Opinion Magazine
Number of visits: 9552599
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મૃત્યુદંડ અંગે

જાગૃત ગાડિત|Opinion - Opinion|24 September 2015

હમણાં યાકૂબ મેમણના કેસમાં અપાયેલા મૃત્યુદંડ વિશે જાહેરમાં જે ઊહાપોહ અને ખેંચતાણ થઈ, તેનાથી ઘણાનાં મનમાં સામાન્ય મૂંઝવણથી લઈ ભારે આક્રોશ સુધીના ભાવ જન્મ્યા. ખાસ કરીને મૃત્યુદંડ રદ કરવાની રજૂઆતો મોટા ભાગની જનતાને સમજાઈ નથી. અને આપત્તિજનક લાગી છે. ‘આવા આતંકવાદીને વળી માફી શાની? દયા શાની?’ એમણે આટલા બધા નિર્દોષોની ઠંડે કલેજે હત્યા કરવાની યોજના બનાવી એમાં દયા રાખી હતી?’ ઘણાનાં મોઢે તો એમ પણ સાંભળ્યું કે ‘આવા આતંકવાદીને તો કેસ પણ ચલાવ્યા વિના સીધી જ ગોળી મારી દેવી જોઈએ.’ આવા મનોભાવો વચ્ચે જે લોકો માફી માટે દરખાસ્ત/અરજી કરી રહ્યા હતા, તે બધા દેશદ્રોહી અને આતંકવાદના સમર્થકો છે, એવી આક્રોશપૂર્ણ ભાવનાઓ પણ વ્યક્ત થઈ. પણ આ લેખનો હેતુ યાકૂબ મેમણના કેસ વિશે વિચારવાનો નહીં, આધુનિક લોકશાહીમાં મૃત્યુદંડના વિરોધની તાત્ત્વિક ભૂમિકા તરફ નિર્દેશ કરવાનો છે.

મીડિયામાં ચમકતા ઘણા નિષ્ણાતો, રાજ્ય પોતે કોઈ વ્યક્તિનો પ્રાણ લે તે અનૈતિક અને ખૂની પ્રવૃત્તિ છે, એમ વિવિધ રીતે કહેતા હોય છે. અને ઘણે ભાગે ‘ડિટરન્સ થિયરી’ (મૃત્યુદંડ હોવાથી ગુનેગાર ગંભીર ગુના કરતાં ખચકાય છે) બધા સંશોધનાત્મક અભ્યાસમાં ખોટી પુરવાર થઈ છે, એ વાતને ખાસ મહત્ત્વ આપે છે. ટીવી પર એક નિષ્ણાતને એમ કહેતા પણ સાંભળ્યા કે, જો કોઈ તટસ્થ અભ્યાસનું તારણ નીકળે કે મૃત્યુદંડથી ગુના ઘટે છે, તો તેઓ એને સમર્થન આપવા તૈયાર છે. પણ આવી દલીલો અપર્યાપ્ત છે, ખરેખર તો ડિટરન્સ સાબિત થતું હોય તો પણ લોકશાહીમાં મૃત્યુદંડ શરમજનક અને રદ કરવા યોગ્ય છે.

બીજી વધુ સારી/સાચી દલીલ એ છે કે મૃત્યુદંડ ઇરિવર્સિબલ (Irreversible) છે. એટલે કે એ સજા એક વાર આપ્યા બાદ પાછી લઈ શકાતી નથી. માટે જો પાછળથી ગુનેગાર નિર્દોષ માલૂમ પડે કે એવાં તથ્યો, પુરાવાઓ સામે આવે, જેના આધારે એવી સજા રદ થવા પાત્ર બનતી હોય (Mitigating circumstances), તો પણ એમ કરી શકાતું નથી. કાયદા, ન્યાયાધીશો, વકીલો સાથે આખું ન્યાયતંત્ર એટલે સ્વયંસંપૂર્ણ નથી કે આવી ઇરિવર્સિબલ સજા આપી શકે. સૉક્રેટિસ જેવાને પણ લોકશાહી ઢબે મૃત્યુદંડ અપાયેલો છે.

પરંપરાગત રાજાશાહીમાં રાજ્યશક્તિ ઈશ્વરપ્રદ મનાતી હતી, અને તેથી રાજાનો ઈશ્વરની જેમ જીવન લેવાનો હક્ક પણ મનાતો હતો. લોકશાહીમાં રાજ્યશક્તિ પ્રજા પાસેથી મળે છે. એમાં સીધો કોઈ દૈવી અંશ ગણાતો નથી. માટે જે વસ્તુ લોકો આપી ન શકે તે લઈ કેવી રીતે શકે? કોઈ વ્યક્તિ દ્વારા બીજી વ્યક્તિની હત્યા એ કાયદાની દૃષ્ટિએ અપરાધ છે. તો તે જ કામ રાજ્ય ‘ન્યાય’ તરીકે કેવી રીતે કરી શકે? આધુનિક લોકશાહીમાં ન્યાય બદલાના અર્થમાં બિલકુલ માન્ય નથી.

પણ મૃત્યુદંડ લોકશાહીમાં શોભતો નથી, એનું સૌથી મહત્ત્વનું અને મૂળભૂત કારણ કયું? એ સમજવા લોકશાહી રાજ્ય એ કોઈ પણ વ્યક્તિ કરતાં ઘણી ઉચ્ચતર હસ્તી (Transcendental Being) છે, એ સમજવું ખાસ જરૂરી છે. વ્યક્તિગત સ્તરે કોઈની આપરાધિક કે હિંસાત્મક પ્રવૃત્તિ જોઈને આપણું લોહી ઊકળી આવે અને તેને તાત્કાલિક ગોળી મારી દેવાની ઇચ્છા પણ થઈ આવે. પણ જ્યારે એક લોકશાહી રાજ્ય એવા અપરાધીની સામે નજર કરે, ત્યારે એક વ્યક્તિના સ્તરની ભાવનાઓથી દોરવાતું નથી. એન્કાઉન્ટર વિશેની ચર્ચા પણ આ બે દૃષ્ટિકોણના સંઘર્ષમાંથી જ જન્મી હતી.

આધુનિક લોકશાહી રાજ્ય એક પ્રજા/ દેશની સાથેસાથે મનુષ્યજાતના ઇતિહાસ, સંસ્કૃિત, ધર્મ, નૈતિકતા અને પેઢીઓથી ઉત્ક્રાંતિ પામેલા અને કેળવાયેલા, દૃઢીભૂત થયેલાં ઉચ્ચતર/ ઉચ્ચતમ સંસ્કાર, મૂલ્યો અને આદર્શોનું પણ પ્રતિનિધિત્વ કરે છે. તેમાં ઈશ્વરીય અવતારોથી લઈને બધા સંતો, વિચારકો, વિદ્વાનો, કલાકારોનો સમાવેશ થાય છે. જ્યારે લોકશાહી રાજ્યને આવી ઉચ્ચતર હસ્તી તરીકે આપણે જોઈએ (કે જે તે છે જ !) તો તેવી હસ્તી ઘણી ઉદાર અને અનુકંપાશીલ જણાશે કે જે વ્યક્તિગત ભાવનાઓ અને નીતિમત્તાથી પણ ઘણી ઉદાત્ત હોય, માટે જ એક બળાત્કારી, ખૂની કે આતંકવાદીને પોતાના કાનૂની બચાવની પૂરી તક અને સુવિધા અપાય છે. પણ જેઓ સાચો સિદ્ધાંત સમજી શકતા નથી, તેમને લોકશાહી રાજ્યની આવી પદ્ધતિ / પ્રક્રિયા નબળાઈ જેવી દેખાય છે અને તે માટે  રોષ પ્રગટે છે. કસાબને જિવાડી તેના પર કેસ ચલાવવામાં કેટલા પૈસા દેશે ખર્ચ્યા? કસાબને બિરિયાની? આવા-આવા પ્રશ્નો નિર્દોષ દેશભક્તોને પજવે છે. મારા એક ફેસબુક મિત્રે નીચેની પોસ્ટ શેર કરી છે :

जागो भारत जागो

सेना से निवेदन है – किसी आतंकीको पकडने के बजाय गोली मार दैं, नहीं तो बाद में गद्दार लोग राष्टृपति को चिठ्ठी लिखकर उन्हें छोडने की गुहार लगायेंगे

क्या आप सहमत है ?

ઉપરના બકવાસ માટે ન્યાયની અને નૈતિકતાની વાત જવા દઈએ, તો વ્યૂહાત્મક રીતે પણ તે મુર્ખામીભર્યો છે. ખરેખર તો જીવતો પકડાયેલો આતંકવાદી પોલીસ કે લશ્કર માટે માહિતીની મોટી ખાણ પુરવાર થાય છે. માટે જ સુરક્ષાદળોને તેમને શક્ય હોય ત્યાં સુધી જીવતા પકડવાની અને આતંકવાદીઓને તે રીતે ન પકડવાની સૂચના હોય છે.

લોકશાહી રાજ્યને ઉચ્ચતર હસ્તી તરીકે જોવું એ કોઈ આદર્શવાદ નથી – ખાસ જરૂરી છે. અને એ રીતે સમજીએ તો એ પરંપરાગત રાજાશાહી કરતાં ઘણી વધુ અને વાસ્તવિક રીતે દૈવી અંશ ધરાવે છે. આધુનિક લોકશાહી પરંપરાગત રાજ્યવ્યવસ્થાઓ કરતાં આ રીતે જ ઊંચેરી છે. લોકોમાં અને રાજનેતાઓમાં રાજ્યશક્તિની આવી દિવ્યતાનો ખ્યાલ હોવો ખાસ જરૂરી છે. રાજનેતાઓ પણ જ્યારે યાકૂબ મેમણ જેવા કેસમાં વ્યક્તિગત ભાવનાઓથી દોરવાઈ જુસ્સાપૂર્વક નિવેદનો કરે તે મોટી કમનસીબી છે. અત્યારના રાજ્યવહીવટમાં જોવા મળતી તુમાખી, જડતા અને કઠોરતા એવી સમજના અભાવે જ છે, અને એવી સમજથી જ દૂર થઈ શકે. ચળવળિયાઓના ઊહાપોહથી નહીં!

મીડિયામાં પણ ઘણી વાર આતંકવાદ, બળાત્કાર વગેરે સમાચાર ‘અમુકને ન્યાય ક્યારે મળશે?’ કે ‘ફલાણાને પૂરો ન્યાય મળ્યો?’ જેવા પ્રશ્નોથી રજૂ થતા હોય છે. એમાં એ ભૂલી જવાય છે કે લોકશાહી તંત્રમાં ન્યાયપ્રક્રિયા કોઈના વ્યક્તિગત આક્રોશ કે બદલાની ઝંખનાને ઠારવા માટે નથી. તે વધુ વ્યાપક અને ઉચ્ચતર હેતુઓ સિદ્ધ કરવા માટે છે. દિલ્હીના જઘન્ય બળાત્કાર અને હત્યાકેસમાં સગીર તરીકે છૂટેલા (કે જે સૌથી વધુ હિંસક હતો!) આરોપીને ફાંસી આપવાની માંગ છોકરીની મા પહેલેથી જ કરે છે. ઘણાને એની વાત સાથે સહાનુભૂતિ હોય છે, પણ એક રાષ્ટ્ર તરીકે એવા અપરાધીને જોવાની દૃષ્ટિ ઘણી અલગ અને વિશાળ હોય છે – અને હોવી જોઈએ જ. અન્યથા ‘ખૂન કા બદલા ખૂન’ જેવા કાયદા આપણને જંગલરાજ તરફ ધકેલી શકે.

ફ્રેંચ વિચારક ઝાક દેરિદા(The Death Penalty, Vol. 1)ના કહેવા મુજબ પ્રાશ્ચાત્ય તત્ત્વજ્ઞાને સાર્વભૌમ રાજ્યને જીવન લેવાનો હક્ક છે, એ વિચારને સીધી યા આડકતરી રીતે પરિપુષ્ટ કર્યો છે. તેના વિચાર મુજબ, મૃત્યુના સમયની અનિશ્ચિતતા, જે આપણા મર્યાદિત જીવનની જે ખાસ ખૂબી છે, તેનો મૃત્યુદંડ છેદ ઉડાડે છે અને તે રીતે કદાચ એ ખૂબ કરતાં પણ ઘણી મોટી હિંસા છે.

આ લેખમાં આધુનિક લોકશાહી માટે ‘દિવ્યતા’ શબ્દનો પ્રયોગ થોડો અતિશયોક્તિપૂર્ણ, ભારેખમ કે ભાવનાશીલ લાગે; પણ એ હું સમજી-વિચારીને કરી રહ્યો છું. આધુનિક લોકશાહી એક વ્યક્તિને દંડીત કરતી વખતે જે વિશાળ દૃષ્ટિ, ઉદારતા, સંયમ અને સહિષ્ણુતાનો પરિચય આપે છે, તે અત્યાર સુધીના માનવઇતિહાસમાં અભૂતપૂર્વ છે અને બધા ગુણ શું દિવ્યતાના અંશ નથી?  

e.mail : jagrut.gadit@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 16 સપ્ટેમ્બર 2015; પૃ. 20-21

Loading

અહિંસાનો હિંસાચાર : મારું સત્ય અને તમારું સત્ય

રાજ ગોસ્વામી|Opinion - Opinion|23 September 2015

પર્યુષણ દરમિયાન માંસાહાર પર પ્રતિબંધની માગણી કરી રહેલા મુંબઇના જૈન સમુદાયને ‘મુસ્લિમોની જેમ’ નહીં વર્તવાની શિવસેનાની ‘સલાહ’ને (શિવસેનાને તો ઊંબાડિયા મૂકવાની આદત છે કહીને) ગંભીરતાથી ન લઇએ તો પણ એમાંથી વ્યાપક જનમાનસમાં પડેલો દમિત ભાવ બહાર આવે છે: અને તે એ કે, જૈનો પોતાને હિન્દુઓથી અલગ માને છે અને આ માન્યતામાં હવે એ કટ્ટરવાદી પણ બની રહ્યા છે.

ભારતના 50 લાખ જૈનોને (મુસ્લિમોની જેમ) લઘુમતીનો કાનૂની દરજ્જો આપવામાં આવ્યો છે એટલે ‘હિન્દુત્વની રખેવાળ’ શિવસેનાનો ‘આક્રોશ’ સમજી શકાય તેવો છે, પણ સાચો નથી. બહુ ઓછા લોકો એ હકીકતથી વાકેફ છે કે જૈનોમાં અલગાવની જે ભાવના પેદા થઈ છે તેની પાછળ પૌરાણિક હિન્દુઓનો માંસાહાર અને હિંસક વ્યવહાર કારણભૂત છે. બૌદ્ધિક કાળમાં પશુઓના બલિ ચઢાવવાની હિન્દુઓની પરંપરાનો સૌથી પહેલો વિરોધ જૈનોએ કર્યો હતો.

હિન્દુ ગ્રંથ મનુસ્મૃિતને ટાંકીને જૈન સાધુ હેમચંદ્રાચાર્ય(ધંધૂકા)એ કહેલું કે ગલત શાસ્ત્રોના પ્રભાવમાં આવીને હિન્દુઓ હિંસક બની ગયા છે. દિગંબર સાધુ અલંકાએ વ્યંગમાં એમ કહ્યું હતું કે હત્યા કરવાથી જો મોક્ષ મળતો હોય તો તેમણે શિકારી કે માછીમાર બની જવું જોઈએ. એટલા માટે જ પૌરાણિક સમયથી જ જૈનોએ વેદ, મહાભારત અને રામાયણને ગલત શાસ્ત્ર ગણીને અમાન્ય ઠરાવ્યા હતાં. પાછળથી જૈનોએ આ જ ગ્રંથોને આગવી રીતે લખેલા, જેને હિન્દુઓ સ્વીકારતા નથી.

હિન્દુ રામાયણમાં રામના હાથે રાવણનો વધ થાય છે પરંતુ જૈનોના રામાયણમાં રામ અહિંસક છે અને રાવણ લક્ષ્મણના હાથે મરાય છે. વાલ્મીકિએ રામને ક્ષત્રિય રાજા તરીકે પેશ કર્યા હતા જ્યારે જૈન સંસ્કરણોમાં રામ જૈન મૂલ્યોના પાલન કરનારો એક સાધારણ અહિંસક રાજા છે. એવી જ રીતે જૈન મહાભારતમાં કૃષ્ણની ટીકા કરવામાં આવી છે કારણ કે મહાભારતના હિંસક યુદ્ધ માટે એ જ જવાબદાર છે. જૈન મહાભારતમાં યુદ્ધના અંતે કૃષ્ણ મોક્ષ નથી પામતા પરંતુ હિંસાની સજા રૂપે સાતમા નર્કમાં સબડે છે.

જૈનોના 22મા તીર્થંકર નેમિનાથ કેવી રીતે સાધુ બન્યા તેની પાછળ પણ કૃષ્ણનો હિંસક અભિગમ જવાબદાર છે. જૈન સંસ્કરણ પ્રમાણે નેમિનાથ કૃષ્ણના ભત્રીજા થાય. કૃષ્ણના પિતા વાસુદેવના ભાઈ સમુદ્ર વિજયનો પુત્ર એટલે નેમિનાથ. કૃષ્ણએ આ નેમિનાથમાં ચક્રવર્તી રાજા બનવાનાં લક્ષણ જોયેલાં પણ નેમિનાથ બચપણથી જ આધ્યાત્મમાર્ગી હતો એટલે એનામાં સાંસારિક વૃત્તિઓ પેદા કરવા માટે કૃષ્ણએ એની જ એક રાણી સત્યભામાની બહેન રાજુલ (રાજમતી) સાથે નેમિ કુમારનું ‘ચોકઠું’ ફિટ કરી દીધું. આ નેમિ કુમાર ઘોડે ચઢીને રાજુલને પરણવા જતો હતો ત્યારે રસ્તામાં એણે જોયું કે લગ્નમાં લોકોને ખવડાવવા-પીવડાવવા માટે કૃષ્ણએ અસંખ્ય પ્રાણી-પશુઓનું માંસ રાંધ્યું હતું. આ હિંસા જોઇને નેમિનું હૃદય દ્રવી ઊઠ્યું અને એણે સંસારનો ત્યાગ કરી દીધો.

હિન્દુઓને એ જાણીને આઘાત લાગે કે ઘણા પંડિતો અને અભ્યાસુ ભગવદ્દગીતાને હિંસાને પ્રોત્સાહન આપતા ગ્રંથ તરીકે જુએ છે. અગાઉના સોવિયત સંઘમાં ઇસ્કોન દ્વારા ગીતાનો પ્રચાર જોરશોર પર હતો ત્યારે ગીતામાં હિંસાનો ઉપદેશ છે તેવા આરોપસર ત્યાંની અદાલતમાં ઇસ્કોન પર પ્રતિબંધ મૂકવાની માગણી થઈ હતી.

આમાં આશ્ચર્ય પામવા જેવું નથી. જગતના તમામ ધર્મો પર હિંસાને પ્રોત્સાહન આપવાનું કલંક છે. પૌરાણિક સંઘર્ષોથી લઈને આધુનિક યુદ્ધો સુધીમાં જેટલી ખૂનામરકી થઈ છે તેની પાછળ એક યા બીજી ધાર્મિક માન્યતા કારણભૂત રહી છે. કોઈપણ ધર્મના મૂળમાં હિંસા ન હોય તો પણ એના અર્થઘટનો અને અનુસરણો વ્યાપક હિંસા, ઉપદ્રવ, હત્યા અને દંગલમાં પરિણમ્યાં છે. ધર્મના નામ પર જ્યારે જ્યારે લોકો સંગઠિત થયા છે ત્યારે ત્યારે સંઘર્ષ પેદા થયો છે. આનું કારણ એ કે પ્રત્યેક ધર્મ ‘પોતાના સત્ય’માં માને છે. મારા સત્ય વિરુદ્ધ તમારું સત્ય આવે એટલે ઝઘડો થાય.

એટલા માટે જ, આતંક કે હિંસાનો કોઈ ધર્મ કે દેશ નથી એવી ચોકલેટ ગળે ઊતરે તેવી નથી. ચોપડીઓમાં પ્રેમ અને શાંતિના પાઠ ભણાવાય તે ઠીક પરંતુ હિંસા અને હેવાનિયત ધર્મ અને રાષ્ટ્રની સીમાઓમાં જ મોટાં થાય છે તે સમજવા યુનિવર્સિટીમાં ભણવા જવાની જરૂર નથી. પ્રેમ અને શાંતિના નામે ક્યાંક બે ધર્મો વચ્ચે દંગલ છે તો ક્યાંક એક ધર્મમાં બે લોકોના ભેગા થવાની સામે સંઘર્ષ છે.

યુનિવર્સિટી ઓફ ઓકલાહોમામાં ધાર્મિક બાબતોના પ્રોફેસર ચાર્લ્સ કિંમ્બાલે ‘વેન રિલિજિયન બીકમ્સ ઇવિલ’ નામની કિતાબમાં ધર્મના નામે હિંસા અને યુદ્ધોનો ઇતિહાસ લખતાં કહ્યું હતું કે તમામ ધર્મો મૂળભૂત રીતે હકારાત્મક અને શાંતિના પ્રેરક છે પરંતુ એમાં (1) સત્ય પર એકાધિકાર (2) અંધશ્રદ્ધા (3) આદર્શ કાળની કલ્પના (4) સાધ્ય સાધનને ઉચિત ઠેરવે અને (5) ધર્મયુદ્ધની માન્યતા બળવત્તર બને ત્યારે હિંસા પેદા થાય છે.

જૈનોની જેમ જ જેનો ઉદય અહિંસાના વિચારની આસપાસ જ થયો છે તે બૌદ્ધ ધર્મ પણ હિંસાનું કલંક સહન કરી રહ્યો છે. બૌદ્ધવાદ, જે મુખ્યત્વે ચિંતનાત્મક છે, તે ઘણા દેશોમાં સંગઠિત ધર્મ તરીકે સ્થાપિત થઈ ચૂક્યો છે અને એ મુલકના બીજા ધર્મો સાથે સંઘર્ષમાં ય ઊતર્યો છે. શ્રીલંકામાં બોદુ બાલા સેના (બૌદ્ધ શક્તિદળ) નામનું લડાયક ધાર્મિક સંગઠન અન્ય સંપ્રદાયો અને લઘુમતીઓ પર ત્રાસ વર્તાવવા માટે જાણીતું છે. થાઇલેન્ડ, મ્યાનમાર, જાપાન અને ચીનમાં ઘણાં બૌદ્ધ ધાર્મિક સંગઠનો ખુલ્લેઆમ હિંસાને સાધ્ય પ્રાપ્ત કરવા માટેના સાધન તરીકે વાપરે છે.

આ પણ એક વિચિત્રતા જ છે કે જૈનોની જેમ હિન્દુવાદમાં હિંસાની હાજરીના કારણે જ છૂટા પડેલા બૌદ્ધ ધર્મમાં હવે હિંસા પ્રવેશી ગઈ છે. મજાની વાત એ છે કે હિંસાનો સહારો લેનાર દરેક ધર્મ પોતપોતાની રીતે એ હિંસાને ઉચિત પણ ઠેરવે છે. આમાં મૂળભૂત પ્રશ્ન એ છે કે : હિંસા સારી છે ખરાબ? એક્ચુઅલી, પ્રકૃતિ અને સમાજની રચના જ હિંસાત્મક છે. પ્રકૃતિમાં પશુઓ હિંસાનો સહારો લઈને જીવતાં રહે છે. એમના ઊંચ-નીચ(કમજોર અને બળવાન)નો ક્રમ, પ્રદેશાધિકાર અને જીવન સહવાસીની પસંદગી હિંસાના આધારે નક્કી થાય છે. માનવીય સભ્યતાની સ્થાપના પણ હિંસાથી થઈ છે. જંગલોનો નાશ કરવો, નદી-નાળા ઉલેચવા, પર્વતો તોડવા, પશુઓને ગુલામ બનાવવાં અને એનું ભક્ષણ કરવું એ માનવીય હિંસા જ છે. જંગલમાં પશુઓ ભૂખ સંતોષવા હત્યા કરે છે. સમાજમાં સંપત્તિનું જતન કરવા હિંસા થાય છે.

પ્રકૃતિ અને સભ્યતાની હિંસામાં એક પાયાનો ફરક એ છે કે માત્ર માણસ જ એક એવું પ્રાણી છે જે એની માન્યતા કે વિચારણા રક્ષણ માટે હિંસા કરે છે. ધાર્મિક હિંસાનો જન્મ જ માણસની એના વિચાર પ્રત્યેની અંધશ્રદ્ધામાંથી પેદા થાય છે. આપણા ધાર્મિક નિયમોથી લઈને કાનૂની વ્યવસ્થામાં એક નિહિત હિંસા છે. રોડ ઉપર બંદૂક લઈને પહેરો ભરતા પોલીસમેનથી લઈને ન્યુિક્લયર બોમ્બની પૂરી ગોઠવણમાં સંગઠિત હિંસા છે. સભ્ય સમાજની રચના કરવા હિંસા જરૂરી છે એવું આપણી તમામ વ્યવસ્થાઓમાં દેખીતી રીતે નજરે પડે છે.

અને હવે તો આપણે એક એવા સમયમાં જીવી રહ્યાં છીએ જ્યાં આચારાત્મક હિંસા અને વિચારાત્મક હિંસા એકબીજાની બરોબર છે. એક સૈનિક એની બંદૂક વડે પીડા પહોંચાડી શકે છે તેવી જ રીતે એક ભણેલો-ગણેલો માણસ એના વિચારથી દુ:ખ આપી શકે છે. આપણે વિચારાત્મક હિંસાને હિંસા ગણતા નથી. જૈન-બૌદ્ધ ધર્મના અહિંસાના વિચારને ગાંધીજીએ અપનાવ્યો ત્યારે તેમણે વૈચારિક હિંસાના જોખમને પણ મહત્ત્વ આપેલું. એટલે ચાર્લી હેબ્દો નામનું ફ્રેન્ચ સાપ્તાહિક મહંમદ પેગમ્બરની મજાક કરતા કાર્ટૂન પ્રગટ કરે એ ઉશ્કેરણી પણ કહેવાય અને (વૈચારિક) હિંસા પણ.

ગાંધીજીએ સામાજિક સાફ-સફાઈ કરવા માટે આધ્યાત્મના મંદિરમાં પડેલા અહિંસાના ઝાડુને બહાર કાઢેલું. આજે એ જ અહિંસાના ઝાડુનો ઉપયોગ સખ્તી આચરવામાં ય થઈ રહ્યો છે. મહારાષ્ટ્ર સરકારે ગાયના માંસાહાર પર પ્રતિબંધ મૂક્યો ત્યારે એની પાછળનો તર્ક ગાયોનું જતન કરવાનો હતો. કોણે શું ખાવું અને ના ખાવું એના આ વૈચારિક સંઘર્ષમાંય કેટલી હિંસા છે એ સમજવું અઘરું નથી.

અસલમાં ખાવા-પીવાની આદતો લોકોની ભૌગોલિક પરિસ્થિતિ, આર્થિક હાલત અને સામાજિક રચના સાથે જોડાયેલી છે. સમય અને સંજોગો પ્રમાણે એ બદલાતી પણ રહે છે. અગર મારા દૈનિક આહાર પર કોઈકનું નિયંત્રણ હોય તો એ પણ એક પ્રકારની અહિંસક હિંસા જ છે. નિરામિષતાની આ રાજનીતિમાંથી સમજવા જેવું એટલું જ છે કે આપણા ધાર્મિક આયામો ક્યારેક તો હિંસક બની જ જાય છે. એમાંથી અહિંસાનો આયામ પણ બાકાત રહ્યો નથી. અહિંસાનો આગ્રહ પણ હિંસા જ કહેવાય? સોચો.

સૌજન્ય : “દિવ્ય ભાસ્કર”, 20 સપ્ટેમ્બર 2015

https://www.facebook.com/permalink.php?story_fbid=1480085558986165&id=1379939932334062&substory_index=0

Loading

એમ.એસ. સુબ્બલક્ષ્મી, એમ.એફ. હુસૈન અને ભિષ્મ સહાની − શતાબ્દી સિતારા

તેજસ વૈદ્ય|Opinion - Literature|23 September 2015

કર્ણાટકી સંગીતની પવિત્રતાના પર્યાય એવાં ગાયિકા એમ.એસ. સુબ્બલક્ષ્મી અત્યારે હયાત હોત તો એક સોમાં વર્ષમાં પ્રવેશ્યાં હોત. ભારતીય ચિત્રકલાને જેમણે ભારત તેમ જ વિદેશમાં વધુ પોપ્યુલર કરી એવા દરજ્જેદાર ચિતારા એમ.એફ. હુસૈન જો હયાત હોત તો એક સોમાં વર્ષમાં પ્રવેશ્યા હોત. 'તમસ' જેવી સોંસરવી નવલકથા આપનારા તેમ જ ન માત્ર હિન્દી બલકે ભારતીય સાહિત્યના નોંધપાત્ર સાહિત્યકાર ભીષ્મ સહાની જો હયાત હોત તો સદી પૂરી કરીને એકસો ને એક વર્ષમાં પ્રવેશી ચૂક્યા હોત. યાદ કરીએ આ ત્રણેય મહાન કલાકારોને …

એમ.એસ. સુબ્બલક્ષ્મી જેમનો અવાજ કાનને પાવન કરી દે

લતા મંગેશકરને ૨૦૦૧માં ભારતરત્ન મળ્યો અને એમ.એસ. સુબ્બલક્ષ્મીને ૧૯૯૮માં ભારતરત્ન એનાયત થયો હતો. લતા મંગેશકરને ભારતરત્ન એનાયત થયો એના ત્રણ વર્ષ અગાઉ એમ.એસ. સુબ્બલક્ષ્મીને એ ઇલકાબ એનાયત થયો હતો. એમ.એસ. સુબ્બલક્ષ્મી ભારતનાં પહેલા મહિલા ગાયિકા છે જેમને ભારતનો પહેલો સંગીતક્ષેત્રનો ભારતરત્ન ઇલકાબ મળ્યો હતો. છતાં કોઈએ લતા મંગેશકરનું નામ સાંભળ્યું હોય અને એમ.એસ. સુબ્બલક્ષ્મીનું નામ ન સાંભળ્યું હોય એવું બની શકે છે. બંને સંગીતક્ષેત્રની હસ્તીઓ છે. બંને દેવીઓ છે. દેવીઓમાં સરખામણી ન હોય છતાં આ તો એક સાદો અભ્યાસ છે. સરખામણી કોઈને નીચા દેખાડવા માટે જ ન હોય, પણ એક પ્રમાણ મેળવવા માટે પણ હોઈ શકે. બસ એ રીતે જ આ સરખામણીને નિહાળવી. છતાં કોઈને એવું લાગતું હોય કે આ ગુસ્તાખી છે તો મિચ્છામી દુક્કડમ.

સુબ્બલક્ષ્મી જેવાં મહાન ગાયિકાથી ન માત્ર ગુજરાત બલકે ઉત્તર ભારત પણ ખાસ પરિચિત નથી. જે ખરેખર ખોટનો સોદો છે. જો કે, ખબર ન હોય તો કંઈ વાંધો નહીં! ખબર પડે પછી તો જાણવાની શરૂઆત થઈ શકેને! હવે એમ.એસ. સુબ્બલક્ષ્મી વિશેની વિગતોમાં વધુ ઊંડા ઊતરીએ.

નાકમાં બે હીરા. કપાળે દક્ષિણ ભારતીય ભરાવદાર ચાંદલો. માથામાં વેણી સાથે શ્રોતાઓને વંદન કરીને એમ.એસ. સુબ્બલક્ષ્મી દક્ષિણ ભારતીય શાસ્ત્રીય સંગીતની સરવાણી વહાવે ત્યારે ઓડિટોરિયમ આરાધનાખંડ બની જતો હતો. અવાજમાં પવિત્રતા શું છે એ જો જાણવું અને પામવું હોય તો કોઈ દિવસ ઘરે નીરવ શાંતિમાં ઘરની મ્યુિઝક સિસ્ટમ પર કે કાનમાં હેડફોન માંડીને એમ.એસ. સુબ્બલક્ષ્મીને સાંભળજો. પવિત્રતાની વ્યાખ્યાઓ સમજવા માટે વેદ-કુરાન નહીં ભણવા પડે કે કોઈ સંતનાં લેક્ચર સાંભળવાં નહીં પડે. સંગીતની સમજ નહીં હોય તો ચાલશે, શરત માત્ર એટલી જ કે તમારી અંદર સંવેદનાનો તંતુ હોવો જોઈએ. તમારી માત્ર આટલી તૈયારી હશે તો એમ.એસ. સુબ્બલક્ષ્મી ઉર્ફે અમ્મા સીધાં તમારા રુદિયાના દ્વાર ખખડાવશે. તેમની કર્ણાટકી ભાષા તમને ક્યાં ય બાધક નહીં રહે એની બાંહેધરી.

શાસ્ત્રીય સંગીતમાં પટિયાલા ઘરાણાના ઉસ્તાદ બડે ગુલામ અલી ખાનનું નામ કૈલાશ ગિરિશિખર જેવું છે. બડે ગુલામ અલી ખાને લતા મંગેશકરને તેમની યુવાનીમાં સાંભળ્યાં ત્યારે પ્રેમથી એવું કહ્યું હતું કે, "કમબખ્ત કભી બેસૂરી નહીં ગાતી." લતા મંગેશકર માટે એ પ્રમાણપત્ર જેવી વાત હતી. એ જ ઉસ્તાદ બડે ગુલામ અલી ખાને સુબ્બલક્ષ્મીને 'શુદ્ધ સ્વરોની દેવી' કહીને નવાજ્યા હતા.

અમ્માની મહાનતા એ હતી કે શાસ્ત્રીય સંગીતના પરખંદાઓ તેમની ગાયકીને જેટલા દિલથી માણે છે એટલા જ દક્ષિણ ભારતના ચાની લારીવાળા, હોટેલવાળા, રેંકડી ખેંચતા, નાળિયેર કે ઢોંસા-ઈડલી વેચતા લોકો પણ માણે છે.

ભારત સાંસ્કૃિતક દેશ છે અને એની જે છટાદાર મોરનાં પીંછાં જેવી ઇમેજ છે, એ ઇમેજનો એક રંગ એમ.એસ. સુબ્બલક્ષ્મી છે. વડાપ્રધાન જવાહરલાલ નહેરુ પણ સુબ્બલક્ષ્મીની ગાયકીના મુરીદ હતા. એક કાર્યક્રમમાં એમ. એસ. સુબ્બલક્ષ્મીનો પરિચય આપતાં નેહરુએ કહ્યું હતું કે, "હું તો કેવળ એક વડાપ્રધાન છું, પણ એમ. એસ. તો કર્ણાટકી શાસ્ત્રીય સંગીતનાં ક્વીન છે."

શીખતા રહેવું એના જેવો કોઈ સદ્દગુણ નથી. શીખવાની પ્રક્રિયા આજીવન ચાલે છે અને એ ગુણ વ્યક્તિને વિનમ્ર બનાવે છે. એમ. એસ. સુબ્બલક્ષ્મી આજીવન શીખતાં રહ્યાં.

એક સરસ કિસ્સો વાંચો. સુબ્બલક્ષ્મી એક વખત દિલ્હીમાં ગાંધીજીને મળ્યાં હતાં અને તેમની સમક્ષ રામધૂન ગાઈ હતી. ગાંધીજીએ એવી ઇચ્છા વ્યક્ત કરી હતી કે તેઓ મીરાંબાઈનું ભજન 'હરિ તુમ હરો …'નું ગાયન કરે. કર્ણાટકી સંગીતનાં સુબ્બલક્ષ્મી ત્યારે એ ભજનથી એટલાં પરિચિત ન હતાં. જો કે, ગાંધીજીની ઇચ્છા હતી તેથી તેમણે એ ભજનના શબ્દોનું ઉચ્ચારણ અને એ ભજન ગાવાનું શીખવાનું શરૂ કર્યું. થોડા દિવસમાં તેમણે જ્યારે એ ભજન બરાબર ગાતાં શીખી લીધું ત્યારે મદ્રાસના ઓલ ઇન્ડિયા રેડિયોના રેકોર્ડિંગ સ્ટુડિયોમાં એનું રેકોર્ડિંગ થયું. ૧ ઓક્ટોબરે મધરાત બાદ બે વાગ્યે એ રેકોર્ડિંગ થયું હતું. બીજા દિવસે બીજી ઓક્ટોબરે એ રેકોર્ડેડ ભજન સાંજે દિલ્હીમાં ગાંધીજીની સમક્ષ વગાડવામાં આવ્યું હતું. એ દિવસે ગાંધીજીનો ૭૮મો જન્મદિવસ હતો. વર્ષ ૧૯૪૭નું હતું. [લેખને અંતે આ ગાયિકાએ ગાયેલું આ પદ મુકાયું છે. : તંત્રી]

થોડા મહિનાઓ પછી ૩૦ જાન્યુઆરી, ૧૯૪૮ના રોજ ગાંધીજીની હત્યા થઈ ત્યારે ઓલ ઇન્ડિયા રેડિયોએ સુબ્બલક્ષ્મીએ ગાયેલું મીરાંનું એ ભજન સતત વગાડયું હતું. 

મકબૂલ ફિદા હુસૈન દાઉદ કરતાં પણ જેમની સામે વધુ કેસ હતા

મુંબઈમાં મકબૂલ ફિદા હુસૈનનાં કેટલાંક ચોક્કસ ઠેકાણાં હતાં. જેમ કે, તળ મુંબઈમાં આવેલા મેટ્રો સિનેમા પાસેની ઈરાની કેફે. ત્યાંના પારસી ઢબના ગોળ ટેબલ અને ટિપિકલ ખુરશીઓ પર બેસીને હુસૈનસાહેબ કલાકો કાઢી નાખતા હતા. ઉપરાંત, ક્યારેક જુહૂના પૃથ્વી થિયેટરમાં જઈ ચઢે. અમદાવાદ આવે ત્યારે જૂના અમદાવાદની લકી રેસ્ટોરાંની ચા પીવાનું ન ચૂકે. એ રેસ્ટોરાંને ખાસ ચિત્ર દોરીને હુસૈનસાહેબે ભેટ આપેલું જે આજે રેસ્ટોરાંની રોનક વધારે છે.

૯૦ની ઉંમર વટાવી ગયેલો ડોસલો કોલેજમાં પ્રવેશેલા લવરમૂછિયા જેવા જીન્સ અને જેકેટ પહેરે અને સરફિરાની જેમ ફર્યા કરે અને ચિત્રો દોર્યા કરે. મિજાજ એટલે કે એટિટયૂડ પણ એવો જ રંગદાર. ફિલ્મ જોવા બેઠા હોય ને ગીત ગમવા માંડે તો નાચવા માંડે. ૯૦ વટાવી ચૂકેલા હુસૈનને કોઈ કહી ન શકે કે તેમની એક ટાંગ કબરમાં છે. આ થયો તેમનો બાહ્ય પરિચય.

અફસોસ કે હુસૈનનું નામ પડે એટલે તેમનાં ચિત્રો કરતાં વિવાદ કેટલાંક લોકોને વધુ યાદ આવે. ડબલ અફસોસ એ કે હુસૈનનાં કેટલાંક ચિત્રો સામે વાંધો ઉઠાવનાર લોકોએ તેમના એ સિવાયનાં અન્ય ચિત્રોનો અભ્યાસ કરવાનો ક્યારે ય પ્રયાસ ન કર્યો.

'મીનાક્ષી' અને 'ગજગામિની' જેવી ફિલ્મો બનાવનાર ચિત્રકાર મરહૂમ મકબૂલ ફિદા હુસૈનની લાઇફ ખુદ એક બાયોપિકનો વિષય છે. જે દેશમાં તેમના ચિત્રપ્રદર્શન પર હુમલા થતા હોય ત્યાં કોઈ ફિલ્મમેકર ફિલ્મ બનાવવાની હિંમત કેમ કરે!? સવાલ માત્ર ભાંગફોડિયાં તત્ત્વોનો જ નહીં સેન્સરનો પણ છે. રાજા રવિ વર્માની બાયોપિક બનાવ્યા પછી ફિલ્મમેકર કેતન મહેતાને છ વર્ષની રાહ જોવી પડી હતી. રાજા રવિ વર્માથી માંડીને એમ. એફ. હુસૈન સુધીના તબક્કામાં પહોંચતાં આપણે ઘણી પ્રગતિ કરી છે. ડિજિટલ ક્રાંતિ થઈ ગઈ છે, પણ સાંપ્રદાયિક સ્થાપિત હિતો આજે પણ એટલાં જ સક્રિય છે જેટલાં રાજા રવિ વર્માના સમયમાં હતા. તેથી લોકશાહી મૂલ્યોની બાબતમાં આપણે કેટલા આગળ વધ્યા છીએ એ તમારે અને મારે નક્કી કરવાનું છે.

હાલમાં જ ગૂગલે હુસૈનની જન્મશતાબ્દી નિમિત્તે ડૂડલ બનાવ્યું. ટાઇમ મેગેઝિને પણ નોંધ લીધી. એમ.એફ. હુસૈન મહાન ચિત્રકાર હતા એવું ભારત સિવાયના દેશો પણ કહે છે. તેમની મહાનતા, ડૂડલ, ટાઇમ મેગેઝિન વગેરે યાદ રહે કે ન રહે, પણ તેમની સાથે જે અન્યાય થયો ત્યારે એ વખતની બિનસાંપ્રદાયિક યુપીએ સરકારે કેવા આંખ આડા કાન કર્યા હતા એ યાદ રાખવું જરૂરી છે અને તેનો સમયાંતરે હિસાબ મેળવવો પણ જરૂરી છે.

હુસૈનનાં ચિત્રો પ્રર્દિશત કરવા આર્ટ ગેલેરીઓ માટે મુસીબત થઈ પડી અને ખુદ હુસૈને દેશ છોડીને વિદેશ જતાં રહેવું પડયું ત્યારે સેક્યુલર ચહેરો ધરાવતી કોંગ્રેસના વડપણ હેઠળની એ સરકારનું વલણ ખેદજનક હતું.

માત્ર સાંપ્રદાયિક છબી ધરાવતી સરકારો જ નહીં, પણ બિનસાંપ્રદાયક છબી ધરાવતી સરકારે પણ હુસૈનના બચાવમાં માત્ર ખાનાર્પૂિત સિવાય કશું કર્યું નહોતું જે વધુ ખેદજનક હતું. હુસૈનના નિધન વખતે શ્રદ્ધાંજલિ આપતાં વડાપ્રધાન મનમોહન સિંહે કહ્યું હતું કે, "હુસૈને ભારતીય કલાને ભારત તેમ જ વિદેશમાં પોપ્યુલર કરવામાં મોટી ભૂમિકા ભજવી હતી. દેશે એક આઇકોનિક સિતારો ગુમાવ્યો છે." એ વખતે વડાપ્રધાન મનમોહન સિંહે મોટા મને શ્રદ્ધાંજલિ તો વ્યક્ત કરી હતી, પણ હુસૈન જીવતા હતા ત્યારે તેઓ ભારતમાં કોઈ ભય વગર રહી શકે એવી કોઈ વ્યવસ્થા કરી નહોતી કે ન તો બાંહેધરી આપી હતી. ૨૦૦૬માં ઇન્દૌરની એક અદાલતે હુસૈનને એક કેસમાં અદાલતમાં હાજર થવાનું ફરમાન કર્યું હતું. આરોપ હતો કે હુસૈન તેમની કલાકૃતિ દ્વારા ભારતની એકતાને તોડવાનો અને અશ્લીલતાને ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. જો ખરેખર જ એવું હોત તો હાલમાં જ હુસૈનની ૧૦૦મી જન્મજયંતી ઉજવાઈ ત્યારે ગૂગલે ડૂડલ ન બનાવ્યું હોત અને ટાઇમ મેગેઝિન સહિત વિશ્વભરનાં માધ્યમોએ તેમની નોંધ ન લીધી હોત. ઇન્દૌર, રાજકોટ, મેરઠ, દિલ્હી સહિત અનેક શહેરોમાં હુસૈનની સામે અનેક કેસ નોંધાયેલા હતા. દેશમાં દાઉદ ઇબ્રાહિમ કરતાં વધુ કેસ એમ.એફ. હુસૈન સામે હતા ! એ છતાં કેન્દ્રની ધર્મનિરપેક્ષ મનમોહન સિંહની સરકાર આંખ આડા કાન કરતી રહી.

યુપીએ સરકારે દિલ્હી અને મુંબઈ પોલીસને પુરાવાઓની પર્યાપ્તતાને આધારે હુસૈનની સામે કાર્યવાહી કરવાની છૂટ આપી હતી. એ પછી લંડનમાં એશિયા હાઉસ ગેલેરીમાં યોજાયેલા તેમના ચિત્રપ્રદર્શન પર કેટલાંક લોકોએ હુમલો કર્યો હતો. ગેલેરીએ પ્રદર્શન તો બંધ જ કરી દીધું, પણ પોતાની વેબસાઇટ પરથી હુસૈનનો ઉલ્લેખ પણ હટાવી દીધો હતો. એ વખતે લોર્ડ મેઘનાદ દેસાઈએ એ હુમલાને તેમ જ એશિયા હાઉસ ગેલેરીના વલણની આકરી ટીકા કરી હતી. વક્રતા જુઓ કે એ વખતે દેશનાં વિવિધ રાજ્યોમાં વિવિધ કારણસર સાંપ્રદાયિક છમકલાં થતાં તો કેન્દ્ર સરકાર એવો જવાબ આપતી કે કાયદો અને વ્યવસ્થા તો રાજ્ય સરકારનું કાર્યક્ષેત્ર છે, બંધારણીય રીતે કેન્દ્રના હાથ ત્યાં બંધાયેલા છે!

જે લોકોએ રાજા રવિ વર્માને નહોતા છોડયા તેમના માટે હુસૈન તો નિશ્ચિત ટાર્ગેટ હોવાના જ. જે સરકાર બિનસાંપ્રદાયિક હોવાનો ચહેરો ધરાવતી હોય એ જ્યારે આંખ આડા કાન કરે ત્યારે ભારતની જે સર્વસમાવેશક અખંડિતતાની છબી છે એનું વ્યાપક ધોવાણ થાય છે.

જે સરકાર એવો ચહેરો પણ ધરાવતી ન હોય એના વિશે તો ચર્ચા કરવાનો પણ મતલબ નથી.

ભીષ્મ સહાની હિન્દી જ નહીં ભારતીય સાહિત્યનો નોંધપાત્ર ચહેરો

૩ જાન્યુઆરી, ૧૯૮૮ના રોજ દૂરદર્શન પર 'તમસ' ટીવીસિરીઝ તરીકે રજૂ થવાની શરૂ થઈ ત્યારે લોકો હલબલી ગયા હતા. ચાર હપ્તાની એ ટીવીસિરીઝ એક વૈચારિક આંદોલન જેવી હતી. [આ લેખને અંતે આ ચારે ય ભાગની કડી મૂકી છે : તંત્રી] હિન્દીના મહાન સાહિત્યકાર ભીષ્મ સહાનીની નવલકથા 'તમસ' પરથી ફિલ્મમેકર ગોવિંદ નિહલાનીએ ટીવીસિરીઝ બનાવી હતી. જેમાં દીના પાઠક, ઓમ પુરી, દીપા સાહીથી માંડીને મંજાયેલાં કલાકારોનો જમાવડો હતો. ભારત-પાકિસ્તાનના વિભાજન બાદ દેશ બે ટુકડાઓમાં વહેંચાઈ ગયો અને પછી જે ખાનાખરાબી સર્જાઈ એનું રુવાંટાં સળગાવી દે એવું ચિત્રણ 'તમસ'માં છે.

'તમસ' નવલકથા પર લેખકનું નામ ન લખ્યું હોય અને વાંચો તો એ ઉર્દૂના ક્રાંતિકારી વાર્તાકાર સઆદત હસન મન્ટોએ લખેલી કોઈ નવલકથા લાગે. ભીષ્મ સહાનીની 'તમસ' ઉપરાંત 'ઝરોખે', 'બસંતી', 'નીલૂ નીલિમા નિલોફર', 'મય્યાદાસ કી માડી' વગેરે નવલકથાઓ લોકોને પસંદ પડી હતી. 'અમૃતસર આ ગયા', 'વાંગ્ચૂ' જેવી વાર્તાઓ તેમ જ 'કબીરા ખડા બાઝાર મેં' અને 'હાનૂશ' જેવાં નાટકો પણ લોકોને પસંદ પડયાં હતાં.

આલ્બર્ટ પિન્ટો કો ગુસ્સા ક્યોં આતા હૈ', 'સલીમ લંગડે પે મત રો', 'અરવિંદ દેસાઈ અજીબ દાસ્તાન', 'મોહન જોશી હાઝિર હો' જેવી નોંધપાત્ર ફિલ્મો ડિરેક્ટ કરનારા ડિરેક્ટર સૈયદ મિર્ઝા ભીષ્મ સહાનીના સાહિત્યના ફેન હતા. તેમણે 'તમસ' નવલકથા અનેક વખત વાંચી છે. સૈયદ મિર્ઝાએ ભીષ્મ સહાનીને એક્ટર તરીકે લઈને 'મોહન જોશી હાઝિર હો' ફિલ્મ બનાવી હતી. ભીષ્મ સહાનીને એક્ટર તરીકે રજૂ કરવા અંગેની કૈફિયત જણાવતાં તેમણે કહ્યું હતું કે, "જ્યારે હું 'મોહન જોશી હાઝિર હો' બનાવી રહ્યો હતો ત્યારે મને એક એવા ચહેરાની તલાશ હતી જે ચહેરામાં જમાનાની તસવીર વંચાય, ઇતિહાસ દેખાય. ઇતિહાસ એટલે પાઠયપુસ્તક બ્રાન્ડ ઇતિહાસની વાત હું નથી કરી રહ્યો. હું કહેવા માગું છું કે ઇતિહાસ એટલે જેના ચહેરા પર લાંબી સફર અને લાંબા અનુભવની ઝાંખી થતી હોય. જમાનાની તાસીરને જેણે જીવી જાણી હોય એવું વ્યક્તિત્વ. ભીષ્મ સહાનીના ચહેરામાં મને એ ઇતિહાસ વંચાતો હતો, તેથી તેમને મેં 'મોહન જોશી હાઝિર હો'માં લીધા હતા." અપર્ણા સેનની મિસ્ટર એન્ડ મિસિસ ઐયરમાં પણ તેમણે નાની ભૂમિકા ભજવી હતી.

ભીષ્મ સહાની કર્મશીલ તરીકે ભારતનાં કેટલાંક પ્રગતિશીલ આંદોલનોમાં પણ સક્રિય રહ્યા હતા. ઇપ્ટા – ઇન્ડિયન પીપલ્સ થિયેટર એસોસિએશનમાં પણ સક્રિય હતા.

ભીષ્મ સહાનીએ લોલીપોપ લિટરેચર કે લુગદી સાહિત્ય એટલે કે પલ્પ ફિક્શન નહોતાં લખ્યાં. તેમણે ભારત – પાકિસ્તાનના ભાગલા, સામાજિક વર્ગવિગ્રહ વગેરે પેચિદા વિષયોને કેન્દ્રમાં રાખીને સમસામયિક નવલકથા, વાર્તા અને નાટકો લખ્યાં હતાં. આ એવા વિષયો હતા કે જેમાં લેખકનો એક કચકચતો સૂર પ્રગટે. એમાંય ભીષ્મ સહાની તો કમ્યુિનસ્ટ હતા તેથી તેઓ તો લાલચોળ રીતે પોતાનો અભિપ્રાય પ્રગટ કરે એ સ્વાભાવિક માની શકાય. જો કે, તેઓ તેમની રચનાઓમાં લેખક તરીકે અભિપ્રાય આપતા ખચકાયા છે. એનો મતલબ એવો નહોતો કે તેઓ અડૂકિયાંદડૂકિયાં હતા કે કન્ફ્યૂઝ હતા કે બંને પક્ષે સંતુલિત રહેવા માગતા હતા. અભિપ્રાય ન આપવો એ તેમની વિનમ્રતા હતી. તેઓ માનતા હતા કે કલા-સાહિત્યનું કામ વિચાર અને સંવેદના જગવવાનું છે, અભિપ્રાય આપવાનું નહીં. તેથી તેમની રચનાઓ વાંચશો તો માલૂમ પડશે કે તેમણે પરિસ્થિતિ રજૂ કરી છે, અભિપ્રાય થોપ્યા નથી.

ભીષ્મ સહાની હિન્દી સિનેમાના બેનમૂન અભિનેતા બલરાજ સહાનીના નાના ભાઈ હતા. ભિષ્મ સહાનીના વખણાયેલા નાટક 'કબીરા ખડા બજાર મેં'નો પહેલો શો ૧૯૮૨માં થયો હતો અને છેલ્લો શો ૧૯૯૨માં થયો હતો. છેલ્લો શો સુરતમાં થયો હતો. ૧૯૯૮માં તેમને સાહિત્ય માટે પદ્મ ભૂષણ ઇલકાબ મળ્યો હતો.

દિલ્હી યુનિવર્સિટીમાં સમાજશાસ્ત્ર ભણાવતાં તેમ જ રાજકીય વિશ્લેષક અપૂર્વાનંદે કહ્યું હતું કે, "કેટલાંક લોકો ભીષ્મ સહાની વાંચતાં ડરે છે. તેમને ડર છે કે સહાનીનું સાહિત્ય વાંચ્યા પછી તેમની અંદરની માણસાઈ તેમના સૂતેલા આત્માને ઢંઢોળીને જાગૃત કરી દેશે."

આ શબ્દો ભીષ્મ સહાનીની સાહિત્યિક સંવેદનાને યથાર્થ રીતે રજૂ કરે છે. 

e.mail : tejas.vd@gmail.com

સૌજન્ય : ‘છપ્પનવખારી’ નામક લેખકની કોલમ, “સંદેશ”, 23 સપ્ટેમ્બર 2015

http://www.sandesh.com/article.aspx?newsid=3137149

એમ.એસ. સુબ્બલક્ષ્મીએ ગાયેલું મીરાંકૃત ભજન, ‘હરિ તુમ હરો … ’ની કડી :
 https://www.youtube.com/watch?v=DuRp3OmnoMo

Tamas ( Darkness) (1987) is a period television film directed by Govind Nihalani, based on the Hindi novel of the same name written by Bhisham Sahni (1974), which won the author the Sahitya Akademi Award in 1975.

૧. https://www.youtube.com/watch?v=baAYhFuCK7A

૨. https://www.youtube.com/watch?v=0vI1UjpiSvc

૩. https://www.youtube.com/watch?v=03_m2uWiDW0

૪. https://www.youtube.com/watch?v=qvI5yjvXEj4

Loading

...102030...3,6873,6883,6893,690...3,7003,7103,720...

Search by

Opinion

  • વિવેકહીન વ્યક્તિપૂજાનું વહેણ દેશને કઈ દિશામાં લઈ જશે?
  • બચ્ચે મન કે સચ્ચે
  • હગ ડિપ્લોમસી અને આકરી પસંદગી: પુતિનની મુલાકાત અને ભારતની વ્યૂહરચના
  • ભારત નથી અમેરિકાને નારાજ કરી શકતું કે નથી રશિયાને છોડી શકતું
  • ચલ મન મુંબઈ નગરી —318

Diaspora

  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ
  • મારી દુનિયાનાં તમામ બાળકો

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved