Opinion Magazine
Number of visits: 9692020
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

અર્થચ્છાયામૂલક અનુવાદ

'અદમ' ટંકારવી|Diaspora - Reviews|18 January 2016

નારીવાદ : પુનર્વિચાર; સંપાદકો – રંજના હરીશ તથા વિ. ભારતી હરિશંકર; અનુવાદક – નીતા શૈલેષ; ગૂર્જર સાહિત્ય પ્રકાશન, રતનપોળનાકા સામે, ગાંધી માર્ગ, અમદાવાદ – 380 001; કિંમત – રૂ. 300; પહેલી આવૃત્તિ –  2015; પૃષ્ઠ – 16+272

‘નારીવાદ : પુનર્વિચાર’ મૂળ અંગ્રેજીમાં રંજના હરીશ અને વિ. ભારતી હરિશંકર સંપાદિત ‘રિ-ડિફાઇનિંગ ફૅમિનિઝમ્સ’ પુસ્તકનો નીતા શૈલેષે કરેલ ગુજરાતી અનુવાદ છે. ટી.એસ. અૅલિયટના Translation is rejuvenation કથનને આ પુસ્તક યથાર્થ સાબિત કરે છે. આ પુસ્તકમાંથી પસાર થયો તે અગાઉ નારીવાદ વિશે મારી સમજ ઉપરછલ્લી, મર્યાદિત, cliched – બીબાઢાળ હતી.  શબ્દકોશ આધારિત એવી સમજ કે, નારીવાદ એટલે સ્ત્રી પુરુષ સમોવડી છે એવી માન્યતા. આ પુસ્તકે ઘણી ગેરસમજો – misconceptions દૂર કરી. નારીવાદ સંજ્ઞાના સંકુલ સ્વરૂપનો ખ્યાલ આવ્યો. નારીવાદના અનેક સંદર્ભો છે, એ બહુપરિમાણીય છે, એના વિશે વિવિધ દૃષ્ટિકોણો છે, એ સતત વિકસતી પ્રક્રિયા છે, એ કેવળ સ્ત્રી – હકોની માંગ નહીં બલકે જીવનશૈલી છે, એવી ગેડ બેઠી. હમણાં સુધી આ સંજ્ઞાના એક વચન નારીવાદથી ટેવાયેલાં આંખકાનને બહુવચન નારીવાદોનો પરિચય થયો. આમ, નારીવાદ સંદર્ભે પુનર્રચના, પુનર્વિચાર, પુનર્નિમાણ પુનર્મૂલ્યાંકનનો આ પુસ્તકનો ચતુર્વિધ હેતુ સિદ્ધ થતો લાગ્યો.

આ વિષયના તજ્જ્ઞોએ રજૂ કરેલ અભ્યાસલેખોના સંચયરૂપ મૂળ અંગ્રેજી પુસ્તક તો મૂલ્યવાન છે જ, પણ આ અનુવાદ દ્વારા એ વિશાળ ગુજરાતી વાંચકસમુદાય સુધી પહોંચે છે એ વિશેષ ઉપલબ્ધિ છે. આને પરિણામે ગુજરાતી વાંચકોની ચિંતનપ્રક્રિયા ઉદ્દીપ્ત થશે અને તેઓ આ વિષય પરત્વે વધુ સંવેદનશીલ બનશે. ડબલ્યુ.એચ. અૉડન કહે છે તેમ, Translation introduces new kinds of sensibilities. ‘નારીનો સમાજ તથા તેના પોતાના દ્વારા એક અલાયદી, આત્મનિર્ભર વ્યક્તિ તરીકેના સ્વીકાર’ની ભૂમિકા રચાશે.

અનુવાદ વિશુદ્ધ, ચોક્કસાઈપૂર્વકનો, પ્રવાહી શૈલીનો મૂળને વફાદાર છે. આનું કારણ અનુવાદક તરીકેની નીતાબહેનની સજ્જતા. વ્યવસાયે દુભાષિયા એટલે source language અંગ્રેજી અને target language ગુજરાતી પર પ્રભુત્વ. પણ ભાષાંતર કરવા માટે કેવળ ભાષાકૌશલ્ય પર્યાપ્ત નથી. અનુવાદક વિષયને આત્મસાત્ કરે એ આવશ્યક છે. નારીવાદ વિશે નીતાબહેન સતત ચિંતનશીલ રહ્યાં છે. એમને નારીવાદ સંદર્ભે ઊંડાણપૂર્વક વિચાર્યું છે એટલું જ નહીં, બલકે એ નારીવાદ જીવ્યાં છે. અગાઉ મુશાયરા નિમિત્તે અનેકવાર મારે ટૉરન્ટો જવાનું થયેલું ત્યારે નીતાબહેન સાથે આ વિષય પર ખાસ્સી ચર્ચા થયેલી. ત્યારે હું નીતા દવેને મળેલો. આ પુસ્તક દ્વારા નીતા શૈલેષનો મેળાપ થયો. આમ આ પુસ્તકના પ્રકાશન ટાણે નીતાબહેન પોતાને re-define -પુનર્વ્યાખ્યાયિત કરે છે એ પણ આ ચિતનપ્રક્રિયાનું જ પરિણામ છે. વિષયના તલસ્પર્શી પરિશીલન અને ભાષાકીય સજ્જતાની સાથે ભળ્યાં, રંજના હરીશ કહે છે તે, ઉમળકો અને ખંત. આમ પ્રસ્તુત પુસ્તકના ગુજરાતી અનુવાદ માટેની પરફૅક્ટ રૅસિપિ તૈયાર થઈ.

આ પ્રકારનું પુસ્તક ગુજરાતીમાં અનૂદિત થાય એ ઘટના પણ મહત્ત્વપૂર્ણ છે. આપણી ભાષાનું ચિંતનપ્રધાન સાહિત્ય ગરીબડું, રાંક છે. નારીવાદની વિશદ વિચારણા કરતાં પુસ્તકો નહીંવત્ છે ત્યારે આ અનુવાદ એ અભાવની પૂર્તિરૂપે આવે છે. પોતાની ભાષાના સાહિત્યને વધુ વ્યાપક, વધુ પ્રાણવાન બનાવવાની નેમ પણ ખરી. આનું પ્રેરકબળ તે નીતાબહેન અને શૈલેષની ભાષાપ્રીતિ. ટૉરન્ટોમાં ગુજરાતી ભાષા-સાહિત્યના જતન, સંવર્ધન માટેની એમની ખેવનાનો હું સાક્ષી છું. આ પુસ્તક પુત્ર અદ્વૈતને અર્પણ કરતાં નીતાબહેન લખે છે : માતૃભાષાની મશાલ હવે તારા હાથમાં. આ પુસ્તક વૈચારિક સ્તરે તો નોંધપાત્ર પ્રદાન છે જ, ઉપરાંત સાહજિક, રસાળ, ગુજરાતી લઢણયુક્ત અનુવાદના ઉદાહરણ તરીકે પણ મહત્ત્વપૂર્ણ છે.

પુસ્તકના આરંભે નીતાબહેને પોતાના અનુવાદકર્મ વિશે જે નોંધ મૂકી છે તે પણ ઉપયોગી છે. અનુવાદ દરમિયાન એમની સામે ઊભા થયેલ પડકારો અને તે ઝીલવાની એમની મથામણ એ કોઈ પણ સજાગ અનુવાદક માટે દિશાસૂચન બને તેમ છે.

આપુસ્તક નિમિત્તે ગુજરાતના ચિંતકો અને સમાજશાસ્ત્રીઓમાં નારીવાદ સંદર્ભે વિચારવિમર્શ જાગે એ એનું મુખ્ય ઉપાદાન. તદ્દઉપરાંત reader friendly અનુવાદનાં લક્ષણોની ચર્ચા થાય તો તે વળી મંડામણ. ગુજરાતીઓને બેવડો નફો.

e.mail : ghodiwalaa@yahoo.co.uk

Loading

લા.ઠા. : રમ્યઘોષાથી આંતરઘોષા

પ્રકાશ ન. શાહ|Opinion - Literature|16 January 2016

 લા.ઠા. : રમ્યઘોષાથી આંતરઘોષા

એમની કોલમકારી અને ગદ્યલેખન આપણા સમય સાથે કામ પાડવામાં સંવેદનસંબલ બની શકે એ બરનું

કવિ લાભશંકર ઠાકર ગયા ત્યારે ચાળીસીએ ઊભેલી એક મિત્રે કરેલું એનું પહેલું સ્મરણ પોતે ચોથા ધોરણમાં હશે ત્યારે એમનો જે પાઠ ભણવામાં આવેલો એનું-‘ચોંટડૂક…’નું કર્યું હતું. એનું બાલપાત્ર કેવું તો સત્યવક્તા છે અને એને મળેલી રકમ કૂવો ગળાવવામાં વાપરે છે, અને આ વારતામાં વળી પરીની પણ હાજરી અને કામગીરી છે એ એણે હોંશે હોંશે સંભાર્યું હતું. દેખીતી રીતે જ ‘રે મઠ’ના વારાથી લાભશંકરની જે ઓળખ બની હશે એના કરતાં આ એક જુદી છાપ છે.

શું એમાં ‘કૉન્ટ્રાડિક્શન’ છે? આ લખું છું ત્યારે લાઠાને જાણે બોલતા સાંભળું છું કે ‘યસ, લાઠા કૉન્ટ્રેડિક્ટ્સ હિમસેલ્ફ!’ મનમરજીના માલિક – એક વાર એમને મેં કવિ મનસ્વી પાટડીવાળા તરીકે ઓળખાવ્યા હતા – લાઠા આજે રણજિતરામ ચંદ્રક નકારે પણ ખરા અને આવતી કાલે સ્વીકારે પણ ખરા. પણ ‘કુમાર’માં ઘડાઈ બચુભાઈ રાવતને ‘રે મઠ’ મિજાજમાં ફાંસીએ ચડાવી શકાતા લાભશંકરને તમે બચુભાઈના અમૃતમિલાપનું આયોજન કરતા પણ જુઓ તો એમ માનવાનું મન થાય કે એમના પ્રયોગો જ્યારે વ્યુત્ક્રાંન્તિના લાગ્યા ત્યારે પણ, ભલે વાયા વ્યુત્ક્રાન્તિએ ઉત્ક્રાન્તિ ભણીના હશે, અને ઉપશમે કરીને સમુત્ક્રાન્તિના.

લાભશંકર નામનું આ જે એક ઉખાણું તે સિત્તેર આસપાસનાં એક સનન્નારીના આ દિવસોના સહજ ‘સુમિરન’ની સહાયથી છોડાવવાની કોશિશ કરવા જેવી છે: ‘આકંઠ સાબરમતી’ની એક બેઠકમાં લાભુભાઈએ પોતાના એક અંગત વલણની વાત કરી હતી. એમણે કહ્યું કે એવું માનનારા ય લોકો છે કે કોઈ પણ ભિખારીને ભિક્ષા આપવી જોઈએ નહીં, કેમ કે કોઈની ય ભિક્ષાવૃત્તિને પ્રોત્સાહન ન અપાય. પણ હું મારી પાસે ભીખ માગનારા એકેએક ભિક્ષુકને કંઈને કંઈ આપું છું. કેમ કે મારો તર્ક એવો છે કે જે માણસને ભીખ માગવી પડે એની લાચારી હશે? લાચાર ન હોય એ તો ભીખ જ ન માગે ને ભીખ માગનારની લાચારીને તમે વધુ ઘેરી ને દુ:ખદ જ બનાવો છો જ્યારે તમે એને ભિક્ષામાં કંઈ આપતા નથી. હું કોઈ જ અભાવગ્રસ્ત લાચારીની દુ:ખદ લાગણીને ઊંડી કરવા નથી માગતો ને એટલે કે પ્રત્યેક ભિક્ષુકને યત્કિંચિત દાન કરું જ છું.

વાર્તાકાર સુવર્ણાનું આ લાભ-સુમિરન ઉતારું છું ત્યારે લાભશંકરની કોલમકારીની દૃષ્ટિએ સ્મૃિતમાં અવગાહન કરવાનું મન થઈ આવે છે. હરિશ્ચંદ્ર ભટ્ટનો કાવ્યસંગ્રહ ઉમાશંકરે સંપાદિત કરી રસિકજનસુલભ કર્યો ત્યારે કાકાસાહેબે થોડું જીવન અને સમાજચિંતન કરવાની તક ઝડપી હતી. એનો ઉલ્લેખ કરીને કાકાસાહેબે એ મતલબની ટિપ્પણી કરી હતી કે આવું સાંભળવાનું બને ત્યારે ત્યારે મનમાં ગ્લાનિ થાય છે. આપણા સમાજના એક પ્રતિનિધિ તરીકે હું પોતે જ બેદરકારીના પ્રતિનિધિ તરીકે ગુનાગાર હોઉં એવું દુ:ખ થાય છે. દુનિયાભરના શાસ્ત્રોએ કહ્યું છે કે આત્મહત્યા એ મહાપાપ છે. જો એ વાત સાચી હોય તો એ પાપ આત્મહત્યા કરનારને ચોંટે છે એના કરતાં સમાજને વધારે ચોંટવું જોઈએ, કેમ કે એવી આત્મહત્યા માટે ઘણી વાર સમાજરચના અને સમાજનું માનસ જ જવાબદાર હોય છે.

હરિશ્ચંદ્ર ભટ્ટ કૃત ‘સ્વપ્નપ્રયાણ’ વિશે લખતાં લાભશંકરે કાકાસાહેબની આ ટિપ્પણી એમની કોલમમાં સંમતિપૂર્વક ઉતારી હતી. એમના ભિક્ષુકચિંતન અને આ ટિપ્પણી બંનેને સાથે મૂકીને જોઈએ તો એમાંથી અનુકંપા, સહાનુકંપા, સમસંવેદનથી સિક્ત સમાજચિંતન અથવા સામાજિક નિસબતનો એક રણકો નિ:શંક ઊઠવા કરે છે. લાભશંકરની શ્રદ્ધાંજલિસભામાં ચંદ્રકાન્ત ટોપીવાળાએ પ્રમુખપદેથી એમની કાવ્યયાત્રાને ‘વહી જતી પાછળ રમ્યઘોષા’થી આરંભી કવિના ખુદના શબ્દોમાં ‘આંતરઘોષા’માં વિરમતી (કે વિલસતી) કહી હતી. રમ્યઘોષાથી આંતરઘોષા લગીની આ યાત્રા ચોક્કસ જ કોઈ સુરંગ કે બોગદામાંથી – શું કહીશું એને, ‘પર્ગેટોરિયો’માંથી – પસાર થઈ હોવી જોઈએ. ન કવિ, ન વિવેચક એવા મને આવું વિધાન કરવાનું સાહસ (અને કંઈક સમજ) એમની લાંબી કોલમકારી થકી મળે છે એ માટે તરત જ કહી દેવું જોઈએ.

નમૂના દાખલ, રમ્યઘોષાથી આંતરઘોષાના વચગાળાની પ્રક્રિયાની ખોજસમજના હું ‘પ્રવાહણ’ દીર્ઘકાવ્યનું સ્મરણ કરવા ચહું. અહીં હું એ આખું નહીં ટાંકતા માત્ર સાર રૂપે કહું કે આ કાવ્યમાં મળોત્સર્ગની લગભગ જુગુપ્સા જગવતી ક્રિયાની જોડાજોડ (‘જક્સ્ટાપોઝ’ કરવાની રીતે) કાવ્યોત્સર્ગ કહેતાં સર્જનની ચિત્રણા થયેલી છે. કવિ પાછા આવું બધું કહેતે કહેતે ‘લેટ મી સ્ટૉપ ફૉર અ મિનિટ!’ એવું પણ કહે. (ટાગોર હૉલમાં એમણે કરેલું પઠન આ ક્ષણે સાંભળું છું.) ગમે તમે પણ આ ‘લેટ મી સ્ટૉપ ફૉર અ મિનિટ! સાથે મને થતો ઝબકારો એમની ‘એક મિનિટ’ અને ‘ક્ષણ-તત્ક્ષણ’ એ જનસત્તા દિવસોની કોલમકારીનો છે.

‘પ્રવાહણ’ અને આ કોલમલેખન, એક જ દસકામાં લગભગ લગોલગ ચાલેલાં આવેલાં છે. જે બધા ઉત્સર્ગો, તે કોઈ નિ:સારવાદી બંસીબોલ નથી પણ એમાં રચના પડકારનો કશોક અજંપો, કશીક ખોજ, કશોક દિશાબોધ પણ પડેલા છે, કેમ કે કાવ્ય રચનાનો ધક્કો આખરે તો અનુભૂતિની એ તીવ્રતામાંથી આવેલો છે કે ‘વનમાં/મનમાં/તનમાં/ધનમાં/સળગતા/રાજમાં/વૈદેહી/મારી કાવ્યચેચન વલવલે’ આ વલવલાટને જેમ કલા અને સાહિત્ય વિશે તેમ રાજ્ય, ધર્મ અને સાહિત્ય વિશે તેમ રાજ્ય, ધર્મ અને શિક્ષણ વગેરે વિશે વ્યક્ત થવાની સગવડ કોલમલેખન થકી સુલભ ગદ્યકારીએ આપેલી છે.

સહેજ ખસીને કહું કે હમણાં રૂસી લેખિકા સ્વેતલાનાને નોબેલ પારિતોષિક અપાયું તે વાર્તા-કવિતા નહીં પણ ગદ્યલેખનનું છે. પ્રજાને રાજ્યાદિ થકી જે વેઠવાવારો આવ્યો એના, પ્રત્યક્ષ અભ્યાસનિષ્ઠ સુદીર્ઘ રિપોર્તાજ તે સ્વેતલાનાનો વિશેષ રહ્યો છે. લાભશંકર કવિ મોટા, ઉમાશંકર-સુંદરમ, રાજેન્દ્ર-નિરંજન એમ લાભશંકર-સિતાંશુ કવિયુગ્મ એક પ્રતિમાન ખરું, પણ એમની કોલમકારી અને ગદ્યલેખન (અને કે પેલું પદ્યલેખન ઝમતે ઝમતે) આપણા સમય સાથે કામ પાડવામાં સંવેદનસંબલ બની શકે એ બરનું.

નાટ્યકાર હેરોલ્ડ પિન્ટરને 2005નું નોબેલ મળ્યું ત્યારે એમને અંગેની અધિકૃત અભિવાદન નોંધમાં એમને જેમ ‘પોલિટિકલ પ્લેરાઇટ’ તેમ ‘પબ્લિક ન્યુસન્સ’ કહેવાયા હતા. પિન્ટર એક નમૂનેદાર ‘ન્યૂસન્સ’ એ વાસ્તે હતા કે કલાવિધાનમાં શું વાસ્તવિક છે અને શું અવાસ્તવિક છે એ બે વચ્ચે કે સત્ય અને અસત્ય વચ્ચે પણ ચોખ્ખા ભેદ ન હોય તો પણ નાગરિક તરીકે મારે પૂછવું જોઈએ કે સાચું શું છે, ખોટું શું છે. લાભશંકરની કોલમકારીમાં સ્વેતલાના તરેહનો વ્યાપ અને સઘન કામગીરી ન હોય પણ એમાં સમાજનિસબતના સ્ફુિલંગો તમને સતત મળશે. રમ્યઘોષાથી આંતરઘોષાના પુણ્યોદકમાં આ તો લગરીક ડૂબકી …

e.mail : prakash.nirikshak@gmail.com

સૌજન્ય : ‘સ્મરણાંજલિ’, “દિવ્ય ભાસ્કર”, 16 જાન્યુઆરી 2016

Loading

સામાજિક માપદંડ: મધ્યાહ્ન ભોજન યોજનાનું મૂલ્યાંકન

ચંદુ મહેરિયા|Samantar Gujarat - Samantar|16 January 2016

 આ યોજના સામાજિક એકતા, સમાનતા અને ભાઈચારાની દિશામાં કેટલાં ડગ માંડી શકી છે તે ચકાસવું જોઈએ

નવ દાયકા કરતાં વધુ સમય પૂર્વે, ઈ.સ. 1923માં, મદ્રાસ મ્યુિનસિપલ કોર્પોરેશને શહેરી વિસ્તારોની શાળાનાં બાળકો માટે પોષક આહાર યોજના શરૂ કરી હતી. 1930માં પોંડિચેરીમાં ફ્રેન્ચ વહીવટી તંત્રે પણ આવો પ્રયાસ કર્યો હતો. આઝાદી બાદ 1962-63માં તામિલનાડુમાં કે. કામરાજે નાના પાયે અને પછી એમ.જી. રામચંદ્રને 1982માં સમગ્ર રાજ્યમાં મધ્યાહ્ન ભોજન યોજના શરૂ કરી. મધ્યાહ્ન ભોજન યોજના શરૂ કરનાર ગુજરાત દેશનું બીજું રાજ્ય હતું. કોંગ્રેસી મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીએ 19મી નવેમ્બર 1984ના રોજ ગુજરાતમાં આ યોજના શરૂ કરી હતી. આરંભે રાજ્યના 68 તાલુકામાં શરૂ થયેલી આ યોજના ડિસેમ્બર 1984થી સમગ્ર રાજ્યમાં અમલી બની હતી. 2001 અને 2004ના સર્વોચ્ચ અદાલતના ચુકાદાઓ પછી એ યોજના સમગ્ર દેશમાં લાગુ પાડવામાં આવી. 1995થી આ યોજના માટે કેન્દ્ર સરકાર 75% અનુદાન આપે છે. આજે ગુજરાતનાં તમામ ગામો અને શહેરી વિસ્તારોની સરકારી પ્રાથમિક શાળાઓમાં બાળકો જોગ બપોરાંની આ યોજના અમલી છે, જેમાં 450 કેલેરીનો 180 ગ્રામ આહાર સરેરાશ 200 દિવસ આપવામાં આવે છે.

મધ્યાહ્ન ભોજન યોજના એના આરંભ કાળથી જ ચર્ચા અને વિવાદમાં રહી છે. તેનો ઉદ્દેશ બાળકોને શાળા શિક્ષણ તરફ વાળવાં, શિક્ષણનો વ્યાપ વધારવો, નિરક્ષરતાનિવારણ કરવું, બાળકોને પોષણક્ષમ આહાર પૂરો પાડી ગરીબીનિવારણ કરવું, બાળકોનું સ્વાસ્થ્ય સુધારવું, રોજગારી પૂરી પાડી બેરોજગારીની સમસ્યા હળવી કરવી, શાળાની બહાર ધકેલાતાં બાળકોનું પ્રમાણ ઘટાડવું, બાળકોમાં જાતિ, ધર્મ કે લિંગના ભેદભાવ સિવાય સામાજિક એકતા વિકસાવવી અને રાષ્ટ્રીય એકતા સ્થાપવી, એવો હતો. પરંતુ આ યોજના તેના મોટા ભાગના ઉદ્દેશો પાર પાડવામાં નિષ્ફળ ગઈ હોવાનું અને તે ભ્રષ્ટાચારનો પર્યાય હોવાનું માનવામાં આવે છે. કેટલાક સરકારી-બિનસરકારી મૂલ્યાંકન અહેવાલો પણ આ વાતની ગવાહી પૂરે છે. ગુજરાતમાં આ યોજના આરંભાયાના બે જ વરસ પછી ખુદ સરકારે જ એના મૂલ્યાંકનનું કામ જાણીતી સંશોધન સંસ્થા ‘સેન્ટર ફોર સોશ્યલ સ્ટડીઝ’(સુરત)ને  સોંપ્યું હતું. આ મૂલ્યાંકનનું એક તારણ, યોજનાના નબળા અમલીકરણનું, રાજકીય ઈચ્છાશક્તિના અભાવનું અને વહીવટી તંત્રની ઉપેક્ષાનું હતું. આજે 30 વરસો પછી વગર મૂલ્યાંકને પણ આ તારણ યથાવત રહે એવી સ્થિતિ છે.

આયોજન પંચે 2010માં તમામ રાજ્યોની મધ્યાહ્ન ભોજન યોજનાનું મૂલ્યાંકન કરાવ્યું હતું. તેમાં જાણવા મળ્યું હતું કે 13 લાખ પ્રાથમિક શાળાઓના લક્ષિત બાળકો પૈકી 94 % બાળકોને આ યોજના હેઠળ આવરી લેવામાં સફળતા મળી છે. જ્યાંથી આ યોજનાનો આરંભ થયો હતો તે તામિલનાડુમાં આ યોજના સહુથી વધુ સફળ રહી છે. ત્યાં 98,228 શાળાઓના 53 લાખ બાળકોને વરસે 220 દિવસ ગરમ રાંધેલો ખોરાક મળે છે. જો કે આ સમીક્ષામાં 56% શાળાઓમાં પાકાં રસોડાં ના હોવાનું, 76% શાળાઓમાં અનાજના સંગ્રહ માટે પાકા ઓરડા ના હોવાનું અને 17% શાળાઓમાં પીવાના પાણીની વ્યવસ્થા ના હોવાનું જણાયું હતું. ઘણાં રાજ્યોમાં યોજનાની વ્યવસ્થા સ્વૈચ્છિક-સામાજિક-ધાર્મિક સંસ્થાઓ હસ્તક હોવા છતાં બાળકોને ગુણવત્તાવાળો ખોરાક ન મળવાના, ખાધા પછી બાળકો બીમાર પડ્યાના કે મૃત્યુુ થયાના બનાવો પણ બન્યા છે.

યોજનાને કારણે બાળકોનું પ્રાથમિક શાળામાં દાખલ થવાનું પ્રમાણ નિ:શંક વધ્યું છે. પરંતુ ગુણવત્તાવાળા શિક્ષણથી એ દૂર રહી જાય છે. એટલે જ આ યોજના પર દલિત-આદિવાસી- પછાત-ગરીબ બાળકોને કાયમ નબળા રાખવાના ષડયંત્રનું પણ આળ છે. આ યોજના કુપોષણ નાબૂદીનું લક્ષ ધરાવે છે, પરંતુ દેશમાં 5 વરસથી નાની ઉંમરના કુપોષિત બાળકોનું પ્રમાણ 48% જેટલું હોય, ત્યારે 5 વરસથી મોટી ઉંમરના બાળકોને મધ્યાહ્ન ભોજનનું બટકું ફેંકીને કુપોષણની સમસ્યા સંપૂર્ણ હલ કરી શકાશે નહીં. ઉત્તર ભારતનાં ગરીબ પછાત રાજ્યોમાં આ યોજનાની સફળતા 40 થી 60% હોય અને દેશમાં તેનો સફળતા દર 72% હોય ત્યારે કુપોષણમુક્તિ  પણ આંશિક રહેવાની.

‘શાળાઓમાં જાતિ, ધર્મ અને લિંગ આધારિત કોઈપણ પ્રકારના ભેદભાવ રાખ્યા સિવાય બાળકોને એક સાથે જમવાનું આપવામાં આવે’ એવો યોજનાનો મહત્ત્વનો અને ઉમદા હેતુ છે. આ યોજના થકી સામાજિક એકતા, સામાજિક સમાનતા સધાય અને બાળકો બચપણથી જ જ્ઞાતિ-ધર્મના પૂર્વગ્રહોથી મુક્ત બને તેવો યોજનાનો હેતુ હોય અને બીજી તરફ ન માત્ર ગુજરાતમાં દેશભરમાં દલિત બાળકો પ્રત્યે ભેદભાવ રાખવામાં આવતો હોવાની વ્યાપક ફરિયાદો ઊઠે ત્યારે આ યોજના સામાજિક સમાનતા સ્થપવામાં ઊણી ઉતરી હોવાનું લાગે છે.

જાણીતા સમાજશાસ્ત્રી આઈ.પી. દેસાઈના 1976ના ‘ગ્રામીણ ગુજરાતમાં અસ્પૃશ્યતા’ના અભ્યાસમાં સંશોધન હેઠળના 59 માંથી 58 ગામોમાં દલિત બાળકો સાથે શાળામાં આભડછેટ રાખવામાં આવતી ન હોવાનું જણાયું હતું. પરંતુ 1986-87માં બે સંશોધકો કિરણ દેસાઈ અને સત્યકામ જોશીએ નોંધ્યું હતું કે, ‘મધ્યાહ્ન ભોજન યોજનાના અમલે શિક્ષકોના જ્ઞાતિકીય પૂર્વગ્રહોને સપાટી પર આણ્યા છે. ઉચ્ચ વર્ણીય શિક્ષકો ભોજન માટેની બેઠક વ્યવસ્થામાં સભાનપણે હરિજન બાળકોને અલગ બેસાડે છે. આમ, હરિજન બાળકોને સામાજિક દૂષણનું જ્ઞાન બચપણથી જ થાય છે.’ ગુજરાતના 56 તાલુકાના 2589 ગામોમાં પ્રવર્તતી આભડછેટનો 2010નો રોબર્ટ કેનેડી સેન્ટર ફોર જસ્ટિસ એન્ડ હ્યુમન રાઈટ્સ અને નવસર્જન ટ્રસ્ટનો અભ્યાસ આપણી આંખો ખોલી નાંખે છે. આ અહેવાલ જણાવે છે તેમ, ગુજરાતમાં મધ્યાહ્ન ભોજન યોજનામાં દલિત બાળકો પ્રત્યે આચરવામાં આવતી આભડછેટનું પ્રમાણ 53.8 ટકા જેટલું ઊંચું છે.

ભારતની જડ જાતિ પ્રથા અને ઉચ્ચનીચ કોટિક્રમ કેટલો જડબેસલાક છે અને દલિતોમાં આંતરિક આભડછેટ પણ કેટલી વ્યાપક છે તેનો નિર્દેશ કરતાં આ અહેવાલ નોંધે છે કે ગુજરાતમાં 17.4 % શાળાઓમાં દલિત બાળકો તેમનાથી કહેવાતા નીચી જાતિના વાલ્મિકી બાળકો પ્રત્યે આભડછેટ પાળે છે. એટલે કે 17.4% શાળાઓમાં મધ્યાહન ભોજન આરોગતાં બાળકોની દલિત અને બિનદલિત એવી બે જ પંગતો હોતી નથી પણ બિનદલિત, દલિત અને દલિતમાં દલિત એવા વાલ્મીકિ એવી ત્રણ પંગતો હોય છે. ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઓરિસ્સા અને ગુજરાતની 186 શાળાઓની મધ્યાહ્ન ભોજન યોજનામાં 41 સંશોધન સંસ્થાઓ દ્વારા ઓકટોબર 2010 થી સપ્ટેમ્બર 2012 વચ્ચે થયેલી તપાસમાં પણ દલિત વિદ્યાર્થીઓ પ્રત્યેનો ભેદભાવ ઉજાગર થયો હતો.

દેશના લગભગ 12 કરોડ બાળકોને આવરી લેતી મધ્યાહ્ન ભોજન યોજના દુનિયાની સહુથી મોટી યોજના છે. કલ્યાણ રાજ્યને વરેલી આપણી સરકારો માટે આ એક મહત્ત્વની યોજના છે. પરંતુ તેની સફળતા માત્ર આંકડાઓની માયાજાળથી ન આંકતા વાસ્તવમાં આ યોજના સામાજિક એકતા, સમાનતા અને ભાઈચારાની દિશામાં કેટલાં ડગ માંડી શકી છે તે પણ ચકાસવું જોઈએ. આ યોજના સામાજિક સમાનતા સ્થાપવામાં કેટલી ખરી કે ઊણી ઉતરી છે તેના પરથી તેની સફળતા મૂલવવી જોઈએ.

e.mail : maheriyachandu@gmail.com

સૌજન્ય : ‘સામાજિક માપદંડ’, “દિવ્ય ભાસ્કર”, 13 જાન્યુઆરી 2016

Loading

...102030...3,6853,6863,6873,688...3,7003,7103,720...

Search by

Opinion

  • એક સરકારી કર્મીનો પ્રેમપત્ર
  • બંધારણ – દેશનું દર્પણ, દેશની ઓળખ, દેશની શોભા  
  • નથુરામનું ‘હુતાત્મા’ પદ અને કુરુંદકરનો તર્ક
  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ
  • ઝાંઝવાનાં જળ

Diaspora

  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved