે : ‘માખણિયો એ માત્ર છાત્રાલયની નહીં પણ અાખા જગતની વિભૂિત છે. જ્યાં જ્યાં મનુષ્યની નબળાઈ છે, જ્યાં જ્યાં કાન કાચા છે, જ્યાં જ્યાં અાંખે અંધાપો છે, જ્યાં જ્યાં હલકા સ્વાર્થ અને રાગદ્વેષ ભર્યા છે, જ્યાં જ્યાં હૈયાં છીછરાં છે, ત્યાં ત્યાં માખણિયો જન્મ્યા વિના રહેતો જ નથી. અાવા માખણિયા લોકોએ મોટાં મોટાં રાજ્યો ઊથલાવી પાડ્યાં છે, પ્રજાઅોના કલ્યાણમાર્ગોનો અવરોધ કર્યો છે, મોટા મોટા અાશ્રમોમાં ઝેર વાવ્યાં છે, સંસ્કારી કુટુંબોમાં ચીરા પડ્યા છે અને હજી અાજે પણ જગતમાં શું શું કરી રહ્યા છે.’

અાપણા અા વણખેડાયેલા ક્ષેત્રમાં ય અાવી ‘વિભૂતિઅો’ની કોઈ કમી નથી. અમાસની ઘોર અંધારી રાતે ય, વળી, અામતેમ દેખા દેતી જોવા મળી પણ જાય ! … જેવા અાપણા નસીબ ! … અને તેમ છતાં, અા મુદ્દે વિચારલક્ષી વાદ-સંવાદ જ અાવશ્યક છે, વ્યક્તિલક્ષી નહીં.

ભારતના લોકો વિદેશોમાં પૈસા કમાવાના મામલામાં તો આગળ છે જ, ભારતમાં રહેનાર પોતાના પરિવારના લોકોને પણ તેનો ફાયદો પહોંચાડવામાં તેઓ પાછળ નથી. 2010-11ના વર્ષ દરમ્યાન વિદેશોમાં વસી રહેલા ભારતના લોકોએ દેશમાં 56 અબજ ડોલરની રકમ મોકલી છે. આ તેનાથી અગાઉના વર્ષની સરખામણીમાં બે અબજ ડોલર વધુ છે. પ્રવાસી ભારતીય મામલાઓના મંત્રી વાયલાર રવિએ જાતે આ વાતની માહિતી આપી. તેમણે કહ્યું કે દેશમાં 2010-11માં 55.9 અબજ ડોલરના મનીઓર્ડર (વિદેશમાં વસેલા ભારતીયો દ્વારા મોકલવામાં આવેલા નાણાં) મોકલ્યા છે. દેશમાં 2009-10માં 53.9 અબજ ડોલરનું રેમિટેંસ આવ્યું હતું, જ્યારે 2008-09માં આ રકમ 46.9 અબજ ડોલરની રહી હતી. વિશ્વ બેન્કે આની પહેલાં જ આ વર્ષમાં જ પોતાના રિપોર્ટમાં કહ્યું હતું કે પ્રવાસી ભારતીયો દ્વારા 2010-11માં 55 અબજ ડોલરની રકમ મોકલાવે તેવી આશા છે.

પરદેશે વસી જમાતનું ધન અામ ફરી ફરી લોહચૂંબક સાબિત બને છે. અને દરેક ક્ષેત્રમાં, અાવી અાવી અસર અાજે અનુભવવા મળે છે. તો સાહિત્ય ક્ષેત્ર કોરુંકટ્ટ કેમ કરી રહી જાય ? શાસનથી માંડી ખાનગી ક્ષેત્ર પણ અા સારુ સ્વાભાવિક બાકાત નથી. અા સમજાય છે, કેટલેક અંશે અાવકાર્ય પણ છે. પરંતુ અા ચાલ એકમાર્ગી અાજ સુધી રહ્યો છે. જગતભરમાં પથરાઈ ગુજરાતી જમાતને શો લાભ મળ્યો ? શો મળે ? ઉત્તમ વહેંચવાનું બનતું હોય તેવો અનુભવ નથી; જે કંઈ જોવા પામીએ છીએ તે કૂતરાને જાણે કે ચાનકી ધરતાં હોય કે પછી કોઈક ‘ધરમકરમ’ના ભાવમાં કીડિયારું પૂરવાના ઘાટ હોય, તેમ દીસે છે ! 

લંડનથી અમદાવાદનું અંતર 6,840.11 કિલોમિટર યાને કે 4,250.36 માઈલનું છે. વિમાન વાટે 8 કલાક, 49 મિનિટનું જ છેટું છે. અમેિરકાથી હવે વારસાનું વતન પંદરવીસ કલાકને અંતરે જ પડે છે. સમાજનો કેટલોક વર્ગ બે પાંદડે સુખી બનતો ગયો છે. પરિણામે અાવનજાવન સહેલીસટ્ટ બની છે.

થોડા સમય પહેલાં, અમેિરકાનિવાસી સાહિત્યકાર અને જાણીતા શહેરી નટવર ગાંધીનો એક લેખ ‘ગુજરાતી ડાયસ્પોરા લેખન – સ્વતંત્રતાની હાકલ’ નવેમ્બર 2010ના “અોપિનિયન”માં અગ્રલેખ રૂપે પ્રગટ કરેલો. અા અને અાવા સંદર્ભોમાં, તેમાંની મોટા ભાગની બાબતો અાજે ય પ્રસ્તુત છે.

નટવરભાઈના મત મુજબ, ગુજરાતી ડાયસ્પોરી જગતના ‘ગુજરાતી લેખકોએ હવે અવસ્થાવાન બનવું જોઈએ અને પોતા પર જ અાધાર રાખવો જોઈએ. પોતાના મૂળ વતનનાં કોઈક પ્રમાણપત્રની તેમણે અાશા અપેક્ષા રાખવી નહીં જોઈએ કેમ કે તેવાં તેવાં ઉછીનાં સઘળાં પ્રમાણપત્રોની કિંમત સહજ સ્વાભાવિક કોડીની પણ ઠરતી નથી. તેમની અહીંની સાહિત્યિક પ્રવૃત્તિઅોની સરાહના મેળવવા સબબ ભારત ભણી સતત ગોઠવાયેલી તેમની નજર ઊઠાવી લઈ, તેમણે તેમની અા સાહિત્યિક સાંકળ તોડી કાઢવી જોઈએ. તેમના અા વસવાટી જીવનમાં જાતભાતની રસિક વાતો ભરી પડી છે. તે વિશેનાં લખાણો તેમણે કરવાં જોઈએ. અા બધા અનુભવોને બોલતા કરવા જોઈએ. …

નટવર ગાંધીનો અાખરી ફકરો ભારે સૂચક છે : ‘સાહિત્યિક સંસ્થાઅોએ તેમ જ અકાદમીઅોએ અહીંનાં વાતાવરણને સાનુકૂળ સાહિત્યલેખન થાય તે માટે સક્રિયપણે લાગી પડવું જોઈએ. અહીંના વાતાવરણને ધ્યાનમાં લઈને પુસ્તક પ્રકાશનનાં તેમ જ સામિયક પ્રગટ કરવાંનાં કામ હાથ લેવાં જોઈએ. વતનથી લેખકો તેમ જ કવિઅોને જંગી ખરચ કરીને મહેમાન તરીકે તેડાવવાને ઠેકાણે, તેમણે જેમનો અવાજ ક્યાં ય સંભળાતો નથી તેવાં તેવાં સ્થાનિક ગુજરાતી લેખકો અને કવિઅોની સભાબેઠકો રાષ્ટૃીય સ્તરે ભરવી જોઈએ. તદુપરાંત, અહીં સર્જાતાં ગુજરાતી સાહિત્યને કેન્દ્રમાં રાખવાનું ગુજરાતી લેખકોએ અને સાહિત્યિક સંસ્થાઅોએ કામ કરવું રહે છે. બે સદી પહેલાં, એમરસને જે પ્રકારે અમેરિકી સાહિત્યનો અોચ્છવ કરી જાણેલો, તેવી જ રીતે, ચાલો, અાપણે ય અાપણાં વાતાવરણની છાપવાળાં અમેરિકી ગુજરાતી સાહિત્યને વધાવી જાણીએ.’

ગુજરાતી ડાયસ્પોરિક સાહિત્યજગતમાં કામ પાડતા, અહીંના અને તહીંના, તમામે તેનું ફેરવાચન કરવાની અને તે સઘળી બાબતો ધ્યાનમાં લેવાની તાતી જરૂર છે.

વાંચક દોસ્ત, અન્ય કોઈક સંદર્ભે, ઉમાશંકર જોશીએ, એકદા, કહેલું :  ‘કેટલા બધા માણસો એવા છે જેઓ માત્ર ચૂપચાપ વાંચે છે. તેઓ કહેવા આવવાના નથી કે આ બરાબર લખ્યું છે કે બરાબર લખ્યું નથી; પણ બેઠાબેઠા એ આપણો તોલ કરે છે. એ લોકો સંકોચથી પોતાનો અભિપ્રાય પ્રગટ કરવાના નથી. પણ ધ્યાનમાં રાખવાનું છે કે આપણે જે કાંઈ બોલ્યા, જે કાંઈ લખ્યું તે બધાનું જેઓમાં જોવાની શક્તિ છે તેવા વિચક્ષણ માણસો અવલોકન કરી રહ્યા છે. આપણી તેમની પ્રત્યે જવાબદારી છે.’

અાવી અાવી જવાબદારીઅો અાપણા અા ડાયસ્પોરા વીરોમાં ય ઉતરજો. ગુજરાતી સાહિત્ય ઘણી બધી રીતે અાજે એક એવા ચોખંભે અાવીને ખડું છે, જ્યાંથી તે અાગળ ધપે તેને સારુ કોઈક મુઠ્ઠી ઊંચેરા અને દૂરંદેશ અાગેવાનની મનીષા છે. ઉર્દૂ જબાનના એક ઊંચેરા શાયર, જોશ મલીહાબાદી  (5 ડિસેમ્બર 1894 – 22 ફેબ્રુઅારી 1982)નો એક શેર અાથીસ્તો સાભરે છે :

ऐ ख़ुदा हिन्दोस्ताँ को बख़्श ऐसे आदमी
जिनके सर में मग़ज़ हो और मग़ज़ में ताबिन्दगी

એ પરવરદિગાર ! હિન્દુસ્તાનને એવા તું માણસો દે કે જેને શિરમાં દિમાગ હોય, અને વળી, જેને ય પોતીકું નૂર હોય.

અા પરવરદિગારને અાપણી પ્રાર્થના હજો : અા ક્ષેત્રે ય ‘એવા તું માણસો દે કે જેને શિરમાં દિમાગ હોય, અને વળી, જેને ય પોતીકું નૂર હોય.’

પાનબીડું :

26 જૂન 2010ના “દિવ્ય ભાસ્કર”માં, પ્રકાશ ન. શાહે ‘હમારી જમીન સે હટ જાઅો’ નામે મજેદાર એક સાપ્તાહિકી લેખ અાપ્યો હતો. લેખમાં છેલ્લે ફકરે અાવું ય લખાણ હતું :

કદાચ, આ મછંદરોને નવા ગોરખની જરૂર છે, જે એમને ઝંઝેડી (લોકશાહી રાહે ઝૂડીને) જગાડે કે તમે શું કરી રહ્યા છો. … અને ત્યારે સાંભરી આવે છે (સચ્ચિદાન્દ હીરાનન્દ વાત્સયાયન) ‘અજ્ઞેય’ની આપાત્કાલીન કાવ્ય પંક્તિઓ :

હમ ન પીઠ્ઠૂ હૈ, ન પક્ષધર હૈ
હમ હમ હૈં ઔર હમેં
સફાઈ ચાહિયે, સાફ હવા ચાહિયે
ઔર આત્મસન્માન ચાહિયે જિસ કી લીક
હમ ડાલ રહે હૈ.

હમારી જમીન સે
હટ જાઓ.

e.mail : vipoolkalyani.opinion@btinternet.com

સૌજન્ય : “ઓપિનિયન”, 26 ફેબ્રુઆરી 2012; પૃ. 01-03

Loading

વિતંડાવાદ ભારતની રાષ્ટ્રીય બીમારી છે

રમેશ ઓઝા

, રમેશ ઓઝા|Samantar Gujarat - Samantar|17 June 2015

યોગ એ આંતરિક વિકાસની એક શુદ્ધ સેક્યુલર પ્રક્રિયા છે. હવે તો બાબા રામદેવે એને આંતરિક પણ રહેવા નથી દીધી અને એને શારીરિક કસરતમાં ફેરવી નાખી છે. રામદેવના યોગમાં અને જિમ્નૅસ્ટિકમાં હવે બહુ ફરક નથી. આપણે જે યોગાસન વિશ્વમાં પહોંચાડી રહ્યા છીએ એ યોગશાસ્ત્રમાં બતાવેલા હેતુ વિનાનાં આસનો છે અને એટલે કસરત છે

આ વર્ષથી દર વર્ષે ૨૧ જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઊજવવાનો યુનોએ નિર્ણય લીધો છે. યુનોએ કૅલેન્ડરના ઘણા દિવસોને અલગ-અલગ મૂલ્યો, પરંપરાઓ અને વ્યક્તિઓ સાથે જોડ્યા છે જેથી જગતમાં જાગૃતિ તેમ જ સહિયારાપણું વિકસે. દાયકા પહેલાં મહાત્મા ગાંધીના જન્મદિવસ બીજી ઑક્ટોબરને આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ તરીકે ઊજવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો અને હવે યોગને વૈશ્વિક માન્યતા આપી છે. ભારતમાં વિકસેલા યોગશાસ્ત્રને યુનોએ માન્યતા આપી એ જોઈને રાજી થવું હોય તો એમાં કોઈ વાંધો નથી, પરંતુ એમાં બહુ પોરસાઈને ગાંડા થવાની જરૂર નથી. યુનોએ ચીંધેલા વિશેષ દિવસોની ઉજવણીને વિશ્વદેશો અને પ્રજા ગંભીરતાથી લેતાં નથી. ચોક્કસ મૂલ્યોના વિસ્તાર અને સ્વીકાર માટે યુનો કોઈ મોટી જહેમત ઉઠાવે છે એવું પણ નથી. આને કારણે કૅલેન્ડરના પચાસેક દિવસોએ કોઈ ને કોઈ ઔપચારિક ઉજવણી કરવામાં આવે છે. બીજી ઑક્ટોબરને આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ તરીકે ઊજવવાથી જગતમાંથી હિંસા સમાપ્ત નથી થઈ છતાં લોકજાગૃતિ માટે આવા અવસર ખપના છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગયા વર્ષે યુનો ગયા હતા ત્યારે તેમણે યુનોની સામાન્ય સભાને સંબોધતાં સૂચન કર્યું હતું કે યોગશાસ્ત્ર આખા વિશ્વ માટે ઉપયોગી છે અને એના પચાર-પ્રસાર માટે યુનોએ પહેલ કરવી જોઈએ. તેમણે વર્ષમાં એક દિવસ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઊજવવાની ભલામણ કરી હતી જે યુનોએ મંજૂર રાખી છે.

યુનોના આ નિર્ણયનો જગતના કોઈ મુસ્લિમ બહુમતી દેશે કે ખ્રિસ્તી બહુમતી દેશે વિરોધ કર્યો હોય એવું મારા જોવામાં આવ્યું નથી, પરંતુ ભારતમાં કારણ વિના વિવાદ ચાલી રહ્યો છે. વિવાદ પેદા કર્યા વિના જાણે આપણને ચાલતું જ નથી. હિન્દુત્વવાદીઓ આમાં હિન્દુ ધર્મનો વિજય સમજે છે, જ્યારે યોગ એ આંતરિક વિકાસની એક શુદ્ધ સેક્યુલર પ્રક્રિયા છે. હવે તો બાબા રામદેવે એને આંતરિક પણ રહેવા દીધી નથી, એને શારીરિક કસરતમાં ફેરવી નાખી છે. રામદેવના યોગમાં અને જિમ્નૅસ્ટિકમાં હવે બહુ ફરક નથી. અત્યારે આપણે જે યોગાસન વિશ્વમાં પહોંચાડી રહ્યાં છીએ એ યોગશાસ્ત્રમાં બતાવેલાં હેતુ વિનાનાં આસનો છે એટલે કે કસરત છે. બાકી તો યોગસૂત્રમાં પહેલું સૂત્ર યોગ: ચિત્તવૃત્તિ નિરોધ: છે. આનો અર્થ થાય છે ચિત્તની વૃત્તિઓને રોકવી. બીજું સૂત્ર છે તદ દ્રક્ટુ: સ્વરૂપે અવસ્થાનમ્ જેનો અર્થ થાય છે પોતાના મૂળ સ્વરૂપમાં સ્થિર થવું. આ ત્યારે જ બને જ્યારે વૃત્તિઓ સમેટાઈ ગઈ હોય અને આત્મસ્વરૂપ (સત્) સમજાઈ ગયું હોય. સમજાવું પણ બરોબર નથી, પમાયું હોય. પ્રારંભમાં જ આવતાં આ બે સૂત્રો પરથી ખ્યાલ આવી જશે કે યોગશાસ્ત્ર અને એના રચયિતા પતંજલિ માણસને ક્યાં પહોંચાડવા માગે છે. બાબા રામદેવ અને બીજા કેટલાક કહેવાતા યોગીઓ જે કરે છે એ મહદંશે યોગાસનોનો ધંધો કરે છે. બાબા રામદેવે યોગસૂત્રનાં અહીં ટાંકેલાં પહેલાં બે વચનો પામી લીધાં હોત તો તેઓ અત્યારે જે કરે છે એ કરતા જ ન હોત. ૧૧૦૦ કરોડ રૂપિયાનો વેપલો જેની વૃત્તિઓનો નિરોધ થઈ ચૂક્યો હોય, પોતાના મૂળ સ્વરૂપને પામી લીધું હોય અને એમાં સ્થિર થઈ ગયો હોય એ કરે નહીં. આ ગંગાસતીના શબ્દોમાં અધૂરિયાઓનો ખેલ છે.

આમ વિશ્વમાં જે યોગાસનો જઈ રહ્યાં છે એ અધૂરિયાઓ દ્વારા કસરતના સ્વરૂપમાં કે બીમારીના ઇલાજ (થેરપી)ના સ્વરૂપનાં જઈ રહ્યાં છે એના મૂળ સ્વરૂપમાં તેના આત્મા સાથે નથી જઈ રહ્યાં. યુનોના નિર્ણયથી રાજી જરૂર થઈએ, પણ હરખપદૂડા થવાની જરૂર નથી. ભારતમાં જે લોકો યોગનો વિરોધ કરી રહ્યા છે એ પણ એટલા જ બેવકૂફ છે જેટલા હરખપદૂડા હિન્દુવાદીઓ છે. જે શાસ્ત્રને ચોક્કસ કોઈ ધર્મ સાથે, બાહ્ય કર્મકાંડી ધાર્મિકતા સાથે, દેખીતી રીતે ઈશ્વર સાથે કોઈ જ સંબંધ નથી એનો ધર્મના નામે શા માટે વિરોધ કરવામાં આવે છે? સાંખ્ય અને યોગ ભારતનું દાર્શનિક યુગ્મ છે. એકમાં દર્શન છે અને બીજામાં પ્રક્રિયા છે. આમાં સાંખ્ય તો અનીશ્વરવાદી દર્શન તરીકે ઓળખાય છે. યોગ હિન્દુઓની ધાર્મિક વિધિ છે એવી જે સમજ કેટલાક ગેરહિન્દુઓ ધરાવે એ કેવળ એક અજ્ઞાન છે. અજ્ઞાન જ્યારે હિન્દુઓ ધરાવતા હોય ત્યાં બીજાની શી ફરિયાદ કરવી. મુસ્લિમો હિન્દી ભાષાને હિન્દુઓની સમજીને એનો અસ્વીકાર કરે. હિન્દુઓ ઉર્દૂ ભાષાને મુસ્લિમોની સમજીને એનો અસ્વીકાર કરે. મુસ્લિમો આયુર્વેદને હિન્દુઓનો સમજીને એનો અસ્વીકાર કરે અને હિન્દુઓ યુનાનીનો મુસ્લિમોની સમજીને એનો અસ્વીકાર કરે એના જેવી આ વાત થઈ. આવો વિરોધ બુદ્ધિ વિનાનો છે.

આગળ કહ્યું એમ, જગતના કોઈ મુસ્લિમ બહુમતીવાળા કે ખ્રિસ્તી બહુમતીવાળા દેશોમાં યુનોના નિર્ણયનો વિરોધ નથી થઈ રહ્યો, માત્ર ભારતમાં વિરોધ થઈ રહ્યો છે. આનું એક કારણ વિતંડાના આપણા જૂના સંસ્કાર છે. અમર્ત્ય સેન કહે છે એમ, આપણે આગ્યુર્મેન્ટેટિવ ઇન્ડિયન છીએ. એટલે તો નિર્દોષ ભાષાઓને ધર્મ સાથે જોડીને આપણે એને ટાર્ગેટ બનાવીએ છીએ. બીજું કારણ ઓળખ ઓગાળી નાખવાના અને ઓળખ ટકાવી રાખવાના દુરાગ્રહો છે. વાસ્તવમાં યોગાસન કરવાથી નથી કોઈની ઓળખ ઓગળી જવાની કે નથી કોઈની ઓળખ ટકવામાં કોઈ વધારો થવાનો. વળી યોગાસન ક્યાં કોઈ માટે ફરજિયાત છે? ૯૦ ટકા હિન્દુઓ યોગાસન નથી કરતા તેમને તો કોઈએ સજા કરી નથી. યુનોએ તો અંદાજે પચાસેક જેટલા દિવસોને ચોક્કસ ધોરણ, મૂલ્યો કે પ્રણ સાથે ઊજવવાનું કહ્યું છે એની કેટલા લોકોને જાણ છે? હમણાં ૩૧ મેએ ઍન્ટિ ટબૅકો ડે મનાવાયો હતો. તમાકુ ખાનારો તમાકુ ખાય જ છે, તો પછી વિવાદ શા માટે?

સૌજન્ય : ‘કારણ-તારણ’ નામે લેખકની કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 17 જૂન 2015

http://www.gujaratimidday.com/features/columns/feature-columns-17-6-2015-4

Loading

ત્રાણું વર્ષના મહેન્દ્રભાઈની મન્રો ડાયરી

સંજય શ્રીપાદ ભાવે|Opinion - Opinion|17 June 2015

ત્રાણું વર્ષના મહેન્દ્રભાઈની ‘મન્રો ડાયરી’

પરિચય પુસ્તિકા પ્રવૃત્તિ નામે સત્તાવન વર્ષથી સાતત ચાલી રહેલા જ્ઞાનવિજ્ઞાનના ઉપક્રમની એક હજાર ત્રણસો બાવનમી પુસ્તિકા ‘લોકમિલાપ : પુણ્યનો વેપાર’ તાજેતરમાં બહાર પડી છે. વાચકોને ઉત્તમ વાચન સામગ્રી ખૂબ ઓછા દરે પૂરી પાડી સમાજ પરિવર્તન કરવા મથનાર લોકમિલાપ એક અજોડ પ્રકાશન સંસ્થા છે. તેના અમ્રૃત વર્ષમાં લખાયેલી આ પુસ્તિકા લોકમિલાપના લગભગ બધાં પાસાં આવરી લે છે. તે સામયિકોમાં લેખન-સંપાદનનો બહોળો અનુભવ ધરાવનાર મુંબઈના સોનલ પરીખે લખી છે.  

લોકમિલાપના સ્થાપક એવા વાચનપ્રસારના ભેખધારી મહેન્દ્રભાઈ મેઘાણીનો શનિવારે ત્રાણુંમો જન્મદિવસ છે. તેમને લગતી બે તાજેતરની બાબતોની નોંધ લેવી ઘટે . એપ્રિલની શરૂઆતમાં તેમણે સંપાદિત કરેલી ત્રીસ પાનાંની બહુ વાચનીય પુસ્તિકા લોકમિલાપે બહાર પાડી છે : ‘ઝવેરચંદ મેઘાણીની વિચાર-કણિકા અને ઝવેરચંદ મેઘાણીને સ્મરણાંજલિ’. તેના પહેલા હિસ્સામાં જીવન અને સાહિત્ય અંગેના મેઘાણીના વિચારો છે; બીજામાં ‘મેઘાણીની સાહિત્ય-તપશ્ચર્યાના એમના સમકાલીન સાહિત્યકારોએ કરેલા મૂલ્યાંકનના કેટલાક અંશો’ સામેલ કરવામાં આવ્યા છે. અત્યારે પણ સંપાદકની દૃષ્ટિ એવી અક્ષુણ્ણ છે કે દરેકે દરેક લખાણ લોકશાયરની મહત્તાની પ્રતીતિ કરાવે છે.

મહેન્દ્રભાઈની એક  ‘મોકળાશભરી મુલાકાત’  સાર્થક પ્રકાશનના  અર્ધવાર્ષિક સામયિક ‘જલસો’ ગયા મહિને બહાર પડેલા ચોથા અંકમાં વાંચવા મળે છે. તેમાં ત્રીસ પાનાં અને વીસ ફોટા છે. ઠીક ઓછી જાણીતી માહિતી મળે છે : પિતા અને માતાઓ સાથેનાં મહેન્દ્રના સંબંધ, બીજી માતા માટે સમભાવનો અભાવ, લેખન-પ્રકાશનની તાલીમનાં વર્ષો, પિતાના અવસાન પછી તેમની ચિતામાં કૂદી જવાની ઇચ્છા, આઝાદ હિંદ ફોજના અફસરો પર ચાલેલા કેસનું ‘લાલાકિલ્લાનો મુકદ્દમો’ પુસ્તક, ઇન્દિરા ગાંધીએ લાદેલી કટોકટી અને જયપ્રકાશના આંદોલન દરમિયાન ‘મિલાપ’ના સંપાદકની ભૂમિકા, બાળકો માટેની ‘ફિલ્મ મિલાપ’ પ્રવૃત્તિ, લિપિ સુધારણાની કોશિશ, ગાંધી ટોપી, દીકરાનું અબુલ એવું નામકરણ અને અન્ય. મુલાકાતને અંતે મહેન્દ્રભાઈ એ મતલબનું કહે છે કે સરકાર આત્મહત્યાને ગુનો ગણતો કાયદો જો દૂર કરે તો  ‘મારે પહેલો એનો અમલ કરવો છે’ !

ઇન્ટરવ્યૂનો એક બહુ રસપ્રદ હિસ્સો મહેન્દ્રભાઈએ 1948માં કોલંબિયા યુનિવર્સિટીમાં પત્રકારત્વના અભ્યાસ  નિમિત્તે  અમેરિકામાં કરેલા એક વર્ષના વસવાટને લગતો છે.  તેઓ નવા જ સ્થપાયેલા યુનાઇટેડ  નેશન્સની ઓફિસની કાર્યવાહીમાં વારંવાર હાજરી આપતા, તેમનાં પ્રિય અખબારો ‘ન્યૂયૉર્ક ટાઇમ્સ’ તેમ જ ‘ક્રિશ્ચિયન સાયન્સ મૉનિટર’નું સઘન વાચન કરતા અને મુંબઈના જન્મભૂમિ જૂથના ‘નૂતન ગુજરાત’ અખબારમાં તેના એક્રેડિટેડ કૉરસપૉન્ડન્ટ તરીકે  ‘અમેરિકાની અટારીએથી’ કૉલમ લખતા.  

અત્યારે પણ મહેન્દ્રભાઈ અમેરિકાની અટારીએથી ‘મન્રો ડાયરી’ લખે છે. અમેરિકાના ન્યુ જર્સીના મન્રોમાં તેમનાં દીકરી અંજુબહેનને ત્યાં એ દર વર્ષે ચાર-છ મહિના રહે છે. મહેન્દ્રભાઈનાં લખાણો કેટલાક વાચકસ્નેહીઓને અંજુબહેન બહુ સુઘડ રીતે મેઇલ કરે છે. ડાયરીમાં મોટે ભાગે ‘ન્યૂયૉર્ક ટાઇમ્સ’ના લેખોના સંક્ષેપો  કે તાજેતરમાં ગમી ગયેલાં પુસ્તકોમાંથી સારવેલા અંશોનો સમાવેશ થાય છે.

પહેલી એપ્રિલથી હાલેલી ‘મન્રો ડાયરી’ના લખાણોમાં પોણી સદીથી અચૂક જળવાયેલ વાચનની પૅશન, રુચિવૈવિધ્ય, જાહેર જીવન માટેની નિસબત અને માનવતાવાદી મૂલ્યો દેખાય છે. અન્ય લેખકોની કૉપી પર  ભાષા અને રજૂઆત, સંશોધન અને સંમાર્જનના કામ માટે સુખ્યાત મેરિ નૉરિસ અને વિલ્યમ ઝિન્સર પરનાં લેખો મહેન્દ્રભાઈએ ટૂંકાવ્યા છે. આર્થ્રાઇટીસ અને આકંઠ જીવન વિશેનાં લખાણો છે. લિંકનની હત્યાના દોઢસોમા સ્મૃિતદિનના અનુસંધાને લિંકનના અંતિમ પ્રવાસ વિશે અને અમેરિકાના મોટાભાગના પ્રમુખો પરના તેમના પ્રભાવ વિશે વાંચવા મળે છે. દેશકાળની સભાનતા સતેજ છે. વૈશ્વિક રાજકારણને લગતો ‘ન્યુ ડિક્ટેટર્સ રૂલ બાય વેલેવેટ ગ્લોવ્ઝ’ લેખ છે. મન્રોમાં ય મહેન્દ્રભાઈને ભારતના કોમવાદની ચિંતા છે. ભાવનગરમાં એક મુસ્લિમ પરિવારને હિન્દુ વિસ્તારમાંથી ઘર છોડવાની ફરજ પાડવામાં આવી તે અંગે બારમી એપ્રિલના ‘ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’ના એક લેખની સારવણી મન્રો ડાયરીમાં છે. અત્યારે શાંતિસૈનિક બનેલા બીજા વિશ્વયુદ્ધના જાપાની બૉમ્બર પાયલોટ કનામા હારોડાની વાત છે. નિર્ભયા અત્યાચાર પર ન્યુયૉર્કમાં એક મહિના પહેલા ભજવાયેલા નાટકનું અવલોકન છે. કુરાન બાળવાના કથિત આરોપ માટે કાબુલમાં ઓગણીસમી માર્ચે જાહેરમાં જેની હત્યા થઈ તે મહિલા ફર્ખુન્દા પરના અત્યાચારના કર્મેશીલોએ કરેલા ‘રિઍનેક્ટમેન્ટ’ની મહેન્દ્રભાઈ નોંધ લે છે. પુસ્તકોની દુકાનો અને ગ્રંથવિક્રેતાઓ વિશેના લેખો મહેન્દ્રભાઈની નજરે ન પડે તો જ નવાઈ. મન્રોના જાહેર ગ્રંથાલયોમાં જઈને તેમને ગમેલાં પુસ્તકોમાંથી નોંધો ચાલતી રહે છે. તેમાંનાં કેટલાંક પુસ્તકો છે : ‘એન વાય ટી પે ઇ જ વન’, ‘ચાર્લ્સ ચૅપ્લિન, ધ જિનિયસ ઑફ સિનેમા’, ‘રીડર્સ ડાઇજેસ્ટ બાઇબલ’ ‘ઓબામા ધ હિસ્ટૉરિક જર્ની’.

‘લાઇબ્રેરી ઇન અમેરિકા’ પુસ્તક મહેન્દ્રભાઈના મનમાં વસી ગયું . તેમાં અમેરિકામાં  સદીઓથી ચાલતાં જાહેર ગ્રંથાલયોની ચારસો છબિઓ અને નોંધપાત્ર વિગતો છે. આ પુસ્તકને અંતે એક અવતરણ છે : ‘ગ્રંથાલયો એ સ્વવિકાસ માટેનાં તીર્થધામ છે. એ સૌથી ઓપન યુનિવર્સિટીઓ છે કે જ્યાં પ્રવેશ માટે પરીક્ષાઓ નથી અને ઉંમરનો કોઈ બાધ પણ નથી.’ મહેન્દ્રભાઈ લખે છે : ‘આ શબ્દોએ બાણુંમાં વર્ષે મને મન્રોની લાઇબ્રેરીની  આ ઓપન યુનિવર્સિટીમાં દાખલ થઈને તેમાં દરરોજ ત્રણ કલાક વીતાવવાની પ્રેરણા આપી.’

16 જૂન 2015

સૌજન્ય : ‘કદર અને કિતાબ’ નામક લેખકની કોલમ, “નવગુજરાત સમય”, 17 જૂન 2015

e.mail : sanjaysbhave@yahoo.com

Loading

...102030...3,8043,8053,8063,807...3,8103,8203,830...

Search by

Opinion

  • એક સરકારી કર્મીનો પ્રેમપત્ર
  • બંધારણ – દેશનું દર્પણ, દેશની ઓળખ, દેશની શોભા  
  • નથુરામનું ‘હુતાત્મા’ પદ અને કુરુંદકરનો તર્ક
  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ
  • ઝાંઝવાનાં જળ

Diaspora

  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved