Opinion Magazine
Number of visits: 9456709
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

વિનોબા : નારાયણભાઈની કલમે

સંકલન : ભદ્રા-વિક્રમ સવાઈ|Gandhiana|13 November 2024

જે પિતાનો વારસો એકનો સવા કરી જાણે, તેણે વારસો દીપાવ્યો ગણાય. ગાંધીજીનું જીવન એટલું બધું વૈવિધ્યપૂર્ણ હતું કે એમના સમગ્ર વારસાને સવાયો કરીને દીપાવનાર ભવિષ્યમાં ક્યારેક આવશે એમ કહેવું પડે. પરંતુ વિચાર અને આચરણના ક્ષેત્રમાં કેટલેક અંશે પોતાની રીતે, શોભાવનારા ગણ્યાગાંઠ્યા લોકોમાં વિનોબા પ્રથમ પંક્તિના હતા.

ગાંધીજીના જીવનમાં અસંખ્ય લોકો એવા આવ્યા છે, જે તેમનાથી પ્રભાવિત થયા હતા. થોડાક એવા પણ આવ્યા છે, જેનાથી ગાંધીજી પ્રભાવિત થયા હતા. આમ પરસ્પર પ્રભાવ પાડનાર લોકોમાં વિનોબા અનન્ય હતા.

વિનોબાની ગાંધીજીને પકડવાની રીત આગવી હતી. ‘નવજીવન’ કે ‘હરિજન’માં લખેલું ગાંધીજીનું લખાણ વિનોબા અક્ષરે અક્ષર વાંચતા. ગાંધીજીના કેટલાક લેખો પ્રશ્નોત્તર શૈલીમાં લખાતા. આવા લેખોને વિનોબા પોતાના મનોયત્નનું સાધન બનાવતા. પહેલાં માત્ર પ્રશ્નો વાંચી લે. ઉત્તર તરફ નજર ન કરે. પછી એ પ્રશ્નોના જવાબ પોતાના મનમાં વિચારે. પછી ગાંધીજીના જવાબો જોડે પોતાના ઉત્તરને મેળવી જુએ. ચિત્તશુદ્ધિ, રચનાત્મક કાર્યો, સત્યાગ્રહ આ ત્રણે બાબતોમાં ગાંધીજીને સમજવાની આ રીત વિનોબાને ઉપયોગી થઈ પડતી. વિનોબાએ, ગાંધીજીના સત્ય-અહિંસા આ દ્વિશબ્દી મંત્રની જગ્યાએ સત્ય-પ્રેમ-કરુણાનું ત્રિશબ્દી સૂત્ર આગળ ધર્યું. તે અહિંસાને વિધેયાત્મક સ્વરૂપમાં પ્રગટ કરવા સારુ. કરુણામાં દયા સાથે કૃતિનો ભાવ પણ આવે છે. બીજાના સુખથી સુખી થવામાં પ્રેમ છે અને બીજાના દુ:ખથી દુ:ખી થવામાં કરુણા છે.

૧૯૨૩માં ઝંડા સત્યાગ્રહ વખતે વિનોબા પહેલી વાર જેલમાં ગયા. ‘ભારત છોડો’ આંદોલન વખતે છેલ્લી વાર જેલમાં ગયા. વચમાં ચાર વાર તેમણે જેલ ભોગવેલી. એમ કુલ સાડા પાંચ વર્ષ જેલમાં ગાળેલાં. ગાંધીજીની કલ્પના મુજબનું સત્યાગ્રહી કેદી તરીકેનું જીવન વિનોબાને પ્રકૃતિ-સિદ્ધ હતું. રાજાજીએ લખેલું, “જુઓ પેલો વિનોબા ! દેવદૂત જેવો એમનો પવિત્ર આત્મા. વિદ્વત્તા, તત્ત્વજ્ઞાન અને ધર્મનાં ઊંચાં શિખરો પર વિહરે છે. અને છતાં એ મહાન આત્માએ ધારણ કરેલી વિનમ્રતા એટલી આબાદ છે અને દિલની સચ્ચાઈ એટલી તો સહજ છે કે અમલદાર એમને જાણતો ન હોય તેને તો એમની મહાનતાની ગંધ સરખીયે ન આવે ! જેલરે એમને જે વર્ગમાં મૂક્યા છે, તે વર્ગની ઠરાવેલી મજૂરી મુજબના પથરા તેઓ બરાબર ફોડે છે. કોઈને ખબર પણ નથી પડતી કે એ માણસ મૂંગે મોંએ કેટકેટલી શારીરિક યંત્રણા સહન કરી રહ્યો છે ! એમના પ્રત્યે જે વર્તણૂક થઈ રહી છે, તે સાંભળી અમને તો કમકમાટી છૂટી ગઈ ….”

રચનાત્મક ક્ષેત્રે તત્ત્વનિષ્ઠાના ઉદાહરણ તરીકે તકલી પર કાંતતા. જેટલી મજૂરી મળે તેનાથી જીવનયાપન કરવાનું વિનોબાએ નક્કી કરેલું. ઋષિખેતી અને કાંચનમુક્તિનો પ્રયોગ પણ કર્યો હતો. વિનોબાનું પોતાનું સ્વતંત્ર વ્યક્તિત્વ હતું. એમનામાં ઘણી મૌલિકતા હતી. સહેજે કોઈથી પ્રભાવિત થાય એવા નહોતા. ગાંધીજી પાસેથી વિનોબાને વ્યક્તિગત મોક્ષસાધના અને સામાજિક ક્રાંતિનો સમન્વય મળ્યો. સંતોના ઉપદેશ અને જમાનાની માગ, ગાંધીજીમાં વિનોબાએ એક થતાં જોયાં.

સત્યાગ્રહને વિનોબાજીએ માત્ર સંઘર્ષના એક સાધન તરીકે નહીં, પણ જીવનનિષ્ઠા તરીકે પરિભાષિત કર્યું. સત્યાગ્રહની દિશા તીવ્રથી તીવ્રતર ને તીવ્રતમ તરફની નહીં, પણ સૌમ્યથી સૌમ્યતર અને સૌમ્યતમ તરફની હોવી જોઈએ. એટલે કે સામા પક્ષ પર ઉત્તરોત્તર વધુ દબાણ લાવવું એ સત્યાગ્રહની રીત નથી. વિનોબાએ પ્રતિરોધી પ્રેમ એવો શબ્દ આપેલો. એ જ રીતે નિર્ભયતાનો અર્થ એમણે કરેલો કે આપણે કોઈથી ન ડરીએ અને કોઈને ડરાવીએ નહીં – બંને મળીને નિર્ભયતા બને છે. પોતાની જાતને દેહથી ભિન્ન જોવામાં જ નિર્ભયતા છે.

વિનોબા સ્વરાજોત્તર કાળના ગાંધીવિચારની કડી સમાન હતા. ગાંધીની વિચારયાત્રાને વિનોબાએ પોતાની મૌલિક રીતે આગળ ચલાવી. ગાંધીજીના જવાથી ખાસ કરીને દેશના રચનાત્મક કાર્યકરોમાં આવેલો શૂન્યાવકાશ તેમણે ભર્યો. દેશની આગળ આર્થિક, સામાજિક, નૈતિક ક્રાંતિનાં વિચારબીજ ગાંધીજીએ ‘લોક સેવા સંઘ’ની યોજના દ્વારા મૂકેલાં. વિનોબાજીએ ‘સામ્યયોગ’ એવો શબ્દ યોજીને રાજનીતિને બદલે લોકનીતિ ઊભી કરવાનું સૂચન કર્યું. ભૂદાન-ગ્રામદાન-ગ્રામ સ્વરાજ આંદોલન ચરિતાર્થ કરવાના કાર્યક્રમો પણ આપ્યા.

વિનોબા આધ્યાત્મિક રીતે એટલી ઊંચાઈએ પહોંચેલા કે તેમણે ઉપનિષદો, ગીતા, બ્રહ્મસૂત્ર, શાંકરભાષ્ય, મનુસ્મૃતિ, પાતંજલ યોગદર્શન, તે ઉપરાંત ન્યાયસૂત્ર, વૈશેષિકસૂત્ર, યાજ્ઞવલ્કયસ્મૃતિ વગેરે ગ્રંથોનો અભ્યાસ કરેલો. ધૂળિયા જેલમાં હતા ત્યારે જ ‘ગીતાઈ’ની પ્રથમ આવૃત્તિ છપાઈ. આજે તેની અનેક આવૃત્તિઓ થઈ છે. ધૂળિયાની જેલ પહેલાં એ અનુવાદ થઈ ગયો હતો. જેલમાં એને છેલ્લો ઘાટ અપાયો. માતૃસ્મરણમાં એને ‘ગીતાઈ’ નામ આપ્યું. ગાંધીજીના ચૌદ વરસના સહવાસમાં પણ એકાંતપ્રિય રહેલા વિનોબા સર્વલભ્ય ઉપાસના કરતા થઈ ગયા હતા.

‘ગીતાઈ’ જો મહારાષ્ટ્ર સારુ હતી તો ‘ગીતા પ્રવચનો’ આખા દેશને સારુ અને અમુક અંશે આખા જગત માટે હતાં. જે આજે ભારતની બધી મુખ્ય ભાષાઓ ઉપરાંત વિશ્વની પણ અનેક ભાષાઓમાં અનુવાદિત થઈ ચૂક્યાં છે. આ બે ગ્રંથો દ્વારા વિનોબાએ ભારતીય સંસ્કૃતિના પોતાના છોડ પર ગાંધીની કલમ ચડાવી હતી અને ગાંધીજીની હયાતીમાં જ એમનો વારસો શોભાવ્યો હતો.

તકલી દ્વારા સ્વાવલંબનના પ્રયોગમાં વિનોબા એવા ગૂંથાઈ ગયા કે શરીર સાચવવાનું પણ ભાન ન રહ્યું. વિનોબાનું વજન ૨૦-૨૫ રતલ જેટલું ઘટી ગયું. વિનોબાજીનું કૃશ શરીર જોઈને મિત્રોએ ગાંધીજી આગળ રાવ ખાધી. ગાંધીજીએ પ્રેમાધિકાર ચલાવ્યો. એ પ્રયોગ બંધ કરાવ્યો. શરીર સુધારવા હવાફેર કરવા સૂચવ્યું. વિનોબાએ આજ્ઞા માથે ચડાવી પણ હવાફેર પોતાની રીતે કર્યો. હવાફેર કરવા તેઓ પંચમઢી-દેવલાલી કે માથેરાન ન ગયા. પોતે જ્યાં હતા ત્યાંથી ૫-૬ કિલોમીટર દૂર ધામ નદીને પેલે પાર જમનાલાલજીનો એક બંગલો હતો ત્યાં જવાનું ઠરાવ્યું. ગાંધીજી જાણતા હતા કે વિનોબા આનાથી વધુ મચક આપે એમ નથી. એટલે એ વિચાર મંજૂર રાખ્યો. પણ શરત કરી કે ત્યાં જઈને આરામ લેવાનો છે. આરામ એટલે સંપૂર્ણ આરામ. કંઈ કામ કરવાનું નહીં. અને ચિંતન પણ નહીં કરવાનું. વિનોબાએ એ શરત મંજૂર રાખી અને પોતાની દૃષ્ટિએ અર્થ કર્યો. ધામ નદી ઓળંગતી વખતે મનમાં તેમણે ત્રણ વાર ઉચ્ચારણ કર્યું : સંન્યસ્તં મયા, સંન્યસ્તં મયા, સંન્યસ્તં મયા. અને જીવવા પૂરતી ખાવાપીવા, નહાવાધોવા જેવી પ્રવૃત્તિઓ સિવાય બીજી બધી પ્રવૃત્તિઓ બંધ કરી દીધી અને વિચારો વિશે પણ શૂન્યતા સાધી.

શૂન્ય મહલમેં દિયના બારિલે

આસન સે મત ડોલ રે – તોહે પીવ મિલેંગે.

એ દિવસોનું વર્ણન કરતાં એક વાર વિનોબાએ આ લેખકને (નારાયણભાઈને) કહેલું : ‘સ્થિતિ એવી હતી કે હું કશાય વિશે સભાન નહોતો. ક્યાંક બેસવું હોય તો પહેલાં જગા ઉપર હાથનો પંજો પછાડી જોઈ લેવું પડે કે ક્યાં છું !’ કામનો ભાર નહીં. દૂધનું પ્રમાણ વધારેલું. ૧૦ માસમાં વજન વધીને ૧૨૮ રતલ સુધી પહોંચી ગયું !

આવા હૃદયસ્થ વિનોબાએ ગાંધીજીમાં હિમાલયની શાંતિ અને બંગાળની ક્રાંતિનો સમન્વય જોયેલો. આવી વિચક્ષણ પ્રતિભાને તેમની પુણ્યતિથિએ શત શત નમન.

(‘મારું જીવન એ જ મારી વાણી’ ખંડ-૩ના આધારે.)
સૌજન્ય : “ભૂમિપુત્ર”; 01 નવેમ્બર 2024; પૃ. 07 તેમ જ 11

Loading

નેતૃત્વની નક્ષત્રમાળામાં સ્વરાજત્રિપુટીની ભૂમિકા

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|13 November 2024

પ્રકાશ ન. શાહ

કાઁગ્રેસે એક તબક્કે સરદાર પરત્વે ‘નાખો વખારે’ અભિગમ લીધો અને સંઘ પરિવારે એક તબક્કે ‘ચઢાવો છાપરે’ અભિગમ લીધો એની કંઈકે ચર્ચા સરદાર જયંતીથી નેહરુ જયંતીના પખવાડિયામાં અહીં સ્વાભાવિક જ છેડાઈ ગઈ છે. નેહરુ મહિમા મંડનનો એક અતિરેકી દોર પણ દેશે દીઠો છે. પ્રશ્ન, એમને છાવણીઓમાં ધરાર વહેંચ્યા વગર અને સામસામાં રાજકીય શસ્ત્રાસ્ત્ર રૂપે પ્રયોજવાની પક્ષીય પેરવી વગર સમગ્ર ચિત્રમાં મૂકીને જોવાનો છે.

સ્વરાજ પછી તરતનાં વર્ષોમાં, 1949માં જવાહરલાલ સાઠ વરસના થયા ત્યારે વલ્લભભાઈએ ચુંમોતેરમે, પોતાનાથી 14 વરસ નાના આ સાથીના ને પોતાના સંબંધ અને ભાવબંધને સુરેખ મૂકી આપ્યા છે :

‘હું અને જવાહરલાલ દાયકાઓથી કાઁગ્રેસસાથી રહ્યા છીએ. એક જ પરમ ગુરુ(ગાંધી)ના સમર્પિત અનુયાયીઓ અને સ્વાતંત્ર્યસંગ્રામના સાથી સૈનિકો છીએ. આજે આ વિશાળ દેશના વહીવટ અને સંગઠનનો બોજ પણ અમે સાથે ઉઠાવીએ છીએ.’

‘એકબીજાને અનેકવિધ કામગીરીઓમાં નજીકથી જાણવાને કારણે સ્વાભાવિક જ પરસ્પર ચાહના અનુભવતા થયા છીએ અને વરસોના વહેવા સાથે પરસ્પરનો સ્નેહ વધતો ગયો છે. અમે સાથે ન હોઈએ, પરસ્પર પરામર્શ શક્ય ન હોય ત્યારે અમને એકબીજાની ખોટ કેવી સાલે છે તે સમજવું ઘણાને સારુ મુશ્કેલ થઈ પડે એવું છે. અમારો આ ગાઢ પરિચય, આ નિકટતા, બે ભાઈઓ વચ્ચે હોય એવો આ સ્નેહ જોતાં જાહેરમાં જવાહરલાલની કદરબૂજના શબ્દો ઉચ્ચારવવાનું મારે માટે દુષ્કર છે. પણ દેશની દેવમૂર્તિ શા લોકનેતા, આમ જનતાના હૃદયમાં વસેલા વીરનાયક – જેનાં ઉદાત્ત કર્યો અને મહાન સિદ્ધિઓ આપણી સામે એક ખુલ્લી કિતાબ સરખી છે એને વિશે કશું ઉમેરવું કદાચ જરૂરી નથી.’

વલ્લભભાઈએ એક જ પરમ ગુરુના અનુયાયી હોવાની ને બે ભાઈઓ જેવો સ્નેહ હોવાની જિકર જવાહરલાલના સાઠમે અને પોતાના ચુંમોતેરમે કરી છે. સ્વરાજસંગ્રામના આકાશમાં નેતૃત્વની એક નક્ષત્રમાળા છે. પણ એમાં આ ત્રણ, આ સ્વરાજઃત્રિપુટી એક પ્રકારે કેન્દ્રવર્તી ભૂમિકામાં છે. દેશભક્ત ત્રણે છે, પણ ગાંધી વિશ્વફલક પર છે, નેહરુના સ્વરાજકારણમાં એક અનેરું આંતરરાષ્ટ્રીય પરિમાણ છે. સરદાર આ બેઉ વાનાં પ્રીછતે છતે વાસ્તવમાં વિલસે છે. મતભેદો, વિચારભેદો ત્રણે વચ્ચે છે જે એમણે ન તો એકબીજાથી, ન તો જનતાથી છુપાવ્યા છે. આ ત્રિપુટી અનેરા ભાવબંધે ને એવા જ હૃદયબંધે જોડાયેલી છે.

1869માં જન્મેલ ગાંધી, તે પછી 6 વરસે 1875માં જન્મેલ વલ્લભ, અને ગાંધી પછી ત્રીસે વરસે ને વલ્લભ પછી 14 વરસે 1889માં જન્મેલ જવાહર, પિતા-પુત્ર જેવો સંબંધ કલ્પી શકાય, એમની વચ્ચે? હા, પણ અંશતઃ સરદારે બે ભાઈઓ જેવા સ્નેહની વાત કરી છે, પણ મોટા ને નાના ભાઈ જેવા તો ગાંધી ને વલ્લભ છે. જવાહર અક્ષરશઃ ગાંધીના પુત્રવત છે, અને પરંપરાગત સંયુક્ત કુટુંબમાં ગાંધી-વલ્લભ મોટા ને નાના ભાઈ સરખા છે. 1915માં દક્ષિણ આફ્રિકાથી કાયમ માટે ભારત પરત થયેલા ગાંધી 1920-21થી દેશમાં છાઈ ગયા છે, અને પોતે સાઠે પહોંચવા આડે વરસ બે વરસ માંડ છે ત્યારે નેતૃત્વની નવી પેઢીનો પ્રશ્ન સામે આવી ઊભો છે, અને તે પણ કાઁગ્રેસના પ્રમુખપદ રૂપે. 

1928માં વલ્લભભાઈ બારડોલી સાથે ‘સરદાર’ રૂપે ઉભર્યા છે. ત્રેપનના સરદાર જેમ દેશમાં ધ્યાન ખેંચવા લાગ્યા છે તેમ ચાલીસી વટાવે તે આગમચ જવાહર દેશના યુવજનોમાં પ્રિયમૂર્તિ રૂપે ઉભરવા લાગ્યા છે. યુવાનોને ખેંચતાં બે વ્યક્તિત્વ જવાહર અને સુભાષનાં છે. એ જ મહિનાઓમાં ભગતસિંહે આ બેને વધાવ્યાં છે, અને નજીકની વૈચારિક પસંદગી રૂપે જવાહર પર કળશ ઢોળ્યો છે, ભગતસિંહને લાગે છે કે આદર્શનો યુવા તરવરાટ-થનગનાટ બેઉમાં છે, હણહણતી દેશભક્તિના આસામી બેઉ છે, પણ સુભાષ નકરા ભાવાવેશના જન વધુ છે અને જવાહરનો આર્થિક-સામાજિક વિચારપિંડ બંધાયેલ છે.

ગાંધી, કેમ કે તે ‘જનરેશન નેક્સ્ટ’ની રીતે વિચારે છે, પ્રમુખપદ માટે પુત્રવત જવાહરનું નામ સૂચવે છે; કેમ કે પોતાના અનુજવત સરદાર પોતાની સાથે ને પોતાની વતી ‘પુત્ર’ની સંભાળ લે તેવી અણબોલી અપેક્ષા છે. ત્રેપનના વલ્લભભાઈ એ અર્થમાં ‘જનરેશન નેક્સ્ટ’ નથી જ, જે અર્થમાં હજુ ચાળીસે માંડ પહોંચેલ જવાહર છે. રાજમોહન ગાંધીની હજી સુધી તો પ્રતિમાન રૂપ રહેલી વલ્લભભાઈની જીવનીના વાચનથી ને મધુ લિમયે શા જહાલ સમાજવાદીએ સ્વરાજસંગ્રામનાં વર્ષોની જે ચર્ચા કરી છે એના ઉજાસમાં મને ‘જનરેશન નેક્સ્ટ’નો આ મુદ્દો વસ્યો છે.

પ્રધાન ભાવ તરીકે નહીં પણ ક્વચિત અન્યાય લાગણી વલ્લભભાઈને થઈ હશે, પણ પોતે દેશના સરદાર હશે તો ગાંધીના સિપાહી પણ છે એટલે સ્વરાજ સંક્રાંતિમાં સંતુલન વિવેકપૂર્વક એ અકુતોભય વર્તે પ્રવર્તે છે. કિસાન લડત કે રિયાસતી મોરચો તો જાણે કે બરાબર, પણ ગાંધીની સલાહ પ્રમાણે જવાહરલાલે અને એમણે મળીને જે પહેલી કેબિનેટ રચી, એ કૉંગ્રેસબદ્ધ નહોતી. કૉંગ્રેસથી સામે પક્ષે રહેલ આંબેડકર, મુખર્જી, ષણ્મુખક ચેટ્ટી, રાજકારણમાં નહીં તેવા ભાભા, એવા બીજા પણ : નેહરુ-પટેલની જોડીનો મહિમા સમજાય છે?

પટેલના જીવનનું અંતિમ વર્ષ ભાગલાના એક બેકલોગ તરીકે પૂર્વ બંગાળમાંથી હિંદુ હિજરતના પડકારનું છે. મુખર્જી કેબિનેટથી ફારેગ થઈ ગયા છે. શાંતિપ્રિય બાપુનું થયું એવું જ્વાહરનું થશે, એ વિચારે રાતવરત સરદારની ઊંઘ ઊડી જાય છે. સરહદની બંને બાજુએ લઘુમતી પંચની રચનાને ધોરણે સમાધાન સાધી પશ્ચિમ બંગાળને વિશ્વાસમાં લેવા ભાંગલી તબિયતે સરદાર પંડે પહોંચે છે.

સ્વરાજત્રિપુટી, દેશ ક્યારે ઉતારશે તારું ઋણ?

Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 13 નવેમ્બર 2024

Loading

વારસો

આશા વીરેન્દ્ર|Opinion - Short Stories|12 November 2024

દવાખાનેથી આવતાંની સાથે ગંભીર ચહેરા સાથે ચંદરે તેજુના હાથમાં એક કવર મૂક્યું. “કોનો પત્ર છે?”

“છે તો મોટાભાઈનો – આગ્રાથી, પણ મારે એનો જવાબ આપતાં પહેલાં તને પૂછવું જોઈએ, એટલે તું વાંચી લે. પછી આગળ વાત કરીએ.”

“કેમ, ભાઈએ એવું તે શું લખ્યું છે?”

ગભરાટમાં બોલતો હોય એમ ચંદરે કહ્યું, “લખે છે કે, હમણાં હમણાં બાબુજીની તબિયત બરાબર રહેતી નથી. હવાફેરથી કદાચ ફરક પડે. વળી તું ડૉક્ટર રહ્યો એટલે તારી નજર સામે હોય તો અમને પણ નિરાંત.”

ચંદરને પોતાની પાસે સોફા પર બેસાડતાં તેજુ હસીને બોલી, “મને એ નથી સમજાતું કે, બધા પુરુષો એમ કેમ માનતા હશે કે પોતાની પત્નીને સાસુ-સસરા ગમતાં નથી? લગ્ન પછી માતાજી સાથે રહેવાનો મોકો તો મને ભાગ્યે જ મળ્યો છે પણ હવે બાબુજીને અહીં લાવવાના હોય એમાં મારી પરવાનગીની શું જરૂર?”

“પણ તારે કૉલેજ જવાનું હોય, વળી પરીક્ષા પણ નજીક આવે છે એટલે મને થયું …”

“કશું વિચારવાની જરૂર નથી. વહેલી તકે બાબુજીને બોલાવી લો.”

ક્રિપાલસિંહના આવતાંની સાથે તેજુએ જોયું કે, એ હસમુખા અને બીજાને અનુકૂળ થઈને વર્તવાવાળા હતા. ‘મને આ જ જોઈશે અથવા મને તો આમ જ ફાવશે’ એવું વાક્ય એમને મોઢેથી ભૂલેચૂકેય ન નીકળતું. કૉલેજથી આવીને તેજુ સીધી રસોડામાં ઘૂસે તો એ કહેતા, “બેટા, થાકીને આવી હશે. જરા આરામ કરી લે. તારું રસોડું ક્યાં ય ભાગી નથી જવાનું.”

જે દિવસે તેજુએ સિંધી કઢી, ભાત અને ડબલ મરીના પાપડ પીરસ્યા ત્યારે એમની આંખોના ખાડા પાણીથી ભરાઈ ગયેલા. તેજુએ પૂછેલું, “શું થયું બાબુજી? રસોઈ તીખી બની ગઈ છે?”

“ના રે બેટા, કઢી અસ્સલ તારી માતાજી જેવી બની છે એટલે એ યાદ આવી ગઈ. આમ પણ તને જોઉં ત્યારે મને એ યાદ આવી જાય છે.” ક્યારેક પલંગની બાજુમાં ખુરશી પર બેસીને એ એમના કપાળે હાથ ફેરવતી અને પૂછતી, “બાબુજી, માતાજીનો ફોટો જોઈને મને ખ્યાલ આવે છે કે, હું દેખાવમાં જરા ય એમના જેવી નથી લાગતી તો પણ મને જોઈને તમને કેમ એમની યાદ આવે છે?”

ક્રિપાલસિંહ માયાળુ સ્મિત કરીને કહેતા, “બાહ્ય દેખાવ કરતાં વધુ મહત્ત્વનું માણસનું અંતર હોય છે, અને તારું અંતર એના જેવું નિર્મળ છે ને, એટલે મને તું એના જેવી લાગે છે.” થોડા જ સમયમાં તેજુને એમની એવી માયા બંધાઈ ગઈ કે એ પતિને કહેતી, “કોણ જાણે કેમ ચંદર, પણ મને બાબુજી એટલા વહાલા લાગે છે કે, જાણે મારું બાળક હોય! એ જેટલો વખત આપણી સાથે હોય એટલો વખત એમને ભરપૂર પ્રેમ આપવો એવું મેં મનથી નક્કી કરી લીધું છે.” બધી રીતે ખુશ દેખાતા હોવા છતાં બાબુજી મનમાં કોઈક વાત છુપાવી રાખતા હોય એવું લાગતું હોવાથી તેજુએ એક દિવસ પૂછી જ લીધું, “બાબુજી, તમે મને દીકરી માનો છો તો એક બાપની જેમ ખૂલીને વાત કેમ નથી કરતા? તમારા મનમાં કંઈક અવઢવ છે એ નક્કી.”

“તું તો અંતર્યામી છે. બધું ય સમજી જાય છે. બાબુજીએ હસીને કહ્યું. આમ તો છુપાવવા જેવી કંઈ વાત નથી. હવે ઘરડે ઘડપણ બધી જૂની જૂની વાતો એટલી યાદ આવે છે કે, રાતની ઊંઘ ઊડી જાય છે. ગામના સાથીદારો મળી જાય તો ગોઠડી માંડવાની મજા આવે. જ્યારથી ચંદરે કહ્યું કે, આપણા ગામના ઘણા સિંધીઓ અહીં રહે છે ત્યારથી એમને મળવાનું મન થયું છે પણ…”

“કેમ, એમાં પણ શું?”

“તારે આટલાં બધાં કામ હોય એમાં વળી હું આવી વાત કરું તો તને આ બુઢ્ઢા પર ગુસ્સો જ આવે ને?” તેજુએ લાગણીવશ થઈને એમનો હાથ પકડી લીધો. શું બાબુજી તમે ય? કાયમ બીજાનું જ વિચાર્યા કરશો? કહો, કોને કોને બોલાવવા છે? હું બધાને ફોન કરી દઈશ. જે દિવસે જૂના જોગીઓ ભેગા થયા તે દિવસે બાબુજીના ઓરડામાં હાસ્યની છોળો ઊડી અને એ સૌની આગતા-સ્વાગતા કરી રહેલી તેજુ એ છોળોમાં ભીંજાઈ.

બધાના ગયા પછી બાબુજીએ બાજુમાં બેસાડીને તેજુને કહ્યું, “આજે મૃત્યુની સમીપ જઈ રહેલા મારા જેવા વૃદ્ધના આત્માને તેં ખૂબ તૃપ્તિ આપી છે. મારે પણ તને કંઈક આપવું છે.” એક મખમલની ડબ્બી તેજુના હાથમાં મૂકતાં એમણે કહ્યું, “ખોલીને જો. આ તારી સાસુ પહેરતી એ હીરા જડિત નાકની નથ છે. એ મને કહીને ગઈ હતી કે, અંત સમયે તમને જે સૌથી વધુ પ્રિય લાગે એને મારા તરફથી આપજો. લે, આ તારી સાસુનો વારસો.” આંખમાં આંસુ સાથે તેજુએ એ અમૂલ્ય ભેટનો માથે ચઢાવીને સ્વીકાર કર્યો. એ પછી બાબુજી વધુ સમય ન રહ્યા. એક સવારે ચંદર એમને તપાસવા ગયો ત્યારે જોયું કે, ખોળિયામાંથી હંસલો ઊડી ગયો છે.

બધાં સગાં-સંબંધી આવી પહોંચ્યાં. મોટાભાઈ-ભાભી, દીકરી-જમાઈ અને અમેરિકાથી નાનો દીકરો. બાબુજીના કહ્યા મુજબ બધી ધાર્મિક વિધિ કરવામાં આવી, સવાર-સાંજ પાઠ થયા અને રોજ સિંધી ઢબનું ભોજન બનાવાયું. તેજુને થયું કે, કુટુંબીજનો વિખેરાય એ પહેલાં મારે નથની વાત કરી દેવી જોઈએ. નથ જોઈને નણંદ અને જેઠાણીના ચહેરા પરથી જાણે નૂર ઊડી ગયું. “હું આ ઘરમાં આટલાં વર્ષોથી આવી છું પણ મને તો બાબુજીએ કોઈ દિવસ નથ બતાવી નથી.” “તેજુભાભી, આ તો એંટીક પીસ છે. આને લિલામમાં કાઢીએ તો દરેકના ભાગે કંઈ નહીં તો લાખ-બે લાખ તો આવે જ. ખરેખર તો આ મજિયારાની જણસ જ કહેવાયને?”

તેજુ આ સાંભળીને સડક થઈ ગઈ. એણે કહ્યું, “આમ તો બાબુજીએ આ મને વારસામાં આપી છે પણ વાંધો નહીં, હું તમને દરેકને તમારા ભાગે પડતા રૂપિયા આપી દઈશ પણ મા અને બાબુજીનો આ વારસો તો મારો જ રહેશે. હવેથી એ મજિયારો નહીં રહે કેમ કે, બાબુજીની સ્મૃતિ પણ મારી સુવાંગ છે, એ મજિયારી નથી.” અને એ બાબુજીના ફોટા સામે દીવો પ્રગટાવવા ગઈ.

(ક્રિશિન ખટવાનીની સિંધી વાર્તાને આધારે)
સૌજન્ય : “ભૂમિપુત્ર”; 01 નવેમ્બર 2024; પૃ. 24

Loading

...102030...357358359360...370380390...

Search by

Opinion

  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ
  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા
  • ગુજરાતી ભાષાની સર્જકતા (૫)
  • બર્નઆઉટ : ભરેલાઓની ખાલી થઇ જવાની બીમારી
  • ચલ મન મુંબઈ નગરી—307

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved