Opinion Magazine
Number of visits: 9552431
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ટાવરની ઘડિયાળના હવે ‘ડંકા વાગતા’ નથી !

દિવ્યેશ વ્યાસ|Opinion - Opinion|31 May 2015

પંજાબના વિદ્રોહી કવિ 'પાશ'ની અંગારા જેવી ધગધગતી એક કાવ્યપંક્તિ છે, "સમય બડા કૂત્તા હૈ મેરી બુલબુલ …." સમય માટેના આક્રોશનું કારણ એ છે કે સમય કોઈનો થયો નથી કે થવાનો પણ નથી. સમય પોતાની ગતિએ ચાલે છે, તે કોઈની શેહમાં આવતો નથી અને સમય સામે સૌ મજબૂર હોય છે. સમય જ તમને બળવાન બનાવે છે અને સમય જ તમારી શક્તિઓ હણી લેતો હોય છે, એનો એક સજ્જડ દાખલો મહાભારતમાં પણ ઉપલબ્ધ છે. મહાભારતની એક જાણીતી પંક્તિ છે, સમય સમય બલવાન હૈ, નહીં મનુષ બલવાન, કાબે અર્જુન લૂંટયો, વહી ધનુષ વહી બાણ …. સમય જેટલો શક્તિશાળી છે, એટલો ક્રુર પણ છે અને સમયની ક્રુરતાથી સમયના સાક્ષી જ નહિ બલકે પ્રવક્તા ગણાય, એવી ઘડિયાળો પણ બચી શકી નથી. એકવીસમી સદીમાં કોમ્પ્યુટર અને મોબાઇલ ફોનનો સમય જામ્યો છે ત્યારે પરંપરાગત ઘડિયાળોનો અંતિમ સમય આવી પૂગ્યો હોય એવું લાગે છે. કાંડા ઘડિયાળ હવે સમય જોવાના સાધન તરીકે નહીં તો પણ ફેશનની ચીજ કે એક્સેસરીઝ તરીકે પહેરાય છે, પણ સૌથી દયનીય હાલત ટાવર પરની ઘડિયાળોની થઈ ગઈ છે. એક જમાનામાં સમય જોવાના સાધન તરીકે દુનિયાભરમાં જેના ડંકા વાગતા હતા, એવી ટાવરની ઘડિયાળના વાગતા ડંકા પર આજે ભાગ્યે જ કોઈનું ધ્યાન જતું હોય છે. લોકો પાસે જાણે ટાવરની ઘડિયાળ પર નજર નાખવાનો 'સમય' જ નથી રહ્યો !

આજે ટાવરની ઘડિયાળને યાદ કરવાનું નિમિત્ત પૂરું પાડનાર છે – દુનિયાની ડંકા વગાડતી સૌથી ઊંચી ટાવર ઘડિયાળ બિગ બેન. બ્રિટનના પાર્લમેન્ટ હાઉસ એટલે કે લંડનના વેસ્ટમિનિસ્ટર મહેલના ઉત્તર છેડે ઊભેલા એલિઝાબેથ ટાવર પરની આ ઘડિયાળની આજે વર્ષગાંઠ છે. ૩૧મી મે, ૧૮૫૯ના રોજ આ ઘડિયાળ કાર્યરત થઈ હતી અને તેના ડંકા વાગવા માંડયા હતા. બિગ બેનનો સંક્ષિપ્ત ઇતિહાસ જોઈએ તો ઓક્ટોબર-૧૮૩૪માં વેસ્ટમિનિસ્ટર મહેલ આગમાં બળીને ખાખ થઈ ગયો હતો. આ મહેલને ફરી બાંધવામાં આવ્યો અને તેના ઉત્તર છેડે દુનિયાની સૌથી ઊંચી અને સમયમાં એકદમ ચોક્કસ ઘડિયાળ બેસાડવાનો નિર્ણય કરાયો. રોયલ એસ્ટ્રોનોમર સર જ્યોર્જ એરીએ સમયમાપનના વિજ્ઞાનમાં ખાંટું મનાતા એડમંડ બેકેટ ડેનિસનની મદદથી સમયની સાથે ચુસ્તપણે ચાલતી ઘડિયાળ તૈયાર કરી હતી. સમયે સમયે ડંકા વગાડવા માટે સોળ ટનનો મોટો ટોકરો (ઘંટ) તેની સાથે જોડવામાં આવ્યો હતો. આા ટોકરો ગ્રેટ બેલ તરીકે જાણીતો છે અને તેના આધારે જ આ ઘડિયાળ અને ટાવર બિગ બેન તરીકે ઓળખાય છે. બિગ બેનના સેન્ટ સ્ટીફન્સ ટાવરનું નામ ૨૦૧૨માં ઇંગ્લેન્ડનાં મહારાણી એલિઝાબેથ-બીજાના શાસનના હીરક મહોત્સવ (૭૫ વર્ષ) નિમિત્તે બદલીને એલિઝાબેથ ટાવર કરાયું હતું. જો કે દુનિયા તેને બિગ બેન ટાવર તરીકે જ ઓળખે છે.

૧૮મી સદીમાં કાંડા ઘડિયાળ તો દૂરની વાત થઈ પણ ઘરમાં દીવાલો ઘડિયાળો પણ દુર્લભ હતી. એ જમાનામાં લોકોને સમયનો અંદાજ આવે એ માટે નગરોમાં ઊંચા ટાવર પર ઘડિયાળ રાખવાનો ટ્રેન્ડ શરૂ થયો હતો. ટાવર ઘડિયાળનું ચલણ વિકસ્યું એમાં પણ બિગ બેનની મહત્ત્વપૂર્ણ ભૂમિકા હતી. દુનિયાની ઐતિહાસિક ટાવર ઘડિયાળોમાં મુંબઈની રાજબાઈ ટાવર ઘડિયાળનો સમાવેશ થાય છે. બૉમ્બે સ્ટોક એક્સચેન્જનો પાયો નાખનારા પ્રેમચંદ રાયચંદે પોતાની માતાની સ્મૃિતમાં આ ટાવર ઘડિયાળ બનાવડાવી હતી. અંગ્રેજ આર્કિટેક્ટ જ્યોર્જ ગિલ્બર્ટ સ્કોટે લંડનની બિગ બેનના આધારે જ રાજબાઈ ટાવર ઘડિયાળ બનાવી હતી.

સમયના વહેણમાં ટાવર ઘડિયાળો વહી જવાની છે, પણ જૂની પેઢીનાં તેની સાથેનાં સ્મરણો સાચવી રાખવાં જેવાં છે. તમારાં માતા-પિતા કે દાદા-દાદી પાસેથી જાણીને તેને નોંધી લેવાનું ચૂકતાં નથી, બાકી તમે જાણો જ છો, સમય બડા કૂત્તા હૈ … !

સૌજન્ય : ‘સમય સંકેત’ નામક લેખકની કોલમ, “સંદેશ”, 31 મે 2015

e.mail : divyeshvyas.amd@gmail.com

Loading

શબ્દ જોડે બિરાદરી

કનુભાઈ જાની|Opinion - Literature|30 May 2015

વિદ્રોહમાં ય કોઈનો દ્રોહ ન હોય.

પ્રયોગમાં ય કેટલાક જો હિંમતથી પ્રજા વચ્ચે ખબર ન પડે તેમ રોડવી દેવાયા હોય તો આપોઆપ સ્વીકારાઈ જાય ! પણ જો ચર્ચે ચડ્યા તો ખલાસ !

પરંપરાવાદીઓ તૂટી પડશે તમારા ઉપર ! દા.ત. 1929માં ‘જોડણીકોશ’ રચાયો ત્યારે એક ક્રાંતિકારી પ્રયોગ થયો છે જેને લીધે બહુ સરળતા આવી છે પણ આના પ્રત્યે ભાગ્યે જ કોઈનું ધ્યાન ગયું છે ! કારણ કે મોટી સરળતા ચૂપચાપ મળી ગઈ છે ! સારું જ થયું છે.

‘શું’નું બહુ વચન થાય ‘શાં’ − એનો ઉચ્ચાર કરો. શાં શાં કામ થયાં ? એમ પૂછતા ‘શાં થયાં’માં ‘શ’ પર ને ‘યા’ પર ‘અનુસ્વાર’ છે. હવે ‘શું’ના બહુવચનમાં ‘શાં’ લખાય તો જે ઉચ્ચાર થાય તે જ ઉચ્ચાર કરીને પછી ‘તિ’ મૂકો જોઈ ! કયો ઉચ્ચાર થશે ? ‘શાન્તિ’ માટે જ્યારે ‘શા’ને માથે મીંડું મૂકીએ છીએ ત્યારે ખ્યાલ નથી રહેતો કે અડધો ન્ (હલન્ત ‘ન્’ કે ખોડો ન્) તો ‘તિ’ સાથે જ જોડાય છે, એને ‘શા’ સાથે કોઈ લેવા-દેવા નથી !

પણ હવે ‘શાન્તિ’ બે રીતે લખાય : ‘શાંતિ’ કે ‘શાન્તિ’. ચંદ્ર – ચન્દ્ર આમ આપણે જે વ્યંજનો પાંચ (અનુનાસિક વ્યંજનો : ઙ, ઞ, ણ, ન, મ) એ પાંચે જો જોડાક્ષર બને તો એને અનુસ્વારમાં ફેરવી દીધાં ! મોટો ફેર. હું તો આમાંથી કમ-સે-કમ ‘ન’ ને ‘મ’ને ઉગારવા ચાહું !

જ્યાં અડધા ‘ન’ કે ‘મ’ સંભળાય ત્યાં જોડણીમાં અડધા જ્યાં લાગતા હોય ત્યાં જ લગાડવાં. દા.ત. ‘કાન્ત’ − ‘કાંત’ નહિ. એમાં કાંતવાનું આવતું નથી. ‘શાન્ત’ − ‘શાંત’ નહિ. મહમ્મદ, મહંમદ નહિ. મુમ્બઈ, મુંબઈ નહિ … તમને જેમ કરવું હોય તેમ કરવાની છૂટ છે !

પણ શબ્દકોશે વિકલ્પ આપ્યો છે તો સંભળાય તેનો દ્રોહ ન કરવો. વિદ્રોહમાં ય કોઈનો દ્રોહ ન હોય.

(સૌજન્ય : “બિરાદર”, 15 મે 2015, પૃ. 09)

Loading

“અોપિનિયન” પુરસ્કૃત મનુભાઈ પંચોળી ‘દર્શક’ સ્મૃિત વ્યાખ્યાનમાળા

વિપુલ કલ્યાણી|VK - Ami Ek Jajabar|30 May 2015

“અોપિનિયન” પુરસ્કૃત

મનુભાઈ પંચોળી 'દર્શક' સ્મૃિત વ્યાખ્યાનમાળા

એને ય હવે તેર સાલ થયા.

એ 2002ની સાલ હતી. મનુભાઈ પંચોળી મોટે ગામતરે સિધાવ્યા તેને ય માંડ ચારેક મહિના થયા હતા. 11-12 જાન્યુઆરીએ, સણોસરા ખાતે, લોકભારતી ગ્રામવિદ્યાપીઠમાં, 40મા નાનાભાઈ ભટ્ટ સ્મૃિત પ્રવચનમાળાનો અવસર હતો. અતિથિ વક્તા રઘુવીર ચૌધરી હતા. સદ્દનસીબે એમની સંગાથે જ મારો ય ઊતારો હતો. વળતે દિવસે સવારે ગ્રામદક્ષિણામૂર્તિ, આંબલાથી અનિલભાઈ ભટ્ટ રઘુવીરભાઈને મળવા પધારેલા. બન્ને વડેરી વ્યક્તિઓ વચ્ચેની વાતચીત ચાલતી હતી. શ્રોતા તરીકે નિરાંતવા બન્નેને સાંભળતો હતો. એમાં અનિલભાઈએ મનુભાઈ પંચોળી ‘દર્શક’ના સ્મરણમાં, કાયમી ધોરણે, એક વ્યાખ્યાનમાળા ઊભી કરવાનુ સૂચન કરેલું તે સ્પષ્ટ સાંભરે છે. તેમાં ચર્ચવાને સારુ વિવિધ વિષયો સમેતનો એક આછેરો નકશો ય એમણે દર્શાવી અાપેલો. બન્નેએ, એ વિચારોની આપ-લે જોડાજોડ, આ બાબતમાં સહમતી દર્શાવેલી.

અનિલભાઈ વિદાય થયા, અને રઘુવીરભાઈ સમક્ષ મન ખોલ્યું. જણાવ્યું કે ભારત બહારના ગુજરાતીઓ કનેથી, મનુભાઈ પંચોળી પ્રેમીજનો પાસેથી, આવું ભંડોળ ઊભું કરવાનું મુનાસિબ છે.

વિશ્વ ફલકે વિસ્તરી ગયેલા આ પ્રજાપુરુષ સાહિત્યકારે પરદેશે વસી ગુજરાતી વસતીને મબલખ વહાલ કર્યું છે અને ફાંટું ભરીને સમજણવાળું માર્ગદર્શન આપ્યું છે. જગતભરમાં પથરાયેલી ગુજરાતી આલમની એક અદકેરી ટૂંક એટલે પણ મનુભાઈ પંચોળી ‘દર્શક’. એ ટૂંકેથી ‘દર્શકે’ ગુજરાતી ડાયસ્પોરાને ઘડવાનું સુપેરે કામ કરેલું છે. વિલાયત માંહેના એમના વિવિધ પ્રવાસો વેળા ય, એમણે અહીંતહીં આપેલાં વ્યાખ્યાનો આની સબળ સાહેદી પૂરે છે. એમના આવાઆવા અનેક નરવા જગપ્રવાસો દરમિયાન, મનુભાઈ પંચોળીએ લોકકેળવણીનું પણ ચોમેર સુપેરે કામ કર્યું છે.

આપણા એક વરિષ્ટ વિચારક, અને કર્મશીલ લેખક દિવંગત કાન્તિભાઈ શાહને નામ આ અવતરણ હાલે ક્યાંક વાંચ્યું : ‘સાહિત્યરસથી જેટલી રસતરબોળ એમની (મનુભાઈ પંચોળી ‘દર્શક’ની) કલમ એટલી જ તરબોળ એમની જીભ. એમને બોલતા સાંભળવા એ એક અનેરો લહાવો હતો.’

સુરેશ દલાલે, એક દા, કહેલું, ‘ગોવર્ધનરામ, મુનશી, પન્નાલાલ પટેલ પછી તરત જ કોઈનું નામ લેવાતું હોય તો તે નવલકથાકાર ‘દર્શક’નું. ‘દર્શક’ પાસે કાળવેધી ઇતિહાસદૃષ્ટિ છે. ગાંધીજીના આદર્શો તથા લોકભારતી જેવી શિક્ષણસંસ્થાના અનુભવે સર્જકને માતબર ભાથું જ હશે. ‘દર્શક’ નાટ્યકાર, ચિંતક અને વિચારક છે. એ જે કંઈ બોલે કે લખે તે અનુભવના નિચોડ રૂપે જ પ્રકટે. જીવનલક્ષી આ સાહિત્યકારનું ઉપનામ અત્યંત સૂચક છે. એમની કથા-કલાકૃતિમાં પ્રચારશૂન્ય ધન્યતાની સઘન અને ગહન અનુભૂિત થાય છે. … ‘દર્શક કવિતાના ચાહક છે અને લોકસાહિત્યના ભાવક છે.’  

આમ આ અંગે, આ મુઠ્ઠી ઊંચેરા ગુજરાતી લોકપુરુષ, સાહિત્યકાર, કેળવણીકાર, કર્મશીલ તેમ જ વિચારકની સ્મૃિતમાં, વિલાયતમાંના સાથીસહોદરો અને તેમાં ય ખાસ કરી વડીલ મિત્ર હીરજીભાઈ ધરમશી શાહ સાથે મસલત કરી નક્કર કરવાની વાત છેડી. મનુભાઈના એક વેળાના વિદ્યાર્થી તથા આજીવન મિત્ર દિવંગત હીરજીભાઈ શાહના સહયોગમાં, બહાર પાડેલી સહિયારી ટહેલને પરિણામે, ‘પરિવાર કમ્યુિનકેશન્સ’ હેઠળ પ્રગટ થતા, તથા મારા તંત્રીપદે નીકળતા “અોપિનિયન” સામિયકના વાચકોએ અત્રતત્રથી એકઠું કરેલું આ ભંડોળ છે.

આ પ્રકલ્પ માટે દિવંગત હીરજીભાઈનો ઉત્સાહ પૂરો વિધેયક થયો. એક અરસા સુધી ચાલેલી વાટાઘાટ કેડે, અમે બન્નેએ 02 ફેબ્રુઆરી 2004ના રોજ, ‘ગુજરાતી ડાયસ્પોરાનાં દરેક ભાંડુંનાં માંહ્યલાંને વિનવણી’ કરતું  નિવેદન તૈયાર કર્યું. રસિકજનો તેમ જ અમારી ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ને માહિતગાર કર્યાં. હૂંફટેકોનો સરવાળો પોરસાવતો ગયો; અને અમે “ઓપિનિયન” સામિયકમાં જાહેર અપીલ મુકવા તેમ જ જગત ભરે અન્યત્ર લગી ટહેલની અપીલ પહોંચાડવાનું નક્કી કર્યું.

સમય લાગ્યો. 13 અૉગસ્ટ 2004થી 26 સપ્ટેમ્બર 2006 સુધીમાં તો રકમનો આંક £8,900.17 સુધી પહોંચી ગયો. ચોમેરથી નાનીમોટી રકમ આવતી હતી. તેની રજેરજની વિગતો “અોપિનિયન”નાં પાને અંકિત થતી રહેલી. એક પાઉન્ડ સમેતની દરેક નાનીમોટી રકમની અધિકૃત પાવતીઓ પણ ફાટેલી.

દરમિયાન, એક તરફે ‘લોકભારતી ગ્રામવિદ્યાપીઠ’ના અગ્રેસરો અને બીજી તરફે આ ભંડોળના યોજકો વચ્ચે આરોહઅવરોહ સમેતના વાટાઘાટ, પત્રવ્યવહાર થતાં રહ્યાં. તે વચ્ચાળે હીરજીભાઈ મોટે ગામતરે સિધાવી ગયા. જવાબદારી એકને શિરે રહી. અને પરિસ્થિતિ બાબત હીરજીભાઈનાં શેષ વારસદારો – મણિબહેન તેમ જ નીલેશભાઈને માહિતગાર પણ રાખતો થયો.

અને હવે મેનેજિંગ ટૃસ્ટી અરુણભાઈ દવે સાથેની ડિસેમ્બર 2014 દરમિયાનની આખરી રૂબરૂ મુલાકાતને અંતે, બનતી ત્વરાએ, આ ભંડોળ મોકલી આપવાનું તથા ઉચિત વ્યાખ્યાન-શ્રેણી માટેની વ્યવસ્થા કરવાનું ગોઠવાઈ રહ્યું.

આ મે માસ દરમિયાન જ, મૂળ રકમમાં £ 1,099.83 જેવડું નિજી ઉમેરણ કરી, કુલ £ 10,000, અંકે દશ હજાર પાઉન્ડ, ‘લોકભારતી ગ્રામવિદ્યાપીઠ’ને મોકલી અપાયા છે. તે લોકભારતીના ‘ફોરિન એઇડ’ ખાતામાં જમા થયા છે. રૂપિયામાં વિનિમયે ફેરવાતા, સંસ્થાના ખાતામાં રૂ. 9,89,200/- જમા થયા છે. આ દાનની રકમ ‘લોકભારતી ગ્રામવિદ્યાપીઠે’ કોર્પસ [corpus] તરીકે અનામત રાખવાની છે અને તેના વ્યાજમાંથી આ અંગેનો ખર્ચા કરવાનો છે. મૂળ રકમ વાપરવાની નથી.

દરમિયાન, 2016થી આ વ્યાખ્યાનમાળા આરંભી શકીએ. પહેલું વ્યાખ્યાન, અલબત્ત, સણોસરા ખાતે મનુભાઈ પંચોળીની પ્રાણપ્રિય પ્રયોગશાળા − લોકભારતી ગ્રામવિદ્યાપીઠમાં જ હોય.

આ વ્યાખ્યાનમાળા સંપૂર્ણતયા સર્વલક્ષી હોય અને તંતોતંત સર્વાંગી હોય. ગુજરાતમાં, ભારતમાં સઘળે તેમ જ જગતભરમાં કંઈ કેટલા ય દેશોમાં દાયકાઓથી અહીંતહીં વસતા તમામ ગુજરાતીઓને કેન્દ્રમાં રાખીને આ વ્યાખ્યાનમાળાનું આયોજન હોય. મનુભાઈ પંચોળી ‘દર્શક’ને કેન્દ્રસ્થ કરતી કોઈ પણ પ્રવૃત્તિ કે પછી અક્ષરસૃષ્ટિને આવરતી તેને ક્ષિતિજ વિસ્તરતી હોય. ગુજરાત, ભારત અને વળી જગતને ચોક ધૂણી ધખાવીને પડ્યા તપસ્વી વ્યાખ્યાતાને વ્યાખ્યાન આપવાનું ઈજન હોય. મનુદાદાના જન્મદિવસ આસપાસ કે પછી અવસાનદિવસ ચોપાસ, ઓચ્છવ મનાવવા, આ વ્યાખ્યાનમાળા ગોઠવી શકાય.

અા વ્યાખ્યાનમાળા તેમ જ તેના સંચાલન અંગે અમે અારંભથી કેટલીક લક્ષ્મણરેખા દોરી છે, જે અા પ્રમાણે છે :

• શ્રી મનુભાઈ પંચોળી ‘દર્શક’ને જે મુખ્ય પાંચ વિષયોમાં (નાગરિકધર્મ, પાયાની કેળવણી, સાહિત્ય, ઇતિહાસ તથા ગ્રામસુધાર અને વિકાસ) ઊંડો રસ હતો, તેને કેન્દ્રગામી ગણીને વ્યાખ્યાન-વિષયનું અાયોજન કરવું.

• વિશ્વ ફલકે વિસ્તરી ગયેલા અા પ્રજાપુરુષની, અા સ્મૃિત વ્યાખ્યાનમાળાને સારુ ગુજરાત, ભારત અને જગતમાંથી, અનુક્રમે, ફરતા ફરતા વિદ્વાન, અભ્યાસુ વ્યાખ્યાતાને શોધી, પસંદ કરી નિમંત્રવા. ઉદાહરણ તરીકે, એક વરસ ગુજરાતમાંથી લેવાયા હોય તો બીજે વરસે ભારત વિસ્તારમાંથી નિમંત્રાયા હોય. તો ત્રીજી સાલ, જગત ભરમાંથી જે તે વિષયના નિષ્ણાત વ્યાખ્યાન માટે પધારે.

• અા સ્મૃિત – વ્યાખ્યાનમાળા માટે ગુજરાતી માધ્યમ રહે તે સ્વાભાવિક હોવા છતાં, હિન્દી તથા અંગ્રેજી માધ્યમનો પણ બાધ રહેવો જરૂરી નથી. જે તે વિષયના અભ્યાસુ વ્યાખ્યાતા એમનું વ્યાખ્યાન ઠીક ઠીક અાગોતરું લખીને મોકલે કે જેથી તેનો ગુજરાતી અનુવાદ, વેળાસર વ્યાખ્યાન પહેલાં, તૈયાર કરવામાં અાવે. અાથી, બહુ જ અાગોતરા, જે તે વ્યાખ્યાતાની પસંદગી કરવામાં અાવે તેમ ગોઠવવું.

• વ્યાખ્યાતાને વાટખર્ચી અને પુરસ્કારની સંતોષકારી જોગવાઈ અા ભંડોળનાં વ્યાજમાંથી કરી શકાય તેમ છે.

• અા સ્મૃિત વ્યાખ્યાનમાળાની સમૂળી રકમ, ‘એન્ડાવમેન્ટ’ જેવા કોઈક નામ હેઠળ બેન્કખાતામાં જમે રાખવી. તેનાં વ્યાજમાંથી જ અા સ્મૃિત વ્યાખ્યાનમાળાનો સર્વાંગી ખર્ચ કાઢવો રહે. અા મૂળ રકમને તેમ જ તેના વ્યાજને અા સ્મૃિત વ્યાખ્યાનમાળા સિવાયની બીજી કોઈ પણ બાબત પેટે ઉપયોગમાં લેવામાં ન જ અાવે.

• અા સ્મૃિત વ્યાખ્યાનમાળાને સારુ છ જણની વ્યવસ્થાપક સમિતિ હોય, જે તેનો સમૂળો કારોબાર ચલાવે. સર્વશ્રી પ્રકાશ ન. શાહ, વિપુલ કલ્યાણી, પ્રફુલ્લ બા. દવે, અરુણ દવે, સંજય શ્રીપાદ ભાવે તેમ જ ‘લોકભારતી ગ્રામવિદ્યાપીઠ’ના નિયામક એમ અા વ્યવસ્થાપક સમિતિના છ સભાસદો રહે.

• અા સ્મૃિત વ્યાખ્યાનમાળાનું સુપેરે સંચાલન, અન્યથા, ‘લોકભારતી ગ્રામવિદ્યાપીઠ’ હેઠળ જ હોય.

• અા સ્મૃિત વ્યાખ્યાનમાળાનાં વ્યાખ્યાનોને સંચયરૂપે તેમ જ અન્યથા પ્રકાશિત કરી, લોકો સુધી પહોંચાડવાની તજવીજ કરવી.

• અા સૂચિત વ્યાખ્યાનને, એકાંતરા વરસે, લોકભારતી, સણોસરાના તેમ જ અાંબલાના પરિસરની બહાર, ગુજરાતના અન્ય મુખ્ય મુખ્ય નગરોમાં, પાટનગર ગાંધીનગર અને અમદાવાદ ઉપરાંત મુંબઈમાં ય લઈ જવાનો મનસૂબો રાખવો. અામ થતાં અાપણે મનુભાઈ પંચોળી ‘દર્શક’ની વાતને અાવાં અાવાં વ્યાખ્યાન વાટે દૂરસુદૂર પણ લઈ જઈ શકીશું.

અા વ્યાખ્યાનમાળા, વખત જતા, ચોક્કસપણે ભારે અગત્યની સાબિત થઈ શકે છે અને તેનું સ્થાન અને માન અાપણી ઉત્તમ વ્યાખ્યાનશ્રેણીમાં, અાગલી હરોળે હોઈ શકે છે, એવી શ્રદ્ધા છે.

પાનબીડું :

“મનુભાઈનું હૃદય સાહિત્યકારનું છે, હાથપગ રચનાત્મક કાર્યકરના છે અને માથું વિચારક – ચિંતકનું તથા રાજકારણીનું છે. મનુભાઈના જીવન અને કાર્યમાં એમના નીખરેલા વ્યક્તિત્વનાં આ ત્રણેય પાસાં જોવાં મળે છે.”

− આચાર્ય દાદા ધર્માધિકારી

હેરો, 28 મે 2015

e.mail : vipoolkalyani.opinion@btinternet.com

Loading

...102030...3,7533,7543,7553,756...3,7603,7703,780...

Search by

Opinion

  • વિવેકહીન વ્યક્તિપૂજાનું વહેણ દેશને કઈ દિશામાં લઈ જશે?
  • બચ્ચે મન કે સચ્ચે
  • હગ ડિપ્લોમસી અને આકરી પસંદગી: પુતિનની મુલાકાત અને ભારતની વ્યૂહરચના
  • ભારત નથી અમેરિકાને નારાજ કરી શકતું કે નથી રશિયાને છોડી શકતું
  • ચલ મન મુંબઈ નગરી —318

Diaspora

  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ
  • મારી દુનિયાનાં તમામ બાળકો

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved