Opinion Magazine
Number of visits: 9692346
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સરકાર તો ઠીક, સાહિત્ય અકાદમી પણ ?

પ્રકાશ ન. શાહ

, પ્રકાશ ન. શાહ|Opinion - Literature|21 November 2015

બુંદસે ગઈ હોજસે નહીં આતી એ સાચું, પણ બુંદે બુંદે હોજ ભરાય છે એ ય સાચું

વૈખરીછૂટા રાજકારણીઓ સહસા મૌનની ગર્તામાં ઊતરી જાય અને પ્રલંબિત મૌન પછી વિલંબિત મૌનભંગનો રસ્તો લે ત્યારે એ એક આશંકા કેવળ અને કેવળ પ્રતીતિમાં ફેરવાઈ જાય કે એમની વ્યૂહકારીમાં લોકશાહી આપલેનો મહિમા નથી પણ એકતરફી એકાધિકારશાહીનો દબદબો છે. જે થયું તે ખોટું થયું એ બોલવા વાસ્તે ખાસ્સો એટલે કે ખાસ્સો સમય લેવો, અને પછી અપૂર્વ ને અનન્ય બંધારણ નિષ્ઠાપૂર્વક શ્રીમુખે આપણું પ્રબોધન કરવું કે કાયદો અને વ્યવસ્થા તો રાજ્ય સરકારનો વિષય છે, નહીં કે કેન્દ્રનો – ક્યા કહના.

આ ટેકનિક ખુલાસો સ્વીકારી લઈએ અને દાદરીમાં અખિલેશ યાદવની સમાજવાદી સરકારની ચોક્કસ જવાબદારી બને છે એ ઉઘાડી વાત છે, પણ કેન્દ્રીય સત્તાપક્ષ, કેન્દ્ર સરકારના પ્રધાન, આ સૌ ત્યાં જે રીતે પેશ આવ્યા એનું શું અને મુંબઈમાં જે બની રહ્યું છે એ તો કેન્દ્રીય સત્તાપક્ષના વડપણ હેઠળની સરકારના નાક નીચે જ બની રહ્યું છે. અહીં કદાચ આખો મુદ્દો ગુણાત્મકપણે બદલાઈ જાય છે. કારણ, દાદરી ઘટના કે ગુલામઅલી ઘટના એ માત્ર કાયદો અને વ્યવસ્થાનો પ્રશ્ન નથી. બંને જગ્યાએ સત્તાપક્ષ અને એના ભાગિયાઓની ચાલના એમની સમજ પ્રમાણેના વિચારધારાકીય ધક્કાવશ છે.

ખરું જોતાં, ભલે જરીક મોડેથી અને કંઈક વિલક્ષણપણે, બે નોખી નિરાળી વિશ્વ દૃષ્ટિઓની ચર્ચા ચાચર ચોકમાં ચાલે એવો જોગસંજોગ ઊભો થયો છે. તમે જુઓ કે વડાપ્રધાન સલુકાઈથી અને સિફતથી હાથ ઊંચા કરી રહ્યા છે એ જ વખતે દેશમાં એક અણચિંતવ્યા છેડેથી વિરોધ અને અસંમતિના અવાજોનો આરંભ થયો છે. સાહિત્ય અકાદમીના સન્માન પરત કરવાનો સિલસિલો અનવરત જારી છે તો પદ્મશ્રેણીના સન્માનથી હટવાની કે સંગીતનાટક અકાદમીથી છૂટા થવાથી માંડીને અકાદેમીના સર્વોચ્ચ સત્તામંડળમાંથી રાજીનામાં ધરી દેવાની પ્રક્રિયા પણ સ્વયંભૂ શરૂ થઈ ગઈ છે. હક્કાબક્કા રહી ગયેલા અરુણ જેટલી અને રવિશંકર પ્રસાદ જેવાઓની નજરમાં આ બધું જો કે પ્રાયોજિત જ નહીં પરંતુ વિનિર્મિત (મેન્યુફેક્ચર્ડ) પણ છે. વસ્તુત: આખો ઘટનાક્રમ એટલો ઝડપી છે કે સત્તામંડળને પોતાના પગ તળેથી ધરતી સરકી રહ્યા જેવો ઝાટકો લાગ્યો છે, અને પ્રત્યાઘાતમાં પ્રમાણભાન રહ્યું નથી.

પ્રમાણભાન અને સંતુલન નહીં રહ્યાનો એક નાદર નમૂનો જો વિનિર્મિતિબોધ રૂપે આપણી સામે આવ્યો છે તો બીજો એક નમૂનો આ બધા ‘કોંગ્રેસ અને લેફ્ટ’ પ્રેરિત હોવાની આક્ષેપાત્મક ભૂમિકારૂપે આવ્યો છે. જે સાહિત્યિક પ્રતિભાઓ આજે બોલતી માલૂમ પડે છે તે પૈકી અનેકે આ પૂર્વે કોંગ્રેસના કટોકટીરાજ સામે અગર તો સિંગુર અને નંદીગ્રામનો મુદ્દે સીપીએમ શાસન સામે બહાર આવવાપણું જોયું હતું. નહીં કે આ સિવાયનું દૃષ્ટિબિંદુ ન હોઈ શકે, અગર તો દાદરીથી માંડીને બીજાં નાનામોટાં નિમિત્ત સૌને સારુ એક સરખાં અપીલકારી ન યે હોઈ શકે. મુદ્દો માત્ર એટલો જ છે કે પોતેપોતાને છેડેથી, પોતપોતાની રીતે ઘણાબધા સંવેદનશીલ બૌદ્ધિકોને દિલી અસુખ અનુભવાય છે. એમનાં આગઆગવાં એન્ટેના પૂરતાં સમસંવેદિત અને સાબૂત હોઈ એમને કો ‘તાલ સે કદમ’ની તાલીમની જરૂર સદ્દભાગ્યે નથી.

આ તકરાર વસ્તુત: કોંગ્રેસ અને ભાજપ જેવા સપાટ ખાનાઓમાં ખતવી શકાય એમ નથી. પૂર્વે કહ્યું તેમ તે પક્ષ ‘અ’ અને પક્ષ ‘બ’ અગર ‘ક’ જેવી કોઈ સ્થાયી સંરચનાની બંદી નથી, કેમ કે મામલો વર્લ્ડવ્યૂ કહેતાં વિશ્વદૃષ્ટિનો છે. કોઈ એક હુકમશાહ કે પછી કોઈ એક ડાબલાબંધ વિચારધારાને વશ નહીં વર્તતા વ્યાપક અભિગમપૂર્વક માનવમૂલ્યોથી પરિચાલિત થતી આ મંડળી છે. એને ડાબાજમણા ખાનામાં નાખવાની અને જે સાથે નથી તે સામે છે એમ માનવાની માનસિકતા કોઈ ડલેસ કે મેકાર્થીની હોય તો હોઈ શકે છે.

કેન્દ્રીય સંસ્કૃિત મંત્રી મહેશ શર્મા વગેરે આ દિવસોમાં જે કંઈ બોલતા સંભળાયા છે એ બધું સાથે મૂકીને જોઈએ તો ભારત કને પોતાના ડલેસ અને મેકાર્થી નથી એવા મહેણાને અવકાશ રહેતો નથી. એમની અને તરુણ વિજય(પૂર્વતંત્રી, પાંચજન્ય)ની વાત કંઈક એવી રહી છે કે જો ગોમાંસ ભક્ષણની ઠાલી અફવાવશ કોઈની હત્યા થાય તો એ ખોટું કહેવાય. બીજા શબ્દોમાં, પ્રતાપભાનુ મહેતાએ તત્ક્ષણ ટિપ્પણીરૂપે સ્થાયી મૂલ્યવત્તાવાળી જે વાત કરી હતી તે પ્રમાણે, ધારો કે ખરેખર ગોમાંસ કિસ્સો બન્યો તો સરિયામ હત્યા (લિન્ચિંગ) ‘ધર્મ્ય’ લેખાય. આવી માનસિકતા સબબ જો કોઈ સંવેદનશીલ સર્જક એમ કહે કે આ સંજોગોમાં હું કશું લખી શકતો નથી તો શર્માજી અસંદિગ્ધ શબ્દોમાં કહેશે કે એક વાર તમે લખવાનું બંધ કરો તે પછી જોયું જશે. ધર્માંધ ને રૂઢિચુસ્ત પરિબળોના દબાણ હેઠળ (અને એની પાછળ હોઈ શકતા રાજકીય સેન્ક્શનવશ) લેખકે લેખન પૂરતી આત્મહત્યા વહોર્યાથી માંડીને સામેવાળા તરફથી લગભગ આતતાયીવધની નોબત વહેર્યાનું આપણે મુરુગનથી માંડી કલબુર્ગીના કિસ્સામાં જોયું છે. પણ હાલના સાંસ્કૃિતક સિસ્મોગ્રાફ ઉર્ફે શર્મોગ્રાફમાં સ્વાભાવિક જ તે ઝિલાતું નથી.

સરકારનું તો જાણે કે સમજ્યા પણ કેન્દ્રીય સાહિત્ય અકાદમી જેવી સ્વાયત્ત સંસ્થાઓનું શું. બલકે, ઊંટની પીઠ પરના છેલ્લા તણખલા જેવી કોઈ બીના હોય તો તે વિશ્વનાથ પ્રસાદ તિવારીના વડાપ્રધાન હેઠળની અકાદેમી કલબુર્ગીની હત્યા પરત્વે ધોરણસર શોકસંવેદના વ્યક્ત કરવાની અને ખાસ તો, આતતાયીવધની માનસિકતા સામે સાફ ભૂમિકા લેવાની બાબતમાં ઓછી ને પાછી પડી એ છે. (સંઘ પરિવારના દીનદયાલવિદ લેખાતા મહેશ શર્મા કહે છે કે લેખકો કઈ વિચારધારા ધરાવે છે તે પણ અમારે જોવું રહેશે.)

ગમે તેમ પણ, 23મી ઑક્ટોબરે સાહિત્ય અકાદેમીના કારોબારી મંડળની તાકીદની બેઠક મળી રહી છે ત્યારે, તિવારી અને સાથીઓએ પોતાના ને અકાદેમીના વજૂદને પુરવાર કરવાની દિશામાં દુર્ગભેદ કરવાપણું છે. બુંદ સે ગઈ હોજ સે નહીં આતી એ સાચું, પણ બુંદે બુંદે હોજ ભરાય છે એ ય સાચું. આ અકાદેમીના અધ્યક્ષ ક્યારેક જવાહરલાલ નેહરુ હોઈ શકતા હતા, જે મિત્ર રશિયાને નિ:સંકોચ કહી શકતા હતા કે ‘ડૉ. ઝિવાગો’ના લેખક પાસ્તરનાકની ભાળસંભાળ લેવા સારું સમિતિને દોરતાં હું નહીં ખચકાઉં. અહીં તો કંઈ રશિયા જઈને મીર મારવાની વાત નથી. ઇટ્સ દેલ્હી, સ્ટુપિડ!

ગુજરાત છેડેથી ગણેશ દેવીએ અને અનિલ જોશીએ ઠીક ખાતું ખોલ્યું. પણ જેમ કોંકણીની પુરસ્કૃત પ્રતિભાઓ એકત્ર આવી એમ આપણે ત્યાંથી કોઈ પહેલ થશે? સિતાંશું યશશ્વંદ્ર આદિએ કારોબારી તાકીદે બરકવા કહ્યું એ રૂડું કીધું. દરમ્યાન જ્યાં સુધી ગુજરાત પહેલનો સવાલ છે, ઘરઆંગણે સ્વાયત્ત અકાદમી આંદોલનના અગ્રચરણ પરથી એક માપ મળી રહીશે. કેન્દ્રીય સાહિત્ય અકાદેમી ઠીક ઠીક પ્રતિનિધિક અને સ્વાયત્ત છતાં એને વજૂદનો પડકાર ઊભો થઈ શકે છે તો અહીં સીધી નિયુક્તિવશ સરકારી અકાદેમી સાથે જોડાનારાઓએ પોતાની હયાતીનો પુરાવો આપવા કાંક તો કરવું જોઈશે.

સૌજન્ય : ‘અકાદેમીની સંવેદના-કટોકટી’, “દિવ્ય ભાસ્કર”, 11 સપ્ટેમ્બર 2015

Loading

તડીપાર થયેલો એક ભાવ : સહિષ્ણુતા

હિમાંશી શેલત|Opinion - Literature|21 November 2015

સ્વતંત્ર પ્રજા તરીકે આપણાં વલણો ન્યાય તરફી કેમ નથી, એનો ઉત્તર મેળવવો તો હજી બાકી છે

તો તમે માનો છે કે બંધારણે આપેલી અભિવ્યક્તિ સ્વતંત્રતાનો પ્રત્યેક નાગરિક ઉપયોગ કરી શકે છે? તમને ધરપત છે કે અહીં કાયદાનું શાસન છે, અને કાયદાનું જે કોઈ ઉલ્લંઘન કરે તે દંડને પાત્ર છે? તમને લાગે છે કે જનસમુદાયની અને સમાજની સુખાકારી કે સામાજિક ન્યાય માટેની લડતનું સમર્થન તમે ભયમુક્ત રહીને કરી શકો છો? તમારી સાથે જે વ્યક્તિઓ કે જૂથો અસંમત છે એ તમને કોઈ નુકસાન નહીં પહોંચાડે, એવી તમારી પ્રતીતિ છે?

જો તમારો ઉત્તર ‘હા’માં હોય તો તમે સદ્દભાગી છો, અને જો ‘ના’માં હોય તો તમારે કશું કહેવાનું રહેતું નથી. ઘરેડબંધ જીવન, જેમાં સ્વતંત્ર વિચારને સ્થાન નથી એમાં સુખ અને શાંતિને આંચ નથી આવતી. જોખમ સ્વતંત્ર વિચારકોને છે, એમને ધમકીઓ મળી શકે, એમના પર જાસાચિઠ્ઠીઓ આવે, એમનો પીછો કરવામાં આવે, એમને ડરાવવામાં અને ધમકાવવામાં આવે. એમ કરવાથી જો એ ચૂપ થઈ જાય કે પાછા પડી જાય તો ઠીક છે. પણ જો એમ ન થાય તો એમણે માથે કફન બાંધી લેવું પડે. એમની ગમે ત્યારે હત્યા થઈ શકે. સ્વતંત્ર વિચારો માટે એમણે આકરી કિંમત ચૂકવવી પડે.

બાંગ્લાદેશના બ્લોગર અભિજીત રોય, અનંત વિજય દાસ અને નિલય ચેટરજી, આપણા દેશના નરેન્દ્ર દાભોલકર, ગોવિંદ પાનસરે અને એમ. એમ. કલબુર્ગી તમામને એક સૂત્રે જોડે છે. એમની વૈચારિક સ્વતંત્રતા અને એ જેમને સ્વીકાર્ય નહોતું એમણે એમને કાયમ માટે ચૂપ કરી દેવાનું કાવતરું રચ્યું. છેલ્લા થોડા સમયથી આતંકનો એક નવો અને વરવો ચહેરો આપણે જોવાનો આવ્યો છે. એક ચોક્કસ તરેહને આધારે કટ્ટરપંથીઓ પોતાનાં શસ્ત્રો સજતા રહે છે, અને નિશ્ચિત વ્યૂહરચના પ્રમાણે એમને જે વાધાજનક લાગે એમને નિર્મૂળ કરવાનું હાથ ધરે છે, નરેન્દ્ર દાભોલકર, ગોવિંદ પાનસરે કે કલબુર્ગી જ્યાં ત્યાં મળે એવાં વ્યક્તિત્વો નથી. એમના વિચારોને બેઅસર કરવા માટેનો એક જ ઉપાય અસહિષ્ણુ જૂથો પાસે છે, અને તે એમને ખતમ કરી દેવાનો.

હત્યા પછી કાયદો જે કરવાનું હોય તે કરે, તપાસ ચાલતી રહે, પણ કશું નક્કર હાથ ન આવે. ક્યારેક આશ્ચર્ય થાય કે તંદુરસ્ત સમાજના ઘડતર માટે એકાદ દાભોલકર મથતા હોય તો એમાં કયા સ્થાપિત હિતોને એ નડતા હશે કે એમને મારી નાખવા પડે! અંતે અંધશ્રદ્ધા નિર્મૂલન માટે મથવું એ કયા જૂથને અનૂચિત પ્રવૃત્તિ લાગતી હશે? સ્વતંત્ર વિચારાનારા અથવા તો વૈચારિક સ્વતંત્રતામાં વિશ્વાસ રાખનાર સહુ કટ્ટરપંથીઓને આટલા બધા જોખમી લાગતા હશે કે એમને રહેંસી નાખવાની હદે પહોંચવું પડે?

એક વાત સ્પષ્ટ છે કે સ્વતંત્ર વિચારની સ્થાપના માટે મથતા અથવા એવા વિચારો વ્યક્ત કરતા લોકો ઓછા હોય છે, અને એ અલગ તરી આવે છે. એમને વિશાળ સમૂહનો ટેકો હોય તો સંભવ છે કે એમનું બળ વધે. દુર્ભાગ્યે આવો પ્રબળ ટેકો એમને ભાગે નથી હોતો. આવા વ્યક્તિત્વો સંઘર્ષનો માર્ગ પસંદ કરે છે અને પોતાની માન્યતાઓ સાથે સગવડભર્યા સમાધાન કરી લેવાનું પસંદ કરતા નથી. આમ કરવાથી પણ તેઓ લગભગ એકલવીર બની રહે છે અને એમના પર આક્રમણ કરવાનું સરળ બનતું જાય છે. કલબુર્ગી કે દાભોલકરના મૃત્યુ સંદર્ભે સમગ્ર સમાજ ઊહાપોહ કરે એમ નથી થતું. ધારો કે એમના વિચારો સાથે પૂરેપૂરા સહમત ન થતાં હોઈએ તો પણ અસહિષ્ણુતાને પગલે થતી હત્યા અંગે આપણું વલણ પ્રમાણમાં અતિશય નરમ અને તેથી નિર્બળ રહે છે. સ્વતંત્ર પ્રજા તરીકે આપણાં વલણો ન્યાય તરફી કેમ નથી એનો ઉત્તર મેળવવો તો હજી બાકી છે. વિદ્યાવ્યાસંગ, સંશોધન અને લેખન જેમનું જીવનધર્મ જેવું કામ છે એવી વ્યક્તિઓને, કલાકારોને અને નાટ્યકર્મીઓને કટ્ટરપંથીઓ નિશાન બનાવી રહ્યા છે. એમનો વાંક માત્ર એટલો કે, એમની વિચારશૈલી અલગ છે, અને ચૂપચાપ ચાલ્યાં જતાં ટોળાંઓ છોડીને એમણે જુદો માર્ગ પસંદ કર્યો છે. તમિલ નવલકથાકાર પેરુમલ મુરુગનને તો ઝનૂની પરિબળોએ લખતાં જ બંધ કરી દીધા છે. છ નવલકથા, ચારેક વાર્તાસંગ્રહો, ચાર કાવ્યસંગ્રહો અને છ લેખસંચયો ઉપરાંત તમિલ બોલી કોંગુ વિશે સંશોધન કરી ચૂકેલા, હજી તો પચાસે પહોંચ્યા નથી એવા સર્જકને, લેખન છોડાવી દેનારા પેલાં ઉગ્ર અને આક્રમક જૂથો જાણે છે કે બંધારણની કોઈ કલમ આ લેખકને ખપ લાગવાની નથી. લેખકના ખુદના સમાજના થોડા બળિયાઓ એમને ધમકી આપે અને એમનું રોજનું જીવન ઝેર બનાવી દે, તો એમને સવાલ તો થાય ને, કે એના લેખનનો જો એની જ પ્રજાને ખપ નથી તો કોને માટે ને શા માટે લખવાનું?

આ પણ એક પ્રકારની હત્યા જ કહેવાય, લેખક પાસેથી કલમ અને શબ્દો ઝૂંટવી લેવાથી થતી હત્યા. અને પેરુમલ એકલા નથી, સુખ્યાત વિવેચક-સાહિત્યકાર એમ. એમ. બશીરને ‘રામાયણ’ પર લખાતી કટાર બંધ કરી દેવી પડી છે એવા સમાચાર છે. મલયાલમ દૈનિક ‘માતૃભૂમિ’માં લખાતી આ કટારને પગલે અજાણ્યા માણસો તરફથી એમને સતત ધમકીઓ મળી રહી છે. માત્ર એમને જ નહીં, દૈનિકના તંત્રીને પણ ગાળો ખાવી પડે છે. પાંચેક હપ્તા પછી આ વિવેચકને લેખન બંધ કરવું પડ્યું છે. મલયાલમ ભાષાના અધ્યાપક રહી ચૂકેલા પંચોતેર વર્ષના આ વિદ્વાનને ખેદ એ બાબતનો છે કે જીવનનાં આટલા વર્ષો ભાષા અને સાહિત્યક્ષેત્રને, અધ્યયન અને અધ્યાપનને આપી દીધાં પછી એમની પોતાની ભૂમિમાંયે એમની ઓળખ માત્ર ‘મુસલમાન’ની જ રહી છે! અખબાર-તંત્રીને ઉગ્રમતવાદીઓ એમ કહીને ભાંડે છે કે ‘રામાયણ’ પર લખવાનું કામ બશીરને શા માટે સોંપાયું!

લખનારના કાંડા, વિચારકોના મગજ, ચિત્રકારોની પીંછી – સઘળું નિયંત્રિત કરનારા, વિવિધ રીતે ગંદી ભાષા વાપરી ધમકીઓ આપનારા, વખતોવખત પથરા મારી, તોડફોડ કરી સર્વત્ર ધાક બેસાડનારાં આ જૂથોને નાથવા શાસન શું કરી શકે છે? આપણને તો માત્ર એટલી જ ખબર છે કે આપણે નથી નરેન્દ્ર દાભોલકરને બચાવી શકતા, કે નથી જાળવી શકતા પાનસરે, કે કલબુર્ગીને. આપણે પેરુમલ કે બશીરને હવાલે કરી દઈએ છીએ પેલા ઝનૂની જૂથોને. નથી આપણા વિરોધમાં કશી તાકાત કે નથી આપણામાં સ્વતંત્રતાનું જતન કરવાની કોઈ દાનત કે આવડત. એકાદ ઝૂઝનારો દુનિયા છોડીને ચાલતો થાય ત્યારે વંધ્ય બળાપા કરવાથી કે નિવેદનો આપવાથી વિશેષ શું થઈ શક્યું છે વિચારવંતોના સમુદાય દ્વારા, જો એને સમુદાય કહેવાય તો!

આ દેશની સંસ્કૃિતના અર્ક સમી પ્રાર્થનાઓમાં તો દુર્જનો સજ્જનો બને, સજ્જનને શાંતિ મળે, શાંતિ પ્રાપ્ત કરનારાં બંધન મુક્ત થાય અને જે બંધનમુક્ત બન્યા છે તે અન્યને મુક્ત કરવાના મહાકાર્યમાં જોડાય એવી અદ્દભુત ભાવના વ્યક્ત થઈ છે. પૃથ્વી પર પગ મૂક્તાં પહેલાં ‘પાદ સ્પર્શ ક્ષમસ્વ મે’ એવી ક્ષમાયાચના કરનારાઓ અને સર્વં ભદ્રાણિ પશ્યન્તુ’ એવી ઇચ્છા રાખનારાંઓનો આ દેશ. આ કોઈ શબ્દલીલા નથી, ઊંડી ઉદારતા અને દૃઢ સહિષ્ણુતામાંથી જન્મીને ઉછરેલો, વિક્સેલો એક વ્યાપક ભાવ છે. એ કાળે ઋષિઓને તો કલ્પના પણ નહીં હોય કે કોઈએ એક ચોક્કસ સમયમાં, પોતાને સંસ્કૃિત રક્ષકોમાં ખપાવતાં ટોળાં, સાવ સાચુકલાં અને જાળવવા જેવાં વ્યક્તિત્ત્વોને રહેંસીને, વિજયનાદો કરતાં બેફામ બબડતાં રહેશે અને સમસ્ત પ્રજા આ સંહાર અસહાય બનીને જોતી રહેશે!

સૌજન્ય : ‘અંતરની પીડા’, “દિવ્ય ભાસ્કર”, 11 સપ્ટેમ્બર 2015

Loading

શિક્ષણમાં સર્વકલ્યાણકાર મૂલ્યોનો વિકાસ

મનસુખ સલ્લા|Opinion - Opinion|21 November 2015

જે શિક્ષણ મૂલ્યપ્રીતિ અને મૂલ્યપાલન ન જન્માવે, કેવળ અભ્યાસક્રમ પૂરા કરે, મકાનો ભવ્ય રાખે, બીજો ઘટાટોપ રચે એ શિક્ષણના નામે ભળતી પ્રવૃત્તિ છે. એ શિક્ષણ તો નથી જ, કારણ કે મહાત્મા ગાંધી અને સ્વામી વિવેકાનંદે કહ્યું છે તેમ શિક્ષણનો મૂળભૂત ઉદ્દેશ ચારિત્ર્ય ઘડતરનો છે. ચારિત્ર્ય ઘડતરનો આધાર મૂલ્યપ્રીતિ અને મૂલ્યપાલન છે. એમાંથી જ ચારિત્ર્યને ઘાટ મળે છે.

પરંતુ મૂલ્ય શબ્દ પૂરતો નહીં થાય કારણ કે જીવનવિરોધી કે સમાજવિરોધી મૂલ્યો પણ હોઈ શકે છે. આજના ભારતમાં એવું લાગતું જ નથી કે આ દેશમાં મહાત્મા ગાંધી હતા અને દેશ અહિંસક રીતે સ્વાતંત્ર્ય આંદોલન લડ્યો હતો. એ કાળે ત્યાગ, બલિદાન, સમર્પણ, ઔદાર્ય અને સૌની કાળજી સહજ હતાં. સ્વાતંત્ર્ય સંગ્રામના સૈનિકો કટોકટીમાં પણ મૂલ્યો છોડતા નહોતા. આજે એથી ઊલટું ચિત્ર છે. દેશ અને સમાજને હાનિ પહોંચાડતા સંકોચ ન હોય એવા અનેક લોકો ચારે બાજુ છે. પોતાના નાના સ્વાર્થ માટે દેશને હાનિ પહોંચાડતા તેમને ખચકાટ થતો નથી. કારણ કે આજે વિપથગામી મૂલ્યો પ્રચલિત બન્યાં છે. તેનું સૌથી કરુણ અને વરવું દૃષ્ટાંત વ્યાપમ કૌભાંડ છે. નિયમો નેવે મૂકાયા અને ખોટા વ્યવહારો થયા એટલું જ નથી, ચાલીસ જેટલાં મૃત્યુ પણ થયાં છે. શિક્ષણ ક્ષેત્રની આ આંખ ઉઘાડનારી ઘટના છે.

એટલે મૂલ્ય કહેવું પૂરતું નહીં થાય. શિક્ષણ દ્વારા સર્વકલ્યાણકાર મૂલ્યોની સ્થાપના અપેક્ષિત છે. જેમાં સૌનું કલ્યાણ હોય, સૌને સમાન વ્યવહાર મળે તેવાં મૂલ્યો જ આવકાર્ય ગણાય. એટલે મૂલ્યની આગળ સર્વકલ્યાણકાર વિશેષણ મૂકવું જરૂરી છે.

ચારિત્ર્ય ઘડતરની આધાર શિલા જ મૂલ્યપ્રીતિ છે. વ્યક્તિનું દુષ્ટ, સ્વાર્થી, પરપીડક એવું ઘડતર પણ થાય અને ઉદાર, નિસ્વાર્થી, વ્યાપક જીવનભાવવાળું ચરિત્ર્ય ઘડતર પણ થઈ શકે. શિક્ષણનો ઉદ્દેશ વ્યક્તિમાં સર્વકલ્યાણકાર મૂલ્યોનું પ્રગટીકરણ છે. એટલે પ્રાચીનકાળથી આજ સુધી શિક્ષણની અનિવાર્યતા છે ગણાઈ છે. જ્યારે શિક્ષણ મૂલ્યપ્રીતિને ગૌણ ગણે કે તેની ઉપેક્ષા કરે છે ત્યારે તેમાંથી તૈયાર થયેલા વિદ્યાર્થીઓ બ્રહ્મરાક્ષસ બને છે. તેમનો હૃદયવિકાસ થયો નથી હોતો. તેઓ બુદ્ધિ દ્વારા સમાજનું શોષણ કરનારા થાય છે. તેઓ પોતાનો સ્વાર્થ સાધવા માટે બુદ્ધિને ગમે તેટલી કુટિલ રીતે યોજી શકે છે. અંતે જતાં સમગ્ર રાષ્ટ્રને એની કિંમત ચૂકવવી પડે છે. માટે ચારિત્ર્ય ઘડતર અને સર્વકલ્યાણકાર મૂલ્યોની પ્રીતિ એક સિક્કાની બે બાજુ જેવા છે. 

એ તો નિર્વિવાદ છે કે સર્વકલ્યાણકાર મૂલ્યોનું ધરુવાડિયું તો ઘર અને પરિવાર છે. કુટુંબમાં પ્રેમનો સહજ સંબંધ હોવાથી આવું ઘડતર અનાયાસ થાય છે. તેમાં જરૂરિયાતવાળાને સૌથી વધુ મળે છે ને એ આપનારા આનંદ અનુભવે છે. ઔદાર્ય, કાળજી, ક્ષમા, પ્રેમ વગેરે ભાવોથી મૂલ્યોનું સંવર્ધન થાય છે. એટલે કુટુંબ રચના અને પરિવારજનોની સમજ અને દૃષ્ટિ બાળકના ઘડતરમાં અત્યંત ઊંડી અને દીર્ઘકાલીન અસરો પાડે છે.

વિદ્યાલયની કાર્ય પદ્ધતિ અને સંબંધ ભાત પરિવાર કરતાં ભિન્ન હોય છે. તેમાં લોહીનો સંબંધ નથી હોતો, પરંતુ પરિવાર ભાવ તેના કેન્દ્રમાં હોય છે. તેની કાર્ય પદ્ધતિમાં બે તત્ત્વો અનિવાર્યપણે હોવા જોઈએ : (1) વિદ્યાલયમાં બધું વિચારપૂર્વકનું અને આયોજિત હશે. (2) એનો અમલ એવો સહજ હશે કે વિદ્યાર્થીને પોતે કાંઈક ગ્રહણ કરી રહ્યો છે એની સભાનતા નહીં હોય કે એ ફરજિયાત રીતે લાદેલું નહીં હોય. જ્યારે આ બાબતોની ઉપેક્ષા કરવામાં આવે છે ત્યારે મૂલ્યશિક્ષણ દેખાવ પૂરતું કે બગસરાનાં ઘરેણાંની જેમ ઢોળ ચડાવેલું બની જાય છે. એ અસ્તિત્વનો ભાગ બનતું નથી.

એટલે શિક્ષણમાં વય અને ગ્રહણશીલતા મુજબ મૂલ્યસ્થાપન થવું જોઈએ. પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણમાં હેતુ તો આ જ રહેશે, પરંતુ પદ્ધતિ અને સંબંધ તત્ત્વનો ફરક પડશે. આ વિવેક કરવો જ રહ્યો. વિદ્યાર્થીનું ચારિત્ર્ય ઘડતર થાય તેમ ઇચ્છતા હોઈએ તો તેની ઈષ્ટતમ પદ્ધતિઓ અને સંબંધ સ્વરૂપ નિપજાવવું અનિવાર્ય છે.

મૂલ્યઘડતરનો સૌથી વધુ ગ્રહણશીલ ગાળો પ્રાથમિક શિક્ષણ છે. આ કાળે વિદ્યાર્થી શિક્ષક પ્રત્યે શ્રદ્ધાવાન હોય છે. શિક્ષકના નાના અને નગણ્ય વ્યવહારોની પણ વિદ્યાર્થીના ચિત્ત ઉપર અસર પડતી હોય છે. આ તબક્કે વિદ્યાલયનું ભાવાવરણ પરિવાર ભાવથી ભરેલું હોય તે અત્યંત જરૂરી છે. સાથે જ શિક્ષકોના વાણી અને વ્યવહારો વચ્ચે અંતર ન હોય એ ઉત્તમ સ્થિતિ છે પરંતુ ઓછામાં ઓછું અંતર હોય તે ઈષ્ટ સ્થિતિ છે. શિક્ષકે વાણી અને વ્યવહાર વચ્ચેનું અંતર ઘટાડવા માટે સતત જાગૃત પ્રયત્નો કરવા જોઈએ.

પ્રાથમિક કક્ષાએ સુટેવોના ઘડતર દ્વારા મૂલ્યઘડતર થતું હોય છે. જેને આપણે આવકાર્ય મૂલ્યો ગણીએ છીએ તે વિદ્યાર્થી માટે સુટેવ બની જશે તો તેનું આચરણ સહજ બની જશે. દા.ત. સ્વચ્છતા અને સુઘડતાની ટેવ પડેલી હશે તો તેને અસ્વચ્છતા અને ઓઘરાળાપણું નહીં જ ગમે. એટલું જ નહીં પછીના જીવનમાં પણ આ મૂલ્ય ટકશે. કેવળ બાહ્ય સ્વરૂપમાં જ નહીં, આંતરસ્વરૂપમાં પણ આ ટેવ વિકસશે. એ પણ સ્પષ્ટ છે કે સુટેવોને માન્યતાનો આધાર આપવો પડશે. માન્યતાઓ ત્રણ પ્રકારની હોય છે : (1) સાચી માન્યતા (2) ખોટી માન્યતા અને (3) અસ્પષ્ટ માન્યતા. વ્યક્તિ માન્યતા અનુસાર વર્તન કરે છે. જો સાચી માન્યતાનો આધાર હશે તો પ્રતિકૂળ કે વિપરીત પરિસ્થિતિમાં પણ વ્યક્તિ મૂલ્ય છોડી દેશે નહીં. મહાત્મા ગાંધીનું બાળપણ એનું શ્રેષ્ઠ દૃષ્ટાંત છે.

માધ્યમિક કક્ષાએ વિદ્યાર્થીની મૂલ્યપ્રીતિ નક્કર રૂપ લે છે. જો તેને ઉત્તમ આદર્શો અને મૂલ્યો મળે તો એને સારુ બધું હોડમાં મૂકવા તૈયાર થાય છે. સ્વરાજની લડત વખતે દેશના કિશોરો અને યુવાનો જે રીતે પ્રવૃત્ત થયા હતા એ અત્યંત ગૌરવની ઘટના છે. વિદ્યાર્થીના ચિત્તમાં એવાં મૂલ્યો કે આદર્શોવાળી વ્યક્તિ માટે આદર જન્મે છે. કેટલીક વાર તો એના અનુકરણમાં અમુક ઈષ્ટ કાર્યો કરે છે. ચૌદથી સોળ વર્ષનો વયગાળો આવાં મૂલ્યનિર્માણનો, મૂલ્યસ્થાપનનો સૌથી વધુ સંવેદનશીલ કાળ છે. એટલે આ વયના વિદ્યાર્થીઓને સાહસ, શૌર્ય, ઔદાર્ય, સેવા, અન્યને ઉપયોગી થવું, જાહેર કામમાં જવાબદારી લેવી – આ સઘળું મૂલ્યઘડતર કરે છે. શિક્ષકનું મુખ્ય કામ છે નાની સરખી પ્રવૃત્તિનું પણ રાષ્ટ્ર સાથે જોડાણ કરી આપવું. દરેક વિષયના શિક્ષક આવું જોડાણ (Correlation) કરી શકે છે. આ ઉંમરે સૌથી મોટું બળ સંવેદનાનું હોય છે. એટલે વિગતો અને હકીકતો વિદ્યાર્થીઓ સામે એ રીતે રજૂ કરવી જોઈએ, પ્રત્યક્ષ કરાવવી જોઈએ કે તેમાંથી વિદ્યાર્થીની સંવેદનાની કેળવણી થાય. પાઠ્યક્રમને એવી રીતે યોજવામાં આવે કે જેથી વિદ્યાર્થીની સંવેદનશીલતાને ધાર નીકળે, વધુ સૂક્ષ્મ બને, વધુ વ્યાપક બને. સંવેદનશીલતાનો વિકાસ જ વિદ્યાર્થીને જાતિ-વર્ણ-ધર્મના ભેદોથી ઉપર ઊઠવાનું બળ આપે છે. તો કોઈને પણ થતો અન્યાય એને પોતાનો લાગશે, કોઈ પણ કારણે કોઈને પણ ભોગવવી પડતી પીડા એને પોતાની લાગશે. આ વયે ઉકેલ અંગેની પૂરતી સ્પષ્ટતા નથી હોતી પરંતુ આદર્શનું ખેંચાણ અદ્દભુત હોય છે. એટલે વિદ્યાલયોએ જાગૃત અને આયોજિત રીત આવા મોકા વિદ્યાર્થીઓને પૂરા પડવા જોઈએ. સૌથી વધુ તો જવાબદારી સોંપીને વિદ્યાર્થીઓને જવાબદાર બનાવવા જોઈએ. ભારતની ભયાનક કમનસીબી એ છે કે આજે વિદ્યાલયો માત્ર વિષયો શીખવનારા છે અને પરીક્ષામાં વધુ માર્કસ કેમ મેળવવા એની તરકીબો શીખવનારા કારખાનાં બની ગયા છે. આ ખોટ આખા રાષ્ટ્રની છે. આમાંથી વિદ્યાર્થીઓમાં નકારાત્મકતા અને સ્વાર્થપરક્તા વિકસે છે. કુટુંબ અને સમાજ માટે પણ આ ખોટનો વેપાર છે.

એ સ્પષ્ટ થવું જોઈએ કે મૂલ્યપ્રીતિ એ કંઈ અભ્યાસક્રમથી જુદી બાબત નથી કે વિરોધી બાબત નથી. નજર હોય તો મૂલ્યપ્રીતિના સંદર્ભમાં અભ્યાસક્રમ શીખવી શકાય છે. અભ્યાસક્રમના મુદ્દાઓ ઉપરાંત વિવિધ સહઅભ્યાસક પ્રવૃત્તિઓ વિદ્યાર્થીના નરવા ભાવોને સબળ કરવામાં ફાળો આપે છે. પ્રાર્થના, પ્રવાસ, રમતગમત, સાંસ્કૃિતક કાર્યક્રમો, ઉત્સવ ઉજવણી, સ્વયંશિક્ષણ દિન, આસપાસના સમાજ વચ્ચે જઈને પ્રવૃત્તિઓ કરવી – આ સઘળું તેમાં મદદરૂપ થાય છે. આજે મૂલ્ય શિક્ષણની વાત ખૂબ થાય છે પરંતુ આ દૃષ્ટિએ અને આવું આયોજન ન હોવાથી એ કેવળ વાતો જ રહે છે. એથી વિદ્યાર્થીઓનો બૌદ્ધિક વિકાસ થાય છે પણ સંવેદનશીલતાનો વિકાસ થતો નથી. શિક્ષણ જગત માટે આ ગંભીર ઊણપ ગણાય. એ અંગે પુનર્વિચાર કરવાની તાતી જરૂર છે.

ઉચ્ચ શિક્ષણ એ જ્ઞાનનો વૈશ્વિક પ્રદેશ છે. આ કક્ષાએ વિદ્યાર્થી મુગ્ધ રીતે માની નહીં લે, પણ બધું તપાસતો થાય છે. (તે તપાસતો થવો પણ જોઈએ) તેથી ઉચ્ચ શિક્ષણમાં વિદ્યાર્થીની ભૂમિકા વૈશ્વિક થાય એનું આયોજન હોવું જોઈએ. આ કક્ષાએ વર્ગ ખંડમાં જઈને અધ્યાપકનું માત્ર બોલી આવવું કે નોટ વાંચીને વિદ્યાર્થી પરીક્ષા આપી દે એ અત્યંત નિકૃષ્ટ કક્ષા છે. સોના જેવી અમૂલ્ય ક્ષણોને ધૂળમાં નાખી દેવા જેવી દૃષ્ટિહીનતા છે. એ ઉચ્ચ શિક્ષણ જ નથી. (એટલે ભારતમાં વિશ્વ કક્ષાની યુનિવર્સિટીઓ નથી.) ઉચ્ચ શિક્ષણ તો સર્જનાત્મક હોવું જોઈએ. હકીકતો, આંકડા, સ્થિતિઓ, સમસ્યાઓ માત્ર જાણવી એ તો પચાસ ટકા કામ થયું ગણાય. આ સઘળું અભ્યાસનો આધાર માત્ર છે. એને આધારે પૃથક્કરણ, વિશ્લેષણ, અનુભવ સાથે તેનું સમાયોજન, તેમાંથી તારણો અને ઉકેલો શોધવા, પ્રત્યક્ષનું પરોક્ષ સાથેનું જોડાણ કરવું, લઘુ એકમનું વ્યાપક પરિસ્થિતિ સાથે જોડાણ કરવું, વ્યાપકના સંદર્ભમાં પ્રસ્તુતની સમજ મેળવવી – આ સઘળું થાય ત્યારે ઉચ્ચ (Higher) શિક્ષણ છે એમ ગણાય. આમાંથી વિદ્યાર્થીની વૈચારિક ક્ષિતિજો વ્યાપક બને છે. વ્યક્તિ-સમાજ-સમષ્ટિ (પ્રકૃતિ) અખંડ એકમ છે એની વિદ્યાર્થીને પ્રતીતિ થાય છે. આ ત્રણમાંથી કોઈ પણ એકને હાનિ પહોંચે તો બાકીના બન્નેને પણ હાનિ પહોંચે છે એની સમજ એ ખરું મૂલ્યભાન છે. 

આ જાગૃતિ, આ સમજ, આ દૃષ્ટિમાંથી વિદ્યાર્થીઓમાં ઉત્તરદાયિત્વ(Accountability)નો ભાવ જાગે છે. સાથે જ, મારાં કર્મો કેવળ મને જ અસર નથી કરતાં પણ સમાજ અને સમષ્ટિને પણ અસર કરે છે એની પ્રતીતિ થાય છે. આવી પ્રતીતિમાંથી મૂલ્યપ્રીતિ જાગે છે. મારાથી મારા સમાજને, રાષ્ટ્રને કે સમષ્ટિને હાનિ પહોંચે એવું કશું પણ ન થઈ શકે એ સમજણમાંથી મૂલ્યપાલન જન્મે છે. ઉચ્ચ શિક્ષણનો ખરો અર્થ આ છે. આ ઉદ્દેશ કેન્દ્રમાં આવે તો માહિતી કે વિગતો નવા સ્વરૂપમાં પરખાય છે. કેવળ ‘આજ’ને ધ્યાનમાં રાખીને થતાં આયોજનો કેવાં તો અધૂરાં છે તે સ્પષ્ટ થાય છે. આ સ્પષ્ટતામાંથી જીવન અને જગત વિષેની સાચી માન્યતાઓ પાંગરે છે અને દૃઢ થાય છે. આ મૂલ્ય શિક્ષણ છે.

આને સાર્થક કરવા માટે અધ્યાપકે સતત અધ્યયનશીલ રહેવું જરૂરી છે. વિદ્યાર્થીઓ સાથેનો તેનો સંબંધ જ્ઞાનની ખોજમાં નીકળેલા બે જિજ્ઞાસુ જેવો હોવો જોઈશે. એનું માધ્યમ વિદ્યાર્થી માટેનો પ્રેમ હશે. એ પ્રેમ જ તેને નવી નવી શિક્ષણ પદ્ધતિઓ, પ્રયુક્તિઓ, રચનાઓ, સ્થિતિઓ, સાધન-સામગ્રી શોધવા પ્રેરશે. તો સામે પક્ષે વિદ્યાર્થી કેવળ પરીક્ષાર્થી નહીં હોય, તે અધ્યયન રત તો હશે જ, સાથે જ, વ્યાપક સંદર્ભને સમજવા આતુર હશે. પ્રશ્નોના તૈયાર ઉકેલો લખી લેવાને બદલે ઉકેલો શોધવા જિજ્ઞાસુ હશે. જીવાતા જીવનના પ્રશ્નો કે પરિસ્થિતિઓ સાથે પ્રસ્તુત તત્ત્વ કે સિદ્ધાંતની તુલના કરીને પોતાના જ્ઞાનને નક્કર અને વાસ્તવિક બનાવશે. તે અલ્પથી સુખ પામનારો નહીં હોય, અવગાહન કરવાનો આનંદ લેનારો હશે. અધ્યાપક માર્ગદર્શકની ભૂમિકામાં હશે, વિદ્યાર્થી જાતે અધ્યયન કરવા આતુર હશે.

તો વિદ્યાર્થી સમજી શકશે કે કેવળ અર્થશાસ્ત્ર પૂરતું નથી, અર્થશાસ્ત્રનો માનવીય ચહેરો નિપજવવો પડશે. દાક્તરી વિદ્યા માત્ર પૈસા કમાવા માટે નથી, લોકોની સેવા માટે છે. ઉત્પાદન અને વાણિજ્યમાં માત્ર નફાના દેવની પૂજા નથી કરવાની પરંતુ પ્રકૃતિ અને સૌથી છેવાડે ઊભેલાની પણ કાળજી લેવાની છે. શસ્ત્રોત્પાદનથી પોતાના રાષ્ટ્રને સમૃદ્ધ કરીને બીજા દેશોમાં યુદ્ધ સળગતું રાખનાર રાજકારણ માનવતાથી વિરોધી છે. જેમાં માણસ સાંકડો, સ્વાર્થી, અધમતાનુસારી બને તેવા કોઈ પણ વિચાર કે આચરણનો તે અસ્વીકાર કરશે. આ જ તો મૂલ્ય વિકાસ છે. એ સર્વકલ્યાણકારક હોવાથી સ્વીકાર્ય બનશે.

કેવળ ‘આજ’ને ધ્યાનમાં રાખીને નહીં જિવાય, ‘આવતી કાલ’ને પણ સમધારણ અને ન્યાયી બનાવવી પડશે. સમાનતા માટે એ સ્વતંત્રતાનો ભોગ નહીં આપે (જે રશિયામાં બન્યું) કે વિકાસ માટે બંધુતાનો ભોગ નહીં આપે (જે આજના ધનિક રાષ્ટ્રો કરી રહ્યા છે) પરંતુ સ્વતંત્રતા, સમાનતા અને બંધુતાનું પ્રયાગ કેમ રચાય, માનવજાતનું કલ્યાણકારક સ્વરૂપ કેમ પ્રગટે તેનું ચિંતન કરશે, તેના ઉપાયો શોધશે. આ સરવકલ્યાણકર મૂલ્યો વિષેની સભાનતા અને પ્રીતિ તથા એને પરિણામે એનું પાલન એ શિક્ષણનો મૂળભૂત ઉદ્દેશ છે. એ ચારિત્ર્યનું ઘડતર કરે છે. એવું જીવવું એ ચારિત્ર્યનો સાચો વિકાસ છે.

વિદ્યાલયના વિવિધ તબક્કા અનુસાર પદ્ધતિ, સાધનો અને ઉપક્રમો ભલે ભિન્ન હોય પરંતુ લક્ષ્ય તો આ હોય. આ માટે વિદ્યાલયના સઘળાં આયોજનો, રચનાઓ, પદ્ધતિઓ અને ઉપક્રમો હોય તો જ એ સાર્થક શિક્ષણ છે. એવું શિક્ષણ રાષ્ટ્ર પોષક છે, માનવતાનો ચહેરો ઉજ્જવળ કરનાર છે.

(માતુશ્રી વિરબાઈ મહિલા કૉલેજ, રાજકોટમાં ‘ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ’માં આપેલ વ્યાખ્યાન, તા. 30-07-2015)

(ઘરશાળા ‘અમૃતપર્વ’, નવેમ્બર-ડિસેમ્બર 2015)

Loading

...102030...3,7143,7153,7163,717...3,7203,7303,740...

Search by

Opinion

  • એક સરકારી કર્મીનો પ્રેમપત્ર
  • બંધારણ – દેશનું દર્પણ, દેશની ઓળખ, દેશની શોભા  
  • નથુરામનું ‘હુતાત્મા’ પદ અને કુરુંદકરનો તર્ક
  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ
  • ઝાંઝવાનાં જળ

Diaspora

  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved