Opinion Magazine
Number of visits: 9664632
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

NATOનો નાતો મજબૂત કરવા હાલજો રે …

આશા બૂચ|Opinion - Opinion|28 February 2025

આશા બૂચ

દુનિયા આખીના પ્રજાજનો અંદરો અંદર વાત કરે છે, એમાં સૌરાષ્ટ્રના અંતરિયાળ ગામમાં થતા સંવાદ સાંભળવા જેવા.

“અલ્યા ભાઈ, અમેરિકાના હાકોટાનો જવાબ આપવા આ NATOના સભ્ય દેશો પોત પોતાના ખિસ્સામાં હાથ નાખે છે અને ‘સંરક્ષણ’ની સુરક્ષા ખાતર લડાઈના હવનમાં વધુ સમિધ નાખવા અંકોડા ભીડીને મંડ્યા છે, ઈ છે શું?

તેમાંના કેટલાક કહેવા લાગ્યા, “મને તો પહેલાં ઈ સમજાવો, પહેલા વિશ્વયુદ્ધની આગ ઓલવાણી પછી ઓલું લીગ ઓફ નેશન્સ શરૂ કર્યું. ‘કે છે કે બધા દેશો વચ્ચે ભાઈચારો વધે અને હળીમળીને ‘રે એટલે ઘણા દેશો ભેળા મળ્યા. તો ય કેટલાક દેશો હખણા નો રિયા તે વીસ વર્ષમાં પાછી લડાઈ માંડી. એમાં ય દુનિયા આખીના લોકને ઢસેડ્યા. એમાં નવું શું? જે દેશો ભાખડી પડ્યા ઈ પાછા બીજા ગરીબડા દેશો ઉપર રાજ કરતા’તા એટલે એના લબર મુછિયા જવાનોને ય હારે લીધા લડવા!

બીજી મોટી લડાઈ પતી એટલે લીગ ઓફ નેશન્સને માર્યું તાળું અને એને ઠેકાણે યુનાઇટેડ નેશન્સ ઊભું કર્યું. પાછું ‘કે છે, દુનિયાના નાના મોટા દેશો વચ્ચે શાંતિ રિયે અને સૌની સલામતી રિયે એવી કબૂલાત કરીએ. આખી દુનિયામાં એથી મોટું એકેય મંડળ ન મળે. અટાણે એના 193 સભ્યો છે.

ત્યાંતો એક વડીલ બોલ્યા, આ તો સારું જ કેવાય ને? બઉ લડ્યા, હવે ચૂપચાપ પોતપોતાની પ્રજાનું રખોપું કરે તો સરગ હાથવેંત છેટું રિયે.

પણ ત્યાં એક અદક પાંસળિયો બોલી ઉઠ્યો, “કાકા, તમને ખબર છે, આ યુનાઇટેડ નેશન્સ ચાલુ થયું ને, એના ચાર વરસ પછી તરત ઓલું શું કેવાય, (બોલવામાં અઘરું બઉ પડે છ) નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન (હાશ! હાચુ બોલ્યો તો ખરો) એને નાટો કેવાય, ઈ નામનું મંડળ પણ જોડી કાઢ્યું. એમાં યુરોપના 30 દેશો, અમેરિકા અને કેનેડાએ નામ નોંધાવ્યા. એકબીજાને વચન આપ્યું, બારના દેશનો કોઈ દેશ આપણા મંડળના કો દેશ પર હલ્લો કરશે ને, તો બાકીના બધા ય ભેળા થઇ બંદૂક અને ગોળા લઈને દુ:શ્મનને પતાવી દેશું. આંઈ મારી બુદ્ધિ બેર મારી ગઈ. ઓલાં ઉપર કીધાં ઈ બે મંડળ તો શાંતિથી જીવવા માટે સહકાર કરીને ભૈબંધની જેમ રહેવાની કબૂલાત કરીને શરૂ કર્યાં. બધાંને ગમ્યું, રાજાને અને પ્રજાને. આ નવા મંડળે ખાસ રશિયા સામે ખાલી રાજકીય નહીં પણ લશ્કરથી પણ એકબીજાને સલામત રાખવાની જોગવાઈ કરી. તે આ હોશિયાર પ્રધાનોને એટલું ય ભાન ન થ્યું કે બે મોટી લડાઈઓ અને બીજી નાની મોટી કેટલી ય લડાઈઓ લડી તો ય એકે દેશને જે જોતું ‘તું ઈમાંથી થોડું જ હાથ લાગ્યું અને એમ કરવામાં કેટલાંયના ઘર ઊજડ્યા ઈ નફામાં?

એક જુવાનિયો ઊભો થ્યો, ને મોટેરાં સામે જોઈને પૂછવા લાગ્યો, “વડીલો, તમારા ઘરની ચારેકોરના પાડોશીઓ ધારિયાં અને લાકડી-દંડા લઈને ઊભા રિયે તો તમને એ લોકોનો ભય ન લાગે?” આ નાટો પેલાં તો રશિયા સામે તોપ ધરીને ઊભું ‘તું, પણ પછી તો એનેય ઈ મંડળમાં આવવા દીધું, પણ તો ય છેલા વીસેક વરસથી યુરોપના બીજા દેશો સાથે એને મનમેળ નથી રયો.

થોડાક વધુ ભણેલા લોકો પણ વાતમાં ભળ્યા. વાત એમ છે કે 1990ની આસપાસ રશિયાના સામ્રાજ્યમાં હતા એ દેશો એનાથી છુટ્ટા પડવા માંડ્યા અને એ બધાની સીમ યુરોપના કોઈ ને કોઈ દેશને અડતી હોવાથી પોતાની રક્ષા ખાતર નાટોમાં જોડાવા લાગ્યા. 

ત્યાંતો વળી એક ઉત્સાહી જુવાન બોલી ઉઠ્યો, જો, હું તો કઉં છું કે લશ્કરી સેના જેટલી મોટી થાય એટલી વધુ બીક જેની સામે તોપ માંડી હોય એને લાગે અને એને પણ એથી ય મોટી તોપ માંડવી પડે ઈ આ મોટા મોટા નેતા ન સમજ્યા, નકર લશ્કરની બદલે સુલેહ સંધિ કરવા વાળા લવાદોનું મંડળ ઊભું કરીને એક મોટી શાંતિસેના ઊભી કરી હોત તો આટલું ખરચ ન થાત, આટલાં ઘર-બાર નાશ ન પામત અને આટલું લોહી ન રેડાત.

ખબર છે, નાટોના સભ્યોએ 2024માં 1.47 લાખ કરોડ અમેરિકન ડોલર ખરચવાની જોગવાઈ કરેલી. આટલું  બધું નાણું બધા દેશોને સાથે મળીને કામ કરવાની યોજના પાછળ, એની યુક્તિઓ ઘડવા પાછળ, રેડાર અને બીજાં ચેતવણીનાં સાધનો પાછળ, સૈનિકોને તાલીમ આપવા પાછળ, હવાઈ મથક અને નૌકા સૈન્યના બંદરો પાછળ અને બળતણ પૂરું પાડવા પાછળ ખર્ચે છે.

એક હોશિયાર વિદ્યાર્થી બોલી પડ્યો, “સાંભળ્યું છે કે અત્યાર સુધી એ મંડળના બધા સભ્યો પોતાના દેશની કુલ આવકના 2% રકમ આ નાટોના બજેટમાં આપે છે, પણ ઇંગ્લેન્ડ હવે 2.5% અને પછી તો એથી ય વધુ નાણું આપશે, તો અમારા જેવા વિદ્યાર્થીઓના ભણતર અને દેશની બીજી સેવાઓ માટે પૈસા ક્યાંથી કાઢશે?”

આમ આ ચર્ચા દિવસ રાત ચાલતી રહી, પણ મોટા ભાગના લોકોને આ બધા દેશો શા માટે લડ્યા કરે છે અને તેની પાછળ લખલૂટ ખર્ચ શા માટે કરે છે એ ન સમજાયું અને એનો તોડ પણ ન મળ્યો.

વાત એમ છે કે સશસ્ત્ર સંઘર્ષથી મોટા ભાગની સમસ્યાઓ હલ થઈ નથી એ વાત હજારો વર્ષના ઇતિહાસે સાબિત કરી બતાવ્યું છે. સામે પક્ષે અહિંસક ચળવળો તેનાથી ઓછા સમયમાં, ઓછા ખર્ચે અને કાયમી ઉકેલ આપતી હોય છે એ પણ અનુભવ્યું છે. NATO જેવાં સંગઠનો સત્તા લોલુપ સામ્રાજ્યવાદી અને એકહથ્થુ સત્તાધારીઓને ભડકાવનારા હોય છે. દરેક દેશના નેતાઓ એટલા શાણા હોવા જોઈએ, જે પોતાના પાડોશી દેશો અને દૂરના દેશોના નેતાઓની નીતિ, મુરાદ અને આચરણ ઉપરથી આવનારા સારા કે માઠા પરિણામોની આગાહી કરી શકે અને તેની તૈયારી રૂપે વાટાઘાટો અને શાંતિ કરાર કરી શકે. સાથે સાથે અહિંસક પ્રતિકાર માટે પણ સશસ્ત્ર સૈનિકોની માફક શાંતિ સૈનિકોને પણ પૂરતી તાલીમ આપી, તે માટે જરૂરી પુરવઠો પૂરો પાડવો આવશ્યક બને છે. મિસાઈલની સામે બીજાં વધુ વિનાશક મિસાઈલ જ ફેંકવામાં આવે છે અને તેની સામે વળતો ઘા ન કરવામાં આવે તો વેરની આગ શમી જાય છે એ પણ જોયું છે.

ઘડીભર કલ્પના કરીએ, જો NATO મિલિટરી જોડાણ ન હોત યુરોપ અને તેના મિત્ર રાજ્યોનો ડર રશિયા અને તેના મળતિયા દેશોને લાગ્યો હોત? જો રશિયાની દાનત ક્રાઇમિયા પર કબજો જમાવ્યો ત્યારથી ઓળખી કાઢીને રશિયાની સરહદને લગતાં બધાં રાજ્યોને શાંતિમય પ્રતિકાર માટે તૈયાર કર્યા હોત તો? એથી ઊલટું, બધા દેશો હોંશે હોંશે પોતાનું ‘ડિફેન્સ બજેટ’ વધારવા નીકળી પડ્યા છે!

NATOના સભ્ય દેશોની પ્રજા ખમીરવંતી હોય તો પોતાના કરવેરામાંથી સશસ્ત્ર લડાઈ જોગ ભાગનો કર ભરવાની ‘ના’ પાડે. જો કે મોટા લોકો મારા આ સૂચનને ‘અવ્યવહારુ’ કહીને હસી કાઢશે, બાકીના મૌન સેવી સમાચાર જોયા કરશે.

હિંસાને હોંશે હોંશે વધાવવા નીકળેલા નેતાઓના નિર્ણયથી સંતપ્ત બનેલ નાગરિક.

e.mail : 71abuch@gmail.com

Loading

નવા ચૂંટણી કમિશનરના મુદ્દામાં કેન્દ્ર સરકારની અભદ્ર અધીરાઈ

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|28 February 2025

નેતા વિપક્ષે ઊભો કરેલો મુદ્દો આપણી બંધારણીય ને કાનૂની સંસ્થાઓની સ્વાયત્તતાની દૃષ્ટિએ અત્યંત મહત્ત્વનો છે.

પ્રકાશ ન. શાહ

દેશના નવા ચૂંટણી વડા તરીકે જ્ઞાનેશકુમારે જવાબદારી સંભાળી એ ઘટના આગલા અનેક બનાવની જેમ વર્તમાન કેન્દ્ર સરકારની એકાધિકારી મનસ્વિતા વિશેની છાપ દૃઢાવેબઢાવે તો એ માટે કદાચ ફરિયાદનું કારણ ન હોવું જોઈએ. 

સમજવું જ હોય તો મુદ્દો સાવ સાદો છે. 19મી ફેબ્રુઆરીએ દેશની સર્વોચ્ચ અદાલત ચૂંટણી વડાની નિયુક્તિ પ્રક્રિયા વિશે નિર્ણાયક – વિવાદમુદ્દો હાથ ધરવાની ઘડિયાં લગન પેઠે નિમણૂક થઈ જાય એમાં કોઈ ‘ગ્રાન્ડ કોન્સ્પિરન્સી’નું તત્ત્વ ન હોય તોપણ એની પૂંઠે રહેલી અભદ્ર અધીરાઈ સારુ આશંકાનું કારણ તો છે જ.

2023થી આ ચર્ચા ચાલી રહી છે. લોકસભાની તરતમાં આવનારી ચૂંટણીની દૃષ્ટિએ ત્યારે માનો કે ખમી ખાવાનું એક લૉજિક હોઈ શકતું હતું. પણ ચૂંટણી પરિણામના આઠનવ મહિને ય સત્તારૂઢ કેન્દ્રીય નેતૃત્વ આ બાબતે મુદ્દતપાડુ ઢબે પેશ આવતું વરતાય તો એને શા સારુ સવાલિયા દાયરામાં ન જોવું એ સમજ્યું સમજાતું નથી. 

મુદ્દે, ચૂંટણી કમિશનર જેવા હોદ્દે નિમણૂક માટેની હાઇપાવર કમિટી પર દેશના વડા ન્યાયમૂર્તિ હોવા જોઈએ, એવી એક ભૂમિકા રચાયેલ છે. તેને બદલે વડા પ્રધાન અને એક કેન્દ્રીય પ્રધાન તેમ જ નેતા વિપક્ષની સમિતિ અત્યારે છે. દેખીતી રીતે જ, આ રચના સરકારની સીધી બહુમતીવાળી છે. સમિતિ પર જો વડા ન્યાયમૂર્તિ બેસતા હોય તો ચૂંટણી કમિશનરની નિમણૂક પરબારી સરકારી રાજરમતથી સહજક્રમે મુક્ત રહી શકે એ ઉઘાડી વાત છે. 

ચૂંટણી કમિશન તાજેતરનાં વરસોમાં ઠીક ઠીક ટીકાપાત્ર રહ્યું છે. શેષન અને લિંગ્દોહ તરેહના ચૂંટણીવડા હવે વન્સ અપોન આ ટાઈમ એવી ઇતિહાસવસ્તુ બની ગયા છે. આ સરકાર હસ્તક અગાઉ બબ્બે ચૂંટણી કમિશનરોએ શંકાસ્પદ સંજોગોમાં ખસી જવું પસંદ કર્યું છે. લવાસા જેવા અધિકારીએ તો આ સંબંધે, સરકારી દબાણથી મુક્ત કારવાઈ આડે અવરોધના સંકેતો પણ પ્રસંગોપાત આપ્યા છે. 

દસ વરસની સુવાંગ રાજવટ પછી ત્રીજી મુદ્દતમાં લોકચુકાદાવશ નેતા વિપક્ષની ઉપસ્થિતિના સંજોગો પેદા થયા તે સાથે અગાઉની ઉત્તરોત્તર વધુ સત્તા કેન્દ્રીકૃત કરવાનું વલણ એક યા જારી છતાં બીજી યા કંઈક પડકાર અનુભવી રહ્યું છે. આ કિસ્સામાં વડા પ્રધાન, ગૃહ પ્રધાન અને નેતા પ્રતિયક્ષની બેઠકનો જે હેવાલ બહાર આવ્યો છે તે ચિંતાજનક છે. વડા ન્યાયમૂર્તિ હોવા જોઈએ એ બાબત તરતના કલાકોમાં સર્વોચ્ચ અદાલતમાં હાથ ધરાવા પર હોય ત્યારે નિર્ણયમાં ઉતાવળ કરવાને બદલે ખમી ખાવું જોઈએ એ સાદો પણ બુનિયાદી મુદ્દો નેતા વિપક્ષ રાહુલ ગાંધીનો હતો. અને હવે તો એમની ‘ડિસેન્ટ નોટ’ (અસંમતિની નોંધ) પણ વિધિવત પ્રકાશિત થઈ ચૂકી છે. 

દરમિયાન, કેન્દ્ર સરકારે તો લગભગ કૂ દે તા કહેતાં રાતવરત ગુપ્ત છાપામાર શૈલીએ જ્ઞાનેશ કુમારની નિમણૂક બહુમતીથી એટલે કે ધરાર સરકારી રાહે કરી દીધી, એમણે હોદ્દો સંભાળી લીધો — અને ચૂંટણી પંચ હંમેશ જનતા જોડે રહ્યું, છે અને રહેશે એમ પણ બુલંદપણે કહી દીધું. સરકારે તો જે કરવું હતું તે કર્યું, પણ આવા સંદિગ્ધ, સંજોગોમાં ખરું જોતાં જે તે જવાબદાર અધિકારીને તો સૂઝવું જોઈએ ને કે હોદ્દો અખત્યાર કરવો અગર ન કરવો. 

પણ આપણા અધિકારીઓ વિશે શું કહેવું? કટોકટી બાદ શાહ તપાસ પંચનો હેવાલ બહાર પડ્યો ત્યારે અરુણ શૌરિએ માર્મિક ટીકા કરી હતી કે ગેરબંધારણીય કામોમાં પોતાને જોતરવામાં આવ્યા અને પોતે જોતરાયા પણ ખરા એ બધી વિગતો વિશે આપણી આઈ.એ.એસ. મંડળી કેમ કદાપિ ચર્ચા નથી કરતી. ત્યારે કટોકટીરાજ હતું. અત્યારે પોતાને કટોકટી સામેના લડવૈયા તરીકે દિવસરાત આગળ કરતો સત્તાપક્ષ છે. પણ પેલો પ્રશ્ન તો જેમનો તેમ ઊભો જ રહે છે. 

19મીએ (બુધવારે) કેન્દ્ર સરકારના જવાબદાર વકીલે પોતે અન્યત્ર રોકાયેલ છે એમ કહી આરંભે મુદ્દતપાડુ કોશિશ કર્યાના હેવાલો પછી બીજું કશું કદાચ કહેવાનું કદાચ રહેતું નથી.

Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘પરિપ્રેક્ષ્ય’, “દિવ્ય ભાસ્કર”; 19 ફેબ્રુઆરી 2025

Loading

નકરી રસમઅદાયગીથી ઉફરાટે ચંદ અલ્ફાઝ, શાહીનબાગની સાખે અને બીજી ચંદ અંજલિઓ

પ્રકાશ ન. શાહ, પ્રકાશ ન. શાહ - સુમન શાહ - મનીષી જાની - તુષાર દવે|Opinion - Literature|27 February 2025

અલવિદા અનિલ

જન્મ : 28 જુલાઈ 1940 − અવસાન : 26 ફેબ્રુઆરી 2025

“રે લોલ‘ની વંડી ઠેકી ગયેલા કવિએ ચોમેરચોફેર અનવસ્થા સામે અવાજ ઉઠાવવામાં ધર્મ જોયો …

છવ્વીસમી ફેબ્રુઆરીએ સવારે કવિ અનિલ જોશી ગયા, બરાબર ચોરાસીમે – કહો કે કવિ લખચોરાસીમાંથી છૂટ્યા કે પછી લખચોરાસીએ કરીને તરી ગયા. અજેય અને બેચેન જીવ એ અલબત્ત હતા. થોડાં વરસ પર એક મુલાકાતમાં એમણે બરકત વિરાણીને ટાંકેલા કે મેં એ વિચારથી શ્વાસ લેવા બંધ કરી દીધા છે કે આ દુનિયાની હવા સ્વર્ગમાં નથી લઈ જવી.

અનિલ જોશીનું નામ લીધું કે વાંસોવાંસ રમેશ પારેખની યાદ દડી આવી. જેમ ઉમાશંકર-સુંદરમ્‌ કે રાજેન્દ્ર-નિરંજન તેમ અનિલને રમેશ એ પણ એક તબક્કે સહજક્રમે સાથે લઈ શકાય એવાં નામ તરીકે ઉભર્યા હતા. ધોરણસરનો ઇતિહાસ અને એનું જે અનુશાસન, એ તો પોતાની રીતે કહેવા જેવું કહેશે પણ જાહેર છાપ ને જાડી સમજને હિસાબે બેઉ ગોંડલભેરુઓને ખાસ કરીને આપણી ગીતકવિતાના નવોન્મેષ સંદર્ભે એક સાથે જ સંભારવા રહે છે. 

અનિલ જોશીએ આત્મકથામાં સંભાર્યું છે કે ક્યારેક રમેશે એમને પૂછ્યું હતું કે આ વનલતા સેન કોણ છે. જીવનાનંદ દાસની નાયિકા તરીકે એની ઓળખ થયા પછી રમેશ પારેખનીયે નાયિકા માટેની સિસૃક્ષા સોનલ રૂપે વ્યક્ત થઈ. આ સોનલ, મોરારિબાપુના મતે કંઈક ભાળી ગયેલ રમેશની સરજત હતી. સોનલ એટલે, રમેશ કહેતા, જીવનની ગમતી પરિસ્થિતિ અને પ્રફુલ્લ ચેતના બધો વખત એ હાથવગી નયે હોય. 

અનિલની જિકર કરતે કરતે હું રમેશની વાતે ચાલી ગયો છું એનો મને ખયાલ છે. પણ એમાં એક ઔચિત્ય પણ છે. મુદ્દે, સોનલની સંજીવની હૂંફ છૂટી જાય એવો એક ગાળો આવ્યો હતો જે રમેશ પારેખને લાંબા સમય લગી ડિપ્રેશનમાં રાખવામાં એક નિમિત્તે બનેલો. ગોધરા-અનુગોધરા ઘટનાક્રમે કવિને ‘લવારો’ કરતો કરી મેલ્યા હતા. આ જ શીર્ષકની એમની લાંબી રચનાની થોડીક પંક્તિઓ :  

“આ ભાષા મારી, પણ નરસિંહ મેંતાએ મને આપેલી વારસામાં 

નર્મદે જય જય ગરવી ગુજરાત એમ કહી સોંપેલી મને

ગુજરાત મોરી મોરી – કહી મારી જીભે મૂકેલી મારા બાપ ઉમાશંકરે

તે ભાષા-સગર્ભા, નાગી, નિઃસહાય

પડી કબા ગાંધીના ડેલા પાસેના ચોકમાં

મારી બાયફોકલ આંખોની સામે.”

બે ગોંડલભેરુઓ પૈકી સોનલ ખ્યાત રમેશની પેઠે અનિલ પણ જુદા જ ઉદ્રેકથી ગદ્ય ને પદ્યમાં પ્રગટ થયા હતા. સાધારણપણે એમને આપણે ‘અમે બરફનાં પંખી’થી કે પછી ઘરનું ફળિયું લઈને ચાલેલા કેસરિયા સાફાથી સવિશેષ ઓળખીએ છીએ. પણ જેમ ‘લવારો’ એ એક નિસબતી ઉદ્ગાર છે. તેમ અનિલે, અમે 2020માં સ્વાયત્તતા સંમેલન યોજ્યું ત્યારે ખરી દૂંટીએથી નીકળેલો સંદેશો મોકલ્યો હતો કે “કવિતા આત્માની કળા છે. આત્માનો ઓક્સિજન ‘સ્વાયત્તતા’ છે. ગુજરાત સાહિત્ય અકાદમીના બંધારણને કચરાટોપલીમાં ફેંકીને સરકાર કોઈ પોતાના માણસની અધ્યક્ષપદે નિમણૂક કરી દે એમાં લોકશાહી બિલકુલ નથી, પણ આત્માની પોર્નોગ્રાફી છે.”

એમનાં અંતિમ વર્ષોમાં અનિલ જોશી અક્ષરજીવન અને જાહેરજીવનની સંગમભૂમિએ ઊભી યથાપ્રસંગ ‘આત્માની પોર્નોગ્રાફી’ સામે અવાજ ઉઠાવતા રહ્યા. એવોર્ડ વાપસી અને દક્ષિણાયન જેવા જે પડકાર અવસરો આ વર્ષોમાં આવી મળ્યા ત્યારે ગુજરાતની વ્યાપક સર્જક બિરાદરીની આબરૂ બચાવી શકે એવા જૂજ અવાજો પૈકી એક એ બની રહ્યા. 

અનિલની આત્મકથામાંથી પસાર થતાં ‘મા’ એક જીવંત હાજરી બની રહે છે. ગોડંલમાં હોવું અને મકરંદ દવેને ‘ભાઈ’ કહેતાં ‘નાથાભાઈ’ના વત્સલ આભામંડળમાં ન હોવું એ તો બને જ કેમ. છેલ્લાં વર્ષોમાં આપણે બહુ વરવી રીતે જોયું છે કે કથિત ધર્મખેંચાણ કેવાં વરવાં વમળ સરજે છે. એને સાઈ મકરંદનું સત ને અનિલની સમજ જ કહેવી જોઈશે કે ‘મા’ની વ્યાખ્યા સાંકડી વંડી ઠેકી વિશ્વવત્સલ બની રહી. શાહીનબાગના દિવસોમાં કવિએ કહ્યું :

“શાહીન બાગના ગરબામાં

દીવો પ્રગટી ગયો

બાગ હવે ચાચરનો ચોક બની ગયો

મા ખુદ ગરબે રમવા આવી છે.”

અલવિદા, અનિલ!

પ્રગટ : ‘પરિપ્રેક્ષ્ય’, “દિવ્ય ભાસ્કર”; 27 ફેબ્રુઆરી 2025

•••

અનિલ જોશી એક અનોખું કાવ્યવિશ્વ લઈને પ્રવેશેલા

અનિલ જોશીના અવસાનથી એક જિગરી દોસ્તની મને ખોટ પડી. હું ૧૯૬૪-માં રાજકોટની ધર્મેન્દ્ર કૉલેજમાં એમ.એ.માં ભણાવતો હતો, ત્યારે અનિલ વિદ્યાર્થી હતો. અમે જ્યારે મળીએ એ મને ‘સાહેબ સુમનભાઈ’ કહે, હું એને કહેતો – સાહેબ વિદ્યાર્થીથી વયમાં મોટા હોય. હું ના પાડું પણ માને તો નહીં પણ કહે જ કહે કે – ના તમે મારાથી વયમાં અને બધી જ વાતે મોટા છો.

એ સમય હતો જ્યારે રમેશ પારેખ અને અનિલ જોશી એક અનોખું કાવ્યવિશ્વ લઈને પ્રવેશેલા. પરમ્પરાગત ગીતના કલેવરમાં બન્નેએ પોતાની જાણ બહાર આધુનિક સંવેદનાને ઇન્જેક્ટ કરેલી એ ઘટના ગુજરાતી કાવ્યસૃષ્ટિમાં અપૂર્વ હતી. આધુનિક યુગની વિવેચનાને પણ ખોરાક મળી ગયેલો. 

અમે ફોન પર મળતા કે વ્હૉટસઍપ પર મૅસેજિન્ગ કરતા ત્યારે પ્રવર્તમાન ગુજરાતી સાહિત્યવિષયક બળાપાનો વિનિમય કરતા. એ એક જ વાક્ય બોલ્યા કરે – કોઈ વાંચતું જ નથી સુમનભાઈ, શું કરવાનું! હું એના એ વાક્યને સુધારીને કહેતો – તને વાંચનારે તો તારા શબ્દને જાણ્યો છે અને ભરપૂર માણ્યો પણ છે, છોડ ને છાલ. 

મને લાગે છે કે આપણે એક એવા વળાંકે વળી ગયા છીએ કે જેથી સમજુઓની ટોળી ઘણે દૂર પાછળ રહી ગઈ છે. એવો એક સમજુ કાયમ માટે દૂરાતિદૂર ચાલી ગયો. જરા ડોકિયું કરીશું કે આપણા માટે એ શું મૂકી ગયો છે…

— સુમન શાહ

•••

વિરોધનો મક્કમ અને મુખર અવાજ

પ્રિય વડીલમિત્ર જેમને હું વહાલથી રૂબરૂ કે ફોન પર કવિરાજ કહેતો. ‘કહું છું’ ને બદલે ‘કહેતો’ એવું લખતા ઘણી પીડા અનુભવું છું. કટ્ટર હિન્દુત્વવાદીઓ સામે કે કોમી રમખાણો કે સ્ત્રીઓ, બાળકીઓ, આદિવાસીઓ કે દલિતો પરના દમન, હત્યાકાંડો વખતે જ્યારે મોટા ભાગના ગુજરાતી સાહિત્યકારો ચૂપ રહેતા અને આનંદક્રિડામાં મગન રહેતા જોવા મળે છે, એવા આ અંધકારભર્યા દિવસોમાં હંમેશાં લખાણ કે વીડિયો દ્વારા પોતાના વિરોધનો મક્કમ અને મુખર અવાજ વ્યક્ત કરનારા મૂર્ધન્ય કવિ અનિલભાઈની આપણી વચ્ચેથી વિદાય જાણે કે આપણા માથેથી એક હૂંફાળા હાથની ગેરહાજરી સમાન બની રહેશે. 

કન્નડ સાહિત્યકાર કલબુર્ગીની ધાર્મિક કટ્ટરવાદીઓએ હત્યા કરી ત્યારે કેન્દ્રીય સાહિત્ય અકાદમીના સત્તાધીશોની ચૂપકીદી સામે જ્યારે દેશભરના એવોર્ડ વિજેતા સાહિત્યકારોએ એવોર્ડ વાપસીથી પોતાનો વિરોધ દર્શાવ્યો, ત્યારે એક માત્ર ગુજરાતી સાહિત્યકાર અનિલ જોશીએ પોતાનો સાહિત્ય અકાદમીનો એવોર્ડ પરત કર્યો હતો એ એક ઐતિહાસિક ઘટના હતી.

અમારી એચ.કે. આર્ટ્સ કોલેજના મારાથી ઘણા સિનિયર વિદ્યાર્થી અનિલભાઈ. કોલેજમાં હું ભણતો ત્યારે પ્રા. અબ્દુલ કરીમ શેખ સાહેબને મળવા આવે ત્યારની અમારી મિત્રતા.

જ્યારે કટ્ટર હિન્દુત્વવાદીઓએ પુનાના રેશનાલીસ્ટ ડો. દાભોલકર, કોલ્હાપુરના કોમરેડ પાનસરેજી અને ધારવાડમાં રહેતા કન્નડ વિદ્વાન કલબુર્ગીની હત્યાઓનો સીલસીલો ઊભો કર્યો ત્યારે ડો. ગણેશ દેવીની આગેવાનીમાં કેટલાક મિત્રો ગુજરાતથી પુના, કોલ્હાપુર અને ધારવાડની મુલાકાતે ગયાં, શહીદોના ઘરે ગયાં … આઠેક સભાઓ યોજી. આ આખા કાર્યક્રમમાં લગભગ અઠવાડિયા સુધી અનિલભાઈની સાથે રહેવાનું થયું …. દોસ્તી પાક્કી બની … એ પછી તો દેશભરના સાહિત્યકારોની સામેલગીરી સાથેનાં દક્ષિણાયન આંદોલનમાં દાંડી અને ગોવાના સંમેલનોમાં સાથે કામ કરવાનું બન્યું … આ દિવસોમાં અનુભવ્યું કે અનિલભાઈ હિન્દીભાષામાં ખૂબ સારા ને શ્રોતાઓને હચમચાવી દે એવા તાકાતવાન વક્તા પણ છે.

2002ના ગુજરાતના કોમી નરસંહારથી અનિલભાઈ ખૂબ વ્યથિત હતા. વર્ષોથી તેમની આક્રોશપૂર્ણ એ ફરિયાદ રહી કે એ સમયે તેમણે અને રમેશ પારેખે એ ભયંકર બનાવને વખોડતું નિવેદન તૈયાર કર્યું હતું. તેના પર સહી કરવાની એકેય નામાંકિત ગુજરાતી સાહિત્યકારે તૈયારી બતાવી ન હતી!

મારા કાવ્યસંગ્રહ ‘મને અંધારાં બોલાવે’નું વીડિયો લોકાર્પણ તેમનાં હસ્તે થયું હતું તે મારા જીવનની મહત્ત્વની ઘટના … 

રંગભેદ વિશેની તેમની કવિતાની કેટલીક પંક્તિઓ સાથે કવિરાજ અનિલ જોશી ને આખરી સલામ! —

કાળો વરસાદ મારા દેશમાં નથી

કે નથી પીળો વરસાદ તારા દેશમાં

આપણે તો નોંધારા ભટકી રહ્યા છીએ ચામડીના ખોટા ગણવેશમાં !

— મનીષી જાની

•••

દેશની હવામાં ભળી ગયેલું ઝેર એમના જેવા વિદ્વાનોએ સૂંઘી લીધેલું

ભારતમાં ‘એવોર્ડ વાપસી’ ચાલી રહી હતી અને અસહિષ્ણુતા શબ્દની ચર્ચા રાષ્ટ્રીય સ્તરે પૂર જોશમાં હતી, ત્યારે એમનો મત-ઇન્ટરવ્યૂ લેવા એમને કોલ કરેલો. એ સમયે અમારે ઠીકઠાક નિયમિત વાતો થતી. એ સમયે તેમને જે દેખાતું હતું અને તેઓ જે બોલી રહ્યા હતા, એ મેં લખેલું તો ખરું, પણ સમજાતું નહોતું અથવા એની સાથે સહમત થઈ શકાતું નહોતું. 

આજે એમની વિદાયના સમાચાર આવી રહ્યા છે, ત્યારે તેઓ એ સમયે જે બોલી રહ્યા હતા એ સ્પષ્ટ સમજાઈ રહ્યું છે. સંદર્ભો સાથે સમજાઈ રહ્યું છે. થાય છે કે મને આજે જે દેખાય-સમજાય છે એ તેમણે એ સમયે જ જોઈ લીધેલું. દેશની હવામાં ભળી ગયેલું ઝેર એમના જેવા વિદ્વાનોએ ત્યારે જ સૂંઘી લીધેલું, જ્યારે એ લોકોને ‘એવોર્ડવાપસી ગેંગ’ કહીને અવગણી નાખવાનો કે ઉતારી પાડવાનો ટ્રેન્ડ નવો નવો શરૂ થયેલો. કથિત રાષ્ટ્રીય પત્રકારોએ પોતાની જીભ અને કરોડરજ્જુ નવી નવી જ પેકેજમાં ભાડે ચડાવવાની શરૂ કરેલી. 

ઘણીવાર એમ થાય કે પત્રકાર તરીકે અનાયાસે કેટલી ઐતિહાસિક ક્ષણોના સાક્ષી બનવાનું સદ્દભાગ્ય સાંપડ્યું છે, અને ત્યારે ખબર પણ નહોતી કે આ જે લખાઈ રહી છે એ ક્ષણો ઐતિહાસિક છે. અમસ્તા નથી કહેવાતું કે પત્રકારત્વ એ બીજું કંઈ નહિ, પણ ઉતાવળે લખાતો ઇતિહાસ છે.

ખેર, બાત નિકલેગી તો દૂર તલક જાયેગી … અલવિદા  

*

આરંભ તો કરો, પછી અંતની કથા કહો.

દહીંમાં ને દૂધમાં નૈ રાખો બે પગ 

સોય ઝાટકીને બોલો લાચારી 

ધાનના મારેલાં જેમ નીચું જુવે એમ 

નીચી નજર છે કેમ તમારી ?

તૂટેલા પાંદડાને તરવું ગમે એવા સમથળ કોઈ વહેણમાં વહો 

આરંભ તો કરો પછી અંતની કથા કહો

આંતરડી ઠારે એવા જડતા ના બોલ 

રોજ જુઠ્ઠાણાં જણતાં કઈ ભૂંડ 

નરસિંહ મહેતા જેવું પાણી ડૂબી ગયું 

પછી તરી ગયા દામોદર કુંડ

ગુલમહોરના ઝાડમાં જેમ છાયડો રહે એમ સંતાઈ જઈને રહો 

આરંભ તો કરો પછી અંતની કથા કહો

દાઢીની સાવરણી હાથવગી હોય છતાં 

ઘરની સંજવારી હજી બાકી 

શેઠની શિખામણ તો ઝાપા સુધી 

પછી ઝાંપાની બહાર બીડી ખાખી

હજી મળ્યું જ નથી ઈ બધું ખોવાઈ જાય એવું કોઈ ના નસીબમાં ન હો 

આરંભ તો કરો પછી અંતની કથા કહો

                                                                                − અનિલ જોશી

— તુષાર દવે

•••

ફેઇસબૂકની દીવાલેથી સાદર

Loading

...102030...370371372373...380390400...

Search by

Opinion

  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો
  • નાનમ પણ ન લાગે …?

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 

Poetry

  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 
  • મુખોમુખ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved