Opinion Magazine
Number of visits: 9554564
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સોશ્યો-ઇકૉનૉમિક કાસ્ટ સેન્સસ, ખાઈ કેટલી ઊંડી છે ને કેટલી પહોળી છે એની જાણ થઈ ગઈ હવે જોઈએ એને

રમેશ ઓઝા

, રમેશ ઓઝા|Opinion - Opinion|6 July 2015

રૂઢ અર્થમાં આ જ્ઞાતિગત સર્વેક્ષણ નથી પરંતુ સામાજિક સર્વેક્ષણ છે જેમાં જ્ઞાતિઓના પરંપરાગત પછાતપણાને ધ્યાનમાં રાખવામાં આવ્યું છે. જ્ઞાતિની ઓળખને વચ્ચે લાવ્યા વિના ભારતની પ્રજાની સામાજિક-આર્થિક વાસ્તવિકતાનું સર્વેક્ષણ ન થઈ શકે? વિકાસ માટે વંચિત શોધવાનો છે, એ વંચિતની જ્ઞાતિ શોધવાની કોઈ જરૂર નથી.

ગયા અઠવાડિયે આ કૉલમમાં મેં લખ્યું હતું કે જે લોકો વંચિત છે એ વિકાસમાં ભાગીદારી માગી રહ્યા છે જેને પરિણામે વિકાસની દિશામાં આગળ વધવામાં મડાગાંઠ સર્જા‍ઈ છે. આ એવી મડાગાંઠ છે જેવી સો વરસ પહેલાં સત્તામાં ભાગીદારી માગવાના પ્રશ્ને સર્જા‍ઈ હતી. સો વરસ પહેલાં સત્તામાં ભાગીદારી માગનારાઓએ સંગઠિત થઈને કૉન્ગ્રેસના નેતાઓને સંભળાવી દીધું હતું કે જ્યાં સુધી અમને (બહુજન સમાજ અને દલિતોને) સત્તામાં ભાગીદારી આપવામાં નહીં આવે ત્યાં સુધી અમે રસ્તામાંથી હટવાના નથી.

સો વરસ પહેલાં બહુજન સમાજ જે રીતે સંગઠિત હતો એમ આજે વંચિતો સંગઠિત નથી. સો વરસ પહેલાં બહુજન સમાજે જે રીતે કૉન્ગ્રેસના નેતાઓનો રસ્તો આંતર્યો હતો એમ આજે વંચિતો શાસકોનો રસ્તો આંતરવાની સ્થિતિમાં નથી. સો વરસ પહેલાં બહુજન સમાજ વાચા મેળવવા લાગ્યો હતો, જ્યારે આજે એનાથી ઊલટું વંચિતો વાચા વિનાના છે. કોઈ ધરણાં, કોઈ દેખાવો, કોઈ સત્યાગ્રહ, કોઈ રસ્તા રોકો આંદોલન કે કોઈ ઘેરાવ ક્યાં ય જોવા મળતાં નથી. ચાર વર્ષ પહેલાં દિલ્હીમાં રામલીલા મેદાનમાં અણ્ણા હઝારેના નેતૃત્વમાં જે આંદોલન થયું હતું એ વિકાસાભિમુખ મધ્યમ વર્ગનું આંદોલન હતું, વિકાસવંચિતોનું નહોતું. જો કોઈ વર્ગ બોલકો છે તો એ મધ્યમ વર્ગ છે અને જો કોઈ મૂંગો છે તો એ વંચિતો છે. અહીં સ્વાભાવિક પ્રશ્ન થશે કે મૂંગાની ઉપેક્ષા તો સહેજે થઈ શકે છે તો પછી સરકાર વિકાસના માર્ગે આગળ કેમ નથી વધતી? મડાગાંઠ તો ત્યારે સર્જા‍ય જ્યારે સામેથી દબાણ આવતું હોય. શાસકો માટે ઢાળ જેવી સ્થિતિ છે તો મડાગાંઠ ક્યાં આવી?

આ પ્રશ્નોનો ઉત્તર કેન્દ્ર સરકારે બહાર પાડેલા જ્ઞાતિ આધારિત સામાજિક-રાજકીય વસ્તીગણતરી સોશ્યો-ઇકૉનૉમિક કાસ્ટ સેન્સસ(SECC)ના આંકડાઓમાંથી મળે છે. ભારતમાં વિકાસથી વંચિત રહી ગયેલો વર્ગ ધારવા કરતાં ખાસ્સો મોટો છે અને એની ઉપેક્ષા કરવામાં જોખમ છે એ ભારતના શાસકો જાણે છે. એ કેટલો મોટો છે એ SECCના આંકડાઓએ બતાવી આપ્યું છે એટલું જ નહીં, એ ધારણા કરતાં ઘણો મોટો છે. એ વર્ગ ભલે સંગઠિત નથી, પરંતુ એની પાસે વોટ નામનું હથિયાર છે અને એ ગમે ત્યારે લોહીલુહાણ કરી શકે છે એનો શાસકોને ડર છે.

ભારતમાં વસ્તીગણતરી કરવાની શરૂઆત ૧૩૦ વર્ષ પહેલાં ૧૮૮૧માં અંગ્રેજોએ કરી હતી. વસ્તીગણતરીના જે કેટલાક માપદંડો હતા એમાં એક માપદંડ જ્ઞાતિનો હતો. ભારતમાં જ્ઞાતિ એ પ્રમુખ સામાજિક એકમ અને પરિબળ છે એટલે એની ઉપેક્ષા કરીને જો વસ્તીગણતરી કરવામાં આવે તો એ અધૂરી ગણાય એ એની પાછળનું એક કારણ હતું તો બીજું કારણ ભાગલા પાડો અને રાજ કરોનું હતું. પછાત જ્ઞાતિઓને જાણ થવી જોઈએ કે એમની સંખ્યા કેવડી મોટી છે અને એમને એ વાતની પણ જાણ થવી જોઈએ કે એમને સેંકડો વર્ષથી દબાવી રહ્યા છે એ સવર્ણોની સંખ્યા કેટલી ઓછી છે. આ સિવાય એમને એ વાતની પણ જાણ થવી જોઈએ કે આર્થિક, શૈક્ષણિક અને સર્વાંગીણ વિકાસને સામાજિક પછાતપણા સાથે સીધો સંબંધ છે. સામાજિક રીતે વિકસિત ઉજળિયાત સવર્ણ જેટલી ઝડપથી વિકાસના લાભ ઝીલી લેશે, કહો કે આંચકી જશે એટલી ઝડપથી પછાત કોમનો માણસ વિકાસના લાભ નહીં મેળવી શકે.

ભાગલા પાડો અને રાજ કરોની અંગ્રેજોની જે રાજકીય ગણતરી હતી એ સો વરસ પહેલાં સફળ થઈ હતી, પરંતુ જે બીજું પાસું હતું એ વધારે મહત્ત્વનું હતું. એક, ભારતમાં જ્ઞાતિ એ પ્રબળ સામાજિક-રાજકીય પરિબળ છે અને બે, સામાજિક પછાતપણાને અને વિકાસને સીધો સંબંધ છે. આનો અર્થ એ થયો કે ભારતના સામાજિક-આર્થિક વાસ્તવને સમજવું હોય તો જ્ઞાતિની ઉપેક્ષા ન થઈ શકે. ઘણાં વર્ષોથી સમાજશાસ્ત્રીઓ આનો અભ્યાસ કરતા હતા, પરંતુ આઝાદી પછીથી જ્ઞાતિના સત્તાવાર આંકડા મળતા બંધ થઈ ગયા હતા. સમાજશાસ્ત્રીઓએ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવતા સૅમ્પલ સર્વે દ્વારા કે આયોજન પંચ દ્વારા કરાવવામાં આવતાં રેન્ડમ સર્વે દ્વારા કામ ચલાવવું પડતું હતું. જે આંકડા મળતા હતા એ આખા દેશના નહોતા, સર્વાંગીણ નહોતા અને આધારભૂત તો જરા ય નહોતા.

બન્યું એવું કે આઝાદી પછી ભારત સરકારે વસ્તીગણતરી વખતે જ્ઞાતિકીય વસ્તીગણતરી કરવાનું અને જ્ઞાતિકીય વિકાસના માપદંડોના આધારે સર્વેક્ષણ કરવાનું બંધ કરી દીધું હતું. વિવિધતામાં એકતા ખરી, પરંતુ જ્ઞાતિ નામની વિવિધતા ભારત સરકારને માન્ય નહોતી. જ્ઞાતિને જ્યારે ખતમ કરવાની છે ત્યારે એના સ્થાન વિશે આકલન કરવું એમાં સરકારને વિરોધાભાસ દેખાતો હતો. આમાં જ્ઞાતિ નામની પરંપરાગત દુક્ટ સંસ્થા અને જ્ઞાતિવાદ ખતમ થવાની જગ્યાએ મજબૂત થવાનો ડર લાગતો હતો. બીજું, જ્ઞાતિગત અસંતોષ અને જ્ઞાતિવાદ વકરે તો દેશમાં એકતાની પ્રક્રિયા અને જાહેર શાંતિ બન્ને ખોરવાય એવો ભય હતો. ત્રીજું, જ્ઞાતિગત પછાતપણાના આંકડા બહાર આવે તો અનામત માટે કે અનામતના વિરોધમાં આંદોલનો થવાનો ભય હતો. કોમી રમખાણોથી ગ્રસ્ત દેશ જ્ઞાતિરમખાણોથી પણ ગ્રસ્ત બને એ સ્થિતિ સરકાર ટાળવા માગતી હતી.

ભારતમાં જ્ઞાતિગત છેલ્લી વસ્તીગણતરી ૧૯૩૧માં થઈ હતી. એ પછીથી જ્ઞાતિના ધોરણે વસ્તીગણતરી ન કરવી એવી લગભગ બધા જ પક્ષોમાં સમજૂતી હતી. દેશહિતમાં સમજૂતી તો થઈ હતી, પરંતુ જ્ઞાતિ નામના વાસ્તવની ઉપેક્ષા શક્ય નહોતી. ખાસ કરીને વિકાસની નિસરણી પર દેશ ક્યાં ઊભો છે એના જો વાસ્તવિક આંકડા જોઈતા હોય, ભ્રમમાં ન જીવવું હોય અને આવતી કાલે થઈ શકનારા સંભવિત વિદ્રોહથી બચવું હોય તો કોણ ક્યાં છે એ સમજી લેવું જોઈએ. છેલ્લાં ઘણાં વર્ષોથી કેટલાક સમાજશાસ્ત્રીઓ માગણી કરતા હતા કે વસ્તીગણતરીમાં જ્ઞાતિનો પાછો સમાવેશ કરવો જોઈએ. બહાર પડનારા આંકડાઓને કારણે જે રાજકીય પ્રશ્નો સર્જા‍શે એને રાજકીય રીતે ઉકેલી શકાશે, પરંતુ સાવ અંધારામાં રહેવામાં જોખમ છે. જ્ઞાતિનું રાજકારણ કરનારા રાજકીય પક્ષોએ પણ જ્ઞાતિકીય વસ્તીગણતરી કરવાની માગણી કરવા માંડી હતી.

૧૯૯૦ના દાયકામાં ભારતના રાજકારણે, સમાજકારણે અને અર્થકારણે એમ ત્રણેએ એકસાથે નવા યુગમાં પ્રવેશ કર્યો હતો. ભારતે આર્થિક સુધારાઓ કર્યા, સાડાત્રણ ટકાનો વિકાસદર સાડાસાત ટકાએ પહોંચ્યો, મધ્યમવર્ગ વિશાળ અને પ્રભાવી બનવા લાગ્યો, ગામડાં અને ગ્રામીણ અર્થતંત્ર વધારે ઝડપથી તૂટવા લાગ્યાં. ખેતીનો વિકાસદર ત્યાં ને ત્યાં જ રહ્યો; પરંતુ ખેતીની જમીન પર શહેરી રોકાણકારોની ભીંસ વધવા લાગી. આ અઢી દાયકા દરમ્યાન સરકારે બે મોટી ભૂલ કરી. એક તો એ કે આર્થિક સુધારાઓની સાથે-સાથે કરવા જોઈતા રાજકીય, ન્યાયતાંત્રિક અને અન્ય પ્રકારના સુધારાઓ કરવામાં ન આવ્યા જેને કારણે મૂડીવાદી અર્થતંત્રમાં નવી પેદા થયેલી સંપત્તિ થોડા હાથમાં જમા થઈ ગઈ અને બીજી ભૂલ એ કરી કે ગ્રામીણ રોજગાર માટે સરકારે ખાસ કોઈ પ્રયત્નો ન કર્યા. આ બે ભૂલને કારણે શ્રીમંત અને ગરીબ વચ્ચે તેમ જ શહેરી ભારત અને ગ્રામીણ ભારત વચ્ચેની ખાઈ વધવા લાગી. એ ખાઈ કેટલી ઊંડી છે અને કેટલી પહોળી છે એ સમજવું જરૂરી લાગવા માંડ્યું.

અજાણ્યા પાણીમાં કૂદવું નહીં એમ કહેવામાં આવે છે. ૧૯૩૧ પછીના સામાજિક આંકડાઓના અભાવમાં અને ૧૯૯૧ પછી કોણ કેટલું પામ્યા એના વાસ્તવિક આંકડાના અભાવમાં ભારતીય સમાજ અજાણ્યા પાણી જેવો થવા માંડ્યો હતો. ૨૧મી સદીમાં જ્યારે પ્રત્યાયનનાં આટલાં આધુનિક માધ્યમો વિકસ્યાં છે ત્યારે ભારતીય સમાજ અજાણ્યો ભાસવા લાગ્યો હતો. ૨૦૦૮ પછીથી ભારતનું અર્થતંત્ર સ્થગિત થઈ ગયું તે હજી આજ સુધી સ્થગિત છે. આ સ્થગિતતાનું મુખ્ય કારણ અજાણ્યા પાણી જેવા ભારતીય સમાજનો ભય છે. આ સ્થિતિમાં ૨૦૧૧માં ભારત સરકારે વસ્તીગણતરી વખતે જ્ઞાતિકીય ગણતરી હાથ ધરવાનો નિર્ણય લીધો હતો.

અહીં એક પ્રશ્ન ઉપસ્થિત થઈ શકે કે જ્ઞાતિની ઓળખને વચ્ચે લાવ્યા વિના ભારતની પ્રજાની સામાજિક-આર્થિક વાસ્તવિકતાનું સર્વેક્ષણ ન થઈ શકે? જેમ કે ભારતમાં ૩૧ ટકા લોકો ગરીબીની રેખા નીચે જીવે છે એ શોધી કાઢવું પૂરતું છે પછી એ કઈ જ્ઞાતિનો છે એ શોધવાની શી જરૂર છે? આવી જ રીતે ભારતમાં આટલા ટકા નિરક્ષરતા છે કે આટલા ટકા બાળમરણ થાય છે કે આટલા ટકા સ્ત્રીઓનાં સુવાવડ વખતે મરણ થાય છે એના આંકડા ઉપલબ્ધ હોય એ પૂરતું છે. એને જ્ઞાતિ સાથે શા માટે જોડવા જોઈએ? વિકાસ માટે વંચિત શોધવાનો છે, એ વંચિતની જ્ઞાતિ શોધવાની કોઈ જરૂર નથી. હજી છેલ્લા એક દાયકામાં આપણે ત્યાં તેન્ડુલકર સમિતિ અને રંગરાજન સમિતિએ ગરીબી વિશે સર્વેક્ષણ અને અભ્યાસ કર્યા છે અને બન્નેના ગરીબીની રેખા નીચે જીવતા લોકોના આંકડામાં ખાસું મોટું અંતર છે. આ સિવાય બીજાં કળશીએક સર્વેક્ષણો થયાં છે. જ્યારે જ્ઞાતિનિરપેક્ષ સર્વેક્ષણો દ્વારા આંકડા મળતા રહે છે ત્યારે જ્ઞાતિકીય વસ્તીગણતરી કરાવવાની શી જરૂર છે? જ્ઞાતિકીય વસ્તીગણતરી ફરી શરૂ કરવાની દરખાસ્ત આવી ત્યારે આ બધી જ દલીલો કરવામાં આવી હતી અને એ છતાં જ્ઞાતિકીય વસ્તીગણતરી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

આનું કારણ એ છે કે ભારતની ૩૧ ટકા પ્રજા ગરીબીની રેખા નીચે જીવે છે એવા એક નિવેદન કરતાં ભારતમાં ગરીબીની રેખા નીચે જીવતા લોકોમાં દલિતોનું પ્રમાણ રાષ્ટ્રીય પ્રમાણ કરતાં બમણું કે દોઢું છે એમ જ્યારે કહેવામાં આવે ત્યારે એ નિવેદનના સૂચિતાર્થો બદલાઈ જતા હોય છે. વ્યક્તિની અંગત આપદા જ્યારે સામાજિક ઓળખ ધરાવનારા સમૂહની સાર્વત્રિક બની જાય ત્યારે એનાં મોટાં રાજકીય પરિણામો આવતાં હોય છે અને કેટલીક વાર અણધાર્યા પણ આવતાં હોય છે. બીજી એક વાત એ ધ્યાનમાં રાખવા જેવી છે કે આ રૂઢ અર્થમાં જ્ઞાતિગત સર્વેક્ષણ નથી પરંતુ સામાજિક સર્વેક્ષણ છે જેમાં જ્ઞાતિઓના પરંપરાગત પછાતપણાને ધ્યાનમાં રાખવામાં આવ્યું છે. મૂળ ઉદ્દેશ વાસ્તવિકતા સમજવાનો છે અને વાસ્તવિકતા ધારવા કરતાં પણ વરવી છે. આ મારા શબ્દો નથી, દેશના નાણાપ્રધાન અરુણ જેટલીના છે.

ખાઈ કેટલી ઊંડી છે અને કેટલી પહોળી છે એની જાણ તો થઈ ગઈ. હવે જોઈએ એને કઈ રીતે પૂરવામાં આવે છે.

સૌજન્ય : ‘નો નૉન્સેન્સ’ નામક લેખકની કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 05 જુલાઈ 2015

http://www.gujaratimidday.com/features/sunday-sartaaj/sunday-sartaaj-05072015-16

Loading

VVIP કલ્ચર : બહુ અસંભવ છે નેતા ને નમ્રતાનું સહઅસ્તિત્વ

રમેશ ઓઝા

, રમેશ ઓઝા|Opinion - Opinion|4 July 2015

કિરેન રિજીજુએ માફી માગી લીધી છે. તેઓ ઈશાન ભારતના પહાડોમાં જન્મેલા આદિવાસી છે એટલે ચડિયાતાપણાના જ્ઞાતિવાદી કે સામંતશાહી સંસ્કારો તેમના લોહીમાં નથી અને બીજું, મેદાની પ્રદેશની બિનઆદિવાસી પ્રજામાં જોવા મળતી હરામખોરી હજી સુધી તેમણે શીખી નથી

આ દેશ જ્ઞાતિવાદી અને સામંતશાહી પરંપરા ધરાવે છે એટલે આપણે બીજા કરતાં ચડિયાતા એવા સંસ્કાર ગળથૂથીમાં મળે છે. જો કોઈનો જન્મ પછાત અને વંચિત પરિવારમાં થયો હોય અને તે જો કોઈ સિદ્ધિ મેળવી લે તો તે એવો ભાવ અનુભવવા લાગે છે કે જુઓ, હું પણ ત્યાં પહોંચી ગયો જ્યાં થોડા લોકોની ઇજારાશાહી હતી. આમાં જ્યારે સત્તા ભળે ત્યારે સત્તાના મદને કારણે તેઓ છકી જાય છે.

ભારતમાં VIP કલ્ચરની બીમારી ભારતના લોકતંત્ર જેટલી જૂની છે. અંગ્રેજોએ બાદશાહી ઠાઠ અને પ્રજાથી અંતર એટલા માટે રાખ્યાં હતાં કે તેમના માટે આ દેશ એક કૉલોની હતો, કોઈ માદરે વતન નહોતો. દબદબો અને કડપ એવાં હોવાં જોઈએ કે પ્રજા અભિભૂત રહે અને દબાયેલી રહે. અંગ્રેજોની જગ્યા નેતાઓએ લીધી છે અને તેઓ પણ પ્રજાને અભિભૂત અને દબાયેલી રાખવા માટે બાદશાહી ઠાઠ અને દબદબાનો ઉપયોગ કરે છે. હવે આ ઠાઠ અને દબદબો ભારતીય રાજકીય સંસ્કૃિતનો હિસ્સો બની ગયો છે. છૂટભૈયા નેતાઓ પણ હવે પોતાને VIP તરીકે ઓળખાવે છે એટલે અસ્સલ VIPઓએ હજી આગળ એક V જોડીને પોતાને VVIP તરીકે ઓળખાવવાનું શરૂ કર્યું છે. કાલે એવું પણ બને કે બાવાઓ જેમ પોતાના નામની આગળ શ્રી શ્રી શ્રી ૧૦૦૮ એવું વિશેષણ વાપરે છે એમ VVIP ૧૦૦૮ જેવું કોઈ લેબલ ભારતીય રાજકારણમાં ચલણમાં આવે. જો કોઈ નેતા સાદગીથી જીવતો હોય અને હંમેશાં પ્રજા માટે ઉપલબ્ધ હોય તો એવા નેતાને ઢીલો સમજવામાં આવે છે. ગુજરાતના વરિષ્ઠ કૉન્ગ્રેસી નેતા ઝીણાભાઈ દરજીએ એક વખત આ લખનારને કહ્યું હતું કે લાલ દીવાની ગાડી અને સર્કિટ હાઉસ નેતા બન્યા હોવાનાં પ્રતીકો બની ગયાં છે.

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે મહારાષ્ટ્રમાં નાણાકીય રોકાણ મેળવવા અમેરિકા જવાનું હતું. આજકાલ ભારતના મુખ્ય પ્રધાનો નેતાની જગ્યાએ સેલ્સમૅન બની ગયા છે જે LICના એજન્ટની જેમ વિવિધ સ્કીમ્સ અને પ્લાન્સ લઈને વિદેશોમાં ફરે છે. જે કામ બાબુઓ કરી શકે છે એ કામ કરવામાં તેમને નાનપ નથી લાગતી, કારણ કે સરકારના પૈસે મફતમાં વિદેશપ્રવાસ કરવા મળે છે. દેવેન્દ્ર ફડણવીસ સાથે તેમના રસાલામાં તેમના મુખ્ય સચિવ પ્રવીણ પરદેશી પણ હતા. પ્રવીણભાઈ પરદેસી હોવા છતાં પરદેશ જવાના વીઝા જે પાસર્પોટમાં ઇશ્યુ થયા હતા એ પાસર્પોટ ઘરે ભૂલી ગયા હતા. બોર્ડિંગ-પાસ ઇશ્યુ થઈ ગયા હતા અને બીજા પૅસેન્જરો ઍર ઇન્ડિયાની ફ્લાઇટમાં બેસવા લાગ્યા હતા ત્યારે પરદેશીને જાણ થઈ હતી કે વીઝા હોવા છતાં પણ અત્યારે એ તેમની પાસે નથી. એ પછી ભૂલી જવાયેલો પાસર્પોટ ઘરેથી મગાવવામાં આવ્યો હતો અને વિમાનને એક કલાક કરતાં વધુ સમય રોકી રાખવામાં આવ્યું હતું. કોઈ વાંકગુના વગર પૅસેન્જરોને હેરાન કરવામાં આવ્યા હતા, કારણ કે તેમને મુખ્ય પ્રધાન સાથે પ્રવાસ કરવાનું સૌભાગ્ય મળવાનું હતું.

બીજી ઘટના ૨૪ જૂનની છે. કેન્દ્રના રાજ્યકક્ષાના ગૃહપ્રધાન કિરેન રિજીજુ અને જમ્મુ અને કાશ્મીરના નાયબ મુખ્ય પ્રધાન નર્મિલ સિંહને લેહથી દિલ્હી જવું હતું. ઍર ઇન્ડિયાની ફ્લાઇટ ઊપડવાની તૈયારી કરતી હતી. દરવાજા બંધ થઈ ગયા હતા અને ગ્રાઉન્ડ-સિગ્નલ મળી ગયું હતું. એવામાં આ પ્રધાનો આવી ચડ્યા અને આગ્રહ રાખ્યો કે આ વિમાનમાં જ તેમને દિલ્હી જવું છે એટલે વિમાનને થોભાવવામાં આવે. ઍરર્પોટ ઑથોરિટીના સત્તાવાળાઓએ તેમને નમ્રતાથી કહ્યું હતું કે સાહેબ, વિમાનના દરવાજા બંધ થઈ ગયા પછી સુરક્ષાના સંકટ જેવા અસાધારણ સંજોગો સિવાય પાછા ખોલવામાં આવતા નથી. આમ છતાં પ્રધાનોએ એ જ વિમાનમાં પ્રવાસ કરવાનો આગ્રહ રાખ્યો ત્યારે તેમને કહેવામાં આવ્યું હતું કે વિમાનને અટકાવવામાં આવે તો ય એમાં એક પણ સીટ ખાલી નથી. તરત તેમને આદેશ આપવામાં આવ્યો કે તો પછી ત્રણ પૅસેન્જરોને ઉતારી મૂકવામાં આવે. પ્રધાનસાહેબો માટે વિમાન અટકાવીને, દરવાજા ખોલીને ત્રણ પૅસેન્જરોને ઉતારવામાં આવ્યા હતા.

આવી તુમાખી તો અંગ્રેજ લાટસાહેબોએ પણ ક્યારે ય નહોતી બતાવી. છકી ગયેલા, અવિવેકી અને બેશરમ માણસો જ આવું વિચારી અને કરી શકે. બેશરમ એટલા માટે કે બન્ને ઘટનાઓમાં લૂલો બચાવ કરવામાં આવ્યો હતો. કમસે કમ આ યુગમાં ખોટા બચાવ કરવાનું બંધ કરવું જોઈએ જ્યારે કોઈ ચીજ છાની રહેતી નથી. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ કહે છે કે વિમાન ટેક્નિકલ ખામીને કારણે મોડું પડ્યું હતું, પ્રવીણ પરદેશીને કારણે નહીં. તેઓ અમેરિકામાં રોકાણકાર ક્લાયન્ટ સાથે મીટિંગ પણ કરે એ પહેલાં ઍર ઇન્ડિયાની ઇન્ટરનલ નોટ બહાર આવી ગઈ. આવાગમનનું નિયમન કરનાર સ્ટાફ પ્રત્યેક આવનારી અને જનારી ફ્લાઇટના શેડ્યુલ, ડિલે અને એનાં કારણોની એક નોટ્સ તૈયાર કરે છે અને ઉપરી અધિકારીને મોકલે છે. મુખ્ય પ્રધાન જેમાં પ્રવાસ કરવાના હતા એ ફ્લાઇટ વિશે એ નોટમાં કહેવામાં આવ્યું હતું કે વિમાન મોડું પડવાનું કારણ પ્રવીણ પરદેશી પાસર્પોટ ભૂલી ગયા એ હતું. મુખ્ય પ્રધાને પ્રવીણ પરદેશીને સાથે લીધા વિના પ્રવાસ કરવાની ના પાડી દીધી હતી એટલે જો દસ જણનો સામાન પાછો ઉતારવામાં આવે તો પણ અડધા કલાકનો વિલંબ થવાનો હતો. પ્રવીણ પરદેશી પછીની કોઈક ફ્લાઇટમાં ન આવી શક્યા હોત?

જમ્મુ અને કાશ્મીરના નાયબ મુખ્ય પ્રધાન નર્મિલ સિંહે પણ પહેલાં સિંહની જેમ પડકાર કર્યો હતો અને ઊલટો ચોર કોટવાલને દંડે એમ ઍર ઇન્ડિયાના સ્ટાફ સામે ફરિયાદ કરવાની અને સસ્પેન્ડ કરાવવાની ધમકી આપી હતી. જૂઠાણાની જિંદગી લાંબી હોતી નથી અને આ યુગમાં તો જરા ય હોતી નથી. નર્મિલ સિંહનો ખુલાસો અને આક્ષેપો હજી તો મીડિયામાં પહોંચે એ પહેલાં વિમાનની અંદર બનેલી ઘટનાની વિડિયો-ક્લિપ્સ મીડિયામાં પહોંચી ગઈ હતી.

મુંબઈ ઍરર્પોટની નોટ અને લેહની વિડિયો-ક્લિપ્સ બહાર પડ્યા પછી હવે બચાવ કરવા જેવું કંઈ બાકી રહ્યું નહોતું. કેન્દ્રના નાગરિક ઉડ્ડયન ખાતાના પ્રધાન અશોક ગજપતિ રાજુએ બન્ને ફ્લાઇટના ઉતારુઓની માફી માગી લીધી છે. કેન્દ્રીય પ્રધાન કિરેન રિજીજુએ નમ્રતાપૂર્વક માફી માગી લીધી છે, પરંતુ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન હજી મીડિયા સામે બદનક્ષીનો કેસ કરવાની ધમકી આપી રહ્યા છે. કિરેન રિજીજુ ઈશાન ભારતના પહાડોમાં જન્મેલા આદિવાસી છે એટલે ચડિયાતાપણાના જ્ઞાતિવાદી કે સામંતશાહી સંસ્કારો તેમના લોહીમાં નથી અને બીજું, મેદાની પ્રદેશની બિનઆદિવાસી પ્રજામાં જોવા મળતી હરામખોરી હજી તેમણે શીખી નથી.

સૌજન્ય : ‘કારણ-તારણ’ નામે લેખકની કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 04 જુલાઈ 2015

http://www.gujaratimidday.com/features/columns/feature-columns-4-7-2015-5

Loading

જાગ્રત અને આત્મનિરીક્ષણને વરેલા લેખકનાં સર્જન ભાગ્યે જ મોતી વગરનાં હોય

સુમન શાહ|Opinion - Literature|4 July 2015

સોવિયેત રશિયા ક્યારનું અસ્ત પામ્યું છે. આજનું રશિયા પણ સમાચારોમાં ઝગમગતું નથી. પરન્તુ વીસમી સદી દરમ્યાન ઉત્તરોત્તર એણે સ્વ-સમાચારોને વિશ્વવ્યાપી બનાવેલા. એનો એ રાષ્ટ્રપ્રેમ એક વાતે અંકિત કરવા જેવો — રશિયન સાહિત્યને વ્યાપક પ્રસાર મળેલો. પ્રચાર સત્પ્રસાર લાગે. એ વર્ષો યાદ આવે છે. બીજા દેશોની ખબર નથી પણ મૅગેઝિનો ને પુસ્તકો એણે આખા ભારતમાં પાથરી મેલેલાં. અનેકાનેક યુવક-યુવતીઓ એજ્ન્ટો રૂપે જોડાયેલાં. નોંધપાત્ર વાત તો એ કે સોવિયતે પોતાના સાહિત્યના દુનિયાની અનેક ભાષાઓમાં અનુવાદો કરાવેલા. ૫૦૦-૬૦૦ પેજીસના ડૅમિ સાઇઝનાં એ પ્રકાશનો સાવ સસ્તા ભાવે મળતાં'તાં. મને યાદ છે, મેં તૉલ્સતૉય, દોસ્તોયસ્કી, ચેખવ –ના અંગ્રેજી અનુવાદો ગુજરાત યુનિવર્સિટી પાસેની ફૂટપાથ પરથી ૮-૧૦ રૂપિયાના ભાવે ખરીદેલા.

જો કે એટલે ઘણી વાર રશિયન પુસ્તકો આપણા ઘરે અતિથિની જેમ પણ આવી ચડે. આવેલાંને કાઢી તો મુકાય નહીં એટલે પછી એ વ્હાલાં, કાયમ માટે રહી પડે. એવું એક પુસ્તક તે રશિયન લેખક રસૂલ હમજાતોવ (1923-2003)-નું 'મારું દાઘેસ્તાન' –અતુલ સવાણીકૃત ગુજરાતી અનુવાદ, પ્રકાશનવર્ષ ૧૯૮૬. પુસ્તક મને ખૂબ ગમેલું પણ એની જાહેરમાં વાત કરવાનો પ્રસંગ નહીં પડેલો. ૨૦ જેટલાં વર્ષો પછી હમણાં મિત્રો સાથેની વાતમાં એનો ઉલ્લેખ થયો એટલે મેં એને ઘરમાં શોધ્યું પણ સંતાઈને જોઈ રહેતા બાળકની જેમ મને પજવતું રહ્યું. ન મળ્યું. પણ સાહિત્યપ્રેમી મારા મિત્ર ગણપત વણકરે પોતાની નકલ મને પ્રેમથી પહોંચાડી, તે મને થયું, રસૂલ જેવા એક સાચદિલ સાહિત્યકારની વાત 'સાહિત્ય સાહિત્ય' હેઠળ કરવી જોઈએ. તો કરું :

એક વાર રસૂલ હમજાતોવ ભારત આવેલા. કલકત્તામાં રવીન્દ્રનાથનું ઘર જોવા ગયેલા. ત્યાં એમણે એક એવા પંખીનું ચિત્ર જોયેલું જેનું અસ્તિત્વ દુનિયામાં ક્યાં ય હતું નહીં. કેમ કે, રસૂલ કહે છે : એ તો ટાગોરની કલ્પનાના ફળ રૂપે તેમના આત્મામાં જન્મીને જીવતું હતું : પછી એકદમ નોંધપાત્ર વાત કરે છે : હું પણ એવું એક અદ્દભુત પંખી ધરાવું છું — મારું દાઘેસ્તાન : ઉમેરે છે : એટલે જ, વધારે ચૉક્કસાઈથી કહું તો મારા પુસ્તકનું નામ હોવું જોઈએ, 'મારું દાઘેસ્તાન'.

વતનપ્રેમની કથા રૂપે કે વતનકથાના પ્રેમ રૂપે રચના એકદમ રસપ્રદ છે. મને થાય છે, પહેલાં રસૂલ વિશેની કેટલીક માહિતી આપું : દાઘેસ્તાન ઉત્તરી કોકેસસ પ્રદેશનું રશિયાનું રીપબ્લિક. કોકેસસ યુરપ અને એશિયાની સરહદે આવેલો પહાડી પ્રદેશ. એક તરફ બ્લૅક સમુદ્ર ને બીજી તરફ કાસ્પિયન. એમાં ૩૬ પ્રજાઓ. એમાંની એક, અવાર. રસૂલ અવાર. ૧૪ વર્ષની વયે કાવ્યલેખન શરૂ કરેલું. પુસ્તકમાં સતત પિતાને અને પિતાની સાહિત્ય-શીખને સંભારે છે. કેમ કે પિતા કવિ, દાઘેસ્તાનના લોક-કવિ. શીખનો સાર એ કે સાહિત્યકારે વતનને અને પોતાનાં મૂળિયાંને કદી વીસરવાં નહીં. ક્રમે ક્રમે રસૂલનો વિકાસ એ દિશામાં થયો. રસૂલ પણ લોક-કવિનું બિરુદ પામ્યા. પ્રભાવક વક્તા અને સારા ગદ્યલેખક પણ ખરા. અનેક ઇનામ-અકરામ ને અવૉર્ડ પામ્યા. પછી તો, 'સમાજવાદી શ્રમવીર' કહેવાયા; 'લેનિન પ્રાઇઝ'-થી એમની નવાજેશ થઈ; વગેરે કેટલીક 'સરકારી' વસ્તુઓ પણ બની. તેમ છતાં, મારું માનવું છે કે રસૂલે પોતાના સાહિત્યિક શીલને જાળવી જાણ્યું છે. સરકાર અને સાહિત્ય, જીવન અને સાહિત્ય, જેવા ભેદોથી પર એક નિષ્ઠાવાન સાહિત્યકાર. એ કારણે પણ રસૂલનું દૃષ્ટાન્ત મને ખાસ ગમ્યું છે.

'મારું દાઘેસ્તાન' છે શું ? કવિતા ? આત્મકથા ? વાર્તા ? ઉત્તર છે, 'ના' અને 'હા'. કેમ કે આખું કમઠાણ એમણે એ બધાંના સંમિશ્રણ રૂપે ગોઠવ્યું છે. મીઠા ટહુકાભર્યા એમના લેખન-નુસખા સાંભળો : 'બાપુ કહેતા' 'મારી નોટબુકમાંથી' 'કહેવાય છે કે' 'એક યાદ' : પ્રકરણોનાં શીર્ષકો પણ આવાં બાંધે : 'પુસ્તકનું રૂપ અને તેને કેવી રીતે લખવું એ વિશે' : મતલબ એમ કે વતન દાઘેસ્તાન વિશેની સામગ્રીને પોતે જાણે અવેરી શકતા નથી. જોઈ શકાય કે એ બાબતે રસૂલ આપણને સંડોવ્યા કરે છે. એમની આ માન્યતા સાંભળો : કોઈ પણ લેખક માટે સૌથી વધારે જવાબદારીભર્યું લખાણ પોતાના વતન વિશે હોય છે : તરત કહે છે : ના, એ પુસ્તક મેં હજી લખ્યું નથી પણ એને વિશે ખૂબ વિચાર કર્યા છે : છેવટે સરસ ઉમેર્યું છે : એ વિચારો તૈયાર કોટ નહીં પરન્તુ કોટના કાપડ જેવા છે, ગાલીચો નહીં પરન્તુ માત્ર વણાટના સૂતર જેવા છે, ગીત નહીં પરન્તુ કેવળ ગીતને પેદા કરનારા ધડકારા જેવા છે : રસૂલે આ સઘળી વાત 'મારું દાઘેસ્તાન'-માં ખણ્ડ-૧ લખીને પ્રકાશિત કરી એટલે આપણે એમને કહી શકીએ કે આ તો સાહેબ, તમે લખવા ધારેલી વતનકથાનો મુસદ્દો છે.

બધી વાતો ન કરી શકું પણ એમને અંગેનું મારું મુખ્ય મન્તવ્ય જણાવી શકું : જીવન અને સાહિત્યનું એકરૂપ સંવેદન રસૂલનો વિશેષ છે. આપણા લેખકો કાં જીવનતરફી, કાં સાહિત્યતરફી. એટલે આ, રસૂલનો 'વિશેષ' લાગે. બાકી સન્નિષ્ઠ કલાકારની સૃષ્ટિમાં જીવન અને કલા જુદાં નથી હોતાં. પુસ્તકની સફળતા એ છે કે એ સંવેદનને આપણે અવાજ વગરના એક રંગરંગીન ફુવારા રૂપે અનુભવીએ છીએ. એથી આપણી આગળ રસૂલની પારદર્શક વ્યક્તિતા ખડી થાય છે. જોઈ શકાય કે એઓ કોરા સિદ્ધાન્તો કે આદર્શો નથી વાટતા. વાર્તાઓ, કિસ્સાઓ, દૃષ્ટાન્તો, કહેવતો, માન્યતાઓ ને જાતઅનુભવની કથનીઓ વડે સમગ્રને સ્વાદીલું કરી મૂકે છે. મેં અનુભવ્યું છે કે એમનો શબ્દ પારદર્શક છે ને વાણી ઊડતું ચકલું પાડે એવી રીઢી છે. મૂળ કારણ તો ગદ્યલેખનનું મુક્ત સ્વરૂપ — રસૂલ ઘડીમાં આમ વાત કરે, ઘડીમાં તેમ કરે, પણ નિરન્તર પોતાના વાચક જોડે વાત કરે. કૉન્વર્સેશન સ્ટાઇલ. પરિણામ એ કે વાચક જે પાન પર નજર નાખે, રસૂલની વાતમાં પરોવાઈ જાય ! માત્ર જાણતલો જાણે છે કે લેખક વાચકને ન છોડે અને વાચક લેખકને ન છોડે એ સમાગમનો કરિશ્મો શું છે.

પુસ્તક પતવા આવે એટલે સામાન્યપણે લેખકો રાજી રાજી થઈ જતા હોય છે. કહે, આ કામ હવે — બે સારા શબ્દ વાપરે — 'સુપેરે સમ્પન્ન' થવાનું, પણ રસૂલને જુદું થાય છે. કહે, મને બીક લાગે છે. હાથમાં કલમ ધ્રૂજી રહી છે. મનમાં આશંકાઓ ઉભરાય છે : હું બિલાડીને ગરુડ માનીને તો નિશાન નથી તાકી રહ્યો ને ? હું ઘોડાને બદલે ગધેડો પલાણવાની કોશિશ તો નથી કરી રહ્યો ને ? છતની પહોળાઈના માપની પણ લંબાઈમાં ટૂંકી વળીઓ આડીઊભી ગોઠવવાની કોશિશ તો નથી કરી રહ્યો ને ? : ઉમેરે છે : પુસ્તકનો અન્ત નજીક આવતો જાય છે તેમ તેમ મને લાગે છે કે હું એવા ખાટકી જેવો છું જે કતલ કરેલા ઘેટાને કાપવા કરે છે ને છેક પૂંછડીએ પહોંચી જાય છે ત્યારે એનો બાપડાનો છરો ભાંગી જાય છે …

લેખકોએ જાતને અવશ્ય પૂછવા જેવો સવાલ રસૂલ પોતાને પૂછે છે : હું મહાસાગરને તળિયેથી જે માછલી લઇને ઉપર આવી રહ્યો છું તે ખાલી હશે કે તેની અંદર મોતી હશે ? : મને લાગે છે, આવા જાગ્રત અને આત્મનિરીક્ષણને વરેલા લેખકનાં સર્જન ભાગ્યે જ મોતી વગરનાં હોય …

સૌજન્ય : ‘સાહિત્ય સાહિત્ય’ નામક લેખકની કોલમ, “નવગુજરાત સમય”, 04 જુલાઈ 2015

http://navgujaratsamay.indiatimes.com/editorial/opinion/only-few-writers-are-connected-whit-reality/articleshow/47927062.cms

Loading

...102030...3,7333,7343,7353,736...3,7403,7503,760...

Search by

Opinion

  • ધર્મેન્દ્ર – નોટ જસ્ટ અ હી-મેન 
  • આસ્થા અને ભ્રમ વચ્ચે જન્મેલી સચ્ચાઈ; પંથની  ગાથાનો એક છૂપો પક્ષ
  • પ્રિટર્મ બેબી – ધ યુનિક જર્ની ઑફ ફેઈથ એન્ડ ફિયર 
  • કામિની કૌશલ: અધૂરી મહોબ્બત અને સ્ત્રીના કર્તવ્યનો સિનેમાઈ ઇતિહાસ
  • જય ભીમ’ ખરેખર શું છે? 

Diaspora

  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ
  • મારી દુનિયાનાં તમામ બાળકો

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved