Opinion Magazine
Number of visits: 9664569
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

महाजनो येन गत: स पन्था:

રમેશ ઓઝા|Opinion - Opinion|9 March 2025

રમેશ ઓઝા

જેના નામે ઘરઆંગણે રાષ્ટ્રદ્રોહનું રાજકારણ કરીને પોતાનું જ નાક કપાવ્યું એ યુ.એસ.એઈડ ૧૯૬૧ની સાલથી આપવામાં આવે છે. અમેરિકા જગતનો માત્ર સૌથી શક્તિશાળી દેશ નથી, વડીલ સમાન આદરપાત્ર દેશ છે એમ અમેરિકનો માનતા હતા અને એ મુજબ વર્તતા હતા. તેમણે અલગ અલગ ગજ વાપરીને જગતને બે ભાગમાં વહેંચ્યું હતું. એક ખુલ્લો સમાજ જ્યાં લોકશાહી છે, નાગરિકોને અધિકાર આપવામાં આવ્યા છે, એ અધિકારોને બંધારણ દ્વારા સુરક્ષિત કરવામાં આવ્યા છે, જવાબદાર શાસન છે અને બીજો બંધિયાર સમાજ જ્યાં તાનાશાહી છે, નિયંત્રણો છે અને નાગરિક શ્વાસ લેતા પણ ડરે છે. વિશ્વપ્રજાને બંધિયારપણાથી મુક્ત કરવાનો તેણે પોતાનો ધર્મ સમજ્યો હતો. તેમણે જગતને વિકસિત અને અવિકસિત અથવા વિકાસશીલ એમ બે ભાગમાં વહેંચ્યું હતું અને જેનો વિકાસ નથી થયો તેનો વિકાસ કરવાનો અથવા વિકાસની પ્રક્રિયામાં મદદરૂપ થવાનો પોતાનો ધર્મ સમજ્યો હતો. તેમણે જગતને પર્યાવરણીય અને પર્યાવરણદૂષિત એમ બે ભાગમાં વહેંચ્યું હતું અને જ્યાં પર્યાવરણના ગંભીર પ્રશ્નો છે ત્યાં પર્યાવરણ સુધારવા માટેની વિશેષ જવાબદારી સ્વીકારી હતી. તેઓ એ વાતનો પણ સ્વીકાર કરતા હતા કે તેનો વિકાસ ગરીબ દેશોના પર્યાવરણકીય શોષણ દ્વારા થયો છે એટલે તેને સુધારવાની તેમની વિશેષ જવાબદારી બને છે. 

આ એક પ્રકારની વૈશ્વિક સ્તરની મહાજન સંસ્કૃતિ હતી. ભારતમાં એક સમયે મહાજન વર્ગ ગામનાં કલ્યાણની જવાબદારી સ્વેચ્છાએ ઉઠાવતો હતો. એટલે તો એ મહા+જન તરીકે ઓળખાતા હતા. આખી વીસમી સદીમાં અમેરિકા અને યુરોપના દેશો વિશ્વના મહાજન હતા. महाजनो येन गत: स पन्थाः એમ મહાભારતમાં કહ્યું છે. વચલી જ્ઞાતિઓ અને મધ્યમવર્ગની માફક ઉપર બતાવ્યા એવા વિભાજીત જગતમાં વિકાસશીલ લોકતાંત્રિક દેશો અમેરિકા અને યુરોપના મહાજનોનું અનુકરણ કરતા હતા. આમાં ભારત સૌથી મોખરે અને સૌથી પ્રતિષ્ઠિત દેશ હતો. ભારત પણ પોતાને મહાજન સમજતું હતું અને એટલે તો વાઘાની સરહદ ઓળંગીને પાકિસ્તાનથી ભારતમાં પ્રવેશનારને અહેસાસ કરાવવામાં આવતો હતો કે તમે વિશ્વના સૌથી મોટા લોકશાહી દેશમાં પ્રવેશી રહ્યા છે. યુ.એસ.એઇડ આપીને અમેરિકા વિકાસશીલ ભારતનો હાથ ઝાલતું હતું, ભારત હાથ પકડતું પણ હતું, પરંતુ એ સાથે વાઘા સરહદે પાકિસ્તાનીને ટોણો મારવાનું નહોતું ચૂકતું. અમારે ત્યાં લોકશાહી છે. અમારો સમાજ બંધિયાર નથી. 

ટૂંકમાં અમેરિકા અને પશ્ચિમ યુરોપના દેશો મહાજન દેશો હતા. ચીન અને રશિયા અને બીજા સામ્યવાદી દેશોનો નઠારા દેશોમાં સમાવેશ થતો હતો. મુસ્લિમ દેશોનો પછાત દેશોમાં સમાવેશ થતો હતો અને જગતના બીજા કેટલાક દેશોનો આર્થિક અને સાંસ્કૃતિક રીતે કંગાળ દેશોમાં સમાવેશ થતો હતો. ભારતનું સ્થાન આમાં વચ્ચે હતું. ભારત પોતાને મહાજન સમજતું હતું, પરંતુ મહાજનો હજુ થોડી વાર છે એમ કહીને તેને નજીક છતાં ય બહાર રાખતા હતા. 

અંગ્રેજીમાં કહીએ તો એ હેન્ડ હોલ્ડીંગનો યુગ હતો. પણ એનો અર્થ એવો નહોતો કે તેમાં સંપૂર્ણ ઈમાનદારી હતી. અમેરિકાએ કથની અને કરણીમાં જે વિરોધાભાસ બતાવ્યો છે તેની લાંબી ગાથા છે. યુરોપના દેશોએ કેટલાક દેશોને ગુલામ બનાવીને તેનું શોષણ કર્યું હતું. એમ છતાં ય જ્યારે બીજું વિશ્વયુદ્ધ શરૂ થયું ત્યારે ગુલામ દેશોમાં કેટલાક લોકોએ આગ્રહ કર્યો હતો કે આપણે લોકશાહી દેશોને મદદ કરવી જોઈએ. તેમણે એ યુદ્ધને  લોકશાહી દેશો અને ફાસીવાદી દેશો વચ્ચેનાં યુદ્ધ તરીકે ઓળખાવ્યું હતું. કપડાં ફગાવી દીધેલા બેશરમ નાગા કરતાં સભ્યતાની મર્યાદામાં રહીને ઢોંગ કરતો ઢોંગી સારો. અને ઢોંગી તો આપણે ત્યાં મહાજનો પણ ક્યાં ઓછા હતા! 

પણ હવે?

હવે અમેરિકા કહે છે કે ‘ગર્વ સે કહો હમ નંગે હૈ’ સભ્યતા, ઉદારતા, મર્યાદાનો શું અમે ઠેકો લીધો છે? નઠારું ચીન નઠારાપણા દ્વારા આગળ નીકળી ગયું અને આપણે માણસાઈ બતાવવામાં પાછળ રહી ગયા. ઘરનાં છોકરાં ઘંટી ચાટે અને ઉપાધ્યાયને આટો વાળો ધંધો નહીં જોઈએ. આમ પણ જગતમાં નીચતાપર્વ બેઠું છે. એક પછી એક દેશના શાસકો મૂલ્યો અને માણસાઈ છોડી રહ્યા છે. રાષ્ટ્રવાદ, દેશપ્રેમ અને દેશહિતના નામે નર્યો સ્વાર્થ, એ પણ તાત્કાલિક સ્વાર્થ, દાદાગીરી, રંજાડ વગેરે અવગુણો ગર્વ સાથે અપનાવવામાં આવી રહ્યા છે. આ જોઇને અમેરિકનોને પણ લાગ્યું કે ખૂંટિયાયુગમાં આપણો પણ એક ખૂંટ હોવો જોઈએ, જે છીંકોટા મારે, શિંગડાં મારે અને લાત પણ મારે. ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાને નથી બદલી રહ્યા, અમેરિકનો અમેરિકાને બદલી રહ્યા છે જેમ ભારતીયો ભારતને બદલી રહ્યા છે. શાસકો તો લાભાર્થી છે. નીચતા રાષ્ટ્રવાદનો વરખ ચડાવીને પ્રસરી રહી છે. 

આ રાષ્ટ્રવાદ પણ એવો રાષ્ટ્રવાદ છે જે આખા રાષ્ટ્રની દરેક પ્રજાને બાથમાં નથી લેતો, પણ માત્ર બહુમતી પ્રજાને બાથમાં લે છે. પોતાનાં દેશનાં વતનીઓ હોવા છતાં કેટલાકને બાકાત રાખવા માગે છે. જો આવતીકાલે સીધો-સામાન ઓછો પડશે અથવા સ્વાર્થવૃત્તિ હજુ વધુ વિકૃત બનશે તો બહુમતી સમાજના માથાભારે લોકો પોતાનાંમાંથી જ નબળાઓને વંચિત રાખશે. દુર્બળતા રાષ્ટ્રધર્મમાં બાધારૂપ છે એટલે દુર્બળને તેનાં નસીબ પર છોડી દેવો જોઈએ એવી પણ એક થીયરી છે. રાષ્ટ્રવાદ એક બીમારી છે, એવી બીમારી જે શરીરના પસંદ કરેલા અંગને પોષણથી વંચિત રાખે છે. કોઈને વંચિત રાખવા માટે ધર્મ, સંપ્રદાય, પેટા-સંપ્રદાય, ભાષા, જ્ઞાતિ વગેરે હાથવગાં છે. લેબલ લગાડો, અનુકૂળ ઇતિહાસ ઘડો, દોષી ઠેરવો અને લાત મારો. અંગો પણ શરીરનો જ હિસ્સો છે એ રાષ્ટ્રવાદ નથી સમજતો. 

અમેરિકાએ બેશરમ બનીને સત્તાવારપણે નઠારાપણું અપનાવી લીધું છે એ જોઇને કેનેડા, ઓસ્ટ્રેલિયા અને પશ્ચિમ યુરોપના મહાજનો ડઘાઈ ગયા છે. આ બધા દેશોની મહાજની મુખ્યત્વે અમેરિકા પર નિર્ભર હતી. આમાં સૌથી મોટું સંકટ ભારત સામે પેદા થયું છે. વિદેશી રોકાણકારો ભારત છોડીને ચીનમાં રોકાણ કરી રહ્યા છે. શેરબજારમાં ભુક્કા બોલી રહ્યા છે. કારણ? કારણ બહુ સ્પષ્ટ છે : તમે હજુ સુધી મહાજનો(મુખ્યત્વે અમેરિકા)ના હેન્ડ-હોલ્ડીંગથી મુક્ત નથી થયા અને જો મહાજન હાથ છોડી દે તો તમારું ભવિષ્ય શું? બીજું સભ્યતાની બાબતે તમે દહીંદૂધમાં પગ રાખો છો. જગત સભ્ય અને અસભ્યમાં વહેંચાઇ રહ્યું છે ત્યારે ભારત પોતાનું સ્થાન નક્કી કરી શકતું નથી. 

ચીન અને ભારતે લગભગ સાથે યાત્રા શરૂ કરી હતી. ચીન ત્યારે ભારત કરતાં ઘણું પાછળ હતું. પણ આજે ચીન કોઈ હાથ પકડે એનું મોહતાજ નથી. ભારત એ કરી શક્યું નથી અને હવે અચાનક નવા શરૂ થયેલા નીચતાના યુગમાં સપડાઈ ગયું છે. ભારત અવસર ચૂકી ગયેલો દેશ છે અને હવે તો જમીન પરની વાસ્તવિકતા બદલાઈ રહી છે. 

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 09 માર્ચ 2025

Loading

ચલ મન મુંબઈ નગરી—279

દીપક મહેતા|Opinion - Opinion|8 March 2025

પૂતળીબાઈ : આપણી ભાષાનાં પહેલાં સ્ત્રી પત્રકાર, તંત્રી, અનુવાદક           

સૌથી પહેલાં તો આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની લાખ લાખ વધાઈ. અને એ દિવસના ઉજવણાના ભાગ રૂપે આજે વાત માંડીએ આપણી ભાષાનાં સૌથી પહેલાં સ્ત્રી પત્રકાર, તંત્રી, અનુવાદક, એવાં પૂતળીબાઈની. અસલ નામ તે પૂતળીબાઈ ધનજીભાઈ હોરમસજી વાડીઆ. અદરાયા પછી બન્યાં પૂતળીબાઈ જાંગીરજી કાબરાજી. પિતા ધનજીભાઈ પહેલાં પૂનામાં અને પછી મુંબઈમાં શાળા-શિક્ષક. પછી બન્યા મુંબઈની મઝગાંવ મિલના સેક્રેટરી. એલ્ફિન્સ્ટન નાટક મંડળી શેક્સપિયરનાં નાટકો અંગ્રેજીમાં ભજવતી ત્યારે તેમાં ભાગ લેતા અને અભિનેતા તરીકે જાણીતા થયેલા. ‘ગુલીવરની મુસાફરી’ નામનું અનુવાદિત પુસ્તક ૧૮૭૩માં પ્રગટ કરેલું. આ ધનજીભાઈને ઘરે ૧૮૬૪ના સપ્ટેમ્બરની પહેલી તારીખે પૂનામાં પૂતળીબાઈનો જન્મ. 

પૂતળીબાઈ કાબરાજી

જરા નવાઈ લાગે એવી એક વાત એ કે શાળાનો અભ્યાસ કર્યા પછી ૧૮૮૦માં મેટ્રિકની પરીક્ષા વખતે ફક્ત અંગ્રેજીના પેપરમાં જ બેઠાં. બાકીના પેપરમાં જાણીજોઈને ગેરહાજર. કેમ? કારણ અંગ્રેજીની આવડત અંગે જ પુરાવો જોઈતો હતો, બાકીના વિષયો વિષે નહિ! ૧૮૮૧માં ‘સ્ત્રીબોધ’ માસિકમાં તેમનું પહેલું લખાણ છપાયું. ત્યારે તેમની ઉંમર ૧૭ વર્ષની. ૧૮૫૭માં શરૂ થયેલા ‘સ્ત્રીબોધ’માં કોઈ સ્ત્રીએ લખેલું આ પહેલવહેલું લખાણ. ત્યાં સુધી નામ ભલે ‘સ્ત્રીબોધ’ હતું, પણ તેમાં લખનારા હતા બધા પુરુષો. પછી ૧૮૮૩માં પ્રગટ થયો ‘ટૂંકી કહાણીઓ’ પુસ્તકનો બીજો ભાગ. મહીપતરામ રૂપરામ નીલકંઠ તરફથી ૬૦ રૂપિયાનું ઇનામ મળ્યું. એ જમાનામાં એ સમાચાર લંડનના ‘ઇન્ડિયન મેગેઝીન’માં છપાયા. સર રીચર્ડ કર્નાક ટેમ્પ્લ, બીજા બેરોનેટે (૧૮૫૦-૧૯૩૧) વાંચ્યા. ડો. જેમ્સ બર્જેસે ૧૮૭૨માં શરૂ કરેલ ‘ઇન્ડિયન એન્ટીક્વેરી’નામના પ્રતિષ્ઠિત સામસિકના ડો. જે.એસ. ફ્લીટ સાથે ટેમ્પલ એ વખતે જોડિયા તંત્રી. 

પૂતળીબાઈનું પહેલું પુસ્તક

ટેમ્પલને પૂતળીબાઈને મળવાની ઈચ્છા થઈ. સર જ્યોર્જ કોટન(૧૮૪૨-૧૯૦૫)ની મદદથી ધનજીભાઈને બંગલે જઈ મળ્યા. આ કોટનસાહેબ ૧૮૬૩માં ઇસ્ટ ઇન્ડિયા કોટન એજન્સીના મેનેજર તરીકે મુંબઈ આવેલા. પછી મિત્ર જેમ્સ ગ્રીવ્ઝ સાથે મળીને પોતાની કંપની શરૂ કરી, ગ્રીવ્ઝ કોટન એન્ડ કંપની. ઉપરાંત તેઓ યુનિવર્સિટી ઓફ બોમ્બેના ફેલો, બોમ્બે મ્યુનિસિપલ કોર્પોરેશનના ચેરમેન, અને બોમ્બેના શેરીફ પણ નિમાયા હતા. ટેમ્પલ અને પૂતળીબાઈ મળ્યાં. તે વખતે ‘ઇન્ડિયન એન્ટીક્વેરી’ માટે લખવાનું ટેમ્પલે આમંત્રણ આપ્યું. આવી તક કાંઈ જતી ન કરાય એટલે તરત હા તો પાડી દીધી પૂતળીબાઈએ. પણ પછી વિમાસણ : લખવું તો લખવું શું? બાળપણમાં દાદા-દાદી અને બીજાં મોટેરાંઓ પાસેથી સાંભળેલી વાર્તાઓ યાદ આવી. પૂતળીબાઈએ એવી વીસ વાર્તાઓ અંગ્રેજીમાં લખી નાખી. ‘ફોકલોર ઓફ વેસ્ટર્ન ઇન્ડિયા’ મથાળા હેઠળ ૧૮૮૫થી તે ઇન્ડિયન એન્ટીક્વેરીમાં હપ્તાવાર છપાઈ. જેનું લખાણ આ પ્રતિષ્ઠિત સામયિકમાં છપાયું હોય તેવાં સૌથી પહેલાં બિન-યુરોપિયન બાનુ હતાં પૂતળીબાઈ. એટલું જ નહિ, ૧૯૨૨ સુધીનાં પહેલાં પચાસ વરસમાં હિન્દુસ્તાનની બીજી કોઈ સ્ત્રીનું લખાણ આ માસિકમાં છપાયું નહોતું. પૂતળીબાઈની આ બધી જ વાર્તાઓ પછીથી ‘બેસ્ટ શોર્ટ સ્ટોરીઝ ઓફ ઇન્ડિયા’ નામના પુસ્તકમાં છપાઈ હતી. 

ઇન્ડિયન એન્ટીક્વેરીનાં બારણાં એક વાર ખૂલી ગયાં એટલે પૂતળીબાઈની કલમ અંગ્રેજીમાં દોડવા લાગી. પારસીઓ અને હિન્દુઓનાં ગુજરાતી લગ્નગીતોના અંગ્રેજી અનુવાદ કર્યા જે ‘પારસી એન્ડ ગુજરાતી હિંદુ ન્યુપિટલ સોંગ્સ’ નામથી હપ્તાવાર પ્રગટ થયાં. તેની સાથે ગીતોનો ગુજરાતી પાઠ પણ દેવનાગરીમાં છાપ્યો હતો. ગુજરાતી લગ્નગીતોનો આ પહેલવહેલો અંગ્રેજી અનુવાદ. જાણીતા ઇટાલિયન કવિ પ્રોફેસર માર્કો એન્ટોનિયોના જોવામાં આ અનુવાદો આવ્યા અને તેમણે હિન્દુસ્તાનની જુદી જુદી ભાષાનાં લગ્નગીતો અને પ્રેમગીતોના અનુવાદ માટે પૂતળીબાઈને આમંત્રણ આપ્યું. એન્ટોનિયોએ આ અનુવાદોને ૧૪૦ ભાષાઓનાં ત્રણ હજાર જેટલાં ગીતો સમાવતા પોતાના પુસ્તકના પાંચ ભાગમાં સમાવ્યાં એટલું જ નહિ, તેને આખા સંગ્રહના ‘સૌથી સુંદર આભૂષણ’ તરીકે ઓળખાવ્યા. 

પ્રેમાનંદનાં આખ્યાન ‘મામેરું’નો પુતળીબાઈએ કરેલો અંગ્રેજી અનુવાદ

પણ પૂતળીબાઈનો સૌથી વધુ મહત્ત્વાકાંક્ષી અનુવાદ તે તો કવિ પ્રેમાનંદના ‘કુંવરબાઈનું મામેરું’ આખ્યાનનો અંગ્રેજી અનુવાદ. તે પણ આ જ માસિકમાં ૧૮૯૫ અને ૧૮૯૬ દરમ્યાન ચાર અંકોમાં હપ્તાવાર છપાયો હતો અને તે અનુવાદની સાથે આખ્યાનનો ગુજરાતી પાઠ દેવનાગરીમાં છાપ્યો હતો. પ્રાસ્તાવિક લખાણમાં પૂતળીબાઈએ નરસિંહ મહેતાના જીવન અને કવનનો પરિચય આપ્યો છે. અનુવાદમાં પણ અનેક સ્થળે જરૂરી પાદટીપો ઉમેરી છે. મધ્યકાલીન ગુજરાતી કવિતાના કોઈ પણ અભ્યાસી-સંશોધકને છાજે તેવો આ અનુવાદ છે. ઓગણીસમી સદીના છેલ્લા દાયકામાં પ્રેમાનંદના એક મહત્ત્વના આખ્યાનનો અનુવાદ અંગ્રેજીમાં થાય, અને તે પણ એક પારસી સ્ત્રીને હાથે થાય, એ એક અસાધારણ ઘટના ગણાય. ઇન્ડિયન એન્ટીક્વેરી જેવા પ્રતિષ્ઠિત સામયિકમાં તે છપાય એ પણ મહત્ત્વની ઘટના ગણાય. પણ આજ સુધી તેના તરફ આપણા અભ્યાસીઓનું ભાગ્યે જ ધ્યાન ગયું છે. એક કારણ એ કે પૂતળીબાઈએ પોતાના અનુવાદો ક્યારે ય ગ્રંથસ્થ કર્યા નહિ. છેક ૨૦૨૨માં મામેરુંનો અંગ્રેજી અનુવાદ જૂનાગઢની રૂપાયતન સંસ્થાએ પુસ્તક રૂપે પ્રગટ કર્યો છે. પણ આપણા જાણકાર અભ્યાસીઓનું પણ તેના તરફ ભાગ્યે જ ધ્યાન ગયું છે.

ટૂંકી કહાણીઓ માટે પૂતળીબાઈને મળેલા ઇનામની નોંધ પરદેશમાં લેવાય તો ‘સ્ત્રીબોધ’ માસિકમાં ન લેવાય એવું તો ન જ બને. વળી પૂતળીબાઈ તો આ માસિકનાં લેખિકા હતાં. ૧૮૮૩ના મે અંકમાં નોંધ લેતાં સ્ત્રીબોધે લખ્યું : “પુતળીબાઈની સહી હેઠળ સ્ત્રીબોધના વાંચનારાઓનું મનરંજન કરનારી અમારી ચંચળ લખનારી બાઈને વાંચનારી બાનુઓ સારી પેઠે પિછાને છે.” મહીપતરામ રૂપરામે જાહેર કરેલું ૬૦ રૂપિયાનું ઇનામ “અમારી એ ચંચળ મદદગાર બહેનીને મળ્યું છે તેથી અમે મગરૂરી માની લઈએ છીએ અને અમારી મગરૂરીમાં વાંચનારી બાનુઓ ભાગ લેશે એવી આશા રાખીયે છીએ.” (ભાષા-જોડણી મૂળ પ્રમાણે) નોંધ સાથે પૂતળીબાઈના પુસ્તકમાંથી એક વાર્તા ‘ભોળાનો ભરમ ભાંગ્યો’ પણ સ્ત્રીબોધે છાપી હતી. જેને સ્ત્રીબોધે ‘એક મદદગાર બહેની’ તરીકે ઓળખાવ્યાં હતાં તે પૂતળીબાઈ ૧૮૯૪ના ડિસેમ્બરની ૧૬મી તારીખે જાંગીરજી કાબરાજી સાથે અદરાયાં અને ‘સ્ત્રીબોધ’ના તંત્રી કેખુશરૂ કાબરાજીનાં પુત્રવધૂ બન્યાં. જાંગીરજી મુંબઈ સરકારના સ્ટેટ્યુટરી સિવિસ સર્વન્ટ હતા અને અમદાવાદ, સુરત, નાશિક, મુંબઈ, બીજાપુર, ખંભાત, ખાનદેશ વગેરે જગ્યાએ તેમની બદલી થતી રહી. તેઓ જ્યાં જ્યાં ગયા ત્યાં ત્યાં પૂતળીબાઈએ સમાજસેવાનાં કામો ઊલટભેર શરૂ કર્યાં. સતત થતી બદલીઓને કારણે કે પછી સમાજસેવામાં મન પરોવાયું તેથી, પણ પૂતળીબાઈનું અનુવાદનું કામ લગભગ થંભી ગયું. કેખુશરુ કાબરાજીના અવસાન પછી ‘સ્ત્રીબોધ’ના સંપાદનની જવાબદારી તેમનાં દીકરી શીરીનબાનુએ ઉપાડી લીધી, પણ ૧૯૧૨માં તેમણે એ જવાબદારી પૂતળીબાઈને સોંપી દીધી. ત્યારથી પૂતળીબાઈ ‘સ્ત્રીબોધ’માં લગભગ નિયમિત રીતે લખતાં રહ્યાં. જો કે છેવટનાં વર્ષોમાં કથળતી જતી તબિયતને કારણે સંપાદનનો ઘણો ભાર તેમણે જોડિયા તંત્રી કેશવપ્રસાદ સી. દેસાઈ પર નાખ્યો હતો.

મન થાક્યું નહોતું, પણ હવે શરીર સાથ આપતાં આનાકાની કરતુ હતું. પતિ જાંગીરજી સરકારી નોકરીમાંથી નિવૃત્ત થયા તે પછી  તેઓ અને પૂતળીબાઈ અમદાવાદ રહેતાં થયાં. ત્યાં પણ લોકોનું ભલું થાય એવાં કાર્યોમાં બંનેનો બને તેટલો સાથ રહેતો. બંને હવાફેર માટે પાંચગણી ગયાં હતાં ત્યાં જ ત્રણ દિવસની ટૂંકી માંદગી પછી ૧૯૪૨ના જુલાઈની ૧૯મી તારીખે પૂતળીબાઈ બેહસ્તનશીન થયાં. 

ફક્ત પારસી બાનુંઓનાં લખાણો પ્રગટ કરતું માસિક ‘સ્ત્રી મિત્ર’ 

હવે બીજી એક વાત. ‘સ્ત્રીબોધ’ આપણા દેશની બધી ભાષામાં પહેલવહેલું સ્ત્રીઓ માટેનું સામયિક ખરું, પણ તેમાં ફક્ત સ્ત્રીઓનાં જ લખાણો છપાય એવું નહોતું. પહેલેથી છેવટ સુધી પુરુષોનાં લખાણ પણ છપાતાં. પણ માત્ર સ્ત્રીઓ, અને તેમાં ય પારસી સ્ત્રીઓનાં જ લખાણો છાપતું એક સામયિક પણ મુંબઈથી જ શરૂ થયું હતું, છેક ૧૮૮૯માં. એનું નામ ‘સ્ત્રી મિત્ર’. તેના દરેક અંકના ટાઈટલ પેજ પર છપાતું : ‘લખનારાં : પારસી બાનુઓ.’ મુંબઈના કૈસરે હિન્દ સ્ટીમ પ્રેસમાં છપાતું. વાર્ષિક લવાજમ તો ‘સ્ત્રીબોધ’ની જેમ વરસનો એક રૂપિયો! હા. અહીં ‘લખનારા’માં અનુવાદ, રૂપાંતર, સારલેખન કરનારાં બાનુઓ પણ આવી જાય. અંકો ઉથલાવવાથી છાપ એવી પડે કે તેમાં મૌલિક લખાણો પ્રમાણમાં ઓછાં. અનુવાદ-રૂપાંતર વધારે. અનુવાદ મોટે ભાગે અંગ્રેજીમાંથી. આ ‘સ્ત્રી મિત્ર’ના ૧૮૮૯થી ૧૮૯૪ સુધીના અંકો જોવા મળ્યા છે. એટલે ઓછામાં ઓછું છ વરસ તો એ ચાલેલું. જેમાં માત્ર સ્ત્રીઓનાં જ લખાણો છપાતાં હોય એવાં આજે આપણી પાસે બે ત્રૈમાસિક છે: મુંબઈથી પ્રગટ થતું ‘લેખિની’ (શરૂઆત સપ્ટેમ્બર ૧૯૯૯) અને અમદાવાદથી પ્રગટ થતું ‘વિશ્વા.’ (શરૂઆત ૨૦૨૩). બંનેની પાછળ મુખ્ય પ્રેરણા સન્માન્ય લેખક ધીરુબહેન પટેલની. પણ છેક ૧૮૮૯માં ‘સ્ત્રી મિત્ર’, અને તે પણ માસિક! 

ગુજરાતી સ્ત્રીશક્તિને સલામ!

e.mail : deepakbmehta@gmail.com

XXX XXX XXX

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 08 માર્ચ 2025

Loading

સૌમ્ય અને ભવ્ય … પ્રિય માતૃભાષા ગુજરાતી

સોનલ પરીખ|Opinion - Opinion|8 March 2025

એક ભાષા નાશ પામે ત્યારે એક સંસ્કૃતિનું મૃત્યુ થાય છે. અંગ્રેજી વિના ઉદ્ધાર નથી તે ખરું છે, પણ માતૃભાષા વિના તો પોતાનું ખમીર જ ચાલ્યું જાય છે તેનું શું? હકીકત તો એ છે કે આપણે જ્યારે માતૃભાષાનો અનાદર કરીએ છીએ ત્યારે એક પ્રકારના હીનભાવથી પીડાતા હોઈએ છીએ …

સોનલ પરીખ

ભાષાનું એક શાસ્ત્ર હોય છે; તેનો એક ઇતિહાસ, એક ભૂગોળ, એક વિજ્ઞાન અને એક રાજકારણ પણ  હોય છે. આ તમામ પાસાં ખૂબ રસપ્રદ છે. અને માતૃભાષા? માતૃભાષા તો દૂધભાષા – અખૂટ હૂંફ, અખૂટ આકર્ષણ, અખૂટ સ્નેહથી તરબતર અને છલોછલ. પણ જેમ મા, જેમ માતૃભૂમિ તેમ માતૃભાષા પણ જન્મ સાથે સહજપણે મળી જાય છે એટલે આપણે એટલી જ સહજતાથી તેને વિસારે પાડી બીજાં આકર્ષણોમાં અંજાઈ-અટવાઈ જતા હોઈએ છીએ. 21 ફેબ્રુઆરી, આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિન નિમિત્તે ભાષા, માતૃભાષા અને માતૃભાષા દિનની થોડી વાત કરીએ. 

19મી સદીનાં ગુજરાતી પુસ્તકો વિશે જેમણે એક સુંદર સંશોધનાત્મક પુસ્તક લખ્યું છે તે દીપકભાઈ મહેતાએ લખ્યું છે કે માતૃભાષા દિન, દુનિયાના કુલ 190 દેશોમાંથી 129 દેશોમાં વસતા ગુજરાતી લોકોનો દિવસ છે. ભારતની બીજી કોઈ ભાષા બોલનારા લોકો આટલી મોટી સંખ્યામાં આટલા બધા દેશોમાં જઈને વસ્યા નથી. ભદ્રાયુ વછરાજાની કહે છે, ‘મારી માતૃભાષા – મારી ત્વચા’ 

તો પણ આપણે ગુજરાતી ભાષાના અસ્તિત્વની ચિંતા કરીએ છીએ ને આ ચિંતા સાચી પણ છે કારણ કે આજે વિદેશોમાં જ નહીં, આપણા પોતાના દેશમાં ને ગુજરાતી જેની અધિકૃત ભાષા છે તે ગુજરાત રાજ્ય અને દીવ-દમણમાં પણ ગુજરાતી ભાષા ધીરે ધીરે કથન અને શ્રવણમાં સમેટાતી જાય છે. વાચન અને લેખનની સ્થિતિ ઉત્તરોત્તર કથળતી જાય છે. ગુજરાતી માધ્યમની શાળાઓ અને તેના વિદ્યાર્થીઓ ગરીબ બિચારા જેવા થઈ ગયાં છે. અંગ્રેજી માધ્યમમાં ભણતા બાળકોને એમનાં માબાપો ગુજરાતી માધ્યમમાં ભણતાં બાળકો સાથે રમવાની ના પાડે છે. ‘આઈ એમ નોટ કમ્ફર્ટેબલ ઈન ગુજરાતી’ એવું ગર્વભેર કહેતા, અંગ્રેજી બોલવામાં ભૂલ કરનારની હાંસી ઉડાવતા ને પાછા ફેશનેબલ ગણાતા ગુજરાતીઓની સંખ્યા નાની નથી. લઘુતાગ્રંથિની આ કઈ હદ છે ? માત્ર ગુજરાતી નહીં ભારતની અને વિશ્વની ઘણીખરી ભાષાના આ જ હાલ છે. ભાષાવિદ ગણેશ દેવી કહે છે કે આવતાં પચાસ વર્ષમાં દુનિયાના પટ પરથી ભારતની 400 સહિત 4,000 ભાષાઓ વિલુપ્ત થઈ જશે.

આ સંજોગોમાં આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિન, તમામ માતૃભાષાભાષીઓ સુધી પહોંચે એ રીતે ઉજવવો જોઈએ. 1999થી વિશ્વના બધા દેશો ‘યુનેસ્કો’એ ઘોષિત કરેલો માતૃભાષા દિન ઊજવે છે તેની પાછળ બાંગલાદેશમાં થયેલું ભાષાઆંદોલન કારણભૂત છે તેની આપણને ખબર છે ? 

1947માં દેશનું વિભાજન થયું. પાકિસ્તાન પૂર્વ પાકિસ્તાન અને પશ્ચિમ પાકિસ્તાન એમ બે ભાગમાં વહેંચાયું. બન્ને પાકિસ્તાન ભાષા, સંસ્કૃતિ અને રહેણીકરણીની રીતે ઘણાં જુદાં હતાં. એટલે  પાકિસ્તાને ઉર્દૂને રાષ્ટ્રભાષા જાહેર કરી ત્યારે બંગાળીભાષી પૂર્વ પાકિસ્તાનમાં તેનો વિરોધ થયો. 23 ફેબ્રુઆરી 1948થી ધીરેંદ્રનાથ દત્તના નેતૃત્વમાં આંદોલન શરૂ થયું. સરકાર દમન પર ઊતરી આવી, વિદ્રોહ ઉગ્ર બન્યો. 1952ની 21મી ફેબ્રુઆરીએ પોલિસે એક સરઘસ પર ગોળીબાર કર્યો જેમાં પાંચ યુવાનો માર્યા ગયા. અનેક ઘાયલ થયા. માતૃભાષા માટે લોકોએ જીવન આપ્યાં હોય તેવો દાખલો ઇતિહાસમાં દુર્લભ છે. ત્યારથી બાંગલા દેશમાં 21 ફેબ્રુઆરી નેશનલ હોલિડે અને શોકદિન છે. લોકો શહીદ-મંદિરમાં જાય છે અને અંજલિ આપે છે. 

1998માં કેનેડાવાસી બાંગલાદેશીઓ રફિક-ઉલ-ઇસ્લામ અને અબ્દુસ્સલામે યુ.એન. સેક્રેટરી જનરલ કોફી અન્નાનને પત્ર લખી વિશ્વની ભાષાઓને મરતી બચાવવા એક આંતરરાષ્ટ્રીય ભાષાદિન ઘોષિત કરવાની વિનંતી કરી અને ઢાકાના શહીદોને અંજલિ આપવા માટે એ દિન 21 ફેબ્રુઆરીએ ઊજવાય એવો પ્રસ્તાવ મૂક્યો. 

બીજા વર્ષથી વિવિધ થીમ સાથે આ દિન ઊજવવાની શરૂઆત થઈ. 2005માં બ્રેલ અને સાઇન લેંગ્વેજ, 2007માં વિવિધ ભાષાઓમાં શિક્ષણ, 2013માં માતૃભાષા શિક્ષણમાં પુસ્તકોનું સ્થાન, 2014માં લોકલ લેંગ્વેજિસ ફૉર ગ્લૉબલ સિટિઝનશીપ આવી થીમ હતી. 2020માં સરહદમુક્ત ભાષા અને 2021માં વિવિધ ભાષામાં શિક્ષણ તેમ જ ભાષાવૈવિધ્યને અપનાવતા સમાજની થીમ હતી. આ વર્ષ આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસનું રજતજયંતી વર્ષ છે. આજે પણ વિશ્વના 250 મિલિયન લોકો શાળાનું મોં જોવા પામતા નથી અને 763 મિલિયન પુખ્તો પાયાના ભાષા-કૌશલ્યથી વંચિત છે ત્યારે આ દિવસ નિમિત્તે કોઈ નક્કર કામ થવું જોઈએ.

કેટલી ભાષાઓ બોલાતી હશે દુનિયામાં ? છ હજારથી વધારે. આ બધી ભાષાઓ દસ ભાષાકુળોમાંથી જન્મી છે. ગુજરાતી ભાષા ઇન્ડો યુરોપિયન કુળમાંથી જન્મી છે. આ ભાષાકુળ સૌથી મોટું છે, જેમાંથી જન્મેલી 437 ભાષા દુનિયાના ત્રણ અબજ લોકો બોલે છે. યુરોપ, રશિયાની ભાષાઓ અને સંસ્કૃત આ કુળમાંથી જન્મ્યાં છે. વિગતમાં જઈએ તો ગુજરાતી ભાષાનો વંશવેલો આ પ્રમાણે બને : ઇન્ડો યુરોપિયન  ઇન્ડો ઈરાનિયન  ઇન્ડો આર્યન (સંસ્કૃત)  પશ્ચિમ ઇન્ડો આર્યન( પ્રાકૃત-અપભ્રંશ) જૂની ગુજરાતી (ઈ.સ. 1100થી 1500)  ગુજરાતી. 

ભારતમાં સૌથી વધારે બોલાતી ભાષાઓમાં ગુજરાતીનો ક્રમ છઠ્ઠો છે. દેશની વસતીના સાડાચાર ટકા લોકો ગુજરાતીમાં વાતો કરે છે, વિચારે છે ને સપનાં જુએ છે. જૂની ગુજરાતી ભાષાને ગુર્જર પણ કહે છે. તે રાજસ્થાની અને ગુજરાતી ભાષાની જનની છે. નરસિહ મહેતા 1414માં થયા. તેમનાથી ગુજરાતી ભાષાનું સ્વરૂપ ફર્યું.  

શબ્દો રત્નો કરતાં પણ વધારે કિંમતી છે. ભાષાની કિંમત સમજનારે આઠ ગુણ કેળવવા જોઈએ : મધુરતા, નિપુણતા, અર્થપૂર્ણતા, સહજતા, લાઘવ, શોભા, વિચારપૂર્ણતા અને સત્ય. યુ.એન. કહે છે, ‘ભાષા આપણા વર્ણ્ય – અવર્ણ્ય વારસાને સાચવવા અને વિકસાવવાનું સૌથી અસરકારક માધ્યમ છે. માતૃભાષાઓને પ્રોત્સાહિત કરવાથી ભાષાવૈવિધ્યને પ્રોત્સાહન મળે છે એટલું જ નહીં, તેનાથી આખા વિશ્વમાં ભાષા અને સંસ્કૃતિ માટેની જાગરૂકતા વધે છે અને વિશ્વ સમજ, સહિષ્ણુતા અને સંવાદના પાયા પર જુદી રીતે એક થાય છે.’ 

આપણે ભાષામાં પણ ઊંચનીચ લઈ આવ્યા છીએ. અંગ્રેજીમાં બોલનાર ઊંચા અને ગુજરાતીમાં બોલનાર નીચા. રામચંદ્ર ગુહાએ લખ્યું છે કે આજે બે ભાષા પર પ્રભુત્વ ધરાવનાર બહુ ઓછા બચ્યા છે. વાત ખોટી નથી – ગાંધીજી અને ટાગોરની જેમ અંગ્રેજી અને માતૃભાષા બન્ને પર સરખું પ્રભુત્વ હોય એવા લોકો દુર્લભ છે. 

આજે માનવાધિકારમાં ભાષા-અધિકારનો સમાવેશ છે અને તેનો એક સુંદર અને રસપ્રદ ઇતિહાસ છે. મનોવિજ્ઞાન કહે છે કે બાળકને માતૃભાષાના 2,500 શબ્દો આવડી જાય ત્યાર પછી જ તેના પર બીજી કોઈ ભાષા લાદવી જોઈએ. આપણે તો માતૃભાષાના શબ્દોનો જ છેદ ઉડાડી દઈએ છીએ. ચકીબહેનને તો સ્પેરો બનાવી દીધી, હવે સૂરજદાદા અને ચાંદામામાનું અંગ્રેજી કેવી રીતે કરીશું? યાદ આવે છે કવિ દલપતરામ. ગાયકવાડ સરકારે વહીવટી ભાષા મરાઠી રાખવાનું નક્કી કર્યું ત્યારે દલપતરામ તેમના દરબારમાં ધસી ગયા અને ખોંખારીને કહ્યું, ‘રૂડી ગુજરાતી રાણી વાણીનો વકીલ છું …’ પ્રેમાનંદે ગુજરાતી માટે ‘શું શાં પૈસા ચાર’ એવો તુચ્છ્કાર સાંભળીને પાઘડી પહેરવાનું છોડી દીધું હતું.

દરેક ભાષામાં એવા શબ્દો હોય છે જેનું ભાષાંતર થઈ ન શકે. ભાષાનું અસલી કલેવર આવા ખાસ શબ્દોથી જ ઘડાય છે. તેથી જ કહેવાય છે કે એક ભાષા નાશ પામે ત્યારે એક સંસ્કૃતિનું મૃત્યુ થાય છે. ગુજરાતી ભાષાની ચૌદ બોલીઓ છે ને દરેકની પોતાની ખૂબી છે. અંગ્રેજી વિના ઉદ્ધાર નથી તે ખરું છે, પણ માતૃભાષા વિના તો પોતાનું ખમીર જ ચાલ્યું જાય છે તેનું શું ? હકીકત તો એ છે કે આપણે જ્યારે માતૃભાષાનો અનાદર કરીએ છીએ ત્યારે એક પ્રકારના હીનભાવથી પીડાતા હોઈએ છીએ.

જન્મદાત્રી અને જન્મભૂમિની જેમ જન્મભાષા ગુજરાતીનું ઋણ સ્વીકારતા શીખીએ. 

(શીર્ષકપંક્તિ – ઉમાશંકર જોશી)       
e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 16 ફેબ્રુઆરી  2025

Loading

...102030...358359360361...370380390...

Search by

Opinion

  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો
  • નાનમ પણ ન લાગે …?

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 

Poetry

  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 
  • મુખોમુખ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved