હમણાં યાકૂબ મેમણના કેસમાં અપાયેલા મૃત્યુદંડ વિશે જાહેરમાં જે ઊહાપોહ અને ખેંચતાણ થઈ, તેનાથી ઘણાનાં મનમાં સામાન્ય મૂંઝવણથી લઈ ભારે આક્રોશ સુધીના ભાવ જન્મ્યા. ખાસ કરીને મૃત્યુદંડ રદ કરવાની રજૂઆતો મોટા ભાગની જનતાને સમજાઈ નથી. અને આપત્તિજનક લાગી છે. ‘આવા આતંકવાદીને વળી માફી શાની? દયા શાની?’ એમણે આટલા બધા નિર્દોષોની ઠંડે કલેજે હત્યા કરવાની યોજના બનાવી એમાં દયા રાખી હતી?’ ઘણાનાં મોઢે તો એમ પણ સાંભળ્યું કે ‘આવા આતંકવાદીને તો કેસ પણ ચલાવ્યા વિના સીધી જ ગોળી મારી દેવી જોઈએ.’ આવા મનોભાવો વચ્ચે જે લોકો માફી માટે દરખાસ્ત/અરજી કરી રહ્યા હતા, તે બધા દેશદ્રોહી અને આતંકવાદના સમર્થકો છે, એવી આક્રોશપૂર્ણ ભાવનાઓ પણ વ્યક્ત થઈ. પણ આ લેખનો હેતુ યાકૂબ મેમણના કેસ વિશે વિચારવાનો નહીં, આધુનિક લોકશાહીમાં મૃત્યુદંડના વિરોધની તાત્ત્વિક ભૂમિકા તરફ નિર્દેશ કરવાનો છે.
મીડિયામાં ચમકતા ઘણા નિષ્ણાતો, રાજ્ય પોતે કોઈ વ્યક્તિનો પ્રાણ લે તે અનૈતિક અને ખૂની પ્રવૃત્તિ છે, એમ વિવિધ રીતે કહેતા હોય છે. અને ઘણે ભાગે ‘ડિટરન્સ થિયરી’ (મૃત્યુદંડ હોવાથી ગુનેગાર ગંભીર ગુના કરતાં ખચકાય છે) બધા સંશોધનાત્મક અભ્યાસમાં ખોટી પુરવાર થઈ છે, એ વાતને ખાસ મહત્ત્વ આપે છે. ટીવી પર એક નિષ્ણાતને એમ કહેતા પણ સાંભળ્યા કે, જો કોઈ તટસ્થ અભ્યાસનું તારણ નીકળે કે મૃત્યુદંડથી ગુના ઘટે છે, તો તેઓ એને સમર્થન આપવા તૈયાર છે. પણ આવી દલીલો અપર્યાપ્ત છે, ખરેખર તો ડિટરન્સ સાબિત થતું હોય તો પણ લોકશાહીમાં મૃત્યુદંડ શરમજનક અને રદ કરવા યોગ્ય છે.
બીજી વધુ સારી/સાચી દલીલ એ છે કે મૃત્યુદંડ ઇરિવર્સિબલ (Irreversible) છે. એટલે કે એ સજા એક વાર આપ્યા બાદ પાછી લઈ શકાતી નથી. માટે જો પાછળથી ગુનેગાર નિર્દોષ માલૂમ પડે કે એવાં તથ્યો, પુરાવાઓ સામે આવે, જેના આધારે એવી સજા રદ થવા પાત્ર બનતી હોય (Mitigating circumstances), તો પણ એમ કરી શકાતું નથી. કાયદા, ન્યાયાધીશો, વકીલો સાથે આખું ન્યાયતંત્ર એટલે સ્વયંસંપૂર્ણ નથી કે આવી ઇરિવર્સિબલ સજા આપી શકે. સૉક્રેટિસ જેવાને પણ લોકશાહી ઢબે મૃત્યુદંડ અપાયેલો છે.
પરંપરાગત રાજાશાહીમાં રાજ્યશક્તિ ઈશ્વરપ્રદ મનાતી હતી, અને તેથી રાજાનો ઈશ્વરની જેમ જીવન લેવાનો હક્ક પણ મનાતો હતો. લોકશાહીમાં રાજ્યશક્તિ પ્રજા પાસેથી મળે છે. એમાં સીધો કોઈ દૈવી અંશ ગણાતો નથી. માટે જે વસ્તુ લોકો આપી ન શકે તે લઈ કેવી રીતે શકે? કોઈ વ્યક્તિ દ્વારા બીજી વ્યક્તિની હત્યા એ કાયદાની દૃષ્ટિએ અપરાધ છે. તો તે જ કામ રાજ્ય ‘ન્યાય’ તરીકે કેવી રીતે કરી શકે? આધુનિક લોકશાહીમાં ન્યાય બદલાના અર્થમાં બિલકુલ માન્ય નથી.
પણ મૃત્યુદંડ લોકશાહીમાં શોભતો નથી, એનું સૌથી મહત્ત્વનું અને મૂળભૂત કારણ કયું? એ સમજવા લોકશાહી રાજ્ય એ કોઈ પણ વ્યક્તિ કરતાં ઘણી ઉચ્ચતર હસ્તી (Transcendental Being) છે, એ સમજવું ખાસ જરૂરી છે. વ્યક્તિગત સ્તરે કોઈની આપરાધિક કે હિંસાત્મક પ્રવૃત્તિ જોઈને આપણું લોહી ઊકળી આવે અને તેને તાત્કાલિક ગોળી મારી દેવાની ઇચ્છા પણ થઈ આવે. પણ જ્યારે એક લોકશાહી રાજ્ય એવા અપરાધીની સામે નજર કરે, ત્યારે એક વ્યક્તિના સ્તરની ભાવનાઓથી દોરવાતું નથી. એન્કાઉન્ટર વિશેની ચર્ચા પણ આ બે દૃષ્ટિકોણના સંઘર્ષમાંથી જ જન્મી હતી.
આધુનિક લોકશાહી રાજ્ય એક પ્રજા/ દેશની સાથેસાથે મનુષ્યજાતના ઇતિહાસ, સંસ્કૃિત, ધર્મ, નૈતિકતા અને પેઢીઓથી ઉત્ક્રાંતિ પામેલા અને કેળવાયેલા, દૃઢીભૂત થયેલાં ઉચ્ચતર/ ઉચ્ચતમ સંસ્કાર, મૂલ્યો અને આદર્શોનું પણ પ્રતિનિધિત્વ કરે છે. તેમાં ઈશ્વરીય અવતારોથી લઈને બધા સંતો, વિચારકો, વિદ્વાનો, કલાકારોનો સમાવેશ થાય છે. જ્યારે લોકશાહી રાજ્યને આવી ઉચ્ચતર હસ્તી તરીકે આપણે જોઈએ (કે જે તે છે જ !) તો તેવી હસ્તી ઘણી ઉદાર અને અનુકંપાશીલ જણાશે કે જે વ્યક્તિગત ભાવનાઓ અને નીતિમત્તાથી પણ ઘણી ઉદાત્ત હોય, માટે જ એક બળાત્કારી, ખૂની કે આતંકવાદીને પોતાના કાનૂની બચાવની પૂરી તક અને સુવિધા અપાય છે. પણ જેઓ સાચો સિદ્ધાંત સમજી શકતા નથી, તેમને લોકશાહી રાજ્યની આવી પદ્ધતિ / પ્રક્રિયા નબળાઈ જેવી દેખાય છે અને તે માટે રોષ પ્રગટે છે. કસાબને જિવાડી તેના પર કેસ ચલાવવામાં કેટલા પૈસા દેશે ખર્ચ્યા? કસાબને બિરિયાની? આવા-આવા પ્રશ્નો નિર્દોષ દેશભક્તોને પજવે છે. મારા એક ફેસબુક મિત્રે નીચેની પોસ્ટ શેર કરી છે :
जागो भारत जागो
सेना से निवेदन है – किसी आतंकीको पकडने के बजाय गोली मार दैं, नहीं तो बाद में गद्दार लोग राष्टृपति को चिठ्ठी लिखकर उन्हें छोडने की गुहार लगायेंगे
क्या आप सहमत है ?
ઉપરના બકવાસ માટે ન્યાયની અને નૈતિકતાની વાત જવા દઈએ, તો વ્યૂહાત્મક રીતે પણ તે મુર્ખામીભર્યો છે. ખરેખર તો જીવતો પકડાયેલો આતંકવાદી પોલીસ કે લશ્કર માટે માહિતીની મોટી ખાણ પુરવાર થાય છે. માટે જ સુરક્ષાદળોને તેમને શક્ય હોય ત્યાં સુધી જીવતા પકડવાની અને આતંકવાદીઓને તે રીતે ન પકડવાની સૂચના હોય છે.
લોકશાહી રાજ્યને ઉચ્ચતર હસ્તી તરીકે જોવું એ કોઈ આદર્શવાદ નથી – ખાસ જરૂરી છે. અને એ રીતે સમજીએ તો એ પરંપરાગત રાજાશાહી કરતાં ઘણી વધુ અને વાસ્તવિક રીતે દૈવી અંશ ધરાવે છે. આધુનિક લોકશાહી પરંપરાગત રાજ્યવ્યવસ્થાઓ કરતાં આ રીતે જ ઊંચેરી છે. લોકોમાં અને રાજનેતાઓમાં રાજ્યશક્તિની આવી દિવ્યતાનો ખ્યાલ હોવો ખાસ જરૂરી છે. રાજનેતાઓ પણ જ્યારે યાકૂબ મેમણ જેવા કેસમાં વ્યક્તિગત ભાવનાઓથી દોરવાઈ જુસ્સાપૂર્વક નિવેદનો કરે તે મોટી કમનસીબી છે. અત્યારના રાજ્યવહીવટમાં જોવા મળતી તુમાખી, જડતા અને કઠોરતા એવી સમજના અભાવે જ છે, અને એવી સમજથી જ દૂર થઈ શકે. ચળવળિયાઓના ઊહાપોહથી નહીં!
મીડિયામાં પણ ઘણી વાર આતંકવાદ, બળાત્કાર વગેરે સમાચાર ‘અમુકને ન્યાય ક્યારે મળશે?’ કે ‘ફલાણાને પૂરો ન્યાય મળ્યો?’ જેવા પ્રશ્નોથી રજૂ થતા હોય છે. એમાં એ ભૂલી જવાય છે કે લોકશાહી તંત્રમાં ન્યાયપ્રક્રિયા કોઈના વ્યક્તિગત આક્રોશ કે બદલાની ઝંખનાને ઠારવા માટે નથી. તે વધુ વ્યાપક અને ઉચ્ચતર હેતુઓ સિદ્ધ કરવા માટે છે. દિલ્હીના જઘન્ય બળાત્કાર અને હત્યાકેસમાં સગીર તરીકે છૂટેલા (કે જે સૌથી વધુ હિંસક હતો!) આરોપીને ફાંસી આપવાની માંગ છોકરીની મા પહેલેથી જ કરે છે. ઘણાને એની વાત સાથે સહાનુભૂતિ હોય છે, પણ એક રાષ્ટ્ર તરીકે એવા અપરાધીને જોવાની દૃષ્ટિ ઘણી અલગ અને વિશાળ હોય છે – અને હોવી જોઈએ જ. અન્યથા ‘ખૂન કા બદલા ખૂન’ જેવા કાયદા આપણને જંગલરાજ તરફ ધકેલી શકે.
ફ્રેંચ વિચારક ઝાક દેરિદા(The Death Penalty, Vol. 1)ના કહેવા મુજબ પ્રાશ્ચાત્ય તત્ત્વજ્ઞાને સાર્વભૌમ રાજ્યને જીવન લેવાનો હક્ક છે, એ વિચારને સીધી યા આડકતરી રીતે પરિપુષ્ટ કર્યો છે. તેના વિચાર મુજબ, મૃત્યુના સમયની અનિશ્ચિતતા, જે આપણા મર્યાદિત જીવનની જે ખાસ ખૂબી છે, તેનો મૃત્યુદંડ છેદ ઉડાડે છે અને તે રીતે કદાચ એ ખૂબ કરતાં પણ ઘણી મોટી હિંસા છે.
આ લેખમાં આધુનિક લોકશાહી માટે ‘દિવ્યતા’ શબ્દનો પ્રયોગ થોડો અતિશયોક્તિપૂર્ણ, ભારેખમ કે ભાવનાશીલ લાગે; પણ એ હું સમજી-વિચારીને કરી રહ્યો છું. આધુનિક લોકશાહી એક વ્યક્તિને દંડીત કરતી વખતે જે વિશાળ દૃષ્ટિ, ઉદારતા, સંયમ અને સહિષ્ણુતાનો પરિચય આપે છે, તે અત્યાર સુધીના માનવઇતિહાસમાં અભૂતપૂર્વ છે અને બધા ગુણ શું દિવ્યતાના અંશ નથી?
e.mail : jagrut.gadit@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક”, 16 સપ્ટેમ્બર 2015; પૃ. 20-21
![]()


લતા મંગેશકરને ૨૦૦૧માં ભારતરત્ન મળ્યો અને એમ.એસ. સુબ્બલક્ષ્મીને ૧૯૯૮માં ભારતરત્ન એનાયત થયો હતો. લતા મંગેશકરને ભારતરત્ન એનાયત થયો એના ત્રણ વર્ષ અગાઉ એમ.એસ. સુબ્બલક્ષ્મીને એ ઇલકાબ એનાયત થયો હતો. એમ.એસ. સુબ્બલક્ષ્મી ભારતનાં પહેલા મહિલા ગાયિકા છે જેમને ભારતનો પહેલો સંગીતક્ષેત્રનો ભારતરત્ન ઇલકાબ મળ્યો હતો. છતાં કોઈએ લતા મંગેશકરનું નામ સાંભળ્યું હોય અને એમ.એસ. સુબ્બલક્ષ્મીનું નામ ન સાંભળ્યું હોય એવું બની શકે છે. બંને સંગીતક્ષેત્રની હસ્તીઓ છે. બંને દેવીઓ છે. દેવીઓમાં સરખામણી ન હોય છતાં આ તો એક સાદો અભ્યાસ છે. સરખામણી કોઈને નીચા દેખાડવા માટે જ ન હોય, પણ એક પ્રમાણ મેળવવા માટે પણ હોઈ શકે. બસ એ રીતે જ આ સરખામણીને નિહાળવી. છતાં કોઈને એવું લાગતું હોય કે આ ગુસ્તાખી છે તો મિચ્છામી દુક્કડમ.
મુંબઈમાં મકબૂલ ફિદા હુસૈનનાં કેટલાંક ચોક્કસ ઠેકાણાં હતાં. જેમ કે, તળ મુંબઈમાં આવેલા મેટ્રો સિનેમા પાસેની ઈરાની કેફે. ત્યાંના પારસી ઢબના ગોળ ટેબલ અને ટિપિકલ ખુરશીઓ પર બેસીને હુસૈનસાહેબ કલાકો કાઢી નાખતા હતા. ઉપરાંત, ક્યારેક જુહૂના પૃથ્વી થિયેટરમાં જઈ ચઢે. અમદાવાદ આવે ત્યારે જૂના અમદાવાદની લકી રેસ્ટોરાંની ચા પીવાનું ન ચૂકે. એ રેસ્ટોરાંને ખાસ ચિત્ર દોરીને હુસૈનસાહેબે ભેટ આપેલું જે આજે રેસ્ટોરાંની રોનક વધારે છે.
૩ જાન્યુઆરી, ૧૯૮૮ના રોજ દૂરદર્શન પર 'તમસ' ટીવીસિરીઝ તરીકે રજૂ થવાની શરૂ થઈ ત્યારે લોકો હલબલી ગયા હતા. ચાર હપ્તાની એ ટીવીસિરીઝ એક વૈચારિક આંદોલન જેવી હતી. [આ લેખને અંતે આ ચારે ય ભાગની કડી મૂકી છે : તંત્રી] હિન્દીના મહાન સાહિત્યકાર ભીષ્મ સહાનીની નવલકથા 'તમસ' પરથી ફિલ્મમેકર ગોવિંદ નિહલાનીએ ટીવીસિરીઝ બનાવી હતી. જેમાં દીના પાઠક, ઓમ પુરી, દીપા સાહીથી માંડીને મંજાયેલાં કલાકારોનો જમાવડો હતો. ભારત-પાકિસ્તાનના વિભાજન બાદ દેશ બે ટુકડાઓમાં વહેંચાઈ ગયો અને પછી જે ખાનાખરાબી સર્જાઈ એનું રુવાંટાં સળગાવી દે એવું ચિત્રણ 'તમસ'માં છે.