Opinion Magazine
Number of visits: 9689903
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ધર્મસંસ્થાનો આદર, પણ બંધારણ સર્વોચ્ચ

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|1 November 2016

હિંદુ ધર્મ અને હિંદુત્વ બે એક નથી. એક અલબત્ત ધર્મ છે અને જે બીજું તે રાજકીય વિચારધારા છે.

સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ ઠાકુર સહિતના સાત ન્યાયમૂર્તિઓની બેન્ચ સમક્ષ ભારત સરકાર, ખાસ કરીને ભા.જ.પ. શાસિત રાજય સરકારો મારફત જે રજૂઆત થઈ રહી છે તે ધ્યાનથી તપાસવા લાયક છે. ભા.જ.પ. શાસિત ત્રણ રાજ્યો (ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન) વતી એડિશનલ સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું છે કે ધર્મ તો સમાજનું અંગ છે અને તમે ચૂંટણી ઢંઢેરામાં એની જિકર બાબતે પરબારી બંધીનું કે આ ચર્ચા નહીં ને પેલી ચર્ચા સહી એવું કોઈ વલણ લઈ શકો નહીં. લોકપ્રતિનિધિત્વ ધારાની 123મી કલમ હેઠળ ભ્રષ્ટ નીતિરીતિને ધોરણે ધર્મ વગેરેના ઉપયોગ (દુરુપયોગ) અંગેનો આ મામલો છે, અને એમાં દરમ્યાન થતાં એડિશનલ સોલિસિટર જનરલે આમ કહ્યું છે. દેખીતી રીતે જ, ધર્મના મામલાને ચગાવીને ધર્મકોમી અપીલ મારફતે મત મેળવવાનું બન્યા પછી કેટલાક કિસ્સામાં આવી ભ્રષ્ટ નીતિરીતિ સબબ ચૂંટણી રદ થયાનું પણ આપણે ત્યાં બનેલું છે તેથી ભા.જ.પ.નું વલણ પાણી પહેલાં પાળ બાંધવાનું જણાય છે.

જો કે, ભા.જ.પ. સરકારે જે આખો એક અભિગમનો ગોફ આ તબક્કે ઉપસાવવા ધાર્યો છે એ છે તો સોજ્જો: આપણે એક બહુધર્મી મુલક છીએ. આ દેશનું વૈશિષ્ટ્ય એની વિવિધતાઓમાં છે. આ વૈવિધ્ય ધર્મોનું છે, નાતજાતનું છે, નાનાવિધ સમુદાયોનું છે, ભાષાઓનું છે – શેનું છે, શેનું નથી! આ સંજોગોમાં સમાજના કોઈ પણ ક્ષેત્રમાં ધર્મનું હોવું સ્વાભાવિક હોવાનું, એટલે સિવાય કે કોઈ ચોક્કસ બંધારણીય જોગવાઈને અન્વયે સીમિતરૂપે જે પણ બંધી હોય, ધર્મને તમે ઢંઢેરામાં ડોકાતો રોકી ન શકો. 

સરકારની આ આખી માંડણી સામે સર્વોચ્ચ અદાલતમાં એક તબક્કે વિદ્વાન ન્યાયમૂર્તિઓ તરફથી એવી પૃચ્છા પણ થઈ હતી કે તમે રાજકીય ભાષણોમાં (અને ઢંઢેરાઓમાં) ધર્મના ઉપયોગ મુદ્દે આટલા બધા સભાન/સાવધ/સતર્ક કેમ છો. એડિશનલ સોલિસિટર જનરલે વળતું કહ્યું હતું કે જો કોઈ એન.જી.ઓ. અને કર્મશીલોને આ ચર્ચામાં દરમ્યાન થવા દેવાતાં હોય તો સરકાર તરીકે અમારો પણ આમાં હક અને ભૂમિકા બને જ છે.

બીજી બાજુ, સર્વોચ્ચ અદાલતે આ દિવસોમાં એકથી વધુ વાર એમ કહ્યું છે કે હિંદુ એ ધર્મ કરતાં તો એક જીવનરીતિ (વે ઑફ લાઇફ) છે એવા બે’ક દાયકા પરના જસ્ટિસ વર્માના ચુકાદાને પોતે આ તબક્કે નવેસર તપાસવા માગતી નથી. તે ચુકાદો, હાલ તો, છે તે છે. સાથોસાથ, સર્વોચ્ચ અદાલતે ધર્મકોમી વલણો સબબ ચૂંટણી રદ કર્યાના દાખલા પણ છે તે છે. આ જ દિવસોમાં, અદાલતની આ જ બેન્ચે, સેક્યુલર રાજ્યમાં ધર્મના સ્થાનની ચોક્કસ મર્યાદાઓ હોવાની એવું પણ કહ્યું છે.

સરકારની એકંદર રજૂઆત અને સર્વોચ્ચ અદાલતની એકંદર વાત જોતાં શું શું સમજાય છે? એક તો, સરકારનો હાલનો વલણવ્યૂહ દેશના વૈવિધ્યમૂલક વૈશિષ્ટ્યનો છે. અલબત્ત, પોતાની – ખાસ તો, પક્ષપરીવારની – ‘હિંદુ’ ઓળખ માટેનો આગ્રહ બરકરાર છે. સર્વોચ્ચ અદાલત વર્મા ચુકાદાને ઉખેળવાની જરૂર જોતી નથી, પણ રાજ્ય સેકયુલર હોવાલાગવા બાબતે તે ચોક્કસ છે. (અહીં અયોધ્યા ઘટના પછીનો સર્વોચ્ચ અદાલતનો એ યાદગાર ચુકાદો અવશ્ય સાંભરે જેમાં એણે ભા.જ.પ.શાસિત રાજય સરકારોની બરતરફી એ મુદ્દે વૈધ લેખી હતી કે અયોધ્યા આંદોલનમાં આ રાજ્યોની સંડોવણી દેશના બંધારણની એક મૂળભૂત ઓળખરૂપ સેક્યુલર માળખાને હાણ પહોંચાડનારી હતી.) ગમે તેમ પણ, સરવાળે ઊઠતી છાપ એ છે કે ભા.જ.પ. સરકાર અને સર્વોચ્ચ અદાલત બેઉ પોતપોતાને છેડેથી અને પોતપોતાની સમજ તેમ જ પોતપોતાનાં કારણોસર તંગ દોર પર ચાલી રહ્યાં છે.સરકાર અને સત્તાપક્ષ તેમ જ સર્વોચ્ચ અદાલતની આ તરાહ અને તાસીર જોતાં નાગરિક વર્તુળોની જાગૃતિ કદાચ સર્વાધિક મહત્ત્વની બની રહે છે. વિવેક અને જાગૃતિના કયા કયા મુદ્દાઓ આ ક્ષણે સામે આવે છે એનો વિચાર કરીએ તો પહેલો જ જે મુદ્દો સામે આવે છે તે અલબત્ત એ છે કે બે’ક દાયકા પરના જસ્ટિસ વર્માના ચુકાદા વિશે જાહેર ઊહાપોહ અને જનમતઘડતર લાંબા ગાળા સુધી જરૂરી છે અને રહેશે.

એનું કારણ એ નથી કે હિંદુ ધર્મની જે વિશેષતા (સેમેટિક ધર્મોને મુકાબલે) ગણાવાય છે તે નથી, અથવા તો હિંદુ ધર્મને ‘કોમનવેલ્થ ઑફ રિલિજિયન્સ’ તરીકે ઓળખાવી સર્વપલ્લી રાધાકૃષ્ણને એની સમાવેશી તાસીરનો જે મહિમા કર્યો છે તે નથી. આ વિશેષતા અને મહિમા પોતાને ઠેકાણે ઠીક જ છે, જેમ અદ્વૈત તત્ત્વજ્ઞાનની ઊંચાઈ અને નાતજાતગત ઊંચનીચ બેઉ વાસ્તવિક છે તેમ! જે મુશ્કેલી છે તે આપણે ત્યાં પોતપોતાના ધર્મસંપ્રદાયવિશેષનો મહિમા અને સવિશેષ પુરસ્કાર કરવાને ધોરણે મુસ્લિમ લીગ, અકાલી દળ અને ખુદ ભા.જ.પ.ની જે ભૂમિકા છે તેને કારણે છે.

સેક્યુલર સ્ટેટની આપણી સમજમાં ધર્મસંસ્થાનો નિરાદર નથી, સામાજિક સ્તરે સર્વધર્મસમભાવ આપણને ઇષ્ટ છે, આ બધું સાચું પણ સર્વાગ્ર તો બંધારણ જ છે, અને એની મર્યાદા અને મોકળાશમાં નાગરિક ભૂમિકાને પ્રાથમિકતા છે. તીન તલાકની ચર્ચામાં ધર્મ સ્વાતંત્ર્ય અને ધાર્મિક ઓળખના મુદ્દાને આગળ કરી સુધારણાની બંધારણીય કોશિશનો વિરોધ આ વાનું નહીં સમજાયાથી (કે નહીં પચ્યાથી) થાય છે. એક જમાનાના આનંદપુરસાહેબ પ્રસ્તાવમાં અકાલી દળે જે હદે આખી વાતને ખેંચી હતી એમાં પણ બંધારણીય મોકળાશ અને મર્યાદાની બહાર ધર્મસ્વાતંત્ર્યને નામે સેક્યુલર સ્ટેટમાં શું કરી શકાય અને શું ન કરી શકાય, એ અંગેની સમજનો અભાવ હતો.

જો કે શિરમોર દાખલો (અને સમસ્યા) તો આ સંદર્ભમાં ભા.જ.પ. પોતે છે. બહુધર્મી દેશમાં વૈવિધ્યનો સ્વીકારપુરસ્કાર બાવાહિંદી ન્યાયે (અથવા દિલોજાનથી) કર્યા પછી અને છતાં તે રાષ્ટ્ર અને રાષ્ટ્રીયતાની આખી ચર્ચાને એક ચોક્કસ વિચાર સાથે સાંકળે છે, અને સમીકૃત કરે છે – આ વિચાર તે હિંદુત્વ છે. જે સૌની પિતૃભૂમિ અને ધર્મભૂમિ અહીં છે તે જ હિંદુ છે, રાષ્ટ્રીય છે. મુસ્લિમ સભ્યો(અને નેતાઓ)ના રસમી સ્વીકાર છતાં મૂળ નિષ્ઠા અને, સવિશેષ તો, માનસિકતા આ અને આ જ છે. યથાપ્રસંગ એ ‘રામજાદે વિ. હરામજાદે’ જેવી ભાષા ગૂંથણીમાં પ્રગટ થયા વિના રહેતાં પણ નથી.

એટલે સઘળી સુફિયાણી ને સોફિસ્ટ્રી છતાં નાગરિક સામે ભા.જ.પ. સંબંધે એક સો ટચનો સવાલ સામે આવીને ઊભો રહે છે. અને તે એ કે તમારી દેશની વ્યાખ્યા શું છે. જો હિંદુત્વ હોય તો, એ તો, પાકિસ્તાનનું હતું એવું જ લૉજિક થયું. વાત માત્ર આટલી જ નથી. સામાન્ય નાગરિકે વ્યામોહ અને અસમંજસથી ઊઠીને બીજો પણ એક વિવેક કરવો રહે. અને તે એ કે હિંદુ ધર્મ અને હિંદુત્વ બે એક નથી. એક અલબત્ત ધર્મ છે, અને જે બીજું તે રાજકીય વિચારધારા છે. જસ્ટિસ વર્માને માનવ અધિકાર પંચના અધ્યક્ષ તરીકે 2002ની ગુજરાતની મુલાકાતમાં ‘હિંદુત્વ ઇન ઍક્શન’નો સાક્ષાત્કાર થયા પછી ‘વે ઑફ લાઇફ’ અર્થઘટન વિશે પુનર્વિચાર કરવાપણું લાગ્યું હોય તો નવાઈ નહીં. ગમે તેમ પણ, ‘ધર્મ’ અને ‘ત્વ’ એક નથી એટલી સામાન્ય સમજ માટે સર્વોચ્ચ અદાલત પર બોજ નાખવો જરૂરી નથી, એટલું સમજીએ તો બસ.

પ્રકાશ ન. શાહ,  લેખક વરિષ્ઠ પત્રકાર છે અને વિચારપત્ર ‘નિરીક્ષક’ના તંત્રી છે

e.mail : prakash.nireekshak@gmail.com

સૌજન્ય : ‘મહત્ત્વનો ફરક’, “દિવ્ય ભાસ્કર”, 29 અૉક્ટોબર 2016

Loading

ફરજ નિષ્ઠને ડફણાં, કહ્યાગરાને કંત્રાટ

પ્રકાશ ન. શાહ|Samantar Gujarat - Samantar|1 November 2016

ગુજરાતમાં પોલીસ અધિકારીઓની બંધારણબાહ્ય વફાદારીઓની એક પછી એક પરત ખૂલતી જાય છે

ગુજરાત મોડેલ પણ ખરે જ એક યુગ બલિહારી છે ને કંઈ! પહેલાં એ એક પછી એક જેલ ભેગા થતા પોલીસ અધિકારીઓથી પંકાયું, હવે એ બધા વિવાદાસ્પદ – કોઈ ટ્રાયલગ્રસ્ત, કોઈ જામીનધન્ય – પોલીસ અધિકારીઓના પુન:પ્રતિષ્ઠાપન સારુ પંકાવા લાગ્યું છે. તરુણ બારોટ અને એન.કે. અમીનની કંત્રાટી રાહે નવનિયુક્તિ એ આ સિલસિલાનો જ એક મણકો છે. આમ તો સિલસિલાને બદલે પહેલાં સૂઝેલો પ્રયોગ ‘શૃંખલા’ હતો, પણ હાલ પૂરતો એને છોડી દઉં છું.

રાહુલ શર્માની જનહિતયાચિકા(પી.આઇ.એલ.)ને પગલે આ નિયુક્તિઓ વિશે હાઇકોર્ટે સરકારનો ખુલાસો પૂછયો છે અને ત્રણેક અઠવાડિયાં પછી સુનાવણી આગળ ચાલશે. 2007ના ગુજરાત પોલીસ ઍક્ટ મુજબ પુન:નિયુક્તિની કે કંત્રાટી કોઈ જોગવાઇ નથી એ દલીલસર તરુણ બારોટ અને એન.કે. અમીનની નવનિયુક્તિને પડકારતી દલીલ ઉપરાંત, આ લખનારની સમજ પ્રમાણે ટેકનિકાલિટીથી હટીને જે પાયાનો પ્રશ્ન આ જનહિતયાચિકા મારફતે ઉપસ્થિત થાય છે તે એ છે કે આ પ્રકારની નિયુક્તિઓ થકી એક ખોટો સંકેત જાય છે. પોલીસ અધિકારીઓને જાણે કે કહેવામાં આવે છે કે અમે (સરકાર/ સત્તાપક્ષ) કહીએ તેમ કાયદાનિરપેક્ષ વરતો અને એથી લાભો.

વસ્તુત: આ કોઈ ભા.જ.પ. શાસન કે ગુજરાત સરકારના પક્ષે અપવાદરૂપ ઘટના નથી. દરેક સરકાર, દરેક સત્તાપક્ષની આવી કોશિશ રહે છે. અનામતવિરોધી ઉત્પાત વખતે આપણે ત્યાં શાંતિ-સ્થાપન અઘરું બન્યું એનું એક કારણ આવા મેળાપીપણામાં નહોતું એવું નથી. રિબેરો આવ્યા અને ચાંપ દાબો ને હુલ્લડખોરી બંધ થઈ જાય એવો ચમત્કાર થયો એનું રહસ્ય એ હતું કે એમણે આ સાંઠગાંઠ (નેક્સસ) પર પ્રહાર કરવામાં સરકારની કે ચાલુ પોલીસ વડાઓની શરમ નહોતી ભરી. મુદ્દે, હુલ્લડ માત્રને અંગે. પોલીસ કારવાઈમાં એક સ્ટૅન્ડર્ડ પ્રોસીજર હોય છે. તમે એ પ્રકારે ચાલો તો સામાન્યપણે હુલ્લડ કાબૂમાં લેતા વિલંબ થતો નથી. રિબેરોએ એ જ કર્યું હતું (એટલે સ્તો ગોધરા કલેક્ટર જયંતી રવિએ 2002માં પહેલે ધડાકે રિબેરોનું માર્ગદર્શન માગ્યાના અવિધિસરના હેવાલો છે – અલબત્ત રિબેરો મોડેલને અનુસરવા ત્યારની સરકાર તૈયાર નહોતી એ સંજોગોમાં જે થાય તે થયું.)

મુદે, કટોકટી ઊઠ્યા પછી તરત રચાયેલા શાહ તપાસ પંચે તપસીલમાં જઈ જે બધાં તારણો અને ભલામણો રજૂ કરેલાં એમાં ઠીક ઠીક હિસ્સો તે પછી પણ નહીં પળાયા સારુ જાણીતો છે. ત્યારે જનતા પક્ષના (અને પછી ભા.જ.પ.ના) શીર્ષ બૌદ્ધિક જેવા અરુણ શૌરીએ એક સચોટ ટિપ્પણી કરી હતી કે જે બધા આઇ.એ.એસ. અને આઇ.પી.એસ. અધિકારી મંડળો છે એમને કેમ આ પ્રકારના હેવાલો ચર્ચી આત્મનિરીક્ષણપૂર્વક સુધારણા કરવાનું સૂઝતું નથી. ગુજરાતમાં આપણે જે લાંબો દોર છેલ્લાં ચૌદ-પંદર વરસથી અનુભવી રહ્યા છીએ એમાં પોલીસ અધિકારીઓની બંધારણબાહ્ય વફાદારીઓ અને એવી જ પ્રવૃત્તિઓ પરથી એક પછી એક પરત ખૂલતી જાય છે. પણ પોલીસ તંત્રના શીર્ષ સ્તરે આવું કોઈ જ ચિંતન થતું જણાતું નથી.

જેમને બહુ જ વાજબી રીતે ‘ફર્સ્ટ વ્હીસલ બ્લોઅર ઑફ ગુજરાત પોલીસ કેડર’ કહેવામાં આવે છે તે શ્રીકુમારે ‘ગુજરાત બીહાઇન્ડ ધ કર્ટન્સ’માં કરેલ સિલસિલાબંધ ઘટસ્ફોટ જુઓ કે રાણા અયુબે ‘ગુજરાત ફાઇલ્સ’માં નોંધેલા સંવાદો જુઓ, તમને સૂંડલામોંઢે એવી દસ્તાવેજી વિગતો મળશે જેમાં સંખ્યાબંધ પોલીસ અધિકારીઓએ સત્તાપક્ષના ચોક્કસ જૂથ કે નેતૃત્વના કહ્યાગરા અગર મળતિયા બનીને પોતાની બંધારણીય જવાબદારીનો ઉલાળિયો કર્યો હતો. નાણાવટી તપાસમાં કે રાઘવનના નેતૃત્વમાં એસ.આઇ.ટી.ની કામગીરીમાં સંખ્યાબંધ સગડ અને પાર વિનાનાં પગેરાં વણદબાવ્યાં રહ્યાં હશે એનો પણ અંદાજ જેમ પૂર્વે ‘ઓપરેશન કલંક’ થકી તેમ ‘બીહાઇન્ડ ધ કર્ટન્સ’ અને ‘ગુજરાત ફાઇલ્સ’માંથી પસાર થતાં મળી રહે છે. 

કદાચ, જે એક મુદ્દાથી આ કોલમનો ઉપાડ ને ઉઘાડ થઈ શકયો હોત તે પણ હવે ઉત્તરાર્ધમાં ચર્ચવા જોગ છે. આ મુદ્દાનું મૂલ્ય, કેમ કે તે પછીથી લેવાઈ રહ્યો છે એથી દ્વૈતીયિક કે ગૌણ બનતું નથી. બલકે, કહેવું હોય તો કહી શકાય કે આટલી ચર્ચાના માળખા પર તે શગ ઘટના જેવો છે. હમણે હમણે આ બધી પ્રકીર્તિત પોલીસ પ્રતિભાઓ સહસા આતંકવાદીઓથી પીડિત-પ્રતાડિત પ્રજાજનોની સહાયમાં એન.જી.ઓ. રૂપે બહાર આવી રહી છે. આતંકવાદને નામે અને બહાને જે દોર ચાલ્યો (જેની વિગતો ન જોવી હોય તો જ ન જોઈ શકાય એ બરની છે) એમાં આ સૌની ભૂમિકા કંઈ નહીં તો પણ સંદિગ્ધ હતી.

આ સંમિશ્ર ને સંદિગ્ધ સંકેતો આપણાથી છાના નથી એનું એક કારણ તો આ સૌ પ્રતિભાઓએ પ્રસંગોપાત એકબીજા સામે બહાર પાડેલી વિગતો છે. ડાયાજી વણઝારાએ જેલમાંથી નમો પર લખેલ પત્ર (ખરું જોતાં લેટરબૉમ્બ) આવી જ એક દસ્તાવેજી સાહેદી રૂપ છે.

વણઝારા સુયોગ્ય આશિર્વચનો સાથે (અને અલબત્ત એમની પોતાની વિશિષ્ટ સરસ્વતીપૂર્વક) આ કે તે રસ્તે જાહેર જીવનમાં આવવા માટે હદસે જ્યાદા આતુર જણાય છે એ વિગત જરી વધુ ધ્યાન માગી લે છે. રીલ લાઇફ હીરોની પેઠે એ ટૂંકજીવી મામલો નયે હોય. પાટીદાર આંદોલન અને ઉના ઘટનાએ બતાવ્યું છે કે ભા.જ.પ. પૂર્વવત્ અજેય નથી. ગુજરાતમાં રાજકીય શૂન્યાવકાશ ન હોય તો પણ પોલાણ તો છે જ છે. ઉંઝાથી ઉનાની કેજરીવાલની હડિયાપાટીની જેમ જ વણઝારાના જગોજગ, ગામોગામ, ઠામોઠામ સામૈયા પણ આ પોલાણને પૂરવાની ફિરાકમાં છે. પક્ષો (કે પક્ષજૂથો) વચ્ચેની ટાઇ ટાંકણે વિંગ અને સ્ટેજ વચ્ચેનું અંતર મિટાવવાના ઓરતા પણ એમને હોઈ શકે છે.

અહીં સંભારવા જોગ એક આંશિક પેરેલલ ઇંદિરા ગાંધીના પુનરાગમનનો છે. જે તે રાજકારણીને ચુંટાવામાં મદદ કરતાં અસામાજિક તત્ત્વોને ખુદ ચુંટાવાનો સણકો ત્યારથી મોટે પાયે ઉપડ્યો એવું એક અવલોકન છે. 2002થી 2007 અને 2012 સુધી જેમની સત્તાપક્ષને અન્યથા મદદ મળતી રહી તેઓ એ સત્તાપક્ષ વાટે કે સ્વતંત્રપણે સીધી સેવા આપવા માગે છે. પાલવની કિનારે ટિંગાવું કે સોહવું હવે એમને બહાલ નથી. એક વાર તમે ખુદને તારણહાર, રગ રગ રાખણહાર, ગોબ્રાહ્મણ પ્રતિપાળ સમજવા માંડો, પછી તો – આ વલણને જો વૈધતા અને સ્વીકૃતિ (લેજિટિમસી) મળી જાય તો ભા.જ.પ. શ્રેષ્ઠીઓનું તો એમની ખુદની કમાણીરૂપે જે થવાનું હશે તે થશે; પણ લોકશાહી ખુદ વધુ ને વધુ હાંસિયે હડસેલાશે. જે ‘ડેમેગોગી’ અને ‘સોફિસ્ટ્રી’ સોક્રેટિસને હરી ગઈ તે કશું પણ કરી શકે … કાશ, આશિષડાહ્યાઓને કોઈ આ સમજાવી શકે!

સૌજન્ય : ‘મેળાપીપણું’, “દિવ્ય ભાસ્કર”, 22 અૉક્ટોબર 2016

Loading

કમ્યુિનઝમમાં વિશ્વાસ રાખવો એ ગુનો છે?

અપૂર્વાનંદ|Opinion - Opinion|31 October 2016

ગત દિવસોથી હરિયાણા કેન્દ્રીય વિશ્વવિદ્યાલયના અંગ્રેજી વિભાગના અધ્યાપક એકલા હાથે એક લડાઈ લડી રહ્યા છે. તેઓ શૈક્ષણિક દુનિયાની સરહદ પર એક એવા યુદ્ધનો ભોગ બન્યા છે જેમાં હુમલો કરનાર લોકો રાષ્ટ્રવાદના ઝંડા સાથે ફરી રહ્યા છે; અને તે લોકોનો પડકાર ઝીલનાર આ અધ્યાપકો પાસે માત્ર બુદ્ધિ, વિવેક અને આલોચનાની ભાષા છે, પણ બહારની દુનિયામાં તેની પ્રશંસા કરનાર અથવા ખરીદદાર કોઈ નથી.

૨૧ સપ્ટેમ્બર, ૨૦૧૬ના રોજ હરિયાણા કેન્દ્રીય વિશ્વવિદ્યાલયના અંગ્રેજી વિભાગે મહાશ્વેતાદેવીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ અવસર પર મહાશ્વેતાદેવીની નવલકથા ‘હજાર ચૌરાસી કી મા’ આધારિત એક ફિલ્મ દર્શાવવામાં આવી હતી અને સાથે મહાશ્વેતાદેવીની પ્રખ્યાત વાર્તા ‘દ્રૌપદી’ પર આધારિત એક નાટકનું મંચન કરવામાં આવ્યું હતું. આ અવસર પર હરિયાણા કેન્દ્રીય વિશ્વવિદ્યાલયનું નાટ્યગૃહ પ્રેક્ષકોથી ભરેલું હતું અને આ પ્રેક્ષકોમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સાથે કેટલાક અધિકારીઓએ પણ હાજરી આપી હતી. ‘દ્રૌપદી’ને ખૂબ પ્રશંસા મળી હતી અને ત્યાં હાજર અધિકારીઓએ પણ અંગ્રેજી વિભાગના અધ્યાપકોની ખૂબ પ્રશંસા કરી હતી. પણ, જે દિવસે આ નાટકનું મંચન થયું તેના બીજા દિવસની સવારે ઘટના કાંઈક અલગ જ હતી. પ્રેક્ષકોમાં હાજર કોઈએ આ નાટકનું રેકૉર્ડિંગ કર્યું હતું અને તેને વિશ્વવિદ્યાલયની બહાર લોકોમાં પ્રસારિત કર્યું હતું. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની છાત્રશાખા ‘અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે’ એવો આરોપ લગાવ્યો કે આ ‘દ્રૌપદી’ નાટકનું મંચન ભારતીય સેનાના જવાનોને અપમાનિત કરવાના હેતુથી પ્રદર્શિત કરવામાં આવ્યું હતું અને અહીં એ નોંધવું જોઈએ કે આ નાટકનું મંચન થયું તેના લગભગ ત્રણ દિવસ અગાઉ કાશ્મીરમાં ઊરી ઘટનામાં કેટલાક ભારતીય જવાનો શહીદ થયા હતા. હિંદી છાપાંઓએ પણ તેમના સ્વભાવ અનુસાર વિશ્વવિદ્યાલય વિરુદ્ધ આંદોલનની વહેતી ગંગામાં પોતાના હાથ ધોવાનું શરૂ કરી દીધું અને જે નાટકનો આટલો વિરોધ થઇ રહ્યો છે, તે અંગે કશું જાણવાનો પણ પ્રયત્ન કર્યો નહિ.

‘દ્રૌપદી’ એ એક આદિવાસી સ્ત્રીની વાર્તા છે, જેમાં તે સ્ત્રી – સુરક્ષાદળના હુમલાનો શિકાર થાય છે અને જ્યારે તે ભાનમાં આવે છે ત્યારે એને એ વાતનો ખ્યાલ આવે છે કે તેની પર શારીરિક દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. તે પોતાના નગ્ન શરીરને ઢાંકવાની ના પાડી દે છે, અને એ પ્રકારની શારીરિક ઈજાઓ સહિતની નગ્ન અવસ્થામાં સુરક્ષાદળના અધિકારીને પડકારે છે. હરિયાણા કેન્દ્રીય વિશ્વવિદ્યાલયમાં આ વાર્તાને નાટ્યમાં રૂપાંતરિત કરવામાં આવી અને તેની સાથે ત્યાંના અધ્યાપકોએ આ નાટકમાં એક ઉપસંહાર જોડ્યો જેમાં આજના ભારતમાં જે પ્રકારે આદિવાસી અને અન્ય સમુદાયો પર રાજકીય દમનનીતિમાં આર્મ્ડ ફૉર્સિસ સ્પેિશયલ પાવર ઍક્ટ (આફ્સ્પા) જેવા કાયદાની આડમાં જે પ્રકારના જુલમ ગુજારવામાં આવે છે, તેની વાત કરવામાં આવી. ન્યાયમૂર્તિ વર્મા સમિતિ અને ઉચ્ચતમ ન્યાયાલયના અહેવાલ થકી એ વાત દર્શકો સમક્ષ રજૂ કરવામાં આવી કે કેવી રીતે ભારતીય સુરક્ષા દળના કેટલાક સભ્યો યૌનહિંસાના ગુનામાં સંડોવાયેલા છે અને આ પરિસ્થિતિમાં દર્શકોને પોતાની કેવી ભૂમિકા હોઈ શકે તે નક્કી કરવાનું કહેવામાં આવ્યું.

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે એવો આરોપ લગાવ્યો કે આપણા દેશમાં એક તરફ સરહદ પર જવાનો શહીદ થઈ રહ્યા છે અને બીજી તરફ વિશ્વવિદ્યાલયમાં આરામ ફરમાવતા લોકો આ રીતે આપણા જવાનોનાં ચરિત્રને ખરાબ કરવા માટે આ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરી રહ્યા છે. આ વિશ્વવિદ્યાલય હરિયાણાના મહેન્દ્રગઢ નામના વિસ્તારમાં શહેરથી ૧૨ કિલોમીટર દૂર આવેલું છે. પણ, અખિલ ભારતીય વિદ્યાર્થીપરિષદે નક્કી કર્યું કે તેઓ આ મુદ્દા પર શહેરમાં આંદોલન કરશે અને શહેર તથા આસપાસનાં ગામડાંના લોકોને પણ આ વિશ્વવિદ્યાલયનો વિરોધ કરવાનું કહેશે. ત્યાં કુલપતિનું પૂતળું સળગાવવામાં આવ્યું છે, શિક્ષકો પર રાષ્ટ્રદ્રોહનો કેસ ચલાવવા અને સાથે તેમને વિશ્વવિદ્યાલયમાંથી પદભ્રષ્ટ કરવાની માંગ કરવામાં આવી છે. ત્યાં લગભગ દરરોજ વિશ્વવિદ્યાલયના દરવાજા પર પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે.

વિશ્વવિદ્યાલયમાં આ નાટકનું મંચન કરવામાં આવ્યું તેના વળતા દિવસે જ કાર્યક્રમ સાથે જોડાયેલા એક ડૉક્ટર સ્નેહસ્તા પાસે વિશ્વવિદ્યાલયના વહીવટકર્તાઓએ આ નાટકમાં ભારતીય સેનાની છબી ખરાબ રીતે પ્રદર્શિત કરવાના આરોપ અંગે સફાઈ માગી હતી, ત્યારે તેઓએ કુલ છ સભ્યોની તપાસ સમિતિની રચના કરી કે જે આ આખી ઘટનાની તપાસ કરશે અને ત્યાર બાદ તે અંગેનો એક રિપોર્ટ રજૂ કરશે. હવે વિશ્વવિદ્યાલય પર દબાણ કરવા માટે એવું કહેવામાં આવી રહ્યું છે કે આ તપાસ સમિતિ યોગ્ય નથી, કારણ કે તેના સભ્યો કુલપતિના અંગત લોકો છે. એવું પણ સાંભળવામાં આવી રહ્યું છે કે તે જિલ્લાના શાસનકર્તા પણ પોતાની તરફથી આ ઘટના અંગે તપાસની તૈયારી કરી રહ્યા છે. પરંતુ, આ પૂર્વે પોલીસે કહ્યું હતું કે સૌ પ્રથમ તેઓ વિશ્વવિદ્યાલયની તપાસ સમિતિના રિપોર્ટની રાહ જોશે.

પરંતુ, મુખ્ય સવાલ એ છે કે આ વિશ્વવિદ્યાલયના વહીવટકર્તાઓએ તેમના અધ્યાપકોને કેમ આ રીતે ખુલ્લા (અરક્ષિત) મૂકી દીધા છે અને અધ્યાપક તરફથી કેમ કશું ખૂલીને કહેતા નથી? કારણ કે તે લોકો પણ નાટકના મંચન સમયે ત્યાં હાજર હતા અને નાટકની પ્રશંસા પણ કરી હતી. તો પછી સવાલ એ છે કે શું વિશ્વવિદ્યાલયના શાસકોનો વિચાર હવે બદલાઈ ગયો છે? અથવા તેઓનું હવે કોઈ મહત્ત્વ જ નથી? હવે સવાલ એ પણ છે કે શું વિશ્વવિદ્યાલયમાં થતી પ્રવૃત્તિ અંગે દરેક લોકોને વિચાર પ્રગટ કરવાનો હક હોવો જોઈએ? અથવા એવા લોકોને બોલવાનો અધિકાર હોવો જોઈએ કે જેઓ નથી જાણતા કે શૈક્ષણિક પ્રયોગ કેવી રીતે કરવામાં આવે છે અને સાથે વિશ્વવિદ્યાલયમાં રચાતી પ્રવૃત્તિઓને તેઓ યોગ્ય રીતે સમજતા પણ નથી. બીજા શબ્દોમાં કહીએ તો શું બહારના સમાજને વિશ્વવિદ્યાલયમાં હસ્તક્ષેપ કરવાનો અધિકાર હોવો જોઈએ? પણ, રવીન્દ્રનાથ ટાગોર ઇચ્છતા હતા કે વિશ્વવિદ્યાલય અને સમાજની વચ્ચે કોઈ દીવાલ હોવી જોઈએ નહિ, પણ શું વિશ્વવિદ્યાલયની કોઈ સરહદ પણ ના હોઈ શકે?

લગભગ દસ વર્ષ અગાઉ વડોદરાના સયાજીરાવ વિશ્વવિદ્યાલયના કળા સાથે જોડાયેલા એક વિભાગમાં પરીક્ષાના ભાગ રૂપે યોજાયેલા એક પ્રદર્શન પર વિશ્વ હિન્દુ પરિષદના કેટલાક સભ્યોએ હુમલો કર્યો હતો. વિદ્યાર્થીઓ અને શિક્ષકો પર કેસ દાખલ કરવામાં આવ્યો હતો અને તેઓને નિલંબિત કરવામાં આવ્યા હતા. પાંચ વર્ષ પહેલાં દિલ્હી વિશ્વવિદ્યાલયમાં બહારના લોકોનો વાંધો પ્રગટ થતાં એ. કે. રામાનુજનના લેખને તેઓની પાઠ્યસૂચિમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો. દસ વર્ષ પહેલાં રાજ્યસભામાં હોબાળો થવાને પગલે શાળાનાં પુસ્તકોમાંથી અવતારસિંહ પાશ, પ્રેમચંદ, હુસૈન, પાંડેય બેચન શર્મા ‘ઉગ્ર’, ધૂમિલ જેવા લેખકોના પાઠોને પણ બદલી નાખવામાં આવ્યા હતા.

આ વર્ષની શરૂઆતમાં આપણે જોયું કે જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીમાં કુલપતિએ પૂર્વસેનાનાયકની સલાહ લીધી હતી કે યુનિવર્સિટી કેવી રીતે ચલાવવી જોઈએ. શું સમગ્ર દેશમાં આમ થશે? આપણા માટે આ ગર્વની વાત છે કે હરિયાણા કેન્દ્રીય વિશ્વવિદ્યાલયના અંગ્રેજીના શિક્ષક પોતાના નિર્ણય અંગે કોઈ પ્રકારની શરમ નથી અનુભવી રહ્યા. ડૉક્ટર સ્નેહસ્તાએ પોતાના જવાબમાં એવો પણ સવાલ કર્યો કે શું રાજ્ય સમક્ષ પ્રશ્નો કરવા એ બૌદ્ધિકોની ફરજ નથી? પણ, તેઓ પર જોખમ છે. એક અધ્યાપક વિશે એવું કહેવામાં આવે છે કે તેઓ નક્સલી છે, કારણ કે તેઓએ કેટલાંક વર્ષો છત્તીસગઢમાં શિક્ષક તરીકેની ભૂમિકા ભજવી છે. વિદ્યાર્થી પરિષદનું કહેવું છે કે આ ભોળા રાજ્યમાં કમ્યુિનઝમનો પ્રચાર કરવાના પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે કે જેને તેઓ નિષ્ફળ બનાવશે. શું આદેશમાં કમ્યુિનઝમમાં વિશ્વાસ રાખવો એ ગુનો છે? સૌથી મોટો પ્રશ્ન એ છે કે દિલ્હીથી લગભગ ૧૨૫ કિલોમીટર દૂર આવેલા વિશ્વવિદ્યાલયના અધ્યાપકો પર હુમલો થઈ રહ્યો છે ત્યારે આ દેશનો અધ્યાપક-સમુદાય ચૂપ કેમ બેઠો છે? હરિયાણા કેન્દ્રીય વિશ્વવિદ્યાલયના અન્ય અધ્યાપક પણ કેમ ચૂપ બેઠા છે? શું આ અંતિમ હુમલો છે? હરિયાણા અને પંજાબમાં ભગતસિંહ અને અવતારસિંહ પાશનું નામ લેનારા લોકો પણ કેમ આ અધ્યાપકોની સાથે નથી? શું ખરાબ લોકોના પક્ષમાં સંગઠન સરળ છે અને વિવેકી લોકોએ એકલા જ સંઘર્ષ કરવો પડે છે? છતાં પણ આ દેશ મહાન થવા માટેનાં સ્વપ્ન જોઈ શકે છે?

(લેખક એન.ડી.ટી.વી. હિંદીના કૉલમિસ્ટ અને દિલ્હી યુનિવર્સિટીમાં પ્રોફેસર છે.)

[અનુ. : નિલય ભાવસાર]

સૌજન્ય : “નિરીક્ષક”, 16 અૉક્ટોબર 2016; પૃ. 19 અને 17

Loading

...102030...3,5403,5413,5423,543...3,5503,5603,570...

Search by

Opinion

  • બંધારણ – દેશનું દર્પણ, દેશની ઓળખ, દેશની શોભા  
  • નથુરામનું ‘હુતાત્મા’ પદ અને કુરુંદકરનો તર્ક
  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ
  • ઝાંઝવાનાં જળ
  • એક ‘રાની પંખીડું’ જિતુભાઈ પ્ર. મહેતા

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved