Opinion Magazine
Number of visits: 9689911
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મારો ભાષાપ્રવેશ

ગણેશ દેવી|Opinion - Literature|31 August 2016

મારાં માતા-પિતાનું વતન ગુજરાત. એ મહારાષ્ટ્રમાં રહેતાં હતાં અને ગુજરાતી બોલતાં હતાં. હું પાંચમાં વર્ષે સ્કૂલમાં દાખલ થયો. ત્યાં સુધી ગુજરાતી સાંભળ્યું અને ગુજરાતીમાં વાત કરી. પણ નિશાળ મરાઠી, એટલે હું મરાઠી બોલતો-લખતો હતો. મારા ઉત્કૃષ્ટ શિક્ષક વચ્ચે મરાઠી સ્કૂલમાં ભણ્યો. કૉલેજમાં ગયો ત્યારે પછી અંગ્રેજી ભણવાની શરૂઆત કરી. પહેલાં મને ગણિતમાં રસ હતો. મૅટ્રિકની પરીક્ષામાં મહારાષ્ટ્ર રાજ્યમાં સૌથી સારા માર્કસ મેળવી ગણિત પાસ કર્યું પણ અંગ્રેજીનું એક વાક્ય બોલી શકતો ન હતો. લખવાની ટેવ હતી પણ બોલવાનું મુશ્કેલ હતું એટલે નક્કી કર્યું હું અંગ્રેજી ભણીશ. સોળની ઉંમરથી નિશ્ચય કર્યો, રોજ બસો-ત્રણસો પાનાંનું અંગ્રેજી વાંચન કરવાનું. અંગ્રેજીની મુશ્કેલી હતી એટલે ઇચ્છા હતી જે વિષયમાં ગતિ નથી તે વિષયમાં પ્રગતિ કરીએ.

મારા ડૉક્ટરેટ માટે પ્રબંધ હતો : શ્રી અરવિંદની કવિતા અને ફિલોસોફી. 1970ના દાયકામાં આપણે ત્યાં અંગ્રેજી સાહિત્યના ભણતરમાં ફક્ત ચૉસર, શેક્સપિયર, મિલ્ટન, ફોલી વગેરે હતા. મને થયું આપણા દેશમાં પણ અંગ્રેજી લખતાં કેટલાંક ઉત્તમ સર્જકો છે ! એમના વિશે વિચાર ઇંગ્લેન્ડમાં થશે નહીં. તો એ કામ કોણ કરશે? આઝાદીની લડતમાં શ્રી અરવિંદ હતા એટલે પણ એમનું આકર્ષણ હતું. એમ.એ. પૂરું કરી કોલ્હાપુરથી પોંડિચેરી ગયો. શ્રી અરવિંદના જેટલાં પુસ્તકો મેળવવા શક્ય હતાં એટલાં લઈને પાછો આવ્યો. તે સમયે મારા પ્રોફેસર હતા શાંતિનાથ દેસાઈ, કન્નડના જાણીતા નવલકથાકાર. તેમને કહ્યું : સર, મારે પી.એચ.ડી. કરવી છે અને માત્ર શ્રી અરવિંદનાં પુસ્તકોનો વિચાર કરવો છે અને લખવું છે. એમણે સંમતિ આપી. પી.એચ.ડી.પૂરી કરી ત્યારે મારી ઉંમર સત્તાવીશની હતી. પી.એચ.ડીથી ભણતર પૂરું નથી. એટલે હું ઇંગ્લેન્ડની લીડ્સ યુનિવર્સિટીમાં ગયો, ત્યાં ફરી એમ.એ.નો અભ્યાસ કર્યો. આઇરિશ લિટરેચર પર. ત્યાં ગયા પછી ખ્યાલ આવ્યો કે ઘણા સર્જકો એવા છે જેમને આપણે અંગ્રેજી સાહિત્યકાર કહીએ છીએ, એ વાસ્તવમાં આઇરિશ હતા. ઓસ્કાર વાઇલ્ડ, શૉ આ બધા આઇરિશ હતા. આયરલેન્ડ અને ભારત વચ્ચે કેટલા બધા સાંસ્કૃિતક સંબંધો રહ્યા એની મને ત્યાં જાણ થઈ. સિસ્ટર નિવેદિતા, જ્યોર્જ ગ્રીયર્સન, જેમણે ભારતીય ભાષાઓનો ઊંડો અભ્યાસ કર્યો અને લિંગ્વિસ્ટિક સર્વે ઓફ ઇન્ડિયા પ્રકાશિત કર્યું, એ પણ આઇરિશ હતા. ત્યારે થોડો ખ્યાલ આવ્યો કે આપણા ઇતિહાસમાં પણ આવા પરસ્પર સંબંધો રહેલા છે. ત્યાર પછી એક વાર ઇટાલી જવાનું થયું. ત્યાં પણ જાણવા મળ્યું કે ઇટાલી અને ભારત વચ્ચે નજદીકના સંબંધો હતા. અંગ્રેજો ભારત આવ્યા તે પહેલાંના. ભારતની વૈશ્વીકરણની શરૂઆત વીસમી સદીમાં થઈ એવું નથી. ભારતના સંબંધો દુનિયાના દરેક દેશો સાથે પહેલેથી હતા. ઑસ્ટ્રેલિયાથી આવેલી ભાષાઓ આપણે ત્યાં છે. આફ્રિકાથી સીદી ગુજરાતમાં આવી વસ્યા. દુનિયાને જોવાની દૃષ્ટિ મારી ઠીક ઠીક બદલાઈ. ઇંગ્લેન્ડ ગયા પછી : આ મારું ગામ, મારું રાજ્ય એ પ્રકારના સીમાડા તૂટી ગયા. ઇંગ્લેન્ડથી ગુજરાત આવ્યો ત્યારે એવું નથી લાગ્યું કે હું મહારાષ્ટ્રનો. મહારાષ્ટ્રમાં હતો અને ફરી પાછો ગુજરાત આવ્યો તે સારું થયું. સિટિઝન ઓફ ધ વર્લ્ડ ગાંધીએ કહ્યું જ છે : બધાં બારીબારણાં ખુલ્લાં રાખવાં. જો મૂળિયાં મજબૂત હોય તો તે વિચારોમાં હોવાં જોઈએ, સ્થળમાં નહિ. એટલે કોઈ પૂછે તમે ક્યાંના, તો કહેવું જોઈએ હું ફલાણા વિચારનો છું, નહિં કે ફલાણા ગામનો. આ રીત સારી રહેશે.

આપણે ત્યાં ઉપનિષદમાં એક વાત છે : એક છોકરો ભણવા ઋષિ પાસે ગયો. ઋષિએ એને નામ પૂછયું તો કહ્યું સત્યકેતુ. પણ બાપનું નામ પૂછ્યું તો કહ્યું, હું નથી જાણતો. આવી આપણી પરંપરા હોવી જોઈએ. પૂર્વજો, ગામ, રાજ્યથી કોઈકનું નાગરિકત્વ નથી. વિચારથી અને ધ્યેયથી આપણું નાગરિકત્વ હોવું જોઈએ. હું તો એવું કહીશ કે આપણે ભવિષ્યનો કોઈ એક એવો દેશ કે સમાજ બનાવવો જ્યાં માનવી, માનવી હશે.

હા, હું મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં અંગ્રેજી ભણાવવા લેક્ચરરના રૂપમાં આવ્યો. જ્યારે હું વડોદરા સ્ટેશને ઊતર્યો ત્યારે વડોદરા વિશે ઝાઝું જાણતો ન હતો. વડોદરામાં આવવાનું મુખ્ય કારણ શ્રી અરવિંદ વડોદરામાં ભણાવતા હતા. ઉપરાંત વડોદરા વિશે સાંભળ્યું હતું, અહીંના સર્જકો, ચિત્રકારો વિશે મહારાષ્ટ્ર અને ઇંગ્લેન્ડ હતો ત્યારે સાંભળ્યું હતું. થોડુંઘણું વાંચ્યું પણ હતું. ગુજરાતી કવિ રાવજી પટેલ વિશે સાંભળેલું. ગુલામમોહમ્મ્દ શેખ અને સુરેશ જોષી વિશે સાંભળ્યું હતું. વડોદરા સ્ટેશનથી યુનિવર્સિટી ગયો. ત્યાં ટેક્નિકલી ડ્યુટીમાં જોડાઈ સીધો સુરેશ જોષી પાસે ગયો. ત્યારે મારી ઉંમર ત્રીસની અને સુરેશભાઈ સાઠના. એમના રૂમમાં ગયો. એમને કહ્યું : સુરેશભાઈ, મારે ગુજરાતી ભાષા શીખવી છે. આ વાક્ય અંગ્રેજીમાં બોલ્યો : I want to learn Gujarati, તે વખતે સુરેશભાઈ કંઈક વાંચતા હતા. ઉપર જોયું અને કહ્યું બેસો. પૂછયું, કોણ છો, ક્યાંથી આવ્યા છો વગેરે .. પછી સુરેશભાઈએ કહ્યું, હું તમને ગુજરાતી ભણાવીશ. આ તો મારું અહોભાગ્ય. એ પોતે પ્રખ્યાત સાહિત્યકાર. ગુજરામાં લોકો એમને મળતાં પણ ખચકાતા, ડરતા. મને ડર લાગે એવી સુરેશભાઈની વર્ત્ણૂક ક્યારે ય લાગી નથી, લગભગ એમના દીકરા કે નાનો ભાઈ માનીને સુરેશભાઈએ મને સ્નેહ આપ્યો. રોજ એ મને કોઈક પુસ્તક વાંચવા આપતા. ત્યારથી મારી ગુજરાતી શીખવાની શરૂઆત થઈ. એનું પરિણામ એ આવ્યું કે મેં જે કંઈ ગુજરાતી વિશે વાંચ્યું તે સુરેશભાઈની નજરથી વાંચ્યું. એમનો લિટરરી ટેસ્ટ તો ખૂબ જ ઊંચી કક્ષાનો હતો. ચારેક મહિના એ પ્રકારે ગયા. પછી સુરેશભાઈએ જણાવ્યું : હવે હું રિટાયર થવાનો છું. મને ખૂબ દુઃખ થયું. આટલી સારી તક હતી એ જ જતી રહેશે. એટલે મેં પકડી રાખ્યું : તમે જ્યાં પણ જશો ત્યાં હું રોજ સવારે આવીશ. પહેલાં એ અધ્યાપક કુટીરમાં રહેતા હતા. ત્યાંથી ફતેહગંજ ગયા. ત્યાં રોજે સવારે જતો. એકાદ વર્ષ આ ઉપક્રમ ચાલુ રાખ્યો. સુરેશભાઈએ સંસ્કૃત વાંચવા પ્રોત્સાહન આપ્યું. યુનિવર્સિટી લાઇબ્રેરીમાં સંસ્કૃત પુસ્તકો ખૂબ હતાં. વ્યવસ્થા સારી હતી. લાઇબ્રેરિયન હતા ઉપાધ્યાય. એમણે બધી વ્યવસ્થા ગોઠવી આપી. લાઇબ્રેરીમાં અંદર એક રૂમ જેવું તૈયાર કરી, જેટલાં પુસ્તકો મારે વાંચવાં હોય તે રૂમમાં લઈ જવાની આઝાદી આપી. હું પુસ્તકોનો સ્ટૉકિસ્ટ થઈ ગયો. એટલે જેટલા ગ્રંથ આવતા તે મારે આગલા દસ વર્ષમાં વાંચવા એ હેતુથી અલગ સાચવી રાખ્યા. એકાદ વર્ષ પછી સુરેશભાઈ અને મારી વચ્ચે એવી વાત થઈ કે જે રીતે આપણે ગુજરાતી-મરાઠીની વાત કરીએ છીએ (સુરેશભાઈની બંગાળી સાહિત્ય વિશેની સારી જાણકારી હતી), તે જ રીતે કન્નડ, મલયાલમ, ઓરિયા, અસમિયા એ બધાં સાહિત્યની વાત થાય તો સારું. સુરેશભાઈનો ત્યાર સુધી સંબંધ ઘણાં બધાં સામયિકો સાથે રહેલો. એમનામાં એક હોંશ હતી કે સામયિક શરૂ કરવું અને નવો વિચાર લાવવો. એક બંધ થાય તે પહેલાં બીજું શરૂ કરતા. સાથે એવી પણ માન્યતા હતી કે દરેક સામયિક જે રીતે શરૂ થવું જોઈએ તે રીતે બંધ પણ થવું જોઈએ. કારણ કે એ બધાં સ્પોન્સર્ડ મેગેઝિન કે રંગીન ચિત્રોવાળાં, જાહેરખબર આપે એવાં હતાં નહીં. વિચારના સામયિક હતાં. તો અમે ‘સેતુ’ નામે મેગેઝિન શરૂ કર્યું. ‘સેતુ’ને બાયલિંગ્વલ બનાવ્યું; એટલે બે અંક અંગ્રેજીમાં આવતા હતા, બે ગુજરાતીમાં આવતા. અંકોમાં ભારતની દરેક ભાષામાંથી ગુજરાતીમાં અનુવાદ કરીને સાહિત્ય છાપવામાં આવ્યું એટલે ગુજરાતીની મૂળ સાહિત્યકૃતિ એમાં હતી નહીં. એ અનુવાદરૂપમાં આપવામાં આવતી હતી. એમ અંગ્રેજીમાં ગુજરાતી સાહિત્યનો થોડો અનુવાદ અને અન્ય ભાષાઓમાંથી ગુજરાતી તેમ જ અંગ્રેજીમાં અનુવાદ, એ પ્રકારે લગભગ પાંચ-છ વર્ષ પ્રવૃત્તિ ચાલી. વચ્ચે 1986ના સપ્ટેમ્બરમાં સુરેશભાઈનું અવસાન થયું. લગભગ એકાદ મહિના પછી હું ફરી ઇંગ્લેન્ડ ગયો. તે સમયે અંગ્રેજીમાં એક પુસ્તક લખવાની શરૂઆત કરેલી જે પછીથી ‘આફટર એમ્નેઝિયા’ નામે પ્રગટ થઈ.

ઇંગ્લેન્ડથી પાછો આવ્યો ત્યારે ગુજરાતમાં દુકાળ હતો. બે-ત્રણ વર્ષથી વરસાદની અછત હતી. મેં સાવલીમાં કંઈક દુકાળ રાહતનું કામ શરૂ કર્યું. પહેલી વાર જિંદગીમાં પુસ્તકો, ગ્રંથો બાજુ પર મૂકી સમાજ સુધી પહોંચવાની મારી શરૂઆત. હતી. નાનાં નાનાં ગામડાં હતાં. સાવલીમાં જયદેવ શુકલ આપણા કવિ, એ પણ સાથે આવતા. યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ આવતા. હું અહીં આવ્યો ત્યારે ભીખુભાઈ પારેખ, વી.સી. હતા. ભીખુભાઈએ મને આઇ.એ.એસ. સેન્ટર ચલાવવા આપ્યું હતું. અંગ્રેજી ભણાવવાનું અને સાથે સાથે શાસકીય તાલીમ આપવી એ કામ હતું. તો ત્યાં જે વિદ્યાર્થીઓ હતા તેમાંથી લગભગ 100-150 વિદ્યાર્થીઓએ મારી સાથે સાવલી આવવાનું શરૂ કર્યું. અહીં વડોદરામાં થોડી પસ્તી ભેગી કરી નાણાં ઊભાં કર્યાં. નવરાત્રિમાં ગરબા કરીને જે બને તે ફંડ ભેગું કર્યું. સાવલી તાલુકાનાં ગામડાં સુધી ઘાસચારો, દવા, ખાવાનું લઈ ગયા. આજે હું કહી શકીશ કે એ બધું કામ ચૅરિટીના રૂપમાં હતું. ખાસ સામાજિક કામ વિશે સભાનતા મારામાં હતી નહીં.

સુરેશભાઈના અવસાન પછી શિરીષ પંચાલ અને ગુલામમોહમ્મ્દ શેખસાહેબે ખાસ્સી મદદ કરી. એ રીતે બે-ત્રણ વર્ષ ‘સેતુ’ ચાલ્યું. પણ પછી બંધ થયું. ‘સેતુ’ સારું ચાલતું હતું તો પણ એવું વિચાર્યું કે તેનું વિસર્જન કરવું જોઈએ. શેક્સપિયર વિશે એવું જાણ્યું હતું કે ‘every tragedy or comedy of Shakespeare is successful because he never exploited his success’. લોકો કામમાં અપયશ આવે ત્યારે કામ છોડે છે. હું એવું માનું છું કે કામમાં યશ આવે ત્યારે કામ છોડવું જોઈએ. પુન:આવૃત્તિ નહીં કરવી જોઈએ. હાલમાં એકાદ વર્ષ પહેલાં અમે વડોદરામાં એક મોટી સભાનું આયોજન કર્યું. એમાં દેશની 320 ભાષાઓના પ્રતિનિધિઓ એકઠા થયા. લગભગ આપણા દેશમાં પહેલી વાર આટલી મોટી સંખ્યામાં વિવિધ ભાષાઓનું પ્રતિનિધત્વ થયું. નારાયણ દેસાઈ અને મહાશ્વેતા દેવી અમારાં પ્રમુખ અતિથિ હતાં. નારાયણભાઈએ અસરકારક વક્તવ્ય આપ્યું. એમણે પણ મને સમજાવ્યું કે આ પ્રકારની મીટિંગ ફરી વાર લેશો નહીં. કહેવાનો અર્થ એ હતો કે એક સારું કૃત્ય થાય જિંદગીમાં તો એની પુન:આવૃત્તિ નહીં કરવી જોઈએ. એટલે ‘સેતુ’ બંધ થયું એનું મને દુઃખ નથી.

‘સેતુ’ પછી મેં અનુવાદની સૂચિ બનાવવાનું કામ શરૂ કર્યું. ભારતની તમામ ભાષાઓમાંથી અન્ય ભાષામાં થયેલા અનુવાદો તેમ જ અંગ્રેજીમાંથી ભારતીય ભાષાઓમાં થયેલા ચાલીસેક હજાર ગ્રંથોની એક સૂચિ બનાવી. એ કામ ત્રણ-ચાર વર્ષ ચાલ્યું. 1992માં હું યેલ યુનિવર્સિટીમાં ગયો. પણ દિમાગમાં અસ્વસ્થતા હતી. મને લાગતું હતું કે કદાચ યુનિવર્સિટી હું છોડીશ તો સારું થશે. યુનિવર્સિટી સાથે કોઈ શિકવા ગિલા નહીં થા, કોઈ મુશ્કેલી હતી નહીં.

હા, ખૂબ જ શાંતિથી જેમ આપણા સાહિત્યમાં પ્રોફેસરોના વર્ણન આવે છે કે સાંજે ટેનિસ રમે, સવારે ફરવા જાય, કાવ્યાત્મક શબ્દોમાં વાતચીત કરે, એવું હું જીવી શક્યો હોત. મારાં પત્ની પણ પ્રોફેસર હતાં. અમે બંને સુખશાંતિથી રહેતે પણ વડોદરામાં જે રીતે સુરેશભાઈને મળ્યો એ રીતે મેં બીજો ઉપક્રમ હાથ લીધો હતો. લૅમ્બ્રેટા સ્કૂટર લઈને ગામડે ગામડે ફરતો. પત્ની અને હું – અમે નસવાડી, તિલકવાડા, છોટા ઉદેપુર એ તરફનાં આદિવાસી ગામડામાં ખૂબ ફરેલાં. ક્યારેક ક્યારેક અમને લાગતું હતું કે અહીં આવીને એક સ્કૂલ શરૂ કરીએ. એ કામ તરત એ સમયે થયું નહીં. શક્ય પણ હતું નહીં. અમારી આર્થિક પરિસ્થિતિ સારી ન હતી. પણ 1990ના દાયકામાં દિમાગમાં એક અજંપો જાગી ગયેલો. એનું કારણ એ હતું કે તે પહેલાં દસ વર્ષનું લેંગ્વેજ સ્ટેિટસ્ટિક સેન્સસમાં આપેલું એ મેં વાચ્યું હતું. સામાન્ય રીતે આ બાબતે કોઈ અસ્વસ્થ થતા નથી કે ચિંતા કરતા નથી. કદાચ ક્યારેક આફ્ટર ડિનર ચર્ચામાં આવી ચિંતા પ્રગટ થાય. આપણા 1961ના સેન્સસમાં 1652 ભાષાઓની યાદી હતી. 1971ના સેન્સસમાં જ્યારે ફરી એક વાર યાદી પ્રકટ થઈ તો માત્ર 109 ભાષાઓની યાદી હતી. એટલે કે એક દાયકામાં 1500 ભાષાઓનાં નામ બાકાત. કારણમાં કદાચ એ હતું કે 1972માં બાંગ્લાદેશની નિર્મિતિ થઈ. એ નિર્મિતિ ભાષાના પ્રશ્ને થઈ હતી. એટલે આપણા દેશની સેન્સસ ઓથોરિટીને એવું લાગ્યું કે વધારે ભાષાનો ઉલ્લેખ કરીએ તો કદાચ દેશની એકતા મુસીબતમાં મૂકાશે.

હા, હકીકત પ્રગટ થાય. બીજી અલગતા – ભાગલાવાદી ટેન્ડન્સી ઊભી થાય. આથી સરકારે એવી એક શરત મંજૂર કરી : દસ હજાર વ્યક્તિઓ જે ભાષા બોલે એનો ઉલ્લેખ કરવો તેથી ઓછી સંખ્યાનો ઉલ્લેખ નહીં કરવો. ભાષાઓ હતી પણ ભાષાઓનું અસ્તિત્વ જતું રહ્યું. એ જીવતી હતી પણ એમનાં નામ જતાં રહ્યાં. હું સાહિત્યનો વિદ્યાર્થી. મરાઠી, અંગ્રેજી, ગુજરાતી, સંસ્કૃત જાણવાની અને ભણવાની કોશિશ કરતો હતો. મને યુનિવર્સિટીમાં જે પગાર આપવામાં આવતો હતો તે એટલા માટે હતો કે ક્લાસરૂમમાં જઈને મારે કહેવું કે ભાષા જ એવી વસ્તુ છે જે પ્રાણીઓને માનવ બનાવે છે. મને લાગ્યું કે આટલી બધી ભાષા મરી રહી છે અને હું ક્લાસરૂમમાં જઈ, મારી સૅલરી લેતો રહું એ કંઈ ઠીક નથી. એટલે હું અસ્વસ્થ હતો. એટલે 1990-91માં લગભગ નક્કી કર્યું. એ વખતે મારી પાસે પીએચ.ડી.ના વિદ્યાર્થી હતા. બીજી જવાબદારી હતી પુસ્તક લખવાની ફેલોશિપ મને મળી હતી. મેં વિચાર્યું કે આ જવાબદારી પૂરી કરી, હાથમાં નોટબુક લઈ દેશનાં ગામડે ગામડે ફરીશ અને દરેક ભાષાનું દસ્તાવેજીકરણ કરીશ. સાવલીમાં જ્યારે દુકાળ રાહત શરૂ કરી ત્યારે સામાજિક તનાવ પણ હોય છે એ વિશે કલ્પના હતી નહીં. એ જ રીતે દસ્તાવેજીકરણ કરવાનું નક્કી કર્યું ત્યારે તે વિશેની આંટીઘૂંટીની બિલકુલ કલ્પના હતી નહીં પણ નિર્ણય હતો કે આ કામ કરવું. 1996 સપ્ટેમ્બરમાં યુનિવર્સિટીને બાયબાય કરી હું બહાર નીકળ્યો. આર્થિક ટેકો મળતો રહે એવો પ્રોજેક્ટ હતો નહીં. કોઈ ઓથ હતી નહીં. ક્યાંથી ફંડિંગ મળતું રહેશે એની અપેક્ષા નહીં. દિમાગમાં બીજી નોકરીની કે પ્રોજેક્ટની ઇચ્છા હતી નહીં. મેં સાહિત્ય અકાદમીને પત્ર લખ્યો : આપણા દેશમાં આટલી બધી આદિવાસીઓની ભાષાઓ છે જે લુપ્ત થાય છે, એમાં માતબર સાહિત્ય છે, તમે સાહિત્ય અકાદમી જ કહો છો, એમણે સાહિત્ય પ્રકાશનમાં રસ લેવો જોઈએ. તે વખતે યુ. આર. અનંતમૂર્તિ અકાદમીના પ્રમુખ હતા. એમણે જવાબ આપ્યો : મને રસ છે, તમે બનાવશો આ પુસ્તકો? મેં કહ્યું : હું તમને 50 ગ્રંથ બનાવીને આપીશ, જે બાયલિંગ્વલ હશે. એટલે મૂળ ભાષામાં અને અંગ્રેજી અથવા હિંદીમાં અનુવાદ. શરૂઆત કરી. ‘સેતુ’ દ્વારા જે સંપર્ક થયેલા, દરેકને પત્ર લખ્યા : આદિવાસી સાહિત્ય જાણો છો? એવી કોઈ વ્યક્તિ વિશે તમારી જાણકારી છે? મોકલો. એમના પત્રો આવતા રહ્યા. એવી વ્યક્તિઓને મેં વડોદરા તેડાવી મારી પાસે મહેમાનગીરી માટેના પૈસા હતા નહીં, એટલે યુનિવર્સિટી ગેસ્ટહાઉસમાં રહેવાનું અથવા મારા ઘરે રહેવાનું. આ રીતે મહેમાન આવવા લાગ્યા. એ રીતે આશરે 700 વ્યક્તિ એકાદ વર્ષના સમયગાળામાં વડોદરા સુધી આવી.

આ બધા સાથે કઈ રીતે કામ કરવું? નક્કી કરવા અમે સાપુતારામાં નાનકડો વર્કશોપ કર્યો. ચર્ચાસત્રમાં સહભાગી જ્યોતિ ભટ્ટ, અલકનંદા પટેલ, ભરત નાયક, ગીતા નાયક, કાનજી પટેલ, ડાહ્યાભાઈ વાઢુ, ભગવાનદાસ પટેલ – બધાં હતાં. અમે સાપુતારામાં વિચાર્યું મૌખિક સાહિત્ય અને પરંપરા વિશે કામ કરવું. ત્યાં નક્કી થયું આ કામને કાયમી સ્વરૂપ આપવું. મેં મનોમન નક્કી કર્યું આજે 700-800 જણા દેશભરમાં આ જ પ્રકારનું કામ કરે છે એ બધી વ્યક્તિ માટે કોઈ એક અકાદમી જેવી સંસ્થા હોવી જોઈએ. અને એ પણ એક નાના ગામડામાં હોવી જોઈએ. એટલે તેજગઢ ગામની પસંદગી કરી. તેજગઢ વડોદરાથી 70 કિ.મી. દૂર છે. પસંદગીનાં બે-ત્રણ કારણો હતાં : એક તો તેજગઢ ગુજરાત, મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્ર એમ ત્રણેના સીમાડા ઉપર છે. એક મીટિંગ પોઇન્ટ છે. ત્યાં ત્રિવેણી સંગમ થાય છે આદિવાસી સંસ્કૃિતનો, અને સરસ મેળા થાય છે, કવાંટના અને છોટા ઉદેપુરના. બીજું કે તેજગઢ નજીક જે ડુંગર છે તે કોરાજના ડુંગરમાં આશરે ઈ.સ. પૂર્વે 10,000થી 12,000 વર્ષો પૂર્વેનાં શિલા-ચિત્રો છે. ત્યાં લેકર-કોટેડ પૉટરી છે. ત્યાંનું માટીકામ, પછી કપડાંનું કામ, ચિત્રકામ, પિઠોરા એવો કલાનો સંગમ છે. આ બધું મને ગમ્યું. એ જગ્યાએ જવાનું નક્કી કર્યું.

શરૂઆત નાની લાઇબ્રેરીથી કરી. એક શેલ્ફ અને આશરે 500 સામાન્ય વાચકોને અનુકૂળ આવે એવાં પુસ્તકો એક રૂમમાં રાખ્યાં. ત્યાં લોકો આવવા લાગ્યા. પછી એકાદ વર્ષે મેં ત્યાંના જુવાનિયાઓને સમજાવ્યું કે આપણે સાથે બેસીને વાત કરીશું. હું માત્ર સાંભળીશ, બોલીશ નહીં. અને એ સાંભળવાની પ્રક્રિયાને આપણે ડિપ્લોમા નામ આપીશું તો પંદર જણા તૈયાર થયા. એ પંદર દોસ્તો સાથે રહ્યા બે વર્ષ સુધી, આ 1998થી 2000 સુધીની વાત છે. અમુક પ્રસંગો મને ખાસ યાદ છે : શરૂઆતમાં હું ભણાવતો હતો એમને, એટલે આ જે પ્રક્રિયા શરૂ હતી મારી સાંભળવાની, ત્યારે પ્રશ્નો વિચારતો હતો. અમે સવારે દસ વાગ્યે શરૂ કરતા તે ઠેઠ સાંજના છ સુધી. વચ્ચે કોઈક એકે નજીકના કુટુંબમાંથી મારા જમવાની વ્યવસ્થા કરેલી. દસ રૂપિયા આપીએ તો જમણ મોકલતા. હું જમતો ત્યારે અડધો કલાક મારા દોસ્તો રૂમ બહાર ઊભા રહેતા. જમણ પૂરું થતાં અંદર આવતા. થોડા દિવસ પછી મને ખ્યાલ આવ્યો કે આ બધા જમતા નથી. ભૂખ્યા રહે છે. એટલે વિચાર્યું કે જ્યાં સુધી ભૂખનો પ્રશ્ન છે ત્યાં સુધી હું જમીશ નહીં. એમની સાથે વાત પણ નહીં કરી શકીશ. એટલે મેં પણ જમ્યા વગર રહેવાનું નક્કી કર્યું.

સવારે વડોદરા નીકળતાં પહેલાં જમવાનું. પછી રાતના બે-ત્રણ થાય. ક્યારેક સાંજ પછી પણ ચર્ચા ચાલતી. જમ્યા વગર એટલે at the foundation of knowledge that we generated there was hunger. તો ભૂખના પાયા પર ત્યાં જ્ઞાન સર્જાયું. હવે એ જ્ઞાન શું હતું? તો પાંચ મુદ્દા આવ્યા અમારી સામે : આદિવાસી ગામનો વિકાસ કરવો હોય તો શહેરની નકલ ન હોવી જોઈએ. ગામ શહેરની નકલ બનશે તો એનો વિકાસ ક્યારે ય નહીં થાય. ગામનું પોતાનું એક આગવું સ્થાન છે અને રહેવું જોઈએ. એનું વ્યક્તિત્વ જળવાવું જોઈએ. ગામ ભૂખમુક્ત હોવું જોઈએ, કરજમુક્ત હોવું જોઈએ. તે ગાળામાં સાઠથી એકસો વીસ ટકા જેટલું વ્યાજ લઈને ખાનગી શાહુકારો ધિરાણ કરતા હતા. લોકોને કપડાં નથી, જમવાનુંનથી એવી સ્થિતિ હતી. ગામ ભૂખમુક્ત અને સ્થળાંતરમુક્ત હોવું જોઈએ. નિરક્ષરતા એટલી હદ સુધી ના હોવી જોઈએ જેથી શોષણની સંભાવના રહે. દરેકે ગ્રેજ્યુએટ થવાની જરૂર નથી, થોડું લખતાં આવડવું જરૂરી છે.

મારે એ સમયે ત્યાંના સરકારી અધિકારીઓ સાથે મળવાનું થતું હતું. ત્યાં એવું સાંભળ્યું આ આદિવાસીની ફલાણી વસ્તુ ઉપયોગી છે, ફલાણી હિતમાં છે અથવા ફલાણી હિતમાં નથી. એક આદિવાસી ભાઈ મળ્યા. એ ભાઈએ જણાવ્યું, ‘સાહેબ, આપણે ત્યાં મહુડા વધારે થાય તો આપણે સુખી.’ મને લાગ્યું આ સૌથી મોટી વિકાસની ફિલોસોફી હતી અને એ મેં સ્વીકારી. It is a sacred tree, એટલે ત્યાં મહુડો હોય તો કમ્પાઉન્ડ બનાવવાની જરૂર નહીં. એ ઊગે છે, ટકે છે, અને દરેકને સુખ આપે છે. દરેક પ્રકારનું સુખ યુનીક છે. હું ફ્રાન્સ ગયો હતો ત્યાં એક દોસ્ત સાથે વાત થઈ : એમને જણાવ્યું કે તમારે ત્યાં જેટલી વાઈન બને છે તે ફળોમાંથી બને છે, માત્ર મહુડો એક છે જેનો દારૂ ફૂલથી બને છે. તે યુનીક છે. આ બધું આદિવાસીએ વિકસાવ્યું છે તો એને પણ જ્ઞાન તરીકે સ્વીકારવું જોઈએ. તેનું સન્માન કરવું જોઈએ.

આ બે વર્ષ પછી મારા સાથી હતા એમણે નક્કી કર્યું કે ભૂખમુક્ત ગામ કરવું છે, કરજમુક્ત ગામ કરવું છે તો આપણે કામ શરૂ કરીએ. એટલે ગામ કરજમુક્ત કરવા અમે માઇક્રોક્રેડિટ મંડળીઓ ઊભી કરવાની શરૂઆત કરી. તેમાં લોકો પોતે બચત કરે. છ મહિના પછી ત્યાંની સ્થાનિક બેંકમાં એમને ધિરાણ આપી શકે એવી વ્યવસ્થા કરી. ત્યારે મહંમદ યુનુસનું નામ સાંભળ્યું ન હતું. મહંમદ યુનુસસાહેબને હું એકાદ વર્ષ પહેલાં મળ્યો હતો. એમને આ બધી વાતો કરી. તેજગઢ આદિવાસીનું પોતાનું મોડેલ છે. વિચાર ત્યાંથી શરૂ થયો. કારણ કે જરૂરિયાત ત્યાં હતી. એમાં કોઈની નકલ નથી. કર્મશીલ બનવાનો હેતુ હતો એટલે પણ નહીં. માત્ર એક જ કારણ : ખૂલા દિલથી આદિવાસી ગામ તેજગઢ ગયો અને ત્યાં જે જોયું, ત્યાં જે વિચારો આવ્યા એના આધારે કર્મશીલ બનતો ગયો.

આજે હવે મને પૂરી ખાતરી છે કે જે કર્મશીલ નથી એ સારા સર્જક પણ નથી બની શકતા. ટાગોર ખૂબ ઊંચી કક્ષાના બન્યા, એ કર્મશીલ હતા. ડબ્લ્યુ. બી. યેટ્સની આપણે વાત કરી એ પણ કર્મશીલ રહ્યા. પ્રેમચંદ કર્મશીલ રહ્યા. જે કર્મશીલ હતા એ કબીર, મીરાં, તુકારામ અને નરસિંહ અને પ્રત્યક્ષ વ્યાસ પણ કર્મશીલ રહ્યા. માત્ર મહાભારતની રચના નહીં, પ્રત્યક્ષ એક્શનમાં પણ વ્યાસ સામેલ હતા.

એક-બે ઉદાહરણ આપું : ભાષાનો મુદ્દો લીધેલો, એટલે સાહિત્ય અકાદમીની સિરીઝ શરૂ કરી. પુસ્તકો આવતા રહ્યાં. અઢાર ગ્રંથો આવ્યા. ‘ઢોલ’ મેગેઝિન શરૂ કર્યું. ગુજરાત રાજ્યમાં ભીલી બોલાતી હતી. ભિલીજૂથની ભાષાઓ છે એ ભાષા બોલતા લોકોની સંખ્યા 1991ના સેન્સસની સરખામણીમાં 2001ના સેન્સસમાં 90 ટકા વધી ગયેલી જોવા મળી. એટલે, પહેલાં 50 લાખ લોકો ભીલી પોતાની ભાષા છે, એવું કહેતા હતા. એ જ દાવો 2001માં 95 લાખ લોકોએ કર્યો. 90 ટકાનો વધારો ! લોકો આ ભાષા અમારી છે એવું કહેતાં શરમાતા હતા. હવે એમને ગર્વ છે : આ અમારી ભાષા છે. ભલે એ લખાતી નથી, લિપિ વગરની છે. પણ જ્ઞાન વગરની તો નથી. લિપિ નથી પણ જ્ઞાન તો છે. તો જ્યારે આ આંકડા બહાર આવ્યા 2005માં, અગિયારની પંચવર્ષી યોજના પહેલાં કેન્દ્રની એચ.આર.ડી. મિનિસ્ટ્રીએ મને બોલાવ્યો. કહ્યું દેશમાં ભૂંસાતી જતી ભાષાઓ છે તેના માટે તમે એક સ્કીમ બનાવો. માળખું બનાવો. મેં એક રિપોર્ટ તૈયાર કર્યો. પ્લાનિંગ કમિશન અને મીનિસ્ટ્રીએ રિપોર્ટ સ્વીકાર્યો. એના આધારે ભારત ભાષા વિકાસ યોજના નામની એક યોજના કેન્દ્ર સરકારે બનાવી. હવે એ યોજનાનો અમલ થયો કે નથી થયો, થયો તો કેટલો અસરકારક થયો વગેરે વગેરે અલગ પ્રશ્નો છે, પણ તેજગઢથી જે શરૂઆત થઈ હતી તે પૉલિસી લેવલ સુધી પહોંચી.

બીજો દાખલો 1998માં અમે અખિલ ભારતીય વિમુક્ત સમાજ સંગઠનની નિર્મિતિ કરેલી. એમાં પહેલાં સાહિત્યકારો, સર્જકો હતા. લક્ષ્મણ ગાયકવાડ મહારાષ્ટ્રના, મહાશ્વેતા દેવી બંગાળનાં અને હું, પછી ભૂપેન ખખ્ખર સામેલ થયા. ગોવિંદ નિહલાની આવ્યા, જ્યા બચ્ચન આવ્યાં. ઘણા બધા જોડાતા ગયા. ડી.એન.ટી.ના પ્રશ્નો છે તે આદિવાસી પ્રશ્નોથી અલગ છે. આ લોકો ઉપર ખૂબ અન્યાય થયા છે. પોલીસ તરફથી મુશ્કેલી આવે છે. સ્ટિગ્મેટાઇઝ્ડ છે. કલંકિત જીવન જીવવાનું, જન્મથી મૃત્યુ સુધી, મૃત્યુ પછી પણ કારણ કે એમના માટે સ્મશાનની વ્યવસ્થા ગામમાં મળતી નથી. અમે હોમ મિનિસ્ટ્રી અને હ્યુમન રાઇટ્સમાં ગયા. જેટલા વડાપ્રધાનો હતા એમની સાથે મળીને ચર્ચા કરી. મને યાદ છે કે હું વી.પી. સિંહસાહેબને મળ્યો, ચંદ્રશેખરને મળ્યો, અટલ બિહારી વાજપેઈને મળ્યો. ડૉ. મનમોહન સિંહને મળ્યો. દરેકને જઈને આ સમાજ વિશે માહિતી આપી. સમજાવ્યું કે આ જુલમ છે, તે બંધ કરો. આ કામ સરકાર જ કરી શકશે. કારણ કાનૂન દ્વારા જુલમ થયો એ કાનૂન દ્વારા જ બંધ થઈ શકશે. કાનૂન 1871નો ક્રિમિનલ ટ્રાઇબ્સ ઍક્ટ – આ ખોટો કાનૂન એમના ઉપર થોપવામાં આવ્યો. રવિશંકર મહારાજ જેના સદસ્ય હતા 1939માં, એવા એક કમિશનની નિમણુક થઈ હતી : અંત્રોલીકર કમિટી.

રવિશંકર મહારાજ અને અંત્રોલીકર – એ બધાએ ફરીને ગુજરાત અને મહારાષ્ટ્રમાં જે જગ્યાએ આ લોકોના કૅમ્પ હતા, બંદીશાળાઓ હતી, સેટલમેન્ટ કહેવાતું હતું એનો ખૂબ ઊંડાણથી અભ્યાસ કર્યો. અંત્રોલીકર કમિટીનો રિપોર્ટ સંગીન હતો. મુબઈ સરકારે એમનો રિપોર્ટ સ્વીકાર્યો. ત્યાર પછી આઝાદી મળી. એ રિપોર્ટ આધારે કેન્દ્ર સરકારે આયંગર કમિટી બનાવી. આ કમિટીએ, અંત્રોલીકરના રિપોર્ટનો આધાર લઈને એક રાષ્ટ્રવ્યાપી રિપોર્ટ બનાવ્યો. એના આધારે 1871નો કાનૂન હતો એ રદ કરવામાં અવ્યો. જે પહેલાં નોટિફાઇડ હતા એમને ડિનોટિફાઇડ બનાવવામાં આવ્યા. પણ 1952 પછી ડિનોટિફિકેશન થયું ત્યારથી લગભગ સદીના અંત સુધી બીજું કશું જ આ લોકો માટે થયું નથી. સામાજિક, માનસિક જે ફેર આવવો જોઈતો હતો તે બિલકુલ નથી. આવ્યો. એટલે લગભગ રોજે અન્યાય અને અસહિષ્ણુતાના કિસ્સા જોવા મળે છે.

દિલ્હીમાં તો જ્યારે કોઈ જગ્યાએ ચોરી થાય તો તરત બીજે દિવસે છાપામાં આવે કે નજદીકના જ કોઈ પારધીએ ચોરી કરી. આ ખોટું છે. આપણે ત્યાં કોઈ બીજા પ્રકારની હેરાફેરી કરે તો કોમનું નામ પાટીલ કે રેડ્ડી કે મહેતા સમાજે કર્યું એવું તો નથી કહેતા. તો શા માટે પારધીનું નામ આવે. સાંસીનું નામ આવે, છારાઓનું નામ આવે છે ? આ બધું ખોટું છે. સામાન્ય છારા બાળક, પ્રતિભાશીલ હોય તો પણ એને સ્કૂલમાં અથવા કૉલેજમાં ભણવામાં મુશ્કેલી ઊભી થાય છે. એક સંમેલનમાં એક પારધી બહેન આવ્યાં હતાં. સારાં ગાયક હતાં. 1998ની આ વાત છે. આ બહેન મુંબઈનાં હતાં. અમે એમને ટિકિટ મોકલાવી અને થોડાં નાણાં. આ બહેને નવી સાડી ખરીદેલી. તો મુંબઈમાં પોલીસે આ બહેનની સાડી કાઢી લીધી : તમારી પાસે સાડી આવી ક્યાંથી ? આપણે મહાભારતમાં વાંચીએ છીએ દ્રૌપદીનું વસ્ત્રહરણ થયું. આપણા જમાનામાં પણ આ જ થઈ રહ્યું છે. અને આવું દરેક ડી.એન.ટી.ને રોજે ભોગવવું પડે છે. અમે અત્યાર સુધી કસ્ટોડિયલ ડેથના કિસ્સા સામે સંખ્યાબંધ કોર્ટ કેસ કર્યા. પોલીસ અકાદમીમાં જઈને પણ ચેતનાજાગૃતિનું કામ કર્યું. અંતે વડાપ્રધાને કમિટી નીમી ટી.એ.જી. નામની, અમે રિપોર્ટ બનાવ્યો. આ રિપોર્ટનો સરકાર દ્વારા સ્વીકાર થશે. લગભગ આવતા છથી આઠ મહિનામાં એક નવો કાનૂન આવશે. આયંગર કમિટી પછી 2013માં, એટલે કે સાઠથી સિત્તેર વર્ષો પછી આ લોકો માટે નવી વ્યવસ્થા થશે એવી આશા છે. ખબર નથી થશે કે નહીં. પણ જે અમારે કામ કરવું હતું તે પૂરું કર્યું. હું સાધુ નથી, પણ એટલું તો કહી શકીશ કે ડી.એન.ટી.ના વિષયમાં નિષ્ઠાથી પોતાનું કર્મ કર્યું છે. નવી પેઢીના યુવાઓએ આ સંઘર્ષ પ્રક્રિયા આગળ લઈ જવી જોઈએ.

1999માં ટ્રાઇબલ મિનિસ્ટ્રીની નિર્મિતિ થઈ. આપણે ત્યાં દેશની વસ્તીના 9 ટકા લોકો આદિવાસી છે. ગુજરાતમાં 15 ટકા, ઓરિસ્સામાં 23 ટકા, મધ્ય પ્રદેશમાં 21 ટકા લોકો આદિવાસી છે. આદિવાસીઓએ જે ભોગ-ફાળો આઝાદીની લડતમાં આપ્યો એવો ભાગ્યે જ બીજા કોઈ વર્ગે આપ્યો હશે. અઢારમી સદીના મધ્ય પછી આદિવાસીઓએ અંગ્રેજો સામે સંઘર્ષ શરૂ કર્યો હતો. આપણે ઇતિહાસ તરફ તટસ્થતાથી જોઈશું તો એક લક્ષણ ખાસ ધ્યાનમાં આવશે : તેઓ મેન્ટલી કોલોનાઇઝ નથી થયા, એટલે જે મેકૉલેથી પીડિત નથી એ માત્ર આદિવાસીઓ છે. ખરા અર્થમાં જે કોલોનાઇઝ નથી થયા તે આઝાદ છે. આજે પણ આપણા સમાજે આદિવાસીઓ પાસેથી ઘણું બધું શીખવા જેવું છે : ખાસ કરીને ચિંતનના સ્તરે.

મુખ્ય તો આદિવાસીની પોતીકી સામાજિક રચના છે : એમનાં તંત્રો, શાસ્ત્રો, વિચારો, એના મૂળમાં એક વિચાર છે કે I belong to the earth, not that the earth belongs to me. અન્ય સમાજમાં માન્યતા એવી છે કે પૃથ્વી તો આપણી માલિકીની છે એટલે ઉત્ખનન કરીએ, જે રીતે કાપવું છે, છેદવું છે એ રીતે કરીએ. પૃથ્વી પર માનવીએ આક્રમણ કર્યું. ક્લાઇમેટ ચેઇન્જ અને ગ્લોબલ વૉર્મિંગના આવનાર સમયમાં આદિવાસીની જીવનદૃષ્ટિ સ્વીકારવા સિવાય દુનિયા સામે બીજો કોઈ આરો નથી. ગયા બે દાયકામાં ક્યારે ય આદિવાસી પ્રત્યે મેં એવું નથી વિચાર્યું કે એ પછાત છે. હંમેશાં એવું વિચાર્યું કે મારું પછાતપણું આદિવાસી સામે કઈ રીતે ઓછું કરવું? હું અંગ્રેજીમાં બોલું છું એટલે વિકસિત અને એ અંગ્રેજી નથી બોલતા એટલે અણવિકસિત એવું માનવું મૂર્ખતા છે. એટલે કહું છું : જે મેકૉલેથી પીડિત નથી, તેઓ માનસિક રીતે આઝાદ છે.

1999માં ખાસ મિનિસ્ટ્રી બની ત્યાં સુધી આદિવાસીની કોઈ પૉલિસી હતી નહીં. સિવાય કે વેરિયર એલ્વિને બનાવેલી. વેરિયર એલ્વિન હતા ગાંધીજીના ભક્ત. ઇંગ્લેન્ડમાં પી.એચ.ડી. મેળવી પછી પૂના આવ્યા. પૂનાથી એક-બે વર્ષમાં કંટાળી ગાંધીના સાબરમતી આશ્રમમાં આવ્યા. ગાંધીએ વેરિયર એલ્વિનને ઠક્કરબાપા પાસેથી આદિવાસી વિશે કશું શીખવાનું સૂચન કર્યું. ઠક્કર બાપાએ એલ્વિનને મધ્ય પ્રદેશ મોકલ્યા. વેરિયર આઝાદ પ્રકૃતિના હતા. ગાંધીજીનાં અમુક તત્ત્વો, ખાસ કરીને શિસ્તનાં તત્ત્વો એમને ફાવે એમ નહોતાં. થોડાક કંટાળીને પાછા આવ્યા. ગાંધીજીને કહેવા કે કદાચ આ કામ એ લાંબા સમય સુધી નહીં કરી શકે. ત્યારે મુંબઈ મણિભવનમાં બાપુ હતા ત્યાં ગયા. સાંજનો સમય હતો. ગાંધીજીએ કહ્યું : આપણે આવતી કાલે સવારે વાત કરીશું. એલ્વિન ટેરેસ ઉપર સૂઈ ગયેલા. રાતના ત્રણ વાગે પોલીસ આવી ગાંધીજીને પકડી યરવડા જેલમાં લઈ ગઈ લાંબા સમય સુધી. જેલ જતાં પહેલાં બાપુએ એક ચિઠ્ઠી લખી. લખ્યું એલ્વિનને ખાસ કે તમે તમારું કામ ચાલું રાખશો. એના આધારે એલ્વિન ફરીથી છત્તીસગઢ ગયા અને આશરે પાંત્રીસ વર્ષ સુધી એમનું કામ ચાલુ રહ્યું.

આઝાદી પછી એલ્વિનને આપણા દેશનું સન્માનનીય નાગરિકત્વ, ઑનરરી સિટિઝનશિપ આપવામાં આવી. The first non-Indian who got honorary citizenship of India was Verrier Elwin. સારા સર્જક હતા. લખતા હતા. અંગ્રેજી સાહિત્ય અકાદમીની સ્થાપના થઈ અને અંગ્રેજી સાહિત્ય માટેનો પહેલો અવૉર્ડ વેરિયર એલ્વિનને આપવામાં આવ્યો. એલ્વિને આદિવાસીની પોલીસી બનાવેલી, એ નેહરુએ સ્વીકારી. એલ્વિને એનું પંચશીલ નામ આપ્યું હતું. તો આ પંચશીલમાં એલ્વિને કહ્યું હતું કે તમે આદિવાસીને તકલીફ આપશો નહીં. એમને રહેવા દો, એમની રીતે જીવવા દો. બહારથી વધારે એન્જિનિયર ત્યાં મોકલશો નહીં. એમનો વિકાસ કઈ રીતે થાય એ પોતે નક્કી કરશે. એમને એ કરવા દો. પણ આ થઈ 1950-55ની વાત.

1999 સુધી ઘણા બદલાવ આદિવાસીના જીવનમાં અને દેશમાં આવ્યા. ત્યાં સુધી આ નીતિ ઉપર પુન:વિચાર થયો ન હતો. મિનિસ્ટ્રી આવી 1999માં. ત્યારે એન.ડી.એ. સરકારે નક્કી કર્યું કે આદિવાસી માટે કોઈ પૉલિસી બનાવવી. પણ પૉલિસી બનાવવી એટલે પૉલિસી બનાવવા એક દસ્તાવેજ તૈયાર કરવો. દરમિયાન ધ્યાનમાં આવ્યું કે આ પ્રકારે એક રિસ્ટ્રિક્ટિવ પૉલિસી હશે તો ઠીક રહેશે નહીં. કારણ કે દરેક રાજ્યમાં આદિવાસીની પરિસ્થિતિ અલગ અલગ છે. આ તમામ પરિસ્થિતિના મૂળમાં પ્રશ્ન છે : આદિવાસીની જે જમીન ફોરેસ્ટ ખાતા પાસે છે અથવા ફોરેસ્ટ ખાતાની જમીન આદિવાસી પાસે છે – આ બંને વસ્તુ સરખી કરવી જોઈએ. તે માટે કેન્દ્ર સરકારે ફોરેસ્ટ જમીન પરનો કાયદો જારી કર્યો.

અહીં એક નાનકડી પાર્શ્વભૂમિકા આપું. 1860માં ફ્રાન્કો-પ્રુસિયન યુદ્ધ યુરોપમાં થયું.્ ફ્રાન્સ અને જર્મની વચ્ચે. એમાં ઘણા યુરોપના દેશો સામેલ હતા. લગભગ એ યુદ્ધ દ્વારા જ જર્મનીનો જન્મ થયો. કારણ કે પહેલાં એ પ્રુસિયા હતું. એ યુદ્ધના અંતે નક્કી કર્યું જર્મની ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ નિર્માણ કરશે, જેના આધારે ટિમ્બરના અમર્યાદિત વપરાશથી નૌકાદળ નક્કી તૈયાર કરી શકાય. હવે આ જ્યારે જર્મનીએ નક્કી કર્યું, એના (પ્રતિશોધ બંગાળીમાં કહેવાય, અંગ્રેજીમાં રિવેન્જ – ઍક્શન, રિસ્પૉન્સ) વિરોધમાં ઇંગ્લેન્ડે નક્કી કર્યું કે એ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ઊભાં કરશે, નેવી બનાવવા. પણ અંગ્રેજો પાસે જમીન હતી નહીં. નાનો દેશ છે એટલે અંગ્રેજોએ એમના ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટનું ભારતમાં નિર્માણ કર્યું. આશરે બે તૃતિયાંશ હિસ્સાની આપણા દેશની જમીન ફોરેસ્ટને સોંપી દીધી, જેને અંગ્રેજીમાં સોવરિન ડોમેઇન કહેવાય છે. એટલે જેના પર રાણી અથવા રાજાનો અધિકાર. નદી હોય તો એની ઉપર અધિકાર મચ્છીમારોનો નહીં પણ રાણી કે રાજાનો હોય. તો મોટાભાગની જમીન આપણાં દેશની રાતોરાત, હજારો લોકો જ્યાં ખેતી કરતા હતા એ જમીન અંગ્રેજ રાણીની માલિકીની થઈ ગઈ. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે પહેલાં બળવો કર્યો. જમીન માત્ર એવી નહીં જ્યાં વૃક્ષો અથવા જંગલ હોય. ફોરેસ્ટ શબ્દના ડિક્શનરીમાં બે અર્થ છે : એક તો બંચ ઓફ ટ્રીઝ અને બીજો એવી જમીન, જે જંગલખાતા પાસે હોય. જ્યાં એક વૃક્ષ નહીં, ઘાસનું તણખલું પણ નહીં એવી જમીન પણ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ પાસે હોય એ પ્રકારની વાત હતી.

અહીં જે સમાજ રહેતો હતો એ બધાની યાદી અંગ્રેજોએ બનાવી અને એવા સમાજોને લીગલી ટ્રાઇબ્સ નામ આપ્યું. એ પહેલાં આપણે. ત્યાં ફલાણા ટ્રાઇબ્સ છે, ફલાણા નૉન-ટ્રાઇબ્સ છે, એવું હતું નહીં. આપણા વાલ્મીકિ કોણ હતા? આદિવાસી આપણા મહાકવિ. એટલે આવા તો ઘણા ઇતિહાસમાં કિસ્સા છે, જ્યાં સામાજિક ભેદ હતો નહીં. એ ભેદ અંગ્રેજોએ ઊભો કર્યો. આદિવાસી માટે વિકાસ નીતિ બનાવતાં પહેલાં સરકારને લાગ્યું કે આદિવાસી જમીનના પ્રશ્નોનો ઉકેલ લાવવો જોઈએ. કારણ કે આદિવાસીની જમીનની માલિકી તો અંગ્રેજોએ લઈ લીધી હતી. આદિવાસીને જમીન આપવામાં આવી તે અન્ય ભારતીય નાગરીકોને જમીનના અધિકાર જે પ્રકારે આપવામાં આવે છે એનાથી અલગ હોય છે. અલગ એટલા માટે કે આદિવાસીને જમીનનો સરફેસનો અધિકાર છે, સંપૂર્ણતાનો અધિકાર નથી. આદિવાસી ત્યાં ટેનન્ટ છે. ખેતી કરી શકે, પોતાનાં બાળકોને જમીન સુપરત કરી શકે, પણ જમીનનું વેચાણ કરી શકે નહીં. It is heritable but non transferable. સામાન્યત: આપણે કોઈક જમીન ખરીદીનું વેચાણ કરીએ છીએ ત્યારે એના દસ્તાવેજમાં લખવામાં આવે છે : પાતાળથી આકાશ સુધી, તમારો અધિકાર છે. પણ આદિવાસીના દસ્તાવેજમાં પાતાળથી આકાશ સુધીનો અધિકાર નથી, માત્ર સપાટીનો છે. આ એક unequal citizenship છે. આ વિશેનો વિચાર કરવો હતો ત્યારે આપણી કેન્દ્ર સરકારે અન્ય નિષ્ણાતો બોલાવ્યા. એમાં મને પણ બોલાવ્યો. વડાપ્રધાન સાથે લગભગ પાંચથી છ કલાક ચર્ચા થઈ. બે વાર આ પ્રકારે ચર્ચા થઈ. એમાં જે મુસદ્દો તૈયાર થયો એ પાર્લામેન્ટની જૉઇન્ટ કમિટી પાસે ગયો. એના ઉપરના આક્ષેપો-વિરોધો વગેરે વિચારમાં લઈ કાયદો તૈયાર થયો, જે અત્યારે અમલમાં છે.

આપણે વર્નાક્યુલર નામનો શબ્દ વાપરવાનો ચાલુ રાખ્યો છે. આ શબ્દનો અર્થ તે ભારતીય ભાષાઓ. ભાષા તો આપણો પ્રાચીન શબ્દ છે. પાણિનીથી એ ભાષા છે. ભાષા શબ્દનો અર્થ અવાજ (અથવા લેંગ્વેજ) થાય છે. આઈડેન્ટિટી, વોઇસ અને લેંગ્વેજ – આ ત્રણે અર્થમાં ‘ભાષા’ શબ્દનો વપરાશ કરવાનું મેં નક્કી કર્યું. ભારતીય ભાષાઓ સાથે એક સંબંધ તો હતો જ, ‘સેતુ’ દ્વારા ભારતીય ભાષાથી એની શરૂઆત થયેલી. પણ મનમાં એવું પણ હતું કે માત્ર આદિવાસીની નહીં, અન્ય તમામ ભાષાઓ સાથે રહીને કંઈક કામ કરવું જોઈએ.

શરૂઆત તો મારા પોસ્ટયુનિવર્સિટી દિવસોથી થઈ હતી. 2010માં અમે એક મોટા સંમેલનનું આયોજન કર્યું. ભાષાકેન્દ્રમાં લગભગ 320 જેટલા ભાષાના પ્રતિનિધિઓ આવ્યા. ત્યાં એવું નક્કી થયું કે ભારતીય ભાષાઓનો સર્વે તૈયાર કરીશું. 100 વર્ષ પહેલાં જ્યોર્જ ગ્રીયર્સન જે આઇરિશ હતા, એમણે આ સર્વે કર્યો હતો. ત્યાર પછી ભારતીય ભાષાઓનો સર્વે થયો નથી. આઝાદી પહેલાં આ ચર્ચા શરૂ થયેલી. ગાંધીજીએ હિંદુસ્તાની વાપરવાનું સૂચન કર્યું હતું. ખૂબ જ અગત્યની એ વાત હતી, પણ 19મી સદીના આરંભમાં આપણે ત્યાં પ્રિન્ટીંગની શરૂઆત થઈ. અમુક ભાષાઓનું પ્રિન્ટિંગ થોડું પહેલું થયું હતું. અઢારમી સદીના છેલ્લાં વર્ષોમાં થયું હતું. પોર્ટુગલથી એક પ્રિન્ટિંગ મશીન ભૂલેચૂકે ગોવામાં આવ્યું હતું જેમાં કન્નડનું પ્રિન્ટિંગ પહેલાં થયું હતું. પછી બંધ થઈ ગયું. કારણ પ્રિન્ટિંગ મશીન રોમનમાં હતાં. ભારતીય ભાષાઓના ટાઇપ બનાવી ભારતીય ભાષાઓમાં પ્રિન્ટિંગ કરવાની શરૂઆત ફોર્ટ વિલિયમ્સ, કલકત્તામાં થઈ. ત્યાં તે સમયની અંગ્રેજ સરકારે, લાલુજીલાલ નામના અધિકારીની નિમણૂક કરી હતી. આ લાલુજીલાલસાહેબે પહેલી વાર હિંદીમાં અને અન્ય બધી ભાષાઓ છે તેનું પ્રિન્ટિંગ કર્યું. જે ભાષાઓનું પ્રિન્ટિંગ થયું એ ભાષાઓમાં અત્યારે જેને આપણે લિટરેચર કહીએ છીએ, એ શબ્દ લેટર સાથે જોડાયેલો છે. એટલે અક્ષર, જેમાં મુદ્રિત અક્ષર એ લિટરેચર.

તુકારામ, કબીર, મીરાં, એટલું જ નહીં પણ વેદ, વાલ્મીકિ આ બધા લિટરેચરમાં ન આવે આ ડેફિનિશનથી કેમ કે એ મૌખિક પરંપરા. ભાષામાં મુદ્રિત સાહિત્ય એ જ માત્ર ભાષા અને અન્ય તે બોલીઓ, એવી ખોટી માન્યતા ઊભી થઈ. આપણે ત્યાં ગરાસિયા ભીલોમાં મહાભારત પણ છે અને રામાયણ પણ છે. ગરાસિયામાં ભગવાનદાસ પટેલ કહે છે તેમ ચાર ચાર જેટલાં મહાકાવ્યો છે. મારી માહિતી છે ત્યાં સુધી ગુજરાતીમાં પણ એ પ્રકારનાં મહાકાવ્યો નથી. સરખામણીની અહીં વાત નથી, પણ ગરાસિયા ભીલોની બોલી કહેવાય કે ભાષા? આ એક વિચારવા જેવો પ્રશ્ન છે. મુંડારી ભાષા ઑસ્ટ્રિક ઓરિજિનની એટલે આશરે સાતથી આઠ હજાર વર્ષની પરંપરા ધરાવતી ભાષા. એને કહેવી ભાષા કે માત્ર બોલી?

ઇંગ્લેન્ડ જેવા નાના દેશમાં નિર્માણ થયેલાં ભાષાશાસ્ત્રો પાસે આપણા જેવા વિશાળ દેશની વિવિધતાવાળી ભાષાઓની પરખ કરવાનું સામર્થ્ય હતું નહીં, છતાં એ મર્યાદિત અર્થથી જ પ્રેરાઈને આપણે ભાષા તરફ જોવાની દૃષ્ટિ ચાલુ રાખી. પરિણામે માત્ર મુદ્રિત તેટલું જ સાહિત્ય, એ જ ભાષા અને જેનું મુદ્રણ નથી એ ભાષા નહીં એવી ધારણા સ્વીકારવામાં આવી. આઝાદી પછી આપણે ત્યાં અલગ અલગ રાજ્યોની સ્થાપના થઈ. ભાષાવાર પ્રાંતરચના. અહીં પણ જેમાં મુદ્રિત સાહિત્ય છે એવી ભાષાઓને પ્રાંત આપો, જેનું મુદ્રિત સાહિત્ય નથી એને પ્રાંત નહીં! ધારો કે ગોંડ લોકો છે, સંથાલ લોકો છે એમને તે સમયે જો એક રાજ્ય આપ્યું હોત તો ખૂબ સારું થાય. પણ તે નહીં મળ્યું. તેથી સંથાલ અને ગોંડ લોકોના વિકાસના પ્રશ્નો ઊભા થયા. આ ભાષાઓનું આખું જે માળખું છે આપણા દેશમાં એનો અભ્યાસ થવો જોઈએ. ગ્રીયર્સનસાહેબે 100 વર્ષ પહેલાં કર્યો ભારતીય ભાષામાં, એ સર્વેમાં આશરે 180 ભાષા અને 550 ઉપભાષા કે બોલીનો ઉલ્લેખ હતો. આપણે ત્યાં 2006માં કેન્દ્ર સરકારે એક સમિતિની નિમણૂક કરી. મને એનો ચેરમેન બનાવ્યો ત્યારે મેં જેટલી નોંધ છે, જેટલી માહિતી છે એના આધારે આશરે 403 ભાષાની યાદી બનાવેલી જેને પ્રોત્સાહનની જરૂર છે અને પ્રોત્સાહન ન મળવાથી જે મરવા પડી છે.

બાયોડાઇવર્સિટી જેટલા પ્રમાણમાં ઓછી થાય બિલકુલ એટલા જ પ્રમાણમાં ભાષા ઓછી થાય છે. કારણ કે દરેક ભાષામાં બાયોડાઇવર્સિટીનું જ્ઞાન હોય છે. હિમાલયની જેટલી બોલીઓ કે ભાષા છે એ બધીમાં આશરે 160 શબ્દો છે, બરફ માટે. એસ્કીમો લોકો પાસે 30 શબ્દ છે. બરફ કાદવવાળા પાણીમાં પડતો હોય તો તે માટે અલગ શબ્દ છે. બરફ પડતી વખતે કદાચ જો આકાશનો રંગ ભૂરો હોય તો તે માટે કિન્નોર ભાષામાં અલગ શબ્દ છે. ઇકોલોજીનું જ્ઞાન કોઈ પાસે હોય તો લગભગ વધુમાં વધુ જ્ઞાન બોલીઓ પાસે છે, નહીં કે શાસ્ત્રજ્ઞો પાસે. અને એ જ્ઞાન જ્યારે ભૂંસાતું જાય છે ત્યારે ઇકોલોજીનો પણ વિનાશ થાય છે. આ તો સીધો સંબંધ છે કોઈ આડકતરો સંબંધ નથી. જે પ્રમાણે વૃક્ષો અને બાયોડાઇવર્સિટી ઓછાં થાય એ જ પ્રમાણે ભાષા ઓછી થાય અથવા ભાષાઓ ઓછી થાય. ભાષા ઓછી થાય તો બાયોડાઇવર્સિટી જતી રહેવાથી દુનિયા માત્રમાં એક જ ભાષા, એક પહેરવેશ, એક જ પ્રકારે જમવાની રીત રહેવાની. રેગિસ્તાનમાં રહો કે હિમાલયમાં રહો, એક પ્રકારનો ખોરાક ખાશો તો માત્ર ફાયદો થશે તો ફાર્માસ્યુિટકલ ઇન્ડસ્ટ્રીઝને થશે, બીજા કોઈને નહીં. આ બધું જાણ્યા પછી બધી ભાષાઓનો સર્વે કરવાનું અમે નક્કી કર્યું એ કામ અત્યારે ચાલુ છે.

હું દરેક રાજ્યોમાં ફરતો રહું છું. ત્યાં વર્કશોપ લઈને, ત્યાંના સ્થાનિક લોકોને પ્રોત્સાહન આપી, એમની પાસેથી માહિતી ભેગી કરું છું. મારી એક ઇચ્છા છે આપણા દેશનો એક સર્વગ્રાહી ભાષાકીય કેટલોગ તૈયાર થાય. આ કામને અમે પીપલ્સ લિંગ્વિસ્ટિક સર્વે ઑફ ઇન્ડિયા નામ આપ્યું છે. એટલે સરકારની નજરથી નહીં, જે ભાવકો છે એમની નજરથી જોવું જોઈએ. હું કહીશ કે ગુજરાતી મહાન ભાષા છે અને ગુજરાતી ભાષાનું મરણ શક્ય નથી. કારણ કે પાંચ કરોડ ગુજરાતીના ગુજરાતનો આર્થિક વિકાસ છેલ્લાં 150 વર્ષથી થયો છે. ગુજરાતી આફ્રિકા ગયા, ઇંગ્લેન્ડ ગયા, ઓસ્ટ્રેલિયા ગયા. કામ કરવાની ટેવ પાછલાં 150 વર્ષોમાં ગુજરાતીની બદલાઈ ગઈ છે અને ખૂબ દિલ દઈ લોકો કામ કરે છે. તે રીતે અંગ્રેજ કામ નથી કરતા. તો આપણે ત્યાં જે સંપત્તિ નિર્માણ થઈ એને લીધે આપણી ગુજરાતી ભાષાને ભય નથી. છતાં આ ગુજરાતી ભાષા માટે પણ એક ભયસ્થાન છે : આપણા ડોમેઇન ઑફ લેંગ્વેજ ઓછા થતા જાય છે. ખાસ કરીને બોલી સાથેનો સંબંધ ઓછો થતો જાય છે. માતૃભાષામાં ભણાવતી એવી નિશાળની સંખ્યા ઓછી થતી ગઈ. કોઈ ઉત્તમ પ્રકારની હાઈસ્કૂલ ગુજરાતીમાં નથી. ગુજરાતી ભાષા માટે જે વિવિધ ડોમેઈન હોવો જોઈએ એમાં અત્યારે ઓટ આવવાથી ગુજરાતીને પણ ભયસ્થાન છે. એક સરસ ગુજરાતી વાક્ય, અંગ્રેજી શબ્દના વપરાશ વગર બોલી શકે એવા યુવાનોની સંખ્યા ઓછી થતી જાય છે.

મને ફ્રન્ટલાઇનના એક સંપાદકે પ્રશ્ન પૂછયો કે આપણે ત્યાં ટેકનિકલ શિક્ષણ માતૃભાષામાં આપીએ તો શું થશે? મેં કહ્યું સારું જ થશે. તો એ ભાઈએ પૂછયું એ શક્ય છે? મેં જણાવ્યું રશિયામાં એન્જિનિયર્સ રશિયન ભાષામાં ભણે છે, જર્મનીમાં જર્મન ભાષામાં ભણે છે, ફ્રાન્સમાં ફ્રેન્ચમાં ભણે છે, તો આપણે ત્યાં પણ હિંદીમાં, ગુજરાતી, મરાઠી, બંગાળીમાં બિલકુલ શક્ય છે. પણ આપણા દેશના સાંસ્કૃિતક આત્મવિશ્વાસે કોલોનિયલ સમયમાં જે માર ખાધો એને લીધે આ સ્થિતિ છે. તેજગઢમાં હું ભાષાવન નિર્માણ કરી રહ્યો છું. એટલે દરેક વૃક્ષ ભાષા બોલે તે રીતે, દરેક ભાષા બોલવાવાળાં વૃક્ષોમાં થઈને નાનું બાળક પસાર થાય તો ભાષાની વિવિધતાનો એને ખ્યાલ આવતો રહે.

મારો સંબંધ પાંચ અલગ સંસ્થાઓ સાથે રહ્યો છે. તેજગઢમાં આદિવાસી અકાદમી છે, જે આદિવાસી પોતે ચલાવે છે. ત્યાં આદિવાસીને લગતા વિષયનું ભણતર થાય છે. ત્યાં એક જ્ઞાનનું ક્ષેત્ર વિકસાવવાનું શરૂ થયું છે, જેને એન્થ્રોપોલેજી કહેવામાં આવે છે. તો અમે રીવર્સ એન્થ્રોપોલોજી, નૃવંશશાસ્ત્રથી સામેનું જોવાવાળું આદિવાસીનું એક શાસ્ત્ર છે એનો વિકાસ કરી રહ્યા છીએ. નૃવંશશાસ્ત્રમાં, દુનિયાના લોકો આદિવાસી તરફ જુએ છે. મારું મન કહે છે હવે આદિવાસી પોતે દુનિયા સામે જોઈને કહે કે : અમારામાં જે સારા ગુણ છે એ તમે લઈ લો અને અમે આપી શકીએ છીએ તો તમે એ સ્વીકારો. ત્યાં સરસ લાઇબ્રેરી છે, મ્યુિઝયમ બનાવ્યું છે. જે રીતે તેજગઢમાં ‘વાચા’ નામનું મ્યુિઝયમ બનાવ્યું તે જ રીતે હિમાલયમાં એક મ્યુિઝયમ બનાવ્યું છે. 11 હજાર ફૂટની ઊંચાઈ પર કેલોંગ નામનું ગામ છે, ત્યાં એક કોમ્યુિનટી મ્યુિઝયમ બનાવ્યું છે. ત્યાંના જ લોકો એ ચલાવે છે અને આ દુનિયાનું સૌથી ઊંચાઈ પર આવેલું મ્યુિઝયમ છે. મને ઉપરવાળાએ આ તક આપી, સારું લાગે છે. હિમલોક નામની બીજી સંસ્થા સાથે હું જોડાયેલો રહ્યો જે મેં સ્થાપેલી છે, હિમાલયન કોમ્યુિનટીનો અભ્યાસ કરવા : અફધાનિસ્તાનથી લઈ અરુણાચલ સુધી. કારણ કે આ એક સળંગ ભૌગોલિક પ્રદેશ છે. આજના દેશ તો પછીથી બન્યા. હિમાલય એ પહેલાંથી છે. આ રાજકીય રેખાની કલ્પના નાનાં બાળકો જેવી છે, પણ માતા-પિતા હિમાલય છે. તો તે માટે એક સંસ્થા બનાવવી જરૂરી હતી. પછી નાટકમાં મને ખાસ રસ છે. મને લાગે છે જે પોતાને સુસંસ્કૃત કહેવડાવે છે એ સમાજ નાટક અને સંગીત, વિઝ્યુઅલ આર્ટ, ચિત્રકામમાં રસ ધરાવતા હોય તો જ સુસંસ્કૃત કહેવા લાયક રહે. નાટક એક પ્રાચીન કલાપ્રકાર છે ભરતમુનિના સમયથી અથવા એરિસ્ટોટલના સમયથી. નાટક માટે એક સંસ્થા અમદાવાદમાં ઊભી કરી. એનું નામ, બુધન નાટ્યમંચ. ત્યાં વિમુક્ત અને વિચરતી જનજાતિનાં બાળકો, યુવાનો આવીને નાટક ભજવે છે.

બુધન સબર ખેડિયા, સબર કોમની એક વ્યક્તિનું નામ હતું. બુધવારે જન્મ્યા એટલે બુધન. બુધન કોઈક બજારમાં ગયા હતા, ત્યાં પોલીસે એમની ધરપકડ કરી. કસ્ટડીમાં લઈ ગયા. એમાં એમને ઢોરમાર મારી, મારી નાખવામાં આવ્યા. અપરાધ ઢાંકવા એના મોતને આપઘાત તરીકે પોલીસે જાહેર કર્યું. પોલીસ સામે કલકત્તા હાઈકોર્ટમાં પછી કેસ કર્યો. મહાશ્વેતા દેવીએ એમાં ખાસ આગેવાની લીધેલી. એ કેસ અમે જીતી ગયા. (જસ્ટિસ રૂમા પાલ ત્યાર પછી સુપ્રીમ કોર્ટના જસ્ટિસ થયાં.) રૂમા પાલે ખૂબ યાદગાર ફેંસલાનો દસ્તાવેજ તૈયાર કરેલો. આ જજમેન્ટ એકાંતરે અમે ‘બુધન’ નામનું મેગેઝિન ચલાવતા હતા એમાં પ્રકાશિત કર્યું. બુધનનો ચુકાદો પ્રગટ થયો. તે વાંચીને અમદાવાદના છારા યુવાનોએ એક નાટકની રચના કરી, તેમાંથી બુધન થિયેટરનો જન્મ થયો.

બે વર્ષ પહેલાં દારિયો ફોના ‘ઍક્સિડેન્ટલ ડેથ ઓફ એન અનાર્કિસ્ટ’ની સરસ ભજવણી કરી હતી. પછી ફ્રાન્સના જ્યોં જેને નામના સર્જકનું ‘ધ બાલ્કની’ નાટક અમદાવાદમાં થાય તો કઈ રીતે થાય એનો પણ પ્રયોગ થયો. કારણ કે જ્યોં જેને પણ નોમેડિક હતા. યુરોપના કેટલાક દેશમાં તેમને પ્રવેશવા પર મનાઈ હતી. પછી સાર્ત્રએ જેનેને જેલમાંથી છોડાવ્યા. પછી એ એક નાટ્યકાર રૂપે ફ્રાન્સમાં પ્રસિદ્ધ થયા. છારાઓની સ્થિતિ પણ જ્યોં જેને જેવી છે. એટલે તેનું નાટક અમદાવાદમાં થયું.

હવે પછી આ મંડળી ‘મૃચ્છકટિક’નો પ્રયોગ કરવા માંગે છે. નાટકમાં જંગલમાં એક ચોર છે અને શહેરમાં રાજા. એ બંને વચ્ચેનો એમાં સંઘર્ષ છે. નોમેડિક કોમ સાથે આપણા સમાજનો સંઘર્ષ એ પ્રકારનો છે. ભરતમુનિ લગભગ સમાજ બહારની વ્યક્તિ હતા. ત્યારે નાટક કરવું અપરાધ ગણાતો. આ માન્યતા સામે ઝૂઝતા ભરતમુનિ એટલે એમના ગ્રંથને પંચમદેવ કહેવામાં આવ્યો. સમાજ બહારની વ્યક્તિમાં મને રસ છે. હું માનું છું કે બધાને આવરી લેતો સમાજ દુનિયામાં હોવો જોઈએ, જ્યાં જાતિ-દેશ-ભાષા એવા વાડા ન હોય, જ્યાં દુનિયાના નાગરિક તરીકે દરેક માનવીને જીવવાનો હક મળવો જોઈએ.

વાત સાચી છે. ભાષા પ્રવાહી હોય છે. ભાષા અમુક સમયમાં અમુક લિપિમાં લખાય છે, અન્ય સમયમાં અન્ય લિપિમાં. સંસ્કૃત ભાષા એક સમયે શારદામાં હતી. એ જ રીતે નાગરીમાં છે અને મોડીમાં. મોડી ઘણી બધી ભાષા માટે વાપરવામાં આવતી હતી એટલે લિપિ અને ભાષા વચ્ચે ખાસ તાર્કિક સંબંધ નથી. ટૂંકમાં ભાષા બદલાય છે. જો બદલાતી ન હોય તો ભાષા મરે છે. બદલાતી રહે એ જ ભાષા જીવતી રહે છે. પણ આવા પ્રવાહો ઉપર ક્યારેક આપણે ડેમ બનાવીએ અથવા કૃત્રિમ રીતે એનો પ્રવાહ બંધ કરીએ તો મુશ્કેલી સર્જાય. કોઈક આપણને કહે કે તમે ફલાણી ભાષા બોલો છો, એને લિપિ નથી, એ લખાયેલી નથી માટે તમારા માટે અમે સ્કૂલ બાંધીશું નહીં અથવા કૉલેજ કે યુનિવર્સિટી શરૂ કરીશું નહીં તો શું થાય? એ ભાષાના બાળકોને અન્ય કોઈક ભાષા ફરજિયાત શીખવી પડે પછી જ એને વિકાસની તક મળે ત્યાં સુધી નહીં. આથી દેશમાં અણવિકસિત વસ્તીના આધારે રાષ્ટ્રીય નિરક્ષરતાનો નકશો બનાવીશું તો એવું જોવા મળશે કે ત્યાં બોલીઓનો વિચાર થયો નથી. ત્યાં આપણી ઘણી બધી ભાષાઓ એવી છે જેમાં અખૂટ જ્ઞાન છે, પણ એને અક્ષર લિપિ નથી. તો લગભગ નિરક્ષરતાવાળા વિસ્તારોમાં, કેટલાક વિસ્તારો એવા છે જ્યાં આવી અનેક પ્રકારની બોલીઓ છે. એટલે આ વિષય પરત્વે હવે ગંભીરતાથી ફરી એક વાર વિચાર કરવો જોઈએ : નિરક્ષરતા કે ભાષા એટલે શું? ભાષા સ્વયં મરતી નથી : જૂના ઘણા પ્રાચીન શબ્દો અત્યાર સુધી આપણે ત્યાં હજી વપરાય છે – પણ કોઈ કાનૂન અથવા કોઈ ખામીભરી પૉલિસી દ્વારા ભાષા પર બંધન લાદવામાં આવે છે અને ત્યારે ભાષાઓને મારવામાં આવે છે. ટૂંકમાં ભાષા મૃત્યુથી પર છે પણ એના પર મૃત્યુદંડ ઠોકવામાં આવે છે. ગ્રીક ભાષામાં એક શબ્દ છે અફેસિયા. અફેસિયા એક બીમારીનું નામ છે. એનો અર્થ છે વાચાહીનતા, વાચાભ્રંશ, વાચાભ્રમ. અત્યારે દુનિયામાં ઘણી ભાષા સામે અફેસિયાની સજાનું ફરમાન જારી થઈ રહ્યું છે. યુનેસ્કોના અંદાજ પ્રમાણે વીસમી સદીની શરૂઆતમાં, દુનિયામાં લગભગ 7,000 ભાષાઓ હતી, તેમાંથી એકવીસમી સદીના અંત સુધી માત્ર 300 ભાષા જીવતી રહેશે.

ભાષાનો આ જે વિલય છે એ અફેસિયા છે. કોઈક માનવીએ ટહુકો કર્યો હશે, સંવાદ માટે ત્યારે જે ઉદ્ભવી હશે તે ભાષા, ત્યારથી આજ સુધી ભાષાને પહોંચી નથી એટલી હાનિ પાછલાં સો-દોઢસો વર્ષોમાં પહોંચી છે. એટલે આ ચિંતાનો વિષય છે. આજે યુનેસ્કો જેવી અનેક સંસ્થાઓ ભાષા, ડાઇવર્સિટી, મલ્ટિલિંગ્વાઇઝમ માટે મથી રહી છે.

કોઈક મહા રોગચાળો આવી જાય તો કોણ બચશે અને કોણ મરશે કહેવું મુશ્કેલ છે. પણ ભાષા અંગેના સંજોગોમાં ખાસ પુરુષાર્થ ખેડવા પડે. એ નહીં કરીશું તો હાનિ ક્યાં જઈ અટકશે? પુરુષાર્થથી નુકસાન ખાળી શકાશે એવા વિશ્વાસ સાથે કામ કરવું પડશે.

એક માન્યતા એવી છે કે માતૃભાષામાં સાતમા ધોરણ સુધી ભણતર મળી રહે તો બાળક એ ભાષા ટકાવી રાખે છે. આપણે ત્યાં સાતમા ધોરણની તો વાત દૂર, કે.જી.થી જ અંગ્રેજીમાં ભણાવવાની શરૂઆત થઈ છે. આપણે ત્યાં અંગ્રેજી સારું લખતા સર્જકો કોણ? હું કહીશ સૌથી પહેલા મહાત્મા ગાંધી. એમનું ભણતર ગુજરાતીમાં થયું હતું. આર.કે. નારાયણનું ભણતર તમિળમાં હતું. હું પોતે મરાઠીમાં ભણ્યો. અંગ્રેજીમાં લખાણ કરું છું છતાં લઘુતાગ્રંથિ આવી નથી. મારાં અંગ્રેજીમાં લખાયેલાં પુસ્તકો દુનિયામાં ઘણી જગ્યાએ લોકો વાંચે છે. આ અંગ્રેજી કોઈ અન્ય અંગ્રેજી ભાષાથી ખરાબ છે એવું નથી. માતૃભાષામાં ભણતર એ બાળકનો મૂળભૂત અધિકાર છે અને હોવો જોઈએ.

સૌથી મુખ્ય વાત તો એ કે જ્યાં આ કોલોનિયલ એક્સ્પાન્શન થયું માત્ર એવા દેશોમાં જ આદિવાસી અથવા ઇન્ડિજીનસ, ઍબઓરિજિન, માઓરીસ એવા શબ્દો આવ્યા. આપણે કોઈકને પૂછીશું કે જર્મનીમાં આદિવાસી છે? ફ્રાન્સમાં છે? તો એ જોવા નથી મળતા. તો ત્યાં મૂળના લોકો ન હોય? હશે જ. પણ આ કોલોનિઆલિઝમનું પરિણામ છે, જ્યાં લોકો પર નવી અર્થવ્યવસ્થા લાદવી અથવા ત્યાંની ઇકોનોમી મારી નાંખવી. સ્પેિનયાર્ડો તો ક્રૂરતાથી બાળી નાખતા. એટલે જર્મન, સ્પેિનશ, ફ્રેંચ લોકોએ જે વિનાશ કર્યો તે તો અંગ્રેજોએ કર્યો તેનાથી વધારે હતો. ડચ લોકોએ ઘણો બધો વિનાશ કર્યો. પોર્ટુગીઝ લોકોએ કર્યો. યુરોપના લગભગ દરેક દેશે આ કામ કર્યું. આદિવાસી સમાજ ઊભો થયો. એમાંથી જ માન્યતા ઊભી થઈ : આ અલગ સમાજ છે. તો આ જેમના પર અત્યાચાર થયો, જે સમાજને ભોગવવું પડ્યું એ સમાજ પૂર્વે કેવા હતા?

આ સમાજ કલેક્ટિવ પ્રોપર્ટીમાં માનતા હતા. સામૂહિક જવાબદારી સામૂહિક હક એ આખી એક જીવનદૃષ્ટિ હતી. આ સમાજ કુદરત સાથે નિકટથી જોડાયેલા હતા. એક ઇકોલોજીકલ કોમ્યુન હતું. એમાં માનવી, કુદરત અને ભગવાન – આ ત્રણે સંબંધ વચ્ચે સંવાદિતા હતી. આ સંબંધો અરસપરસ ત્રણેય માટે ઉપયોગી છે. આવા સંબંધને માનતો સમાજ આધ્યાત્મિક જરૂરિયાતમાં શ્રદ્ધા ધરાવતો હોય છે. એ માને છે કે કુદરત જેવી તાકાત આ દુનિયાને ચલાવે છે. આ માન્યતા દરેક માટે જરૂરી છે. કુદરતમાં પણ એનું પ્રકટરૂપ જોવા મળે છે. તો કુદરતથી પણ ઉપરની એક સર્વોપરી તાકાત સ્વીકારાઈ. એટલે પહેલો ઈશ્વર, પછી કુદરત અને છેલ્લે માનવી – એવા ક્રમે ત્રણે વચ્ચે સંવાદિતા જાળવનારા જે લોકો હતા તે આદિવાસી. એ સિવાયના સમાજ જુઓ : માત્ર નફા માટે, માત્ર આર્થિક પ્રગતિ માટે, ભાગદોડ કરવાવાળા આ સમાજે જોવું જોઈએ કે આર્થિક પ્રગતિ સાથે દિવસમાં કેટલી વાર આનંદનો એમણે અનુભવ કર્યો? ભૂતાને ખૂબ સરસ વાત કહી હતી. ભૂતાને કહ્યું કે હેપિનેસનો ઇન્ડેક્સ હોવો જોઈએ. એક દિવસમાં આપણે કેટલી વાર હસીએ છીએ, કેટલી વાર સુખ કે આનંદનો અનુભવ કરીએ છીએ, કેટલી વાર આપણે ગીતો ગાઈએ છીએ? ભારતમાં મને સારું લાગે છે. હિંદી સિનેમાનું સારું પરિણામ ગણો તો અહીં દરેક જણ ગીત ગાય છે. આ સારું છે. આદિવાસી પાસે ટેલિવિઝન, ફ્રિજ, કાર, રેડિયો નથી. પણ સાંજ થાય એટલે નાચે છે, કૂદે છે, ગાય છે. આ જીવનની એક ધન્ય ક્ષણો છે એવું હું માનું છું. આપણા દેશમાં આજે પણ 6 થી 7 કરોડ વિમુક્ત અને વિચરતી જનજાતિ અને 9 કરોડ આદિવાસી મળી કુલ 14 થી 15 કરોડની વસ્તી છે. ન્યુઝીલેન્ડની વસ્તી માત્ર 60 લાખ છે. ગુજરાતમાં જેટલા આદિવાસી તેટલી ન્યુઝીલેન્ડની કુલ વસ્તી. તેમાં માઓરી માંડ બાર ટકા છે. ભારતમાં સ્થિતિ સારી છે.

તંટ્યા ભીલને મધ્ય પ્રદેશમાં ફાંસી આપવામાં આવી, એમના અંત સમયે એક લાખ આદિવાસી ભેગા થયેલા. છતાં ગોળીબારનો કિસ્સો નોંધાયો નથી. ફ્રેંચ, સ્પેિનશ, જર્મન હોત તો કદાચ એવું બન્યું હોત. પણ આ જ ઇતિહાસનું એક બીજું પણ પાસું છે. આદિવાસી છે તેનો આપણને આનંદ છે, પણ એથી આપણી જવાબદારી વધી જાય છે. અમેરિકામાં બે કે ત્રણ મ્યુિઝયમ બનાવી દીધાં એટલે કામ પત્યું. આપણે ત્યાં નવેક કરોડ આદિવાસી છે, એમને સારું ભણતર, તંદુરસ્તી મળે એવી વ્યવસ્થા થવી જોઈએ. દેશમાં 360થી વધારે યુનિવર્સિટી છે, પણ એના એકેડેમિક સ્ટાફમાં પ્રોફેસરો છે, તેમાં એક ટકાથી પણ ઓછા આદિવાસી છે. એટલે કે આદિવાસી ત્યાં સુધી નથી પહોંચ્યા. અનામત છે ખરી, પણ સિવિલ સર્વિસમાં આદિવાસી એટલા પ્રમાણમાં નથી. એટલે જેટલાં માર્જિનલ ગ્રુપ છે એમના પર વધારે ધ્યાન આપવાની જવાબદારી દેશ અને સમાજ સામે છે.

વિકાસ બધા માટે જરૂરી છે. અને વિકાસ એટલે માત્ર ફોરેન ઇન્વેસ્ટમેન્ટ, માત્ર પ્રોડક્ટિવિટી, માત્ર જી.એન.પી. એટલો જ હોય તો આપણા બધાનો વિનાશકારી વિકાસ શક્ય છે. પણ વિનાશ કર્યા વિના વિકાસ સધાતો હોય તો એ વધારે સારું નહીં?

‘આફ્ટર એમનેઝિયા’ લખવાની શરૂઆત વડોદરામાં કરી હતી. સુરેશભાઈ સાથે હું કંઈક સંવાદ કરતો હતો. એ સંવાદ પૂરો થાય તે પહેલાં એમનું અવસાન થયું. ત્યાર પછીનાં વર્ષો દરમિયાન નિબંધ લખાયો હતો. એ જ્યારે પુસ્તકરૂપે આવ્યો ત્યારે ગુજરાતી સાહિત્યમીમાંસા અને મરાઠી સાહિત્યપરીક્ષણ એ વિષયથી ચર્ચાની શરૂઆત કરી હતી. પણ પુસ્તક પ્રકટ થયા પછી મારા ઉપર જે પ્રતિભાવ આવ્યા એમાં રાજકીય, વિજ્ઞાન, અર્થશાસ્ત્ર અને ઇતિહાસ અંગેના ઘણા પ્રતિભાવો હતા. હવે સંસ્કૃિત વિસ્મૃિત સામે સંસ્કૃિત અભિમાન – સંસ્કૃિત ગર્વ એ પણ ખોટી વસ્તુ છે. ભાયાણીસાહેબ ભાષા વિશે કહે છે, એ પ્રમાણે સંસ્કૃિત ન બદલાય તો એ બંધિયાર પાણી થઈને દુર્ગંધ પેદા કરશે. સ્મૃિત બધા પ્રકારના જ્ઞાનને સુગ્રથિતપણે  સાંકળનારું તત્ત્વ છે. પુસ્તકને પ્રતિભાવ સારો મળ્યો.

પણ લખ્યા પછી લાગ્યું કે કામ અડધું જ થયું છે. ઇતિહાસ શું છે? ઇતિહાસ સમજવાનાં સાધનો શું છે? સ્મૃિત માત્ર રિફ્લેક્ટિવ નથી, ભૂલી જવાની પ્રક્રિયા પણ સ્મૃિતની અંદર જ હોય છે. યાદ રાખવું અને ભૂલી જવું – આ બંને પ્રક્રિયા સાથે જોવાની છે. બદલાની લાગણી જાગે અને એ સ્મૃિતમાં વસી જાય તો રોજે એકબીજાનાં માથાં કપાવાનાં એટલે. ત્યાં ત્યારે ભૂલવું જરૂરી છે. એ જ પ્રમાણે યાદ રાખવું પણ જરૂરી છે. સ્મૃિત આગળ વિવેક જરૂરી છે. નહીં તો વિચાર અને વિવેક વગરની સ્મૃિત એટલે ગાંડપણ ગણાશે. તો પછી ઇતિહાસ વિશે લખ્યું. આપણા સિદ્ધાંતો આપણી વિવિધ પરંપરાઓ દ્વારા ઉપલબ્ધ સિદ્ધાંતો વિશે લખ્યું. ‘ઓફ મેની હીરોઝ’ નામનું એ પુસ્તક વિવિધતાનો ઇતિહાસ મને માન્ય છે. મને હું ભાગ્યશાળી ગણું છું, કેમ કે વડોદરામાં આવ્યો અને સુરેશભાઈને મળવાનું થયું. ત્યાર પછી નારાયણભાઈ દેસાઈને સાહિત્ય અકાદમી એવૉર્ડ સમારંભમાં પહેલી વાર મળ્યો. એ જ વર્ષે એમના પુસ્તકને પણ એવૉર્ડ મળ્યો હતો. વિજય તેંડુલકર સાથે દોસ્તી થઈ. તેંડુલકરને નેહરુ ફેલોશિપ, હિંસા વિષય ઉપર કામ કરવા મળી. મને પણ નેહરુ ફેલોશિપ, એ જ વિષય ઉપર કામ કરવા આપવામાં આવી હતી. અને એમ મૈત્રી થઈ. મહાશ્વેતા દેવીને એક વાર પત્ર લખ્યો હતો, 1980 દરમિયાન ‘સેતુ’ના સંદર્ભમાં. એમની ‘જગમોહન: ધ એલિફન્ટ’ નામની જાણીતી કથા છે, એનો ‘સેતુ’માં ગુજરાતીમાં અનુવાદ પ્રગટ થયો. પછી ‘સીડ’ નામની બીજી વાર્તા અમે પ્રકટ કરી. પણ પ્રત્યક્ષ કદી મળવાનું થયું ન હતું. પછી એક વાર બંગાળ ગયો. એ સમયે બુધન સબરનું મૃત્યુ થયેલું. ત્યારે મહાશ્વેતા દેવીને મળવાનું થયેલું. ત્યાં એમને ખબર પડી કે વિમુક્ત વિચરતી જનજાતિના પ્રશ્નોમાં મને રસ છે. પહેલી વાર મળ્યો ત્યારે એમની ઉંમર લગભગ સિત્તેર વર્ષની હતી. હું લગભગ પચાસનો. એમ નક્કી કર્યું કે દેશભરમાં ફરીશું અને જ્યાં જ્યાં વિમુક્ત વિચરતી જનજાતિ છે એમને મળીશું. એમની પરિસ્થિતિ સમજી એ પરિસ્થિતિ સરકાર સામે, ન્યાયક્ષેત્ર સામે, પોલીસ સામે મૂકીશું. તે વિશે લખીશું, લોકોને ભેગા કરીશું. આશરે ત્રણ લાખ કિ.મી. સાથે ફર્યાં. સુરતથી જલગાંવ સુધી થર્ડ કલાસ પેસેન્જર ટ્રેનમાં આખી રાત બેસીને. ત્યારે તો મહાશ્વેતા દેવીને મેગ્સેસે એવોર્ડ પણ મળી ચૂક્યો હતો. જ્ઞાનપીઠ પણ મળેલો. દુનિયાભરમાં મશહૂર, જૈફ ઉંમર ઉપરથી ડાયાબિટીસનો વ્યાધિ. ટ્રેનમાં બેસવાની જગ્યા નહીં. મારી સાથે ઊભાં ઊભાં વાત કરતાં, એમની વાર્તાઓ ક્યારે લખી, ક્યાં ક્યાં, ક્યારે સ્ફુરણા થઈ – બધું કહેતાં. અમે અમરાવતી ગયાં ત્યાં સિકલ સેલનો પ્રશ્ન પ્રચંડ હતો. મહારાષ્ટ્ર સરકારે એક સમિતિ નીમેલી. ડોક્ટરે તો જાહેર કર્યું કે આ તો જિનેટિક રોગ છે એટલે આપણે એમાં ખાસ કરવા જેવું નથી. માત્ર આયર્ન કે એવી ટેબ્લેટ આપીએ. આ પ્રશ્ન ગૂંથીને મહાશ્વેતા દેવીએ ગજબની વાર્તા લખી, ‘મહાદુ’. મહાદુ અમરાવતીનો. કોરકુ લોકોનું આખું જંગલ અંગ્રેજોએ કપાવ્યું. સુરત-હાવરા રેલવે લાઇન નીચે જે સ્લીપર નાંખવામાં આવ્યા તે કોરકુના જંગલથી આવ્યા. દૂરથી ગાડી આવે છે એની સિસોટીથી મહાદુ થોડો વિચલિત થાય છે. ગાડીથી ગંધ આવે છે એને થાય છે આપણા પૂર્વજોની કોઈ સુગંધ છે. દોડતો દોડતો એ ગાડીમાં બેસી મુંબઈ પહોંચી જાય છે. મુંબઈનો પદાર્થ જે કદી જોવા મળ્યો નહોતો તે અન્ન જોવા મળે છે. અન્ન આરોગે છે અને એનું કદ વધે છે. મહાકાય થાય છે. મહાદું આખું મુંબઈ ખાય છે. પેઢીઓની આ ભૂખ છે. એનું માથું આકાશને અડે છે. પછી ઝૂકીને આખો અરબી સમુદ્ર પીએ છે. હાથ ઊંચા કરી તારા લઈને નવા અક્ષરમાં દુનિયાનો ઇતિહાસ લખે છે : અદ્ભુત કથા. હું મહાશ્વેતા દેવીની કેમિસ્ટ્રી સમજી ગયો. જેટલું લખાણ છે તે અનુભવના આધારે છે. માત્ર કલ્પનાના આધારે નથી. શબ્દનો કીમિયો એમની પાસે છે. એંસીની ઉંમર સુધી મહાશ્વેતા દેવીનું પોતાનું ઘર હતું નહીં. ભાડાના ઘરમાં રહેતાં હતાં. મારે ત્યાં પહેલી વાર આવ્યાં તો થયું ટચૂકડા મારા મકાનમાં રહેશે કે નહીં? સંકોચ હતો પણ સીધું કહી દીધું કે હું તો દાળભાત જ ખાઈશ. ખરેખર મહાન વ્યક્તિ છે. એમની સાથે ફરવાનું થયું. સામાજિક કામ કેવી રીતે કરવું, ક્યાં બંધ કરવું, એમની પાસેથી શીખ્યો. મહાશ્વેતા દેવીએ એમના સામાજિક કાર્યને સત્તાની લાલસામાં કદી ફેરવ્યું નથી. આપણે જોઈએ છીએ મોટા ભાગના સામાજિક કાર્યકરો ક્યારે રાજ્યસભામાં પહોંચીશું એવો વિચાર કરતા હોય છે. મહાશ્વેતા દેવીની સેવા નિ:સ્વાર્થ ભાવે થતી હોય છે. આથી જ દેશના સમજુ લોકો એમની તરફ દેશની માતાના આદરભાવથી જુએ છે.

આપણા દેશને ફ્રૅન્કફર્ટના બુક ફેરમાં પ્રમુખ સ્થાન 2008માં આપવામાં આવ્યું હતું. ત્યારે ફ્રૅન્કફર્ટ બુક ફેરના પ્રમુખ અતિથિ મહાશ્વેતા દેવી હતાં. ત્યારે તેમણે ત્યાં એવી વાત કરી કે હું એવા દેશમાંથી આવી છું જ્યાં હૃદય જે જગ્યાએ હોવું જોઈએ તે જગ્યાએ રાખવાવાળા ઘણા બધા માણસો છે.

સહ્યાદ્રિ એ હિમાલય નથી અને હિમાલય એ સહ્યાદ્રિ નથી. એટલે હું જે છું એ છું. મારા માટે આ બધી સામગ્રી છે. એને લખવાના ખપમાં લઈશ. નદી જેવું જીવન છે. એટલે નદી વહે છે, એનો કોઈ ખાસ ફિક્સડ કોર્સ હોતો નથી. ‘વાનપ્રસ્થ’ પુસ્તક મેં મરાઠીમાં લખ્યું. અનુભવ આધારિત એ પુસ્તક. આ પુસ્તકમાં હું કઈ રીતે જંગલમાં ગયો, જંગલમાં શું જોયું એની વાત છે. આજકાલ હું હિમાલયમાં ફરું છું. આને સંન્યાસ નહીં કહું, કારણ કે હું સાધુ નથી. ખરાબ માણસ છું, એવું માનું છું. થોડું ઘણું અનુભવું છું, કદાચ તે વિશે લખીશ. લગભગ આફ્રિકા અને દક્ષિણ અમેરિકાના પ્રદેશ બાદ કરતાં ઘણા દેશોમાં ફર્યો છું.

મને શહેરો જોવામાં ઘણો રસ. ખાસ કરીને એમની નાની નાની ગલીઓ. એમાં હું કલાકો સુધી ફરતો રહું છું. ફૂટપાથ ઉપર લોકોને જોવા એ મને સૌથી વધારે સુખકર લાગે છે. બાર્સિલોના મારું ગમતું શહેર. એન્ટોનિન ગૌડીનું આર્કિટેક્ચર ખૂબ જ ગમે છે. જાણે એનો કોઈ અંત નથી. જે અનંત છે એવી વસ્તુ મને આકર્ષે છે. જર્મનીમાં લાઇપઝિગ શહેર પણ ખૂબ ગમે છે, પછી ફ્રાન્સ. અહીં એવાં શહેરો છે, જે માત્ર પહેલા માળે છે. જમીન માત્ર વાહનો માટે. લોકો, દુકાનો, બધું પહેલા માળે છે. રશિયન મોડેલ પ્રમાણે આ છે. અહીં હું થોડો અસ્વસ્થ થયો છું. પણ મારું સૌથી ગમતું જો શહેર તો તે છે આપણું કોલ્હાપુર.

કોલ્હાપુરમાં પહેલવાન હતા. ભેંસો હતી. એ ઘરે આવતી અને દૂધ મળતું હતું. ત્યાંના લોકો રસ્ટિક છે. ઇલાકો આખો ખેતીપ્રધાન. વડોદરા શહેર પણ મને ખૂબ ગમે છે. વડોદરામાં કલા માટે પૂરતી તક ઊભી કરવામાં આવી છે. અહીં ચિત્રકાર છે, સંગીતકાર છે, સર્જક છે. વડોદરામાં મેં ખાસ આક્રમકતા જોઈ નથી. એકબીજાને નીચું દેખાડવા માટે જીવવું એ વડોદરાનો સ્થાયીભાવ નથી. જો કે વડોદરા અત્યારે છે એ પૂર્વે ઘણું સુંદર હતું. એવું વડોદરા ફરી બને તો સારું. શ્રીલંકા ગયો તો ત્યાં જોયું, અનંતકુમાર સ્વામીના નામે રસ્તો છે. જ્યારે વડોદરામાં સુરેશ જોષીના નામે રસ્તો નથી. ભૂપેન ખખ્ખરના નામે નથી. આ અયોગ્ય લાગે છે. ઉમાશંકર જોશી, ભાયાણીસાહેબ, સુરેશ જોષી, ભૂપેન ખખ્ખર જેવા સર્જકોનાં નામ મૂકાવાં જોઈએ. પિકાસો જેટલાં મકાનોમાં રહ્યા છે તે દરેક મકાનોમાં પિકાસો મ્યુિઝયમ છે. બાર્સેલોનામાં છે, ફ્રાન્સમાં પણ છે, પેરિસમાં છે. પિકાસો કઈ કેફેમાં કોફી પીવા જતા હતા એ જે તે કેફે ત્યાં દર્શાવે છે. આ બધું આપણી સાંસ્કૃિતક સ્મૃિત જીવતી રાખે છે.

હવે લિંગ્વિસ્ટિક સર્વેના 40 વોલ્યુમ આવશે. 8 છે દેશી ભાષામાં, 12 હિંદી ભાષામાં અને 20 અંગ્રેજી ભાષામાં. આશરે 30,000 પાનાંનું કામ થશે. બધું પૂરું કરતાં દસેક વર્ષ નીકળી જશે. પછી ઇચ્છા છે ‘ગીતા’ પર ભાષ્ય લખવું. ભગવદ્ગીતાએ મને ઘણો આધાર આપ્યો છે. તાકાત આપી છે. હું ‘ગીતા’ તરફ અલગ દૃષ્ટિથી જોઉં છું. સંજોગવશાત્ ભ્રમણમાં ક્યારેક નવરાશ મળતી રહેશે ત્યારે હું બેસીને ‘ગીતા’ વિશે લખીશ. સાથે સાથે ભારતના શહેરો ઉપર લખવું છે. શહેર, રસ્તા કે મકાનોના આધારે નથી થતા. જીવનના આધારે બને છે : પોળોના આધારે બને છે, ગલીઓના આધારે બને છે. ઇતિહાસના અનેક સ્તરો સમાવી લે તે પ્રકારનું શહેર, શહેર બને છે. તો એના વિશે લખવાની ઇચ્છા છે.

મારાં લગ્ન ન્યાતમાં થયાં નથી. પત્ની કર્ણાટકનાં છે મુસ્લિમ, હિંદુ, ખ્રિસ્તી નથી પણ અન્ય ધર્મનાં છે. અમે બંનેએ મળીને લગ્ન નક્કી કર્યાં. એક સાથે પી.એચ.ડી. કરી. એક જ દિવસે થિસિસ સબમિટ કરી. મારા પત્નીએ આજ સુધી મારી પાસેથી કદી સાડી કે સોનું કે ચાંદીની અપેક્ષા રાખી નથી. મારા ઘરમાં સોનું કે ચાંદી નથી. પત્ની સાથ આપે છે એટલે જ આ જે છે તે કરી શક્યો. ગાડાનાં અમે બે પૈડાં છીએ. પૈડાં સાથે ચાલતાં હોય તો ગાડું ચાલે. નસીબથી પત્ની ખૂબ બુદ્ધિશાળી, પ્રતિભાશાળી, સદ્વિચારનાં અને નિર્ભય છે. નિર્મોહી હોવાને કારણે નિર્ભય છે. તો એમની પાસેથી પણ ઘણું બધું શીખ્યો.

મને કંઈ મેળવવાની મહેચ્છા નથી. આથી ઘણું બધું નુકસાન કર્યું છે. મારું કાર્ય પૂરું કરીશ અને ચૂપચાપ જતો રહીશ. હું લગભગ ચાલીસનો હતો ત્યારે ‘ગીતા’નું વાંચન શરૂ કર્યું હતું. મને લાગ્યું કે મૃત્યુનો ભય હોવો ન જોઈએ. મને સંપત્તિ મળી જાય એવી ઇચ્છા રાખી નથી. ફરી વખત યાદ કરાવું છું કે હું ખરાબ માણસ છું. સાધુનાં કપડાં પહેરતો નથી, પહેરીશ પણ નહીં. મંદિરમાં જતો નથી. જે પણ છે તે દિલ-દિમાગમાં છે. લગભગ પિસ્તાળીસની ઉંમર પછી દવા લેવાનું બંધ કર્યું છે. એક વાર સાપ કરડ્યો. ત્યારે પણ દવા લીધી નહોતી એટલે મૃત્યુનો ભય રહ્યો નથી અને એનો વિચાર આવતો નથી. મૃત્યુ આવે તો એને નિર્મમતાથી સ્વીકારી શકીશ. હું જીવન અને મૃત્યુ – અ બે અલગ સ્થિતિ હોય છે એવું નથી માનતો. મૃત્યુથી કોઈ અન્ય લોકમાં પહોંચીશ એવું પણ નથી માનતો. એવું ચોક્કસ માનું છું કે આપણે અન્ય સમયમાં પહોંચીશું. એ વીતી ચૂકેલો હશે. સમય એટલે જ એ જતો રહેવાનો. એટલે આપણે એવા અન્ય સમયમાં, જે વીતી ચૂક્યો છે એવા સમયમાં સમાઈ જવાનું છે. આપણી દોડ સમય સાથે છે. સમય આપણાથી બળવત્તર છે. એની સામે એક ક્ષણ એવી આવશે કે આપણે દોડવાની તાકાત પૂરી થશે. ત્યારે આપણે ત્યાં ઊભા રહેવાનું. એટલે જ્યાં સુધી ચલાય, ચાલવાનું. ન ચલાય ત્યારે ઊભા રહેવાનું. સમય તો આગળ ચાલતો રહેશે. દુનિયા ચલતી રહેગી.

સૌજન્ય : “સાહચર્ય”, વાર્ષિકી : 2013; પૃ. 31-49          

Loading

How Can There Be an Indian Lincoln Mr Udit Raj?

Ram Puniyani|English Bazaar Patrika - OPED|31 August 2016

Dalit activist and the ruling Bharatiya Janata Party (BJP) member of parliament in the Lok Sabha, Udit Raj, in his recent article in the Indian Express titled"‘Where is The Indian Lincoln" highlights some pertinent questions and brings forth the issue of the caste related atrocities. But he goes on to hide things which are more crucial to the process of caste annihilation.

He is on the dot when he says that atrocities against Dalits are due to a mindset which regards them inferior. While this explains how such acts have been taking place earlier as well as now, he undermines the fact that this mindset is due to a political ideology which upholds the caste system in a subtle way.

What he hides is the fact that such atrocities have gone up during past two years. What he does not state is that the Jhajjar violence in Haryana was legitimised by late Vishva Hindu Parishad (VHP) leader Acharya Giriraj Kishore, who belonged to Udit Raj’s political family called Sangh Parivar.

It is true that many countries in Europe could do away with birth based hierarchy of class and gender due to industrial revolution ushering in a journey towards substantive democracy.

India could not achieve such a desirable goal due to the objective restraints imposed by the colonial rule. The industrial revolutions of the West did away with the feudal classes along with their feudal mindset which was justifying the birth-based hierarchies.

In India due to the colonial rule, we have seen the birth of modern institutions along with the foundation of modern society. The foundation and the growth of Indian nationalism did aspire for the formal equality of all irrespective of caste, religion and gender.

Colonial masters in India were least interested in doing away with feudal powers. ‘Feudal-Clergy’ nexus persisted and gave rise to nationalism in the name of religion. Both Muslim nationalism and Hindu nationalism thrived.

The pace of change in colonies is not comparable to the other places where the industrial class along with workers and women combine overthrows the social and political alliance of the feudal-clergy combine.

So in colonies the process of secularization remains arrested and in post colonial societies the feudal mindset persists with the patronage of the certain sections of society.

In these societies the meaning of the word revolution has to be restricted to social transformation. The day to day efforts for social transformation are the revolutionary steps in that sense. India had its own trajectory.

Starting with Jotirao Phule, the Dalits started a slow and long journey towards equality. The journey for women’s equality begins with Savitribai Phule. These streams are totally opposed by the conservative religious elements. These conservatives later crystallize themselves as Muslim League on one side and Hindu Mahasabha-RSS on the other.

The march of Indian nationalism accommodates Ambedkar in some form. While he struggles for social democracy through means of temple entry (Kalaram Mandir), access to public spaces (Chavdar Talao), he goes on to support the burning of Manusmriti and states his resolve for the social equality. We can’t be mechanistic in understanding revolution in diverse societies.

These steps like those of Jotirao, Saviritibai and Ambedkar, Periyar are revolutionary. These are hesitantly supported by Indian nationalism and totally opposed by Hindu nationalism.

Gandhi, a symbol of Indian nationalism, did his best to oppose untouchability, while his stand on reserved constituency can be questioned. Nehru, the architect of modern India, later oversees Ambedkar formulate a Constitution which not only gives formal equality to all but also affirmative reservations to the Dalits.

Nehru’s attempt to bring in reforms like the Hindu Code bill are sabotaged by conservatives within his party and conservatives and Hindu nationalists outside his party.

The persistence of subordination of Dalits is mainly due to the persistence of mindset of Hindu nationalism, which even had opposed the Indian Constitution when it was being formed.

The Hindu nationalists have been strong opponents of reservations all through; this is what led to anti Dalit riots in Ahmedabad in 1981 and the anti OBC violence again in Ahmedabad in 1986.

The Hindu nationalist BJP intensified its Ram Temple movement in the wake of Mandal Commission implementation.

Udit Raj is right that those perpetrating crimes have not been punished, but that again is due to the prevalent mindset, which has its roots in Hindutva ideology, which spills beyond the parties and organisations working for a Hindu Rashtra (nation) directly.

While longing for revolution is good, ignoring the revolutionary changes at slow speed is disastrous and the likes of Udit Raj sitting in the lap of the BJP, which has been the vehicle of counter revolution as far as social changes are concerned, is a big setback to the process of social change.

Since BJP is the political arm of RSS, which aspires for a Hindu nation, Hindutva via Hindu nationalism, Raj is contributing precisely to the processes which are hampering the transition of caste equations towards those of equality.

If he wakes up to realise as to how mindsets are formed, he will realise that among other things his party has been transforming national institutions towards the values which will promote an anti-Dalit mindset.

Just one example from many such incidents is the one where the BJP has appointed one Sudarshan Rao as head of Indian Council of Historical Research (ICHR). Rao argues that the caste system had no problems and nobody had complaints against that.

RSS, BJP’s ideological patron, goes on to say that all castes were equal and problems came in due to the invasion of Muslim kings!

All this is putting the wool in the eyes of society to perpetuate the ideology which is inherently castiest and leads to the strengthening of mindset which looks down upon Dalits.

So a Rohith Vemula or a Una violence happens.

If Indian Nationalist movement was a mini revolution, the present politics being unfolded by Hindu nationalism is a counter revolution, duly supported by the likes of Udit Raj.

And lastly, if one concedes that there has been no Lincoln in India, one can also look forward to the post Rohith Vemula-Una upsurge of youth, Dalits and non-Dalits, which is going in the direction of caste annihilation!

Saturday, August 27, 2016

Loading

ભાષા-હિમાલય

ગણેશ દેવી|Opinion - Literature|31 August 2016

તેજગઢમાં આદિવાસી અકાદમીની સ્થાપના 1996માં કરવામાં આવી. ત્યાં દસેક વર્ષ કામ કર્યા પછી એવો વિચાર આવ્યો કે હવે દેશના પર્વતીય વિસ્તારોમાં અને દરિયાકિનારે રહેતા લોક-સમુદાય સાથે કામ કરવું જોઈએ. આઝાદી પછીના સાત દાયકામાં જે રીતે આદિવાસીઓની ભાષા અને સંસ્કૃિત ભૂંસાતી ગઈ તે જ રીતે દરિયાકિનારાના અને હિમાલયમાં વસેલા સમુદાયોનું પણ ભાષિક અને સાંસ્કૃિતક ધોવાણ થતું આવ્યું છે. મેં વિચાર્યું, આરંભ હિમાલયથી કરીએ. આ વિચાર સાથે સૌથી પહેલાં હિમાચલ પ્રદેશ પહોંચ્યો. જે આદિવાસીઓનાં કામ માટે વર્ષો સુધી ગુજરાતના તેજગઢમાં ત્યાંના લોકોને સાંભળવા સમય વિતાવવો પડ્યો તે જ રીતે હિમાચલ પ્રદેશના લોકોને સમજવા ખાસ્સો સમય આપવો પડ્યો.

હિમાચલ પ્રદેશના સૌથી ઊંડાણના વિસ્તારોમાં કિન્નૌર અને લાહુલ-સ્પિતિ જિલ્લો છે. સિમલાથી કિન્નૌર જવાનો રસ્તો વર્ષમાં કમસે કમ 10-11 મહિના ખુલ્લો રહે છે, પણ મનાલીથી કેલાંગ (લાહુલ-સ્પિતિ) જવાનો રસ્તો વર્ષમાં માંડ ચાર કે પાંચ મહિના જ ખુલ્લો હોય છે. રોહતાંગ ઘાટ પાર કર્યા પછી કેલાંગ વિસ્તારની શરૂઆત થાય છે. કેટલાકે તો આ વિસ્તારને સફેદ રણ તરીકે વર્ણવેલો છે.

કિન્નોર પહોંચવાનો માર્ગ : નેશનલ હાઇવે 22 [છબો સૌજન્ય : ગૂગલ ઇમેજિસ]

2008માં કેલાંગ ગામે હિમાલયન સંસ્કૃિતના જતન માટે એક સામૂહિક સાંસ્કૃિતક કેન્દ્ર ઊભું કરવાનું નક્કી કર્યું. હિમાચલ પ્રદેશ સરકારની સહાયથી 2009માં આ કેન્દ્રની સ્થાપના થઈ. મને યાદ છે કે જે દિવસે કેન્દ્રની સ્થાપના થઈ તે દિવસે લાહુલ અને સ્પિતિ, બન્ને વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં સ્થાનિક લોકો, બહેનો આ કેન્દ્ર સુધી પારંપરિક ગીતો ગાતાં અને વાદ્યો વગાડતાં વગાડતાં ઊમટ્યાં હતાં. ત્યાં તેમનાં પારંપરિક ગીતો ગાઈ અને નાટકની ભજવણી કરી તેમનો મહદ્ આનંદ વ્યક્ત કર્યો હતો. મને લાગ્યું કે હવે પછી કેલાંગમાં જ રહી સાધના માર્ગ સ્વીકારવો યોગ્ય રહેશે. પણ જેમાંથી દુનિયા સઘળી સર્જાઈ એ શબ્દ અને ધ્વનિ વિશેનું ઘણું બધું કામ કરવાનું બાકી રહ્યું હતું. એ દિશામાં આગળ પગલાં લેવા નક્કી કર્યું કે 2010ના ઉનાળા દરમિયાન હિમાલયમાં વસેલાં તમામ રાજ્યોને કેન્દ્રમાં રાખી ભાષા વિશેની કાર્યશાળા ગોઠવવી.

કેલાંગ કાર્યશાળામાં કાશ્મીર અને જમ્મુ તેમ જ લડાખથી સાહિત્યકારો, સર્જકો, ભાષાપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા. સાથે સાથે ઉત્તરાખંડથી તેમ જ ઉત્તર બંગાળના લેપ્ચા સમાજમાંથી પણ અભ્યાસીઓ આવ્યા. ખુદ હિમાચલ પ્રદેશના ઘણા બધા સામેલ થયા જ હતા. મે મહિનામાં મુંબઈ કે વડોદરામાં એ.સી. વગર એકાદ કલાક ગાળવો પણ અશક્ય હોય છે. જ્યારે અહીં કેલાંગમાં કમસે કમ બે-ત્રણ સ્વેટર પહેર્યા વગર જીવવું મુશ્કેલ હતું. સાંજે બરફ બની ગયેલા પાણીને ગરમ કર્યા વગર પી ન શકાય. કાર્યશાળાના દિવસોમાં એક દિવસ અચાનક ઉપરથી બરફનો વરસાદ થવા માંડ્યો. ભાષાના વિચાર ભૂલી, દિમાગમાં મૃત્યુના વિચાર આવવા લાગ્યા. પણ એ દિવસોમાં હિમાલયનાં ત્રણેક રાજ્યોના ભાષિક સર્વેનો કાચો મુસદ્દો ઉપસી આવ્યો. હવે મને દરિયાકિનારે પહોંચવાનો વિચાર સતાવવા લાગ્યો.

પછી હું આંધ્રપ્રદેશ ગયો, ત્યારબાદ કેરળ પહોંચ્યો. અંદામાન અને નિકોબાર, પોંડિચેરી અને તામિલનાડુ આવી પહોંચ્યો. ગોવા ગયો. ત્યાર પછી અન્ય રાજ્યોમાં ભ્રમણ કરવાનું શરૂ કર્યું. આસામ, મેઘાલય, ત્રિપુરા, નાગાલેન્ડ ગયો. બંગાળ, ઓરિસ્સા, બિહાર ગયો. પંજાબ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ સુધી પહોંચ્યો. ભારતની તમામ ભાષાઓનો સર્વે કરવાનું નક્કી કર્યું. આ કામ હિમાલય જેવડું હતું, એની સામે હું મંકોડા જેવો. છતાં મને લાગ્યું કે હિમાલયમાં સાધના કરવાને બદલે હિમાલય જેવડી સાધના કરવી વધુ સારી. એક-દોઢ વર્ષમાં દેશના દરેક હિસ્સામાં, રાજ્યોમાં, જિલ્લાઓમાં ભાષાપ્રેમીઓને એકઠા કર્યા. લગભગ 3000થી પણ વધારે વ્યક્તિ આ કાર્યમાં તન-મનથી સામેલ થઈ. લગભગ 35000 પૃષ્ઠોની મૂલ્યવાન સામગ્રી ભેગી કરી. પચાસ ખંડોમાં આ સામગ્રીનું પ્રકાશન કરવાનું નક્કી કર્યું. 780 ભાષા માહિતીરૂપે ઉજાગર થઈ. અંતે મને લાગ્યું કે જે હિમાલયની મને ખોજ હતી તે ભાષા-હિમાલય હતો. સારું લાગ્યું, પણ આ બધું શા માટે ?

ગત બે દશકોમાં ભાષા-વિજ્ઞાનીઓએ ભાષાના અસ્તિત્વનું પૂર્વાનુમાન કરતા ગાણિતિક નમૂના રજૂ કર્યા. નિરપવાદરૂપે આ અનુમાનોએ સૂચવ્યું કે માનવજાતની ભાષાની વિરાસતનો એક બહોળો ભાગ લુપ્ત થવાના આરે ઝડપથી ધપી રહ્યો છે. આ અનુમાનો, આ તોળાતું સંકટ ચોક્કસ રીતે કેટલા મોટા પ્રમાણમાં હશે તે વિષે એકમત નથી, તેમ છતાં સર્વે એક તથ્ય પર સહમત છે કે આજની જીવંત સઘળી ભાષાઓમાંથી, હાલમાં ત્રણ-ચતુર્થાંશ ભાગ કે તેથી પણ વધારે ભાષાઓ મૃત:પ્રાય અવસ્થામાં છે. બીજી તરફ ભાષાના વૈશ્વીકરણના તરફદારો છે. તેઓ એક અથવા જૂજ ભાષાઓના સાર્વત્રિક પ્રસારને આવકારે છે. જેથી કરી પ્રત્યાયનની પ્રક્રિયા દેશના સીમાડાઓ ઓળંગીને લોકભોગ્ય બની રહે. દેખીતી રીતે એ એવા દેશો અને સમુદાયો, જેમણે એક ભાષામાં સીમિત રહેવાનું કોઠે પાડી દીધું છે. એમનો આર્થિક વ્યવહાર પોતાની ભાષા ઉપરાંત અન્ય ભાષા પર અવલંબતો નથી. એમની જ્ઞાનપરંપરાઓ પોતાની ભાષામાં સુરક્ષિત છે. આથી ભાષા લુપ્ત થવાની પીડાઓ અનુભવી શકે નહીં. વળી આમ ભાષા લુપ્ત થતાં માનવના બૌદ્ધિક અને સભ્યતાના વૈશ્વિક સમુચ્ચયનો જ હ્રાસ થશે. એ દરેકને અનેકવિધ, આડકતરી રીતે પણ કમજોર કરતી અસરો પહોંચાડશે, કારણ કે સઘળી સૃષ્ટિમાં ભાષા એક જ એવી હસ્તી છે જે આપણને માનવ બનાવે છે, અન્ય જીવસૃષ્ટિ અને ચેતન પ્રકૃતિથી આપણને અલગ દરજ્જો આપે છે. માનવીય ચેતન-શક્તિ વાચિક અભિવ્યક્તિના પ્રભાવથી કાર્યરત છે ત્યારે એવી પરિસ્થિતિમાં ભાષાને માનવ સંસ્કૃિતની એક મહામૂલી મૂડી ગણવી જોઈએ. આ મહામૂલી મૂડી સંચિત કરતાં આપણને આશરે પાંચ લાખ વર્ષોનો અવિરત શ્રમ કરવો પડ્યો છે. હવે આપણા સમયમાં આપણે આ સંચિત પૂંજીને મહદંશે ખોઈ બેસવાના આરે ઊભા છીએ. કેટલાંક ભવિષ્યકથનો અનુસાર હાલે અંદાજિત 6000 જીવંત ભાષાઓમાંથી ફક્ત 300 જેટલી ભાષાઓ જ બાવીસમી સદીમાં અસ્તિત્વ ધરાવતી હશે. અલબત્ત, ભાષાઓના સઘન અન્વેષણના અભાવમાં એ કહેવું મુશ્કેલ છે કે ખરેખર કુલ કેટલી ભાષાઓ જીવંત છે. વળી આમાંથી કેટલી ભાષાઓ અને કઈ ભાષાઓ ચોક્કસરૂપે આવનારા સમયમાં ટકી શકશે? આમ જોઈએ તો દરેક ભાષાના ઇતિહાસના વિચિત્ર અને ક્યારેક સાવ અણધાર્યા વળાંકો હોય છે, જેમ કે ભારતની અમુક આદિવાસી ભાષાઓમાં, દાખલા તરીકે ભીલી ભાષામાં, જોવા મળતી ચડતીનો પ્રવાહ તે બધી સ્થાપિત સામાજિક-ભાષાકીય ધારણાઓને પડકારે છે. ઇતિહાસ જોતાં એવું પણ જોવામાં આવ્યું છે કે સમર્થ રાજ્યોની નિશ્રામાં રહેલી મહાન ભાષાઓ પણ કાળક્રમે વિઘટન પામી હાંસિયા પર ઊભરતાં નવાં શક્તિ-કેન્દ્રોના પ્રભાવે, નવી ભાષા સ્થાપિત થઈ હોય. પરંતુ જ્યાં એક બાજુ આવા આશ્ચર્યજનક અપવાદો જોવા મળે છે અને ભવિષ્યમાં પણ જોવા મળતા રહેશે, ત્યાં બીજી બાજુ જુદા-જુદા નાઈજીરિયા, મેક્સિકો, પપુઆ ન્યુ ગિની, ઇન્ડોનેશિયા અને ભારત જેવા દેશના લોકોનો અનુભવ કહે છે કે મોટા ભાગની ભાષાઓ વાણિજ્ય અને વાક્-વ્યાપારનાં ક્ષેત્રોમાં નોંધપાત્ર ઘટાડાના તબક્કામાંથી પસાર થઈ રહી છે. એવું પણ જોવા મળે છે કે બિન-વૈશ્વિક ભાષા બોલનારા લોકોની જટિલ સંકુલ વિચાર અભિવ્યક્તિની ક્ષમતામાં ચોંકાવનારો ઘટાડો થયો છે. સાથે બહુધા ભાષાઓમાં શબ્દોની અર્થચ્છાયા ક્ષીણ થતી ગઈ છે.

સભ્યતાના ઇતિહાસકારો જણાવે છે કે સાવ સરખી નહિ તો ય સંભવત: સરખાવી શકાય તેવી પરિસ્થિતિ લગભગ સાતથી આઠ હજાર વર્ષો પહેલાં નિર્માણ પામી હતી. આવું ત્યારે થયું જ્યારે માનવે કુદરતના ચમત્કાર રૂપી બીજની ખોજ કરી. શિકાર-પ્રવૃત્તિ અથવા પશુસંવર્ધન પર સંપૂર્ણ આધરિત અર્થવ્યવસ્થા, પછીથી કૃષિ આધારિત અર્થવ્યવસ્થામાં પરિવર્તન પામી ત્યારે, એવું કહેવાય છે કે, વિશ્વના ભાષાવૈવિધ્યને ગંભીર અસરો પહોંચી. અહીં એવું અનુમાન કરવું અયોગ્ય નહિ ગણાય કે માનવ ભાષાઓની વર્તમાન કટોકટી પણ મૂળભૂત અર્થવ્યવસ્થાના પરિવર્તનને આભારી છે, જેણે સમગ્ર વિશ્વને-ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ – ચારેબાજુથી આવરી લીધું છે. આ વખતે, અલબત્ત, વધુ એક ચિંતા ઉમેરાઈ : મોટા ભાગની માનવ પ્રવૃત્તિ, માનવ બુદ્ધિ(man made intelligence)ના પ્રભાવ હેઠળ થાય છે. જ્યારે અનેક માનવ પ્રવૃત્તિ કૃત્રિમ બુદ્ધિ (artificial intelligence) સાથે સંકળાયેલી તકનિકો સંપૂર્ણપણે માનવ મનના વ્યવહાર અને વાક્-વ્યાપારનાં માળખાં પર નિર્ભર છે. ચેતાકોષીય અને મનોભાવના સંચલન પર આધારિત બુદ્ધિશાળી યંત્રોનું ચલણ હજી સર્વસામાન્ય નથી. માનવ સમુદાયને જોડતાં અર્થનાં નિર્ધારિત વિશ્વોમાં ભાષા આધારિત તકનિકી હવે સહભાગી બની છે. આથી તે બધાં વિશ્વો (અથવા વિશ્વ) પુન: રચિત અને પુન: નિર્મિત થઈ રહ્યાં છે. સાંપ્રત પરિસ્થિતિમાં સઘળું તાત્ત્વિકરૂપે વિચારી શકાય અથવા સમાજશાસ્ત્રીય સૂત્રો વડે નિર્દેશિત કરી શકાય, પરંતુ વાસ્તવમાં તો એ લોકજીવન જ છે, જે અસરગ્રસ્ત થઈ રહ્યું છે. વિલક્ષણ સંક્રાંતિકાળમાં એવા સમુદાયોનો અવાજ ગૂંગળાઈ જાય છે, જેઓ બિનલાભાન્વિતમાંના હોય છે. જોડણીકૃત આલેખનની વ્યવસ્થામાં સ્થાન નહિ પામી શકેલી ભાષા જાણે એક બોજારૂપ જવાબદારી, પ્રગતિનો રકાસ કરનારી અને પછાતપણાની નિશાનીરૂપે જોવામાં આવે છે. આવી ભાષાઓમાં નિહિત જ્ઞાનભંડારને અ-જ્ઞાન ગણી તુચ્છકારી દેવાય છે. અગાઉ જણાવેલા દેશો, જેમણે સદીઓ બાદ વિપુલ ભાષાઓ વિકસાવી, તેઓના વિવિધ અંદાજો પરથી મળતા આકલન અનુસાર પાપુઆ ન્યુ ગિની (900), ભારત (700), ઇન્ડોનેશિયા (600), નાઇજીરિયા (400), મેક્સિકોમાં (300) ભાષાઓ હતી, પરંતુ આજે તેઓ પોતાની સાંસ્કૃિતક મૂડી સમા આ વિધવિધ ભાષાબાહુલ્યને ભૂલી રહ્યા છે. આપણા દેશમાં 1971ની વસ્તીગણતરીની પ્રક્રિયા બાદ સંબંધિત સત્તાધીશોએ ઠેરવ્યું કે 10,000થી ઓછા લોકો વડે બોલાતી ભાષાની આંકડાકીય માહિતી ખુલ્લી પાડવી જરૂરી નથી. આને કારણે આવી ભાષાઓને, ભારત જેવા દેશમાં જ જે પુરાતનકાળથી ભાષાઓનું ગણરાજ્ય રહ્યું છે, ગેરવતની ઠેરવી દેવાઈ. 1970ની વસ્તીગણતરી દરમિયાન લેવાયેલો આ નિર્ણય સાવ જ બેહુદો હતો કે અણધાર્યો ન હતો. આ પ્રક્રિયાનો આરંભ સામ્રાજ્યવાદના સમયમાં થયો, જ્યારે ભારતની ફક્ત બે ટકા જેટલી ભાષાઓ મુદ્રિત થતી હતી. વધુમાં એ સમય બૌદ્ધિક ઇતિહાસની પરાકાષ્ઠાનો હતો, જે પાછલી બે સદીમાં ઘડાઈ રહ્યો હતો.

1970ના દશકમાં મેં ગ્રિઅર્સનનો ‘સર્વે’ પ્રથવ વાર વાંચ્યો. એક નવવાચક રૂપે મને એ મહાન કૃતિમાં સૌથી વધુ પ્રભાવિત કરતી તેમની ભારતીય ભાષાઓની વિસ્મયજનક જાણકારી ન હતી કે નહીં દુર્નિવાર કસોટીઓ પાર પાડી કાર્ય સંપન્ન કરવાનો તેમનો દૃઢ નિર્ધાર. અહીં. એ કહેવાની જરૂર નથી કે કોઈ પણ પાઠક આનાથી પ્રભાવિત થયા વિના ન રહી શકે, પરંતુ મને ગ્રિઅર્સનના સર્વેમાં સૌથી વધુ નોંધનીય લાગ્યું તેમના કાર્યમાં રહેલો અમુક અવકાશ. વીસમી સદીના આરંભમાં જ આ અહેવાલમાંથી એમના દ્વારા દસ્તાવેજીકરણ થયેલી 179 ભાષાઓમાંથી લગભગ 165 જેટલી ભાષાઓના ધીમા અંતનો અણસાર આપણને મળે છે. ગ્રિઅર્સનની ભાષાકીય ‘ડિસ્ક્વરી ઑફ ઇન્ડિયા’ અને એમના સમર્થ પુરોગામી સર વિલિયમ જોન્સ દ્વારા કરાયેલી સમાન શોધની તુલનાએ આવતું કોઈ પણ પ્રકારનું કાર્ય આજ સુધી મારી જાણકારીમાં નથી. જોન્સ ભારતમાં જોવા મળતી ‘વિવિધ’ પ્રકારની ભાષાઓથી રોમાંચિત હતા. આમ છતાં તેમના સમયમાં કુલ કેટલી ભાષા વિદ્યમાન હતી તે જાણવાનો એમની પાસે કોઈ માર્ગ ન હતો. એની સામે ગ્રિઅર્સનના આલેખનમાં કંઈ ખાસ ‘યુરેકા’ જેવી વાત ન હતી. ગ્રિઅર્સનના સર્વેના ખંડો જોતાં વાચક એવી છાપ કેળવશે કે તેમાં મહદંશે ગ્રામ્ય પ્રભેદો જ છે, જે ફક્ત બાલીશ ગીતોના સંગ્રહ માટે કે પછી નૃવંશશાસ્ત્રને સહાયક લોકવિદ્યાના કોઈ જાણકારને જ ખપમાં આવે. એમણે વર્ણવેલી આશરે બસ્સો ભાષા સાથે પાંચસોથી વધુ ‘બોલીઓ’નો ઉલ્લેખ કર્યો છે. ગ્રિઅર્સનના મહાન કાર્યનું આ અંકગણિત એમના મૂળભૂત પૂર્વગ્રહનું દ્યોતક છે. ભારતને સભ્યતાના એક અજ્ઞાત ઉપખંડ રૂપે ખોજતા વિલિયમ જોન્સના કાર્યના દેખીતા હર્ષોન્માદ છતાં ય સંભવત: આ પૂર્વગ્રહનું મૂળ ગ્રિઅર્સનની રચનામાં નિહિત છે.

ઉપેક્ષિત મૌખિક પરંપરા

ભારતની જૈવસાંસ્કૃિતક અને જ્ઞાન પરંપરાઓના બોધગામી વ્યાવર્તક વર્ગીકરણ અથવા જ્ઞાનકોટીઓ માટેના સઘન પ્રયત્નો, સૂચન અને ઘડતર રૂપે, સર વિલિયમ જોન્સના સમયથી આદરવામાં આવેલા છે. સાથોસાથ આજની વિસંસ્થાનીકરણની પ્રક્રિયાથી પણ, પાશ્ચાત્ય આધુનિકતાના સંદર્ભમાં પરંપરાગત જ્ઞાન અને સંસ્થાનકાલીન આવિષ્કૃત જ્ઞાન વચ્ચે સુમેળ સાધવાના પ્રયત્નોને બળ મળ્યું છે. પાશ્ચાત્ય જ્ઞાનકોટીઓ અને આપણી લોક સમુદાયોની પાઠ પરંપરા, એટલે કે મૌખિક ભાષા, વ્યવહારમાં નિબદ્ધ જ્ઞાન પરંપરાઓને સુસંગત બની રહે એવા જ્ઞાનના સંઘર્ષ કે સહકાર, ભારતના બૌદ્ધિક કલ્પનને વ્યસ્ત રાખે છે. જ્યારે મુખ્ય ધારાની જ્ઞાન સંસ્થાઓ-શાળાઓ, વિશ્વવિદ્યાલયો, અસ્પતાલો, ન્યાયાલયો વગેરેએ એવાં સ્વરૂપો ધર્યાં છે કે એ બધાં, ‘ભારતીય ઉપખંડની સભ્યતાના મહાનતમ પરિવર્તન’ સાથે સંકળાયેલી જટિલતાને ઘણી વખત અણદેખી કરે છે. આ પરિસ્થિતિ એક એવો બૌદ્ધિક પડકાર ઊભો કરે છે જે એકવીસમી સદીના ચિંતકોએ ઉપાડવો જ રહ્યો. આ જ્ઞાનકોટીઓમાં સૌથી મહત્ત્વપૂર્ણ તે એવાં ક્ષેત્રો છે જે ‘સભ્યતાના પરિવર્તનની તાણ’ને સહે છે. જેમ કે ભાષામાંની સર્જનાત્મક અભિવ્યક્તિ અને ભાષાવર્ણનો. સમકાલીન ભારતીય બૌદ્ધિકો માટેનું સૌથી મોટું કાર્ય છે ભૂતકાળ પરત્વે પુરાણપંથી બન્યા વિના, ભારતીય સૌન્દર્યશાસ્ત્રનું વિસંસ્થાનીકરણ કરવાનું તેમ જ સાંપ્રત સમયમાં ભાષા અને મૌખિકતાના સંદર્ભમાં વર્ણાત્મક કોટીઓનો પ્રશ્ન રજૂ કરવાનો. ‘ભારત ભાષા લોક-સર્વેક્ષણ’નું આ જ મહત્ત્વપૂર્ણ કેન્દ્રબિંદુ રહ્યું છે. ભાષાઓને વર્ણવવી એ ‘ભારત લોક-સર્વેક્ષણે’ હેતુ સાધવા અનુસરેલી પદ્ધતિ છે. આથી ‘ભારત ભાષા લોક-સર્વેક્ષણે’ જાણપૂર્વક ઇતિહાસમૂલક ભાષાશાસ્ત્રના પ્રશ્નો – જેવા કે ભાષાનું ઉદ્ગમ અને તેનું કુળ – વગેરેથી અંતર રાખ્યું છે. ચોક્કસ ‘ભાષાકુળ’ના સંદર્ભમાં સંબંધ સ્થાપી, ભાષાની ઓળખ નિર્ધારિત કરતા સિદ્ધાંતો ઉપરાંત, જોન્સથી માંડી ગ્રિઅર્સન સુધી, અને તે સિવાય અન્ય ઘણાઓમાં, જે સિદ્ધાંતનું ચુસ્તપણે પાલન થયું છે તે ભાષા અને બોલીના ભેદનું. આશરે ત્રણ દાયકાના મારા ચિંતન બાદ, વિવિધ પરિષદો તથા ‘ભારત ભાષા લોક-સર્વેક્ષણ’ના સંપાદક મંડળના મારા સહકર્મીઓ સાથે થયેલી અઢળક લાંબી ચર્ચાઓને અંતે એવું ઠેરવ્યું, કે કોઈ પણ ભાષાને બોલી તરીકે લેખવી નહિ. જે લોકો એવું માને કે બહોળો ભાગ જે ચોક્કસ ભાષા બોલે છે તે બોલી નથી, બલકે ભાષા છે, તો પછી તેને ભાષારૂપે જ સ્વીકારવામાં કોઈ હરકત નથી. પછી ભલેને ભાષાવિજ્ઞાન તે દાવાને સબળ ન ગણે. ભાષાશાસ્ત્ર માટે, જેણે પાછલી બે સદીઓમાં આશ્ચર્યજનક પ્રગતિ કરીને ખુદને અધ્યયન ક્ષેત્રમાં સ્થાપિત કર્યું છે એમના માટે, જટિલ અને અમૂર્ત વ્યાપારો વ્યક્ત કરવા વાચિક-ચિહ્નોના વ્યવહારની આસપાસ વ્યાપ્ત રહસ્ય સંબંધિત પ્રશ્નોના ઉત્તર આપવા, હજી લાંબો રસ્તો કાપવાનો બાકી છે. અહીં બોલીની વિભાવનાનો પ્રશ્ન પણ વણઉકેલાયેલા અન્ય પ્રશ્નોમાંનો એક છે.

ભાષા અને વાસ્તવ

માનવ ઉત્ક્રાંતિની પ્રક્રિયામાં અનેક રહસ્યો ધરબાયેલાં છે. આ પ્રક્રિયાની આપણી અપૂરતી સમજ આપણને તથાકથિત વૈજ્ઞાનિક પૂર્વધારણા ઘડવા પ્રેરે છે, પરંતુ આમાંની મોટા ભાગની પૂર્વધારણા એવી છે કે સદંતર વિરોધાભાસી પૂર્વધારણાઓ પણ એટલી જ પ્રતીતિજનક લાગે છે !

ભાષા એક સામાજિક સંસ્થા છે. માનવ ઉત્ક્રાંતિની મહાગાથાનાં કેટલાંક રહસ્યોની જેમ ભાષાના ઉદ્ગમની પ્રકૃતિ અને એની સંરચનાની સ્પષ્ટ શૃંખલા વગેરેનાં પણ કેટલાંક રહસ્યો છે.

શું વિશ્વની નિર્મિત ક્ષણે તેનો સહવર્તી કોઈ ધ્વનિ હતો ? શું પ્રાણીની ધ્વનિસંવેદનની શક્તિ પહેલાં ધ્વનિનું અસ્તિત્વ હતું? શું આદિશબ્દ – અનાહત ધ્વનિ – અને ધ્વનિજનક રજ્જુઓ (vocal cords) વડે સ્પંદિત ધ્વનિ એક જ સ્થૂળ ધ્વનિવર્ગ ધરાવે છે? શા માટે માનવપ્રાણીએ અર્થ-વ્યાપાર માટે ધ્વનિજનક રજ્જુઓ દ્વારા શ્વાસ નિયંત્રણની પસંદગી કરી, જ્યારે આંખો અથવા શરીરનાં કોઈ પણ અન્ય અંગો પણ (મધમાખીઓની જેમ) સમાન રીતે અસરકારક રહ્યાં હોય? આ બધા પ્રશ્નોના ઉત્તર આપવા સૈદ્ધાંતિક સ્ત્તરે શક્ય છે, પરંતુ એ ઉત્તરો તાત્ત્વિક વિધાનના સ્તરને ઓળંગાતા નથી. એ ઉત્તરો યથાર્થ હોય તો પણ સંપૂર્ણપણે નહિ. બુદ્ધિમત્તાના વિકાસમાં એક તબક્કે ધ્વનિજનક રજ્જુઓ વડે શ્વાસનું નિયંત્રણ, અર્થ-વ્યાપારની કેન્દ્રવર્તી સરણી બની રહી. ઉત્તરોત્તર રીતે અંકો અને વર્ણો, સંકેતોના ઊંચા ધ્વનિના દુયમપાલકો (surrogates) બની ગયા પછી શા માટે લિપિકૃત ભાષાએ સંપૂર્ણપણે ધ્વનિત ભાષાને વિસ્થાપિત કરી નહિ?

આજે જ્યારે શિશુની મનોસંરચનામાં નિહિત, ભાષાગ્રહણ ક્ષમતાના સિદ્ધાંતો ઘડાઈ ચૂક્યા છે ત્યારે, શા માટે હજુ સુધી પહેલા અક્ષર તરીકે ઓળખાતા ભૌમિતિક આકારો અને અક્ષરવાચક-ચિહ્નો (syllables) તરીકે ઓળખાતા માનવ ધ્વનિ સંબંધ પ્રસ્થાપિત કરતી નૈસર્ગિક શક્તિના સિદ્ધાંતની તજવીજ થઈ નથી?

‘અર્થ-વ્યાપાર’ એટલે આંગિક હાવભાવ, ધ્વનિ-નિયંત્રણ અને લિપિચિહ્ન તેમ જ આ ત્રણેયની પાર રહેલા અશબ્દ-અવકાશ-અધ્યાહાર અને અવિચલન વડે અભિવ્યક્ત થતો અર્થ. આથી ‘અર્થ’નો નિર્ધાર ચોક્કસપણે શાના દ્વારા થાય છે તેના વિષે કોઈ નિશ્ચિત નિષ્કર્ષ પર આવવું શક્ય નથી. વધુમાં વધુ અર્થનિર્ધારના સિદ્ધાંતો તાત્ત્વિક અનુમાનના સ્તરે જ સીમિત રહ્યા છે. વધારેમાં, હજુ સુધી ખાતરીપૂર્વક કહેવું શક્ય બન્યું નથી, શું અર્થ એ જ ભાષા? કે પછી અર્થ, ભાષા પહેલાં અવતરિત થયો? કે પછી વાચિક ભાષાથી સાવ જ નિરાળી બીજી અન્ય સામાજિક કે પારભૌતિક વ્યવસ્થા છે જે માનવ ભાષાને અતિક્રમવા સક્ષમ છે? એ સાચું છે કે ભાષા એક અનુભવજન્ય ઘટનારૂપે વ્યક્તિની અનુભૂતિની સીમામાં છે, પરંતુ એટલું જ સાચું એ પણ છે કે વ્યક્તિની જગતને અનુભવવાની શક્તિ, વાચિક ભાષાથી પ્રભાવિત હોય છે : આ તથ્યે આપણને એ નિષ્કર્ષ તરફ દોર્યા કે ભાષા એ એક સામાજિક વ્યવસ્થા છે.

અહીં થોડા પ્રશ્નો ઊભા થાય છે :શું ભાષા કોઈ ‘અર્થ’ છે કે પછી કોઈ સ્થૂળ ‘ચીજ’ છે? શું તે કોઈ ભૌતિક વિશ્વની મર્યાદાથી પર એવી ઊર્જા છે કે પછી નિતાંતરૂપે એક સામાજિક વ્યવસ્થા? શું તે વિકાસક્રમમાં માનવશરીર અને મનને મળેલ એક જૈવિક સંચલન માત્ર છે ? અથવા તે એકસાથે આ સઘળું છે? ભાષા-ઘટના, તત્ત્વના વિવિધ સ્વરૂપે, અનેકવિધ માનવ વિજ્ઞાનોમાંના એક ‘ભાષાવિજ્ઞાન’ના પૂર્ણ વિકાસ છતાં ઉપરોક્ત સઘળા પ્રશ્નોનું વિસ્તારપૂર્વક ચિંતન આવશ્યક છે.

એક સુવિદિત મત છે કે સંસ્કૃિતને ભાષા ઉપરાંત અન્ય કોઈ અભિવ્યક્તિ નથી અને બંને એક જ છે. સાથે એ પણ સ્વીકારાયેલું છે કે જ્ઞાનબોધ ભાષા વિના અશક્ય છે. આવો જ કંઈક મત અર્થ બાબતે પણ પ્રવર્તે છે. બીજા શબ્દોમાં કહીએ તો, બુદ્ધિમત્તાની બાહ્ય પરિસીમા નિશ્ચિત કરતા દરેક વ્યાપારનો પર્યાય ‘ભાષા’ને લેખવામાં આવે છે.

સ્વપ્નોની સંરચના ભાષાસામાગ્રી પર આધારિત ન હોવા છતાં એનું વિભાવન ભાષાની સંરચના જેવું જ કરાય છે. સ્વપ્નનું મૂળ વ્યક્તિની યાદ કરવાની શક્તિમાં છે; એની સ્મૃિતમાં છે. અન્ય રીતે જોઈએ તો આપણને કહેવાયું કે ભાષાના આત્યંતિક અભાવમાં સ્મૃિત પરિણમી શકે નહિ. એ જ રીતે આપણી માન્યતા રહી છે કે અન્ય મનોવિકલ્પો, સ્ફુરણા, કલ્પના અને તર્ક ભાષાની અનુપસ્થિતિમાં શક્ય બને નહિ.

જ્યારે આ બધી પૂર્વધારણા સામાન્ય સહજ અને અબાધ્ય જણાય છે ત્યારે સત્ય એ પણ છે કે માનવપ્રાણી, અન્ય પ્રાણીઓ સાથે અનુભવ સામ્ય ધરાવે છે, જેમાં ધ્વનિ-નિયંત્રણ આધારિત ભાષાનો ખાસ રીતે બાધ હોય છે. આવા અનુભવોમાં મુખ્યત્વે ચક્કર આવવાં, પડી જવાનો ભય, પ્રેમ અથવા યૌન આકર્ષણ જોવા મળે છે.

માનવબોધનાં વિજ્ઞાનોમાંનું એક પ્રતિભાસમીમાંસા (phenomenology) છે. એના મત અનુસાર ભાષા, માનવ મન દ્વારા અનુભવાતા ઘટનાના અવિરત ફેલાતા વિસ્તાર સાથે ‘એક સૂર’ થઈ વિકાસ પામે છે. આ સાથે એવી દલીલ પણ રજૂ થઈ કે ઈન્દ્રિયગોચર વાસ્તવનો મન દ્વારા બોધનો વિકાસ, એની હરહંમેશ વિકસતી ભાષા દ્વારા જટિલતાઓની સમજના પ્રમાણમાં હોય છે. ખરેખર તો એવું ઠરાવવું સાચે જ મુશ્કેલ છે કે અનુભવક્ષેત્રથી અળગું, એથી પર કોઈ અસ્તિત્વ હોય છે. સાથે સાથે આવા અનુભવ-ક્ષેત્રના અસ્તિત્વને નકારવું એથી પણ વધુ કઠિન છે. એવો જ કંઈક ગૂંચવાયેલો પ્રશ્ન છે, ‘શું પેલા અર્ધ-શાબ્દિક અથવા શાબ્દિક તત્ત્વો વર્ણલિપિઓ, વ્યાકરણો અને સંસ્કૃિતઓ જે ભાષા રૂપે લેખાતાં નથી, તે ભાષા છે કે નહિ? વધુંમાં વધુ તેઓ નગણ્ય એવા વર્ગો બોલી અને પ્રાદેશિક વિવિધતામાં પોતાનું સ્થાન મેળવે છે. હકીકતમાં તો અર્થના અમર્યાદિત ફલક પર, ધ્વનિના ગૂઢ ઉદ્ગમથી શરૂ કરી સ્થળ અને કાળમાં તેના સાર્વત્રિક પ્રસાર સુધી, માનવ ભાષાઓને અવિચ્છિન ધ્વનિ વિવિધ બોલીઓ રૂપે જોઈ શકાય.

આવી જ રીતે અર્થની પૂર્ણ પરિસીમામાં, સ્થૂળ અને પ્રતીક સંજ્ઞાઓ વડે થતા અર્થવહનની સાપેક્ષે ધ્વનિ-પ્રતીક આધારિત ભાષાને બોલી રૂપે ગણવી જ નહિ.

વધુમાં, વિશ્વની આપણી સમજની પ્રક્રિયામાં થતા સતત વિસ્તાર અને ઊંડાણ એક શક્યતાને ઇંગિત કરે છે : કદાચ આપણા વિકાસક્રમના વર્તમાન તબક્કે, આપણને જણાતું ભાષાતત્ત્વ, ખરેખર તો માનવ ઇન્દ્રિયગમ્ય અર્થતત્ત્વની છેવટની મૂળ શક્યતાઓનો આંશિક ભાગમાત્ર હોય. આથી એક રીતે જોતાં ભાષાને, અનુભવની સમગ્રતાના એક અંશ રૂપે, એક બોલી તરીકે જોવી પડશે. શબ્દો અને લિપિઓ વડે પ્રસ્થાપિત માનવ ભાષાના સમુચ્ચયને હરેક અનુભવ, અર્થ, ધ્વનિસમુચ્ચયની એકાઈ રૂપે, એક બોલી રૂપે જોવી જ રહી. એટલે બોલી હોવાનો અર્થ, કોઈ દ્વારા પાછળ છોડી દેવાનો નથી હોતો, બલકે એનો અર્થ નવોન્મેષની અગ્રેસરતાને (avant-garde) હોય છે.

બોલીની ખરી પ્રકૃતિને કોઈ ત્યારે જ સમજી શકશે જ્યારે એને ભાષા એક જરૂરી ઘટક રૂપે જોશે, નહીં કે એક વિઘટિત થતા અવશેષ રૂપે. ભાષાની તો એ નિયતિ રહેવાની કે એમણે સદા વિકસતા વાસ્તવના અશાંત સંવાદક્ષેત્રે ઉપસ્થિત રહેવાનું તેમ જ અર્થની અણદીઠી સીમાઓ પામવા ‘અગ્રિમ પક્ષ’ રચવાનું. ભાષાઓનાં ઇતિવૃત્તો એવું દર્શાવે છે કે બોલીઓ સાથે રહેવા પરિવર્તિત થવું એ જ ભાષાઓની નિયતિ છે, નહિ કે બોલીઓની. બોલીઓનું પ્રારબ્ધ એ રહ્યું છે કે અર્થની નવી શક્યતાઓની શોધમાં મંડ્યા રહેવું. સાથેસાથ પ્રમાણભૂત ભાષાઓ સાથે, રાજકીય અને ઐતિહાસિક પરિસ્થિતિઓને લીધે ઊભા થયેલા સંબંધોને પણ સાચવવા. બોલીનું કમનસીબ રહ્યું છે કે ચલણમાં રહેવાનું પણ બદનસીબીએ ભાષાની નકલ રૂપે. રૂપકાત્મક રીતે જોતાં, બોલી નવા રચાતા ગ્રહ ફરતે રહેલા નવજાત તત્ત્વ સમાન છે, જેણે પોતાના પરિભ્રમણ પથ પર આવર્તનની અંતિમ સરેરાશ માંડવાની બાકી છે. ભાષાના ગ્રહનું પર્યાવરણ તેની બોલીઓ દ્વારા બંધાય છે. ભાષાઓ, બોલીએ દ્વારા જ પોતાની બહારના વિશ્વ સાથે સતત સંપર્ક જાળવી રાખે છે : એ રીતે તેઓ વૈશ્વિક સંરચનાના સભ્યો બને છે.

હાલ સુધી એવું મનાયું છે કે સબળ સમાજની ‘વર્ગબોલી’, અધિકૃત ભાષાનું માનભર્યું સ્થાન મેળવે છે, જ્યારે ‘નબળા’ લોકોની ભાષા ‘બોલીઓ’ રૂપે પ્રચલિત થાય છે; આ મત ઇંગ્લેન્ડમાં અંગ્રેજી ભાષાના ઇતિહાસને જોતાં સ્થાપિત થયો છે. આ તર્ક પ્રમાણે ચાલતાં રાજકીય રીતે અગ્રેસર લોકો દ્વારા બોલાતી હિન્દી, અત્યાર સુધીમાં અધિકૃત હિન્દી તરીકે સ્થપાઈ ચૂકી હોત અને મરાઠા શાસકોની ‘મરાઠી’ તેનો મુખ્ય પ્રકાર બની ચૂકી હોત, પરંતુ આવું હકીકતમાં નથી. ભારતીય અનુભવના આધારે સૂચવી શકાય કે બોલીવિજ્ઞાનનું પરિશીલન, જરૂરી વૈજ્ઞાનિક આધાર પૂરો પાડતું નથી.

ઉપરાંત એવી સંસ્કૃિતઓ, જ્યાં રાજકીય વર્ચસ્વ ધરાવતો વર્ગ ‘ગેરવતની’ ભાષાનો પ્રયોગ કરતો હોય અને જ્યાં સાંસ્કૃિતક પ્રભુત્વ ધરાવતો વર્ગ ‘એકભાષીય’ ન રહ્યો હોય, ત્યાં બોલીઓના વિષય અંગે શરૂઆતથી પુનર્વિચાર કરવો પડશે. જો આપણે આ વાંધાજનક સમીકરણ બાજુ પર મૂકી એવું સ્વીકારીને ચાલીએ કે અનુભવના અનંતપણે ફેલાતા વિશ્વને બુદ્ધિગ્રાહ્ય બનાવવા માટે ભાષા એક ‘માધ્યમ’ છે, તો અનુસંધાન એ થશે કે બોલીઓ(અથવા ગૌણ ભાષાઓ)નું ભાષા-સંદર્ભ-અર્થની આત્માનુભૂતિની પ્રક્રિયામાં અદકેરું મહત્ત્વ છે. આ પ્રક્રિયામાં, નૂતન સંવેદનોનું, પ્રાચીન સ્મૃિતઓ સાથે અર્થપૂર્ણ સાયુજ્ય રચવું ખૂબ જ જરૂરી બની જાય છે. ‘સાયુજ્ય’ રચવામાં બોલીઓ, પોતાનું અસ્તિત્વ અને અસ્મિતા દાવ પર લગાવે છે અને જે-તે ભાષાને અભિવ્યક્તિની સમૃદ્ધ સંવેદનશીલતા, દક્ષતા બક્ષે છે.

બોલીઓ વિના ભાષા, અર્થવિહોણા રૂઢ થયેલા પુરાણા શબ્દોનો ગંજમાત્ર બની રહેશે. આવી પરિસ્થિતિમાં શબ્દો અજ્ઞેય અને અસંજ્ઞાત પદાર્થોમાત્ર બની રહેશે. શકય છે એવી ભાષા વૈયાકરણિક શુદ્ધતાના જોરે ગણિતના જેવી પરિપૂર્ણ અમૂર્તતાનું સામર્થ્ય કેળવે, પરંતુ એમાંનું ધ્વનિ-ચિહ્ન એટલું તો વ્યક્તિ-નિરપેક્ષ હશે કે એવા ‘જીવ’, ઉપભોક્તાને પોતાની જીવંત ચેતના સાથે સમૂળગા અલગ-અલગ કરી નાખશે. ભાષાને પોતાનું અસ્મિતાપૂર્ણ અસ્તિત્વ હોવું જ જોઈએ. માનવીઓ ભાષાનો ભાર ત્યાં લગી જ વેઠશે, જ્યાં લગી તેમને પોતાની ભાષા સાથેના સંબંધનો ગર્વ હશે.

સદીઓ સુધી યુરોપિય ભાષાવિદોએ આદિમ ભાષાના સ્રોતનો તાગ મેળવવા પ્રયત્નો આદર્યા. આ પ્રયત્નોની પૃષ્ઠભૂમિમાં બેબલના ટાવરનું મિથ હતું, જેમાં એક કાલ્પનિક મૂળભાષા, સમય જતાં અસંખ્ય અનુકરણોમાં પરિણમી. ‘પતિત’ બોલીઓ, શુદ્ધ ભાષાના પૃષ્ઠભાગ રૂપે ખરી રીતે તો ઊર્જા છે, જેણે ભારતીય ભાષા પ્રવાહોને વહેતા રાખ્યા છે. વહેણના આ રૂપકને આગળ વધારતાં એમ કહી શકાય કે કહેવાતી મુખ્ય ભાષાઓ, આ વહેણના કિનારા છે; બોલી સ્વયં વહેણ છે અને આ વહેણને પ્રવાહિત રાખવું, એટલું તો ઓછામાં ઓછું આપણે સૌએ કરવું જ રહ્યું.

ઉપેક્ષિત અવાજો

સંસ્થાનવાદના સમય પૂર્વે ભાષાની જ્ઞાનમીમાંસામાં ‘અધિકૃત’ અને ‘બોલી’ જેવી સંજ્ઞાઓ પ્રચલિત ન હતી. ભાષાવૈવિધ્ય જીવનની એક સહજ સ્વીકૃત હયાતી હતી. સાહિત્યકાર પોતાની એક રચનામાં અનેકવિધ ભાષા પ્રયોજી શકતા. તેમનો વાચકવર્ગ આવાં લખાણને સહજપણે અપનાવતો. વીસમી સદીના પૂર્વાર્ધ સુધી, ‘મહાભારત’ જેવું ઉત્કૃષ્ટ મહાકાવ્ય, વિવિધ ભાષાઓમાંથી ઊતરતાં અનેકવિધ વૃત્તાંત-સ્વરૂપો રૂપે મળતું રહ્યું. સાહિત્યના વિવેચકોએ સિદ્ધાંતો ઘડ્યા ત્યારે તેમણે જુદી-જુદી ભાષાઓમાં લખાતા સાહિત્યની પણ નોંધ લીધી. માતંગનો મધ્યયુગીન શૈલી-સંગ્રહગ્રંથ ‘બૃહદ દેશી’ વિવેચનનું અપ્રતિમ ઉદાહરણ છે એ ભાષા વૈવિધ્યને સહજતાથી અપનાવતા સિદ્ધાંતમાંથી નિષ્પન્ન થાય છે. સામ્રાજ્યવાદી કાળમાં ભારતની મોટા ભાગની ભાષાઓ યાંત્રિક મુદ્રણ હેઠળ લવાઈ. એ પહેલાંના સમયમાં હસ્તલેખનનો પ્રસાર હતો. ઘણી લિપિઓમાં લેખનકાર્ય સંપન્ન થતું. હસ્તલિખિત ગ્રંથોના પ્રકાશન માટે કાગળનો પણ ઉપયોગ થયો. આમ ‘લેખિત‘ સ્વરૂપે પ્રાપ્ય હોવા છતાં ગ્રંથ મુખ્યત્વે મૌખિક માધ્યમથી જ વધુ પ્રસારિત થતા.

યાંત્રિક મુદ્રણકળાએ વિદ્યમાન મૌખિક પરંપરાનો હ્રાસ કર્યો. સાહિત્યનાં નવાં ધોરણો આવિષ્કાર પામ્યાં. જેમાં ‘મૌખિક’ની તુલનાએ લેખિતની મહત્તા વધુ અંકાઈ. એથી એવો વિચાર અપનાવાયો કે સાહિત્યકૃતિએ એકભાષીય હોવું અત્યંત આવશ્યક છે. આવા વિચારો, શાસનકાળ દરમિયાન પ્રવર્તતાં આવાં શક્તિમૂલક સમીકરણોએ ભારતની ભાષાઓના સમગ્ર જૂથને ક્રમશ: અસર કરવાનું શરૂ કર્યું. જે ભાષાઓને મુદ્રણ તકનિકી અંતર્ગત સમાવાઈ નહિ એવી ભાષાઓને ‘ઉતરતી’ ભાષા ગણાવવામાં આવી. સ્વાતંત્ર્ય બાદ ભારતમાં રાજ્યોની રચના ભાષાને આધારે થઈ, જે ‘ભાષાકીય રાજ્યો’ તરીકે હાલ ઓળખાય છે. જે ભાષાને લિપિ હતી અને જ્યાં મુદ્રિત સાહિત્ય હતું એવી ભાષાને સ્વાતંત્ર્યોત્તર ભારતમાં, અલગ રાજ્યરૂપે ‘ચોક્કસ ભૌગોલિક વિસ્તાર‘ આપવામાં આવ્યો. જેમાં મુદ્રિત સાહિત્ય ન હતું, છતાં મૌખિક પરંપરા સમૃદ્ધ હતી તેવી ભાષાઓને ‘રાજ્યો’ પ્રાપ્ત થયાં નહિ. વળી, પ્રાથમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણના માધ્યમ રૂપે રાજ્યની ‘અધિકૃત ભાષાનો’ ઉપયોગ કરાયો. એવી જ રીતે, એક વિશેષ ભાષા અનુસૂચિ (8મી અનુસૂચિ) ભારતીય બંધારણ અંતર્ગત ઘડવામાં આવી. એમાં શરૂઆતમાં 14 ભાષાઓની સૂચિ હતી. વર્તમાનમાં 22 ભાષાઓ સમાવિષ્ટ છે. સરકાર માટે શિક્ષણ સંબંધી સઘળો ખર્ચ આ બધી ભાષાઓ માટે કરવાનું ફરજિયાત બન્યું.

ભારતની 1961ની વસ્તીગણતરી મુજબ 1652 ‘માતૃ-ભાષા’ઓની યાદી તૈયાર થઈ. ત્યાર પછીની વસ્તીગણતરી(1971)ના અહેવાલ મુજબ આંકડાઓ નોંધપાત્ર રીતે ઘટ્યા. 10,000થી વધારે લોકો દ્વારા બોલાતી માત્ર 108 ભાષાઓ જ અધિકૃત રીતે માન્ય રખાઈ. આમ આશરે 1950 ‘માતૃભાષાઓ’ ભાષાની બહાર કરી દેવામાં આવી. એમાં મોટા ભાગની વિચરતી જનજાતિઓ અને આદિવાસીઓ દ્વારા બોલાતી ભાષા છે. એમાંની બહુધા વિલુપ્ત ન થઈ હોય, પણ ઝડપથી એ દિશામાં ધસી રહી છે. ભારતીય ભાષાવર્ણપટ પરના આવા ‘હાંસિયા’ જે મુખ્યત્વે આદિવાસી અને વિચરતી જાતિઓના બનેલા છે, એ વ્યવસ્થિત રીતે આરોપિત ‘વાચાઘાત’(aphasia)ને લીધે-હડસેલાઈ ગયેલા છે. ‘ભારત ભાષા લોક સર્વેક્ષણ’ એ ભારતીય લોકોનો, પોતાના ’અવાજો’ નોંધાવવાનો એક સામૂહિક પ્રયત્ન છે. ગ્રિઅર્સનના ‘સર્વે’ની આ અનુકૃતિ નથી કે નહિ તેની ફેરબદલ અથવા અવેજી. પેલી મોજણીઓની સફળતા માટેનાં ધોરણો અલગ હતાં. ‘ભારત ભાષા લોક-સર્વેક્ષણ’ એક અનૌપચારિક પ્રયાસ છે. એ જગત સમક્ષ ભારતના અનુપમ ભાષાવૈભવને ઉજાગર કરવા ચાહે છે. એના અનુસંધાને જગતની અન્ય ભાષાઓને પણ આવરવા ચાહે છે, જેથી વિશ્વના જૈવસ્તરને જીવંત રાખવા, ભારતને લાંબી અને મુશ્કેલ લડત બાદ હાસલ થઈ છે એ લોકશાહીનું જતન કરવાનો ઉદ્દેશ સાધી શકાય.

કઈ-કઈ ભાષાઓ ‘વાચાઘાત’(aphasia)ની પરિસ્થિતિની ખૂબ નજદીક પહોંચી છે, કઈ ભાષાઓ ચોક્કસપણે એ દિશામાં આગળ વધી રહી છે અને કઈ ભાષાઓ માત્ર એક સહજ ભાષાકીય સ્થળાંતરની પ્રક્રિયામાં પસાર થઈ છે, એવું નક્કી કરવાનું કામ ખરેખર ખૂબ જ દુષ્કર છે. એવું કહેવું અયોગ્ય નહિ ઠરે કે સૂચિત હેતુ સાધવા આપણી પાસે ઉપલબ્ધ ‘ભાષાકીય માહિતી’ હાલ પર્યાપ્ત નથી.

વિચરતી વસ્તીઓનો બહોળો ભાગ ધરાવતા દેશોમાં વસ્તીગણતરીના પ્રયાસો કેટલા સંકુલ હોઈ શકે, ખાસ તો સાક્ષરતા સ્તર પર અવલંબિત વસ્તીગણતરીની ચોકસાઈ ધ્યાનમાં લેતાં. આપણને એ વાતનું આશ્ચર્ય નહિ થાય કે આજ સુધી એકત્રિત માહિતી અપૂરતી, મર્યાદિત રહે છે. આમ છતાં, આશ્ચર્ય એ વાતનું છે કે કુલ મળીને 310 જેટલી ભાષાઓ – જેમાં કુલ પાંચથી ઓછી વ્યક્તિઓ દ્વારા બોલાતી 263 જેટલી ભાષા અને 1000થી ઓછા લોકો દ્વારા બોલાતી 47 અન્ય ભાષા વિલુપ્તિના આરે આવી ચૂકી હોવી જોઈએ. 1961ની વસ્તીગણતરીમાં સૂચિત 1652 ‘માતૃભાષાઓ’માંથી કુલ આવી 310 ભાષાઓ ‘ભયજનક‘ શ્રેણીમાં આવી. અલબત્ત આ વસ્તીગણતરીમાં કેવા પ્રકારની કાર્યપદ્ધતિનો ઉપયોગ થયો છે એ વિવાદાસ્પદ છે. બીજા શબ્દોમાં કહીએ તો, પાછલાં પચાસ વર્ષોમાં ભારતના ભાષાના વારસાનો પાંચમો ભાગ કાયમ માટે લુપ્ત થવાના આરે છે. વધુમાં, પાછલી ત્રણ વસ્તીગણતરીઓમાં મોજણી માટે પ્રયોજેલ પદ્ધતિઓ, માહિતીમાં નવા આંકડાકીય ઘટાડાને નજર અંદાજ કરવાનો પણ અવકાશ આપે છે. આશંકા એ વાતની રહે છે કે આવી પરિસ્થિતિ માત્ર એક જ દેશની નહિ હોય. શક્ય છે, વાસ્તવમાં વિશ્વના અનેક દેશોમાં આવી સ્થિતિ હોય, કારણ કે એક દેશમાં ભાષાના પતન માટે જવાબદાર પરિબળો, વિશ્વના અન્ય દેશની આધુનિકતાના સંદર્ભે પણ રચતા હોય.

ભારતમાં વર્તાતો ભાષાનો લોપ ફકત ‘અલ્પસંખ્યક’ અને ‘અવર્ગીકૃત બોલીઓ’ પૂરતો જ સીમિત નથી. એવી ‘બહુસંખ્યક’ ભાષાઓ પણ છે જેમાં સાહિત્યની લાંબી

પરંપરાઓ, કાલ્પનિક તથા તત્ત્વચિંતનને લગતાં લખાણોનો સમૃદ્ધ વારસો હોય, એ ભાષા પણ લુપ્ત થવાની અસરો હેઠળ છે. ભાષાસમુદાયોમાં ‘બહુસંખ્યક’ સાહિત્યિક ભાષાઓ – ગુજરાતી, કન્નડ અને ઓરિયાને ‘માતૃભાષા’ તરીકે ગણાવવામાં આવે છે, એમાં હાલની યુવાપેઢીને આ ભાષાઓના લેખિત વારસાનો અલ્પ અથવા બિલકુલ સંપર્ક રહ્યો નથી. જ્યારે ‘માતૃભાષી’ હોવાને લીધે આ ભાષાઓ ‘બોલવામાં’ તો સક્ષમ છે જ. ભાષાની આવી પરિસ્થિતિને ‘ભાષાની આંશિક પ્રાપ્તિ’ની સ્થિતિ ગણી શકાય, કેમ કે શિક્ષણની ઉચ્ચ પદવી પ્રાપ્ત કરનારો સાક્ષર પોતાની ‘માતૃભાષા’ સિવાયની અન્ય ભાષા વાંચવા-લખવા અને બોલવા સક્ષમ છે. અહીં વક્રતા એ છે, કે ભાષાને પોતાની ‘માતૃભાષા’ તરીકે ઠેરવે છે એને આ સાક્ષર ફક્ત બોલી જ જાણે છે; પણ લખી શકતો નથી.

ભાષાની વિરાસતમાં જોવા મળતો ભાષાનો લોપ, ભાષાકીય, પરિવર્તનો અને પતન માટે ભાષાનાં સંરચનાત્મક પરિબળોને જ દોષ આપી શકાય નહીં. અહીં ઉદાહરણાર્થ બંધારણની સૈદ્ધાંતિક જોગવાઈ, કલમ 347, પ્રસ્તુત છે જે આ મુજબ છે :

રાષ્ટ્રપતિશ્રી જો એવી લોકમાગણીથી સંતુષ્ટ હોય કે રાજ્યની કુલ વસ્તીના મોટા ભાગના લોકો દ્વારા વપરાશમાં બોલાતી કોઈ પણ ભાષા રાજ્ય દ્વારા માન્ય ઠરે, તો તે સબબ રાષ્ટ્રપતિ એવો નિર્દેશ કરી શકે કે સમગ્ર રાજ્યમાં અથવા તો રાજ્યના કોઈ વિસ્તારમાં, તેઓશ્રી દ્વારા ઠેરવેલ હેતુ અર્થે તેવી ભાષાને સત્તાવાર રૂપે માન્યતા આપી શકાય.

અહીં બીજાં થોડાંક પણ વધારે ચિંતા ઉપજાનારાં પરિબળો જોવા મળે છે. આ પરિબળોમાં મુખ્ય છે ઝડપથી સ્વીકૃત વિશ્વનો વિકાસ વિમર્શ. હવે ભારતમાં અને સાથે એશિયાના અને આફ્રિકાના અન્ય દેશોમાં જોઈ શકાય છે હાલનાં માતા-પિતા બાળકોને અંગ્રેજી, ફ્રેંચ અથવા સ્પેિનશ માધ્યમમાં ભણાવવાની ઇચ્છા-અપેક્ષા રાખે છે. આ ભાષા ‘ઉત્પાદક શ્રમના આંતરરાષ્ટ્રીય બજારમાં’, એમનાં બાળકો યુવાન થશે ત્યારે વધારે સ્પષ્ટ દેખાશે. આ પ્રકારની અભિલાષાએ શાળા-અભ્યાસની પ્રણાલિકાને અસર કરી. આંતરરાષ્ટ્રીય ભાષાઓના માધ્યમમાં અપાતા શિક્ષણની તરફેણ, વિશ્વમાં પહેલાંના કોઈ પણ સમયમાં જોવાઈ ન હતી.

ઓગણીસમી સદીનાં શરૂઆતનાં વર્ષોમાં ભારતના સામાજિક સુધારાની ચળવળના કેન્દ્રબિંદુએ એક રસપ્રદ વિવાદ જાગ્યો. એ અરસામાં બંગાળી બૌદ્ધિકોએ અંગ્રેજી ભાષાના માધ્યમમાં શિક્ષણ આપવા સતત માગણીઓ કરી. એ વખતે એક અંગ્રેજ અફસર, માઉન્ટ સ્ટુઅર્ટ એલ્ફિન્સ્ટને કહ્યું કે શાળામાં ‘ભારતીય ભાષાઓ’ વધુ આવકાર્ય છે. આ વિવાદનો અંત સને 1835ની સાલમાં આવ્યો. લોર્ડ મેકૉલની ‘મિનિટ્સ ઓન એજ્યુકેશન’ અનુસાર ભારતમાં શિક્ષણનું માધ્યમ અંગ્રેજી રાખવાનું ઠેરવ્યું. આ મતનું ત્યારબાદ તુરત જ વુડના ‘ડિસ્પેચ’ દ્વારા અનુમોદન થયું. ખાસ તો ત્યાર પછી આધુનિક ભારતીય ભાષાઓનાં સાહિત્યોએ ઉલ્લેખનીય સર્જનશીલતાનો પરિચય કરાવ્યો. અહીંના ઉપરોક્ત કથનનો સહેજ પણ એવો આશય નથી કે નાના વિદ્યાર્થીઓ માટે ‘માતૃભાષા’ સૌથી યોગ્ય માધ્યમ છે. હું ફક્ત આ તથ્ય તરફ ધ્યાન દોરવા માગું છું કે માતૃભાષામાં ભણતરની સુલભતાનો અભાવ, એ માનવ સર્જનશીલતાના ધ્વંસ માટેનું પર્યાપ્ત સાંસ્કૃિતક પરિબળ છે – સૌથી મહત્ત્વપૂર્ણ ચિંતાજનક પરિસ્થિતિ અહીં એ છે કે એથી એવા અભાવમાં જીવતા સમુદાયની જીવન ટકાવવાની કોઈ આશા નથી.

એક ભાષા બોલતો સમુદાય એવું માનવા લાગે કે અન્ય ભાષાના માધ્યમમાં મેળવેલ શિક્ષણ એ જ તેમના જીવનનિર્વાહ માટેનો એકમાત્ર માર્ગ છે, ત્યારે તે સમુદાય નવી ભાષા પરિસ્થિતિને અનુકૂળ થવાનું શરૂ કરે છે. આથી એવું માનવું શું ઉચિત રહેશે કે સાંપ્રત જગતના પ્રભાવી વિકાસવિમર્શમાં જ કંઈક એવું અંતરંગ તત્ત્વ છે, જે વિશ્વની ભાષાઓના વારસાને કમજોર કરવા ચાહે છે, અથવા તો આ પ્રકારની ‘ભાષાહત્યા’ કરવા માગે છે? જો એવી જ બાબત હોય તો માનવભાષાઓનું ભવિષ્ય ભયાવહ છે. એવા સમુદાયો જે સ્થાનિક કે રાષ્ટ્રીય પરિપ્રેક્ષ્યમાં લઘુમતી બનીને રહી ગયા છે; એમની પોતાનાં હિતો મુખરિત કરવાની શક્તિ જ છીનવી લેવાઈ છે. આ બધાં જ દેખીતી રીતે, ‘ભાષાહત્યા’ની અગ્રિમ પંક્તિમાં ગોઠવાઈ ચૂક્યાં છે.

ભારતમાં વૈશ્વિક સ્તરનું શિક્ષણ મેળવવું એ વાલીઓની ફરજ અને સંતાનનો અધિકાર છે. રાજ્ય સરકાર દ્વારા અનુદાનથી ચાલતું શાળાનું ભણતર લગભગ નિઃશુલ્ક હોય છે. ઘણા ગરીબ લોકોને પણ પરવડે એવું હોય છે. એમાં બાળકો માટે મધ્યાહ્ન ભોજનની પણ જોગવાઈ છે, જેથી ખોરાકને લગતી અસુરક્ષિતતા બાળકોને વર્ગખંડોની બહાર ખેંચી ન જાય. સંઘ સરકાર અને રાજ્ય સરકાર શાળાકીય શિક્ષણને પોતાની પ્રાથમિક જવાબદારી ગણી તેનું વહન કરે છે. બાળ-મજૂરી અધિકૃતપણે ગેરકાયદે ઠેરવાઈ છે. ઘણાં રાજ્યોમાં સ્ત્રીઓ માટે ઉચ્ચ અભ્યાસ નિઃશુલ્ક કરાયો છે. અનુસૂચિત જાતિ-જનજાતિ અને અન્ય પછાત વર્ગોનાં બાળકો માટે શૈક્ષણિક આરક્ષણની જોગવાઈ પણ કરાયેલી છે. ભારત દેશ તેની પ્રાથમિક શાળાનું સંચાલન 50 જેટલી ભારતીય ભાષાઓ અને બીજી અનેક વિદેશી ભાષાઓમાં કરે છે. પ્રૌઢ સાક્ષરતા અને બિનપરંપરાગત અભ્યાસને સતત પ્રોત્સાહિત કરાય છે. આ બધી બંધારણીય બાંયધરીઓ છે, જે શૈક્ષણિક કાર્યક્રમોના ભાગરૂપે બધી અનુસૂચિત ભાષાઓના પ્રસાર અર્થે છે.

આવા પ્રયત્નો છતાં ય ઘણી ઉપેક્ષિત ભાષાઓ અને અમુક ‘બહુસંખ્યક’ ભાષાઓ પોતાની સંભાળ પરત્વે સમજી ન શકાય એવી ઉદાસીનતા સેવે છે. કલ્પી ન શકાય એટલી મોટી સંખ્યામાં બાળકો, એવી શાળાઓમાં પ્રવેશ મેળવી રહ્યાં છે જેમાં શુલ્ક અતિ ભારે હોય છે, માધ્યમ અંગ્રેજી હોય છે. બાળક ભારતીય ભાષાના માધ્યમમાં અપાતા શિક્ષણ ધરાવતી શાળામાં પ્રવેશ મેળવે છે ત્યારે એને સામાજિક અધ:પતનની શરૂઆત રૂપે જોવામાં આવે છે. આવા સંજોગોમાં, જેને માટે વિશેષ પ્રયત્નોની જરૂર છે એવી ભાષાઓનું જતન કરવું સાચે જ એક વિકટ કાર્ય છે. આ કાર્ય ‘સંરચનાત્મક’ ફેરફારો માત્ર કરવાથી હાંસલ થઈ શકે તેમ નથી. ભાષાઓનું સંરક્ષણ અને સંવર્ધન પ્રાચીન વસ્તુઓની જાળવણી કરતાં અલગ છે. ભાષા એક સામાજિક વ્યવસ્થા હોવાના નાતે, વિષયમૂલક તટસ્થ અસ્તિત્વ ધરાવતી હોવાથી, એનાં ‘શબ્દકોશ’ અને ‘વ્યાકરણો’ તૈયાર કરી શકાય. ભાષા લિપ્યંતર, જોડણીકોશ તથા નકલ અથવા ટેપરેકોર્ડર પર ધ્વનિ-અંકન કરીને તેને કોઈ ‘દસ્તાવેજ’ કે ‘પદાર્થ’ની જેમ સાચવી શકાય, પરંતુ વસ્તુત: ભાષાનું, માનવ ચેતનાથી અલગ સ્વતંત્રપણે પોતાનું કોઈ જ અસ્તિત્વ હોતું નથી. આથી જે તે ભાષાઓની જાળવણી માટે, તે તે ભાષાને ચલણમાં લાવતા ‘સમુદાય’ની જાળવણી પણ સાથોસાથ અતિ આવશ્યક બને છે.

ચોક્કસ સમુદાયની સામૂહિક ચેતના અને તે ચેતનાને ભાષિક કરવા પ્રયોજાતી ભાષા – આ બન્ને વચ્ચે જે છે તે સમુદાયની ‘વિશ્વદૃષ્ટિ’. ભાષાનું જતન એટલે ભાષા સંરક્ષણમાં જે તે સમુદાયની ‘વિશ્વદૃષ્ટિ’નું સન્માન સામેલ છે. માનવીઓનું ભાગ્ય પૃથ્વી સાથે સંકળાયેલું છે. પૃથ્વીને, એના પર આપણી માલિકીનો દાવો કરીને દૂભવી શકાય નહીં – એવું માનતા ‘સમુદાયની’ ભાષાનું સંવર્ધન અત્યારે અશક્ય બની રહ્યું છે. રાજકીય કલ્પનોનું આદાનપ્રદાન કરવા આમંત્રીએ છીએ ત્યારે એક આખો એવો સમુદાય છે જે વિકાસના ઓછાયા હેઠળ પૃથ્વીની નૈસર્ગિક સંપત્તિની લૂંટમાં વિશ્વાસ રાખે છે. આવી પરિસ્થિતિમાં ‘સમુદાય’ પાસે બે વિકલ્પો હશે : એક, તે કહેવાતી ‘સ્વપ્નભૂમિ’ને તિરસ્કૃત કરે જે કુદરતી સ્રોતોને માનવાધિકાર ગણાવી, છેવટે એ કુદરતી સંપત્તિને સંપૂર્ણપણે વ્યાપારિકરણમાં તબદીલ કરવા અનુમતી આપે. અથવા આવા ‘જીવનદર્શન’નો પરિત્યાગ કરે અને એવા ‘જીવનદર્શન’માં બાંધતી જે-તે ‘ભાષા વ્યવસ્થામાંથી’ પોતે જ બહાર આવી જાય.

વિશ્વભરમાં ભાષાઓની સ્થિતિ-પરિસ્થિતિ ખરેખર અનિશ્ચિત થઈ ગઈ છે. અનિશ્ચિત ભાષાઓમાં મુખ્યત્વે સમાવેશ થાય છે આદિવાસીઓની નદીકિનારે, પર્વતો ઉપર રહેતા સમુદાયોની ભાષાઓ. આ ઉપરાંત ઉપેક્ષિત અને લઘુમતી સમુદાયો અને સંસ્કૃિતઓ બહારના અજાણ્યા સાંસ્કૃિતક પ્રભાવને સતત સહેતા આવ્યા છે. આવામાં ચેતવણીનો સૂર ઉઠાવવાનો સમય હવે સહેજે નથી. છતાં એથી એક અભિલાષા સેવવામાં આવશે કે શાસનતંત્ર પર આવો બોજો અને જવાબદારી સોંપીને પણ, આ કાર્યને અલ્પ તો અલ્પમાત્રામાં લેનારું ‘મિશન’ આગળ ધપાવવું જ પડશે. એમાં જાતની સાથે દેશ અને રાજ્યોની અથવા સ્વતંત્ર વિવિધ કાર્યકારી સંસ્થાઓની અથવા સભ્ય સમાજના ઘટકો : વિશ્વવિદ્યાલયો, સાહિત્યિક અને ભાષાકીય સંસ્થાઓ, સદ્ભાવી સમાજો અને મંડળીઓ, બિનસરકારી સંગઠનો, વૈયક્તિક વિદ્વજ્જનો, સંશોધકો, કાર્યકર્તાઓ વગેરેનો સહકાર જરૂરી છે. ક્ષીણ થતી ભાષાઓમાં નવા પાઠોનું સર્જન, શબ્દકોશ, શબ્દસૂચિ અને વ્યાકરણનું પ્રકાશન ઉપયોગી પુરવાર થાય, એવી જ રીતે દસ્તાવેજીકરણ, સંગ્રહીકરણ અને અભિલેખન થોડાંક ઉપયોગી બને. ખાસ તો ભાષાને જીવંત રાખવાની આશા-અપેક્ષા હોય તો હાંસિયાના ભાષા સમુદાયોને ગૌરવ અને સન્માન આપવાની જરૂર છે, જેના તેઓ અધિકારી પણ છે. આ સન્માન એમને ‘નૃવંશવિદ્યાકીય’ સ્વરૂપે કે પછી ‘સ્વની આદિમ અને અલ્પવિકસિત આંશિક નિશાની’ રૂપે અભિપ્રેત ન હોઈ શકે, પરંતુ તેઓ ‘પોતે જે સ્વરૂપે છે’ એ માટે જ સન્માનના યથાર્થ અધિકારી છે.

એક જાતિસમૂહને એક ભાષાનું નિર્માણ કરતાં સદીઓ લાગે છે. માનવસમૂહો દ્વારા નિર્મિત બધી જ ભાષાઓ આપણો સામૂહિક સાંસ્કૃિતક વારસો છે. આથી આપણી સૌની સામૂહિક જવાબદારી છે કે વર્તમાન સમયમાં ફેલાતી વૈશ્વિક ‘ભાષાહત્યા’ની આ પીડા ભવિષ્યમાં કોઈને પણ ભોગવવી ન પડે.

સૌજન્ય : “સાહચર્ય”, વાર્ષિકી : 2014; પૃ. 07-19

Loading

...102030...3,5583,5593,5603,561...3,5703,5803,590...

Search by

Opinion

  • બંધારણ – દેશનું દર્પણ, દેશની ઓળખ, દેશની શોભા  
  • નથુરામનું ‘હુતાત્મા’ પદ અને કુરુંદકરનો તર્ક
  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ
  • ઝાંઝવાનાં જળ
  • એક ‘રાની પંખીડું’ જિતુભાઈ પ્ર. મહેતા

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved