કસ્તૂરબા મહાત્માથી આશરે છ મહિના મોટાં હતા ! ઇ.સ.૧૮૬૯માં જન્મેલાં અને ઇ.સ.૧૮૮૨માં તેર વર્ષની વયે લગ્નગ્રંથિથી જોડાયેલાં, બા-બાપુનું દાંપત્ય-જીવન બાસઠ વર્ષનું હતું. જેલનિવાસી કસ્તૂરબાનું અવસાન આગાખાન મહેલ, પૂના મુકામે ૨૨-૦૨-૧૯૪૪ના રોજ સંધ્યા-સમયે ૭-૩૫ કલાકે થયું. તેઓ લગભગ પંચોતેર વર્ષની વયે, મહાશિવરાત્રીની પાવન તિથિએ, જેલમાંથી અને મહેલમાંથી મહાનિર્વાણ પામ્યાં! મનુબહેન ગાંધી દ્વારા લખાયેલા અને નવજીવન પ્રકાશન મંદિર દ્વારા ઇ.સ. ૧૯૫૨માં પ્રગટ થયેલા, ‘બા બાપુની શીળી છાયામાં’ નામના પુસ્તકમાં કસ્તૂરબાના ઓલવાતા જીવનદીપનું જીવંત વર્ણન છે. લેખિકા મનુબહેન એટલે ગાંધીજીના પિતરાઈ ભાઈના દીકરા જયસુખલાલનાં દીકરી.
જીવનના આખરી દિવસની સવારે કસ્તૂરબાનું પહેલું વાક્ય હતું : ‘મને બાપુજીના ઓરડામાં લઈ જાઓ.’ પોતાની તબિયતને ગમે તેટલું અસુખ હોય તો પણ, ગાંધીજીને દરરોજ ફરવા જવાની કસ્તૂરબા ક્યારે ય ના કહેતાં નહીં. પરંતુ આજે ગાંધીજીએ પોતે ફરવા જવાની વાત કરી કે તરત કસ્તૂરબાએ ના કહી. આથી ગાંધીજી ત્યાં બેઠા. રામધૂન ઇત્યાદિની વચ્ચે પણ કસ્તૂરબાએ ગાંધીજીના ખોળામાં થોડી વાર શાંતિ લીધી. છેવટે દસેક વાગ્યે ગાંધીજીને ફરવાની રજા મળી. ગાંધીજીએ કહ્યું કે, ‘સાવ નહીં ફરું તો માંદો પડીશ, એટલે થોડુંક ફરવું જરૂરી છે.’
મનુબહેનના જણાવ્યા અનુસાર, ફરતી વખતે બાપુએ કહ્યું : “‘બા હવે થોડા વખતની મહેમાન છે. માંડ ચોવીસ કલાક કાઢે તો. કોના ખોળામાં એની આખરી નિદ્રા થશે તે જોવાનું છે.’ દાક્તર ગિલ્ડર થોડી થોડી વારે આવીને કસ્તૂરબાને જોઈ-તપાસી જતા હતા. ગાંધીજી સાડા બાર વાગ્યે કસ્તૂરબા પાસે ગયા. દેવદાસ ગાંધી, જયસુખલાલ ગાંધી ઉપરાંત હરિલાલ ગાંધીની દીકરીઓનું પણ આગમન થયું. દોઢેક વાગ્યે કનુ ગાંધીએ કસ્તૂરબાની કેટલીક તસવીરો લીધી. દેવદાસ ગાંધીએ ગીતાપાઠ કર્યો. સાડા ત્રણે દેવદાસ ગાંધી ગંગાજળ અને તુળસીપત્ર લઈ આવ્યા. તેમણે અને ગાંધીજીએ કસ્તૂરબાને થોડું ગંગાજળ પાયું. લગભગ સાડા ચાર વાગ્યે, બાપુ તરફ જોઈને બા બોલ્યાં : ‘મારી પાછળ તો લાડવા ઉડાડવાના હોય. દુઃખ હોય? હે ઈશ્વર, મને માફ કરજે; તારી ભક્તિ આપજે.’ આવેલાં અન્ય સગાંઓને પણ કસ્તૂરબાએ કહ્યું : ‘કોઈ દુઃખ ન કરશો.’
સાંજના પાંચેક વાગ્યા પછી બાએ મનુને બાપુ માટે ગોળ કરવા કહ્યું. કારણ કે ગાંધીજી માટે બાટલીમાં રાખેલો ગોળ થઈ રહ્યો છે એ બાબત કસ્તૂરબાની નજરમાંથી કેવી રીતે છટકી શકે! વળી, તેમણે મનુને બાપુના ભોજન સારુ દૂધ-ગોળ બરાબર આપવાનું અને મનુને પણ જમી લેવા કહ્યું. આ ઘટના અંગે મનુબહેન નોંધે છે : ‘આખી જિંદગી પૂજ્ય બાપુજીની બધી સેવામાં રહેવાનું અને મુખ્યત્વે એમના બંને વખતના ભોજનની બારીક તપાસ રાખવાનું એમણે કદી નહોતું છોડ્યું. આજે છેલ્લે દિવસે પણ દર્દની ને ભગવાનની સામે યુદ્ધ કરતાં કરતાં ય એમણે એકાએક મને ચેતાવી.’
ગાંધીજી, તેમનાં કુટુંબીજનો અને સહકાર્યકરો, દાક્તરો અને જેલ-અધિકારીઓ ખાસ વિમાન મારફતે આવેલું પેનિસિલિનનું ઇન્જેક્શન કસ્તૂરબાને આપવું કે નહીં એની ચર્ચા કરતાં હતાં. જેમને જમવાનું હતું તે લોકોએ લગભગ સાડા છ સુધીમાં ખીચડી, કઢી, રોટલી વગેરેનું વાળુ કર્યું તો શિવરાત્રીના ઉપવાસીઓએ ફરાળ કર્યું. જમતાં જમતાં પણ એ જ વાતો ચાલી કે પેનિસિલિનથી કદાચ ફાયદો થઈ જાય. અંતે આશરે સાતેક વાગ્યે દાક્તર સુશીલાબહેન નય્યરે મનુબહેન ગાંધીને ઇન્જેક્શનની સોયો ઉકાળવા આપી. મનુએ ઇલેક્ટ્રિક ચૂલા ઉપર વાસણમાં તે ગરમ કરવા મૂકી. જો કે, ઇન્જેક્શન દેવાની ગાંધીજીએ ના કહી એટલે સુશીલાબહેને ઇલેક્ટ્રિક ચૂલો ઠારી નાખ્યો. દરમ્યાનમાં મનુના કાને ગાંધીજીના આટલા જ શબ્દો પડ્યા કે, ‘હવે તારી મરતી માતાને શા માટે સોંય ભોંકવી?’ આ શબ્દો કાને સાંભળ્યા ન સાંભળ્યા અને મનુબહેન સંધ્યાટાણે તુળસીજી આગળ ધૂપ-દીવો કરવાની ઉતાવળમાં ત્યાંથી ચાલ્યાં ગયાં.
મનુબહેને દીવો કર્યો. કસ્તૂરબાએ સહુને ‘જયશ્રીકૃષ્ણ’ કહ્યા. એવામાં કસ્તૂરબાના ભાઈ માધવદાસ આવ્યા. તેમને જોયા છતાં કસ્તૂરબા કંઈ બોલી ન શક્યાં. એકાએક તેમણે કહ્યું : ‘બાપુજી!’ એટલામાં ગાંધીજી હસતા હસતા આવ્યા. તેમણે કહ્યું : ‘તને એમ થાય છે ને આટલાં બધાં સગાંઓ આવ્યાં એટલે મેં તને છોડી દીધી?’ એમ કહીને ગાંધીજી ત્યાં બેઠા. જીવનની આખરી ક્ષણો વખતે કસ્તૂરબાનું ખોળિયું ગાંધીબાપુના ખોળામાં હતું. બાપુએ બાના માથે હાથ ફેરવ્યો ત્યારે બાએ બાપુને કહ્યું : ‘હવે હું જાઉં છું. આપણે ઘણાં સુખદુઃખ ભોગવ્યાં. મારી પાછળ કોઈ રડશો મા. હવે મને શાંતિ છે.’ આટલું બોલ્યાં ત્યાં તો બાનો શ્વાસ રૂંધાયો. કસ્તૂરબાની તસવીરો લઈ રહેલા કનુ ગાંધીને બાપુએ અટકાવ્યા અને રામધૂન ગાવા કહ્યું. સહુ લોકો ‘રાજા રામ રામ રામ, સીતા રામ રામ રામ’ ગાવા લાગ્યાં. મનુબહેન લખે છે : ‘એ રામનામના છેલ્લા સ્વરો સાંભળ્યા ન સાંભળ્યા ત્યાં તો બે મિનિટમાં બાપુજીના ખભા ઉપર મોટીબાએ માથું મૂકી કાયમની નિદ્રા લીધી!’ મનુએ વધુમાં નોધ્યું છે તે મુજબ, ગાંધીજીની આંખમાંથી આંસુનાં બે ટીપાં પડી ગયાં. તેમણે ચશ્માં કાઢી નાખ્યાં. તેઓ બે જ મિનિટમાં સ્વસ્થ થઈ ગયા, પરંતુ પુત્ર દેવદાસ સદ્દગત માતાના પગ પકડીને કરુણ આક્રંદ કરવા લાગ્યા.
મનુબહેનની રોજનીશીના આધારે રાષ્ટ્રમાતા કસ્તૂરબાના જીવનના અંતિમ દિવસનો ઘટનાક્રમ જોઈ શકાય છે. વળી, બદલાતાં દૃશ્યો સાથે કસ્તૂરબાના ગાંધીજી સાથેના સંવાદો સાંભળી શકાય છે. આ વિગતોથી તેમની વચ્ચેના સંબંધોની અનુભૂતિ થાય છે. પતિ મોહનદાસના ખભા ઉપર માથું મૂકીને કાયમ માટે સૂઈ જવાનું અહોભાગ્ય પત્ની કસ્તૂરને મળ્યું. કારણ કે ગાંધીજી સદ્દભાગી હતા કે, તેમને જીવનસાથી સ્વરૂપે કસ્તૂરબા મળ્યાં હતાં. કાં પતિ આદર્શ હોઈ શકે, કાં પત્ની આદર્શ હોઈ શકે. પતિ-પત્ની બન્ને આદર્શ હોઈ શકે અને તેમનું દાંપત્ય-જીવન પણ આદર્શ હોઈ શકે, એવું જોડું તો આપણાં સૌનાં બા-બાપુનું જ !
e.mail : ashwinkumar.phd@gmail.com
સૌજન્ય : ‘રાષ્ટ્રમાતા કસ્તૂરબા : આખરી વિદાયવેળાએ‘; વિગત-વિશેષ; “દિવ્ય ભાસ્કર” દૈનિક, ૨૨-૦૨-૨૦૧૫, રવિવાર, 'સનડે' પૂર્તિ, પૃષ્ઠ : ૦૨
Blog-link : http://ashwinningstroke.blogspot.in
![]()


રૂબિન(1912-1989)એ ઝૂનું સર્જન રચના કરી પશુપંખી માટેના નિર્મળ અને નિસ્વાર્થ પ્રેમ, તેમનાં માનસની અજબ સમજ અને ગજબ કોઠાસૂઝ, રાતદિવસની મહેનત અને સહુ માનવેતર જીવોને સુખી કરવાની લગનથી. તેમની આ ઉમદાઈ હેતભર્યાં પ્રસંગો અને સંભારણાં થકી વર્ણવતું ‘માય ફાધર્સ ઝૂ’ (રુપા, 2007) નામનું પુસ્તક તેમનાં કલાવિદ દીકરી એસ્થર ડેવિડે લખ્યું છે, તેનાં નોખી ભાતનાં ચિત્રો પણ એસ્થરે જ કર્યાં છે. તેનો ધોરણસરનો ગુજરાતી અનુવાદ ‘મારા ડૅડીનું ઝૂ’ (આર.આર. શેઠ, 2012) નામે ચિરંતના ભટ્ટે કર્યો છે. માધવ રામાનુજની ‘પિંજરની આરપાર’(વોરા,1990) નામની સાદ્યંત રસપ્રદ નવલકથા, રૂબિનનું ગુજરાતના એક અદ્વિતીય પ્રાણીસંવર્ધક અને દિલદાર માણસ તરીકેનું ચરિત્ર ઉપસાવે છે.
હમણાં જ એક વાર મુંબઈથી પુણે આવતી વખતે મેં અને મારી પત્ની સુનીતાએ નક્કી કરેલું કે આ વખતે તો જે થાય તે પણ ઇરાવતીબાઈને મળવું જ છે. મહાભારત વાંચતી વખતે સુનીતાને કેટલીક શંકાઓ ઊભી થઈ હતી, એ દૂર કરવા માટે ઇરાવતીબાઈને મળવું હતું. હકીકતે તો આ કેવું, ત્રીજામાં ભણતા છોકરાએ ‘અમારો દાખલો કરી આપો ને’ કહેતાં આઇન્સ્ટાઈનના ઘરે જવા જેવું હતું. પણ મહાભારતના એ મહાસાગરમાં અમારા જેવી નાનકડી હોડીઓ પણ ઇરાવતીબાઈને લીધે જ ધકેલાઈ હતી. કર્ણના કવચકુંડળ વિષે એક શંકા હતી, જો કે એ તો બીજા કોઈએ પણ દૂર કરી હોત પણ એ બહાને ઇરાવતીબાઈ સાથે કલાકેક વાત કરવાની જે તક મળી તે; ના, ના, એમની વાત સાંભળવા મળે એ ય સ્વાર્થ ખરો. અમારા પ્રત્યેના એમના આજ સુધીના સૌજન્ય પરથી એવો વિશ્વાસ હતો કે એમના કલાક પર આપણો હક્ક છે જ. પણ એવામાં જ સુનીતાને કોઈ કામ અંગે મુંબઈ જવાનું થયું, બે દિવસમાં જ એ પાછી આવવાની હતી. જતી વખતે મને ખાસ કહી ગયેલી કે મારે સ્વાર્થી થઈને એકલાએ ત્યાં જવું નહીં, એ પાછી આવે પછી અમારે બન્નેએ સાથે જ એમને મળવા જવાનું છે.
ઇરાવતીબાઈ ગયાં! જેના બારણે ‘ૐ ભિક્ષાન્દેિહ’ કહીને માધુકરી માગવા જઈએ અને ઝોળીમાં પકવાન્ન લઈને આવીએ એવી માવડી ગઈ? કોઈ પણ જાતની ફી આપ્યાં વગર અમારાં જેવાં અનેક જણને મળેલાં શિક્ષિકા, જાણ્યા-અજાણ્યા કોઈના પણ નાનાશા પરાક્રમનાં વખાણ કરનારાં સહૃદયા, એક બાજુ માણસની ખોપરીનું માપ લઈને વિસ્તરિત માનવવંશનાં કેટલાંયે ગૂઢ રહસ્યો ઉકેલનારાં વિદુષી તો બીજી બાજુ અત્યંત કુશળતાથી પોતે રાંધેલી દેશીવિદેશી વિવિધ વાનગીઓ જમાડનારાં એક પાકકુશળ ગૃહિણી; ગજબના સંવેદનક્ષમ મને ટપકાવેલા અનુભવો અને ઊંડા વ્યાસંગની કુલડીમાંથી સાહિત્યનાં વિવિધ આભૂષણો ઘડનારાં ઇરાવતીબાઈ ગયાં? એ પુણેમાં હવે ઇરાવતીબાઈ નહીં જોવા મળે. ગણપતિ સાથે પધારેલાં ગૌરી(રિદ્ધિસિદ્ધિ)ના વિસર્જન પછી પૂજાઘરનો પેલો પાટલો કેવો સૂનો લાગે, તેવું થયું.