Opinion Magazine
Number of visits: 9456624
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સબસે મહેંગી સૂરસગાઈ 

સોલી કાપડિયા|Opinion - Opinion|9 November 2024

સોલી કાપડિયા

વહેલી સવારમાં સંગીતનો જલસો હતો.

ઉસ્તાદ અમીર ખાઁ

શ્રોતાગણ પંડિતો અને નાયાબ સુનકારોથી છલોછલ! ઉદ્ઘોષક આવકારના બે શબ્દ બોલ્યા કે તરત જ કાળો ડગલો, સફેદ ચુરીદાર પહેરેલો અત્યંત હેન્ડસમ, ઊંચા કદનો કલાકાર સ્ટેજ ઉપર આવીને બિરાજમાન થાય છે અને ઑડીટોરિયમમાં અચાનક સોપો પડી જાય છે. એવી જબરદસ્ત પ્રતિભા હતી આ મહાન ગવૈયાની. મિત્રો, એ બીજું કોઈ નહીં પણ સૂર-સમ્રાટ ઉસ્તાદ અમીર ખાં સાહેબ હતા. થોડી જ ક્ષણોમાં પહેલો ‘સા’ શ્રોતાખંડમાં રેલાયો. સૂરની લગાવટ એવી મજબૂત હતી કે જાણે સમગ્ર શ્રોતાગણને સમાધિ લાગી ગયી હોય! તમે માનશો નહીં ખાં સાહેબે ‘સા’નું  વાતાવરણ લગભગ ૧૦ મિનિટ સુધી જમાવી રાખ્યું! ક્યારે સાંભળ્યું છે કે માત્ર એક સૂર ઉપર ટકીને આવો અદ્દભુત સમા બાંધી શકાય?!! અને પછી ખાં સાહેબ બોલ્યા : ‘અબ મૈં રાગ ભૈરવ પેશ કરુંગા.’ એટલે અમુક સુનકારો અને પંડિતો બોલી ઉઠ્યા :’ખાં સાબ, આપ કે પેહલે સૂર ને હી પૂરા પ્રોગ્રામ મુકમ્મલ કર લિયા હૈ!’  દોસ્તો, આ છે તાકાત એક સાચા સૂરની! એક સીધો સૂર મનુષ્યના હૃદયને પાર કરી જઈ દિવ્ય અનુભૂતિ કરાવી શકે છે જે હજારો તાન, ગમક કે મુરકી નથી કરી શકતા હોતા. હકીકતમાં આ બધાં આભૂષણો સ્વર-વિલાસ માટે છે જે મનોરંજન માટેનું એક મુખ્ય સાધન છે. આત્મ-તૃપ્તિ માટે આ સાધનની જરૂર નથી પડતી. એને માટે તો એક સૂર જ પુરતો છે !

આપણા સંગીતપટ ઉપર બે પ્રકારના ગાયકો-વાદકો હોય છે.

એક મોટો વર્ગ અસહ્ય તરવરાટ, ચંચળતા, મારફાડ તૈયારી અને ‘તોડી નાખું તબલા ને ફોડી નાખું પેટી’ વાળા ખુન્નસ સાથે ગાયન-વાદન કરનારાઓનો. ગુલાટી, કૂદકા, છલાંગો, લોંગ જંપ, હાઈ જંપ (જેમાં કોઈને જંપ ના હોય!), આડા, ઊભા, ત્રાંસા એમ દરેક પ્રકારના ખેલ ગૌરવભેર પેશ કરે! સ્ટેજ ઉપર લગભગ જિમ્નાસ્ટીક્સનો એક્રોબેટીક શો ચાલતો હોય એવી ફીલિંગ આવે અને આજુબાજુ બેઠેલા એના પ્રશંસકો અંદર અંદરજ દાદ ઉઘરાવી ઉઘરાવીને સ્ટેજ ઉપર ઠાલવતા નજરે પડે અને સુજ્ઞ શ્રોતાનો તો હસવાનો પાર નહીં! આમાં ગાયકનો કંઠ અને દિમાગનું સહિયારું ગણિત કામ કરે છે. હૃદયનું આમાં કોઈ કામ નથી. કહેવાનો મતલબ એ છે કે આવું ગાયન ગાયન મટીને એક આત્મા-વિહીન કસરત બની જાય છે. શાસ્ત્રીય-સંગીતની સ્વર-પ્રધાન પ્રણાલીમાં તો ઠીક પણ ભૂલે ચૂકે જો આવા કલાકારો સુગમ-સંગીત કે કોઈ પણ શબ્દ-પ્રધાન સંગીત રજૂ કરે તો આ બધી જગ્યાઓ અને હરકતોમાં બિચારા શબ્દની ચટણી થઇ જાય! શ્રોતા સુધી પહોંચે એ પહેલાં જ શબ્દ અસંખ્ય ટુકડાઓમાં તીતરભીતર થઇ સ્ટેજની શેતરંજી નીચે ક્યાંક ખૂણામાં પડ્યો હોય ..!! આમ હસવું આવે એવી વાત છે પણ મિત્રો, આ સમસ્યા અતિ ગંભીર છે. સૂર-પ્રધાન અને શબ્દ-પ્રધાન સંગીત વચ્ચેનો ભેદ જાણવો જ રહ્યો.

બીજી બાજુ ચૈનથી સૂર પકડી, એના ઉપર વ્યવસ્થિત ઠેરાવ કરી ગાનારાઓની સંખ્યા જૂજ છે અને અંતે એઓ એક સાચા શ્રોતાને ઊંડે સુધી અડકી શકે છે. પહેલો ‘સા’ લાગે ત્યારથી જ એક અદ્દભુત સમા બંધાય, વાતાવરણમાં એક અજીબોગરીબ કશિશ અને મુસલ્સલ સુકૂનનો માહોલ સર્જાય.

‘એક સીધા સૂર, હઝાર તાન મજબૂર‘ એવું વાક્ય સૂઝે છે. આ સૂરની વાતને લઈ બડે ગુલામ અલી ખાં સાહેબ જેવા આબાદ ફનકારને લતા મંગેશકરનાં વખાણ કરવા માટે ફરજ પડી હતી : ‘કમબખ્ત કભી ભી બેસૂરી નહીં હોતી!’

સૂરને હાસેલ કરવા કંઈ કેટલાં ય જન્મો લેવા પડે છે! સૂરનું સગપણ એ ગળથૂથીમાં હોય તો સધાય છે. સૂર એક એવો આશીર્વાદ છે જે જૂજ હસ્તીઓને જ પ્રાપ્ત થાય છે. જેને સૂર સિદ્ધ થાય એનો તો જન્મારો સફળ! પ્રસિદ્ધિ અને શાનો-શૌકત એને ત્યાં આજીવન નોકરી કરશે!

આ તો સંગીતના ‘સા’ની વાત થઇ. તમારા જીવનનો ‘સા’ કદી શોધવાનો પ્રયત્ન કર્યો છે? મળ્યો છે કોઈ સાચો મુકામ?

જો મળે તો પકડી રાખજો, મારા ભાઈ, 

કેમ કે ….. ‘સબસે  મહેંગી  સૂર–સગાઇ !

તિરકીટ ધા: 

કાર્યક્રમમાં એક ગાયક ખૂબ જોરદાર ગાતા હતા. દરેક ગીત પછી ત્રીજી હરોળમાં બેઠેલા એક શ્રોતા માથું ધુણાવે અને સાથે પોતાનો અંગૂઠો હલાવે. ગાયક વિમાસણમાં. મારું ગાયન પસંદ નથી આવતું કે શું?! આ બાજુ દરેક ગીત પછી ઓડિયન્સ તાલીઓનો વરસાદ વરસાવે! દુવિધામાં કાર્યક્રમ પૂરો કર્યો અને છેવટે ગાયકે પેલા શ્રોતા મિત્રને પૂછ્યું : સાહેબ, આ અંગૂઠો બતાવવાનું રહસ્ય શું છે? કાર્યક્રમ પસંદ ના આવ્યો? શ્રોતા : ‘અરે હોતું હશે, સાહેબ? અંગૂઠો હલાવીને હું એવું કહેવા માગતો હતો કે તમારા જેવું અદ્દભુત કોઈ ગાઈ જ ન શકે!’

e.mail : soli.kapadia@gmail.com

Loading

ગુજરાતીઓ અમેરિકા તરફ કેમ દોડી રહ્યા છે?

રમેશ સવાણી|Opinion - Opinion, Samantar Gujarat - Samantar|9 November 2024

વડાપ્રધાન વિકાસના બણગાં ફૂંકતા કહે છે કે ‘ગુજરાતનો વિકાસ હાઇવે ઉપર દોડી રહ્યો છે !’

પરંતુ વાસ્તવિકતા જુદી છે. US CBP- Custom and Border Protection મુજબ 1 ઓકટોબર 2023થી 30 સપ્ટેબર 2024 દરમિયાન, એક વર્ષમાં, કુલ 96,917 ભારતીયો અમેરિકામાં ગેરકાયદેસર ઘૂસણખોરી કરતાં પકડાયા તેમાં ગુજરાતીઓ 45,000 હતા ! 2021ના ​​નાણાંકીય વર્ષમાં 30,662 અને 2022ના નાણાંકીય વર્ષમાં 63,927 ભારતીયો પકડાયા હતા. ચિંતાજનક બાબત એ છે કે દેશ છોડવાનું પ્રમાણ વધતું કેમ જાય છે? 

એક વર્ષમાં 45,000 ગુજરાતીઓ અમેરિકામાં ગેરકાયદેસર શા માટે ઘૂસતા હશે? શું તેમને ‘ગુજરાત મોડલ’માં ભરોસો નહીં હોય? સત્તાસ્વાર્થ માટે ગુજરાત મોડલનો પરપોટો ઊભો કર્યો અને મીડિયા દ્વારા તેને લોખંડી બનાવ્યો ! પરંતુ આ લોખંડી પરપોટાની આબરૂ ગુજરાતીઓએ લઈ લીધી છે. 

નકલી ‘ગુજરાત મોડલ’નું પરિણામ પણ નકલી હોય છે ! નકલી નોટો / નકલી ટોલનાકા / નકલી સિંચાઈ કચેરી / નકલી બેંક-બ્રાન્ચ / નકલી શાળાઓ / નકલી ડિગ્રીઓ / નકલી કોર્ટ / નકલી જજ – ટૂંકમાં નકલીનો વાઈરસ ખતરનાક બન્યો છે. 

સરકારી ચોપડે ચડેલા ‘નકલી’ ઉપર એક નજર કરીએ : 

 1. મયંક તિવારી / નકલી PM એડવાઇઝ

 2. કિરણ પટેલ / નકલી PMOનો વરિષ્ઠ અધિકારી 

 3. હિમાંશુ રાય / નકલી કસ્ટમ  

 4. પ્રકાશ નાયક / નકલી ડેપ્યુટી કલેકટર 

 5. હિતેશ્વરસિંહ મોરી / નકલી CBI  

 6. ભરત છબડા / નકલી IAS

 7. પ્રદુમન પટેલ / નકલી IB અધિકારી  

 8. તરુણ ભટ્ટ / નકલી CBI  

 9. સંદિપ રાજપુત / નકલી સિંચાઈ કચેરી 

 10. અમરશી પટેલ / નકલી ટોલનાકુ  

 11. મયૂર તડવી / નકલી PSI 

 12. લવકુશ ત્રિવેદી / નકલી CMO

 13. નિખીલ પટેલ / નકલી SI 

 14. ઓમવીરસિંહ / નકલી ED અધિકારી 

 15. ગુંજન કટારિયા / નકલી NIA અધિકારી

 16. હિરાલી કોરડિયા / નકલી કલેકટર

 17. પુષ્પરાજ રાય / નકલી CBI અધિકારી 

 18. નેહા પટેલ / નકલી કલેકટર 

 19. વિરાજ પટેલ / નકલી CMO 

 20. સંજય રાય / નકલી PMOના અધિકારી

 21. નિકુંજ પટેલ / નકલી CMOના અધિકારી

 22. સેમ્યુમ મોરીસ / નકલી જજ 

 23. પ્રવીણ સોલંકી / નકલી આર્મી કેપ્ટન   

ગુજરાત કાઁગ્રેસના પ્રવક્તા મનહર પટેલે 8 નવેમ્બર 2024ના રોજ સવાલો કરેલ છે કે દૃષ્ટિ કરો ત્યાં નકલી નકલી જ દેખાય છે, શું આ ‘નકલી ગુજરાત મોડલ’ની અસર તો નથી ને? શા માટે ગુજરાતના અશાસ્પદ વિદ્યાર્થીઓ અને વેપારીઓ સુરક્ષિત ભવિષ્ય ખાતર ગુજરાત છોડી રહ્યા છે? જો ‘ગુજરાત મોડલ’ સફળ હોય તો તેઓ માતૃભૂમિમાં કેમ રોકાતા નથી? શું ડબલ એન્જિન સરકાર ‘ગુજરાત મોડલ’ને ધરતી પર ઊતારી શકશે?

સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

સરકાર અને મહાકાય કંપનીઓનું મેચ ફિક્સિંગ : ડર અને આઝાદી વચ્ચે પસંદગીનો સવાલ 

રાહુલ ગાંધી (લોકસભામાં વિપક્ષી નેતા) [અનુવાદક :  હેમંતકુમાર શાહ]|Opinion - Opinion|9 November 2024

હેમંતકુમાર શાહ

ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ ભારતના મોં પર તાળું મારી દીધું હતું. તેણે તેની ધંધાકીય કુશળતા દ્વારા નહિ પણ ગળે ટૂંપો દઈને ભારતને ચૂપ કરી દીધું હતું. ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ ત્યારના મહારાજાઓ અને નવાબો સાથે ભાગીદારી કરીને, તેમને બક્ષિસો આપીને અને ધમકીઓ આપીને ભારતને શાંત કરી નાખ્યું હતું અને તેઓ તેને ચરણે બેસી ગયા હતા. તેણે આપણા બેંક, અમલદારો અને માહિતીનાં માળખાં પર અંકુશ જમાવ્યો હતો. આપણે આપણી સ્વતંત્રતા કંઈ બીજા દેશ પાસે ગુમાવી નહોતી, પણ એક ઇજારાશાહી કંપનીના દ્વારે ગુમાવી હતી કે જે દમનકારી સાધનો અપનાવતી હતી.

ઇસ્ટ ઇન્ડિયા કંપની વ્યાપારની શરતો પર નિયંત્રણ ધરાવતી હતી અને હરીફાઈને બજારમાંથી નાબૂદ કરી નાખી હતી. કોણ કોને શું વેચે તે એ જ નક્કી કરતી હતી. તેણે આપણા કાપડ ઉદ્યોગને અને આપણી ઉત્પાદન વ્યવસ્થાને સાફ કરી નાખ્યાં. ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ કોઈ નવી વસ્તુ શોધી કાઢી હોય કે પછી નવા બજારનો વિકાસ કર્યો હોય એવું મારી જાણમાં નથી. પરંતુ હું એ જાણું છું કે તેણે એક પ્રદેશમાં અફીણની ખેતીમાં પોતાનો ઈજારો ઊભો કર્યો અને બીજા પ્રદેશમાં એના બંધાણીઓનું આંતરિક બજાર ઊભું કર્યું. તેમ છતાં, કંપની ભારતને લૂંટતી રહી ત્યારે તેણે બ્રિટનના એક નમૂનારૂપ કોર્પોરેટ નાગરિક તરીકેનું વર્તન કર્યું. તેના વિદેશી શેરધારકોને એ બહુ ગમ્યું.

રાહુલ ગાંધી

મૂળ ઇસ્ટ ઇન્ડિયા કંપની તો આશરે દોઢસો વર્ષ અગાઉ ભારતમાંથી સમેટાઈ ગઈ, પણ તેણે જે ભારે ડર ઊભો કરેલો તે પાછો આવેલો દેખાય છે. તેને સ્થાને ઇજારદાર મહાકાય કંપનીઓનો એક નવો ફાલ પેદા થયો છે. તેમણે વિપુલ પ્રમાણમાં સંપત્તિ એક્ઠી કરી છે, કે જ્યારે આખું ભારત બીજા સૌ માટે અસમાનતા અને અન્યાયથી પીડાતું થયું છે. આપણી સંસ્થાઓ હવે આપણા લોકોની રહી નથી, એ ઇજારદાર કંપનીઓનું ઓશીકું બની ગઈ છે. લાખો નાના ધંધાઓનું નિકંદન નીકળી ગયું છે અને ભારતમાં તેના યુવાનો માટે રોજગાર ઊભા થઈ શકતા નથી. ભારત માતા તેનાં બધાં સંતાનોની માતા છે. ભારત માતામાં સંસાધનો અને સત્તાના ઈજારા ઊભા થયા છે અને પસંદીદા થોડાક લોકો માટે અનેક લોકોને એ સંસાધનો અને સત્તા આપવાનો ઇનકાર કરવામાં આવે છે અને તેથી ભારત માતા ઇજાગ્રસ્ત થઈ છે એમ કહેવાય. 

મને ખબર છે કે ભારતના ધંધા ક્ષેત્રના અંતરમાં થનગનાટ ધરાવતા સેંકડો  હોંશિયાર નેતાઓ આ ઇજારદાર મહાકાય કંપનીઓથી ડરી ગયા છે. શું તમે એમાંના એક છો? ફોન પર વાત કરતાં પણ ડરો છો? શું તમને એવો ડર છે કે તમે કોઈક ધંધામાં પ્રવેશો તો આ ઇજારદાર મહાકાય કંપનીઓ રાજ્ય સાથેની મિલીભગતથી તમને કચડી નાખશે? ઇન્કમ ટેક્સ, સી.બી.આઈ. અને ઇ.ડી.ના દરોડાથી તમે ડરી ગયા છો અને તેથી તમે તમારો ધંધો એ જ મહાકાય કંપનીઓને વેચી રહ્યા છો? શું તમારે જ્યારે મૂડીની તાતી જરૂર છે ત્યારે જ તમને તેનાથી વંચિત રહી જવાનો ડર છે? તમારી પર હુમલો કરવા માટે જ રમતમાં અધવચ્ચે જ એના નિયમો બદલી નાખવામાં આવે તેનો ડર તમને સતાવે છે? 

તમે જાણો છો કે આ ઉમરાવશાહી જૂથોને જો ઉદ્યોગધંધા તરીકે ઓળખવામાં આવે તો તે ગેરમાર્ગે દોરનારી બાબત છે. તમે જ્યારે એમની સાથે હરીફાઈ કરો છો ત્યારે, તમે ખરેખર તો કોઈ કંપની સાથે હરીફાઈ નથી કરતા, પણ તમે ભારતના રાજતંત્ર સામે લડી રહ્યા છો. તેમની સ્પર્ધા કરવાની તાકાત એ તેમની વસ્તુઓ, ગ્રાહકો કે વિચારો નથી; પણ એ તો ભારત પર શાસન કરતી સંસ્થાઓ અને નિયમનકારી વ્યવસ્થાઓ ઉપર અંકુશ રાખવાની તેમની ક્ષમતામાં, અને તમારા પર નિગરાની રાખવામાં છે. 

તમને ન ગમે તો પણ, આ મહાકાય ઇજારદાર કંપનીઓ નક્કી કરે છે કે ભારતના લોકો શું વાંચે અને જુએ, તેઓ ભારતના લોકો શું વિચારે અને બોલે તેના પર પ્રભાવ પાડે છે. આજે બજારનાં પરિબળો તમારી સફળતા નક્કી નથી કરતાં, સત્તા સાથેના તમારા સંબંધો તમારી સફળતા કે નિષ્ફળતા નક્કી કરે છે. 

તમારા હૃદયમાં ડર પેસી ગયો છે, પણ આશાનું કિરણ પણ દેખાય છે. 

મેચ ફિક્સિંગ કરનારાં ઇજારદાર ઉદ્યોગગૃહોની સામે, ભારતમાં મોટી સંખ્યામાં નિયમ મુજબ રમત રમનારી કંપનીઓ પણ છે જ. એ સૂક્ષ્મ, નાનકડાં સાહસો પણ છે અને મોટી કંપનીઓ પણ છે. પણ તમે બધાં ચૂપ થઈ ગયાં છો. દમનકારી વ્યવસ્થાને તમે સહન કરી રહ્યા છો. 

પીયૂષ બંસલને જુઓ. તેઓ પ્રથમ પેઢીના સાહસિક છે અને કોઈ રાજકીય સંપર્કો નથી ધરાવતા. તેમણે ૨૨ વર્ષની વયે ધંધો શરૂ કર્યો. તેમણે જ પછી ૨૦૧૦માં લેન્સકાર્ટ કંપનીની સ્થાપના કરી. આંખોનાં ચશ્માંના ક્ષેત્રને તેમણે નવો જ આકાર આપી દીધો. આજે આ કંપની આખા દેશમાં હજારો લોકોને રોજગારી આપે છે. 

લો, ફકીરચંદ કોહલીની વાત કરો. તેમણે એક મેનેજર તરીકે ૧૯૭૦ના દાયકામાં ટાટા કન્સલ્ટન્સી ઊભી કરી. એ ભય સામે મહત્ત્વાકાંક્ષાનો વિજય હતો. તેનામાં આઇ.બી.એમ. અને એસેંચર જેવી કંપનીઓ સામે ઝીંક ઝીલવાની હિંમત હતી. ટી.સી.એસ. અને ઈન્ફોટેક ક્ષેત્રની ભારતની કંપનીઓએ દુનિયાના ઈન્ફોટેક સેવા ક્ષેત્રને એક નાનકડી દુકાનમાંથી ઉદ્યોગ બનાવી દીધો. હું પીયૂષ બંસલ કે સ્વ. ફકીરચંદ કોહલીને વ્યક્તિગત રીતે જાણતો પણ નથી. એ શક્ય છે કે તેમની રાજકીય પસંદગીઓ મારાથી અલગ હોય. પણ તેથી શું? 

એમ લાગે છે કે ટાયનોર, ઇન્મોબી, માન્યવર, ઝોમેટો, ફ્રેક્ટલ એનાલિટિક્સ, એરાકુ કોફી, ટ્રેન્ડન્સ, એમાગી, આઇ.ડી. ફ્રેશ ફૂડ, ફોનપે, મોગ્લિક્સ, સુલા વાઇન્યર્ડ્સ, જસ્ટ પે, ઝેરોધા, વેરિતાસ, ઓક્સિઝો, એવેન્ડસ આવી જ નવી નવી કંપનીઓ છે. અને એલ. એન્ડ ટી., હલ્દીરામ, અરવિંદ આઇ હોસ્પિટલ, ઇન્ડિગો, એશિયન પેઇન્ટ્સ, એચ.ડી.એફ.સી. જૂથ, બજાજ ઓટો અને બજાજ ફાયનાન્સ, સિપ્લા, મહિન્દ્ર ઓટો, ટાઇટન વગેરે જૂની કંપનીઓ છે. એમાંની મોટા ભાગના સાથે મારે વ્યક્તિગત સંબંધ નથી. આ બધાં જ દેશી કંપનીઓનાં થોડાંક ઉદાહરણો છે કે જેમણે નવીનતમ પ્રયોગો કર્યા અને રમતના નિયમોનું પાલન કરવાનું પસંદ કર્યું. મને ખબર છે કે મેં હજુ સેંકડો કંપનીઓનાં નામ નથી દીધાં. તેઓ કદાચ આનાથી પણ સારા દાખલા હોય. પણ મને લાગે છે તમે મારો મુદ્દો સમજી જશો. 

મારું રાજકારણ હંમેશાં નબળા અને અવાજવિહીન લોકોનું રક્ષણ કરવાનું રહ્યું છે. હું ગાંધીજીના શબ્દોમાંથી પ્રેરણા લઉં છું. કતારમાં ઊભેલા મૂંગા થઈ ગયેલા છેલ્લા માણસનું રક્ષણ કરવાની પ્રેરણા મને તેઓ આપે છે. 

આ પ્રતિબદ્ધતાને લીધે જ મેં ‘મનરેગા’, અન્નનો અધિકાર અને જમીન સંપાદન ધારાના સુધારાને ટેકો આપેલો. હું નિયમગિરિ ખાતે આદિવાસીઓ સાથે તેમના સંઘર્ષમાં ઊભો રહેલો. મેં આપણા ખેડૂતોને તેમની ત્રણ કાળા કાયદા સામેની લડતમાં ટેકો આપેલો. મેં મણિપુરના લોકોનું દર્દ સાંભળ્યું. 

પણ મને લાગ્યું કે હું ગાંધીજીના કહેવાનો સંપૂર્ણ અર્થ પકડી શક્યો નહિ. કતાર શબ્દ તેમાં અનેક અર્થો સાથે છે. વાસ્તવમાં, સમાજમાં અનેક કતારો છે. એક કતારમાં તમે પણ ઊભા છો, કે જે ઉદ્યોગધંધાની કતાર છે. તમારું શોષણ થઈ રહ્યું છે, તમે લાભવાંચિત બની રહ્યા છો. અને તેથી મારું રાજકારણ તમને જે આપવાનો ઇનકાર કરવામાં આવે છે તે અપાવવાનો છે : કામ કરવાની સ્વતંત્રતા અને ન્યાયીપણું.

સરકારને બીજા બધાને ભોગે એક જ કંપનીને ટેકો આપવા દઈ શકાય નહિ; અને ધંધાકીય વ્યવસ્થામાં બેનામી સમીકરણોને તો નહિ જ. સરકારી સંસ્થાઓ કંઈ ઉદ્યોગ ધંધાઓને ડરાવવા અને તેમના પર હુમલા કરવા માટે નથી. એ જ રીતે, તમે મોટી ઇજારદાર કંપનીઓને ભય પમાડો એમ પણ નહિ, હું એમાં માનતો નથી. એ કંઈ દુષ્ટો નથી, પરંતુ તેઓ તો આપણા સામાજિક અને રાજકીય પર્યાવરણની જ પેદાશ છે. તેમને ધંધો કરવાનો અવકાશ મળે, એમ તમને પણ અવકાશ મળે. 

આ દેશ આપણા બધાનો છે. આપણી બેંકોએ મોટી રાજકીય સંપર્કો ધરાવતી ૧૦૦ કંપનીઓને જ લોન આપવાના ચક્કરમાંથી બહાર આવવું જોઈએ કે જેઓ પછી એન.પી.એ. ઊભી કરે છે. બેંકોએ લોનમાં નફો થાય તે રીતે આપવી જોઈએ અને બજારની રમત નિયમાનુસાર રમતા ધંધાઓને બેંકોએ ટેકો આપવો જોઈએ. 

અંતે એટલું કહું કે, આપણે રાજકીય વર્તનને ઘડવામાં સામાજિક દબાણ અને પ્રતિકારની તાકાતને ઓછી આંકવી જોઈએ નહિ. કોઈ મસીહા કે અવતારની જરૂર જ નથી. તમે જ પરિવર્તનના વાહકો છો, તમે જ સૌને માટે સંપત્તિ અને રોજગારનું સર્જન કરશો.

મારું માનવું છે કે પ્રગતિશીલ ભારતીય ઉદ્યોગધંધા માટેના નૂતન સમયનું આગમન થઈ ચૂક્યું છે.

[સ્રોત: “ઇન્ડિયન એક્સપ્રેસ”; તા.૫-૧૧-૨૦૨૪]
સૌજન્ય : હેમંતકુમારભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...361362363364...370380390...

Search by

Opinion

  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા
  • ગુજરાતી ભાષાની સર્જકતા (૫)
  • બર્નઆઉટ : ભરેલાઓની ખાલી થઇ જવાની બીમારી
  • ચલ મન મુંબઈ નગરી—307
  • દાદાનો ડંગોરો

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved