Opinion Magazine
Number of visits: 9552339
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

Cartoonspace

'Surendra'|Opinion - Cartoon|31 July 2015

courtesy : "The Hindu", 31 July 2015

Loading

આભડછેટ હવે ક્યારે ય નાબૂદ થવાની નથી

ચંદુ મહેરિયા|Opinion - Opinion|27 July 2015

અનામત-માગણીના વિવાદની નવી મોસમમાં, તાજેતરમાં પ્રકટ બે દલિત બૌદ્ધિકોના આત્મવૃતાંતો –પ્રા.મણિલાલ રાનવેરિયાનું ‘વડફળિયુ” અને પ્રા.ડો. મહેશચંદ્ર પંડ્યાનું “પુરુષાર્થનો પમરાટ” — વિચારપ્રેરક વાચન પૂરું પાડે એવાં છે. ત્રણેક દાયકા મુંબઈમાં અધ્યાપન પછી નિવૃત થયેલા મણિલાલ રાનવેરિયાનું વતન દક્ષિણ ગુજરાતમાં આવેલું છે. બાળપણ-કિશોરાવસ્થાનો અનુભવ વર્ણવતાં લેખક લખે છે : ‘‘ગામમાં થોડાંક દરબારોના ઘર. 95 ટકા વસ્તી આદિવાસીઓની. તેમાં ય ટકા ઢોડિયા પટેલની વસ્તી. આદિવાસીઓ માટે પણ અમે અસ્પૃશ્યો હતા. દીવાળી અને હોળી પર રોટલા માંગવા જઈએ તો આદિવાસી બાઈ પાણી લોટાથી ઉપરથી રેડે. તે ખોબો માંડીને પીવાનું. નિશાળમાં પરબે જાતે પાણી પી  શકાય નહીં. આદિવાસીઓના ઓટલે ચઢાય પરંતુ ઘરમાં પ્રવેશ નહીં’’.

દલિતોની એક પ્રભુત્વ ધરાવતી માહ્યાવંશી જ્ઞાતિ પ્રત્યે આદિવાસીઓની પ્રભુત્વ ધરાવતી જ્ઞાતિની આ અસ્પૃશ્યતા અચરજ પમાડે તેવી છે. અસ્પૃશ્યતાને જેઓ ગઈગુજરી માને છે તેમના લાભાર્થે રાનવેરિયાનો આ અનુભવ : ‘હવે રાજપૂતો – આદિવાસીઓ આદરપૂર્વક વર્તે છે. આગ્રહપૂર્વક ચા-પાણી કરાવતા હોય છે. મારે એમને ત્યાં લગભગ ફરજિયાત ચા પીવી પડે છે. જ્યારે મારે ત્યાં એ લોકો નમ્રતાપૂર્વક એ વાતને ટાળે, આક્ષેપ ટાળવા પાણી પી લે.’

ભારતીય સમાજવ્યવસ્થાની ભારે વિચિત્ર એવી જ્ઞાતિપ્રથા અને અસ્પૃશ્યતા દલિતોમાં માહોમાંહ પણ કેવી છે એનો અનુભવ ડો. મહેશચંદ્ર પંડ્યાના આત્મવૃત્તાંતમાં વાંચવા મળે છે. લુણાવાડાના મામાસાહેબ ફડકેના અંત્યજ વિદ્યાર્થીઓના આશ્રમમાં મહેશચંદ્ર દસમા ધોરણમાં હતા ત્યારે આશ્રમમાં એક વાલ્મીકિ વિદ્યાર્થીને પ્રવેશ આપવામાં આવ્યો. એના વિરોધમાં લેખક સહિતના મોટાભાગના દલિત વિદ્યાર્થીઓને એમના  વાલીઓએ આશ્રમમાંથી ઉઠાવી લીધા હતા. આ અનુભવો એ દર્શાવે છે કે ભારતની જડ જ્ઞાતિ પ્રથા અને એના લક્ષણરૂપ આભડછેટથી ન તો આદિવાસી બાકાત છે કે ન તો કહેવાતો અસ્પૃશ્ય દલિત.

2014ના વર્ષના અંતે પ્રગટ થયેલા અસ્પૃશ્યતા વિશેના એક દેશવ્યાપી સર્વેક્ષણમાં કહેવાયું છે કે દર ચોથો ભારતીય અસ્પૃશ્યતા પાળે છે. ઈ.સ. 1956માં સ્થપાયેલી સૌથી જૂની અને સૌથી મોટી સ્વતંત્ર સંશોધન સંસ્થા ‘નેશનલ કાઉન્સિલ ઓફ એપ્લાઈડ ઈકોનોમિક રિચર્સ’ અને અમેરિકાની મેરીલેન્ડ યુનિવર્સિટીનો સંયુક્ત અભ્યાસ દેશમાં પ્રવર્તતી આભડછેટનો બિહામણો ચહેરો ઉજાગર કરે છે અને આભડછેટને પૂર્ણ ભૂતકાળ માનનારા લોકોને ભોઠા પાડે છે.

વર્ષ 2011-12નો ‘ઇન્ડિયા હ્યુમન ડેવલપમેન્ટ સર્વે’, અખિલ ભારતીય સ્તરે અને બિનસરકારી ધોરણે, ઘરોમાં કરાયેલો સૌથી મોટો સર્વે છે. દેશના સેમ્પલ સર્વે હેઠળનાં 42,000 ઘરોમાં જઈને પ્રશ્ન પૂછાયો હતો કે, ‘તમારા ઘરમાં કોઈ વ્યક્તિ કે તમે પોતે અસ્પૃશ્યતા પાળો છો ? અને જો તમે નથી પાળતા તો અનુસૂચિત જાતિની ( દલિત) વ્યક્તિને તમારા ઘરના રસોડામાં દાખલ થવા દેશો ? એને તમારા વાસણ વાપરવા દેશો ?’ આ સર્વેક્ષણના વચગાળાના તારણો ભારતીય સમાજ કેટલો ભારોભાર ભેદભાવથી ભર્યોભર્યો છે તે દર્શાવે છે. સર્વેક્ષણનું તારણ છે કે દેશનો દર ચોથો ભારતીય અને દર ત્રીજો હિંદુ આભડછેટ પાળે છે.

ઊંચ-નીચ જાતિક્રમમાં ટોચે મનાતા બ્રાહ્મણો એકવીસમી સદીના બીજા દાયકે પણ સૌથી વધુ આભડછેટ પાળે છે. દેશની કુલ બ્રાહ્મણ વસ્તીના અડધા કરતા વધુ — 52 ટકા બ્રાહ્મણો આજે પણ છૂતાછૂતમાં માને છે. અસ્પૃશ્યતાના આચરણમાં બ્રાહ્મણો પછીના ક્રમે વર્ણવ્યવસ્થાની ચોથા વર્ણની શૂદ્ર જ્ઞાતિઓ — જે લોકશાહી ભારતમાં અન્ય પછાત વર્ગો (ઓ.બી.સી.) તરીકે ઓળખાય છે — તે આવે છે. ૩૩ ટકા પછાત વર્ગો, 22 ટકા આદિવાસીઓ અને 15 ટકા દલિતો પણ આભડછેટ આચરે છે. હિંદુ ધર્મની પેદાશ એવી વર્ણવ્યવસ્થા અને આભડછેટથી ભારતના અન્ય ધર્મો પણ વેગળા રહી શક્યા નથી. 30 ટકા જૈનો, 23 ટકા શીખો, 18 ટકા મુસલમાનો અને 4 ટકા ખ્રિસ્તીઓ આભડછેટમાં માને છે. બૌદ્ધ ધર્મીઓમાં આભડછેટનું પ્રમાણ 1 ટકો નોંધાયું છે.  

આખા ભારતમાં વ્યાપ્ત આભડછેટ ઉત્તર ભારતમાં સવિશેષ જોવા મળે છે. દેશમાં સૌથી વધુ આભડછેટ આચરતું રાજ્ય મધ્ય પ્રદેશ ( 52 ટકા) છે, તો સૌથી ઓછી આભડછેટ આચરતા રાજ્યો કેરળ અને પશ્ચિમ બંગાળ (2 ટકા) છે. ફૂલે – શાહુ – આંબેડકર પરંપરાનાં મૂળિયાં જ્યાં મજબૂત છે એવા મહારાષ્ટ્રમાં 4 ટકા આભડછેટ જોવા મળી છે. આ સર્વેક્ષણના વચગાળાનાં તારણોમાં ગુજરાતની આભડછેટની વિગતો નથી. પરંતુ જાન્યુઆરી 2010માં ગુજરાતના 56 તાલુકાના 1589 ગામોમાં પ્રવર્તતી આભડછેટના ‘નવસર્જન ટ્રસ્ટ’ દ્વારા પ્રગટ થયેલા અભ્યાસમાં દલિત – બિનદલિત વચ્ચેની આભડછેટનાં 98, તો દલિત – દલિત વચ્ચેની આભડછેટનાં 99 સ્વરૂપો જોવાં મળ્યાં હતાં. 

ગાંધીજી અને ડો. બાબાસાહેબ આંબેડકરે પોતપોતાના અભિગમથી આભડછેટ નાબૂદી માટે કામ કર્યુ હતું. ડો. આંબેડકરનું સ્વપ્ન જાતિવિહિન સમતામૂલક ભારતનું હતું. 16મી સપ્ટેમ્બર 1954ના રોજ રાજ્ય સભામાં ‘અસ્પૃશ્યતા અપરાધ વિધેયક 1954’ પરની ચર્ચામાં એમણે આ વિધેયકના નામને ‘સાવ જ ફૂવડ’ ગણાવ્યું હતું અને તેનું નામ ‘નાગરિક અધિકાર સંરક્ષણ કાયદો’ હોવું જોઈએ એમ સૂચવ્યું હતું. બાબાસાહેબના મનમાં આઝાદ અને પ્રજાસત્તાક દેશમાં ન કોઈ સ્પૃશ્ય હતા, ન અસ્પૃશ્ય. સૌ નાગરિક હતા, સમાન નાગરિક. અસ્પૃશ્યતાનું આચરણ એમને મન એક નાગરિકના અધિકારનું હનન હતું. એટલે તેઓ આ કાયદાને નાગરિકસુરક્ષાનો કે નાગરિકહકનો કાયદો બનાવવા માગતા હતા.

ડિસેમ્બર 1955માં બી.બી.સી. સાથેના ઈન્ટરવ્યુમાં બાબાસાહેબે કહ્યું હતું : અમે અસ્પૃશ્યતા નાબૂદ કરવા માંગીએ છીએ. સાથોસાથ અમે સમાન તકની પણ માગણી કરીએ છીએ. ફક્ત અસ્પૃશ્યતા જતી રહે એનો કશો અર્થ નથી. આ વરસે જેની સ્થાપનાની શતાબ્દી છે તે અમદાવાદના કોચરબ આશ્રમમાં એક ‘હરિજન કુટંબ’ને પ્રવેશ આપીને ગાંધીજીએ વિરોધીઓની ઝીંક ઝીલી હતી. સ્પૃશ્યતાનિવારણ અને દલિત પ્રશ્નને દેશના સામાજિક- રાજકીય એજન્ડા પર મૂકી આપવાનું બહુ મોટું કામ ગાંધીનું છે. તેમણે પણ કહેલું, ‘અંત્યજોનો પ્રશ્ન કોઈપણ રીતે આ પેઢી દરમિયાન અથવા આવતી કેટલીક પેઢીઓ દરમિયાન નહીં પણ હમણાં જ ઉકેલવાનો છે. નહીં તો તે કદી ઉકલવાનો નથી,’ 

બંધારણ થકી સમાનતાનો અધિકાર અને અસ્પૃશ્યતાનું આચરણ ગેરબંધારણીય અને સજાપાત્ર ગુનો ઠરાવ્યા પછી સ્થિતિ ખાસ સુધરતી ન હોય અને મંથર ગતિની પ્રગતિ હોય, સંવિધાન નિર્માતાની દલિતો માટેની સમાન નાગરિકની એષણા કે રાષ્ટ્રપિતાની અંત્યજ પ્રશ્ન અબઘડી ઉકેલવાની તાલાવેલી ભારતને સાડા છ દાયકે પણ જો ન સમજાતી હોય, તો આભડછેટની સંપૂર્ણ નાબૂદી ઠાલો આશાવાદ કે ભવિષ્યમાં આભડછેટના સ્વીકારનો નકાર તો નહીં બની રહેને ?

http://www.divyabhaskar.co.in/news/ABH-untouchability-found-especially-in-northern-india-in-across-country-5065080-PHO.html

સૌજન્ય : ‘સિક્કાની બીજી બાજુ’ નામક લેખકની કૉલમ, “દિવ્ય ભાસ્કર”, 27 જુલાઈ 2015

Loading

જન-ગણ-મનનો અધિનાયક કોણ?

રાજ ગોસ્વામી|Opinion - Opinion|27 July 2015

અયોધ્યામાં બાબરી મસ્જિદ તોડી પાડવાની સંપૂર્ણ જવાબદારી સ્વીકારનાર તત્કાલીન મુખ્યમંત્રી અને હાલ રાજસ્થાનના ગવર્નર કલ્યાણસિંહે રાષ્ટ્રીયગીત ‘જન ગણ મન અધિનાયક’માંથી ‘અધિનાયક’ શબ્દને પડતો મૂકવાની માગણી કરીને જે વિવાદ ઊભો કર્યો છે તે વિવાદ આમ તો નવો નથી. આ ગીતમાં ‘અધિનાયક જય હો’ દ્વારા રવીન્દ્રનાથ ટાગોરે તત્કાલીન બ્રિટિશ સમ્રાટ જ્યોર્જ પંચમની સ્તુિત કરી હતી એવો આરોપ અગાઉ પણ થઈ ચૂક્યો છે.

રાજસ્થાન વિશ્વ વિદ્યાલયના દીક્ષાન્ત સમારોહમાં કલ્યાણસિંહે કહ્યું હતું કે, ‘જન ગણ મન અધિનાયક જય હો કિસ કે લીયે હૈ? આ તો અંગ્રેજ શાસકની સ્તુિત છે. આ ભૂલ સુધારીને ‘જન ગણ મન મંગલ ગાયે’ કહેવાનો સમય પાકી ગયો છે. મને રવીન્દ્રનાથ ટાગોરમાં સંપૂર્ણ શ્રદ્ધા અને સન્માન છે પરંતુ મને લાગે છે કે રાષ્ટ્રગીતમાંથી ‘અધિનાયક’ શબ્દ પડતો મૂકવો જોઈએ.’

કલ્યાણસિંહના કહેવા મુજબ ટાગોરે આ ગીત જ્યોર્જ પંચમના ભારત આગમન પર 26 ડિસેમ્બર, 1911ના દિવસે આયોજિત દિલ્હી દરબારમાં રાજાની સ્તુિત માટે લખ્યું હતું અને એમાં ‘અધિનાયક’ વિશેષણ બ્રિટિશ સમ્રાટનું વર્ચસ્વ બતાવવા માટે વાપરવામાં અાવ્યું હતું. ગીતમાં આ વિશેષણને યથાવત્ રાખવાથી દેશની પરાધિનતાની યાદ તાજા રહે છે, એમ કલ્યાણસિંહનું કહેવું છે.

ટાગોરનું આ ગીત રાજાની સ્તુિતમાં છે કે નહીં તે અંગે ખાસ્સી સંદિગ્ધતા છે. આ ગીત પહેલીવાર ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ દ્વારા આયોજિત દિલ્હી દરબારમાં ગાવામાં આવ્યું હતું તે સાચું? તત્કાલીન સમાચારપત્રોમાં આ દિલ્હી દરબારના જે અહેવાલો આવ્યા હતા તેમાંથી એક માન્યતા લોકપ્રિય બનતી ગઈ કે ટાગોરે જ્યોર્જ પંચમની આરતી ઉતારી હતી.

1911 સુધી ભારતની રાજધાની કલકત્તામાં હતી. 1905માં બંગાળના વિભાજનની માગણી સાથે બંગાળીઓ અંગ્રેજો સામે વિદ્રોહમાં ઊભા થઈ ગયા એટલે પોતાને બચાવવા માટે અંગ્રેજો રાજધાનીને કલકત્તાથી ખસેડીને દિલ્હી લઈ આવ્યા અને 1912થી દિલ્હીને રાજધાની જાહેર કરી. તે વખતે પૂરા ભારતમાં વિદ્રોહની ચિનગારી ચંપાઈ ગઈ હતી અને એને શાંત કરવાના પ્રયાસમાં જ ઇંગ્લેન્ડના સમ્રાટ જ્યોર્જ પંચમને ભારત આમંત્રિત કર્યા હતા.

12 ડિસેમ્બર, 1911માં રાજા ભારત આવ્યા ત્યારે કોંગ્રેસે ટાગોરને અધિવેશન માટે ગીત લખવા આગ્રહ કર્યો હતો. એ સમયે ટાગોર પરિવાર અંગ્રેજોની નજીક હતો અને ઘણા સભ્યો ઇસ્ટ ઇન્ડિયા કંપનીમાં કામ કરતા હતા. ટાગોરના દાદા દ્વારકાનાથે પણ કંપનીની નોકરી કરેલી. ટાગોરના એક પરિવારજને તો જ્યોર્જ પંચમના માથે છત્રી પણ પકડી રાખી હતી એવું ય કહેવાય છે.

કલકત્તાના તત્કાલીન સમાચારપત્રો ધ ઇંગ્લિશમેન, ધ સ્ટેટસ મેન અને ધ ઇન્ડિયનમાં આવા અહેવાલ પણ પ્રગટ થયેલા કે સમ્રાટના સન્માનમાં ટાગોરે રચેલા ગીતના ગાયનથી દિલ્હી દરબારનો સમારોહ શરૂ થયેલો. દિલ્હી વિશ્વવિદ્યાલયના પોલિટિકલ સાયન્સના પ્રોફેસર પ્રદીપ કુમાર દત્તા અને ટેલિવિઝન પત્રકાર મૃણાલ પાંડેના મત અનુસાર આ આખી ગલતફેમી ગલત રિપોર્ટિંગના કારણે પેદા થઈ છે. મૃણાલ પાંડે કહે છે કે ટાગોરના જીવનનો અભ્યાસ કર્યા પછી એવું સાફ ખબર પડે છે કે 26 તારીખે દિલ્હી દરબારમાં રામભુજ ચૌધરી નામના કોઈક કવિએ સમ્રાટના સન્માનમાં હિન્દીમાં સ્વરચિત ગીત ગાયું હતું પણ એનો કોઇ રેકોર્ડ કે દસ્તાવેજ ઉપલબ્ધ નથી. એના બીજા જ દિવસે કલકત્તામાં કોંગ્રેસનું અધિવેશન હતું જેમાં ટાગોરની ભત્રીજી સરલા દેવીએ સ્કૂલી બચ્ચીઓ સાથે ટાગોરનું ગીત ગાયું હતું. પરંતુ અંગ્રેજી સમાચારપત્રોએ બંને સમાચારનું ભેગું રિપોર્ટિંગ કરીને લખ્યું હતું કે બે નેટિવ્સ (એટલે કે દેશી) લોકોએ જ્યોર્જ પંચમની તારીફમાં સ્વરચિત ગીત ગાયાં હતાં.

28 ડિસેમ્બર, 1911ના ધ બેન્ગાલ નામના સમાચારપત્રમાં અહેવાલ હતો, ‘કોંગ્રેસનું વાર્ષિક અધિવેશન મહાન બંગાળી કવિ રવીન્દ્રનાથ ટાગોરના ગીતના ગાયનથી શરૂ થયું. એ પછી સમ્રાટ જ્યોર્જ પંચમ પ્રત્યે વફાદારી વ્યક્ત કરતો ખરડો પસાર કરવામાં આવ્યો. આ પ્રસંગે સમ્રાટની સ્તુિતમાં છોકરા-છોકરીઓ દ્વારા એક ગીત પણ ગાવામાં આવ્યું.’

પ્રોફેસર પ્રદીપ કુમાર દત્તા કહે છે કે ટાગોરના જીવન અને કામનો જેને થોડો ય પરિચય હોય તેને ‘ટાગોરે રાજાની આરતી ઉતારી હતી’ એ વિચાર વાહિયાત લાગે. ટાગોરના સમકાલીનોને ખબર હતી કે ટાગોર બ્રિટિશ સરકારની ખિલાફ હતા. એટલું જ નહીં, કોંગ્રેસનું અધિવેશન પૂરું થયું તેના ગણતરીના દિવસોમાં જ બ્રિટિશ સરકારે એક પરિપત્ર બહાર પાડીને ટાગોરનું શાંતિનિકેતન સરકારી અફસરોનાં બાળકો માટે અયોગ્ય હોવાની સૂચના આપી હતી અને અફસરો બાળકોને ત્યાં ભણવા મૂકે તો તેમની સામે કાર્યવાહી કરવાની ચેતવણી આપી હતી.

1919માં, જલિયાવાલા બાગ હત્યાકાંડ પછી, ટાગોરે જ્યોર્જ પંચમ દ્વારા અર્પિત નાઇટહૂડનો ખિતાબ પરત કરી દીધો હતો. એમને જ્યારે ‘જન ગણ મન’ માટે નોબેલ પારિતોષિક (જેની કમિટીના અધ્યક્ષપદે જ્યોર્જ પંચમ હતા)ની ભલામણ થઈ ત્યારે ટાગોરે જ એનો વિરોધ કરીને કહ્યું હતું કે મને જો નોબેલ પુરસ્કાર આપવો હોય તો ‘ગીતાંજલિ’ માટે આપો પણ આ ગીત માટે તો ન જ આપો.

રવીન્દ્રનાથની બહેનના પતિ સુરેન્દ્રનાથ બેનર્જી લંડનમાં આઇ.પી.એસ. ઓફિસર હતા. તેમને એક પત્રમાં ટાગોરે લખેલું, ‘જન ગણ મન અંગ્રેજોએ મારી પર દબાણ કરીને લખાવ્યું છે. એના શબ્દોના અર્થ સારા નથી. એને ગાવામાં ન અાવે તે ઇચ્છનીય છે.’ ગાંધીજીએ આ ગીત માટે ટાગોરને ઠપકો પણ આપેલો. 1947માં સ્વાધીનતા પછી સંવિધાન સભામાં ‘વંદે માતરમ્’ને રાષ્ટ્રગીત જાહેર કરવું કે ‘જન ગણ મન’ને એ મુદ્દા પર લાંબી બહસ થયેલી. અંતમાં ‘વંદે માતરમ્’ની તરફેણમાં વધુ મત પડ્યા હતા પરંતુ નહેરુ ‘જન ગણ મન’ને જ રાષ્ટ્રગીત બનાવવા માગતા હતા એટલે સંવિધાન સભાએ 24, જાન્યુઆરી, 1950ના દિવસે ‘જન ગણ મન’ને ભારતના રાષ્ટ્રગાનના સ્વરૂપમાં સ્વીકારી લીધું. સ્વાધીનતા આંદોલનના સમયથી જ મુસલમાનો ‘વંદે માતરમ્’ને રાષ્ટ્રગીત માનવા તૈયાર ન હતા એટલે વિભાજન વખતની કોમી લાગણીને ધ્યાનમાં લઈને ‘જન ગણ મન’નો કોંગ્રેસે આગ્રહ રાખ્યો હતો.

એક્ચુઅલી, આ ગીત લખવાની ‘વિનંતી’ આવી એનાથી ટાગોરને અચરજ પણ થયું હતું. બંગાળી ક્રાંતિકારી અને ઢાકા અનુશિલન સમિતિના સ્થાપક અધ્યક્ષ પુલીન બિહારી દાસને 10 નવેમ્બર, 1937માં લખેલા પત્રમાં ટાગોરે વિનંતી અંગે આશ્ચર્ય તો પ્રગટ કર્યું જ હતું પણ એનાથી ય વધુ દુ:ખ તો તેમણે એ અફવા માટે કર્યું હતું જેમાં એવો આરોપ હતો કે ટાગોરે દિલ્હી દરબાર માટે આ ગીત રચ્યું હતું. ટાગોરે એવી સ્પષ્ટતા પણ કરેલી કે તેમણે આ ગીત ભારતનું ભાગ્ય લખનાર વિધાતાની સ્તુિતમાં લખ્યું હતું અને નહેરુએ એ કારણસર જ એની તરફદારી કરી હતી.

13 માર્ચના અન્ય એક પત્રમાં ટાગોર લખે છે, ‘જે લોકો એમ સમજતા હોય કે જ્યોર્જ પંચમ યા ષષ્ઠમની તારીફમાં હું ગીત ગાવા જેવી પરમ મૂર્ખતા કરું તો એમને જવાબ આપવાનું પણ હું મારી શાનની ખિલાફ સમજું છું.’ આ જ પત્રમાં ટાગોરે ‘અધિનાયક’ વિશેષણની પણ સ્પષ્ટતા કરી હતી. ટાગોર લખે છે, ‘એ ભાગ્ય વિધાતા, ભારતના જન-માનસનો રખેવાળ જ્યોર્જ પંચમ ના હોઇ શકે.’ ટાગોરની ગીતાંજલિમાં પણ શાહ-સમ્રાટ(અધિશ્વરના રૂપમાં)નો સંદર્ભ આવે છે. ‘અધિનાયક’નો અર્થ ઇંગ્લેન્ડનો રાજા છે એવો તર્ક લલચામણો તો છે પરંતુ ટાગોર જેવો બૌદ્ધિક અને સંવેનશીલ કવિ કોઈક દિવ્ય વિભૂતિ, પરમ આત્માને બદલે હાડ-માંસના માણસને સંબોધી રહ્યા હોય એ માનવાલાયક નથી.

1941માં ટાગોરના અવસાન પછી કરવામાં આવેલા એક સર્વેમાં ‘વંદે માતરમ્’ની તરફેણ ઘણાએ કરી હતી પરંતુ ‘જન ગણ મન’માં મજબૂત રાષ્ટ્રીય ભાવના છે તેવું ય અનુભવ્યું હતું. તે વખતે અલામા ઇકબાલનું ‘સારે જહાં સે અચ્છા હિન્દુસ્તાન હમારા’ પણ રાષ્ટ્રગીતની હોડમાં હતું, પરંતુ ‘હિન્દુસ્તાન’ શબ્દના કારણે જ ઊડી ગયું હતું. ‘જન ગણ મન’ એક સેક્યુલર વિચાર કે ભાવના હતી અને એટલે જ ‘વંદે માતરમ્’ અને ‘સારે જહાં …’ની સામે વ્યાપક સ્વીકૃતિ પામ્યું હતું.

આજે 100 વર્ષ પછી એમાં ‘ખોડ’ કાઢીને ઇતિહાસને નવેસરથી લખવાની ચેષ્ટા બિનજરૂરી જ નહીં, હાસ્યાસ્પદ પણ છે એવું જો અાપણા ‘અધિનાયકો’ સમજે તો ભારતનું ભાગ્ય વધુ સુરક્ષિત હશે.

અસ્તુ.

સૌજન્ય : ‘સન્નડે ભાસ્કર’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”, 26 જુલાઈ 2015

https://www.facebook.com/permalink.php?story_fbid=1441010722893649&id=1379939932334062&substory_index=0

Loading

...102030...3,7193,7203,7213,722...3,7303,7403,750...

Search by

Opinion

  • વિવેકહીન વ્યક્તિપૂજાનું વહેણ દેશને કઈ દિશામાં લઈ જશે?
  • બચ્ચે મન કે સચ્ચે
  • હગ ડિપ્લોમસી અને આકરી પસંદગી: પુતિનની મુલાકાત અને ભારતની વ્યૂહરચના
  • ભારત નથી અમેરિકાને નારાજ કરી શકતું કે નથી રશિયાને છોડી શકતું
  • ચલ મન મુંબઈ નગરી —318

Diaspora

  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ
  • મારી દુનિયાનાં તમામ બાળકો

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved