Opinion Magazine
Number of visits: 9689914
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

બોજા થરકમ અને રમેશચંદ્ર પરમાર

ચંદુ મહેરિયા|Opinion - Opinion|31 October 2016

માંડ ચોવીસ કલાકના અંતરે ભારતના જાહેરજીવનના બે અગ્રણી દલિત બૌદ્ધિક કર્મશીલોએ આપણી વચ્ચેથી વિદાય લીધી. ૧૫મી સપ્ટેમ્બરે અમદાવાદમાં દલિત પેન્થર નેતા, લેખક અને સંશોધક ડૉ. રમેશચંદ્ર પરમારનું, તો ૧૬મી સપ્ટેમ્બરે હૈદરાબાદમાં કવિ, લેખક, અનુવાદક અને રાજકીય, સામાજિક દલિત આગેવાન બોજા થરકમનું અવસાન થયું. પૂર્વ અમદાવાદના શ્રમિક વિસ્તારમાં સાથે વસવાટને લીધે રમેશભાઈનો નાનપણથી પરિચય હતો. ૧૯૮૭માં હૈદરાબાદમાં બોજા થરકમે ફર્સ્ટ ઑલ ઈન્ડિયા દલિત રાઈટર્સ કૉન્ફરસ યોજી હતી. નીરવ પટેલ, દલપત ચૌહાણ અને બબલદાસ ચાવડા સાથે તેમાં જવાનું થયેલું, ત્યારથી થરકમનો પરિચય.

રમેશભાઈ પરમારનો જન્મ ૧૯૩૫માં, હાલના ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના વેડા ગામે થયો હતો. બોજા થરકમ ૧૯૩૯માં આંધ્રના ગોદાવરીના સમુદ્ર સંગમસ્થળના ગામે જન્મ્યા હતા. થરકમના પિતા શિક્ષક અને બે વાર ધારાસભ્ય રહી ચૂકેલા. એટલે શિક્ષણ અને જાહેરજીવનના સંસ્કાર કુટુંબના વાતાવરણમાંથી જ મળેલા. રમેશભાઈનાં માતાપિતાએ ગામડું છોડી અમદાવાદમાં મિલકામદારની જિંદગી શરૂ કરી એ રીતે ગામડાની સામંતી-જાતિવાદી માનસિકતામાંથી પોતાનો અને સંતાનોનો છુટકારો થયો. અમદાવાદના રખિયાલ વિસ્તારમાં જ્યાં કિશોર-યુવાન રમેશચંદ્રનો ઘડતરકાળ વીત્યો ત્યાંના આંબેડકરવાદી, સમાજવાદી, સામ્યવાદી માહોલના રંગે તેઓ રંગાતા રહ્યા.

બોજા થરકમ અને રમેશચંદ્ર પરમાર બંને હૈદરાબાદ અમદાવાદ જેવાં મોટાં શહેરોમાં ઉચ્ચ શિક્ષણ પામ્યા. વાચન અને જાહેર પ્રવૃત્તિ વિદ્યાર્થીકાળથી જ બેઉના જીવનનો અનિવાર્ય હિસ્સો બની રહી. થરકમે શેડ્યુલ્ડ કાસ્ટ સ્ટુડન્ટ ફૅડરેશનના જિલ્લાપ્રમુખ તરીકે જાહેરજીવન આરંભ્યું. રામચંદ્રપુરમ્‌ની સરકારી છાત્રાલયની ભોજનાદિની નબળી સુવિધાઓના વિરોધમાં ૩૦ દિવસનું સફળ આંદોલન કર્યું હતું. રમેશચંદ્ર ૧૯૫૨થી ૧૯૬૦ સુધી નવયુવકમંડળના મંત્રી હતા. વિચારવિનિમય – સભા દ્વારા ખુદનું અને દલિત યુવાનોનું વૈચારિક ઘડતર કરતા હતા. બેસ્ટ કબ્બડી પ્લેયર રમેશચંદ્રે ૧૯૫૮માં રિપબ્લિકન સ્ટુડન્ટ ફૅડરેશનની સ્થાપના કરી હતી. આંબેડકર સ્પૉટ્ર્સ ક્લબ ઑફ ગુજરાતના તે પ્રમુખ હતા. અમદાવાદના રખિયાલ વિસ્તારનાં અસામાજિક તત્ત્વો સામે યુવાન રમેશભાઈને બાથ ભીડવાની થયેલી. તો આ બેસ્ટ કબ્બડી ખેલાડીને જિંદગી આખી જાતિવાદ સામે લડવાનું થયું.

દલિત-અત્યાચારોનો વિરોધ અને ભોગ બનેલાઓને ન્યાય અપાવવા માટેનો સંઘર્ષ એ દલિત કાર્યકરની નિયતિ છે. એટલે થરકમ અને રમેશભાઈની જિંદગીનો સિંહભાગ દલિત-અત્યાચારોના બનાવોની સ્થળ-મુલાકાતો, તપાસ અહેવાલો, પોલીસ અને કોર્ટની કાર્યવાહી અને ન્યાય મેળવવાની લડતમાં ગયો. વ્યવસાયે ધારાશાસ્ત્રી બોજા થરકમે સાડા ચાર દાયકા ગરીબોના વકીલ તરીકે કામ કર્યું. જિલ્લા અદાલતથી સર્વોચ્ચ અદાલત સુધી ગરીબો-દલિતોના ન્યાયની અદાલતી લડાઈ તેઓ લડતા રહ્યા. ૧૯૮૪માં તેમની નિમણૂક ગવર્નમેન્ટ પ્લીડર તરીકે થઈ. એ જ વરસે કરમચેડુ દલિત હત્યાકાંડ થતાં તેના વિરોધમાં એ પદ પરથી રાજીનામું આપી તેઓ દલિતોને ન્યાયના પક્ષે રહ્યા. બે મહિના તેમણે કરમચેડુમાં રહી, અદાલતી કેસ તો મજબૂત કર્યો, પણ  માત્ર કાયદાકીય લડત પૂરતા મર્યાદિત રહેવાને બદલે ફર્સ્ટ ઑલ ઇન્ડિયા દલિત – પ્રોટેસ્ટ (પ્રથમ રાષ્ટ્રીય વિરોધ-કાર્યક્રમ) કરમચેડુમાં જ કર્યો. પલેમ, કરમચેડુ, ત્સુંદૂર અને લક્ષ્મીપેટા દલિત હત્યાકાંડોના વિરોધમાં અને પીડિતોના ન્યાય માટે પણ તે સંઘર્ષશીલ રહ્યા. ગુજરાત દલિત પેન્થરના સ્થાપક પ્રમુખ રમેશચંદ્ર પરમારના ભાગે પણ જેતલપુરથી કડી અને ગાંધીનગર-ભાટના દલિત હત્યાકાંડોની  ન્યાયની લડાઈ લડવાની આવી હતી.

માનવ-અધિકાર અને સામાજિક રાજકીય કર્મશીલ તરીકે ધરપકડો અને જેલવાસ આ બંને નેતાઓના લમણે સ્વાભાવિક લખાયેલો જ હતો. નાનીમોટી અટકાયતો, ધરપકડો અને જેલવાસો ઉપરાંત થરકમને કટોકટી દરમિયાન મિસા હેઠળ લાંબો જેલવાસ ભોગવવાનો થયેલો. ૧૯૮૧નાં અનામત-વિરોધી રમખાણો વખતે રમેશભાઈને પણ જેલવાસ થયેલો. આ બંને સમયગાળા કૉંગ્રેસી રાજવટના હતા તે ખાસ નોંધવું જોઈએ. રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર તરીકે રમેશભાઈ અમદાવાદ લોકસભાની અનામત બેઠક પર ચૂંટણી લડેલા. ૧૯૬૨થી ૧૯૬૭ સુધી તેઓ રિપબ્લિકન પક્ષના જનરલ સેક્રેટરી હતા. થરકમ ૧૯૭૮માં નિઝામાબાદથી સી.પી.આઈ.-એમ.એલ.ના સમર્થનથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડેલા. બંને નેતાઓ ચૂંટણી હારેલા. જો કે થરકમ રાજકીય પક્ષો સાથે જોડાતાં અને સૈદ્ધાંતિક મુદ્દે છૂટા પડતા રહ્યા હતા. ૧૯૮૯માં બહુજન સમાજ પક્ષના તે આંધ્રના સ્થાપક સેક્રેટરી હતા. ૧૯૯૪માં માયાવતીએ ઉત્તરપ્રદેશમાં ભા.જ.પ. સાથે જોડાણ કર્યું, તેના વિરોધમાં તેમણે પક્ષ છોડ્યો હતો. ૧૯૯૫માં તેઓ રિપબ્લિકન પાર્ટીના આંધ્રપ્રદેશના રાજ્ય-અધ્યક્ષ બન્યા. પણ રામદાસ આઠવલેએ ભા.જ.પ.નો સાથ લીધો, તો એમણે તે પક્ષ પણ છોડ્યો.

કવિ, લેખક, અનુવાદક તરીકે આ બંને દલિત-અગ્રણીઓનું મોટું પ્રદાન છે. થરકમના બે તેલુગુ કાવ્યસંગ્રહો ૧૯૮૬ અને ૨૦૦૦ના વરસોમાં પ્રગટ થયા હતા. રમેશભાઈએ આનંદ મૈત્રેયના નામે થોડી પણ નોંધપાત્ર દલિત કવિતાઓ લખી હતી. ૧૯૭૯માં પ્રગટ થરકમની પુસ્તિકા ‘જો પોલીસ તમારી ધરપકડ કરે તો’ની ૫૦,૦૦૦ કરતાં વધુ નકલો વેચાઈ-વહેંચાઈ છે. થરકમના અન્ય પ્રકાશનોમાં નવલકથા ‘પંચતંત્રમ’ અને ઘણાં વૈચારિક પુસ્તકો છે. રમેશચંદ્ર પરમારે ગુજરાત અને દેશના ઘણાં દલિત હત્યાકાંડો વિશે પુસ્તિકાઓ લખી છે. માથે મેલુંની સમસ્યા અંગેનું તેમનું દસ્તાવેજી પુસ્તક ‘હાથમાં ઝાડુ, માથે મેલું’, ચાર ભાગમાં ડૉ. આંબેડકરનું જીવનચરિત્ર અને પાંચ ભાગની આંબેડકર ગ્રંથશ્રેણી ખાસ ઉલ્લેખનીય છે. ડૉ. બાબાસાહેબ આંબેડકરના નિર્વાણ વખતે ૧૯૫૬માં થોકબંધ મિલકામદાર અર્ધશિક્ષિત, અશિક્ષિત કવિઓએ લખેલાં અંજલિ-કાવ્યોનું તેમનું સંપાદન શોધપ્રબંધના ગજાનું કામ છે. મહારાષ્ટ્ર સરકારે પ્રગટ કરેલ ડૉ. આંબેડકરના મરાઠી-અંગ્રેજી ગ્રંથો પૈકીના થોડાકના તેલુગુ અને ગુજરાતીમાં અનુવાદો પણ આ બંનેનું નોંધપાત્ર અનુવાદકાર્ય છે.

દલિત સાહિત્ય સાથે થરકમ અને રમેશભાઈનો નિકટનો અને નિસબતનો નાતો રહ્યો છે. દલિત પેન્થરના ‘પેન્થર’ સામયિકના અગ્ર લેખક-સંપાદક એવા રમેશભાઈના તંત્રીપદે જ ૧૯૭૮માં દલિત-પેથરના કાવ્યપત્ર ‘આક્રોશ’ થકી ગુજરાતી દલિત-કવિતાનો ઉદ્ભવ થયો હતો. એ દ્વારા પ્રથમ વખત નીરવ પટેલ, દલપત ચૌહાણ, પ્રવીણ ગઢવી અને યોગેશ દવેની દલિત-કવિતાઓ પ્રગટી. નીરવ પટેલના બંને અંગ્રેજી દલિત કવિતાસંગ્રહોના રમેશભાઈ પ્રકાશક હતા. એ રીતે રમેશભાઈ ગુજરાતી દલિત સાહિત્યના દાદા ગણાવા જોઈતા હતા. ઑક્ટોબર, ૧૯૮૭માં થરકમે હૈદરાબાદમાં ફર્સ્ટ ઑલ ઈન્ડિયા દલિત રાઇટર્સ કૉન્ફરન્સ યોજી હતી. દેશભરના હજારેક દલિત-સાહિત્યકારોના આ સંમેલનમાં આફ્રોઅમેરિકન દલિતકવિ રુનુકો રુશદી, કર્ણાટકના જાણીતા દલિત કવિ દેવનુર મહાદેવા ઉપરાંત મહારાષ્ટ્રના દયા પવાર અને શાંતાબાઈ કાંબળે હાજર હતાં.

હાડના આંબેડકરવાદી ગણાતા રમેશભાઈ અને બોજા થરકમ અન્ય રાજકીય વિચારકો અને વિચારધારાથી પણ અછૂતા નહોતા રહ્યા. આંધ્રની નકસલ ચળવળ અને એન્કાઉન્ટરના નામે મરાતા નકસલોના પક્ષે રહેલા થરકમનું ‘કુલમ-વર્ગમ’ પુસ્તક વર્ણ-વર્ગસંઘર્ષની પાયાની બાબતોની છણાવટ કરે છે. ડાબેરી સંગઠનો સાથે રહીને તેમણે જમીન-સંઘર્ષો કર્યા છે, તો અસંગઠિત કામદારોની હડતાળોનું નેતૃત્વ કર્યું છે. આંધ્ર સિવિલ લિબર્ટીઝ કમિટી અને રેવોલ્યુશનરી રાઇટર્સ ઍસોસિયેશન સાથે પણ તે જોડાયેલા હતા. જો કે આંબેડકર યુવજન સંગમ અને આંધ્ર દલિત મહાસભા સાથે જ તેમનો કાયમી અતૂટ નાતો રહ્યો. ઓછું વેતન અને વધુ શ્રમબોજ ધરાવતા ડોફર્સ આંદોલન સાથે જીવનઆરંભે સક્રિય રહેલા રમેશભાઈ સમાજવાદી નેતા ડૉ. રામમનોહર લોહિયાના જાતિનિર્મૂલનના વિચારોથી આકર્ષાયેલા હતા. આયુર્યાત્રાના ૫૮મા વરસે ૧૯૯૩માં એમણે ‘ભારતીય રાષ્ટ્રવાદ, સમાજવાદ અને ડૉ. રામમનોહર લોહિયા – એક અધ્યયન’ વિષય પર પીએચ.ડી.કર્યું. જો કે લોહિયા તેમના શોધપ્રબંધનો જ વિષય ન બની રહ્યા પણ રમેશભાઈ તેમના વિચારોના પ્રસારક પણ બન્યા. અમદાવાદમાં મોટા પાયે આંબેડકરજયંતીની ઉજવણી અને વરસોવરસ આંબેડકર નગરયાત્રા યોજનાર રમેશભાઈ એટલી જ નિયમિતતાથી લોહિયા જયંતી મનાવતા હતા.

દેશના આ બે અગ્રણી દલિત કર્મશીલો રાજ્યના અને દેશના સીમાડા વળોટીને અન્ય રાજ્યોમાં પણ કામ કરતા હતા. થરકમે બિહાર-કર્ણાટકના દલિત અત્યાચારોના બનાવોના વિરોધમાં ખાસ્સી સક્રિયતા દાખવી હતી. રમેશભાઈ દલિત પન્થર નેતા તરીકે દેશનાં અન્ય રાજ્યોના સતત સંપર્ક અને પ્રવાસો કરતા હતા. અમદાવાદમાં વસતા બિહારી અને યુ.પી.ના સ્થળાંતરિત દલિત-શ્રમિકો માટે નવા વટવામાં તેમણે શૈક્ષણિક સંસ્થા સ્થાપી હતી. ૨૦૦૧ના વરસમાં યોજાયેલી વંશવાદ વિરોધી વિશ્વપરિષદમાં બોજા થરકમ સક્રિય હતા, દલિત સવાલના વૈશ્વિકીકરણના મુદ્દે તેઓ દલિતોના પક્ષે અને સરકારના વિરોધમાં હતા તથા ડરબનમાં પણ ગયેલા. રમેશભાઈની ભૂમિકા આ ડરબન કૉન્ફરન્સ અને દલિત-સવાલના વૈશ્વિકીકરણ અંગે હળવામાં હળવો શબ્દ વાપરીએ તો રહસ્યમય હતી.

જ્યાં સુધી આ બંને દલિત-આગેવાનોના વારસાનો અને વારસદારોનો સવાલ છે, બોજા થરકમના પુત્ર રાહુલ બોજા અત્યારે હૈદરાબાદના કલેક્ટર છે, તો રમેશચંદ્ર પરમારના પૌત્ર રાહુલ પરમારે દાદાના દલિત પેન્થરની કમાન સંભાળી છે. રમેશભાઈ અને બોજા થરકમનો દલિતસંઘર્ષનો, જાતિ- નિર્મૂલનનો અને સરવાળે દલિતમુક્તિનો વારસો તેમનાં સંતાનો, મિત્રો અને અનુયાયીઓ આગળ ધપાવે તે જ તેમના જીવનકાર્યનું તર્પણ હશે.

E-mail : maheriyachandu@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 16 અૉક્ટોબર 2016; પૃ. 16-17 

Loading

ચંદ રોજ

મહેન્દ્ર મેઘાણી|Opinion - Opinion|31 October 2016

‘મિલાપ’ની સમગ્ર ફાઇલને તાજેતરમાં ડિજિટલ સ્વરૂપ મળ્યું અને તેના જાહેર લોકાર્પણ પ્રસંગે [08 અૉક્ટોબર 2016] મહેન્દ્રભાઈ મેઘાણીએ વાંચેલું વક્તવ્ય. ડિસેમ્બર ૧૯૭૮ વેળા ‘મિલાપ’ના આખરી અંકમાં આ નિવેદન પ્રગટ થયેલું તે તેમણે પોતે પ્રસંગે વાંચ્યું, તે અહીં આપીએ છીએ.

•

 

 

હૈ બહારે બાગ દુનિયા ચંદ રોજ!
દેખ લો ઇસકા તમાશા ચંદ રોજ.
ફિર તુમ કહાં ઔ મૈં કહાં, ઐ દોસ્ત!
સાથ હૈ મેરા-તુમ્હારા ચંદ રોજ.

પ્રિય વાચક,

‘મિલાપ’નો પહેલો અંક ૧૯૫૦ના જાન્યુઆરીમાં બહાર પડેલો. ૧૯૭૮ના ડિસેમ્બરમાં તેને ૨૯ વરસ પૂરાં થાય છે. એ માસનો અંક ૩૩૯મો હશે … પણ હવે તેનું પ્રકાશન સ્વેચ્છાએ સંકેલી લેવાનો સમય આવ્યો છે. આ માટે કોઈ એક ખાસ કારણ નથી. દરેક વસ્તુનો એક આરંભ હોય છે, તેમ એક અંત પણ હોય છે. એવો એક સહજ અંત ‘મિલાપ’નો પણ આવે, તે સ્વાભાવિક ગણાય.

અમેરિકામાં પત્રકારિત્વનો વરસેકનો અભ્યાસ કરીને ૧૯૪૯માં હું પાછો ફરેલો. ત્યાંના જગમશહૂર ‘રીડર્સ ડાઇજેસ્ટ’ની પદ્ધતિએ ગુજરાતમાં એક માસિક શરૂ કરવાનું સ્વપ્ન અંતરમાં ભરેલું હતું. પોતાના જોવામાં જે કાંઈ આવે તેમાંથી સુંદરતમ વસ્તુઓનો આનંદ માણવામાં અન્યને સહભાગી બનાવવા – અને એ રીતે પોતાનો આનંદ અનેકગણો વધારવો – એવી તાલાવેલી હતી.

૧૯૫૦માં જાન્યુઆરીની તા. ૨૬મીએ, સ્વતંત્ર ભારતે એક પ્રજાસત્તાકનું સ્વરૂપ ધારણ કર્યું તે મંગલ દિને, ‘મિલાપ’નો પહેલો અંક બહાર પડ્યો. તેને ઊઘડતે પાને ‘નાની શી મિલનબારી’ નામના લેખમાં ‘મિલાપ’નું આ પ્રયોજન વ્યક્ત કરેલું : ચોપાસની દુનિયા વિશેનું જ્ઞાન વધારનારું, સામાન્ય સમજના રસિક વાચકને રુચે, સરળ લાગે ને ઉપયોગી નીવડે તેવું વાચન પૂરું પાડવું.

તે પછીનાં આ વરસો દરમિયાન સામયિકો-વર્તમાનપત્રો-પુસ્તકોના વિશાળ ઉપવનમાંથી રૂડાં પુષ્પો વીણી વીણીને તેની છાબ ગુજરાત પાસે દર મહિને ધરવામાં એક ધન્યતા ‘મિલાપ’ અનુભવતું આવ્યું છે. ગુજરાતની ફૂલવાડીમાં ‘મિલાપ’ પણ નાનકડું પુષ્પ બનીને ખીલ્યું, અને પુષ્પની જેમ જ સ્વાભાવિકપણે હવે એ ખરી પડે છે. આજે નહીં તો બે-પાંચ વરસે પણ એને ખરવાનું તો હતું જ. ખીલવામાં જેમ આનંદ હતો, તેમ યથાકાળે ખરી પડવામાં પણ એક જાતની સાર્થકતા અનુભવાય છે.

‘મિલાપ’ની ગ્રાહક-સંખ્યા સાવ મામૂલી રહી છે … લગભગ ત્રણ દાયકાની આ મજલ દરમિયાન તેનો ફેલાવો દોઢથી બે હજાર નકલો જેટલો રહ્યો છે. તેના લવાજમમાંથી ‘મિલાપ’ના છાપકામ જેટલો ખર્ચ નીકળતો રહ્યો છે.

‘મિલાપ’ પાછળ, પુસ્તકવેચાણના ને પ્રકાશનોના કામ પાછળ રાતદિવસ જોયા વિના મહેનત કરી છે. કોઈએ કહ્યું નહોતું, પણ પોતાને ગરજ હતી એટલે ઉમાશંકર જોશી જેવા કોઈ સંપાદક માટે તો ‘મિલાપ’ ચલાવવું એ ડાબા હાથનો ખેલ હોય. પણ હું સામાન્ય શક્તિનો માણસ. મારી પાસે એણે સારો એવો શ્રમ કરાવ્યો. સાથીઓની, ભાઈઓની અને સંતાનોની સહાય વડે તે પરિશ્રમ કરવામાં પારાવાર આનંદ માણ્યો છે, જીવનની કંઈક સાર્થકતા અનુભવી છે. જયંતભાઈ પરમાર, જયંતિભાઈ શુક્લ, ગુણવંતભાઈ વડોદરિયા, યશવંત ત્રિવેદી, ચંદ્રકાન્ત શાહ, ભાઈ નાનક, ભાઈ જયંત, નીમુબહેન, ગોપાલ અને મંજરી તથા વીસેક વરસથી સતત સાથે રહેલા અરવિંદભાઈ શુક્લ – એ બધાની નિષ્ઠાભરી જહેમતનો ટેકો મળ્યો તેથી જ ‘મિલાપ’ ચાલી શક્યું છે.

‘મિલાપ’નો પ્રકાર જ એવો છે કે બીજા કોઈ પણ સામયિકના કરતાં વધુ લેખકોની કૃતિઓ તેમાં રજૂ થાય. એ લેખકોનો આંકડો હજાર જેટલે પહોંચી ગયો હશે. આટલાં વરસોમાં આઠેક હજાર નાનાંમોટાં લખાણો ‘મિલાપ’માં પુનર્પ્રગટ થયાં હશે. તેમાંથી ગદ્યનાં લગભગ તમામનો થોડોઝાઝો સંક્ષેપ કરેલો; ક્વચિત કાવ્યો સાથે પણ એવી ધૃષ્ટતા આચરેલી છે. એવી છૂટ લેવા દેવા બદલ તેના સર્જકોનો જેટલો આભાર માનું તેટલો ઓછો છે. રોકડ પુરસ્કારને બદલે ‘મિલાપ’ના અંકો કે લોકમિલાપનાં પ્રકાશનો સ્વીકારવાની ઉદારતા તેમાંથી લગભગ બધાએ બતાવી છે, તેનું ઋણ તો કદી નહીં ચૂકવાય. મારું સ્વપ્ન તો એવું હતું કે ‘મિલાપ’માં પ્રગટ થતા નાના મુક્તકને પણ ઓછામાં ઓછા રૂ. ૧૦૦ પુરસ્કાર-પાંખડીરૂપે આપી શકાય…

સ્વપ્ન તો એવું પણ હતું કે ‘મિલાપ’ની પચાસેક હજાર નકલો વંચાતી હશે … સ્વપ્ન એવું છે કે ‘મિલાપ’ના એકલા ‘લોકગંગા’ વિભાગનું જ સ્વતંત્ર અઠવાડિક પ્રગટ થતું હોય … સ્વપ્ન એવું છે કે આજનાં આપણાં દૈનિકોના એક જ પાના જેટલી પણ નક્કર સામગ્રીવાળું દૈનિક બહાર પાડી, અમારા બોટાદના બાળભેરુ થોભણભાઈને ખેતરે લઈ જઈને હું કહી શકું તે ઘડીભર સાંતી છોડીને આટલા મિતાક્ષરી સમાચાર દેશ અને દુનિયા વિશેના તમારે વાંચી જ લેવા જોઈએ …

આવાં હરકોઈ સોણલાંને સાચાં પાડવા માટે પોતાની મામૂલી ગુંજાશ મુજબ મચી પડવું, એમાં જ જીવનની સાર્થકતા છે. પણ એક મામૂલી જિંદગીનું ગજું કેટલું? સ્વપ્નસિદ્ધિની મજલે મુશ્કેલીઓ વધતી જાય તેવો કાળ આવ્યો છે, પ્રાણ પાંખો વીંઝે છે, પણ શરીરને હવે એની પાછળ ઘસડાવું પડે છે. એંશીની અડોઅડ પહોંચેલા બચુભાઈ રાવત જેવા હજી પણ જે તપ કરી રહ્યા છે, તે જોતાં મારા જેવા પંચાવને જ પહોંચેલાને માટે થાકનો આવો અનુભવ અજુગતો ગણાય. પણ હવે ‘મિલાપ’ ચાલુ રાખવાની હામ નથી રહી. થીગડથાગડ કરીને એને અંત લગી વળગી રહેવાની આસક્તિ નથી. પાંચ ટકા પ્રેરણા અને પંચાણું ટકા પરિશ્રમ : એ ‘ફોર્મ્યુલા’ વડે મારા જેવો સામાન્ય માણસ પણ એને ચલાવી શક્યો, તો વળી કોઈ સમર્થને હાથે ‘મિલાપ’ના સ્વરૂપનું અન્ય સામયિક ગુજરાતી પ્રજાને જરૂર મળી રહેશે.

‘મિલાપ’ વાટે જે થોડાંક હજાર સહૃદય ભાઈ-બહેનો સાથે સ્નેહનો તાંતણો બંધાયો, તે આ રંક જીવનની કમાઈ છે.

‘મિલાપ’ માસિક વાટે અને પુસ્તક-પ્રકાશન-વિતરણની યોજનાઓ મારફત લોકમિલાપનો એક નાનકડો પરિવાર બંધાયો છે ને વિદેશો સુધી એના તાંતણા લંબાતા રહ્યા છે. એ સહુનું એમની જરીક જેટલી સેવા કરવાની તક અમને આપવા બદલ, પ્રેમપૂર્વક, કૃતજ્ઞભાવે સ્મરણ કરું છું.

ઉઠ જાગ મુસાફિર, ભોર ભઈ,
અબ રૈન કહાં જો સોવત હૈ.

[તા. ૧૬ ડિસેમ્બર, ૧૯૭૮ : સવારના ૧ થી ૪]

સૌજન્ય : “નિરીક્ષક”, 16 અૉક્ટોબર 2016; પૃ. 18 અને 17

Loading

કમ્યુિનઝમમાં વિશ્વાસ રાખવો એ ગુનો છે?

અપૂર્વાનંદ|Opinion - Opinion|31 October 2016

ગત દિવસોથી હરિયાણા કેન્દ્રીય વિશ્વવિદ્યાલયના અંગ્રેજી વિભાગના અધ્યાપક એકલા હાથે એક લડાઈ લડી રહ્યા છે. તેઓ શૈક્ષણિક દુનિયાની સરહદ પર એક એવા યુદ્ધનો ભોગ બન્યા છે જેમાં હુમલો કરનાર લોકો રાષ્ટ્રવાદના ઝંડા સાથે ફરી રહ્યા છે; અને તે લોકોનો પડકાર ઝીલનાર આ અધ્યાપકો પાસે માત્ર બુદ્ધિ, વિવેક અને આલોચનાની ભાષા છે, પણ બહારની દુનિયામાં તેની પ્રશંસા કરનાર અથવા ખરીદદાર કોઈ નથી.

૨૧ સપ્ટેમ્બર, ૨૦૧૬ના રોજ હરિયાણા કેન્દ્રીય વિશ્વવિદ્યાલયના અંગ્રેજી વિભાગે મહાશ્વેતાદેવીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ અવસર પર મહાશ્વેતાદેવીની નવલકથા ‘હજાર ચૌરાસી કી મા’ આધારિત એક ફિલ્મ દર્શાવવામાં આવી હતી અને સાથે મહાશ્વેતાદેવીની પ્રખ્યાત વાર્તા ‘દ્રૌપદી’ પર આધારિત એક નાટકનું મંચન કરવામાં આવ્યું હતું. આ અવસર પર હરિયાણા કેન્દ્રીય વિશ્વવિદ્યાલયનું નાટ્યગૃહ પ્રેક્ષકોથી ભરેલું હતું અને આ પ્રેક્ષકોમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સાથે કેટલાક અધિકારીઓએ પણ હાજરી આપી હતી. ‘દ્રૌપદી’ને ખૂબ પ્રશંસા મળી હતી અને ત્યાં હાજર અધિકારીઓએ પણ અંગ્રેજી વિભાગના અધ્યાપકોની ખૂબ પ્રશંસા કરી હતી. પણ, જે દિવસે આ નાટકનું મંચન થયું તેના બીજા દિવસની સવારે ઘટના કાંઈક અલગ જ હતી. પ્રેક્ષકોમાં હાજર કોઈએ આ નાટકનું રેકૉર્ડિંગ કર્યું હતું અને તેને વિશ્વવિદ્યાલયની બહાર લોકોમાં પ્રસારિત કર્યું હતું. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની છાત્રશાખા ‘અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે’ એવો આરોપ લગાવ્યો કે આ ‘દ્રૌપદી’ નાટકનું મંચન ભારતીય સેનાના જવાનોને અપમાનિત કરવાના હેતુથી પ્રદર્શિત કરવામાં આવ્યું હતું અને અહીં એ નોંધવું જોઈએ કે આ નાટકનું મંચન થયું તેના લગભગ ત્રણ દિવસ અગાઉ કાશ્મીરમાં ઊરી ઘટનામાં કેટલાક ભારતીય જવાનો શહીદ થયા હતા. હિંદી છાપાંઓએ પણ તેમના સ્વભાવ અનુસાર વિશ્વવિદ્યાલય વિરુદ્ધ આંદોલનની વહેતી ગંગામાં પોતાના હાથ ધોવાનું શરૂ કરી દીધું અને જે નાટકનો આટલો વિરોધ થઇ રહ્યો છે, તે અંગે કશું જાણવાનો પણ પ્રયત્ન કર્યો નહિ.

‘દ્રૌપદી’ એ એક આદિવાસી સ્ત્રીની વાર્તા છે, જેમાં તે સ્ત્રી – સુરક્ષાદળના હુમલાનો શિકાર થાય છે અને જ્યારે તે ભાનમાં આવે છે ત્યારે એને એ વાતનો ખ્યાલ આવે છે કે તેની પર શારીરિક દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. તે પોતાના નગ્ન શરીરને ઢાંકવાની ના પાડી દે છે, અને એ પ્રકારની શારીરિક ઈજાઓ સહિતની નગ્ન અવસ્થામાં સુરક્ષાદળના અધિકારીને પડકારે છે. હરિયાણા કેન્દ્રીય વિશ્વવિદ્યાલયમાં આ વાર્તાને નાટ્યમાં રૂપાંતરિત કરવામાં આવી અને તેની સાથે ત્યાંના અધ્યાપકોએ આ નાટકમાં એક ઉપસંહાર જોડ્યો જેમાં આજના ભારતમાં જે પ્રકારે આદિવાસી અને અન્ય સમુદાયો પર રાજકીય દમનનીતિમાં આર્મ્ડ ફૉર્સિસ સ્પેિશયલ પાવર ઍક્ટ (આફ્સ્પા) જેવા કાયદાની આડમાં જે પ્રકારના જુલમ ગુજારવામાં આવે છે, તેની વાત કરવામાં આવી. ન્યાયમૂર્તિ વર્મા સમિતિ અને ઉચ્ચતમ ન્યાયાલયના અહેવાલ થકી એ વાત દર્શકો સમક્ષ રજૂ કરવામાં આવી કે કેવી રીતે ભારતીય સુરક્ષા દળના કેટલાક સભ્યો યૌનહિંસાના ગુનામાં સંડોવાયેલા છે અને આ પરિસ્થિતિમાં દર્શકોને પોતાની કેવી ભૂમિકા હોઈ શકે તે નક્કી કરવાનું કહેવામાં આવ્યું.

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે એવો આરોપ લગાવ્યો કે આપણા દેશમાં એક તરફ સરહદ પર જવાનો શહીદ થઈ રહ્યા છે અને બીજી તરફ વિશ્વવિદ્યાલયમાં આરામ ફરમાવતા લોકો આ રીતે આપણા જવાનોનાં ચરિત્રને ખરાબ કરવા માટે આ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરી રહ્યા છે. આ વિશ્વવિદ્યાલય હરિયાણાના મહેન્દ્રગઢ નામના વિસ્તારમાં શહેરથી ૧૨ કિલોમીટર દૂર આવેલું છે. પણ, અખિલ ભારતીય વિદ્યાર્થીપરિષદે નક્કી કર્યું કે તેઓ આ મુદ્દા પર શહેરમાં આંદોલન કરશે અને શહેર તથા આસપાસનાં ગામડાંના લોકોને પણ આ વિશ્વવિદ્યાલયનો વિરોધ કરવાનું કહેશે. ત્યાં કુલપતિનું પૂતળું સળગાવવામાં આવ્યું છે, શિક્ષકો પર રાષ્ટ્રદ્રોહનો કેસ ચલાવવા અને સાથે તેમને વિશ્વવિદ્યાલયમાંથી પદભ્રષ્ટ કરવાની માંગ કરવામાં આવી છે. ત્યાં લગભગ દરરોજ વિશ્વવિદ્યાલયના દરવાજા પર પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે.

વિશ્વવિદ્યાલયમાં આ નાટકનું મંચન કરવામાં આવ્યું તેના વળતા દિવસે જ કાર્યક્રમ સાથે જોડાયેલા એક ડૉક્ટર સ્નેહસ્તા પાસે વિશ્વવિદ્યાલયના વહીવટકર્તાઓએ આ નાટકમાં ભારતીય સેનાની છબી ખરાબ રીતે પ્રદર્શિત કરવાના આરોપ અંગે સફાઈ માગી હતી, ત્યારે તેઓએ કુલ છ સભ્યોની તપાસ સમિતિની રચના કરી કે જે આ આખી ઘટનાની તપાસ કરશે અને ત્યાર બાદ તે અંગેનો એક રિપોર્ટ રજૂ કરશે. હવે વિશ્વવિદ્યાલય પર દબાણ કરવા માટે એવું કહેવામાં આવી રહ્યું છે કે આ તપાસ સમિતિ યોગ્ય નથી, કારણ કે તેના સભ્યો કુલપતિના અંગત લોકો છે. એવું પણ સાંભળવામાં આવી રહ્યું છે કે તે જિલ્લાના શાસનકર્તા પણ પોતાની તરફથી આ ઘટના અંગે તપાસની તૈયારી કરી રહ્યા છે. પરંતુ, આ પૂર્વે પોલીસે કહ્યું હતું કે સૌ પ્રથમ તેઓ વિશ્વવિદ્યાલયની તપાસ સમિતિના રિપોર્ટની રાહ જોશે.

પરંતુ, મુખ્ય સવાલ એ છે કે આ વિશ્વવિદ્યાલયના વહીવટકર્તાઓએ તેમના અધ્યાપકોને કેમ આ રીતે ખુલ્લા (અરક્ષિત) મૂકી દીધા છે અને અધ્યાપક તરફથી કેમ કશું ખૂલીને કહેતા નથી? કારણ કે તે લોકો પણ નાટકના મંચન સમયે ત્યાં હાજર હતા અને નાટકની પ્રશંસા પણ કરી હતી. તો પછી સવાલ એ છે કે શું વિશ્વવિદ્યાલયના શાસકોનો વિચાર હવે બદલાઈ ગયો છે? અથવા તેઓનું હવે કોઈ મહત્ત્વ જ નથી? હવે સવાલ એ પણ છે કે શું વિશ્વવિદ્યાલયમાં થતી પ્રવૃત્તિ અંગે દરેક લોકોને વિચાર પ્રગટ કરવાનો હક હોવો જોઈએ? અથવા એવા લોકોને બોલવાનો અધિકાર હોવો જોઈએ કે જેઓ નથી જાણતા કે શૈક્ષણિક પ્રયોગ કેવી રીતે કરવામાં આવે છે અને સાથે વિશ્વવિદ્યાલયમાં રચાતી પ્રવૃત્તિઓને તેઓ યોગ્ય રીતે સમજતા પણ નથી. બીજા શબ્દોમાં કહીએ તો શું બહારના સમાજને વિશ્વવિદ્યાલયમાં હસ્તક્ષેપ કરવાનો અધિકાર હોવો જોઈએ? પણ, રવીન્દ્રનાથ ટાગોર ઇચ્છતા હતા કે વિશ્વવિદ્યાલય અને સમાજની વચ્ચે કોઈ દીવાલ હોવી જોઈએ નહિ, પણ શું વિશ્વવિદ્યાલયની કોઈ સરહદ પણ ના હોઈ શકે?

લગભગ દસ વર્ષ અગાઉ વડોદરાના સયાજીરાવ વિશ્વવિદ્યાલયના કળા સાથે જોડાયેલા એક વિભાગમાં પરીક્ષાના ભાગ રૂપે યોજાયેલા એક પ્રદર્શન પર વિશ્વ હિન્દુ પરિષદના કેટલાક સભ્યોએ હુમલો કર્યો હતો. વિદ્યાર્થીઓ અને શિક્ષકો પર કેસ દાખલ કરવામાં આવ્યો હતો અને તેઓને નિલંબિત કરવામાં આવ્યા હતા. પાંચ વર્ષ પહેલાં દિલ્હી વિશ્વવિદ્યાલયમાં બહારના લોકોનો વાંધો પ્રગટ થતાં એ. કે. રામાનુજનના લેખને તેઓની પાઠ્યસૂચિમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો. દસ વર્ષ પહેલાં રાજ્યસભામાં હોબાળો થવાને પગલે શાળાનાં પુસ્તકોમાંથી અવતારસિંહ પાશ, પ્રેમચંદ, હુસૈન, પાંડેય બેચન શર્મા ‘ઉગ્ર’, ધૂમિલ જેવા લેખકોના પાઠોને પણ બદલી નાખવામાં આવ્યા હતા.

આ વર્ષની શરૂઆતમાં આપણે જોયું કે જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીમાં કુલપતિએ પૂર્વસેનાનાયકની સલાહ લીધી હતી કે યુનિવર્સિટી કેવી રીતે ચલાવવી જોઈએ. શું સમગ્ર દેશમાં આમ થશે? આપણા માટે આ ગર્વની વાત છે કે હરિયાણા કેન્દ્રીય વિશ્વવિદ્યાલયના અંગ્રેજીના શિક્ષક પોતાના નિર્ણય અંગે કોઈ પ્રકારની શરમ નથી અનુભવી રહ્યા. ડૉક્ટર સ્નેહસ્તાએ પોતાના જવાબમાં એવો પણ સવાલ કર્યો કે શું રાજ્ય સમક્ષ પ્રશ્નો કરવા એ બૌદ્ધિકોની ફરજ નથી? પણ, તેઓ પર જોખમ છે. એક અધ્યાપક વિશે એવું કહેવામાં આવે છે કે તેઓ નક્સલી છે, કારણ કે તેઓએ કેટલાંક વર્ષો છત્તીસગઢમાં શિક્ષક તરીકેની ભૂમિકા ભજવી છે. વિદ્યાર્થી પરિષદનું કહેવું છે કે આ ભોળા રાજ્યમાં કમ્યુિનઝમનો પ્રચાર કરવાના પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે કે જેને તેઓ નિષ્ફળ બનાવશે. શું આદેશમાં કમ્યુિનઝમમાં વિશ્વાસ રાખવો એ ગુનો છે? સૌથી મોટો પ્રશ્ન એ છે કે દિલ્હીથી લગભગ ૧૨૫ કિલોમીટર દૂર આવેલા વિશ્વવિદ્યાલયના અધ્યાપકો પર હુમલો થઈ રહ્યો છે ત્યારે આ દેશનો અધ્યાપક-સમુદાય ચૂપ કેમ બેઠો છે? હરિયાણા કેન્દ્રીય વિશ્વવિદ્યાલયના અન્ય અધ્યાપક પણ કેમ ચૂપ બેઠા છે? શું આ અંતિમ હુમલો છે? હરિયાણા અને પંજાબમાં ભગતસિંહ અને અવતારસિંહ પાશનું નામ લેનારા લોકો પણ કેમ આ અધ્યાપકોની સાથે નથી? શું ખરાબ લોકોના પક્ષમાં સંગઠન સરળ છે અને વિવેકી લોકોએ એકલા જ સંઘર્ષ કરવો પડે છે? છતાં પણ આ દેશ મહાન થવા માટેનાં સ્વપ્ન જોઈ શકે છે?

(લેખક એન.ડી.ટી.વી. હિંદીના કૉલમિસ્ટ અને દિલ્હી યુનિવર્સિટીમાં પ્રોફેસર છે.)

[અનુ. : નિલય ભાવસાર]

સૌજન્ય : “નિરીક્ષક”, 16 અૉક્ટોબર 2016; પૃ. 19 અને 17

Loading

...102030...3,5413,5423,5433,544...3,5503,5603,570...

Search by

Opinion

  • બંધારણ – દેશનું દર્પણ, દેશની ઓળખ, દેશની શોભા  
  • નથુરામનું ‘હુતાત્મા’ પદ અને કુરુંદકરનો તર્ક
  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ
  • ઝાંઝવાનાં જળ
  • એક ‘રાની પંખીડું’ જિતુભાઈ પ્ર. મહેતા

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved