Opinion Magazine
Number of visits: 9690263
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

જ્ઞાતિવાદ હવે વંશવાદ બની ગયો છે, આ જ્ઞાતિવાદ હજુ પણ તપે છે

શેખર ગુપ્તા|Opinion - Opinion|6 August 2016

 આ પરંપરા વાસ્તવમાં ઉચ્ચ જ્ઞાતિના કુલીનવંશીઓએ સુખસગવડો જળવાઈ રહે એ માટે ઘડી કાઢેલું કથાનક છે

દલિતોનો વિરોધ અને આક્રમક અભિવ્યક્તિની તાજી ઘટનાઓએ ફરી એક જૂની ચર્ચાને જીવંત કરી દીધી છે. અત્યાચાર અને ભેદભાવ સામે દેશભરના દલિતો ભડક્યા છે. વાત માત્ર ગૌરક્ષાની ઘટના પૂરતી મર્યાદિત નથી. ઉદાહરણ તરીકે રોહિત વેમુલાની વાત કરીએ. રોહિતની આત્મહત્યાએ પ્રથમ પલિતો ચાંપ્યો. ગોમાંસના મુદ્દા સાથે તેનો કોઈ જ સંબંધ નહોતો. સવાલ એ ઊઠે છે કે શું જ્ઞાતિવાદની તુલના વંશવાદ સાથે થઈ શકે છે? આ ચર્ચા આજકાલની નથી. તે એક જૂની ચર્ચા છે.

જ્ઞાતિવાદના કારણે કરોડો ભારતીયોને સદીઓથી અપાર અત્યાચાર, વેદના ભોગવવી પડી છે એ વિશે કોઇ મતભેદ નથી. હાલનો ઘટનાક્રમ આપણને એ યાદ અપાવે છે કે આ અત્યાચારો હજુ અટક્યા નથી પણ સતત થઈ રહ્યાં છે. 65 વર્ષોની હકારાત્મક કામગીરી, શિક્ષણ અને નોકરીઓમાં અનામત પછી પણ સરકાર, ન્યાયતંત્ર, વ્યવસાયિક ક્ષેત્રો, કોર્પોરેટ જગત અને મીડિયામાં ઘણા ઓછા દલિતો મહત્ત્વની જવાબદારી કે મહત્ત્વના પદો પર પહોંચી શક્યાં છે. આ જ્ઞાતિવાદ હજુ પણ તપે છે. તેના અન્ય પરિણામ તો છોડો તેના કારણે આપણા 20 ટકા ભારતીયો – તેમાંથી મોટા ભાગના હિંદુ સાથે ભયંકર ભેદભાવ રાખવામાં આવે છે. આ ઉપરાંત કેટલાંક અન્ય વર્ગ પણ છે જેમને બાદમાં ઓ.બી.સી.(અન્ય પછાત વર્ગ)માં સમાવી લેવામાં આવ્યા હતાં. એક એક જુદા જ સ્તરે મુશ્કેલીઓ, અને તકલીફો અને ભેદભાવ અનુભવી રહ્યા છે. તેમના પરંપરાગત અને જ્ઞાતિના પ્રભુત્વ ધરાવતા કામકાજ કે વ્યવસાય માટે આ ભેદભાવ શાપ સમાન છે. તેઓ પશુપાલનથી લઈને લુહારીકામ જેવાં વિવિધ નાના મોટા કામકાજ કરે છે.

હવે જો આ ભેદભાવની તીવ્રતા તથા ઊંડાણ અને તેની ઐતિહાસિકતા  જોઈએ તો એ લાગ્યા વિના નહીં રહે કે વિશ્વના અન્ય દેશો કે વિસ્તારોમાં જોવા મળતા વંશવાદ કે રંગભેદથી તે તે અલગ છે. આ વંશવાદ અને રંગભેદ આપણે વિશ્વના ઘણા દેશોમાં જોઈએ છીએ. ખાસ કરીને આફ્રિકામાં. સમસ્યાને જોવાના આ દૃષ્ટિકોણનો બીજો પક્ષ ઘણો આકરો વિરોધ કરે છે, જેમાં ખાસ કરીને પેલા તથાકથિત ઉચ્ચ જ્ઞાતિના લોકો હોય છે. તેમનો દાવો છે કે આ એક જ ધર્મમાં હુન્નર અને જવાબદારીઓની વહેંચણીની પરંપરાગત વ્યવસ્થા છે. જેને બહેતર સામાજિક સમરસતા અને વ્યવસ્થાગત સુવિધા ઉપરાંત આર્થિક તથા સામાજિક સ્થિરતા માટે બનાવવામાં આવી છે.

જેમણે આ વ્યવસ્થા રચી હતી એ મનુ કોઈ વિજ્ઞાની જેવા વધારે હતા. અથવા તો એવી વ્યક્તિ હતા જેમને તમે આજના સમયમાં કોઈ મોટી કોર્પોરેટ કંપનીના એચ.આર. (માનવ સંસાધન) વિભાગના વડા તરીકે ગર્ણ‌ી શકો. આ પ્રમાણે વિચારતા લોકોની દલીલ છે કે મનુનમા દૃષ્ટિકોણમાં કોઈ જ્ઞાતિ ઊંચી કે નીચી હતી નહીં. દરેક જ્ઞાતિને એક ભૂમિકા સોંપવામાં આવી હતી. અને જો કોઈ એક કાર્યની કુશળતા પરિવારમાં એક પેઢીમાંથી બીજી પેઢીમાં વિસ્તરે તો એમાં ખોટું શું છે? આ રીતે વ્યવસાય પરંપરાગત બની ગયો. આ વ્યવસ્થાનો સ્વીકાર આત્મમુગ્ધતાની સ્થિતિ છે ભલે તેમાં બીજી જ્ઞાતિના લોકોને પીડા વેઠવી પડે. આ પરંપરા વાસ્તવમાં ઉચ્ચ જ્ઞાતિના કુલીનવંશીઓએ પોતાની સુવિધા, સુખસગવડો જળવાઈ રહે એ માટે ઘડી કાઢેલું કથાનક છે. તેને એકલવ્યથી લઈને રોહિત વેમુલા અને હવે ગુજરાતના બની બેઠેલાં ગોરક્ષકો દ્વારા દલિતો પર ત્રાસ ગુજારવાની અને અપમાનિત કરવાની ઘટનાઓ દ્વારા પુરવાર કરી શકાય છે.

આ અત્યાચારના વિરોધમાં દલિત યુવાનો આત્મહત્યાનો પ્રયાસ કરે છે. જેમાં ધોરાજીના યોગેશ સારીખડા જેવા નવલોહિયા જીવ ગુમાવે છે. ગુજરાતમાં કદાચ આ અગાઉ પહેલા ક્યારે ય દલિતોના દેખાવો આટલા મોટા પાયે થયા નથી. આ આંદોલને ગણતરીના દિવસોમાં એટલું વ્યાપક સ્વરૂપ ધારણ કરી લીધું કે રાજ્યના મુખ્ય પ્રધાન પદેથી આનંદીબહેન પટેલને રાજીનામું આપવું પડ્યું. તેમના રાજીનામા માટે આમ તો બીજા પણ કારણો જવાબદાર છે.

ટૂંકમાં વર્ણ આધારિત જ્ઞાતિઓની આ સમગ્ર વ્યવસ્થા ઊભી કરવા પાછળ મનુનો જે કંઈ પણ ઈરાદો હોય, પણ તેણે હવે વંશવાદી સ્વરૂપ ધારણ કરી લીધું છે એ પુરવાર કરવા માટે આપણી પાસે હવે આનુવાંશિક (જેનેટીક) અને નૃવંશશાસ્ત્રીય (એન્થ્રોપોલૉજિકલ) એમ બન્ને પ્રકારના પુરાવા છે. આ વાત રાષ્ટ્રીય શરમનું કારણ તો છે જ. પણ સામાજિક સમરસતા સમક્ષ પણ ગંભીર ખતરો છે. આ વર્ષે જાન્યુઆરીમાં ‘હિંદુ’ અખબારના મોહિત એમ. રાવે એક અભ્યાસ પર આધારિત અહેવાલ પ્રકાશિત કર્યો હતો. આ અભ્યાસ નેશનલ ઇન્સ્ટીટ્યૂટ ઑફ બાયોમેડિકલ જીનોમિક્સ (એન.આઇ.બી.એમ.જી.) નામની સંસ્થાના અભ્યાસીઓએ કર્યો હતો. તેમણે આ બાબતને ચકાસવા માટે જુદી જુદી જ્ઞાતિનાં લોકોના જીન્સ(જનીન)નો અભ્યાસ કર્યો. તેમણે નિષ્કર્ષ તારવ્યો કે ‘ઉચ્ચ વર્ગમાં એન્ડોગોમી (સગોત્ર લગ્ન) અથવા પોતાની જ જ્ઞાતિમાં લગ્નની પ્રથા 70 પેઢી પહેલાં શરૂ થઈ હતી.

ઇતિહાસના આધારે કહીએ તો 1500 વર્ષ પહેલાં હિંદુ ગુપ્તકાળ દરમ્યાન આ પ્રકારનાં લગ્નોની શરૂઆત થઈ હતી.’ તેમનો સંશોધન અહેવાલ પ્રોસિડિંગ્સ ઑફ ધ નેશનલ એકેડમિક સાયન્સિસ ઑફ યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા (પી.એન.એ.એસ.) જેવા પ્રતિષ્ઠિત જર્નલમાં પ્રકાશિત થયો હતો. અભ્યાસીઓએ એવો પણ નિષ્કર્ષ કાઢ્યો હતો કે, ‘એ સમયે સામાજિક રૂપાંતરણના કારણે જ્ઞાતિઓ વચ્ચે થતાં લગ્નોને સામાજિક રીતેે નિયંત્રિત કરનારા નિયમો આવ્યા જે ધર્મશાસ્ત્રોમાં દર્શાવેલા હતાં.’ અત્યંત કાળજીપૂર્વક કરવામાં આવેલા આનુવાંશિક અભ્યાસ બાદ તેઓ એ નિષ્કર્ષ પર પહોંચ્યા હતા કે, ‘આ તમામની છાપ ભારતીયોના ડી.એન.એ. પર પડી છે. ડી.એન.એ.માં પૈતૃક જીન્સનો એક સમગ્ર બ્લૉક જોવામાં આવ્યો હતો.’

એ તો સ્પષ્ટ છે કે જેની શરૂઆત 70 પેઢી પહેલાં થઈ હતી એ પ્રક્રિયાને હવે ઉલટાવી તો ન શકાય. જો આ અંગે તમને કોઈ શંકા હોય તો તમે તમામ અખબારો અને વેબસાઇટ પર આવતી લગ્નવિષયક જાહેરખબરો પર નજર નાખી શકો છો. જ્ઞાતિની અંદર જ લગ્નનો આગ્રહ લગભગ તમામ જાહેરખબરમાં જોવા મળશે. જ્યાં સુધી આ જ્ઞાતિ આધારિત વ્યવસ્થામાં ધરમૂળથી ફેરફાર કરતું સામાજિક પરિવર્તન નહીં આવે, ત્યાં સુધી આપણી એ માન્યતા વધુને વધુ મજબુત બની જશે કે જ્ઞાતિ આધારીત ભેદભાવમાં આનુવાંશિક અસર ધરાવતાં વંશીય લક્ષણો છે અને સદીઓ જૂના જ્ઞાતિવાદે હવે વંશવાદનું સ્વરૂપ ધારણ કરી લીધું છે.     

સૌજન્ય : ‘હકીકત’, “દિવ્ય ભાસ્કર”, August 03, 2016

http://www.divyabhaskar.co.in/news/ABH-caste-now-become-racists-the-casteism-is-still-in-india-gujarati-news-5387371-PHO.html?seq=2

Loading

બેગેરત શાહો

દીપક બારડોલીકર|Poetry|6 August 2016

ઓ
તેલિયા શેખો, શાહો, સુલતાનો !
ખૂબ ખૂબ ગવાયેલી
તમારી ગેરતને, દિલાવરીને
ચરી ગયાં લાગે છે ઊંટોનાં ધણ !
યા કદાચ
ચાવી ગયા હોય રેસના ઘોડા,
યા શક્ય છે
તેલના કૂવાઓમાં ઓગળી
થૈ ગયું હોય એનું તેલ
ને વિશ્વ બજારોમાં
થયું હોય એનું સેલ !

હા,
એવું જ કંઈક થયું લાગે છે.
નહિતર
તમારાં ભાઈભાંડું
વૃદ્ધો, જવાનો, બહેનો, બાળકો,
ઘરથી બેઘર થઈ
ભટકતાં ન હોત લાચાર દશામાં
પશ્ચિમી દેશોમાં
આશરા માટે !
ખાટલા માટે !
કટકો રોટલા માટે !

ઓ

તેલિયા શેખો, શાહો, સુલતાનો !
બેશરમ, બેગેરત, ખેપાનો !

 

(ફેબ્રુઆરી, 2016)

 

11, Croston Terrace, Ayers Road, Old Trafford, MANCHESTER M16 7FD, U.K.

Loading

નાનકડી સડાકો અને કાગળના પંખી : હિરોશીમાની અને અણુશક્તિનો ભોગ બનતાં સહુની યાદમાં

સંજય શ્રીપદ ભાવે, સંજય શ્રીપદ ભાવે|Opinion - Opinion|5 August 2016

કાલે હિરોશીમા દિન : જાપાનમાં ૬ઠ્ઠી અૉગસ્ટ 1945ના રોજ ઝીંકાયેલા અણુબોમ્બની યાતનાઓની સાક્ષી રહેલી બાળકીની સંઘર્ષ ગાથા

હિરોશીમાની  અગિયાર વર્ષની દોડવીર છોકરી સડાકો આજે વહેલી ઊઠીને તૈયાર થઈ ગઈ  હતી,  કેમ કે છઠ્ઠી ઑગસ્ટ હતી, હિરોશીમા સ્મૃિતદિન. સડાકોએ  નવ  વર્ષ પહેલાં ઍટમબૉમ્બનો ભોગ બનેલાં તેના દાદીમા અને બીજાં હજારો માટે પ્રાર્થના કરી. તેનાં મા-બાપ અને ભાઈ-બહેન પણ એમાં જોડાયાં. પછી બધાં શાંતિ ઉદ્યાનમાં જાહેર શ્રદ્ધાંજલિ કાર્યક્રમ માટે ઊપડ્યાં. સહુથી આગળ સડાકો ઉમંગભેર દોડી રહી હતી. આમ પણ તે એની શાળાની દોડવીર હતી અને તેના સાસાકી પરિવારના સહુને એના માટે ગૌરવ હતું. સડાકોએ એક બહેનપણી ચિઝુકોને પણ સાથે લીધી. ઉદ્યાનમાં માણસોની લાંબી હરોળ ધીમી ગતિએ સ્મૃિત સદન તરફ આગળ વધી રહી હતી. સદનની દીવાલો પર, મરી ગયેલા માણસોની તસવીરો, મોતને ભેટી રહેલાં માણસોનાં ચિત્રો અને  ગામનાં ખંડેરોની છબિઓ હતી. સખીનો હાથ ચપોચપ પકડી રાખીને સડાકો આગળ વધી. એ બબડી : ‘મને ધડાકો બરાબર યાદ છે. એ અગનગોળો હજારો સૂરજની જેમ ચમક્યો હતો અને  એની ગરમીથી જાણે આંખમાં ખીલા ભોંકાતા હતા ….’ ‘તને આ બધું કેવી રીતે યાદ? તું તો એ વખતે બે વર્ષની હતી !’ ચિઝુકોએ કહ્યું. ‘પણ હું એ વખતે હતી તો ખરી જ ને !’ ઍટમ બૉમ્બ પડ્યો તે જગ્યા સડાકોના ઘરથી બે કિલોમીટર પર હતી. સડાકો બારીમાંથી બહાર ફેંકાઈ ગઈ હતી. એની માતાને એમ કે એ તો હવે ગઈ. જો કે એના દાદી તો ધડાકાના દિવસ પછી ક્યારે ય દેખાયાં નહીં.

સ્મરણ કાર્યક્રમ આગળ ચાલ્યો. બૌદ્ધ ભિક્ષુઓએ પ્રાર્થના કરી, સેંકડો સફેદ કબૂતર આકાશમાં ઊડાડવામાં આવ્યાં. બધી વિધિ પૂરી થઈ એટલે સડાકો સહુને લૉલિપૉપ વેચનારાં માજી પાસે લઈ ગઈ. મીઠાઈની અને જાતભાતની વસ્તુઓની દુકાનો જોતાં હરવા-ફરવામાં બધાંને મજા પડી. ભીડમાં એવા લોકો પણ દેખાતા કે જે બદન પરના બૉમ્બના સફેદ ચાઠાને કારણે બિહામણા લાગતા હોય. આવું  કોઈ સડાકોની નજીક આવે એટલે તે દૂર હઠી જતી. સાંજે લોકો હાથમાં કાગળના દીવા લઈને ઓહાટા નદી તરફ જવા લાગ્યા. સડાકો અને તેના ઘરનાં છ જણમાંથી દરેકે બૉમ્બથી મોતને ભેટેલા સંબંધીનું નામ લખીને એક-એક દીવો પાણીમાં તરતો મૂક્યો. સડાકોએ દાદી ઓબાનું નામ લખ્યું.

બે-એક મહિના વીત્યા. એક દિવસ સડાકો નિશાળેથી આવી ત્યારે સાતમા આસમાને હતી. એક મહત્ત્વની સ્પર્ધા માટે શાળાની દોડની ટુકડીમાં તેની પસંદગી થઈ હતી. બસ એ દિવસથી એના મનમાં હરીફાઈ સિવાય બીજું કંઈ જ ન હતું. એ જીતી, દોડને છેડે બે ઘડી તેને તમ્મર આવ્યાં હતાં. વળી પછીના સ્તરની સ્પર્ધા માટેની તૈયારી, ક્યારેક ચક્કર આવતા રહેતા, એ વધતા ગયા પણ એની વાત સડાકોએ કોઈને ય કરી નહીં, ખાસ બહેનપણી ચિઝુકોને પણ નહીં. વળી એક દોડ અને જીત. પણ ફેબ્રુઆરી મહિનાની એક ઠંડી સવારે બધું પૂરું થઈ ગયું. મહાવરા માટે દોડતી સડાકો મેદાન પર ઢળી પડી, ઊભી થઈ, ફરી પડી. સડાકોના પિતા વાળ કાપવાની એમની દુકાન એમ ને મૂકીને દોડ્યા. રેડક્રૉસ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવતાની સાથે જ બધાના પેટમાં ફાળ પડી. એમાં એક વિભાગ અણુબૉમ્બની અસર પામેલા દરદીઓ માટેનો હતો. સડાકોના લોહીની અને શરીરની તપાસ ચાલુ થઈ. ઘરનાં બધાં ભેગાં થયાં. ડૉક્ટરની કેબિનમાંથી સડાકોને એની મમ્મીની ચીસ સંભળાઈ – ‘લ્યુકેિમયા…ના હોય !’ સડકો ધ્રૂજી ઊઠી. એણે કાન પર હાથ દબાવી દીધા. એને થયું, ‘એને શેનો લ્યુકેિમયા થાય ? એટમબૉમ્બથી તો એના શરીર પર ઘસરકો ય પડ્યો ન હતો!’ હૉસ્પિટલમાંથી બહાર નીકળતી વખતે સાસાકીએ સડાકોને કહ્યું, ‘બેટા, તારી કેટલીક તપાસ માટે તારે થોડા દિવસ અહીં રહેવું પડશે, અમે દરરોજ તને મળવા આવશું.’ એ રાત જેવાં ભીષણ એકાંત અને દુ:ખ સડાકોએ ક્યારે ય અનુભવ્યાં ન હતાં.

બીજે દિવસે દવા ને ઇન્જેક્શનનો ફેરો પૂરો થયો. બપોરે ચિઝુકો આવીને કહે, ‘તું સાજી થાય એટલા માટે કંઈક લાવી છું. આંખો બંધ કરે તો બતાવું.’ સડાકોએ આંખો ખોલી ત્યારે એના બિછાના પર સોનેરી રંગના કાગળના ટુકડા અને કાતર હતાં. ચિઝુકો કેટલોક સમય કાગળને ખાસ રીતે કાપતી રહી અને તેની ગડીઓ વાળતી રહી, અને તેમાંથી એક સરસ સારસ પક્ષી બન્યું. સડાકો મૂંઝાઈ: ‘આ પક્ષીની વાર્તા તું જાણે તો છે. જે દરદી હજાર સારસ બનાવે તેને ભગવાન સાજી કરી દે છે.’ સોનેરી સારસને અડતાં સડાકોના શરીરમાંથી જાણે ચેતનની લહેર દોડી ગઈ. એ પણ સારસ બનાવવા લાગી. શરૂમાં તો બરાબર ન બનતાં, પછી ફાવટ આવી. ટેબલ ભરાઈ ગયું. પક્ષીઓને સડાકોના ભાઈએ છત સાથે ટિંગાડવાનું શરૂ કર્યું. સડાકોને મળવા આવનાર સહુ એના માટે કાગળ લઈને આવતા. લ્યુકેિમયાના  થોડાક દરદીઓ સાજા થાય છે એવું સડાકોએ સાંભળ્યું હતું. તે આખો દિવસ કંઈ ને કંઈ કર્યા કરતી. નિશાળનું ઘરકામ, બહેનપણીઓ સાથે વાતો ને ગીતો, સાંજે પક્ષીઓ. સારસ ત્રણસો ઊપર પહોંચી ગયાં.

પણ હવે સખત શિરદર્દ અને શરીરની અસહ્ય બળતરાની શરૂઆત થઈ હતી. નવ વર્ષનો સાથી દરદી કેન્જિ એક દિવસ મૃત્યુ પામ્યો.  સડાકોના સારસની સંખ્યા ચારસો ચોસઠ પર પહોંચી હતી. તબિયતમાં ઊતાર-ચઢાવ આવતા રહ્યા. એકાદ અઠવાડિયું ઘરે રહ્યા પછી તેને ફરીથી હૉસ્પિટલમાં મૂકવી પડી. સારસ બનાવવા માટેની મથામણ ચાલુ હતી પણ તાકાત ખૂટી ગઈ હતી. સડાકો સાસાકી પચીસમી ઑક્ટોબર 1955ના દિવસે બાર વર્ષ અને નવ મહિનાની ઉંમરે દુનિયાને છોડી ગઈ. હજાર સારસમાં બાકી રહેલા સારસ સદાકોનાં મિત્રોએ બનાવ્યાં અને તે બધાને સડાકોની સાથે દફનાવવામાં આવ્યાં.

સડાકોની આ વાત અમેરિકન બાળસાહિત્યકાર એલિનૉર કોઅરએ ‘સડાકો અ‍ૅન્ડ ધ થાઉઝન્ડ પેપર ક્રેઇન્સ’ (1977) નામના અત્યંત હૃદયસ્પર્શી પુસ્તક થકી દુનિયા સામે મૂકી. તેને કર્મશીલ દંપતી, દીપ્તિ-રાજુ વડોદરાની શિશુમિલાપ સંસ્થા થકી ‘સડાકો અને કાગળના પક્ષી’ (1999) નામે આપણે ત્યાં લાવ્યાં છે. તેના છેલ્લા પૂંઠા પર સારસ બનાવવાની રીત આકૃતિઓ સાથે સમજાવી છે.

આશા, ધીરજ અને હિમ્મતની પ્રતીક એવી સડાકોનું સ્મારક તેના ચાહકોએ હિરોશીમાના શાંતિ ઉદ્યાનમાં ઊભું કર્યું છે (બીજું સિએટલ વૉશિંગ્ટનમાં છે). તેમાં  સડાકોની પૂરા કદની પ્રતીમા છે. તેમાં એવી કલ્પના છે કે જાણે સ્વર્ગ તરફ લઈ જતાં ગ્રૅનાઈટના પહાડની ટોચે નીડર સડાકો ઊભી છે અને એના હાથમાં પાંખો ફેલાવેલું સોનેરી સારસ છે. આજે પણ હિરોશિમા દિને કાગળના હજારો સારસ સડાકોના સ્મારકે મૂકવામાં આવે છે. સ્મારક પર શબ્દો છે :

‘આ છે અમારી આરત
આ છે અમારી ઇબાદત
દુનિયામાં હો  અમન’.

3 ઑગસ્ટ 2016

++++++++++

સૌજન્ય : ‘ક્ષિતિજ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “નવગુજરાત સમય”, 05 ઑગસ્ટ 2016

e.mail : sanjaysbhave@yahoo.com

Loading

...102030...3,5693,5703,5713,572...3,5803,5903,600...

Search by

Opinion

  • બંધારણ – દેશનું દર્પણ, દેશની ઓળખ, દેશની શોભા  
  • નથુરામનું ‘હુતાત્મા’ પદ અને કુરુંદકરનો તર્ક
  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ
  • ઝાંઝવાનાં જળ
  • એક ‘રાની પંખીડું’ જિતુભાઈ પ્ર. મહેતા

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved