Opinion Magazine
Number of visits: 9664755
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મધુબાલા, મેરેલીન મનરો, સિલ્વિયા પ્લાથ અને વેલેન્ટાઇન ડે 

સોનલ પરીખ|Opinion - Opinion|6 March 2025

તેનું સ્મિત કરોળિયાના ડંખ જેવું છે. તેને ફરી ભૂખ ન લાગે ત્યાં સુધી હું થીજેલો પડ્યો રહું છું … એકબીજાને બાનમાં રાખ્યા હોય તેવાં અમે સવારે એકબીજાના ચહેરા પહેરી ચાલ્યા જઈએ છીએ.

— ટેડ હ્યુજ (લવસોન્ગ)

‘મને એવું કોઈ મળ્યું નથી જે મારામાં ઉભરાતો આદિમ પ્રેમ ઝીલી શકે અને એટલી જ તીવ્રતાથી મને પાછો પણ આપે. મારી રાખમાંથી ઊભી થઈ હું ફરીવાર પોતાને ખતમ કરીશ …’ આ શબ્દો છે વિશ્વયુદ્ધોત્તરકાળની સૌથી પ્રભાવશાળી કવયિત્રી સિલ્વિયા પ્લાથના. પણ કોઈ એમ કહે કે આ શબ્દો મધુબાલાના છે કે પછી મેરેલિન મનરોના છે તો અનુભૂતિનું જે એક સત્ય હોય છે એ દૃષ્ટિએ એ વાત પણ માનવી પડે. અને તો પછી આવી રહેલા વેલેન્ટાઇન ડે નિમિત્તે આ ત્રણેના અધૂરા રહેલા પ્રેમની અને અકાળે આથમી ગયેલા જીવનની વાત કરવી પડે. યોગાનુયોગ સિલ્વિયા પાથની પુણ્યતિથિ અને મધુબાલાનો જન્મદિન આ જ દિવસોમાં છે.

સિલ્વિયા પ્લાથનો જન્મ 1932માં. મેરેલિન મનરોનો 1926માં અને મધુબાલાનો 1933માં. સિલ્વિયા પ્લાથ અમેરિકન કવયિત્રી, મેરેલિન મનરો હૉલીવૂડ અભિનેત્રી અને મધુબાલા ભારતીય અભિનેત્રી. ત્રણેની લોકપ્રિયતા સ્થળ અને કાળની સરહદો વટાવી ગઈ છે. ત્રણેની આસપાસ ગ્લેમર વીંટળાયેલું હતું. ચાહકોની કમી નહોતી છતાં ત્રણે સાચા પ્રેમને માટે વ્યાકુળ હતી અને ત્રણે વહેલી વયે અકાળ મૃત્યુનો ભોગ બની હતી. મેરેલિન મનરોએ 36 વર્ષે અને અને સિલ્વિયા પ્લાથે 33 વર્ષે આત્મહત્યા કરી હતી. મધુબાલાના હૃદયમાં કાણું હતું, તે 36માં વર્ષે મૃત્યુ પામી હતી. 

જર્મન મૂળની સિલ્વિયા પાથ મેસેચ્યુએટ્સમાં જન્મી, ગ્રેજ્યુએટ થયા પછી ફૂલબ્રાઈટ સ્કોલરશીપ લઈને કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં ભણવા માટે ઇંગ્લેન્ડ આવી અને જાણે તેની જ રાહ જોઈ રહ્યો હોય એમ ત્યાં તેને મળ્યો મહત્ત્વાકાંક્ષી બ્રિટિશ કવિ ટેડ હ્યુઝ. બંને મળ્યા અને ચાર મહિનામાં તો પરણી પણ ગયાં. સર્જકો વચ્ચેના પ્રેમનાં ઉદાહરણ અનેક છે, પણ પરિણામ બે જ છે. બંને એકમેકને સમૃદ્ધ કરે છે અથવા તો ખલાસ કરે છે. સિલ્વિયા અને ટેડની કહાણી કઇંક આવી જ હતી. 

સિલ્વિયા આઠ વર્ષની ઉંમરથી કાવ્યો લખતી, જિંદગીને અને મૃત્યુને અત્યંત ઉત્કટતાથી ચાહતી, અંદરના અજબ પ્રકાશથી ચમકચમક થતી, અત્યંત સુંદર અને સંપૂર્ણતાની આગ્રહી. ટેડ પણ તેવો જ હતો. ઊંચો, ચુસ્ત, શાલીન અને સર્જનાત્મકતાથી ધબકતો. 

પણ સિલ્વિયાનો એક બીજો ચહેરો પણ હતો. હતાશા અને સ્ફૂર્તિ બંને તેના તીવ્રતમ સ્વરૂપમાં એકસાથે સિલ્વિયામાં વસતાં અને તે એકથી બીજે છેડે ફંગોળતી રહેતી. અત્યંત સંવેદનશીલ, ઉત્તેજનાભરી અને આદિમ અતિરેકોમાં જીવનારી સિલ્વિયાના જાત સાથેના સંઘર્ષનો અને સાહિત્ય અને પ્રેમની દુનિયામાં વિજય મેળવવાની તેની પાગલ ઝંખનાનો કોઈ છેડો ન હતો. તેને ઇલેક્ટ્રિક શૉક સાથેની માનસિક સારવાર લેવી પડી હતી. ટેડ અને સિલ્વિયા વચ્ચે ઉન્માદભર્યો પ્રેમ હતો, પણ ઊભરો શમ્યા પછી સિલ્વિયાની ઈમોશનલ ઇનસ્ટેબિલિટી અને ટેડના અંતર્મુખીપણા અને પુરુષ તરીકેના અહંકાર વચ્ચે ઘર્ષણ પણ ઓછું ન થતું. તોફાનોથી ભરેલા લગ્નજીવનનો અંત વેદનાભર્યા હૃદયભંગમાં આવ્યો. અનેક વિટંબણાઓ છતાં તે સતત લખતી રહી. અને એક દિવસ તેણે ઓવનમાં માથું મૂકી સ્વિચ ઓન કરી દીધી. સિલ્વિયાના મૃત્યુએ ટેડને એવો તોડી નાખ્યો કે ત્રણ વર્ષ સુધી તે કવિતા લખી શક્યો નહીં. ‘લવસોન્ગ’ નામના કાવ્યમાં હ્યુજે લખ્યું છે, ‘તેનું સ્મિત કરોળિયાના ડંખ જેવું છે. તેને ફરી ભૂખ ન લાગે ત્યાં સુધી હું થીજેલો પડ્યો રહું છું … એકબીજાને બાનમાં રાખ્યા હોય તેવાં અમે સવારે એકબીજાના ચહેરા પહેરી ચાલ્યા જઈએ છીએ.’ સિલ્વિયાના મૃત્યુ પછી તેની અપ્રગટ કાવ્યો શોધી તેના સંગ્રહો પ્રગટ કરનાર બીજું કોઈ નહીં, તેનો પ્રેમી અને પતિ ટેડ હ્યુજ હતો. આ કરુણ પ્રેમકહાણીનું પૂરું રહસ્ય કોઈ પામી શક્યું નથી.

હૉલીવૂડ સ્ટાર મેરેલિન મનરોનું મૂળ નામ નોર્મા જીન બેકર. માત્ર 16 વર્ષની ઉંમરે મેરેલિનને પરણાવી દેવામાં આવી, લગ્ન એકાદ વર્ષ જ ટક્યું. એ પછી એક ફોટોગ્રાફરની નજર નોર્મા પર પડી. તેની કેટલીક તસવીરો છપાઈ પણ ખરી. કેટલીક કંપનીઓએ તેને મોડેલ ગર્લ તરીકે પસંદ કરી. સંઘર્ષના સમયમાં તેણે કોઈ કેલેન્ડર માટે ન્યુડ પોઝ પણ આપ્યા હતા. 1950માં નોર્મા મેરેલિન મનરો તરીકે પહેલી ફિલ્મ ‘ધ આસ્ફાલ્ટ જંગલ’માં દેખાઈ. 

મેરેલિન ખૂબ સુંદર હતી. કોમળ ચહેરો, મીઠો અવાજ અને સંઘેડાઉતાર શરીર. આ સંપત્તિનું તે નિ:સંકોચ પ્રદર્શન પણ કરતી. નિવૃત્ત ફૂટબોલ પ્લેયર દિમીએગો સાથે લગ્ન કરી તેણે બીજા વર્ષે છૂટાછેડા લીધા. એ જ વર્ષે તેને જહોન કેનેડી સાથે પ્રેમ થયો. કેનેડી ત્યારે પ્રમુખની ચૂંટણી લડવાની તૈયારી કરતા હતા અને સંબંધને જાહેરમાં સ્વીકારવા તૈયાર ન હતા. મેરેલિનની સફળ ફિલ્મોની વણઝાર ચાલુ હતી. મેરેલિને પ્લે રાઇટર આર્થર મિલર સાથે લગ્ન કર્યાં. મિલરે મેરેલિન માટે ખાસ લખેલી ફિલ્મ ‘ધ મિસફીટ’ આવી તે વર્ષે જ બંને છૂટાં પડ્યાં. ફિલ્મ રિલિઝ થઈ ત્યારે તે એક ફ્રેંચ અભિનેતાના પ્રેમમાં હતી અને પ્રેગ્નન્ટ હતી. દરમ્યાન જહોન કેનેડી અમેરિકાના પ્રમુખ થયા. એક ભવ્ય સમારંભમાં મેરેલિને કેનેડી માટે ‘હેપી બર્થ ડે પ્રેસિડેન્ટ’ ગીત ગાયું. તેના થોડા મહિના પછી મેરેલિન મોટા પ્રમાણમાં બાર્બીચ્યુરેટ્સ (ઊંઘની ગોળી) લેવાથી મૃત્યુ પામી. તેની આત્મહત્યા હત્યા હતી એવી પણ એક થિયરી છે. 

મેરેલિન મનરોની લોકપ્રિયતા તેના જમાનાના લગભગ બધા સ્ટાર કરતાં વધારે હતી. ત્યારનાં અનેક મોટાં માથાં તેના પ્રેમમાં હતાં. પછીનાં વર્ષોમાં તેનું વ્યક્તિત્વ ખીલ્યું, પણ નાણાંની રેલમછેલ અને ગ્લેમરની ઝળહળ વચ્ચે આડેધડ જિવાઈ રહેલી જિંદગી, પ્રબળ ઊર્મિશીલતા, અસલામતી, એકલતા, બનતા-તૂટતા સંબંધો – સંયોજન કઈંક એવું થયું કે જીવ લઈને ગયું. હોલિવૂડમાં સુંદર અભિનેત્રીઓનો તોટો નથી, પણ મેરેલિનની કક્ષાનું સૌંદર્ય અને તેના જેટલું જટિલ વ્યક્તિત્વ ભાગ્યે જ કોઈનું હશે.

બોલીવૂડની અત્યંત સુંદર અભિનેત્રી મધુબાલાને ‘ઇન્ડિયન મેરેલિન મનરો’નું ઉપનામ મળેલું હતું. મેરેલિન હયાત હતી ત્યારે એક પ્રખ્યાત મેગેઝિનમાં મધુબાલાનો મોટો ફોટો મૂકીને હેડિંગમાં લખ્યું હતું કે ‘ધી બીગેસ્ટ સ્ટાર ઇન ધી વર્લ્ડ – એન્ડ શી ઇઝ નોટ ઇન બેવરલી હિલ્સ’. ‘બેવરલી હિલ્સ’ એ પોશ વિસ્તાર છે જ્યાં હોલિવુડના મોટા મોટા સ્ટાર્સ રહે છે. 

રૂપેરી પડદાની વિનસ ગણાતી મધુબાલાના સૌંદર્યની તોલે આજ સુધી કોઈ અભિનેત્રી આવી શકી નથી. તેનું મૂળ નામ મુમતાઝજહાં બેગમ દેહલવી. હતું. અત્યંત ગરીબ પઠાણ પરિવારનાં 11 ભાઈ-બહેનોમાં તેનું સ્થાન પાંચમું હતું. પિતાની નોકરી જતી રહેતાં નાનકડી મુમતાઝને લઈને તેઓ મુંબઈ આવી ગયા. દેવિકારાણીએ મુમતાઝને ‘બસંત’ ચિત્રમાં કામ અપાવ્યું. ‘મધુબાલા’ નામ પણ તેમણે જ આપ્યું. 14 વર્ષની ઉંમરે તે નાયિકા તરીકે ‘નીલકમલ’માં ચમકી અને ‘મહલ’ પછી તે છવાઈ ગઈ. તેના હૃદયમાં કાણું હતું જેનો એ જમાનામાં કોઈ ઈલાજ ન હતો. મધુબાલાના પ્રેમમાં ઘણા લોકો હતા, તે પણ એમને કોઈક રીતે ચાહતી હશે – જેમાં લતીફ નામના એના બાલવયના સાથીથી માંડી કેદાર શર્મા, કમાલ અમરોહી, પ્રેમનાથ અને અન્ય નામો ઉમેરી શકાય – પણ એ પૂરેપૂરી સમર્પિત થઈ શકી તો દિલીપકુમારને. પણ પ્રેમી અને પિતા આ બે પુરુષોના અહંકારે એ પ્રેમનો ભોગ લીધો. કિશોરકુમાર સાથેના લગ્ન બંને પક્ષે તડજોડ જેવાં હતાં. અંતે તો બીમારી અને મૃત્યુ સામે એ એકલી જ લડી. અકાળ મૃત્યુએ ચાહકોના હૃદયમાં એની સૌન્દર્યમૂર્તિને અખંડ અને અકબંધ રાખી. 

સિલ્વિયા પ્લાથે લખ્યું છે, ‘પરહેપ્સ વ્હેન વી ફાઇન્ડ અવરસેલ્વઝ વોન્ટિંગ એવરીથિંગ, ઈટ ઈઝ બીકોઝ વી આર ડેન્જરસલી ક્લોઝ ટુ વોન્ટિંગ નથિંગ …’ આ ઉક્તિ તેના કે મધુબાલા કે મેરેલિનના જ નહીં, ક્યાંક ક્યાંક આપણા અજંપ ઉધામાઓને પણ સ્પર્શી લેતી નથી?

e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 09 ફેબ્રુઆરી  2025

Loading

દેશ બહાર રહ્યા બાદ સ્વાતંત્ર્યની લડાઈમાં સક્રિય એમ.એન. રોય

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|5 March 2025

રોયના રાષ્ટ્રવાદી ધક્કાને માર્ક્સવિચારના સંપર્કવશ વ્યાપક વિશ્વસંદર્ભ સાંપડ્યો. મેક્સિકોની સમાજવાદી હિલચાલનું એમનું નેતૃત્વ એમને લેનિન થકી નિમંત્રાઈ કોમ્યુનિસ્ટ ઈન્ટરનેશનલ લગી લઈ ગયું

પ્રો. જયંતીલાલ કે. પટેલ

બારમી ફેબ્રુઆરીના દિવસે જોગાનુજોગ ગાંધી શ્રાદ્ધ પર્વે જે.કે. (પ્રોફેસર જયંતી કે. પટેલ) ગયા. બાણુમે વરસે એટલે કે પાકટ પાન સહજ ખરે તે રીતે એ ગયા. વર્ષોથી એક પ્રકારે ઘરબંધ જિંદગી બસર કરી રહ્યા હતા, પણ એક મસ્તી અને સોશિયલ મીડિયા સાથે એ વ્યાપક સંપર્કોમાંયે હતા. ખાસ કરીને, રેશનલિસ્ટ વર્તુળમાં એ કંઈક ખાસંખાસ જેવા હતા.

જો કે, મારો અને એમનો પહેલો પરિચય રાજ્યશાસ્ત્રના અધ્યાપક તરીકેનો, અને સ્વાધ્યાય ક્ષેત્રે એ રૂસોના ‘સોશિયલ કોન્ટ્રેક્ટ’ના અનુવાદથી માંડી આગળ ચાલતાં આફ્રિકાના વિશેષ અભ્યાસથી ઝળક્યા. અહીં ઝળકવાની જિકર કરી તે સાથે એમનો એક ઝબકાર પણ સાંભરી આવ્યો – તેવીસેક વરસ પર બે હજાર બેના ઘટનાક્રમ સંબંધે ત્યારના રાજકીય નેતૃત્વને એમણે પોતાના પૂર્વ વિદ્યાર્થી તરીકે ધરાર ‘ડિસઓન’ કર્યું હતું, સરા જાહેર.

રહો, હું અહીં કોઈ વૈયક્તિક વિશેષાંજલિ આપવા નથી ઈચ્છતો. એમ તો, જનતા મોરચાને ધોરણે અમે 1975ની ધારાસભાની ચૂંટણી લડ્યા ત્યારે પાટડી-દસાડા પંથકમાં ભીમાભાઈ રાઠોડની ઉમેદવારીને યશસ્વી બનાવવા એ મહિનો માસ મચી પડ્યા હતા એ પણ કેમ ન સંભારું? પણ એમને વિશે નહીં પરંતુ એમને મિશે લખવા કલમ ઉપાડી છે, એ તો ગુજરાતમાં એક આખી ચળવળ, નાની પણ રાઈના દાણા શી એક મળતાં મળે એવી બિરાદરી પરત્વે આદર ને કૃતજ્ઞતા વ્યક્ત કરવા વાસ્તે : ‘મહાગુજરાત આંદોલનમાં જયન્તિ દલાલ આદિના સથવારાથી માંડી કટોકટી પ્રતિકાર સહિત આ બધી જે જે.કે.ની સંડોવણી રહી એની પૂંઠે એમનું રેડિકલ હ્યુમેનિસ્ટ હોવું એ ચાલના ઓછેવત્તે અંશે હતી. આ રેડિકલ હ્યુમેનિસ્ટ વિચારધારાના અગ્નયાયી એમ.એન. રોય (1887-1954) હતા એટલે રોયિસ્ટ તરીકે ઓળખવાનો ચાલ છે.

એમ.એન. રોય

બે શબ્દો કહું રોય વિશે. સ્વાતંત્ર્ય ચળવળના શરૂ શરૂના અંગાર અને બંકિમ-વિવેકાનંદના સંસ્કાર, આગળ ચાલતાં ક્રાંતિકારી ચળવળમાં ભળ્યા અને શસ્ત્રખોજ સારુ દેશ બહાર ગયા. અમેરિકામાં ત્યારે દેશનિકાલ લાજપતરાય પણ હતા. એમણે સંભાર્યું છે કે મને મળેલા ક્રાંતિકારી તરુણોમાં રોય એમની મેધા અને સમર્પિતતાથી જુદા તરી આવતા. આખી દાસ્તાંમાં તો અહીં ક્યાંથી જઈ શકાવાનું હતું, પણ મારતી કલમે એટલું જરૂર કહી દઉં કે એમના રાષ્ટ્રવાદી ધક્કાને માર્ક્સવિચારના સંપર્કવશ એક વ્યાપક વિશ્વસંદર્ભ સાંપડ્યો. મેક્સિકોની સમાજવાદી હિલચાલનું એમનું નેતૃત્વ એમને લેનિન થકી નિમંત્રાઈ કોમિન્ટર્ન (કોમ્યુનિસ્ટ ઈન્ટરનેશનલ) લગી લઈ ગયું. લાંબા વિદેશવાસ પછી પરત થઈ એ કાઁગ્રેસ મારફતે સ્વાતંત્ર્યલડતમાં સક્રિય બન્યા પણ એમનું વિચારવલોણું એમને માર્ક્સવાદની પેલી મેર (બિયોન્ડ માર્ક્સિઝમ) લઈ ગયું અને એમાંથી મૂળગામી માનવવાદ(રેડિકલ હ્યુમેનિઝમ)નો ઉદ્દભવ થયો. કોઈ ઈશ્વરની આસપાસ અગર ‘રાષ્ટ્ર’ની ફરતે અગર તો એવી કોઈ બીજી ‘કલેક્ટિવિટી’માં નહીં પડતાં માનવકેન્દ્રી ચિંતન એ એમનો મૂળગામી અભિગમ હતો.

એમનો આ વિચારઝુકાવ ગુજરાતમાં પહેલવહેલો તૈયબ શેખ મારફતે આવ્યો. શેખ એમના વિદેશવાસ દરમ્યાન સંપર્કમાં આવેલા વિચારબંધુ તરીકે વિકસી રહ્યા હતા. મૂળે કપડવંજના ગુજરાતી, વોરા. અસહકારની ચળવળ દરમ્યાન જેલવાસી થયેલા કેટલાક ગુજરાતી યુવાનોની ભાળ મેળવી, પોતે અંગ્રેજ સરકારના વોરંટ હેઠળ હતા એ દિવસોમાં ગુજરાતની મુલાકાત લીધી હતી.

એ રીતે શરૂઆતમાં રોયમાં ભરતી થયેલા પૈકી ચંપકલાલ ભટ્ટ, ભગવતીપ્રસાદ ભટ્ટ, દશરથલાલ ઠાકર અને ઠાકોરપ્રસાદ પંડ્યા હતા. વાંસોવાંસ, આગળપાછળ, ચંદ્રકાન્ત દરુ ને થોડે અંતરે નડિયાદના વિનુભાઈ પટેલ (બાબુભાઈ જશભાઈના ભાઈ) પણ ખરા. કાઁગ્રેસની અંદર એક સમાંતર વિચારકેન્દ્ર તરીકે રોયની પ્રતિભા ખાસી ઊંચકાઈ એ અરસામાં એમણે અમદાવાદનીયે મુલાકાત લીધી હશે. (ઉમાશંકર લાંબા સમય લગી એ એક સોનેરી સંભારણું ટાંકતા કે પોતે એક રૂપિયાની ટિકિટ લઈને પ્રેમાભાઈ હૉલમાં રોયને સાંભળ‌ા ગયા હતા.)

આ આરંભકારો કેવુંક ગજું કાઢી શક્યા હશે એનો એક દાખલો આપું. ગુજરાત કાઁગ્રેસમાં ડેલિગટની ચૂંટણીમાં દરબાર ગોપાળદાસ અને ભક્તિબાને હરાવીને ચંપકલાલ ચૂંટાઈ આવ્યા હતા! પહેલી ઘાલના રોય સાથીઓમાં એમ તો જેમ દરુ-દશરથલાલ તેમ દુર્ગાશંકર ત્રિવેદી પણ ખરા. સરખેજના આ યશસ્વી સરપંચ પાછા પ્રવૃત્તિ સારુ પ્રેસ ચલાવી જાણે અને પાછલાં વર્ષોમાં જરૂર પડ્યે રોય દંપતીનું દફતર (આર્કાઈવ્ઝ) તૈયાર કરવામાંયે ખૂંપી શકે. પ્રોપાયટરી (દીવાન બલ્લુભાઈ) હાઈસ્કૂલના વિજ્ઞાન શિક્ષક દરુ કાયદો ભણી બંધારણીય ક્ષેત્રે અકુતોભય વિલસ્યા ને કટોકટી દરમ્યાન ‘ભૂમિપુત્ર’ને ‘સાધના’ના કેસોમાં અભિવ્યક્તિ સ્વાતંત્ર્યને મુદ્દે એક રાષ્ટ્રીય સ્તરે પ્રતિમાન પુરુષ તરીકે ઉભર્યા.

આ બધા સીનિયર રોયમાર્ગીઓ પછીની અગ્રપેઢીમાં જયંતી પટેલ અને બિપિન શ્રોફનું સહજ સ્મરણ થઈ આવે. કટોકટી પછી બિપિન શ્રોફે પોતાના જિલ્લામાં જનતા નેતૃત્વ સાહ્યું અને તે પછી તરતનાં વરસોમાં પ્રગતિશીલ ને વૈજ્ઞાનિક કૃષિ ક્ષેત્રે નોંધપાત્ર પ્રયોગ પણ કર્યો. છેલ્લાં પંદર-વીસ વરસથી સંયોગવશ ને સ્વાસ્થ્યવશ એ અમેરિકામાં વધુ સમય ગાળે છે, પણ વૈશ્વિક માનવવાદથી માંડી લોકશાહી દૃષ્ટિએ વર્તમાન શાસનસમીક્ષા સહિતની લેખી સામગ્રીની એમની સાતત્યમંડિત સોશિયલ મીડિયાઈ, વધતી વય અને ઘટતી સક્રિયતાના સમીકરણને ભોંઠું પાડે છે.

કોને સંભારું, કોને ભૂલું. પ્રસન્નદાસ પટવારી શા કર્મશીલ, ‘ભૂમિપુત્ર’નો ઐતિહાસિક ચુકાદાના પ્રકાશક તરીકે પકડાવું નક્કી હતું. બુઝુર્ગ રમેશ કોરડે હજુ થોડાં વરસ પર જ ગયા. બીજા પણ હશે બલકે છે. પણ જે.કે. અને શ્રોફ પછીની પેઢીના, મુકાબલે વહેલા ગયેલા ગૌતમ ઠાકરનો ઉલ્લેખ તો કરું જ. 

નટવરલાલ શાહ વિધાનસભાના અધ્યક્ષપદે ગયા ત્યારે એમના પછી બેંક યુનિયનના પ્રમુખ તરીકે ઊપસી રહેલું નામ ગૌતમભાઈનું હતું. ઠીક ઠીક વરસો એમણે જનતંત્ર સમાજ (સી.એફ.ડી.), નાગરિક સ્વાતંત્ર્ય સંગઠન વગેરેમાં પ્રબંધન સેવા આપી. નામોની યાદી અને થોડાએક પ્રવૃત્તિ નિર્દેશ, હું જાણે એમ જ ગગડાવી ગયો! ભાઈ, રાજકીય રંગમંચ પર કે સામાજિક તડકભડકની રુશનાઈમાં રહેનારા અચ્છાસચ્ચા અને લચ્છેલચ્છા મળી આવે છે. એમને આ કટારચી જેવાની અછો અછો ગાયકીનીયે જરૂર નથી હોતી. તેઓ તો એ બાબતે સ્વાવલંબનસિદ્ધ હોય છે. પણ જેઓ પ્રકૃતિએ ને પ્રવૃત્તિએ દોમ દોમ સત્તાપાયરીએ નથી હોતા એવાં વસુધાનાં વહાલાં, ઓછામાં ઓછું એમનાં નામ તો લઈએ.

Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 05 માર્ચ 2025

Loading

વર્ડઝવર્થનું ‘ડેફોડિલ્સ’ એટલે પ્રકૃતિ અને જીવનના અનુબંધનો ઉઘાડ

સોનલ પરીખ|Opinion - Opinion|5 March 2025

અંકુરિત થવું, ખીલવું અને ખરી જવું : ઉત્પત્તિ અને લય બંનેનું રહસ્ય સમજાવી જાય છે ફૂલો અને ફૂલોની ઋતુ – અંતરની આંખો ઉઘડે અને એકાંતના ભવ્ય વરદાનને માણતાં શીખી શકાય તો સમજાય કે પ્રકૃતિ આપણા માટે આશ્રય છે, આશ્વાસન પણ, આરામ પણ અને વિરામ પણ; કારણ કે આપણે પ્રકૃતિનાં જ સંતાન છીએ    

દ્રુમા: સપુષ્પા: સલિલં સપદ્મં, સ્ત્રિય: સકામા: પવન: સુગંધિ: । 

સુખા: પ્રદોષા દિવસાશ્ચ રમ્યા:, સર્વં પ્રિયે ચારુતરં વસંતે ।। 

(હે પ્રિયે, સર્વનું પ્રિય કરનાર વસંતનાં આગમનથી વૃક્ષો પુષ્પોવાળા બન્યાં છે, સરોવર કમળોવાળા બન્યાં છે, સ્ત્રીઓ કામનાવાળી બની છે, પવન સુગંધવાળો બન્યો છે, દિવસ રમ્ય બન્યો છે અને સાંજ સુખમય બની છે) 

આ સુંદર પંક્તિ કાલિદાસના પ્રારંભના સર્જન ઋતુસંહારની છે. સંહાર એટલે સમૂહ. ગીતિકાવ્ય ‘ઋતુસંહાર’ ગ્રીષ્મ, વર્ષા, શરદ, હેમંત, શિશિર અને વસંત એમ છ ઋતુઓનું અનુપમ વર્ણન કરતી એક સુંદર કૃતિ છે. 

વસંત એટલે શિયાળા અને ઉનાળા વચ્ચે આવતી ઋતુ. ઉત્તર ગોળાર્ધમાં માર્ચ, એપ્રિલ, મે અને જૂનના પ્રારંભિક દિવસોમાં અને દક્ષિણ ગોળાર્ધમાં સપ્ટેમ્બરના અંતભાગથી શરૂ થઈને ડિસેમ્બરની શરૂઆત સુધી વસંત ઋતુ હોય છે. ભારતમાં મહા-ફાગણ (ફેબ્રુઆરી-માર્ચ) માસમાં વસંતઋતુ હોય છે. દિવસના પ્રકાશના વધતા કલાકો, ખુશનુમા આબોહવા, મહોરી ઊઠતી કુદરત, ખીલતાં ફૂલોની શોભા અને સ્ફૂર્તિમય બનતું માનવમન. આવી વસંતઋતુનો ઉત્સવ કેમ ન ઉજવાય? ભારતમાં વસંતપંચમી સૌથી શુભ દિવસોમાંનો એક ગણાય છે. ‘લલિત લવંગ લતા પરિશીલન કોમલ મલયસમીરે’ જેવી મધુર પંક્તિઓ આપનાર ‘વસંત વિલાસ’ અને અન્ય મધ્યકાલીન ફાગુકાવ્યો વસંતવર્ણન નિમિત્તે જીવનનો ઉલ્લાસ અને શૃંગારરસની નિષ્પત્તિ સાધે છે.

ભારતમાં પણ વસંતનો આટલો મહિમા છે તો યુરોપમાં કાતિલ શિયાળા પછી આવતી હૂંફાળી વસંતઋતુનું અને મહિનાઓ સુધી પથરાયેલી બરફની ચાદરો પીગળ્યાં પછી ખીલતાં ફૂલોનું કેટલું મહત્ત્વ હશે! આ સંદર્ભે પ્રશિષ્ટ કવિ વિલિયમ વર્ડઝવર્થનું કાવ્ય ‘ડેફોડિલ્સ’ યાદ કરવાનું ગમે. 

વિલિયમ વર્ડઝ્વર્થ

વર્ડઝવર્થ અને કોલરિજ રોમેન્ટિક કવિતાના જનક ગણાય છે. તેમનાં ‘લિરિકલ બૅલડ્ઝ’ (1798) દ્વારા ઇંગ્લૅન્ડમાં કવિતામાં રોમૅન્ટિક આંદોલનની શરૂઆત થઈ. વિલિયમને ત્રણ ભાઈ અને એક બહેન હતાં. પિતા બહાર ફરતા રહેતા. માતા દ્વારા બાળકોને વાંચનની ટેવ કેળવાઈ. વિલિયમ આઠ વર્ષના હતા ત્યારે માતાનું અને ત્યાર પછી પાંચ વર્ષે પિતાનું અવસાન થયેલું. માતાના મૃત્યુ પછી એકની એક બહેન ડોરોથીથી જુદા રહેવાનું થયું. જે પ્રેમ અને હૂંફ તેઓ ઝંખતા હતા તે તેમને પ્રકૃતિએ ભરપેટ પૂરાં પાડ્યાં. એકાંત જ તેમનું કુટુંબ બન્યું, મિત્ર બન્યું. 

વર્ડઝવર્થને ‘વૉકિંગ ટૂર’ લઇ સુંદર પ્રાકૃતિક સ્થાનો પર જવાનું ગમતું. 1790માં આ રીતે એક મિત્ર સાથે ફ્રાન્સ, ઇટાલી, સ્વિટ્ઝર્લૅન્ડ અને જર્મનીનો પગપાળા પ્રવાસ કર્યો. લગભગ ત્રણ વર્ષ સુધી વર્ડ્ઝવર્થને ન હતું પોતાનું ઘર કે ન હતી કોઈ સ્થાયી આમદાની. રિવોલ્યુશનરી ફ્રાન્સના તેઓ ચાહક હતા, પણ એમનો એ ભ્રમ પણ ભાંગી ચૂક્યો હતો. જીવનમાં ઘોર નિરાશા વ્યાપી હતી. આ સમયે વિલિયમ ગૉડવિનના ‘પૉલિટિકલ જસ્ટિસ’ નામના પુસ્તકના વિચારોએ તેમના મનને ઘેરી લીધું. 

વર્ડ્ઝવર્થ, કૉલરિજ અને રૉબર્ટ સધે ‘લેક પોએટ્સ’ તરીકે જાણીતા છે. 1799ના ડિસેમ્બરમાં ડોરોથી અને વર્ડ્ઝવર્થ લેક ડિસ્ટ્રિક્ટમાં આવ્યાં અને ગ્રાસમિયરના ‘ડવ કૉટેજ’માં સ્થાયી થયાં. વિલિયમે ડોરોથીની પ્રિય સખી મેરી હચિન્સસન સાથે લગ્ન કર્યું. ‘ડવ કૉટેજ’માં વર્ડ્ઝવર્થનાં ત્રણ બાળકોનો જન્મ થયો હતો. આજે આ કોટેજમાં વર્ડઝવર્થ મ્યુઝિયમ છે. 

કવિનો ઉત્તમ સર્જનકાળનો દશકો 1796થી 1806નો હતો. ‘ડેફોડિલ્સ’ કાવ્ય 1802માં રચાયેલું. છ પંક્તિનો એક એવા ચાર અંતરામાં લખાયેલું આ કાવ્ય કલ્પનાની નહીં, ‘એક્ચુઅલ વિઝ્યુલઆઇઝેશન’ની નીપજ છે. તે વખતે તેઓ બહેન ડોરોથી સાથે લેક ડિસ્ટ્રિક્ટના ઉલ્સવોટરમાં ફરી રહ્યા હતા. સામે દૂર દૂર સુધી કુદરતની શાંત શોભા વિસ્તરેલી હતી. જલાશયના શાંત પાણીમાં પહાડોનાં શિખર ડોકાઈ રહ્યાં હતાં. કિનારા પર લાંબે સુધી ફેલાયેલો ડેફોડિલ્સ ફૂલોનો પહોળો પટ્ટો હતો. સુંદર પીળા રંગનાં, સૂર્યનાં કિરણોમાં ચમકતાં અને પવનની લહેરોમાં નૃત્ય કરતાં હજારો ડેફોડિલ્સ ખૂબ આકર્ષક દૃશ્ય સર્જતાં હતાં. 

ડેફોડિલને ટ્રમ્પેટ નાર્સીસસ પણ કહેવામાં આવે છે. આ ફૂલો ઉત્તર યુરોપના વતની છે અને ત્યાં તેમ જ ઉત્તર અમેરિકામાં વ્યાપકપણે ઉગાડવામાં આવે છે. જો કે આ ફૂલોનો ઉલ્લેખ અમુક ઈરાનિયન કાવ્યોમાં પણ અને ઈ.સ. પૂર્વેની રચનાઓમાં પણ મળે છે. ખૂલેલી છ પાંખડી અને વચ્ચે ઘંટડીના આકારની ઝીણી ઝાલરવાળી ગોળ પાંખડી ધરાવતાં મૂળ પીળા રંગના આ ફૂલો હવે સફેદ, ગુલાબી અથવા નારંગી રંગના પણ જોવા મળે છે. 14થી 16 ઈંચના સુંદર છોડની ટોચે આ ફૂલો ખીલે છે. 

કવિ કહે છે, ‘વેલ્સની ટેકરીઓ ઉપર તરતા વાદળની જેમ હું એક્લવાયો ફરતો હતો ત્યાં અચાનક દેખાયાં આનંદભર્યાં, મારું સ્વાગત કરતાં હોય એવાં હજારો સોનેરી ડેફોડિલ્સ પુષ્પો. જલાશયની બાજુમાં વૃક્ષોની ઘટાની નીચે ઝૂમતાં, પ્રસન્ન નર્તન કરતાં ડેફોડિલ્સની એ દીર્ઘ પહોળી પંક્તિ એવી લાગતી હતી જાણે આકાશગંગાના તેજસ્વી તારાઓ. દસેક હજારને હું માંડ મારી આંખોમાં સમાવી શક્યો છું, પણ એ સુદીર્ઘ પુષ્પપંથનો કોઈ અંત નથી. બાજુના જલાશયની ચમકતી લહેરોનું તેજ પણ ડેફોડિલ્સને કારણે જાણે વધી ગયું છે. હું કવિ – શું કરી શકું, આ ધન્ય મૈત્રીપૂર્ણ દૃશ્યથી ચકિત થાઉં છું, આનંદિત થાઉં છું અને જોયા કરું છું – બસ, જોયા જ કરું છું. ખરેખર શું પામ્યો તે કહી શકતો નથી. પણ ઘણીવાર, જ્યારે હું ઉદાસ હોઉં છું, એક ખાલીપણું મને ઘેરી વળ્યું હોય છે એવાં સમયે મારી અંદરની આંખો સામે એક ઝબકારની જેમ એ સુંદર દૃશ્ય ચમકી જાય છે. મસ્તીમાં ડોલતાં એ ડેફોડિલ્સ જોતાં મારું એકાંત વરદાન જેવું બની જાય છે ને મારું હૃદય હળવું અને પ્રસન્ન થઈ ડેફોડિલ્સની સાથે નાચી ઊઠે છે.’ 

વર્ડઝવર્થની સૌથી વધુ વિવેચન-પ્રશંસા પામેલી કૃતિ એ તેમનું દીર્ઘકાવ્ય ‘ધ પ્રિલ્યુડ’ છે. આ કાવ્ય પર તેમણે તેમના સમગ્ર જીવન દરમિયાન કામ કર્યું હતું અને તે મરણોત્તર પ્રકાશિત થયું હતું. પણ વર્ડઝવર્થની સૌથી જાણીતી અને સૌથી વધુ વંચાયેલી કૃતિ એ તેમનું 24 પંક્તિનું સાદું કાવ્ય ‘ડેફોડિલ્સ’ છે. સૌંદર્યની એક ક્ષણ કેવી રીતે શાશ્વત બની જાય છે તેની અનુભૂતિ આ કાવ્ય આપે છે. જીવન પણ આવું જ નથી? ભંગુરતા અને અમરત્વ, ક્ષણ અને શાશ્વત એમાં સાથે સાથે નથી વસતાં? રોબર્ટ હેરિક નામના કવિએ એક કાવ્ય લખ્યું છે જેમાં તે ડેફોડિલ્સને સંબોધીને કહે છે કે તમે આટલાં ઉતાવળાં કેમ છો? હજી તો બપોર પણ નથી પડી અને કરમાવા કેમ લાગ્યાં છો? કમ સે કમ સાંજ પડે ત્યાં સુધી તો રોકાવું હતું તો સાંધ્યપ્રાર્થના કરીને અમે પણ તમારી સાથે જ આવત … દેખીતું છે કે આ જીવનના મધ્યાહન અને સાંજની વાત છે. પન્ના નાયક કહે છે, ‘વાસંતી સવારે પ્રફુલ્લિત ડેફોડિલ્સ લહેરાતાં હોય ત્યારે બારીમાંથી પ્રવેશી કુમળો તડકો આંખ બંધ કરી દે એમ જ નીરવ પગલે આવે મૃત્યુ’ અને મકરંદ દવે કહે છે, ‘એક ખૂણે આ આયખું નાનું, કેવું વીતી જાય મજાનું, કોઇનું નહીં ફરિયાદી ને કોઇનું નહીં કાજી, ફૂલ તો એની ફોરમ ઢાળી રાજી.’ જીવન અને મરણ બંનેનું રહસ્ય સમજાવી જાય છે ફૂલો અને ફૂલોની ઋતુ – વસંત પર લખાયેલાં અનેક કાવ્યો એની સાક્ષી પૂરે છે. 

‘ડેફોડિલ્સ’ની પંક્તિથી જ વિરમીએ : ‘ધે ફ્લેશ ઓન ધેટ ઇનવર્ડ આઈ વિચ ઈઝ ધ બ્લિસ ઑફ સોલિટ્યૂડ’ અંતરની આંખો ઉઘડે અને એકાંતના ભવ્ય વરદાનને માણતાં શીખી શકાય તો સમજાય કે પ્રકૃતિ આપણા માટે આશ્રય છે, આશ્વાસન પણ, આરામ પણ અને વિરામ પણ; કારણ કે આપણે પ્રકૃતિનાં જ સંતાન છીએ.

e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 02 ફેબ્રુઆરી  2025

Loading

...102030...362363364365...370380390...

Search by

Opinion

  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો
  • નાનમ પણ ન લાગે …?

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 

Poetry

  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 
  • મુખોમુખ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved