Opinion Magazine
Number of visits: 9552621
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સદેહે સ્વર્ગલોકની સફર

નીલા શાહ, નીલા શાહ|Opinion - Opinion|3 June 2016

દુનિયાભરના હવામાનશાસ્ત્રીઓની એક આંતરરાષ્ટ્રીય બેઠક મળી રહી હતી. પૃથ્વીનું વાતાવરણ ગરમાતું જાય છે, વરસાદ ઘટતો જાય છે, હવામાનની તીવ્રતા વધતી જાય છે અને સકળ જીવસૃષ્ટિ વિનાશને આરે પહોંચતી જાય છે, એથી આ સહુ પંડિતો ભારેખમ મોઢે, સામાન્ય માનવીને ન સમજાય તેવી ભારેખમ ભાષામાં ઊંડી, ગંભીર વિચારણામાં ઊતરીને ચર્ચા કરી રહ્યા હતા.

ચર્ચાનો વિષય હતો : પૃથ્વી અને એના પર વસતી જીવસૃષ્ટિનું અંધકારમય ભાવિ.

જો માનવી ચેતશે નહીં, તો તેના વિનાશની પળો નજીક ને નજીક આવતી જશે. હજારો, લાખો વર્ષની ઉત્ક્રાંતિ દરમિયાન પૃથ્વી પર જે રીતે જાતજાતની જીવસૃષ્ટિ વિકસી અને પૃથ્વીને હરિયાળી, રહેવાલાયક બનાવી તે અગનગોળો બની જશે, એની ચિંતા એમને સતાવી રહી હતી. જાતજાતના ઉપાયો, વિચારો, હકારાત્મક અને નકારાત્મક અભિગમો સાથે ચર્ચાથી વાતાવરણ ભારેખમ હતું. લોકજાગૃતિ ફેલાવવાની તાતી જરૂર છે. એ બાબતે સૌ સંમત હતા. એને અસરકારક રીતે જનસમક્ષ મૂકવી તે બાબતમાં ગરમાગરમ ચર્ચા થઈ રહી હતી. કોઈના મતે બાળકને નાનપણથી પ્રકૃતિ રક્ષાનું શિક્ષણ આપવું, તો બીજાના મતે એ તો બહુ લાંબી વાત થઈ, અત્યારે જ જાગૃતિની જરૂર છે, તેનું શું ? જાણે આ પૃથ્વીનો આજે જ વિનાશ થવાનો હોય એમ સૌનાં મોઢા પર વિપત્તિનાં ચિહ્નો દેખાઈ રહ્યાં હતાં.

એક પ્રખર હવામાનશાસ્ત્રીનું કહેવું હતું કે આવી કોઈ ચિંતાની જરૂર નથી. આ તો કુદરતનો ક્રમ છે, વધઘટ ચાલ્યા જ કરે. આ ગરમાતી પૃથ્વી ઠંડી પડવાની જ. વળી, નવેસરથી જીવસૃષ્ટિનો વિકાસ થશે. આપણું હોવું ન હોવું ચિંતાનો વિષય નથી. આપણી આવરદા પૂરી થવાની હશે ત્યારે જ થશે. આપણી જગ્યાએ બીજાં આવશે, પણ ખગોળમાં એકેય ગ્રહ નષ્ટ થયો નથી. પૃથ્વીનાં ભાવિની ચિંતાને નામે ખરેખર આપણે આપણા ભાવિની ચિંતા કરીએ છીએ. બંને વસ્તુ જુદી છે.

એમના તર્કને કોઈ સચોટ જવાબ તો ન આપી શક્યું, પરંતુ હાલની પૃથ્વીનો પૃથ્વી પરની જીવસૃષ્ટિનો અંત તો ચોક્કસ છે એ પ્રતિપાદન કરવા કેટલાક વૈજ્ઞાનિકો જુસ્સાભેર રજૂઆત કરવા લાગ્યા. ચર્ચામાં ગરમી આવી – બે જુદા પક્ષો પડી ગયા, સામસામા આક્ષેપો થવા લાગ્યા.

આવાં બોઝિલ વાતાવરણને હળવું કરવા બે યુવાન વૈજ્ઞાનિકો સ્ટેજ પર આવ્યા. દસ મિનિટ માટે ચર્ચાવિચારણાને વિરામ આપવાની જાહેરાત કરીને એમણે ખેલ પાડ્યો.

***

યુવક-૧ : ગ્લોબલ વૉર્મિંગ, ગ્લોબલ વૉર્મિંગ, ગ્લોબલ વૉર્મિંગ! જ્યારે હોય ત્યારે, જ્યાં હોય ત્યાં આ બધા વૈજ્ઞાનિકો ભારેખમ મોઢે આમ બોલે જાય છે. એમને સહુને થયું છે શું? જબ આયેગા તબ દેખા જાયેગા, અત્યારથી શું બુમરાણ મચાવ્યું છે?

અને આ તો કુદરતનો ક્રમ છે. પૃથ્વી ગરમ થશે, પાછી ઠરશે, નવી-નવી જાતિઓ વિકસશે, ગૃહદશા બદલાશે. આટલી બધી હાયવોય શાની છે? કંઈ સમજાવો તો ખબર પડે.

યુવક-૨ : આમાં સમજવાનું કાંઈ નથી. એ સૌ કહે છે કે ઓઝોન-સ્તરમાં ગાબડું પડ્યું છે.

યુવક-૧ : જુઓ, મને ઓઝોન-બોઝોનની કોઈ ગતાગમ નથી. પણ એટલું સમજ્યો છું કે ઉપર આકાશમાં ગાબડું પડ્યું છે અને જો એમ જ હોય, તો તો એને મોટું કરવું જોઈએ.

યુવક-૨ : ભલા માણસ, જરા સમજો તો ખરા, એની કેવી અસર થાય એ જાણો છો?

યુવક-૧ : તમે તો એની અસરની વાત કરો છો, એના લાભની શક્યતા વિચારી છે?

યુવક-૨ : લાભ?  શેનો લાભ? આખી પૃથ્વી જ અગનગોળો બની જવાની. તમે કે હું ….

યુવક-૧ : સાંભળો તો ખરાં, આકાશમાં પોલાણ વધે તો આપણને સ્વર્ગલોક દેખાવાની શક્યતા વધે કે નહીં? દેવાધિદેવ ઇન્દ્રનો દરબાર, રંભા, મેનકા અને બીજી કામણગારી અપ્સરાઓનાં સંગીત-નૃત્ય, ઇન્દ્રસભામાં બિરાજેલાં બીજાં નાનાંમોટાં દેવી-દેવતાઓ, અને હા, આજકાલ તો સ્વર્ગલોકમાં પણ વસ્તીવધારો થઈ ગયો છે. ઇન્દ્રસભામાં બેઠકો ઓછી પડતી હશે. સ્વર્ગવિહાર કરતાં નવાં-નવાં સ્થાપિત થયેલાં દેવી-દેવતાઓ પણ જોવા મળે. આ ગાબડું તો જેમ જેમ મોટું એમ સારું. સદેહે સ્વર્ગલોકનાં દર્શનનો લહાવો મળી જાય!

મને એ બતાવો કે આને જલદી મોટું કરવા શું કરવું જોઈએ?

યુવક-૨ : આમ તો આપણે જે કરતાં આવ્યા છીએ, તે જ પ્રમાણે વગરવિચાર્યે પૃથ્વી પરની સંપત્તિનો ઉપભોગ વધારી દેવાનો. વૃક્ષોનું નિકંદન તો નીકળી જ ગયું છે. હવે સમુદ્રમાં શારડી ફેરવીને …

યુવક-૧ : હેં, હેં ? તો તો કદાચ શેષશાયી ભગવાન વિષ્ણુ અને એમની ભાર્યા લક્ષ્મીજીનાં દર્શન પણ થઈ શકે. આ તો વિશેષ ઉપલબ્ધિ, આ કામ તો બને એટલું જલદી કરવું જોઈએ.

શંખ, ચક્ર, ગદા, પદ્મમ્
સપીત વસ્ત્રં, સરસિરુહેક્ષણમ્

ભગવાન વિષ્ણુ તો અમારા આરાધ્યા દેવ. એમના દર્શનનો લાભ મેળવવા બીજું શું શું કરવું જોઈએ ? જલદી બોલોને, આમ ગળચા કેમ ચાવો છો ?

યુવક-૨ : તો પછી અવકાશમાં વધુ ને વધુ ઊંચાઈએ વિમાનો ઉડાવો …

યુવક-૧ : અરે, વાહ! આમાં તો પ્રવાસની શક્યતા પણ વધી જાય! જુદી-જુદી વિમાની સેવાઓની હરીફાઈ વધશે, જુદાં-જુદાં દેવદેવીઓનાં નામે ઍરલાઇન્સ દર્શનના સમય નક્કી કરીને ભગવાનને લલચાવશે; બંનેની આવક તગડી થવાની. આવો લાભ કોણ ચૂકે?

આ તો ભૂલોકના માનવીને સદેહે સ્વર્ગલોકની સફર કરવા મળશે. લીલાલહેર ભાઈ, લીલાલહેર કરો તમતમારે. આપણે આજે જ ઍરલાઇન્સ સાથે સંયુક્ત સાહસ ગોઠવવાના સહીસિક્કા કરીએ.

યુવક-૨ : તમે કશું સમજતા નથી કે સાંભળતા નથી? આ ગ્લોબલ વૉર્મિંગથી ….

યુવક-૧ : પાછું ગ્લોબલ વૉર્મિંગ? તમે કઈ દુનિયામાં જીવો છો? સ્પષ્ટ બોલવા માટે માફ કરજો, પણ હજીયે તમે સાવ વેદિયા જ રહ્યા. બિઝનેસ કરવો હોય, તો આવનારા સમયને સમજી શકવાની સમર્થતા જોઈએ. મને તો આમાં બહુ મોટા લાભની શક્યતા દેખાય છે. હું તો તાત્કાલિક કંપની ફોર્મ  કરીને ભવિષ્યમાં સદેહે સ્વર્ગની સફરની યોજના ઘડવાની તૈયારી કરું છું. તમે કોઈ નામ સૂચવી શકો?

યુવક-૨ : હું આજની દુનિયામાં હજી તો જીવતો છું. તમે વિચારો કે તમે …

યુવક-૧ : એ બધું છોડો. મેં વિચારી લીધું છે. તમે મને એ બતાવો કે આ આકાશના ગાબડાને મોટું કરવા, એનું કદ જલદી વધારવા શું-શું કરવું જોઈએ?

યુવક-૨ : તો પછી તમે જે કરો છો તે કર્યે જ જાવ. ભગવાન પરશુરામે પૃથ્વીને નક્ષત્રીય કરવાનું વ્રત લીધું હતું. તમે પૃથ્વી પરથી વૃક્ષોના નિકંદનનું વ્રત લ્યો. બહુ મહેનત નથી પડવાની.

યુવક-૧ : પણ અમે ક્યાં મહેનત કરવાની ના પાડીએ છીએ? જે કરવાનું હોય તે બધું જ જલદી બતાવો. આમ સહદેવની જેમ પૂછીએ એના જ જવાબ ન આપો.

યુવક-૨ : તો પછી કર્યે જાવ, થાવા દ્યો, નદીઓમાં, નાળાંઓમાં, તળાવોમાં, તમારાં કારખાનાંઓમાં દૂષિત પાણી નાંખતાં રહો. ચારે બાજુ ગંદકીના નાના-નાના ઉકરડાને બદલે ટેકરીઓ સજાવો, દેવી-દેવતાઓને ઉપર સંભળાય તે માટે જોરજોરથી બૅંડવાજાં વગાડો, એમને પણ કદાચ પોલાણમાંથી ભૂલોકના દર્શન થશે, દેવાધિદેવના ઇન્દ્રદેવના શાપ વગર!

યુવક-૧ :  અરે, વાહ! તો તો પછી સૌ પહેલાં રંભા-મેનકાની નૃત્ય મંડળીને જ બોલાવીશું. આપણી ગતિવિધિથી એ લોકો પણ અંજાઈ જશે.

યુવક-૨ : હા, તમારી વાત સાચી, એ સ્વર્ગવાસી દેવી-દેવતા ભૂલોકમાં અવતરશે, ત્યારે ખરેખર અચંબો પામશે. માનવોથી ખદબદતાં ભૂલોકની સ્મશાનવત્ શાંતિ, માનવીનાં કંકાલો અને સમગ્ર જીવસૃષ્ટિનો વિનાશ એમનાથી જોયો નહીં જાય! આપણે તો જોવાનો સવાલ જ નથી. સદેેહે, સ્વેચ્છાએ આપણી પૃથ્વીને નર્કાગારમાં ફેરવી નાખનાર આપણે લીલાલહેર ક્યાંથી કરવાના?

***

થોડી ક્ષણો માટે સભાગૃહ સ્તબ્ધ. પછી તાળીઓના ગડગડાટે સૌએ એ બંને યુવાનોને વધાવ્યા.

સૌ વૈજ્ઞાનિકો આ ચર્ચાસભા પડતી મૂકવા સંમત થયા. ગ્લોબલ વૉર્મિંગ હકીકત છે, એનો સંદેશો આટલી અસરકારક રીતે બીજાં કોઈ માધ્યમ દ્વારા નહીં આપી શકાય એમ નક્કી કરીને સભા બરખાસ્ત થઈ.   

વડોદરા

સૌજન્ય : “નિરીક્ષક”, 01 જૂન 2016; પૃ. 08-09

Loading

ઇન્ટરનૅશનલ મિસિંગ ડે

રમેશ કોઠારી|Opinion - Opinion|3 June 2016

સમયાંતરે આવતા રહેતા અનેક મહત્ત્વપૂર્ણ દિવસોની જેમ હમણાં ‘ઇન્ટરનૅશનલ મિસિંગ ડે’ આવી ગયો ત્યારે જાહેર કરવામાં આવેલા આંકડાના આધારે કેટલી વ્યક્તિઓ લાપતા છે તેની આપણને જાણ થઈ. અલબત્ત, આંકડાઓ સાથે આપણને ઝાઝી નિસબત નથી પણ કૈંક ગુમાવી બેસવાની વ્યથા કેટલી તીવ્ર હોય છે તે તો પેલી કહેવત પ્રમાણ, ‘ટાઢ એટલે શું એ તો જેણે પોતાની રજાઈ ગુમાવી હોય તે જાણે.’

સામાન્ય માનવીની નિયતિમાં તો સતત ગુમાવવાનું જ લખાયેલું હોય છે – શૈશવ, કિશોરાવસ્થા, યુવાની, સ્વાસ્થ્ય, સંપત્તિ, સબંધો, પ્રિયજન, સ્મૃિત અને ઘણુંબધું કોને, ક્યારે, કેવી રીતે કયા સંજોગોમાં ખોઈ બેસીશું એનો અણસાર સુદ્ધા આવતો નથી. નાના સરખા મતભેદને કારણે કે અમસ્તી વૈરાગ્યવૃત્તિ જન્મવાથી કોઈ ગૃહત્યાગ કરી જાય તો કોઈ ખંડણીખોર નાણાં મેળવવા અપહરણ કરી જાય. પહેલા નાના બાળકોને ઝોળીવાળો બાવો ઉપાડી જશે તેવો ભય બતાવવામાં આવતો હતો. હવે આ બાવાઓનું માત્ર સ્વરૂપ બદલાયું છે. તમે શાંતિપૂર્ણ જીવન જીવી રહ્યા હો, લેખન-વાચનમાં વ્યસ્ત હો છતાં ક્ષણે તમારા દરવાજા ખટખટાવી તમને ગુમ કરી નાખશે એ કહેવાય નહીં.

કાશ્મીરમાં ‘હાફ-વીડો’ તરીકેની ઓળખ ધરાવતી કેટલી ય સ્ત્રીઓ વર્ષોથી પોતાના પતિને ગુમાવી બેઠી છે અને તે જીવિત છે કે મૃત તેની કોઈ ખાતરી નથી. તેમની પીડા કલ્પનાનો વિષય છે.

આજે એવી અરાજકતાભરી સ્થિતિમાં, અદ્ધર જીવે સૌ શ્વાસ લઈ રહ્યા છીએ કે પોતાનું શાળાએ કે બહાર ગયેલું સંતાન હેમખેમ ઘેર પરત આવે તેની મજબૂરીથી રાહ જોવી પડે છે. માત્ર રમૂજવૃત્તિ જ સધિયારો પૂરો પાડે છે. એક મહિલાને મરચાં લેવા ગયેલો તેનો પતિ પાછો ન ફર્યો પછી શું કર્યું તે પ્રશ્ન પૂછતાં તેણે જવાબ આપ્યો. ‘બહેન, બીજું શું કરીએ?’ મરચાં વિના ચલાવી લીધું.’

પહેલાં ગુમાવીએ છીએ અને પછી ખોટ સાલે છે. આપણા શ્રેષ્ઠત્તમ કવિશ્રી ભગત સાહેબના પિતાએ ગૃહત્યાગ કર્યો અને પિતૃસુખથી વંચિત રહેવાની વ્યથા એમના કાવ્યોમાં સતત ડોકાયા કરે છે. શું આપણું શાસનતંત્ર એવો માહોલ ઊભો ન કરી શકે કે કોઈને પોતાનું ઘર વતન કે દેશ છોડવાનો વિચાર પણ ન આવે?

રિલ્કેની એક કવિતામાં સોનું ફરિયાદ સ્વરમાં કહે છે કે ‘તમે મને જમીનમાંથી બહાર કાઢી શુદ્ધતા અર્પી, ઉજ્જવળ બનાવ્યું તે બરાબર પણ ભ્રષ્ટ વ્યવહારો થકી ફરી મલિન બનાવ્યું તેનું શું?’ સ્વચ્છતા અભિયાન સરકારી તિજોરી સાફ કરવા પૂરતું સીમિત રહી ગયું છે. અને પોતાના પરિવારનું ભરણપોષણ કરવા અસમર્થ કોઈ ગરીબ માણસ ઘર છોડીને ચાલ્યો જાય છે. પરિવારજનો તેને કાયમ માટે ગુમાવી બેસે છે.

સર્જકો ભલે પોતાના ભાવવિશ્વમાં ‘ખોવાયેલા’ રહેવાની મજા લૂંટતા હોય પણ દયા તો પેલા અભાગિયા પિતા, પુત્ર, પતિ, પત્ની, ભાઈ કે બહેનની ખાવાની રહે જે ક્યારે ય પોતાના સંતાન, માતા-પિતા, પત્ની, પતિ, બહેન કે ભાઈનો ચહેરો ક્યારેક જોવા નથી પામવાના અને જેમની રાહ જોવામાં રાતની નિંદ્રા પણ ગુમાવી બેસે છે.

“ઇન્ટરનેશનલ મિસિંગ ડે” આપણા માટે એક પડકાર છે. શરમથી આપણે નતમસ્તક થઈ જવું જોઈએ. ‘ચાલ્યા ગયા છે’, ‘ગુમ થયેલ છે’ ‘પત્તો મળે તો જાણ કરવા વિનંતી’ જેવી જાહેરાતો વાંચી ક્ષુબ્ધ ન થવાય તો આપણે સંવેદનપટુ કહેવડાવવાને લાયક નથી.

આમ જોવા જઈએ તો આપણે સૌ ‘ગુમરાહ’ જ છીએ ને? સાચો રસ્તો તો ક્યાં કોઈને જડે છે ?

ડીસા / અમદાવાદ

સૌજન્ય : “નિરીક્ષક”, 01 જૂન 2016; પૃ. 09 

Loading

સાર્થક જલસો, ઇલાબહેન અને પુસ્તકપ્રેમ

સંજય શ્રીપાદ ભાવે|Opinion - Opinion|3 June 2016

સાર્થક જલસો  :

માનવામાં ન આવે એવી વાત છે. અત્યારે અમદાવાદમાં ભણતી અનુષ્કા નામની ઓગણીસ વર્ષની અંગ્રેજી કવયિત્રી, હિટલરે યહૂદીઓ માટે ઊભીકરેલી યાતના છાવણીઓનું દોજખ વેઠ્યા પછી ય જીવી ગયેલી બે મહિલાઓને ગયાં મે-જૂનમાં ચેક રિપબ્લિકમાં અલગ-અલગ દિવસે મળી. તેણે તેમની સાથે સમય વિતાવ્યો, તેમનાં સંભારણાં સાંભળ્યાં. કાળના પ્રવાહમાં હવે પછી ભાગ્યે જ કોઈને મળે તેવો આ અનુભવ ગણાય. અનુષ્કાએ તેને  સંયત છતાં ય સોંસરી રીતે લખ્યો છે તે વાંચવા મળે છે. [પૂરક લેખ : હેલ્ગાની ડાયરી, લે. નીલા જયંત જોશી, નિરીક્ષક, તા. ૧૬-૪-’૧૬] ‘સાર્થક’ પ્રકાશનના ‘જલસો’ અર્ધવાર્ષિકના છઠ્ઠા અંકના ઉઘાડના ફોટા  સાથેના લેખમાં – ‘આવી યાતના  વેઠનાર અમે છેલ્લાં હોઈશું’. ‘સાર્થક’ની સાર્થકતા આવી ચીજોમાં છે!

પંદરમી મેએ છેતાળીસ ડિગ્રી તાપના મધ્યાહ્ને અવતરેલા આ નવા અંક થકી, વધતા જતાં તાપમાનવાળા અઠવાડિયામાં ય કેટલાકે  વાંચવાનો  ‘જલસો’ માણ્યો હશે. તાજા અંકમાં હંમેશ મુજબનાં વિષયવૈવિધ્ય અને સંપાદકીય માવજત છે. જીવનચરિત્રાત્મક લેખોમાં, ઉર્વીશ કોઠારીએ પ્રકાશ ન. શાહનો ઇન્ટરવ્યૂ લીધો છે, જેમાં પ્રસન્નકારી નર્મવિનોદ અને  ખાસ છબીઓ છે. આખી મુલાકાત પુસ્તક તરીકે આવશે. હર્ષલ પુષ્પર્ણાએ ‘વિજ્ઞાન, તત્ત્વજ્ઞાની, લાગણીસભર સ્વપ્નદૃષ્ટા’ રવજીભાઈ સાવલિયાનું જીવન આલેખ્યું છે. ચંદુ મહેરિયાનો ‘તમારું ખાહડું અને અમારું માથું’ લાક્ષણિક દલિત આપવીતી છે. ‘લાંબા લેખને બદલે નાની વિગતો-પ્રસંગો-લખાણો-ચિત્રો થકી ડૉ. આંબેડકરની ચીલાચાલુ કરતાં જુદી બહુરંગી છબી ઉપસાવાનો પ્રયાસ એટલે આંબેડકરગંગા’ – આવી સંપાદકીય નોંધ હેઠળ અગિયાર લખાણો મળે છે. આ પ્રકારનું એક પુસ્તક થઈ રહ્યું હોવાનું પણ જણાવવામાં આવ્યું છે.

અગ્રણી ગુજરાતી સાક્ષર નગીનદાસ પારેખ વિશે હસિત મહેતાએ ખૂબ માહિતી એકઠી કરીને લખેલા લેખમાં કેટલી ય બાબતો  તો પહેલવહેલી વાર વાચકો સમક્ષ મુકાઈ છે. અલબત્ત, લેખના મથાળામાં ‘અનુવાદ સેનાપતિ’ શબ્દપ્રયોગ અને લેખનું લંબાણ ખટકે છે. લાંબા લેખ અને લંબાણવાળા લેખ વચ્ચેનો ભેદ પાડવો જરૂરી બનતો હોય તેવું  દીપક સોલિયાના સ્વકથનમાં પણ બને છે. આ લખનારને લેખકની ‘નાનકડી જ્ઞાનગંગા’ વાચક માટે વધુ પડતી મોટી અને મંદગતિ લાગે છે. વળી એ વાંચતા એક વ્યક્તિના વિચારતરંગોના, તત્ત્વચિંતનમાં ઝબકોળાયેલા બયાન કરતાં વિશેષ કંઈ મળતું નથી. લેખકે તેમના બે અધ્યાપકો સાથેના સંબંધોનું કરેલું આલેખન હૃદયસ્પર્શી હિસ્સો છે. આ પહેલાના અંકમાં પણ એક બહુ લાંબો લેખ ઓએસિસ સંસ્થા વિશે હતો. પણ બંને લેખોમાં લંબાણ સિવાય કોઈ સામ્ય નથી. વળી, નગીનદાસ પારેખ, પ્રકાશ ન. શાહ અને દીપક સોલિયા દરેકને માટે સરાસરી પચીસ પાનાં ફાળવવામાં પ્રમાણ ચૂકી જવાયું હોય એવું પણ લાગે. સમીકરણની રીતે ન જોઈએ તો પણ એક વાત મનમાં આવે. ‘હિંદસ્વરાજ’ની યાદગાર ફેરરજૂઆત સહિત કેટલુંક તાજગીસભર લખાણ કરનારા પચાસ વર્ષના પત્રકાર દીપક સોલિયાની જિંદગીના એકાદ-બે તબક્કા વિશે આટલું  બધું લખવા-વાંચવાનું થતું હોય, તો પંચોતેર વર્ષના વિચક્ષણ પબ્લિક ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રકાશ ન. શાહના જાહેર બાબતો(પબ્લિક અફેઅર્સ)ને  સંપૂર્ણ સમર્પિત જીવન વિશે કેટલું અને કેવા સ્તરનું લખવા-વાંચવાનું થાય?

યુવા લેખકો આરતી નાયર અને શારીક લાલીવાલાએ તેમના લેખોમાં વંચિતો વચ્ચે કામ કરતાં થયેલા અનુભવોનું વર્ણન કર્યું છે. અન્ય નોંધપાત્ર લેખો છે : ‘એકવીસમી સદીમાં ભાર વિનાનું ભણતર’ (ઋતુલ જોષી, મીરાં થૉમસ), ‘સવાસો વર્ષ પહેલાં પાઠ્યપુસ્તકમાં સરકારી છેડછાડની પહેલી ‘દુર્ઘટના’ (બીરેન કોઠારી), ‘અજાણ્યા ઈશાન ભારતનો આત્મીય પ્રવાસ’ (લતા શાહ, અશોક ભાર્ગવ) અને હિન્દી ફિલ્મના વિલનોનાં નામની કહાણી (સલીલ દલાલ). વલ્લભ વિદ્યાનાગરના કિરણ જોશીના  ચબરાકિયામાંથી ત્રણ : ‘જામમેં ડૂબ રહી હૈ યારોં / મેરે જીવન કી હર શામ’ (ટ્રાફિકમાં ફસાતા લોકોનું રાષ્ટ્રગીત), ‘પ્રેરણાત્મક પુસ્તક વાંચીને સુધરેલી વ્યક્તિને પછી દુનિયાની કોઈ જ તાકાત સુધારી શકતી નથી’, ‘રમેશ પારેખ કવિ હતા તો પણ કેવી જબરદસ્ત કવિતાઓ લખતા હતા!’

ઇલાબહેનનું સ્મરણ :

ગુજરાતના અસાધારણ નારીવાદી કર્મશીલ ઇલાબહેન પાઠક(૧૯૩૩-૨૦૧૪)ના ચોર્યાસીમા જન્મદિવસ નિમિત્તે અઠ્ઠ્યાવીસ જૂને એક કાર્યક્રમમાં ‘સંઘર્ષ સમતાનો’ પુસ્તકનું લોકાર્પણ કરવામાં આવ્યું. નારીઅભ્યાસ ક્ષેત્રના વરિષ્ઠ અધ્યાપક-સંશોધક કલ્પના શાહે લખેલા આ પુસ્તકમાં, ઇલાબહેને સ્થાપેલી ‘અમદાવાદ વિમેન્સ ઍક્શન ગ્રૂપ-અવાજ’ સંસ્થાની કામગીરીનું વિહંગાવલોકન છે. આ પુસ્તકની પ્રત જોવા માટે ‘અવાજ’ની ભુદરપુરા શાખા પર ગયો હતો. ત્યાં સારાબહેન બાલદીવાલાએ સંસ્થાએ પોતાનાં પ્રકાશનોનું કાઉન્ટર ઊભું કર્યું છે, તે બતાવ્યું. તેની પર અમસ્તી નજર કરનારને પણ ‘અવાજ’ના કામના વ્યાપનો અંદાજ મળી શકે. આ પ્રકાશનો ભેટ મેળવવામાં ધન્યતા અનુભવી, તેમનાં  નામ છે ‘ઓલવાયેલા દીવા’ ‘ગુજરાતમાં આત્મહત્યાનો અભ્યાસ’, ‘કાનૂની સહાયકેન્દ્રોના સામાજિક કાર્યકરો માટે માર્ગદર્શિકા’, ‘કુટુંબ સલાહકેન્દ્રોના સલાહકારો માટે માર્ગદર્શિકા’, ‘માનવ-અધિકાર ઘોષણાપત્રોઃ સંયુક્ત રાષ્ટ્રો ૧૯૪૮ અને ૧૯૯૩’, ‘મોકળાશની મથામણોઃ નારીવાદી દરમિયાનગીરી’, ‘યુવતી વિકાસકેન્દ્રોના કાર્યકરો માટે માર્ગદર્શિકા’, ‘સ્ત્રીના માનવાધિકારોના આંતરરાષ્ટ્રીય દસ્તાવેજો’, ‘આફ્ટરમાથ ઑફ ડૉમેસ્ટિક વાયોલન્સ અગેઇન્સ્ટ વિમેન’, ‘ગાઇડલાઇન્સ ફૉર કાઉન્સેલર્સ ઑફ ફૅફ્લીએ કાઉન્સેલિન્ગ સેન્ટર્સ’, ‘સોશિયલ ઍન્ગેજમેન્ટ ઑફ ઇન્ટેલેક્ચ્યુઅલ્સ ઇન સિવિલ સોસાયટી’ … તદુપરાંત મારી પાસે ‘પોલીસપોથી’ અને મહિલા જાગૃતિકરણ શિબિરો માટેની માર્ગદર્શિકા ‘અસ્તિત્વથી વ્યક્તિત્વ-વિકાસ’ પુસ્તક હતાં.

ઉપર્યુક્ત પ્રકાશનોમાંથી કેટલાંકમાં સમાજવિજ્ઞાની એડવિન મસીહી અને પ્રાધ્યાપક નલિની  ત્રિવેદીનો સહયોગ છે. જો કે મોટાં ભાગનાંમાં મુખ્ય કામ ઇલાબહેનનું છે. ન ભૂલીએ ‘નારીવાદીની કલમે’, ‘નારીવાદીની નજરે’, ‘નારીવાદીનું આકલન’ અને ‘નારીવાદીનું મનોમંથન’ એવાં નામે પાર્શ્વ પ્રકાશને ૨૦૧૨માં બહાર પાડેલાં ઇલાબહેનનાં પુસ્તકો જે અત્યારે અપ્રાપ્ય હોવાનું જાણવા મળે છે. ઇલાબહેનની વૈચારિક ભૂમિ કેટલી અભ્યાસપૂત હતી તે આ પુસ્તકોમાં દેખાય છે. નારીવાદી વિચારધારાની ઊંડી સૈદ્ધાંતિક સમજમાંથી નીપજેલાં આ લેખનમાંથી જણાઈ આવે છે કે ભારતીય અને ગુજરાતનાં સ્ત્રીજીવનનું ભાગ્યે જ કોઈ પાસું એવું છે કે જેના વિશે ઇલાબહેનને તીક્ષ્ણ નજરે અને સ્પષ્ટ રીતે કંઈ કહેવાનું ન હોય.

આવો પણ પુસ્તકપ્રેમ : 

રાજેન્દ્ર પરમાર કોઈ અધ્યાપક, લેખક, સંશોધક નથી. અમદાવાદ મ્યુિનસિપલ કૉર્પોરેશનના નિવૃત્ત કર્મચારી એવા રાજેન્દ્રભાઈ ગૂજરાત વિદ્યાપીઠ કે સાહિત્ય પરિષદમાં યોજાતા કાર્યક્રમોમાં શાહીબાગથી ખસૂસ આવતા નિસબતી નાગરિક છે. એ અદના વાચક પણ છે. હમણાં તેમને એક દુર્લભ પુસ્તકની શોધ હતી. આ પુસ્તક એટલે સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલયે ૧૯૫૦માં પ્રસિદ્ધ કરેલી બૂકર ટી. વૉશિંગ્ટનની, પ્રફુલ્લ પ્રા. ઠાકોરે ગુજરાતીમાં ઊતારેલી આત્મકથા, કિંમત દોઢ રૂપિયો. બુકર ટી. (૧૮૫૮-૧૯૧૫) અમેરિકામાં ગુલામીની મુક્તિ અને પુનર્વસના સંઘર્ષનો એક આગેવાન, કેળવણીકાર, વક્તા, લેખક. એમના આત્મવૃતાંતના પુસ્તક માટે રાજેન્દ્રભાઈએ બહુ કોશિશ કરી. તાજેતરમાં ‘નિરીક્ષક’ અને ‘ભૂમિપુત્ર’માં નિવેદન પણ આપ્યાં. પણ એ છપાય તે પહેલાં એમને પુસ્તક મળી ગયું. તેના માટે ક્યાંકથી ફોન નંબર મેળવીને ફોન કર્યો, એકાદ વાર યાદ કરાવ્યું, એકાદ મહિનો રાહ જોઈ. પુસ્તકની નકલ કઢાવીને પછી એ પાછું આપવા આવ્યા ત્યારે આ જ આત્મકથાનો અશોક વિદ્વાંસે કરેલો, ‘વિચારવલોણું’  પ્રકાશને બહાર પાડેલો ભાવાનુવાદ ભેટ તરીકે આપી ગયા. વળી, હિટલરે કરેલા માનવસંહારને લગતું એક મહત્ત્વનું જણાતું પુસ્તક ‘જવાબ માગે છે જિંદગી’ (ઓએસિસ પ્રકાશન,૨૦૦૮) વાંચવા માટે આપી ગયા. તેમાં નાઝી યાતના-છાવણીમાં રહી ચૂકેલા મનોવિજ્ઞાની વિક્ટર ફ્રેન્ક્લના ‘મૅન્સ સર્ચ ફૉર મીનીંગ’ પુસ્તકની સંજીવ શાહે પોતાની રીતે રજૂઆત કરી છે.

ગાંધીનગરના યુવા સરકારી અધિકારી યતીન કંસારાને પરિચય પુસ્તિકાઓ વસાવવાની ઘેલછા છે. અત્યાર સુધી બહાર પડેલી તેરસો જેટલી પરિચય પુસ્તિકાઓમાંથી નવસોથી વધુ તે ભેગી કરી શક્યા છે, શોધ ચાલુ છે. તાજેતરમાં સોએક પુસ્તિકાઓ તેમણે અમદાવાદની એક કૉલેજના ગ્રંથાલયમાંથી મેળવી. કેશોદના વતની યતીન કેમિસ્ટ્રી સાથે સ્નાતક અને સમાજકાર્ય સાથે અનુસ્નાતક થઈને હંગામી અધ્યાપક પણ હતા. સાહિત્યરસિક યતીન પાસે બે હજારથી વધુ પુસ્તકો છે. જેમાંથી મોટાભાગના રાજકોટ અને અમદાવાદની ગુજરીમાંથી વસાવ્યાં છે. પક્ષીનિરીક્ષણમાં રસને કારણે તેમણે પક્ષીઓ વિશેનાં દુર્લભ પુસ્તકો વસાવ્યાં છે. એક નિવૃત્ત સરકારી અધિકારીએ તેમને પોતાનો પુસ્તકસંગ્રહ આપ્યો તેની વાત કરતાં તેમને થઈ રહેલા હરખનો ફોન પર પણ અંદાજ આવતો હતો. યતીન સાહિત્યના કાર્યક્રમોમાં જોવા મળે છે. દર શનિ-રવિ બંગાળી શીખવા વિદ્યાપીઠમાં આવે છે. પત્ની પણ નોકરી કરે છે, લખે છે. બે વર્ષની દીકરી છે. ત્રણેય સાથે પ્રવાસ પણ કરી આવે છે. બાંધ્યા પગારવાળા સરકારી કર્મચારી હોવા છતાં યતીનભાઈ પુત્રી – પત્ની – પુસ્તકો – પક્ષીઓના સંગાથે રસિક જિંદગી જીવે છે. પરિચય પુસ્તિકાઓ પ્રત્યેનો પ્રેમ પત્રકાર-કોલમિસ્ટ દિવ્યેશ વ્યાસમાં પણ જણાઈ આવ્યો. ગૂજરાત વિદ્યાપીઠમાં પત્રકારત્વના વિદ્યાર્થી હોવા દરમિયાન તેઓ પરિચય પુસ્તિકા મેળવવા એક પુસ્તક સંગ્રાહકને ત્યાં સુરેન્દ્રનગર જઈ આવ્યા હતા.

વિશ્વાસ કેળકર મરાઠી પુસ્તકોનું ફરતું પુસ્તકાલય ચલાવે છે. તે દર પંદર દિવસે સ્કુટી પર થેલામાં ત્રીસેક પુસ્તકો મૂકીને તેમના સભ્યોના ઘરે જાય છે. તેમાંથી સભ્ય બે પુસ્તકો પસંદ કરે છે, જે બીજા પખવાડિયાના ફેરામાં બદલાવી શકાય છે. મરાઠી ભાષામાં બહાર પડતાં પુસ્તકોમાં અપાર વૈવિધ્ય હોય છે. તેને શક્ય એટલું સમાવવા માટે કેળકર કોશિશ કરે છે. તે પોતે અચ્છા વાચક છે, એટલે તેમની પસંદગી પણ ઉત્તમ હોય છે. પૂના-મુંબઈ જાય ત્યારે પુસ્તકો વસાવે છે. ઑનલાઈન મગાવે છે. પ્લાસ્ટિકના પૂંઠાંમાં પુસ્તકો સરસ રીતે સચવાય છે. તેમનું આખું કામ જ મરાઠીમાં કહીએ તો ‘સુટસુટીત’! એમના ઘરે જઈને ય પુસ્તકો લઈ શકાય, ક્યારેક એકાદ પુસ્તક વધારાનું ય માગી શકાય. નાટક અને સંગીતમાં ખૂબ રસ ધરાવતા કેળકર નિવૃત્ત ઇજનેર છે. તેમની પ્રવૃત્તિ એ તેમના મરાઠી વાચકો પર તેમણે કરેલું અનંત ઋણ છે.                  

e.mail : sanjaysbhave@yahoo.com

સૌજન્ય : “નિરીક્ષક”, 01 જૂન 2016; પૃ. 10-11

Loading

...102030...3,5583,5593,5603,561...3,5703,5803,590...

Search by

Opinion

  • વિવેકહીન વ્યક્તિપૂજાનું વહેણ દેશને કઈ દિશામાં લઈ જશે?
  • બચ્ચે મન કે સચ્ચે
  • હગ ડિપ્લોમસી અને આકરી પસંદગી: પુતિનની મુલાકાત અને ભારતની વ્યૂહરચના
  • ભારત નથી અમેરિકાને નારાજ કરી શકતું કે નથી રશિયાને છોડી શકતું
  • ચલ મન મુંબઈ નગરી —318

Diaspora

  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ
  • મારી દુનિયાનાં તમામ બાળકો

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved