Opinion Magazine
Number of visits: 9553002
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

રાજકારણનો ત્રીજો ‘પક્ષ’ : નાગરિકપક્ષ

ઉર્વીશ કોઠારી|Opinion - Opinion|22 March 2016

દેશમાં ઉદ્ધારકોની બોલબાલા થાય ત્યારે સમજવું કે સક્રિય નાગરિકો અણુમતીમાં આવી ગયા છે

ભારતનું રાજકારણ મુખ્યત્વે બે પક્ષમાં વહેંચાયેલું છે : ના, ભાજપ અને કૉંગ્રેસ નહીં, સત્તાધારી પક્ષ અને વિરોધ પક્ષ. દેખાડાબાજી માટે થતા હાકોટા અવગણીને શાંતિથી વિચારી જુઓ : નીતિવિષયક બાબતોમાં કૉંગ્રેસ અને ભાજપ વચ્ચે અથવા બીજા રાજકીય પક્ષો વચ્ચે પણ શો ફરક છે? અરુણ શૌરીએ આપેલા ચબરાક છતાં ચોટદાર આકલન પ્રમાણે, ‘એન.ડી.એ. એટલે યુ.પી.એ. પ્લસ કાઉ.’ યુ.પી.એ. નીતિમાં આક્રમક હિંદુત્વનો- સંકુચિત રાષ્ટ્રવાદનો આથો ચડાવો એટલે એન.ડી.એ. આ મૂલ્યાંકનમાં આત્યંતિકતા હોવા છતાં, તત્ત્વાર્થમાં એ સાચું છે. બન્ને પક્ષના ‘વફાદારો’ જો કે તેને નહીં સ્વીકારે. કારણ કે તેમના પ્રિય પક્ષોના બ્રાન્ડિંગનો સવાલ છે.

બ્રાન્ડિંગની એટલે કે પોતે જેવા છે નહીં, પણ જેવા દેખાવા કોશિશ કરે છે એની બાબતમાં કૉંગ્રેસ-ભાજપ સરખાં નથી. તેમની વચ્ચે મોટો ફરક છે. કૉંગ્રેસ ગરીબતરફી, બિનસાંપ્રદાયિકતાતરફી- સાંપ્રદાયિકતાવિરોધી દેખાવા ઇચ્છે છે, જ્યારે ભાજપ રાષ્ટ્રવાદી, ત્રાસવાદવિરોધી, પાકિસ્તાનવિરોધી અને બેશક, કૉંગ્રેસવિરોધી-પરિવારવિરોધી દેખાવા ઇચ્છે છે. તેમના આ બ્રાન્ડિંગથી ઘણા લોકો જાણેઅજાણે ભોળવાઈ જાય છે. અમુક ટૂથપેસ્ટ ઘસવાથી કે તમુક ડીઓડરન્ટ લગાડવાથી યુવતીઓ મોહિત થઈ જશે, એવું ઠસાવતી જાહેરખબરોની જેમ, આ પક્ષો પણ પોતાના બ્રાન્ડિંગથી ગ્રાહકોને લલચાવવા પ્રયાસ કરે છે. પેલી જાહેરખબરોની જેમ રાજકીય પક્ષોની જાહેરાતોથી પણ ઘણા લોકો લલચાય છે – લપેટાય છે અથવા પોતાની આકાંક્ષાઓ-કુંઠાઓ-પૂર્વગ્રહોનું પ્રતિબિંબ કે મોક્ષ એ જાહેરાતોમાં જુઓ છે. અલબત્ત, પક્ષોનું પેકેજિંગ વ્યાપારી ચીજવસ્તુઓ કરતાં વધારે ભવ્ય હોય છે. એ ગરીબોના કે રાષ્ટ્રના કે હિંદુઓના કે મુસ્લિમોના ઉદ્ધારથી ઓછી વાત કરતા નથી.

જરા વિચારો : જેમના મનમાં સેક્યુલરિઝમનો ખ્યાલ કૉંગ્રેસની સગવડિયા બિનસાંપ્રદાયિકતા જોઈને કે દેશભક્તિનો ખ્યાલ ભાજપનો તકલાદી-તકવાદી રાષ્ટ્રવાદ જોઈને બંધાયેલો હોય, એવા લોકોનું શું થાય? મોટે ભાગે, તે એક યા બીજા પક્ષના ભક્ત બને. (ઘણા વખતથી જો કે વિચારધારા કરતાં ફાયદાની ગણતરી પક્ષીય વફાદારી માટે મુખ્ય પરિબળ બની છે) પોતાના મનમાં રહેલા ખ્યાલો કે દ્વેષનો પડઘો તેમને કોઈ પક્ષના પ્રચારમારામાં – તેના બ્રાન્ડિંગમાં સાંભળવા મળે, એટલે પક્ષોની વાસ્તવિક વર્તણૂંક ગૌણ બની જાય છે. બ્રાન્ડિંગના આધારે જે લોકો કૉંગ્રેસ ભણી ઢળે, તેમને સોનિયા ગાંધી રાહુલ ગાંધીમાં ઉદ્ધારકનાં દર્શન થાય છે.

તેમને લાગે છે કે દેશને બચાવવો હશે તો કૉંગ્રેસ લાવવી પડશે. આવી જ રીતે, જે લોકો બ્રાન્ડિંગથી મોહાઈને ભાજપ – સંઘ તરફ ઢળતા હોય તો તેમને નરેન્દ્ર મોદી ઉદ્ધારક લાગશે. બે વર્ષ પહેલાં અને હજુ પણ ઘણા માને છે કે આ દેશનો ઉદ્ધાર ફક્ત નરેન્દ્ર મોદી જ કરે એમ છે. નરેન્દ્ર મોદી રાહુલ ગાંધી કરતાં ઘણા વધારે ચબરાક હોવા છતાં, ઉદ્ધારક તરીકે એ બન્ને (જુદાં જુદાં કારણોસર) એકસરખા નકામા છે. કોઇ પણ રાજકારણીને – નેતાને, મહાત્મા ગાંધીને પણ, ઉદ્ધારક ગણવામાં સાર નથી.

સારો નેતા માણસના મનમાં રહેલી શુભ લાગણીઓને ઢંઢોળી શકે, તેને જગાડી શકે અને કદાચ સક્રિય કામગીરી માટે પણ પ્રેરી શકે. ગાંધીજીમાં એ ગુણ હતો. તેમણે પોતાના સાથીદારોની મર્યાદાઓ કોરે રાખીને, તેમનામાં રહેલાં ઉત્તમ તત્ત્વોને બહાર આણ્યાં અને તેને રાષ્ટ્રના કામમાં ખપમાં લીધાં. પણ ઉદ્ધારક? તારણહાર? એવું બધું રાજાશાહીમાં સરમુખત્યારશાહીમાં, ટૂંકમાં એકહથ્થુ શાસનમાં હોય. લોકશાહીમાં નાગરિકો પોતે જાગતા ન રહે, તો તેમનો ઉદ્ધાર કોઈ ન કરી શકે. એવો દાવો કોઈ નેતા કરે, તો એને બ્રાન્ડિંગનો એટલે કે તેમના ધંધાદારી પ્રચારજૂઠાણાનો ભાગ ગણી લેવો.

‘તમે સૂઈ જાવ ને હું જાગીશ’ એવું કોઈ કહે ત્યારે, દિલ્હી જેવા કોઈ સ્ટેશન પર ‘તમે તમારે બાથરૂમ જઈ આવો. હું તમારી બૅગ સાચવીશ’ એવું કહેનારા કોઈ ગઠિયાને યાદ કરી લેવો. કોઈને ‘ઉદ્ધારક’ ગણી લેનારા મૂળભૂત રીતે નિષ્ક્રિય અથવા મજબૂર અથવા બન્ને હોય છે. તેનો પૂરેપૂરો ફાયદો ‘ઉદ્ધારકો’ ઉઠાવે છે. દેશમાં ઉદ્ધારકની બોલબાલા થાય ત્યારે સમજવું કે સક્રિય નાગરિકો અણુમતીમાં આવી ગયા છે અને પક્ષની કંઠી (અથવા તેની વફાદારીના નામે આંખે પાટા) બાંધનારાની બહુમતી થઈ છે.

રાજકીય પક્ષોમાં જોડાયેલા કેટલાક લોકો મૂળભૂત રીતે, માણસ તરીકે સારા હોય છે. તેમનામાં વિચારધારાકીય સ્પષ્ટતા હોય કે ન હોય, બીજા માટે કંઈક કામ કરવાની વૃત્તિ હોય છે. એવા લોકો એક યા બીજા પક્ષની કહેવાતી વિચારધારામાં સામેલ થયા પછી, એ પક્ષ સાથે છેડો ફાડી શકતા નથી. સાથોસાથ, પોતાની મૂળભૂત સારપ પણ છોડી શકતા નથી. લાંબા સમય સુધી ભાજપના સભ્ય – ધારાસભ્ય (અને બહુ મોડેથી આમઆદમી પક્ષમાં જોડાયેલા) સેવાભાવી ડૉક્ટર કનુભાઈ કળસરિયા આવું એક ઉદાહરણ છે. એમના જેટલા જાણીતા કે એ કક્ષાના નહીં, એવા બીજા દાખલા પણ હશે, જેમની મૂળભૂત સારપને વિચારધારાના નામે ફેલાવાતું નાગરિકવિરોધી-મનુષ્યવિરોધી ઝેર ચડ્યું ન હોય.

પોતીકી સારપ છતાં પક્ષનાં અનિષ્ટ આચરણો સામે એ લોકો અવાજ ન ઉઠાવે, તેના પ્રત્યે આંખ આડા કાન કરે અને બને ત્યાં સુધી પક્ષ સાથે છેડો ન ફાડે તેનું એક કારણ : ભૂતના ભાઈ પલિત જેવી સ્થિતિ હોય અને ‘લેસર એવિલ’ના નામે સરખેસરખાં અનિષ્ટો વચ્ચે જ પસંદગી બચી હોય, ત્યારે ઘણાને લાગે છે કે અજાણ્યા અનિષ્ટ કરતાં જાણીતા અનિષ્ટ સાથે પનારો પાડવો સારો. આવા લોકો અંગત વાતચીતમાં પોતાના પક્ષનાં અનિષ્ટો વિશે ખુલ્લાશથી વાત કરે છે, પણ જાહેરમાં ઊભા રહેવાનું આવે ત્યારે એ પક્ષના ટોળામાં, બીજાં અનેક અનિષ્ટોની સાથે જોવા મળે છે.

ભાજપની ટીકા કરે, તેમને કૉંગ્રેસી તરીકે ખપાવી દેવા એ પણ પક્ષીય બ્રાન્ડિંગની જ વ્યૂહરચના છે. પરંતુ એ પ્રચારને પડકારીને, ખોંખારીને કહેવું પડે કે આ દેશમાં એક ત્રીજો પણ ‘પક્ષ’ છે. રૂઢ અર્થમાં તે પક્ષ નથી. તેમનું કોઈ ઔપચારિક સંગઠન નથી, કોઇ રાજકીય હિત નથી. તે ધબકતી લોકશાહી અને સ્વસ્થ રાષ્ટ્ર ઇચ્છતા નાગરિકોનો સમૂહ છે. સત્તાપક્ષનાં જૂઠાણાંનો પ્રતિકાર વિરોધપક્ષો ન કરે કે સામસામા પક્ષો એકબીજાના ગોટાળા આગળ ધરીને એક જ માળાના મણકા તરીકે ખુલ્લા પડી જાય, ત્યારે પક્ષીય વફાદારીની કે અંગત સ્વાર્થની સાંકળે બંધાયેલા ન હોય એવા નાગરિકો પોતપોતાની રીતે પહેલ કરે છે. તેમના માટે દેશ એ કોઈ નેતા કે પક્ષ નહીં, પણ દેશના સામાન્ય લોકો અને તેમનું હિત છે.

આ એ સમૂહ છે, જેમાંથી ઘણાએ ઇંદિરા ગાંધીની નીતિરીતિનો વિરોધ કરવા બદલ ગાળ ખાધી હતી ને નરેન્દ્ર મોદીના શાસનની ટીકા બદલ પણ. તેમને કૉંગ્રેસ-ભાજપ તરફથી પ્રમાણપત્રોની જરૂર નથી. તેમની સૌથી મોટી ચિંતા ભારતમાં રહેલી સહઅસ્તિત્ત્વની સંસ્કૃિતને-બંધારણના હાર્દને ટકાવી રાખવાની અને તેની સામે ઊભા થતા પડકારોનો શક્ય એટલો સામનો કરવાની છે. આ સમૂહને હડધૂત કરનારો કે તેમને દેશહિતવિરોધી ઠરાવનારો અવાજ મોટો થઈ જાય ત્યારે દેશની ચિંતા થવી જોઇએ.

e.mail : uakothari@gmail.com

સૌજન્ય : ‘પ્રચાર એ જ કલ્યાણ ?’, “દિવ્ય ભાસ્કર”, 22 માર્ચ 2016

http://www.divyabhaskar.co.in/news/ABH-politics-third-party-civil-party-5280913-NOR.html

Loading

વક્તવ્ય નરેન્દ્ર મોદીનું અને નીતિન ગડકરીનું

રમેશ ઓઝા

, રમેશ ઓઝા|Opinion - Opinion|19 March 2016

કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ કહ્યું છે કે અમારી સરકાર અંગેની ઇમેજ અને રિયલિટી વચ્ચે જે અંતર છે એ અમારી શોકાન્તિકા છે. તેમણે ટ્રૅજેડી શબ્દ વાપર્યો છે. કોણે આ અંતર પેદા કર્યું છે? જે પરિવારમાંથી નરેન્દ્રભાઈ આવ્યા છે એ જ પરિવારમાંથી અટલ બિહારી વાજપેયી પણ આવ્યા હતા. ઇમેજ અને રિયલિટી વચ્ચેની ખાઈનો પ્રશ્ન તેમની સામે પણ ઉપસ્થિત થયો હતો

એક ઘરમાં બે ભાઈઓ રહે છે. એકનું નામ નરેન્દ્રભાઈ અને બીજાનું નામ મોહનભાઈ. આમાં મોહનભાઈ મોટા છે અને પરિવારના મોભી છે. અત્યાર સુધી પરિવારમાં મોટા ભાઈ એટલે કે પરિવારના મોભી કહે એમ થતું આવ્યું છે. હવે પરિવારના મોભી મોહનભાઈ કહે છે કે આ ઘરમાં રહેવું હોય તો આમ-આમ કરવું પડશે અને આ રીતે જ જીવવું પડશે. નાના નરેન્દ્રભાઈ કહે છે કે ચિંતા કરીશ નહીં, મારા ખોળામાં માથું મૂકીને નિશ્ચિંતપણે સૂઈ જા, તારો વાળ પણ વાંકો નહીં થવા દઉં; મોહનભાઈ અને બીજા ભાઈઓ શું કહે છે એના તરફ ધ્યાન આપવાની જરૂર નથી. હવે તમે કહો કે હું જો મોહનભાઈની માગણી સાથે સંમત ન થતો હોઉં તો મારે નરેન્દ્રભાઈના ખોળામાં માથું મૂકીને સૂઈ જવું જોઈએ ખરું? તમે હો તો શું કરો? બીજી બાજુ તમે મોહનભાઈની માગણી સાથે સંમત હો તો તમને મોહનભાઈના ખોળામાં માથું મૂકીને નિશ્ચિંતપણે સૂઈ જવામાં નરેન્દ્રભાઈનો ડર લાગે ખરો? તમને પાક્કી જાણ છે કે નરેન્દ્રભાઈના હાથમાં સત્તાનો દંડો છે અને આખું તંત્ર તેમના હાથમાં છે, પણ એમ છતાં તમને મોહનભાઈના ખોળામાં માથું મૂકીને સૂઈ જવામાં ડર લાગે? વિચારી જુઓ કોણ કોના ખોળામાં સુરક્ષિત છે.

કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ કહ્યું છે કે અમારી સરકાર અંગેની ઇમેજ (છાપ) અને રિયલિટી (વાસ્તવિકતા) વચ્ચે જે અંતર છે એ અમારી શોકાન્તિકા છે. તેમણે ટ્રૅજેડી શબ્દ વાપર્યો છે. કોણે આ અંતર પેદા કર્યું છે? જે પરિવારમાંથી નરેન્દ્રભાઈ આવ્યા છે એ જ પરિવારમાંથી અટલ બિહારી વાજપેયી પણ આવ્યા હતા. ઇમેજ અને રિયલિટી વચ્ચેની ખાઈનો પ્રશ્ન તેમની સામે પણ ઉપસ્થિત થયો હતો. એ સમયે તો બાળાસાહેબ દેવરસ અને રજ્જુભૈયા (પ્રા. રાજેન્દ્રસિંહ) જેવા સંઘના દિગ્ગજો હજી હયાત હતા. એવું નથી કે સંઘ ત્યારે પાછલે બારણેથી સંઘનો એજન્ડા લાગુ નહોતો કરતો. ડૉ. મુરલી મનોહર જોશીને શિક્ષણ ખાતું સોંપી દીધું હતું અને તેઓ સંઘ સાથે મળીને પાઠuપુસ્તકો અને શિક્ષણસંસ્થાઓનું ભગવાકરણ કરતા હતા. એમાં કોઈ શંકા નથી કે આ દેશના સાંસ્કૃિતક-સામાજિક પોતને ચીરનારી એ ગંભીર રમત હતી અને અમે એનો વિરોધ પણ કરતા હતા, પરંતુ સંઘને આનાથી આગળ શાસનમાં ચંચુપાત કરવાની મનાઈ હતી. કહો કે એવી સમજૂતી હતી.

એ સમયે રજ્જુભૈયા અને કે. સુદર્શન ઘરના મોટા ભાઈ અને મોભી હોવા છતાં વાજપેયીના ખોળામાં માથું મૂકીને સૂઈ જવામાં આ લખનાર જેવા સેક્યુલરને કે કોઈ ગેરહિન્દુને ડર નહોતો લાગતો. બહુ-બહુ તો આપણા છોકરાને સાવરકર હતા એના કરતાં વધારે મહાન અને ઔરંગઝેબ હતો એના કરતાં પણ વધારે ખરાબ હતો એટલું ભણવું પડશે. મુસલમાનો વિશે એકાદ-બે ઇશારતો હશે. સંઘની વિચારધારાના વિરોધીઓએ પણ એટલું સ્વીકારી લીધું હતું કે લોકતંત્રમાં અલગ-અલગ વિચારધારાની સરકારો આવે ત્યારે આવું થતું હોય છે જે પાછળથી સુધારી શકાય છે.

ખૂબી જુઓ. ડૉ. મુરલી મનોહર જોષીએ લખાવેલો ઇતિહાસ ભણવા છતાં કન્હૈયાકુમારો અને રોહિત વેમુલાઓ યુનિવર્સિટીઓમાં જઈને આજે સરકારને હંફાવે છે. આ એટલા માટે બની શક્યું છે કે કન્હૈયાકુમારોનું માથું અટલ બિહારી વાજપેયીના ખોળામાં સુરક્ષિત હતું. બહુ-બહુ તો તેમનું માથું ચોક્કસ સંસ્કારો દ્વારા દૂષિત કરાયું હશે જે તેમણે સુધારી લીધું છે. ત્યારે કોઈ તમારા ઘરમાં ઘૂસીને ફ્રિજ ખોલીને માંસ ગાયનું છે એવું જાહેર કરીને હત્યાઓ નહોતું કરતું. ત્યારે કોઈ ડોકું કાપવાનાં અને જીભ કાપવાનાં ઇનામો જાહેર નહોતું કરતું. ત્યારે વિરોધીઓ પર સીધા દેશદ્રોહના આરોપ મૂકવામાં નહોતા આવતા. ત્યારે ચૂંટણી જીતવા સેંકડોની સંખ્યામાં કોમી છમકલાં કરવામાં નહોતાં આવતાં. ચૂંટણી જીતવા ભારતીય જનતા પાર્ટી કોમી રંગ અપનાવતી હતી, પરંતુ ઠેકઠેકાણે હોળી પ્રગટાવવામાં નહોતી આવતી. અટલ બિહારી વાજપેયીને રાજધર્મની જાણ હતી અને રાજા તરીકે તેઓ પોતાની મર્યાદા જાણતા હતા. એટલે તો પોતાને સેક્યુલર ફન્ડામેન્ટલિસ્ટ તરીકે ઓળખાવનારા કૉન્ગ્રેસના નેતા મણિશંકર ઐયરે લખ્યું હતું કે અત્યારે તેઓ વાજપેયીને મિસ કરી રહ્યા છે.

તો સરકારની ઇમેજ અને રિયલિટી વચ્ચે અંતરની જે ટ્રૅજેડી પેદા થઈ છે એને માટે સરકાર પોતે જવાબદાર છે. ખરું પૂછો તો ટ્રૅજેડી અંતરની નથી, અંતર મટી રહ્યું છે એની છે. જે રિયલિટી છે એ જ ઇમેજ છે અને જે ઇમેજ છે એ જ રિયલિટી છે. કલ્પના કરો કે અનેક અનુપમ ખેરો બચાવમાં ઊતરતા હોવા છતાં સરકાર વિશેની ઇમેજ બદલાતી નથી. કેટલીક ટીવી-ચૅનલો સરકારની તરફેણમાં પ્રચાર કરતી હોવા છતાં ઇમેજ બદલાતી નથી. અનેક ભક્તો દિવસરાત સરકારના બચાવમાં ટ્વીટ કરતા હોવા છતાં ઇમેજ બદલાતી નથી. આ ટ્રૅજેડી નથી, જોખમનું રેડ સિગ્નલ છે. નીતિન ગડકરીએ ભ્રમમાં રહેવાની જગ્યાએ રિયલિટી ચેક કરવાની જરૂર છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે દિલ્હીમાં વર્લ્ડ સૂફી ફોરમના અધિવેશનમાં સરસ ભાષણ આપ્યું હતું. આ દેશની પ્રજાને જોડવાનું કામ સંતોએ અને સૂફીઓએ કર્યું છે, સંગઠિત ધર્મોએ નથી કર્યું. સંગઠિત ધર્મોનું તો પ્રજા વચ્ચે અંતર વધારનારું નેગેટિવ યોગદાન છે. વડા પ્રધાને આધુનિક ભારતના નિર્માણમાં સૂફીઓના યોગદાનનો સ્વીકાર કર્યો છે. તેમણે આતંકવાદને ઇસ્લામ સાથે સીધો સંબંધ નથી એમ પણ કહ્યું છે. વડા પ્રધાને તમામ ધર્માનુયાયીઓને અને નાસ્તિકોને સુધ્ધાં અભયવચન આપ્યું છે કે દેશ તેમનો પણ છે અને આપણા બધાનો સહિયારો છે. બસ, આજથી આ વાત કેન્દ્ર સરકારનો ધ્રુવમંત્ર બનવી જોઈએ. તેમણે દિલ્હીમાં જે કહ્યું એ સરકારની ઘંટીનો ખીલો બનવો જોઈએ. જુઓ પછી આવતા એક વર્ષમાં ઇમેજ બદલાય છે કે નહીં. જો દિલ્હીનું વક્તવ્ય પ્રસંગોચિત દેખાવ પૂરતું હશે તો નીતિન ગડકરીને જે વાત સતાવે છે એ ટ્રૅજેડીમાં વધારો જ થવાનો છે, ઘટવાની નથી.

ઇતિહાસ બેધારી તલવાર જેવો છે. એનો જો વિવેકપૂર્ણ માફકસર ઉપયોગ કરવામાં આવે તો એમાંથી ધડો લઈને મીઠી ઊંઘ આવે. જો એનો ઝનૂનપૂવર્‍ક ઉપયોગ કરવામાં આવે તો નથી તમે સૂઈ શકવાના નથી કે નથી તમે બીજાને સૂવા દેવાના. સૂફીઓની જ વાત કરીએ તો સૂફી ઇતિહાસની નેગેટિવ સાઇડ પણ છે. સૂફીઓના સિલસિલા વિકસ્યા હતા જેમાંથી આગળ જતા ગાદીઓ બની ગઈ હતી અને એમાંથી વારસદારી જન્મી હતી. બધા જ ગાદીધારી સૂફીઓ મહાન હતા એવું નથી. મૅગ્નિફાઇંગ ગ્લાસ લઈને નીકળી પડો તો એવા સૂફીઓ પણ મળી આવશે જે ધર્મઝનૂની બેવકૂફો હતા. આને કહેવાય ઇતિહાસનો વિવેકરહિત ધર્મઝનૂની ઉપયોગ.

સૌજન્ય : ‘કારણ-તારણ’ નામક લેખકની કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 19 માર્ચ 2016

http://www.gujaratimidday.com/features/columns/truth-behind-bjp-government-image-and-reality-2

Loading

પુનર્વિધાન માગતો રાષ્ટ્રવાદનો ખયાલ

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|19 March 2016

શબ્દાર્થને સાંકડી રીતે નહીં વળગતા વ્યાપકપણે જોતાં શીખવું તે વિકાસની નિશાની છે

હતોતો રાજ્યસભામાં એમનો એ છેલ્લો દિવસ. પણ મુદત આખીનું સાટું વાળતા હોય તેમ ઓવેસીનો ઊધડો લેતા જાવેદ અખ્તર ગૃહમાં બરાબરના ઝળક્યા. ‘ભારત માતા કી જય હું નહીં બોલું – બંધારણમાં આવી જય બોલવાનું ક્યાં લખ્યું છે, બતાવો?’ ઓવેસીના આ ઉદ્દગારોને જાવેદે સરળતાથી ભોંભેગા કરી દીધા કે, એમ તો, શેરવાની પહેરવાનું અને માથે ટોપી ઠઠાડવાનુંયે કિયા બંધારણે કીધું છે. લજ્જાખ્યાત બાંગલાદેશી લેખિતા તસલીમા નસરીન કે’દીનાં વિંગમાં હાજરાહજૂર હતાં જ. લાગલું ટ્વિટ્યાં: ઓવેસી જેવાઓને તો બરાબરના ખુલ્લા પાડી દેવા જોઈએ. વૅલ ડન, જાવેદભાઈ … ભારતમાતા કી જય. નહીં કે જાવેદની વાત ખોટી હતી. ‘જય હિંદ’ કે ‘વંદે માતરમ’ અગર ‘ભારતમાતા કી જય’ સામાન્યપણે એવા ઉદ્દગારો છે જેમાંથી વતનપ્રીતિ ફોરી શકે, અને નાતજાતકોમ મજહબથી ઊંચે ઊઠી સૌ એવો હૃદયભાવ પ્રગટ કરી શકે તે ઈચ્છવાજોગ નથી એમ કોણ કહેશે. પણ આટલું કહ્યા પછી સમગ્ર સંદર્ભમાં જો આ વાતને જોઈ અને તપાસી નહીં શકીએ તો કથિત ભારતભક્તિની આડઅસરો વિશે અસાવધપણે ઊંઘતા ઝડપાઈ જઈશું.

વસ્તુત: સમગ્ર સંદર્ભમાં જોતાં ‘ભારતમાતા કી જય’માં અભિપ્રેત રાષ્ટ્રવાદી હિલચાલનાં પરિમાણ એકથી વધુ હોવાનું સમજાય છે. પહેલો ધક્કો તો તાજેતરમાં જે.એન.યુ. ઘટનાક્રમનો અને ડૉક્ટર્ડ સીડીજોરે કન્હૈયાને રાજદ્રોહી જાહેર કરવા થકી લાગેલો છે. અમે અહીં દેશદ્રોહી પ્રવૃત્તિ નહીં ચાલવા દઈએ એવું સત્તાપ્રતિષ્ઠાનનું કહેવું છે. જ્યારે કન્હૈયાના યાદગાર શબ્દઝુમખામાં ખરો પ્રશ્ન ‘ભારતથી આઝાદી’નો છે. બીજો ધક્કો, કહો કે સત્તા-પ્રતિષ્ઠાન તરફે અનુધક્કો, જે.એન.યુ.નું સીધું નામ પાડ્યા વગર સરસંઘચાલક મોહન ભાગવતનો છે – નવી પેઢીને ‘ભારતમાતા કી જય’ બોલવાનું શીખવવું પડશે.

ઓવેસીના રાજકારણની કોમી ધ્રુવીકૃત તાસીર વિશે અહીં પૂર્વે લખવાનું બન્યું છે. ઓવેસીના હિંદમાં બંદૂકવાલાનું હોવું એ ગુણાત્મકપણે કેવી ન્યારી નિરાળી વાત બને છે એવું ગુણાનુરાગી કૌતુક કરવાનુંયે બન્યું છે. પણ ઓવેસીનો હમણેનો ઉદ્દગાર – જેને જાવેદ અખ્તરે કદ મુજબ બરાબરનો વેતર્યો છે એ ઉદ્દગાર – તરતમાં તો મોહન ભાગવતના પ્રતિભાવ બલકે પ્રતિક્રિયારૂપ છે. હિંદુત્વ રાજનીતિના કથિત ફ્રિન્જલાઇન પાત્રો ‘પાકિસ્તાનભેગા થઈ જાઓ’ની ભાષણમાં વાત કરે છે, પણ સંઘશ્રેષ્ઠીઓની કથનપદ્ધતિમાં એક પ્રકારનું એસર્શન છે – અમારો કક્કો ખરો, અમારી જ વ્યાખ્યા સાચી એવી બૂ એમાંથી ઉઠે છે. ઓવેસીની પ્રતિક્રિયામાં આ દાદાગીરી સામેનો ભાવ આગળ પડતો છે, એટલું ઓવેસીનું (કે કોઈનું પણ નિતાન્ત કોમી) રાજકારણ અસ્વીકાર્ય છે એમ કહેવા સાથે અને કહેવા છતાં નોંધવું જોઈએ.  

ઈસ્લામ અને બુતપરસ્તીનું દ્વંદ્વ જાણીતું છે. વતનને ચાહવું તે ઈમાન છે એમ સ્વીકારી શકતા શ્રદ્ધાળુ મુસ્લિમને, ધારો કે, ભારતમાતા તરેહના શબ્દપ્રયોગમાંથી મૂર્તિપૂજાની બૂ આવતી હોય તો? આર્યસમાજ પરંપરામાં મૂર્તિપૂજાનો જે નિષેધ છે એનુંયે અહીં નમૂના દાખલ સ્મરણ કરવા જોગ છે. આ સ્મરણમાં અલબત્ત સાભિપ્રાયતા પણ છે તે બલરાજ મધોકના આત્મકથ્યમાંથી પસાર થતાં પકડાય છે. સંઘના તો એ જૂના સ્વયંસેવક. એમણે લખ્યું છએ કે અગાઉની પ્રાર્થનામાં રામદૂત હનુમાન પ્રકારનો ઉલ્લેખ અગ્રતાપૂર્વક આવતો તે મૂર્તિપૂજાને નકારતી આર્યસમાજી પ્રણાલિમાંથી આવેલા મારા જેવાને ખૂંચતું. આખો વંદે માતરમ વિવાદ પણ એમાંથી કાલીમાતાના પૂજનઅર્ચનનો જે ભાવ ફોરતો તેને કારણે ચાલ્યો હતો અને છેવટે સંપૂર્ણ વંદે માતરમને બદલે એનો ચોક્કસ અગ્રઅંશ ગાવાનું ઠર્યું હતું. ‘વંદે મારતમ’ની તરફેણ અને વિરોધી રાજનીતિમાં રાચનારા બંને છેડાઓ અસલનો વિવાદ અને તેને અંતે સધાયેલ સમજૂતી વિશે જાણતા નથી કે જાણીને અણજાણ છે.

તસલીમા નસરીને અને નજમા હેપતુલ્લા ‘ભારત માતા કી જય’ પોકારવા રાજી હોય અને તે પૂર્વે પોતાને છેડેથી આ બાબતમાં ઘટતા વિચાર અને પુનર્વિચારની પ્રક્રિયામાંથી પસાર થયાં હોય તો તે જરૂર એક રૂડી વાત છે. વસ્તુત: વૈચારિક પુખ્તતાની તે એક સાહેદી પણ છે, કેમ કે શબ્દાર્થને સાંકડી રીતે નહીં વળગતા વ્યાપકપણે જોતાં શીખવું તે વિકાસની નિશાની છે. ‘એક બીજો નબી મોકલી આપ’ તેમ કહેતો કવિ પરમાત્મા સાથે પ્રણયકલહનો સમો બાંધે છે. કવિની અભિવ્યક્તિમાં પયગંબરની પરબારી તૌહીન જોવાનું વલણ એ માનવ કોઈક તબક્કે સમજ ગઠંાઈ ગયાનું ચિહ્ન છે.

ઉલટ પક્ષે, હમણાં જેમને કોઈકે ‘ક્લોઝેટ બીજેપીમેન’ (છૂપા ભાજપી) કહ્યા તે અનુપમ ખેરની જેમ એકદમ જ ‘રાષ્ટ્રવાદની એક જ વ્યાખ્યા છે – ભારત માતાકી જય!’ કહેતાકને પડમાં ટ્વિટવા બાબતે જાગ્રત રહેવાની જરૂર છે, કેમ કે એમાંથી ‘માય વે ઓર હાઇવે’ (‘મારે રસ્તે ચાલ કે પછી રસ્તે પડ’) પ્રકારનો ધ્વનિ ઉઠે છે. આ પ્રક્રિયા, વિપળવારમાં ખબર પણ ન પડે તેમ, ભિન્નમત માત્રને, અસંમતિના આછોતરા અવાજને રાષ્ટ્રદ્રોહ-દેશદ્રોહ-રાજદ્રોહના ખાનામાં ખતવી નાખવા બાબતે દોડતા’તા ને ઢાળ મળ્યાની ગરજ સારે છે.

ગમેતેમ પણ ઓવેસીને કદ મુજબ વેતરવાની જરૂર કે’દીની હતી, અને જાવેદ અખ્તરે તે ઠીક જ કર્યું એટલું કહ્યા પછી) પણ ‘જો’ અને ‘તો’ જરૂરી રહે છે એ મુંબઈમાં વિધાનસભ્ય વારિસ પઠાણને જે રીતે કૉંગ્રેસ સહિતના પક્ષોએ મળીને ગૃહનિકાલ ફરમાવ્યો તે જોતાં સમજાય છે. અમુક જ ખાસ સૂત્રોચ્ચાર અને તે અને તે જ દ્વારકાની છાપ, એવી સત્તા-પ્રતિષ્ઠાનની (બલકે, પાટલીફેરે રાજકીય અગ્રવર્ગ સમસ્તની) જો સમજ હોય તો એ સુચિહ્ન નથી. ચોક્કસ સૂત્ર બોલો નહીં તો આગળ બોલવા નહીં દઈએ એ વલણમાંથી ફોરતી માનસિકતામાં નિરામયતા નથી તે નથી.

‘ભારતમાતા કી જય’માં હોંશે હોંશે જોડાતાં તસલીમાની વશેકાઈ આખરે શી વાતે છે? દેશે એમને ‘લજ્જા’ નવલકથાને કારણે બાંગલાદેશમાં તેઓ  કટ્ટરવાદીઓનો ભોગ બન્યાં ત્યારથી એમને પોતીકાં ગણ્યાં છે. ‘લજ્જા’નું વસ્તુ આખરે તો એ જ છે ને કે ભારતમાં અયોધ્યા ઘટના ઘટી ત્યારે બાંગલાદેશમાં લઘુમતી (હિંદુ) પર બહુમતી માંહેલા કટ્ટરવાદીઓ(મુસ્લિમો)એ હુમલો કીધો. તસલીમા સરખાં મુસ્લિમ લેખિકા નથી કટ્ટરવાદીઓનો ભોગ બન્યાં, સંઘ વર્તુળો આપણે ત્યાં હિંદુત્વ રાજનીતિનો ભોગ બનતા લોકોનાં સુખદુ:ખ આલેખતાં હિંદુ લેખકોની કદર બૂજી શકે તો તસલીમા વિશેનો એમનો ઉત્સાહી પ્રતિભાવ વાજબી ઠરે.

જાવેદ અખ્તર એક પ્રગતિશીલ ને બિનસાંપ્રદાયિક મુસ્લિમ છે. તીસ્તા સેતલવાડની ગોધરા-અનુગોધરા દિવસોની શાંતિને ન્યાય, રિપીટ, ન્યાય ચળવળ સાથે એ જોડાયેલાં છે. એમનું નાસ્તિક હોવું મુસ્લિમ સમુદાયને ન પણ સોરવાતું હોય. કોઈક મુલ્લામોલવી એમને ‘તમે મુસ્લિમ છો?’ પ્રકારના પ્રશ્નથી કન્ફ્રન્ટ પણ કરતા હશે. શબાના આઝમીએ મુસ્લિમ આમજનતાને અનુલક્ષીને કોઈ તરક્કી પસંદ (પ્રોગ્રેસિવ) હિમાયત કરી હોય ત્યારે કથિત શાહી ઈમામ તરફથી ‘નાચવાવાળીને કોણ સાંભળે’ જેવી હીનોક્તિ પણ થતી રહી છે. ઉલટ પક્ષે, જાવેદ-શબાનાને મુંબઈમાં ઘર મળતાં મુશ્કેલી પડી હોય એવા હેવાલો પણ છે. જાવેદના તીસ્તાસંધાનને સંઘવર્તુળો બૂજી શકશે?

બેેલાશક, આપણે જાવેદ સાથે સમ્મત થઈશું કે દેશના મુસ્લિમોએ જે મુસ્લિમ દેશો ધર્મઝનૂની રાજનીતિ કરી રહ્યા છે ત્યાં લોકોને કેટલું પડે છે અને તે દેશો વિકાસમાં કેટલા પાછા પડે છે એમાંથી ધડો લેવા જેવું છે. પણ તે સાથે ઉમેરીશું કે હિંદુ ધર્મને સેમેટિક બનાવતી રાજનીતિ વિશે પણ જાગ્રત રહેવાની જરૂર છે.

ખરું જોતાં આ ચર્ચાને અહીં પૂરતો ન્યાય અપાયો નથી એમ તે સમેટતાં કહેવું જોઈએ, કેમ કે રાષ્ટ્રવાદનો સાંકડો ખયાલ માત્ર જ નહીં ખુદ રાષ્ટ્રવાદ પણ પુનર્વિધાન માગે છે.  

સૌજન્ય : ‘માર્મિક મર્મ’, “દિવ્ય ભાસ્કર”, 19 માર્ચ 2016

http://www.divyabhaskar.co.in/news/ABH-reenactment-nationalism-seeking-care-ovesino-takes-javed-akhtar-5278639-NOR.html

Loading

...102030...3,5913,5923,5933,594...3,6003,6103,620...

Search by

Opinion

  • જય ભીમ’ ખરેખર શું છે? 
  • ભૂખ
  • ગાંધીબાગ કે ગાંધી ભાગ?
  • વિવેકહીન વ્યક્તિપૂજાનું વહેણ દેશને કઈ દિશામાં લઈ જશે?
  • બચ્ચે મન કે સચ્ચે

Diaspora

  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ
  • મારી દુનિયાનાં તમામ બાળકો

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved