Opinion Magazine
Number of visits: 9692477
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

જૂનાગઢ : આઝાદી, આરઝી હકૂમત અને છેલ્લા નવાબ

તેજસ વૈદ્ય|Opinion - Opinion|4 November 2015

જૂનાગઢની ભૂમિ જેટલું જોઈને અને સંઘરીને બેઠી છે એવું વૈવિધ્ય અને સમન્વય ગુજરાત તો શું ભારતમાં પણ કદાચ નહીં હોય. હિંદુ, મુસ્લિમ, બૌદ્ધ, શૈવ, વૈષ્ણવ, વૈદક, જૈન એમ તમે કહો તે ધર્મનાં સ્થાનક સદીઓથી ગિરનારની ગોદમાં છે, વળી બધા ધર્મોના તાણાવાણા ત્યાં એવા ઓતપ્રોત છે કે બિનસામ્પ્રદાયિકતાનો ખરો મેરૂ તો ગિરનાર જ છે એમ કહી શકાય. બધા ધર્મો એકબીજા વગર અધૂરા છે એ ગિરનાર સહજ રીતે સમજાવી દે છે. ગંગાજમુની તહેઝીબની જેમ ત્યાં ગિરનાર-દાતાર તહેઝીબ છે.

ગ્લોબલ ભજન બની ગયેલા 'વૈષ્ણવજન તો તેને રે કહીએ ….'ના રચયિતા નરસિંહ મહેતા જૂનાગઢમાં થઈ ગયા. પીર જમિયલ સા દાતાર જેવા ઇસ્લામી ઓલિયાનું પ્રવૃત્તિકેન્દ્ર પણ જૂનાગઢ રહ્યું. પુરાતત્ત્વ વિદ્યાના ભારતીય આદિપુરુષ અને લેઇડન યુનિવર્સિટીએ જેમને માનદ્દ ડોક્ટરેટથી સન્માનિત કર્યા હતા એ અશોક સહિતના અનેક શિલાલેખના અક્ષરો ઉકેલનારા ભગવાનલાલ ઇન્દ્રજી જૂનાગઢના હતા. કવિ નર્મદના સમોવડિયા મણિશંકર કિકાણી જેવા સમાજસુધારક પણ જૂનાગઢના જ હતા.

કહેવાય છે કે ગિરનાર હિમાલય કરતાં પણ જૂનો છે. જૂનાગઢ અને ગિરનાર કાળપલટાના સાક્ષી રહ્યા છે. ગુજરાતના જાણીતા નાટયવિદ્દ ચન્દ્રવદન ચી. મહેતાએ એક રૂપકમાં ગિરનારને વાચા આપતાં લખ્યું હતું કે "હું ગિરનાર છું, યુગયુગથી ઊભો છું. મેં આફ્રિકાને એશિયાથી અલગ થતો નિહાળ્યો છે. ઉત્તરાપથે જ્યાં મહાસાગર ઘૂઘવતો હતો ત્યાં અચાનક કુમાર હિમાલયનો ઉદ્દભવ થતો મેં નિહાળ્યો છે."

માત્ર ગુજરાતના જ નહીં પણ જગતભરના ઇતિહાસમાં જૂનાગઢનું નામ એ રીતે પણ વિશેષ છે કે એના અઢી હજાર વર્ષનો સળંગ ઇતિહાસ મળે છે, આવાં નગરો જગતના નકશામાં ઓછાં છે.

સોલંકીકાળથી લઈને નવાબીકાળ સુધી જૂનાગઢનો રાજકીય ઇતિહાસ એવો દિલધડક છે કે એના પરથી મેગા બજેટ ટીવી સિરીઝ કે ફિલ્મો બનાવી શકાય. બૌદ્ધ સાધુઓએ ત્યાં ધ્યાનસાધનાઓ કરી છે, તો નાગા બાવાઓએ ધૂણી ધખાવી છે. અશોકનો શિલાલેખ ત્યાં છે, તો નવાબીકાળના ભવ્ય દરવાજાઓ આજે પણ નગરના દરવાન બનીને ઊભા છે. વનૌષધિઓનો અંબાર સંઘરીને ગીરનું જંગલ બેઠું છે. સાવજોની ડણક ગિરનારનાં શૌર્યની ઝાંખી કરાવે છે. શોધ-સંશોધનમાં રસ હોય એને એક વખત જૂનાગઢની છાલક લાગે તો મરજીવાની જેમ એ જૂનાગઢમાંથી કદી બહાર જ ન નીકળી શકે, એટલું ભર્યુંભર્યું છે. શંભુપ્રસાદ દેસાઈ, પરિમલ રૂપાણી, એસ. વી. જાની, પ્રદ્યુમ્ન ખાચર તેમ જ તેમની અગાઉ કેટલાક ઇતિહાસના જાણકારોએ જૂનાગઢ પર સંશોધન કરીને સરસ દસ્તાવેજીકરણ કર્યું છે.

જૂનાગઢ સ્વાતંત્ર્ય ઇતિહાસમાં પણ અનોખું પ્રકરણ ધરાવે છે. દેશ ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ના રોજ આઝાદ થઈ ગયો હતો પણ જૂનાગઢ નહોતું થયું. જૂનાગઢે ૯ નવેમ્બર ૧૯૪૭ના દિવસે આઝાદી જોઇ હતી. એના માટે જૂનાગઢના નવાબ મહાબત ખાન-ત્રીજા, શાહનવાઝ ભુટ્ટો અને આરઝી હકુમતને સમજવા પડશે. જૂનાગઢના છેલ્લા નવાબના દીવાન શાહનવાઝ ભુટ્ટો હતા, જેમણે સૌથી મોટી ગેમ રમી હતી. શાહનવાઝ ભુટ્ટો એટલે પાકિસ્તાનના ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ ઝુલ્ફિકારઅલી ભુટ્ટોના પિતા અને પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન બેનઝીર ભુટ્ટોના દાદા.

આરઝી હકૂમત

અંગ્રેજોએ દેશ પર શાસન તો કર્યું જ હતું પણ દેશ આઝાદ થયો ત્યારે દેશ બેધારી પરિસ્થિતિમાં મુકાઈ ગયો હતો. ૧૯૪૭માં ૧૫ ઓગસ્ટ નજીક હતી ત્યારે બ્રિટનની પાર્લામેન્ટનાં બંને ગૃહોએ ૧૮ જુલાઈ, ૧૯૪૭ના દિવસે એક ખરડો પસાર કર્યો હતો, જેને બ્રિટિશ તાજની મંજૂરી મળતાં એ ખરડો કાયદો થયો, જે હિંદ સ્વાતંત્ર્ય ધારા તરીકે ઓળખાયો, એમાં હિંદુસ્તાનના બે ભાગ કરવાની જોગવાઈ હતી તથા દેશી રાજ્યો માટે પણ જોગવાઈ કરવામાં આવી હતી. એ કાયદાનુસાર ૧૫ ઓગસ્ટ ૧૯૪૭થી તમામ દેશી રાજ્યો પર બ્રિટિશ હકૂમતનો અંત આવતો હતો અને જે રાજ્યે ભારત અથવા તો પાકિસ્તાનમાં જોડાવું હોય તે જોડાઈ શકે. ૧૫ ઓગસ્ટ પહેલાં સામેલ થવાનું હતું. સરદાર પટેલની મહેનતથી મોટા ભાગનાં રજવાડા ભારતીય સંઘમાં જોડાવા માંડયાં અને ભારતનો એક નકશો તૈયાર થવા માંડયો. જૂનાગઢ પાકિસ્તાનમાં જોડાશે એવી હલચલ વેગ પકડી રહી હતી. ૧૧ એપ્રિલ ૧૯૪૭ના રોજ જૂનાગઢના નવાબ મહાબત ખાન-ત્રીજાએ એક અખબારી યાદી જાહેર કરીને એને રદિયો આપ્યો હતો પણ ચિત્ર ઊંધું હતું. નવાબે જૂનાગઢ પાકિસ્તાનમાં નહીં જોડાય એવી અખબારી યાદી જાહેર કરી હતી પણ ભારતમાં જોડાવાની જાહેરાત જૂનાગઢે કરી નહોતી. અફવાબજાર ગરમ હતું.

૭-૮ જૂન ૧૯૪૭ના રોજ તળ મુંબઈના માધવબાગમાં કાઠિયાવાડ પ્રજા-સંમેલન મળ્યું હતું, જો જૂનાગઢ પાકિસ્તાનમાં જાય તો કટોકટીને પહોંચી વળવા કાઠિયાવાડ રાજકીય પરિષદની રચના કરવામાં આવી હતી, જેમાં રસિકલાલ પરીખ, જેઠાલાલ જોશી અને રતુભાઈ અદાણી હતા. ૧૯૩૯માં સ્થાપાયેલાં જૂનાગઢ રાજ્ય પ્રજામંડળને ફરી સક્રિય કરવાનું વિચારવામાં આવ્યું. જૂનાગઢ પ્રજામંડળે સરદાર પટેલ, જવાહરલાલ નહેરુ અને પટ્ટાભી સીતારામૈયાને ટેલિગ્રામ કરીને જૂનાગઢની બહુમતી પ્રજાનાં હિતમાં પોતાની વગનો ઉપયોગ કરવા વિનંતી કરી. આ સભાએ આવેદનપત્ર પાઠવીને જૂનાગઢ નવાબને ભારતમાં જોડાવા વિનંતિ કરી પણ નવાબ પાકિસ્તાનમાં જોડાવા માટે આંતરિક હિલચાલ કરી રહ્યા હતા, જેનું કારણ હતું જૂનાગઢ રાજ્યના દીવાન શાહનવાઝ ભુટ્ટો. જૂનાગઢ પાકિસ્તાન સાથે જોડાય એ માટેનું કોઈ ભૌગોલિક કે સાંસ્કૃિતક કારણ નહોતું. જૂનાગઢમાં ૮૨ ટકા પ્રજા હિંદુ હતી, તે ભારતમાં જોડાવા માગતી હતી પણ ઇચ્છા પ્રગટ કરવાની શક્તિ નહીં. સામે પક્ષે નવાબ પણ નિર્ણય લેવામાં મોળા હતા, ભુટ્ટો એનો જ ફાયદો ઉઠાવતા હતા. સરદાર પટેલે નવાબને સમજાવવા વી. પી. મેનનને મોકલ્યા પણ ભુટ્ટોએ તેમને મળવા જ ન દીધા. આ તમામ હિલચાલ વચ્ચે નવાબે પાકિસ્તાનમાં જોડાવાની જાહેરાત કરી. દેશમાં હુલ્લડો ફાટી નીકળ્યાં હતાં.

જૂનાગઢ પાકિસ્તાનમાં જોડાય તો દહેશત ફેલાશે એવા ભયથી લોકો શહેર છોડીને ચાલ્યાં ગયાં હતાં. વાટાઘાટ કે સમજૂતીથી આ સવાલ ઉકલે એમ નહતો, તેથી મુંબઈમાં 'જૂનાગઢ આરઝી હકુમત'ની રચના થઈ. એનું બાકાયદા પ્રધાનમંડળ તૈયાર થયું હતું. પ્રધાનમંડળમાં શામળદાસ ગાંધીને વડા પ્રધાન બનાવવામાં આવ્યા. દુર્લભજી ખેતાણી, નરેન્દ્ર નથવાણી, ભવાનીશંકર ઓઝા, મણિલાલ દોશી, સુરગભાઈ વરુ, જશવંત મહેતા, સનત મહેતા વગેરેને હોદ્દા આપવામાં આવ્યા હતા. લડતનો પ્રારંભ થયો.

૩૦.૯.૪૭ના રોજ આરઝીના સૈનિકોએ રાજકોટમાં આવેલો ઉતારો કબજે કર્યો. એ પછી અમરાપુર, નવાગઢ, ગાઝકડા વગેરે ગામો કબજે થયાં. જૂનાગઢ તો સાવ ખાલી ભાસતું હતું. નવાબ તો કેશોદથી પ્લેન પકડીને કરાચી રવાના થઈ ગયા હતા. શાહનવાઝ ભુટ્ટો અને પોલીસ કમિશનર નકવી આરઝીનો પ્રતિકાર કરવા પ્રવૃત્ત થયા. એ વખતે કરાચી ભાગી ગયેલા નવાબે ભુટ્ટોને સંદેશ મોકલ્યો કે નિર્દોષ પ્રજાનું લોહી ન રેડાય તે માટે ભારત સરકારની શરણાગતિ સ્વીકારવી. ૯.૧૧.૧૯૪૭ના રોજ આરઝી હકૂમતનાં સૈનિકો જૂનાગઢમાં પ્રવેશ્યાં અને ઉપરકોટ પર ધ્વજ ફરકાવ્યો. એ જ વખતે શાહનવાઝ ભુટ્ટો કેશોદનાં એરપોર્ટ પરથી પ્લેન પકડીને પાકિસ્તાન પલાયન થઈ ગયા. રાજકોટના રિજિયોનલ કમિશનર નિલમભાઈ બુચે ૯ નવેમ્બર ૧૯૪૭ના રોજ વહીવટી કબજો લીધો. સરદાર પટેલ ૧૩.૯.૪૭ના રોજ જૂનાગઢ આવ્યા હતા અને પ્રજાને તેમ જ ખાસ કરીને મુસ્લિમોને શાંતિ અને સલામતીની ખાતરી આપી હતી. સેન્ટ્રલ રિઝર્વ પોલીસ તથા મિલિટરી શહેરમાં ગોઠવી દેવાઈ હતી.

લોકતંત્રની મહાનતા : રાજા નહોતા ત્યારે પ્રજાનો મત લેવામાં આવ્યો

જૂનાગઢમાં આઝાદીનો ધ્વજ લહેરાયો છતાં પણ પ્રજા ભારતમાં રહેવા ખુશ છે કે પાકિસ્તાનમાં જવા ઇચ્છે છે એ માટે ૨૦.૨.૪૮ના રોજ રેફરન્ડમ યોજવામાં આવ્યું હતું, જેનું પરિણામ ૧-૩-૧૯૪૮ના રોજ આવ્યું હતું, જેમાં પાકિસ્તાન તરફ માત્ર ૯૧ મત અને ભારત તરફ ૧,૯૦,૭૭૯ મત પડયા હતા. વિભાજન બાદ સિંધના કેટલાંક હિંદુઓ જૂનાગઢ આવ્યાં હતાં અને કુતિયાણા, બાંટવા વગેરે શહેરોમાં વસ્યાં હતાં.

નવાબ અને તેમના દીવાન પાકિસ્તાન ચાલ્યા ગયા પછી જૂનાગઢ તો આપોઆપ ભારતનો જ હિસ્સો હતું. આપણા દેશની લોકતાંત્રિક મહાનતા એ છે કે એ પછી પણ રેફરન્ડમ લેવામાં આવ્યું હતું અને જૂનાગઢ પાકિસ્તાનમાં જાય કે ભારત સાથે રહે એ માટે લોકોનો મત લેવામાં આવ્યો હતો. રાજા ન હોય છતાં પ્રજાનો મત લેવામાં આવ્યો એ દર્શાવે છે કે ભારત લોકતંત્રને કેટલું વરેલું છે. આ દેશ જગતમાં એનાં લોકતાંત્રિક મૂલ્યોને લીધે જ મહાન છે.

નવાબ મહાબત ખાને કરેલાં કાર્યો 

જૂનાગઢમાં બાબીવંશનો શાસનકાળ ૨૦૦ વર્ષનો હતો. ૧૭૪૭-૪૮માં બહાદુરખાન બાબીએ જૂનાગઢની પ્રજાના સાથ-સહકારથી સ્થાપેલાં રાજ્યનો ૧૯૪૭માં પ્રજાના વિરોધનાં પરિણામે અંત આવ્યો.

શાહનવાઝ ભુટ્ટોની સલાહને અનુસરીને જૂનાગઢના છેલ્લા નવાબ મહાબત ખાન-ત્રીજાએ પાકિસ્તાન તરફી વલણ અપનાવ્યું એ મહાન ભૂલ હતી. જૂનાગઢમાં બસ્સો વર્ષનાં નવાબી શાસન દરમ્યાન કેટલાંક નમૂનેદાર કામો થયા છે, જે છેલ્લા નવાબની ભૂલને કારણે દબાઈ ગયાં છે. આપણે પણ ઇતિહાસનું મંથન કરીને એ કાર્યો યાદ કરવાં જોઈએ. નવાબે કરેલી ભૂલ મહાન હતી પણ માત્ર એ ભૂલને આધારે જ તેમને મૂલવીએ અને તેમનાં સારાં કાર્યોને નજરઅંદાજ કરીએ એ ઇતિહાસનું ગેરવાજબી મૂલ્યાંકન કર્યું કહેવાય. આપણો દેશ તો લોકશાહી મૂલ્યોને વરેલો છે. નવાબ પલાયન થયા પછી પણ રેફરન્ડ્મ લઇને જૂનાગઢની જનતાનો મત લેવામાં માનતા હોઈએ તો બાબી નવાબોનાં સારાં કાર્યોને આપણે બિરદાવવાં રહ્યાં. એવાં કેટલાંક નમૂનેદાર કાર્યો જોઈએ.

પાકિસ્તાન રવાના થઈ ગયેલા નવાબ મહાબત ખાન ત્રીજાએ ૩૧.૦૩.૧૯૨૦ના રોજ ગાદી સંભાળી હતી. તેમણે ગાદી સ્વીકારતી વખતે કેટલીક નવાજેશો કરી હતી એ નોંધનીય છે, જેમ કે, ૧ સપ્ટેમ્બર ૧૯૨૦થી જૂનાગઢ રાજ્યમાં પ્રાથમિક કેળવણી મફત આપવામાં આવશે, સાથે સાથે અંગ્રેજીનું પાંચમા ધોરણ સુધીનું શિક્ષણ પણ મફત અપાશે. દેશ જ્યારે આઝાદ નહોતો થયો ત્યારે નવાબને શિક્ષણનું મૂલ્ય ખબર હતી.

ગિરનારમાં યાત્રીસુવિધા અને વ્યવસ્થાના ભાગે યાત્રિકો પાસેથી વેરો વસૂલાતો હતો, જે મુંડકવેરા તરીકે ઓળખાતો હતો. ગામના યાત્રિકો અને ગામ બહારના યાત્રિકો માટે અલગ અલગ રકમ હતી. મહાબત ખાન-ત્રીજાએ શાસન હાથમાં લીધું એ પછી યાત્રાવેરો રદ કરી નાખ્યો હતો. એ રદ થયા પછી ગિરનારની વ્યવસ્થાને આંચ નહોતી આવવા દીધી.

ભારે વરસાદ પડે ત્યારે કઠિયારાઓ ગિરનારનાં જંગલમાં ન જઈ શકે, પરિણામે ખાધાખોરાકીના પ્રશ્ન ઊભા થાય. નવાબે એ કઠિયારાઓ માટે પેટિયાની વ્યવસ્થા કરી હતી. ચોમાસા દરમ્યાન તેમને પેટિયારૂપે નિશ્ચિત રકમ આપવામાં આવતી હતી. નવાબના સમયમાં પાણીના અવેડાઓની રખેવાળી કરનારાને પગાર ચૂકવાતા હતા. જૂનાગઢના વિલિંગ્ડન તળાવનો પાયો ૧૧.૫.૧૯૩૬ના રોજ નખાયો હતો. નવાબ મહાબત ખાન-ત્રીજાએ ગણેશપૂજા કરીને પાયો નાખ્યો હતો. એ તળાવના બાંધનારા ત્રણ એન્જિનિયર પૈકીના એક કે. જે. ગાંધી હતા, જેઓ અભિનેત્રી દીના પાઠકના પિતા હતા.

ચૂડાસમા કે મુઘલકાળમાં ગિરનાર પર રાજ્યવ્યવસ્થા કેવી હતી એ જાણવા મળતું નથી પણ બાબીકાળની વ્યવસ્થા અને દેખરેખની વિગતો મળે છે. ૧૮૯૭માં ગિરનારના દરેક ધર્મસ્થાનક દર્શાવતો અને હક્ક-હિસ્સાની સમજૂતી આપતો નકશો તૈયાર કરવામાં આવ્યો હતો જ્યારે વિવાદ થાય ત્યારે એ નકશાના આધારે નિરાકરણ લાવવવામાં આવતું હતું. મતલબ કે રાજ્યવ્યવસ્થાના દસ્તાવેજીકરણનું કામ નવાબીકાળમાં થયું હતું.

નવાબ મહાબત ખાન-ત્રીજાને કૂતરાં પાળવાનો જબરો શોખ હતો. તેમની પાસે ઢગલાબંધ કૂતરાં હતાં, પણ તેમને ગાયો પાળવાનો ય શોખ હતો. જેણે નવાબ સામે આરઝી હકૂમત સર્જીને જંગ માંડયો હતો એ રતુભાઈ અદાણીએ તેમનાં પુસ્તક 'સોરઠની લોકક્રાંતિનાં વહેણ અને વમળ'માં લખ્યું છે કે 'નવાબનો કૂતરાંનો શોખ અતિરેકને કારણે ગવાઈ ગયો, તેમને ગાયોનો પણ એટલો જ શોખ હતો. ગૌપાલન અંગેનું તેમનું જ્ઞાન અદ્દભુત હતું. એમની ગૌશાળામાં ગીર ઓલાદની ચડિયાતી ગાયોની સંખ્યા સારી એવી હતી.

૧૯૩૫માં ગિરનાર પર મસ્જિદ હોવાનો વિવાદ 'જમિયલતુલ મુસ્લેમિન' સંસ્થાએ ચગાવ્યો ત્યારે એ સંસ્થાને વિખેરી નાખવાનો આદેશ અપાયો હતો. વિવાદને મુસ્લિમ શાસક નવાબે તટસ્થતાથી દાબી દીધો હતો. એ વખતે 'દીન' નામનાં સાપ્તાહિકમાં નવાબ વિરુદ્ધ ખૂબ લખાયું હતું ત્યાં સુધી લખાયું હતું કે નવાબીતંત્ર હિંદુવાદી બની ગયું છે.

કાઠિયાવાડમાં આઝાદી આવી ત્યાં સુધી દલિતો પર કેટલાક પ્રતિબંધ હતા. દલિતો ગામના કૂવે કે મંદિરોએ જઈ શકતા નહોતા. દુકાનદાર પાસે કોઈ ચીજવસ્તુ ખરીદવા જાય તો તેના પૈસા પણ પાણીની છાંટ નાખીને દૂરથી જ લેવાતા હતા. રજવાડાઓના એ સમયમાં દલિતો માટે થોડી સગવડનું કાર્ય કોઈએ કર્યું હોય તો એ જૂનાગઢના નવાબ મહાબત ખાન-બીજાએ કર્યું. જૂનાગઢમાં એ વખતે હોળી નિમિત્તે દલિતોને ગાળો દેવાનો અવ્યવહારૂ રિવાજ હતો. નવાબે ૧૮૬૯માં એ રિવાજથી બચાવવા સમાન કરવાનો કાયદો ઘડયો હતો. યોગાનુયોગ જુઓ કે એ જ વર્ષે પોરબંદરમાં ગાંધીનો જન્મ થયો હતો.

નવાબીકાળમાં ૧૯૩૮માં એવો ઠરાવ કરવામાં આવ્યો હતો કે હરિજનોને મકાન બાંધવા જમીન શહેરમાં લેવી હોય તો અન્ય લોકો કરતાં અડધા ભાવે આપવાનું નક્કી કરીને તેમને શહેરમાં વસવાની સગવડ કરવામાં આવી હતી.

ગાંધીજી સાથે પણ નવાબને સારા સંબંધ હતા. હરિજનસેવાની પ્રવૃત્તિ માટે ૨૭.૧૦.૧૯૩૮ના રોજ નવાબે ૧,૫૦૦ રૂપિયા મોકલ્યા હતા, જેનો આભાર માનતો પત્ર પણ ગાંધીજીએ તેમને લખ્યો હતો.        

સાલેભાઈની આવડી એટલે કેસર કેરી

જૂનાગઢ-ગીર કેસર કેરી માટે ખૂબ વિખ્યાત છે. એ કેસર કેરીની કલમો નવાબકાળમાં વિકસાવાઈ હતી. નવાબે મોતીબાગ, સકરબાગ, પાઈબાગ વગેરે તૈયાર કરાવ્યા હતા, ત્યાં વિવિધ કેરીઓની કલમ ઉછેરવામાં આવી હતી. કેસર કેરી નવાબના સમયમાં આવી હતી. એ વખતે 'સાલેભાઈની આવડી'ના નામે મશહુર હતી.

જૂનાગઢની ધરોહર તરફ ધ્યાન દેવાની જરૂર છે

જૂનાગઢમાં નવાબીકાળના બેનમૂન દરવાજા અને મકબરાઓ છે. એવા દરવાજા અને કોતરણીવાળા મહાબત ખાનના અને બ્હાઉદ્દીન મકબરા ધરોહર છે પણ અફસોસ કે એની જાળવણી પ્રત્યે ભયંકર બેદરકારી રાખવામાં આવી રહી છે. માત્ર 'રક્ષિત સ્મારક'નું પાટિયું મૂકી દેવાથી સ્મારકનું રક્ષણ થતું નથી. અશોકના શિલાલેખની છત બે વર્ષ પહેલાં તૂટી ગઈ પછી એ મહાન શિલાલેખ અવાવરૂ અવસ્થામાં પડયો છે. આ સ્થળોની માવજત કરીને જૂનાગઢને મહત્ત્વનાં ટૂરિસ્ટ સ્પોટ તરીકે ડેવલપ કરી શકાય એમ છે. એ સરવાળે રાજ્યની તિજોરીના લાભમાં છે. જૂનાગઢને ટૂરિસ્ટ સ્પોટ તરીકે વિકસાવવાના પ્રયાસ થયા જ છે, યાત્રિકોની સંખ્યા વધી છે, પણ હજી થોડા વધારે પ્રયાસની જરૂર છે.

સંગીતરત્ન ઉસ્તાદ અબ્દુલ કરીમ ખાન અને જૂનાગઢ

સંગીત દિગ્ગજ પંડિત ભીમસેન જોશી અને વિદુષી ગંગુબાઈ હંગલ જેવાં શાસ્ત્રીય સંગીતજ્ઞો સંગીતના કિરાણા ઘરાના સાથે નાતો ધરાવે છે. કિરાણા ઘરાનામાં ઉસ્તાદ અબ્દુલ કરીમ ખાનનું નામ ખૂબ આદરપૂર્વક લેવાય છે. પંડિત ભીમસેન જોશીના ગુરુ પંડિત સવાઈ ગાંધર્વ હતા. પંડિત સવાઈ ગાંધર્વના ગુરુ ઉસ્તાદ અબ્દુલ કરીમ ખાન હતા. મજાની વાત એ છે કે ઉસ્તાદ અબ્દુલ કરીમ ખાન છેલ્લા નવાબના કાળમાં જૂનાગઢ વસવાટ કરી ચૂક્યા છે. ઉપરાંત સેનિયા ઘરાનાના ઉસ્તાદ ગુલામઅલી કામીલ પણ જૂનાગઢમાં વસવાટ કરી ચૂક્યા છે.

e.mail : tejas.vd@gmail.com

સૌજન્ય : ‘છપ્પરવખારી’ નામક લેખકની કોલમ, “સંદેશ”, 04 નવેમ્બર 2015

http://www.sandesh.com/article.aspx?newsid=3163731

Loading

કરુણ-રમૂજી ઘટનાક્રમોનો સિલસિલો

ઉર્વીશ કોઠારી|Samantar Gujarat - Samantar|3 November 2015

સાહિત્ય પરિષદ અને સાહિત્ય અકાદમી કોંગ્રેસ-ભા.જ.પ.ની જેમ ગરિમા નેવે મૂકીને બાખડી રહ્યાં છે

ધારો કે હિટલરનો પ્રચારમંત્રી જોસેફ ગોબેલ્સ અત્યારે જીવતો હોત તો? એણે કહ્યું હોત કે બીજા વિશ્વયુદ્ધ પછી હિટલર સૌથી વધારે પ્રમાણમાં અસહિષ્ણુતાનો – અપપ્રચારનો ભોગ બન્યો. એ તો કલ્પના થઈ, પણ વડાપ્રધાનની છબીના રક્ષામંત્રીની બિનસત્તાવાર ભૂમિકા ભજવતા દેશના નાણાંમંત્રી અરુણ જેટલીએ ખરેખર કહ્યું કે ૨૦૦૨ પછી નરેન્દ્ર મોદી સૌથી વધુ પ્રમાણમાં બૌદ્ધિકોની અસહિષ્ણુતાનો ભોગ બન્યા છે. જેટલીની ગોબેલ્સ સાથે ને મોદીની હિટલર સાથે સરખામણી અપ્રસ્તુત છે અને એવો આશય પણ નથી. જે મુદ્દો છે તે આટલો : ખંજર ભી ઉનકે જખ્મરસીદોંમેં મિલ ગયા / વો ભી લહુ લગાકે શહીદોંમે મિલ ગયા. (ઘા કરનાર ખંજર પણ લોહી લગાડીને શહીદમાં ખપવા ચાલ્યું) મતલબ, અસહિષ્ણુતાના રાજકારણના પ્રવર્તકો અને ચીઅરલીડરો પોતે અસહિષ્ણુતાનો સૌથી વધુ પ્રમાણમાં ભોગ બન્યાની ફરિયાદ કરે ત્યારે કરુણ -રમૂજી સ્થિતિ સર્જાય છે.

જેમની રાષ્ટ્રવાદની વ્યાખ્યા જ અસહિષ્ણુતાનો પર્યાય છે,  જે શાંતિપૂર્ણ સહઅસ્તિત્ત્વને સ્યુડો-સેક્યુલારિઝમ તરીકે ખપાવવામાં રચ્યાપચ્યા રહે છે, તેમના માટે અસહિષ્ણુતા તલવાર પણ છે ને ઢાલ પણ. પોતાનું જૂથ સાતત્યપૂર્વકની – વિચારધારાપ્રેરિત અસહિષ્ણુતાની ઉઘાડી તલવારો લઇને આતંક મચાવતું હોય ત્યારે તેમને કશું કહેવાનું નથી, પરંતુ એ જ અસહિષ્ણુતાની આકરી ટીકા થાય ત્યારે અચાનક તેમને યાદ આવે છે કે ‘ઓહો, આવી ટીકા તો બૌદ્ધિક અસહિષ્ણુતા કહેવાય. તે (આપણી સામે થતી હોવાથી) કેમ સહન થાય?’ લોકપ્રિય ઇતિહાસોમાં ઓછી જાણીતી હકીકત છે કે ઝાંસીનાં રાણી લક્ષ્મીબાઈએ અંગ્રેજો સમક્ષ અરજી અને વિનવણીઓ સહિતના બધા વિકલ્પ અજમાવી જોયા હતાં. તેમ છતાં, અંગ્રેજોએ તેમના દત્તક પુત્રને વારસ તરીકે મંજૂર ન જ રાખ્યો.

બીજો કોઈ વિકલ્પ ન રહેતાં અને અંગ્રેજો સામે લડવાની ફરજ પડતાં લક્ષ્મીબાઈ લડ્યાં, સુભદ્રાકુમારીની જાણીતી પંક્તિ પ્રમાણે, ‘ખૂબ’ લડ્યાં અને યોગ્ય રીતે જ ઇતિહાસમાં અમર થયાં. તેમના એકંદર મૂલ્યાંકનમાં આ બધું આવે, પણ ‘૧૮૫૭નો સંગ્રામ થયો ત્યાર પહેલાં અંગ્રેજોના અત્યાચાર તો ચાલુ જ હતા. એ વખતે તમે ક્યાં ગયાં હતાં ?’ એવું પૂછીને તેમની લડાઈનું મૂલ્ય ઘટાડી શકાય? સંગ્રામ પહેલાં નાનાસાહેબ પેશ્વા અંગ્રેજો સાથે ઘણું હળતાભળતા હતા. તેમને પાર્ટીઓ આપતા હતા. તેમને સંગ્રામમાં જોડાવાપણું લાગ્યું કે તેની ફરજ પડી, ત્યાર પછી નાનાસાહેબને એવું પૂછી શકાય કે ‘અત્યાર સુધી અંગ્રેજોએ આટલા અત્યાચારો કર્યા, ત્યારે તમે ક્યાં ગયા હતા? અને હવે અચાનક કેમ જાગી ઉઠ્યા?’ અગાઉ લખ્યું હતું તેમ, ભાજપનું એકેય પાપ મૌલિક નથી અને કોંગ્રેસના લાંબા શાસનમાં એ બધાં પાપ સ્વરૂપાંતરે – પ્રકારાંતરે થઈ ચૂક્યાં છે.

એ વખતે બૌદ્ધિકોએ આટલો અસરકારક વિરોધ ન કર્યો હોય, તો સાવ ચૂપ પણ રહ્યા ન હતા. હવે જુદા જુદા ક્ષેત્રના લોકોને અસહિષ્ણુતાના વાતાવરણ અંગે બોલવાપણું લાગ્યું છે. અગાઉની યાદીમાં ગુલઝાર, એડમિરલ રામદાસ પછી નારાયણમૂર્તિ, કિરણ મઝુમદાર – શો, ઝુબિન મહેતા અને રીઝર્વ બેન્કના ગવર્નર રઘુરામ રાજન જેવાં નામ ઉમેરાયાં છે. આ બધાને પડેલો — અને સરકારને આકરો લાગેલો — વાંધો અસહિષ્ણુતાના છૂટાછવાયા બનાવો પ્રત્યે નહીં, પણ એ અંગે સરકારના મોળા અને મેળાપીપણાની છાપ આપે એવા મૌન વલણ સામે હોય એમ લાગે છે. સરકાર અને તેમના સત્તાવાર, ભાડૂતી કે માનદ્દ પ્રતિનિધિઓ કેટકેટલા લોકોની દેશભક્તિનાં પ્રમાણપત્રો ફાડ્યા કરશે? અને આવાં પ્રમાણપત્રો ફાડવાની તેમની પોતાની લાયકાતનું પ્રમાણપત્ર કોણ આપશે? કોંગ્રેસના દંભી સેક્યુલરિઝમની વાજબી ટીકા કરનારા ભાજપ એન્ડ પરિવારના દંભી, કોમવાદી રાષ્ટ્રવાદના ખોળામાં જઈને બેસી જાય અને એનો તેમને અહેસાસ પણ ન રહે, એ સ્થિતિ કરુણ-રમૂજી નથી?

બિહારની ચૂંટણીમાં નીતિશકુમારના કોઈ તાંત્રિક સાથેના મેળાપનો વીડિયો ફરતો થયો. તેની ટીકા વડાપ્રધાને ચૂંટણીપ્રચાર દરમિયાન કરી — કેમ જાણે, પોતે રેશનાલિસ્ટનું ખોળિયું હોય. ગુજરાતમાં તેમના મુખ્ય મંત્રીપદ દરમિયાન આસારામ જેવા લોકો કેવા ફૂલ્યાફાલ્યા અને આશ્રમમાં બાળકોની હત્યાના મામલે પ્રબળ લોકવિરોધ પછી પણ મુખ્ય મંત્રી તરીકે મોદીનું વલણ કેવું હતું એ જાણીતું છે. ગયા વર્ષે અમદાવાદમાં યોજાયેલા પુસ્તકમેળામાં આસારામના સ્ટોલમાં મુકાયેલા સ્ક્રીન પર, મુખ્ય મંત્રી તરીકે નરેન્દ્ર મોદીએ આસારામની સભામાં કરેલાં ઉચ્ચારણ વાગતાં હતાં. તેના થકી આસારામના ટેકેદારો દ્વારા અપાતો સંદેશો હતો : ‘જુઓ, નરેન્દ્ર મોદી પણ આસારામને માને છે.’ એ જ મોદી હવે તાંત્રિકના મુદ્દે નીતિશકુમારની ટીકા કરે ત્યારે દયા તો બિહારની જનતાની ખાવાની થાય કે તેની પાસે આવા જ બે વિકલ્પ છે.

દેશમાં ચોતરફ અસહિષ્ણુતાના વ્યાપક મુદ્દાને લઈને બૌદ્ધિકો સરેઆમ, અભૂતપૂર્વ રીતે કચવાટની લાગણી વ્યક્ત કરી રહ્યા છે, ત્યારે ગુજરાતમાં સાહિત્ય પરિષદ અને સાહિત્ય અકાદમી વચ્ચે કંઈક ભળતો કકળાટ ચાલી રહ્યો છે. મૂળ અને ન્યાયી સવાલ સરકારે સ્થાપેલી, ઉમાશંકર-‘દર્શક’ના પ્રયાસથી સ્વાયત્ત બનેલી અને વર્ષોથી સ્વાયત્તતા ગુમાવી બેઠેલી સાહિત્ય અકાદમીનો હતો. લોકશાહી સંસ્થા માટે સ્વાયત્તતા આવશ્યક-અનિવાર્ય ગણાય, પણ એ પૂરતી છે? લોકશાહી એટલે ફક્ત ચૂંટણીશાહી? અને સ્વાયત્તતા – ચૂંટણી જેવી બાબતો આખરી સાધ્ય છે કે પછી સાહિત્યના કામને વધુ વેગ આપવાનું-સાહિત્યને વધુ પ્રમાણમાં લોકો સુધી પહોંચાડવાનું સાધન? — આવા, સ્વાયત્તતા જેટલું જ મહત્ત્વ ધરાવતા સવાલ ઘણે અંશે ગૌણ બન્યા.

રાજ્યની અકાદમીના સરકારનિયુક્ત વડાએ સાહિત્યજગતનાં મોટાં નામોને અકાદમીની માર્ગદર્શક સમિતિમાં નીમીને બુંદથી બિગડી હોજથી સુધારવાનો પ્રયાસ કર્યો. ટ્રસ્ટ સંચાલિત અને ચૂંટણીથી હોદ્દેદારો નીમતી સાહિત્ય પરિષદ થોડાં વર્ષ પહેલાં અકાદમીની સ્વાયત્તતાના ટેકામાં ઠરાવ પસાર કરી ચૂકી હતી, પરંતુ આ વખતે પરિષદે એવું આત્યંતિક વલણ લીધું કે અકાદમીની માર્ગદર્શક સમિતિમાં હોય એવા લોકો પરિષદના હોદ્દે રહી શકે નહીં. આ નિર્ણયમાં સિદ્ધાંતની ઓછી અને વ્યક્તિગત હિસાબકિતાબની ગંધ વધારે આવે છે. (પ્રાપ્ત માહિતી પ્રમાણે, આ પ્રકારના સત્તાવાર ઠરાવ માટે જરૂરી ઔપચારિક વિધિઓ પણ પૂરી કરવામાં આવી નથી.)

પરિષદ અને અકાદમી બન્ને સાહિત્યસંસ્થાઓ ગુજરાતી સાહિત્યના પ્રચારપ્રસારને લગતાં કામની અને તેની ગુણવત્તાની ચિંતા કરવાને બદલે, કોંગ્રેસ-ભા.જ.પ.ના અંદાજમાં, ગરિમા નેવે મૂકીને બાખડી રહી છે. બે ભૂતપૂર્વ સરકારી અધિકારીઓ વચ્ચેના સંઘર્ષમાં સાહિત્ય પરિષદ, અકાદમી અને લોકો ગૌણ બની ગયાં હોય તથા સન્માન્ય નામો તેમનાં હાથા બન્યાં હોય, એવી પણ છાપ પડે છે.

દેશભરમાં અસહિષ્ણુતા વિરુદ્ધ અવાજ વ્યક્ત થઈ રહ્યો હોય, ત્યારે ગુજરાતની બે પ્રમુખ સાહિત્યસંસ્થાઓ અને સાહિત્યકારો અંદરોઅંદર અસહિષ્ણુતાપૂર્વક લડતા હોય એ જોણું કરુણ રમૂજીથી વિશેષ લાગતું નથી.

સૌજન્ય : ‘સ્વાયત્તતા અને સહિષ્ણુતા’, “દિવ્ય ભાસ્કર”, 03 નવેમ્બર 2015

http://www.divyabhaskar.co.in/news/ABH-tragic-and-funny-event-sequence-streak-in-gujarat-and-india-by-urvish-kothari-5158569-NOR.html

Loading

‘સરસ્વતીચંદ્ર’નો અનુવાદ: ૧૨૮ વર્ષ પછી થયેલું મહાકાર્ય

વિશાલ શાહ|Opinion - Literature|2 November 2015

જે નવલકથા ગાંધીજીએ ધ્યાનથી વાંચીને છાતી ગજ ગજ ફૂલી જાય એવી નોંધ કરી હોય, જે નવલકથા વિશે 'દર્શક' મનુભાઈ પંચોળીએ કહ્યું હોય કે, ''ભારતના ઉજવણી પર્વમાં ગુજરાત પાસે આપવા જેવી બે ભેટ છે, એક મહાત્મા ગાંધી અને બીજી આ નવલકથા'', જે નવલકથાને ધુરંધર કવિ ન્હાનાલાલે વિશ્વ સાહિત્યની સર્વકાલીન મહાન વિભૂતીઓ જ્હોન વુલ્ફગાંગ વોન ગોથે (જર્મન કવિ) અને વિક્ટર હ્યુગો(ફ્રેંચ નવલકથાકાર, નાટયકાર અને કવિ)ની સાહિત્ય કૃતિઓ સાથે સરખાવી હોય, જે નવલકથા ૧૯મી સદીના ગુજરાતનો ઐતિહાસિક દસ્તાવેજ ગણાતી હોય, જે નવલકથા ગુજરાતના સર્વકાલીન એકથી દસ મહાન પુસ્તકોની યાદીમાં અચૂક સ્થાન પામતી હોય, જે નવલકથા ગુજરાતી સાહિત્યની પહેલી આધુનિક નવલકથા ગણાતી હોય, જે ગુજરાતી નવલકથાની ગણના ૧૯મી સદીના ભારતના કોઈ પણ ભાષામાં લખાયેલા શ્રેષ્ઠ પુસ્તકમાં થતી હોય – એવી મહાન નવલકથા 'સરસ્વતીચંદ્ર'નો પહેલો 'સંપૂર્ણ અંગ્રેજી અનુવાદ' કરીને વિશ્વ સમક્ષ વહેંચવામાં 'ગુજરાતે' ૧૨૮ વર્ષ લાંબો સમય લઈ લીધો છે.

જાણીતા ગાંધીવાદી વિચારક અને સાબરમતી આશ્રમના ડિરેક્ટર ત્રિદિપ સુહૃદે આઠ વર્ષની સતત અને સખત મહેનત કરીને આ અત્યંત કપરું કામ પૂરું કર્યું છે. ‘સરસ્વતીચંદ્ર’ના અંગ્રેજી અનુવાદનો પહેલો ભાગ પ્રકાશિત થઈ ગયો છે, જ્યારે બાકીના ત્રણ ભાગ આગામી દોઢ વર્ષમાં વાચકોના હાથમાં પ્રકાશિત થશે. ૧૯મી સદીમાં લખાયેલી આ નવલકથામાં કુટુંબ વ્યવસ્થા, રાજ્ય વ્યવસ્થા, જીવનમાં ધર્મનું મહત્ત્વ અને ધર્મ થકી વ્યક્તિગત-સામાજિક મુક્તિની વાત આલેખાઈ છે. ભારતમાં અસહિષ્ણુતા, વાડાબંધી, ભ્રષ્ટાચાર અને કુશાસન સતત વધી રહ્યું છે ત્યારે 'સરસ્વતીચંદ્ર'નો અંગ્રેજી અનુવાદ પ્રસિદ્ધ થયો એ અનોખો યોગાનુયોગ છે. હા, દરેક કાળમાં આ પ્રકારની મુશ્કેલીઓ હોય છે એ વાત ખરી પણ એની સામે બૌદ્ધિકોનો આક્રોશ 'ક્લાસિકલ ફોર્મ'માં પ્રગટ થવો જરૂરી છે. આ આક્રોશ લેખનથી લઈને ચિત્ર, નાટક અને ફિલ્મ સહિતની કોઈ પણ કળાના સ્વરૂપમાં હોઈ શકે છે. જો આક્રોશ પણ ‘ગણતરીપૂર્વક’ વ્યક્ત કરાય કે પછી આક્રોશના નામે પૂર્વગ્રહયુક્ત ઝેર જ ઓકવામાં આવે તો સમાજ પર તેની અસર નહીંવત થાય છે. જો કે, દીર્ઘદૃષ્ટા ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠીએ આવા તમામ નકારાત્મક પરિબળોથી સલામત અંતર રાખીને ઘૂઘવતો આક્રોશ વ્યક્ત કરવા કુલ ચાર ભાગમાં 'સરસ્વતીચંદ્ર' જેવી મહાનવલકથા લખી હતી.

‘સરસ્વતીચંદ્ર’નો પહેલો ભાગ 'બુદ્ધિધનનો કારભાર' ઈસ. ૧૮૮૭માં પ્રગટ થયો ત્યારે ગોવર્ધનરામની ઉંમર હતી, ફક્ત ૩૨ વર્ષ. એ પછી ઈ.સ. ૧૮૯૩માં 'ગુણસુંદરીનું કુટુંબજાળ' (હા, ગુણસુંદરીનું-'ની' નહીં.), ૧૮૯૭માં 'રત્નનગરીનું રાજ્યતંત્ર' અને ૧૯૦૧માં 'સરસ્વતીનું મનોરાજ્ય' એમ દોઢ દાયકાના કાળખંડમાં ગોવર્ધનરામે એક ક્લાસિક ગુજરાતી નવલકથા પૂરી કરી. આ નવલકથા વિશે ખુદ ગોવર્ધનરામે એક રસપ્રદ વાત કરતા કહ્યું છે કે, હું તો ફક્ત નિબંધ લખવા માગતો હતો … જો  ગોવર્ધનરામ ફક્ત એક નિબંધ લખવા માગતા હતા તો આટલું બધું શું લખી નાંખ્યું? પહેલા ભાગની વાર્તા ઈ.સ. ૧૮૮૭ની આસપાસના કાળખંડમાં શરૂ થાય છે. એટલે કે, એ ગુજરાતી સમાજ ઈ.સ. ૧૮૫૭નું આઝાદીનું આંદોલન જોઈ ચૂક્યો હોય છે. રાજા-રજાવાડા ખતમ થઈ રહ્યા હોય છે અને યુનિવર્સિટી શિક્ષણની શરૂઆત થઈ ગઈ હોય છે. આ બધી જ વાત એક બ્રાહ્મણ પરિવારની આસપાસ ગૂંથાયેલી છે. આ ભાગમાં સત્તાનો અંગત સ્વાર્થ માટે ઉપયોગ થાય ત્યારે મૂલ્યોનું સંપૂર્ણપણે ધોવાણ કેવી રીતે થાય છે એ વાત કહેવાઈ છે. બીજા ભાગની વાર્તા આધુનિક-શિક્ષિત ગુજરાતી પરિવારની આસપાસ ફરે છે, જેમાં શિક્ષિત દંપતીના વિચારો શિક્ષણના કારણે કેવી રીતે બદલાય છે એ વાત છે. આ ઉપરાંત તેમાં સંયુક્ત કુટુંબ વ્યવસ્થામાં વ્યક્તિની અંગત આઝાદી છીનવાઈ જાય છે કે પછી વ્યક્તિને સુરક્ષા મળે છે? – એ મુદ્દો પણ છેડાયો છે. આ ભાગમાં ગોવર્ધનરામ આવી વાતો કરતા કરતા મોડર્ન-સ્ટાઈલિશ લાઈફ સ્ટાઈલ વિશે પણ ઘણું બધું કહેતા જાય છે.

આ નવલકથા ત્રીજા ભાગથી નવું રૂપ ધારણ કરે છે. અહીં ગોવર્ધનરામ રાજ્ય વ્યવસ્થા કેવી હોવી જોઈએ એની વાત કરીને 'રાજધર્મ'ની ઊંડી છણાવટ કરે છે. આ ભાગમાં વાચકને 'મહાભારત'નું પ્રતિબિંબ જોવા મળે છે. આટલું લખ્યા પછીયે ગોવર્ધનરામને ઘણું બધું કહેવું છે એટલે તેઓ ચોથો ભાગ પણ લખે છે. આ ભાગમાં તેઓ સમાજ માટે ધર્મની જરૂર કેટલી હોઈ શકે એ વાત કરે છે. અહીં તેઓ સમાજનો પુનરોદ્ધાર કરવા ધર્મ કેટલો ઉપયોગી નીવડી શકે? તેમ જ આધુનિક જીવનમાં સંન્યાસી જીવનનું મહત્ત્વ શું?- એવા સવાલો ઊભા કરીને તેના જવાબ આપે છે. આ ઉપરાંત તેઓ આધુનિક સાધુ જીવનની કલ્પના કરે છે, જેમાં સ્ત્રીઓની હાજરી સામે વાંધો નથી. આ ભાગમાં તેઓ સાબિત કરે છે કે, ધર્મની ગેરહાજરીમાં સમાજનો પુનરોદ્ધાર શક્ય નથી. આ સાથે જ ચોથો ભાગ અને 'સરસ્વતીચંદ્ર' નવલકથા પણ પૂરી થાય છે. ધર્મની હાજરીનો અર્થ અહીં ઘણો વિશાળ છે. સમાજમાં ધર્મની હાજરીનો અર્થ આખો સમાજ ધર્મભીરુ અને ચરિત્રવાન હોય – એવો પણ થાય છે. જો સમાજ જ ઉચ્ચ નીતિમૂલ્યો ધરાવતો હોય તો સત્તા પણ સતત સાવચેત રહે અને સત્તા પણ સુશાસન માટે સતત પ્રયત્નશીલ રહે. જો કે, નવલકથા વાંચતી વખતે દરેક વખતે નવા નવા અર્થો મળતા જાય છે. એટલે જ આનંદશંકર ધ્રૂવે 'સરસ્વતીચંદ્ર'ને 'કલિયુગનું પુરાણ' કહી છે.

આ નવલકથામાં ગોવર્ધનરામ આદર્શ કુટુંબ, સમાજ, રાજ્ય અને ધર્મ એમ ચારે ય વ્યવસ્થાની સમજ આપવા ભર્તુહરિ, કાલિદાસ, ભવભૂતિ, ભગવદ્દ ગીતા, મહાભારત, પંચતંત્રના સંસ્કૃતપ્રચુર અવતરણોની સાથે વિલિયમ શેક્સપિયર, ઓલિવર ગોલ્ડસ્મિથની નવલકથાઓ, નાટકો તેમ જ વિલિયમ વર્ડ્સવર્થ, જ્હોન કિટ્સ, વિલિયમ કૂપર અને પર્સી શેલીની કવિતાઓ જેવાં ક્લાસિક પશ્ચિમી સાહિત્યના પણ ઉલ્લેખો કરતા જાય છે. એ રીતે પશ્ચિમી સાહિત્યના તત્કાલીન ગુજરાતી સાહિત્ય પરના પ્રભાવને સમજવા પણ આ કૃતિ મહત્ત્વની છે. ૧૯મી સદીમાં જન્મેલી અને પશ્ચિમી સંસ્કૃિતથી વાકેફ ગાંધીજી સહિતના અનેક હસ્તીઓએ 'સરસ્વતીચંદ્ર' વિશે અભિપ્રાયો આપ્યા હતા. મહાદેવ દેસાઈની ૨૫મી માર્ચ, ૧૯૩૨ની ડાયરીમાં ગાંધીજીએ 'સરસ્વતીચંદ્ર' વિશે આપેલા અભિપ્રાયની નોંધ છે. ગાંધીજીએ નવલકથા વાંચીને કહ્યું હતું કે, ''પહેલા ભાગમાં એમણે પોતાની બધી જ કળા ઠાલવી દીધી છે. આ વાર્તા સૌંદર્યરસથી ભરપૂર છે. પાત્રાલેખન બેજોડ છે. બીજામાં હિંદુ સમાજ સરસ રીતે આલેખાયો છે, ત્રીજામાં એમની કળા વધુ ઊંડી ગઈ છે અને તેઓ વિશ્વને જે કંઈ આપવા માગતા હતા એ ચોથા ભાગમાં ઠાલવી દીધું છે.''

૧૯મી સદીના ગુજરાતી સમાજ પર 'સરસ્વતીચંદ્ર'એ ઘેરી છાપ છોડી હતી એ વાતમાં કોઈ શંકા નથી. આ કૃતિ અંગ્રેજીમાં નહીં હોવા છતાં વર્ષ ૧૯૬૮માં ગોવિંદ સરૈયાએ મનીષ અને નૂતનને લઈને 'સરસ્વતીચંદ્ર' ફિલ્મ બનાવી હતી, જેને બેસ્ટ સિનેમેટોગ્રાફી અને બેસ્ટ મ્યુિઝક ડિરેક્ટરનો રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો હતો. આ કારણોસર 'સરસ્વતીચંદ્ર' નવલકથા ગુજરાત બહાર પણ થોડી ઘણી જાણીતી હશે એવું માની શકાય. ગુજરાતી માધ્યમની સ્કૂલોમાં 'સરસ્વતીચંદ્ર'ના પાઠ આવે છે એવી જ રીતે, દિલ્હી અને કોલકાતામાં પણ તે ભણાવાઈ રહી છે. જો નવલકથા અંગ્રેજી કે બીજી ભાષામાં ભાષામાં અનુવાદિત નથી થઈ તો ભણાવાઈ છે કેવી રીતે? રસપ્રદ વાત એ છે કે, આ બંને રાજ્યોમાં 'સરસ્વતીચંદ્ર' ભણાવવા 'સ્ક્રેપ બુક્સ – ભાગ-૧,૨,૩'નો ઉપયોગ થઈ રહ્યો છે. આ સ્ક્રેપ બુક એટલે ગોવર્ધનરામે ઈ.સ. ૧૮૮૮થી ૧૯૦૬ દરમિયાન અંગ્રેજીમાં લખેલી રોજનીશી. આ સ્ક્રેપ બુકનો પહેલો ભાગ વર્ષ ૧૯૫૭માં અને બાકીના બે ભાગ ૧૯૫૯માં પ્રકાશિત થયા હતા.

જો કે, અત્યારના વિદ્યાર્થીઓ કે નવલકથા રસિયાઓને ૨,૨૦૦ પાનાંમાં ફેલાયેલી, ૧૫૦ પાત્રો ધરાવતી, સંસ્કૃતપ્રચુર ગુજરાતીમાં સામાજિક નિસબત સાથે લખાયેલી અને ક્લાસિક સંસ્કૃત-પશ્ચિમી સાહિત્યકૃતિઓનું શિક્ષણ આપતી જતી 'સરસ્વતીચંદ્ર' નવલકથા ધીમી અને કંટાળાજનક લાગી શકે છે! પરંતુ ૧૨૮ વર્ષ પહેલાં લખાયેલી આ કૃતિને એ જમાનાના ગુજરાતી, ભારતીય અને વિશ્વ સાહિત્યના સંદર્ભમાં મૂલવવાની હોય. વળી, આ કૃતિમાં ગોવર્ધનરામે સમાજની વિવિધ મુશ્કેલીઓને ઝીલીને એક 'આદર્શ સમાજ'ની રચના કેવી રીતે થઈ શકે એ કહેવાનો પ્રયાસ કર્યો છે. ઈ.સ. ૧૮૭૩માં ગોવર્ધનરામે માત્ર ૧૮ વર્ષની ઉંમરે અંગ્રેજીમાં ભાષણ આપવાના હેતુથી બે લેખ લખ્યા હતા. આ લેખના શીર્ષક હતાઃ 'ઈઝ ધેર એની ક્રિયેટર ઓફ ધ યુનિવર્સ?' અને 'ધ સ્ટેટ ઓફ હિંદુ સોસાયટી ઈન બોમ્બે પ્રેસિડેન્સી'. ગોવર્ધનરામની વિદ્વતાનો આ નાનકડો પુરાવો છે.

એ રીતે આ નવલકથા એક માઇલસ્ટોન છે, ગુજરાતની અંગ્રેજી માધ્યમમાં ભણતી નવી પેઢી અને વિશ્વભરના વાચકો સુધી ‘સરસ્વતીચંદ્ર’ને પહોંચાડવા અંગ્રેજી અનુવાદની અનિવાર્યતા વિશે હવે વધુ કહેવાની જરૂર ખરી?

સાહિત્ય પ્રજાથી જીવે છે, અકાદમીથી નહીં!

'સરસ્વતીચંદ્ર'નો અંગ્રેજીમાં અનુવાદ કરનારા ત્રિદિપ સુહૃદે આ પુસ્તક ફક્ત દસ વર્ષની ઉંમરે વાંચ્યું હતું. આ પુસ્તકનો અને ગુજરાતી સાહિત્યનો પરિચય તેમને તેમની માતાએ કરાવ્યો હતો. આ અનુવાદ કરતા પહેલાં પણ ત્રિદિપ સુહૃદ આ કૃતિ અનેકવાર વાંચી ચૂક્યા છે. આટલી મહાન કૃતિનો અત્યાર સુધી અનુવાદ કેમ ના થયો એ અંગે તેઓ કહે છે કે, ૧૨૮ વર્ષમાં 'સરસ્વતીચંદ્ર'ના પાંચેક વાર અનુવાદ થઈ જવા જોઈતા હતા. ગાંધી સાહિત્યનો અંગ્રેજીમાં ભરપૂર અનુવાદ થયો છે કારણ કે, ગાંધીની આસપાસ એવા પ્રતિબદ્ધ લોકો હતા, જેમને ગાંધીની વાત વિશ્વને પહોંચાડવી હતી. વળી, એ વખતના સાક્ષરો એકથી વધારે ભાષામાં ઊંડો રસ લેતા હતા. આજે હિન્દી, બંગાળી, મરાઠી, કન્નડ, મલયાલમ અને તમિલ જેવી ભાષાઓનું સાહિત્ય અંગ્રેજીમાં અનુવાદિત થઈને વિશ્વ સમક્ષ મૂકાય જ છે પણ ગુજરાતીમાં એવું થતું નથી. એ પ્રક્રિયા અટકી ગઈ છે એમાં કોઈ શંકા નથી. આપણી પાસે અખો, નરસિંહ મહેતા, મેઘાણી અને મુનશીનું ક્લાસિક સાહિત્ય છે પણ એનો ય અનુવાદ નથી થયો. મેઘાણીના ૮૮ સુંદર પુસ્તકો છે, જેમાંથી માંડ ત્રણેકનો અંગ્રેજી અનુવાદ થયો છે. ‘ભદ્રંભદ્ર’ જેવી સુંદર હાસ્ય નવલકથા પણ ગુજરાતીઓ પાસે છે પણ એનો ય અનુવાદ નથી થયો.

અત્યારે તો અંગ્રેજી માધ્યમની સ્કૂલો વધી રહી છે. ગુજરાતી વિષય તરીકે પણ ભણાવવાનું ઘટી રહ્યું છે તો ભવિષ્યમાં ઉત્તમ ગુજરાતી સાહિત્ય લખાવાનું તો ઠીક એના અનુવાદનું કામ પણ અટકી નહીં જાય? એવી ચિંતાનો જવાબ આપતા ત્રિદિપ સુહૃદ કહે છે કે, અંગ્રેજી માધ્યમમાં ભણીને પણ ગુજરાતી ભાષામાં રસ લઈ શકાય છે. અત્યારે તો ઉત્તમ સાહિત્યના અનુવાદની બહુ જ મોટી તક છે કારણ કે, ગુજરાતનો બહુ જ મોટો વર્ગ વિદેશ જઈને વસ્યો છે અને હજુ થોડા વર્ષો પછી એ લોકોએ પોતાનાં મૂળિયાંને જોવાં-જાણવાં ઉત્તમ ગુજરાતી પુસ્તકોના અનુવાદનો જ સહારો લેવો પડશે. આજે ય બંગાળીઓ પોતાની પાસે જે કંઈ પણ સારું હોય એ તરત જ વિશ્વ સમક્ષ મૂકે છે, ઘણી ભાષાઓમાં આવું સતત થતું હોય છે પણ ગુજરાતીમાં એવું નથી કારણ કે, સાહિત્ય એ સંસ્થાઓ કે અકાદમીઓથી નહીં પણ પ્રજાથી જીવે છે.

e.mail : vishnubharatiya@gmail.com

http://vishnubharatiya.blogspot.in/2015/11/blog-post.html

Loading

...102030...3,7243,7253,7263,727...3,7303,7403,750...

Search by

Opinion

  • એક સરકારી કર્મીનો પ્રેમપત્ર
  • બંધારણ – દેશનું દર્પણ, દેશની ઓળખ, દેશની શોભા  
  • નથુરામનું ‘હુતાત્મા’ પદ અને કુરુંદકરનો તર્ક
  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ
  • ઝાંઝવાનાં જળ

Diaspora

  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved