Opinion Magazine
Number of visits: 9694409
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

વસંત-રજબ અક્ષરદેહે – સૌજન્ય પોલીસ વિભાગ

સંજય શ્રીપાદ ભાવે|Opinion - Opinion|9 July 2015

કોમી એખલાસ માટે શહાદત વહોરનાર વસંત-રજબની યાદમાં, અમદાવાદ શહેર પોલીસે સુરક્ષા સેતુ પ્રોજેક્ટ હેઠળ, ગાયકવાડ હવેલીમાં ઊભા કરેલા બંધુત્વ સ્મારકનું પહેલી જુલાઈએ તેમની હૌતાત્મ્ય તિથિએ લોકાર્પણ થયું. તેની સાથે ઝવેરચંદ મેઘાણી સંપાદિત વસંત-રજબ સ્મારક ગ્રંથની બીજી આવૃત્તિનું પ્રકાશન કરવામાં આવ્યું.

સ્મારકગ્રંથની પહેલી આવૃત્તિ જાન્યુઆરી 1947માં, વસંત-રજબની કુરબાની પછી સાત જ મહિનામાં  બહાર પડી છે. એટલે તેની અંદરનાં લખાણોમાં ભારોભાર ત્વરિતતા, નિકટતા અને વિશ્વસનીયતા છે. ગાંધીવાદી સમાજકાર્યકર વસંતરાવ હેગિષ્ટે (જન્મ 16 મે 1906) વિશેનાં સંભારણાં લખનારમાં અહીં તેમના બહેન હેમલતા, ભદ્ર વિસ્તારના તેમના સાથીઓ દોલતરાય શિંદે અને સખારામ જાધવ, ધંધુકા સેવાદળ શિબિર સહિત અનેક જગ્યાએ તેમની સાથે રહેનાર પ્રમોદ વ્યાસ, નાસિક જેલના સાથી નટવર મોદી છે. રજબઅલી લાખાણી (27 જુલાઈ 1919) વિશે તેમના ભાઈઓ વઝીર અને રમઝાન, કૉલેજના સાથીઓ બાલકૃષ્ણ શુક્લ, કનુભાઈ અને અમૃતલાલ પરીખ વગેરેએ લખ્યું છે. વસંતરાવ સાથે સોળ વર્ષ વીતાવનારા બળવંત વિં. શાહ, રજબઅલીના માર્ગદર્શક વજુભાઈ શાહ અને જાહેર જીવનના અગ્રણી રતુભાઈ અદાણીના લાંબા લેખો આ બંને શાંતિદૂતોનો વિસ્તૃત પરિચય આપે છે. ચાર લેખો મૂળ મરાઠીમાં જ મૂકવામાં આવ્યા છે. વસંતરાવની વ્યાયામ પ્રવૃત્તિ, દાંડીકૂચમાં તેમનું સંગઠન કૌશલ્ય, ધરાસણા સત્યાગ્રહમાં તેમની વીરતા, સેવાદળની આગેવાની જેવાં પાસાં વિશે વિગતવાર વાંચવા મળે છે. તે જ રીતે રજબઅલીનો લીંબડી હિજરતમાં ફાળો, વિદ્યાર્થીનેતા તરીકેની તેમની સફળતા, તેમનો પુસ્તકપ્રેમ અને તેમના ચાર જેલવાસ જેવી બાબતો વિશે વાંચવા મળે છે. જો કે વધુ રસપ્રદ છે તે બંનેના વ્યક્તિત્વની અંતરગ બાબતોની ઝલક. જેમ કે, વસંતરાવ કુટુંબ અને દેશ બંનેને બહુ ચાહતા. પરાક્રમી અને અહિંસક અખાડિયન વસંતરાવે અમદાવાદમાં લોકોને સારું ખાવાનું મળે તે માટે વાડીલાલ સારાભાઈ હૉસ્પિટલ સામે જ્યોતિ રેસ્ટોરાં શરૂ કરી હતી. વસંતરાવ જેલસાથીઓને તેલ ચોળી આપવું, તેમની ચંપી કરવી, તેમને ખવડાવવું એવાં હેતભર્યાં કામ કરતા. રજબઅલીને પરિવાર સાથે અણબનાવ થતા રહેતા કારણ કે તે બીજા સંતાનોથી જુદું વિચારનારા હતા. ભાવનગર કૉલેજમાં તેમની અનેક વિરોધ-પ્રવૃત્તિઓ છતાં તે વિદ્યાર્થીઓ, કેટલાક અધ્યાપકો અને આચાર્ય શહાણીસાહેબના પ્રિય હતા. તેમણે ‘કમ્યુનલ ટ્રાયેન્ગલ’, ‘અલોન’, અને ‘પાવર ઑફ નૉન-વાયોલન્સ’ પુસ્તકોનાં કરેલા અનુવાદ અપ્રકાશિત છે. રજબને બાળકો સાથે બહુ મજા પડતી. તેમણે અમરેલી પાસેના તરવડા ગામની એક તાલીમ શિબિરમાં નાનકડા ઝૂંપડામાં રહીને પગરખાં બનાવવાની તાલીમ પણ લીધી હતી. તેમની તીવ્ર લાગણીશીલતા અને ઉત્કટ મિત્રતાના પ્રસંગો બહુ જ નજીકના મિત્ર ભાનુભાઈ શુક્લના લેખમાં વાંચવા મળે છે.

વસંત-રજબ સ્મારક ગ્રંથ મેઘાણીભાઈનું આ છેલ્લું સંપાદન હતું. તે સ્વીકારવા માટે તેમને તિરસ્કારનો પત્ર પણ આવ્યો હતો. આ પુસ્તક પછી ત્રણ મહિને તેમનું અવસાન થયું. સંપાદકીય નિવેદનમાં મેઘાણીએ  જણાવ્યા મુજબ જીવનપરિચય આપનાર ચરિત્રલક્ષી લખાણોને ગ્રંથમાં સ્થાન આપવામાં આવ્યું છે. સાથે ‘નરી અંજલિલક્ષી પ્રશસ્તિઓને’ તેમણે પોતાના નિવેદનમાં સારવણી કરીને સમાવી લીધી છે. શહાદતને સલામ કરનાર આવા સમકાલીનોમાં મોરારજી દેસાઈ, ઉછંગરાય ઢેબર, ગણેશ વાસુદેવ માવલંકર, હરિપ્રસાદ દેસાઈ, ઠાકોરલાલ ઠાકોર, ચુનીલાલ વર્ધમાન શાહ અને છોટુભાઈ પુરાણીનો સમાવેશ થાય છે. નોંધપાત્ર વાત એ છે કે દર્શક સિવાય ભાગ્યે જ કોઈ અગ્રણી સાહિત્યકારે કોમવાદ સંબંધિત આ ઘટના તરફ સંવેદનશીલતા બતાવી છે. છપ્પન વર્ષ પછીય શાહમૃગી માનસમાં ઝાઝો ફેર નથી !

આ પુસ્તક બહાર પાડવા માટે પોલીસ ખાતું ધન્યવાદને પાત્ર છે. આ ખાતાની ક્રાઇમ બ્રાન્ચનું મુખ્ય મથક   ગાયકવાડ હવેલીમાં છે. વસંત-રજબ સ્મારક એ ભયંકર જગ્યામાં બનેલું છે. આ જ શાખા તેમ જ તેના કેટલાક અધિકારીઓ ગોધરાકાંડ પછી જનતાને આતંકિત કરીને સત્તાવાળાઓને ખુશ કરવાના કરતૂતો માટે   દેશ અને દુનિયામાં બહુ ટીકાને પાત્ર બન્યા છે. તાજેતરનો વિરોધાભાસ એ છે કે ક્રાઇમ બ્રાન્ચના જઘન્ય અત્યાચારોનું બયાન આપવા માટે મુફ્તિ મહંમદ કયુમે લખેલું ‘ગ્યારહ સાલ સલાખોં કે પીછે’ પુસ્તક હજુ એપ્રિલ મહિનામાં જ બહાર પડ્યું છે. તેનો પ્રકાશન કાર્યક્રમ થવા દેવામાં આ જ પોલીસ ખાતાએ અડચણ ઊભી કરી હતી.

આ પુસ્તકના ‘સંગ્રાહક-સંપાદક’ તરીકે રિઝવાન કાદરીનું નામ છાપેલું છે. તેમણે આ પુસ્તકમાં નહીંવત સંપાદન કાર્ય કર્યું છે. ધોરણસરના સંપાદનમાં હોય તેવી પાયાની બાબતો અહીં મૂકવામાં આવી નથી. કોમી સંવાદિતાનાં દર્શન પોતાનાં સર્જનમાં વારંવાર કરાવનાર ઝવેરચંદ મેઘાણીની આ સંપાદનના સંદર્ભે વિશિષ્ટ પાત્રતા હતી. કોમવાદી પોલીસ અને અંગ્રેજ શાસકોની નિંભરતા પર મેઘાણીએ ‘ફૂલછાબ’માં દોરેલા કાર્ટૂનને લગતા કેસ જેવી મહત્ત્વની ઘટનાનો આછો નિર્દેશ સુદ્ધાં સંપાદક આપતા નથી. સંપાદન એટલે શું તે જાણવા માટે મેઘાણીના જ સાહિત્યના તેમના ચિરંજીવી વિનોદભાઈ અને જયંતભાઈએ કરેલાં સંપાદનો જોઈ જવા જેવાં છે. આ સંપાદનની બાબતમાં બીજો એક બહુ વિવાદાસ્પદ મુદ્દો એ છે કે આ પુસ્તકના કૉપીરાઇટ ડૉ.રિઝવાન કાદરીના છે એવું છાપવામાં આવ્યું છે. આ કાયદેસરનું  જ હશે એમ દલીલ તરીકે  માંડ માંડ ધારી લઈએ તો પણ નૈતિક રીતે, એથિકલિ, આવું કરી શકાય કે કરવા દઈ શકાય ખરું ? જો કે એ મોટું આશ્વાસન ખરું કે આ સ્મારક ગ્રંથ થકી આજના જમાનામાં પણ અત્યંત પ્રસ્તુત એવા વસંત-રજબ ફરીથી ગુજરાતની નજર સમક્ષ અક્ષરદેહે આવ્યા.

6 જુલાઈ 2015

e.mail : sanjaysbhave@yahoo.com

સૌજન્ય : ‘કદર અને કિતાબ‘ નામક લેખકની કોલમ, “નવગુજરાત સમય”, 08 જુલાઈ 2015  

Loading

ખેતરો / Fields

મણિલાલ. હ. પટેલ / Pancham Shukla|Poetry|8 July 2015

ખેતરો                            • મણિલાલ. હ. પટેલ

એવું રખે માનતા કે – 

ખેતરો કેવળ સીમમાં રહે છે

ખેતરો આવે છે વાડામાં, ખળામાં
ફળિયાં વીંધી પ્રવેશે છે પડસાળે-ઓરડે
કોઠારે કોઠીએ ઓળખ તાજી કરતાં
ફરી વળે છે ઘરમાં, ઘટમાં ખેતરો
ખેતરો બોલે છે મન ખોલે છે
તગતગે છે આંખોમાં આખેઆખાં …

શાંત અને શાણા દેખાતાં મોસમી-

ખેતરો માથું ઊંચકે છે

જંગે ચડે છે આકાશે અડે છે

પવન કહે તો માની જાય છે પળમાં 

આંબા મહુડાના છાંયડા પી પીને

માટીની મોજ ગાય છે ખેતરો

આકરી બપોરના

બેપનાહ તડકા માટે

ખોળો પાથરતાં ખેતરો

ઉદાસ સાંજને લઈ લે છે આગોશમાં …

પ્રવાસમાં માઈલો સુધી

હાથ ફેલાવી બોલાવતાં, કુંવારી- 

સગર્ભા નારીના નમણા ચહેરા જેવાં

કાચી તૂરી સુગંધભર્યા ખેતરો

ધુમ્મસનું મલમલ ઓઢી

ચાંદની થઈને તમારા

ઘરની બારી સુધી આવી જાય છે

તમે સૂંઘ્યા છે કદી ખેતરોને

ખરેખરી ખાતરીપૂર્વક હેતથી?!

કેવાં તો એકલવાયાં હોય છે એ…

ક્યારેક રઘવાટમાં કે ભૂલથી

શહેરની ભૂખાળવી સરહદ સુધી

આવતાં તો આવી જાય છે –

આ ભલાં ભોળાં માવતર ખેતરો

મકાઈને બદલે મકાનો ઊગતાં જોઈને

હબકી જાય છે બિચારાં બાપડાં

સિમેન્ટના સકંજામાંથી છૂટવા- 

પાછાં વળવા વલવલતાં સિસકતાં

ધધકતાં ખેતરો

કદીય માફ નથી કરવાનાં આપણને

ફ્લેટમાં કેદ થઈ ગયેલાં આપણાં ખેતરો…

 

સૌજન્ય: "નવનીત સમર્પણ", નવેમ્બર 2014, પૃ: 20

 

***

Fields                  • Manilal H . Patel
 

Dare you believe –
fields are confined to farmlands;
Fields arrive in backyards;
Penetrating patios, they enter the rooms;
overwhelm the house
renewing their relationship with
the urns in the granary;
Fields speak
open their hearts
glow in eyes in their totality…
Placid and prudent
the seasonal fields
raise head
wage wars and touch skies;
Become courteous, in a moment, on wind's request;
Sipping the shadows of oaks and ashes
fields sing the bliss of soil;
Enduring the scorching noon's un-sparing sunlight
fields embrace sombre evenings with their arms …
In travel
spreading their hands over acres and acres
the calling fields
like a pregnant virgin's ethereal face
filled with un-ripened and mildly bitter scent
wearing fine foggy-muslin
and touch like a moonlight
the windows of your house;
Have you ever smelled the fields
in real righteousness with love?
Oh ! how lonely the fields are …
Seldom in haste or in slip
the kind and innocent motherly-fields
do reach the boundaries of ravenous cities;
Instead of grains, seeing
growing-buildings
poor fields get frightened
to quit the clasps of cement and mortar
and to return;
Sighing, sobbing and searing,
detained in flats,
our fields would never forgive us …

Gujarati poem published in Navneet Samarpan, Nov 2014 (Page 20)

Translated by Pancham Shukla

2/11/2014

Loading

જોડણી માતાનો જય હો !

અશ્વિનકુમાર|Opinion - Literature|7 July 2015



ઈસવી સન ૨૦૧૫માં ગુજરાત રાજ્યમાં દશમા ધોરણમાં ગુજરાતી ભાષાનું ધોરણ વધારે કથળી ગયું. ગુજરાતી માધ્યમમાં પ્રથમ ભાષા ગુજરાતી વિષયમાં કુલ ૮,૫૧,૨૮૫ પરીક્ષાર્થીઓમાંથી ૬,૨૪,૬૨૨ સફળ થયા અને ૨,૨૬,૬૬૩ નિષ્ફળ ગયા. આમ, માતૃભાષા ગુજરાતીમાં ૨૭ ટકા વિદ્યાર્થીઓ અનુત્તીર્ણ થાય એ શરમજનક છે. નરસિંહ-નર્મદ, ગોવર્ધનરામ-રણજીતરામ, ગાંધી-સરદાર, મેઘાણી-મુનશી, ગૌરીશંકર-ઉમાશંકર, પન્નાલાલ-મનુભાઈની દૂધભાષા તેમ જ કાકા (આચાર્ય કાલેલકર) અને બાપા(ફાધર વાલેસ)ની નવનીતભાષા એવી ગુજરાતી નીચી ભયજનક સપાટીએ વહી રહી છે. જે રાજ્યનાં મુખ્યમંત્રી આચાર્ય રહી ચૂક્યાં હોય, જે દેશના વડા પ્રધાનને ગુજરાતીમાં સપનાં આવતાં હોય, ત્યારે પણ માતૃભાષાના આવા હાલહવાલ થાય તો એની ફરિયાદ 'સંયુક્ત રાષ્ટ્ર'(યુ.એન.)માં ન કરાય !



ગુજરાતી વિષયમાં નિરાશાજનક પરિણામ માટે એ કારણ સૌથી આગળ ધરવામાં આવે છે કે, 'વિદ્યાર્થીઓનાં જોડણી અને વ્યાકરણ નબળાં છે.' વ્યાકરણની વાત થોડી દૂરની છે, પણ શિશુશાળામાં બાળક જે શબ્દ શીખે એની સાથે જ જોડણીનું 'ભૂત' ધૂણવા માંડે છે. અનુસ્નાતક કક્ષાએ ભણતાં વિદ્યાર્થીઓ પણ ‘િ’ ન ઓળખાય એટલે 'આગળથી લખો' એવું કહે, ‘ી’ ન ઓળખાય એટલે 'પાછળથી લખો' એવું કહે. ‘ુ’ ન સમજાય એટલે 'સાતડો' કરો એવું કહે, ‘ૂ’ ન સમજાય એટલે 'પૂંછડી' કરો એવું કહે! આ સમસ્યાના ઉકેલ માટે સરકારે દરેક જિલ્લામાં જોડણી ભવન બનાવવું જોઈએ. પણ એ ઇમારત ઉપર 'જીલ્લા જોડણિ ભુવન' એવું ન લખાય તે ખાસ જોવું પડે! આપણે પણ 'વિધ્યાર્થિઓની ગૂઝરાટિ ભાસા નબરી સે.' એવું કહેવાં કરતાં જોડણીની ગુણવત્તા સુધારવા નક્કરાત્મક પગલાં ભરવાની જરૂર છે.



'જય શ્રી કૃષ્ણ'ની જગ્યાએ 'જે સી ક્રસ્ણ'નો પ્રયોગ કરતાં નવયુવકોને મળ્યા પછી અમને મંદિર બનાવવાનાં સ્વપ્નાં આવે છે. મંદિર-મસ્જિદ-ગુરુદ્વારા-દેવળ-દેરાસર-અગિયારી સહિતનાં તમામ ધર્મસ્થળોને બજારનાં જોખમી પરિબળો નડતાં નથી. અમે ધાર્મિક છીએ, તાર્કિક છીએ, માણસ છીએ, ગુજરાતી છીએ. ઓછા રોકાણ અને ઓછી મોકાણના વ્યવસાયને શોધતાં રહીએ છીએ. અમે સલામતી અને સન્માન ઝંખીએ છીએ. હિંદુ ધર્મમાં તેત્રીસ કરોડ દેવતા છે. સ્વર્ગમાં દીકરા-દીકરી વચ્ચે ભેદભાવ નહીં જ હોય, અને દેવતાલોકમાં બાળકીઓની ભ્રૂણહત્યા નહીં જ થતી હોય. એટલે, તેત્રીસ કરોડ દેવતાઓમાંથી સાડા સોળ કરોડ દેવો અને સાડા સોળ કરોડ દેવીઓ હશે એવું માની લઈએ. રાષ્ટ્ર-મહારાષ્ટ્ર-સૌરાષ્ટ્રમાં માતાજીનાં ઘણાં મંદિરો છે, ઘણાં માતાજીનાં મંદિરો છે. જેમાં વૈભવ લક્ષ્મીથી માંડીને અંબાજી માતા, મહાકાળી માતાથી માંડીને સિકોતેર માતા, દશા માતાથી માંડીને સુનામી વહાણવટી માતા, મેલડી માતાથી માંડીને જોગણી માતાનું મંદિર છે, પણ ક્યાંય જોડણી માતાનું મંદિર નથી. શરમાતાં-શરમાતાં પણ કહેવું છે કે, અમને જોડણી માતાનું મંદિર બનાવવાનો નૂતન વિચાર આવ્યો છે! 


માતાજીને ઓછામાં ઓછા ચાર હાથ હોય તો જ આપણા ઉપર એમની કૃપા વરસે. એવી ઉદાત્ત કલ્પના કરો કે, જોડણી માતાને પણ ચાર હાથ છે. એમણે ચાર હાથમાં શસ્ત્રો તરીકે શું ધારણ કર્યું હશે, એવી જિજ્ઞાસા થવી જોઈએ. જોડણી માતાએ ડાબી બાજુના એક હાથમાં ‘ઇ’ અને બીજા હાથમાં ‘ઈ’, જમણી બાજુના એક હાથમાં ‘ઉ’ અને બીજા હાથમાં ‘ઊ’ ધારણ કરેલાં હશે. એમના લલાટ ઉપર અનુસ્વારરૂપી નાનકડો શ્યામ ચાંદલો શોભતો હશે. જોડણી માતાના ગાળામાં ઉદ્દગારચિહ્નની માળા શોભતી હશે. તેમણે પ્રશ્નચિહ્નનાં ઝાંઝર પહેર્યાં હશે.



જોડણી માતાનું વાહન પુસ્તક જ હોય. ‘સાર્થ જોડણીકોશ’ નામનું પુસ્તકપક્ષી પોતાની પાંખો ફફડાવતું હોય અને તે દિવ્ય વાહન ઉપર સવાર થઈને જોડણી દેવી વિહાર કરતાં હોય ત્યારે તેઓ કેવાં ભવ્ય લાગતાં હશે! જોકે, મૂર્તિ ઘડનારે એ ખાસ ધ્યાન રાખવાનું કે, જોડણી માતાનો ચહેરો પ્રસન્ન નહીં, પણ ખિન્ન રાખવાનો છે. કારણ કે, ગુજરાતી જોડણીનો મામલો કાયમ ગંભીર રહેવા માટે સર્જાયેલો છે! ખોટી ગુજરાતી લખનારને ખોટું પણ લાગતું નથી. એક દંતકથા નહીં તો ચોકઠાકથા મુજબ, અન્ય ભાષાઓની જેમ ગુજરાતી ભાષાની પ્રતિષ્ઠા ન થાય ત્યાં સુધી, સત્તરમી સદીના આખ્યાનકાર પ્રેમાનંદે પાઘડી નહીં પહેરવાનો સંકલ્પ કર્યો હતો. આ પ્રશ્ન કેવળ પ્રેમાનંદને જ નહીં, આપણને પણ સતાવતો હોવો જોઈએ.

વગર વરસાદે પણ સૌનાં મનમાં એ સવાલ ઊગે કે, જોડણી માતાનું મંદિર ક્યાં બનાવવું? પ્રદેશમાં પ્રત્યેક શાળા-મહાશાળા, વિશ્વવિદ્યાલય-શિક્ષણસંકુલ, સાહિત્યસંસ્થા-ભાષાઅકાદમીના દાખલ-દરવાજા પાસેના જમણા ખૂણામાં જોડણી માતાનું મંદિર બનાવી શકાય. જે તે સંસ્થાના વડાના હસ્તે આ મંદિરનું ઉદ્દઘાટન કરાવવું જોઈએ. સામાન્ય સંજોગોમાં મુખ્ય દેવમંદિરની ડાબી અને જમણી બાજુએ હનુમાનદાદા અને ગણપતિદાદાના ગોખલાની રચના કરવામાં આવે છે. આ જ ધોરણે જોડણી માતાના મંદિરની ડાબી બાજુએ પવિત્ર સધી માતા જેવાં સંધિ માતાનું અને જમણી બાજુએ સમર્થ કાલિકા માતા જેવાં કહેવત માતાનો ગોખલો હોવો જોઈએ. મંદિરનાં પગથિયાં પાસે આ સૂચના ખાસ લખાવવી : 'તમે ભાષાના ખેરખાં હો તો પણ પગરખાં અને અભિમાન બહાર ઉતારીને આવો.'

જોડણી માતાના મંદિરના મુખ્ય પ્રવેશદ્વાર આગળ ગાંધીજીનું આ વાક્ય મુકાવવું : "હવે પછી કોઈને સ્વેચ્છાએ જોડણી કરવાનો અધિકાર નથી." આમ કરવાથી, ગાંધીજીની સાથેસાથે આપણી પણ પ્રસ્તુતતા વધી જશે. મંદિરના ગર્ભગૃહમાં આરસની તકતી ઉપર 'જોડણીની જોડ સખી નહીં જડે રે લોલ' જેવી પંક્તિ ટંકાવવાથી સમગ્ર વાતાવરણ કાવ્યાત્મક અને ભાવનાત્મક બની જશે.



ગુજરાતી વિષયમાં વિદ્યાવાચસ્પતિ(પીએચ.ડી.)ની પદવી ધરાવતા હોય અને નેટ-સ્લેટની પરીક્ષામાં ઉતીર્ણ થયા હોય તેવા જ ઉમેદવારો જોડણી માતાના મંદિરમાં પૂજારી તરીકે લાયક ગણાશે. તેમને વિશ્વવિદ્યાલય અનુદાન આયોગ એટલે કે યુ.જી.સી.ના માન્ય ધારા-ધોરણ પ્રમાણે પગાર અને અન્ય લાભ મળવા જોઈએ. જો કે, રાજ્ય સરકાર આ માટે નિર્ધારિત અને નિમ્ન પગાર ધરાવતા જોડણી-સહાયકની નિમણૂક કરી શકશે નહીં.


આ મંદિરમાં પ્રસાદ તરીકે િ, ી, ુ, ૂ આકારનાં સાકરિયાં વહેંચવાં. આવાં 'રમકડાં'ના કારણે બાળ-શ્રદ્ધાળુઓને ગમ્મત સાથે જ્ઞાન પણ મળશે. વળી, કેટલાક વાલીઓ પોતાનાં 'નબળાં' બાળકો માટે શૈક્ષણિક વર્ષની શરૂઆતથી જોડણી માતાની બાધા-આખડી રાખી શકે. જો તેમના પાલ્ય દશમા ધોરણમાં ગુજરાતી વિષયમાં હેમખેમ પાર ઊતરી જાય તો તેમણે મંદિરના પરિસરમાં 'સાર્થ જોડણીકોશ'ની અમુક-તમુક નકલો વહેંચવી જોઈએ. જેમની આર્થિક સ્થિતિ નબળી હોય તેઓ ઓછી કિંમત ધરાવતો 'ખિસ્સાકોશ' પણ વહેંચી શકે છે.



જોડણી માતાના મંદિરમાં આખો દિવસ ગુજરાતી ભાષાની વ્યાકરણ-સામગ્રી અને સાહિત્યની સર્વોત્તમ કૃતિઓ સંભળાતી-જોવાતી રહે તેવી ઉત્તમ વીજાણુ-વ્યવસ્થા કરવી જ રહી. જેથી કરીને, નવી પેઢી 'વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે' પૂરેપૂરું સાંભળ્યા પછી 'પરસ્ત્રી'ની જગ્યાએ 'બાવન સ્ત્રી' જેવો શબ્દપ્રયોગ નહીં કરે.

જો કે નરસિંહ મહેતાનું આ પ્રભાતિયું સાંભળ્યા પછી, ગુજરાતીમાં વિચારતો અને અંગ્રેજીમાં બોલતો ભડનો દીકરો એમ પણ કહે કે, 'મિસ્ટર મહેતાએ બનિયા મેન વિશે કેવું ઓસમ મોર્નિંગિયું ગાયું છે!'


e.mail : ashwinkumar.phd@gmail.com

સૌજન્ય : જોડણી માતાનો જય હો! 'હળવે હૈયે', “દિવ્ય ભાસ્કર”, ૦૧-૦૭-૨૦૧૫, બુધવાર, 'કળશ' પૂર્તિ, પૃષ્ઠ : ૦૮ અને પૃષ્ઠ : ૦૬

Blog Address : http://ashwinningstroke.blogspot.in/

Loading

...102030...3,7873,7883,7893,790...3,8003,8103,820...

Search by

Opinion

  • એક સરકારી કર્મીનો પ્રેમપત્ર
  • બંધારણ – દેશનું દર્પણ, દેશની ઓળખ, દેશની શોભા  
  • નથુરામનું ‘હુતાત્મા’ પદ અને કુરુંદકરનો તર્ક
  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ
  • ઝાંઝવાનાં જળ

Diaspora

  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved