Opinion Magazine
Number of visits: 9690606
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મોંઘેરા બૌદ્ધિક-કર્મશીલ: હર્ષદ દેસાઈ

ચંદુ મહેરિયા|Samantar Gujarat - Samantar|26 August 2016

નેપથ્યમાં રહીને તેમણે જાહેર જીવનમાં જે મોટી મોટી ભૂમિકાઓ ભજવી તેનો જોટો જડવો મુશ્કેલ છે

હર્ષદભાઈ દેસાઈ આપણી વચ્ચે હોત તો આ અઠ્ઠાવીસમીએ (જન્મ તા.૨૮-૮-૧૯૩૫) ૮૧ વરસ પૂરાં કર્યા હોત. દસેક મહિના પહેલાં, સત્તરમી ઓકટોબર ૨૦૧૫ના રોજ એમણે આપણી વચ્ચેથી વિદાય લીધી હતી. અંગ્રેજીના પ્રબુદ્ધ અધ્યાપક એવા હર્ષદ દેસાઈનો જાહેરજીવન સાથે, જાહેર પ્રવૃત્તિઓ સાથે આજીવન નાતો રહ્યો. એટલે જ એમના અવસાન નિમિત્તેના સંદેશામાં, સુદૂર દક્ષિણ ભારતમાં નિવૃત્તિ જીવન ગાળતા ગુજરાતના નિવૃત્ત શિક્ષણ સચિવ કે. રામમૂર્તિએ એમને વંચિતો પ્રત્યે સાચી સામાજિક નિસબત ધરાવતા નિષ્ઠાવાન કર્મશીલ તરીકે સંભાર્યા હતા.

સુરત જિલ્લાના પલસાણામાં એમનો જન્મ. અંગ્રેજીના અનુસ્નાતક અને આરંભે વલ્લભ વિદ્યાનગર અને પછી અમદાવાદમાં અંગ્રેજીના અધ્યાપક બનેલા હર્ષદભાઈને, ‘ગણિતમાં કાચો છું ને ગુજરાતી-અંગ્રેજી વધારે ફાવે છે’ એવી લાગણી ખાસ્સી વહેલી જન્મી ચૂકી હતી. વતન નજીકના વરણામાની પ્રાથમિક શાળાની ગાયકવાડી લાઈબ્રેરીમાં એ છઠ્ઠા ધોરણમાં પ્રવેશ્યા અને વાંચવા માંડ્યું. એ વાચન છેક જીવનના અંત કાળ સુધી ચાલતું રહ્યું.

એમની બૌદ્ધિક પ્રતિભા વિદ્યાર્થીકાળમાં જ નીખરી હતી. કોલેજની ચૂંટણીમાં ઉમેદવારી કરતા મિત્રના પ્રચાર સાહિત્યમાં એમણે રેલવે ટ્રેઈનનું ટાઈમટેબલ કે કેલેન્ડરને બદલે અંગ્રેજીના પ્રોફેસરે વાંચવા ભલામણ કરેલી શ્રેષ્ઠ પચીસ નવલકથાઓનાં નામ છપાવડાવેલાં.

માંડ ૩૨ વરસના હર્ષદ દેસાઈએ ૧૯૬૭માં ‘અંગદ તરફદાર’ના નામે ‘સંજ્ઞા’ સામયિકમાં આત્મકથનાત્મક લખાણો લખેલા. જેમાં જીવનની પહેલી પચીસી, પોતાનું ટ્રાન્ફરમેશન, આત્મખોજ, એલિયનેશન અને હોમસીકનેસની લાગણી, વાચનકથા તથા સ્મોલ-ટાઉન-લાઈફની ગૂંગળામણ વ્યક્ત કરી હતી. આ લખાણોમાં જ હર્ષદભાઈની ભાષાશૈલી, વિચાર અને સંવેદનની પ્રોઢિ વરતાઈ આવી હતી. ‘સંજ્ઞા’માં જ એમણે સુરેશ જોષીની દિગીશ મહેતા અને જ્યોતિષ જાની સાથે દીર્ઘ મુલાકાત લીધી હતી.

વલ્લભ વિદ્યાનગર પછીના અમદાવાદના લાંબા નિવાસ દરમિયાન હર્ષદભાઈના જીવનનું ધ્રુવબિંદુ વધુ સ્પષ્ટ થયેલું. એમણે સાહિત્યિક-બિનસાહિત્યિક લેખન તો બહુ થોડું કર્યું છે પણ જેટલું લખ્યું તે ‘રહેમતઅલીની લગડી સમાન’ છે. દિગીશ મહેતા અને હર્ષદ દેસાઈનું ‘પાશ્ચાત્ય નવલકથા’(૧૯૭૫) એ પુસ્તક ‘અભ્યાસની ઉપયોગિતા’ અને લેખકીય સાહસની રીતે નોંધપાત્ર છે. ૧૯૬૬માં હર્ષદભાઈએ રઘુવીર ચૌધરીની પ્રથિતયશ નવલકથા ‘અમૃતા’નું બેબાક વિવેચન –ખાસ તો નવલકથાની ભાષા સંદર્ભે- કર્યું હતું. ‘અમૃતા’ પર ખફા હર્ષદભાઈ જયંત ગાડીતની ‘બદલાતી ક્ષિતિજ’ પર ઓળઘોળ હતા અને તેને ‘ગુજરાતની પહેલી સાર્થક સામાજિક નવલકથા’ ગણાવી હતી.

નવયુવાન હર્ષદ દેસાઈ લેખક તરીકે વાલીપુત્ર ‘અંગદ’નું નામ અને ‘તરફદાર’ અટક ધારણ કરે છે ત્યારે જ તેમની દલિત-શોષિત-પીડિત પ્રત્યેની તરફદારી અને પ્રતિબદ્ધતા સ્પષ્ટ થઈ ગયાં હતાં. આ ઉપનામ જ હર્ષદભાઈની  સાચુકલી સામાજિક નિસબતનું દ્યોતક હતું.  એમનું હર્ષદકર્મ દલિત સમસ્યા પ્રત્યે લગાવ જ નહીં આત્મીયતાનું હતું. ૧૯૮૧ અને ૧૯૮૫ના અનામત વિરોધી રમખાણો વખતે સ્વાભાવિક જ તે દલિત, આદિવાસીઓના અને અનામતના પક્ષે હતા.

૧૯૮૨માં ગુજરાતી સાહિત્ય પરિષદના વનસ્થલી જ્ઞાનસત્રમાં એમણે કહ્યુ હતું ‘હું અહીં અનામત આંદોલનને કારણે જ છું. આ નકારાત્મક આંદોલનમાં દલિતોને પડખે કવિઓ-લેખકોએ ઊભા રહેવાની જરૂર હતી. મુંગા રહેવાથી સૌ સાહિત્યકારો અનામતવિરોધીઓના પક્ષે રહ્યા અને દલિતોના ઘર સળગવા દીધા, એમને ભયથી ફફડતાં કરી દીધાં’ ને પછી અપેક્ષા વ્યક્ત કરી:  આપણે જ્ઞાતિ વિશે લખીએ. આપણી નાત જ્યારે બીજી નાતના માણસના સંપર્કમાં આવી ત્યારે શું થયું તે પણ લખીએ.’ 

પ્રોફેસર હર્ષદ દેસાઈ માત્ર કોરા અધ્યાપક નહોતા. અધ્યાપક મંડળની પ્રવ્રુતિઓ સાથે પણ તે સક્રિય રીતે જોડાયેલા હતા. અધ્યાપકોના આંદોલનોમાં, એમની માંગણીના આવેદનપત્રોથી માંડીને સભા-સરઘસ-ધરણામાં સૂત્રો લખવા સુધ્ધાંમાં એમની માસ્ટરી હતી. નવનિર્માણ અને બીજાં પ્રજાકીય પ્રશ્નોમાં અધ્યાપકો અને અધ્યાપક મંડળની ભૂમિકા સ્પષ્ટ કરી આપવામાં તે અગ્રેસર રહેતા. જાહેર પ્રવૃત્તિઓ નિમિત્તે સ્વૈચ્છિક સામાજિક સંસ્થાઓ સાથે પણ હર્ષદભાઈ જોડાયેલા રહ્યા હતા. સ્વૈચ્છિક સંસ્થાઓના નેટવર્ક ‘જનપથ’ના એ સ્થાપક પ્રમુખ હતા.

અમદાવાદમાં હાઉસિંગ બોર્ડના પોતાના જે ફ્લેટમાં એમને રાઈટિંગ સ્પેસ ન મળવાની કાયમી વાજબી ફરિયાદ રહેતી તેમાં જ ફંડના અભાવે  ઘણાં મહિના ‘જનપથ’ની ઓફિસ તેમણે ચલાવેલી. ગુજરાતની સ્વૈચ્છિક સંસ્થાઓના ઇતિહાસમાં આ અપવાદરૂપ વિરલ ઘટના છે. ધરણા-દેખાવો-સભા-સરઘસોમાં, દલિત અત્યાચારના બનાવોની સ્થળ તપાસોમાં કે વિરોધ કાર્યક્રમોમાં એ અનુકૂળતા કરીને જોડાતા. પાલનપુર નજીકના સાંબરડા ગામમાં દલિતો પરના ત્રાસથી ૧૩૧ દિવસની હિજરતની સંઘર્ષ કથાનું ‘સાંબરડાથી સ્વમાનનગર’ નામે દસ્તાવેજી પુસ્તક અમે સાથે મળીને લખ્યું હતું.

મોટા ગજાના બૌદ્ધિકો-કર્મશીલો સાથે તેમના પરિચયો અને સંપર્કો છતાં તે કાયમ લો પ્રોફાઈલ અને જમીનથી જોડાયેલા રહ્યા. જેમ દલિત-આદિવાસીની અનામતના, તેમનાં શિક્ષણના, સશક્તિકરણના તે પક્ષધર હતા તેમ જમીનોની ફેર વહેંચણી કે જમીન સુધારના પણ મોટા હિમાયતી હતા. લેન્ડ રિફોર્મ હવે ભારતમાં નોન ઈસ્યુ છે એમ કહેનારને ફટકારતાં એમણે લખેલું, ‘જમીન ફેરવહેંચણીનો એકડો કાઢી નાંખીએ તો તો સૌરાષ્ટ્રના પટેલોમાં દરબારોના અત્યાચારોનો સામનો કરવાની તાકાત આવી ગઈ, તે, દલિતો-આદિવાસીઓ-ઓબીસીમાં કદી આવશે નહીં.’ હર્ષદભાઈ  કોઈ પ્રભાવી વક્તા નહોતા. એ ગપશપમાં, નાના જૂથ સાથેની ચર્ચા-ગોષ્ઠિઓમાં કે અંગત વાતચીતમાં જ વધુ ખીલતા. એમની વાતો એટલી મૌલિક, અર્થગંભીર અને પાયાની રહેતી કે સાંભળનારે તે માટે સજ્જ રહેવું પડતું. 

‘એટલે’ એ હર્ષદભાઈનો તકિયાકલમ હતો. લગભગ દર એક-બે વાક્યને અંતે એ ‘એટલે’ બોલતા. એમની વિદાય પછી વિચારું છું કે હર્ષદભાઈ એટલે શું ? તો એક પ્રકારનો ખાલીપો લાગે છે. એ સાચું કે એમણે બહુ બધંુ લેખન કર્યું નથી કે કોઈ મોટા આંદોલનનું નેતૃત્વ કર્યું નથી. પણ નેપથ્યમાં રહીને એમણે જે મોટી મોટી ભૂમિકાઓ ભજવી છે તેનો જોટો જડવો મુશ્કેલ છે. એ જેટલા પ્રેમાળ એટલા પારદર્શી. અભિગમમાં જેટલા સમ્યક એટલા સ્પષ્ટ વક્તા. એમના જેવા અધ્યાપકનું, કર્મશીલ રાહબરનું, બૌદ્ધિકનું ગુજરાતના અને દેશના જાહેરજીવનમાં હોવું એ જ મોટું આશ્વાસન હતું. ‘નયામાર્ગ’કાર ઈન્દુભાઈ જાનીએ કંઈ અમથા એમને ‘ફ્રેન્ડ, ફિલોસોફર અને ગાઈડ’ નથી કીધા. લેખનના આરંભે એમણે ધારણ કરેલું ‘અંગદ તરફદાર’ નામ આજીવન સાર્થક કર્યું છે.

ભલે જાહેરજીવનમાં અંગદ કૂદકા જેવું એમનું પ્રદાન ન રહ્યું, પણ એમણે જે કંઈ કર્યું છે તે અંગદપદથી લગીરે કમ નથી. ‘સામાજિક ન્યાય’ એ સદાય ઝંખતા અને આપણા બૌદ્ધિક વિમર્શમાં એની અનિવાર્યતા સમજાવતા. ‘૯૦ ટકા પ્રજાને ન્યાય મળે અને છતાં ઈકોનોમીનો ગ્રોથ રેટ વધે, બધા ક્ષેત્રોમાં સર્જકતાને ખીલી ઉઠવાનો મોકો મળે, જળ-જમીન-જંગલ જેવી સહિયારી મિલકતો જોરાવર ૧૫-૨૦ ટકા લોકો-પરિબળો જ બથાવી ના પાડે, કોર્નર ના કરી લે- એવો કાર્યક્રમ અપનાવવા છતાં કોઈ રાજકીય પક્ષ ચૂંટણીમાં જીતી શકે એવું ભારતમાં શક્ય બનશે?’ એવો લાખેણો નિરુત્તર સવાલ, આપણા માટે છોડી જનાર હર્ષદ દેસાઈ એટલે ગુજરાતની મોંઘેરી બૌદ્ધિક અને કર્મશીલ સંપદા.

સૌજન્ય : ‘હર્ષદભાઈ એટલે’, “દિવ્ય ભાસ્કર”, August 25, 2016

Loading

સંઘ પરિવાર અને કુટુંબનિયોજન: વધુ બાળકોના મુદ્દે અગાઉ ભાગવતે કરી તી ટીકા

હરિ દેસાઈ|Opinion - Opinion|26 August 2016

વધુ બાળકોના મુદ્દે હિંદુ માતાઓનો પક્ષ લઈને સાક્ષી મહારાજની ટીકા કરનારા ભાગવત હવે પોતે એવી જ સલાહ આપે છે

કેન્દ્ર અને રાજ્યોમાં સત્તારૂઢ ભારતીય જનતા પક્ષ(ભાજપ)ના આસ્થાસ્થાન અને માતૃસંસ્થા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક ડૉ. મોહનરાવ ભાગવતે હમણાં આગ્રાના પ્રવાસ દરમિયાનના પ્રગટ ભાષણમાં ‘હિંદુઓને વધુ બાળકો પેદા કરતાં કયો કાયદો રોકે છે?’ એવો પ્રશ્ન કરીને વિવાદનો મધપૂડો છંછેડ્યો છે. સંઘના સુપ્રીમોને સંભવતઃ વધુ સંતાનોમાંથી તેજસ્વી રાષ્ટ્રપુરુષો મળતા હોવાનો અંદાજ હશેઃ કવિવર રવીન્દ્રનાથ ટાગોર એમના મા-બાપનું તેરમું સંતાન હતા, નેતાજી સુભાષચંદ્ર બોઝ તેમના મા-બાપનાં ૧૪ સંતાનોમાંનું નવમું બાળક હતા અને બાબાસાહેબ ડૉ. ભીમરાવ આંબેડકર તેમનાં મા-બાપનું ૧૪મું સંતાન હતા.

હિંદુહિત અને હિંદુ એકતા માટે વર્ષ ૧૯૨૫ના વિજયાદશમી પર્વ ટાણે નાગપુરમાં કૉંગ્રેસી અગ્રણી ડૉ. કેશવ બલિરામ હેડગેવારે આર.એસ.એસ.ની સ્થાપના કરી ત્યારથી એને મુસ્લિમ વિરોધી ગણી લેવામાં આવે છે, પરંતુ ડૉક્ટરજીના અનુગામી અને દ્વિતીય સરસંઘચાલક માધવ સદાશિવ ગોળવળકર(ગુરુજી)થી લઈને વર્તમાન વડા ડૉ. ભાગવત લગીના સંઘ-અધિકારીઓેએ પોતાના સંગઠનને સાંસ્કૃિતક અને હિંદુહિત માટે કાર્યરત ગણાવવાની સાથે જ એની મુસ્લિમવિરોધી છબિને ભૂંસવાની સતત કોશિશ કરી છે. વર્તમાન વડાપ્રધાન અને સંઘના પ્રચારક રહી ચૂકેલા નરેન્દ્ર મોદીએ પણ પોતાની સરકાર સર્વધર્મસમભાવની નીતિથી કામ કરતી રહેશે એવી ખાતરી આપેલી છે. સંઘના વરિષ્ઠ પ્રચારક ઇન્દ્રેશકુમારના માર્ગદર્શનમાં ‘મુસ્લિમ રાષ્ટ્રીય મંચ’ નામક સંસ્થા પણ કાર્યરત છે.

જો કે સંઘના અધિકારીઓ એટલે કે હોદ્દેદારોની આવી પ્રગટ નીતિરીતિ છતાં દેશમાં મુસ્લિમોની વસ્તીમાં વધારો જોતાંની સાથે જ સંઘના સરસંઘચાલકથી લઈને એનાં સંગઠનોના અગ્રણીઓ ચિંતિત જણાય છે. વર્ષ ૨૦૧૧ની વસ્તીગણતરીમાં હિંદુ વસ્તીમાં ઘટાડો નોંધાયો કે તૂર્ત જ હિંદુઓએ વધુ બાળકો પેદા કરવાં ઘટે એવી સલાહ વિશ્વ હિંદુ પરિષદના સાધુ-સંતો અને અગ્રણીઓ તરફથી પણ ગાજવા માંડી. સરસંઘચાલક ડૉ. ભાગવતે ગત વિજયાદશમીના નાગપુરના પ્રગટ ભાષણમાં મુસ્લિમોની વધતી જતી વસ્તી અંગે ચિંતા વ્યક્ત કરી હતી.

એને અનુલક્ષીને જ ઇન્દ્રેશ કુમારના માર્ગદર્શનમાં ડિસેમ્બર ૨૦૧૫ દરમિયાન અજમેરમાં પાંચ હજાર મુસ્લિમ મહિલાઓ માટેનો ‘નાનો પરિવાર, સુખી પરિવાર’ પરિસંવાદ પણ યોજાયો હતો. સંઘ પરિવાર તરફથી સતત દેશની વસ્તીના આંકડાઓનું ધાર્મિક વિશ્લેષણ પણ કરવામાં આવે છે. ખાસ કરીને વર્ષ ૨૦૦૧ અને ૨૦૧૧ના ગાળામાં મુસ્લિમ વસ્તીમાં ૨૪ ટકાનો વધારો નોંધાયાની બાબતે સંઘ પરિવારની ચિંતા વધારી દીધી છે. ભારતની કુલ વસ્તી ૧૨૧ કરોડમાંથી ૯૬.૬૨ કરોડ વસ્તી એટલે કે ૭૯.૮૦ ટકા જેટલી હિંદુ વસ્તી હોવા છતાં સંઘ પરિવારને વર્ષ ૨૦૬૦માં હિંદુ કરતાં મુસ્લિમોની વસ્તી વધી જવાનો ડર છે. આ ડરનાં રાજકીય પરિમાણ પણ છે.

વસ્તી ગણતરીના સત્તાવાર આંકડાઓ મુજબ, વર્ષ ૨૦૧૧ની વસ્તીના ૧૪.૨૩ ટકા એટલે કે ૧૭.૨૨ કરોડ મુસ્લિમ અને ૨.૩૦ ટકા એટલે કે ૨.૭૮ કરોડ ખ્રિસ્તી છે. વર્ષ ૨૦૦૧-’૧૧ દરમિયાન મુસ્લિમ વસ્તીનો વૃદ્ધિ દર અગાઉના દશક કરતાં ઘટ્યો હોવા છતાં હિંદુ વસ્તીના વૃદ્ધિ દર ૧૬.૭૬ ટકાની તુલનામાં વધુ એટલે કે ૨૪.૬૦ ટકાનો હોવાની ચિંતા ભાગવત-સમર્થકોને સતાવે છે. મૂળભૂત રીતે અખંડ ભારત એટલે કે વર્તમાન ભારત, પાકિસ્તાન અને બાંગલાદેશના ૧૪ ઑગસ્ટ ૧૯૪૭ પૂર્વેના બ્રિટિશ હકૂમત હેઠળના પ્રદેશ વત્તા દેશી રજવાડાંને અખંડ ભારતનો હિસ્સો ગણવા અને ગુરુજીના આદેશ મુજબ ખંડિત અખંડ ભારતને પુનઃ અખંડ ભારત કરવાનો સંકલ્પ ધરાવતા સંઘ પરિવારને મુસ્લિમ વસ્તીની વૃદ્ધિની ચિંતા છે. એટલે પાકિસ્તાન અને બાંગલાદેશ પણ ભારત સાથે, બે જર્મની અને બે યમનની જેમ, એકાકાર થતાં કેવા સંજોગો સર્જાય એની આગોતરી વ્યથા થવી સ્વાભાવિક છે.

યુરોપિયન યુનિયનમાં તુર્કીને પ્રવેશ આપવા સામે ઇસ્લામોફૉબિયાગ્રસ્ત રાષ્ટ્રોના વિરોધ જેવું જ દૃશ્ય અહીં ઉપસે છે. પાકિસ્તાનની આજની ૨૦ કરોડ અને બાંગલાદેશની ૧૬ કરોડ જેટલી વસ્તીમાં હિંદુ અને બૌદ્ધ વસ્તીનું પ્રમાણ જૂજ હોવાથી ફરી અખંડ ભારતનું ચિત્ર કેવું ઉપસે એનાં કમકમાં ઘણાને આવવાં સ્વાભાવિક છે. સંભવતઃ એટલે જ સંઘને અભિપ્રેત અખંડ ભારતને બદલે પાકિસ્તાનને વધુ ખંડિત કરવામાં જ હિંદુહિત હોવાનાં રાજદ્વારી ગણિત મૂકાવા લાગ્યાં છે.

સંઘ પરિવારમાં પણ વસ્તી વિષયક નીતિનિર્ધારણમાં વિરોધાભાસ ઓછા નથી. ડિસેમ્બર ૨૦૦૬માં ગુરુજીની જન્મ શતાબ્દીની ઉજવણી માટેના ગુવાહાટી ખાતેના સમારંભમાં તત્કાલીન સરસંઘચાલક કુપ્પહલ્લી સીતારામૈયા સુદર્શનજીએ ‘હમ દો, હમારે દો’ની નીતિને તિલાંજલિ આપવાની વાતને બુલંદ કરતાં ‘ભારતને મુસ્લિમ બહુમતીવાળા રાષ્ટ્રમાં ફેરવી નાંખવાના ષડ્‌યંત્ર’ અંગે ચેતવણી આપી હતી. તેમની ગણતરી હતી કે ભારત વર્ષ ૨૦૬૦માં મુસ્લિમ બહુમતીવાળું રાષ્ટ્ર બની જશે. એની પાછળનો તર્ક એ વેળા પણ વસ્તીનિષ્ણાતોને ગળે ઉતારી શકાયો નહોતો.

વિશ્વ હિંદુ પરિષદના સદ્‌ગત સુપ્રીમો અને સંઘના વરિષ્ઠ પ્રચારક અશોક સિંહલે વર્ષ ૨૦૦૬માં હિંદુઓને ઓછામાં ઓછાં પાંચ સંતાન પેદા કરીને મુસ્લિમોની વધતી વસ્તીની સ્પર્ધા કરવા હાકલ કરી હતી. જો કે દિલ્હીમાં ભા.જ.પ.ના વડપણવાળી સરકાર આરૂઢ થયા પછી ભા.જ.પ.ના વિ.હિં.પ.ના ક્વોટામાંથી આવેલા સાંસદ સાક્ષી મહારાજે હિંદુ મહિલાઓને ચાર-ચાર બાળકો પેદા કરવાની જાહેરમાં સલાહ આપી ત્યારે સંઘના વર્તમાન સરસંઘચાલક ડૉ. મોહનજીએ કહ્યું હતું, ‘હિંદુ માતાઓને કાંઈ બાળકો પેદા કરનારાં કારખાનાં માનો છો?’ આજે એ જ સરસંઘચાલક પોતે સાક્ષી મહારાજના રાજ્યમાં પ્રગટ ભાષણમાં જ કહે છે કે હિંદુઓને વધુ બાળકોને જણતાં કાયદો ક્યાં આડો આવે છે? બહુજન સમાજ પાર્ટી(બી.એસ.પી).નાં સુપ્રીમો માયાવતીએ બીજા જ દિવસે આગ્રામાં જ સંઘસુપ્રીમોના નિવેદનને પડકારતાં કહ્યું કે વધુ છોકરાં જણવામાં આવે તો શું મોદી સરકાર તેમને પોષવાની વ્યવસ્થાની જવાબદારી લેવાની છે?

સંઘના દ્વિતીય સરસંઘચાલક ગુરુજીએ ‘વિચાર-નવનીત’(બંચ ઑફ થૉટ્‌સ)માં નોંધ્યું છે કે જો તમે વ્યક્તિને સુરક્ષા પ્રદાન કરશો તો એ વધુ બાળકોને જન્મ નહીં આપે. સંઘ પરિવારના મહાનુભાવોએ તેમના માટે ગીતા ગણાતા આ ગ્રંથમાં જનસંખ્યા-સમસ્યાના ઉકેલ સંદર્ભે ગુરુજીએ દર્શાવેલા વિચારો ફરી જોઈ જવાની જરૂર છે. એમના ચિંતનને વિશ્વબૅંકમાં વરિષ્ઠ વસ્તીનિષ્ણાત (ડૅમોગ્રાફર) તરીકે રહેલા કેરળના સિરિયન ખ્રિસ્તી એવા કે.સી. ઝકરિયાના કેરળના ૮૦ ટકા મુસ્લિમ વસ્તી ધરાવતા માલ્યાપુરમ્‌ જિલ્લાના મુસ્લિમોના અભ્યાસનાં તારણો સમર્થન આપે છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને સંઘના સરસંઘચાલક ગુરુજી સ્વૈચ્છિક સંતતિનિયમનના પક્ષધર હતા. ગાંધીજી તો ઝાઝા હાથ રળિયામણાને યોગ્ય કામમાં જોતરીને રાષ્ટ્રનિર્માણ કરવાના ટેકેદાર હતા. હિંદુ મહિલા કરતાં મુસ્લિમ મહિલાની બાળક પેદા કરવાનો દર (ટોટલ ફર્ટિલિટી રેટ – ટી.એફ.આર.) ઊંચો હોય છે, એ તથ્યને અવગણીને વધુ સંતાનો પેદા કરવાનાં ધર્મયુદ્ધની હાકલો સ્વાભાવિક રીતે નિરર્થક જ સાબિત થશે. 

સૌજન્ય : ‘યુ-ટર્ન’, “દિવ્ય ભાસ્કર”, August 24, 2016

Loading

અપ્રામાણિકતાનો ત્યારે વિચારેય ન આવતો

જી જી પરીખ|Opinion - Opinion|23 August 2016

સ્વતંત્રતા આંદોલનના દિવસોમાં ઉચ્ચ આદર્શ અને મહાત્મા ગાંધીનું અનોખું નેતૃત્વ

કરો યા મરો. તમે અને આપણે સૌ સ્વતંત્ર છીએ. હવે તમે નક્કી કરો કે કેવી રીતે રહેવાનું છે. તમે જ તમારા માલિક છો. 8 ઓગસ્ટ, 1942ની રાતે આશરે 11 વાગ્યાની આસપાસ મુંબઈના ગોવાળિયા ટેન્ક મેદાનમાં મસમોટા મંડપની નીચે મહાત્મા ગાંધીએ હિંદી અને અંગ્રેજીમાં આ ભાષણ આપ્યું ત્યારે મારી ઉંમર અંદાજે 18 વર્ષની હતી. આટલી રાતે પણ બેથી ત્રણ હજારની ભીડ ગાંધીજીને અત્યંત શાંતિથી સાંભળી રહી હતી. મંચ પર નહેરુજી, મૌલાના આઝાદ સહિત આઇ.સી.સી.ની વર્કિંગ કમિટીના સભ્યો બેઠા હતા.

એ સમયે જયપ્રકાશ નારાયણ જેલમાં હોવાથી તેઓ બેઠકમાં હાજર રહી શક્યા નહોતા. બીજા દિવસે 9મી ઓગસ્ટે ગાંધીજી આ જ મેદાનમાં ધ્વજવંદન કરવાના હતા. પણ તે અગાઉ ‘ભારત છોડો’ આંદોલનનો પ્રસ્તાવ તમામ મોટા નેતાઓની બેઠકમાં પસાર થઈ ચૂક્યો હતો. તેથી 9 ઓગસ્ટની સવારે ભારે વરસાદ ચાલતો હોવા છતાં ગોવાળિયા ટેન્ક મેદાનમાં જે આજે ઓગસ્ટ ક્રાંતિ મેદાન નામે જાણીતું છે ત્યાં હજારોની સંખ્યામાં નવયુવાનો એકત્ર થવા લાગ્યા હતા.

આ દરમ્યાન મને મારી આંખમાં બળતરાનો અનુભવ થયો. કોઈએ કહ્યું કે અંગ્રેજોએ અશ્રુ ગેસના ગોળા છોડ્યા છે. આંખોની બળતરા ઓછી થયા બાદ મેં મારો રુમાલ કાઢ્યો અને મેદાનમાં ભરાયેલા પાણીમાં પલાળ્યો અને આંખો લૂછી. મેં જોયું કે ભીડે ગોરા અંગ્રેજોને ઉઠાવ‌ી ઉઠાવીને ત્યાં આવેલા પોલીસવાળાઓ પર ફેંકવાનું શરૂ કર્યું હતું. એ પછી પોલીસે લાઠીચાર્જ શરૂ કર્યો. આ ઘટનાની જાણકારી આગની જેમ સમગ્ર શહેરમાં અને પછી સમગ્ર દેશમાં ફેલાઈ. ગાંધીજી અને તમામ મોટા નેતાઓની અંગ્રેજોએ સવારે ચાર-પાંચ વાગ્યે જ ધરપકડ કરી લીધી હતી. કસ્તૂરબા ગાંધી પણ ગોવાળિયા ટેન્ક મેદાનમાં આવવાના હતાં પણ તેઓ આવી શક્યાં નહીં.

હું ત્યારે છત્રપતિ શિવાજી ટર્મિનસ હતો ત્યારે એ વીટી સ્ટેશન નામે ઓળખાતું હતું. તેની પાસે આવેલી સેન્ટ ઝેવિયર કોલેજની હોસ્ટેલમાં હું રહેતો હતો. 9 ઓગસ્ટની રાતે હોસ્ટેલ પરત ફર્યા બાદ મેં મારા સાથીદારોને એકત્ર કર્યા અને બીજા દિવસે 10 ઓગસ્ટથી ‘ભારત છોડો’ આંદોલનમાં જોડાવાનો અમે નિર્ણય કર્યો. એ પછી 10 અને 11 ઓગસ્ટે અમે કોલેજનો ઘેરાવ કર્યો અને તેને બંધ કરાવી. 12મી ઓગસ્ટે અમે ચર્ચગેટ પહોંચીને રેલવે રોકવાનો નિર્ણય કર્યો. પણ મને તથા મારા 40-50 સાથીદારોને અડધા રસ્તે જ અંગ્રેજોએ અટકાવ્યા અને ધરપકડ કરી. ત્યાંથી અમને વરલીની બી.આઇ.ટી. ચાલમાં બનાવવામાં આવેલી કામચલાઉ જેલમાં રાખવામાં આવ્યા.

ત્યાં સુધીમાં ‘ભારત છોડો’ આંદોલન એટલું તો તીવ્ર થઈ ગયું હતું કે મુંબઈની ભાયખલા તથા આર્થર રોડ જેલમાં આંદોલનકારીઓને રાખવા માટે જગ્યા જ નહોતી બચી. વરલીની જે જેલમાં અમને લાવવામાં આવ્યા હતા ત્યાં એક એક ઓરડામાં 10-12 લોકોને ઊભા રાખવામાં આવ્યા હતા. બહાર થોડી જગ્યા હતી પણ ટોઇલેટ-બાથરૂમ કોમન હતા. જેલમાં અમને શરૂઆતમાં ચા મળતી નહોતી. સૂવા માટે એવી ચટ્ટાઈ આપવામાં આવી જે અમને ખૂંચતી હતી. તેના કરતાં જમીન પર સૂઈ જવું વધારે સારું લાગતું. બાદમાં અમને ચા, લંચ અને ડિનર પણ મળવા લાગ્યું હતું. જેલમાં અમે એક દિવસ અમે કેટલાંક પુસ્તકો અને સ્પોર્ટસ સાહિત્યની માગણી કરી. આ માગણી પૂરી નહીં થવા બદલ અમે સવારે ઉપવાસ કર્યા. સાંજે અંગ્રેજોએ અમારી સાથે મારપીટ કરી.

1942ના આંદોલન દરમ્યાન મેં 10 મહિનાની જેલ ભોગવી હતી. જેલવાસ દરમ્યાન કોંગ્રેસ તથા સમાજવાદી વિચારધારાના નેતાઓએ કેટલાક મોટા નિર્ણયો લીધા હતા. તેમાં હું પણ સામેલ હતો. એ સમયે મુંબઈના ટ્રેડ યુનિયન સામ્યવાદીઓના હાથમાં હતા. તેથી જેલમાં અમે એક સમાંતર ટ્રેડ યુનિયન બનાવવાનો નિર્ણય કર્યો. જેલની બહાર આવ્યા બાદ તે બન્યું પણ ખરું. તેને આજે આઝાદ હિંદ મજદૂર સભાના નામે ઓળખવામાં આવે છે. એ સમયે સ્ટુડન્ટ ફેડરેશનો પણ કમ્યુિનસ્ટોના હાથમાં હતા. તેથી અમે સ્ટુડન્ટ કોંગ્રેસ બનાવવાનો નિર્ણય કર્યો. એ પછી નક્કી કર્યું કે બાદમાં સ્ટુડન્ટ ફેડરેશનને કેપ્ચર કરવામાં આવશે.

આ ઉપરાંત કમ્યુિનસ્ટોના ઇપ્ટા એટલે કે ઇન્ડિયન પિપલ્સ થિયેટર એસોસિએશનની જેમ ઇન્ડિયન નેશનલ થિયેટર બનાવવાનો નિર્ણય પણ વરલીની જેલમાં લેવામાં આવ્યો. ગાંધીજીને મેં પહેલીવાર ગુજરાતના વઢવાણ કેમ્પમાં જોયા હતા. આ સ્થળ હવે ગુજરાતના સુરેન્દ્રનગરના નામે ઓળખાય છે. ત્યારે વઢવાણ કેમ્પ એજન્સી ટાઉન હતી અને તે અંગ્રેજોનો વિસ્તાર હતો. એ પછી હું મારા અભ્યાસના સંદર્ભમાં 1934-35માં કાનપુરમાં હતો ત્યારે ઉત્તર પ્રદેશમાં ગાંધીજી સાથે મુલાકાત થઈ હતી. ત્યારે મારી ઉંમર 10-13 વર્ષની હતી.

ગાંધીજીને મળવા હું તેમની કુટિરમાં ગયો હતો. ત્યારે હું વિદ્યાર્થી હોવાથી ગાંધીજી સાથે વાતચીતનો તો સવાલ જ પેદા થતો નહોતો. પણ તેમણે મને આશીર્વાદ આપ્યા હતા. ગાંધીજી ઘણા સારા વક્તા નહોતા પણ તેમની વાતોની લોકો પર ઘેરી અસર પડતી હતી. તેઓ જે કહેતા તે કરતા હતા. જ્યારે તેઓ બોલવા માટે ઊભા થતા ત્યારે પીન ડ્રોપ સાઇલન્સ થઈ જતું. કોંગ્રેસ અગાઉ મોટા લોકોની પાર્ટી હતી. બેરિસ્ટર, ડોક્ટર, વકીલ અને ભણેલાગણેલા લોકો તેના નેતા હતા. તે 1885થી 1915 સુધી ચાલ્યું. ગાંધીજીના આગમન બાદ કોંગ્રેસની કાયાપલટ થઈ.

અગાઉ જ્યાં માત્ર મોટા લોકો કોંગ્રેસના નેતાઓ હતા ત્યાં ગાંધીજીના આગમન બાદ ખેડૂત, શ્રમિક તથા અન્ય લોકોને પણ નેતા બનવાની તક મળવા લાગી. આઝાદી વખતે ગાંધીજીનો એક આગ્રહ એ હતો કે સરકારનું કામ હિંદી અથવા હિંદુસ્તાની ભાષામાં થવું જોઈએ. ગાંધીજી સમયના અત્યંત પાબંદ હતા. આઝાદી મળ્યા પછી એક વખત ડૉ. લોહિયાને તેમણે મળવા માટે બોલાવ્યા હતા. કોઈ કારણવશ તેઓ પહોંચી શક્યા નહીં. પણ જે દિવસે ડૉ. લોહિયા તેમને મળવા આવવાના હતા તેના બે-ત્રણ દિવસ પહેલા જ ગાંધીજીની હત્યા થઈ ગઈ.

આઝાદી દરમ્યાન ખાદીધારી વ્યક્તિમાં ભાગ્યે જ અપ્રામાણિકતા જોવા મળતી. મારા મિત્ર મધુ દંડવતેએ મને કહ્યું હતું કે 1942ના આંદોલન પહેલાં એક સત્યાગ્રહમાં મુંબઈના સિક્કાનગરમાં એક મહિલા સત્યાગ્રહમાં ભાગ લેવા માટે નીકળી હતી. રસ્તામાં તેણે પોતાના બધા જ દાગીના એક ખાદીધારીને સોંપી દીધા હતા અને તેને જણાવેલા સરનામે મોકલવા કહ્યું હતું. એ મહિલાને વિશ્વાસ હતો કે ખાદીધારી ક્યારે ય અપ્રામાણિક હોઈ શકે નહીં.

ડૉ. જી.જી. પરીખ ભારત છોડો આંદોલનમાં સામેલ થઈને જેલની કેદ ભોગવી ચૂકેલા મુંબઈના સ્વાતંત્ર્યસેનાની

સૌજન્ય : ‘પ્રેરણા’, “દિવ્ય ભાસ્કર”, August 22, 2016

Loading

...102030...3,5643,5653,5663,567...3,5703,5803,590...

Search by

Opinion

  • એક સરકારી કર્મીનો પ્રેમપત્ર
  • બંધારણ – દેશનું દર્પણ, દેશની ઓળખ, દેશની શોભા  
  • નથુરામનું ‘હુતાત્મા’ પદ અને કુરુંદકરનો તર્ક
  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ
  • ઝાંઝવાનાં જળ

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved