Opinion Magazine
Number of visits: 9694409
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ન યયૌ ન તસ્થૌ

આશા બૂચ|Opinion - Opinion|19 June 2015

ફેબ્રુઆરી 1979માં બ્રિટન આવી. એ વાતને ત્રણ દાયકાને માથે છ વર્ષ પૂરાં થયાં. જીવન રાહ પર ચાલતાં-દોડતાં, પડતાં-આખડતાં હવે જ્યારે ગતિ થોડી ધીમી પડી છે, ત્યારે ‘નિવૃત્તિ પછી ક્યાં જશું અને શું કરશું?’ એ વિચારોએ ઘેરો ઘાલ્યો છે. વિદેશને ક્યારથી ‘પોતાનું બીજું ઘર’ માનતી થઈ, એનું ઓસાણ નથી પણ અનેક વખત ‘ન યયૌ ન તસ્થૌ’ (નથી રહી, નથી ગઈ) જેવી દ્વિધા અનુભવ્યાનું યાદ છે. મહાકવિ કાલીદાસે એમની કૃતિ ‘કુમારસંભવ’માં શિવ-પાર્વતી વચ્ચેના સંવાદ દરમ્યાન પાર્વતીજી શિવજી પ્રત્યે રોષપૂર્ણ નજર નાખતાં જવા લાગ્યાં ત્યારે શિવજીને ભ્રમ થયો કે પાર્વતીજી ગતિ પણ કરી રહ્યાં છે અને સ્થિર પણ છે; એ ન ઊભાં છે કે ન જાય છે.

મારા નિકટના કુટુંબીજનો અને ગાઢ પરિચયમાં આવેલા મિત્રો પાસેથી ‘તમે આખેઆખાં આ દેશમાં આવીને વસ્યાં હો તેમ લાગતું નથી’, એવું અનેક વખત સાંભળ્યું છે તો સાથે સાથે મેં પશ્ચિમનાં સારાં મૂલ્યોને આધારે કરેલ બાળ ઉછેર, મને ઉપલબ્ધ થયેલ કારકિર્દીને સુપેરે નિભાવવાની બજાવેલ ફરજ અને તમામ સામાજિક તથા સાંસ્કૃિતક પ્રવૃત્તિઓમાં જાતે સ્વીકારેલ મર્યાદાઓમાં રહીને શક્ય તેટલો ભાગ લીધો છે, એટલું જ નહીં યથાશક્તિ પ્રદાન પણ કર્યું છે. એનાથી હું અહીં કેટલે અંશે હળીમળીને રહી છું એ પુરવાર થાય છે.

હું જાતે અભ્યાસાર્થે કે કારકિર્દી પર ચાર ચાંદ ઉમેરવા માટે નહીં, પણ લગ્ન કર્યા પછી, પતિની સાથે જોડાવા માટે આ ધરતી પર આવી. માદરે વતનમાં પોતાના કાર્યક્ષેત્રમાં ખૂબ સફળતાપૂર્વક આગળ વધી ચુકેલી એટલે એવું ધારેલું કે બે-પાંચ વર્ષ એ નવા દેશમાં ટૂંકા અભ્યાસ બાદ કામનો અનુભવ લેશું, ત્યાંની પ્રજાની અને તેમની જીવન પદ્ધતિની ઓળખ થશે અને જોવાલાયક સ્થળો જોઈને વિસ્તરેલી ક્ષિતિજો ભાથામાં બાંધીને સ્વદેશ પોતાના પરિવારજનોની શીળી છાયામાં પોતાનો માળો રચવા પરત થઈ જઈશું. એમ કરતાં સંતાનોને પરિચિત સાંસ્કૃિતક વાતાવરણમાં ઉછેરવાનો અને દેશવાસીઓને ખાતર કામ કરવાનો હેતુ પણ અનાયાસ સાધી શકાશે. પરંતુ કંઈક અંશે આ દેશની જોઈતી તકો પૂરી પડવાની ક્ષમતાનો અભાવ અને કંઈક અંશે ભારતની બદલાતી જતી કામની પરિસ્થિતિને પરિણામે સ્વદેશ પાછા જવા માટેની ઇચ્છાને અમલમાં મુકવા માટે પ્રેરક બળ ન મળ્યું, અને એમ મહિનાઓ વર્ષોમાં અને વર્ષો દાયકાઓમાં ગુણાકાર પામતા રહ્યા અને ભારતનો કિનારો દૂર ને દૂર જતો રહ્યો.

અહીં આવ્યાને માત્ર થોડા જ દિવસ થયા હશે, અને લોકો પૂછતાં, ‘અહીં ગમે છે? ઘર યાદ આવે છે? અહીંની આબોહવા કેવી લાગે છે? અહીં રહેવું ગમશે કે પાછા જવાનું મન છે?’ નવાઈ તો એ વાતની છે કે હજુ આજે 35 વર્ષ બાદ પણ કેટલાક પૂછે છે, ‘રહેવાનાં કે જવાનાં?’ એ હકીકત ધર્શાવે છે કે અહીંની પ્રજાને મન અમે કદાચ ક્યારે ય આ દેશના કાયમી રહેવાસી છીએ તે સ્વીકાર્ય નથી. તે વખતે મૂળમાંથી તાજેતાજા ઉખડેલા મનનો ઉપરોક્ત પ્રશ્નોનો જવાબ હતો, ‘અહીં ગોઠવાતી જાઉં છું, ઘર તો ખૂબ જ યાદ આવે છે, આબોહવા બિલકુલ નથી ફાવતી અને થોડા વખતમાં વતન પાછા જવાની ગણતરી છે.’ આજે કોઈ પૂછે છે ત્યારે કહેવું પડે છે, ‘હવે તો અહીં રહેવું એટલું જ ગમે જેટલું મારા દેશમાં રહેવું ગમે, ઘરની યાદ તો હજુ એટલી જ તીવ્રતાથી સતાવે, આબોહવા હજુ પણ એટલી જ રંજાડે છે અને હા, થોડા વખતમાં વતન પાછા જવાની ગણતરી છે.’ મારી આ લાગણી માટે આ દેશના લોકોનો આપ્રવાસી લોકો માટેનો અણગમો જવાબદાર લગીરે નથી, તેમાં તો માત્ર મારી સ્વજનો માટેની મમતા, સૂર્યવંશી કુળમાં થયેલ જન્મ અને ઉછેર અને વતનની માટીમાંથી મળતી અબાધ સ્નેહ સરવાણી કારણભૂત છે.

મારો અનુભવ છે કે વિદેશ જાઓ ત્યારે શરૂઆતમાં મા-બાપ, ભાંડરું, વિના ન ગમે, પછી પ્રેગ્નન્સી દરમ્યાન માના હાથની રોટલી વિના ટળવળવા વારો આવે. છોકરાંને પોતાના નાનપણની વાતો કરતાં ઘર ઘંટીએ દળેલો બાજરાના લોટના રોટલા, ઉપર ઘરના માખણનો લોંદો, શિયાળામાં ખાધેલ રીંગણાનો ઓળો, તડકે બેસીને ફોલેલાં જીંજરાં, બોર, ખજૂર, શેરડી અને જમરૂખનો સ્વાદ યાદ આવે. ઉનાળો બેસતાં જ ખાટી કેરીનું કચુંબર, પાકી કેરીના રસ ભરેલા વાટકા, ઊની ઊની લૂને ભૂલાવવા પીધેલાં કાચી કેરી અને તરબૂચનાં શરબત અને રાયણની ચીકાશ હજુ મોંમાં છે. અરે, ક્યારેક તો મોગરા, રાતરાણી અને ચંપાનાં ફૂલોની સુવાસ અને જાસુદનાં લાલ ચટ્ટક રંગની યાદ રાતે સુવા ન દે. હોળી આવતાં જ કેસૂડાની યાદ આંખ ભીંજવે. કેસૂડાનાં એક ફૂલમાં રંગોનું વૈવિધ્ય તો અજોડ. ડાળીને પકડી રાખતો ઘેરો કથ્થાઈ રંગનો ગોળ મજાનો મખમલી રંગ, પછી આછા પીચ રંગની બંધ પાંખડીઓ ઉપર જતાં ખુલતી જાય અને હળવા નારંગી રંગ કે લાલ બદામી રંગની પોપટની ચાંચ જેવા આકારની, એ બધું એવું તો યાદ આવે. વળી એ ફૂલોને ગરમ પાણીમાં પલાળીએ એટલે તેમાંથી એક વિશિષ્ટ પ્રકારની સોડમ છૂટે જે તેના નારંગી રંગને વધુ સોહામણો બનાવે અને તે રંગની પીચકારીઓથી સહુને રંગવાની જે મજા આવે તેની સરખામણી અહીંના કોઈ તહેવાર સાથે ન કરી  શકાય.

હોળી પછી આવ્યાં નવરાત્રી. તે ટાણે હજુ લંડનમાં હતી તેથી કોઈ વિશાળ ભવનમાં ભારતથી આવેલા ગાયકોને સથવારે રાસ ગરબા લેવાની તક મળી એ તો અહોભાગ્ય છે એમ લાગેલું. એટલે જ તો અમે શેરીએ શેરીએ પડોશીઓ સાથે મળીને ગરબી રમતાં એની ખોટ થોડી વિસરાઈ. એવું જ દિવાળીના આગમન વખતે અહેસાસ થયો કે હોસ્પિટલ તરફથી મળેલ ઘરમાં ન તો રંગોળી કરી શકાય, ન તો ફટાકડા ફોડી શકાય અને મીઠાઈ બનાવો તો પણ ખાનારાં માત્ર અમે બે ચકલો અને ચકલી. આ વિષાદને ધક્કો મારીને દિવાળી નિમિત્તે યોજાયેલ એક મેળાવડામાં હોંશે હોંશે ભાગ લીધો અને સહુ પરિચિતોને મળીને ભાવતાં ભોજન લીધાં જેથી બાકી રહેલ રંગોળી, ફટાકડા, નૂતન વર્ષની વહેલી સવારે ‘સાલ મુબારક’ કહેતી નીકળતી યાત્રા એ બધું જાણે યાદોની ગર્તામાં એક બાજુ હડસેલાઈ ગયું.

નવા દેશમાં નવાં નવાં જોવાં લાયક સ્થળોની મુલાકાતોથી મન ભર્યું ભર્યું હતું. ઉનાળાની ઋતુ પૂરી થતાં પાનખરની બધાના જીવન પર આટલી ઘેરી અસર થાય એનું ભાન થયું. જો કે તેવામાં જ એક પછી એક એવા સીને ગાયક કલાકારો આવ્યા, ગુજરાતી સુગમ સંગીતની રસલ્હાણ લીધી અને સહુના શિરમોર સમા પંડિત રવિશંકર-અલ્લારખા અને નિખિલ બેનર્જી-સ્વપન ચૌધરી જેવા વિશ્વવિખ્યાત કલાકારો કે જેમને ભારતમાં સાંભળવાની તક નહોતી મળી તેમને સાંભળવા મળ્યા એટલે તો જાણે ઘરનો ઝુરાપો સદંતર ગાયબ!

એક વર્ષના સુખદ વસવાટ બાદ એક પછી એક કસોટીઓ પાર કરવાની આવી. પશ્ચિમની આધુનિક વ્યવસ્થાનો અનુભવ લેવાની મધલાળનાં ટીપાં ચાટવા આવેલ કુશળ વ્યવસાયમાં પડેલાઓને પણ નોકરી માટેની પસંદગીમાં બીજે, ત્રીજે કે ચોથે પાટલે બેસીને રાહ જોવી પડતી અને ક્યારેક તો પાટવી કુંવરને ન ભાવતું ભોજન રાજ મહેલના ચોકીદારના છોકરાંને મળે એ ન્યાયે આ દેશના કાયમી વસાહતીઓને ન રુચે એવાં ક્ષેત્રમાં કામ કરવાની ફરજ પડી તે ય નિભાવી. આમ છતાં સંતાનોના આગમનથી જીવન લીલું છમ્મ બની ગયું અને સમય જાણે હવામાં ઉડતો રહ્યો. એ દરમ્યાન બે ચાર મિત્રો અને સંબંધીઓએ સ્વદેશ પરત થવાના પ્રયાસો કરેલા એના સાક્ષી બન્યાં, જેમાંથી કોઈ સફળ થયાં તો કોઈનાથી તાપ સહન ન થવાથી એર કંડીશનની સગવડ છોડીને સેન્ટ્રલ હિટીંગની ગરમી મેળવવા અહીં પાછાં આવી ગયાં એ પણ જાણ્યું. નોંધ એ બાબતની લીધી કે સ્વદેશમાં ફરી સ્થાઈ ન થઈ શકનારાઓને સંતાનો હતા અને તે પણ હાઇ સ્કૂલમાં ભણતાં. કુમળો ધરુ નવી જમીનમાં જલદી ચોપાય એ હકીકત વધુ એક વખત સાબિત થતી જોઈ અને એના પરથી ધડો લીધો કે આપણે એ ભૂલ જાણી જોઈને ન કરવી.

આ દેશમાં ઠરી ઠામ થવાનો નિર્ણય કરી લીધો એટલે જાણે નવ નિરાંત થઈ એમ કદી નહોતું ધાર્યું. મારી આસપાસ નજર નાખતાં જાણવા મળ્યું જ હતું કે જ્યાં સુધી પોતાનો દીકરો/દીકરી પ્રાથમિક શાળામાં કે હાઇ સ્કૂલના પહેલા-બીજા વર્ષમાં હોય અને પોતાના વર્ગમાં ભણતા નાન્સી કે ડેવિડ જેવા મિત્રો સાથે જન્મદિવસની પાર્ટીમાં જાય કે પર્યટન પર જાય તો કોઈ માતા-પિતાને હરકત નહોતી થઈ, એ જ દંપતીને મેં પોતાનાં 14-15 વર્ષનાં સંતાનો શુક્રવારે રાત્રે મિત્રો સાથે ક્લબમાં જવાની, મિત્રો સાથે હોલીડે પર જવાની અને અમુક પ્રકારના પહેરવેશ અને રંગ-ઢંગ અપનાવવાની વાત કરે તેનો વિરોધ કરતાં જોયાં. અરે, કેટલાંકે તો ઉચાળા ભરી દેશ ભણી દોટ પણ મૂકી જોઈ. આમ છતાં સંતાનો બ્રિટનની ઉચ્ચ કોટિની યુનિવર્સિટીમાં ભણી ગણીને પોતાનું નામ રોશન કરે તેવી ખેવના હોવાથી ગમે તેમ કરી એ કપરો સમય મા-બાપ અને સંતાનો સાથે મળીને હેમખેમ પાર ઉતારે એવા કિસ્સાઓ વધુ જોવા મળે.

એક બાજુથી સંતાનો પુખ્ત વયનાં થાય અને બીજી બાજુ દંપતીની નિવૃત્તિના ભણકારા વાગવા માંડે. પોતાના પુત્ર કે પુત્રી માટે યોગ્ય સમયે ભારતમાં જન્મેલ યુવતી કે યુવક સાથે લગ્ન ગોઠવાઈ જાય એવાં મા-બાપને તો સ્વર્ગ હાથવેંત જ દૂર રહે. મૂળ ભારતનાં હોય અને જેમના સમૂહના ઘણા લોકો આ દેશમાં સ્થાઈ થયા હોય તેમની ઓળખાણની જાળ મોટી હોવાને કારણે તેમનાં સંતાનો પણ પોતાની જ જ્ઞાતિ કે છેવટ ભારતના બીજા કોઈ પ્રાંત અને ભાષા બોલનાર સાથે ઘર માંડે એમને પણ થોડું ઘણું સમાધાન કર્યા પછી વિદેશ આગમનનાં મીઠાં ફાળો ચાખવા મળે. દયાજનક સ્થિતિ એવા લોકોની થાય છે જેમને ઉપર કહી તેમાંની એક પણ લોટરી ન મળે. પુરુષ પોતાના ઉચ્ચ અભ્યાસ અને પછી વિકસતી કારકિર્દીમાં અને સ્ત્રી પણ મોટે ભાગે નોકરી ઉપરાંત બાળ ઉછેરમાં એટલાં વ્યસ્ત હોય છે કે જ્યારે પોતાનો દીકરો/દીકરી લક્ષ્મણ રેખા ઓળંગીને ‘વિધર્મી’ સાથે જીવન જીવવાનો પોતાનો નિર્ધાર જણાવે ત્યારે તેમને પોતાના વિદેશાગમનના બૂરાં પરિણામોનો ધક્કો વાગે છે અને એમને કદાચ રાતોરાત ભારત જતા રહેવાનું ય મન થાય. મારી જીવનકથા આમાં અપવાદ નથી.

જીવન સમુંદરમાં આવેલ તોફાનને મહાપ્રયત્ને પાર ઉતારી, મોટા ભાગનાં દંપતીઓ નિવૃત્તિ આનંદે વિતાવે છે. પશ્ચિમી સમાજની ‘તમે તમારે ઘેર સુખી અમે અમારે ઘેર સુખી’ એ નીતિ આધારિત સંતાનો સાથેના નિભાવી લેવાતા સંબંધોને મને કમને પણ તેઓ સ્વીકારી લે છે. હવે ખરી મજા શરૂ થાય. સવાર પડે નહીં અને ‘મારી વહુ રોજ રસોઈ ન કરે, મારી સાથે વાત કરવાનો સમય નથી એને, રોજ ઊઠીને પિયર જતી રહે પણ અહીં આવતાં પેટમાં દુ:ખે, એ તો બસ ઇંગ્લિશમાં જ બોલે, વાર તહેવારે પણ કપડાં તો બસ વેસ્ટર્ન જ પહેરે’ વગેરે જેવી ફરિયાદોનું રટણ ચાલ્યા કરે, અને ‘ઇન્ડિયાની છોકરી હોત તો આવું ન થાત.’ એ વાક્યથી પતિ-પત્ની વચ્ચેની વાતચીત પૂરી થાય. જ્યારે ભારત જાય અને પોતાનાં કુટુંબીઓ પાસેથી પણ એવા જ અફસોસના ઉદ્દગારો સાંભળવા મળે, ત્યારે ‘હશે ત્યારે, આ નવી પેઢી દુનિયા આખીમાં સાવ બદલાઈ ગઈ, આપણા જેવું કંઇ થોડું છે જે સાસરિયાને પોતાનાં કરીને રાખે?’ એમ કહી આશ્વાસન મેળવે.

જો કે એ લોકો એક હકીકત ભૂલી જાય છે કે જેમ તેમની વહુ પોતાની અપેક્ષા પ્રમાણે નથી વર્તતી તેમ જ તેમની પોતાની દીકરી, કે જે બીજાની પુત્રવધૂ છે એ પણ સ્વતંત્રતાને નામે એનાં સાસરિયાં સાથે એવો જ વર્તાવ કરે છે અને તેને સો એ સો ટકા ટેકો આપનાર આપણે જ હોઈએ છીએ. અસ્તુ. ફરી આવા સંયોગોમાં ન યયૌ ન તસ્થૌની લાગણી બળવત્તર બને.

અંગત વાત કરું તો પતિની કારકીર્દીની ચડતી ભાંજણી અને બંને પુત્રોના ઉછેર અને અભ્યાસ સાથે ઈતર પ્રવૃત્તિથી ધમધમતા જીવનનો રસ માણતી હતી ત્યાં મારી ત્રીસીના અંતકાળે એક એવો આઘાત સહન કરવાનો આવ્યો કે જેણે અમ સહુનું જીવન તદ્દન ડામાડોળ કરી નાખ્યું. ‘ન જાણ્યું જાનકીનાથે સવારે શું થવાનું છે’ ! 1989માં મારી નાની બહેનનું અકાળ અવસાન થયું અને તે પછી તો 1996માં મારા પિતાજીની વિદાય અને માને કેન્સરની બીમારીની જાણ એ બધી કસોટી વખતે ન તસ્થૌ, ન તસ્થૌની (ન રહું ન રહું) લાગણી જ પ્રધાન પણે રહી, પણ એક મા અને પત્ની તરીકે મારી ફરજો મને આ દેશમાં રહેવા માટે પકડીને રાખે છે.

હવે જ્યારે બંને સંતાનોએ ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કર્યો અને મારા પતિ પણ નિવૃત્તિ ઢુકડી આવતી ભાળે છે ત્યારે ‘અહીં કે ત્યાં રહેશું?’ની ચર્ચા જોર પકડે એ સ્વાભાવિક છે. મારું એવું અવલોકન છે કે પશ્ચિમની સુંવાળી જિંદગીમાં બાળકો ઉછરે અને ભણે એ હકીકત મા-બાપને જેટલી વહાલી લાગે છે એટલી જ પોતાના મા-બાપ પ્રત્યેનું તેમનું ઔપચારિક વલણ, ઉષ્માનો અભાવ, એક ઘરમાં કે નજીક નજીક રહેવાના સ્વપ્નની વિફલતા એમને કઠે છે. તેવે સમયે અમારું બુઢાપામાં કોણ? એ પ્રશ્ન સતાવે. કેટલાક લોકોને ‘એ મારો દીકરો છે, કેમ બુઢાપામાં ન સાચવે?’ એવી દલીલ કરતા સાંભળવા મળે, પછી ભલે ને પોતે પોતાના મા-બાપને દેશમાં તેમના ભત્રીજા કે પાડોશીને આધારે મુકીને પોતાનો ‘વિકાસ’ કરવા ગયા હોય. તેમને આ દેશની સામાજિક સંસ્કૃિત અને ધોરણોનો ખ્યાલ નથી હોતો અથવા હકીકતનો સ્વીકાર નથી કરતા.

જોવાનું એ છે કે ઉચ્ચ અભ્યાસ કરીને કારકિર્દીના ટોચે ચડી ચુકેલા લોકો વિદેશની ધરતીના મીઠાં ફળ ટોપલો ભરીને ખાય પણ સાથે સાથે ભારતીય સમાજ અને કુટુંબ વ્યવસ્થાના લાભ પણ અહીં બેઠે મળે તેવું ઇચ્છે. ભલા ભાઈ, જ્યાં રહો ત્યાની વાડીનાં રીંગણની હારે તેનાં નિંદામણમાં ય તમારો ભાગ હોય જ ને? એમને બાળકો આધુનિક જગતમાં પેદા કરીને પોતાના મા-બાપના જગતમાં મોકલી દેવાની અપેક્ષા હોય છે, જેથી પોતાની દેખભાળ જેમ એમના દાદા-દાદીની એમના મા-બાપે રાખેલી તેમ પોતાની રહે. ‘હું મારા અભ્યાસ અને નોકરી અર્થે વિદેશ જાઉં એ મારો સંતાન તરીકેનો અધિકાર છે, પરંતુ મારાં સંતાનોએ અમારી કાળજી અમારાં મૂલ્યો અને રિવાજ પ્રમાણે કરવી જોઈએ એ અમારો માતા-પિતા તરીકેનો અધિકાર છે.’ એવું કહેતાં પણ સાંભળ્યા છે. મારી દ્રષ્ટિએ એક તરફથી અધિકાર મળે તો બીજી તરફ ફરજ પણ બજાવવાની હોય. વિદેશી ધરતીનું લૂણ ખાઈને ઉછરેલ પ્રજા પાસેથી પૂર્વના અને તે પણ મારી પેઢીના સંસ્કારોની અપેક્ષા રાખવી એ ઘઉંને અનુકૂળ જમીનમાં આંબા પકવવા જેવી વાત છે.

જ્યારે પણ સ્વદેશ જઈને સ્થાઈ થવાની ઇચ્છા બળવત્તર બને ત્યારે પોતાનું જૂનું ઘર, એ ઘરમાં રહેતાં સ્વજનો, તેમની રહેણી કરણી, ખાન પાનની રૂઢી, પડોશીઓ સાથેના ખાટા મીઠા સંબંધો અને ત્યાં ઉજવાતા તહેવારો અને પ્રસંગોની લ્હાણ જ નજર સામે તરવરે તે સ્વાભાવિક છે, કેમ કે તેનાથી જ આપણી સુખદ અનુભૂતિઓ સંકળાયેલી છે. અનેક વખત દેશ જતાં આવતાં હોઈએ તો નોંધી શકાય કે પોતાના મા-બાપ કે સાસુ-સસરાએ ઘર બદલ્યું છે, તેમાંનાં કોઈ હવે હયાત પણ નહીં હોય, ભાંડરું પરણીને કે નોકરીને કારણે દૂર સુદૂર રહેવા ચાલ્યાં ગયા છે અને એમને પણ પોતાનો ઘર સંસાર સંભાળવાનો હોવાને કારણે પહેલાની જેમ તમારી સાથે સમય ન વિતાવી શકે.

ભારત જાણે હાઇ વે પરની ઝડપી લાઈનમાં હોય તેમ અતિ તીવ્ર ગતિથી વિકસી રહ્યું છે જેને પરિણામે પાડોશીના ટાણે કટાણે થતા ટહુકા, વાટકી વહેવાર અને સુખ-દુઃખમાં આવીને પ્રસંગને શોભાવવાનું કે તકલીફમાં ટેકો આપવાનું સંભવ નથી રહ્યું. જે એકલતાથી ભાગી છૂટીને ભારત જવાનો વિચાર કરે છે તેમને આજના ભારતનો સાચો ખ્યાલ નથી. વધારામાં તમારા દિલમાંથી ભારત નથી નીકળી ગયું પરંતુ દેશના લોકોના મનમાં તમે પરદેશી થઈ ગયા છો, તમારી બોલવાની ઢબ-છબ, સ્વતંત્રતા અને બીજા સાથે બધી વાત વહેંચવાના ખ્યાલો બદલાયા છે એ તો દેશમાં છ-બાર મહિના રહી જુઓ ત્યારે જ ખબર પડે. આમ તમે જે વાતાવરણ, સગવડતાઓ, કુટુંબ અને સમાજની હૂંફ અને પશ્ચિમના દેશોમાં ન મળતો લાગણી સભર સહવાસ મેળવવા દોડી જવા સ્વપ્ન સેવો તે કદાચ ભાંગી પણ પડે. વિદેશ જઈને પોતાના મા-બાપ અને સ્નેહીઓથી વિખૂટા પડ્યાનો, તેમની સેવા ન કરી શક્યાનો અને પોતાની ફરજો ભૂલ્યાનો રંજ હજુ તો માંડ વિસરાયો હોય, ત્યાં પોતાના વહાલસોયા સંતાનો અને તેમનાં ય સંતાનોને રમાડવાની, વાર્તાઓ કહેવાની પળ આવી હોય ત્યાં ફરી ઉચાળા ભરવા પગ દોડે પણ મન ભારે થાય એવું બને ખરું. અને ફરી તે વખતે ‘ન યયૌ ન તસ્થૌ’ની વિમાસણ ભોગવવા વારો આવે.

તાજેતરમાં બિમલ મુખી નામના શખ્સની લખેલ એક કવિતા હાથ લાગી જે વિદેશી આપ્રવાસીઓને કંઈક અંશે લાગુ પડે તેવી છે.

ભગવાન થોડી જિંદગી બાકી રાખજે કે મારા દેશમાં મારે જીવવું છે.
કોણ જાણે કેવા દેશમાં આવી ગયો છું, બધાંને એમ કે હું ફાવી ગયો છું.
અહીં કોઈ કોઈને બોલાવતાં ડરે છે, મારા દેશમાં લોકો એકબીજાને જોઇને જીવે છે.
અનહદ ઠંડીમાં લાપટોપ સાથે એક રૂમમાં પુરાઈ ગયો છું, ‘ને બધાંને એમ કે હું ફાવી ગયો છું.
અહીં માણસમાંથી દોસ્ત નીકળી ગયો છે, ‘ને ઢોલિયાનો સ્વભાવ બધાંને ભરખી ગયો છે.
લાગણી વગરના માણસો સાથે ફસાઈ ગયો છું, ‘ને બધાંને એમ કે હું ફાવી ગયો છું.
ખાઉં છું ‘ને ઓફિસ જાઉં છું, માણસમાંથી મશીન બની ગયો છું,
આઝાદ ભારતમાંથી અહીં આવી ગયો છું, ‘ને ફરી ગુલામ બની ગયો છું, ‘ને બધાંને એમ કે હું ફાવી ગયો છું.
ભગવાન થોડી જિંદગી બાકી રાખજે કે મારે મારા દેશમાં જીવવું છે,
ફરી ટોળે વળી પેલા ગલ્લે બેસવું છે, બાઈક પર ત્રણ સવારી રખડવું છે.
ભગવાન પોતાના લોકોથી છુટ્ટો પડી ગયો છું, ‘ને બધાંને એમ કે હું ફાવી ગયો છું.

− બિમલ મુખી

આ કવિની માફક દેશમાં રહેવા માટે થોડી જિંદગી બાકી રાખવાની યાચના કરું કે મારા બાળપણનો સમાજ અને જીવનરીત એવાંને એવાં જ રહ્યાં હશે કે બધું બદલાયું તે ખબર નથી, માટે એ ખેવના છોડી દઉં એવી દુવિધા થાય. અમે પોતે અહીં રહી કેવા બદલાયાં છીએ તે ય જાણતા નથી એટલે ટોટલ મિસફીટ થઈએ અને ધોબીનો કૂતરો નહીં ઘરનો નહીં ઘાટનો, એવા ઘાટ થવાની શક્યતાએ ઘર ભણી વળેલા મનને ત્રણ ત્રણ દાયકા સુધી જે ધરતીનું લૂણ ખાધું છે તેવા તનનો ભાર આ દેશમાં પલાંઠી વાળીને બેસી જવાનું કહી રહ્યું છે.

હરનિશ જાની કહે છે તેમ,

“અન્ન આ ધરતીનું, શ્વાસ આ આકાશનો, સુજલામ સુફલામ બનાવો અમેરિકામાં,
આજે જાશું, કાલે જાશું રટ હવે તો છોડો, કબર ખોદાઈ ગઈ છે તમારી અમેરિકામાં.”

જો કે હજુ પણ ‘ન યયૌ ન તસ્થૌ’ની સ્થિતિ મારા મનમાંથી તદ્દન દેશ નિકાલ નથી પામી !

e.mail : 71abuch@gmail.com

Loading

શબ્દના શાગિર્દ

તુષાર ભટ્ટ|Profile|19 June 2015

ગુજરાતી ભાષાની અનોખી સેવા કરનાર મહેન્દ્ર મેઘાણી રિટાયર થવાના મુડમાં લાગે છે. અરધી સદીની વાચન યાત્રાના ચોથા ભાગના પ્રકાશન પછી નાદુરસ્ત તબિયતના કારણે કલમ ટેબલ પર મૂકી દેવાની લાગણી વ્યક્ત કરી છે. એમને 84 વર્ષ થયા છે, આંખે તકલીફ છે. (પાંચેક સાલ પહેલાં લેખકે અા લેખ લખ્યો હોય. : તંત્રી) સતત પ્રવૃત્તિશીલ આયખું વટાવ્યા પછી મહેન્દ્રભાઈ વાંચન, લેખન, પ્રકાશનની રજા માંગવાના પૂરા અધિકારી છે.

પણ, પછી વાંચન વિમુખ થતા જતા આપણા જેવાનું શું ? જો કે આશાનું એક કિરણ તો છે જ. હમણાં જ એમણે સંપાદન કરેલો વિવિધ લેખકોના ગાંધીજી વિષેના ત્રીસેક લેખોનો સંગ્રહ, ‘ગાંધી ગંગા’ પ્રકાશિત થયો. ‘ગાંધી ગંગા’નો આ પહેલો ભાગ છે એવું કહેવાયું છે. આથી એવું ઈગિત થાય કે બીજો ભાગ કે ભાગો આવશે. (તા.ક. બીજો ભાગ ગત સપ્તાહે પ્રકાશિત થઈને ઉપલબ્ધ થઈ ગયો છે.)

વિશ્વમાં સેટેલાઈટ ટેલિવિઝનના આગમન સાથે છપાયેલા શબ્દનું મહત્ત્વ ઘટવા લાગ્યું છે એવું મનાય છે. છપાયેલા શબ્દ પર થયેલા સાંસ્કૃિતક આક્રમણને ખાળવા તે એકલવીર વર્ષોથી અવિરત ઝઝૂમતા રહ્યા છે. આમ તો એ સુંદર ગુજરાતી લખી શકે છે, મૌલિક વિચારણા કરી શકે છે. વિશ્વવ્યાપી દ્રષ્ટિબિંદુ રાખે છે અને 84 વર્ષે પણ સ્ફૂિતથી કામ કરે છે. એના પિતા ઝવેરચંદ મેઘાણી પેઠે શબ્દને સમર્પિત શાગિર્દનું જીવન ગાળે છે.

સફેદ પાયજામો, રંગીન કુર્તા અને ભૂરી ટોપીમાં સજ્જ એવા આ માણસ જીવનના 84મા વર્ષમાં પ્રવેશ કર્યો છે, પણ હજુ આજેય 500 જણ સાંભળવાના હોય કે પાંચ, વિશ્વના ને ગુજરાતીના  સારામાં સારાં પુસ્તકોનું રસપાન કરાવવા તે સતત પ્રવૃત્તિશીલ રહ્યા છે. 1923ની 20મી જૂને જન્મેલા મહેન્દ્ર મેઘાણીની બચપણમાં ખૂબ ભણવાની ખ્વાહિશ હતી. ભણવા માટે અવિરત વાંચવું પડે, પચાવવું પડે. આજે પણ ખંતીલા વિધાર્થીની અદાથી વાંચવામાં અને વાંચન માધુકરીમાંથી ગુજરાતીઓને સદ્દવાંચનની ટેવ પડે તે માટે શાળા, કૉલેજો અને યુનિવર્સિટીઓમાં પુસ્તકપઠન ગુજરાતભરમાં કરે છે. શાળાઅભ્યાસ ભાવનગર અને મુંબઈમાં કર્યો અને અમદાવાદમાં બે વર્ષ કોલેજ કર્યા પછી સ્કોરલરશીપ મળી એટલે મુંબઈની એલ્ફિન્સ્ટન કૉલેજમાં ભણવા ગયા. આ સાલ હતી 1942ની. જૂનમાં કૉલેજમાં દાખલ થયા અને ઓગસ્ટમાં ભારત છોડોની હાકલના પડઘામાં એ કૉલેજ છોડી નીકળી ગયા. નિખાલસપણે મહેન્દ્રભાઈ કહે છે, ‘દેશ ખાતર નીકળ્યો, દેશ ખાતર ભણતર છોડ્યું એ ખરું, પણ મને ભણવામાં રસ ન રહ્યો. વાચવામાં ખરો. આથી હું પાછો કોલેજમાં ન ગયો અને પછીના છ વર્ષે ઝવેરચંદ મેઘાણી જોડે એમના પત્રકારત્વનો મદદગાર રહ્યો.

1948માં એમણે એક અન્ય ભાવનગરી, કૃષ્ણલાલ શ્રીધરાણી અમેરિકામાં કોલંબિયા યુનિવર્સિટીમાં અભ્યાસ કરી રહ્યાં છે એમ જાણ્યું. શ્રીધરાણી પાસે પ્રેરણા મેળવી હું અમેરિકા પત્રકારત્વનો અભ્યાસ કરવા ગયો. અમેરિકામાં હું યુનિવર્સિટીમાંથી પત્રકારત્વનું જેટલું ભણ્યો તેનાથી ય વધુ ત્યાંના ત્રણ પત્રોમાંથી શીખ્યો. આ હતા “રીડર્સ ડાયજેસ્ટ”, “ક્રિશ્ચિયન સાયન્સ મોનિટર” અને “ન્યુયોર્ક ટાઈમ્સ”. હું કચેરીએ જતો, ચર્ચાઓ સાંભળતો અને વિશ્વ નાગરિક બનવાનાં શમણાં સેવતો.

મહેન્દ્રભાઈ કહે છે, ‘હું મારી જાતને વિશ્વનો નાગરિક માનું છું. હું ભૂરા રંગની ખાદીની ટોપી કેમ પહેરું છું, તેની પાછળ એક રહસ્ય છે. ‘સંયુક્ત રાષ્ટ્રસંઘ’ના ધ્વજનો રંગ ભૂરો છે અને વિશ્વ નાગરિકત્વ માટે તરસતા મેં પણ મારી ટોપીમાં આ રંગ અપનાવ્યો છે. “રીડર્સ ડાયજેસ્ટ”, “મોનિટર” અને “ન્યુયોર્ક ટાઈમ્સ”નું મને લગભગ બંધાણ થઈ ગયું હતું. આ પત્રોમાંથી હું શીખ્યો કે, ‘સારું પત્રકારત્વ કોને કહેવાય, જે વાચકને માનથી જુએ. જે સમજે કે વાચક બુદ્ધિશાળી છે, તેની પાસે જાતજાતની વૈશ્વિક વાતો સમજવાની આવડત છે. પણ સમય, નાણાં, કે બીજી સગવડો નથી. પત્રકારત્વનું કામ સારી વાતોનું દોહન કરી વાચકને પહોંચાડવાનું છે, જેથી આમઆદમીની જિંદગી વધારે વિચાર સમૃદ્ધ બને.’

આવા વિચારો લઈ મહેન્દ્રભાઈ 50મા મુંબઈ આવ્યા અને “રીડર્સ ડાયજેસ્ટ” ઢબનું “મિલાપ” શરૂ કર્યું. વિવિધ સામાયિકો અને દૈનિકોમાંથી સુંદર સાહિત્ય પસંદ કરી “મિલાપ” મારફત ગુજરાતીઓને પહોંચાડ્યું. આ યજ્ઞ 1978 સુધી ચાલ્યો. પછી નાણાકીય અને બીજી અગવડોને કારણે “મિલાપ” બંધ થયું. આમ તો મહેન્દ્રભાઈ નિસ્પૃહી છે, પણ આ વાત કરતાં એમના મૃદુ અવાજમાં વિષાદની થોડી છાંટ પડે છે. “મિલાપ” શરૂ થયું ,ત્યારે એના બે હજાર ગ્રાહક હતા. બંધ થયું ત્યારે પણ બે હજાર ગ્રાહક હતા.’ આપણી પ્રજાની સંસ્કારીરૂચિ પર આનાથી વધારે કરૂણ અને વેધક કોમેન્ટ બીજી કોઈ હોઈ શકે ?

વિશ્વના દેશો અને ભારતના લોકો એકબીજાને વધુ સારી રીતે સમજી શકે એ હેતુથી યુવાનોના આંતરરાષ્ટ્રીય આદાનપ્રદાનનો કાર્યક્રમ એમણે ઘણાં વર્ષ સુધી ચલાવેલો. 1951માં એ મુંબઈ છોડી ભાવનગર આવેલા. ‘મારી ઈચ્છા તો ભાવનગર જિલ્લામાં કોઈ રેલવે સ્ટેશનવાળા ગામમાં રહેવાની હતી, પણ એ બર આવી જ નહિ.’

એમણે એક પુસ્તક ભંડાર પણ શરૂ કર્યો, જ્યાં વાચકોની અભિરૂચિને પોસે તેવાં ઉત્તમ પુસ્તકો મળે. પુસ્તક પ્રકાશનની પ્રવૃત્તિના મંડાણ પણ કર્યા. આજે ‘લોકમિલાપ’ પુસ્તક ભંડાર ગુજરાતના ઉત્તમ પુસ્તકભંડારમાંનો એક છે. લોક મિલાપ પ્રકાશનનું ગુજરાતી પ્રકાશનમાં સૌથી મોટું પ્રદાન એ છે કે એણે શિષ્ટ વાચનનાં પુસ્તકો ઓછી કિંમતે લોકોને પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે. ઉત્તમ ગુજરાતી સાહિત્યની સસ્તા દરની આવૃત્તિ ઓ લાખોની સંખ્યામાં પ્રકાશિત કરી એમણે વિક્રમ સર્જ્યો છે. 1972માં ઝવેરચંદ મેઘાણીની 75મી જયંતી નિમિત્તે ‘કસુંબીનો રંગ’ નામે મેઘાણી સાહિત્યનાં ત્રણ પુસ્તકોનો એક સેટ એમણે પ્રગટ કર્યો. આની એક લાખથી પણ વધુ નકલોની આગોતરી વરદી નોંધાયેલી. તે પછી તો ચૂંટેલાં પુસ્તકો અને સંક્ષિપ્તીકરણ પાછળ મકસદ હતી. 1989માં એમણે ગુજરાતી સાહિત્યના પાંચ ચરિત્રગ્રંથોને ટૂંકાવીને ચંદનના ઝાડ નામે એક પુસ્તક પ્રસિદ્ધ કર્યું, જેની એક લાખ નકલો પ્રિન્ટ ઑર્ડર હતો. મહેન્દ્રભાઈ માને છે કે ઉત્તમ સાહિત્યની મૂળ આવૃત્તિનાં મોટાં પુસ્તકો વાંચવાનો આજે લોકો પાસે સમય નથી કે નથી એની મોંઘી કિંમત ચૂકવવાની તાકાત. આથી ટૂંકાવેલ સંક્ષિપ્ત આવૃત્તિ સસ્તા દરે પ્રગટ થાય તો લાખો લોકો સુધી એ પહોંચે. પછી ઘણા મૂળ ગ્રંથ તરફ પણ વળે.

તેઓ માને છે કે સારાં પુસ્તકોને લોકો સુધી લઈ જવાં હોય તો પુસ્તક પ્રદર્શનો યોજવા પડે. વર્ષો સુધી એમણે પુસ્તક મેળાઓ કર્યા છે અને બાકીના સમયમાં ગુજરાતભરની શાળા કૉલેજોમાં પસંદગીનાં પુસ્તકોનાં પઠન માટે એ ખૂંદી વળે છે. સાહિત્ય પ્રચારના એ એવા તો ભેખધારી છે કે ભાવનગરમાં થોડાં વર્ષ બાળ સાહિત્ય ભરેલી હાથલારી પણ એ ચલાવતા. બીજા લારીવાળાઓની જેમ સાંજે જ્યાં જ્યાં લોકોની ભીડ હોય ત્યાં એ લારી લઈને ઊભા રહેતા. અંગત જીવનમાં એ ચુસ્ત ગાંધીવાદી રહ્યા છે. વર્ષો સુધી એમના કુટુંબને જરૂરી અનાજ એ જાતે જ દળતા. ‘ઘંટી ચલાવવી એ મારા માટે ગાંધીજીના રેંટિયાની જેમ ધ્યાનનો એક પ્રયોગ હતો. મને ઘણા સારા સારા પ્રોજેક્ટો દળતાં દળતાં સૂઝેલાં.’ સાદગીના આગ્રહી આ માણસને અંગત જિંદગીમાં એક જ શોખ છે, આઈસ્ક્રીમ ખાવાનો.

સંક્ષિપ્તીકરણ ઉપરાંત મહેન્દ્રભાઈની અનુવાદો કરવાની હથોટી છે. વિક્ટર હ્યુગોના નાઈન્ટી થ્રી, થોર હાયરડાલના કોન્ટિકી એક્સપિડિશ અને હેનરિક હેરરના સેવન યર્સ ઈન તિબેટના ગુજરાતી અનુવાદો એમણે કરેલા છે. એમણે ઘણાં પુસ્તકોનાં સંપાદન પણ કરેલાં છે. સાહિત્ય અંગે વાતો કરો તો મહેન્દ્રભાઈ ખુલ્લા દિલે વાત કરે, પણ વ્યક્તિ તરીકે એમના જીવન વિષે કુતૂહલ દાખવો તો એ કાચબાની જેમ જાતને સંકોરી લે. ‘મારામાં કશું અદ્વિતિય નથી કે તમને જાણવામાં રસ પડે.’ પણ એમનામાં ઘણું અદ્વિતિય છે. સાહિત્ય પ્રેમને એમણે સામાન્ય જનતાને પોતે જે અનુભવે છે તે અનુભવવાની તાલાવેલી લગાડી છે. એમણે જે લખ્યું છે તે પરથી એટલું તો ચોક્કસ છે કે એ ઘણું સારું લખી શકે છે, પણ એમણે મૌલિક લેખનની બહુ તમા રાખી નથી, કેમ ? ‘મારી હેસિયત જ નથી. મારી સામે કેવા કેવા આદર્શ પડ્યા છે. કાકા સાહેબ કાલેલકર, સ્વામી વિવેકાનંદ, ઉમાશંકર જોષી, દર્શક અને મારા પિતા ઝવેરચંદ મેઘાણી. આ બધા હિમાલયના ઉત્તંગુ શિખરો જેવા સર્જકો જે ભાષામાં હોય તેમાં મારી કેટલી ગુંજાઈશ ?’

આ શરમાળપણું છે કે સ્વને ઓગાળી નાખવાની સભાન પ્રક્રિયા છે એ વિશે કોઈ ખુલાસો તમે મહેન્દ્રભાઈ પાસે નહિ મેળવી શકો. ‘આ જન્મે તો ઉત્તમ સાહિત્ય વાંચવું જ છે અને બીજાને વંચાવવું છે. પૂરતું ભાથું બંધાઈ જાય આ જન્મે તો કદાચ આવતા જન્મે મૌલિક લખવાની હિંમત કરીશ.’

ગુજરાતી ભાષા ટકી જશે તો તેની પાછળ આવા નિષ્કામ શાગિર્દોના ઋષિકાર્યો જ હશે.

(દિવંગત લેખકની કલમે લખાયેલાં રેખાચિત્રોની એક પ્રસાદિ)

સૌજન્ય : “ઓપિનિયન”, 26 એપ્રિલ 2012, પૃ. 23-24

Loading

સત્તા-પ્રતિષ્ઠાન અને બૌદ્ધિકો

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|18 June 2015

તેરમી જૂને બે અક્ષર પાડી રહ્યો છું ત્યારે છાપાં વધામણી આપે છે કે ગિરિધર ગોમંગ ભા.જ.પ.માં જોડાઈ ગયા છે. આ એ જ ગોમંગ છે જેમના એક મતે વાજપેયી સરકારને રાજીનામાની ફરજ પાડી હતી. જૂન ૧૯૭૫માં કટોકટી જાહેર થયા પછી જેઓ ‘કૉંગ્રેસવાસી’ થવા લાગ્યા – આચાર્ય અત્રેએ એક જમાનામાં આ પ્રયોગ મરાઠીમાં ચલણી બનાવ્યો હતો, જેમ ‘કૈલાસવાસી’ તેમ ‘કૉંગ્રેસવાસી’એ ન્યાયે – ત્યારે કહેવાતું કે તેઓ ‘રાષ્ટ્રીય પ્રવાહ’મા જોડાઈ ગયા છે. બને કે આજકાલ સૌ અવસરઅભિલાષીઓ માટે ભા.જ.પ.માં જોડાવું એ ‘રાષ્ટ્રીય પ્રવાહ’ હોય.

ગમે તેમ પણ, સંસદીય લોકશાહીમાં રાજકીય પક્ષોની ચોક્કસ ભૂમિકા છે તો પક્ષમાં ને પક્ષ બહાર અસંમતિનો અવાજ ઉઠાવી શકતી વ્યક્તિઓ અને નાનામોટાં સ્વૈચ્છિક નાગરિક જૂથોની ભૂમિકા પણ એવી જ અનિવાર્ય છે. અસંમતિથી માંડીને સંભવિત વિકલ્પ સુધીની ભૂમિકાએ જ્યારે આવી પ્રતિભાઓ અને પરિબળો પહોંચે છે ત્યારે પણ, એમને અંગે કદાચ સવિશેષ, અસંમતિનો અવાજ ઉઠાવી શકનારાઓની ભૂમિકા જરૂરી રહે છે. આ અર્થમાં અરવિંદ કેજરીવાલ નિઃશંક નસીબદાર છે કે એમને યોગેન્દ્ર યાદવ કે પ્રશાન્ત ભૂષણ મળી રહ્યા, અને કેવળ કમનસીબ પણ છે કે આજે ‘આપ’ સોમનાથ ભારતી જેવાઓ અને યોગેન્દ્ર યાદવ વચ્ચે વિવેક કરી શકવાની સ્વસ્થ મનઃસ્થિતિમાં નથી.

સત્તા-પ્રતિષ્ઠાન અને સત્તારૂઢોની પ્રકૃતિમાં જ કદાચ આ એક મુશ્કેલી હશે કે તેઓ બધો વખત જુદા અવાજને બૂજી તો શું સાંખીયે શકતા નથી. જયપ્રકાશે આંદોલનના આરંભતબક્કે સંવાદચેષ્ટા કીધી ત્યારે ઇન્દિરા ગાંધી વિધાયક પ્રતિસાદ અપી શક્યાં હોત તો બાંગલા ફતેહના સાતત્યમાં એમની એક સ્વીકૃતિ જારી રહી હોત.

પણ સત્તા-પ્રતિષ્ઠાનમાત્રને સારુ એક અભિશપ્ત વરદાન એ હોય છે કે એમને ચાટુકારો મળી રહે છે. આ ચાટુકારોને પાછો પોતે સ્વતંત્ર બૌદ્ધિક હોવાનો વહેમ હોય છે અને પ્રતિષ્ઠાન પણ એ વહેમને પોષતું હોય છે.

આ સંદર્ભમાં ગુજરાતનું અકાદમી પ્રકરણ જોવાતપાસવા જેવું છે. અકાદમી સરકારી નહીં પણ સ્વાયત્ત જોઈએ એ ઉમાશંકરનો આ દિવસોમાં ખાસો ગાજેલો (જો કે, કમનસીબે, પૂરતો નહીં સ્પર્શી શકેલો) પત્ર તો છેક ૧૯૮૬માં લખાયો હતો, પણ જાહેર જીવનના આ કવિએ સત્તા-પ્રતિષ્ઠાન પરત્વે સમીક્ષાત્મક અભિગમ કદી છાંડ્યો નહોતો. તમે જુઓ કે અવિભક્ત ગુજરાત કૉંગ્રેસ અને મોરારજી દેસાઈની નીતિરીતિ સબબ ઉમાશંકર જોશી, પુરુષોત્તમ માવળંકર, યશવંત શુક્લ આ સૌ સળંગ એક ટીકાત્મક ભૂમિકાએ લાંબો સમય હતા. પણ ઇંદિરા ગાંધીએ કટોકટી જાહેર કરી ત્યારે એમણે મોરારજીભાઈ અંગેના પોતાના ટીકાત્મક અભિગમને, કટોકટીનો વિરોધ કરવા આડે આવવા દીધો ન હતો. દર્શક જેવા સ્વાતંત્ર્યસૈનિક કૉંગ્રેસમેને શિક્ષણમાં સત્તાકારણ અને રાજકારણને અવકાશ ન હોય તે મુદ્દે મોરારજી દેસાઈ અને કૉંગ્રેસ સમર્થિત મગનભાઈ પ્ર. દેસાઈ સામે ગુજરાત યુનિવર્સિટીના ઉપકુલપતિપદની ચૂંટણીમાં ઉમાશંકર જોશીનું પ્રગટ સમર્થન કરવામાં ધર્મ જોયો હતો. આ જ દર્શક પછીથી કટોકટીકાળે તામ્રપત્ર પાછું વાળે અગર તો સરકારી અકાદમીને બદલે સ્વાયત્ત અકાદમીનો ઝંડો ઉપાડે એમાં શું આશ્ચર્ય.

એકંદરે, મોરારજી દેસાઈ અને ઇંદિરા ગાંધી બેઉને ગુજરાતની સ્વતંત્ર બૌદ્ધિક પ્રતિભાનો ‘અનુભવ’ મળતો રહ્યો છે. એટલે સાહિત્યરસિક મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીએ ૧૯૦૫થી કાર્યરત ગુજરાતી સાહિત્ય પરિષદની સક્રિયતા છતાં અલગ અકાદમી ઊભી કરવાનો રવૈયો ખાસ રસથી અપનાવ્યો હશે એમ માનવાને કારણ છે. સ્વતંત્ર બૌદ્ધિક પ્રવૃત્તિ અને પ્રતિભા પરત્વે, પોતે ગ્રંથસ્થ કવિ છતાં, નરેન્દ્ર મોદીને પણ એવું જ અસુખ હશે તે માધવસિંહની સરકારી અકાદમીએથી હટીને ગુજરાતે હાંસલ કરેલ સ્વાયત્ત અકાદમીને એમણે સુષુપ્ત કે મૂર્છિત જેવી કરી નાખી તેના પરથી સમજાઈ રહે છે. આ પ્રક્રિયા, ખરું જોતાં વિક્રિયા, આનંદીબહેનના કાર્યકાળમાં આગળ ચાલીને હાલના દિવસોમાં સ્વાયત્ત બંધારણ રફેદફે કરતી રચનાનું રૂપ લઈ રહી છે. નકરી નિયુક્તિઓનો દોર ‘સ્વાયત્ત’ એવા વિશેષણ તળે ચાલે છે એ ઓરવેલે આલેખેલ ‘ડબલસ્પીક’નું ક્લાસિક એટલું જ કલેશકર દૃષ્ટાંત છે; અને ક્લેશ કરતાં પણ વધુ તો નર્યો નિર્વેદ જગવતી બાબત કદાચ એ છે કે એને લેજિટિમસી આપતા લેખકો પણ સરળતાથી મળી રહે છે.

‘સફેદ જૂઠ’ અને ‘ઝગારા મારતો અંધકાર’ સરખા ઓરવેલીય પ્રયોગોની પ્રસ્તુતતા પુરવાર કરતો આ માહોલ છે : સ્વાયત્તતાના સમર્થન અને સરકારી અકાદમીના પદસ્વીકાર વચ્ચેનો મૂલ્યવિવેક ન કરી શકીએ એનો અર્થ એ થયો કે કટોકટીરાજના ચાર દાયકે પણ, સંઘર્ષ અને સિદ્ધિના એક દોર પછી પણ, અક્ષરકર્મીઓનો આતશ પૂરતો જલતો નથી. ઇચ્છીએ કે આ કોઈ પ્રજ્ઞાઅપરાધ ન હોય.

ભાઈ, ખરું જુઓ તો છેવટે તો આ મારા ને તમારા નાગરિક વજૂદનો મુદ્દો છે. સ્વતંત્ર વિચાર અને લોકતંત્રને સ્થાને સોફિસ્ટ્રી ને ડેમેગોગી ક્યાં સુધી ચાલવા દઈશું ? પહેલાબીજા સ્વરાજની લડતો આ માટે તો લડ્યા નહોતા.

સોક્રેટિસ બગાઈ, ક્યાં છો તું. 

સૌજન્ય : “નિરીક્ષક”, 16 જૂન 2015; પૃ. 01-02

Loading

...102030...3,8023,8033,8043,805...3,8103,8203,830...

Search by

Opinion

  • એક સરકારી કર્મીનો પ્રેમપત્ર
  • બંધારણ – દેશનું દર્પણ, દેશની ઓળખ, દેશની શોભા  
  • નથુરામનું ‘હુતાત્મા’ પદ અને કુરુંદકરનો તર્ક
  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ
  • ઝાંઝવાનાં જળ

Diaspora

  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved