Opinion Magazine
Number of visits: 9554823
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

રાષ્ટ્રભક્તિની રોકડીનો ‘રાજ’રોગઃ 26/11 (મુંબઈ)ની વીડિયો જુબાનીમાં કસાબ

પ્રકાશ ન. શાહ|Samantar Gujarat - Samantar|13 February 2016

ગુજરાત પોલીસ અને સત્તા પાર્ટી કેવળ બચાવની ભૂમિકાએ ન રહેતાં ગૌરવમંડિત ગર્જનતર્જનમાં રાચે છે

હરિનામની હેડકીની ધર્મભૂમિ ભારતવર્ષને નવાઈ નથી. માત્ર, આ દિવસોમાં આપણા રાજકારણમાં ઉપડેલી હેડકી હેડલી નામની છે. આ હેડલી પણ કમાલની જણસ છે. વિભક્ત, વિભન્ન વ્યક્તિત્વો અને વિક્ષિપ્ત માનસનો એ મનોવૈજ્ઞાનિક તપાસનો કેસ છે. 26/11(મુંબઈ)ની વીડિયો જુબાનીમાં કસાબ અને બિરિયાનીએ ખ્યાત ઉજ્જવલ નિકમની ઉલટ તપાસમાં એણે ‘મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન’ની (આપણી ન્યાય પ્રણાલિમાં અમાન્ય) પદ્ધતિએ ઈશરત જહાંનો ઉલ્લેખ લશ્કર-ઇ-તોઇબા સાથે સંકળાયેલ આત્મઘાતી તરીકે કર્યો ન કર્યો ત્યાં તો હાલના સત્તાપક્ષના સૌ કૉંન્ગ્રેસ, સામ્યવાદીઓ અને બીજાઓ પર સહસા તૂટી પડ્યા: સોનિયા ગાંધી, માફી માગો! આમ કહેનારા કને હવાલાનો હવાલો હાલ તો એક ને એક, એટલે કે હેડલી અને હેડલી જ છે.

જરી સબૂરીથી વિચારીએ તો પહેલું તો એ સમજાય છે કે 26/11ના સંદર્ભમાં, અમદાવાદમાં થયેલી ઈશરત ઘટનાને ‘મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન’ની રીતે ખેંચી લાવવાનું ખાસું દૂરાકૃષ્ટ જેવું છે, અને હેડલીએ ઈશરતનું નામ પાછું કોઈ પ્રત્યક્ષ સાક્ષીની રીતે નહીં પણ વાયા વાયા લીધું છે. એટલે ધારાશાસ્ત્રી (અને પાછા પદ્મશ્રી) નિકમે જાણતે અજાણતે સત્તાપક્ષને કશીક સોઈ કરી આપવાનું બન્યું છે. જો કે, સત્તાપક્ષને મળી રહેલી આ શોર સવલત છતાં, એક વિગત ખસૂસ નોંધવી જોઈએ કે અગાઉ પણ હેડલીએ ઈશરત જહાંનું નામ લીધું હતું અને તે વખતની યુપીએ સરકારે એ બાબતમાં વિશેષ તપાસ કરવાપણું જોયું નહોતું – અને એ રીતે આજના દિવસોમાં એને અંગે ‘ઈરાદા’નો મુદ્દો જરૂર ઊભો થાય છે. ઈરાદાના મુદ્દાને અલબત્ત ઊભો જ રાખીએ, અને એક પાયાનું વલણ દોહરાવીએ તેમ જ ઘૂંટીએ કે યુપીએ હો અગર એનડીએ, શુચિર્દક્ષ સરકાર માત્ર આવા હર સગડનો તાગ મેળવે તે અપેક્ષિત છે. સવાલ સરકારના સરકારપણાનો છે. આ એ જ સવાલ છે જે 2002ના સંદર્ભમાં આપણે સૌ ગુજરાત સરકાર વિશે ઉઠાવતા રહ્યા છીએ.

હેડલી નામની હેડકી સબબ આટલાં પ્રાસ્તાવિક વચનો અને આરંભિક ઉદ્રેક આછર્યાં પછી ઊભો થતો બીજો સવાલ કદાચ વધુ પાયાનો છે. અને તે એ કે ઈશરત જહાંના ‘ફેક એન્કાઉન્ટર’નું શું કરીશું. હેડલી કહે છે તેમ એને આત્મઘાતી આતંકવાદી તરીકે સ્વીકાર્યા પછી પણ આ પ્રશ્ન ઉત્તર અને આનુષંગિક તપાસ માગી લે છે તે માગી જ લે છે. ઈશરત કથિત નિર્દોષતાના મુદ્દાને બાજુએ રાખીએ તો પણ ગુજરાત હાઇકોર્ટે નીમેલ સ્પેિશયલ ઇન્વેસ્ટિગેશન ટીમ(સિટ)નું એ તારણ તો અકાટ્યપણે ઊભું અને ઊભું જ છે કે ગુજરાત પોલીસે એને ગેરકાનૂની કસ્ટડીમાં લઈ પ્રાયોજિત ઍન્કાઉન્ટરનો બેત પાર પાડ્યો હતો. એટલું જ નહીં પણ જે ગોળી વહેવાર અને હથિયારવિનિયોગ થયાનો પોલીસદાવો હતો એ બંને વચ્ચે કોઈ જ મેળ પડતો નહોતો એવું પણ અવલોકન સદરહું સિટનું હતું.

મુદ્દે, ગોધરા-અનુગોધરા દિવસોના હિંસ્રકાંડને અંગે ગુજરાતમાં ચાલેલ નકો નકો તપાસને સર્વોચ્ચ અદાલત થકી કંઈક બ્રેક વાગી હોય અને ગુજરાત બહાર કેસો ચલાવાયા તેમ જ નવેસર ઉઘાડ્યા પછી ગુજરાત સિવાયનાં રાજ્યોને મુકાબલે કશીક નોંધપાત્ર કાનૂની કારવાઈ શક્ય બની હોય તો પણ મનોજ મિટ્ટા જેને ‘ફિક્શન ઑફ ફૅક્ટ-ફાઇન્ડિંગ’ કહે છે એનું પ્રમાણ ખાસું બધું છે. વસ્તુત: ‘રુલ ઑફ લૉ’ અગર તો કાયદાના શાસનની કસોટીએ યુપીએ એનડીએ સઘળી સરકારોનો ટ્રૅકરેકોર્ડ કાબિલે તપાસ રહ્યો છે. આ લખું છું ત્યારે 2013નો એક અભ્યાસ સાંભરે છે કે એના આગલાં ચાર વરસના ગાળામાં દેશમાં 555 જેટલાં નકલી ઍન્કાઉન્ટરો નોંધાયા હતાં, જેમાં ગુજરાતનો ક્રમ તો છે ક પાછળ આવતો હતો.

નક્સલ પ્રભાવિત લેખાંતા રાજ્યો અને ઈશાન ભારતનાં રાજ્યો એમાં મોખરે હતાં. ઘણુંખરું સ્વૈચ્છિક નાગરિક ઝુંબેશ અને માનવ અધિકાર પંચના પ્રવેશ પછી આની વિગતો પણ બહાર આવતી રહી છે. ઊહાપોહ થતો રહે છે, અને પોતાનું ચાલે ત્યાં સુધી હર પક્ષની સરકાર તે ખાસ ગણકારતી નથી. બધે જ ઍન્કાઉન્ટરો થાય છે, થયાં કરે છે તો માત્ર અમારી પાછળ જ કેમ પડી ગયા છો, એ ગુજરાત સરકારનો ‘બચાવ’ કહો તો ‘બચાવ’ અને ‘વળત ઘા’ કહો તો, ‘વળતો ઘા’ રહ્યો છે. માત્ર, બીજાઓ ચોરીછિનાળાં કરે છે એ આપણાં ચોરીછિનાળાંનો પ્રામાણિક બચાવ નથી એટલી સાદી સુધબુધ છેલ્લાં વરસોમાં ગુજરાતની ભાજપ સરકારને તેમ રાજ્યના રાજકીય અગ્રવર્ગના ખાસા હિસ્સાને રહી નથી એ હકીકત છે.

વાત માત્ર આટલી જ નથી. નકલી ઍન્કાઉન્ટરોમાં ઠીક ઠીક પાછળ અને કેસતપાસ ઉર્ફે કલ્પનાવિલાસમાં ઠીક ઠીક આગળ એવી ગુજરાત સરકાર, ગુજરાત પોલીસ અને ગુજરાતની સત્તા પાર્ટી કેવળ બચાવની ભૂમિકાએ ન રહેતાં ગૌરવમંડિત ગર્જનતર્જનમાં રાચે છે. જેમનાં ઍન્કાઉન્ટર કરાયાં તે બધા આતંકવાદીઓ હતા અને રાજ્યના સત્તાપક્ષના મુખ્ય માણસો (જેમ કે નરેન્દ્ર મોદી/અમિત શાહ: એમના નિશાન પર હતા, એવું હંમેશાં કહેવામાં આવ્યું છે. સોરાબુદ્દીન વગેરે ક્લાસિક દાખલા આ સંદર્ભમાં સામે આવે છે. રાજ્ય સરકારે સોરાબુદ્દીન માર્યા ગયા અંગે વિધાનગૃહમાં માહિતી આપતી વખતે એ આતંકવાદી હોવાનો દાવો કર્યો નહોતો. સર્વોચ્ચ અદાલત સમક્ષ સોગંદપૂર્વક એમ પણ કહ્યુંકબૂલ્યું હતું કે સોરાબુદ્દીન મોત નકલી ઍન્કાઉન્ટરમાં નિપજાવાયું છે. પણ ગૃહની બહાર ગાઈવગાડીને એને આતંકવાદી જાહેર કરાયો અને આવાં અનેક ઍન્કાઉન્ટરો બદલ વણજારા સહિતની ગુજરાત પોલીસનું ગૌરવમંડન કરવામાં આવ્યું. જામીનધન્ય પોલીસ અધિકારી અને જામીનધન્ય પક્ષનેતા ગુજરાત મોડેલની વિશેષતારૂપે ઉભર્યાં. આને શું કહીશું, સિવાય કે રાષ્ટ્રભક્તિની રોકડી!

નેહરુપટેલના વખતમાંયે નકલી ઍન્કાઉન્ટરો નહીં થયાં હોય એમ નથી. પણ મુખ્યમંત્રીઓ જોગ વડાપ્રધાનના નિયમિત પત્રોમાં તમે એ અંગે નેહરુની નારાજગી અને મંથનના સંકેતો ભલે કોકરવરણા તો કોકરવરણા પણ જોઈ તો શકો છો. અરે, ગૌરવયાત્રા રૂપે મહિમામંડન તો 1984ના શીખ સંહાર પછી પણ જોવા મળ્યું નથી. બને કે આ ચર્ચા કોઈને ‘ગડે મુર્દે’ જેવી લાગે. બને કે આ ચર્ચા કોઈને એના એ ચર્વિતચર્વણ જેવી લાગે. પણ લોકશાહી રાહે સ્વરાજનિર્માણનો રાજપથ અને જનપથ આ સિવાયના હોઈ શકતા નથી. છેલ્લાં પંદર વરસમાં ગુજરાતની પ્રજાસૂય વિશેષતા રાજ્ય સરકારને ચોક્કસ વિપથગમનથી એળે નહીં તો બેળે રોકવાની કોશિશની રહી છે. અહીં પીઢ બનેલું નેતૃત્વ હવે કથિત ગુજરાત મોડેલની હવા બનાવી દિલ્હી પહોંચ્યું છે ત્યારે ઉમેદ રહે છે કે અહીં ‘એળે નહીં તો બેળે’ની જે તાલીમ એને મળી એનો એ રાષ્ટ્રીય સ્તરે વિનિયોગ કરી જાણશે.

હેડલીની સગડ જરૂર દબાવો – માત્ર, ઘરઆંગણે તપાસનાં ધોરણોને જરી જાતતપાસનો લાભ આપો તો બસ.

સૌજન્ય : ‘કલ્પનાવિલાસ’, “દિવ્ય ભાસ્કર”, 13 ફેબ્રુઆરી 2016

Loading

ધનના ઢગલા અને ગરીબીની ખાઈ

ચંદુ મહેરિયા|Opinion - Opinion|11 February 2016

દુનિયાના સુપર રીચની દોલત છેલ્લા પાંચ વરસમાં વધીને 44 ટકા થઈ જ્યારે ગરીબોની આવક 41 ટકા ઘટી છે

ડૉ. બાબાસાહેબ આંબેડકરે ભારતની બંધારણસભા સમક્ષના પોતાના અંતિમ પ્રવચનમાં દેશમાં પ્રવર્તતી સામાજિક-આર્થિક અસમાનતા અંગે સાવધાનીના સૂર ઉચ્ચાર્યા હતા. બિનસરકારી દાતાસંસ્થા ઓક્સફામના તાજેતરના “એન ઈકોનોમી ફોર ધી વન પર્સન્ટ” અહેવાલના પ્રાગટ્ય સાથે અસમાનતાની ફરી ચર્ચા ઊઠી છે. ખ્યાત અર્થશાસ્ત્રી થોમસ પિકેટીના “કેપિટલ ઈન ટ્વેન્ટી ફર્સ્ટ સેન્ચૂરી”નો પણ અસમાનતા સંબંધી ચર્ચાઓમાં સિંહફાળો છે.

ઓક્સફામનો અહેવાલ અસમાનતાનું જે ચિત્ર આલેખે છે તે મુજબ દુનિયાના 62 મૂડીપતિઓની સંપત્તિ 17.6 ખર્વ ડૉલર એટલેકે 1187.64 ખર્વ રૂપિયા છે. જે દુનિયાની અડધોઅડધા વસ્તીની સંપત્તિ જેટલી છે. એક ટકો ધનપતિઓ પાસે દુનિયાની 99 ટકા વસ્તી જેટલી દોલત છે અને તે રાજાની કુંવરીની ઉંમરની જેમ દિનરાત વધતી જાય છે. ઓક્સફામના રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે દુનિયામાં સૌથી અમીરોની સંખ્યા દર વરસે ઘટતી જાય છે એનો અર્થ એ થાય કે સંપત્તિ મર્યાદિત લોકોના હાથમાં કેદ થઈ રહી છે.

2010માં વિશ્વના સૌથી વધુ ધનિકો 388 હતા. 2014માં તે ઘટીને 85 અને હવે 2015માં 62 જ થઈ ગયા છે. અમીરી અને ગરીબીની અસમાનતા કેટલી મોટી છે તે એ હકીકત પરથી જણાય છે કે દુનિયાના “સુપર રીચ”ની દોલત છેલ્લાં પાંચ વરસમાં વધીને 44% થઈ છે ત્યારે દુનિયાના ગરીબોની આવક 41% ઘટી છે. દુનિયાનો એક નાનકડો વર્ગ ધનના ઢગલા પર વિરાજમાન છે તો બહુ મોટી વસ્તી ગરીબી, ભૂખમરો અને અભાવોની ખાઈમાં સબડે છે.

ભારતના અમીરો વિશે જાતજાતના સર્વે અવારનવાર અખબારી પૃષ્ઠો પર પ્રકટ થાય છે. ”ફોર્બ્સ” સામયિકના એક સર્વે મુજબ ભારતમાં ડોલર બિલિયોનર્સ અર્થાત એક અબજ ડોલર કરતાં વધુ સંપત્તિના માલિક હોય તેવા ભારતીય અમીરો 2013માં 103 હતા, જે 2014માં ઘટીને 100 થયા. અંત્યત ધનવાન-સંપત્તિવાન લોકોની સંખ્યાની દ્રષ્ટિએ ભારતનો દુનિયામાં 11મો નંબર છે. વિશ્વના સૌથી અમીર દેશ અમેરિકામાં 62,800 અલ્ટ્રા હાઈનેટવર્થ ઇન્ડિવીડ્યુઅલ્સ છે. તો ભારતમાં આવા લોકોની સંખ્યા 1800 છે. ભારતમાં કરોડપતિઓની સંખ્યા 14,800 છે અને એકલા મુંબઈમાં 2,700 કરોડપતિઓ છે. કરોડપતિઓની સંખ્યામાં ભારત વિશ્વમાં આઠમા ક્રમે છે.

શૌચાલયોની ભારે અછત અને સમૃદ્ધિથી ફાટફાટ દેવાલયો એ ભારતની વિષમતાની વરવી વાસ્તવિકતા છે. અહીં કરોડો લોકોને ખોરાક-પાણી-વીજળી- જાજરૂની પ્રાથમિક સુવિધા મળતી નથી.તો મંદિરોની સંપત્તિ સરકારી તિજોરીમાં જમા કરાવવા સરકારને યોજના ઘડવી પડે છે.  જ્યાં એશિયાની સૌથી મોટી ધારાવીની ઝૂંપડપટ્ટી છે તે મહાનગર મુંબઈમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણીનું ઘર ‘એન્ટીલિયા’ માત્ર 27 માળનું જ છે. તેની કિંમત રૂ.1,42,720 કરોડ રૂપિયાની છે.

મુંબઈના પોશ એરિયા મલબાર હિલ્સનું જટિયા હાઉસ ઉદ્યોગપતિ કુમારમંગલમ બિરલા 425 કરોડમાં ઘર માટે ખરીદે છે તો દિલ્હીની શકુર બસ્તીની ઝૂંપડપટ્ટી પર કાતિલ ઠંડીમાં બૂલડોઝર ફરે છે. ઈંદિરા આવાસ, સરદાર આવાસ, અને આંબેડકર આવાસની સરકારી યોજનાઓમાં મકાનસહાય માટે સરકાર થોડાક હજાર રૂપિયા આપે છે, તો અમીરો મસ્ત મોટા મહાલયોમાં મહાલે છે.

ભારતમાં અમીરો અને ગરીબો વચ્ચેની આ વિકરાળ ખાઈને પાછો જાતિ અને ધર્મનો પણ રંગ લાગે છે. તેંડુલકર અને રંગરાજન કમિટી મહિને અનુક્રમે રૂ.1,000 અને 1,407 રૂપિયા કમાતા ભારતીયને ગરીબ ગણે છે. આવા ગરીબો મોટે ભાગે દલિત-આદિવાસી-પછાત અને લઘુમતી હોય છે. આર્થિક અસમાનતામાં સામાજિક-ધાર્મિક અસમાનતા પણ હોય છે. મહિને માંડ હજાર રૂપિયા જ કમાતો ભારતીય આ દેશમાં ગરીબ ગણાય છે, પણ આ અખિલ ભારતીય માપદંડમાં “દૂધમાં સાકરની જેમ ભળી ગયેલા” પારસીઓ અપવાદ છે. મુંબઈની પારસી પંચાયતે ઠરાવેલા અને મુંબઈની વડી અદાલતે પણ જેનું સમર્થન કર્યું છે તે પ્રમાણે મહિને રૂ.90,000 કમાતો પારસી ગરીબ ગણાય છે!

મુકેશ અંબાણીની રોજની આવક રૂ.11,000 કરોડ છે અને તેમનું વાર્ષિક વેતન 15 કરોડ રૂપિયા છે. પરંતુ મોટાભાગના મજૂરોને રોજની સો રૂપિયા મજૂરી માંડમાંડ મળે છે. કેન્દ્ર સરકારના ગ્રામીણ ભારતના સામાજિક –આર્થિક વસ્તી ગણતરીના અહેવાલ મુજબ દેશની 73% વસ્તી ગામડાંમાં વસે છે અને તેમાંથી માત્ર 4.6% કુટુંબો જ આવકવેરો ભરવાપાત્ર કમાણી ધરાવે છે. 74.49% ગ્રામીણ કુટુંબોની આવક મહિને રૂ.5,000 જ છે. 51.14% લોકો મજૂરી પર નભે છે. દેશમાં 4 લાખ કુટુંબો કચરો વીણીને તો 6.68 લાખ કુટુંબો ભીખ માંગીને આયખું ટૂંકુ કરે છે. હ્યુમન ડેવલપમેન્ટ ઈન્ડેક્સ (માનવ વિકાસ આંક) અને હંગર ઈન્ડેક્સ(ભૂખ સુચકાંક)ની તો હવે દેશમાં કોઈને પડી જ નથી.

સર્વસમાવેશક વિકાસની વાતો બહુ થાય છે પણ અમલમાં નર્યા અખાડા જ છે. ગ્લોબલ હંગર ઈન્ડેક્સમાં 2015માં 80 દેશોમાં પુણ્યભૂમિ ભારત 68મા ક્રમે છે. જે દક્ષિણ એશિયામાં અફઘાનિસ્તાન અને પાકિસ્તાન પછી ત્રીજા નંબરે છે. નેપાળ, બાંગ્લાદેશ અને શ્રીલંકા કરતાં પણ ગરીબીમાં ભારતનો ચડતો ક્રમ છે. ‘ભારતમાં બાળકો-2012’ નામક એક સરકારી રિપોર્ટમાં કહેવાયું છેકે ભારતમાં દરરોજ કુપોષણથી 1,500 બાળકોના મોત થાય છે. વરસે દહાડે પાંચ વરસની ઉમરના 2.1 મિલિયન બાળકો ભૂખમરાથી મરે છે. 57% માતાઓ અને પાંચ વરસ કરતાં ઓછી ઉંમરના 75% બાળકો ઓછું લોહી અને સરેરાશ કરતાં ઓછું વજન ધરાવતા હોય છે.

દેશના માત્ર પાંચ અતિ ધનાઢ્યો પાસે દેશની કુલ સંપત્તિની અડધાથી વધુ સંપત્તિ હોય તે અસમાનતા અતિ ભયંકર ગણાવી જોઈએ. તેનું કારણ તો શ્રમિકોનું શોષણ જ છે ને? ઓગસ્ટ 1963માં ડો. રામમનોહર લોહિયા અને વડાપ્રધાન નહેરુ વચ્ચે લોકસભામાં ત્રણ આના વિરુધ્ધ ત્રણ રૂપિયાની ચર્ચા થઈ હતી. ડો. લોહિયાએ એ ઐતિહાસિક ભાષણમાં કહેલું કે આ દેશમાં એક ગરીબ રોજના ત્રણ આના કમાય છે અને વડાપ્રધાનના કૂતરા પાછળ રોજના ત્રણ રૂપિયા ખર્ચાય છે. આજે નહેરુના વંશજ રાહુલ ગાંધી વર્તમાન કેન્દ્ર સરકારને “સૂટબૂટ કી સરકાર” કહે છે ! આર્થિક અસમાનતાએ દેશના રાજકીય એજન્ડામાં આ હદે પ્રગતિ કરી છે.

ડો.આંબેડકરે બંધારણસભા સમક્ષ જો અસમાનતા નાબૂદ નહીં થાય તો પરિણામ શું આવશે તેની આગાહી કરતાં કહેલું, “અસમાનતાનો ભોગ બનેલા લોકો બંધારણસભાએ અપાર પુરુષાર્થ કરીને બનાવેલા આ લોકતંત્રના મહેલને ધૂળભેગો કરી નાંખશે”. એના દોઢેક દાયકા બાદ લોહિયાએ બહુ દુખી દિલે લોકસભામાં કહેવું પડેલું કે જો હું 20-30 વરસો પહેલાં આ વિષય પર બોલતો હોત તો મેં અસમાનતા નાબૂદીની વાત કરી હોત પણ હવે આજે તો હું એને ઘટાડવાની જ વાત કરી શકું એમ છું. એ પછીના પાંચ દાયકે આજે આર્થિક વિષમતાનું જે ચિત્ર ખડું થયું છે તેના પરથી જાહેર જીવનના કવિ ઉમાશંકર જોશીની ‘ભૂખ્યા જનોનોનો જઠરાગ્નિ જાગશે’ ની વાત સાચી ઠેરવવા કેટલો કપરો સંઘર્ષ કરવાનો છે તેનો ખ્યાલ આવે છે.         

e.mail : maheriyachandu@gmail.com

સૌજન્ય : ‘આર્થિક અસમાનતા’, “દિવ્ય ભાસ્કર”, 11 ફેબ્રુઆરી 2016 

Loading

નારી વાદ-વિવાદ નહિ પણ વિચાર

મેઘા જોશી|Opinion - Opinion|10 February 2016

તાજેતરમાં જ 21જાન્યુઆરીથી 25 જાન્યુઆરી દરમ્યાન જયપુર લિટરેચર ફેસ્ટિવલમાં કી નોટ સ્પીકર વિશ્વ પ્રસિદ્ધ કવયિત્રી અને લેખિકા માર્ગારેટ એટવૂડ કહે છે, "ફેમિનીઝમનો ખરો અર્થ જ્યાં સુધી જાણીએ નહિ ત્યાં સુધી હું ફેમિનીસ્ટ હોવાનો દાવો નથી કરતી અથવા મારી જાતને ફેમિનીસ્ટ નથી ગણાવતી. કોઈ સ્ત્રી પુરુષને ધક્કો મારે એ અર્થ હોય તો હું એવી નારીવાદી નથી. જો તમે એમ કહેતા હોય કે સ્ત્રી માણસ પણ છે, તો હા હું નારીવાદી છું. આ એક શબ્દ સાથે વ્યક્તિ વ્યક્તિ એ અર્થ અને જોડાણ બદલાય છે. જ્યાં સમાન હક, સમાન તક, સમાન કાયદાની વાત છે ત્યાં મને ગણજો, બાકી સ્ત્રી પુરુષો કરતાં ચઢિયાતી જ છે, એવું સાબિત કરવામાં હું નથી માનતી.”

વર્ષોથી નારીવાદ વિષે લખાતું આવ્યું અને બોલાતું આવ્યું છે. છતા એમ કહી શકાય કે સૌથી વધુ વપરાતો આ શબ્દ સૌથી વધુ વાર અનર્થ અથવા અન્ય અર્થો સાથે જોડાતો ગયો છે. નારીવાદની પ્રણેતા અને પ્રથમ ફેમિનીસ્ટ મનાતી સિમોન દ બુઆએ 1949માં "ધ સેકંડ સેક્સ” પુસ્તકમાં તત્કાલીન નારીવાદ અને અસ્તિત્વવાદ વિષે લખ્યું. પુરુષ સમાજે સ્ત્રીને સમજવાને બદલે "મિસ્ટ્રી “ગણાવી. તેને હંમેશાં “અન્ય" બનાવી દીધી છે. સિમોન પહેલાં, 1792માં, અંગ્રેજ લેખિકા અને પત્રકાર મેરી વોલ્સ્ટોન ક્રાફ્ટે તેમનાં પુસ્તક "અ વિન્ડીકેશન ઓફ રાઈટસ ઓફ વુમન"માં સ્ત્રીની પરવશતા અને પરિસ્થિતિની ચર્ચા કરી, તેને અભ્યાસની સમાન તક મળવી જોઈએની હિમાયત કરી. દરેક સમયગાળામાં નારીવાદ વિષે વિચારો અને તેનું લખાણ પ્રકાશિત થયું. સમાજની માનસિકતા બદલવા માટે અને વૈચારિક ક્રાંતિ માટે જે તે સમયના લેખકોએ પોતાનું યોગદાન આપ્યું. ભારતમાં પણ ટાગોર, કામિની રોય જેવાં લેખક અને સમાજ સુધારકોએ આપણી સામાજિક પરિસ્થિતિને અનુલક્ષીને ફેમિનીઝમનો ખ્યાલ સ્પષ્ટ કર્યો. તે છતાં હજી આજે પણ ફેમિનીઝમ સાથે પુરુષના નાકના ટીચકાં ચઢે છે અને સ્ત્રીનું મગજ સાતમે આસમાને પહોંચે છે.

ફેમિનીઝમ નામનો આ શબ્દ અને વિચાર માત્ર વિરોધ પ્રદર્શિત કરવા માટે વપરાતો ગયો. સમાજમાં સ્ત્રીને સહન કરવી પડતી દરેક મુસીબતની જડ માત્ર પુરુષ જ હોય તેમ પુરુષનો વિરોધ કરવો અથવા તે કરે તે બધું જ કરવાનો પ્રયત્ન કરવો, જ્યાં અને જયારે જે કામ માટે કે જે વિચાર માટે સામે પક્ષે “ના" આવે તેને તો ખાસ કરવી. ઘટનાનું મૂળ જાણ્યાં વગર જ્યારે કોઈ પણ સ્ત્રીને સામાજિક સમસ્યા નડે ત્યારે "હમારી માંગે પૂરી કરો "ની જેમ ધરણા કરવા કે દરેક પ્રતિકૂળ પરિસ્થિતિને શોષણનું નામ આપવું એ નારીવાદ નથી જ. સ્ત્રીત્વ એ ઝંડા ફરકાવીને કે વિરોધ પ્રદર્શન કરીને સાબિત કરવાની વસ્તુ કે વિચાર નથી. ખરેખર તો એ લખવાનો વિષય રાખવો પડે છે એ જ પીડા છે. એક સ્ત્રીને માણસ સમજવું, સામાજિક અને બૌધિક સ્તરે એકસરખું માનવું એ ફેમિનીઝમની મુખ્ય વ્યાખ્યામાં આવી શકે. દરેક સ્ત્રીને સમાન સામાજિક હક મળે તે મુખ્ય હેતુ છે.

હજી મેટરનિટી લીવ માટે કે બાળકને ફિડીંગ આપવા બાબતે પણ સ્ત્રી એ અવરોધનો સામનો કરવો પડે છે. હજી આજે પણ એણે સેકન્ડ જેન્ડર હોવાને કારણે સમાજમાં એક પગથિયે નીચે ઊભા રહેવું પડે. એ સ્ત્રી છે આથી તેને સમજણ ના પડે કે અગત્યના નિર્ણયમાં એને બોલવાની તક ના મળે. એને બૈરું કહીને બેસાડી દેવામાં આવે ત્યારે મક્કમ રહીને વિરોધ કરવો પડે. વૈચારિક અને બૌદ્ધિક સ્વતંત્રતા જાતે લેતા શીખવું પડે. પોતાના જ ઘરના પુરુષોની બીક રાખીને સહેમીને અજંપા કે રોષ સાથે જીવવાનો અર્થ નથી. પુરુષ માટે ગણાતા વ્યવસાયમાં દાખલ થવું કે બળાત્કારનો ભોગ બનેલી પીડિતા માટે ભાષણ ઠોક્વાને બદલે પોતાના જ વાતાવરણમાં હાવભાવ, વર્તન, ભાષા દ્વારા પૂરેપૂરા આત્મવિશ્વાસ સાથે પોતાનો વિચાર કહેવો, વહેતો કરવો અને તેનું અમલીકરણ કરો તો નારીનો વાદ કે વિવાદ નહિ નારીચેતનાના પાયા નંખાઈ શકે.

ફેમિનીઝમ એટલે કે નારીવાદની તરફેણ અને વકીલાત કરવાને બદલે કે તે માટે વિવાદ કરવાને બદલે નારી-ચેતનાની વાત થાય તે જરૂરી છે.

સૌજન્ય : ‘વુમનોલોજી’ નામે લેખિકાની કોલમ, ‘મધુરિમા’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”, 08 ફેબ્રુઆરી 2016

https://www.facebook.com/meghanimesh/posts/10205936005612587

Loading

...102030...3,6123,6133,6143,615...3,6203,6303,640...

Search by

Opinion

  • ધર્મેન્દ્ર – નોટ જસ્ટ અ હી-મેન 
  • આસ્થા અને ભ્રમ વચ્ચે જન્મેલી સચ્ચાઈ; પંથની  ગાથાનો એક છૂપો પક્ષ
  • પ્રિટર્મ બેબી – ધ યુનિક જર્ની ઑફ ફેઈથ એન્ડ ફિયર 
  • કામિની કૌશલ: અધૂરી મહોબ્બત અને સ્ત્રીના કર્તવ્યનો સિનેમાઈ ઇતિહાસ
  • જય ભીમ’ ખરેખર શું છે? 

Diaspora

  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ
  • મારી દુનિયાનાં તમામ બાળકો

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved