Opinion Magazine
Number of visits: 9554931
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

તિરે જલવોં ને …

મોહન કાછિયા|Opinion - Opinion|17 March 2016

तिरे जलवों ने मुझे घेर लिया है ऐ दोस्त
अब तो तन्हाई के लम्हे भी हसीं लगते हैं

                                                     ~ सीमाब अकबराबादी

તમારાથી હું એટલો બધો અભિભૂત રહ્યો છું કે જ્યારે તમે હવે નથી, ત્યારે ય તમારામાં ખોવાયો ખોવાયો રહું છું. એકલો પડું છું ત્યારે તે સમયગાળો હવે મને ક્ષુબ્ધ કરી શકતો નથી. કેમ કે હું તમારા વિચારોમાં ખોવાયેલો રહું છું. આમ હું તમારામય રહું છું અને તેથી હું સુખ પામતો રહ્યો છું.

ચોમેર જાણીતા સજ્જન જીતુભાઈ દવેનું 01 માર્ચ 2016ના અવસાન થયું. શાયર સીમાબ અકબરાબાદી ઉપર દર્શાવે છે તેવી ક્ષમતાના એ માણસ.

આજથી લગભગ સાડાઆઠ દાયકા પર, 16 માર્ચ 1931ના રોજ, બેંગકોંક (થાઇલૅન્ડ) ખાતે, મૂળ ભાવનગરના એક હિન્દી પરિવારમાં, જન્મેલા જીતેન્દ્રભાઈ નર્મદાશંકર દવેના જીવન ઘડતરમાં મુખ્યત્વે ત્રણ પાસાં રહ્યાં : સંસ્કાર, સંતસમાગમ અને સાહિત્ય.

એક બ્રાહ્મણ બાળકને સહજ પ્રાપ્ય સંસ્કાર : યજ્ઞોપવિત, ધર્મ, શિક્ષણ, જ્ઞાન, કર્મકાંડ, ભક્તિ-સેવા આદિ સંસ્કાર જીતુભાઈને કુટુંબ, શાળા-કૉલેજ, સમાજ, દેશકાળમાંથી સ્વાભાવિક રીતે જ પ્રાપ્ત હતા. એમણે સ્નાતક સુધીનો અભ્યાસ ભાવનગરમાં રહી કર્યો હતો. સેવાધર્મ, સંતસમાગમ અને સાહિત્ય એ જીતુભાઈના જન્મજાત સંસ્કારો હતા, એમ કહી શકાય. પૈતૃક વારસામાં મળેલા હીરાના વ્વયવસાય કરતાં જીતુભાઈનું મન શ્રીમદ્દ રાજચંદ્રની જેમ શરૂઆતથી જ અધ્યાત્મમાં વધારે રચ્યું પચ્યું રહેતું હતું. અને સંતોની સેવા શુશ્રૂષા કરનાર જીતુભાઈ ઉપર બ્રહ્મલીન સ્વામી કૃષ્ણાનંદ સરસ્વતીના ‘માનવસેવા એ જ પ્રભુસેવા અને હરિનામ સંકીર્તન’ની ઘેરી અસર જોવા મળે છે. આ બે પ્રવૃત્તિઓ જ્યાં જ્યાં થતી જોવાં મળતી ત્યાં ત્યાં જીતુભાઈની હાજરી અવશ્ય જોવા મળતી.

ભારતના રાષ્ટૃપિતા મહાત્મા ગાંધીના જીતુભાઈ પરમ ઉપાસક અને અનુયાયી. ગાંધીજીવન અને સાહિત્યનું અનુશીલન અને પ્રવૃત્તિઓનું અનુસરણ જીવનમાં સાર્થક કરવા એ સતત પ્રયત્નશીલ રહેતા. ગાંધીજીની જેમ એ સર્વધર્મ સમભાવમાં માનતા હતા. એમને સાંપ્રદાયિક કેડી અથવા મઝહબી જડતા − પાગલપણું ક્યારે ય સ્પર્શ્યાં નથી. જીતુભાઈ સામાજિક નાતજાતના ભેદભાવથી પર હતા. એમનામાં વૈચારિક – વ્યાવહારિક જડતા ક્યારે ય જોવા મળી નથી. જીવનમાં દશે ય દિશાઓમાંથી આવતા શ્રેષ્ઠ અને ભદ્ર વિચારોને એમણે સદાય આવકાર્યા અને સંઘર્યા છે. વેદ, ઉપનિષદ, ગીતા, રામાયણ, મહાન પુરુષોનાં જીવનચરિત્રો એમના જીવનનું ભાથું હતું. અન્યને ઉપયોગી થવામાં જીતુભાઈએ ક્યારે ય પાછી પાની કરી નથી.

જીતુભાઈને મળવું એટલે काव्यशास्त्र विनोदेन कालोगच्छति धीमताम्। જીતુભાઈની હાજરી એટલે કાવ્ય, સાહિત્ય, કલા, અધ્યાત્મશાસ્ત્ર, સેવા આદિ વિષયોની ચર્ચા અને પ્રવૃત્તિ. ‘મહાત્મા ગાંધી ફાઉન્ડેશન’ની સભા હોય કે પછી ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ની સભા હોય, ત્યાં જીતુભાઈની હાજરી અચૂક હોય જ. આવી અનેકવિધ પ્રવૃત્તિઓમાં એમણે અનેકોને પ્રોત્સાહિત અને પ્રેરિત કર્યા છે. પ્રાર્થના અને યોગ એમના જીવનનો નિત્યક્રમ. મને યાદ છે ત્યાં સુધી જીતુભાઈ પંચોતેર વર્ષની ઉંમરે પણ નિયમિત રીતે યોગાસનો કરતા ! તેમાં મુખ્યત્વે શીર્ષાસન રહેતું.

વિદ્વાન, મહામના અને ભવ્યસુલભા જીતુભાઈનાં પત્ની મંદાકિનીબહેન − જીતુભાઈના જીવનનાં અઘરાં અને આકરાં અનેક ચઢાણ-ઊતારમાં જીતુભાઈના પડખે શિલાની જેમ ઊભાં રહ્યાં છે. મંદાકિનીબહેન જીતુભાઈના અનેક સાર્થક અર્થમાં છાયા જ રહ્યાં. छायैवान्वगच्छत, મંદાકિનીબહેન !

જીવનમાં માનવીય મર્યદાઓ કરતાં शांताकृति उदारधी-मना જીતુભાઈ માનવીય સદ્દગુણોના ભંડાર હતા. પરમ ગહન સેવાધર્મ એમને સહજ સુલભ હતો. ઓશોના શબ્દોમાં કહીએ તો ‘આત્માની અનંત યાત્રામાં જીતુભાઈનો જીવાત્મા આ પૃથ્વી નામક ગૃહ ઉપર ગૂજરી ગયો – પસાર થઈ ગયો.’ સદ્દગત જીતુભાઈને માટે ક્યારેક કેવું કેટલું અને કેવી રીતે કહેવું એ મારે માટે શક્તિ બહારને અને અતિ મુંઝવણભર્યો વિષય છે. અંતમાં આટલું કહી વિરમીશ : ‘મંગલ મંદિર ખોલો દયામય’ એમ કહેવા કરતાં જીતુભાઈને માટે આમ કહેવું વધારે ઉચિત લાગશે.

પધારો મંદિર મંગલે હરિ તરસ્યા;
હરખ્યા હરિ હરખે હરખે સંભારે.

કારણ : જીતુભાઈએ આ જીવન હવે ભૂતમાં જ મંગલ મંદિરનાં દ્વાર ખોલી નાખ્યાં હતાં. જીતુભાઈનું પ્રતિગમન – મૃત્યુ એ શોક નહીં પરંતુ શાંતિ અને આનંદની અનુભૂતિ અને અભિવ્યક્તિ છે.

बादले गुलिस्ताँ बन कर जहाँ में
आप बरशे अौर बिखर गये,
हवाओं में महेंकती हुई रुह
आज भी कराती है एहसास आपका।

[37 Berkley Road, Kingsbury, LONDON NW9 9DH, U.K.]

Loading

ગુણવત્તાના નામે ગુજરાતી ફિલ્મોને ગજવામાં ઘાલવાની નીતિ!

મનીષી જાની|Samantar Gujarat - Samantar|17 March 2016

ઠેઠ ૧૯૩૨માં પહેલી ગુજરાતી ફિલ્મ બની હતી. આપણા મહાકવિ નરસિંહ મહેતા પર બનેલી આ ફિલ્મના દિગ્દર્શકે એ જમાનામાં આ ફિલ્મ બનાવવા ઘણી મહેનત કરેલી. દિગ્દર્શક નાનુભાઈ વકીલે આ ફિલ્મની સ્ક્રિપ્ટ કનૈયાલાલ મુનશી, કવિ ન્હાનાલાલ, પ્રભુલાલ દ્વિવેદી અને સાક્ષર આનંદશંકર ધ્રુવને પણ વંચાવીને તેમનાં સૂચનો લીધેલાં. આનંદશંકરે તો તેમને સલાહ આપેલી કે ફિલ્મનું નામ સીધુંસાદું ‘નરસિંહ મહેતા’ જ રાખો, જેથી જનસમુદાય સમજી શકે અને ફિલ્મમાં ચમત્કારો સહેજ પણ લાવ્યા વિના નરસૈયાના આચાર-વિચાર અને તેમના તપોજ્ઞાનને ઉજાગર થાય એવું જ કરજો.

અને એ પ્રમાણે જ સાત વાર સ્ક્રિપ્ટ લખાયા પછી જ આ ફિલ્મ બનાવવા નરસિંહ મહેતા અને તેમના જીવન સાથે સંકળાયેલાં પાત્રો કેવાં હોઈ શકે, એ સમયનું જૂનાગઢ કેવું હોઈ શકે ? એ બધાં જ પાત્રો અને લોકેશન માટેનાં સ્કેચ ગુજરાતના કલાગુરુ રવિશંકર રાવલ પાસે બનાવડાવ્યાં અને નાગરકુટુંબોની લગ્નવિધિઓથી માંડી તમામ ઝીણવટભરી બાબતોનો અભ્યાસ કરી આ ફિલ્મ બનાવવામાં આવી હતી. નરસિંહ મહેતાના ઘરે લાગતું ખંભાતી તાળું પણ કેટલી ય વાર અમદાવાદની ગુજરીબજારમાં આંટા મારીને રવિશંકરે મેળવ્યું હતું જે ફિલ્મમાં વપરાયું હતું!

એ જમાનામાં આજથી ૮૫ વર્ષ પહેલાં જ્યારે ફિલ્મ ટેક્‌નોલૉજી અને સાધનો પૂરેપૂરાં વિકાસ પામ્યાં ન હતાં ત્યારે કૅમેરામેનથી માંડી ટેક્‌નિશિયનોએ દૃશ્યો ગોઠવતાં ઘણી મર્યાદાઓ અને કારમી મજૂરીનો સામનો કરવો પડતો હતો. એ અરસામાં આવી ઝીણવટોનું ધ્યાન રખાતું હતું, ત્યારે મનમાં સવાલ ઊઠે કે તો સમયમાં તેનાથી ચડિયાતી ઉત્તમ ગુજરાતી ફિલ્મો આપણને મળવી જોઈતી હતી, કેમ ન થયું ? આજના ડિજિટલ યુગમાં આ બધું વિચારવું જરૂરી બની રહે છે.

શહેરોમાં વસતો ગુજરાતી મધ્યમ વર્ગ હિંદી ભાષા સમજવામાં દક્ષિણનાં રાજ્યો અને બંગાળથી આગળ છે. પાંચમા ધોરણથી હિન્દી શીખવાને લીધે અને ગુજરાતીની નજીકની ભાષા હોવાથી તેણે હિન્દી ફિલ્મોને જોવા માટે સહજતાથી સ્વીકારી અને મુંબઈમાં હિંદી ફિલ્મ – ઇન્ડસ્ટ્રીઝમાં મોટા ભાગે ગુજરાતી અને રાજસ્થાની નિર્માતાઓ રહ્યા છે. વ્યાપક દર્શકગણ મળવાના ધંધાકીય ગણિતને લઈ ગુજરાતી હિંદી ફિલ્મોમાં જ રોકાણ કરવાનું મુનાસિબ માને છે. તેને કારણે ગુજરાતી કલાકારો, છબીકારો, સંકલનકારો, અન્ય ટેક્‌નિશિયનોનું હિંદી ફિલ્મ-ઇન્ડસ્ટ્રીઝમાં મોટું પ્રદાન રહ્યું છે. અને તે કારણે જ મહદ્‌અંશે ગુજરાતી ફિલ્મ-ઇન્ડસ્ટ્રીઝ ઉપેક્ષિત રહી.

૧૯૬૦માં ગુજરાત રાજ્ય અલગ બન્યું હતું અને હિંદી ફિલ્મના જાણીતા કલાકારોને લઈ બનેલી ‘મહેંદી રંગ લાગ્યો’ અને ‘અખંડ સૌભાગ્યવતી’ જેવી ફિલ્મોને ગુજરાતનાં શહેરોમાં વિશેષ કરીને ગૃહિણીઓમાં ઘેલું લગાડ્યું અને તેમાં આકર્ષણનું કેન્દ્ર હિંદી ફિલ્મ અભિનેતા-અભિનેત્રીઓ ઉપરાંત ગુજરાતનાં લોકેશન્સ, લગ્નગીતો અને ખાસ તો નારીકેન્દ્રી વાર્તાને લઈ આ બંને ફિલ્મોએ રજતજયંતી ઊજવી હતી. સાથેસાથે શહેરીકરણને લઈ ગ્રામીણ પરિવેશમાંથી આવેલા પરિવારોમાં આ ફિલ્મોએ ઘણું આકર્ષણ જમાવ્યું.

એ પછી તો ગુજરાત સરકારની ગુજરાતી ફિલ્મો માટે ટૅક્સ ફ્રીની નીતિને કારણે આઠમો દાયકો ગુજરાતી ફિલ્મોનો ગોલ્ડન પિરિયડ કહેવાયો. ૧૯૭૧થી માંડી ૧૯૮૦ સુધીમાં ગુજરાતી ફિલ્મોના આરંભથી માંડી ૧૯૭૦ સુધી બનેલી કુલ ફિલ્મો કરતાં આ દસકામાં બનેલી ફિલ્મોની કુલ સંખ્યા ઘણી બધી વધી જાય છે.

૧૯૭૧માં પહેલી ઇસ્ટમેનકલર ફિલ્મ જાણીતી ‘જેસલ-તોરલ’ની પ્રણયકથા પરની હતી, જેમાં લોકપ્રિય ગુજરાતી નાટ્યકલાકારો ને લોકપ્રિય લોકગાયકો ઇસ્માઇલ વાલેરા અને દીવાળીબહેન ભીલ હતાં. રવીન્દ્ર દવે દિગ્દર્શિત આ ફિલ્મે એક નવી હલચલ ઊભી કરી. અને આ દિગ્દર્શક રવીન્દ્ર દવેએ ૧૯૭૧થી માંડી ૧૯૮૧ સુધીમાં ૨૪ ગુજરાતી ફિલ્મોનું દિગ્દર્શન કર્યું છે.

હરિયાળી ક્રાંતિ અને રોકડિયા પાક જેવા કે મગફળી ને કપાસને લઈ અને ખાસ તો જમીન-સુધારણાના કાયદાના અમલને લઈ ગ્રામીણ મધ્યમવર્ગમાં રૂપિયા ખરચવાની તાકાત વધી. તેમની પાસે શિક્ષણ ન હતું. મનોરંજનમાં પરંપરાગત લોકકથાવાર્તા, ભવાઈ અને ડાયરાને રાસ-ગરબા હતા અને તેને લઈને જાણીતી દંતકથાઓ અને લોકસંગીતના મસાલાઓથી ભરપૂર ફિલ્મોમાં મોટો દર્શકવર્ગ મળતો અને ટૅક્સ ફ્રીએ પણ મહત્ત્વની ભૂમિકા ભજવી.

૧૯૯૦થી ગુજરાતી ફિલ્મોના વળતાં પાણી શરૂ થતાં દેખાય છે. ઑડિયો કૅસેટ્‌સ, વીડિયો-કૅસેટ્‌સ અને કમર્શિયલ ગુજરાતી ટીવી શ્રેણીઓએ, ફિલ્મ કરતાં પણ સસ્તાં મનોરંજનના દરવાજા ખોલ્યાં. ૧૯૯૦ની આસપાસ બનેલી છ ગુજરાતી ફિલ્મોનો મેં તે સમયે અભ્યાસ કર્યો હતો. આ ફિલ્મો ટેક્‌નિકલી ખૂબ જ નિમ્ન ક્વૉલિટીની હતી અને એક જ સ્ટુડિયોસેટ પર બધી ફિલ્મો બની હોય એમ એક સરખી રાજાશાહીના સમયની વાર્તાઓ અને તેમાં તદ્દન હલકી ગુણવત્તાની એક જ પ્રકારની રમૂજો દેખાતી હતી. સ્ટિરિયો ટાઇપ ગરબા-રાસ ભરચક હતા. માત્ર સરકારી સહાય અને કેટલાક ગ્રામીણ અને શહેરી ચોક્કસ દર્શકો માટે જ આ ફિલ્મ બનતી હોય એ સ્પષ્ટ દેખાતું હતું.

૧૯૯૦ પછી એક નોંધપાત્ર વાત એટલી બની કે સૌરાષ્ટ્રની દંતકથા-લોકકથાઓની જગ્યાએ ઉત્તર ગુજરાતનાં લોકગીતો, દંતકથાઓએ સ્થાન લીધું. શ્વેતક્રાંતિ અને સિંચાઈની સગવડો વધતાં કદાચ તેને કારણે ઉત્તર ગુજરાતમાં દર્શકો વધ્યા હતા તેમ ગણી શકાય. જેમાં મણિરાજ બારોટ જેવા લોકકલાકારોની બોલબાલા થઈ. ઠાકોરસમાજના અને દલિતસમાજના કલાકારોનું ગુજરાતી ફિલ્મોમાં મહત્ત્વ વધ્યું તે નોંધપાત્ર છે.

મણિરાજ બારોટના સનેડાએ આખા ગુજરાતને ઘેલું લગાડ્યું અને નવી વીડિયો ટેક્‌નોલોજીના વિકાસને લઈ વીડિયો આલ્બમોની બોલબાલા વધી. વીસીડી-સીડી ટેક્‌નોલૉજીએ મનોરંજન વધુ સસ્તું બનાવ્યું.

ગુજરાત રાજ્યમાં ગુજરાતી ફિલ્મના વિકાસ માટે બનેલું ફિલ્મ – ડેવલપમેન્ટ કૉર્પોરેશન, જેને વીડિયો ઍડિટિંગ સુવિધાઓ પણ ઊભી કરી હતી, તેનો સરકારી સભ્યોએ ગેરલાભ લીધો. ગુજરાતી ફિલ્મોનો ઉદ્ધાર ન થયો, પરંતુ આ ગુજરાતી ફિલ્મ, ડેવલપમેન્ટ કૉર્પોરેશનના ચૅરમેને કહેવાય છે કે એક વર્ષે તો આખું બજેટ ‘માનવીની ભવાઈ’ ફિલ્મ-નિર્માણમાં વાપરી નાંખ્યું! પોતે જ દિગ્દર્શક, પોતે જ દુકાળપીડિત કાળુનું પાત્ર ભજવનાર હીરો!

ખોટ કરતાં કૉર્પોરેશનનો બંધ કરવાં એવા નીતિગત નિર્ણયના ભાગ તરીકે નવી સદીની શરૂઆતમાં આ ગુજરાત ફિલ્મ-ડેવલપમેન્ટ કૉર્પોરેશનને બંધ કરી દેવાયું.

અને સરકારે જાણે ગુજરાતી ફિલ્મોમાંથી રસ લેવાનો જ ઓછો કરી નાંખ્યો. ૧૯૯૯માં ગુજરાતી ફિલ્મો માટે જે નીતિ બનાવી, તેમાં દરેક ફિલ્મને પાંચ લાખ રૂપિયાની સહાય આપવી તેમ નક્કી થયું અને ૨૦૧૩થી તો સહાય પણ બંધ કરી દેવાઈ!

પ્રોત્સાહન તરીકે અપાતાં શ્રેષ્ઠ ગુજરાતી ફિલ્મોના ઇનામો પણ ગયા વર્ષે એકસામટાં-ત્રણ-ચાર વર્ષનાં ભેગાં-સરકારી કચેરીમાં કલાકારોને એક દિવસ બોલાવી ચુપચાપ થેલાઓમાં મૂકી પકડાવી દેવાયાં! કોઈ કાર્યક્રમ કરવાની દરકાર પણ સરકારે ન દાખવી!

પણ છેલ્લાં બે વર્ષમાં મલ્ટીપ્લેક્ષ થિયેટરો અને મૉલકલ્ચરને લઈ જે ૧૦૦થી માંડી ૩૦૦ જેટલી સીટોની સુવિધાવાળા ફિલ્મહૉલ ઊભાં થયાં, તેમાં થયેલા એકાએક વધારાને લઈ અને ડાયરેક્ટ સેટેલાઇટ પ્રોનેકવાન કરવાની ટેક્‌નોલૉજીના વિકાસને લઈ પરંપરાગત ફિલ્મ- ડિસ્ટ્રિબ્યુટરોની મૉનોપૉલી તૂટી, ડિજિટલ ટેક્‌નોલૉજીને કારણે ફિલ્મોમાં ખર્ચ ઘટ્યા અને ગુણવત્તા વધી અને નાટક અને ફિલ્મની તાલીમ લીધેલા યુવાકલાકારોને વધવાને લઈ જે ગુજરાતી ફિલ્મ પ્રોનેકવાન ઇન્ડસ્ટ્રી, વર્ષે સાત-આઠ કરોડનો ધંધો કરતી હતી તેણે ગયા વર્ષે પંચાવન કરોડનો ધંધો કર્યો! શહેરી શિક્ષિત અને મધ્યમવર્ગના યુવાનોના પ્રશ્નો, આધુનિક સંગીત અને મધ્યમવર્ગની ભાષામાં અને ખાસ તો શહેરી ઑર્ગેનિક જીવનને સ્પર્શવાની રમૂજોના ઉપયોગને લઈ આ ફિલ્મો શહેરી યુવાનોમાં આકર્ષણનું કેન્દ્ર બની રહી છે, એવું અત્યારે લાગી રહ્યું છે.

ગુજરાતી ફિલ્મોને લઈ નિષ્ક્રિય થઈને બેઠેલી ગુજરાત સરકાર પણ આ ગુજરાતી ફિલ્મોના વધતાં આકર્ષણને લઈ સફાળી જાગી અને જાણે કે આ ઇન્ડસ્ટ્રી અને ફિલ્મકલા માટે પોતાનો કંટ્રોલ રહે તેવા કંઈક આશયથી જ એણે હમણાં ‘ગુજરાતી ચલચિત્રો માટે ગુણવત્તા સમન્વિત પ્રોત્સાહક નીતિ-૨૦૧૬’ની જાહેરાત કરી છે. આ નીતિમાં જણાવ્યું છે કે ગુજરાતી ફિલ્મોની ગુણવતા અન્ય પ્રાદેશિક ચલચિત્રો કરતાં ઉપરની કક્ષાની છે અને તેમાં સુધારો થાય, ગુજરાતી ફિલ્મોના વિકાસ થાય, એ આશયથી આ પ્રોત્સાહક નીતિ અપનાવવામાં આવી છે.

આ નીતિ અન્વયે શ્રેષ્ઠ ફિલ્મોના ઇનામની રકમ બેવડી કરાઈ છે, જે આવકારદાયક છે. ઘણાં વર્ષોથી જે રીતે રૂપિયો ઘસાઈ ગયો છે, તે પ્રમાણે ઇનામો અત્યાર સુધી ઘણાં મામૂલી લાગતાં હતાં. ખાસ તો દરેક જે ફિલ્મ રીલિઝ થાય એને અપાતાં પાંચ લાખ રૂપિયા બંધ કરી દેવાયા છે અને ગુણવત્તાના નામે પાંચ કરોડથી માંડી પાંચ લાખ સુધીની આર્થિક સહાય આપવાનું નક્કી કરાયું છે.

ઓસ્કાર જેવા આંતરરાષ્ટ્રીય ઍવૉર્ડ મેળવતી ગુજરાતી ફિલ્મોને પાંચ કરોડથી માંડી બે કરોડની રકમ રખાઈ છે, જે લગભગ કોઈને આપવાની વાસ્તવમાં થાય નહીં. એક બાજુ તો હજી ગુણવતા સુધારવાની છે, તો ઓસ્કારની વાત તો કેટલી દૂર કહેવાય?!

આ નીતિ અન્વયે ગુણવત્તા તપાસવા સરકાર દસ તજ્‌જ્ઞો અને ચાર સરકારી અધિકારી એમની સાથે રહી કમિટી બનાવશે, જેમાં વિવિધ પ્રકારની ગુણવત્તાના ગુણ નક્કી કરાયા છે, તેમાં સ્ક્રિપ્ટ, સંગીત, સેટ્‌સ, લાઈટ્‌સ ઇફેક્ટ, છબીકલા, લોકેશન વગેરેના કુલ ૮૦ ગુણ રાખ્યા છે અને ૨૦ ગુણ ફિલ્મ બે લાખથી વધારેથી માંડી દસહજાર દર્શકોએ જોઈ તેના ટિકિટોના વેચાણના પ્રમાણપત્ર પરથી મળશે. અને આ કુલ ૧૦૦ ગુણમાંથી તે ફિલ્મ ૮૦થી ઉપર ગુણ મેળવે તે ફિલ્મને ‘એ’ ગ્રેડ ગણવાની અને તેને ૫૦ લાખ રૂપિયા આર્થિક સહાય મળે. ૬૧થી ૮૦ ગુણ મેળવનારને ‘બી’ ગ્રેડ અને તે ફિલ્મને ૨૫ લાખ રૂપિયા સુધી આર્થિક સહાય અને ૫૧થી ૬૦ ગુણ મેળવનારને ‘સી’ ગ્રેડને ૧૦ લાખ અને ૪૧થી ૫૦ ગુણ મેળવતી ફિલ્મને ‘ડી’ ગ્રેડ અને ૫ લાખ રૂપિયાની સહાય. ૪૧થી નીચેના ગુણ મેળવનારને કશું જ નહીં.

૮૦થી વધી ગુણ મેળવનાર ફિલ્મ તો કોઈ રહેવાની શક્યતા નથી, એટલે ૨૫ લાખથી પાંચ લાખ વચ્ચેની રકમ સુધી મળવાપાત્ર સંભાવના રહે છે. આથી સિત્તેર વર્ષ પહેલાં પાંચ લાખ રૂપિયાની કિંમત હતી, તે આજના પચ્ચીસ લાખ જેટલી જ થાયને? સાથે-સાથે એવો નિયમ જોડ્યો છે કે, માત્ર જે ફિલ્મને ભારત સરકારના પ્રમાણપત્રબોર્ડ દ્વારા ‘યુ’ સર્ટીફિકેટ્‌સ મળ્યું હોય તે જ અરજીને માત્ર ગણાશે. ‘એ’ એટલે કે માત્ર પુખ્ત વયનાં દર્શકો માટેના પ્રમાણપત્રો ધરાવનારને આ સ્કીમ માટે ‘નાલાયક’ ઠરાવાશે ! ગુણવત્તા અને કહેવાતી નૈતિકતાને કેવો સંબંધ એ વિચારવાનો મુદ્દો બની રહે છે. હવે જો આવી ‘એ’ પ્રમાણપત્રવાળી ફિલ્મ ઓસ્કાર માટે નૉમિનેટ થઈ હોય તો પણ તેને ગુજરાત રાજ્ય માન્ય નહીં ગણે!

“જે ફિલ્મો અંધશ્રદ્ધા, સતીપ્રથા, દહેજપ્રથા, સામાજિક દૂષણો અને વિવાદિત મુદ્દાઓ વગેરેથી લોકોને ગેરમાર્ગે દોરતી હોય તેમ જ દેશ અને રાજ્યના હિતમાં કે પ્રજાના હિતમાં તેમજ અન્ય રીતે વાંધાજનક લાગતાં ચલચિત્રોને આર્થિક સહાય મળવાપાત્ર થશે નહીં.” જે મુદ્દાઓને ફિલ્મ પ્રમાણપત્ર બૉર્ડ પણ ધ્યાનમાં લે છે, તે ઉપરાંત ‘રાજ્યવિરોધી’ કે અન્ય વિવાદિત અન્ય રીતે વાંધાજનક તેવાં નાટકો સિફતપૂર્વક આ ગુણવત્તાના નામે ઘુસાડી દઈ સત્તાધારી સરકારે ફિલ્મો દ્વારા તેમની ખુશામત થાય, રાજકીય ફિલ્મ ન બને, એવા માપદંડો ઘડી દીધા!

અત્યારે આમ પણ ‘સરકારવિરોધી’ એટલે ‘રાજ્યવિરોધી’ એવો મત ઊભો કરાવી દીધો છે. થોડાં વર્ષો પહેલાં અભિનેતા આમીરખાન દિલ્હીમાં નર્મદાબંધના વિસ્થાપિતોના પ્રશ્નને લઈ ધરણાંના કાર્યક્રમમાં જઈ બેઠો, વિસ્થાપિતોને મેધા પાટકરને મળ્યો, એમાં તો તેને ગુજરાત વિરોધી ગણી તેની ફિલ્મ ‘ફના’ પર આડકતરો પ્રતિબંધ ગુજરાતમાં મુકાયો હતો, એ સૌ કોઈ જાણીએ છીએ.

વળી, બે વર્ષ પૂર્વે ‘ધ ગુડ રોડ’ નામની ગુજરાતી ફિલ્મ, જે આપણા દેશ તરફથી ઓસ્કારમાં નૉમિનેટ થઈ હતી, તેની સામે પણ જેમાં પરંપરાગત સેક્સવર્કર્સની વાત હતી અને તે પણ કચ્છના પ્રદેશમાં દર્શાવી હતી, ત્યારે પણ એ ફિલ્મ ગુજરાતવિરોધી છે, એવો વિરોધ ઊભો કરવામાં આવેલો.

આમ, ગુણવત્તાના નામે, અપ્રત્યક્ષ રીતે પણ ફિલ્મ-કલાકારો નાણાંની લાલચે સમાજના સળગતા સવાલો, રાજકીય વ્યંગ અને સરકારની વિચારધારાનો તો વિરોધ કરનારી ફિલ્મો બનાવવામાંથી અચકાશે એટલું નિશ્ચિંત છે. આ નીતિ તૈયાર કરનાર સમિતિમાં પણ એવાં જ સભ્યો મોટા ભાગે જોવા મળે છે, જેમણે ગત ચૂંટણીઓમાં સત્તાધારી પ્રશ્નને પ્રચાર કર્યો હોય યા તેમની સાથે એક યા બીજી રીતે સંકળાયેલા હોય.

ફિલ્મ સારી બને તે માટે ટેક્‌નિકલ માપદંડો જરૂર રાખી શકાય, તેના માટે ફિલ્મ-ઇન્સ્ટિટ્યૂટ કે એવી કોઈ ઉચ્ચ સંસ્થામાં શિક્ષિત – પ્રશિક્ષિત તજ્‌જ્ઞોને જરૂર રાખી શકાય એ જરૂરી છે. પણ વિષયવસ્તુ પર ‘રાજ્યવિરોધી’ જેવા પ્રમાણો આપી ન શકાય.

દેશના બંધારણની અવગણના કરનાર ન હોય એનાથી વધારે તો કોઈ કલાકૃતિ પર, અભિવ્યક્તિસ્વાતંત્ર્ય પર બંધન ન જ હોઈ શકે. આ નવી ફિલ્મનીતિને લઈ સરકાર ગુજરાતી ફિલ્મોની ગુણવત્તા માટે ગંભીર છે, તેના કરતાં તેને પાંજરે પૂરવાની પેરવી કરવા માટે વધુ તત્પર છે, એવું કહેવું યોગ્ય જ લેખાશે.                  

E-mail : manishijani@hotmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 16 માર્ચ 2016; પૃ.15-17 

Loading

અનુવાદકોને પોતાનાં મૂલ્યને ઓળખવા-ઓળખાવવાનો સમય પાકી ગયો છે

રૂપાલી બર્ક|Opinion - Literature|17 March 2016

એક ભાષામાંથી બીજી ભાષામાં સાહિત્ય સહિત તમામ જ્ઞાનશાખાઓ વચ્ચે આદાન-પ્રદાનને અનુવાદ થકી માનવસંસ્કૃિતને સમૃદ્ધ બનાવવાનું અતિ મહત્ત્વનું અને અતિ કઠિન કર્મ અનુવાદકો સદીઓથી ખૂબ ખંતપૂર્વક કરતા આવ્યા છે. આ તમામ પ્રક્રિયામાં અનુવાદકો એક ભાષામાં કેદ/સીમિત ગ્રંથને આઝાદ કરી બીજી ભાષામાં તેનું પુનરુત્થાન કરે છે. આમ, અનુવાદ ભાષાસમાજો અને સંસ્કૃિતઓ વચ્ચેનો અમૂલ્ય સેતુ છે અને અનુવાદકો એ સેતુને બાંધવાનું ભગીરથ કાર્ય કરે છે. કોઈ પણ દેશ/પ્રદેશ પોતાનો ઇતિહાસ તપાસશે, તો આ બાબત પુરવાર થયા વિના નહીં રહે. અનુવાદોના પરિણામે માનસિક ક્ષિતિજોનો ઉઘાડ થાય છે, પોતાના સિવાયના સમાજોમાં કેવું સાહિત્ય/જ્ઞાન સર્જાય છે, તે જાણવા મળે છે અને સૌથી અગત્યનું કે પોતાના સમાજના સાહિત્ય/જ્ઞાનવારસાને બીજા સુધી પહોંચાડી શકાય છે. બીજા ભાષાસમાજોમાંથી પોતાના ભાષાસમાજમાં અને પોતાના ભાષાસમાજમાંથી અન્ય ભાષાસમાજ વચ્ચેના અનુવાદોની માત્રા થકી જે-તે ભાષાસમાજનું આદાન-પ્રદાન કરવાનું વલણ માપી શકાય છે.

અનુવાદનું ક્ષેત્ર ખૂબ વિશાળ છે અને તેના અનેક પ્રકારો/શાખાઓ છે. મુખ્યત્વે અનુવાદ બે ભાગમાં વહેંચી શકાય : સાહિત્યિક અને બિનસાહિત્યિક. વળી, બન્નેમાં કેટલા ય પેટા વિભાગો છે, જે મુજબ અલગ-અલગ પ્રકારની સંવેદનશીલતા અને સજ્જતાની જરૂર પડે છે. સાહિત્યિક અનુવાદમાં કવિતાનો અનુવાદ વાર્તાના અનુવાદ કરતાં જુદી કુશળતા માગી લે છે. બિનસાહિત્યિક અનુવાદમાં સમાજશાસ્ત્રના પુસ્તક માટે જોઈએ, એના કરતાં જુદી સજ્જતા કાનૂની પુસ્તકના અનુવાદ માટે જરૂરી હોય છે. આ વાત લોકોને સમજાતી નથી, એટલે જાણે કે તમે ‘અનુવાદક’ છો, તો કુંડલિનીને લગતાં પુસ્તકનો અનુવાદ કરી આપવાનું કહે પણ સમજે નહીં કે આવું પુસ્તક હાથમાં લેતાં અનુવાદક યા તો બિનસાહિત્યિક અનુવાદ કરતા જ ના હોય અથવા આવા વિષયના જાણકાર ના હોય અને સૌથી મહત્ત્વનું કે એમને આવા વિષયમાં રુચિ ના હોય.

વળી, આ તો અનુવાદક્ષેત્રને લગતી ગુજરાતમાં છવાયેલી અજ્ઞાનતાની હિમશીલાની ટોચ જેટલી જ ઝલક માત્ર છે. અનુવાદ વિશે જોઈએ તેટલી જાગૃતિ ગુજરાતમાં પ્રવર્તતી નથી. અને ના તો આ વ્યાવસાયિક નિપુણતાની કદર છે. આ વિશે વિગતવાર લખવા બેસીએ, તો પુસ્તકોનાં પુસ્તકો લખાય. પ્રસ્તુત લેખનો હેતુ, ખાસ કરીને ગુજરાતમાં થતી અનુવાદકોની અવહેલના વિશે વાત કરવાનો છે.

હાડકાંની બીમારી હોય, તો આંખના સ્પેશ્યાલિસ્ટ પાસે ના જવાય એવું સમજાય પણ અનુવાદકોમાં પણ એવું હોય એ વાત ગળે ના ઊતરે.  અને અનુવાદકને નાણાં ચૂકવવા જોઈએ, ચૂકવવા પડે, એની તો વાત જ ક્યાં? વકીલ પાસે કે ડૉક્ટર પાસે ‘ઍપોઇન્ટમૅન્ટ’ લીધા વગર કે ‘ચાર્જ’ ચૂકવ્યા વગર જેમ જવાનો વિચાર પણ ન કરાય એમ અનુવાદક પણ વ્યાવસાયિક છે, તે યાદ રાખવું જોઈએ. અુનવાદકોનો એક આખો વર્ગ એવો છે (કમર્શિયલ અનુવાદકો) જે સંપૂર્ણપણે વ્યાપારી ધોરણે કાર્ય કરે છે અને નાણાંની ચોખ્ખી વાત, એડવાન્સ પૅમેન્ટ સહિત, કર્યા સિવાય કામ હાથમાં લેતા નથી. એવા પણ અનુવાદકો છે, જે કોઈને પુસ્તક કે થીસિસ નાણાં લઈને (‘ઘોસ્ટ ટ્રાન્સલેટર’) અનુવાદ કરી આપતા હોય છે પણ એ અનુવાદકોની જમાત સાવ જુદી છે. આવા અનુવાદકો માટે અંગત રુચિ કે નૈતિક સિદ્ધાંત કે આવા અનુવાદથી સમાજને થતાં સામાજિક-સાંસ્કૃિતક લાભ કે નુકસાન જેવી બાબતો ગૌણ હોય છે.

ગંભીર અથવા તો સાચા અને સારા અનુવાદો સંદર્ભે આપણે જાણીએ જ છીએ કે ગુજરાતમાં જરૂરી પ્રોત્સાહન મળે તેવા પ્રયત્ન હજુ થવાના બાકી છે. જે થાય છે તે છૂટાછવાયા પ્રયાસો છે અને વ્યક્તિગત ધોરણે થાય છે. સંસ્થાકીય ધોરણે ખાસ કંઈ થતું નથી. આ ક્ષેત્રમાં એટલી તો આંટીઘૂંટીઓ છે કે ના પૂછો વાત. લેખકો કરતાં અનુવાદકો ઊતરતા, અનુવાદ કરવો એ બચ્ચાંનો ખેલ છે, અનુવાદકોને ક્યાં કોઈ મહેનત પડે છે? અનુદિત પુસ્તકના મુખપૃષ્ઠ પરથી, પુસ્તક-વિમોચનના કાર્યક્રમની આમંત્રણ-પત્રિકા તથા કાર્યક્રમ દરમિયાન અનુવાદકોનાં નામની બાદબાકી એ જાણીબુઝીને કરવામાં આવતું અનુવાદકનું શોષણ, હાંસિયાકરણ નથી, તો શું છે? અચાનક કોઈ પરિચિત કે અપરિચિત લેખકનો ફોન આવે અને સમય છે કે નહીં, ઇચ્છા છે કે નહીં, એની દરકાર કર્યા વગર (નાણાકીય વ્યવહારનો તો ઉલ્લેખમાત્ર નહિ) તમે એમના પગારદાર હોવ એવા ઠસ્સાથી એકાદ વાર્તા કે બે-પાંચ કવિતા કે એકાદ એકાંકીનો અને ક્યારેક તો આખા સંગ્રહનો અનુવાદ કરી નાંખવાનું કહી દે. ત્યાર બાદ કૃતિ પ્રકાશિત થાય, તો જણાવે પણ નહીં, નકલ આપવાનો તો વિવેક જ નહીં. એવા પણ કિસ્સા બન્યા છે, જ્યારે કવિના નામ સાથે એ નામ ઘેર-ઘેર બોલાતું નામ છે, એવી નોંધ હોય ને અનુવાદક તરીકે મારું નામ ગાયબ હોય! બચાવમાં લેખક મહાશય દલીલ એવી કરે કે અનુવાદકનું નામ લખીને મોકલાવેલું પણ શું ખબર કેમ છપાયું નહીં. મારી ભૂલ એટલી કે ફલાણા રાજ્યના એક સામયિકમાં મોકલવા અંગ્રેજી અનુવાદ જોઈએ છે તો કરી આપોને એવી લેખક મહાશયની માંગણીને સાવ સાલસતા અને સજ્જનતાથી સ્વીકારતા પહેલાં જરૂરી તકેદારી લીધી ન હોય. અનુવાદક તરીકેના બે દાયકા ઉપરનાં મારા કાર્ય દરમિયાન આ મારો જાતઅનુભવ રહેલો છે, તેથી આવી ચેષ્ટાઓના પુરાવા પણ છે. કહેવાતા સુસંસ્કૃત સમાજ અને સાહિત્યજગત તરફથી આવા અનેક દુઃખદ અનુભવો થવાને કારણે નર્યા સેવાભાવથી અનુવાદ કરી આપવાની ઇચ્છા જાણે મૂર્ખતા લાગે છે.

હાલ ઑક્સફર્ડ યુનિવર્સિટી પ્રેસ માટે સાહિત્યિક અનુવાદોનું સંપાદન કરતા સુશ્રી મીની ક્રિષ્નન (સંપાદનકાર્ય ઉપરાંત દાયકાઓથી તેઓ અનુવાદ અને અનુવાદકોને લગતાં વિવિધ નૈતિક, કાનૂની, સાંસ્કૃિતક, વગેરે પાસાંઓ/સમસ્યાઓ/જોખમો અંગે મોટા ભાગે ‘ધ હિન્દુ’માં એકધાર્યું લખીને વાચકો, લેખકો, પ્રકાશકો, સાહિત્યિક સંસ્થાઓને શિક્ષિત-દીક્ષિત કરવાનું અજોડ કાર્ય કરી રહ્યાં છે.) એમના એક લેખમાંથી નીચે આપેલાં મારા અનુવાદ દ્વારા સ્પષ્ટ થાય છે કે ગુજરાતમાં પરિસ્થિતિ આથી જુદી નથી :

“બહુ પૈસા ના લેતા હોય એવા કોઈ અનુવાદકને જાણો છો? કામ બહુ નથી . . . માત્ર ૫૦ પાનાં છે. મારે ત્રણ દિવસમાં જોઈએ છે.” અવાજમાં બેદરકારી, ઊડતી હવા જેવી દરખાસ્ત, ‘જૉબ-વર્ક’ હાથમાં લેતાં અનુવાદકને પડનારા અથાગ શ્રમ પ્રત્યે લગીરે ય માન કે દરકાર વિના. કારણ કે આ કાર્યને આ રીતે જોવાય છે. ભલે તે સાહિત્ય કે કવિતા ન હોય, માનવજાતે શોધેલા સૌથી થકવી દેનારા વ્યાયામમાંનું એક છે, જેમાં મગજના એક ભાગમાંથી બીજા ભાગમાં ઊર્જા-સ્થળાંતરનો ઉતાર-ચઢાવ એમાં થતો હોય છે. અજ્ઞાનતા પર આધારિત આ માનભંગનો અંત આણવા હું કટિબદ્ધ છું.”

૨૪મી ડિસેમ્બર, ૨૦૧૫ના રોજ અનુવાદક તરીકે મને થયેલા એક માઠા અનુભવે છેવટે મારી આંખ ખોલી નાખી અને મને કડવું સત્ય સમજાયું છે કે સાંપ્રત સંજોગોમાં અનુવાદકો પોતાનું મૂલ્ય નહીં કરે, પોતાના હક પ્રત્યે સભાન નહીં રહે, વ્યવહારું નહીં બને, તો અનુવાદક દાક્ષિણ્ય ન ધરાવતા સમાજમાં અવહેલના જ વહોરવાની આવશે. પણ સૌથી અગત્યની બાબત કે ગાંધીજીએ કહ્યું છે તેમ – વિશ્વમાં જે બદલાવ આપણે ઇચ્છીએ છીએ, તે બદલાવ આપણે પોતે બનવું જોઈએ, એ શિખામણને ધ્યાનમાં રાખીને આવનારા અનુવાદકો માટે માર્ગ સુલભ બનાવવા સંઘર્ષ કરીને સકારાત્મક ઝુંબેશ ઉપાડવાનો નિર્ણય કર્યો છે. જોગાનુજોગ એ જ ગાળામાં PEN Internationalનો ન્યુઝલેટર ઇ-મેઇલથી મળ્યો. આ સંસ્થાને આવું પગલું લેવાની ફરજ પડી, એટલી અધૂરપ વિશ્વભરમાં આ ક્ષેત્રે પ્રવર્તે છે, તેનો ગુજરાતી વાંચકોને ખ્યાલ આવે તે હેતુથી નીચે ગુજરાતી અનુવાદ આપું છું :

સાહિત્યિક અનુવાદ અને અનુવાદકો અંગેનું PEN International ક્યુબૅક જાહેરનામું (શૅરી સાયમનનાં અંગ્રેજી અનુવાદ પરથી)

ઑકટૉબર, ૨૦૧૫માં મળેલી PEN Internationalની ૮૧મી કૉંગ્રેસમાં હાજર પ્રતિનિધિઓએ, PEN ક્યુબૅકની પહેલથી પ્રેરિત, PEN Internationalની અનુવાદ અને ભાષાકીય હક સમિતિ દ્વારા સમર્થન કરેલા ‘સાહિત્યિક અનુવાદ અને અનુવાદકો અંગેનું ક્યુબૅક જાહેરનામું’ સ્વીકાર્યું છે.

નીચે દર્શાવેલા દસ્તાવેજોમાં આલેખાયેલા સિદ્ધાંતો પર ક્યુબૅક જાહેરનામા આધારિત છે : ‘સાહિત્યિક અને કલાત્મક કૃતિઓના રક્ષણ માટેનું બર્ન-કન્વેન્શન (૧૮૮૬-૧૯૭૯)’, ‘યુનિવર્સલ કૉપીરાઇટ કન્વેન્શન (૧૯૫૨)’, ‘અનુવાદકો તથા અુનવાદોના કાયદાકીય રક્ષણ અંગેની અને અનુવાદકોનો દરજ્જો સુધારવાનાં વાસ્તવિક માધ્યમો અંગેની ભલામણો (૧૯૭૬)’. જાહેરનામાનો પ્રાથમિક મુસદ્દો તૈયાર કરવાની જવાબદારી ક્યુબૅકની લવેલ યુનિવર્સિટીના લૂઈ જોલીકુઅર, મોન્ટ્રિયલની કૉનકૉરડ્યા યુનિવર્સિટીના શૅરી સાયમન અને PENના ક્યુબૅક કેન્દ્રના પ્રમુખ ઍમિલી માર્ટલને સોંપવામાં આવી હતી, જેમાં ન્યુયૉર્કની કૉલમ્બિયા યુનિવર્સિટીની બરુચ કૉલેજના એસ્થર ઍલન, મોન્ટૃિયલની કૉનકૉરડ્યા યુનિવર્સિટીના હ્યુ હેઝલટન અને યુનિવર્સિટી ઑફ બરગેમોના ફૅબ્યો સ્કોટોએ પણ યોગદાન આપ્યું હતું.

સિમોના સ્ક્રેબૅકના વડપણ હેઠળની અનુવાદ અને ભાષાકીય હક સમિતિ સાથે સંકળાયેલાં PEN કેન્દ્રોને ક્યુબૅક જાહેરનામાનો પ્રાથમિક મુસદ્દો સુપ્રત કરવામાં આવ્યો હતો. PEN કેન્દ્રોના પ્રતિનિધિઓને જાહેરનામાનાં વિવિધ પાસાંઓ પર ચર્ચા કરવાનો મોકો આપવામાં આવ્યો હતો, જેના આધારે સમિતિની બે સભાઓ દરમિયાન ફ્રેંચ, અંગ્રેજી અને સ્પૅનિશ ભાષાઓમાં આખરી મુસદ્દો તૈયાર કરવામાં આવ્યો. પ્રથમ સભા એપ્રિલ ૨૦૧૫માં બાર્સેલોનામાં ભરાઈ અને બીજી સભા ઑક્ટોબર, ૨૦૧૫માં ક્યુબૅક શહેરમાં ૮૧મી PEN કૉંગ્રેસ દરમિયાન ભરાઈ. વિશ્વભરમાંથી ૫૦થી વધુ પ્રતિનિધિઓએ ચર્ચામાં ભાગ લઈને પોતાના દેશો તથા પ્રાંતોની સાહિત્ય અને ભાષાકીય વાસ્તવિકતાનું ઝીણવટભર્યું જ્ઞાન પૂરું પાડ્યું હતું.

બહોળા ફલક પરની સલાહમસલતની આવી પ્રક્રિયા બાદ સાહિત્યિક અનુવાદ સંદર્ભે PEN International જે સિદ્ધાંતો અને લક્ષ્યોને પ્રોત્સાહન આપવા માગે છે, તેનો છ મુદ્દાનો સંક્ષિપ્ત મુસદ્દો તૈયાર કરવામાં આવ્યો. આ સિદ્ધાંતોમાં તમામ સંસ્કૃિતઓ અને ભાષાઓનું ગૌરવ વધારવામાં અનુવાદનું મહત્ત્વ, આ કાર્યમાં જોડાવવા માટે જરૂરી પરિસ્થિતિ અંગે ધ્યાન દોરવું અને સૌથી અગત્યનું, પ્રત્યાયન શક્ય બનાવતી વ્યક્તિઓને એટલે કે સાહિત્યિક અનુવાદકોના રક્ષણને મહત્ત્વ આપવું.

૧૫ ઑક્ટોબર, ૨૦૧૫ના દિવસે ક્યુબૅક જાહેરનામાને PEN Internationalએ સર્વસંમતિથી બહાલી આપી. ક્યુબૅક કૉંગ્રેસ દરમિયાન ફ્રેંચ, અંગ્રેજી અને સ્પૅનિશ ભાષાઓમાં મુસદ્દાને આખરી ઓપ આપવામાં આવ્યા અને બાકી બધા અનુવાદો PEN-કેન્દ્રો અને તેમના ટેકેદારો દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે. વધુમાં વધુ ભાષાઓમાં આ જાહેરનામું વંચાય તેની ખાતરી કરવાનો અમારો હેતુ છે અને અમને આશા છે કે બીજી સંસ્થાઓ અને સંગઠનો આ સિદ્ધાંતોને અપનાવશે અને તેનું રક્ષણ અને પ્રચાર-પ્રસાર કરવામાં અમને સહયોગ આપશે. ક્યુબૅક જાહેરનામું PEN Internationalની સાહિત્યિક સર્જનાત્મકતા અને સંસ્કૃિતઓ વચ્ચે અનુસંધાન સંબંધી વ્યાપક વ્યૂહરચનાનો હિસ્સો છે.

સાહિત્યિક અનુવાદ અને અનુવાદકો અંગેનું ક્યુબૅક જાહેરનામું

૧.  સાહિત્યિક અનુવાદ જોશ-જુસ્સામય કળા છે. મોકળાશનાં મૂલ્યોને પ્રોત્સાહિત કરતું, શાંતિ અને સ્વતંત્રતા માટે પ્રયત્નશીલ અને અન્યાય, અસહિષ્ણુતા તથા પ્રકાશન-નિયંત્રણનો વિરોધ કરતું અનુવાદવિશ્વ સંવાદને આહ્‌વાન આપે છે.

૨.  અનુવાદના સંદર્ભમાં તમામ સંસ્કૃિતઓ સમાન નથી. અમુક સંસ્કૃિતઓ મરજીથી અનુવાદ કરે છે, તો અમુક ફરજથી કરે છે. અનુવાદ એ ભાષાઓ અને સંસ્કૃિતઓની રક્ષણની ચાવી છે.

૩.  મૂળ લેખકો અને કૃતિઓ પ્રત્યે માન દાખવતા, અનુવાદકો પોતે સર્જકો છે. તેમનો આશય માત્ર સાહિત્યિક કૃતિને પુનઃપ્રસ્તુિત જ નહીં, પરંતુ તેને આગળ ધપાવવી, વિશ્વમાં તેની હાજરીનો પ્રસાર કરવાનો હોય છે. અનુવાદકો માત્ર સંદેશાવાહકો નથી હોતા : બીજાનો અવાજ બનતાં હોવા છતાં, તેમનો અવાજ તેમનો પોતાનો હોય છે. ખાસ કરીને, તેઓ હાંસિયાકૃત લેખકો, સાહિત્યિક શૈલીઓ અને સામાજિક જૂથોને વફાદાર રહીને સાંસ્કૃિતક વિવિધતાની તરફેણમાં કાર્ય કરે છે.

૪.  અનુવાદકોનાં હકોનું રક્ષણ અનિવાર્ય છે. સરકારો, પ્રકાશકો, પ્રચાર-પ્રસાર-માધ્યમો, નિયોજકો – તમામે અનુવાદકોના દરજ્જા તથા જરૂરિયાતોનું સન્માન કરવું જોઈએ, તેમના નામને પ્રાધાન્ય આપવું જોઈએ અને ન્યાયોચિત પુરસ્કાર તથા તેમનું સન્માન સચવાય એવી કાર્ય કરવાની પરિસ્થિતિની (પ્રિન્ટ અને ડિજિટલ માધ્યમોના તમામ પ્રકારોમાં) ખાતરી આપવી જોઈએ.

૫.  અનુવાદકોની દૈહિક સલામતી અને વાણી-સ્વતંત્રતાની સતત ખાતરી કરવી જોઈએ.

૬.  વિશિષ્ટ કુશળતા અને જ્ઞાન ધરાવતા સર્જનાત્મક લેખકો તરીકે અનુવાદકોનું સન્માન જાળવવું જોઈએ અને તેમના કાર્યને લગતા તમામ પ્રશ્નો અંગે તેમનો સંપર્ક કરવો જોઈએ.

(નોંધઃ આપણા રાજ્યમાં સાહિત્યિક અનુવાદકોનાં બૌદ્ધિક-આર્થિક-માનવીય શોષણ નિવારવા, તેમનું હાંસિયાકરણ અટકાવવા, સંબંધિત વ્યક્તિઓ-સંસ્થાઓને આ ક્ષેત્ર અંગે ઉજાગર કરવા, સંવેદનશીલ બનાવવા, આ ક્ષેત્રમાં પ્રોફેશનલ અભિગમ ઊભો કરવાના હેતુથી PEN Internationalના The Quebec Declaration on Literary Translation and Translatorsનો અનુવાદ કરેલ છે.)

e.mail : rupaleeburke@yahoo.co.in

સૌજન્ય : “નિરીક્ષક”, 16 માર્ચ 2016; પૃ. 18-19

Loading

...102030...3,5953,5963,5973,598...3,6103,6203,630...

Search by

Opinion

  • સરકારમાં બેઠેલ વ્યક્તિઓમાં નવા વિચારો, નવી દિશા, વિકાસના નવા આયામો, સમસ્યા નિવારણ અંગે સાચી સમજણ નહિ કેળવાય ત્યાં સુધી બધું વ્યર્થ છે !
  • તેઓ મેકોલે જયંતી કેમ ઊજવે છે?
  • ધર્મેન્દ્ર – નોટ જસ્ટ અ હી-મેન 
  • આસ્થા અને ભ્રમ વચ્ચે જન્મેલી સચ્ચાઈ; પંથની  ગાથાનો એક છૂપો પક્ષ
  • પ્રિટર્મ બેબી – ધ યુનિક જર્ની ઑફ ફેઈથ એન્ડ ફિયર 

Diaspora

  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ
  • મારી દુનિયાનાં તમામ બાળકો

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved