Opinion Magazine
Number of visits: 9691585
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પછાતવર્ગની અનામતનો પેચીદો પ્રશ્ન

કૃષ્ણકાંત વખારિયા|Samantar Gujarat - Samantar|20 May 2016

તા. ૦૧-૦૫-૨૦૧૬થી અમલમાં આવે તે રીતે ગુજરાત સરકારે આર્થિક રીતે પછાત એવા વર્ગ માટે ૧૦ ટકા અનામતની જાહેરાત કરી છે. આ અનામતનો લાભ આર્થિક પછાતવર્ગોમાં જેમની વાર્ષિક આવક રૂ. ૬-૦૦ લાખની મર્યાદામાં હોય, તેવા તમામ લોકોને ઉપલબ્ધ થશે. એવી ગુજરાત સરકારે બહાર પાડેલા વટહુકમમાં જોગવાઈ કરવામાં આવી છે. ગુજરાતની સમૃદ્ધ પાટીદાર કોમે અનામતની માંગણી સાથે આંદોલન ચલાવેલાં તેના ફળસ્વરૂપે ભાજપના રાષ્ટ્રીય નેતાઓની દોરવણી હેઠળ ઉપર્યુક્ત વટહુકમ બહાર પાડેલ છે.

આ વટહુકમ ભારતના બંધારણની દૃષ્ટિએ સુસંગત છે કે કેમ તે પ્રકારના અનેક પ્રશ્નો ઊઠી રહ્યા છે. ભારતની સુપ્રીમ કોર્ટે અનામતના પ્રશ્ન અંગે અને ખાસ કરીને પછાતવર્ગને અનામતના પ્રશ્ને અનેક ચુકાદાઓ આપેલા છે. તા. ૧૬ નવેમ્બર, ૧૯૯૨ના રોજ ઇન્દ્ર સહાણીના કેસમાં નવ જજોની બંધારણીય બૅન્ચે બહુમતીથી ચુકાદો આપેલ છે. તેના પેરા ૧૨૧ના સબ-પેરા-૧૧માં સુપ્રીમ કોર્ટે ઠરાવેલ છે કે,

‘The reservation of 10% of the posts in favour of “other economically backward” section of the people, who are not covered by any of the existing schemes of the reservation” is constitutionally invalid and it is accordingly struck down.’

ઉપર્યુક્ત ચુકાદા પછી ગુજરાત સરકારે કયા આધારે આ પ્રકારનો કાયદો કરેલ છે, તે ચર્ચાનો વિષય બને તે સ્વાભાવિક છે.

આ કાયદામાં વાર્ષિક આવકની રૂ. ૬-૦૦ લાખની મર્યાદા બાંધવામાં આવેલ છે, જે મર્યાદામાં ગુજરાત સરકારના સચિવો સિવાયના તમામ નોકરિયાતોનો સમાવેશ થવાનો પૂરેપૂરો સંભવ છે. આવકની જે મર્યાદા બાંધવામાં આવી છે, તેને ખરેખર આર્થિક પછાતપણું ગણી શકાય કે કેમ તે પણ એક પ્રશ્ન છે. આર્થિક પછાતપણું ગણવા માટે ગરીબીરેખા અંગે UNOએ નક્કી કરેલ અને વિશ્વે સ્વીકારેલ માપદંડ મુજબ દિવસના બે અમેરિકન ડૉલર એટલે કે આશરે એક દિવસની રૂ. ૧૫૦/- આવક ગણાય. ઉપર્યુક્ત ધોરણે માસિક આવક રૂ. ૪૫૦૦/- કમાતા અને વાર્ષિક રૂ. ૫૦ થી ૫૫ હજાર કમાતા લોકો આર્થિક પછાત ગણી શકાય.

ભારતના બંધારણ હેઠળ સામાજિક અને શૈક્ષણિક પછાતપણાને, પછાતવર્ગની વ્યાખ્યામાં સમાવેશ કરવામાં આવેલ. બંધારણમાં આર્થિક પછાતપણાની કોઈ જોગવાઈ નથી, પરંતુ, સામાજિક અને શૈક્ષણિક પછાતપણું ગરીબાઈને કારણે આવી શકે તે ધોરણે આર્થિક પછાતપણાનો સમાવેશ કરી શકાય. આર્થિક પછાતપણાના માપદંડમાં ગરીબાઈ મુખ્યત્વે ગણાય જે વ્યવસાય અને કમાણીના આધારે ગણી શકાય. યજમાનવૃત્તિ કરતો બ્રાહ્મણ, રેંકડી ફેરવતો વાણિયો – લોહાણો, ગામડામાં કાળી મજૂરી કરી ખેતી કરતો પાટીદાર અને ચોકીદાર તરીકે નોકરી કરતો કે પગરિક્ષા ચલાવતો રજપૂત વગેરે તેમ જ ગરીબીરેખાની આવકમર્યાદામાં આવતા હોય તેવાઓ પછાતવર્ગના ગણી શકાય.

સામાજિક અને શૈક્ષણિક પછાત નક્કી કરવામાં જાતિ, જ્ઞાતિને માપદંડ તરીકે સ્વીકારી શકાય કે કેમ તેવો પેચીદો પ્રશ્ન બંધારણ અમલમાં આવ્યું ત્યારથી હવામાં ગુંજે છે. ભારત સરકારની આ બાબતે વિચારધારા બહુ સ્પષ્ટ હતી. સને ૧૯૫૦થી બંધારણ અમલમાં આવ્યું, ત્યારથી સને ૧૯૬૨ સુધી ભારત સરકારના સરકારી ઠરાવો અને માર્ગદર્શિકાઓમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે જાતિ-જ્ઞાતિને પછાતપણાનો આધાર ગણી શકાય નહીં. ભારત સરકારની માર્ગદર્શિકાને અનુરૂપ મુંબઈ સરકારે સને ૧૯૫૯માં જે સરકારી ઠરાવ પછાત વર્ગના માપદંડ નક્કી કરવા માટે બહાર પાડેલ છે, જે નીચે મુજબ છેઃ

3. In view of the difficulties indicated in the foregoing paragraph, the question of laying down a more suitable basis for classification of other Backward Classes – was engaging the attention of Government for some time past. Article, 46 of the constitution requires the State Government to promote with special care the Educational and economic interests of the weaker sections of the people. Hitherto the practice was to equate the weaker sections of the people with the Scheduled Castes, – the Scheduled Tribes and the Other Backward Classes. While there can be no doubt that the Scheduled Castes and Scheduled Tribes constitute the weaker sections of the people, it cannot be said that the castes now known as the other Backward Classes alone constitute such weaker sections. Poverty generally results in Backwardness of every kind and there are classes like landless labourers, village artisans petty landholders etc., who are equally backward and who, consequently, equally need assistance from the State funds for their advancement. Logically speaking, therefore all people who are economically weak will have to be classified as the weaker sections of the people and the State will have to take special care to promote their educational and economic interests. In other words, to give full effect to the directive principle embodied in Article 46 of the Constitution, income and not caste will have to be accepted as the basis for giving State aid under that Article.

4. Government is, therefore, pleased to direct that the existing Classification of other Backward Classes based on caste should be abolished with effect from the current financial year and it should be replaced by a new classification based on income.

ભારત સરકારે બંધારણના આર્ટિકલ ૩૪૦ હેઠળ સૌ પ્રથમ પછાતવર્ગ કમિશન, જાણીતા ગાંધીવાદી કાકા કાલેલકરના અધ્યક્ષપદે નીમેલ. કાકા કાલેલકરે કમિશનના રિપોર્ટ સાથે જે પત્ર લખેલો તેમાં જણાવેલું કે ભારતે જાતિવિહીન સમાજરચનાનો આદર્શ સ્વીકાર્યો છે. તેનાથી જાતિ-જ્ઞાતિનો માપદંડ તદ્દન વિરોધ છે અને તેથી તે માપદંડને સ્વીકારવો નહીં.

ભારતની સ્વાતંત્ર્ય ચળવળ દરમિયાન તેમ જ આઝાદી પછીના બે દાયકાઓ સુધી ભારતમાં ‘જાતિ તોડો અને ભારત જોડો’ એવાં સૂત્રોના વાયરા વાતા હતા. ભારતનો યુવા વર્ગ આવા વાયરાના આધારે જ્ઞાતિ, જાતિની પ્રવૃત્તિથી અલગ રહેતો હતો અને અનેક એવાં દૃષ્ટાંતો છે કે જેઓએ જાતિસૂચક અટકોનો ત્યાગ કરેલ, તેમ જ આંતરજ્ઞાતીય લગ્નો કરેલાં.

આ પ્રકારના વાતાવરણ વચ્ચે સને ૧૯૬૨ના નવેમ્બર મહિનામાં સુપ્રીમ કોર્ટે એમ.આર. બાલાજીના કેસમાં એવું ઠરાવેલ કે જાતિ-જ્ઞાતિને પણ પછાતવર્ગને માપદંડ નક્કી કરવા માટે ગણતરીમાં લઈ શકાય. આ અને આવા અનેક કેસો સુપ્રીમ કોર્ટમાં ચુકાદાની એરણો ઉપર ચડતા હતા અને જ્ઞાતિને માપદંડ લઈ ન શકાય તે પ્રકારના બે કે ત્રણ જજની ખંડપીઠના ચુકાદાઓ પણ આવતા હતા. હકીકતે ભારતે સમાનતા તેમ જ સેક્યુલર રાજ્યોનો આદર્શ સ્વીકારેલ છે, જેને કારણે જ્ઞાતિ-જાતિ આધારિત કોઈ પણ ભેદભાવભરી નીતિ કે કાયદો બંધારણે આપેલ મૂળભૂત સમાનતાના હક વિરોધી છે. બંધારણના આર્ટિકલ ૧૪માં દરેક નાગરિક સમાન તેવી જોગવાઈ છે અને બંધારણના આર્ટિકલ ૧૫(૧)માં જ્ઞાતિ, જાતિ કે ધર્મ આધારિત કોઈ પણ જાતનો ભેદભાવ રાખવા સામે પ્રતિબંધ છે. ઉપર્યુક્ત બાબતોને લક્ષમાં લઈને સને ૧૯૮૫ના કેસમાં સુપ્રીમ કોર્ટની બંધારણીય બૅન્ચના પાંચ જજોએ સર્વસંમતિથી ઠરાવ્યું કે જ્ઞાતિ-જાતિને પછાતવર્ગ નક્કી કરવાના માપદંડની ગણતરીમાં લઈ શકાય નહીં અને ૧૯૭૯માં ભારત સરકારે આર્ટિકલ ૩૪૦ હેઠળ દ્વિતીય પછાત કમિશન બિહારના એક રાજદ્વારી શ્રી મંડલના અધ્યક્ષ પદે નીમેલું જેને જ્ઞાતિ જાતિ આધારિત પછાત વર્ગની ગણતરી કરવા ભલામણ કરેલી. આ અહેવાલ કૉંગ્રેસ અને જનતા સરકારોના શાસનમાં ધૂળ ખાતો રહ્યો પરંતુ સને ૧૯૯૧માં શ્રી પી.વી. સિંહે વડાપ્રધાનપદેથી રાજકીય કારણોસર આ અહેવાલને અમલમાં મૂકવાની જાહેરાત કરી જેની સામે દેશવ્યાપી ચળવળ ચાલી અને કેટલાક આશાસ્પદ યુવાનોએ આત્મવિલોપન કરી પ્રાણ ગુમાવ્યા જેની બંધારણીયતા પડકારાતા સને ૧૯૯૨ના નવેમ્બર મહિનામાં સુપ્રીમ કોર્ટે ઇન્દ્ર સહાનીના કેસમાં ચુકાદો આપ્યો. ઉપર્યુક્ત ચુકાદામાં નવ જણ પૈકી સાત ન્યાયમૂર્તિઓએ બહુમતિથી જ્ઞાતિ-જાતિને પછાતપણું નક્કી કરવામાં માપદંડ ગણી શકાય, તેવું ઠરાવ્યું અને અનામતના quotaની મર્યાદા સમાનતાના મૂળભૂત હકને અવરોધરૂપ ન બને તે રીતે વધુમાં વધુ ૫૦ ટકા નિયત કરેલ છે. પરંતુ ગુજરાત સરકારના વટહુકમથી ૬૦ ટકા સુધી અનામત થાય છે, જે ચર્ચાસ્પદ છે. શ્રી વી.પી. સિંહની જાહેરાતનો અમલ થયા પછી કેન્દ્રના શિક્ષણપ્રધાન શ્રી અર્જુનસિંહે અનામતનો લાભ શિક્ષણસંસ્થાઓમાં પણ લંબાવ્યો, જેને કારણે પછાતવર્ગના લોકોને સરકારી યોજનાઓમાં, જાહેર સેવાઓમાં અને શિક્ષણસંસ્થાઓમાં લાભ મળવા લાગ્યો. આજની તેજસ્વી યુવાપેઢીના વિદ્યાર્થીઓને શિક્ષણસંસ્થામાં અપાતી અનામત ખૂબ ખૂંચે છે.

ઉપર્યુક્ત સંદર્ભમાં ગુજરાતમાં શું પરિસ્થિતિ છે, તે પણ લક્ષમાં લઈએ. સને ૧૯૭૫માં ગુજરાત હાઈકોર્ટના નિવૃત્ત ન્યાયમૂર્તિ એ.આર. બક્ષીના અધ્યક્ષપણા હેઠળ આર્ટિકલ ૩૪૦ હેઠળ ગુજરાત રાજ્ય માટે પછાતવર્ગની ઓળખ નક્કી કરવા અંગે પ્રથમ પછાતવર્ગ કમિશન નિમાયેલું. આ કમિશને સુપ્રીમ કોર્ટના સને ૧૯૬૩માં બાલાજીના કેસમાં આપેલ ચુકાદાને આધારે જ્ઞાતિ-જાતિનો પછાતવર્ગની ઓળખ માટે માપદંડ સ્વીકાર્યો અને હિન્દુ સમાજની આશરે ૭૦ જેટલી જ્ઞાતિને પછાતવર્ગ તરીકેની ઓળખ આપી અને મુસ્લિમોમાં જ્ઞાતિપ્રથા ન હોઈ વ્યવસાયના તેમ જ ગરીબાઈના અને શૈક્ષણિક સ્થિતિને લક્ષમાં લઈ મુસ્લિમ સમાજમાં ઘાંચી (મુસ્લિમો), પિંજારાઓ વગેરેને પછાતવર્ગ તરીકે ઓળખ આપી. બક્ષીપંચે હિન્દુ, મુસ્લિમ અને ક્રિશ્ચિયનના કુલ્લે ૭૮ જેટલા સમૂહોને પછાતવર્ગની ઓળખ આપેલી. ત્યાર પછી, ગુજરાત સરકારે દ્વિતીય પછાતવર્ગ કમિશન આર્ટિકલ ૩૪૦ હેઠળ ગુજરાત હાઇકોર્ટના નિવૃત્ત ન્યાયમૂર્તિ સી. વી. રાણેના અધ્યક્ષપદે નીમેલ, જેમણે સેક્યુલરિઝમ અને સમાનતાની મૂળભૂત વિચારધારાની વિરુદ્ધ જ્ઞાતિજાતિને માપદંડ તરીકે લઈ શકાય નહીં, એવી હિંમતભરી ભલામણ કરી, ગરીબાઈ, વ્યવસાય અને શૈક્ષણિક પછાતપણાને માપદંડ ગણી પછાત, વર્ગની ઓળખ આપી. ત્યાર પછી આર્ટિકલ ૩૪૦ હેઠળ ત્રીજું પછાત વર્ગ કમિશન ગુજરાત હાઇકોર્ટના નિવૃત્ત ન્યાયમૂર્તિ શ્રી આર.સી. માંકડના અધ્યક્ષપદે નીમેલ, જેમણે ચીલાચાલુ ભલામણો કરી બક્ષીપંચના ઓળખ પામેલા ૭૮ જેટલા સમૂહોમાં બીજી અનેક જ્ઞાતિ-જાતિ અને વ્યવસાયનો વધારો કર્યો.

ગુજરાતમાં સને ૧૯૮૦થી ૧૯૮૫ના જુલાઈ માસ સુધી માધવસિંહ સોલંકી મુખ્યમંત્રીપદે હતા. માધવસિંહ સોલંકી અને કૉંગ્રેસના નેતા સ્વ. ઝીણાભાઈ દરજીનો એવો દાવો હતો કે જ્ઞાતિ-જાતિ આધારિત ખામ થિયરીના કારણે કૉંગ્રેસને ધારાસભામાં બહુમતી મળેલ. હકીકતે આ દાવો ખોટો હતો, કારણ કે સને ૧૯૮૦માં જનતાપક્ષની નિષ્ફળતાને કારણે ઇન્દિરા ગાંધીના સમર્થ નેતૃત્વને પુનઃ સુકાન સોંપવા દેશભરમાં જે હવા ચાલેલી, તેનો લાભ ગુજરાત કૉંગ્રેસને મળેલો, આ જ રીતે સને ૧૯૮૫માં પંજાબના પ્રશ્ને ઇન્દિરા ગાંધીની શહાદતના કારણે દેશભરમાં જે હવા ચાલતી હતી, તેને કારણે લોકસભામાં પ્રથમ વખત કૉંગ્રેસને ૪૦૦ ઉપરાંત બેઠકો મળેલી, જેનો ફાયદો ગુજરાત કૉંગ્રેસને મળેલો અને કૉંગ્રેસના ફાળે વિધાનસભામાં ૧૪૪ બેઠકો આવેલી. માધવસિંહ સોલંકીએ આ સિદ્ધિને જ્ઞાતિ-જાતિની અને ખામની સફળતા ગણીને ૨૭ ટકા અનામત દાખલ કરવાની જાહેરાત કરી, જેના પ્રત્યાઘાતરૂપે અનામત વિરોધી આંદોલન શરૂ થયું અને માધવસિંહ સોલંકીને સને ૧૯૮૫ની ચૂંટણી પછી ચાર મહિનામાં ટૂંકા ગાળામાં મુખ્યમંત્રીપદ છોડવું પડ્યું. મુખ્ય પ્રધાનપદની નેતાગીરીમાં ફેરફાર થતાં ગુજરાતમાં અનામત વિરોધી આંદોલન શાંત પડ્યું અને શ્રી અમરસિંહ ચૌધરીના નેતૃત્વ હેઠળ સરકાર લગભગ સાડા ચાર વર્ષના ગાળા સુધી શાંતિથી ચાલી. સને ૧૯૮૯ના અંતમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવતા કૉંગ્રેસ મોવડીમંડળે મુખ્યમંત્રીપદેથી અમરસિંહને ખસેડી માધવસિંહ સોલંકીને ફરી મુખ્યમંત્રી બનાવ્યા. પરંતુ સને ૧૯૯૦ની વિધાનસભાની ચૂંટણીમાં માધવસિંહનો અને તેની ખામ થિયરીનો ભારે રકાસ થયો અને કૉંગ્રેસને ધારાસભામાં માત્ર ૩૯ બેઠકો મળી.

મંડલ કમિશને ગુજરાતની પછાતવર્ગની જાતિઓમાં અન્ય ૨૫ જ્ઞાતિઓનો વધારો કરેલ. ગુજરાતની ભાજપ સરકારે હાઇકોર્ટના ન્યાયમૂર્તિ તરીકે કન્ફર્મ ન થયેલાં સુશ્રી સુજ્ઞાબહેન ભટ્ટને હાઈકોર્ટના નિવૃત્ત થયેલા ન્યાયમૂર્તિ ગણીને પછાતવર્ગ કમિશનના અધ્યક્ષ તરીકે મુખ્યમંત્રી કેશુભાઈ પટેલના શાસનકાળના સમયથી નીમેલ છે, જે ગુજરાત સરકારે આજે પણ ચાલુ રાખેલ છે. સુશ્રી જસ્ટિસ સુજ્ઞાબહેન ભટ્ટ લગભગ ૭૫ વર્ષનાં થયાં છે અને સરકારની નીતિ મુજબ ૭૦ વર્ષની ઉપરના કોઈને આ પ્રકારની જવાબદારી આપવામાં આવતી નથી. આર.સી. માંકડ કમિશન, મંડલ કમિશન અને સુજ્ઞાબહેન ભટ્ટ કમિશનની ભલામણ હેઠળ પછાતવર્ગની જાતિઓમાં દિનપ્રતિદિન વધારો થતો રહ્યો છે અને ગુજરાતમાં આશરે ૧૭૫ જેટલી પછાતવર્ગની જ્ઞાતિઓ અને સમૂહો આજે અસ્તિત્વમાં છે. સુપ્રીમ કોર્ટે એક કેસમાં નિરીક્ષણ કર્યા મુજબ દેશમાં પછાતવર્ગમાં સમાવવા માટે સ્પર્ધા ચાલી રહી છે, તેના પડઘા ગુજરાતમાં પણ પડ્યા છે. ગુજરાતમાં પછાતવર્ગના સમૂહમાં જે  ઓળખ પામ્યા છે, તેમાંથી અનેક સમૂહો એવા છે કે જે પછાતવર્ગમાં આવી શકે નહીં. વડાપ્રધાન શ્રી મોદીની જ્ઞાતિ ગુજરાતમાં અને કેન્દ્રમાં ભાજપની સરકાર અસ્તિત્વમાં હતી, ત્યારે સને ૨૦૦૨માં પછાતવર્ગમાં દાખલ થયેલ છે. તેમની જ્ઞાતિ મોઢ ઘાંચી છે, જેઓ મુખ્યત્વે કરિયાણા અને દૂધનો વેપાર કરે છે. મોઢ જ્ઞાતિ વણિક જ્ઞાતિની પેટા જ્ઞાતિ છે. જૂના સમયમાં આ જ્ઞાતિના જે લોકો બળદ મારફત તેલીબિયાં પીસવાની ઘાણી ચલાવતા તેવો લોકો મોઢ-ઘાંચી કહેવાતા. વર્ષોથી ઘાણીનું સ્થાન ઑઇલ મિલોએ લીધું છે અને કોઈ ઘાણી ચલાવતું નથી કે વ્યવસાયે ઘાંચી નથી. વડાપ્રધાન મોદીની જ્ઞાતિ પછાતવર્ગમાં કેમ દાખલ થઈ તે એક સંશોધનનો વિષય છે. રાષ્ટ્રીય પછાતવર્ગ કમિશનના કાયદા હેઠળ દર દસ વર્ષે પછાતવર્ગમાં દાખલ પછાતવર્ગની જ્ઞાતિઓ અંગે પુનઃવિચારણા કરવાનું કેન્દ્ર સરકાર માટે ફરજિયાત છે, પરંતુ કોઈ પણ અગમ્ય કારણસર કેન્દ્રે કે રાજ્યોએ દસ વર્ષે પુનઃવિચારણા કરેલ નથી. દિનપ્રતિદિન પછાતવર્ગની યાદીમાં વધારો થતાં ખરેખર પછાતવર્ગનો લાભ જેમને મળવો જોઈએ, તેમને મળતો નથી; કારણ કે, પછાતવર્ગ માટેની ૨૭ ટકા અનામતમાં ભાગ પડાવતી જ્ઞાતિઓની સંખ્યા દિન-પ્રતિદિન વધતી જાય છે.

હકીકતે સુપ્રીમ કોર્ટની નવ જજની સંખ્યામાં બંધારણીય બૅન્ચે સાત જજોની બહુમતીથી જ્ઞાતિ-જાતિને પછાતવર્ગની ગણતરીમાં માપદંડ તરીકે સ્વીકારેલ છે, તે પણ આજે લગભગ ૨૩ વર્ષ પછી પુનઃવિચારણા માંગે છે. સંજોગો અને સમયના ફેરફાર સાથે બંધારણના અર્થઘટનમાં પણ ફેરફાર થઈ શકે તેવો એક સ્વીકાર્ય સિદ્ધાંત છે અને જ્ઞાતિ-જાતિને માપદંડ ગણવામાં દેશની એકતાને જે નુકસાન થયું છે તેમ જ સમાજ વિભાજિત થયેલ છે, તે લક્ષમાં લઈને સુપ્રીમ કોર્ટે આ ચુકાદાની ફેરવિચારણા કરવી જોઈએ. ગુજરાત સરકાર કે ભાજપની રાષ્ટ્રીય નેતાગીરી બંધારણની એરણે ટકી ન શકે તેવો કાયદો કરવાને બદલે આ દિશામાં પ્રયત્ન કરે તો પછાતવર્ગની ઓળખમાં જ્ઞાતિ-જાતિને બદલે ગરીબાઈ, સામાન્ય વ્યવસાય, શૈક્ષણિક પછાતપણું તેમ જ સામાજિક પછાતપણાનો માપદંડ સુપ્રીમ કોર્ટ અથવા બંધારણીય સુધારા મારફત પુનઃસ્થાપિત કરી શકાય. પાટીદાર સમાજે પણ આ દિશામાં આગળ વધવું જોઈએ.

આ અંગે “ટાઇમ્સ ઓફ ઇન્ડિયા”ના તા. ૨૭ ઑગસ્ટ, ૨૦૧૫ના અકંનો તંત્રીલેખ પણ રસપ્રદ છેઃ

Caste-based reservations at Independence were an attempt to address and eliminate horrific discrimination suffered by dalits. But what was expected to be an exceptional and interim measure for social justice has since mutated into a strategy for capturing political power among other communities – with V. P. Singh extending reservations to OBCs followed by Arjun Singh’s extension of the OBC quota to IITs, IIMs and central Universities. In this case a bad Idea has literally run riot. The hollowness of an idea is sought to be covered up by empire building, since consideration of alternatives or honest re-examination of whether the idea really works on the ground is deemed politically incorrect.

“ટાઇમ્સ ઑફ ઇન્ડિયા” યથાર્થ જણાવે છે કે, જ્ઞાતિ-જાતિ ધોરણે અનામતની જોગવાઈએ રાજકારણમાં સ્થાપિત હિતો ઊભાં કર્યાં છે અને દેશમાં સેક્યુલર રાજ્ય વિશાળ સંદર્ભમાં સ્થાપવા માટે સ્વાતંત્ર્ય ચળવળના મહામૂલા આદર્શ ધર્મનિરપેક્ષ, જાતિવિહીન અને ભેદભાવવિહીન સમાજ રચનાના આર્શને પુર્નઃજીવિત કરીએ.

એ સ્પષ્ટતા કરી લઉં કે બંધારણે અનુસૂચિત જાતિ અને જનજાતિ માટે લોકસભા, ધારાસભા, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ તેમ જ જાહેરસેવા અને શૈક્ષણિક સંસ્થાઓમાં અનામત અંગે જે જોગવાઈઓ કરી છે, તે યથાર્થ છે અને આપણે દૃઢ સંકલ્પ કરવો જોઈએ કે અનુસૂચિત જાતિ અને જનજાતિ અન્ય સમાજોની સાથે વહેલી તકે સમાનતા પ્રાપ્ત કરે.

૭-૫-૨૦૧૬

e.mail : kgv169@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 16 મે 2016; પૃ. 03-05

Loading

શું બ્રિટિશ સલ્તનત માટે ગૌરવ લેવું જોઈએ?

આશા બૂચ|Opinion - Opinion|18 May 2016

B.B.C.1 પરથી દર રવિવારે ‘Big Question’ નામના કાર્યક્રમમાં કોઈને કોઈ નૈતિક, રાજકીય, સામાજિક કે ધાર્મિક મુદ્દાને લઈને એક ચર્ચા પ્રસારિત કરવામાં આવે છે. ઉપરોક્ત પ્રશ્ન વિષે વિચાર વિમર્શ કરતી બેઠકમાં શ્રોતા તરીકે ભાગ લેવાની તક મળી. તેમાં બ્રિટિશ સલ્તનતની તરફેણ અને વિરુદ્ધમાં કહેવાયેલા વિવિધ કથનો અને તે પરથી ઉપજેલા મારા અભિપ્રાયો વાચકો સમક્ષ રજૂ કરવા કોશિષ કરીશ.

બ્રિટને અમેરિકા, કેનેડા, વેસ્ટ ઇન્ડીઝથી માંડીને આફ્રિકા ખંડના મહદ્દ દેશો પર અને ભારતીય ઉપખંડ પર, બ્રિટનમાં રહીને, રાજ્ય કર્યું જેને બ્રિટિશ રાજ તરીકે ખ્યાતિ મળી. આ સામ્રાજ્યના મંડાણ 16મી સદીમાં થયાં. ઈ.સ. 1585માં સર વોલ્ટર રાલીની આગેવાની હેઠળ ઉત્તર અમેરિકામાં પ્રથમ સંસ્થાનના પાયા નંખાયા અને ખાંડ તથા તમાકુ જેવા રોકડિયા પાકની આવકથી બ્રિટનને પુષ્કળ ફાયદો થયો. ઈ.સ. 1783 સુધીમાં અમેરિકા અને વેસ્ટ ઇન્ડીઝ કબજે કરી લીધેલાં જે પહેલી ક્રાંતિ બાદ ગુમાવ્યા. તો પોતાની દરિયાઈ તાકાતના જોરે, 19મી સદીમાં, ભારતીય ઉપખંડ અને આફ્રિકાના દેશોમાં દ્વિતીય સામ્રાજ્યના પાયા નંખાયા. આમ તો મધ્ય યુગથી માંડીને 19મી સદી સુધીમાં નોર્મન, રોમન, આરબ, ઓટોમન અને રશિયન એમ અનેક સામ્રાજ્યો સ્થપાયાં અને ભાંગ્યાં. ઈ.સ. 1497માં અંગ્રેજ વેપારીઓની સહાયથી કેનેડાની શોધ થઈ તેવી જ રીતે ઈ.સ. 1612થી ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ ભારતમાં થાણું નાખ્યું, તે જાણીએ છીએ.

અહીં નોંધનીય બાબત એ છે કે અમેરિકા અને ઓસ્ટ્રેલિયા-ન્યુઝીલેન્ડ વગેરે દેશોમાં એ દેશોના ભૌગોલિક વિસ્તારની સરખામણીએ જનસંખ્યા ઓછી હતી અને તે સમયે બ્રિટન કરતાં ઓછા સમૃદ્ધ હતા જ્યારે ભારતની વસતી વધુ હતી તેમ જ ત્યાં ભાષા, સંસ્કૃિત અને આબોહવાનું અપાર વૈવિધ્ય હતું, એટલું જ નહીં પણ ઈ.સ. 1700માં કેટલાંક ક્ષેત્રોમાં તેઓ બ્રિટન જેટલા જ વિકસિત હતા. સાહસવીરો દેશ પરદેશ ખેડે અને અવનવી શોધખોળ કરે તે તો માનવ જાત માટે લાભદાયક છે. નવા શોધાયેલ દેશમાં કોઈ માનવ વસતી ન હોય અથવા ત્યાંના મૂળ વતનીઓની સહમતી હોય, તો તેની માલિકી સ્થાપિત કરવી વ્યાજબી ગણાવી શકાય. પરંતુ ઇતિહાસ સાક્ષી પૂરે છે કે મોટા ભાગના નવા શોધાયેલા દેશોમાં મૂળ વતનીઓ રહેતા હતા, તેમને એક યા બીજી લાલચ કે ધમકી આપીને તેમના દેશ પર યુરોપના ઘણા દેશો દ્વારા 18મી અને 19મી સદીમાં પોતાની રાજ્યસત્તા ઠોકી બેસાડવામાં આવી હતી. તેમાં ય ભારતની વાત કરીએ તો એ તો સેંકડો-હજારો વર્ષ પહેલાં ઉદ્દભવેલી પૂર્ણ વિકસિત સંસ્કૃિત અને રાજ્ય વ્યવસ્થા ધરાવતો દેશ હતો જેના પર વેપારી સંબંધોને પગલે પગલે બ્રિટને રાજકીય કબજો જમાવ્યો.

બ્રિટન જેવા એક નાનકડા ટાપુના તાબામાં એક સમયે લગભગ 13 મીલિયન સ્કવેર માઈલ ભૂમિ અને 458 મીલિયન પ્રજા હતી. પૂર્વ-પશ્ચિમ અને ઉત્તર-દક્ષિણ દિશાઓમાં પ્રસરેલા એવડા મોટા સામ્રાજ્ય પર સૂર્ય કદી નહોતો આથમતો. આવડું મોટું સામ્રાજ્ય સ્થાપવા સાહસની જરૂર પડે, તેના વહીવટ માટે મુત્સદ્દીગીરી જોઈએ, જાળવવા માટે તીક્ષ્ણ રાજકીય દાવપેચની જાણકારી હોવી ઘટે અને તેનો લાભ ઉઠાવવા વેપારી દ્રષ્ટિ હોવી જોઈએ. આથી જ મૂળ બ્રિટિશ પ્રજા એકદા એક વિશાળ સામ્રાજ્યના ધણી હોવા બદલ ગૌરવ અનુભવે તેમાં નવાઈ નથી. સવાલ છે કે સાહસ, મુત્સદ્દીગીરી અને દીર્ઘ દ્રષ્ટિ ઉપરાંત બીજી કઈ કઈ શક્તિઓ કામે લગાડેલી અને તેનાથી જેના પર રાજ્ય કર્યું તેમને શો ફાયદો-ગેરફાયદો થયો તે પણ નોંધવું રહ્યું.

‘Big Question’માં હાજર રહેલાં અને અન્ય મહાનુભાવો તેમ જ જનસામાન્યમાં કેટલાંક બ્રિટિશ સામ્રાજ્યની તરફેણમાં હોય છે જ્યારે કેટલાંક તેની વિરુદ્ધમાં હોય છે. જ્યારે પણ બ્રિટિશ સલ્તનતનો ઉલ્લેખ થાય ત્યારે ભારત વિષેની ચર્ચા કેન્દ્ર સ્થાને હોય છે કેમ કે તે કદ, જનસંખ્યા અને કુદરતી તથા માનવ સ્રોતની દ્રષ્ટિએ અન્ય સંસ્થાનો કરતાં વધુ વિશાળ અને વધુ ફાયદો આપનાર દેશ હતો. અને તેથી જ તો તેને Jewel in the Crownનું બિરુદ મળેલું. ઈ.સ. 1922માં આયર્લેન્ડ સ્વતંત્ર થયું અને તે પછી અનેક દેશોને સ્વાયત્તતા સાંપડી. ભારત અને પાકિસ્તાન 1947માં સ્વતંત્ર થયા બાદ, ઘણા આફ્રિકન દેશો તેમને અનુસર્યા. હવે આજે બ્રિટન પાસે થોડા છુટ્ટા છવાયા ટાપુઓ, tax heaven તરીકે ઓળખાતા પ્રદેશો અને કોમનવેલ્થ રહ્યા છે, જેની તે આગેવાની કરે તે સ્વાભાવિક છે.

આ ચર્ચા સભામાં હાજર રહેલ પ્રોફેસર્સ, ઇતિહાસવિદ્દ, ધાર્મિક આગેવાનો, કોમેન્ટેટર્સ અને કર્મશીલોને સીધો સવાલ કરવામાં આવ્યો કે બ્રિટન એક સમયે અજેય સામાજ્ય હતું એ વિષે તેના નાગરિકોની છાતી ગજ ગજ ફુલવી જોઈએ કે શરમથી માથું ઝૂકવું જોઈએ? ભારતના વાઇસરોય લોર્ડ કર્ઝને ઈ.સ. 1901માં કહેલું, “As long as we rule India, we are the greatest power in the world, if we lose it we shall straight away drop to a third rate power. Empire is the supreme force for good in the world.” અને પેનલના કેટલાંક સભ્યોએ એ મતને અનુમોદન આપતા કહ્યું કે જુઓને રોમન, આરબ, રશિયન અને ઓટોમન સામ્રાજ્ય કરતાં બ્રિટિશ સામ્રાજ્ય અનેક બાબતોમાં સારું જ હતું. આમ તો ગ્રીકનો સલ્તનતનો ખ્યાલ એવો હતો કે પોતાનો ટાપુ કે દેશ નાનો હોય તો બીજા દેશ પર કબજો જમાવવો. તો વળી રોમન મોડેલ પ્રમાણે શિકારીની માફક બીજાની જમીન પચાવી પાડો, સ્ત્રીઓ પર અત્યાચાર કરો, રાજ્ય વિસ્તાર કરો અને નબળા દેશને ઝબ્બે કરો તો સામ્રાજ્ય વિસ્તરે. આ રીતે જોઈએ તો બ્રિટિશ સલ્તનતને આ બંને પ્રકારના ઢાળામાં ઢાળી શકાય તેમ છે. બીજી દલીલ એ હતી કે ઈ.સ. 1897 સુધીમાં દુનિયાની 25% વસતી પર રાજ્ય સ્થાપવું એ કંઈ નાની સુની સિદ્ધિ નથી. સામ્રાજ્યે તે વખતે જે કંઇ સારાં કાર્યો કર્યાં તેના સુફળ હજુ એ દેશોને ચાખવા મળે છે જેમ કે રેલવે, ટપાલ સેવા, ન્યાયતંત્ર, લોકશાહી શાસન વ્યવસ્થા, ક્રીશ્ચિયાનિટી અને ઇંગ્લિશ ભાષાની ભેટ. ઉપરાંત જે દેશોને પોતાના સંસ્થાન બનાવ્યા તે દેશોમાં અંદરો અંદર અણબનાવ, તનાવ અને લડાઈ ઝઘડા થતા હતા, તેઓ સંગઠિત નહોતા એટલે ઉલટાનું બ્રિટિશ રાજ આવવાથી તેમને સ્થિરતા મળી, દરેક રીતે વિકાસ કરવાની તક મળી. ભારતમાં ઔરંગઝેબના રાજ્યમાં શારિયા કાયદો અમલમાં હતો, હિંદુ રાજાઓમાં ભારોભાર ધાર્મિક અને જ્ઞાતિ વિષયક ભેદભાવ પ્રવર્તતો હતો અને સીખ રાજાઓ પણ સમાન ધારા આપી નહોતા શક્યા, જ્યારે બ્રિટને 1860માં મેકોલેની આગેવાની હેઠળ ઘડાયેલ ઇન્ડિયન પીનલ કોડ આપ્યો જે હજુ અમલમાં છે જે તેમને લાભદાયક પુરવાર થયો છે.

બ્રિટિશ રાજની તરફેણમાં એમ પણ કહેવાયું કે એ શાસનકાળ દરમ્યાન બધી નાત-જાતના લોકોએ સાથે મળીને લશ્કરમાં અને મિલ-ફેકટરીઓમાં કામ કર્યું જેથી જ્ઞાતિ પ્રથાના ભેદભાવો દૂર થયા અને એક દેશ તરીકે તે સંગઠિત બન્યો અને તેની અલગ અસ્મિતા ઉપસી આવી. વળી સતી પ્રથા અને દીકરીને દૂધ પીતી કરવા જેવા સામાજિક કુરિવાજો પણ અંગ્રેજોએ જ દૂર કર્યા જે ભારતના કોઈ રાજા નહોતા કરી શક્યા. નાનાં નાનાં રાજ્યોમાં ખંડિત એવા ભારત દેશને એકત્રિત કર્યો જેથી દેશભાવના જન્મી. આજનું ઇન્ડિયા એ બ્રિટનની દેન છે. આમ ખરું જોતાં બ્રિટને દુનિયાના ઘણા દેશોને સંસ્કૃત બનાવ્યા જે તેમનું ધ્યેય હતું. હજુ બીજી એક દલીલ આગળ ધરવામાં આવી કે 18મી અને 19મી સદીમાં યુરોપમાં બૌદ્ધિક, વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક ક્રાંતિ થઈ જેનાથી પશ્ચિમના દેશો પાસે અફાટ શક્તિ અને સત્તા આવી. આની જોડાજોડ જાગૃતિનો જુવાળ આવ્યો આથી પોતાની આ સિદ્ધિઓનો અન્ય સાથે બટવારો કરવા યુરોપના મોટા ભાગના દેશોએ દુનિયામાં ઠેકઠેકાણે સંસ્થાનો ઊભાં કર્યાં (અહીં સામ્રાજ્ય ઊભા કરવાવાળા દેશોની ઉમદા ભાવનાને બિરદાવવાનો પ્રયત્ન એ સજ્જનનો હતો). નહીં તો 1896માં ભારતને પહેલું સિનેમા થિયેટર મળ્યું તે ન મળ્યું હોત. બ્રિટનના સંસ્થાનોને કારણે જગત ઘણી રીતે બદલાયું અને સુધર્યું એવો તેમનો પાક્કો અભિપ્રાય હતો. બ્રિટિશ સલ્તનતને વ્યાજબી ઠારાવનારાઓ નું કહેવું થયું કે બંને વિશ્વયુદ્ધોમાં સંસ્થાનોના સૈનિકો રાજ વતી લડ્યા અને કુરબાની આપી તેથી બ્રિટને વિજયના ઇનામ તરીકે સંસ્થાનોને સ્વતંત્રતા ‘આપી’. સંસ્થાનવાસીઓ બ્રિટનની સરકારને પૂછવા લાગ્યા કે જે મુક્તિ અને સ્વાતંત્ર્ય માટે અમે જાન આપ્યો એ અમને ક્યારે મળશે? એના જવાબમાં એ દેશોને સ્વાયત્તતા ‘આપવામાં’ આવી. એ પણ તેમની ઉદારતાનો પુરાવો છે. એક એવો સૂર પણ ઊઠ્યો કે દુનિયામાં 19મી અને વીસમી સદીમાં કે આજે પણ જે કંઈ બુરું બન્યું કે બને છે તે માટે માત્ર બ્રિટનને જ એ  સંસ્થાનો પર રાજ્ય કરનાર તરીકે જવાબદાર ન ગણાવી શકાય. સામ્રાજ્યનો અંત આવી ગયો, હવે જે તે દેશોએ પોતાના આંતર વિગ્રહો માટે પોતે જવાબદારી સ્વીકારવી જોઈએ. એક એવું તહોમત પણ મુકાયું કે સ્વતંત્ર થયેલા દેશો પોતાની ચળવળ સિવાયનો ઇતિહાસ શીખવતા નથી.

આમ કેટલીક હકીકતોની આપ-લે અને બ્રિટીશ સલ્તનતની તરફેણની પીપુડી વાગી તેના પ્રત્યુત્તર રૂપે જે ઢોલ વાગ્યાં તેમાં શું શું કહેવાયું તે પણ રસપ્રદ હતું। શરૂઆત એક મજાકથી કરીએ; “It is said that sun never set on the Empire, because the almighty couldn’t trust what the Britishers would get up to in the dark.” સલ્તનતને કારણે બ્રિટનની પ્રજાને મળેલા લાભો અને અન્ય દેશોને થયેલા આડકતારા ફાયદાઓને એક પલ્લામાં મૂકી હવે બીજા પલ્લામાં બીજી કેટલીક હકીકતો હાજર રહેલા પ્રતિનિધિઓ મુકવા લાગ્યા। ટાઝમેનિયા અને માઓરી પ્રજાની સામુહિક હત્યા કરાઈ, કેટલાક દેશના મૂળ વતનીઓને જાણી બુઝીને અમુક રોગનો ભોગ બનાવાયા, સ્ત્રીઓ પર અમાનુષી અત્યાચારો કરવામાં આવ્યા એનું પલ્લું શું સારા કાર્યો કરતાં ભારે ન થાય? ઇસ્ટ ઇન્ડિયા કંપનીના શાસન દરમ્યાન ઈ.સ. 1769માં ભારતમાં બંગાળનો દુકાળ પડ્યો તે બંગાળની પ્રજાના ભોગે બ્રિટીશ લશ્કરના સૈનિકોને ખોરાક પહોંચાડવાની બ્રિટન સ્થિત સરકારની નીતિનું પરિણામ હતું જેમાં 10 મીલીયન નિર્દોષ લોકોએ જાન ગુમાવ્યા। અમૃતસરનો હત્યાકાંડ કે કેનિયાની દુર્ઘટના કોને ગૌરવ અપાવે? તરફદારોનો જવાબ હતો, આવી ઘટનાઓને બ્રિટીશરો એ દેશો પર રાજ કરવા માંડ્યા તે પહેલાં ત્યાં શું સ્થિતિ હતી, તેમના રાજ દરમ્યાન કેટલો સુધારો થયો અને તેમના ગયા પછી શી હાલત થઇ એ સંદર્ભમાં જોવી જોઈએ। આજના નૈતિક ધોરણો પ્રમાણે આ વિષે ગૌરવ ન થાય તે તેમણે પણ કબુલ્યું। તો પ્રશ્ન એ છે કે માનવીય મુલ્યો સમયે સમયે બદલાય? એક માનવનું બીજા માનવ દ્વારા શોષણ ન કરવું એ તો શાશ્વત નિયમ છે. એ સનાતન સત્ય છે. એનું પાલન 19મી સદીમાં ન કરીએ તો માફ અને 21મી સદીમાં કરવું જરૂરી મનાય? બ્રિટનના નાગરિકોને એવી હાલતમાં નહોતા મુક્યા તો સંસ્થાનવાસીઓ શું માનવો નહોતા? અરે, બંગાળના દુષ્કાળના સંદર્ભમાં સર વિન્સ્ટન ચર્ચીલે એવા મતલબનું કહેલું કે ભારતની પ્રજા તો સસલાની જેમ પેદા થાય છે, એ કંગાળ પ્રજાના પેટ ભરવા કરતાં બ્રિટીશ સૈનિકના હટ્ટા કટ્ટા જવાનોને પોષણ આપવું આપણા માટે વધુ મહત્વનું છે.

બ્રિટિશ રાજ દરમ્યાન અને આજના બ્રિટીશ નાગરીકો તેમ જ કેટલાક ભારતીય નાગરીકો તે વખતના માળખાથી થયેલ આડકતરા ફાયદાઓ ગણાવતા થાકતા નથી. તેમાંની એક દલીલ એ છે કે તેઓ પશ્ચિમના દશોમાં થયેલ ઔદ્યોગિક અને વૈજ્ઞાનિક શોધખોળનો લાભ આપવા પૂર્વ અને દક્ષિણ ગોળાર્ધના ‘પછાત’ દેશોમાં સંસ્થાન સ્થાપીને રહ્યા તેમાં એ દેશોને જ લાભ થયો. એક જમાનામાં ચક્રની શોધ થઇ, તે આધુનિક સમાચાર કે પ્રસારણના સાધનો નહોતા છતાં દુનિયા ભરમાં પ્રચલિત થઇ હતીને? આજે મેડીકલ સાયન્સ, ટેકનોલોજી અને અન્ય અનેક સંશોધનો અને શોધખોળ થાય છે તો જેમની પાસે એ વિજ્ઞાન પહોંચ્યું નથી તેમના દેશનું રાજ્યતંત્ર ખૂંચવી લેવા કોઈ દોડી જાય છે? રહી વાત રેઇલવે અને ટપાલ સેવાની। એ બંને માળખાં ઊભા કરવાનો હેતુ હતો પૂરા દેશમાં બ્રિટીશ સરકારના સંદેશાઓ પહોંચાડવાનો અને તેના લશ્કરને ખૂણે ખૂણે મોકલી સીમાઓની રક્ષા કરવાનો। દેશના નાના મોટાં ગામ, શહેરો કે યાત્રાધામો આ સેવાઓથી જોડાયેલા નહોતા। એ તો ભારતની પ્રજાએ આ સેવાનો લાભ પોતાના હિતમાં ઉઠાવ્યો। અને હા, એ સ્થાવર મિલકત હોવાને પરિણામે કેટલીક ઈમારતોની માફક ઉઠાવીને પોતાની સાથે લઇ જઈ શકાય તેમ નહોતું એટલે મુકીને જવું પડ્યું એને કંઇ પુણ્યના કામમાં ખપાવી શકાય?

એક હકીકત યાદ રાખવા જેવી છે કે પશ્ચિમના દેશોમાં ઔદ્યોગિક ક્રાંતિને પગલે અનેક જીવન જરૂરિયાતની વસ્તુઓ અને વેપાર, સંરક્ષણ અને વાહન વ્યવહારને લગતાં સાધનોનું ઉત્પાદન વધ્યું, પણ તે પહેલાં પૂર્વના અનેક દેશોમાં એમાંની તમામ વસ્તુઓ પેદા થતી, અને તે પણ ઉત્તમ કોટિની. માત્ર ફર્ક એટલો કે તે હાથની બનાવટ હતી અને માનવ જરૂરિયાતના પ્રમાણમાં બનતી. જો બ્રિટનમાં શોધાયેલ કાપડ બનાવવાના મશીન ભારતને આપવાનો ઉદારતા ભર્યો હેતુ જ માત્ર હોત, તો ઢાકાનું જગ વિખ્યાત મલમલ વણનારાઓના અંગૂઠા કાપી ન નાખ્યા હોત. બ્રિટનમાં મહાકાય મશીનોથી ચાલતી અને ટનના હિસાબે કાપડ પેદા કરતી કાપડ મિલોની ભૂખ સંતોષવા રૂ પેદા કરતા સંસ્થાનોમાંથી તેમના પર નિકાસ કર નાખીને રૂની ગાંસડીઓ આયાત કરવી અને તૈયાર માલ વેંચવા એ જ ગુલામ પ્રજા પાસે આયાત કર ઉઘરાવવા પાછળ કયો દયાભાવ હતો? આમ થવાથી એ દેશોના કાપડ ઉદ્યોગ પર ભારે ફટકો પડ્યો અને રૂ પેદા કરનાર ખેડૂતોથી માંડીને રૂ પિંજનારા, કાંતનારા, વણકરો, રંગારા અને છાપકામ કરનારા એવા તમામ કુશળ કારીગરો લાખોની સંખ્યામાં રોજગારી ગુમાવી બેઠા, એ શું કોઈ બીજા દેશને પોતાની શોધખોળનો લાભ આપવાની પવિત્ર ઈચ્છાનું પરિણામ હતું?

એમ માનવામાં આવે છે કે બ્રિટન આધુનિક લોકશાહીની જનેતા છે. હા. પરંતુ અઢી-ત્રણ હજાર વર્ષ પહેલાં ગ્રીસમાં અને તેથી ય વધુ પુરાતન કાળમાં ભારત જેવા દેશોમાં લોકશાહી અને ગણતંત્રીય રાજ્ય વ્યવસ્થા સફળતાથી ટકી રહ્યાના દસ્તાવેજી પુરાવાઓ અવગણી ન શકાય. સોક્રેટીસ અને ચાણક્યની રાજનીતિ આજે પણ નામાંકિત રાજનીતિના અભ્યાસુઓ અને અર્થશાસ્ત્રીઓ ગણનામાં લે છે. એ રીતે જોઈએ તો પંદરથી વીસમી સદીના ગાળા દરમ્યાન દુનિયા આખીમાં રાજાશાહી અને આપખુદ રાજ્ય વ્યવસ્થાની જ બોલબાલા હતી. જગતના કોઈ ભાગમાં આધુનિક લોકશાહીના પગરણ વહેલાં થયાં અને ક્યાંક મોડી આવી. બ્રિટિશ સલ્તનતના તાબામાં જે દેશો હતા એ જો વિદેશી શાસન હેઠળ લગભગ બસો વર્ષ રહ્યા ન હોત તો તેમને આંગણે પણ લોકશાહી રુમઝુમ કરતી આવી હોત તેમાં શંકા નથી. ખુદ યુરોપના જ અનેક દેશોમાં એ ચેપ વહેલો-મોડો લાગેલો એ સર્વ વિદિત છે. એવું જ ન્યાય તંત્ર વિષે કહી શકાય. જે રાજા રાજ કરે તે પોતાના રાજ્ય વ્યવસ્થાના ખ્યાલ પ્રમાણે ન્યાય તંત્ર ઊભું કરે તે જાણીતું છે. યુરોપના દેશોમાં જ્યાં જ્યાં ગણતંત્ર સમૂહોનું અસ્તિત્વ હતું ત્યાં ત્યાં દરેક દેશમાં અલગ અલગ ન્યાયતંત્ર હતું જ. બ્રિટિશ રાજ દરમ્યાન તેમની કલ્પના પ્રમાણેનું ન્યાયતંત્ર ગોઠવાયું જે અન્ય ચીજોની માફક પોતાની સાથે ફેરબદલી કરીને લઈ જવાનું શક્ય ન બન્યું એ સાચું. પણ બ્રિટિશ સલ્તનતના તરફદારોને પૂછીએ કે ત્યાં ઘડાયેલા કાયદાઓ ત્યાંની પ્રજાના હિતને લક્ષ્યમાં લેતા હતા? તો પછી મહેસૂલનો દર અસાધારણપણે ઊંચો કેમ હતો? પાક નિષ્ફળ થાય તો પણ ખેડૂતે મહેસૂલ ભરવું પડે, નહીં તો તેના માલ સામાનની હરરાજી કરી તેને પાયમાલ બનાવવા પાછળ શું કારણ હતું? સમાજ સુધારણાને લગતા બે કાયદા કર્યા તેની સામે સેંકડો કાયદા એવા હતા જેનાથી પ્રજાનું ટીપે ટીપું લોહી ચુસાઈ ગયેલું તેની નોંધ કયા દેશના ઇતિહાસે લીધી?

એક હકીકત કબૂલ કરવી રહી કે બ્રિટિશ સલ્તનત હેઠળના ઘણા દેશોમાં તે સમયે અને હજુ આજે પણ જાતિય, રાજકીય અને ધાર્મિક વિખવાદો પ્રવર્તે છે જેને કારણે તે દેશોની પ્રજા આંતર વિગ્રહ અને પાડોશી દેશો સાથેના સંઘર્ષમાં ડૂબેલી રહે છે અને તે માટે માત્ર અને માત્ર તેઓ જ જવાબદાર છે. કદાચ તેમની આ નબળી કડીને પરિણામે વિદેશી સત્તા સ્થાપવાનું સહેલું પડેલું અને યુરોપીયન દેશોનો હાથ ઉપર રહ્યો એ પણ ખરું. એક બાજુ અલગ અલગ જ્ઞાતિ અને ધર્મના લોકોને એક બીજા સાથે કામ કરવાની તક મળી એટલે વિભાજીત સમાજમાં ઐક્ય આવ્યું એમ લાગે, પણ સાથે સાથે વિવિધ ધર્મો અને જ્ઞાતિ વચ્ચે ક્યારે ય નહોતું તેટલું વૈમનસ્ય ઉભરી આવ્યું તે પણ હકીકત છે. ભાગલા પાડો અને રાજ કરો, એ નીતિને પરિણામે ઇસ્ટ ઇંડિયા કંપનીએ પહેલેથી જ હિંદુ-મુસ્લિમ રાજાઓને એકબીજા વિરુદ્ધ ઉશ્કેર્યા, બંનેને એકબીજા વિરુદ્ધ જીતવામાં મદદ કરી, બંગાળના ધર્મને આધારે ભાગલા કર્યા અને બંને કોમના કાનમાં સતત એક બીજા પ્રત્યે ભય અને નફરતની લાગણી પેદા કરીને છેવટ દેશના ભાગલા કરવામાં બ્રિટિશ શાસન કારણભૂત બન્યું એ સ્વીકાર્યા વિના છૂટકો નથી. હા, બ્રિટિશ સલ્તનત દરમ્યાન ભારત સંગઠિત થયું લાગે, પણ તે માત્ર તેમણે બાંધેલ રેલવેની જાળ, કારકુનો ઊભા કરવા માટે ગોઠવેલ શિક્ષણ પ્રથા અને પોતે જેને ગમાર માની લીધેલી એ પ્રજાને સુસંસ્કૃત કરવા ઊભી કરેલી મિશનરી સંસ્થાઓને જ આભારી નથી. ભારતીય પ્રજા ખરું જોતાં બ્રિટિશ રાજને હાંકી કાઢવાની મથામણમાં વધુ સંગઠિત થઈ. ભારત ભૂમિ પર હજારો વર્ષથી અનેક જાતિ અને ધર્મના લોકોની ચડાઈ થઈ છે, કેટલાક રાજાઓ દેશની સંપત્તિને લૂંટીને ચાલ્યા ગયા, મોટા ભાગના આવીને સ્થિર થયા અને પ્રજા સાથે ભળી ગયા. આથી જ તો કેટકેટલી જાતિઓ (races) સાથે આદાન-પ્રદાન થવાથી ભારતના લોકોના વંશીય પ્રકાર, સંસ્કૃિત, ભાષા, શિલ્પ-સ્થાપત્ય, કળા, સંગીત, ખોરાક, વસ્ત્રપરિધાન વગેરે અનેક બાબતોમાં આટલું વૈવિધ્ય ભર્યું પડ્યું છે. છતાં કહેવું પડે કે બ્રિટિશરો આવ્યા પહેલાં ભારત ખંડની પ્રજાને વિવિધતાનો અહેસાસ હતો, તેનું મૂલ્ય હતું, તેનું ગૌરવ હતું પણ અલગતાનો ભાવ અને પરસ્પર માટેની અસહિષ્ણુતાના શ્રી ગણેશ છેલ્લા વિદેશી શાસનને આભારી છે. એવું જ દક્ષિણ આફ્રિકામાં હજુ બે એક દાયકા પહેલાં જેની નાબૂદી થઈ એ રંગભેદી સરકારી નીતિના પાયા બ્રિટિશ રાજ્યની રંગભેદી વલણમાં જોવા મળશે. નાઈજીરિયા અને સુદાનમાં સલ્તનત નહોતી ત્યારે બે અલગ અલગ ટોળકીઓ વચ્ચે તણખા ઝર્યા કરતા પણ રેસિયલ તણાવ નહોતો. તેમ હાલમાં એ દેશોમાં વધતા જતા ગુનાઓ અને ધાર્મિક અત્યાચારો પાછળ આર્થિક અસમાનતા છે, જે બ્રિટિશ રાજ દરમ્યાન શરુ થઈ. બ્રિટિશ રાજમાંથી મુક્તિ મેળવેલા દેશોના યા તો ભાગલા થયા, અથવા તેમની સરહદો એવી રીતે દોરાઈ કે યા તો એક દેશના બે ભાગ પડ્યા અથવા વિરોધી ધર્મ કે સંસ્કૃિતના લોકો વચ્ચે નવો દેશ બન્યો જેથી કરીને એ બધા દેશો કાયમ માટે સંઘર્ષમય સ્થિતિમાં સપડાયેલા રહ્યા. સ્વતંત્રતા બાદ આવા પ્રશ્નો હલ કરવાની જવાબદારી જે તે દેશોની છે એ ખરું, પણ સદીઓની ગુલામી પછી માનસ બદલતાં અને વિવાદનો ઉકેલ લાવવા માટેની દ્રષ્ટિ તેમ જ શક્તિ કેળવતાં સમય લાગે.

આપણે જાણીએ છીએ કે ‘પોટેટો ફેમિન’ તરીકે જાણીતી ઘટનાને પરિણામે આયર્લેન્ડની અર્ધા ભાગની પ્રજા કાં તો મૃત્યુને શરણ થઈ અથવા દેશ છોડી ગઈ. અન્ય સંસ્થાનોનું આર્થિક અને સામાજિક માળખું એવું તો અસ્તવ્યસ્ત થઈ ગયું કે લાખોની સંખ્યામાં લોકો સ્થળાંતર કરી ગયા. ગુલામી પ્રથા નાબૂદ કરવા બ્રિટનનો નૌકા કાફલો મદદ રૂપ થયેલો એવો તેમનો દાવો છે, પરંતુ ગુલામીનો ઇતિહાસ બોલે છે કે ગુલામીમાં સબડતા અશ્વેત લોકોએ તેને નિભાવવી અશક્ય બનાવી અને જાનના જોખમે દાયકાઓ સુધી લડાઈ, આપી જેમાં કેટલાક શ્વેત કર્મશીલોની મદદ ભળી ત્યારે એ ક્રૂર પ્રથાનો અંત આવ્યો. અને બ્રિટનના નૌકા કાફલાએ ગયાના, કેરેબિયન અને અન્ય ટાપુઓ પરથી ગુલામોને આફ્રિકા પાછા લઈ જઈને ફરી ગણોતિયા મઝદૂર તરીકે કરાર પર સહી કરાવીને પોતાના તાબામાં બાંધી લીધેલા, પ્લાન્ટર્સ જે ચાહે તે કામ એ મજૂરો પાસે કરાવી શકતા; અથવા કેટલાકને દારુણ ગરીબી સહન કરવા છોડી મુક્યા એટલે એમને તો ઊલમાંથી ચૂલમાં પડવા જેવું થયું અને ગરીબી કાયમ માટે લલાટે લખાઈ ગઈ. અશ્વેત પ્રજાની સંસ્કૃિતનો નાશ કરવો, તેમની સ્ત્રીઓ પર બળાત્કાર કરવા વગેરે કૃત્યો પધ્ધતિસર કરવામાં આવેલા. બ્રિટનના બજેટના 40% જેટલી રકમ તે વખતના ગુલામોના માલિકોને ચૂકવાયેલી. ગુલામોને ગરીબી મળી અને તેના માલિકોને શોષણ કરવા બદલ ઇનામ અપાયું તે એમને ખુશ કરવા, આ તે કેવી વિડંબણા?

એવી જ રીતે ક્રિશ્ચિયન ધર્મનો પ્રસાર કરીને એક ઉત્તમ ધર્મની દેણ કર્યાનો અન્ય લોકો પર ઉપકાર કર્યો છે તેમ પણ સલ્તનતના તરફદારોનું કહેવું છે. તથાગત બુદ્ધ, મહાવીર અને ગુરુ નાનકે પોતપોતાના ધર્મનો પ્રસાર કર્યો, પણ રાજ્યો પર કબજો ન જમાવ્યો. ક્રીશ્ચિયાનિટીના પ્રસાર પાછળ પોતે સાચા, બીજા કરતાં સારા, ઊંચા વિચારના અને એથી વધુ મહત્ત્વના છે એવી ગુરુતાગ્રંથી કામ કરી ગઈ. અહીં રંગભેદનું વલણ પણ કામ કરી ગયું. ક્રિશ્ચિયન ધર્મનો પ્રસાર કરવામાં એક ઉમદા હેતુ પણ હતો તેમાં બે મત નથી, પરંતુ તેની સાથે કેટલાંક મૂલ્યોની જાળવણી થાય તો જ એ ધર્મનું પાલન થયું છે, એવી માન્યતાને કારણે સજાતીય સંબંધો પ્રત્યેની સૂગ અને તેના જેવા અનેક ખ્યાલો આજે માનવ અધિકારનો ભંગ કરતા ગણાવા લાગ્યા છે.

અહીં એક ચોખવટ કરી લઉં. અંગત રીતે કોઈ એક વિશેષ સામ્રાજ્ય યોગ્ય નહોતું તેમ કહેવાનો આશય નથી. સામ્રાજ્યવાદની વિચારસરણી અન્ય પ્રજા માટે અન્યાયી અને શોષણ યુક્ત છે તેથી તેની સામે વાંધો છે. કોઈની ઉપર સત્તા જમાવવા અને પોતાના લાભ માટે તેની મરજી વિરુદ્ધ તેની પાસે કામ કરાવવા કોઈ પણ વ્યક્તિ કે શાસન વ્યવસ્થાએ સ્વાર્થી, ક્રૂર અને નિર્દયી બનવું પડે. આ હકીકત જેટલી બ્રિટિશ સામ્રાજ્યને લાગુ પડે છે તેટલી જ ભૂતકાળમાં લીલા લહેર કરી ગયેલા રોમ, આરબ અને ઓટોમન સામ્રાજ્યોને પણ લાગુ પડે છે. કેમ કે સામ્રાજ્ય માત્ર અસમાન સત્તાના માળખા પર રચાય. જેની પાસે અખૂટ ધન અને મજબૂત સૈન્યબળ હોય તેવો સ્વતંત્ર દેશ બીજા એવા જ સ્વતંત્ર દેશ પર કબજો જમાવે. તેમ બ્રિટિશ સલ્તનત એ કોઈ આકસ્મિક ઘટના નહોતી. તેની  સ્થાપના, ટકાવ અને છોડવા પાછળ પણ એક ચોક્કસ હેતુ હતો અને એટલે જ તો યોજના પૂર્વક શોષણ થયું, નહીં તો વીસેક હજાર જેટલા ચપટી ભર અમલદારો અને લશ્કરી વડાઓ 30 કરોડની મેદની પર રાજ  કરી શકે? જોવાનું એ છે કે બ્રિટિશ રાજનો સુવર્ણ કાળ હતો ત્યારે અખબારો અને લખાણો દ્વારા માત્ર એવું જ બતાવવામાં આવતું હતું કે એ દેશોની પ્રજા તો બ્રિટિશરોને ઘણી ખમ્મા કરે છે. હકીકતે બાકીની કરોડોની જનતાને પોતાનું શોષણ થાય અને તમામ પ્રકારની સ્વતંત્રતા છીનવાઈ જાય એ લગીરે મંજૂર નહોતું. એક જ ઉદાહરણ લઈએ, 1857ને ભારતની જનતા સ્વાતંત્ર્યનો પહેલો સંગ્રામ ગણાવે છે, જ્યારે બ્રિટિશ રાજ તેને ‘બળવા’ તરીકે ઓળખે છે. ભારત અને અન્ય સંસ્થાનોમાં રાજ વિરુદ્ધ ઘણા લોકોએ લડત આપી તેની જાણ ખુદ બ્રિટનની પ્રજાને કદી નહોતી થતી, તેમને તો પોતાની સરકાર સંસ્થાનવાસીઓનું ભલું કરે છે તેમ જ કહેવામાં આવતું. કયો પિતા પોતાનાં સંતાનોને પોતે કરેલ ભૂલોની જાણ કરે છે? જ્યારે સામ્રાજ્યનો સૂરજ તપતો હતો ત્યારે અને આજે પણ તે સારું જ હતું તેમ કહેવું પડે છે, એ જ સાબિત કરે છે કે તેમાં કશુંક અન્યાયી કે ગેરવ્યાજબી પણું હતું. જેમ કે એ દરમ્યાન સતી પ્રથા તથા તેના જેવા કેટલાંક સામાજિક દૂષણોનો અંત લાવવામાં સરકાર સફળ થઈ તે ઉત્તમ થયું, પણ મૂળે ભારત પર રાજ્ય કરવા પાછળ તેની સામાજિક સુધારણા કરવાનો આશય નહોતો એનો ક્યારે ય ઉલ્લેખ નથી થયો. સામાજિક ઉત્થાન તો તે વખતના રાજ્યની આડ પેદાશ હતી. રાજની અર્થ નીતિને કારણે ખેતી અને ઉદ્યોગો પડી ભાંગ્યાં, લાખો લોકો રોજી-રોટીની શોધમાં વિદેશ સ્થળાંતર કરી ગયા અને માણસની કમ્મર ભાંગી નાખે તેવા મહેસૂલ અને કરવેરાની નીતિને કારણે તથા માનવ સર્જિત દુષ્કાળને પરિણામે લાખો લોકોએ જાન ગુમાવ્યા એ હકીકત ક્યાં નોંધાઈ કે કહેવાઈ?

બ્રિટિશ સામ્રાજ્યની બીજી એક ખાસિયત નોંધવા લાયક છે. અન્ય દેશની પ્રજાને પોતાનું શાસન, તેના કાયદાઓ, કરવેરા અને મહેસૂલની નીતિ, રાજ્ય કરવા માટે ઊભું કરવામાં આવેલ માળખું, અરે ધર્મ આધારિત સેવા કાર્યો અને શિક્ષણ વગેરે તમામ વ્યવસ્થા જે તે દેશની પ્રજા માટે લાભદાયક છે અને તેઓ તો માત્ર પોતાના સામ્રાજ્ય હેઠળની પ્રજાને સુધારવા અને ઊંચે ઉઠાવવા જ આ કલ્યાણ કાર્ય કરી રહ્યા છે એવું સમજાવતા રહ્યા. આરબ સામ્રાજ્ય ફેલાયું ત્યારે તેની સામે લડાઈ આપનાર જાણતા હતા કે તેઓ ક્રૂર છે એટલે તેમની સામે લડ્યા સિવાય આરો નહોતો. પણ તેમનો હેતુ સામ્રાજ્ય વિસ્તારનો અને અન્ય દેશની સંપદા પર કબજો જમાવવાનો સ્પષ્ટ હતો. જયારે બ્રિટિશ રાજના કર્તા હર્તાઓએ સંસ્થાનોના રહેવાસીઓને ‘અમે તમારી સેવા કરીએ છીએ’ તેમ કહીને પોતાના સૈન્ય, કારખાનાંઓ, પોલીસ દળ, વહીવટી સંચાઓ, શાળાઓ અને તમામ ઉદ્યોગ-ધંધાઓમાં રોજગારી આપી, જેથી તેઓને એમ આભાસ થાય કે આ સરકાર માઈ બાપ તો અમારું પેટ ભરે છે, પણ હકીકતમાં તેઓના બાપીકા ધંધો પડી ભાંગ્યા અને તેમની પાસે ગુલામો પાસે કરાવેલી એટલી સખત મજૂરી કરાવાઈ, નામનું  વળતર અપાયું અને એમ કાયમી બેહાલીની ગર્તામાં ધકેલી દેવાયા. ઇસ્ટ ઇન્ડિયા કંપની અને ત્યાર બાદ બ્રિટિશ સરકારને ખ્યાલ આવ્યો કે આ દેશમાં વિવિધ ધર્મ અને સંસ્કૃિત ધરાવતા લોકો રહે છે, અને જ્યાં સુધી તેઓ સંગઠિત છે ત્યાં સુધી ગમે ત્યારે માથું ઊંચકશે તો આપણને ઉચાળા ભરવાનો સમય આવશે, એથી લશ્કરમાં ગાય અને ડુક્કરની ચરબી વાળી કારતૂસો વાપરવાની ફરજ પાડી, ત્યારે હિંદુ અને મુસ્લિમ બંને કોમના સૈનિકોએ સંગઠિત થઈને વિરોધ કર્યો. એ 1857ની ઘટનાથી બ્રિટિશ રાજે સમજી લીધું કે આ દેશમાં સત્તા ટકાવી રાખવી હોય તો કોમી એકતા તોડવી રહી. એટલે વિવિધ ધર્મો અને જ્ઞાતિઓ વચ્ચે ફાટફૂટ પડાવવી શરુ કરી. જેમાં તેઓ સફળ થયા. બંગાળના ભાગલા ધર્મને આધારે કર્યા. આથી ભારતીય પ્રજાએ વિચાર્યું કે આપણે એકત્રિત નહીં થઈએ તો ખત્મ થઈ જઈશું, એથી તત્કાલીન સત્તા અને રાજાઓનો આશ્રય છોડીને લોક્ષક્તિનું નિર્માણ કર્યું. આમ છતાં બે ધર્મો વચ્ચે પેદા કરેલ વિરોધ અને નફરતની ખાઈ પૂરી ન શકાઈ, અને છેવટ લડી-ઝઘડીને દેશના ભાગલા થતા રોકી ન શકાયા.

બીજા વિશ્વયુદ્ધ બાદ અન્ય દેશોને સંસ્થાન બનાવનાર યુરોેપીયન દેશોને ભાન થયું કે બીજા દેશની પ્રજા પર શાસન કરવું લાંબા સમય સુધી વ્યાજબી નહીં ઠરાવી શકાય. પરંતુ જ્યારે ભારત જેવા મુગટમાંના મણિરત્ન સમાન દેશને છોડવાની ઘડી આવી, ત્યારે જે અફસરે કદી ભારતની ધરતી પર પગ નહોતો મુક્યો, જેને તેની ભૈગોલિક રચનાનું જ્ઞાન નહોતું, જે ત્યાંની નદી, પર્વત કે ખેતરોને જાણતો નહોતો, એ વિશાલ દેશની ભાષાઓ કે સંસ્કૃિતથી જરા પણ પરિચિત નહોતો તેવા અધિકારીને એક અતિ મહત્ત્વનું કામ – બે દેશની સીમારેખા દોરવાનું – સોંપવામાં આવ્યું, જેને માટે એ અફસર અધિકૃત હતો તેમ કહી ન શકાય. આ કામ માત્ર બે અઠવાડિયા જેટલા ટૂંકા ગાળામાં પૂરું કરવામાં આવ્યું. અરે, એક નાનાશા ઘરમાં એક ઓરડી ઉતારવી હોય તો પણ સ્થાનિક સરકારની મંજૂરી, એ જમીન અને તેની આસપાસની જગ્યાની તપાસણી અને થનાર બાંધકામની લાંબા ગાળાની ઉપયોગિતા વગેરે વિષે વિચાર કરતા મહિનાઓ નીકળી જાય છે. તો 35 કરોડ જીવતા જાગતા માનવીઓને એક ઝાટકે બે દેશોમાં વહેંચી દેતાં આટલો ઓછો સમય વિતાવ્યો, એ જ દર્શાવે છે કે તેનાં પરિણામો અને તેનાથી ઊભી થનાર વિપરીત પરિસ્થિતિ માટે દેશ છોડીને જનાર સત્તાને જરા પણ નિસ્બત નહોતી. દરેક સામ્રાજ્ય સ્થાપનાર સત્તાએ અપનાવેલી એવી જ નીતિ બ્રિટિશ સલ્તનત અનુસરેલું. લગભગ 1.5 મીલિયન લોકોને ‘ઇન્ટર્નમેન્ટ કેમ્પ’માં રાખ્યા, સ્ત્રીઓ પર બળાત્કાર થયા, સગર્ભા સ્ત્રીઓને જાનથી મારી નાખવાના કિસ્સાઓ બન્યા, એ બધું કદાચ અન્ય સામ્રાજ્યોમાં પણ સરખી માત્રામાં થયું છે, પરંતુ તેઓએ પોતે અન્ય દેશને સંસ્કૃત બનાવવાના ઉમદા હેતુથી આ સત્તા જમાવી રહ્યા છે, એવો દાવો કર્યાનું નોંધાયું નથી. આગળ જોયું તેમ 1700ની સદી દરમ્યાન યુરોપના ઘણા દેશો જેટલા વિકસિત અને ધનાઢ્ય હતા તેટલા જ અથવા તેથી ય વધુ ધનવાન કેટલાક દેશો હતા, જેમના પર બ્રિટનનું અનુશાસન લાદવામાં આવેલું. તે સમયે ખુદ બ્રિટનની પ્રજા અનેક ગણી કારમી ગરીબી વચ્ચે જીવતી હતી, જયારે તેના રાજા અને ઉમરાવો અઢળક સમૃદ્ધિમાં આળોટતા હતા. આજે દુનિયાના પાંચ સહુથી વધુ સમૃદ્ધ દેશમાંના એક તરીકે બ્રિટનનું સ્થાન છે તે સંસ્થાનોની સંપત્તિને પોતાના ઘર ભેગી કરવા સિવાય ન બન્યું હોત. થોડા આંકડા આ હકીકત સમજવા મદદરૂપ થશે. ઈ.સ. 1880માં બ્રિટન તેના ઉત્પાદનના 20% નિકાસ ભારતને કરતું, જે ઈ.સ. 1910માં £137 મીલિયન જેવી માતબર રકમ સુધી પહોંચી. આવડી મોટી બજાર છોડવાનું કોને પોસાય? અને આજે પણ ભારત સાથે સારા સંબંધો ટકાવી રાખવા પાછળ તેની એક મોટી બજાર તરીકે ગણના કરીને તેનાથી બ્રિટનને મળતા આર્થિક લાભનો વધુ વિચાર કરાય છે. જ્યારે રાજના સમય દરમ્યાન ભારતની જ પ્રજાના કુદરતી સંસાધનો, માનવ સ્રોત અને સસ્તી મજૂરીનો ઉપયોગ કરીને મેળવેલ સંપત્તિમાંથી 40% ભાગ એ દેશના જ લશ્કર પર થતો. બીજા શબ્દોમાં ભારતના ખેડૂતો અને કારીગરોએ પેદા કરેલ માલને વેંચી, મળેલ નફામાંથી તેના જ ભાંડરુઓ કે જેઓ પોલીસ ખાતામાં કે લશ્કરમાં ભરતી થયા હોય, તેમને પોતાના માનવ અધિકારની માંગણી કરવા વિરોધ કરતા દેશબંધુઓને રોકવા લાઠી અને બંદૂક આપવા આવું જાલિમ ખર્ચ કરવામાં આવતું!  

કોઈ પણ એક દેશને બીજા દેશ પર સત્તા જમાવવા માટે જાતિ આધારિત ગુરુતાગ્રંથિનો આધાર લેવો જરૂરી બને. બ્રિટન અન્ય યુરોપીયન દેશોની માફક ટેકનોલોજી, નૌકા સૈન્ય અને વૈજ્ઞાનિક બાબતોમાં અઢારમી સદીમાં આગળ હતું, એટલે સંસ્થાનવાદને વ્યાજબી ઠરાવ્યો. હવે એ ઘટના માટે ગુનાહિત હોવાની લાગણી અનુભવવાથી કોઈ ફાયદો ન થાય. બ્રિટનમાં વૈજ્ઞાનિક શોધખોળ કરનારા, નવા દેશો શોધનારા સાહસિકો, રેસીઝ્મ અને ગુલામીનો વિરોધ કરનારા, મતાધિકાર અને સ્ત્રીઓના સમાનાધિકાર માટે ખપી જનારા એમ અનેક વિરલાઓ માટે ગૌરવ લઈ શકાય તેમ છે, જેના વિષે શાળા-મહાશાળાઓમાં શિક્ષણ અપાય છે. આપણને જે ઘટના કે મહાનુભાવો માટે ગૌરવ હોય તેના વિષે વાત કરીએ, માહિત આપીએ. બ્રિટિશ સલ્તનત વિષે કદી માહિતી નથી અપાઈ તે શું સૂચવે છે? તો અન્ય ઐતિહાસિક ઘટનાઓની સાથે સાથે સંસ્થાનવાદનો ઇતિહાસ પણ ભણાવવો જોઈએ. હોલોકોસ્ટ, રૂવાંડા અને સ્રેબ્રેનીત્સાના સામૂહિક હત્યાકાંડનો એ ઘૃણિત કૃત્ય કરનારાઓ તેનો અસ્વીકાર કરે છે, જેથી એ યાતનાઓ સહન કરનાર લોકો સમાધાન કરી ન શકે અને તેને પગલે આવતી શાંતિ સ્થપાય નહીં, તે ધીમે ધીમે સ્વીકારાતું જાય છે. સામ્રાજ્યવાદ તે એવા કૃત્યો જેવો અમાનવીય ખસૂસ નથી, પણ એ દ્વારા બીજી પ્રજાનું શોષણ થયું, તેમના માનવ અધિકારો છીનવાયા, સ્વશાસનના અધિકારો ઝુંટવાયા અને તેમની અસ્મિતા લોપ થઈ એ હકીકત જેટલી બને તેટલી જલદી સ્વીકારી લેવી બધાના લાભમાં છે. જેમ જે દેશો પર રાજ્ય કર્યું તેઓએ સ્વતંત્ર થયા બાદ વિદેશી સરકાર પ્રત્યે દુશ્મનાવટ રાખવાને બદલે ક્ષમા ભાવના રાખીને સમાધાન કરી આગળ વધ્યા છે, તેમ જ ભૂતકાળમાં સામ્રાજ્ય ભોગવી ચુકેલા દેશોએ પોતાના નાગરિકોને પ્રમાણિકતાથી એ ઇતિહાસ શીખવવો જોઈએ. આજના યુગમાં સામ્રાજ્ય સ્થાપવાનો વિચાર કોઈ દેશને માન્ય નહીં રહે, સારું એ છે કે દુનિયાની તમામ સંપત્તિને સહિયારી ગણીએ, તેનું સંવર્ધન, સંરક્ષણ અને ન્યાયી વિતરણ કરીએ તેમાં જ સારી ય માનવ જાતનું હિત છે એ સ્વીકારીએ. જો કે આ એક એવો સવાલ છે જેના પર સૂરજ નહીં આથમે.

e.mail : 71abuch@gmail.com

Loading

વૃદ્ધ પેરન્ટ્સને સાથે રાખવામાં દીકરો-વહુ કે દીકરી-જમાઈ થાકી જાય તો એનો ઉપાય શું?

તરુ કજારિયા|Opinion - Opinion|18 May 2016

વૃદ્ધ મા-બાપની કાળજી લેવાની સ્થિતિમાં મુકાઓ તો પહેલાં તેમની જરૂરિયાતો બાબતે વાકેફ થવું જોઈએ અને પછી એ માટે પોતાની જાતને તૈયાર કરવી જોઈએ

ચાલીસેક વર્ષની શ્રેયા આઠ અને છ વર્ષનાં બે બાળકોની મમ્મી છે. સાધનસંપન્ન કુટુંબની દીકરી અને પુત્રવધૂ છે. તેના પતિ સુબોધનો ફૅમિલી-બિઝનેસ છે. કુટુંબમાં કોઈ પ્રકારની અછત નથી. બન્ને દીકરાઓ સારી સ્કૂલમાં ભણે છે, વેકેશનમાં જાત-જાતના ક્લાસિસ કરે છે અને દર વેકેશનમાં આખો પરિવાર બહાર ફરવા જાય છે. પણ આ વેકેશનમાં તેઓ ક્યાં ય નથી જવાનાં, કેમ કે સુબોધનાં મમ્મી-પપ્પા સુકેતુભાઈ અને સુલોચનાબહેન હમણાં તેમની સાથે રહેવા આવ્યાં છે. બન્ને એંસીની આસપાસની ઉંમરનાં છે. આમ તો તેઓ મોટાં દીકરા-વહુ સાથે રહે છે, પરંતુ આ વેકેશનમાં એ બન્ને બે મહિના માટે અમેરિકા રહેતાં તેમના દીકરાને ત્યાં ગયાં છે એટલે મમ્મી-પપ્પા નાનાં દીકરા-વહુ પાસે રહેવા આવ્યાં છે. સોનુ-મોનુને વેકેશનમાં બહાર જવા નહીં મળે એનું દુ:ખ છે, પણ તો દાદા-દાદી આવ્યાં છે એની મજા પણ પડી ગઈ છે. બન્ને છોકરાઓ દાદા સાથે ગેમ રમે છે અને દાદી પાસેથી રાતે વાર્તાઓ સાંભળે છે. તેમને માટે આ નવો અનુભવ છે અને તેઓ એનો આનંદ લઈ રહ્યા છે.

પણ … ! પણ તેમની મમ્મી તો દસ દિવસમાં જ થાકી ગઈ છે. ગઈ કાલે અચાનક લિફ્ટમાં ભેગાં થઈ ગયેલાં પાડોશી કનિકાબહેને શ્રેયાને જોતાંવેંત જ પૂછ્યું, ‘અરે! તમે હજી અહીં જ છો? કેમ વેકેશનમાં ક્યાં ય ગયાં નથી?’ જવાબમાં શ્રેયાએ કહ્યું કે આ વખતે તો મારાં સાસુ-સસરા અમારે ત્યાં છે એટલે અમે ક્યાં ય જવાનાં નથી. શ્રેયા જે ટોનમાં બોલી એના પરથી કનિકાબહેન ઘણુંબધું સમજી ગયાં. તેમનો બીજો સવાલ હતો, ‘તમારો અવાજ કેમ ઢીલો લાગે છે? તબિયત તો બરાબર છેને?’

બસ, તેમના એ એક સવાલે શ્રેયાના મનમાં ભરેલી અનેક વાતો હોઠ પર આવી ગઈ હતી, ‘અરે શું કહું કનિકા, મારી તો હાલત થઈ ગઈ છે. આ લોકો આવ્યાં છે ત્યારથી એક મિનિટનો ટાઇમ નથી મળતો. કલાકે-કલાકે તેમની ડિમાન્ડ ઊભી જ હોય છે. આ આપો ને પેલું આપો. ફલાણાને ફોન કરો ને ઢીંકણાને બોલાવો. રોજેરોજ કોઈક ને કોઈક તેમને મળવા આવે. બધાની મહેમાનગતિ કરવામાં જ મારો તો દમ નીકળી જાય છે.  રાત પડે તો લાગે કે જાણે કૉલેપ્સ થઈ જઈશ. એટલી થાકી જાઉં છું કે પૂછ નહીં વાત. સાચે જ મને તો ડર લાગે છે કે હું ક્યાંક ડિપ્રેશનમાં ન આવી જાઉં!’

કનિકા તો ચોંકી જ ગઈ. તેને માટે શ્રેયાનું આ રૂપ તદ્દન નવું હતું. તેણે પોતાના જૉઇન્ટ ફૅમિલીના અનુભવોને આધારે શ્રેયાને થોડું માર્ગદર્શન આપ્યું અને પોતાનું ધ્યાન રાખવા કહ્યું અને બન્ને છૂટાં પડ્યાં.

આજે શ્રેયા જેવી અનેક યુવતીઓ છે જેઓ વડીલો સાથે ઘરમાં રહેતા હોવાથી આટલું સ્ટ્રેસ અનુભવે છે. એવું શા માટે થાય છે?

આ પ્રશ્ન એક ફ્રેન્ડ સાથે ચર્ચતાં તેનો મત જાણ્યો. તે કહે, મોટા ભાગના ઓલ્ડ પેરન્ટ્સ બહુ ખડૂસ પ્રકૃતિના થઈ જાય છે. પ્રકૃતિમાં આવતા ફેરફાર તો મોટે ભાગે એજ-રિલેટેડ હોય છે. અને એ કોઈનામાં પણ આવી શકે. એ સાંભળી થયું કે વૃદ્ધ પેરન્ટ્સને સાથે રાખવામાં જો બધાં દીકરા-વહુ કે પછી દીકરી-જમાઈ આ રીતે સ્ટ્રેસ્ડ આઉટ થઈ જાય તો એનો ઉપાય શું?

આજની વૃદ્ધ પેઢી છે એ સૅન્ડવિચ જનરેશન છે. તેણે પોતાના વડીલોની વૃદ્ધાવસ્થાને સાચવી છે અને સંતાનોનાં બાળપણ તેમ જ યુવાનીને પણ પોષ્યાં છે. અને હવે એ ખુદ જ્યારે વૃદ્ધાવસ્થામાં પહોંચી છે ત્યારે તેમનું પણ સંતાનો ધ્યાન રાખે એવી અપેક્ષા તેમને રહે એ સહજ છે. પરંતુ આજની એટલે કે શ્રેયા કે તેની પછીની પેઢીને માટે વૃદ્ધ મા-બાપ કે વડીલોની કાળજી કે દેખભાળ કરવાનું કામ એ એક મહા ટૅક્સિંગ કામ લાગે છે, કારણ કે જે કમ્પિટિટિવ દુનિયામાં તે મોટી થઈ છે એમાં પોતાની કારકિર્દી, પોતાનો જૉબ, પોતાનો નાનકડો પરિવાર, પોતાના શોખ, પોતાના ફ્રેન્ડ્સ … એ બધાંમાં જ તેઓ અટવાયેલા રહે છે. અથવા તો એમ કહો કે એટલા વર્તુળ પૂરતી જ તેમને પોતાની દુનિયા દેખાય છે એટલે એના સિવાયની કોઈ જવાબદારી ઉપાડવાનું આવે તો તેમને એ વધારાની લાગે છે. એ માટે ફાળવવા પડતાં સમય, શક્તિ અને સાધનો તેમને અકારણ વેડફાટ પણ લાગી શકે છે. આમાં તેમનો વાંક નથી, આજના સ્પર્ધાત્મક જમાના સાથે રહેવાની રેસમાં તેમનાં બધાં જ સમય અને શક્તિ વપરાઈ જાય છે. એટલે જ્યારે વૃદ્ધ મા-બાપની જવાબદારી માથે આવે તો ઘણાખરા શ્રેયાની જેમ સ્ટ્રેસ અનુભવે છે. માત્ર વહુઓ જ નહીં, દીકરી પણ જો આ સ્થિતિમાં મુકાય તો પોતાનાં વૃદ્ધ મા-બાપ માટે આવી લાગણી અનુભવતી હોય છે.

આ સંજોગોમાં દરેક દીકરા-વહુ કે દીકરી-જમાઈએ વૃદ્ધોની શું જરૂરિયાતો હશે એ સમજી લેવું જોઈએ. જેમ કે તેમની શારીરિક જરૂરિયાતો, માનસિક જરૂરિયાતો કે સારસંભાળની જરૂરિયાતો શું હોઈ શકે એ સમજી લેવું જરૂરી છે. તમારું ઘર મોટું છે અને તમને ટાઇમ પણ છે એટલે વૃદ્ધ મા કે બાપને તમે સાચવી શકશો એમ માનીને તમારી સાથે રહેવા લઈ આવો છો પણ થોડા દિવસમાં જ તમે થાકી જાઓ છો, કારણ કે વૃદ્ધોની કાળજી લેવાનું કામ એનાથી ઘણું વધુ ડિમાન્ડિંગ હોય છે.

એટલે જ વૃદ્ધ મા-બાપની કાળજી લેવાની સ્થિતિમાં મુકાઓ તો પહેલાં તેમની જરૂરિયાતો બાબતે વાકેફ થવું જોઈએ અને પછી એ માટે પોતાની જાતને તૈયાર કરવી જોઈએ. એ તૈયારી કરવાથી ઘણા સંઘર્ષ અને સમસ્યાથી બચી જશો. વધતી ઉંમર સાથે વૃદ્ધોની શારીરિક અને માનસિક સ્થિતિમાં ઘણો બદલાવ આવી જતો હોય છે. આપણે નાનપણથી જોતા આવ્યા હોઈએ એ પેરન્ટ્સ કરતાં વૃદ્ધ થયેલા પેરન્ટ્સનો સ્વભાવ તદ્દન જુદો જ થઈ ગયેલો લાગે. ઘણી વાર આવા વૃદ્ધોને હૅન્ડલ કરવાનું કામ અપાર ધીરજ માગી લે છે. માત્ર તમારી મોટી જગ્યા કે સમયની છૂટ જ પૂરતી નથી થતી. તમારી વ્યક્તિગત સ્પેસ ઉપર પણ મોટો કાપ આવી જાય છે. તમારી પોતાની માનસિક, શારીરિક, આર્થિક કે ઇમોશનલ કૅપેસિટીની પણ કસોટી થઈ જાય છે. આ બધું આજની જનરેશનને માટે ટફ છે, પરંતુ કોઈ વિકલ્પ ન હોય ત્યારે જેમ વાસ્તવિકતાનો સ્વીકાર પરિસ્થિતિને સહેવાનું સહેલું બનાવી દે છે એમ આ સ્થિતિનો સહજ સ્વીકાર સમગ્ર પરિસ્થિતિને બદલાવી દઈ શકે છે.

જો કે આ સંજોગોમાં એવું જરૂર લાગે કે જે વૃદ્ધોએ પોતાની ઓલ્ડ એજ માટે સ્વતંત્ર આર્થિક જોગવાઈ કરી રાખી હોય તો તેઓ સંતાનોના આધારે રહેવાને બદલે કોઈ સંસ્થા કે કમ્યુિનટી-લિવિંગનો લાભ લઈ સ્વમાનભેર રહી શકે. આ દિશામાં સરકારી સ્તરે પણ હવે જાગૃતિ આવી છે અને પરદેશની જેમ સિનિયર સિટિઝન્સ માટે ડે-કૅર સેન્ટર ખોલવાની વિચારણા થઈ રહી છે એ આવકાર્ય બાબત છે. બાકી શ્રેયા જેવા લોકો તો ‘ધિસ ટૂ શૅલ પાસ’ અથવા તો ‘આજ વો જહાં હૈ, કલ હમ ભી વહાં હોંગે’ એટલું યાદ રાખીને ય પોતાની જાતને ડિપ્રેશનમાં સરતી રોકી શકે!

સૌજન્ય : ‘સોશ્યલ સાયન્સ’ નામક લેખિકાની કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 17 મે 2016

http://www.gujaratimidday.com/features/columns/son-daughter-and-parents-relationship

Loading

...102030...3,6263,6273,6283,629...3,6403,6503,660...

Search by

Opinion

  • એક સરકારી કર્મીનો પ્રેમપત્ર
  • બંધારણ – દેશનું દર્પણ, દેશની ઓળખ, દેશની શોભા  
  • નથુરામનું ‘હુતાત્મા’ પદ અને કુરુંદકરનો તર્ક
  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ
  • ઝાંઝવાનાં જળ

Diaspora

  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved