Opinion Magazine
Number of visits: 9664749
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કેક પરની મીણબત્તી હોલવવાની જ હતી, તો સળગાવી કેમ?

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|24 February 2025

રવીન્દ્ર પારેખ

21 ફેબ્રુઆરીએ વિશ્વ માતૃભાષા દિવસ ગયો. આમ તો વિશ્વની માતૃભાષા એક ન હોય ને હોય તો તે મૌન હોય, પણ એ દિવસે બહુ બોલાયું ને એમાં સાચો અવાજ દબાઈ પણ ગયો. જો કે, ગુજરાતની માતૃભાષા ગુજરાતી હોવા અંગે શંકા એટલે છે, કારણ શિક્ષણ વિભાગે જે નીતિ અપનાવી છે એ જોતાં તો સ્કૂલોમાં ગુજરાતી નહીં ટકે એમ બને. છેલ્લાં ત્રણ વર્ષના આંકડા જોઈએ તો ગુજરાતી માધ્યમની 475થી વધુ માધ્યમિક શાળાઓનાં કાયમી ધોરણે શટર્સ પડી ગયાં છે. 2022થી 2024 સુધીમાં અનુક્રમે 250, 155 અને 70થી વધુ સ્કૂલો બંધ થઈ છે. એને માટે સરકાર જેટલા જ વાલીઓ પણ જવાબદાર છે. કમનસીબી એ છે કે અલ્પ શિક્ષિત કે અભણ વાલી પણ તેનું બાળક અંગ્રેજીમાં જ ભણે એવી ઘેલછાથી પીડાય છે, એવી ઘેલછા ભલે હોય, પણ એટલી કાળજી ગુજરાતી માટે લેવાતી નથી, એટલે જ કદાચ 2022માં ગુજરાતી વિષયમાં 6,64,553 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી અને 1,18,623 વિદ્યાર્થીઓ નાપાસ થયા. એ જ રીતે 2023માં ગુજરાતીમાં 6,25,290માંથી 1,16,286 અને 2024માં 5,83,718માંથી 46,178 વિદ્યાર્થીઓ નાપાસ થયા. એ ખરું કે નાપાસ થનારની સંખ્યા ઉત્તરોત્તર ઘટતી આવે છે, પણ ગુજરાતીમાં પરીક્ષા આપનારની સંખ્યામાં પણ સતત ઘટાડો નોંધાયો છે. એનો અર્થ એ થયો કે ગુજરાતી સાથે પરીક્ષા આપનારા ઘટતા જ આવે છે. ગુજરાતની સરકારી સ્કૂલોમાં બે વર્ષમાં પ્રવેશ 90.9 ટકાથી ઘટીને 86.5 ટકા થયો છે. આ ગતિ રહી તો જતે દિવસે ગુજરાતમાં ગુજરાતી ભણનારા નહીં રહે એમ બને. વારુ, 475 બંધ થઈ એની સામે ગુજરાતી માધ્યમની શરૂ થયેલી નવી શાળાઓ 230 જ છે, બીજી તરફ અંગ્રેજી માધ્યમની 75 સ્કૂલો બંધ થઈ છે ને એની સામે નવી સ્કૂલો 180 શરૂ થઈ છે. એનો અર્થ થયો કે અંગ્રેજીની તુલનામાં ગુજરાતી સ્કૂલો વધુ ને વધુ બંધ થઈ રહી છે.

વળી જે ગુજરાતી ભણી રહ્યા છે એ કવુંક ભણી રહ્યા છે એ પણ જોવા જેવું છે. એન્યુઅલ સ્ટેટસ ઓફ એજ્યુકેશન રિપોર્ટ-2024 મુજબ ગુજરાતના ગ્રામ વિસ્તારનાં ધોરણ 5નાં 53.7 ટકા બાળકો ધોરણ 2નાં પુસ્તક વાંચી શકતાં નથી. ધોરણ 8ની વાત કરીએ તો 75.9 ટકા બાળકો ધોરણ 2નું પુસ્તક વાંચી શકે છે, એનો અર્થ એવો પણ થાય કે ધોરણ 8નાં 24.1 ટકા બાળકો, ધોરણ 2નું પુસ્તક વાંચી પણ શકતાં નથી અને 8માં ધોરણમાં પહોંચી ગયાં છે. આંકડામાં ન પડીએ તો પણ ગુજરાતી ભણતા વિદ્યાર્થીઓની ભાષાકીય સજ્જતા દયનીય છે.

એવું નથી કે સરકાર આ મામલે કૈં કરતી નથી. પ્રયત્નો તો થાય છે, પણ કેવાક થાય છે, તે જોઈએ.

નવી શિક્ષણ નીતિ સાથે સરકારી કે ગ્રાન્ટેડ સ્કૂલોમાં ભણતા વિદ્યાર્થીઓ હાઈટેક બનીને સ્માર્ટ ક્લાસમાં ભણી શકે એટલે રાજ્યના સમગ્ર શિક્ષા વિભાગ દ્વારા એક જ્ઞાનકુંજ પ્રોજેક્ટ શરૂ કરાયો. આમ તો આ ‘જ્ઞાન’નું શિક્ષણ વિભાગને વળગણ છે, એટલે જ્ઞાન સહાયક, જ્ઞાન સાધના, જ્ઞાનસેતુ, જ્ઞાનકુંજ, જ્ઞાનશક્તિ જેવાં સ્ટિકર્સ ચોંટાડ્યાં કરે છે, પણ ‘જ્ઞાન’ની આગળ ‘અ’ સાઇલન્ટ છે તેની ખબર તો આપણને મોડી મોડી પડે છે. તો, એ જ્ઞાનકુંજ પ્રોજેક્ટ અંતર્ગત સુરત જિલ્લામાં આવેલી 8 ગ્રાન્ટેડ પ્રાથમિક સ્કૂલોમાં 50થી વધુ વર્ગોમાં સ્માર્ટ ક્લાસ માટે ટી.વી. સિસ્ટમ ઇન્સ્ટોલ કરવામાં આવી. એમાં પ્રાઈમરીની 4 સ્કૂલો કામરેજની, બે સ્કૂલો માંગરોળની અને બે સ્કૂલો પલસાણાની હતી. આનો લાભ ત્રણેક મહિના સુધી 1,500થી વધુ વિદ્યાર્થીઓ લઈ રહ્યા હતા ને સિસ્ટમને કારણે વિદ્યાર્થીઓ હોંશે હોંશે ભણતા પણ હતા. સરકારનો હેતુ કે વિદ્યાર્થીઓ સ્માર્ટ ક્લાસમાં ભણે તે પણ બર આવી રહ્યો હતો, ત્યાં જેણે આ વર્ગો શરૂ કરાવ્યા તે સમગ્ર શિક્ષા વિભાગ દ્વારા જ 12 ફેબ્રુઆરી, 2025 ને રોજ એવો પરિપત્ર બહાર પડાયો કે કોઈ પણ સ્કૂલમાં જૂની યાદી મુજબ સ્માર્ટ ક્લાસ બન્યા હોય તો તેને બદલે નવી સુધારેલી યાદી મુજબની સ્કૂલોમાં સ્માર્ટ ક્લાસ ઇન્સ્ટોલ કરવા અને જૂની યાદી મુજબ ઇન્સ્ટોલ થયેલ સિસ્ટમ પરત કરવી. આવો ઓર્ડર જિલ્લા શિક્ષણાધિકારી, પ્રાથમિક શિક્ષાધિકારીને કરાયો. તઘલખી ઉતાવળ તો એટલી કે જૂની સ્કૂલોમાંથી સ્માર્ટ ક્લાસની સિસ્ટમ ડિ-ઇન્સ્ટોલ કરવાનો કોન્ટ્રાક્ટ પણ કોઈ એજન્સીને સોંપી દેવાયો. એજન્સીના ટેક્નિશિયનો ડિ-ઈન્સ્ટોલેશન માટે ગયા તો સ્કૂલ સંચાલકોએ તેમને અટકાવ્યા ને ડિ-ઇન્સ્ટોલેશનની ચોખ્ખી ના પાડી દીધી.

મામલો સુરત જિલ્લા શિક્ષણાધિકારી પાસે પહોંચતા, તેમણે આદેશને વશ થઈને પરિપત્ર કરી સ્માર્ટ  ક્લાસની ડિ-ઇન્સ્ટોલેશનની કામગીરી કરવા દેવાનો શાળાઓને આદેશ કર્યો, પણ સ્કૂલ સંચાલકો ગાંઠ્યા નહીં. ડિ-ઇન્સ્ટોલેશનની ફરી ના પાડી. મામલો છેવટે રાજ્ય શિક્ષણ મંત્રી પાસે પહોંચ્યો ને અહીં પણ હજી કોઈ નિવેડો આવ્યો નથી. સ્કૂલ સંચાલકોનું કહેવું છે કે ત્રણ મહિનાથી, 50 વર્ગોમાં 6થી 8 ધોરણના 1,500થી વધુ વિદ્યાર્થીઓ સારી રીતે ભણી રહ્યા છે, ત્યારે આ ડિ-ઈન્સ્ટોલેશન કોઈ રીતે યોગ્ય નથી. આ સિસ્ટમ ઇન્સ્ટોલ કરવામાં સ્કૂલોને પાંચેક લાખનો ખર્ચ થયો છે. આ સ્કિમ વિદ્યાર્થીઓને આશીર્વાદરૂપ સાબિત થઈ છે, ત્યારે સિસ્ટમ પરત લેવાનો નિર્ણય દુ:ખદ છે ને તેની વિદ્યાર્થીઓ પર વિપરીત અસર થઈ શકે એમ છે.

આ મામલે જિલ્લા શિક્ષણાધિકારીશ્રીનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું કે રાજ્યના સમગ્ર શિક્ષા વિભાગ દ્વારા આદેશ થયો તે મુજબ પરિપત્ર કરીને સ્કૂલોને સિસ્ટમ પરત કરવા કહ્યું, પણ ટેક્નિશિયનોને સિસ્ટમ પરત કરવાની શાળા સંચાલકોએ ના પાડી તો ફરી પરિપત્ર કરીને સ્કૂલોને સિસ્ટમ પરત કરવા આગ્રહ કરાયો, તો સંચાલકોએ વિદ્યાર્થીઓના લાભમાં આ સિસ્ટમ હોવાનું જણાવી, તે ઇન્સ્ટોલ કરવામાં પાંચેક લાખનો ખર્ચ કરાયો હોવાની વાત આગળ કરી. આ વાત ધ્યાને લઈને જિલ્લા શિક્ષણાધિકારીશ્રીએ પણ રાજ્યના સમગ્ર શિક્ષા વિભાગને વિદ્યાર્થીઓનાં હિતની અને થયેલ ખર્ચની રજૂઆત કરી છે. આશા છે આનો સુખદ ઉકેલ આવશે.

પણ, આ આખી ઘટના તરફ ફરી નજર નાખવા જેવી છે. લેખની શરૂઆતમાં વિદ્યાર્થીઓ ગુજરાતી નથી શીખતા અને બોર્ડની પરીક્ષામાં હજારોની સંખ્યામાં નાપાસ થાય છે તે જોયું, તો જેમને ગુજરાતી ભણવાનું થયું છે તે ધોરણ 8ના વિદ્યાર્થીઓ બીજા ધોરણનું પુસ્તક પણ વાંચી નથી શકતા તે પણ જોયું. એવામાં વિદ્યાર્થીઓને સ્માર્ટ ક્લાસનો અનુભવ મળે એનો પ્રશસ્ય પ્રયત્ન સમગ્ર શિક્ષા વિભાગ કરે છે ને તેનું સારું પરિણામ પણ મળે છે, તો તે ચાલુ રાખવાને બદલે થાય છે શું, તો કે સમગ્ર શિક્ષા વિભાગ ફતવો બહાર પાડીને સ્માર્ટ ક્લાસ માટે ઇન્સ્ટોલ થયેલ સિસ્ટમ ડિ-ઇન્સ્ટોલ કરવાની વાહિયાત વાત કરે છે. કેમ? તો, કે એ સિસ્ટમ બીજે ઇન્સ્ટોલ થઈ શકે. તો, સવાલ એ થાય કે અહીં થાય તો વાંધો શું? આ વિદ્યાર્થીઓનો શો વાંક છે કે તેમને મળતા લાભથી વંચિત કરવા પડે?

વારુ, આ સિસ્ટમ ઇન્સ્ટોલ કરવાની વાત શાળા સંચાલકો કે વિદ્યાર્થીઓએ સમગ્ર શિક્ષા વિભાગને અગાઉ કરી નથી. કોઈએ વિભાગને ચોખા મૂક્યા નથી કે કોઈએ વિનંતી કરી નથી ને વિભાગને પોતાને જ આઠ સ્કૂલોમાં સિસ્ટમ ઇન્સ્ટોલ કરવાની ઈચ્છા થઈ ને સિસ્ટમ ઇન્સ્ટોલ કરી. વળી એ કરતી વખતે કોઈ સૂચના આપવામાં નથી આવી કે આ યોજના કાયમી નથી ને ત્રણ મહિને, જ્યારે 1,500 વિદ્યાર્થીઓ એનાથી ટેવાવા લાગ્યા છે, ત્યારે જ શેખચલ્લીની જેમ સમગ્ર શિક્ષા વિભાગ ડોકું ધૂણાવીને નન્નો ભણે છે ને સિસ્ટમ પરત લેવાના હુકમો બહાર પાડે છે. સમગ્ર શિક્ષા વિભાગનું આ પગલું સમગ્ર રીતે નકામું ને વખોડવા લાયક છે. કૈં પણ થઈ જાય શાળા સંચાલકોએ આ સિસ્ટમ ડિ-ઇન્સ્ટોલ ન જ કરવા દેવી જોઈએ. સુરતના જ રાજ્ય શિક્ષણ મંત્રી તેમના દરબારમાં આવેલ આ મામલાને સમભાવ અને સહનુભૂતિપૂર્વક જુએ તે અપેક્ષિત છે ને સાથે એ પણ જુએ કે શિક્ષા વિભાગ તરફથી આવા ફાલતુ ને અધકચરો નિર્ણય લેનારા અધિકારીઓ મનમાની ન કરે.

એ અત્યંત દુ:ખદ છે કે પ્રાઇમરી, મરી જવા તરફ સરકાર જ ધકેલે છે ….

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 24 ફેબ્રુઆરી 2025

Loading

ફૂલકા રોટલીની જેમ શેકાતી અને ચટણીની જેમ પીસાતી ‘મિસિસ’

રાજ ગોસ્વામી|Opinion - Opinion|23 February 2025

રાજ ગોસ્વામી

કોઈ ફિલ્મને લઈને જ્યારે બહુ ટીકા-ટિપ્પણ થાય, તેના વિરોધમાં અને તરફેણમાં ચર્ચાઓ થાય, તો માનવું કે એ ફિલ્મમાં કોઈ અગત્યનો મુદ્દો છેડવામાં આવ્યો હશે. એવું ત્યારે થાય જ્યારે ફિલ્મ મનોરંજન માટે નહીં, પણ એક સામાજિક સંદેશ માટે બનાવામાં આવી હોય.

અત્યારે આવી જ એક ફિલ્મ ચર્ચામાં છે. ફિલ્મનું નામ છે ‘મિસિસ’ છે અને તેમાં એક પુરુષસત્તાક પરિવારમાં પરણીને આવેલી સ્ત્રી રિચા(સાન્યા મલ્હોત્રા)ની મહત્ત્વાકાંક્ષાઓ, કેવી રીતે ઘરના પુરુષો(પતિ અને સસરા)ની સેવામાં “શહીદ” થઇ જાય છે તેની વાર્તા છે. 

આ ફિલ્મ આમ તો “સ્ત્રીની ફિલ્મ” લાગે છે. તેના મુખ્ય કિરદારમાં સ્ત્રી છે અને તેનું શીર્ષક પણ “મિસિસ” છે. ઉપરાંત, ફિલ્મની વાર્તાને પણ તેના મુખ્ય કિરદારની દૃષ્ટિએ પેશ કરવામાં આવી છે. વાસ્તવમાં આ પુરુષોની ફિલ્મ છે. આ ફિલ્મ પુરુષોએ જોવી જોઈએ. પરિવારોમાં પુરુષોની સત્તા હોય છે અને તેનાથી ઘરની સ્ત્રીઓ કેવી (જાણતાં કે અજાણતાં) અન્યાય થઇ જાય તેનાથી પુરુષોએ સભાન રહેવું જરૂરી છે.

પુરુષોના એક સંગઠને આ ફિલ્મ પર ટોક્સિક ફેમિનિઝમને પ્રોત્સાહન આપવાનો આરોપ લગાવ્યો છે. પુરુષોના અધિકારોની સંસ્થા સેવ ઇન્ડિયન ફેમિલી ફાઉન્ડેશને સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં લખ્યું છે કે, 

‘પુરુષો રેલવે સ્ટેશનો પર, બાંધકામનાં સ્થળો, પોલીસ સ્ટેશનોમાં, ફેક્ટરીઓમાં 8-9 કલાક કામ કરે છે. તેમાં, એક સુખી યુવતી રસોઈ બનાવતી વખતે, વાસણો અને કપડાં ધોતી વખતે અને તેના સસરાની સેવા કરતી વખતે સતામણી અનુભવે છે. મહિલાઓને એવું લાગે છે કે કામ કરવું એટલે એરકંડિશન્ડ ઓફિસોમાં બેસવું. તે કન્સ્ટ્રકશન સાઈટ કે રેલવે સાઈટ પર કામ કરવાને કામ માનતી નથી.’

જો કે, આ ફિલ્મને ચાહવા વાળા પણ ઓછા નથી. તેમણે આ વિરોધને વ્યર્થ ગણાવ્યો છે. એક ચાહકે પુરુષ સંગઠનને જવાબ આપ્યો હતો, ‘વાસ્તવિક જીવનમાં તેની કોઈ અસર તો પડવાની નથી, પછી તમને આ ફિલ્મથી આટલો ડર કેમ લાગે છે? અર્જુન રેડ્ડી જેવી હિંસક ફિલ્મોની વાત આવે ત્યારે એવું કહેવામાં આવે છે કે ફિલ્મો વાસ્તવિક જીવનમાં કોઈને અસર કરતી નથી. કલા એ કલા છે, દરેકને કલા બનાવવાની સ્વતંત્રતા છે. તો પછી ‘મિસિસ’માં શું ખોટું છે?’

કશું ખોટું નથી. આપણા સમાજની વિડંબના એ છે કે એક છોકરી પરણીને ઘરમાં આવે છે ત્યારે સાસરિયાઓને તેની પાસેથી ઘણી અપેક્ષાઓ હોય છે. તેઓ તેને એક માણસને બદલે એક મશીન સમજતાં હોય છે, જેણે દરેક કામ પરફેકટ રીતે કરવાનું હોય છે. આ વાત અસાધારણ નથી. ભારતમાં આજે પણ અનેક સાસરિયાંમાં વહુઓ સાથે આવો જ વ્યવહાર થાય છે. ભારતમાં સ્ત્રીઓના મોટાભાગના આપધાત પાછળ સાસરિયાંનું દુઃખ હોય છે.

‘મિસિસ”માં સાન્યા મલ્હોત્રાનું પાત્ર રિચાને એરેન્જ લગ્ન પછી લગ્નની, સંબંધોની અને સામાજિક-પારિવારિક અપેક્ષાઓ સાથે સંઘર્ષ કરતી બતાવવામાં આવી છે. લગ્ન પછી તેની રાત અને દિવસ પતિ અને પરિવારની સંભાળ રાખવામાં જાય છે. 

મૂળ આ મલયાલમ ફિલ્મ ‘ધ ગ્રેટ ઇન્ડિયન કિચન’ ફિલ્મની હિદી રીમેક છે. આ નામ સૂચક છે. ફિલ્મમાં, રિચા સવારે 4 વાગ્યે ઊઠે છે અને અડધો દિવસ રસોડામાં વિતાવે છે. એ પછી પણ  તેને ખબર નથી કે તે ક્યારે પગ વાળીને બેસશે કારણ કે ત્યાં સુધીમાં તો સાંજના ખાવાની તૈયારીનો સમય થઇ ગયો હોય છે. એમાં ને એમાં રાતના 12 વાગી જાય છે. ટૂંકમાં, રિચાનો આખો સમય રસોડામાં જ પૂરો થાય છે. આટલાં કામ પછી પણ, સાસરિયાં તેના કામમાંથી ફોતરાં કાઢતાં રહે છે, તે છોગામાં.

આ વાર્તા માત્ર રિચાની જ નથી, પરંતુ તેની સાસુ અને માની પણ છે. સાસુ, જેની પાસે અર્થશાસ્ત્રની ડિગ્રી છે, તેનો દિવસ તેના પતિનાં પગરખાં બહાર કાઢી રાખવા અને બેડ પર તેમનાં કપડાં તૈયાર રાખવાથી શરૂ થાય છે. સાસુના પતિ અને પુત્રને થાળીમાં ગરમ ફુલ્કા રોટલી જ ભાવતી હોય છે, કેસરોલમાં મુકેલી રોટલી નહીં. એટલે સાસુની સાથે વહુએ પણ આ શીખી લેવાનું હોય છે.

રિચા નાનપણથી ડાન્સની શોખીન છે. તેની એક ડાન્સ ટીમ પણ છે. ઇન ફેક્ટ, ફિલ્મની શરૂઆત તેના ડાન્સથી જ થાય છે. તે પછી તેનાં લગ્ન થઇ જાય છે. સાસરીમાં ગોઠવાયાં પછી, નવી રીત રસમો શીખ્યાં પછી, આખા દિવસના ઢસડબોળા પછી બપોરે સમય કાઢીને રિચા ડાન્સ કરવા જવાની ઈચ્છા વ્યક્ત કરે છે, ત્યારે તેનો પતિ દિવાકર રિચાની ખોડ કાઢતાં કહે છે પણ ખરો કે, ‘ડાન્સ તે વળી કોઈ કામ છે? તારે તો તારી માની જેમ સરસ ખાવાનું બનાવતાં આવડવું જોઈએ.’

પત્નીની માતાનો દાખલો આપતો આ દિવાકર, ડાઈનિંગ ટેબલ પર રિચાનાં કામમાં ખોડ કાઢતા બીજા એક દૃશ્યમાં કહે છે, ‘પાપાને પથ્થર પર લસોટેલી ચટણી ભાવે છે. તેઓ માને છે કે પથ્થર પર ચટણી લસોટાય છે, મિક્સીમાં ચટણી કપાય છે. લસોટેલી ચટણીનો સ્વાદ અલગ હોય છે.’ 

આમાં ભાવાર્થ એ પણ છે કે વહુ બનીને આવેલી રિચા સાસરિયાના પથ્થરમાં ચટણીની જેમ પીસાઈ રહી છે, અને છતાં મેણું તો એવું મારવામાં આવે છે કે તને કંઈ આવડતું નથી. એક દૃશ્યમાં દિવાકર તેને કહે છે પણ ખરો, ‘તારા આખા શરીરમાંથી રસોઈની ગંધ આવે છે.’

આ ફિલ્મ દર્શાવે છે કે મહિલાઓ પર ઘરેલું જવાબદારીઓનો બોજો નાખીને તેમને સીમિત કરી દેવામાં આવે છે. જ્યારે હકીકત એ છે કે મહિલાઓ આ પરંપરાગત જવાબદારીઓ કરતાં ઘણી વધારે સક્ષમ છે. રિચાનું પાત્ર એ વાતનું પ્રતીક છે કે મહિલાઓ પાસે તેમનાં સપનાં સાકાર કરવાની શક્તિ હોય છે. 

ફિલ્મ એ ભ્રમ તોડવાનો પ્રયાસ કરે છે કે ગૃહિણી મહત્ત્વાકાંક્ષી નથી હોતી અને તેના જીવનનો એક માત્ર હેતુ ઘરનું કામ કરવાનો અને પરિવારની જરૂરિયાતોને સાચવવાનો છે. આ ફિલ્મ શીખવે છે કે ફરજો નિભાવવાની સાથે સાથે મહિલાઓએ પોતાની જરૂરિયાતો અને ખાસ તો આત્મસન્માનની અવગણના ન કરવી જોઈએ. જ્યારે મહિલાઓ પોતાને મહત્ત્વ આપે છે, ત્યારે તેઓ સમાજની અપેક્ષાઓથી આગળ વધી શકે છે અને વધુ સંતુલિત અને સુખી જીવન જીવી શકે છે.

આ ફિલ્મ દર્શાવે છે કે કેવી રીતે પરંપરા અને આધુનિકતા વચ્ચેના સંઘર્ષમાં મહિલાઓ સૌથી વધુ પીડાય છે. જ્યારે અપર્ણા(રિચાની સાસુ)ને તેની ગર્ભવતી પુત્રી થોડા દિવસો આરામ કરવા માટે તેના સાસરે બોલાવે છે, ત્યારે પણ તે ઘરના કામથી છુટકારો મેળવી શકતી નથી. આ ફિલ્મ સુક્ષ્મ દૃશ્યો દ્વારા ઊંડા સામાજિક મુદ્દાઓને બહાર લાવે છે અને પ્રશ્ન ઉઠાવે છે કે ઘરની મહિલાઓને ક્યારે ય રજા કેમ નથી મળતી.

(પ્રગટ : “ગુજરાત મિત્ર” / “મુંબઈ સમાચાર” / “ગુજરાત મેઈલ”; 23 ફેબ્રુઆરી 2025)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

ડિજિટલ અરેસ્ટઃ લોકોના ડર પર છેતરપીંડીનો ખેલ ખેલનારાઓને વર્ચ્યુઅલ વિશ્વમાં મોકળું મેદાન

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|23 February 2025

સાઇબર પોલીસ કમિશનરેટે ગયા વર્ષે, 2024માં, ડિજિટલ અરેસ્ટ છેતરપીંડીમાં 882.35 ટકા વધારો થયો હોવાનું નોંધ્યું હતું. 2023માં કેસિઝનો આંકડો 102 હતો તો ગયા વર્ષે આંકડો 1,002 કેસિઝનો હતો.

ચિરંતના ભટ્ટ

કિસ્સો 1 – જાન્યુઆરી 2024માં સેલિબ્રિટી ઇન્ફ્લુએન્સર અંકુશ બહુગુણા ડિજિટલ અરેસ્ટ છેતરપીંડીનો શિકાર બન્યો. છેતરનારાઓએ પોતાની જાતને મુંબઈ પોલીસ અને સી.બી.આઈ.ના માણસ ગણાવીને અંકુશ પર મની લોન્ડરિંગ અને નાર્કોટિક્સના આરોપ મુક્યા. ફોન પર ચાલી રહેલી આ વાતચીતમાં ખોટા કૉલર આઇ.ડી., નકલી અરેસ્ટ વૉરન્ટ અને જેની સાથે ચેડાં કરાયેલા હોય એવા વીડિયો કૉલ્સનો ઉપયોગ કરાયો અને 40 કલાક સુધી અંકુશ બહુગુણા આ કૉલ્સના ચક્રવ્યૂહમાં ફસાયેલો રહ્યો. તે કોઇનો પણ સંપર્ક કરી શકે તેમ પણ નહોતું. તેને પરેશાન કરનારાઓના કહ્યે તેણે તેના મિત્રો અને પરિવારને “આઇ એમ ઓકે”ના મેસેજ કર્યા, પણ અંતે એક મિત્રને શંકા જતા તેણે સાચી પોલીસનો સંપર્ક કર્યો. ચાળીસ કલાક પછી અંકુશ આ હેરાનગતીમાંથી મુક્ત થયો. તેણે પોતાની સાથે જે થયું તેને વિશે સોશ્યલ મીડિયા પર વીડિયો પોસ્ટ કર્યો હતો.

કિસ્સો 2 – નવી મુંબઈ નેરુળની રહેવાસી મેડિકલ કૉલેજમાં પ્રાધ્યાપક એવી એક મહિલા ડૉક્ટર સાથે હજી ગણતરીના દિવસો પહેલાં ડિજિટલ અરેસ્ટની ઘટના બની. વળી આ ઘટના થોડા કલાકો નહીં પણ લગભગ એક મહિનો ચાલી. 14મી જાન્યુઆરીએ પોતે ઇન્કમ ટેક્સ અધિકારી હોવાનો દાવો કરનાર માણસે તેમનો સંપર્ક કરી તેણે રૂપિયા 8 લાખની કર ચૂકવણી ન કરી હોવાનો આક્ષેપ કર્યો. સ્વાભાવિક છે કે મહિલાએ આ વાત નકારી કારણ કે એવું કંઇ હતું નહીં. તેને તથા કથિત રીતે દિલ્હીના કોઇ વરિષ્ઠ અધિકારી સાથે વાત કરવાની ફરજ પડાઇ અને એ ફોન કૉલ પર તેને ડિજિટલ અરેસ્ટમાં લઇ પોતે જેમ કહે તેમ કરવા કહ્યું. તેની બચત, ફિક્સ ડિપોઝિટ વગેરેની વિગતો તેની પાસે બળજબરીથી કઢાવીને તેને 1 કરોડ 81 લાખ ચૂકવવાની ફરજ પાડવામાં આવી, તે પણ એમ કહીને કે તપાસ પછી પૈસા તેને પાછા મળી જશે. ડરના માર્યે પૈસા આપી દીધા પછી જ્યારે મહિલાએ કોઇ સગાં સાથે વાત કરી ત્યારે ખ્યાલ આવ્યો કે તેની સાથે છેતરપીંડી થઇ છે અને બાદમાં તેણે સાઇબર પોલીસનો સંપર્ક કરીને કેસ દાખલ કરાવ્યો.

કિસ્સો 3 – વર્ધમાન જૂથના ચેરમેન એસ.પી. ઓસવાલ જે 82 વર્ષના છે તેમને એમ કહીને બે જણાએ સંપર્ક કર્યો કે તેઓ એક મની લોન્ડરિંગના કેસમાં તપાસ કરી રહ્યા છે. તેમણે સુપ્રીમ કોર્ટની ઓનલાઇન સુનાવણીની વાત કરી, તેમને તેમાં જોડાવા ફરજ પાડી. કોઇ માણસે પોતે જસ્ટિસ ચંદ્રચુડ હોવાનો દાવો કર્યો અને તપાસના ભાગ રૂપે તેમને 8,30,000 ડૉલર્સ જમા કરવા કહેવાયું. કોઇ સિક્રેટ સુપરવિઝન ખાતામાં તેમણે એ પૈસા જમા કર્યા અને બાદમાં તેમને જ્યારે ખ્યાલ આવ્યો કે દાળમાં કાળું છે, ત્યારે પોલીસનો સંપર્ક કર્યો. ભારતમાં થયેલા ડિજિટલ અરેસ્ટના અનેક કેસિઝમાંથી ઓસવાલનો કેસ સૌથી હાઇ પ્રોફાઇલ છે. છેલ્લી અપડેટ અનુસાર પોલીસે 6,00,000 ડૉલર્સ પાછા મેળવ્યા છે. આ કિસ્સામાં સ્કાઇપ એકાઉન્ટનો ઉપયોગ કરીને છેતરપીંડી કરાઇ હતી. 

ડિજિટલ અરેસ્ટ શબ્દ હવે નવો નથી. અનેક કિસ્સા બન્યા છે, સરકાર દરેક ફોન કૉલમાં રિંગ વાગે તે પહેલાં સૂચના પણ આપે છે કે પોલીસ કે ન્યાયાધીશ કે તપાસ અધિકારી હોવાનો દાવો કરનારા લોકોની વાતમાં ન ફસાવું પણ છતાં ડિજિટલ અરેસ્ટના કિસ્સા બને છે. લોકોના ડર પર ખેલ ખેલનારા આ ધુતારાઓને પકડવા સરળ નથી. પણ સાવચેતીથી આ ચક્રવ્યૂહથી બચી શકાય છે. 

સૌથી પહેલો ડિજિટલ અરેસ્ટનો કેસ 2019માં યુનાઇટેડ સ્ટેટ્સમાં થયો હતો. આ કિસ્સામાં કૌભાંડીઓએ પોતાની જાતને યુ.એસ. ડ્રગ એન્ફોર્સમેન્ટ એડમિનિસ્ટ્રેશનના અધિકારી ગણાવી એક બે રાજ્યો નહીં પણ દેશ આખામાં અલગ અલગ લોકોને ટાર્ગેટ કર્યા હતા. આમાં શિકાર બનેલા લોકોને એમ કહેવાતું હતું કે તેમનું નામ વાપરીને ડ્રગ્ઝનો વેપલો કરાયો છે અને તેમની ધરપકડ ટાળવા માટે તેમણે પૈસા ચુકવવા પડશે. ખોટા ફોન નંબર અને અધિકારીઓ જેવી ભાષા વાપરી કૌભાંડીઓએ લોકોને ફસાવ્યા હતા. વૈશ્વિક સ્તરે ડિજિટલ અરેસ્ટ સ્કેમ્સનો વ્યાપ વધ્યો છે. કેનેડા, ઑસ્ટ્રેલિયા, યુનાઇટેડ કિંગડમમાં પણ આવી છેતરપીંડીના અનેક કિસ્સા બહાર આવ્યા છે. 

આપણે ત્યાં ભારતમાં ડિજિટલ પેમેન્ટનું તંત્ર બહુ વિકસ્યું છે. વિદેશથી આવનારાઓ પણ આપણા જી-પેની શૈલીથી પ્રભાવિત થાય છે. પણ કમનસીબે આ આધુનિકતા ડિજિટલ કૌભાંડીઓ માટે સ્વર્ગ બની ગઇ છે અને આપણો દેશ આવી છેતરપીંડીના વ્યાપનો સાક્ષી બની રહ્યો છે. ઇન્ડિયન સાઇબર ક્રાઇમ કોર્ડિનેશન સેન્ટર અનુસાર ભારતમાં છેલ્લાં કેટલાંક વર્ષોમાં ડિજિટલ અરેસ્ટના કેસિઝ ધડાધડ વધી રહ્યા છે. 2022માં આખા દેશમાં ડિજિટલ એરેસ્ટના લગભગ દસ હજાર કેસ થયા અને તેનો ભોગ બનેલાઓને કરોડો રૂપિયા ખોવાનો વારો આવ્યો. મહારાષ્ટ્ર, દિલ્હી અને કર્ણાટકમાં ડિજિટલ અરેસ્ટના સૌથી વધુ કેસિઝ નોંધાયા છે. વિકસિત રાજ્યોમાં જ્યાં શહેરીકરણ વધારે છે ત્યાં ડિજિટલ પેમેન્ટનો ઉપયોગ પણ વધારે થતો હોય અને માટે જ અહીં ધુતારાઓને મોકળાશ મળી જાય છે. નેશનલ ક્રાઇમ રેકોર્ડ્ઝ બ્યુરોના ડેટા અનુસાર છેલ્લા પાંચ વર્ષમાં સાઇબર ક્રાઇમની સંખ્યામાં 300 ટકા વધારો થયો છે જેમાં ડિજિટલ અરેસ્ટના કૌભાંડ વધી રહ્યા છે. 

ડિજિટલ પેમેન્ટ્સના મામલે ભારત વૈશ્વિક સ્તરે આગળ આવ્યો છે કારણ કે આપણી પાસે યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ – યુ.પી.આઇ., એટલે કે આધાર નંબરને કારણે થતા નાણાંની લેવડ-દેવડનું તંત્ર બહુ સારી પેઠે વિકસ્યું છે. આપણી સરકારે કૅશ-લૅસ ઇકોનોમીને આગળ વધારી. આ તંત્ર ચીન અને અમેરિકા કરતાં પણ સારી રીતે વિકસ્યું અને અન્ય રાષ્ટ્રો માટે આપણી આ ડિજિટલ પેમેન્ટ વ્યવસ્થા એક દાખલો બની. જો કે આ ડિજિટલ ક્રાંતિએ સાઇબર ક્રાઇમને પણ માર્ગ કરી આપ્યો. ઝડપ, સરળતા અને ઓળખ છતી ન થવી – આ ત્રણ આપણી ડિજિટલ ક્રાંતિના વિશેષ પાસાં બન્યાં તો આ જ કારણો તેની સંવેદનશીલતા પણ બન્યા. આ પાસાંને આધારે જ ધુતારાઓએ લોકોને લપેટમાં લેવાનું શરૂ કર્યું. આપણે ત્યાં સરળતા વધતી પણ સલામતીમાં છીંડા રહી ગયા જેને કારણે ડિજિટલ ધુતારાઓ કોઇપણ નિશાની છોડ્યા વિના ઉચાપત કરી શકે છે. વળી એવું પણ નથી કે અલ્પ શિક્ષિત કે અશિક્ષિત લોકો તેનો ભોગ બને છે, જે ઉપરના કિસ્સા પરથી સ્પષ્ટ થાય છે. જે દેશમાં 750 મિલિયન સ્માર્ટ ફોન યુઝર્સ હોય ત્યાં ડિજિટલ કૌભાંડીઓને કેટલું મોટું મેદાન મળી જાય તેનો અંદાજો લગાડવો મુશ્કેલ નથી. આપણે ત્યાં સાઇબર સિક્યોરિટિને લગતું તંત્ર હજી એટલું પાકટ નથી. કડક ધારાધોરણો ન હોવાથી પણ સાઇબર ક્રિમિનલ્સની દાંડાઇ ઝડપથી નથી પકડી શકાતી. આપણે ત્યાં કહેવત છે કે, “જે જાય દરબાર તેનાં જાય ઘરબાર” – આવામાં વર્દી, યુનિફોર્મથી અને ન્યાય તંત્રની માથાકૂટથી બચવા માંગતા લોકો પોતાના પર કોઇપણ આક્ષેપ મુકાય તો વિચારવા નથી બેસતાં કે આ ખોટું પણ હોઇ શકે છે. 

ટુ ફેક્ટર ઑથેન્ટિકેશન ન હોવું, અજાણી વ્યક્તિઓ સાથે થતા ટ્રાન્ઝેક્શન્સ વગેરે આ કાવતરાંઓનો ભોગ બનનારાઓને લાચાર બનાવી દે છે. એકવાર પૈસા તમારા ખાતામાંથી ગયા એટલે બસ પતી ગયું, એ પાછા મળશે જ એવી કોઇ ખાતરી નથી હોતી. વળી આ પૈસા પડાવનારાઓ પણ જેને ફસાવે તેની પાસેથી એક કરતાં વધુ ખાતાંઓમાં પૈસાની હેરફેર કરાવે, એટલું જ નહીં પણ બહુ જલદી આ પૈસા ક્રિપ્ટો કરન્સીમાં ફેરવી દેવાય છે. સાઇબર પોલીસ કમિશનરેટે ગયા વર્ષે, 2024માં, ડિજિટલ અરેસ્ટ છેતરપીંડીમાં 882.35 ટકા વધારો થયો હોવાનું નોંધ્યું હતું. 2023માં કેસિઝનો આંકડો 102 હતો તો ગયા વર્ષે આંકડો 1,002 કેસિઝનો હતો. અંદાજે 120 કરોડથી વધારે રૂપિયા લોકોએ આવી છેતરપીંડીમાં ખોયા જ્યારે 2023માં આ રકમ 6 કરોડ 20 લાખની આસપાસ હતી. 

ધુતારાઓ મોટેભાગે પોતે CBI, RBI, EDના અધિકારી કે પોલીસ અધિકારી હોવાનો દાવો કરે છે. ફસાવનારાઓને કહેવાય છે કે તેમની સામે કાયદાકીય કાર્યવાહી થશે અથવા તેમની કોઇ સંવેદનશીલ માહિતી જાહેર થઇ જશે. ખોટા ફોન નંબર, ઇમેઇલ્સ અને વેબસાઇટ્સનો પણ ઉપયોગ કરાય છે. ભારતીય ન્યાય સંહિતામાં ડિજિટલ અરેસ્ટને લગતા કોઇ ચોક્કસ કાયદા નથી પણ છેતરપીંડી, ખંડણી, આઇડેન્ટિટી થેફ્ટ વગેરેને લગતી સજા છે જેમાં 3 વર્ષથી લઇને દસ વર્ષ સુધીની જેલ અને દંડ સામેલ છે. સરકારે અત્યાર સુધી 1,700થી વધુ સ્કાઇપ એકાઉન્ટ અને 59,000થી વધુ વૉટ્સએપ એકાઉન્ટ બ્લૉક કર્યા છે. ભારતીય નંબરો પરથી આવતા આંતરરાષ્ટ્રીય કૉલ્સ રોક્યા છે. સાઇબર ફ્રોડનું ઝડપી રિપોર્ટિંગ કરીને લગભગ રૂ. 3,431 કરોડની ચોરી અટકાવી છે. આ ઉપરાંત સતત ટેલિકોમ પ્રતિબંધ, કાયદાને લગતી તાલીમ અને જાગૃતિ અભિયાન ચલાવીને સરકાર પ્રયત્નશીલ છે કે લોકો આવા કૌભાંડોમાં ન ફસાય.

બાય ધી વેઃ 

લોભીઆ હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે એ કહેવત તો છે જ પણ અહીં તો લોભીઆ ન હોવા છતાં ય ધુતારાઓના પેટ ભરાય છે. પોતાની છબી જાહેરમાં ન ખરડાય તેનો ડર અથવા તો પોતાને લગતી કોઇપણ માહિતી, તે આધાર કાર્ડનો નંબર હોય કે પાન કાર્ડનો નંબર હોય તે છતી થઇ જશે તો લુંટાઇ જશેનો ભય લોકોને આ કૌભાંડોનો ભોગ બનાવે છે. આપણે ત્યાં તંત્ર તો ખડું થઇ ગયું પણ સલામતીને મામલે આપણે પાછા પડ્યા અને હવે જે જાગૃતિ આવી છે તેનો પ્રભાવ વર્તાઇ રહ્યો છે. કમનસીબે છેતરપીંડી કરનારાઓ માળા તંત્ર સાબદું થાય તે પહેલાં ખેલ કરી જાય છે. લોકોમાં સાઇબર ક્રાઇમને મામલે જાગૃતિ ફેલાય તે તો જરૂરી છે જ પણ આંતરરાષ્ટ્રીય કાયદા વધારે મજબૂત બને તે પણ બહુ અનિવાર્ય છે. આપણું ન્યાય તંત્ર વધુ અપડેટેડ થાય અને ડિજિટલ અરેસ્ટને લગતા કાયદા ઘડવામાં ઝડપ કરશે તો ડિજિટલ અરેસ્ટના ગુનાઓ અટકશે. 

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 23 ફેબ્રુઆરી 2025

Loading

...102030...373374375376...380390400...

Search by

Opinion

  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો
  • નાનમ પણ ન લાગે …?

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 

Poetry

  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 
  • મુખોમુખ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved