Opinion Magazine
Number of visits: 9456615
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

માતૃભાષા 

ઇન્દુલાલ યાજ્ઞિક|Gandhiana|12 November 2024

ઇન્દુલાલ યાજ્ઞિક

ગાંધીજી જુલમ અને અન્યાય સામે લડવામાં એક્કા હતા. તેમની સત્યાગ્રહની લડત માટે દુનિયામાં તે પંકાયા છે. પણ તેમણે જે વિવિધ રચનાત્મક કાર્યનો અણમોલ બોધ દેશને આપ્યો છે તે તો તેમણે અહીં પગ મૂકતાં જ શરૂ કરી દીધેલો. આજે જે કેટલાંક કાર્ય ઘણાં રૂઢ થઈ ગયાં છે તે, તે વખતે ઘણાં ચમત્કારિક લાગતાં. તેવો એક પ્રસંગ હવે વર્ણવીશ.

૧૯૧૫ના આરંભમાં મુંબઈમાં ગુજરાતી વિદ્વાનો, લેખકો અને સંસ્કારી યુવાનો મળીને ‘ગુર્જરસભા’ નામનું એક મંડળ ચલાવતા. તેની સભાઓમાં દર અઠવાડિયે અંગ્રેજીમાં તેમ ગુજરાતીમાં ભાષણો અને ચર્ચાઓ થતાં. તેમાં કૃષ્ણલાલ ઝવેરી, ઉત્તમલાલ ત્રિવેદી, નરસિંહરાવ ભોળાનાથ, ચંદ્રશંકર પંડયા, કનૈયાલાલ મુનશી, મનસુખલાલ માસ્તર વગેરે જૂની અને નવી પેઢીના અગ્રણીઓ ભાગ લેતા. આ મંડળ તરફથી ગાંધીજીને સન્માનવાને એક સમારંભ હાલના ઇમ્પિરિયલ સિનેમાની જગ્યાએ, મંગળદાસ શેઠના બગીચામાં ગોઠવાયો. તે વખતના રાષ્ટ્રવાદી મુસ્લિમ નેતા મહંમદઅલી ઝીણાએ પ્રમુખપદ લેવાનું કબૂલ કર્યું. ગાંધીજી જેવા જગવિખ્યાત ગુજરાતી અગ્રેસરનાં દર્શન કરવા અને તેમની વીરવાણી સાંભળવા સભાસદો અને મિત્રોની મોટી મેદની જામી.

આ મેળાવડામાં સૌમ્યમૂર્તિ ગાંધીજી સપાટાબંધ ચાલતા પધાર્યા ત્યારથી સર્વ પર ઊંડી છાપ પડી. અમે ઘણાખરા પાટલૂનકોટ પહેરીને ત્યાં હાજર થયેલા. તેથી હાથવણાટના જાડા કાપડનું ટૂંકું ધોતિયું, અંગરખું અને ફેંટામાં સજ્જ થયેલા ગાંધીજીને જોતાં જ કોઈ કોઈ શરમાવા લાગ્યા. સ્વદેશીનો એક અક્ષર ઉચ્ચાર્યા સિવાય ગાંધીજીએ સ્વદેશીનો મૂક પેગામ સર્વના દિલમાં સોંસરો ઉતારી દીધો.

તરત ગાંધીજીએ બીજો ચમત્કાર બતાવ્યો. ગુર્જર સભાના મંત્રી તરીકે કનૈયાલાલ મુનશીએ અંગ્રેજીમાં છટાદાર ભાષણ કરીને ગાંધીજીને “અર્વાચીન ગુજરાતના શ્રેષ્ઠ સુપુત્ર” તરીકે બિરદાવ્યા. ઝીણાએ પણ પ્રમુખ તરીકે અંગ્રેજીમાં જોશીલું ભાષણ કર્યું. દક્ષિણ આફ્રિકાની સફળ લડત માટે તેમણે ગાંધીજીનો આભાર માન્યો અને હજી અણઉક્લ્યા સવાલોનો ફેંસલો કરવાને નવી લડત આદરવા ગાંધીજીને વિનંતી કરી.

પણ ગાંધીજી સન્માનનો જવાબ આપવા ઊભા થયા ત્યારે “ભાઈઓ અને બહેનો” શબ્દો ઉચ્ચારીને ગુજરાતીમાં જ ભાષણ શરૂ કર્યું. પહેલાં થયેલાં અંગ્રેજી ભાષણોની સીધી ટીકા કર્યા વિના, આમપ્રજાને જાગ્રત કરવાની નેમથી ગુજરાતમાં ગુજરાતી અને દેશભરમાં હિંદુસ્તાની ભાષા અપનાવવાનો તેમણે બોધ આપ્યો. પરદેશમાં ચલાવેલી કે દેશમાં ચલાવવાની લડત વિશે કંઈ જ બોલ્યા વિના તેમણે પોતાનું ટૂંકું ભાષણ પૂરું કર્યું.

જ્યારે અલ્પાહાર કરવા બધા વીખરાયા અને ગાંધીજી સર્વેની સાથે હસીને વાતો કરતા ફળાહાર કરવા તેમના ટેબલ પર ગયા ત્યારે ગાંધીજીના સ્વદેશી પોશાક અને ગુજરાતી ભાષાના પ્રયોગ પર સર્વ ચર્ચા કરવા લાગ્યા. કેટલાકને ગાંધીજીનાં કપડાં વધારે પડતાં ગામઠી લાગ્યાં. મુંબઈના શહેરી વાતાવરણમાં સ્વભાષાનો પ્રયોગ પણ કેટલાકને ખૂંચ્યો. પણ ગુર્જર સભાનું નામ સાર્થક કરવાનો કડીતોડ રાહ ગાંધીજીએ જ ચીંધ્યો, એમ કેટલાકને બરોબર સમજાયું. અમે બધા ય ગુજરાતીઓ અને ગુજરાતી ભાષાના ખેરખાં થયાનો દાવો રાખનારા, છતાં ગાંધીજી જેવા રાષ્ટ્રીય નેતાના માનમાં અમારા તરફથી બધાં ભાષણ અંગ્રેજીમાં થયાં તેનો કેટલાકને પસ્તાવો થયો. માતૃભાષા પ્રત્યે પ્રેમ અને આદરનો જે પેગામ ગાંધીજીએ આ સભામાં આપ્યો, તે અમારા અંતરમાં હંમેશને માટે કોતરાઈ ગયો.

[‘સત્યાગ્રહનો રણટંકાર’]
સૌજન્ય : નંદિતાબહેન મુનિની ફેઇસબૂક દિવાલેથી સાદર

Loading

સરદારની સાર્ધ શતાબ્દીની દબદબાભેર ઉજવણીનો ટંકાર

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|11 November 2024

પ્રકાશ ન. શાહ

સરદાર વલ્લભભાઈ પટેલનું સરવાળે સ્વીકૃત જન્મવર્ષ 1875 છે. મતલબ, 31મી ઑક્ટોબરથી આપણે એમના સાર્ધ શતાબ્દી વર્ષમાં પ્રવેશી ચૂક્યા છીએ. વડા પ્રધાને ‘મન કી બાત’માં એની દબદબાભેર ઉજવણીનો ટંકાર પણ કર્યો છે. ગાંધીને માનભેર માથે ચઢાવી, એટલા જ માનભેર કોરાણે મેલી, નેહરુને ભુલાવી અગર ઉતારી મેલી, સરદારને ઊંચે સ્થાપવાની ભા.જ.પ.ની કોશિશ રહી છે. ‘સ્ટેચ્યુ ઑફ યુનિટી’ના એના પ્રકલ્પમાંથી એ રૂંવે રૂંવે સોડાય પણ છે. વાત એમ છે કે સ્વરાજસંગ્રામ સાથે એળે નહીં તો બેળે પણ સીધા સંકળાવા સારું સરદારનું ઓઠું ઠીક ખપ આવે છે. એમ તો, તાજેતરનાં વર્ષોમાં સાવરકરને આગળ કરીને ઇતિહાસમાં પશ્ચાદવર્તી ધોરણે બાગેબહાર લહેરાવાનીયે મથામણ માલૂમ પડતી રહી છે. પણ સ્વીકૃતિના વ્યાપક ફલકને ધોરણે કદાચ સરદાર-સંધાન વધુ ફળદાયી હોવાનું સમજાય છે.

મુશ્કેલી એ છે કે ઇતિહાસ સાથે તોડમરોડની હર કોશિશમાં કોઈક તબક્કે ઘાંઘાઈ પ્રગટ્યા વિના રહી શકતી નથી. ગુજરાતમાં એનો ક્લાસિક કિસ્સો હજુ પંદર વર્ષ પર જ ભજવાયો હતો. 1998-2004ના વાજપેયી પ્રધાનમંડળના સભ્ય જસવંતસિંહ 2009માં એક અભ્યાસપૂર્ણ પુસ્તક લઈને આવ્યા હતા – ‘જિન્નાહ (ઈન્ડિયા-પાર્ટિશન-ઈન્ડિપેન્ડન્સ).’ હાલનું કેન્દ્રીય નેતૃત્વ ત્યારે પ્રદેશ સ્તરે વિલસતું હતું અને રાષ્ટ્ર સ્તરે પહોંચું પહોંચું હતું. જસવંતસિંહ ત્યારે ભા.જ.પ. શ્રેષ્ઠીઓની ગુડ બુકમાં નહોતા એટલે પોતાનો રોમ રોમ રૂતબો દાખવવાના જોસ્સામાં ગુજરાતના નેતૃત્વે આ પુસ્તક પર પ્રતિબંધ ફટકાર્યો. ક્યારે પ્રગટ થયું, ક્યારે વંચાયું એવી મામૂલી દરકાર વગર એમણે ક્રિમિનલ પ્રોસીજર કોડની 95મી કલમનો આશરો ઝીંકી જસવંતસિંહની રજૂઆત વાંધાભરી, ગેરરસ્તે દોરનારી અને જાહેર શાંતિને વિરોધી હોવાનું જણાવ્યું. મુદ્દે, ભાગલામાં વલ્લભભાઈનીયે જવાબદારી હોવાનું વિધાન એમાં હતું તે પોતે ખડી કરવા ધારેલ મૂર્તિની સામે જતું હતું.

મનીષી જાની અને મને લાગ્યું કે આપણે સમ્મત હોઈએ અગર અસમ્મત, પણ આવી મનસ્વિતા ને સેન્સરશાહી ચલાવી ન લેવાય. એટલે અમે હાઇકોર્ટની દેવડીએ ગયા, કર્ટસી ધારાશાસ્ત્રી આનંદ યાજ્ઞિક. હાઇકોર્ટે સરકારી પ્રતિબંધ વાજતે ગાજતે ઉરાડી મેલ્યો. … પણ ખરી વાત તો એ પછી શરૂ થઈ જ્યારે વાજપેયી પ્રધાનમંડળના અરુણ શૌરી પડમાં પધાર્યા. એમણે કહ્યું, બચાડા જસવંત પર શીદને તૂટી પડો છો. સંઘના શીર્ષ અધિકારી હો.વે. શેષાદ્રિનું પુસ્તક જ વાંચો ને. એમણે ભાગલા બાબતે પટેલ સહિત બધાને જે લીધા છે, એ તો જુઓ!

અલબત્ત, સરદારને અમુક રીતે ચીતરી સ્વરાજત્રિપુટી પૈકી ગાંધી-નેહરુ કરતાં ઊંચા ને અધિક પોતાના, એવો ઇતિહાસ રચવાની આજની હોંશ અને ક્યારેક સરદારનું પોતે જ કરેલું મૂલ્યાંકન, આ બે વચ્ચેનો વિરોધ, કોઈને પણ સવાલ જગવે જ. વસ્તુતઃ જરી જુદી રીતે પણ વિચારી તો શકાય જ કે પોતાને અનિવાર્ય જણાયું ત્યારે અપ્રિય થવાનું જોખમ વહોરીને પણ વલ્લભભાઈએ વિભાજન સ્વીકારવાનો નિર્ણય કર્યો એ ય એક અર્થમાં એમના લોહપુરુષ હોવાનું જ પ્રમાણ કેમ ન હોઈ શકે.

ઇતિહાસ દૃષ્ટિએ આ સાર્ધ શતાબ્દી વર્ષમાં કરવા જેવું પાયાનું કામ એક કાળે સરદાર પરત્વે ડિસ્-યુઝ (નાખો વખારે) જેવું વલણ હતું અને હમણેનાં વર્ષોમાં જે મિસ્-યુઝ (ચઢાવો છાપરે) ચલણ છે, એ બેઉ છાંડીને સમ્યક અભિગમ કેળવવાનું છે. આ સંદર્ભમાં હાલનું સત્તા-પ્રતિષ્ઠાન અને હિન્દુત્વ રાજનીતિ લગરીક પણ જાતમાં ઝાંખી શકે તો જરૂર રૂડું થશે.

તમે જુઓ, 1948ની આઠમી જાન્યુઆરીએ (હજુ ગાંધીહત્યા થઈ નથી ત્યારે) લખનૌની જાહેર સભામાં વલ્લ્ભભાઈ સંઘને ‘દેશભક્ત, પણ ખોટે માર્ગે ચાલતી સંસ્થા’ તરીકે ઓળખાવે છે. ગાંધીહત્યા પછી જેમ નેહરુને તેમ એમને ય સંઘ પર પ્રતિબંધ મૂકવાપણું લાગે છે કેમ કે ‘એની પ્રવૃત્તિઓ અત્યંત જોખમી’ છે. પણ હત્યા કેસમાં ગૃહ પ્રધાનને નાતે તપાસ તંત્રના રોજેરોજના મોનિટરિંગ પછી 27મી ફેબ્રુઆરીએ વડા પ્રધાનને લખે છે કે આ કાવતરામાં સંઘ સીધો સંડોવાયો જણાતો નથી, પણ હિન્દુ મહાસભાના ઉગ્રપંથી જૂથે આ કાવતરું ઘડ્યું અને પાર પાડ્યું છે. (જો કે, નથુરામ ગોડસેના ભાઈ અને સાથી ગોપાલ ગોડસેએ લાંબી જેલમથી બહાર આવ્યા પછી લખેલા પુસ્તકમાં કહ્યું છે કે અમારી જુબાનીમાં અમે તાત્યારાવને અર્થાત સાવરકરને અને સંઘને સાચવી લીધા હતા.) ગમે તેમ પણ, સીધી સંડોવણી ન હોવા છતાં સંઘની જવાબદારી કેમ બનતી હતી તે વલ્લ્ભભાઈએ 1948ના વરસમાં જ પોતાના કેબિનેટ-સાથી શ્યામાપ્રસાદ મુખર્જીને અસંદિગ્ધ શબ્દોમાં લખ્યું હતું : સંઘના ‘ઝેરી પ્રચારે બનાવેલ વાતાવરણે’ ગાંધીજીનો ભોગ લીધો. તેમ છતાં, સીધી સંડોવણી પુરવાર ન થતી હોય એ સંજોગોમાં વગર ખટલે સંઘ કાર્યકર્તાઓને અટકાયતમાં ન રાખી શકાય તે લોકશાહી ધોરણમાં નેહરુ-પટેલ બેઉ સમ્મત હતા.

પોતાને ખાસ તરેહના સરદારવાદી તરીકે પ્રોજેક્ટ કરવામાં રાચતા સંઘ-ભા.જ.પ. ‘ખોટો માર્ગ’, ‘જોખમી પ્રવૃત્તિ’, ‘ઝેરી પ્રચાર’ એ ત્રણે સરદાર વચનો બાબતે જાતમાં ઝાંખવા રાજી છે કે કેમ તે આપણે જાણતા નથી. આપણે એટલું જરૂર જાણીએ છીએ કે 1949ના જુલાઈમાં સરસંઘસંચાલક ગોળવલકરે લેખિત બંધારણની, કેવળ સાંસ્કૃતિક પ્રવૃત્તિની, હિંસા અને ગુપ્તતાના ત્યાગની, ભારતના ધ્વજ અને બંધારણને વફાદાર રહેવાના શપથની ને લોકશાહી વ્યવસ્થાતંત્રની ખાતરી આપી તે પછી સરદારે પ્રતિબંધ ઉઠાવી લીધો હતો.

સંઘનો શતાબ્દી પ્રવેશ અને ભા.જ.પ.ની સળંગ ત્રીજી શાસન-પારી જોતાં જાહેર જીવનમાં એક કે બીજે છેડેથી એનું મહત્ત્વનું સ્થાન હોવાનું છે. સરદારની સાર્ધ શતાબ્દીએ એમના મહિમામંડનને સંતુલિત કરી, એમની સાખે સ્વરાજમંથનનો અવસર તે કેમ ન ઝડપી શકે?     

Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 06 નવેમ્બર 2024

Loading

માણસ આજે (૧૫)

સુમન શાહ|Opinion - Opinion|11 November 2024

સુમન શાહ

હું જનમેલો એ સાલમાં, 1939-માં, ‘બીજું વિશ્વયુદ્ધ’ શરૂ થઈ ગયેલું. વિશ્વમાં એ પહેલાં, 1929-થી 1930s દરમ્યાન ‘ગ્રેટ ડીપ્રેશન’ સંભવેલું — મહા મંદી. કેમ કે 1929-માં વૉલ સ્ટ્રીટમાં શૅઅરના ભાવ તળિયે બેસી ગયેલા અને તેની અસર 1930s સુધીમાં આખા વિશ્વમાં પ્રસરેલી. આર્થિક બેહાલીના એ કાળથી ભારત કે ગુજરાત કોઈ બચી શકેલું નહીં. 

પરન્તુ મેં એ વિશ્વયુદ્ધ અને એ મહા મંદી જોયાં નથી, મને એનો અનુભવ નથી. બને કે મારી જાણ બહાર મારું જીવન એથી પ્રભવિત થયું હોય. પણ મારી પાસે હાજરમાં તો એના માત્ર સમાચાર જ છે. 

આપણે કદી વિચારતા નથી કે આપણા ચિત્તમાં અનુભવ-સ્વરૂપે શું છે, સમાચાર-સ્વરૂપે શું છે. 

હું દસેક વર્ષનો હોઈશ ત્યારે એક વાર દાદાએ કહેલું કે હરવાફરવા માટે આપણે ત્યાં ઘોડાગડી હતી. મેં પૂછેલું કે ક્યાં ગઈ. તો બોલેલા, યાદ નથી કોણ લઇ ગયું. મેં દેશ આઝાદ થયો એ અરસામાં જાણેલું કે વિશ્વમાં બહુ મોટું યુદ્ધ ખેલાયું હતું. પછી એક વાર પિતાજીએ જણાવેલું કે દાદા શૅઅરબજારમાં ધૂમ હારી ગયેલા. ત્યારથી મને એ ‘ધૂમ’ શબ્દ હજી ખૂંચ્યા કરે છે. કેમ કે એ પછી, દીવાસળીવાળા-પરિવાર કદી ઘોડાગાડી રાખી શકે એટલું ધનાઢ્ય થઈ શકેલું નહીં. અમારી જ્ઞાતિની અમારી અટક, ‘દીવાસળીવાળા’ છે.

વતનમાં ઘોડાગાડીઓ બહુ હતી, હવે એક પણ નથી. મેં બળદ-જોડેલાં ગાડાં અને ડમણિયાં જોયેલાં. ડભોઈથી પ્રતાપનગર જતી નૅરોગેજ લાઇનની ટ્રેનમાં જવા-આવવાનું બહુ થયેલું. 30km કાપતાં એ ગાડી એક કલાકથી પણ વધુ સમય લેતી, કેમ કે સૌ મુસાફરો માટે દરેક ગામે ઊભા રહેવું એ માનવધર્મ એણે નિભાવેલો. એ પછી ટ્રેનો ફાસ્ટ અને સુપર ફાસ્ટ થઈ, ‘નૉન-સ્ટૉપ’-નો મહિમા થવા લાગ્યો. 

હું લગભગ છેલ્લાં આઠ વર્ષથી ઇન્ડિયન ટ્રેનમાં નથી બેઠો. અગાઉના વરસોનો ટ્રેન-અનુભવ જાણે સમાચારમાં ફેરવાઈ રહ્યો છે.

નવી ટૅક્નોલૉજિની દેણ રૂપે ગામમાં લાઇટ ફોન રેડિયો અને ટ્રાન્ઝિસ્ટરને મેં ક્રમે ક્રમે આવતાં જોયાં છે. મેં એ સાધનોના અનુભવ મેળવ્યા, ત્યારે મજા પડેલી. ‘મર્ફિ’-નો મૉઘો રેડિયો લાવ્યા પછી રોજ એને સાફ રાખવો અને ચૉકક્સ સમયે સાંભળવા બેસી જવું એવો નિયમ બની ગયેલો, ટેવ પણ કહી શકાય. હજી રાખી મૂક્યો છે ‘શબરી’-વાળા ઘરમાં. 

પરન્તુ મને એમાંના એક પણ સાધન પાછળની ટૅક્નોલૉજિ વિશે, એ ટૅક્નોલૉજિ છે એથી વિશેષ જ્ઞાન હતું નહીં. બલકે ‘ટૅક્નોલૉજિ’ શબ્દ ત્યારે મારા માટે વિવિધ સિદ્ધાન્તોનું એક અગમ્ય પડીકું હતો. 

મારો યુરપમાં છે એ આમસ્ટર્ડામવાસી પૌત્ર (૨૨ વર્ષનો) પીયાનિસ્ટ છે અને એણે હમણાં પોતાને માટેનું કમ્પ્યુટર જાતે જોડી કાઢ્યું છે. પીયાનો વગાડવાની એની શક્તિ માટે મને બહુ અચરજ નહીં થયેલું, જેટલું કમ્પ્યુટર જોડી કાઢનારી એની આવડત માટે થાય છે. હું તો કોઈ નાના મશીનના પણ છૂટાછૂટા ટુકડા જોઈને ગભરાઈ જઉં છું. 

હું કપડવણજ કૉલેજમાં હતો, ત્યારે જીવનમાં પહેલું સ્કુટર ખરીદેલું, એની બનાવટ વિચિત્ર હશે કે ભૂલભરેલી, વારે વારે બગડતું’તું. એક વાર કપડવણજના મિકેનિકે એના ઘણા બધા પાર્ટ્સ એક મોટી ટ્રેમાં વેરવિખેર રાખી દીધેલા. ત્યારે મને ચિન્તા થયેલી કે દરેક પાર્ટને એ એના સહભાગી પાર્ટ સાથે શી રીતે જોડશે : અરે સાહેબ, આ તો મારો રાતદિવસનો ધંધો છે, ડોન્ટ વરી : એણે મારી ચિન્તાને ઓલવી નાખેલી. કેમ કે, એ જાણતો હતો એટલા મિકેનિઝમથી પોતે માહિર હતો, અનુભવી હતો. 

અમેરિકામાં વસતા મારા બન્ને પૌત્રો ભણીગણીને હવે દૂરના શ્હૅરમાં જૉબ કરે છે. મોટો પુત્ર (૨૫ વર્ષનો) માસ્ટર ઑફ કમ્પ્યુટર સાયન્સ ભણીને સિયેટલમાં રૉકેટ બનાવનારી એક મોટી કમ્પનીમાં કામ કરે છે. રોકેટની વાતોમાં એણે મને ઍલન મસ્કની કમ્પનીનું SpaceX Falcon 9 રૉકેટ ઑર્બિટમાં બધો પે-લોડ મૂકી આવે ને સમુદ્રમાં રાખવામાં આવેલા ડ્રોન-શિપ પર પાછું આવીને પોતાની જગ્યાએ ગોઠવાઈ જાય, એ સરસ પ્રકારે વર્ણવી બતાવેલું. મેં એ જાણ્યું ત્યારે આશ્ચર્ય થયેલું કેમ કે દીવાળીમાં આપણે ઉડાડેલી હવાઇ તો કોઈની ય અગાશીમાં જઈ પડે ને આગ પણ લગાડે !  

એનાથી નાનો પૌત્ર (૨૨ વર્ષનો) ઍક્ચ્યુરિયલ સાયન્સ ભણ્યો છે, મિનિયાપોલીસમાં એક મોટી કમ્પનીમાં કામ કરે છે. મેં એને ઍક્ચ્યુરિયલ સાયન્સ શું છે એમ પૂછેલું કેમ કે કારકિર્દીમાં એ શબ્દ પહેલી વાર સાંભળેલો. એણે વિસ્તારથી સમજાવેલું. ગણિત-આધારિત આ વિજ્ઞાનમાં રિસ્ક મૅનેજમૅન્ટનું અધ્યયન થતું હોય છે. આ વિષય શીખેલી વ્યક્તિઓ પોતાના જૉબમાં મોટી મોટી કમ્પનીઓના કે વ્યક્તિઓના વ્યવસાયના આર્થિક પાસાંને અડતા-નડતા પ્રશ્નોના ઉકેલ સૂચવે છે. વગેરે. ગણિતને અને મારે બારમો રાહુ છે. એની સાથે જોડાયેલી કોઈપણ વસ્તુ મારા માટે સમાચાર હોય છે. 

+ +

મારા પૌત્રોની જેમ જે યુવકો-યુવતીઓ આ વેગવન્ત ટૅક્નોલૉજિના સમયમાં ભણીગણીને મોટાં થયાં છે, તેમની પાસે સૌથી મોટો ગુણ છે, પૅશન – કોઇપણ કામ સિદ્ધ ન થાય ત્યાંલગી એ પાછળ મંડ્યા રહેવું તે. એ દરમ્યાન એમને નેટિવ કે ઇમ્મિગ્રન્ટ, બ્લૅક કે વ્હાઇટ, કશા જ ભેદ નડતા નથી કેમ કે તેઓ તેમાં માનતા જ નથી. લગભગ દરેક વસ્તુની કરામત કે મરામત માટેનો એમનો ટૅક્નિકલ ‘નો-હાવ’ પણ ઘણો હોય છે. આજની શોધખોળોથી એ લોકો માહિતગાર રહે છે અને તે માટે સતત કમ્પ્યુટર સાથે એટલે કે ઇન્ટરનેટ સાથે જોડાયેલાં રહે છે, અલબત્ત, એટલાં જ તેઓ વીડિયો-ગેમ્સમાં પણ વ્યસ્ત રહી શકે છે.

આપણે ત્યાં ભારતમાં એક જમાનામાં સરકારી નોકરીની બોલબાલા હતી કેમ કે કામચોરી કરનારને ભરપૂર તકો મળે. એ પછી, ન-સરકારી પબ્લિક સૅક્ટર્સમાં નોકરીઓ મળે, એ સારું ગણાવા લાગ્યું. એ પછી, પ્રાઇવેટ સૅક્ટર્સમાં જૉબનો મહિમા વધ્યો. એ તો ઠીક, પણ 1992-થી હું ભારત-અમેરિકા-ભારત એમ આવ-જા કરું છું, ત્યારથી અને એ દરમ્યાન, મને બે શબ્દપ્રયોગો બહુ ગમવા લાગ્યા છે — ‘વર્કોહોલિક’ અને ‘વર્ક કલ્ચર’. 

‘આલ્કોહોલિક’ એટલે દારુડિયો, પણ ‘વર્કોહોલિક’ એટલે નોકરીધંધા માટે સૉંપેલું કામ કરતાં કંટાળે નહીં, પણ લગનથી કામને ચાહ્યા કરે એવો કામઢો મનુષ્ય. યુ.ઍસ.એ.ની ચૂંટણીના પરિણામને બીજે દિવસે મેં મારા ઍન્જિનીયર દીકરાને પૂછેલું કે તારી કમ્પનીમાં સાથીઓએ ટ્રમ્પ કે કમલા વિશે કેવાક પ્રતિભાવ આપ્યા. તો ક્હૅ, ખાસ કંઈ નહીં, અમારે ત્યાં કામની જગ્યાએ કોઈ એવી વાતો કરે નહીં, સૌ પોતાનું કામ કરે, કે કામ વિશે ચર્ચા કરે. એની કમ્પની છે, Caterpillar, જેના વિશ્વભરની શાખાઓમાં થઈને કુલ ઍપ્લોયીઝ છે, ૧,૧૩,૨૦૦. એવી મહાકાય કમ્પનીઓ એવા કામગરા લોકોને કામ કરવું હમેશાં ગમે તેવા વાતાવરણનું નિર્માણ કરતી હોય છે, કામનો ત્યાં ઉછેર થતો હોય છે, અને કમ્પનીનો વિકાસ થતો હોય છે. એને ‘વર્ક કલ્ચર’ કહેવાય છે. 

હા, એ યુવક-યુવતીઓ ‘ડિજિટલ એજ’-માં જનમ્યાં છે તેથી એમની કારકિર્દી પણ એ દિશાના પરિવેશમાં જ વિકસી રહી છે. એટલે એમને ‘ડિજિટલ નેટિવ્ઝ’ કહેવાય છે. એમને માટે ટૅક્નોલૉજિમાં પ્રવેશવું અઘરું તો નથી જ હોતું પણ પ્રાપ્ત થતી માહિતી કે સમજદારીને કઈ દિશામાં નૅવિગેટ કરી શકાય તેની વિકસિત સુઝબૂઝ હોય છે. તેઓ ‘ક્લાઇમેટ ચેન્જ’, વીજળી વગેરેનો વપરાશ -‘પાવર કન્ઝમ્પશન’, ‘સાયબરસીક્યૉરિટી’, ‘ગ્લોબલાઇજેશન અને વર્લ્ડ-પોલિટિક્સ’ જેવા પ્રવર્તમાન પ્રશ્નો વિશે ખાસ્સા જાગ્રત હોય છે. 

આ બધું પણ મારા માટે માત્રસમાચારો છે.

એવું મનાય છે કે આ ડિઝિટલ નેટિવ્ઝની કારકિર્દી બની રહે ત્યાંસુધીમાં તો તેઓએ જીવન અને કાર્ય વચ્ચે સંતુલન કેમ સ્થપાય તેની નીતિરીતિ – પૉલિસીઝ – આત્મસાત્ કરી લીધી હશે. એને કારણે પોતાના નોકરીધંધાની કે કામની જગ્યાએ, જેને ‘વર્કસ્ટેશન’ કહેવાય છે, ત્યાં કામને કેમ અર્થપૂર્ણ બનાવવું, તેમાં કેટલી અને કેવીક સરળતા હાંસલ કરવી, વગરે માનસિકતા પણ કેળવી લીધી હશે. તેઓ એક અ-પૂર્વ વર્કફોર્સ હશે. કહે છે કે વિકાસ માટે એ વર્કફોર્સમાંથી અનોખી ગુણવત્તા ધરાવતી વ્યક્તિઓ પર ટૅક્નોલૉજિ અને પોલિટિક્સ બન્નેને વિશ્વાસ પડશે.  

‘કોવિડ’-ના અસ્ત પછી, ઘરે બેસીને ઑનલાઇન વર્કની સગવડ પછી, વર્કફોર્સનો એક નવતર પ્રકાર પણ પ્રગટ્યો છે, જેને ‘GIG કલ્ચર’ કહેવાય છે -એક એવું વાતાવરણ જેમાં યુવક કે યુવતી ફ્રી-લાન્સર તરીકે સર્વથા મુક્ત રહીને પોતાનું નૈપુણ્ય પ્રયોજે અને કોઈપણ કમ્પનીનું કે જરૂરતમંદ વ્યક્તિનું કામ કરી આપી શકે. એણે કમ્પનીની તમામ શરતો સાથે બંધાવાની જરૂર નહીં કે કમ્પનીએ પણ એને વાર્ષિક પગાર અને બીજાં પર્ક્સ આપવાની ઝંઝટ નહીં. GIG એટેલે શું? એ પોતાના જોર પર ઊભેલો એક સ્વાયત્ત શબ્દ છે. એનો અર્થ છે, રશ્મીતાને અમારી એક કામવાળી ક્હૅતી’તી એ, સીધો ને સાદો, કે – બેન! કૉમથી કૉમ, પૈસાથી પૈસા! 

+ +

હરારી ટૅક્નોલૉજિનાં ભાવિ જોખમો, ખાસ તો AI -નાં, એમનાં અગાઉનાં પુસ્તકોમાં તેમ “Nexus”-માં પણ સારી રીતે વર્ણવી રહ્યા છે. પણ AI -નો મુદ્દો તેઓ જ્યારે ને ત્યારે છેડે છે, એ મને નથી ગમ્યું. ચિન્તનમાં તો ઠીક, પણ કોઈ મુદ્દાનું લખાણમાં ય અકારણ પુનરાવર્તન કોઈ કરે, મને નથી ગમતું. મારામાં ય થતું હશે પણ મારી સાવધાનીના ધૉરણે તો નહિવત્! અલબત્ત, હરારીએ AI -ના ગુણ પણ જોયા જ છે, એથી ટૅકનોલૉજિને મળી રહેલી મદદોની ય એમને જાણ છે, સરવાળે ઊભી થતી સુખસગવડોની ય એમને ના નથી, પણ ટૅક્નોલૉજિ સામે નીતિમત્તાનો મુદ્દો એમને ચિન્ત્ય લાગ્યો છે, ભલે AI સંદર્ભે અતિશય, પણ મુદ્દો ચિન્ત્ય તો છે જ. 

એ સાચું છે કે AI લગી વિકસી ચૂકેલી ટૅક્નોલૉજિ, એ યુવક-યુવતીઓને એક પૅશનેટ અને ઑથેન્ટિક જીવન જીવવાની તક આપે છે, સામાન્ય મનુષ્યોને જાતભાતનાં સુખોની સગવડ આપે છે. તેમછતાં, એ ઘણુંબધું હરી લે છે. એ યુવક કે એ યુવતી ઝંખે તો પણ માતૃભાષા કે પિતૃભાષા પૂર્ણપણે શીખી શકે નહીં. વ્હાઇટ-નૉનવ્હાઇટનો ભેદ ભૂલીને કરેલું લવ-મૅરેજ પણ એ બન્ને માટે ઇમોશનલ રઘડો સરજી શકે છે. ટૂંકમાં, ટૅક્નોલૉજિસંગત દુનિયા સાથે જોડાવા માટે વ્યક્તિએ પોતાના સંસ્કારોથી, પોતાની ટેવોથી, પોતાની નીતિરીતિથી, પોતાની પરમ્પરાઓથી, પોતાની સંસ્કૃતિ-સભ્યતાથી ખાસ્સા મુક્ત થવું પડે એમ છે. દેખીતું છે કે સરેરાશ ભારતવાસીને ઘણી વાર લાગવાની છે.

અતિશયિત ટૅક્નોલૉજિને રાજકારણ રોકી શકે પણ રાજકારણ અને ટૅક્નોલૉજિ બન્નેનાં લટિયાં ગૂંચવાયેલાં હોય છે અને પાછાં એ બન્ને પ્રજાના કલ્યાણનો દાવો કરે છે. તેથી એને હું એક ટ્રૅપ ગણું છું, એ દિશામાં ન વિચારાય. 

એટલે, ટૅક્નોલૉજિની પોતાની પણ કશીક નૈતિક જવાબદારી ખરી કે કેમ એમ હરારી વગેરે સૌ સુજ્ઞો પૂછી રહ્યા છે, તે સમુચિત છે. ટૅક્નોલૉજિનું નૈતિક દાયિત્વ – ઍથિકલ ઑબ્લિગેશન – એક સળગતો વૈશ્વિક મુદ્દો છે. મુખ્ય અપેક્ષા તો એ છે કે એ વ્યક્તિની અંગતતા પર તરાપ ન મારે બલકે બધા જ પૅરામીટર્સથી પારદર્શક હોય.  

બે કહેવત છે આપણી ભાષામાં : ‘સોનાની છરીથી શાક સમારાય, પેટમાં ન ખોસાય’. ‘તલવારથી દૂધી ન સમારાય, માથું વાઢી લેવાય’. વસ્તુના ખરા ઉપયોગ વિશેની બન્ને કહેવતો ટૅકનોલૉજિનો શો ઉપયોગ કરવો તે વિશે સૂચક છે. બીજાઓ જે નક્કી કરે એ, પણ વ્યક્તિ તો શાણપણ વાપરી શકે છે. એટલે, ટૅક્નોલૉજિ કે પોલિટિક્સ એ બન્નેથી પરે, મને, વ્યક્તિને, પોતાના કલ્યાણનો રસ્તો શોધી લેતાં આવડવું જોઈશે, નહીં આવડતું હશે, તો એ રસ્તે ચાલનારને મારે પૂછી લેવું જોઈશે.

ક્રમશ:
(10Nov24USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...358359360361...370380390...

Search by

Opinion

  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા
  • ગુજરાતી ભાષાની સર્જકતા (૫)
  • બર્નઆઉટ : ભરેલાઓની ખાલી થઇ જવાની બીમારી
  • ચલ મન મુંબઈ નગરી—307
  • દાદાનો ડંગોરો

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved