Opinion Magazine
Number of visits: 9692016
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

રાષ્ટ્રવાદ પુનર્વિધાન માગે છે

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|19 January 2016

‘ચાય પે ચર્ચા’ની નાટ્યાત્મક (અલબત્ત, થવી જોઈતી) મોદી પહેલ સાથે એક પા રામ માધવની અલ જજીરા મુલાકાત તો બીજી પા પઠાણકોટની આતંકવાદી ઘટના, શું કહેવું આ જુગલબંદીને મિશે અને વિશે.

‘અખંડ ભારત’ની સંઘ પરિવારની પરિકલ્પના(દાયકાઓના દાયકાઓની સંકલ્પના)માંથી ડોકાતો ‘બિગ બ્રધર’વાદ પાકિસ્તાનને પક્ષે સતત ફરિયાદની બાબત રહી છે. ઉલટ પક્ષે, કાશ્મીરમાં લશ્કરી સામેલગીરી સાથે કબાઈલી સંડોવણીને પગલે આ ઉપખંડમાં પાકિસ્તાનનું લોક્સ સ્ટૅન્ડાઈ કે’દીનું સવાલિયા દાયરામાં મુકાયેલું છે. બાંગલાદેશની ઘટનાએ જો એક રાષ્ટ્ર તરીકે પાકિસ્તાનના વજૂદને પડકાર્યું છે તો હિંદુ અગર મુસ્લિમ હોવાને ધોરણે દ્વિરાષ્ટ્રવાદના સંપ્રદાયને પણ પડકાર્યો છે. પાકિસ્તાનમાં આવા એક સમગ્ર ચિત્રની દૃષ્ટિએ જો પુનર્વિચાર આવશ્યક છે તો રાષ્ટ્રની હિંદુ વ્યાખ્યા સાથે કથિત અખંડ ભારતના દ્વિભાજનવિભાજનની જે પરિસ્થિતિ સરજાઈ તેમાં પણ સંઘ પરિવારની સંકલ્પનાને નવેસરથી તળેઉપર તપાસવાની તાકીદ પડેલી છે.

વસ્તુતઃ સંઘ પરિવારની, ખાસ કરીને એની પક્ષીય પાંખરૂપ જનસંઘ અને ભાજપની તવારીખમાં કંઈ નહીં તો એવા ત્રણ સંકેતો ખસૂસ પડેલા છે જ્યારે અખંડ ભારત સંપ્રદાય પરત્વે પુનર્વિચારનો સ્વીકાર થયેલો હોય. અલબત્ત, ‘વી ઓર અવર નેશનહુડ ડિફાઈન્ડ’ (ગોળવલકર) અને ‘હિંદુત્વ’ (સાવરકર) પ્રકારના વૈચારિક અખાડા અને નિંભાડામાં ઉછરેલ કવાયતી માનસને સારુ આ પ્રક્રિયા કાં તો ઊંધે ઘડે પાણી જેવી અગર તો પાકે ઘડે કાંઠા ચડાવવા જેવી બની રહી છે.

રહો, પહેલાં પેલા ત્રણ સંકેતોની નોંધ, જરી ઉતાવળે. ૧૯૬૪-૬૫માં રામ મનોહર લોહિયા અને દીનદયાલ ઉપાધ્યાયે એક સંયુક્ત નિવેદન પ્રસારિત કરીને ભારત-પાક અર્ધસમવાય (કોન્ફેડરેશન)ની હિમાયત કરી હતી. પાકિસ્તાનને ગળી જઈ શકતા કે પૂર્વ બંગાળ (બાંગલાદેશ) જેવો સાંસ્થાનિક અનુભવ આપી શકતા ભારત નામે ‘બિગ બ્રધર’ને બદલે ૧૯૪૭માં અસ્તિત્વમાં આવેલા બે સ્વતંત્ર દેશો એકબીજાના રાજકીય અસ્તિત્વના સમાદરપૂર્વક સાથે હોઈ શકે એવું અને છતાં ઉપખંડને જોડતું આ સૂચન હતું. સ્થાપના સમયથી આશરે દોઢ દાયકા સુધી વારે વારે ‘અખંડ ભારત’ દોહરાવતા જનસંઘમાં પુનર્વિચારની સહેજસાજ પણ આ પહેલ હતી.

બીજો સંકેત ૧૯૯૯માં લાહોરની બસ પહેલ સાથે વડાપ્રધાન વાજપેયીએ આપ્યો હતો, ‘મિનારે પાકિસ્તાન’ની સત્તાવાર મુલાકાત લઈને. મુસ્લિમ લીગે ૧૯૪૦માં પાકિસ્તાનનો ઠરાવ કર્યો એ સ્થળે રચાયેલો આ કીર્તિમિનાર છે. મતલબ, સ્વતંત્ર ભારત સ્વતંત્ર પાકિસ્તાનનો લિહાજ કરે છે એ મતલબનું જવાહરલાલ નેહરુ હસ્તક હોઈ શકે એવું આશ્વાસનકારી અભયવચન આપવાની હિંમતભરી પહેલ સંઘ પરિવારી વાજપેયીએ કરી હતી.

ત્રીજો સંકેત, હમણાં જેમનું નિધન થયું અને દારા શિકોહની સ્મૃિત સાથે સંકળાયેલા ઉદ્યાનમાં દફન થયું તે મુફતી મોહમ્મદ સઈદ (પીડીપી) સાથે ભાજપે કાશ્મીરમાં રચેલી સંયુક્ત સરકાર વાટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપ્યો છે. જમ્મુ-કાશ્મીરનાં ચૂંટણી પરિણામોની કોમી ધ્રુવીકૃત તાસીર (જમ્મુમાં ભાજપ અને કાશ્મીર ખીણમાં પીડીપી)ને સુલઝાવતી આ સમજૂતી હતી. નેશનલ કૉન્ફરન્સને મુકાબલે અલગતાવાદીઓ સાથે કંઈક ખુલ્લાપણાથી જઈ શકતા મુફતી મોહમ્મદ સઈદ જોડે જોડાણ કરવા પૂંઠે સત્તાધક્કા ઉપરાંત પુનર્વિચારની અનિવાર્યતા નથી તેમ કહી શકાતું નથી.

નહીં કે પાકિસ્તાનને પક્ષે કસુર નથી. નહીં કે પાકિસ્તાન કથિત ‘નૉનસ્ટેટ ઍક્ટર્સ’ને લાંબો વખત પોષ્યા અને કેટલોક વખત સાંખ્યા પછી હવે પુનર્વિચારની કશ્મકશમાં નથી. નહીં કે મજહબી રાષ્ટ્રવાદ વિ. બિનસાંપ્રદાયિક રાષ્ટ્રવાદના મુદ્દે ત્યાં ૧૯૪૭ને મુકાબલે જુદેસર વિચારવલણો નથી. ઉલટ પક્ષે, ભારતમાં આજે સત્તારૂઢ વિચારધારાએ, ખાસ કરીને એના અખાડા અને નિંભાડામાં પાકેલા કવાયતી જમાવડાએ પણ નવેસર વિચારવાની તાકીદ એટલી જ સાફ છે.

ભારત સરકારે પાકિસ્તાન તરફથી થતી હરકતો બાબતે શુચિર્દક્ષ પ્રતિભાવ બેલાશક આપવો રહેશે, જેમ કોઈ પણ સરકારે બીજી સરકાર પરત્વે સતર્ક ને સાવધ રહેવાપણું છે. પણ ચક્રવર્તી સમ્રાટ પરંપરામાં રાજ્યની વિસ્તરતી હદો (સાંસ્કૃિતકને નામે રાજનૈતિક લેબેનસ્રોમ) એ એક જીર્ણમતિ અને પ્રતિગામી એટલી જ વિપરીતપરિણામી સંકલ્પના છે. દુનિયાભરમાં આવનજાવન, વસનપુનર્વસન અને ડાયસ્પોરા-દ્વિનાગરિકતા દોર વચ્ચે જૂના રાષ્ટ્રવાદે હવે વિશ્વમાનવતાના વ્યાપક સંદર્ભમાં બંધારણીય રાષ્ટ્રવાદરૂપે એક લચીલું રૂપ લેવું રહેશે.

સૌજન્ય : “નિરીક્ષક”, 16 જાન્યુઆરી 2016; પૃ. 01-02 & 19

Loading

‘જે દેશમાં બંદૂકની બૅરેલથી ચર્ચા બંધ કરાવવામાં આવે છે, તે દેશનું ભાવિ અંધકારમય છે.’

ભીખુ પારેખ અને અનુજકુમાર|Opinion - Opinion|19 January 2016

ભારતનો એક દેશ તરીકે ‘જાહેર ચર્ચા’(પબ્લિક ડિબેટ્સ)નો ગૌરવમય, ભવ્ય વારસો હતો. આધુનિક ભારતમાં કેમ જ્ઞાન આધારિત વિચારભેદ, મતભેદ (વૉઇસ ઑફ ડિસેન્ટ) માટેની જાહેરચર્ચાની જગ્યા, અવકાશ (સ્પેસ) સતત સંકોચાતાં જાય છે?

આશરે એક દાયકા પહેલાં નોબેલ પ્રાઇઝ વિજેતા અમર્ત્ય સેને  ‘ધી આર્ગ્યુમેન્ટટિવ ઇન્ડિયન’ નામના પોતાના જગપ્રસિદ્ધ પુસ્તકમાં લખ્યું હતું કે દેશની ધર્મનિરપેક્ષ (સેક્યુલર ડેમોક્રસી) લોકશાહીને બચાવવા માટે જુદાજુદા વિચારો ઉપરનો બૌદ્ધિક વિવાદ ખૂબ જ અનિવાર્ય છે. આ મુદ્દે પ્રો. સેને ખૂબ જ મુશ્કેલ અને જટિલ પ્રવાહોને સવિસ્તાર વૃત્તાંત સાથે અસરકારક રીતે પોતાના પુસ્તકમાં રજૂ કર્યા હતા.

શું આજે આ ભારતીય ખોવાઈ ગયેલો દેખાય છે? હા, કદાચ તે પહેલાં જેવો પોતાના વિચારો વ્યક્ત કરવામાં અસરકારક નહીં હોય! પરંતુ હું જાણું છું કે હજુ તે આ મુદ્દે સક્રિય છે અને ભારતદેશની આ પ્રણાલિકાને જીવંત રાખવા તે પોતાનાથી જે યથાર્થ છે, તે કરી રહ્યો છે. સને ૨૦૦૫માં દેશના વડાપ્રધાન તરીકે એક શીખ ચૂંટાઈ આવ્યા હતા અને તે સમયે દેશના રાષ્ટ્રપ્રમુખ મુસ્લિમ હતા. તે સમયે નીતિશકુમારે બિહારની ચૂંટણીમાં લાલુપ્રસાદ યાદવને હરાવ્યા હતા (સને ૨૦૧૫માં બંનેએ ભેગા થઈને ભાજપને જબ્બરજસ્ત હાર પણ આપી છે.) તે સમયે અર્ણબ ગોસ્વામી રાષ્ટ્રીય ટેલિવિઝનના પડદે એક અસરકારક પરિબળ તરીકે ઊભરી આવ્યા ન હતા અને ઓસામા બિન લાદેન જીવિત હતો, પરંતુ ભારતીય સમાજને કોઈ બાહ્ય પરિબળોનો ભય ન હતો. પણ સને ૨૦૧૫-૧૬માં આ બધું બિલકુલ જુદું થઈ ગયું છે. વૈચારિક મતભેદ માટે રાષ્ટ્રીય કક્ષાએ જે ખુલ્લાપણાનો અવકાશ કે મોકળાશ હતી તે ખૂબ જ ઝડપથી સંકોચાઈ જવા માંડ્યા છે. બીજી બાજુએ ISIS જેવી ઇસ્લામિક ધર્માંધ સંસ્થાના ત્રાસવાદીઓ દેશની સરહદો પર ટકોરા મારી રહ્યા છે.

આવા સંજોગોમાં ‘હિન્દુ’ દૈનિકના પ્રતિનિધિ અનુજકુમાર ‘ડિબેટિંગ ઇન્ડિયા’ના લેખક પ્રો. ભીખુ પારેખના રાજકીય વિચારો સમજવાનો પ્રયત્ન કરે છે.

દિલ્હીની ડિસેમ્બર માસની સવારની કડકડતી ઠંડીમાં તેમણે પ્રો. પારેખ સાથે ચર્ચા કરવા માંડી.

મારું આ પુસ્તક પ્રો. સેનના ‘ધી આર્ગ્યુમેન્ટટિવ ઇન્ડિયન’ કરતાં ઘણી બધી દૃષ્ટિએ ભિન્ન છે. સેનના મત પ્રમાણે બધા જ ભારતીયો એક સમૂહ તરીકે છુટા ના પાડી શકાય તેવા‘હમૉજિનાઇઝ’ છે. હું પ્રો. સેનના તે અભિપ્રાયથી બિલકુલ મુક્ત થઈ જવા માંગુ છું (ગેટ અવે ફ્રોમ ઇટ). હું  દેશના પ્રજાજન ભારતીય વિશે ચર્ચા કરવા માંગતો નથી પણ ભારતની એક દેશ તરીકે ચર્ચા કરવા માંગું છું. પ્રો સેનનું તારણ છે કે સમગ્ર ભારતીય પ્રણાલીઓ કે પરંપરાઓ મુક્ત મનથી છલોછલ વાદવિવાદના વારસાથી ભરેલી છે. આ સંદર્ભમાં મારો વિવાદનો મુદ્દો એ છે કે જ્યાં સુધી આપણી ચર્ચા ધાર્મિક અને જ્ઞાનમીમાંસા (ઇપિસ્ટોમોલૉજિકલ) વિષયક હશે ત્યાં સુધી આપણે બધા તે અંગેની ચર્ચાઓમાં મૌલિક, ધરમૂળથી સુધારાની તરફેણ કરનારા, કે હિમાયતી બની જઈએ છીએ, પણ જ્યારે આ દેશની દુખતી નસ જેવા સામાજિક ને રાજકીય મુદ્દાઓ પર ચર્ચા કરવાની હોય છે, ત્યારે ઉગ્ર, મૌલિક સુધારાવાદીને બદલે ડરપોક તથા ‘જૈસે થે વાદી’ બની જતા હોઈએ છીએ. આપણી ચર્ચામાં એવો પ્રશ્ન ક્યારે ય પેદા થતો નથી કે શા માટે આપણામાંથી કેટલાક લોકો ગરીબ છે? શા માટે આપણામાંથી કેટલાક લોકો દલિત છે?

પછી પ્રો. પારેખ, પોતાના સમર્થનની દલીલમાં બાબાસાહેબ આંબેડકરના આ વાક્યનો સંદર્ભ આપે છે, “How come no Hindu felt morally angry and outraged at the practice of untouchablity”. ‘શા માટે કેમ કોઈ હિંદુને, પોતાના સમાજમાં પ્રવર્તમાન અછૂતપ્રથા સામે નૈતિક અને વાસ્તવિક રીતે આક્રોશ થતો નથી?’ શા માટે તે બધાને આ પ્રથા અમાનવીય અને ગૌરવહીન દેખાતી અને અનુભવાતી નથી? મેં મારા આ પુસ્તકમાં એ સાબિત કરવાની કોશિશ કરી છે કે આ દેશની એક પ્રણાલી ખૂબ જ પરિવર્તનશીલ અને મૂળભૂત રીતે ક્રાંતિકારી દેખાય છે, જ્યારે તે જ દેશમાં બીજી સામાજિક કે રાજકીય પ્રણાલીઓ સામે રૂઢિચુસ્ત, અપરિવર્તનશીલ અને પ્રત્યાઘાતી વલણો જોવા મળે છે.

અમર્ત્ય સેન સાથે પ્રો. ભીખુભાઈ એક બીજા મુદ્દા પર પણ સંમત નથી. ‘ભારતમાં મુક્ત વાદવિવાદની પરંપરા છે.’ વિશ્વના કોઈ દેશમાં અસ્તિત્વ ના ધરાવતી હોય તેવી અગત્યની જાહેર વાદવિવાદની પ્રથા (ટ્રેડિશન ઑફ પબ્લિક ડિબેટ) આપણા દેશમાં છે. આપણે ત્યાં જાહેરમંચ (પબ્લિક સ્પેક્ટકલ) ઉપરથી હજારો લોકો સામે બે કે તેથી વધારે વ્યક્તિઓ સમાજને સ્પર્શતા પ્રશ્નો અંગે બિલકુલ શાંતિપૂર્ણ રીતે ચર્ચા કરે એ પ્રણાલી છે. તેઓનો અભિગમ ભારતની આ વિશિષ્ટ ચર્ચાપ્રણાલી વિચારને સમજાવાનો છે. તમે કલ્પના કરી શકો છો ખરા કે ખ્રિસ્તી પાદરીઓ અને હિંદુ પંડિતો સાથે એક મંચ પરથી ચર્ચા થઈ શકે? આ ચર્ચા તે જમાનામાં બનારસના મહારાજાના પ્રમુખપણામાં બનારસ મુકામે (કાશીમાં) યોજાઈ હતી. મહારાજાએ આ ચર્ચામાં પ્રથમ પ્રશ્ન ખ્રિસ્તી ધર્મગુરુઓને પૂછવાનો કહ્યો હતો. “The Maharaja asks the missionaries to fire the first question.” અને તે ચર્ચા વિનાવિઘ્ને ત્રણ અઠવાડિયાં સુધી ચાલી હતી.

ગમે તે કારણોસર આવી જાહેર ચર્ચાઓનાં સદ્દગુણો અને ફળ સામાન્ય પ્રજાજનોના બૌદ્ધિક સ્તરો સુધી ઝમણ (પરકોલેટ) થઈને પહોંચ્યાં નથી. આ દેશમાં જ્યારે ગાંધીજી રાષ્ટ્રીય સ્તર પર કેન્દ્રસ્થાને હતા ત્યારે તેઓએ આવા પ્રજાલક્ષી જાહેર પ્રશ્નો ઉપર ચર્ચાઓ કરી હતી. પોતાની દૃષ્ટિએ જાહેર હિતમાં હાનિકારક માન્યતાઓને પડકારી હતી અને પોતાના અભિપ્રાય મુજબના લભ્યપ્રચારનાં સંસાધનોનો ઉપયોગ કરીને કેળવણી આપીને પ્રજામત તૈયાર કર્યો હતો. પ્રો. પારેખે જે પાંચ રાષ્ટ્રીય ચર્ચાઓમાં ગાંધીજી કેન્દ્રસ્થાને હતા, તેની યાદી જણાવી હતી. (૧) ગાંધીજી અને સાવરકર (૨) ગાંધીજી અને આધુનિક વિચારના સમર્થકો (મૉડર્નિસ્ટ) (૩) ગાંધીજી અને હિંસાથી ક્રાંતિ કરીને બ્રિટિશ હકૂમતને ઉથલાવનારાઓ (૪) ગાંધીજી અને ટાગોર (૫) ગાંધીજી અને બાબાસાહેબ આંબેડકર. આ બધા ગાંધીજી સામેના વિચારો ભલે જુદી-જુદી વ્યક્તિઓ દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા, તેમ છતાં તે દરેક વિચારની પાછળ લોકમાન્યતાઓનું પીઠબળ હતું.

ગાંધીજી અને ટાગોર વચ્ચેની ડિબેટનો મુદ્દો વિદેશી કાપડની હોળી કરવા વિશેનો હતો. લોકો આ ચર્ચામાં કોણ જીતશે, તેની ખૂબ જ આતુરતાપૂર્વક રાહ જોતા હતા. કોણ નવી દલીલ લઈને આવશે, તેની ખૂબ જ ઇંતેજારી પ્રજામાં હતી.

ટાગોરે ગાંધીજીને કહ્યું હતું કે તમે પરદેશી કાપડોની હોળી કરો છો. શું આવી સુંદર સાડીઓની હોળી કરવાની તમને ઠીક લાગે છે? તેને બદલે તે બધી સાડીઓ ગરીબોની અંદર વહેંચી આપોને.

ગાંધીજીએ જવાબ આપ્યો કે શું તમને આવી દલીલ વાજબી લાગે છે? તમને માહિતી છે ખરી કે આવી સાડીઓની દેખરેખ રાખવાં માટેનાં સાધનો તે બધી ગરીબ સ્ત્રીઓ પાસે છે? ખરેખર તો આવી સાડી તે ગરીબોને આપવી તે જ ગરીબોનાં અપમાન સમાન છે.

આવી ચર્ચાએ આઝાદીના સંગ્રામનો પ્રજામત ઘડીને લોકોને સર્વસ્વનો ત્યાગ આપવા તૈયાર કરી હતી. આઝાદી પછી દેશની સંસદના ડિબેટે સરકારી અને સામાન્ય સ્વરૂપ ધારણ કરી લીધું છે, જેનાથી સામાજિક, રાજકીય અને આર્થિક મુદ્દાઓ પર પ્રજામત ઘડાતો અને વિકસતો બંધ થઈ ગયો છે. સંસદીય ચર્ચાઓનો સ્તર ક્રમશ : ઝડપથી ઉતરતો જાય છે. (વધારે દુઃખદ બાબત તો એ છે કે રાજ્યના મુખ્ય પ્રધાન કે દેશના વડાપ્રધાન ચાલુ વિધાનસભાએ કે ચાલુ સસંદે સમજપૂર્વક ગેરહાજર રહીને આ બંને સંસ્થાઓની ગરિમાને હાની પહોંચાડે છે. આવી સંસ્થાઓની પ્રસ્તુતતાઓને અપ્રસ્તુત બનાવે છે. – ભાવાનુવાદક) સને ૧૯૭૦ પછી આપણા આ મહામૂલા વાદવિવાદ-સંવાદ દ્વારા લોકશિક્ષણનો વારસો ઝડપથી ઘસાતો ગયો. લોકચર્ચા માટે આપણી સમક્ષ પ્રજા તરીકે રાષ્ટ્રવ્યાપી મોટી ચર્ચાના મુદ્દાઓ હોવા જોઈએ. જે મુદ્દાઓ ઉપર મહત્ત્વના પ્રામાણિક અને સૈદ્ધાંતિક મતભેદો હોવા જરૂરી છે. આવા જાહેર મુદ્દાઓને પ્રજા સમક્ષ જ્ઞાન આધારિત રજૂ કરનારા શક્તિશાળી સાક્ષરો હોવા જોઈએ, જે આવા મુદ્દાઓને લોકભોગ્ય ભાષાઓમાં સહેલાં અને યાદગાર સૂત્રો બનાવીને દેશની પ્રજા સમક્ષ પ્રજામત કેળવવા મૂકી શકે. આ બધાં હકારાત્મક ડિબેટ્સનાં પરિબળો સખત પ્રમાણમાં રાષ્ટ્રીય અને સ્થાનિક કક્ષાએ ઘટી ગયાં છે. નરેન્દ્ર મોદી જેવા કુશળ વક્તાઓ છે, પણ જ્ઞાન આધારિત વાસ્તવિક વાદવિવાદ કરનારા જૂજ હશે. મોદી મોટી જનમેદની સમક્ષ લોકરંજક આવેશયુક્ત ભાષણ કરી શકે છે, પણ શું તે સામસામા બેસીને ઠંડેચિત્તે જ્ઞાનઆધારિત વાદવિવાદ કે ચર્ચા કરી શકે?  (‘There are orators like Narendra Modi but very few debaters. He can harabgue a crowd, but can he debate ?’ he muses.)

હવે આ એવો સમય પેદા થઈ ગયો, જે સમયે હિંદુત્વ આધારિત ઓળખે પોતાનું રાષ્ટ્રવ્યાપી કાઠું કાઢવાની પ્રક્રિયાને ગતિશીલ બનાવી. પ્રો.પારેખના મંતવ્ય પ્રમાણે તે માટે કેટલાક અંશે જવાહરલાલ નેહરુ જવાબદાર હતા. “નેહરુએ કહ્યું હતું કે ભારતે વૈશ્વિક કે અન્ય કક્ષાએ પોતાની છાપ પેદા કરવી હશે, તો તેણે તેના ભૂતકાળ સાથે જોડાયેલા નાભિ-નાતાનો સંબંધ કાપી નાંખવો પડશે.”

ભૂતકાળે તો આપણને મારી નાંખ્યા છે. બ્રિટનના એક સમયનાં વડાંપ્રધાન શ્રીમતી થેચરની માફક નેહરુજીએ દેશને વૈચારિક રીતે એવો ‘હાઇજેક’ કરી લીધો હતો કે જાણે દેશ સમક્ષ નેહરુજીના બૌદ્ધિક તારણ સિવાય બીજો કોઈ સુલભ વિકલ્પ ઉપલબ્ધ જ નથી. નેહરુજીના અવસાનનાં ૨૦ વર્ષ પસાર થઈ ગયા પછી આપણી પાસે સૂત્ર આવ્યું કે “ગર્વસે કહો હમ હિંદુ હૈં”. આ સંદર્ભમાં મને વિચાર આવે છે કે જે દેશની ૮૫ ટકા પ્રજા હિંદુ છે, તેને એમ ઠસાવવાની કોશિશ કરવામાં આવે કે તને હિંદુ હોવાનું ગૌરવ હોવું જોઈએ. તે સ્થિતિ બહુમતી પ્રજા માટે દયનીય કહેવાય. કારણ કે નેહરુજીના જમાનામાં સાચી કે ખોટી રીતે એવી છાપ પેદા કરવામાં આવી કે હિંદુઓને બહુમતી પ્રજા તરીકે પોતાના અધિકારોથી વંચિત રાખવામાં આવ્યા છે.

અસહિષ્ણુતાના મુદ્દાના સંદર્ભમાં ચર્ચા કરતાં પ્રો. પારેખનું મંતવ્ય છે કે જો આપણે આપણી રાષ્ટ્રીય ઓળખનાં પ્રતીકો અથવા સંકેત ચિહ્નો (ધી સિમ્બોલ્સ ઑફ અવર નેશનલ આઇડેન્ટિટી) તરફ એક નજર નાંખીશું, તો ખબર પડશે કે તે બધામાંથી ૮૦થી ૯૦ ટકા પ્રતીકો હિંદુ અથવા બૌદ્ધ છે. “શું તે દેશના હિંદુ ચહેરાની ઓળખ નથી, તો બીજું શું છે?” આમ, દેશની પ્રતિકાત્મક ઓળખ હિંદુ કે બૌદ્ધધર્મ આધારિત બનાવ્યા પછી નેહરુજીનું કહેવું હતું કે અમે દેશની લઘુમતીમાં જ્યાં સુધી તે સુધારા માટે તૈયાર ન હોય ત્યાં સુધી તેને અડકીશું નહીં કે તેમાં કોઈ ફેરફાર સૂચવીશું નહીં. પરંતુ તે હિંદુ બહુમતીના સંદર્ભમાં ફેરફાર માટે હિંદુકોડ બિલ લઈને આવ્યા. તેથી કેટલાક હિંદુ આગેવાનોએ અનુભવ્યું કે પંડિતજીના ભારતમાં હિંદુઓ માટે કોઈ મહત્ત્વનું સ્થાન કે ભૂમિકા નથી. ખરેખર તો તે બધા નેહરુજીને સમજ્યા નહીં અથવા જે નેહરુજી કરવા માંગતા હતા, તે અંગે આ બધા હિંદુ અગ્રણીઓનાં મનમાં મોટી ગેરસમજ પેદા થઈ. નેહરુજીના પક્ષે એ સમજવાની જરૂર હતી કે છેલ્લાં બે હજાર વર્ષ કરતાં વધારે સમયથી હિંદુઓ આ દેશમાં બહુમતી પ્રજા હોવા છતાં ગૌરવહીન (હ્યુમિલિયેટેડ) દશામાં જીવતી આવી છે. તેને બદલે હિંદુઓને કોમવાદી તરીકે ઓળખાવ્યા.

મારા મત મુજબ ‘ગર્વસે કહો હમ હિન્દુ હૈ’ સૂત્રની પાછળનો આ પૂર્વાપર સંદર્ભ છે. પણ તેઓનું સ્પષ્ટ મંતવ્ય છે કે આવા હિંદુઓની ગૌરવહીનતાનો ભારપૂર્વક કે નિશ્ચયપૂર્વકનો ખ્યાલ બિલકુલ ગેરસમજ પર આધારિત છે. ગણપતિનો દાખલો આપીને એમ સાબિત કરવા કોશિશ કરવી કે અમારે ત્યાં પ્રાચીનકાળમાં પ્લાસ્ટિક સર્જરીનું વિજ્ઞાન વિકસેલું હતું તે બિલકુલ વિવેકહીન હકીકત (ઍબ્સર્ડ) છે. હિંદુઓના માનબિંદુની ચળવળ આ રસ્તા ઉપર દોડશે, તો ટૂંક સમયમાં જ તે બેઆબરૂ થઈ જશે. હું એ વાત સમજી શકું છું કે જો તે બધા એમ કહેતા હોય કે ભારતની એક દેશ તરીકેના ભૂતકાળની નોંધ લેવાવી જોઈએ અથવા રામાયણ અને મહાભારત તે ફક્ત હિંદુગ્રંથો નથી, પણ સમગ્ર ભારતીયોના ગ્રંથો છે તે બધાની આવી આકાંક્ષાઓને હું સમજી શકું છું. તેના પર ચર્ચા કે વાદવિવાદ પણ થઈ શકે! પણ તેનાથી આગળ વધીને આ બધા કહે કે કોઈએ ગાયનું માંસ ન જ ખાવું જોઇએ, તે દલીલ અથવા હકીકત વિચારહીનતાની પરાકાષ્ઠા ગણાય.

ઇસ્લામ અંગે પ્રો. પારેખના વિચારો જાણતાં પહેલાં આપણે એ જાણવાની જરૂર છે કે તેઓએ બ્રિટનમાં બહુસંસ્કૃિતવાદ અને જાતીય સમાનતાના મુદ્દે (મલ્ટિકલ્ચરાઇઝમ ઍન્ડ રેસિયલ ઇનઇક્વાલિટી) ઘણાં કમિશનોના પ્રમુખ તરીકે કામ કર્યું છે. તેઓનું મંતવ્ય છે કે ઇસ્લામમાં હિંદુધર્મની માફક જાહેર ચર્ચા કરાવાની કોઈ પ્રણાલીઓ નથી અને વિકસી પણ ન હતી. તેઓએ પોતાના આ પુસ્તકમાં ગાંધીજી અને બિનલાદેન વચ્ચે કાલ્પનિક સંવાદ ઊભો કર્યો છે, જેમાં પ્રો. પારેખે બિનલાદેનને ભારતદેશની આઝાદીની ચળવળમાં ગાંધીજીના અંતિમવાદી મિત્રો (!) તરીકે સરખામણી કરી હતી. જાહેર સંવાદ કે વાદવિવાદને ઇસ્લામમાં ‘ઇત્તિહાદ’ તરીકે ઓળખવામાં આવે છે, પરંતુ તે માટેનાં બારણાં બંધ કરી દેવામાં આવ્યાં છે. ઘણા આ મુદ્દે એમ દલીલ કરે છે કે  ઇસ્લામમાં બૌદ્ધિક વાદવિવાદને સ્થાન છે પણ કોઈ સ્પષ્ટ રીતે જવાબ આપતું નથી કે વાદ-વિવાદનું કેટલું મહત્ત્વ ઇસ્લામમાં છે. ધાર્મિક પુસ્તકો તમને તમારો રસ્તો બતાવશે, પણ તેમનાં લખાણોથી  આગળ જતા ચોક્કસ અટકાવશે.

પ્રો. પારેખે ઇંગ્લૅંડ અને ભારતની વાદ વિવાદની વિકસેલ પ્રથાની સરખામણી કરતાં જણાવ્યું કે આપણા દેશના જે-તે સમયના નેતાઓએ આ સંવાદને કોમવાદી દિશામાં લઈ જવા માટે જવાબદાર ઠેરવ્યા છે. ઇંગ્લૅંડમાં વાદ વિવાદમાં કે ચર્ચામાં તમને સપાટી ઉપર મતભેદ દેખાય, પણ દેશને કઈ દિશામાં લઈ જવો છે તે મુદ્દે બધાની સહમતી હોય. તેથી ચર્ચા કરનારાઓ પોતાના આંતરિક મતમતાંતરોને દેશનું પાયાનું માળખું તૂટી જાય ત્યાં સુધી ન લઈ જાય, આપણે એવી સહસંમતિ વિકસાવવાની પ્રક્રિયાની તૈયાર કરી રહ્યા છે, પણ કરી નથી.

અંતમાં પારેખસાહેબની ચિંતા છે કે મતભેદ, અસંમતિ, સહિષ્ણુતા, વિવેક, વિનયસૌજન્ય એક પ્રકારની ગૃહસ્થાઈ (સિવિલિટી) જાણે ભારતીય સમાજમાંથી ક્રમશઃ લુપ્ત થતી હોય તેમ દેખાય છે. તેની નિશાનીઓ તો રોજબરોજના નાગરિકજીવનમાં દેખાય છે. સવા અબજની વસ્તીવાળા દેશમાં બે-ત્રણ બનાવો કાંઈ મોટી ચીજ નથી, પરંતુ આ બનાવો સ્થાનિક કે કોઈ પ્રસંગાનુસાર બન્યા હોય તેવા પણ નથી. પરંતુ આ બધા બનાવો દેશ જે હિંદુ માનસિકતામાં વલોવાઈ રહ્યો છે, તેના વજૂદવાળા, નજરઅંદાજ ન થઈ શકે તેવાં પ્રતીકો કે ચિહ્નો છે. કેટલીક વસ્તુઓની કે વિષયોની આ દેશમાં ચર્ચા જ ન થઈ શકે!  આવાં વલણોની શક્તિઓમાં સતત વધારો મને ખૂબ જ ચિંતા ઊપજાવે છે. જે રીતે પેલા ત્રણ રેશનાલિસ્ટોના ખૂનીઓએ બંદૂકની બુલેટથી તે બધાની ચર્ચાઓ કાયમ માટે બંધ કરાવી દીધી, તે ખૂબ જ દુઃખદ અને આઘાતજનક છે.

જાહેરચર્ચાનું નવું સ્થળ

આ દિવસોમાં જાહેરચર્ચાઓ અને વાદ-વિવાદનું સ્થળ બદલાઇને ટેલીવિઝનનો સ્ટુડિયો બની ગયું છે. જ્યારે ટીવી-ઍન્કર પોતે જ ચર્ચાની શરૂઆત કરનારો હોય, ત્યારે ક્રિકેટની રમતમાં અમ્પાયર પોતે ખેલાડી બની જાય તેવી સ્થિતિ પેદા થાય છે. આ સંદર્ભમાં લોકસભા અને રાજ્યસભાનાં ટીવી-ડિબેટ્સ જુદાં તરી આવે છે.

(રજૂઆત : બીપીન શ્રોફ)

e.mail : profparekh@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 16 જાન્યુઆરી 2016; પૃ. 03-05

[ડિબેટિંગ ઇન્ડિયા − એસેઝ અૉન ઇન્ડિયન પોલિટિકલ ડિસકોર્સ : લેખક – પ્રૉફેસર ભીખુ પારેખ, અૉક્સફર્ડ યુનિવર્સિટી પબ્લિકેશન, ન્યૂ દિલ્હી]

તાજેતરમાં જ અૉક્સફર્ડ યુનિવર્સિટી પ્રેસ દ્વારા લૉર્ડ પ્રો. ભીખુભાઈ પારેખનું ‘ડિબેટિંગ ઇન્ડિયા’ નામનું 400 પાનનું દળદાર પુસ્તક અંગ્રેજીમાં બહાર પડેલ છે. ડિસેમ્બર, 2015માં ભીખુભાઈએ ન્યૂ દિલ્હી અને મદ્રાસથી પ્રકાશિત “હિન્દુ” [The Hindu] દૈનિકના પ્રતિનિધિ અનુજકુમારને ન્યૂ દિલ્હી મુકામે આપેલ ઇન્ટરવ્યૂમાં આ પુસ્તક અંગે જે વાતો કરી હતી, તેનો ભાવાનુવાદ અત્રે આપેલ છે. આ મૂળ લખાણની અંગ્રેજી કડી અહીં નીચે આપીએ છીએ : તંત્રી

http://www.thehindu.com/todays-paper/tp-features/tp-metroplus/closing-the-debate-with-a-bullet-is-sad/article8026812.ece

 

Loading

વિભાજિત ભારત: વૉર ઇન પ્રોગ્રેસ નહીં, વર્ક ઇન પ્રોગ્રેસ

રાજ ગોસ્વામી
, રાજ ગોસ્વામી|Opinion - Opinion|18 January 2016

‘આપણે પાછા ભેગા થઈ જવું જોઈએ’ એવી ફેન્ટસીમાં રાચવા કરતાં વધુ સંગત અને તાર્કિક સવાલ એ છે કે ‘શું આ વિભાજન થયું તે સારા માટે ન હતું?

જે દિવસે (મસ્તાની ફેમ) બાજીરાવ સિનેમાઘરોમાં મુઘલ સામ્રાજ્યની સરહદો કાપીને મરાઠા સામ્રાજ્યનું વિસ્તરણ કરવા માટે ખાંડાં ખખડાવી રહ્યો હતો ત્યારે દોહા સ્થિત અલ જઝીરા ટીવી ચેનલના ઇન્ટરવ્યૂઅર મહેંદી હસન સાથે ખાંડાં ખખડાવીને ભાજપના જનરલ સેક્રેટરી રામ માધવે ‘આશા’ વ્યક્ત કરી કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ માને છે કે ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશ એક દિવસ ભેગાં થશે અને અખંડ ભારત બનશે.

બાજીરાવના સમયમાં મુઘલોનો ‘મુસ્લિમ પાવર’ સંક્ષિપ્ત કરીને મરાઠાઓનો ‘હિન્દુ પાવર’ પશ્ચિમમાં કંદહારથી લઈને પૂર્વમાં બંગાળ અને દક્ષિણમાં તામિલનાડુ સુધી છવાયો હતો. બાજીરાવની જેમ જ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એ હકીકત સાથે સામંજસ્ય સ્થાપી શક્યો નથી કે ‘હિન્દુસ્તાન’ બે ટુકડામાં વહેંચાઈ ગયું છે. આના માટે સંઘ ‘મુસ્લિમો’ને જવાબદાર માને છે. સંઘની ‘સ્કીમ’માં પાકિસ્તાનનું અસ્તિત્વ અતાર્કિક અને અનાવશ્યક છે અને હિમાલયથી શરૂ કરીને સિંધુ નદીના તટમાં રહેતા તમામ ઇલાકાઓએ હિન્દુ જાતિ અને હિન્દુ રાષ્ટ્ર તરીકે રહેવું જોઈએ.

વિનાયક દામોદાર સાવરકરે લખ્યું છે કે ‘સંસ્કૃતમાં સિંધુનો મતલબ માત્ર નદી જ નહીં, સાગર પણ થાય છે. એટલે સિંધુનો પટ (પશ્ચિમમાં) આપણી ભૂમિની સરહદ છે. સિંધુસ્તાનના નામમાં આપણી માતૃભૂમિની છબી છે; જે સિંધુ અને સિંધુ-નદીથી સાગર સુધીની છે. હિન્દુઓ (આ) હિન્દુ રાષ્ટ્રના ખાલી નાગરિક તરીકે જ સંગઠિત નથી, સમાન ખૂનથી પણ બંધાયેલા છે.’ આ વિભાજન અખંડ ભારતના ખયાલનો વિશ્વાસઘાત છે, એમ સંઘ માને છે.

અખંડ ભારતનું સ્વપ્ન ખાસું લોકપ્રિય છે અને એ ઘણા બધાની નીંદમાં આવતું રહે છે. તમારા અને મારા માટે તો 60 વર્ષ બુઢાપાની ઉંમર કહેવાય પણ એક રાષ્ટ્ર માટે તો એ બાળપણ કહેવાય. એ કારણથી જ, ભારત-પાકિસ્તાનના વિભાજનને લઈને હજુ ય ગહન અને ભાવુક ચર્ચા-વિચાર થતો રહે છે. એમાં કૉંગ્રેસ, મુસ્લિમ લીગ, ગાંધી, જીન્હા, નહેરુ, સરદારને વ્યક્તિગત રીતે કે સામૂહિક રીતે ઉત્તરદાયી ગણવામાં આવતા રહે છે અને એવા ય ખયાલને પંપાળવામાં આવે છે કે ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશના લોકો ભેગા હોત તો વધુ સુખી અને સમૃદ્ધ હોત.

ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશ હવે જમીની હકીકત છે અને એ હકીકત નકારી શકાય તેમ નથી. એ વાત સાચી છે કે આ વિભાજન રક્તરંજિત અને દર્દનાક હતું. એટલા માટે જ ઇતિહાસકારોથી લઈને રાજકીય પક્ષો અને આમજનતા ભાવુક થઈને ‘આ વિભાજન નિવારી શકાયું હોત’ અથવા ‘આપણે પાછા ભેગા થઈ જવું જોઈએ’ એવી ફેન્ટસીમાં રાચતા રહે છે. છતાં, વધુ સંગત અને તાર્કિક સવાલ એ છે કે ‘શું આ વિભાજન થયું તે સારા માટે ન હતું?’

પાછાં ભેગાં થવાની વાત તો એવી છે કે પાકિસ્તાનીઓ પાછા હિન્દુઓના પ્રભુત્વ નીચે આવી જાય અથવા ભારતીયો પાછા અંગ્રેજોના ગુલામ થઈ જાય. આ અશક્ય જ નહીં, અપમાનજનક પણ છે. પહેલી વાત તો એ કે વિભાજન અનિવાર્ય હતું. અંગ્રેજોએ ભારતનાં બે ફાડિયાં કર્યાં હતાં એવી એક મિથ યુવાન પેઢીને ભણાવવામાં આવી છે. અંગ્રેજોએ વર્ષો સુધી એવી દલીલ કરી હતી કે હિન્દુ-મુસલમાનોએ સાથે રહેવું જોઈએ. છેલ્લે 1946-47માં વચગાળાની કેબિનેટમાં નહેરુ, સરદાર અને જીન્હાને ભેગા બેસાડવામાં આવ્યા હતા એ પ્રયોગ પણ નાકામ રહ્યો હતો. એમાં લીગના નાણામંત્રી લિયાકત અલી ખાને (જે સ્વતંત્ર પાકિસ્તાનના પ્રથમ પ્રધાનમંત્રી બન્યા હતા) દ્વિતીય મહાયુદ્ધમાં ઢગલો રૂપિયા બનાવનારા ઉદ્યોગો પર કરવેરા ઝીંક્યા તે ‘હિન્દુ વિરોધી’ હોવાની લાગણી બળવત્તર બની ગઈ અને કૉંગ્રેસે મન બનાવી લીધું કે જીન્હા સાથે કોઈ કાળે કામ કરવું શક્ય નથી અને સાફ-સૂથરું વિભાજન જ અંતિમ ઉપાય છે.

આ જ કેબિનેટ પ્લાન હેઠળ રાજા-રજવાડાંને લઈને મગનું નામ મરી પાડવામાં આવ્યું઼ ન હતું. આ પ્લાન જો પાર પડ્યો હોત તો આ નવાબો અને મહારાજાઓએ કેવી દાદાગીરી અને કેવા બ્લેકમેઇલ કર્યા હોત એ કલ્પના કરવા જેવી છે. સ્વતંત્ર ભારતમાં ય સરદાર પટેલે રીતસર કાપાકાપીની ધમકી આપી તે પછી આ નવાબજાદાઓ લાઈન પર આવ્યા હતા અને સાલિયાણાના બદલામાં સત્તા જતી કરવા તૈયાર થયા હતા. એટલે સુધી કે બ્રિટિશ ટોરી પક્ષની (જેને ભારતની સ્વતંત્રતા સામે જબ્બર વાંધો હતો) ચઢામણીથી કેટલાંક રજવાડાંઓએ તો અખંડ ભારતમાં રહીને સંયુક્ત રાષ્ટ્ર સંઘના સભ્યપદ માટે પણ અરજીઓ કરી હતી.

કેબિનેટ મિશન પ્લાનનો ઉદ્દેશ જ વિભાજિત ભારત સારું કે અખંડ ભારત સારું એ પ્રશ્નનો જવાબ શોધવાનું હતું. અંગ્રેજોએ કૉંગ્રેસ અને લીગની કામચલાઉ સરકારને જે ‘લબાચો’ પકડાયેલો તે આ રાજા-રજવાડાંનું શું કરવું તે. વિભાજન ન થયું હોત તો આ ‘લબાચો’ ઉકેલાયો ન હોત અને  એમણે અખંડ ભારતના નાકમાં દમ લાવી દીધો હોત. વિચાર કરો કે એક જ સંવિધાન, સમાન રેલ વ્યવસ્થા અને કાશ્મીરથી કન્યાકુમારી સુધીના સંલગ્ન ઇલાકા વગરનું ભારત કેવું હોત?

કેબિનેટ મિશનનો ઉદ્દેશ હિન્દુ-મુસ્લિમોના સહ-અસ્તિત્વ અને સહ-સરકારનો હતો. આ મિશનનો અસ્વીકાર ભારતના ટકી રહેવા માટે અગત્યનો બની ગયો હતો. આ  યોજનાનો ડૂચો વાળી દેવામાં આવ્યો તે પછી જ ભારતીય સંવિધાન, ન્યાયિક વ્યવસ્થા, મુક્ત લોકતંત્ર અને બહુ પક્ષીય ગોઠવણ શક્ય બની હતી. અવિભાજિત ભારતમાં આ શક્ય બન્યું ન હોત કારણ કે અવિભાજિત ભારતના 33 પ્રતિશત મુસ્લિમો તમામ પ્રકારની યોજના, વિચાર, ચર્ચામાં હાવી રહ્યા હોત. 30 અને 40ના દાયકામાં સામાજિક-રાજકીય સુધારની કોશિશ એટલે જ નાકામ રહી હતી.

કેબિનેટ મિશન પ્લાનની હિન્દુ-મુસ્લિમ સત્તા સાઝેદારીમાં એક ગોઠવણ મુસ્લિમો માટે અલગ નિર્વાચન-મંડળ (ઇલેક્ટ્રોરેટ)ની હતી. નહેરુ આના વિરોધી હતા. અલગ નિર્વાચન મંડળ હોય એવી લોકશાહી લોકશાહી ગણાઈ હોત? અવિભાજિત ભારતમાં પંજાબ, સિંધ, બલુચીસ્તાન અને પૂર્વ બંગાળમાં હિન્દુ-મુસ્લિમ વસતીનું અસંતુલન માથાનો દુખાવો રહ્યું હોત અને કોંગ્રેસ ક્યારે ય શાંતિથી શાસન કરી શકી ન હોત. વિભાજનના કારણે જ મહાત્મા ગાંધી, નહેરુ અને સરદાર બહુમતી કોમના ઝેરને બેઅસર કરી શક્યા હતા.

જીન્હાને શરૂઆતથી જ ખબર હતી કે હિન્દુ વિરુદ્ધ મુસ્લિમ ફોલ્ટ-લાઈન થીંગડાં મારવાથી સરખી નથી થવાની. નહેરુ અને સરદારને મોડે મોડે પણ ડહાપણ લાધેલું. ગાંધીજી આ ક્યારે ય નહીં સમજ્યા. અગર સમજ્યા હતા તો ક્યારે ય એનો સ્વીકાર કર્યો ન હતો. જીન્હા, નહેરુ અને સરદારની આ સમજના કારણે જ હિન્દુ અને મુસ્લિમો એક ખુલ્લી શાંતિ હેઠળ જીવી રહ્યા છે. અવિભાજિત ભારતમાં એ કોમી વિસંવાદ ખાસો અઘરો સાબિત થયો હોત. આ નેતાઓની દૂરંદેશીના કારણે જ ભારત હિન્દુ રાષ્ટ્ર કે હિન્દુ પાકિસ્તાન બનવામાંથી બચી ગયું. કોમી અસંતુલનના કારણે જ ભારત લેબનોન બન્યું નથી જ્યાં 60 પ્રતિશત મુસ્લિમો અને 40 પ્રતિશત ઈસાઈઓના મિશ્રણથી હિંસાની ભયાનક કોકટેલ બની છે.

કુલદીપ નાયર નામના પ્રસિદ્ધ પત્રકાર અને શાંતિ-દૂતે કહ્યું હતું કે વિભાજન તો અનિવાર્ય હતું જ, પણ એમના અંગત મત પ્રમાણે, મુસ્લિમો ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં વિભાજિત થઈ ગયા એમાં મુસ્લિમોનું જ અહિત થયું છે. આ મુસ્લિમો એકઠા હોત તો એમની તાકાત કેટલી મોટી હોત, એમ નાયરે કલ્પના કરી હતી. એક્ચુઅલી, લોકતંત્ર અને ધર્મનિરપેક્ષતાની સલામતી માટે આ વિભાજન તાર્કિક હતું.

પાકિસ્તાનમાં આજે જે પરિસ્થિતિ છે તેના પરથી ભારતે પોતાના ટુકડા થવા દીધા તે ઉચિત લાગે છે. ભારત આજે જે પ્રગતિ કરી રહ્યું છે તેનું મુખ્ય કારણ એ છે કે ભારતીય સમાજ આંતરિક તનાવો, ધાર્મિક સંઘર્ષ અને જરી-પુરાણી પરંપરાઓથી મુક્ત રહ્યો છે. હકીકત એ છે કે (લોકતંત્રથી વિપરીત) ધર્મતંત્રો હંમેશાં આપસમાં અને અંદરથી લડાઈ-ઝઘડો જ કરતા રહ્યાં છે. ધર્મતાંત્રિક વ્યવસ્થા ત્યાં જ કારગત નીવડી છે જ્યાં દેશ નાનો ટચૂકડો કે સંપ્રદાય જેવો હોય.

ભારત વિભાજનના કારણે જ ધર્મતાંત્રિક બનતું રહી ગયું. નહીં તો બે પ્રબળ કોમોના સહઅસ્તિત્વથી કોમવાદી વિસંવાદ હજાર ઘણા તીવ્ર હોત અને લોકતાંત્રિક તથા ધર્મનિરપેક્ષ અવાજોનાં ગળાં ઘોંટાઈ ગયાં હોત. ઇન્ટરનેશનલ રિલેશન્સ નામની એક વેબ સાઇટના અભ્યાસ મુજબ દુનિયામાં અત્યારે (પાકિસ્તાન સહિત) 10 દેશોમાં સશસ્ત્ર ગૃહયુદ્ધો ચાલે છે, જેમાં પ્રતિવર્ષ 1000થી વધુ મૃત્યુ થાય છે. પાંચ દેશોમાં ઓછા ગંભીર ગૃહયુદ્ધ ચાલે છે. જેમાં પ્રતિવર્ષ 200થી વધુ મૃત્યુ થાય છે.

ભારતનો સમાવેશ આ બીજા જૂથમાં કરવામાં આવ્યો છે, જેનું કારણ કાશ્મીર અને ઉત્તર-પૂર્વનાં રાજ્યો હોઈ શકે. ભારત સીરિયા અને ઈરાક (જે પ્રથમ જૂથમાં અનુક્રમે પ્રથમ અને દ્વિતીય સ્થાન પર છે)ની જેમ ગંભીર ગૃહયુદ્ધનો શિકાર નથી બન્યું તેનું કારણ વિભાજન છે. એ દૃષ્ટિએ, ભારત વોર-ઇન-પ્રોગ્રેસ નહીં, પણ વર્ક-ઇન-પ્રોગ્રેસ છે.

e.mail : rj.goswami007@gmail.com

સૌજન્ય : ‘બ્રેકિંગ વ્યૂઝ’ નામક લેખકની કોલમ, ‘રસરંગ પૂર્તિ, “સન્નડે ભાસ્કર”, 17-01-2016

http://www.divyabhaskar.co.in/news/MAG-breaking-news-by-raj-goswami-in-sunday-bhaskar-5224663-NOR.html

Loading

...102030...3,6843,6853,6863,687...3,6903,7003,710...

Search by

Opinion

  • એક સરકારી કર્મીનો પ્રેમપત્ર
  • બંધારણ – દેશનું દર્પણ, દેશની ઓળખ, દેશની શોભા  
  • નથુરામનું ‘હુતાત્મા’ પદ અને કુરુંદકરનો તર્ક
  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ
  • ઝાંઝવાનાં જળ

Diaspora

  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved