Opinion Magazine
Number of visits: 9692333
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

Sangathan PaththarnI Masjid Todi Shake Parantu Maanasne n Badli Shake. Vichaar j E Kaam krI Shake. RSSnI Aa Bahu Moti Maryaadaa Chhe

રમેશ ઓઝા

, રમેશ ઓઝા|Samantar Gujarat - Samantar|11 September 2015

સંગઠન પથ્થરની મસ્જિદ તોડી શકે પરંતુ માણસને ન બદલી શકે. વિચાર જ એ કામ કરી શકે. RSSની આ બહુ મોટી મર્યાદા છે

સંઘ એક વાત ભૂલે છે કે વિચારનો કોઈ વિકલ્પ નથી. મહોરા, મોરચા અને મોઢા દ્વારા સત્તા સુધી પહોંચી જવાયું છે; પરંતુ સમાજને બદલવો હશે તો એ વિચાર જ કરી શકશે

જે ઘટના બની એ નવી નથી, આ વખતે ઉઘાડી રીતે બની એટલું જ. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ(RSS)એ કેન્દ્રના પ્રધાનોને અને અંતમાં વડા પ્રધાનને સુધ્ધાં સંઘના દરબારમાં ઊભા કર્યા અને સવા વરસમાં શું કામ કર્યા છે એનો હિસાબ માગ્યો. તેમને કેટલીક સલાહો આપવામાં આવી, કેટલીક ચેતવણીઓ આપવામાં આવી અને કેટલીક બાબતે સક્રિય સહયોગ કરવાની ખાતરી આપી. BJP અને સંઘના નેતાઓ આને સમન્વય બેઠક તરીકે ઓળખાવે છે, જ્યારે વિરોધ પક્ષો અને લોકતંત્રના ચાહકો આને બંધારણબાહ્ય સત્તાકેન્દ્રના વધતા પ્રભાવ તરીકે ઓળખાવે છે. જે લોકોની વચ્ચે શાસનનો એજન્ડા લઈને ગયા નથી અને જેને લોકોએ ચૂંટ્યા નથી એવા લોકો પાછલા બારણેથી ભારત પર શાસન કરી રહ્યા છે. ભારતની ચૂંટાયેલી સરકાર એક ફ્રન્ટ માત્ર છે.

પ્રારંભમાં જ કહ્યું એમ આમાં કોઈ નવી વાત નથી. કેન્દ્રમાં પહેલી વાર બાવીસ પક્ષોની ટેકણલાકડી સાથે અટલ બિહારી વાજપેયીએ સરકાર રચી ત્યારે અમેરિકા અને યુરોપના દેશોના રાજદૂતો મળીને BJPના એ સમયના પ્રવક્તા, આઇડિયોલોગ અને રણનીતિ ઘડનારા ગોવિંદાચાર્યને મળવા ગયા હતા. તેઓ સમજવા માગતા હતા કે ભારતમાં પહેલી વાર રચાયેલી જમણેરી અને હિન્દુ રાષ્ટ્રવાદી સરકાર કેવી હશે? અટલ બિહારી વાજપેયી – અલબત્ત પોતાની ભાષામાં પણ ગયા વર્ષે નરેન્દ્ર મોદી જેમ કહેતા હતા એમ – સબકા સાથ સબકા વિકાસની વાત કરે છે તો શું ખરેખર કેન્દ્ર સરકાર ધર્મના નામે ભેદભાવ કર્યા વિના બધાને બાથમાં લઈને ચાલશે? ગોવિંદાચાર્યે તેમને કહ્યું હતું કે ‘ભાઈ, સરકાર તો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની છે. અટલ બિહારી વાજપેયી તો એક મહોરું છે. એજન્ડા સંઘનો હશે, પરંતુ અત્યારે સંપૂર્ણ બહુમતી BJP પાસે ન હોવાથી ઉદારમતવાદી ગણાતા વાજપેયીને મહોરા તરીકે આગળ કરવામાં આવ્યા છે.’

અક્ષરશ: આ તમામ શબ્દો એક સમયના BJPના અને સંઘના લાડકા ગોવિંદાચાર્યના છે. એ વાતચીત કોઈ એક રાજદૂતે ટૅપ કરી અને પછી બહાર આવી. ગોવિંદાચાર્ય પોતાને ખેલદિલ, સ્પષ્ટવક્તા અને સત્યપરાયણ માને છે અને એમાં તથ્ય પણ છે. ગોવિંદાચાર્યને માંડીને અને જાણે નર્સરીના વિદ્યાર્થીને ભણાવતા હોય એવી સરળ ભાષામાં વાત કરવાની ફાવટ છે. અસંદિગ્ધ ભાષામાં કહેવાયેલી આ અંદરની વાત બહાર આવી એ પછી વાજપેયી ગિન્નાયા હતા. ગોવિંદાચાર્યને રાજકીય વનવાસ આપવામાં આવ્યો હતો. એ સમયે સંઘને મહોરાની જરૂર હતી અને વાજપેયી જાણતા હતા કે મહોરા વિના ચહેરાનું કોઈ ભવિષ્ય નથી. ચહેરાને પણ ખબર હતી કે રામજન્મભૂમિ આંદોલન અને બાબરી મસ્જિદ તોડ્યા પછી તેમ જ સેંકડો કોમવાદી હુલ્લડો કર્યા પછી ચહેરો ખરડાયેલો છે અને એ ચહેરો ઢાંકવા માટે વાજપેયીની ઉદારમતવાદી ઇમેજની જરૂર છે જેને સંઘના પોતાના આઇડિયોલોગ ગોવિંદાચાર્યે મહોરા તરીકે ઓળખાવ્યા હતા.

વાત એમ હતી કે જ્યાં સુધી સંઘના અસલી ચહેરાને ભારતના બહુમતી હિન્દુઓ ન સ્વીકારે ત્યાં સુધી મહોરાંઓની, મોરચાઓની અને અનેક મોઢાંઓની જરૂર છે. અટલ બિહારી વાજપેયી, લાલ કૃષ્ણ અડવાણી અને ગોવિંદાચાર્યનો જન્મ પણ નહોતો થયો એ પહેલાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના થઈ હતી. ૧૯૨૫માં સ્થપાયેલો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દશેરાના દિવસે ૯૦ વર્ષ પૂરાં કરશે. સંઘની સ્થાપના ગાંધીની કલ્પનાના ભારતને નકારવા માટે કરવામાં આવી હતી. કોઈ પણ પ્રકારના ભેદભાવ વિના બધાને સાથે લઈને આધુનિક લોકતાંત્રિક સેક્યુલર રાષ્ટ્રની સ્થાપના કરવી અને સમય સાથે એવા રાષ્ટ્રનું નિર્માણ કરવું એ ગાંધીની કલ્પનાનું ભારત હતું જેને આજકાલ આઇડિયા ઑફ ઇન્ડિયા કહેવામાં આવે છે. ગાંધીજીએ ભારતના પહેલા વડા પ્રધાન તરીકે જવાહરલાલ નેહરુને પસંદ કર્યા એની પાછળનું મુખ્ય કારણ આ હતું. નેહરુ ગાંધીના આઇડિયા ઑફ ઇન્ડિયામાં ગાંધીજી કરતાં પણ વધુ શ્રદ્ધા ધરાવતા હતા. ભારતનું બંધારણ ઘડનારાઓએ ગાંધીજીના આઇડિયા ઑફ ઇન્ડિયાને સ્વીકૃતિની મહોર મારી હતી અને એ રીતનું બંધારણીય રાજ્ય અસ્તિત્વમાં આણ્યું હતું. જવાહરલાલ નેહરુએ તેમના ૧૭ વર્ષ લાંબા વડા પ્રધાનપદ દરમ્યાન લોકતાંત્રિક સંસ્થાઓ અને પરંપરાઓ વિકસાવી હતી.

સંઘના નેતાઓની તેમ જ કાર્યકરોની ધીરજ, સાતત્ય અને ખંતની કદર કરવી જોઈએ. સંઘની નવ દાયકાની યાત્રા દરમ્યાન છ દાયકા તો બહુ કપરા હતા અને સામે પૂરે તરવા જેવી સ્થિતિ હતી. સરેરાશ હિન્દુ જેની મજાક ઉડાડતો હતો અને બાળકોને જેનાથી સાવધાન રહેવાની સલાહ આપતા હતા તેમની વચ્ચે જગ્યા બનાવવાની હતી. આખું વિશ્વ જેને ધીરે-ધીરે સ્વીકાર કરતું થયું છે એ ગાંધીને, ગાંધીની જ ભૂમિમાં, ગાંધીના જ સહધર્મીઓ વચ્ચે અસ્વીકૃત કરાવવાના હતા.

બે વિકલ્પો હતા સંઘ પાસે. એક ગાંધીની વિચારધારા સામે વૈકલ્પિક વિચારધારા વિકસાવવાનો અને બીજો વિકલ્પ મહોરાંઓનો, મોરચાઓનો અને અનેક મોઢાંઓનો ફરેબી માર્ગ અપનાવવાનો. પહેલો વિકલ્પ વધારે પ્રામાણિકતાપૂર્વકનો હતો, જ્યારે બીજામાં છેતરપિંડી મુખ્ય હતી. પહેલો વિકલ્પ વધારે ચિરંતન કે સ્થાયી છે, જ્યારે બીજા વિકલ્પમાં સમયે-સમયે સ્થિતિ બદલાય એમ પેંતરાબાજી બદલવી પડે. અનેક મોઢે વાત કરો તો સરવાળે પ્રતિષ્ઠા ઝાંખી તો પડે જ. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે શરૂઆતનાં વર્ષોમાં ગાંધીની વિચારધારા સામે વૈકલ્પિક વિચારધારા વિકસાવવાનો પ્રયાસ કરી જોયો હતો જેમાં એને સફળતા મળી નહોતી. જો ઈમાનદારીપૂર્વકની સ્પષ્ટ વિચારધારા અપનાવે તો હિટલર અને મુસોલિનીની નજીક ધકેલાઈ જવાનો ડર હતો અને એ એને પરવડે એમ હતું નહીં. એક તો બીજા વિશ્વયુદ્ધની પૃષ્ઠભૂમિ અને એમાં વળી નાત-જાત અને પેટા-સંપ્રદાયોમાં વહેંચાયેલા હિન્દુઓ. વિખરાયેલા હિન્દુઓને ભેગા કરવા એ જ જ્યાં મોટો પડકાર છે ત્યાં તેમને હિટલરકાલીન જર્મનો જેવા કે સલ્ફી મુસલમાનો જેવા રેડિકલ બનાવવા એ તો બહુ દૂરની વાત છે. જો ભારતના હિન્દુઓને માફક આવે એવી હળવી વિચારધારા વિકસાવવામાં આવે તો ગાંધીની નજીક સરકી જવાનો ડર હતો. લોકો કહેશે કે ગાંધીની જ વાત કરો છો તો પછી ગાંધીનો વિરોધ શા માટે કરો છો? હિન્દુઓને એક કરવા માટે એક દર્શન તરીકે તમે સર્વસમાવેશકતાના અને ઉદારતાના તત્ત્વનો સ્વીકાર કરો તો પછી અન્ય ધર્મીઓને બાકાત રાખો એ કેવી રીતે બને? મહાન આદર્શ પસંદગીના ધોરણે તો લાગુ કરી શકાય નહીં.

આ કૂટપ્રશ્નનો સંઘને નવ દાયકાની યાત્રા પછી પણ કોઈ ઉપાય નથી જડ્યો. ત્રણ વાત નક્કી હતી. એક, ગાંધીજીની સર્વસમાવેશકતા કબૂલ નથી; બે, ભારતીય રાષ્ટ્ર હિન્દુ રાષ્ટ્ર હોવું જોઈએ અને ત્રણ, એને માટે ભારતના હિન્દુઓને સંગઠિત કરવા પડે એમ છે. જો વૈકલ્પિક વિચારધારા વિકસાવી શકાઈ હોત તો ત્રણેય કામ એકસાથે થઈ શક્યાં હોત, પરંતુ એમ બન્યું નહીં એટલે સંઘે હિન્દુઓને સંગઠિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. લોકોને ગળે ઊતરે એવી, ચોક્કસ મંઝિલે પહોંચાડનારી અને સ્પષ્ટ વિકલ્પ સૂચવનારી વિચારધારાનું ભાથું સાથે હતું નહીં એ સ્થિતિમાં હિન્દુઓને સંગઠિત કરવાના હતા. કામ ભગીરથ હતું અને કરવું જરૂરી હતું એટલે સંઘે મહોરાંઓનો, મોરચાઓનો અને અનેક મોઢાંઓનો ફરેબ કરવો પડે છે.

સંઘ એક વાત ભૂલે છે કે વિચારનો કોઈ વિકલ્પ નથી. મહોરા, મોરચા અને મોઢા દ્વારા સત્તા સુધી પહોંચી જવાયું છે; પરંતુ સમાજને (હિન્દુને) બદલવો હશે તો એ વિચાર જ કરી શકશે. કાર્લ માર્ક્સ અંગત જીવનમાં દરિદ્ર અને કાયર માણસ હતો, પરંતુ તેના વિચારે સમાજમાં પરિવર્તન આણ્યું હતું. ખિસ્સામાં દમડી નહોતી એવા માણસના વિચારે સંગઠિત સ્વરૂપ પકડ્યું હતું, પરંતુ સંગઠન ગમે એવું શક્તિશાળી હોય એ વિચારની જગ્યા ન લઈ શકે. સંગઠન પથ્થરની મસ્જિદ તોડી શકે, પરંતુ સંગઠન માણસને ન બદલી શકે. એ કામ તો વિચાર જ કરી શકે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની આ મોટી મર્યાદા છે. નવ દાયકાથી હિન્દુ રાષ્ટ્રનો જપ કરવામાં આવે છે, પરંતુ હિન્દુ રાષ્ટ્ર શું છે અને કેવું હોય એ સમજાવતું એક પણ પ્રકાશન આજે ઉપલબ્ધ નથી. ૯૦ વર્ષ એ કોઈ ટૂંકો સમય નથી. મારી વાત ગળે ન ઊતરતી હોય તો લૅમિંગ્ટન રોડ પર આવેલા નાઝ કમ્પાઉન્ડમાં સંઘની ઑફિસ છે ત્યાં આંટો મારી આવો. ત્યાં જે સંઘસાહિત્ય મળે છે એમાં તમને હિન્દુ રાષ્ટ્ર વિશેનાં કાલીઘેલી ભાષામાં લખાયેલાં ચોપાનિયાં મળશે, પરંતુ હિન્દુ રાષ્ટ્રની થીસિસ કહી શકાય એવું એક પણ પુસ્તક નહીં મળે. સંઘના ખુલ્લા અધિવેશનમાં માન્ય રખાયેલી થીસિસ તો બહુ દૂરની વાત છે. આજ સુધી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે એના ખુલ્લા અધિવેશનમાં હિન્દુ રાષ્ટ્રની કલ્પના વિશે મુક્ત ચર્ચા કરી હોય અને એની રૂપરેખા વિકસાવી હોય એવું બન્યું નથી, કારણ કે ૯૦ વર્ષ દરમ્યાન એક પણ વાર સંઘનું ખુલ્લું અધિવેશન મળ્યું નથી જેમાં સ્વયંસેવકને પોતાની વાત કરવાની તક મળે. સંઘના સ્વયંસેવકો દશેરાના દિવસે ભેગા મળે છે, ડ્રિલ કરે છે, સંઘ-પ્રતિનિધિનું ભાષણ સાંભળે છે અને ગુરુદક્ષિણા ચૂકવીને ઘરે આવે છે.

આ બુદ્ધિદરિદ્રતાનું પરિણામ આપણી સામે છે. તાજેતરના મહિનાઓમાં કેન્દ્ર સરકારે શિક્ષણસંસ્થાઓમાં જે લોકોની નિમણૂકો કરી છે એના પર એક નજર કરી લો. જેણે જીવનમાં અભિનયમાં કોઈ સિદ્ધિ મેળવી નથી એ ગજેન્દ્ર સિંહ ચૌહાણને ફિલ્મ ઍન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટના ડાયરેક્ટર બનાવવામાં આવ્યા છે. જે માણસે જીવનમાં એક અભ્યાસપેપર (પુસ્તક નહીં, પેપર) લખ્યો નથી એ વાય. એસ. રાવ ઇન્ડિયન કાઉન્સિલ ઑફ હિસ્ટોરિકલ રિસર્ચના અધ્યક્ષ છે. ખાતરી કરવી હોય તો કાઉન્સિલની ઑફિશ્યલ વેબસાઇટ પર અધ્યક્ષ મહાશયનો બાયોડેટા જોઈ જાઓ. કોઈ ચોપાનિયામાં ચાર લાઇન લખી હોવાનો પણ એમાં દાવો કરવામાં આવ્યો નથી. ચૌહાણ અને રાવ કરતાં વધુ તેજસ્વી અને બુદ્ધિશાળી માણસો સંઘ પાસે નથી. મુંબઈ યુનિવર્સિટીના વાઇસ-ચાન્સેલરની એકમાત્ર લાયકાત સંઘના ડૉક્યુમેન્ટેશન સેન્ટરમાં કામ કર્યું હોવાની છે. આવી જ સ્થિતિ ગુજરાતની યુનિવર્સિટીઓની છે. આ દરિદ્રતાનું કારણ વિચારની ઉપાસનાનો અભાવ છે.

આજે હવે સ્પષ્ટ બહુમતી સાથે કેન્દ્રમાં સંઘની સરકાર રચાઈ છે. નેવું વર્ષે અનુકૂળતા બની છે, પરંતુ આ અનુકૂળતા જેટલી ધારવામાં આવે છે એટલી અનુકૂળ નથી.

http://www.gujaratimidday.com/features/sunday-sartaaj/sunday-sartaaj-06092015-14

સૌજન્ય : ‘નો નૉન્સેન્સ’ નામક લેખકની કૉલમ, ‘સન્નડે સરતાજ‘ પૂર્તિ, “ગુજરાતી મિડ-ડે”, 06 સપ્ટેમ્બર 2015

Loading

Sarvodayanun Pagpaada Patrkaaratva

ભવાનીપ્રસાદ મિશ્ર [
અનુવાદક - ભૂપત પારેખ]|Gandhiana|11 September 2015

સર્વોદયનું પગપાળા પત્રકારત્વ

પત્રકારત્વના સઘળા ઇતિહાસ ઉપર નજર નાખવાથી ખ્યાલ આવે છે કે, સામાન્ય રીતે કોઈ પણ સુચારુ પત્રકારત્વ એ સર્વોદયનું પત્રકારત્વ છે. કોઈ પણ સાચો પત્રકાર એટલું તો માનશે જ કે, પોતાની બાબતમાં મારા અને તારાનો ભેદ કરવાના હોય નહિ. સાચી સેવાશીલ વ્યક્તિ કોઈના પણ દુઃખ-દદર્ની સામે આંખમીંચામણાં ન કરી શકે. જો પત્રકારત્વને એક સેવા ગણીએ તો પત્રકાર એક સેવક ગણાય. સેવક એટલે કે એ વ્યક્તિ જેની પાસે એવી કોઈ ઉપલબ્ધિનું સાધન નથી, પરંતુ તેનું પોતાનું સાધ્ય છે. સેવા મારફતે નથી તેને કીર્તિ જોઈતી, નહિ પદ કે નહિ પૈસા. પત્રકાર પણ એક રીતે સેવક છે. દુષ્કાળ, અતિવૃષ્ટિ, પૂર, ભયંકર રોગચાળા, રાજનૈતિક ઊથલપાથલ, દલિત અને શોષિતોનો ઉદ્ધાર, શિક્ષણમાં જાગરણ વગેરે કોઈ પણ પ્રશ્નને લઈએ, બધા જ પ્રશ્નો પત્રકારત્વની સાથે જોડાયેલા છે. આવા અર્થમાં આપણે એમ કહી શકીએ કે, પત્રકાર તો એક સેવક છે, જેને સમગ્ર માનવતા તરફ એવી રીતે જાગ્રત અને સંવેદનશીલ રહેવું પડે છે, જેવી રીતે કોઈ માતાને તેના નાના બાળક પાછળ રહેવું પડે છે. માતાનું ક્ષેત્ર નાનું અને મર્યાદિત છે, જ્યારે પત્રકારનું વિશાળ અને વ્યાપક. સાચા પત્રકારે આ માટે કાયમ જાગતા રહીને જ્યાં જે રીતનું કષ્ટ હોય, ત્યાં શરીર અને મનથી હાજર રહેવું પડે છે.

પત્રકાર સેવા માટે જે સાધનનો ઉપયોગ કરે છે તે મુખ્યત્વે તો શબ્દ જ છે. ગાંધીજી સાધન અથવા માધ્યમની શુદ્ધિ પર જ જોર આપતા. દરેક સાચા પત્રકારનું જોર પ્રશ્નને જેવો અને તેવો વાચકની સામે રાખવા પર હોય તે જરૂરી છે. જેઓ પ્રશ્નને વધારી વધારીને, દબાવી છુપાવીને, અથવા તો મારી-મચોડીને રજૂ કરે છે – ક્યારેક કોઈ ભયને લીધે, ક્યારેક આક્રોશને કારણે, ત્યારે ક્યારેક પક્ષપાતને કારણે અથવા ક્યારેક કોઈ પ્રકારની લાલચને કારણે, ત્યારે તેઓ તે તથ્યોને અન્યાય કરે છે. તથ્યનો અન્યાય એ સત્યનો અન્યાય છે. આથી તથ્યોને જેવાં ને તેવાં સામે નહિ લાવવા એ અહિંસાથી દૂર થવું અને હિંસા તરફ ધકેલાવું ગણાય. ગાંધીજીથી લઈને આજ સુધી સર્વોદય પત્રકારત્વ અને જેવું અમોએ કહ્યું, મોટા ભાગે સંસારના બધા જ નિષ્પક્ષ પત્રકારો જાણ્યે-અજાણ્યે આ આદર્શને સામે રાખીને આગળ વધેલા છે.

લોર્ડ લિનલિથગોએ, જેઓ ત્યારે ભારતના વાઈસરૉય હતા અને જ્યારે ગાંધીજી તેમની સાથે એકધારો સંઘર્ષ કરી રહ્યા હતા, ત્યારે તેમણે લુઈ ફીશરની સાથે વાતચીત દરમ્યાન કહ્યું હતું : ‘‘ધી બિગેસ્ટ થીંગ ઈન ઇન્ડિયા ઈઝ ગાંધી.’’ આ માટે ભારતવર્ષમાં ગાંધીજીએ જે કંઈ શરૂ કર્યું હતું તે આવતા લાંબા સમય સુધી કદાચ ‘બિગેસ્ટ’ જ બની રહેશે. આ અર્થમાં તેઓનું પત્રકારત્વ પણ ભારતમાં આજ સુધી થયેલા પત્રકારત્વમાં ‘બિગેસ્ટ’ છે. જવાહરલાલજીએ એમના માટે બરાબર લખ્યું છે કે, ‘‘તે માણસ માટે જિંદગી ટુકડાઓ પાડેલી કોઈ તૂટેલી ફૂટેલી વસ્તુ ન હતી.’’ જિંદગી એમના માટે એવું રંગીન વણેલું કાપડ છે કે જેમાં બધા રંગોનો આછો અને ઘેરો અથવા આછામાં આછા અને ઘેરામાં ઘેરા દોરા વણવામાં આવ્યા છે.

પત્રકારત્વ પણ એમના માટે એક સત્યની ખોજ હતી. પત્રકારત્વ અને મુદ્રણના ક્ષેત્રમાં વિલ્હેમ સ્ટીડ લગભગ શરૂઆતના અને ખાસ્સી પ્રતિષ્ઠિત વ્યક્તિ થઈ ગયા. તેઓએ કીધું છે કે, ‘‘ખબર દેવામાં સબરનો સહારો લો, અને ખબર પર પોતાનો ખ્યાલ રજૂ કરતા મનમાં કોઈ પ્રકારનો હિચકિચાટ ન રાખો.’’ આ શબ્દોને અમે સારા પત્રકારત્વની સાથે સાથે સર્વોદય પત્રકારત્વનાં બ્રહ્મવાક્યો પણ કહી શકીએ.

જો સર્વોદય પત્રકારત્વની શરૂઆત ગાંધીજીના સમાચારપત્રોમાં લખવાથી માની લઈએ તો આપણે સૌથી પહેલાં લંડનની ‘વેજીટેરિયન સોસાયટી’ના મુખપત્ર ‘વેજીટેરિયન’નું નામ લેવું જોઈએ. પત્રકારત્વ ધ્યાન આપવા જેવી ચીજ છે અને જીવનમાં તેનું મહત્ત્વપૂર્ણ સ્થાન હોઈ શકે છે, આ અંગે પહેલવહેલા ગાંધીજીએ પોતાની પહેલી વિદેશયાત્રાના સમયે જ વિચાર્યું. લંડનમાં તેઓને ‘ડેલી ટેલીગ્રાફ’, ‘ડેલી ન્યુઝ’ અને ‘પાલ-માલ ગેઝેટ’નું બહુ જ આકર્ષણ થયું અને તેનો ઉલ્લેખ કરીને પોતાની આત્મકથામાં લખ્યું ‘‘ભારતમાં તો મેં સમાચારપત્ર વાચ્યું પણ ન હતું.’’

એમ તો ગાંધીજીના જન્મથી એક વરસ પહેલાં એટલે ૧૮૬૮માં કલકત્તાથી ‘અમૃત બાજાર પત્રિકા’નો આરંભ થઈ ગયો હતો અને ત્યાર પછી છ વરસે અંગ્રેજીમાં ‘સ્ટેટ્સમેન’નો, પરંતુ અખબારોના વાંચન-વાંચવાનું ચલણ, ભણતર અને સંચારસાધનોની કમીને લીધે દેશમાં ખૂબ જ ધીમે ધીમે ફેલાયું. ભારતીય ભાષાઓમાં તો તેનો પ્રચાર વધારે ધીમી ગતિથી થયો. કદાચ આ માટે જ ગાંધીજીએ વિદેશયાત્રા પહેલાં કોઈ અખબાર વાંચ્યું પણ ન હતું. વિલાયત પહોંચીને અખબારોનું મહત્ત્વ તેમની સમજમાં આવ્યું, અને તેઓ તેનો ઉપયોગ અનિવાર્ય માનવા લાગ્યા. ન કેવળ વાંચવા માટે પરંતુ પોતાના વિચારોને લખવા, અને બીજાને પણ પહોંચાડવા માટે. તેઓએ વિદ્યાર્થી તરીકે લંડનમાં ત્રણ વરસ વીતાવ્યાં અને આ ત્રણ વર્ષમાં ‘વેજીટેરિયન’માં નવ લેખો લખ્યા. એ બધા લેખો ભારત સાથે જોડાયેલા હતા. તેઓ ઇંગ્લેંડના પાઠકવર્ગની સામે આ રીતે ભારતીય રહેણી-કરણી, ઉત્સવો, તહેવારો અને ભોજનપ્રણાલી વગેરે વિષયો મૂકતા રહ્યા. તેઓએ ત્યાં પણ પોતાના એટલે કે પોતાના દેશના કોઈ ગુણોને વધારી-વધારીને નહીં લખ્યા અને કોઈ દુર્ગુણોને છુપાવ્યા પણ નહિ. જેમ કે એ વખતે મોટાભાગે લોકોની ધારણા એવી હતી કે, સામાન્ય ભારતીય લોકો શાકાહારી છે. ગાંધીજીએ બતાવ્યું કે, ભારતમાં માંસાહારીઓની સંખ્યા પણ ઓછી નથી. જરૂરી છે કે ઘણાં લોકો આર્થિક કારણોને લીધે માંસ ખાઈ નથી શકતા તેમ જ ધાર્મિક કારણોથી માંસ નથી ખાતા, તેઓની સંખ્યા આર્થિક અથવા અન્ય કારણોથી માંસ ન ખાવાવાળાની સંખ્યાથી ઓછી છે.

ભારત આવ્યા પછી પણ તેઓ ‘વેજીટેરિયન’ માટે લખીને મોકલતા રહ્યા. ઇંગ્લેન્ડથી ભારત પાછા આવવાનું ખૂબ જ સંક્ષિપ્ત અને મનોરંજક વર્ણન તેઓએ તેમને મોકલ્યું, જે બે હપ્તામાં તેઓએ પ્રકાશિત કર્યું હતું.

ગાંધીજી ૧૮૯૩ના એપ્રિલ મહિનામાં દક્ષિણ આફ્રિકા ગયા. આ યાત્રાએ તેમનું આખું જીવન જ બદલી નાખ્યું. દક્ષિણ આફ્રિકાની રાજનૈતિક પરિસ્થિતિ રંગભેદની નીતિના કારણે ભારતના રહેવાસીઓ માટે ખૂબ જ અપમાનજનક હતી. આવી પરિસ્થિતિએ ગાંધીજીને પક્ષપાતના વિરોધમાં ત્યાંના શાસનની સામે અને ન્યાયની દૃષ્ટિથી ભારતીયોના પક્ષમાં ઊભા કરી દીધા. તેઓ ૧૮૯૬માં થોડાક મહિનાઓ માટે સ્વદેશ આવ્યા. ત્યારે તેઓએ ‘ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’માં લખીને જણાવ્યું, ‘‘અખબારો દ્વારા પ્રચાર એ કદાચ અમારી હાલત સુધારવાનો સૌથી સારો ઉપાય છે.’’ તેઓએ છાપામાં છપાવવા માટે અને સમાચિત થવા માટે ‘ગ્રીન પેફલેટ’, લીલા આવરણવાળી નાની એવી પુસ્તિકા પ્રકાશિત કરી, અને આ પુસ્તિકાએ દક્ષિણ આફ્રિકામાં રહેવાવાળાની દુદર્શાની તરફ આખા દેશનું ધ્યાન આકર્ષિત કર્યું. આ પુસ્તિકા પછી ગાંધીજીએ ‘મદ્રાસ-સ્ટૈન્ડર્ડ,’ ‘હિન્દુ’ અને ‘અમૃત બાજાર પત્રિકા’માં અનેક લેખ આપ્યા. કલકત્તાથી નીકળતા ‘હિન્દી-બંગવાસી’માં પણ ગાંધીજીના તેને લગતા વિચાર ૧૮૯૬માં પ્રકાશિત થયા. આપણે તેને હિન્દી પત્રકારત્વમાં સર્વોદય પત્રકારત્વની શરૂઆત માની શકીએ.

ગાંધીજીએ ૧૮૯૩માં ઇન્ડિયન નેશનલ કોંગ્રેસની સ્થાપના કરી. આ સંસ્થાનો ઉદ્દેશ દક્ષિણ આફ્રિકામાં ભારતીય હિતોની રક્ષા અને તેની સ્થિતિ સુધારવાનો હતો. બહુ જ ઝડપથી એ વાત સમજાવા માંડી કે, દક્ષિણ આફ્રિકાના અંગ્રેજો, બ્રિટનના રહેવાસીઓ અને ભારતના લોકોને પણ ત્યાંની ખરેખરી પરિસ્થિતિથી વાકેફ કરાવવા જોઈએ. પત્રકારત્વ તો જાણે ગાંધીજીના લોહીમાં જ હતું. તેઓએ ‘ઇન્ડિયન ઓપીનિયન’ સાપ્તાહિકનું પ્રકાશન એકસાથે ચાર ભાષાઓમાં શરૂ કર્યું. એક જ અંકમાં અંગ્રેજી, ગુજરાતી, તામિલ અને હિંદી ભાષામાં છ કોલમ રાખીને સામગ્રી પ્રકાશિત કરવામાં આવતી હતી. અંગ્રેજી ભાષા દક્ષિણ આફ્રિકા, ઇંગ્લેન્ડ અને ભારતના અંગ્રેજ લોકોને માટે જરૂરી હતી. દક્ષિણ આફ્રિકામાં જે વેપાર કરતા હતા તે મોટેભાગે ગુજરાતી ભાષાવાળા હતા, એટલા માટે ગુજરાતીમાં પણ અંક કાઢવો જરૂરી હતો. સૌથી વધારે મુશ્કેલી દક્ષિણ આફ્રિકામાં ભારતથી બાંધી મુદત માટે જવાવાળા મજૂરોને થતી હતી, જે પરમીટ પર જવાવાળા ગિરમીટિયા કહેવાતા હતા. ગિરમીટિયા મજૂરો, કાં તો તામિલ ભાષાવાળા હતા અગર હિંદી ભાષાવાળા. આ માટે ગાંધીજીએ જરૂરી સમજ્યું હતું કે, ‘ઇન્ડિયન ઓપીનિયન’માં તામિલ અને હિંદી ભાષામાં પણ સામગ્રી આપવી જોઈએ. અખબાર શા માટે જરૂરી છે એ વાત સ્પષ્ટ કરતા તેઓએ ‘દક્ષિણ આફ્રિકામાં સત્યાગ્રહ’ નામના પોતાના પુસ્તકમાં લખ્યું છે કે, ‘‘મને ખ્યાલ છે કે, એવી કોઈ પણ લડાઈ, જેનો આધાર આત્મબળ હોય, તે અખબારની મદદ વિના નથી લડી શકાતી. જો તે અખબાર કાઢીને દક્ષિણ આફ્રિકામાં વસેલા ભારતીય લોકોને તેમની સ્થિતિ ન સમજાવી હોત અને આખી દુનિયામાં ફેલાયેલા ભારતીયોને દક્ષિણ આફ્રિકામાં શું – કંઈ થઈ રહ્યું છે, તેની ઇન્ડિયન ઓપીનિયન મારફત જાણકારી ન આપી હોત તો હું પોતાના ઉદ્દેશમાં સફળ ન થઈ શકત. આ રીતે મને ભરોસો થઈ ગયો છે કે, અહિંસક ઉપાયોથી સત્યના વિજય માટે અખબાર એક ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને અનિવાર્ય સાધન છે.’’ ગાંધીજીના આ વિચારને ઉર્દૂ કવિ અકબરે બે પંક્તિઓમાં સારી રીતે રજૂ કર્યો છે –

ખીંચો ન કમાનોં કો, ન તલવાર નિકાલો
અબ તોપ મુકાબિલ હો, તો અખબાર નિકાલો.

શસ્ત્રબળને બદલે શાસનનો મુકાબલો નિર્ભય-સત્યના ઉચ્ચારણથી જ થઈ શકે છે. ગાંધીજીએ ‘ઇન્ડિયન ઓપીનિયન’ના માધ્યમથી સર્વોદય-પત્રકારત્વની આ દૃષ્ટિ ૧૯૦૩માં જ આપણી સામે રાખી છે. ‘ઇન્ડિયન ઓપીનિયન’નો પહેલો અંક ૪ જૂન ૧૯૦૩માં નીકળ્યો અને એ પણ ત્યારે, જ્યારે તેઓએ એક પ્રેસ પણ શરૂ કર્યું. સમયસર પત્ર કાઢવા માટે પોતાનું પ્રેસ હોય તેવી વાત ગાંધીજી ચોક્કસપણે માનતા હતા. પ્રેસ નાખતા પહેલાં ગાંધીજીએ થોડું કંપોજિંગ પણ શીખી લીધું હતું અને પ્રેસમાં જે માણસોને રાખ્યા તેમાં પોતાના સહાયક સંપાદકથી લઈને દરેક સાથીને છપાઈકામ શીખવા માટે ઉત્સાહિત કર્યા હતા. મનસુખલાલ નાઝર સંપાદક અને મદનજીત ગાંધીજીના સહાયક સંપાદક હતા. મદનજીત મુંબઈના રહેવાસી હતા અને દક્ષિણ આફ્રિકામાં ગાંધીજીની સાથે રાજનૈતિક ક્ષેત્રમાં પણ તેઓએ કામ કર્યું હતું. અખબારના ઉદ્દેશો સ્પષ્ટ કરતા ગાંધીજીએ લખ્યું, ‘‘અખબારની નીતિ આ ઉપમહાદ્વીપમાં ભારતીયોનાં હિતોને લોકોની સામે પ્રગટ કરવાની છે, પરંતુ અમે કહી દેવા માગીએ છીએ કે અખબાર ફક્ત ભારતીય સમાજના અધિકારોની જ વાત નહીં કરે, તે એક મોટા અને વિશાળ સામ્રાજ્યમાં તેઓનાં શું કર્તવ્યો છે, તે દર્શાવવામાં પણ કોઈ જાતની આનાકાની નહિ કરે. અખબાર એ વાતની પૂરેપૂરી કોશિશ કરશે કે નિયતિએ જ્યારે બે મહાન જાતિઓને એક ઝંડા નીચે ઊભી કરી દીધી છે તો તેઓ એકબીજાના હિત અને સન્માનની રક્ષા કરતા કરતા, પોત-પોતાનો વિકાસ એવી રીતે કરે કે આખી માનવજાત લાભાન્વિત થઈ શકે.

ટૂંકમાં, આખા સર્વોદય પત્રકારત્વનો ઉદ્દેશ આ જ છે. કર્તવ્યોને પૂરા કરતા કરતા નિર્ભય થઈને પોતાના અધિકાર માટે લડવું એ દરેક વ્યક્તિ અને સમાજનું કર્તવ્ય છે. આ ઉદ્દેશને માટે લડતી વખતે એટલું ધ્યાન રાખવામાં આવે કે આપણે જેની સામે સંઘર્ષ કરી રહ્યા છીએ, તે કોઈ પણ કારણ માટે કેમ ન હોય, તે અમારા ભાગ્ય સાથે જોડાયેલ છે, એટલે કે, અમારું કર્તવ્ય સહજ રીતે નિભાવવું જોઈએ. આપણે તેઓની સાથે લડતા-લડતા ખુદ ઉપર ઊઠીએ અને તેઓને પણ ઉપર ઉઠાડીએ. આ રીતે બંને પક્ષો એકબીજાને આત્મીયતાપૂર્વક, મતભેદોની વચ્ચે પણ સમજવાની ઇચ્છા રાખે, પરિસ્થિતિઓને બદલવાની ઇચ્છા રાખે, તેઓને બદલે, અને આ પ્રક્રિયામાં જે પરિણામ આવે, તે આ બે પક્ષોનાં નહિ, આખા સંસારનું હિત સાધવાવાળાં હોવાં જોઈએ.

કોઈપણ સારા સમાચારપત્ર કરતાં સન્માન સાથે પ્રકાશિત થતી ‘ઇન્ડિયન ઓપીનિયન’ની સામગ્રી રહેતી. જેવી કે, (૧) સમાચાર, વાચકોની પોત-પોતાની માતૃભાષામાં. (૨) એવા સમાચાર જેનો સંબંધ વાચકોના રાજનૈતિક અને સામાજિક હિત અથવા વિરોધથી હોય (૩) માતૃભૂમિમાં થનારી મહત્ત્વપૂર્ણ ઘટનાઓની સમીક્ષા. (૪) વ્યાપાર અને ઉદ્યોગને લગતા ઉતાર-ચઢાવ અને તેની સંભાવનાઓ. (૫) સામાજિક, નૈતિક તેમ જ બૌદ્ધિક વિષયો પર દેશ અને વિદેશના મોટામોટા લેખકોના વિચાર, નિબંધ અને જીવનકથાઓ.

‘ઇન્ડિયન ઓપીનિયન’ અન્ય ભાષાઓની સાથેસાથે હિન્દીનું પહેલું વિચારપત્ર હતું. ત્યાર પછી ગાંધીજીના માર્ગદર્શનમાં જેઓએ પત્રકારત્વને સમજ્યું, તેઓએ લગભગ આ જ બધા સિદ્ધાંતોને પોતાની સામે રાખ્યા. સાપ્તાહિકપત્ર સમાચારને બદલે વિચાર ઉપર વધારે જોર આપે છે. તે જે સમાચારો ઉપર જોર આપે છે એ સમાચાર પણ મોટેભાગે કાં તો પોતાના ઉદ્દેશને અનુકૂળ અથવા ઉદ્દેશથી એકદમ વિરુદ્ધમાં જનારા સમાચાર હોય છે. કુતૂહલ, મનોરંજન અથવા ફક્ત હાસ્યવાળા વિચાર-પત્રોની સાથે ખાસ કરીને સર્વોદય વિચાર-પત્રોની સાથે મેળ નથી પડતો. વ્યંગનું તેમાં સ્થાન છે. પછીથી થોડાં સર્વોદય વિચાર-પત્રોએ વ્યંગને પોતાને ત્યાં કાયમી સ્તંભ તરીકે સ્વીકાર્યા – જેવી રીતે સેવાગ્રામ આશ્રમથી પ્રકાશિત ‘સર્વોદય’ માસિક, અને પહેલાં વારાણસી અને પછી દિલ્હીથી સાપ્તાહિક પત્ર ‘ભૂદાનયજ્ઞ’. ગાંધીજી આ વાતની તપાસ-જાણકારી પણ રાખતા હતા કે, ભારતના હિંદી છાપામાં એવી કેવી સામગ્રી છપાઈ રહી છે કે, જેનો ઉપયોગ દક્ષિણ આફ્રિકાના ભારતીયોની નૈતિક તથા ધાર્મિક ભાવનાઓને સચેત કરવા માટેની દૃષ્ટિથી કરવામાં આવતો હોય. કોઈ એક અંકમાં શ્રીરામ નરેશ ત્રિપાઠીની ‘સરસ્વતી’માંથી ઉદ્ધૃત ‘રામ’ કવિતા પણ પ્રકાશિત કરવામાં આવી હતી. આ જાણકારી બે વાતો સૂચિત કરે છે. એક તો એ કે ગાંધીજી ભારતમાં પ્રકાશિત થતી હિંદી પત્ર-પત્રિકાઓ ઉપર નજર નાખ્યા કરતા હતા, અને બીજી એ કે તેઓ ત્યાંથી એવી બાબતો જ ઉપાડતા હતા, જે ભારતવાસીઓને નૈતિક રૂપથી ઉપર ઉઠાવવામાં સમર્થ હોઈ શકે. શ્રીરામ નરેશ ત્રિપાઠીની આ કવિતાને ઉદ્ધૃત કર્યા પછી ગાંધીજીએ તેમની સાથે જીવનભર વ્યક્તિગત સંબંધ જાળવી રાખેલ – આ એમની લોકસંગ્રહ વૃત્તિને ઉજાગર કરે છે. તેઓ વિભિન્ન કામોમાં સહયોગ મેળવવાની દૃષ્ટિથી કાયમ લોકોની શોધમાં રહેતા હતા. એક સારા સંપાદકની માફક સારા લેખકો સાથે સંબંધ જોડાયા પછી શક્ય પ્રયાસે તૂટવા દેતા નહિ.

થોડા દિવસો પછી તેઓએ ‘ઇન્ડિયન ઓપીનિયન’ને માટે નિયમિત રૂપથી હિંદીમાં લખીને મોકલનારા લોકોની તપાસ પણ કરી હતી. આ સિલસિલામાં તેઓએ ૧૩ જાન્યુઆરી ૧૯૦૫માં ગોખલેને લખ્યું, ‘‘હું અંગ્રેજી, ગુજરાતી, હિંદી અને તામિલમાં મહેનતાણા વગર અગર મહેનતાણું લઈને સાપ્તાહિકમાં ટિપ્પણીઓ આપવાવાળાની શોધમાં છું.’’

દક્ષિણ આફ્રિકામાં ભારતીયોને તેમના મુખ્ય અધિકારો અપાવ્યા પછી ૧૯૧૪માં ગાંધીજી ભારતમાં આવી ગયા. ભારતની રાજનૈતિક પરિસ્થતિમાં તેઓને કોઈક અખબારનું પ્રકાશન કરવું બહુ જરૂરી જણાયું. એ દિવસોના દરેક સુધારક અને નેતા પોતાના વિચારોના પ્રચાર માટે અખબાર બહાર પાડતા હતા. રાજા રામમોહન રાયથી લઈને કેશવચંદ્ર સેન, ગોખલે, તિલક, ફિરોજશાહ મહેતા, દાદાભાઈ નવરોજી, સુરેન્દ્રનાથ બેનર્જી, સી. ચિંતામણિ, સહુ આ રીતના વિચારકોમાં આવે છે, જેઓએ પોતપોતાનાં અખબાર કાઢ્યાં હતાં.

ગાંધીજીને અમુક અખબારોએ તેનું સંપાદકપણું સોંપવા જણાવ્યું, પરંતુ ગાંધીજીના અખબારો વિષેના પોતાના ખ્યાલોને લીધે એ વખતના ખૂબ જ પ્રસિદ્ધ અખબાર ‘બોંબે ક્રૉનિકલ’ના સંપાદક થવા માટેનો પણ અસ્વીકાર કર્યો, અને પોતે એક પાનાનું ‘સત્યાગ્રહી’ નામનું બુલેટીન કાઢ્યું. આ મુખ્યત્વે અંગ્રેજીમાં અને અંશતઃ હિન્દીમાં નીકળતું હતું. તેનું તેઓએ કોઈ ડેકલેરેશન ન આપ્યું અને તેની કોઈ કિંમત પણ ન રાખી. તેને પ્રકાશિત કરતા તેઓએ જણાવ્યું કે ‘‘અમે એ વાતની કોઈ ખાતરી નથી આપી શકતા કે, આ અખબાર નિયમિતરૂપથી નીકળ્યા કરશે. કારણ કે સંપાદકની કોઈપણ ક્ષણે ગિરફતારી થઈ જવાની આશંકા છે. પરંતુ અમે એ વાતની કોશિશ જરૂર કરીશું કે એક સંપાદકની ગિરફતારી પછી બીજા સંપાદક તેની જવાબદારી ઉઠાવતા રહે. અને અમે શક્ય પ્રયાસે ચલાવતા રહેશું, જ્યાં સુધી ‘રોલેટ એક્ટ’ પાછો ન લેવામાં આવે.’’

આ પત્રમાં મુખ્યત્વે સત્યાગ્રહના જ સમાચાર આપવામાં આવતા હતા. આખો દેશ દમનગ્રસ્ત હતો. ત્યાર પછી જલિયાંવાલાબાગ હત્યાકાંડ થયો. સરકારે જનતાને તો દબાવી જ, પણ હાર્નીમેન જેવા મોટા સંપાદકને પણ છોડ્યા નહોતા. તેઓને તો દેશનિકાલનો હુકમ થયો હતો. લોકોએ એ વખતે ગાંધીજીને ‘બોંબે ક્રૉનિકલ’ને હાથમાં લેવાની વાત કરી હતી.

‘સત્યાગ્રહી’ પછી અમુક પૈસાદાર ગુજરાતીઓની મદદથી નીકળનાર સાપ્તાહિક ‘યંગ ઇન્ડિયા’નું સંપાદન તેઓએ પોતાના હાથમાં લીધું, અને પછી તુરત જ જુલાઈ ૧૯૧૯માં તેનું ગુજરાતીમાં સંસ્કરણ ‘નવજીવન’ નામ આપીને શરૂ કર્યું. પહેલાં તે માસિકના રૂપમાં હતું, પણ તા. ૭/૧૦/૧૯૧૯થી તેને સાપ્તાહિક કરી નાખ્યું. આ સમયમાં તેઓને શંકરલાલ બેંકર તથા મહાદેવ જેવા સહયોગી મળ્યા. ‘યંગ ઇન્ડિયા’ અને ‘નવજીવન’ બંને બહુ જ લોકપ્રિય થયાં. અનેક સમાચારપત્રોનું ભેગા મળીને જેટલું વેચાણ નો’તું થતું તેથી વધારે આ બંનેનું એકલાનું વેચાણ થતું. જે. સી. કુમારપ્પા પણ એ દિવસોમાં ગાંધીજીના સંપર્કમાં આવ્યા અને તેઓએ અંગ્રેજી – ‘યંગ ઇન્ડિયા’ના સંપાદનમાં ગાંધીજીને સાથ આપ્યો. બીજા સહયોગીઓ મળવાથી ગાંધીજીએ ‘હિંદી નવજીવન’ પણ શરૂ કર્યું.

‘યંગ ઇન્ડિયા’, ‘નવજીવન’ અને ‘હિંદી નવજીવન’માં અંગ્રેજી સંપાદકીય અને ટિપ્પણીઓના અનુવાદની સાથેસાથે ગાંધીજી મુખ્યત્વે ગુજરાતી અને હિંદીમાં પણ લખતા હતા. ‘હિંદી નવજીવન’માં ગાંધીજી જે મુખ્ય સામગ્રી આપતા હતા તે કમભાગ્યે અમારી નિષ્કાળજીથી ખોવાઈ ગઈ છે. હિંદી અનુવાદમાં મદદ કરનાર સજ્જન ગાંધીજીની હિંદીને બદલીને, જુદી હિંદી બનાવતા હતા અને મુખ્ય સામગ્રીને સાચવીને રાખતા ન હતા. તે એક એવી ભૂલ થઈ કે તેને સુધારવાનું અત્યારે ભગવાનના હાથમાં પણ નથી. ગાંધીજીએ આ વિચારોથી ચાલુ કરેલાં ત્રણે સાપ્તાહિકોએ પોત-પોતાનું મહત્ત્વ બનાવી રાખ્યું, કારણ કે તેમના પ્રકાશન દિવસ જુદા જુદા રાખ્યા હતા. ૩ નવેમ્બર-૧૯૩૨ના રોજ ગાંધીજીને અસહયોગના ગુના માટે ફરીથી જેલમાં પૂર્યા હતા અને જાન્યુઆરી ૧૯૩૫માં છોડ્યા હતા. એ વખતે તેઓએ નિર્ણય લીધો કે, હવે પૂનાથી અંગ્રેજી ભાષામાં શુક્રવારે, અને હિંદી ભાષામાં સોમવારે પ્રકાશિત થયા કરશે.

દરમ્યાન ગાંધીજીના મનમાં અસ્પૃશ્યતાનો પ્રશ્ન સર્વોપરી મહત્ત્વ ધારણ કરવા લાગ્યો, અને તેઓએ ત્રણે સાપ્તાહિકોનાં નામ બદલીને ‘હરિજન’ રાખી દીધાં. ગાંધીજીએ હરિજન શબ્દની વ્યાખ્યા કરતી વખતે લખ્યું કે ‘‘હું અછૂત કહેવામાં આવતા ભાઈઓને હરિજન એટલા માટે કહું છું કે તેઓને હજુ સુધી ખોટા નામથી બોલાવવામાં આવે છે. તેઓનું ખરું નામ હરિજન અથવા હરિના ભક્ત જ છે. આ નામ મેં નથી ગોતી કાઢ્યું. ઘણાં વર્ષો પહેલાં અનેક ભાઈઓએ ફરિયાદ કરી હતી કે, હું મારા લખવા-બોલવામાં ‘અસ્પૃશ્ય’ શબ્દનો ઉપયોગ કરું છું. ત્યારે મેં એ લોકોને પૂછ્યું. આ બાબતે એક અછૂત ભાઈએ તે માટે હરિજન શબ્દ દર્શાવ્યો, અને કહ્યું કે ગુજરાતના પહેલા સંત કવિ જે જ્ઞાતિમાંથી થયા હતા, તેને અછૂત કહેવામાં આવતી હતી. મને આ શબ્દ ખૂબ જ પસંદ આવ્યો. મેં વિચાર્યું કે, બધા ધર્મોમાં ભગવાનને મુખ્યરૂપથી અશરણના શરણ અને નિર્બળના બળ વગેરે કહેવામાં આવ્યા છે. આખી દુનિયામાં આપણાં અસ્પૃશ્યોથી વધારે અશરણ અને નિર્બળ બીજું કોણ છે ?’’

જ્યારે સરકારે ભારત દેશની ઇચ્છાથી વિરુદ્ધ દેશને બીજા વિશ્વયુદ્ધમાં સામેલ કરી દીધો ત્યારે ગાંધીજીએ, ‘‘ન એક પાઈ, ન એક ભાઈ’’ના નારા લગાવ્યા અને કહ્યું કે આપણો દેશ આ યુદ્ધમાં નહિ પૈસાથી મદદ કરશે, કે નહિ માણસોથી મદદ કરશે. ૧૮ ઓક્ટોબર ૧૯૩૯ના રોજ આ સાપ્તાહિકો ઉપર થોડી પાબંધી લગાવવામાં આવી, જેને લીધે તેઓ વ્યક્તિગત સત્યાગ્રહનાં ભાષણ વગેરે છાપી શકતા ન હતા. ગાંધીજીએ કહ્યું કે મારાં સાપ્તાહિકો સત્યને ઉજાગર કરવા માટે જ કાઢવામાં આવે છે, અને ક્યારેક પ્રેસની સ્વતંત્રતા ઉપર જો આ રીતે અન્યાય કરવામાં આવશે તો હું તેને સ્વીકારીશ નહીં, અને તેનો વિરોધ કરીશ. ગાંધીજીએ આ નિર્ણય એટલું સમજીને કર્યો હતો કે, અખબારોને ગમે ત્યારે બંધ પણ કરવાની જરૂર પડતી હોય છે, આથી ગાંધીજીએ ‘‘પૈદલપત્ર’’ કાઢવાની યોજના બનાવી હતી. આ પત્રિકા એક પાનની હતી અને લોકો હરતા-ફરતાં તેને વહેંચતાં હતાં.

એ દિવસોમાં માસિક પત્રિકાઓમાં, વર્ધાથી કાઢવામાં આવતા ‘સર્વોદય’ની વિશેષ પ્રતિષ્ઠા હતી. ‘સર્વોદય’ માસિક ઓગસ્ટ ૧૯૩૮માં સેવાગ્રામ આશ્રમથી પ્રકાશિત થયું. તેના સંપાદકો હતા કાકાસાહેબ અને દાદા ધર્માધિકારી. આ માસિક ઓગસ્ટ-૧૯૪૨ એટલે કે ‘ભારત છોડો આંદોલન’ની શરૂઆત સુધી એકધારું નીકળતું રહ્યું, અને તેમાં નાની નાની ટિપ્પણીઓ તેમ જ સંપાદકીય, ઉપરાંત સર્વોદય પરિવારનાં જુદાં જુદાં ઘટકો સરળ અને સુવાચ્ય ભાષામાં અપાતાં રહ્યાં હતાં. તેના લેખકો પણ ખાસ કરીને ગાંધીવિચારના જાણકાર જ રહેતા. ક્યારેક ક્યારેક તેમાં અન્ય ભારતીય ભાષાઓના પ્રસિદ્ધ વિચારકોના લેખોના અનુવાદ પણ પ્રકાશિત કરવામાં આવતા હતા. આચાર્ય ભાગવત, જાવડેકર, આશાદેવી આર્યનાયકમ, અન્નાસાહેબ, સહસ્રબુદ્ધે, શ્રીધર ધોત્રે, અને દ્વારિકાનાથ લેલે જેવા જુદાં જુદાં રચનાત્મક ક્ષેત્રોમાં કામ કરવાવાળી વ્યક્તિઓના લેખો પણ તેમાં પ્રકાશિત થતા હતા.

સર્વોદય માસિકમાં વ્યંગની પણ એક કોલમ હતી. એ સર્વોદય પત્રિકા માટે નવીન વસ્તુ હતી. તેને અત્યંત ગંભીર સ્વભાવવાળા કિશોરલાલ મશરૂવાળા લખતા હતા. આ વ્યંગ માટે તેઓએ પોતાનું ઉપનામ ‘આશ્રમ કા ઉલ્લુ’ રાખ્યું હતું. કિશોરલાલે ગુજરાતીમાં મહત્ત્વપૂર્ણ લેખનકાર્ય કર્યું છે પરંતુ ‘આશ્રમ કા ઉલ્લુ’ નામથી લખાયેલા તેમના બધા જ વ્યંગ લેખો હિંદીમાં જ લખાયેલા છે. તેને હિંદી વ્યંગ સાહિત્યનો ખજાનો ગણી શકાય. આ એક મોટી આશ્ચર્યની વાત છે કે, સર્વોદય ક્ષેત્રમાં કેટલાક લેખકો હિંદીભાષી નહિ હોવા છતાં તેઓએ હિંદીમાં ઊંડાણથી લખ્યું અને તેઓની ભાષા આપણા મોટા મોટા દિગ્ગજોની સરખામણીએ ખૂબ જ મધુર, સરળ, પ્રવાહી અને તેજસ્વી હતી.

સ્વતંત્રતા મળવાના થોડા સમય પહેલાં જ બાપુએ વર્ધા છોડી દીધું હતું. ત્યારથી હિંદી ‘હરિજન’ સંપાદનનો બધો જ બોજ કિશોરલાલ મશરૂવાળાએ ઉપાડી લીધો હતો અને તેમની મદદમાં મહિલાશ્રમના આનંદીલાલ તિવારી હતા. જો કે ૮-ઓગસ્ટ ૧૯૪૨માં ગાંધીજીની ધરપકડ પછી ‘હરિજન’ બંધ થઈ ગયું હતું અને સરકારે હુકમ કર્યો હતો કે, ‘હરિજન’ની ૧૯૩૩થી ૧૯૪૨ સુધીની બધી જ ફાઈલોને નષ્ટ કરી દેવી. સરકારનો દિમાગ આવો હોય છે. જ્યાં જ્યાં શક્યતા જણાય ત્યાં સરકારે ‘હરિજન’ની નકલોને શોધી અને ‘હરિજન’ની બધી ફાઈલો, પત્રકો તથા વિવિધ લખાણો અને સરકારને નહિ વાંચવાયોગ્ય લાગેલાં પુસ્તકોને બાળી દેવામાં આવ્યાં. આ વખતનો કારાવાસ ગાંધીજીને માટે અનેક દૃષ્ટિઓથી ખૂબ જ મોટા મોટા આઘાતો પહોંચાડનારો સાબિત થયો. આ અવધિમાં તેઓના સહયોગી મહાદેવભાઈ દેસાઈ જતા રહ્યા, તેમ જ એ જ અવધિમાં કસ્તૂરબા પણ ચાલ્યાં ગયાં.

જેલમાંથી ૧૯૪૪માં છૂટ્યા પછી ગાંધીજીએ ફરી વાર સાડાત્રણ વર્ષ પછી ‘હરિજન’ કાઢવાનું શરૂ કર્યું. હવે તેમાં મુખ્યત્વે દેશની અન્ય સમસ્યાઓ ઉપર લખવામાં આવતું. ગાંધીજીએ સરકારને કહ્યું કે, શાંતિના સમયમાં અન્ન મોરચે એવી રીતે કામ કરવું જોઈએ જેવી રીતે યુદ્ધના મોરચે કરવામાં આવે છે. ત્યારથી ‘અૉન વાર ફુટીંગ’ શબ્દો વારંવાર સંભળાવા લાગ્યા. વધારે અન્ન ઉત્પન્ન કરવા માટે ગાંધીજીએ લોકોને સરકારને દરેક પ્રકારનો સહયોગ કરવાની અપીલ કરી અને સરકારે પોતાની નાવ ડૂબતી જણાતાં આ મહાન વિદ્રોહી સાથે હાથ મેળવાની કોશિશ કરી. ગાંધીજીએ એલાન કર્યું કે, જ્યાં પણ કોઈ ખાલી જમીન હોય તેમાં વાવેતર કરીને અન્ન ઉગાડો, તેમ જ શોખનાં ફૂલો ઉગાડવાનો ખેલ પૂરો કરો. મુગલગાર્ડન વગેરે ગુલાબના બગીચાઓનો તેઓએ વિશેષરૂપથી ઉલ્લેખ કર્યો અને કહ્યું કે આ જમીનમાં હજારો લોકોને ખાવાલાયક ધાન પેદા કરી શકાય. તેઓએ સરકારી ઉત્સવો અને પાર્ટીઓ વગેરેને તાત્કાલિક બંધ કરવા માટે પણ પોતાનો મત જણાવ્યો.

તેઓએ જનતાને પણ કહ્યું કે, જો આપણે સાવધાનીથી કામ કરીએ તો સરકારની મદદ વિના પણ કંઈક કરીને દેખાડી શકીશું. તેઓએ એ પણ કહ્યું કે કપડાં, વગેરેની અછતથી આપણે ભયભીત ન થવું જોઈએ અને મરણ આવ્યા પહેલાં મરવાનો ઇન્કાર કરવો જોઈએ. તેઓએ મિતાહાર ઉપર પણ ખૂબ જ ભાર આપ્યો.

આ સમયે ગાંધીજીએ માછલીનું ઉત્પાદન વધારવાનો પણ અભિપ્રાય આપ્યો અને કહ્યું કે જીવનમાં હિંસાનો અંશ તો પડેલો જ છે. જેઓ માછલી નહિ ખાવાની વાત હિંસાના આધાર પર કરે છે, તેઓએ વિચારવું જોઈએ કે, આ બીજા પ્રકારની હિંસા છે. પંરતુ જેઓ નથી ખાતા તેઓ પણ શરૂ કરી દે, એવો પણ તેનો અર્થ નથી. તેઓએ કષ્ટ ભોગવવું જોઈએ, મિતાહાર કરવો જોઈએ, ખોરાક જરા પણ બગાડવો ન જોઈએ, અને એકેએક ઈંચ જમીનનો ઉપયોગ કરવો જોઈએ.   

ગાંધીજી એપ્રિલ-૧૯૪૭માં દિલ્હી ચાલ્યા ગયા અને પછી ત્યાંથી હિંદુ-મુસ્લિમ તોફાનોની ખબર મળતાં બંગાળ ગયા, જેથી ૧૨-જૂન ૧૯૪૭ સુધી તેઓ ‘હરિજન’માં કંઈ લખી ન શક્યા. ત્યાર પછી દિલ્હીમાં તેઓના પ્રાર્થના-પ્રવચન ‘હરિજન સેવક’માં છપાવા માંડ્યાં અને અનુવાદ અંગ્રેજી સંસ્કરણમાં. એ વખતે પ્યારેલાલજી નોઆખલીમાં હતા. અન્ય સહયોગીઓ પણ એ રીતે કોમી અશાંતિ દૂર કરવામાં લાગેલા હતા. ગાંધીજીએ કીધું કે આવા સમયે લખવા બેસી જવું એક પાગલપણું છે. એટલે કે ગાંધીજી એવું લખવાને મહત્ત્વ આપતા હતા કે જે સમાજને માટે હિતકારી સાબિત થઈ શકે. જુલાઈ-૧૯૪૭માં ગાંધીજીએ સરદાર વલ્લભભાઈ પટેલને લખ્યું કે, હવે ‘હરિજન’ વગેરે અખબરો બંધ કરી દેવાં જોઈએ, એવું મને લાગે છે. સરકાર આવા સમયે તમારા લોકોના હાથમાં છે. મારે તેમના વિરોધમાં કંઈ ન કરવું જોઈએ. મારું મન સરકારનાં કામોની સાથે નથી. જો અખબાર ચાલુ રખાશે તો હું સરકારની વિરૂદ્ધમાં લખીશ. પોતાના વાચકોને સંબોધિત કરતા તેઓએ કીધું કે આપણે અંગ્રેજોની ગુલામીથી મુક્ત થઈ રહ્યા છીએ, એટલે અમારાં સાપ્તાહિકોની જરૂરિયાત નથી રહેતી. છેવટના દિવસોમાં તેઓ ખૂબ જ ઓછું લખવા માંડ્યા હતા. મોટાભાગે તેમાં તેઓનાં પ્રાર્થના-પ્રવચન જ લખતા હતા. તેઓએ વાચકોને પણ અખબાર ચાલુ રાખવા-બંધ કરવા બાબતમાં પૂછ્યું હતું.

ગાંધીજીએ કહ્યું હતું કે મારું જીવન એ જ મારો સંદેશ છે. તેઓનું જીવન પૂરું થઈ ગયું પછી જે નાના નાના લોકો રાજનીતિથી દૂર હતા તેઓએ સંદેશને ઉપાડી લીધો. ઓગસ્ટ ૧૯૪૯માં ફરીવાર ‘સર્વોદય’ માસિકનું પ્રકાશન શરૂ થયું. તેના સંપાદક હતા વિનોબા અને દાદાધર્માધિકારી. આ માસિક અખબારે બધા જ રચનાત્મક કાર્યકર્તાઓને તેઓની અભૂતપૂર્વ તાકાતનો પરિચય કરાવ્યો. ગાંધીજીના બધા જ રચનાત્મક કાર્યક્રમોને લીધે ફરીવાર દેશ આખામાં શરૂ થઈ ગઈ. આ સમજાવવા તથા આગળ ધપાવવા અગાઉથી જ અમુક પત્રિકાઓ નીકળતી હતી. સેવાગ્રામથી ‘ખાદી જગત’ તો નીકળતું જ હતું. અને ત્યાંથી જ ગાંધીજીની કલ્પનાનું શિક્ષણ ‘નઈ તાલીમ’ના પ્રચાર કરવાની એ જ નામવાળી પત્રિકા પણ માર્ચ ૧૯૪૩થી નીકળી રહી હતી. તેની સંપાદિકા આશાદેવી આર્યનાયકમ હતાં. આશાદેવીનો ગુરુદેવ રવીન્દ્રનાથ ઠાકુર અને શાંતિનિકેતન સાથે ઘનિષ્ઠ સંબંધ રહ્યો હતો. જેને લીધે ‘નઈ તાલીમ’માં, સર્વોદયની અન્ય પત્રિકાઓની સામે સૌંદર્ય-બોધના વિશેષ ચિહ્નો ઉભરેલા જણાતા હતાં. આશાદેવીને તેના કામોમાં રાધાકૃષ્ણ અને દેવીપ્રસાદ જેવા લાગણીવાળા અને બુદ્ધિમાન સહયોગીઓની શક્તિ પણ મળી હતી. ‘નઈ તાલીમ’ના અંકો આજે પણ વિષય, ભાષા અને સાજ-સજાવટની દૃષ્ટિએ આપણો આદર્શ બની શકે છે.

વર્ધાથી નીકળનારી ત્રિમાસિક ‘મહિલાશ્રમ પત્રિકા’નો ઉલ્લેખ પણ આ જગ્યાએ કરી દેવો વ્યાજબી ગણાશે. ‘મહિલાશ્રમ પત્રિકા’ સ્ત્રી-શિક્ષણના સંબંધમાં વર્ધાની પ્રસિદ્ધ સંસ્થા મહિલાશ્રમની મુખ્ય પત્રિકા કહેવાતી હતી. પરંતુ વચમાં સર્વોદય માસિક બંધ થઈ જવાને લીધે તેનું પ્રકાશન જરૂરી માનવામાં આવ્યું હતું. આને લીધે આ પત્રિકા મુજબ મુખ્ય રૂપથી સંપૂર્ણ સર્વોદય વિચારની પત્રિકા બની રહી. અવશ્યપણે તેમાં નારી જાગરણને લગતી સામગ્રી વધારે રહેતી હતી, વિનોબા અને દાદા ધર્માધિકારીના નારી-જાગરણને લગતા લેખો તેમાં પ્રકાશિત થયા, તેને પછીથી પુસ્તકોના રૂપમાં સંગ્રહિત કરવામાં આવ્યા. આ પત્રિકાના લેખકોમાં સર્વોદય માસિકના લેખકો ઉપરાંત હિંદીના ખ્યાતનામ લેખકો પણ તેમાં લખવા માંડ્યા હતા. તેના પહેલા સર્વોદય પત્રિકાઓમાં કવિતાઓનું પ્રકાશન થતું ન હતું. એકાદવાર ‘સર્વોદય માસિક’માં શિયારામશરણ ગુપ્તની કવિતા ખરેખર પ્રકાશિત થઈ હતી. ‘મહિલાશ્રમ પત્રિકા’એ મૌલિક કવિતાઓની સાથે સાથે રવીન્દ્રનાથની થોડી એવી લાંબી કવિતાઓના હિંદી અનુવાદ પણ પ્રકાશિત કર્યા, જે હિંદીમાં તો શું, બીજી કોઈ ભારતીય અથવા બહારની ભાષામાં પણ પ્રકાશિત થયા ન હતા. દુનિયાના બીજા નવા અને જૂના લેખકો અને કવિઓ કે જેના વિચારો સર્વોદય પરિવાર સાથે અંતર્ગત હોય તે આ ત્રિમાસિકના માધ્યમથી પ્રકાશિત થયા. વિનોબાના ત્યારના સચિવ દામોદરદાસ મુંદડાની વિશેષ પ્રેરણાથી મહિલાશ્રમે તેનું પ્રકાશન શરૂ કર્યું હતું. અનેક કારણોને લીધે આ પત્રિકા ત્રણ વર્ષ નીકળીને બંધ થઈ હતી.

બાપુના નિધન પછી સેવાગ્રામે સર્વોદય કાર્યકર્તાઓ અને વિચારોનું એક સંમેલન કર્યું હતું, જેમાં ભારતના તે વખતના રાષ્ટ્રપતિ રાજેન્દ્ર-પ્રસાદ તથા પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુ પણ સામેલ હતા. આ અધિવેશનમાં સર્વ સેવા સંઘની સ્થાપનાની સાથે એ વિચાર પણ આગળ કરવામાં આવ્યો કે, સર્વોદય વિચારને આખા દેશમાં ફેલાવવા માટે તેને માટેની પત્ર-પત્રિકાઓ અને સાહિત્યની જરૂરિયાત પહેલાં કરતાં પણ આશા વધી ગઈ છે. પહેલાં એકલા ગાંધીજીના સાપ્તાહિક દ્વારા ભારતભરમાં સર્વોદય વિચારસરણી અંગેની ગતિવિધિયોનો પ્રચાર-પ્રસાર અંગ્રેજી, ગુજરાતી અને હિંદી ભાષાથી કરવામાં આવતો હતો. તેઓના જતા રહ્યા પછી ‘હરિજન’ સાપ્તાહિકના ત્રણે સંસ્કરણો એટલા લોકપ્રિય રહ્યા નહિ. પછીથી જુદી જુદી પ્રાદેશિક ભાષાઓનું મહત્ત્વ પણ વધવા માંડ્યું હતું.

૧૯૫૧ના માર્ચ મહિનામાં સેવાગ્રામમાં ‘તાલીમ સંઘ’નું સાતમુ અધિવેશન ભરાયું હતું. ત્યાં દેશભરના કાર્યકર્તાઓ ભેગા થયા હતા. બધાએ વિનોબાજીને હૈદરાબાદમાં ‘સર્વ સેવા સંઘ’ના ત્રીજા વાર્ષિક અધિવેશનમાં આવવાનો આગ્રહ કર્યો અને તેઓએ નિશ્ચય કર્યો કે તેઓ હૈદરાબાદ જવા માટે ૭ માર્ચથી પૈદલ યાત્રા શરૂ કરશે. આ યાત્રા એક ઐતિહાસિક યાત્રા બની રહી. વિનોબા શિવરામપલ્લીના સર્વોદય સંમેલન પછી હૈદરાબાદની જેલમાં એવા કમ્યુિનસ્ટ આંદોલનકારીઓને મળવા ગયા, કે જેઓ હિંસાનો સહારો લઈને ગામડાંના ભૂમિહીનોને ભૂમિ અપાવવાના પ્રયત્ન કરતા હતા. વર્ધાથી શિવરામપલ્લી સુધીની યાત્રાએ તેમના મનમાં ભારતના ભૂમિહીન લોકોની હાલત માટે ખૂબ જ ઊંડાણ સુધી ચિત્રિત કરી દીધા હતા. તેઓ રસ્તામાં આવતા દરેક ગામમાં ભાષણ કરતા હતા. એ ભાષણો, દામોદરદાસ મુંદડા વિવરણ સાથે લિપિબદ્ધ કરાવીને ‘હરિજન સેવક’માં પ્રકાશિત કરતા હતા. પત્રકારત્વના દૃષ્ટિકોણથી એ બધા લેખો હિંદીમાં અનોખો ખજાનો છે.

હૈદરાબાદથી પાછા ફરતા ૧૮ એપ્રિલ ૧૯૫૧ના રોજ વિનોબા પોચમપલ્લી નામના ગામમાં પહોંચ્યા. ત્યાં સાંજના તેઓએ રાબેતા મુજબ સભા કરી. આ ગામ સામ્યવાદીઓનો ગઢ હતો. સભા પૂરી થતા થોડા લોકોએ ઊભા થઈને જણાવ્યું કે, અમને લોકોને જમીન અપાવો. જમીન અપાવવા માટેનું હિંસક આંદોલન વિનોબાની ચિંતાનો વિષય બનેલો જ હતો. તેઓ તેનો પ્રતિકાર તો પ્રેમપૂર્વક જમીન અપાવીને જ કરી શકે તેમ હતા. આ માટે તેઓએ સભામાં ભેગા થયેલા લોકોને પૂછ્યું, અહીં કોઈ એવી વ્યક્તિ નથી જે પોતાની ઇચ્છાથી ભૂમિહીનોને જમીન આપી શકે ? વિનોબાએ ૮૦ એકર જમીનની માંગણી આ સભામાં ઊભી કરી. વિનોબાનું એટલું જ કહેવાનું હતું. ત્યાં તો એક લાંબા ખડતલ શરીર ભવ્ય આકૃતિવાળા યુવાને ઊભા થઈને જણાવ્યુ કે હું હરિજનભાઈઓને ૫૦ એકર તૈયાર જમીન અને ૫૦ એકર પડતર જમીન આપી શકું છું. બસ ! અહીંથી જ ભૂદાનગંગાનો સ્રોત ફૂટી નીકળ્યો. આ અહિંસક ક્રાંતિને દેશભરમાં ફેલાવવાને માટે જુદી જુદી જગ્યાઓથી સર્વોદયવિચારની પોષક વ્યક્તિઓ અને સંસ્થાઓએ અખબાર-પત્રિકઓ કાઢવાનું શરૂ કરી દીધુ. દેશના બધા રાજ્યોની ભાષાઓમાં પત્રિકાઓ નીકળી. બધાથી વધારે પત્રિકાઓ કદાચ હિંદીમાં જ નીકળી. આમાં સર્વ સેવા સંઘ વારાણસીથી પ્રકાશિત પત્રિકા ‘ભૂદાનયજ્ઞ’એ સૌથી વધારે જહેમતથી આ વિચારને ફેલાવ્યો. આ પત્રિકાએ આચાર્ય રામમૂર્તિ જેવા સંપાદક અને નારાયણ દેસાઈ અને પ્રભાષ જોષી, કુમાર પ્રશાંત, શ્રવણકુમાર વગેરે પત્રકારો પણ હિંદી જગતને આપ્યા.

રચનાત્મક કાર્યક્રમને લગતી જે પત્રિકાઓ પહેલેથી નીકળતી હતી, તે તો નીકળતી રહી. ભાષાશૈલીના વિચારથી કાકાસાહેબનું ‘મંગલ પ્રભાત’ એક ખૂબ જ ઉલ્લેખનીય અખબાર રહ્યું છે. તે વર્ષો સુધી વર્ધાથી નીકળતું રહ્યું. ત્યારે અમૃતલાલ નાણાવટી તેનું બધું કામ સંભાળતા હતા. કાકા સાહેબનાં પોતાનાં લખાણથી ઉપરાંત તેમાં રેહાનાબહેન તૈયબજીના લેખો જે ‘સુનિયે કાકાસાહેબ’ના મથાળાથી પ્રકાશિત થતા હતા, જે પોતાની વાતચીતની શૈલીમાં તત્ત્વની વાત કરવાની દૃષ્ટિથી અનુપમ છે. કુમારી રેહાના તૈયબજીની ઉર્દૂ, ફારસી, અંગ્રેજી, ફેંચ, ગુજરાતી તથા મરાઠી ભાષામાં અદ્દભુત પકડ હતી. તેના લખાણમાં જે પ્રવાહ અને સરળતા દેખાય છે, તે કોઈ પણ ભાષાને માટે ગૌરવની બાબત હોઈ શકે છે.

જે પત્ર-પત્રિકાઓએ ‘સવોદર્ય’ હિંદી પત્રકારત્વને સંપન્ન બનાવ્યું છે તેની સંખ્યા ખૂબ જ મોટી છે. હિંદી રાજ્યોના લગભગ દરેક નાનામોટા નગર જ નહીં, કસ્બાઓમાંથી પણ સર્વોદય વિચારને લગતાં અખબારો નીકળ્યાં એ બધાનો પરિચય આપવો સંભવ નથી. પરંતુ તેમ છતાં એ બધાની બાબતે થોડીક સર્વ-સાધારણ વાત કરી શકાય. એ બધી જ પત્ર-પત્રિકાઓ મેદાનમાં એટલા માટે ઊતરી કે, તેઓને કોઈ કર્તવ્ય પૂરું કરવાનું હતું. તેઓએ જાણે કેટલાંયે ગર્વોન્મત્ત માથાઓને વિનયથી ઝૂકતા શીખવાડ્યું છે, અને કેટલાયે દીન-હીન મનોને હિમાલયના કોઈ શિખરની જેમ ઊંચા કરી દીધા છે. આ પત્રિકાઓના સંપાદકો અથવા સંચાલકોએ કોઈ દિવસ પોતાના વ્યક્તિત્વને ઉછાળ્યું નથી. કાયમી એ વિચારોને જ પ્રકાશિત કર્યા જેનાથી સ્વયં તેઓના વ્યક્તિત્વ દેખાયાં. આ બધા અખબારોમાં ઉદ્દેશની ઉચ્ચતા, વિશ્વાસની દૃઢતા, ભાષાની સરળતા અને સત્યને જેવું હોય તેવું જાહેર કરવાની ઇચ્છા પ્રતિબિંબિત થાય છે. આવાં ગુણો હોવા છતાં પણ આર્થિક દૃષ્ટિએ સફળ થઈ શકતાં નહીં.

ફક્ત એક જ સર્વોદય પત્રિકા એવી છે જે આર્થિક કારણોથી નહિ પણ સૈદ્ધાંતિક કારણોથી બંધ થઈ, તે છે સર્વ સેવા સંઘનું સાપ્તાહિક ‘ભૂદાન-યજ્ઞ’. શાસનના વિરોધમાં આંદોલન કરવામાં આવે કે ન આવે, આ બાબતે સર્વ સેવા સંઘમાં મતભેદ થયા. સર્વ સેવા સંઘ ગાંધીજીના પ્રજાતંત્રને માનવાવાળુ સંગઠન છે. તેનો નિયમ છે, કોઈ પણ કામ સંઘના નામથી ત્યાં સુધી ન કરવામાં આવે જ્યાં સુધી તે અંગે સર્વાનુમતિ પ્રાપ્ત ન થાય. કદાચ એક પણ વ્યક્તિ કોઈ એક પગલાને ઉપાડવાના વિરોધમાં હોય, તો એ પગલુ સંઘના નામે ન ઉપાડી શકાય. શાસનના વિરોધમં જયપ્રકાશજીએ જે આંદોલન ચલાવ્યું હતું, તેને લીધે સર્વ સેવા સંઘમાં મતભેદ હતા. આ માટે એ નક્કી થયું કે, તેના મુખપત્રને બંધ કરી દેવું જોઈએ, જે લોકો પોતાની રીતે આંદોલનના પક્ષમાં હોય તેઓ પોતાની અંગત હેસિયતથી તેમાં કામ કરે. ‘ભૂદાનયજ્ઞ’ જે પહેલાં ભૂદાન આંદોલનનું ચિત્ર દર્શાવતું હતું, તે નવા આંદોલનનું ચિત્ર દર્શાવવા લાગ્યું હતું. વિનોબાએ આધ્યાત્મિક કારણોને લીધે મૌન સાધના માટે એક વર્ષનો સમય નક્કી કર્યો હતો. એવું નક્કી થયું કે, પહેલા વર્ષ સુધી સર્વસેવા સંઘ પણ મૌન રહે, અને તેનું મુખપત્ર પણ બંધ રહે.

પત્રકારત્વના ચરિત્ર અને નિર્વિકાર આત્માનું નામ લેતાં જ વિનોબાના બ્રહ્મવિદ્યામંદિરથી પ્રકાશિત થનારી નાની એવી માસિક પત્રિકા ‘મૈત્રી’નું નામ મનમાં એકદમ ચોંટી જાય છે. આ પત્રિકાની અનેક ખૂબીઓ છે. તેનો બ્રહ્મવિદ્યામંદિરમાં પોતાનું નાનું એવું પ્રેસ છે. આ કામ કરવાવાળી બધી બહેનો વિનોબાના આશ્રમમાં રહીને સાધના કરે છે. આશ્રમમાં પૈસા આપીને એક પણ મજૂર રાખવામાં આવતો નથી. અન્ન, ફળ, વસ્ત્ર, પુસ્તકો અને પત્રિકા, બધાંનું ઉત્પાદન આશ્રમવાસીઓ કરે છે. પત્રિકાનો પહેલો અંક ૧૨ ઓક્ટોબર ૧૯૬૩ના પ્રકાશિત થયો હતો. પત્રિકાને કાઢવામાં ક્યારે ય એક દિવસનું પણ મોડુ થતું નથી. સંપાદન, કંપોઝીંગ, પ્રુફ રીડીંગ અને છપાઈ તથા રવાનગી અને તેના હિસાબ વગેરેનું બધું જ કામ આ બહેનો કરે છે. સામગ્રી સહજપણે જ સંપૂર્ણતાની પ્રતીતિ કરાવે છે, અને તેમાં પત્રકારત્વના એ બધાં ગુણ છે જે ગાંધીજીના પત્રકારત્વના આદર્શ હતા, વિષયોની સુરુચિ સાથે સમાન રીતે આકલન, દૃષ્ટિના સત્ય, પ્રેમ, કરુણા અને તેની રજૂઆતમાં સર્વભૂતહિત રક્ષાની કામના અને સાવધાની. આ પત્રિકાને નીકળ્યાને બાવન વર્ષ (એક યુગ) થઈ ગયા છે. આ એકલી પત્રિકા હિંદી સર્વોદય પત્રકારત્વના એક યુગને પ્રતિબિંબિત કરે છે.

ગાંધીજીએ પત્ર-પત્રિકાઓ માટે અમુક આદર્શ રાખ્યા હતા. તેઓ ઇચ્છતા હતા કે, દેશની બધી પત્ર-પત્રિકાઓ આ આદર્શને પાળીને કઢાય, અને જ્યારે તેમને લાગ્યુ કે, કોઈ કારણોથી આ આદર્શ નિભાવવા મુશ્કેલ પડી રહ્યા છે, તો ત્યારે તેને બંધ કરી દેવી જોઈએ, તેઓ જે બાબતોને પત્ર-પત્રિકાઓ માટે અનિવાર્ય માનતા હતા, તેમાં સૌથી પહેલી વાત તો એ હતી કે તેમની સામે કોઈ ઉદાત્ત ધ્યેય હોવો જોઈએ. કેવળ મનોરંજન અથવા પૈસા કમાવાની દૃષ્ટિએ પત્ર-પત્રિકાઓ કાઢવી અવાંછનીય છે. કોઈ સમાજ, સંગઠન અથવા દેશના વિરોધમાં દ્વેષ ફેલાવવાના વિચારથી પણ પત્ર-પત્રિકાઓ નહિ કાઢવી જોઈએ.

ગાંધીજી, મનઘડંત, દ્વેષપૂર્ણ અને ચરિત્રહનન કરવાવાળા પત્રકારત્વના જબરદસ્ત વિરોધી હતા. તેઓ તલનું તાડ બનાવવાના પણ વિરોધી હતા. ખબરને સમયથી વહેલાં ફેલાવવાને પણ તેઓ ગેરવ્યાજબી સમજતા હતા. આજના પત્રકારત્વમાં ઘટના બને તે પહેલાં તેને પ્રકાશિત કરી દેવી, તેને બહુ મોટી બાહોશી ગણવામાં આવે છે. સંવાદદાતાઓનું કહેવું છે કે, ‘પ્રેસ લીવ બાઈ ડિસ્કલોઝર’. ગાંધીજીએ ઘણીવાર મોટા મોટા રહસ્યોને જાણીને પણ પોતાના સુધી જ રાખ્યા. તેમનું કહેવું હતું કે, જેને જેટલી વધારે શક્તિ છે તેઓએ તેટલા વધારે સંયમ દાખવવો જોઈએ. પત્ર-પત્રિકાઓ દેશના શાસનથી પણ વધારે શક્તિશાળી છે, એટલા માટે તેઓએ પોતાની શક્તિનો ઉપયોગ ખૂબ જ સાવધાનીથી કરવો જોઈએ. આપણે જે પણ કહીએ, સમજી-વિચારીને કહેવું જોઈએ. સરળ અને પ્રાંજલ શૈલીમાં કહીએ, નિર્ભય થઈને કહીએ.

(પ્રતિશ્રુતિ પ્રકારપી, કોલકતાથી હાલમાં જ પ્રકાશિત પુસ્તક ‘કુછ નીતિ કુછ રાજનીતિ’ના એક મોટા અધ્યાય સર્વોદય પત્રકારત્વનો સંક્ષિપ્ત સંપાદિત અંશે.)

(સાભાર : “ગાંધીમાર્ગ”માંથી)

વિશેષ નોંધ :

સર્વોદયના પત્રકારત્વમાં આપણું આ પાક્ષિક ભૂમિપુત્રનો પ્રથમ અંક તા. ૧૧/૯/૧૯૫૩ (વિનોબા જન્મદિન)ના રોજ પ્રગટ થયો હતો. વિનોબાજીએ ૧૯૫૧માં ભૂદાન પદયાત્રા શરૂ કરી તેની સાથે ગુજરાતમાં પણ ભૂદાનયાત્રાઓ શરૂ થઈ. આ વખતે વિનોબા અને તેમની ભૂદાનયાત્રા અને કામનો પરિચય લોકોને મળી રહે તેવા આશયથી પ્રબોધભાઈ ચોક્સી અને નારાયણભાઈ દેસાઈએ તેની શરૂઆત કરી. ભૂમિપુત્રનો આઠ પાનનો પહેલો અંક તૈયાર થાય તે પહેલાં જ ૨,૭૧૩ ગ્રાહકો નોંધાઈ ચૂક્યા હતાં. ગ્રાહકોની સંખ્યા ઉત્તરોત્તર વધતા ૧૯૬૯(ગાંધી શતાબ્દિ વર્ષ)માં ૨૭,૦૦૦ જેટલી હતી અને હાલ ગ્રાહકોની સંખ્યા ૩,૫૦૦ જેટલી રહી ગઈ છે. ભૂમિપુત્ર શરૂઆતમાં અમદાવાદથી છપાતું હતું. અને ત્યારબાદ તરત જ વડોદરાથી જ છપાય છે. ૧૯૭૫ની કટોકટીના કપરા સમય દરમ્યાન સરકારી રોક સામે ભૂમિપુત્રે સત્યની જ્યોત જલતી રાખવા છુપી જગ્યાએ પણ તેનું છાપકામ કરીને તેનું વિતરણ ચાલુ રાખ્યું હતું. ભૂમિપુત્ર ૬૨માં વર્ષમાં પ્રવેશી ચૂક્યું છે. હાલ આ પાક્ષિક સર્વોદયના ગાંધી-વિનોબાના વિચારોને આધારે તેમાં અધ્યાત્મની સાથે સાથે જમીન બચાવ, પર્યાવરણ બચાવ, સજીવ ખેતી, કોમી એખલાસ, માનવ હક્ક તેમ જ અસ્પૃશ્યતાને લગતા પ્રશ્નો-ઉકેલોને વાચા આપવા યથાશક્તિ પ્રયત્ન થાય છે.

સૌજન્ય : “ભૂમિપુત્ર”, વર્ષ 62; અંક 21 – 22; 16 જુલાઈ 2015 (પૃ. 12-15) તથા 01 અૉગસ્ટ 2015 (પૃ. 09-11)

‘ભૂદાનમૂલક ગ્રામોદ્યોગપ્રધાન અહિંસક ક્રાંતિનું પાક્ષિક મુખપત્ર’ “ભૂમિપુત્ર” 62 વર્ષથી સતત વડોદરાથી પ્રગટ થઈ રહ્યું છે. દર માસની તારીખ 01 અને 16મીએ પ્રસિદ્ધ થતા આ સામયિકનું ભારત માટે વાર્ષિક લવાજમ રૂ. 150 છે. ત્રિવાર્ષિક રૂ. 425 છે. પંચવાર્ષિક રૂ. 700 છે. આજીવન અનામત રૂ. 1,500. જ્યારે વિદેશ માટે વાર્ષિક લવાજમ (અૅરમેલ) રૂ. 1,000 છે. લવાજમની રકમ મનીઅૉર્ડર, ડૃાફ્ટ કે એટ પારના ચેક દ્વારા અથવા યજ્ઞ પ્રકાશન સમિતિના દેના બેંક, મંગળ બજાર, વડોદરાના ખાતા નંબર 0588 10001978માં પણ જમા કરાવી શકાય છે. ચેક / ડૃાફ્ટ ‘યજ્ઞ પ્રકાશન સમિતિ’ના નામનો મોકલવો. સંપર્ક : Yajna Prakashan Samiti, Huzaratpaga, VADODARA – 390 001. Telephone : 0265 – 2437957.

Loading

Dharma Saame Savaalo Kare Tene Dhamkaavavaanaa ?

તેજસ વૈદ્ય|Opinion - Opinion|9 September 2015

ધર્મ સામે સવાલો કરે તેને ધમકાવવાના?

અંધશ્રદ્ધા નાબૂદ થાય એમ ધર્મ અને સંસ્કૃિત નિસ્યંદિત-ઊજળા થાય છે. સમાજમાં બની બેઠેલા ધર્મ અને સમ્પ્રદાયના ઠેકેદારોને, ગ્લેમર-ગરાસિયા સંતસાધ્વીઓને એ મંજૂર હોતું નથી. કર્ણાટકના વિદ્વાન એમ. એમ. કાલબુરગી ધર્મ સામે સવાલો કરે તો તેના પૂતળાં સળગાવવામાં આવે છે અને ઘર પર હુમલા કરવામાં આવે છે. અંધશ્રદ્ધાની સામે આદુ ખાઈને પડેલા મહારાષ્ટ્રના નરેન્દ્ર દાભોળકર અને ગોવિંદ પાનસરેનું ઢીમ ઢાળી દેવામાં આવે છે. કાલબુરગીના મર્ડરની તપાસ ચાલી રહી છે, તેથી કોઈ સામ્પ્રદાયિક સંગઠન પર આરોપ મૂકવો ઉતાવળિયું ગણાય. તેમના અંગત વિવાદને લીધે તેમનું મર્ડર થયું હોઈ શકે. સવાલ એ પણ થાય કે બે વર્ષની અંદર જ કાલબુરગી, ગોવિંદ પાનસરે, અને નરેન્દ્ર દાભોળકરના મર્ડર એક સરખી જ મોડસ ઓપરેન્ડીથી થયા હોય તો દરેકનાં મર્ડર પાછળ કોઈ અંગત કારણ હોય એ વાત ગળે ઊતરે એવી નથી. ઈશારો ધર્મના રખેવાળ બની બેઠેલા સામ્પ્રદાયિક સંગઠનો પર જાય એ સ્વાભાવિક છે

૩૦ ઓગસ્ટે કર્ણાટકના ધારવડ જિલ્લાના કલ્યાણનગરમાં રહેતા કન્નડ વિદ્વાન એમ. એમ. કાલબુરગીનાં ઘરનો દરવાજો સવારે આઠ ચાલીસે ખખડયો. કાલબુરગીએ કહ્યું, "કોણ?" ખખડાવનારે કહ્યું, "તમારો સ્ટુડન્ટ છું." કાલબુરગીએ દરવાજો ઉઘાડયો એટલે ગોળીઓ વીંઝીને તેમનું ઢીમ ઢાળી દેવામાં આવ્યું.

સહનશક્તિને અહંકારનો કાટ ચડયો છે

એમ. એમ. કાલબુરગીએ અંધવિશ્વાસ અને મૂર્તિપૂજા સામે સવાલો ઉઠાવ્યા હતા. કાલબુરગીએ એક કાર્યક્રમમાં અંધશ્રદ્ધા વિરુદ્ધનાં બિલનું જાહેરમાં સમર્થન કર્યું હતું એ પછી કેટલાંક લોકોએ તેમનાં ઘરમાં કાચની બોટલો ફેંકી હતી અને મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. તેમનું પૂતળું સળગાવવામાં આવ્યું હતું. એક વર્ષ અગાઉ એક ટોળું તેમનાં ઘરની બહારથી તેમનો હુરિયો બોલાવતું નીકળ્યું હતું. કાલબુરગીને મારી નાખવાની ધમકીઓ વારંવાર મળતી હતી એ ધ્યાનમાં લઈને ત્યાંની રાજ્ય સરકારે તેમને પોલીસ સુરક્ષા આપવાની તજવીજ કરી હતી. કાલબુરગીએ એ સુરક્ષા લેવાની ના પાડી દીધી હતી. તેમણે કહ્યું હતું કે મને મોતનો ડર નથી.

એમ. એમ. કાલબુરગીએ ધર્મની સામે કેટલીક કોમેન્ટ તોછડાઈપૂર્વક કરી હતી, જે તેમણે નહોતું કરવું જોઈતું, પરંતુ એ એકલદોકલ કોમેન્ટને બાદ કરો તો એ માણસે કન્નડ સાહિત્યમાં જે કામ કર્યું છે એ બેન્ચમાર્ક વર્ક ગણાય છે, વળી કોઈ માણસ ધર્મની વિરુદ્ધમાં અણછાજતી કોમેન્ટ કરે તો એને મારી નાખવાનો પરવાનો કયા ધર્મે આપ્યો છે? કમસે કમ હિંદુ ધર્મે તો આપ્યો જ નથી. શિશુપાલ જેવા શિશુપાલની ૧૦૦ ગાળ તો ભગવાન કૃષ્ણ પણ પચાવી ગયા હતા.

કાલબુરગીનાં પ્રદાન વિશે વાત કરીએ તો ૭૭ વર્ષનાં જીવનમાં તેમણે ૧૦૩ પુસ્તકો લખ્યાં અને ૪૦૦ કરતાં વધુ લેખ લખ્યા હતા. તેમણે કર્ણાટકની 'વચન' પરંપરાનું સંકલન કર્યું હતું, જેનો ૨૨ ભાષામાં અનુવાદ થયો હતો. વચન સાહિત્યનો તેમનો અભ્યાસ અદ્વિતીય હતો. કર્ણાટકમાં ૧૧મી સદી પછી બાસવ-બસેશ્વર, અક્કા મહાદેવી, સિદ્ધેશ્વર જેવા ૨૦૦ જેટલા સંતોએ કર્ણાટકની સંસ્કૃિત વિકસાવવામાં મહત્ત્વનું પ્રદાન કર્યું છે. તેમનું સાહિત્ય વચન સાહિત્ય તરીકે ઓળખાય છે. કાલબુરગીએ વચન સાહિત્યના પાંચ અભ્યાસગ્રંથ લખ્યા છે. સાંપ્રદાયિક પક્ષપાતથી ઉપર ઊઠીને તેમણે એ ગ્રંથ લખ્યા છે. કાલબુરગીના કામની નોંધ કેટલાંક એવોર્ડ દ્વારા લેવાઈ હતી. તેમને કેન્દ્રની મધ્યસ્થ અકાદમીનો એવોર્ડ પણ મળ્યો હતો, જો કે કાલબુરગીનો અભ્યાસ સ્થાપિત હિત ધરાવતા ત્યાંના લિંગાયત સમુદાયને માફક આવ્યા નહોતો. કાલબુરગી ખુદ લિંગાયત હતા. સ્થાપિત હિતો તેમની વિરુદ્ધ તક મળ્યે ઊહાપોહ મચાવ્યાં કરતાં હતાં અને મારી નાખવાની ધમકી આપતાં હતાં.

કાલબુરગીને તેમના ધાર્મિક વિચારો વ્યક્ત કરવા અંગે હિંદુ સંગઠનો દ્વારા લાંબા સમયથી ધમકીઓ મળતી હતી, તેથી તેમનાં મર્ડર માટે પ્રાથમિક ધોરણે કેટલાંક સંગઠનો પર શંકાની સોય તકાય એ સ્વાભાવિક છે. તેમનાં મર્ડર બાદ બજરંગદળના એક નેતાએ ટ્વિટર પર ટ્વિટ કરીને ખુશી વ્યક્ત કરી હતી, પછી એ ટ્વિટ પાછું ખેંચી લીધું હતું.

આ લખાઈ રહ્યું છે ત્યાં સુધી કાલબુરગીનું મર્ડર કોણે કર્યું છે એ હજી તપાસમાં બહાર આવ્યું નથી. ધાર્મિક સંગઠનો ઉપરાંત તેમના પારિવારિક તેમ જ મિલકતનો વિવાદ પણ મર્ડર માટે જવાબદાર હોઈ શકે છે, તેથી પોલીસ આવા ત્રણેક મુદ્દાને કેન્દ્રમાં રાખીને તપાસ કરી રહી છે. પોલીસની તપાસમાં સત્ય બહાર ન આવે ત્યાં સુધી કાલબુરગીનાં મર્ડર માટે ધાર્મિક સંગઠનો જ જવાબદાર છે એવું કહેવું કે માની લેવું ઉતાવળિયું કે વધારે પડતું ગણાશે.

બે ઘડી એ શંકાને બાજુ પર મૂકી દઈએ કે કાલબુરગીનાં મર્ડર પાછળ સાંપ્રદાયિક સંગઠનનો હાથ નથી, પણ એવાં સંગઠનો તેમને છેલ્લા કેટલા ય વખતથી મારી નાખવાની ધમકી આપતાં હતાં. તેમનાં ઘર પર બોટલો ફેંકતાં હતાં. તેમનાં પૂતળાં બાળતાં હતાં. એ કયા લેવલે વાજબી હતું? દેશનાં કયાં બંધારણે અને હિંદુસ્તાનની પરંપરાના કયા ધર્મે તેમને એવી છૂટ આપી હતી? ધારો કે તપાસમાં એવું બહાર આવે કે તેમનું મર્ડર અન્ય કોઈ વિવાદને લીધે થયું છે પણ ધાર્મિક સંગઠનોએ તેમના પર ત્રાસ ગુજારવામાં કંઈ બાકી નહોતું રાખ્યું એ પણ એટલું જ સાચું છે.

પરંપરા અને સંસ્કૃિતને અભડાવતાં સ્થાપિત હિતો

જગતનો કોઈ ધર્મ ક્યારે ય એટલો સંકુચિત નથી હોતો કે કોઈ તેની વિરુદ્ધમાં બોલે તો એ ધર્મ દુભાઈ જાય કે એના પર આફત આવી જાય. જો ધર્મ એટલા સંકુચિત હોત તો સદીઓ વીતી જવા પછી એ ધર્મો આજે અસ્તિત્વમાં જ ન હોત. હિંદુસ્તાન પર શકો, હૂણો, પોર્ટુગીઝો, મોગલોથી માંડીને છેક અંગ્રેજોએ હુમલા કર્યા અને રાજ કર્યાં છતાં પણ ભારતીય સંસ્કૃિતની રોશની અકબંધ છે, કારણ કે એના વિચારો બળવત્તર છે. આપણી સંસ્કૃિતના જે વિચારો ટકી રહ્યા છે એ કોઈ ધાર્મિક સંગઠનોને લીધે નથી ટક્યા. સંગઠનોએ તો ઊલટાના એને વાડામાં બાંધવાના પ્રયાસ કર્યા છે.

બુદ્ધ જેવા બુદ્ધના વિચારોને ભારતમાં નાબૂદ કરવાના ઢગલા પ્રયાસ થયા. બુદ્ધના વિચારો ભારતની બહાર જઈને શ્રીલંકા, ચીન, જાપાન, થાઇલેન્ડ, ઇન્ડોનેશિયામાં ઊગ્યા. વિપશ્યના જેવી ધ્યાનસાધના બુદ્ધની દેન છે, એ ભારતનો વારસો છે છતાં આજે આપણે એ વારસો વાયા વિદેશ થઈને મેળવવો પડે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે વ્યક્તિ રહે કે ન રહે પણ એનો વિચાર કાળજયી હોય તો એ સમય વર્તે બાહુબલી થઈને ઊગી નીકળે છે.

જગતનો કોઈ ધર્મ એવું ન કહી શકે કે જે અમારા ધર્મની સાથે નથી એ સામે છે, જે અમારા ધર્મ સાથે સહમત નથી એને ધમકાવવાના, એના ઘર પર બોટલો ફેંકવાની, પૂતળાં સળગાવવાં કે મર્ડર કરી નાખવું. જે લોકો ધર્મની ઓથ લઈને એના બચાવ માટે આવું કરે છે એ ધર્મને અભડાવે છે, દૂષિત કરે છે. એ ધર્મને જંગલના કાનૂનમાં ખપાવે છે. કોઈ ધર્મ ક્યારે ય કોઈને એવો ઠેકો આપતો જ નથી. જે લોકો આવી હિંસક ઘટનામાં સીધેસીધા સામેલ નથી હોતાં પણ મનોમન ખુશ થાય છે એ લોકો પણ એના મૂક સમર્થકો છે. આ મૂક સમર્થકોને લીધે જ ધર્મ અને સંપ્રદાયનાં સ્થાપિત હિતો વધુ ફૂલેફાલે છે. સાથે એ પણ કહેવું રહ્યું કે જે લોકોને આ પ્રકારની ઘટનાઓ પસંદ નથી એ લોકો આવી ઘટના વખતે માત્ર સંવેદના પ્રગટ કરીને ચૂપ રહે છે ત્યારે તેમની ચૂપકીદી પણ એટલી જ જવાબદાર છે. તેઓ નથી બોલવાના એવો ભરોસો હોવાથી સ્થાપિત હિતો પોતાનું કામ કર્યે જાય છે.

હિંદુ ધર્મ તો ક્યારે ય આવો સાંકડો હતો જ નહીં અને હશે પણ નહીં, જો હિંદુ ધર્મ સામે સવાલ ઉઠાવવાનો કોઈને હક ન હોય અને વિરોધ કરે એને ગોળીએ ઝીંકી દેવાના હોય તો પછી ગાર્ગી અને મૈત્રેયીનું પણ મર્ડર જ થઈ ગયું હોત. એ બંનેએ તો યાજ્ઞાવલ્ક્ય જેવા ઋષિને સવાલો પૂછીને મૂંગા કરી દીધા હતા.

કૃષ્ણે અર્જુનને કહ્યું હતું કે મને તમામ ભક્તોમાં બુદ્ધિમાન ભક્ત સૌથી વધુ પ્રિય છે. મતલબ કે માત્ર ટીલાંટપકાં કરીને શીશ નમાવી જાણનારા ભક્ત કરતાં ઈશ્વરને બૌદ્ધિક રીતે મૂલવતા ભક્ત વધુ પ્રિય છે. બુદ્ધિમાન હોવું એનો મતલબ એ છે કે તર્ક કરી જાણવો. તર્કનો મતલબ એ પણ છે કે ક્યાંક અસહમતી હોવી કે પ્રગટ કરવી. અસહમતી પ્રગટ કરવી એ જ બંને પક્ષને વધુ મનદુરસ્ત કરે છે. ભારતીય દર્શનપરંપરાની ધરી જ એ છે. કોઈ વિરોધીને લીધે જો ધર્મ દુભાઈ જતો હોય તો એ ધર્મ તો પાંગળો જ હોવાનો.

જો કાલબુરગીનાં પૂતળાં સળગાવીને તેનાં ઘર પર ડર પાથરી દેવાથી, નરેન્દ્ર દાભોળકર કે ગોવિંદ પાનસરેનું મર્ડર કરવાથી ધર્મ વધુ સમૃદ્ધ થતો હોય તો એવાં લોકોને વીણી વીણીને શૂળીએ ચડાવી દેવાં જોઈએ. ખરેખર તો ધર્મનું અપમાન પાખંડી, દંભી, વ્યભિચારી, કાળા નાણાધારી, ગ્લેમર-ગરાસિયા બાવા અને બાવીઓને લીધે થાય છે. દેશમાં આજે એ પ્રકારના બાવા-બાવીઓના રાફડા ફાટયા છે, એની સામે કેમ કોઈ ધર્મપ્રેમીઓનો મોરચો મંડાતો નથી એ એક સવાલ છે, વળી આવાં કૌભંડી સાધુ-સાધ્વીઓ સામે જ્યારે કાયદાકીય કાર્યવાહી થાય છે ત્યારે એના ભક્તજનોનાં ટોળેટોળાં કાયદાની પ્રક્રિયાને રૂંધે છે.

બે વર્ષ પછી પણ દાભોળકર મર્ડરની તપાસનું પરિણામ શૂન્ય!

અંધશ્રદ્ધા સામે બંડ પોકારનારા એમ. એમ. કાલબુરગીનાં માથે માછલાં ધોવાયાં હતાં, તો નરેન્દ્ર દાભોળકર, ગોવિંદ પાનસરે જેવાં લોકોની હાલત શું થઈ હતી? નરેન્દ્ર દાભોળકરનું મર્ડર કોણે કર્યું છે એ આજ સુધી બહાર નથી આવી શક્યું? વળી નરેન્દ્ર દાભોળકર, પાનસરે, કાલબુરગી આ તમામનાં ખૂન થયાં છે. આ દરેક અંધશ્રદ્ધાની સામે કામ કરી રહ્યા હતા. માની લઈએ કે કદાચ કાલબુરગીનાં મર્ડર પાછળ પારિવારિક કે મિલકતનો વિવાદ જવાબદાર હોઈ શકે પણ શું આ દરેકનાં મર્ડર પાછળ પણ એવો જ વિવાદ જવાબદાર હોઈ શકે ખરો? જે રીતે આ પ્રકારનાં લોકોનાં મર્ડર થઈ રહ્યાં છે એ પેટર્ન જ દર્શાવે છે કે તેઓ જીવતા રહે એ ધર્મના બની બેઠેલા ઠેકેદારો અને સંપ્રદાયના એજન્ટોને ખપતું નહોતું. અંધશ્રદ્ધા નાબૂદ થાય તો તેમની કર્મકાંડી હાટડીઓ બંધ થઈ જાય!

મહારાષ્ટ્ર અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિના નરેન્દ્ર દાભોળકરનું મર્ડર બે વર્ષ પહેલાં ઓગસ્ટ ૨૦૧૩માં પૂણેમાં ધોળે દહાડે થયું હતું. આજ સુધી એની તપાસમાં કોઈ પ્રગતિ જોવા મળી નથી, જે રીતે દાભોળકર મર્ડર કેસની તપાસ ચાલી રહી છે એ વિશે બે ઓગસ્ટે હાઈકોર્ટે પણ નારાજગી વ્યક્ત કરી હતી. કેસ ગયા વર્ષે જ સી.બી.આઈ.ને સોંપાઈ ગયો હોવા છતાં સી.બી.આઈ.એ હજી સુધી કોઈ તપાસ-રિપોર્ટ કેમ નથી સબમિટ કર્યો? એવો સવાલ બોમ્બે હાઈકોર્ટે પૂછયો હતો. બે વર્ષ પછી પણ નરેન્દ્ર દાભોળકરના હત્યારાની કોઈ વિગત મળી નથી. દાભોળકરની હત્યાને એ વખતે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન પૃથ્વીરાજ ચૌહાણે મહારાષ્ટ્ર માથે કાળા ટીલાં સમાન ગણાવી હતી. પોલીસને તપાસમાં આકાશપાતાળ એક કરી દેવાનું સૂચન કર્યું હતું. બે વર્ષ પછી પણ પરિસ્થિતિ એ છે કે મર્ડર કોણે કર્યું છે એ ખબર નથી!

મહારાષ્ટ્રના ટોચના કોમરેડ નેતા તેમ જ દાભોળકરની જેમ જ અંધશ્રદ્ધા નિર્મૂલન સામે આદુ ખાઈને પડેલા ગોવિંદ પાનસરેની પણ આ વર્ષે ફેબ્રુઆરીમાં હત્યા કરી દેવામાં આવી હતી. દાભોળકર અને પાનસરે બંનેને મોડર્ન વિચારસરણીના વિરોધી એવાં કટ્ટરવાદી ધાર્મિક સંગઠનો તરફથી મોતની ધમકીઓ મળતી હતી. દાભોળકર અને પાનસરે બંનેનાં મર્ડરની મોડસ ઓપરેન્ડી સરખી હતી.

મુદ્દો એ છે કે રાજ્યની સરકાર સઘન પોલીસ તપાસના આદેશ આપે એ પછી બબ્બે વર્ષ સુધી પણ કોઈ પરિણામ ન હોય અને કોર્ટ નારાજગી વ્યક્ત કરે ત્યારે તેમના મર્ડર પાછળ ચોક્કસ જૂથ જવાબદાર હોવાની શંકા મજબૂત થવા માંડે છે. સરકાર માત્ર તપાસ સોંપે છે, એ કેસના ઉકેલ માટે સક્રિયતા દર્શાવતી નથી એ દુ:ખદ છે. આમાં કોઈ એક રાજકીય પક્ષનો વાંક નથી, દરેક રાજકીય પક્ષને આ વાત લાગુ પડે છે. સરકાર તપાસમાં સક્રિયતા એટલા માટે નથી દાખવતી કે તે કેટલાક મોટા ચોક્કસ વર્ગની ખફગી વહોરવા માગતી હોતી નથી. રાજકારણનું આ જે પોચટ સ્વરૂપ છે એ કેટલાંક હિંસક લોકોને બળ પૂરું પાડે છે. એ હિંસક લોકો કેટલાંક લોકોને ધમકાવે કે ફૂંકી મારે કે બે અલગ જાતિના યુવક-યુવતીને પ્રેમલગ્ન કરતાં અટકાવે કે કોઈ ચોક્કસ જાતિનાં લોકોને જાહેરમાં ફટકારે ત્યારે એ ઘટના ભલે એકલદોકલ હોય પણ એનો મેસેજ સમગ્ર સમાજને માટે હોય છે કે તમારે અમે નક્કી કરેલી મર્યાદામાં રહેવાનું છે, બંધારણ તો પોથી માત્ર છે, તેથી જ કોઈ પાનસરે કે દાભોળકરનું મર્ડર થાય છે ત્યારે એક ધમકીભર્યો મેસેજ સામાજિક સરોકાર ધરાવતાં તમામ લોકોને મળે છે કે તમારે મર્યાદારેખા ઓળંગવાની નથી. તપાસની નિષ્ક્રિયતા એમાં આંખ આડા કાનની સહાયક ભૂમિકા ભજવે છે.

વિચારો આજે સતીપ્રથા અને બાળકીને દૂધપીતી કરવાનો રિવાજ હોત તો?

અંધશ્રદ્ધા જેમ નાબૂદ થાય તેમ ધર્મ અને પરંપરા નિસ્યંદિત થાય છે. કોઈ પરંપરાને લલકારે એ ખૂંચે પણ લાંબા ગાળે એ આપણી પરંપરા માટે ફાયદાનો સોદો છે. બાળકીને દૂધપીતી કરવાના રિવાજને, બાળલગ્ન કે સતીપ્રથા આજે પણ અસ્તિત્વમાં હોત તો સમાજની શું હાલત હોત?

દયાનંદ સરસ્વતીએ અંધશ્રદ્ધાનો વિરોધ કર્યો હતો. મહિલાઓના સમાન અધિકાર, વિધવા વિવાહ સહિત અનેક બાબતોના હિમાયતી હતા. એના માટે તેમણે નક્કર પ્રયાસ કર્યા હતા. તેમણે પણ મૂર્તિપૂજાનો વિરોધ કર્યો હતો પણ તેમનો ભારતીય સંસ્કૃિત અને વેદનો અભ્યાસ બેસુમાર હતો. હિંદુ ધર્મનાં પુનરોથ્થાનના તેઓ પ્રહરી હતી. ભારતીય સંસ્કૃિતના દીર્ઘ અભ્યાસી અને તત્કાલીન રાષ્ટ્રપતિ એસ. રાધાકૃષ્ણને દયાનંદ સરસ્વતીને મોડર્ન ભારતના ઘડવૈયા પૈકીના એક ગણાવ્યા હતા. દયાનંદ સરસ્વતીના વિચારો એ જમાનામાં ખૂબ એડવાન્સ હતા. તેઓ કોઈની પણ સાડાબારી રાખ્યા વગર પોતાનો વિચારઝંડો લઈને નીકળી પડ્યા હતા. તેમને પણ ધર્મના ઠેકેદારોએ ખૂબ પરેશાન કર્યા હતા. દયાનંદ સરસ્વતીને પણ ઝેર ભરેલો દૂધનો કટોરો પીવડાવી દેવામાં આવ્યો હતો. દયાનંદ સરસ્વતી તો ત્યારે મરી ગયા પણ તેના વિચારો આજે ય જીવંત છે. દયાનંદ સરસ્વતીની જેમ કબીરને રંજાડવામાં પણ કોઈ કચાશ રાખવામાં આવી નહોતી. તેમના વિચારો તેમના દોહારૂપે આજે ભારતની બહાર નીકળીને અનેક દેશો સુધી પહોંચ્યા છે, જે રીતે કાલબુરગીને ધમકાવવામાં આવ્યા હતા કે દાભોળકર-પાનસરેના મર્ડર થયાં છે એ જોતાં સવાલ એ પણ થાય કે દયાનંદ સરસ્વતી કે કબીર જો હોત તો આજે તેમની પણ એ જ હાલત થાત. લોકો તેમનાં પૂતળાં સળગાવતાં હોત, તેમનું મર્ડર પણ કદાચ થઈ ગયું હોત. મર્ડર પછી કેટલાંક ધર્મકટ્ટર લોકોએ ટ્વિટર પર ખુશી વ્યક્ત કરી હોત!

જો કે દાભોળકર, પાનસરે કે કાલબુરગી સાથે જે થયું એના લીધે તો તેમના વિચારો વધુ બળવત્તર બન્યા છે. તેમના વિચારોને વેગ મળ્યો છે. વ્યક્તિ મરે છે, વિચાર નહીં.       

ફતવાઓની દુનિયા

ધર્મ અને સંપ્રદાયની બદીઓ કોઈ એક ધર્મને જ લાગુ નથી પડતી. જગતભરના મોટા ભાગના ધર્મમાં કેટલાક બની બેઠેલા રખેવાળો એ ધર્મને દૂષિત કરતા જ હોય છે. મુસ્લિમ લેખકો તસલિમા નાસરીન અને સલમાન રશ્દીની હાલત કટ્ટરપંથીઓએ કેવી કરી હતી? બાંગ્લાદેશી લેખિકા તસલિમા નાસરીનની રચનાઓમાં નારીવાદી વિચારો મુક્ત રીતે રજૂ થાય છે. ૧૯૯૩માં તેમણે 'લજ્જા' નામની નવલકથા લખી હતી. એને લીધે ત્યાંના ઇસ્લામિક કટ્ટરવાદીઓનાં પેટમાં પેટ્રોલ રેડાયું. તેણે નવલકથામાં સામ્પ્રદાયિક હિંસાનાં જે વર્ણન કર્યા એને લીધે કટ્ટરવાદીઓને લાગ્યું કે આ મહિલા ઇસ્લામનું ખોટું ચિત્રણ કરે છે. તેની નવલકથા પર તો પ્રતિબંધ મુકાયો પણ તેની હત્યા માટે ફતવો બહાર પાડવામાં આવ્યો હતો. તસલિમા નાસરીને ત્યાંથી ભાગવું પડયું હતું. ૧૯૯૪થી આજ સુધી તસલિમા નાસરીન સતત ભાગેડુ જીવન વિતાવે છે. આવું જ સલમાન રશ્દી સાથે થયું. તેની નવલકથા 'શેટનિક વર્સિસ'નો ઘણા દેશમાં મુસ્લિમોએ વિરોધ કર્યો. ૧૯૮૯માં તો ઈરાનના અયાતોલ્લાહ ખોમૈનીએ મોતનો ફતવો જાહેર કર્યો હતો. એના માટે ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું. અંદાજે દશેક વર્ષ સુધી સલમાન રશ્દીએ સંતાઈ સંતાઈને રહેવું પડયું હતું.

સલમાન રશ્દી કે તસલિમા નસરીન સાથે અસહમત હોવું એ કોઈ ખોટી વાત નથી. તેમની સામે બેશક વાંધો હોઈ શકે પણ તેનાં મોત માટે ફતવો બહાર પાડવો ક્યાંનો ન્યાય છે?

e.mail : tejas.vd@gmail.com

સૌજન્ય : ‘છપ્પનવખારી’ નામક લેખકની કૉલમ, “સંદેશ”, 09 સપ્ટેમ્બર 2015

http://www.sandesh.com/article.aspx?newsid=3121359

Loading

...102030...3,7513,7523,7533,754...3,7603,7703,780...

Search by

Opinion

  • એક સરકારી કર્મીનો પ્રેમપત્ર
  • બંધારણ – દેશનું દર્પણ, દેશની ઓળખ, દેશની શોભા  
  • નથુરામનું ‘હુતાત્મા’ પદ અને કુરુંદકરનો તર્ક
  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ
  • ઝાંઝવાનાં જળ

Diaspora

  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved