Opinion Magazine
Number of visits: 9554506
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

રાજપથ-જનપથ ભૂલેલા રોકસ્ટાર

પ્રકાશ ન. શાહ|Samantar Gujarat - Samantar|22 August 2015

રાજપથ-જનપથ ભૂલેલા ‘રોકસ્ટાર’

એમને એ ઠીક કોઠે પડી ગયું છે. બલકે, સદી ગયું છે એમ જ કહોને … એ ય એક આંટો ઓર મારી આવ્યા! ધ્વજ ફરકાવ્યો ન ફરકાવ્યો, તકરીર ફટકારી ન ફટકારી, અને સંયુક્ત અરબ અમીરાતે સંચર્યા. વળી પાછી એક મેડીસન (કે મોદી‘સન’) મોમેન્ટ અંકે કર્યાનો બિલ્લો ટિંગાડી આવ્યા. અને હવે, સપ્ટેમ્બર ઊતરતે સાન હોઝે (કેલિફોર્નિયા), નવેમ્બરમાં વહેલું આવજો લંડન. ઈવેન્ટ મેનેજમેન્ટ તો કોઈ એમની કને શીખે. હશે ભાઈ, પ્રવાસી ભારતીયો સાથે દેશદેશનાં રમણીહૃદયો જીતતા ફરતા કોઈ પ્રાચીનકાળના વીર જેવો નમોનો એક વિશેષ નાતો છે તો છે. કદી કદી ભારતની મુલાકાતે આવતા રહો તો હાઉં, એ મતલબની કોઈ એક પંક્તિકા રાહુલ ગાંધીની તરજ પર ફટકારીએ તો પણ ઠીક, ન ફટકારીએ તો પણ ઠીક.

રહો, હમણાં મેં કહ્યું કે તકરીર ફટકારી, પણ 15 ઓગસ્ટ 2014 અને 15 ઓગસ્ટ 2015 વચ્ચે ફરક ખસૂસ હતો : ત્યારે માથે લાલચટક પાઘ હતી. આ વખતે એને ઠેકાણે પાઘના રંગમાં નારંગી નરમાશ વરતાતી હતી. ત્યારે કોરી પાટ હતી અને વૈખરીવશ એને મેજિક સ્લેટમાં ફેરવી શકાઈ હતી. એક આખું આભ હાથવગું (અને મોંવગું) હતું. ચાહે તે ચાંદતારા ટિંગાડવાની સહજ સોઈ હતી. વરસ વીત્યે? છતી વૈખરીએ અસ્ખલિત ધારાપ્રવાહે પણ કશીક હાંફ હતી, કેમ કે પેલા આકાશે અને ચાંદતારાએ હવે વર્ચ્યુઅલ અને રિયલ વચ્ચેનું અંતર અંશત: પણ કાપવાનું હતું. વક્તૃત્વકળા વાસ્તવનો અવેજ તો નથી હોઈ શકતી. પરિણામે, સાધારણપણે નમોનાં ભાષણો જેને માટે જાણીતાં નથી એવાં ટીકાવચનો આ વખતે ક્યાંક ક્યાંક સાંભળવા મળ્યા -ડિસઅપોઈન્ટિંગ, લાંબુલચક, ઘોર બોરિંગ.

નહીં કે એ નેવું મિનિટમાં મુદ્દા કે વિગતો ન હતી. હતું, ભાઈ હતું. બિહાર વાસ્તે ખાસંખાસ પેકેજ પણ હતું, કેમ કે સપ્ટેમ્બરમાં અમેરિકા અને નવેમ્બરમાં ઇંગ્લંડ બેઉ વચ્ચે ઓક્ટોબરમાં પટણાક્ષેત્રે કુરુક્ષેત્રે ઓ.બી.સી. ઓળખ અને વિકાસવેશનો કોઠો જે ભેદવાનો છે. એક વાત સોજ્જી કીધી નીતીશકુમારે કે તમે ચાલુ ફાળવણીઓનો ઘટાટોપ કરી એક-બે નવી (ખરું જોતાં નવા જેવી) જાહેરાતોથી એને ફુગાવીને ‘પેકેજ’, ‘પેકેજ’નો ચીપિયો ખખડાવો મા. જો કે નીતીશને પક્ષે માર્કાની વાત તો એ હતી કે અમને ‘બિમારુ’ ચીતરો મા. (સુજ્ઞ વાચકને ખયાલ હોવો કે ગુજરાતની પોતાની લાંબી પરંપરા સામે એવા કોઈ પરંપરાદાવા વિના નીતીશે વિકાસનો રસ્તો પકડી બતાવ્યો. તેને પરિણામે આજથી ત્રણ-ચાર વરસ પર એન.ડી.એ.ના વડાપ્રધાનપદના ઉમેદવાર તરીકે મોદી સિવાય એક નામ તરીકે એમનો ય સિક્કો પડવા માંડ્યો હતો.)

અલબત્ત, વચનેષુ કિં દરિદ્રતા. તમે જુઓ કે બિહાર પેકેજમાં ગ્રામીણ રસ્તાઓ માટે ખાસા 13,820 કરોડ રૂપિયાની ફાળવણી જાહેર કરાઈ છે. દેશ આખાના ગ્રામીણ રસ્તાઓ માટેની બજેટ જોગવાઈ રૂપિયા 14,291 કરોડ છે. એન.ડી.ટીવી. હિંદી ખ્યાત રવીશકુમાર તો બચાડા પ્રમાણિક જીવ રહ્યા. એટલે પોતાને આ બે આંકડાનો (અને એવા જ બીજા આંકડાઓનો) મેળ પડતો નથી એવું એમણે બોલીયે બતાવ્યું. પણ લોકો તો વીરનાયકને સાંભળીને મોહમૂર્છાને વર્યા જ ને.  પણ અમીરાતમાં પણ જુઓ. 2013માં અક્ષરધામ, અબુધાબી માટે જમીન ફાળવાયેલી હશે તો હશે, પણ ‘ચમત્કાર’ કે ‘લબ્ધિ’, એ તો નવે નામે જ જમે થાય ને. ભલા ભાઈ, ત્યાં શ્રીનાથજીની હવેલી, શિવાલય અને ગુરુદ્વારા પણ કે’દીના છે. ત્યાંના પ્રવાસી ભારતીયોનું દુબાઈ ક્રિકેટ સ્ટેડિયમમાં એકત્ર થવું અને ‘મોદી’ ‘મોદી’એ ગામ ગજવવું, એ મારા વડાપ્રધાન માટે એક ભારતીય તરીકે મને કેમ ન ગમે? જરૂર ગમે. પણ એક ભારતીય તરીકે હું એમની રાજકીય મૃગયાની આરપાર જોવાની કોશિશ કરું ત્યારે મને એમ પણ થાય કે પ્રવાસી ભારતીયો આ સહજ ગૌરવક્ષણને ગૌરવમૂર્છામાં ન ફેરવવા દે અને ભારતની વાસ્તવિકતાને પણ સમજવાની કોશિશ કરે. વસ્તુત: આ વૈખરીચર્ચાને એક અલગ છેડેથી જોવાની જરૂર છે. વીતેલા ગાળામાં મોદી મૌનમોહનસિંહને ટપી જતા ‘ચૂપેન્દ્ર’નો ઉપાલંભ રળી ચૂક્યા છે. ચૂંટણીમાં ‘હા’, ‘ના’ એમ શ્રોતાઓ પાસેથી બોલાવવાનો નહીં જેવો અપવાદ બાદ કરો તો મોદીની વક્તૃત્વમોહિની એકમાર્ગી અને એ અર્થમાં બિનલોકશાહી છે. એ છવાઈ જઈ શકે ભૂરકી છાંટી શકે, રંગ રંગ અફીણિયાં ઘોળી શકે, પણ સાર્થક સંવાદ? એ ક્યાંથી પ્રેરી શકે. 

આ સંદર્ભમાં એક ચર્ચા તરફ આપણે ત્યાં ખાસ ધ્યાન કદાચ નથી ગયું. આ ચર્ચા, જયપુર લિટરરી ફેસ્ટિવલની શૃંખલામાં ત્રણેક મહિના પર લંડનમાં યોજાયેલ સંગોષ્ઠીમાં લેન્સ પ્રાઈસે કરી હતી. પ્રાઇસ, એ મોદીની ચહેતી પસંદગી છે. એક કાળના બ્રિટિશ વડા પ્રધાન ટોની બ્લેરના આ સલાહકારને મોદીએ ખાસ બરકી એમની પાસે પોતાની ચૂંટણીઝુંબેશ પરની કિતાબ લખાવી છે – ‘મોદી ઈફ્કેટ : ઈનસાઇડ નરેન્દ્ર મોદીઝ કેમ્પેઈન ટૂ ટ્રાન્સફોર્મ ઈન્ડિયા.’ અલબત્ત વાત આપણે મોદીની વાગ્મિતા સબબ કરીએ છીએ. લંડન સંગોષ્ઠીમાં ‘ઈન્ડિપેન્ડન્ટ’ના જોન એલિયટે લેન્સ પ્રાઈસને પૂછ્યું હતું કે ધારો કે 2019ના સંસદીય જંગ માટે મોદી તમારી સલાહ લે તો તમે શું કહો. પ્રાઈસે એ મતલબનો પ્રતિભાવ આપ્યો હતો કે અત્યારની એકમાર્ગી પદ્ધતિએ મોદીનું ભાવિ 2014 જેવું ઊજળું નયે હોય. આ ગાળામાં એમણે એક પણ ધોરણસરની, પૂરા કદની પ્રેસ કોન્ફરન્સ કરી નથી, જે ખરેખર તો વખતો વખત કરવી જોઈએ. ‘હું માનું છું કે લોકશાહીનો એ એક મૂળભૂત સિદ્ધાંત છે કે તમે ચુંટાયેલ વડા પ્રધાનને મીડિયા થકી પહોંચી શકો, મળી શકો.

બીજા શબ્દોમાં, પત્રકારો તરફથી મુક્તપણે પૂછાતા વાજબી પ્રશ્નોના ઉત્તર મળતા રહે એવી એક નિયમિત પ્રણાલિ સ્થપાવી જોઈએ.’ ‘મોદી ઇફેક્ટ’ના અભ્યાસી પ્રાઈસે તો માનો કે પ્રેસ કોન્ફરન્સ રૂપે એક ઇંગિત આપ્યું. મુદ્દાની વાત એ છે કે દેશ બહાર રોકસ્ટાર તરીકે ઓળખાવું કે એવી સરખામણીના ધણી થવું અગર સ્ટાર પરફોર્મર તરીકે મંચ પર છવાઈ જવું એની એક ભૂમિકા હોઈ શકે છે. એક હદ સુધી લોકોને તમે ખેંચી રાખી શકો છો. પણ લોકશાહી નેતૃત્વ આમ એકમાર્ગી રાહે યશસ્વી ન થઈ શકે. (‘મનકી બાત’ પણ, એમ તો, નિતાન્ત એકમાર્ગી જેવો જ ઉપક્રમ છે ને?) આરંભે 2014 અને 2015ની 15મી ઓગસ્ટો વચ્ચે આંશિક સરખામણી કરી 2015માં કંઈક ઊતરતી કળા માલૂમ પડી હોય તો એનો અર્થ એ નથી કે હવેનાં બાકી વરસોમાં એમ જ થશે. સરખો દાવ લઈ પણ શકે. પણ એકમાર્ગી વાકવિહાર એ લોકશાહીમાં ન તો રાજપથ છે, ન તો જનપથ છે.

સૌજન્ય :”દિવ્ય ભાસ્કર”, 22 અૉગસ્ટ 2015

કાર્ટૂન સૌજન્ય : "ધ હિન્દુ", 15 અૉગસ્ટ 2015

Loading

જર્મનીમાં સંસ્કૃત ભાષા શિક્ષણનું લાગેલું ઘેલું

આશા બૂચ|Opinion - Opinion|22 August 2015

એક સમાચાર મુજબ જર્મનીમાં 14 વિશ્વવિદ્યાલયોમાં સંસ્કૃત ભાષાનું શિક્ષણ અપાઈ રહ્યું છે. વધુને વધુ વિદ્યાર્થીઓ એ વિષય શીખવા તત્પર હોવાને કારણે તેમની માગને તેઓ પહોંચી વળતા નથી.

આ સમાચારથી બહુ ખુશી થઈ એ કબૂલ કરું. સંસ્કૃત ભારતની પુરાણી ભાષા, જેને વેદ, ઉપનિષદ અને હિંદુ ધર્મ તથા તમામ ધાર્મિક વિધિ વિધાનો, પ્રાર્થનાઓ સાથે ગાઢ સંબંધ છે એટલું જ નહીં પણ ભારતની મોટા ભાગની પ્રાંતીય ભાષાઓની એ જનની છે જે હાલમાં ભારતમાં તો મૃતપ્રાય: થઈ ગઈ હોય તેમ ભાસે છે.

જર્મનીમાં સંસ્કૃત અને Sinology coursesની આટલી માગ હોય તો શું ભવિષ્યમાં તેઓ સંસ્કૃત ભાષાના રખેવાળ થઈ જશે? અત્યારે તો એવું લાગે છે. હાઈડલબર્ગ યુનિવર્સિટીની સાઉથ એશિયા ઇન્સ્ટિટ્યૂટને સંસ્કૃત બોલ-ચાલના વર્ગો માટેની માગને પહોંચી વળવા સ્વીત્ઝર્લેન્ડ, ઇટલી અને ભારતમાં ગ્રિષ્મ વર્ગો શરૂ કરવાની ફરજ પડી છે. ભારતને આયાત કરેલી ચીજો ગમે છે તેનો આ એક વધુ પુરાવો. Classical Indologyના પ્રોફેસર આક્સેલ માઈક્લ્સ કહે છે, “અમે પંદર વર્ષ પહેલાં જયારે આ કોર્સ શરૂ કર્યો ત્યારે બે એક વર્ષમાં બંધ કરી દેવાની વેળા આવી ગયેલી, જયારે આજે યુરોપના બીજા દેશોમાં એ કોર્સ શીખવવા જેટલા અમે સબળ બની ગયા તે માન્યામાં નથી આવતું.”

યુનાઇટેડ કિંગ્ડમમાં ચાર યુનિવર્સિટીમાં સંસ્કૃત શીખવાય છે જયારે જર્મનીમાં 14 યુનિવર્સિટી સંસ્કૃત શીખવે છે. 43 દેશોમાંથી આવેલ 254 જ્ઞાન પિપાસુઓએ તેનો લાભ લીધો છે અને દર વર્ષે કેટલાકને નિરાશ કરવા પડે છે. આની સામે એક અભ્યાસ પ્રમાણે ભારતમાં લગભગ 15 યુનિવર્સિટીઓમાં સંસ્કૃત શીખવાય છે એ હકીકત નોંધવા જેવી ખરી.

પ્રોફેસર આક્સેલ માઈક્લ્સના મંતવ્યો પર મારું ધ્યાન ગયું. તેઓ કહે છે, “સંસ્કૃતને ધર્મ અને કોઈ એક રાજકીય વિચારધારા સાથે જોડવી તે મૂર્ખામીભર્યું છે અને તેના સમૃદ્ધ વારસાની જાળવણી માટે જોખમભર્યું છે. બુદ્ધ ધર્મના મૂળભૂત સંદેશ સંસ્કૃતમાં અપાયેલ. પૂર્વના તત્ત્વજ્ઞાન, ઇતિહાસ, ભાષાઓ, વિજ્ઞાન અને સંસ્કૃિતના ઉદ્દભવસ્થાનને સમજવા મૂળ સંસ્કૃત ગ્રંથો વાંચવા અનિવાર્ય છે કેમ કે તેમાં જ સહુથી પુરાણી શોધ ખોળ અને વિચારોનાં બીજ પડેલાં છે.”

Francesca Lunari હાઈડલબર્ગ યુનિવર્સિટીની મેડિકલની વિદ્યાર્થિની છે જે સંસ્કૃતનો અભ્યાસ કરે છે અને બંગાળી ભાષા શીખવા ધારે છે, કેમ કે મનોવિજ્ઞાનમાં પાયાનું કામ કરનાર ગિરીન્દ્ર શેખરના લખાણો એ સમજવા માગે છે. હવે પહેલી વાત તો એ કે ભારતમાં કેટલા લોકો ગિરીન્દ્ર શેખરના નામ અને કામથી પરિચિત હશે તે જાણવાનું રસપ્રદ થઈ પડશે, અને બીજું કોઈ મેડિકલ કોલેજમાં ભણતી વ્યક્તિ સંસ્કૃત ભણે અને ખાસ બંગાળી ભાષા શીખે, તેવું તો કલ્પનામાં પણ ન માની શકાય. ભારતીય યુવાન/યુવતી માટે મેડિકલ સાયન્સ=ઇંગ્લિશ એવું જ સમીકરણ માન્ય છે. હાઈડલબર્ગ યુનિવર્સિટીના સાઉથ એશિયન ભાષાઓના વડા ડો. હાન્સ હાર્ડ્રને ચિંતા છે કે ભારતમાં ઇંગ્લિશ ભાષાના મારાને કારણે સંસ્કૃતની જેમ બંગાળી ભાષા પર પણ ખતરો ઊભો થયો છે. તેમનું કહેવું છે કે, “દુનિયાની મહત્ત્વની સાંસ્કૃિતક સંપત્તિ વિનાશને આરે આવીને ઊભી છે કેમ કે અતિ વિકસિત એવી હિન્દી અને બંગાળી જેવી ભાષાઓ ભારતીય ઇંગ્લિશનો શિકાર બનવા લાગી છે. એમ થતાં ત્યાં ન માત્ર મૂળ ભાષાઓ પરંતુ ઇંગ્લિશ પણ નબળી થવા લાગી છે.” તેમણે કહેવાતા પ્રગતિવાદી અને ઉચ્ચ માધ્યમ વર્ગના લોકો પોતાની ભાષા પોતાનાં બાળકોને શીખવવાનું બંધ કરી દે છે એ સામે લાલ બત્તી ધરી છે. તેમની આ ચેતવણી ન સમજીએ તેવા અણસમજુ આપણે નથી; તો કરીશું શું?

ડો. માઈક્લ્સ દ્રઢપણે માને છે કે ભારતની સંસ્કૃિત સમજવા તેની ભાષાઓ જાણવાથી જે તે વિષય સાથે અનુબંધ જોડી શકાય, જેમ કે ભારતની રાજકીય અને આર્થિક ઉત્ક્રાંતિ ચાણક્યના અર્થશાસ્ત્રને મૂળ ભાષામાં વાંચવાથી સારી રીતે સમજી શકાય. આ સત્ય ભારતના શિક્ષિત વર્ગને કેટલી સમજાય છે તે ન કહી શકાય. સાઉથ એશિયા ઇન્સ્ટિટ્યૂટમાં ‘ઉપનિષદમાં શરીર વિજ્ઞાન અને માનસ શાસ્ત્ર’ એ વિષય શીખવવામાં આવશે. એ શીખવનાર આનંદ મિશ્રાને પાણિનીના સંસ્કૃત વ્યાકરણનો અભ્યાસ કરતાં ખ્યાલ આવ્યો કે એ વ્યાકરણ કમ્પ્યુટરની ભાષા માટે એક ઉત્તમ સાધન પુરવાર થઈ શકે તેમ છે. એટલે સંસ્કૃત માત્ર એક જૂની પુરાણી ભુલાઈ ગયેલી પુરોહિતોએ વાપરવાની ભાષા છે એ ગેરસમજ દૂર કરવાનો સમય પાકી ગયો છે તેમ લાગે છે.

ડો. માઈક્લ્સનું સૂચન માનીને ભારતના લોકોએ સંસ્કૃત અંગે રાજકીય અને ધાર્મિક વિવાદમાંથી બહાર નીકળીને પોતાની સાંસ્કૃિતક ધરોહર સાચવવાનો પ્રયત્ન કરવો કોઈએ. તેમના કહેવા પ્રમાણે આપણે જેમ કોઈ અલભ્ય ચિત્ર કે શિલ્પની રક્ષા કરીએ છીએ તેમ આ તો જીવંત ભાષા છે જે હામ્પી સંસ્કૃિત, અજંતાની ગુફાઓ કે કોણાર્કના મંદિરની માફક વિસ્મૃિતની ગર્તામાં ધકેલાઈ જશે. બ્રિટિશ લોકોએ આ કલાધામો શોધીને સાચવ્યાં. તો શું સંસ્કૃત ભાષાને પુનર્જિવિત કરવાનું પણ આપણને જર્મની જેવા દેશો શીખવશે? સંસ્કૃત ભાષા તેની સાથે સંકળાયેલી સંસ્કૃિત, તત્ત્વજ્ઞાન અને વિજ્ઞાન સાથે મૃતપ્રાય: થઈ જવા સંભવ છે એવો એમને ભય છે. એમને એમ પણ લાગે છે કે સંસ્કૃત દ્વારા હજુ તો સિંધુ સંસ્કૃિત વિષે પણ ઘણું શોધવાનું બાકી છે.  

જર્મનીમાં સંસ્કૃતના જ્ઞાતાઓ છે. એટલું જ નહીં પણ હાર્વર્ડ, કેલીફોર્નિયા બર્કલી કે યુનાઇટેડ કિંગ્ડમની યુનિવર્સિટી હોય, પણ ત્યાંના સંસ્કૃતના સ્કોલર જર્મન હોવાના. આ શું સૂચવે છે? ડો. માઈક્લ્સનું માનવું છે કે કદાચ જર્મનીએ ભારત પર કદી રાજ નથી કર્યું તેથી તેની સાથેનો રોમાંચક સંબંધ કાયમ રહ્યો એ કારણ હોઈ શકે.

આ સમાચાર વાંચતાં વિચાર આવ્યો કે ભારતમાં છેલ્લા છ દાયકા દરમ્યાન નાનાં મોટાં શહેરોમાં તો શું, નાનાં નાનાં ગામડાંઓમાં ઇંગ્લિશ માધ્યમની શાળાઓનો રાફડો ફાટ્યો છે. કેટલીક નર્સરી અને પ્રાથમિક શાળાઓમાંતો ઘરમાં બોલાતી ગુજરાતી કે હિન્દી બોલવાની ‘સખત મનાઈ’ ફરમાવવામાં આવે છે. સવાલ થાય કે કોણ સાચે રસ્તે જઈ રહ્યું છે, ભારતની પ્રજા કે જર્મનીના લોકો? આપણામાં કહેવત છે ‘ઘરકી મુર્ગી દાલ બરાબર’ − એ ન્યાયે સ્વભાષા હોય, પુરાણા વૈદકીય શાસ્ત્ર હોય, શિલ્પ સ્થાપત્યના નમૂના હોય કે સાહિત્ય હોય, તેની સંભાળ રાખવી, તેનું સંગોપન કરવું, ઉપયોગ કરી જીવિત રાખવા એ જાણે ભરતીય લોકોના લોહીમાં નથી. કદાચ એવી દલીલ કરી શકાય કે જેમ જર્મની અને અન્ય દેશના લોકોને સંસ્કૃતનો અભ્યાસ કરવાનો મોહ છે તેમ જ ભારતના લોકોને ઇંગ્લિશ ભણવાનો ચસરકો કેમ ન હોઈ શકે? એ માટે વધુ વિચાર કરતાં માલુમ પડશે કે ઉપર કહેલા તમામ દેશોમાં શિક્ષણનું માધ્યમ માત્ર જે તે દેશની માતૃભાષા જ છે. તે પછી પાડોશી દેશોની ભાષા શીખવાય છે. તેમાંના કોઈ દેશે સ્વભાષાને ભોગે સંસ્કૃત કે બીજી વિદેશી ભાષાને શિક્ષણના માધ્યમના તખ્ત પર નથી બેસાડી. એક બીજી હકીકત પણ ઇંગ્લિશના માધ્યમ દ્વારા શિક્ષણ આપવાના હિમાયતીઓએ ધ્યાન પર લેવા જેવી છે કે સંસ્કૃત તો બરાબર, માતૃભાષા અને રાષ્ટ્રભાષાને પણ શાળામાં વૈકલ્પિક વિષયનું સ્થાન આપીશું તો ડો. માઈક્લ્સ કહે છે તેમ તેની સાથે સંકળાયેલી ભારતીય સંસ્કૃિત, તત્ત્વજ્ઞાન, વિજ્ઞાન અને ખુદની ભારતીય તરીકેની અસ્મિતા જ લોપાઈ જશે. પછી Make in India કે ઘરવાપસીથી વધારેલા હિંદુ લોકોની સંખ્યાથી કશો ફાયદો થવાનો નથી કેમ કે એ બધાને પણ ઇંગ્લિશ શીખીને વિદેશ ભણી મોઢું રાખવાનું જ શીખવવામાં આવશે.

ભારતને ચીન સાથે ઘણી બધી બાબતોમાં હરીફાઈ કરવી ગમે છે. જો જર્મનીની જેમ ચીનમાં સંસ્કૃત વિષયનો અભ્યાસ શાળા અને વિશ્વવિદ્યાલયના સ્તર સુધી પ્રચલિત થાય તો અબઘડી હાલની સરકાર નિશાળોમાં સરસ્વતી પૂજનની માફક સંસ્કૃતનો અભ્યાસ પણ ફરજિયાત દાખલ કરશે. તો આ સમાચાર પરથી આપણે શો પદાર્થપાઠ લેવો રહ્યો? સહુ પ્રથમ તો પ્રાથમિકથી માંડીને યુનિવર્સિટી કક્ષાનું ભણતર દરેક બાળકની માતૃભાષા-કે જે તેની પ્રાંતીય ભાષા પણ હશે તેમાં જ અપાય, બીજી ભાષા તરીકે હિન્દી, ત્રીજી ભાષા તરીકે સંસ્કૃત અને ચોથી ભાષા ઇંગ્લિશ એક વૈકલ્પિક ભાષા તરીકે શીખવાય તો ન માત્ર સ્વભાષા જળવાઈ રહેશે પરંતુ આપણાં બાળકો બીજા બધા વિષયોમાં માત્ર પોપટિયું નહીં પણ ઊંડી સમજ સાથેનું ‘જ્ઞાન’ (આજે અપાય છે તે તો માત્ર માહિતી છે) મેળવતાં થઈ જશે. પશ્ચિમના દેશોની શિક્ષણ પદ્ધતિ આ નિયમ પ્રમાણે જ ગોઠવાઈ છે અને તેથી જ તો એ દેશોના નાગરિકો જરૂર પડ્યે દુનિયાની કોઈ પણ ભાષામાં પ્રભુત્વ મેળવી શકે છે. અહીં દુનિયા સાથે કદમ મિલાવી શકે તેવા વેપારીઓ, વૈજ્ઞાનિકો અને અન્ય વ્યાવસાયિકો પેદા કરવા માટે ઇંગ્લિશ શિક્ષણ અને ઇંગ્લિશ માધ્યમની શાળાની ભલામણ કરતા સમુદાયને ધરપત આપી શકાય કે જે વિદ્યાર્થીઓ માતૃભાષા અને રાષ્ટ્રભાષામાં પારંગત થયા હશે તેઓ ઘડીના છઠ્ઠા ભાગમાં ઇંગ્લિશ પર અત્યારે મેળવે છે તેના કરતાં અનેક ગણું સારું પ્રભુત્વ હાંસલ કરીને દુનિયામાં પોત પોતાના ક્ષેત્રમાં નામના કાઢશે તે નિ:શંક છે. વધારામાં પોતાની સંસ્કૃિત, વિજ્ઞાન અને તત્ત્વજ્ઞાનથી વેગળા નહીં થઈ ગયા હોવાને કારણે જગતને પણ તેની લ્હાણી કરી શકશે.

શિક્ષણના ખરા માધ્યમની પસંદગી અને ભારતની સંસ્કૃત સહિતની તમામ ભાષાઓના શિક્ષણ તેમ જ તમામ સ્તરે તેનો ઉપયોગ કરવાના નિર્ણયને ખરી ઘરવાપસી કહી શકાય તેમ મારું નમ્ર પણે માનવું છે.

e.mail : 71abuch@gmail.com

Loading

ફાંસી પછી …

કુમાર પ્રશાંત|Opinion - Opinion|21 August 2015

યાકૂબ મેમણને ફાંસીની સજા મળી હતી, ફાંસી થઈ ગઈ! એક જિંદગી પણ ખતમ થઈ અને એક કહાણી પણ.

મારા જેવા અનેક લોકો જે માને છે કે ફાંસીની સજા ન હોવી જોઈએ, મારી જેમ જ અફસોસ કરતા હશે. મને અફસોસ એ વાતનો નથી કે યાકૂબ મેમણને ફાંસી થઈ, મને એ વાતનો અફસોસ છે કે એક માનવીય જીવન વ્યર્થ ચાલ્યું ગયું અને આપણે એક રાષ્ટ્ર અને સમાજ તરીકે જોતાં રહ્યાં. આ એક બહુ જ અફસોસજનક અને શરમજનક અહેસાસ છે કે સમગ્ર રાષ્ટ્ર, સમગ્ર સમાજ, આપણી આખી રાજકીય વ્યવસ્થા અને આપણું આખું ન્યાયતંત્ર એકસાથે મળીને એક માણસને એકદમ એકલો-અટૂલો પાડીને નિરુપાય કરી દે અને પછી એ અવશ  [લાચાર] વ્યક્તિને પકડીને ફાંસીના માંચડે લટકાવી દે! એક જીવતા માણસને લાશમાં ફેરવીને કોઈ દેશ કે કોઈ સમાજ ન બહાદુર બને છે અને ન સુરક્ષિત!

આવી દરેક વાત અંગે અગણિત લોકો મળશે, જે ઊછળી-ઊછળીને પૂછશે કે શું તે ગુનેગાર નહોતો? શું તેણે જેટલા નિર્દોષ લોકોનું લોહી વહેવડાવ્યું, એને ભૂલી જઈએ? ના, આપણે ક્યારે ય ન ભૂલીએ, ન ભુલાવીએ, પરંતુ એટલું જરૂર યાદ રાખીએ કે એક સવાલ ફાંસી આપવા કે ન આપવા કરતાં મોટો છે, અને તે એ કે અપરાધ અને અપરાધીઓ અંગે આપણો દૃષ્ટિકોણ કેવો છે અને કેવો હોવો જોઈએ? યાકૂબને ફાંસી આપી દેવાયા પછી જ હું આ લખી રહ્યો છું, જેથી આપણે તણાવ કે ઉન્માદને અવગણીને ઠંડાં દિલો-દિમાગથી આ સવાલ અંગે વિચારીએ. દેશમાં એક કાયદો છે, બંધારણ છે અને ન્યાય પ્રક્રિયા છે. આપણે સૌ તેનાથી બંધાયેલા છીએ અને આપણામાંથી કોઈ પણ તેનાથી ઉપર નથી. અદાલતના ચુકાદાઓથી આપણે અસહમત થઈ શકીએ, પરંતુ તેની અવમાનના કરી શકતા નથી, કારણ કે લોકશાહીનો એ તો પાયો છે કે આપણે અંગત મત ધરાવી શકીએ, પરંતુ સામૂહિક નિર્ણયથી આગળ વધીએ છીએ. એટલે યાકૂબ મેમણની લાંબી ન્યાયિક પ્રક્રિયા પછી, આખરી દિવસની આખરી રાત સુધી વિચાર કર્યા પછી પણ જો સુપ્રીમ કોર્ટે ફાંસીની સજા સંભળાવી હોય, તો તે ન્યાયસંગત જ હશે, એવું આપણે માનવું જોઈએ, આપણી અંગત અસહમતી પછી પણ!

હવે કસાબ પણ નથી, અફઝલ ગુરુ પણ નથી, યાકૂબ મેમણ પણ નથી, પરંતુ આપણે તો છીએ, આપણાં સંતાનો તો છે. આ સમાજ તો છે, જેમાં આપણે અને આપણા પછીની પેઢીએ રહેવાનું છે અને જીવન વિતાવવાનું છે. શું એવો સમાજ માણસોને રહેવાલાયક હશે, જેમાંથી મારો-મારો, ફાંસી આપો, ખૂન કા બદલા ખૂન, એક માથું કાપશો તો દસ કાપીશું, જેવા દેકારા-પડકારા ચાલતા હોય? શું આપણે ઇચ્છીશું કે આપણાં બાળકોનું મન બદલા લેવાની ચાલો-કુચાલોની વચ્ચે પરિપક્વ બને? શું આપણે ઇચ્છીએ છીએ કે આપણા સમાજમાં સતત કસાબ પેદા થાય, અફઝલ ગુરુ કે ટાઇટર મેમણ પેદા થાય, જેથી જેવા સાથે તેવાનો અભિગમ અપનાવી શકાય? સમાજની સામૂહિક વિચારધારા વિકૃત કરી દેવામાં આવે, તેનું પાશવીકરણ કરી દેવામાં આવે, ત્યારે જ આવા લોકો પેદા થતા હોય છે. દુનિયાનો દરેક સમાજ ઇચ્છે છે કે લોકો શાંતિપૂર્વક રહે, પ્રામાણિકતાથી આજીવિકા રળે અને સન્માનભેર જીવન જીવે! દરેક સમાજ આવું ઇચ્છે છે ખરો પણ આ દિશામાં કોશિશ ભાગ્યે જ કોઈ કરે છે. એટલે જ જરૂરી છે કે સમાજના શાણા લોકોનું નેતૃત્વ વારંવાર અને દર વખતે આપણી દિમાગની સરહદોને વધારવાની કોશિશ કરે. અમારું કહેવાનું એમ નથી કે યાકૂબને ફાંસી ભૂલ હતી, પરંતુ અમે ભાવપૂર્વક અને ઊંચા અવાજે કહેવા માગીએ છીએ કે કોઈની ફાંસીને ઉત્સવ કે વિજયનું પ્રતીક બનાવવી, એ માનવતાની દૃષ્ટિએ અપરાધ છે. શું આપણે આવનારી પેઢીઓનું માનસ એવું બનાવવા માગીએ છીએ, જેને લોહીની વાસમાંથી ખુશબૂ આવતી હોય? આવો સમાજ માનવીઓનો તો ન હોઈ શકે! સમાજનું આવું પાશવીકરણ કરતાં જશું, તો પછી આખરમાં એવી જ યાદવાસ્થળી સર્જાશે, જેને કાબૂમાં લેવાનું ભગવાન શ્રીકૃષ્ણના હાથની વાત પણ નહોતી રહી અને છેવટે કોઈ સામાન્ય ધનુર્ધરના બાણથી પોતાનો અંત કબૂલ કરવાનો એકમાત્ર રસ્તો જ બચતો હોય છે.

એક વ્યક્તિ કે પછી એક સમુદાયનું ઉન્માદમાં આવવું, બહેકી જવું, ભટકી જવું દુર્ભાગ્યપૂર્ણ છે, પરંતુ આવું બની શકે છે, પરંતુ આપણે તેનો જવાબ એક સમાજ કે એક વ્યવસ્થાને ઉન્માદગ્રસ્ત બનાવીને આપવા માગીએ, તો એક વિવેકહીનતાની ચરમસીમા ગણાશે. આ ચરમસીમા આપણે જોઈ ચૂક્યા છીએ – દેશના ભાગલા પડ્યા તે વખતનાં રમખાણોમાં અને ૨૦૦૨ના ગુજરાતનાં રમખાણોમાં, હિરોશિમામાં જોયું, વિયેતનામમાં જોયું, પોલૅન્ડ અને ચૅકોસ્લોવાકિયામાં પણ આ જ જોયું છે. સમાજોના વિખરાવ, સભ્યતાઓના વિનાશ અને લોકોને ઘેટાં-બકરાંની જેમ કતલ થતાં જોયાં છે. એટલે કોઈ પણ સ્વસ્થ સમાજનું, જવાબદાર પ્રશાસનનું એ દાયિત્વ પણ છે અને એનું મહત્ત્વપૂર્ણ કાર્ય પણ છે કે તે સામૂહિક ઉન્માદનું શમન કરે. ઉન્માદ ફાટી નીકળે, ત્યારે તે કોઈ ગાંધીને ગોળી મારશે કે કોઈ દિલ્હીને સળગાવી દેશે, તમે કશું ધારી ન શકો કે તે શું કરશે, શું નહીં કરે. એટલે ડગલે ને પગલે, દરેક શ્વાસે-શ્વાસે ઉન્માદ પર કાબૂ મેળવવાનું શીખવું અને શિખવાડવું પડશે. આ દૃષ્ટિએ જેણે એવું કહ્યું કે યાકૂબ મુસ્લિમ હોવાથી તેને ફાંસી અપાઈ છે, તેમનો ગુનો ઘણો મોટો છે. જેમણે ફાંસી-ફાંસીના પોકારો કર્યા, તેમનો ગુનો ઘણો મોટો છે. એક માણસને મારી નાખીને કોઈ પાકિસ્તાન કે કોઈ આઈ.એસ.આઈ.ને જવાબ દેવાની વાહિયાત વાત કરનારા અવિવેકી જ છે અને તેમનો ગુનો ઘણો મોટો છે.

આપણે ત્યાં જ્યાં સુધી ફાંસીની સજા માન્ય છે, ત્યાં સુધી અદાલતો જે કોઈને પણ કાયદાની કસોટીએ કસીને આ સજાને લાયક ગણશે, તેને ફાંસી અપાતી રહેશે. આમાં અદાલતોથી નારાજગીનું કોઈ કારણ નથી, પરંતુ અદાલતો જે બંધારણના આધારે ચાલે છે, એ બંધારણે જ પોતાની સજા વિરુદ્ધ લડવાની અનેક તકો પૂરી પાડી છે. આ દેશના દરેક નાગરિકને એટલે કે દેશમાં ગુનો કરતી પકડાઈ ગયેલી કોઈ પણ વ્યક્તિને એ તમામ તકનો લાભ લેવાનો પૂર્ણ અધિકાર છે, અને આપણી ન્યાયપાલિકાની બંધારણ મુજબ જવાબદારી છે કે તે દરેક અપરાધીને એ તમામ અધિકારોનો ઉપયોગ કરવાની તક આપે. એટલે જે લોકો એવી કાગારોળ કરે છે કે કસાબ પર કેસ ચલાવવાની ક્યાં જરૂર હતી કે પછી જે લોકો એવી વાતો ચલાવતા હતા કે યાકૂબ ફાંસીથી બચવા માટે ચાલો ચાલી રહ્યો છે, એ આપણા દેશ-સમાજની કુસેવા કરનારા છે. ફાંસીથી બચવા-બચાવવાની દરેક બંધારણમાન્ય કોશિશનું સન્માન જ થવું જોઈએ, એટલું જ નહીં તેનું સમર્થન પણ થવું જોઈએ, જેથી આપણે બધા અનુભવી શકીએ કે આપણો ભારતીય સમાજ અને તેની બંધારણમાન્ય વ્યવસ્થાઓ દરેક જિંદગીનું સન્માન કરે છે. એટલે જે ૧૦૦થી વધારે લોકોએ છેવટ સુધી યાકૂબની અરજી પર પુનર્વિચાર કરવાની અપીલ કરી, એ તમામ લોકો આપણા સમાજના સ્વસ્થ વિવેકના પ્રહરી છે. તેમણે એવું નહોતું કહ્યું કે યાકૂબ નિર્દોષ છે (જો કે, આવું કહેવાનો દરેક ભારતીયનો અધિકાર અક્ષુણ્ણ છે જ!), બલકે એવું કહેલું કે આ કેસમાં આવી રહેલાં નવાં તથ્યોના ઉજાસમાં ફરી-ફરી તમે પુનર્વિચાર કરો, જેથી જે જિંદગી આપણે આપી શકતા નથી, તેને લેતાં પહેલાં દરેક તથ્યની તપાસ થઈ શકે. આમ, પોતાના બચાવની દરેક કોશિશ કરી રહેલો યાકૂબ આપણા વ્યંગ્યનો નહિ, આપણી સહાનુભૂતિને પાત્ર હતો, કારણ કે તે એ બંધારણમાન્ય માર્ગનો ઉપયોગ કરી રહ્યો હતો, જેનો ઉપયોગ આપણામાંની દરેક વ્યક્તિ એવી હાલતમાં કરવા માગે. યાકૂબનો એ વકીલ બહુ ખોટા સમયે બહુ ખોટી વાત કહી રહ્યો હતો, જેણે મોડી રાતે આખરી સુનાવણી વિફળ રહ્યા પછી પત્રકારોને કહ્યું કે સર્વોચ્ચ અદાલતે આ માંગને ખોટા દૃષ્ટિકોણથી ફગાવી દીધી. આપણે સર્વોચ્ચ અદાલતના ચુકાદાથી અસહમત તો થઈ શકીએ છીએ અને તેને યોગ્ય તકે, યોગ્ય જગ્યાએ વ્યક્ત પણ કરી શકીએ છીએ, પરંતુ આટલા સંવેદનશીલ માહોલમાં, વકીલાત જેવા વ્યવસાય સાથે જોડાયેલો કોઈ જવાબદાર વકીલ સર્વોચ્ચ અદાલતના આખરી ચુકાદા પર આવી ટિપ્પણી કરે, તો એ ઉન્માદ ભડકાવવાનું કારણ બની શકે છે.

યાકૂબ મેમણને તેની ગતિ પ્રાપ્ત થઈ ચૂકી છે. એક સમાજ તરીકે આપણે આપણો લય શોધવાનો છે.

અનુવાદક : દિવ્યેશ વ્યાસ

e.mail : divyeshvyas.amd@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 16 અૉગસ્ટ 2015; પૃ. 13-14

Loading

...102030...3,7053,7063,7073,708...3,7203,7303,740...

Search by

Opinion

  • ધર્મેન્દ્ર – નોટ જસ્ટ અ હી-મેન 
  • આસ્થા અને ભ્રમ વચ્ચે જન્મેલી સચ્ચાઈ; પંથની  ગાથાનો એક છૂપો પક્ષ
  • પ્રિટર્મ બેબી – ધ યુનિક જર્ની ઑફ ફેઈથ એન્ડ ફિયર 
  • કામિની કૌશલ: અધૂરી મહોબ્બત અને સ્ત્રીના કર્તવ્યનો સિનેમાઈ ઇતિહાસ
  • જય ભીમ’ ખરેખર શું છે? 

Diaspora

  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ
  • મારી દુનિયાનાં તમામ બાળકો

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved