Opinion Magazine
Number of visits: 9692024
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

‘દિયા ટિમટિમા રહા હૈ’

સુદર્શન આયંગાર|Opinion - Opinion|3 December 2015

માધ્યમિક શાળામાં ભણતી વેળાએ હિંદીના વિદ્વાન સાહિત્યકાર વિદ્યાનિવાસ મિશ્રનો એક નિબંધ ‘દિયા ટિમટિમા રહા હૈ’ વાંચેલો. ૧૯૬૦ના દાયકામાં આ નિબંધલખાયો હશે. દિવાળીની અંધારી રાત્રે વીજળીના ગોળાઓ અને કંઈક ટ્યૂબ અને નિયોન બત્તીઓ ઝગારા મારી બનારસ શહેરની શેરીઓને ઝળહળાવતી હશે, ત્યારે લેખકની ભાવોર્મિઓ તેમને ગામડા ભણી લઈ જાય છે. પોતે ગામડાના હોવાનું જણાવી લેખક કહે છે કે રોમના સમયથી અંગ્રેજોના સમય સુધી તો દેશ લૂંટાયો-પીંખાયો જ હતો. સ્વતંત્રતા મળ્યા બાદ શહેરો આધુનિકતા અને વિકાસના નામે રાત્રે દિવસની છલામણી ઝાકઝમાળ પેદા કરે છે. રાજ્ય આમ કરવામાં ગૌરવ અને ધન્યતા અનુભવી રહ્યું છે. આ સમયે ગ્રામીણ ભારત સમક્ષ ફેલાયેલા પ્રગાઢ અંધકાર, ભયાનક નિઃસ્તબ્ધતા અને અનેકાનેક આશંકાઓ વચ્ચે કૃષિસંસ્કૃિતનો તળસ્તરે પહોંચેલો દીવો સ્નેહનાં પૂરણ કરતાં પોતાની જિજીવિષાથી દેદીપ્યમાન થઈ રહ્યો છે અને વિદ્યાનિવાસ મિશ્ર લખે છે. ‘પર અબ ભી ઇન સબ કો નગણ્ય કરતા હુઆ દિયા ટિમટિમા રહા હૈ.’

સ્વતંત્રતા બાદ દેશના કર્ણધારોએ અંગ્રેજોની શિક્ષણપ્રણાલીમાં સમૃદ્ધિ અને મુક્તિ નિહાળી તેને જ આગળ વધારવામાં શ્રેય જોયું. તો નાનાભાઈ ભટ્ટ અને તેમના વિચાર તેમ જ જીવનના સહમાર્ગીઓએ નાનાભાઈને સ્ફુિરત અને પ્રયોજિત શિક્ષણ, જે ગાંધીસંજ્ઞા ‘બુનિયાદી તાલીમ’ તરીકે ઓળખાયું, તેનો દીવો પ્રગટાવ્યો. આ ધીરવીર પ્રયોગના અનુભવો અને વિચારોની અભિવ્યક્તિ માટેનું વિચારપત્ર એટલે ‘કોડિયું’. નાનાભાઈ ભટ્ટ, મનુભાઈ પંચોળી અને મૂળશંકરભાઈ ભટ્ટ બાદની પેઢીના એક સશક્ત શિક્ષક અને પ્રયોગવીર અનિલભાઈ ભટ્ટે અડધી સદી સુધી ‘કોડિયું’માં અનુભવ અને વિચારોનું સ્નેહ પૂર્યું છે. વાચકો સમક્ષ પ્રસ્તુત પુસ્તક મુખ્યત્વે અનિલભાઈનાં લખાણોનો સંચય છે. આજે શિક્ષણજગતમાં ફેલાયેલી નરી અરાજકતા, નીતિપક્ષાઘાત અને લોભી તથા તકસાધુ વેપારીઓના હાથમાં સપડાઈને વેચાણ માટે ગિલેટ ચઢેલી શિક્ષણવ્યવસ્થાના કૃત્રિમ ઝગારા અને ઝળાહળ વચ્ચે આ સંચય પ્રકાશે છે, ત્યારે મને લાગ્યું કે ‘ઇન સબ કો નગણ્ય કરતા હુઆ દિયા અબ ભી ટિમટિમા રહા હૈં.’

માંદગીના કારણે તળાજાએ એક શહેરી યુવાખેડુ ગુમાવ્યો, તો બીજી તરફ ગ્રામદક્ષિણામૂર્તિ, આંબલાને બાળકો માટે એક શરમાળ પણ કૃતનિશ્ચયી શિક્ષક અને સંસ્થા માટે દૃષ્ટિવંત અને સહૃદયી સંચાલક મળ્યો. અનિલભાઈની અભિવ્યક્તિ તેમને એક સંવેદનશીલ અને વિચારવાન શિક્ષક તરીકે સુપેરે રજૂ કરે છે. બાળકના ઘડતરમાં વાતાવરણની ઊંડી અસર થતી હોય છે. વાતાવરણના નિર્માણમાં માતાપિતા, ઉછેરનારા અને જોડે ઊછરનારા તેમ જ પ્રાથમિક અને માધ્યમિક શાળાના શિક્ષકોની અસર જોવા મળે છે. અનિલભાઈ એવા પરિવારનું સંતાન છે, જેના વડા ગાંધીવિચારથી પ્રભાવિત થઈ સત્યાગ્રહી બન્યા અને એકાધિક જેલવાસ પણ કર્યો. અનિલભાઈના બાળમાનસ પર પરિવારનું વાતાવરણ અને વિચારોની અસર થઈ  હશે.

વીસમી સદીના પહેલા દાયકાથી જ ગુજરાત પ્રદેશના ભાવનગર રાજ્યમાં શિક્ષણના ક્ષેત્રે શાંતક્રાંતિનો આરંભ થયો. દક્ષિણામૂર્તિ અને ઘરશાળા જેવી શાળાઓના શિક્ષણના પ્રયોગોએ શિક્ષણશાસ્ત્ર વિશેની મૌલિક સમજ ઊભી કરી દેશમાં શિક્ષણના ક્ષેત્રે અંગ્રેજીનું પ્રભુત્વ વ્યાપક હોવાને લીધે સૌરાષ્ટ્રના એક દેશી રાજ્યમાં થયેલી ક્રાંતિની નોંધ ભાગ્યેની લેવાઈ. પણ ગાંધીજી આ પ્રયોગો વિશે જાણવાનું ચૂકી જાય તે ન બને. કારણ કે તે જ અરસામાં સુદૂર દક્ષિણ આફ્રિકામાં ફિનિક્સ વસાહત તેમ જ ટૉલ્સ્ટૉય ફાર્મ પર રહેનારાં બધાં જ બાળકોના શિક્ષણ અંગે તેમણે કંઈક પ્રયોગો કર્યા હતા. સ્વદેશાગમન બાદ ભાવનગર રાજ્યમાં ચાલતા શિક્ષણના પ્રયોગો અને તેને ચલાવનારી વિભૂતિઓ અંગે એમને માહિતી મળે જ. ‘ગાંધીજીનો અક્ષરદેહ’ તપાસી જઈએ, તો એક કરતાં વધુ વખત ગાંધીજી દક્ષિણામૂર્તિનો ઉલ્લેખ કરે છે. ત્યાં ચાલતા શિક્ષણ વિશે તેઓ સુપેરે પરિચિત હોવાનું જણાઈ આવે છે. જાન્યુઆરી ૧૯૧૫માં ગાંધીજી અને તેમના સાથીદારો દક્ષિણ આફ્રિકાથી હિંદુસ્તાન પાછા ફર્યા અને ૭ ડિસેમ્બર, ૧૯૧૫ના રોજ ગાંધીજીએ ભાવનગરમાં કરેલી ચર્ચા-ગોષ્ઠીમાં નાનાભાઈ હાજર હતા. નવાઈ નથી કે શિક્ષણ માટે માતૃભાષાને શ્રેષ્ઠ માનનારા ગાંધીજીએ ૧૯૨૭-૨૮ના અરસામાં ગૂજરાત વિદ્યાપીઠ માટે નાનાભાઈ ભટ્ટને કુલનાયક તરીકે તેડાવ્યા. શિક્ષણમાં થઈ રહેલી આ શાંતક્રાંતિના કાળના સદ્ભાગી વિદ્યાર્થીઓમાંના એક અનિલભાઈ. અનિલભાઈએ દક્ષિણામૂર્તિ અને ઘરશાળાના શિક્ષકો પાસે બાલ્યકાળ વિતાવ્યો. ત્યાર બાદ તેઓ જુગતરામભાઈની નિશ્રામાં વેડછીમાં દીક્ષિત થયા. આમ, માતા-પિતાએ તૈયાર કરેલી આવી ફળદ્રુપ જમીન પર દક્ષિણામૂર્તિ અને ઘરશાળાના શિક્ષકોએ રોપેલા બીજને વેડછીમાં જુગતરામભાઈ અને અન્ય યોગ્ય શિક્ષકોએ અંકુરિત કર્યું. પરિણામે સમાજને એક સશક્ત શિક્ષક મળ્યો, તે અનિલભાઈ આ વિશેષતા શિક્ષણજગતના સૌ જાણે છે.

પ્રસ્તુત સંચય ચાર ભાગોમાં વહેંચાયેલો છે : કેળવણીનાં શીલ અને દર્શન; કલ્યાણયાત્રા અને હૃદયયાત્રા. આ સ્થળે સંચયનો આસ્વાદ કરાવવાનો હેતુ નથી. તેમ છતાં લેખકની વિચારયાત્રા વિશે તેમના જ લેખનના આધારે કંઈક કહેવા માટે મેં લેખોનો કાળક્રમ લીધો છે. તેમની લેખનયાત્રા ૧૯૬૧થી શરૂ થાય છે. વીસી વટાવેલ થનગનતા યુવાનનો પહેલો લેખ કેળવણીની પ્રક્રિયામાં ઉદ્યોગની ભૂમિકા અંગેનો છે. યુવા વયે આયોજનબદ્ધ રીતે ઉદ્યોગ શિખવાડવા માટે લેખક જણાવે છે. વિચાર અને પુરુષાર્થનું સંયોજન સંકલ્પ અને આયોજનને જન્મ આપે છે. આયોજન સાથે ગોઠવાયેલો ઉદ્યોગ વિદ્યાર્થી, શિક્ષક અને સંસ્થા ત્રણેયને શિક્ષણલાભ આપે છે. ૧૯૬૬ના લેખ ‘ઉદ્યોગમંદિર શા માટે’માં લેખકની વિચારયાત્રા આગળ ચાલે છે. શાળામાં ઉદ્યોગ દાખલ કરવાથી ગ્રામના અર્થકારણની મુખ્ય પ્રવૃત્તિઓને વેગ મળે છે. ગ્રામસંસ્કૃિત પુષ્ટ થાય છે અને યંત્રોદ્યોગોની ઘેલછા ઓછી થાય છે. યંત્રોદ્યોગના જ્ઞાનને ગ્રામજીવનના સંદર્ભે યથાયોગ્ય ટેક્નોલૉજીના વિકાસમાં લગાડી શકાય. ૧૯૭૧ના લેખમાં વિદ્યાર્થી, સંસ્થા અને સમાજમાં ઉદ્યોગશિક્ષણના કારણે જન્મતાં શ્રમના ગૌરવ અને તેના આર્થિક લાભની ચર્ચા કરવામાં આવી છે. ૧૯૮૭માં વ્યાવસાયિક શિક્ષણ અને ઉદ્યોગશિક્ષણ વચ્ચેના તફાવતને સ્પષ્ટ કરતાં અનિલભાઈ વ્યાવસાયિક શિક્ષણને એકાંગી, જ્યારે ઉદ્યોગ શિક્ષણને વ્યક્તિ અને સમાજના સ્વસ્થ ઘડતર માટે ઉપયોગી જણાવે છે. ઉદ્યોગ શિક્ષણ અંગે તેમની છેવટની સમજ ૧૯૯૩ના લેખમાં પ્રકટ થાય છે. તેમની ઉંમર ૬૩ની. આ પરિપક્વ ઉંમરે ઉદ્યોગ શિક્ષણની જરૂરિયાત વિશે એક તાત્ત્વિક વાત કરી છે. ‘એક બાજુ ઉદ્યોગ દ્વારા માનવીનું સર્વાંગીણ ઘડતર; બીજી બાજુ ન્યાયી, સ્વાતંત્ર્ય આપનારી, સહકારી સમાજવ્યવસ્થા અને ત્રીજી બાજુ પ્રકૃતિને નુકસાન ન થાય તેની કાળજી. આ ત્રણેય હોય ત્યારે ઉદ્યોગ કેળવણીનો ભોગ બને છે.’ અનુભવમાંથી પસાર થયેલી વિચારવંત વ્યક્તિ પાસેથી જ આવો સમૃદ્ધ વિચાર મળે.

ત્રીસીના વયકાળે અનિલભાઈની સમજ અને પરિપક્વતા ધ્યાનાકર્ષક છે. મેળવેલા જ્ઞાનને આત્મસાત્ કર્યાની અભિવ્યક્તિ લેખનમાં પ્રતિબિંબિત થાય. બે લેખ વિશે કહું. ‘સમાજ નવનિર્માણ’માં વ્યક્તિ અને સમાજ તરફની જવાબદારી સ્પષ્ટ રીતે ચિત્રિત કરતાં અનિલભાઈ લખે છે કે વર્ષોથી ગુલામી દૂર થવા છતાં ખોળિયામાં પૂરો પ્રાણ નથી આવ્યો. વ્યક્તિગત સ્વાતંત્ર્ય, આર્થિક સમાનતા, સામાજિક ન્યાય અને સરળ, ઝડપી અને શાંતિભર્યો લોકશાહી વહીવટ, આ ચારે બાબતમાં પ્રગતિ એટલે સમાજ નવનિર્માણ. ગાંધીશતાબ્દી માટે શું કરવાનું? અનિલભાઈનો જવાબ છે : શક્તિ પ્રમાણે શ્રમ કરવો. ગાંધીજીનાં જીવન અને વિચારોને સમજવા માટે સતત અધ્યયનશીલ રહેવું; સામૂહિક જીવનની ગુણવત્તા સુધારવી; શ્રમજીવીઓના ભાગે વેઠ અને મજૂરી તો શ્રીમંતોના ભાગે એશોઆરામના સ્થાને કેળવણી દ્વારા આ બે વર્ગો વચ્ચે રચાતી સાંકળ નવો સૂર્યોદય કરાવશે.

૧૯૭૦નો દાયકો અનિલભાઈનો ચાલીસનો દાયકો છે. શિક્ષક તરીકેના સમૃદ્ધ અનુભવ સાથે નિયામક તરીકે કામગીરી શરૂ કરી ને લોકવિદ્યાલય માઇધારમાં સંચાલક તરીકે ગયા. નિર્ણય સમયે ક્યારેક અનિલભાઈ ખચકાટ અનુભવે. પણ અંતમાં તો દર્શકના વિશ્વાસે જવાબદારી લે અને યોગ્ય રીતે પાર પાડે. આ સમયના તેમનાં લખાણોનું પ્રયોજન શિક્ષકોને સજ્જતા અને જવાબદારીઓ તરફ ધ્યાનાકર્ષિત કરવાનું છે. મેઘાણીએ જુવાનિયાઓને કરેલી હાકલ છતાં શિક્ષકે તો સમજવાનું છે કે ‘નાનું દરેક બાળક જ્ઞાતનો ઘોડો કરી અજ્ઞાતને પકડવા, અણતગાનો તાગ લેવા મથે છે’ આ અણદીઠાને શિક્ષકે પણ જોવાં ઘટે. બે શિક્ષકો – ગિજુભાઈ, મૉન્ટેસોરી અને એક સંત-કબીર વચ્ચે સમય, અભ્યાસ અને પરિસ્થિતિના બહોળા અંતર છતાં શિક્ષકની યોગ્યતા અંગે કહેલી વાત લગભગ એકસમાન છે. બાળકો માટેનો પ્રેમ અને માનવીય આદર એ અનિવાર્ય શરત. ત્યાર બાદ વૈજ્ઞાનિક દૃષ્ટિ અને અભિગમ. અંતમાં ‘गुरू कुम्हार शिश कुंभ है, गढि गढि काढै खोट, अंदर हाथ सहार दे, बाहर वाहै चोट।’ કેટલાક વાચકો આ જાણતા જ હશે, પણ પુસ્તકમાં તેને સંદર્ભ અને અનુભવોનો સાથ મળ્યો છે. પરિણામે તેનો સ્વાદ અનેરો છે. ગાંધીવિચાર અને નઇ તાલીમના શિક્ષણમાં તાત્ત્વિક મુદ્દો સમાજપરિવર્તન માટે કેળવણી છે. આ સમજ સાથે પરિવર્તન માટે કેળવણી અને પરિવર્તનમાં શિક્ષકના સ્થાન વિશે ગંભીર ચિંતન રજૂ થયું છે. આ કાળમાં અનિલભાઈ શિક્ષકોના શિક્ષક તરીકે તરી આવે છે.

૧૯૮૦ના દાયકામાં અનિલભાઈનો વનપ્રવેશ થઈ ગયો છે. વિચારપ્રવાહ વધુ સહજતા અને આત્મવિશ્વાસથી વહે છે. આ દાયકામાં અનિલભાઈએ ઓછું લખ્યું જણાય છે. પણ એક વિશદ લેખ એમણે ગુરુ અને અભિભાવક સમા દર્શકની કેળવણી અંગે કર્યો છે. આ કેળવણીને લોકાભિમુખ કેળવણી તરીકે સરસ રીતે ઉપસાવી છે. નાનાભાઈ ભટ્ટના અને મૂળશંકરભાઈ ભટ્ટના કેળવણી અંગેના વિચારો પણ અનિલભાઈ અનેરી સમજ સાથે રજૂ કરે છે. ગાંધીજીના વિચારો રજૂ કરવાનું ઘણું અઘરું કામ કિશોરલાલ મશરૂવાળાએ કર્યું, જે વિચારસારને ગાંધીજીની મંજૂરી મળી હતી. અનિલભાઈ પોતાના પૂર્વસૂરિઓના વિચારો એટલી જ અસરકારક રીતે રજૂ કરે છે કે તેઓ મશરૂવાળાની યાદ અપાવે.

ગાંધીજીએ વ્યક્તિસ્વતંત્રતાના સંદર્ભે સરસ ટકોર કરેલી છે. જે. એસ. મિલના ‘લિબર્ટી’ના ખ્યાલ વિશે ગાંધીજીએ કહ્યું હતું કે તેઓ હિંદુસ્તાનના યુવાનને મિલ અને સ્પેન્સર પાસેથી વ્યક્તિસ્વાતંત્ર્ય વિશેના પાઠ શીખવવાની ના પાડશે. કારણ કે આ પશ્ચિમી શિક્ષણ તેના માટેનું નથી. સ્વાતંત્ર્યની કેળવણીના સંદર્ભે અનિલભાઈ બાળકને ભયમુક્ત બનાવવાનું કહે છે, આ અત્યંત અગત્યની સમજ છે, જે શિક્ષણના સૌ વિદ્વાનો જ્ઞાન અને અનુભવથી કહે છે. વિદ્યાપીઠના सा विद्या या विमुक्तयेना ધ્યાનમંત્ર છતાં મારા કાર્યકાળમાં ઉચ્ચશિક્ષણના વિદ્યાર્થીઓને શિક્ષકોથી ભયભીત રહેતા જોયા છે. વધુ દુઃખદ તો એ લાગે કે તાલીમી શિક્ષણ લેતા વિદ્યાર્થીઓના શિક્ષકો વિદ્યાર્થીઓને બીકના ઓથારમાં રાખે. આવી તાલીમમાંથી નીકળેલા પોતે કેવા શિક્ષક થતા હશે? ખેર, અનિલભાઈ સ્વાતંત્ર્યની કેળવણી અંગે શું કહે છે તે જોઈએ. તેઓ લખે છે, ‘મુક્તિ માટે પાયાની આવશ્યકતા તરીકે આત્મસંયમને ગાંધીજી મૂકતા હતા. સ્વનિયમન અને આત્મસંયમ કોઈ પણ પ્રજા માટે અનિવાર્ય છે અને તે ન હોય તો કોઈ પ્રજા ટકી શકે નહીં. કોઈ કેળવણી સ્વનિયમન ન શીખવે તો સ્વાતંત્ર્યની વાત તેણે છોડી જ જેવી પડે.’ આજે નવી પેઢી સ્વનિયમનની  કેળવણી વગર સ્વાતંત્ર્યની જાતતાલીમ લઈ વિધ્વંસ તરફ અગ્રેસર છે.

૧૯૯૦માં દાયકામાં અનિલભાઈએ પુષ્કળ લખ્યું છે. જીવનના છઠ્ઠા દાયકામાં ઊંચાં સ્થાન-અવસ્થાએ પહોંચીને તેઓ સ્પષ્ટ જોઈ શકે છે. આ અરસામાં તેમનાં લખાણો વિશદ છે. કેળવણીનો પ્રાણ નિર્ભયતા, અનુભૂતિ અને સર્જન; ત્યારે કરીશું શું; કેળવણીની યાત્રાનું ધ્રુવબિંદુ; ગુજરાતમાં નઇ તાલીમ-પુરુષાર્થ અને સિદ્ધિ; સર્વોદયની કેળવણી : પડકાર, આંદોલન અને સમાજરચના તેમ જ અન્ય લેખ બહોળા અનુભવ, પ્રયોગ અને વાંચનને અંતે નીપજેલાં સારતત્ત્વો છે. પૂર્વસૂરિઓનાં વિચારતત્ત્વો છતાં અનિલભાઈની યાત્રા અંગત છે. ગાંધીવિચાર અને જીવન; નાનાભાઈ, મૂળશંકરભાઈ અને દર્શકથી પ્રભાવિત હોવા છતાં વિચારોમાં તાજગી અને મૌલિકતાની પ્રતીતિ થયા વગર રહેતી નથી. અનિલભાઈની યાત્રા લાંબી, ઊંડી અને આત્મખોજી રહી હોય તેવું તેમનાં લખાણોમાં તરી આવે છે. લખાણોમાંથી તેઓ ઊંડી લાગણીવાળા, વિશ્લેષણાત્મક બુદ્ધિ ધરાવનારા અને નિષ્ઠાવાન શિક્ષક તરીકે ઓળખાઈ આવે છે. ગાંધીયુગમાં અંતિમ કાળમાં જન્મેલા અને તે પહેલાંના અનેકોએ સ્વયંશિસ્તની જરૂરિયાત અને અગત્ય સમજી આજીવન તપ કરીને તેજ વધાર્યાં છે. આપણા સમાજમાં આ તેજસ્વી લોકોને બીજી પેઢી અનુસરવા તૈયાર નથી થતી. ગાંધીવિચાર આધારિત કાર્યોમાં તો આની નોંધપાત્ર ઊણપ રહી જવા પામી હોવાનું જણાય છે. પશ્ચિમી ફિલસૂફીમાં પ્લેટો બાદ ઍરિસ્ટોટલની જેમ નઇ તાલીમની પરંપરામાં નાનાભાઈ જેવા તેજસ્વી શિક્ષણવિદો બાદ અનિલભાઈ જેવા કેટલાક સમર્થ શિષ્ય આવ્યા છે. અનિલભાઈ શિક્ષણમાં અનુબંધ વિશે લખે છે, ‘ચાલુ પરિસ્થિતિ સાથે કશો સંબંધ જ ન હોય તેવી સ્થિતિમાં કોઈ સમાજ ટકી શકે જ નહિ. કેળવણીએ વ્યક્તિ તથા સમાજના ભૌતિક, આધિ-ભૌતિક તથા આત્મિક વિકાસ માટેનાં દ્વાર ખોલી આપવાનાં છે. પણ તે જ જો બંધિયાર અંધારી કોટડીમાં પુરાઈ રહેવાની હોય તો તેવી કેળવણીની સમાજને શી જરૂરત છે?’

ગુજરાતમાં માતૃભાષામાં શિક્ષણ આપતા તાલીમી શિક્ષકોને શીખવા-સમજવા માટે સમૃદ્ધ સાહિત્ય ઉપલબ્ધ છે. નાનાભાઈથી શરૂ કરી અનિલભાઈ અને ત્યારબાદની પેઢીમાં પણ કેટલાક તેજસ્વી શિક્ષકોએ આ સાહિત્યમાં ઉમેરો કર્યો છે. સંકટ એ છે કે માતૃભાષામાં શિક્ષણ આપતી મોટા ભાગની સંસ્થાઓ કાચી અને અયોગ્ય બની છે. અંગ્રેજી માધ્યમનું શિક્ષણ આજે નઈ તાલીમનાં તત્ત્વોને ઓળખીને દાખલ કરી રહ્યું છે. માતૃભાષામાં શિક્ષણ આપતી ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓ પણ બહારથી આવેલા વિચારો અને પદ્ધતિ ચલાવી ધન્યતા અનુભવે છે. આ પરિસ્થિતિમાંથી નીકળવાની તાકીદે જરૂર છે. અનિલભાઈના લેખોનું આ સંકલન પ્રસ્તુત જરૂરિયાતપૂર્તિનું એક સાધન બની રહે તેમ છે. સંકલન અને સંપાદનની જહેમત ઉઠાવનાર રમેશ સંઘવી અભિનંદનને પાત્ર છે. પ્રસ્તુત સંકલન વિદ્વાનો, શિક્ષકો અને વિદ્યાર્થી તેમ જ સામાન્ય નાગરિકો માટે ખૂબ જ ઉપયોગી છે.

સૌજન્ય : “નિરીક્ષક”, 01 ડિસેમ્બર 2015; પૃ. 17-18 

Loading

બંધારણ નિષ્ઠા અને વૉટ બેંક નિષ્ઠા

હરિ દેસાઈ|Samantar Gujarat - Samantar|3 December 2015

સંસદમાં સત્તાપક્ષ ને વિપક્ષે પોતાને અનુકૂળ ડૉ. આંબેડકરનાં બયાન કરીને ખાસ વૉટબેંકને સંદેશ આપવાનો પ્રયાસ કર્યો

ભારતીય બંધારણની મુસદ્દા સમિતિના અધ્યક્ષ બાબાસાહેબ આંબેડકરના ૧૨૫મી જન્મજયંતી વર્ષની ઉજવણી નિમિત્તે ૨૬ નવેમ્બર ૨૦૧૫ના રોજ સંસદમાં દ્વિદિવસીય ચર્ચા આરંભાઈ. લોકસભામાં ગૃહમંત્રી રાજનાથ સિંહ અને રાજ્યસભામાં નાણાં મંત્રી અરુણ જેટલીએ બંધારણ ભણી નિષ્ઠા વ્યક્ત કરવાને નામે કરેલાં ભાષણની શબ્દશઃ નોંધ વાંચતાં ‘કહીં પે નિગાહેં, કહીં પે નિશાના’ જેવું જ અનુભવાતું હતું. વડાપ્રધાન મોદીએ ભારતીય વિચારને કાવ્યશૈલીમાં વ્યાખ્યાયિત કરવાનો પ્રયાસ કર્યો અને રાજનાથ-જેટલીથી વિપરીત રાજકીય ટીકાટિપ્પણીને બદલે પરિપક્વ ભાષણમાં વિપક્ષને પણ સાથે લેવાની કોશિશ કરી.

બ્રિટિશ ઇન્ડિયાને ભારત અને પાકિસ્તાન બે સંઘમાં વિભાજિત કરવાની અને દેશી રજવાડાંને બેમાંથી એક સંઘની સાથે જોડાવા કે સ્વતંત્ર રહેવાની લોર્ડ માઉન્ટબેટન યોજના ૩ જૂન ૧૯૪૭ના રોજ જાહેર થઈ. ત્યાર પછી કુલ ૩૮૯ સભ્યોની બંધારણસભા અસ્તિત્વમાં આવી, પરંતુ પાકિસ્તાનની અલગ બંધારણસભા હિંદુ દલિત નેતા જોગેન્દ્રનાથ મંડળના અધ્યક્ષપદ હેઠળમાં બનતાં ભારતીય બંધારણસભા ૨૯૯ સભ્યોની જ રહી. પ્રારંભમાં ડૉ. સચ્ચિદાનંદ સિંહાના હંગામી વડપણ હેઠળની બંધારણસભાએ ડૉ. રાજેન્દ્ર પ્રસાદને અધ્યક્ષપદે ચૂંટ્યા.

૯ ડિસેમ્બર, ૧૯૪૬થી ૨૬ નવેમ્બર, ૧૯૪૯ દરમિયાન ભારતીય બંધારણ ઘડવાનું કામ પૂર્ણ કરાયું. એટલે ૨૬ નવેમ્બરને પ્રજાસત્તાક રાષ્ટ્રના ‘બંધારણ દિવસ’ તરીકે મનાવવમાં આવે છે. એ દિવસે મંજૂર થયેલા ભારતીય બંધારણનો અમલ ૨૬ જન્યુઆરી ૧૯૫૦થી કરવાનો સંકલ્પ થયો. એટલે ૨૬ જાન્યુઆરીને પ્રજાસત્તાક દિવસ ગણવામાં આવે છે. દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુ, મૌલાના અબુલ કલામ આઝાદ, સરદાર વલ્લભભાઈ પટેલ, આચાર્ય જે.બી. કૃપલાણી, ડૉ. રાજેન્દ્ર પ્રસાદ, શ્રીમતી સરોજિની નાયડુ, હરેકૃષ્ણ મેહતાબ, પંડિત ગોવિંદ વલ્લભ પંત, ડૉ. બી.આર. આંબેડકર, ડૉ. શ્યામાપ્રસાદ મુકરજી, સરતચંદ્ર બોઝ, સી. રાજગોપાલાચારી, અસફઅલી, ક.મા. મુનશી, કે.ટી. શાહ સહિતના અનેક મહાનુભાવોએ બંધારણ ઘડવામાં મહત્ત્વની ભૂમિકા નિભાવી હતી. દેશના એ વેળાના સામ્યવાદી નેતાઓ અને ડૉ. રામમનોહર લોહિયાના નેતૃૃત્વવાળા સમાજવાદીઓએ બંધારણસભાનો બહિષ્કાર કર્યો હતો.

બંધારણ ગૌરવ દિવસ નિમિત્તે ડૉ. ભીમરાવ રામજી આંબેડકર ભણી આદરભાવ વ્યક્ત કરીને દેશની પ્રજામાં પોતાના રાજકીય પ્રભાવને વિસ્તારવાની કોશિશથી વિશેષ દ્વિદિવસીય ચર્ચાનું સ્તર ઝાઝું અભ્યાસપૂર્ણ હોય એવું લાગ્યું નહીં. બંધારણના આત્માના જતનને બદલે ‘સૅક્યુલર’ના અર્થઘટન અને સહિષ્ણુતા-અસહિષ્ણુતા પૂરતી જ ચર્ચા જાણે કે સીમિત રહી. સત્તારૂઢ મોરચા અને વિપક્ષી મોરચા તેમ જ સામ્યવાદી – માર્ક્સવાદીઓ વચ્ચે રકઝક થતી વધુ જોવા મળી. ભાજપના પ્રધાનો અને વિપક્ષ કૉંગ્રેસના આગેવાનો બાલસહજભાવથી જાણે કે ’તમે બાબાસાહેબ આંબેડકરનો વિરોધ કાં કરો?’ કે ‘કોંગ્રેસે બાબાસાહેબની ક્ષમતા સૌ પ્રથમ પીછાણી’ કે પછી ‘તમે મોરારજીભાઈ દેસાઈનું નામ લ્યો છો, પણ પંડિત જવાહરલાલ નેહરુના યોગદાનનો ઉલ્લેખ કરતા નથી’- આવી ચર્ચા સંસદનાં બંને ગૃહોની ગરિમાને કેટલી અનુરૂપ ગણાય, એનું ચિંતન પરિપક્વ થતી વિશ્વની સૌથી મોટી લોકશાહીમાં વિચારણીય મુદ્દો બની જાય છે.

ચર્ચા ઘણી થઈ. રાજ્યસભા અને લોકસભાની સત્તાવાર વેબસાઇટ પર ચર્ચાની રાતે જ મૂકાતી શબ્દશઃ ડિબેટમાં ખૂટતું લાગ્યું એ ડૉ. બાબાસાહેબ આંબેડકરનું સચ્ચાઈભર્યું વિરાટ વ્યક્તિત્વ. સત્તાપક્ષ નેે વિપક્ષે પ્રજ્ઞાચક્ષુઓની દૃષ્ટિએ હાથીનું વર્ણન થાય, એમ પોતાને અનુકૂળ ડૉ. આંબેડકરનાં બયાન કરીને ખાસ વૉટબેંકને સંદેશ આપવાનો પ્રયાસ કર્યો. ડૉ. ભીમરાવ આંબેડકરના બહુમુખી વ્યક્તિત્વ ભણી સદ્‌ભાવ વ્યક્ત કરવાની સાથે બંધારણ ભણી નિષ્ઠા વ્યક્ત કરવાની ચર્ચામાં બંધારણ ઘડનારી સમિતિના બીજા સભ્યો ક.મા. મુનશી, અલાદી કૃષ્ણસ્વામી ઐયર, એન. ગોપાલસ્વામી આયંગાર, મોહમ્મદ સાદુલ્લાહ અને બી.એલ. મિત્તર કે માધવરાવ કે પછી સર બેનેગલ નરસિંહ રાવ તથા ટી.ટી. કૃષ્ણામાચારી જેવા સલાહકાર કે સમિતિ સભ્યોના યોગદાનના ઉલ્લેખનો અભાવ કઠ્યો. પંડિત નેહરુ અને સરદાર પટેલના યોગદાનના વિશદ ઉલ્લેખ પણ ઝાઝા થયા નહીં.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બંધારણને રાષ્ટ્રીય ધર્મગ્રંથ ગણાવીને, નેશન ફર્સ્ટનો આલાપ રજૂ કરી બંધારણ અને એની પવિત્રતા જાળવવાની અને કોઈ ફેરફાર નહીં કરવાની ખાતરી આપી, ત્યારે હજુ થોડાંક વર્ષો પહેલાં ભાજપના વડપણવાળી અટલ બિહારી વાજપેયીની સરકારે પૂર્વ મુખ્ય ન્યાધીશ એમ. વેૅંકટચલૈયાના વડપણ હેઠળ બંધારણ સમીક્ષા પંચ નિયુક્ત કર્યું હતું એ વાતને અનુકૂળતાએ બધાએ વિસારે પાડી. ડૉ. આંબેડકરરચિત ભારતીય બંધારણને ફગાવી દેવા એ દિવસોમાં આચરવામાં આવેલી ઝુંબેશ અને કૉંગ્રેસનાં અધ્યક્ષ સોનિયા ગાંધીને વિપક્ષી નેતા પદેથી દૂર કરવાના ઇરાદા ઉપરાંત રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ કે વડાપ્રધાનના હોદ્દે એ આવી જાય નહીં એવી ગણતરીથી બંધારણ સમીક્ષા હાથ ધરવામાં આવ્યાની હકીકતને ભૂલી શકાય નહીં. જો કે સમીક્ષા પંચે જ એ ઇરાદાઓને ફગાવી દીધા હતા, પણ સંસદની તાજી ચર્ચામાં એનો ઉલ્લેખ ટાળવામાં આવ્યો ત્યારે સત્તામોરચા અને વિપક્ષી મોરચા વચ્ચે ફ્રેંડલી મેચ રમાતી હોય એવું વધુ લાગ્યું.

વર્ષ ૧૯૪૦માં જ ‘પાકિસ્તાન ઑર ધ પાર્ટિશન ઓફ ઇન્ડિયા’ ગ્રંથ લખીને અલગ પાકિસ્તાન માટેની મોહમ્મદઅલી ઝીણાની માગણીના સમર્થનમાં પ્રભાવી તર્ક રજૂ કરનાર ડૉ. બાબાસાહેબ આંબેડકરના એ અંગેના વિચારોનો ઉલ્લેખ ટાળવામાં આવ્યો. સ્વતંત્રતા પછી પણ ૧૯૫૧-’૫૨થી લોકસભાની ચૂંટણીમાં પોતાના પક્ષ ડિપ્રેસ્ડ ક્લાસીસ ફેડરેશનના ચૂંટણી ઢંઢેરામાં કાશ્મીરનો ખીણપ્રદેશ પાકિસ્તાનને સોંપી દેવાનું સમર્થન વ્યક્ત કરનાર ડૉ. બાબાસાહેબ આંબેડકરની વાત થઇ જ નહીં. સંસદમાં આ વખતની ચર્ચા ચાલતી હતી ત્યારે જ ‘લાઇન ઑફ કંટ્રોલ’ને આંતરરાષ્ટ્રીય સરહદ જ માની લેવાના ટેકામાં રાજ્યસભાના સભ્ય અને જમ્મૂ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ડૉ. ફારુક અબ્દુલ્લાના કથિત કથન અંગે ભાજપી નેતાઓ ઊહાપોહ મચાવે છે. બધા પોતાની અનુકૂળતા મુજબ વાત કરવા ટેવાયેલા છે. ડૉ. ફારુકે તો વડાપ્રધાન વાજપેયીની પાકિસ્તાન મુલાકાત ટાણે ઇસ્લામાબાદને તેમણે કરેલી દરખાસ્તની વાત ટાંકી વિવાદનો નવો મધપૂડો છંછેડયો છે.

સત્તારૂઢ ભાજપ અને એની માતૃસંસ્થા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) તેમ જ સંઘ પરિવારના અનેક આગેવાનો ભારતને હિંદુરાષ્ટ્ર ગણાવે છે ત્યારે ડૉ. આંબેડકરે નોંધેલા શબ્દોનું સંસદમાં સ્મરણ કરાવવાનું વિપક્ષના પ્રબુદ્ધ અગ્રણીઓ પણ ચુક્યા, એને ઐતિહાસિક ભૂલ ગણવી કે રાષ્ટ્રદ્રોહ? ડૉ. આંબેડકરના શબ્દો હતાઃ ‘આપણે કોઈપણ ભોગે આ દેશને હિંદુરાજ બનતાં અટકાવવાની જરૂર છે.’ સરદાર પટેલ પણ ભારતને હિંદુરાષ્ટ્ર જાહેર કરવાના ખ્યાલનો ‘પાગલોં કા ખયાલ’ ગણાવતા હતા, એ વાતને પણ રખે આપણે વીસારે પાડીએ.

સૌજન્ય : ‘સગવડવાદ’, “દિવ્ય ભાસ્કર”, Dec 02, 2015

Loading

આંબેડકરી શમણાનાં આ શા હાલ !

ચંદુ મહેરિયા|Samantar Gujarat - Samantar|3 December 2015

 આ વરસ એમના જન્મનું સવાસોમું વરસ છે ત્યારે તો રાજકીય પક્ષોમાં એમની ઝૂંટાઝૂંટ થવા માંડી છે

ડૉ. બાબાસાહેબ આંબેડકરના નિર્વાણને ખાસ્સા છ દાયકા થવા આવ્યા છે ત્યારે દિનપ્રતિદિન તેમની પ્રસ્તુતતા વધતી જાય છે. મુંબઈના દાદર વિસ્તારમાં અરબી સમુદ્રના કાંઠે જ્યાં એમના અંતિમ સંસ્કાર થયેલા એ સ્થળે 1965માં દલિતોએ ખુદના પૈસે ચૈત્યભૂમિ નામક સ્મારક ખડું કર્યું છે. દર છઠ્ઠી ડિસેમ્બરના આંબેડકર નિર્વાણ દિને લાખો દલિતો અહીં સ્વયંભૂપણે ઉમટે છે. દલિતોની સ્વમાનભેર જીવતા નાગરિક બનાવવાની ‘દલિત મસીહા’ આંબેડકરની ભૂમિકા તરફનો એ આદર અને ઓશિંગણભાવ છે.

ઈ.સ.1890માં મહાત્મા ગાંધી પૂર્વેના મહાત્મા જોતીરાવ ફુલેનું અવસાન થાય છે અને 1891માં ભીમરાવ આંબેડકરનો જન્મ થાય છે તે અદ્દભુત સંયોગ હતો. ઊંચનીચના ભેદભાવો, જાતિપ્રથા, અસ્પૃશ્યતા, અસમાનતા, અન્યાય, અત્યાચાર, અશિક્ષણ અને રૂઢિદાસ્યના એ જમાનામાંથી ડો. આંબેડકરે જે માર્ગ કાઢ્યો, સંગઠન, શિક્ષણ અને સંઘર્ષની જે આહલેક જગવી તેને કારણે આજે દલિતોની સ્થિતિમાં ઘણો ફેર પડ્યો છે. મંડલ રાજનીતિના ઉભાર પછી દલિતોના મતની તાકાત રાજકીય પક્ષોને સમજાઈ છે. એટલે ડો. આંબેડકરના પણ માન-સન્માન થવાં માંડ્યા છે. આ વરસ પાછું એમના જન્મનું સવાસોમું વરસ છે ત્યારે તો રાજકીય પક્ષોમાં એમની ઝૂંટાઝૂંટ થવા માંડી છે. ડો. આંબેડકરના સરકારી સ્મારકોનાં ઉદ્દઘાટનો, જાહેરાતો અને શિલાન્યાસોનો રાફડો ફાટ્યો છે અને એમાં ખરા આંબેડકર વિસારે પાડી દેવાય છે.

દલિત સમસ્યાના ઉકેલની રણનીતિ અંગે ડો. આંબેડકર પોતાના વિચારો અને અભિગમમાં બહુ સ્પષ્ટ હતા. દલિતોના સંગઠન, શિક્ષણ અને સંઘર્ષને એમણે આરંભથી જ પાયાનું કામ ગણ્યું હતું. વર્ગવિહીન, વર્ણવિહીન અને શોષણમુક્ત સમાજરચના એ બાબાસાહેબ માટે માત્ર કોઈ આદર્શ કે કોરું સ્વપ્ન હતું. એ તેને વાસ્તવિકતા બનાવવા માગતા હતા. જાતિપ્રથાની નાબૂદી માટે એ જીવનભર ઝઝુમતા રહ્યા. એ માટે વિચાર અને સંઘર્ષ એમ બેઉ ક્ષેત્રોમાં એમણે કામ કર્યું છે. ‘કાસ્ટ ઈન ઈન્ડિયા’ થી માંડીને ‘એનીહિલેશન ઓફ કાસ્ટ’ સુધીના ગ્રંથોમાં એમણે ભારતની જાતિપ્રથા અને એના નિર્મૂલન માટેના વિચારો અને ઉપાયો દર્શાવ્યા છે. હિંદુ ધર્મની નબળાઈઓ અને તેમાં સુધારા તરફ એ સતત આંગળી ચીંધતા રહ્યા અને જ્યારે એમને હિંદુ ધર્મની વર્ણવ્યવસ્થા અને જાતિપ્રથા નાબૂદી શક્ય ન લાગી ત્યારે તેમણે ‘હું હિંદુ તરીકે મરીશ નહીં’ની ઘોષણા કરી હિંદુ ધર્મનો ત્યાગ પોતાના લાખો અનુયાયીઓ સાથે કર્યો હતો.

ડો. આંબેડકરે એમનું સમગ્ર ચિંતન ‘સ્વતંત્રતા, સમાનતા અને બંધુતા’ એ ત્રણ જ શબ્દોમાં વ્યક્ત કરી દીધું છે. આ ચિંતન ફ્રેન્ચ ક્રાંતિમાંથી ઉછીનું લીધેલું નથી, પણ એનાં મૂળિયાં બુદ્ધના ઉપદેશમાં હોવાનું પણ એમણે જણાવ્યું હતું. ‘અમર્યાદ સ્વતંત્રતા સમાનતાનો નાશ કરે છે અને સંપૂર્ણ સમાનતા સ્વતંત્રતા માટે અવકાશ રાખતી નથી’ એવી સ્પષ્ટતા કરતાં બાબાસાહેબે પોતાના ચિંતનમાં બંધુત્વને ઊંચું સ્થાન આપ્યું હતું. ભાઈચારો આંબેડકરી વિચારધારાનું સર્વોચ્ચ શિખર છે અને તે માત્ર કાયદાથી શક્ય નથી. પરંતુ આજે તો સમરસતા ભાઈચારો ગણાતો થઈ ગયો છે અને સમાનતા ગાયબ છે.

દેશમાં આજે જે હાલત છે તેમાં સ્પષ્ટપણે આપણે આંબેડકરના વિચારોથી વેગળા જઈ રહ્યા હોય તેમ લાગે છે. બંધારણના  ઘડવૈયા આંબેડકર  દલિતોના  સ્વરાજ માટેના ખતપત્ર જેવા ‘સ્ટેટસ એન્ડ માઈનોરિટી’ની માગણીઓ બંધારણમાં સામેલ કરાવી શક્યા નહોતા. આજે પણ દલિત ચળવળ સમક્ષ એ બાકી એજન્ડારૂપે ઊભી છે. જે પ્રકારની અસમાનતા દેશમાં વ્યાપ્ત છે તે જોતાં બાબાસાહેબની સમાનતા માટેની આર્થિક માગણીઓ સ્વીકારાવવી વધુ મુશ્કેલ બની છે અને સમાનતાયુક્ત ભારત સ્વપ્નવત્ લાગે છે. 1930માં ડો. આંબેડકરે જાતિની રાજનીતિ સામે લાલ બત્તી ધરી હતી. આજે ભારતની રાજનીતિ વધુને વધુ જાતિકેન્દ્રી બની છે. આઝાદી પછીના તરતના દાયકામાં પણ બાબાસાહેબ આંબેડકર ચૂંટણી જીતીને કદી લોકસભાના સભ્ય થઈ શક્યા નહોતા. એ હાલત આજે તો વધુ વરવી બની છે અને રાજકારણ વધુ મતકેન્દ્રી, ધનકેન્દ્રી અને સત્તાકેન્દ્રી બની ગયું છે. બાબાસાહેબ જે લોકશાહીના હિમાયતી હતા તે સંસદીય લોકશાહી લોપ પામતી રહી છે.

મૂર્તિભંજક આંબેડકરને મૂર્તિપૂજક નહીં સાચા અનુયાયીઓની જરૂર હતી અને છે. પરંતુ આજે ગુજરાતમાં અને દેશમાં દલિતો બાબાસાહેબની વ્યક્તિપૂજામાં એટલા તો રમમાણ છે કે જાણે આંબેડકર એટલે સ્મારકો, પૂતળાં, પાર્ક, સ્મૃિતચિન્હો, તસવીરો, ચિત્રો અને ગાથાઓ. દલિતોએ આંબેડકરની પૂજા શરૂ કરી દીધી છે અને તેમનો ઉપદેશ ભૂલી ગયા છે. આંબેડકરને માત્રને માત્ર અનામતનું પ્રતીક બનાવી દીધા છે અને સંઘર્ષસેનાની આંબેડકરને વિસારે પાડી દીધા છે. નગરેનગરે દલિત ચાણક્યો દલિત કારકુનો પેદા કરવા મચી પડ્યા છે.  પિતા રામજીએ આપેલી ‘છાંયડે બેસીને થાય એવું કામ’ અર્થાત સરકારી નોકરી કરવાની સલાહ અવગણીને આંબેડકરે આજીવન સંઘર્ષનો માર્ગ પસંદ કર્યો હતો.

પણ આજે દલિત કારકુનો પેદા કરવાની લ્હાયમાં દલિત બૌદ્ધિકો, દલિત કર્મશીલો અને દલિત સંઘર્ષશીલો માટે કોઈ અવકાશ રહેવા દીધો નથી તથા આંબેડકરના વિચાર અને કાર્યને ઠોકરે દીધું છે. અનામત આસપાસ દલિત સમસ્યાની મથામણ એટલી કેન્દ્રીત થયેલી છે કે ગરીબ, ગ્રામીણ, અશિક્ષિત અને અસંગઠિત દલિતોના સવાલો હાંસિયામાં ધકેલાઈ ગયા છે. દલિતો માટે શિક્ષણ અને નોકરીઓની અનામતનો સવાલ બેશક મહત્ત્વનો છે અને તેમની સ્થિતિમાં એને કારણે મોટો બદલાવ આવી શક્યો છે.

પરંતુ એને કારણે ગરીબી, અત્યાચાર, અન્યાય, અસમાનતા, માથે મેલું, લઘુતમ વેતન, સ્ત્રીઓના સવાલો, જમીનનો સવાલ, સમાન શિક્ષણ, આર્થિક બેહાલી જેવા સવાલોની સદંતર ઉપેક્ષા થાય છે. ડો. આંબેડકરના ત્રિમંત્રમાં શિક્ષણને પ્રથમ સ્થાન છે. દેશમાં અને ગુજરાતમાં દલિતોમાં સાક્ષરતાનું પ્રમાણ વધ્યું છે તેનાથી ફુલાઈ જવાને બદલે શિક્ષણના નવા પડકારો ખાસ કરીને શિક્ષણનું ખાનગીકરણ અને સમાન અને ગુણવત્તાયુક્ત શિક્ષણ માટે હજુ ઘણું કામ કરવાનું બાકી છે. આંબેડકરના આંદોલનમાં મહિલાઓની ભાગીદારી બહુ મોટી અને જવાબદારીવાળી રહી છે. આજે મહિલા અનામત છતાં આંદોલનોમાંથી મહિલાઓની હિસ્સેદારી ઘટતી રહી હોય તો તે ચિંતાનું કારણ બનવું જોઈએ.

બાબાસાહેબના નિર્વાણ વખતે એમના સાથી એન. શિવરાજે કહ્યું હતું કે, ‘જીવતા આંબેડકર કરતાં મૃત આંબેડકર અધિક બળવાન છે.’ આ જેટલું સાચું છે તેટલું જ બાબાસાહેબે જેમ કહેલું કે ‘માણસની જેમ વિચાર પણ મર્ત્ય છે અને તેને જીવાડવા યોગ્ય ખાતર-પાણી અને સિંચનની જરૂર છે’ તે પણ એટલું જ સાચું છે. જો વિચારને સિંચવામાં ન આવે કે સમયાનુસાર તેનું મૂલ્યાંકન કરી તેમાં સુધારાવધારા ન કરવામાં આવે તો ગમે તેટલો મહાન વિચાર પણ મરી પરવારે છે. ડો. આંબેડકર નિર્વાણના પૂર્વ દિવસોમાં ખરા આંબેડકરને જીવાડવા તેમના વિચારોના સિંચન થકી તેને સદા પલ્લવિત રાખવાનું કાર્ય માટેની પ્રતિબધ્ધતા એ જ તેમને સાચી અંજલિ ગણાશે.

ચંદુ મહેરિયા લેખક સામાજિક-રાજકીય  પ્રવાહોના ઊંડા અભ્યાસી અને વિશ્લેષક છે

e.mail : maheriyachandu@gmail.com

સૌજન્ય : ‘વારસાની વાસ્તવિક્તા’, “દિવ્ય ભાસ્કર”, 03 ડિસેમ્બર 2015

Loading

...102030...3,7073,7083,7093,710...3,7203,7303,740...

Search by

Opinion

  • એક સરકારી કર્મીનો પ્રેમપત્ર
  • બંધારણ – દેશનું દર્પણ, દેશની ઓળખ, દેશની શોભા  
  • નથુરામનું ‘હુતાત્મા’ પદ અને કુરુંદકરનો તર્ક
  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ
  • ઝાંઝવાનાં જળ

Diaspora

  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved