Opinion Magazine
Number of visits: 9553026
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

‘સંસ્કાર’ભારતી : એક કેસસ્ટડી

જ્યોતિ ભટ્ટ|Opinion - Opinion|4 July 2016

થોડા સમય અગાઉ દિલ્હીની જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીના એક છાત્ર કન્હૈયાએ કરેલ વિધાનોથી નારાજ કેટલાક લોકોએ તેની મારપીટ કરેલી. તેને દેશદ્રોહના આરોપ હેઠળ પોલીસની કસ્ટડીમાં ખોસી દેવાયો હતો. આવું થયું હતું અથવા થયું જ ન હતું, તેવા અર્થના વિવાદાસ્પદ તથા વિરોધાભાસી સમાચારોએ દિવસો સુધી અખબારો તથા ટેલિવિઝનની ચૅનલો પર કબજો જમાવી રાખ્યો હતો. ભારતને ‘સ્માર્ટ’ બનાવવા પ્રધાનમંત્રીશ્રી પ્રયત્નશીલ છે. તેમની એ મહેચ્છા માત્ર ‘ઝિંદાબાદ કે મુર્દાબાદ’ જેવા નારાઓ દ્વારા સિદ્ધ કરી શકાશે કે અટકાવી શકશે, તેવું માની લેનારા પણ ઘણા હશે. ભલે હોય, પરંતુ, તેને ‘તથાસ્તુ’તો કેમ કહી શકાય? તે પણ જ્યારે આપણો દેશ એકવીસમી સદીમાં પણ પૂરો દોઢ દાયકો આગળ ધપી ચૂક્યો છે ત્યારે? જો કે એ નિર્વિવાદ છે કે નારાબાજી લોકોને પોરસ ચડાવવા ઉપયોગી નીવડે છે. પરંતુ એનાથી વધારે કશું કરી શકે ખરા? સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુએ પોતે તથા લાખ્ખો લોકોએ ‘હિન્દી ચીની ભાઈ-ભાઈ’ એ નારા વડે ગગન ધ્રુજાવ્યું હતું. મુસોલિની તથી હિટલરે પોતાના માટે ઇટાલિયન અને જર્મન ભાષામાં ‘ઝિંદાબાદ’ (વિવા, હેર્ર ?) જેવા નારાઓ તેમની પ્રજા પાસે બોલાવ્યે રાખ્યા હતા. તે પણ આપણે જાણીએ છીએ. હું પોતે જ નિરાશાની અને હતાશાની અનેક વેળાએ છુટકારાનો રામ-બાણ ઇલાજ સમજી બેસીને મારા માટે જ ‘જ્યોતિ ખુદ મુર્દાબાદ’ નાકામયાબ નારો અજમાવતો રહ્યો છે.

કન્હૈયા સંબંધિત સમાચારોનું સ્થાન ત્યાર બાદ આપણી રાજ્યસભાના એક સભ્યશ્રી વિજય માલ્યા ભારતીય બૅંકોના નવહજાર કરોડ રૂપિયા ચૂકવ્યા વિના જ વિલાયત જતા રહ્યા, તેના સમાચારોએ લીધું હતું. આ માહિતી ‘ગુજરાત સમાચાર’માં પ્રકાશિત થઈ, ત્યારે તેના પહેલા પાના પર ખૂબ મોટી હેડલાઇન સ્વરૂપે (નીચેની) બે કાવ્ય પંક્તિઓ પણ હતી :

દેવડીએ દંડાય છે ચોર મુઠ્ઠી જારના,
લાખ ખાંડી ચોરનારા મહેફિલે મંડાય છે.

એ વાંચીને એક ભૂલી ન શકાતી, ખૂબ જ શરમજનક અને પીડા દેતી વાત મનમાં કૂદાકૂદ કરવા લાગી છે. હિન્દી તથા ઉર્દૂ આપણા દેશની બે ખૂબ સમૃદ્ધ તેમ જ સુંદર ભાષા છે. સાહિત્ય તથા ચલચિત્ર ક્ષેત્રે તે બંનેનું પ્રદાન ઘણું બહોળું છે, પરંતુ કમભાગ્યે હિન્દીને હિન્દુઓ તથા તેમના ધર્મ સાથે અને ઉર્દૂને મુસ્લિમો તથા તેમના મઝહબ સાથે જોડી દેવાઈ છે. એકબીજાના સાંપ્રદાયિક વિશ્વાસ પ્રત્યે સન્માનભાવના ધરાવતા ભારતીય સંગીતકારોનો નામોલ્લેખ પણ આ કારણે જુદાં-જુદાં સંબોધનો દ્વારા જ કરતો હોય છે. ભૂલેચૂકે જો ‘ઉસ્તાદ અમુક શંકર’ અને ‘પંડિત તમુક ખાન’ કહી બેસીએ, તો સંભવ છે કે જે તે સંગીતકારોને એ બહુ વાંધાજનક નહીં લાગે. પરંતુ સમાન અર્થ તથા ઊંચાઈ ધરાવતી એ પદવી / ખિતાબને આવી અદલાબદલી હિંદુ અને મુસ્લિમ સમુદાયના અનેક અનુયાયીઓની લાગણી દુભાવશે અને ઉશ્કેરશે. વળી, સમાચારમાધ્યમોને તો મસાલા ભરી ખણખોદ માટે મોટો ખજાનો પૂરો પાડશે.

મારો ખ્યાલ છે કે ‘જયહિન્દ’ જયઘોષ નેતાજી સુભાષચંદ્ર બોઝે અને તેમની ‘આઝાદહિંદ ફોજ’ના સૈનિકોએ પ્રચલિત કરેલો છે. તેને સ્થાને ‘હિન્દુસ્તાન ઝિંદાબાદ’ પણ કહી શકાય. અલગ-અલગ ભાષામાં બોલાયેલા બે નારાઓ – ‘ભારત માતા કી જય’ તથા ‘માદરે વતન ઝિંદાબાદ’ એક સમાન મનોભાવના અભિવ્યક્ત કરે છે. જ્યારે ‘મુર્દાબાદ’ એ ઝિંદાબાદથી તદ્દન અવળો અર્થ સૂચવતો શબ્દ છે. બોલનારાઓની મનેચ્છા વ્યક્ત કરતા આ બંને ઉર્દૂ ઝબાની નારાઓ હડતાલ, વિરોધ-પ્રદર્શન તથા ઘેરાવ જેવા દરેક પ્રસંગે ગાજ્યા કરે છે.

‘જય’ સંસ્કૃત શબ્દ છે તેનાથી બિલકુલ વિરોધી અર્થ સૂચવતો સંસ્કૃત શબ્દ છે ‘ક્ષય’. પરંતુ ઉપર્યુક્ત પ્રકારના નારાઓમાં સંસ્કૃતમાંથી ઊતરી આવેલી હિન્દી, ગુજરાતી તેમ જ કદાચ અન્ય કેટલીક ભારતીય ભાષાઓમાં પણ વપરાશમાં લેવાતો શબ્દ ‘ક્ષય’ તથા તેનો અપભ્રંશ થયેલ પર્યાય ‘ખય’ બોલતો ક્યારે ય સાંભળ્યો નથી. આપણે બધા જાણીએ છીએ કે ભારતની ઘણી ભાષાઓમાં ‘ક્ષ’ને સ્થાને ‘ખ’ બોલાય તેમ જ લખાય છે? ઉદાહરણ : ક્ષેત્ર ને બદલે ખેતર. પક્ષીનું પંખી, લક્ષનું લાખ અને ક્ષારનું થાય છે ખાર. એ પ્રમાણે ક્ષયરોગ માટે ખયરોગ પણ બોલાય છે.

ભાષા ક્ષેત્રે મારી સમજણ ખૂબ જ મર્યાદિત છે, તે અંગે હું પૂરો વાકેફ છું. તેમ છતાં તેનું ઉપર્યુક્ત છીછરું પ્રદર્શન તથા આ લખાણનો અહીં સુધીનો ભાગ તો મારે જે – પૂઠે થયેલ ગૂંમડા જેવી, સહેવી અઘરી અને દેખાડવી ય અઘરી – વરેલી હકીકતનું બયાન કરવું છે, તેની પૂર્વભૂમિકા છે.

*  *  *

૨૦૧૦માં પહેલી વાર જ મને ભારતની પ્રાદેશિક ભાષાઓને આવરી લેતી દૂરદર્શનની વિવિધ ટી.વી. ચૅનલોમાંથી એક ડી.ડી. ભારતી જોવા મળી હતી. તેમાં કોઈ પણ જાતના માલસામાનની જાહેરાતો તેમ જ સારા કે નરસા સમાચારો વિના માત્ર ‘સાંસ્કૃિતક’ લેબલથી ઓળખાતા કાર્યક્રમો જ રજૂ કરાતા હતા. યુનિવર્સિટી સ્તરે ભણવા તથા ભણાવવાના તથા ચિત્રકળા ક્ષેત્રે ૬૦ વર્ષ દરમિયાન ભારતીય સાંસ્કૃિતક બાબતો અંગે હું જે જાણી, શીખી શકેલો, તેથી ઘણી વધુ જાણકારી મને એક જ વર્ષમાં આ ચૅનલ દ્વારા મળી હતી. આનાથી ખૂબ પ્રભાવિત થઈને, કોઈના નોતર્યા વિના જ મેં મારી જાતને ડી. ડી. ભારતીનો બ્રાન્ડ ઍમ્બેસેડર માની લઈને મોટી સંખ્યા ધરાવતા કલાકારો, મારા સંબંધીઓ તથા મિત્રોને તેની માહિતી આપી, તેમાં રસ લેતા કરવા પ્રયત્નો કરેલા.

૨૦૧૧ દરમિયાન દૂરદર્શનની પરંપરા પ્રમાણે ‘દેશપ્રેમ’ પ્રજ્વલિત કરે અને જીવંત રહે તેવા શુભ હેતુસર બનાવેલો એક નવો વીડિયો તેની ચૅનલો પર પ્રસારિત કરાતો હતો. તેમાં આપણા ઉચ્ચ કોટિનાં અનેક સંગીતકારો, નૃત્યકારો, કલાકારો, કવિજનો તેમ જ લોકપ્રિય અભિનેતા-અભિનેત્રીઓ રમતવીરો ને ‘ભારત અનોખા રાગ હૈ’ મુખડો ધરાવતું, શાસ્ત્રીય સંગીત પર આધારિત સુમધુર ગીત ગાતાં દર્શાવેલ. તેમાં અંતે ‘જયહિંદ’ જયઘોષ તે ગીતનો આખરી શબ્દ બની ગુંજતો રહેતો હતો. સાથોસાથ એ જયઘોષ ભારતની વિવિધ ભાષાઓની લિપિમાં લખેલ સ્વરૂપે ટેલિવિઝનના પડદા પર છવાઈ રહેતો હતો. (હું માત્ર ગુજરાતી, દેવનાગરી અને અંગ્રેજી લિપિ જ વાંચી શકું છું. પણ ધારી લીધું છે કે અન્ય વિવિધ લિપિઓમાં પણ ‘જયહિંદ’ જ લખ્યું હશે.)

પરંતુ ‘કબાબ મેં હડ્ડી’ કે ‘સોનાની થાળીમાં લોઢાની મેખ’ આ કહેવતો યાદ કરાવતી એક નાની ભયંકર તેમ જ અક્ષમ્ય ભૂલ દેશપ્રેમ વ્યક્ત કરતા એ, અન્યથા ખૂબ જ સુંદર વીડિયોમાં રહી ગયેલી હતી, ગુજરાતી લિપિમાં એ જયઘોષ ‘જયહિન્દ’ લખાય કે ‘જય હિંદ’ એ મારા માટે મહત્ત્વનું નથી. કેમ કે વીડિયોમાં તો ‘જ’ ને સ્થાને ‘ખ’ (હા! ખટારાનો ખ) લખાયેલું હતું. અને તેથી જ જયઘોષ મટી જઈને તેનાથી તદ્દન અવળો જ અર્થ ધરાવતો તેમ જ વ્યક્ત કરતો શાપ બની રહ્યો છે.

બોલાયા પછી હવામાં વિલીન થઈ જતા ધ્વનિની તુલનામાં લખાયેલા શબ્દની અસર તથા તેનું કાયદાકીય મહત્ત્વ ઘણું વધારે કહેવાય. કોઈ પૃથક્કજનથી થયેલી આવી ભૂલ ભલે એક વખત માફ કરી દેવાય, પણ તેને સતત ચાલતી તથા વિસ્તરતી તો હરગીઝ રાખી શકાય નહીં. પરંતુ ભારત સરકારની પોતાની જ પ્રસારણ સેવા દ્વારા દેશભરની અનેક ચૅનલો પર દિવસ-રાત અને તે પણ ૨૪ x ૭ ધોરણે, તે વીડિયો દેખાડાતો રહ્યો હતો તેમ જ પૂર્વોક્ત [**** ઉપર વીડિયોના સ્ક્રોલ પ્રિન્ટમાં દર્શાવેલો છે તે] શબ્દથી ‘ભૂંડાબોલી’ ગાળ સમાન શાપનો ગુણાકાર કરાતો રહ્યો હતો. મને પજવતી બળતરા એ હતી કે (હજુ પણ છે) કે જે સરકાર પોતાના દેશ માટે જ આવો – દુશ્મનદેશો પણ જાહેરમાં કદાપિ વ્યક્ત ન કરે તેવો – અભિગમ ધરાવતા ભયંકર શાપને ગાઈવગાડીને દેખાડ્યા કરે તે સરકાર પોતાના દેશને કેમ બચાવી શકશે???

લોકકવિ દુલા ભાયા કાગે પોતાના એક કાવ્યમાં એક પ્રસંગ રજૂ કર્યો હતો. લંકાથી પાછા ફરતા સમયે ભગવાન શ્રીરામને જ સંશય થાય છે કે પોતાના નામથી પથરા તરે ખરા ? ખાતરી કરવા એમણે એક પથ્થર પર ‘રામ’ નામ લખીને તેને સમુદ્રમાં ફેંક્યો. તરત જ તે પાણીમાં ડૂબી ગયો. વિસ્મયચકિત થયેલા રામને હનુમાનજીએ ફોડ પાડીને સમજાવ્યું કે આપ પોતે જ જેને તરછોડો, તેને અન્ય કોણ ઉગારી શકે?!

પોતાના ખેતરના રક્ષણ માટે ખેડૂતે બનાવેલી વાડ પોતે જ ચીભડાં ગળી જતી હતી, તેવી (ભારતીય રાજકારણમાં પણ વારંવાર જોવા મળતી), કહેવત બની ચૂકેલ પરિસ્થિતિ આપણી એક લોકવાર્તામાં વર્ણવાઈ છે. કોઈ હિન્દી ફિલ્મના ગીતમાં પણ આવી જ વાત ગવાઈ છે. ‘માલી જો, બાગ ઉજાડે ઉસે કૌન બચાયે ?’

માતૃભૂમિ પ્રત્યે પ્રેમ તથા ભક્તિ પ્રગટે અને વિસ્તરે તેવા ઉત્કૃષ્ટ હેતુથી રજૂ કરાતા, પ્રસારિત કરાતા રહેલા તે વીડિયોમાંથી **** લખેલો છેલ્લી થોડી ક્ષણો જેટલો ભાગ ન દેખાડાય. તેવી અરજ દિલ્હી પહોંચાડવા માટે ત્રણેક મહિના જે ફાંફાં મારવા પડ્યાં હતાં તેની વાત ખૂબ લાંબી છે. અને કદાચ આત્મશ્લાઘામાં પણ બની જાય તેવો ભય હોવા છતાં અહીં શક્ય તેટલા સંક્ષિપ્તમાં જણાવવી જરૂરી લાગ્યું છે.

સ્વાયત્તતાનો અંચળો ઓઢેલી પણ સરકારી રાહે તથા આદેશો પ્રમાણે જ ચલાવતા (અને કદાચ ગુજરાતી ભાષાને ‘સું સા પૈસા ચાર’ તથા ગુજરાતીઓને ‘ગુજ્જુ’ માનમારા) ‘પ્રસાર ભારતી’ના અધિકારો સાથે કામ પાડવાનું મારું કોઈ ગજું જ નહોતું, તેટલી સમજ મને ત્યારે પણ હતી. સાથો સાથ એવું પણ સાંભળેલું કે ‘ઝાઝી કીડી સાપને તાણે’. તેથી ગુજરાતનું નાક કપાવીને તે ચતુરાક્ષરી બાબત અટકાવવાના મારા પ્રયાસોમાં રાજ્ય સરકારનો ટેકો સાંપડશે તેવી – ઠગારી નીવડેલી – આશાથી ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી, ભાષા નિયામકશ્રી, સાહિત્ય અકાદમીના મહામાત્ર, સાંસ્કૃિતક બાબતોનો હવાલો સંભાળતા મંત્રીશ્રી અને સચિવશ્રીને તે વીડિયો અંગે માહિતી આપતો – આ લખાણને મળતો – પરિપત્ર તથા તે મેળવનાર દરેેકને નામ, હોદ્દા, સાથે ઉદ્દેશીને લખેલ ટૂંકા ‘કવરિંગ લેટર’ મોકલાયેલ. પત્રમાં તેઓને ઉપર્યુક્ત વીડિયોમાંથી **** લખેલો ભાગ હટાવવા બાબતે જરૂરી પગલાં લઈ યથાયોગ્ય કરવા આગ્રહભરી વિનંતી કરેલી.

‘ઊંઝા જોડણી’ અંગેના લાંબા અને આક્રોશભર્યા વાદ-વિવાદોથી હું વાકેફ હતો, તેથી ભારતમાતા અને તેની ગીર્વાણગિરા એમ બંનેનું ઘોર અપમાન કરતા શાપ ‘**** હટાવો અભિયાન’ જેવા મારા પ્રયત્નોને તેમનો સાથ તો મળશે જ એવી પૂરી શ્રદ્ધા સાથે સાહિત્ય, કળા અને સામાજિક ક્ષેત્રે પ્રવૃત્ત અનેક બૌદ્ધિકોને પણ હાર્ડ અથવા સૉફ્ટ કૉપી – સ્વરૂપે એની માહિતી આપતા બયાનની નકલો મોકલી હતી. આશા હતી કે તેઓ તો પોતાનાં અવાજ/કલમ ઉઠાવશે જ.

તેમાંથી બે વ્યક્તિઓએ મને માત્ર પહોંચ જણાવેલ. કૉંગ્રેસ પક્ષ સાથે ગઠબંધન ધરાવતી સરકારે કરેલી ભૂલ પ્રત્યે ધ્યાન દોરતા કોઈ અધિકારીએ, ઉત્તર આપવા માટે રાજ્ય સરકારની સ્ટેશનરી વેડફી શકાય નહીં એવી સંનિષ્ઠતા સાથે – હું હતોત્સાહ થઈ ભાંગી ન પડું તેવા હેતુથી – એક સાદા પોસ્ટકાર્ડમાં અંગત હેસિયતથી સ્વહસ્તે લખીને નીચે જણાવેલ કાવ્યમય સંદેશ પાઠવ્યો હતો.

૪-૫-૨૦૧૧

ગાંધીનગર

પ્રિય,

વડીલ જ્યોતિભાઈ,

તમારો પત્ર મળ્યો. તમારી નિસબત સાચી છે. સરસ, ચાલો, આપણે સૌ એક મળી આપણી ભાષા માટે કંઈક કરી છૂટીએ. પ્રણામ.

………… ના જયજય ગરવી ગુજરાત.

‘ડૂબતાને તરણું તો હાથ લાધ્યું’ એવું આશ્વાસન પણ લીધું. અને તેથી પોરસાઈને પુનશ્ચ જયહિન્દ કહી હું જેને ‘ભારતમાતા બચાવો’ એવી જેહાદ સમજી બેઠેલો (કે, એવું સમજવાની ભૂલ કરી બેઠેલો), તે લખાપટ્ટી કર્યા કરતો રહ્યો.

પણ હું સમજી શક્યો નથી કે જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી જેવા દિલ્લીના એક દુર્ગમ સ્થળે કોઈ વિદ્યાર્થી શું બોલે છે, તેની તથા વડોદરાની ફાઇન આર્ટ્સ કૉલેજમાં પાછળ, છેક છેવાડે આવેલી કૅન્ટીનની દીવાલ પર કોઈ વિદ્યાર્થીએ લગાડેલા પોસ્ટરમાં શું લખ્યું છે, તેની રજેરજ માહિતી મેળવતા રહેવાની, ચાણક્યમુનિએ સૂચવેલી પાકી વ્યવસ્થા ધરાવનાર રાજકીય પક્ષના નેતાઓને દૂરદર્શનના એ વીડિયોની ‘શાકમાં દેખાતા આખ્ખા કોળા’ જેવી ભૂલની માહિતી કેમ ન પહોંચી? તેમ જ, તે સમયગાળામાં સરકાર પર પ્રભુત્વ ધરાવતા કૉંગ્રેસ પક્ષ તથા તેના સૂત્રધાર ‘ગાંધી-નેહરુ’ પરિવારને સકંજામાં લેવાની એ સુવર્ણ તક, ગુજરાતના તત્કાલીન મુખ્યપ્રધાનશ્રીએ કેમ જતી રહેવા દીધી હશે? તે પણ લેખિત સ્વરૂપે જાણ કરવા છતાં? એવું થયું તેનું કારણ એ તો નહીં હોય ને કે ઉપર્યુક્ત વીડિયો બનાવનાર, તેમાં જયહિંદને સ્થાને એનાથી વિરોધી અર્થ સૂચવતો શબ્દ લખવાની ભૂલ કરનાર કળાકાર લહિયો જવાબદાર અધિકારી હિંદુ કે મુસલમાન છે, શીખ કે ઈસાઈ છે. તેમ જ તે દલિત છે કે નહીં તેની ઓળખ વ્યક્ત થતી ન હોવાને કારણે કોઈને પણ તેમાં રસ લેવા જેવું, ચંચુપાત કરી જોવા જેવું પણ કશું હાથ લાગ્યું નહીં હોય !

ગણિત તથા આંકડાશાસ્ત્રમાં મને જરાયે સમજ નથી. તેમ છતાં એક પૃથક્કજનના નાતે એવું માનું છું કે છ કરોડ જેટલા ગુજરાતીઓમાંથી ઓછામાં ઓછા બે કરોડ ટેલિવિઝનધારકો તો એવા પણ હશે કે જે ગુજરાતી વાંચી શકતા હોય તેમાંથી નહીં નહીં તો ય વીસ લાખ (દસ ટકા) લોકો તો દૂરદર્શનની ચૅનલો પણ જોતા હશે. એટલી મોટી સંખ્યા ધરાવતા પ્રેક્ષકોમાંથી કોઈને ય ****ની એ પ્રસ્તુિત કેમ, ક્યારે ય ખૂંચી નહીં? દેખાઈ પણ નહીં?

**** દર્શન અંગેના મારા વલોપાત સમયે હું દિલ્લીના એક સજ્જન પત્રકારની સહાય મેળવવા ભાગ્યશાળી રહેલો. એમણે તે અંગે કરેલી પૂછપરછના ઉત્તરમાં પ્રસાર ભારતીના તત્કાલીન નિયામક વિદૂષી મૃણાલ પાંડેએ તો – કદાચ સરકારી ખુરશીના પ્રભાવે – તદ્દન નામક્કર જઈ કહેલું કે : દૂરદર્શનની ચૅનલો પર ‘ભારત અનોખા રાગ હૈ’ કાર્યક્રમ ક્યારે ય દેખાડ્યો જ ન હતો. મને તો મારું ચિત્ત ભ્રમિત થઈ ગયું હોવાની પણ આશંકા થવા લાગેલી. જો કે ‘ટેક્નોલૉજી તથા કમ્પ્યૂટરસેવી’ એક ગુજરાતી લેખક, નિર્ભય પત્રકારે મારી ધા-અપીલને ધ્યાનમાં લીધી હતી. તેમજ ‘The Best Indian Patriotic Song’ શીર્ષક સાથે રજૂ થતો રહેલો એ વીડિયો જોઈ તેમાંથી … દર્શાવતા દૃશ્યની છબી પણ મેળવી લીધેલી.

જો કે મને થોડી અન્ય વ્યક્તિઓની પણ સાચી સહાનુભૂતિભરી સલાહ તથા સહાય મળી હતી. ઝવેરચંદ મેઘાણીની ‘ચારણકન્યા’ની યાદ કરાવતી એક ગુજરાતી ‘કન્યાએ’ મારી અપીલ દિલ્હી દૂરદર્શનના અધિકારીને પહોંચાડી આપવા તૈયારી પણ દર્શાવી હતી. તેમ છતાં કોઈ જ ‘શક્કરવાર’ વળ્યો નહીં. છેવટે, મારી કિશોરાવસ્થા દરમિયાન થોડો સમય મારા શિક્ષક હતા અને પછી આમરણ રાજકારણ અને સામાજિક ક્ષેત્રે સક્રિય રહેલા સનતભાઈ મહેતાએ મારી ફરિયાદ પ્રત્યે સરકારે ધ્યાન આપવું જ પડે તેવી – પોતાની આગવી અને ભાષામાં – તત્કાલીન કેન્દ્રિય માહિતી અને પ્રસારણમંત્રી સુશ્રી અંબિકા સોનીને લખી જણાવેલી. પરિણામે – એક નાના, ચતુરાક્ષરી શબ્દની ભૂલ સુધારવાને સ્થાને અંબિકાજીએ તો તે વીડિયો જ હટાવી દેવા હુકમ આપી દીધો હતો. આ સાથે, ૨૬ એપ્રિલ, ૨૦૧૧થી શરૂ થયેલી મારી પત્રસફરનો ૨૩ જૂન, ૨૦૧૧ના રોજ અંત આવ્યો.

‘જંગ જીત્યો’ તેવો આનંદ હું લઈ શક્યો નથી. બલકે, છત્રપતિ શિવાજી મહારાજની ‘ગઢ આલા પણ સિંહ ગેલા’ એ ઐતિહાસિક ઉક્તિ પ્રમાણે એક સુંદર, લોકોપયોગી કાર્યક્રમ નષ્ટ કરાવવાનું પાપ કર્યાનો અફસોસ આજ પર્યંત સતાવતો રહ્યો છે.

લેકિન ભાઈજાન, કિન્તુ, બંધુ! એ રામ-કહાની હજી પૂરી થઈ નથી. કૉંગ્રેસ સરકારના મંત્રીશ્રીએ હટાવેલા અને ચાર વર્ષ ડબ્બામાં બંધ રખાયેલ એ વીડિયો બે વર્ષ પહેલાં નવી સરકાર બની, ત્યારે તરત બહાર કાઢી ફરી દેખાડાયેલ હતો અને તાજેતરમાં પણ ૨૦૧૬ના મે મહિનામાં સરકારે બે વર્ષ પૂરાં કર્યાં તેની ઉજવણી દરમિયાન પણ એક ‘બ્લૅક ફ્રાઇડે’ની સાંજે ડીડી ભારતી પર જરાયે કાપકૂપ કર્યા વિના જ તે વીડિયો પ્રસારિત કરાયેલ અને તેથી **** શાપ ભારતભરમાં ફરીથી ગૂંજી ઊઠ્યો હતો.

સિનેમાઘરોમાં ફિલ્મો જોનારાઓ કરતા ટેલિવિઝનના પડદા પર તે જોનારાઓની સંખ્યા ઘણી મોટી હશે. વળી, તેમાં આબાલવૃદ્ધ-મહિલાઓ તથા પુરુષો એમ દરેક પ્રકારના પ્રેક્ષકો હોય તેથી ટીવી પર પ્રદર્શિત કરાતી ફિલ્મો માટે પણ સેન્સરબોર્ડનું સર્ટિફિકેટ દેખાડવું આવશ્યક છે. વરવી વિડંબણા એ છે કે ‘ઉડતા પંજાબ’ જેવા ફિલ્મના શીર્ષકમાં ‘પંજાબ’ નામોલ્લેખ પર પણ શ્રી પહેલાજ નિહલાની અને તેના સેન્સરબોર્ડના સદસ્યશ્રીઓને કાતર ચલાવવી જરૂરી લાગે છે, પરંતુ તે જ સેન્સરબોર્ડને **** સામે કશું ય વાંધાજનક લાગ્યું નથી.

આમ છતાં મારું હૈયું તો **** હટાવેલા અને તેને સ્થાને જયહિંદ લખાયેલા એ વીડિયો ભારતવાસીઓને વારંવાર જોવા મળતો હોય એવા અચ્છે દિન જોવા માટે વલખાં માર્યાં જ કરે છે.             

મે-જૂન ૨૦૧૬

e.mail : jotu72@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 01 જુલાઈ 2016; પૃ. 10-12

Loading

‘ગ્રામગર્જના’નો ગ્રામસ્વરાજ કેન્દ્રિત પુસ્તક પરિચય વિશેષાંક

સંજય શ્રીપાદ ભાવે|Opinion - Opinion|4 July 2016

પૂરેપૂરા ગ્રામલક્ષી પાક્ષિક ‘ગ્રામગર્જના’નો પહેલી જૂનનો અંક ‘ગ્રામસ્વરાજ કેન્દ્રિત પુસ્તક પરિચય વિશેષાંક’ તરીકે બહાર પડ્યો છે. તેના અતિથિ સંપાદક કેતન રૂપેરા છે. ‘नवजीवनનો અક્ષરદેહ’ નામના એક વિશિષ્ટ માસિકના સંપાદકનું આ વધુ એક નોખું અને નમૂનેદાર કામ છે. અહીં બાવીસ ગ્રામલક્ષી પુસ્તકોનો તેમનાં મુખપૃષ્ઠની નાની છબિ અને પ્રકાશનની માહિતી સાથેનો સરેરાશ બસો શબ્દોમાં લખાયેલો ટૂંકો પરિચય મળે છે. વળી આ વિષય પરનાં અનેક નિવડેલાં પુસ્તકો ટૅબ્લૉઇડ કદનાં શુભેચ્છા-જાહેરખબરો સાથેનાં બાર પાનાંમાં સ્વાભાવિક રીતે જ સમાવી શકાયાં નથી. પણ એટલા માટે વાચકોને તેનાથી સંપૂર્ણ અજાણ રાખી ન શકાય એવી સમજ સાથે મન લલચાવનારાં ચાળીસ પુસ્તકોની નામાવલિઓ છ જગ્યાએ અવકાશપૂરકો તરીકે મૂકવામાં આવી છે. અંકના પહેલાં પાને ‘ગ્રામસ્વરાજ’ પુસ્તકમાંથી બે અંશો સારવીને મૂકેલા છે.

દરેક પુસ્તક વિશે ચુસ્ત રીતે લખાયેલી પરિચય નોંધમાં પુસ્તકના પ્રકાર, વિષય, હાર્દ અને પ્રસ્તુતતાને સમાવવાનું દુષ્કર કામ સંપાદકે સારી રીતે પાર પાડ્યું છે. પાંચ પુસ્તકો વિશેની નોંધ અન્ય અભ્યાસીઓએ આ અંક માટે અથવા આ પૂર્વે લખેલી છે, તે સૌજન્યનોંધ સાથે સમાવેલી છે. સંપાદકે કરેલી પસંદગી વૈવિધ્યપૂર્ણ છે. તેમાં તેમણે ‘કૃષિ, પશુપાલન, પંચાયત અને સહકાર – ગ્રામજીવનનાં આ ચાર સ્વરૂપો અને ગાંધીજીના ગ્રામસ્વરાજના સિદ્ધાંતો’ને નજરમાં રાખ્યા છે. ગ્રામ સ્વરાજ એ વિભાવનાની વૈચારિક છણાવટ કરતાં પુસ્તકો છે, જેમાં ‘ગ્રામ સ્વરાજ’ (મો.ક.ગાંધી), ‘પલટાતાં ગામડાં’ (દિનકર મહેતા), ‘ગ્રામોચિત ટેક્નોલૉજી’ (સં. મહેન્દ્ર  ભટ્ટ) અને ‘મારી બહેનો, સ્વરાજ લેવું સહેલ છે’ (ઈલા ર. ભટ્ટ) જેવાં પુસ્તકોની વાત મૂકી શકાય. ‘મારું ગામડું’ (બબલભાઈ મહેતા) જેવું સ્વકથન અને ‘માલધારીની વિમાસણ’ (વાસુદેવ વોરા અને અન્ય) જેવો અનુભવકથાનો સંચય પણ છે. આદિવાસીઓની દશા ‘તમે કહો છો તે આઝાદી ક્યાં છે?’ (ઇન્દુકુમાર જાની) અને ‘રવિયા દૂબળાના રખેવાળ ઠાકોરભાઈ દેસાઈ’ (જિતેન્દ્ર દેસાઈ) પુસ્તકોમાં વર્ણવાઈ છે. ‘મહારાજના મુખેથી અને બીજી વાતો’ (મ. જો. પટેલ), ‘શિક્ષકકથાઓ’ (દિલીપ રાણપુરા) અને ‘નોખી માટીના દીવડા’ (સં. ચૈતન્ય ભટ્ટ) અને ‘ગુજરાતના કૃષિતજજ્ઞો’ (સં. રાજેન્દ્ર  ખીમાણી, કે. જી. મહેતા) ચરિત્રલક્ષી પુસ્તકો છે. સામાજિક ન્યાય, કોમી એકતા અને આરોગ્ય એ દરેક વિષય પરનું પણ એક એક પુસ્તક છે.  સાહિત્યકૃતિઓનું પણ અહીં સ્થાન છે – ‘ઝેર તો પીધાં છે જાણી જાણી’ (મનુભાઈ પંચોળી’ દર્શક’), ‘ગ્રામલક્ષ્મી’ (ર.વ. દેસાઈ) અને  ‘ઉપરવાસ કથાત્રયી’ (રઘુવીર ચૌધરી).

‘ગ્રામગર્જના’એ ગયાં અઠ્ઠ્યાવીસ વર્ષમાં પચીસેક વાર્ષિક વિશેષાંકો બહાર પાડ્યાં છે, જેની યાદી આ પુસ્તકપરિચય અંકમાં છે. ખાસ અંકોમાંથી અધઝાઝેરા મહાપુરુષો (પૂ. મોટા અને દંતાલીવાળા સ્વામી સચ્ચિદાનંદ સહિત)ના જીવન વિશેના છે. બે સદ્ભાવ વાચન વિશેષાંક છે.

વાચન વિશેના પ્રસ્તુત અંકની ઉદ્દભવ કથા પ્રેરક છે. સંપાદક ગૂજરાત વિદ્યાપીઠમાં પત્રકારત્વના વિદ્યાર્થી હતા તે ૨૦૦૩-૦૫ની આ વાત છે. એ વખતના તેમના મુલાકાતી અધ્યાપકોમાં એક ‘ગ્રામગર્જના’ના સ્થાપક તંત્રી અને જાણીતા કોલમિસ્ટ મણિલાલ એમ. પટેલ પણ હતા. જે ગ્રામીણ પત્રકારત્વ ભણાવતા. વર્ષો પછી આ વિદ્યાર્થીને તેમણે પુસ્તક પરિચય વિશેષાંક માટે મદદ કરવાનું  સૂચવ્યું.  કેતન રૂપેરા ‘સંપાદકીય’માં  લખે છે કે ‘… ત્યારે મદદની ભૂમિકાથી આગળ વધતાં સ્વતંત્રપણે આ વિશેષાંકના સંપાદનની ભૂમિકાએ પહોંચવાનું થયું.’ શિક્ષકે વેરેલું કયું બીજ કેવી રીતે અંકુરિત થઈ શકે તેનો આ એક મનભર દાખલો છે!

વચ્ચેનાં વર્ષોમાં ગ્રામીણ પત્રકારત્વ સાથે જોડાઈ રહેતાં ફ્રી લાન્સ જર્નલિસ્ટે ‘જલસેવા’, ’ગ્રામાનિર્માણ’ અને ‘સારા સમાચાર’ જેવી પત્રિકાનું કામ પણ સંભાળ્યું. ‘ગ્રામગર્જના’ના પુસ્તક પરિચય અંક અને ગૂજરાત વિદ્યાપીઠ સાથે તેઓ કેવી લાગણીથી જોડાયેલા છે તે આ શબ્દોમાં જણાઈ આવે છે : વિદ્યાપીઠના ઘણા સ્નાતકો શહેરી વિકાસનો લાભ લઈ લૌકિક દૃષ્ટિએ ‘સફળ’ જીવન જીવવાને બદલે ગામડાંમાં સંઘર્ષ વેઠી, આ અંકના જ એક પુસ્તક ‘સમૂજીવનનો આચાર’માં બબલભાઈ લખે છે તેમ, ગાંધીવિચાર પ્રમાણે પોતે ઘડાવા અને સમાજને ઘડવાનું કામ કરી રહ્યા છે, તેની સરખામણીમાં પત્રકારત્વમાં આમ ઓછું થતું જોવા મળે છે. ત્યારે આ અંકનું સંપાદન, પત્રકારત્વના સઘળા વિદ્યર્થીઓના પ્રતિનિધિ તરીકે પણ ગાંધીની વિદ્યાપીઠનાં સિંધુ ઉપકારનું બિંદુ ઋણ ચૂકવવા જેવું લાગે છે.’

૨૭ જૂન, ૨૦૧૬

e.mail : sanjaysbhave@yahoo.com

સૌજન્ય : “નિરીક્ષક”, 01 જુલાઈ 2016; પૃ. 13 

Loading

ગળચટ્ટી ધારણાઓથી મુક્તિ અપાવે એ કળા અને સાહિત્ય

અશોક વાજપેયી|Opinion - Opinion|4 July 2016

અનુવાદકની નોંધ : ‘નિરીક્ષક’ના ૧૬મી જૂન, ૨૦૧૬ના અંકમાં રમેશ બી. શાહે ‘‘તંત્રીની વાત’ અંગે થોડી ચર્ચા’ શીર્ષક હેઠળ આપેલા પ્રતિભાવના મોટા ભાગના મુદ્દાઓ સાથે સહમત છું, છતાં તેમના એક મુદ્દા, કે ‘નાગરિકોએ સન્માનિત કે અને પ્રસિદ્ધ સાહિત્યકારોના જાહેર પ્રશ્નો પરત્વેના અભિપ્રાયો જાણવાનો આગ્રહ રાખવા માટે કોઈ કારણ નથી’ અંગે એટલું જ કહેવાનું છે કે પ્રસિદ્ધ સાહિત્યકાર બીજું કોઈ નહીં પણ નર્યા સાહિત્યકાર જ નથી એવા રઘુવીર ચૌધરી, જેવા જાહેરજીવનના જાણતલ હોય ત્યારે જાહેર પ્રશ્નો પરત્વેના તેમના અભિપ્રાયો જાણવાનો આગ્રહ કોઈ રાખે તો તેના માટે એક નહીં, સો વાજબી કારણો ગણાવી શકાય. લાંબી વાત નહીં કરતાં સાહિત્યકારો અને કલાકારોની સામાજિક નિસબત અંગે તાજેતરમાં જ અશોક વાજપેયીએ લખેલા એક લેખના અંશોનો અનુવાદ રજૂ કરું છું.

— દિવ્યેશ વ્યાસ

કોઈ પણ સમયે સાહિત્ય અને કળાઓ પર જે-તે સમયનાં અનેક દબાણો આવે છે, એ વાત જાહેર કરવા માટે હવે કોઈ વિશેષ વિશ્લેષણાત્મક કે વૈચારિક પ્રયત્નની જરૂર રહી નથી. આ દબાણોની ભૂગોળ સીધીસપાટ નથી હોતી અને સર્જકોની ગ્રહણશીલતા પણ એકસમાન નથી હોતી. જાતભાતનાં દબાણ જાતભાતના સર્જનાત્મક અને વૈચારિક તણાવ પેદા કરે છે, પોષે છે. પોતાના સમયની ઉપેક્ષા કરવી કોઈ કલાકાર માટે શક્ય તો છે, પરંતુ કોઈ જીનિયસના અપવાદને છોડીને બાકી કિસ્સાઓમાં તેને ઇચ્છનીય ગણી શકાય નહીં.

આ દબાણોને પારખવા-ઓળખવા માટે થોડી સૂક્ષ્મતાની જરૂર પડે છે. તેનાં સ્થૂળ લક્ષણ પારખવામાં કોઈ વિશ્લેષણ-બુદ્ધિ સક્રિય નથી હોતી. ઓળખ ત્યારે તીક્ષ્ણ બને છે, જ્યારે તેને અમુક ઝીણા તાંતણાઓથી અલગ કરીને જોઈ શકીએ. કમનસીબી એ છે કે આપણે ત્યાં ઝીણવટ અને ઉદ્યમ ઓછો છે. મોટા ભાગની ટીકાઓ પિષ્ટપેષણ (ઘસાયેલી-ચવાયેલી વાતો) કે એકબીજાની પ્રશંસા કે નિંદામાં સરી પડીને વ્યર્થ અને અપ્રાસંગિક તેમ જ કંટાળાજનક બની જતી હોય છે.

પાબ્લો પિકાસોએ ૧૯૩૭માં પોતાની વિખ્યાત કલાકૃતિ ‘ગુએર્નિકા’ના સર્જનના ગાળામાં કહેલું, ‘આધ્યાત્મિક મૂલ્યોની સાથે રહે છે અને કામ કરે છે, એવા કલાકારો માનવતા અને સભ્યતાનાં શ્રેષ્ઠ મૂલ્યો દાવ પર લાગ્યાં હોય એવા સંઘર્ષ પ્રત્યે ન ઉદાસીન રહી શકે છે, ન રહેવું જોઈએ.’  પિકાસોનું ચિત્ર ‘ગુએર્નિકા’ એક વિચિત્ર અને મોટા ભાગે સમજમાં ન આવે એવી કલાકૃતિ છે, જેમાં ક્ષોભ, દહેશત, ચિત્કાર અને વિરોધ, બધું સેળભેળ થયેલું છે. તેમાં જીવનની હિંસા અને ક્રૂરતા એક રીતે કળાત્મક રીતે, એક રીતે અત્યાચારપૂર્વક દર્શાવાયેલી છે. મને યાદ છે કે સ્પેનના પ્રવાસ વખતે અમે પહેલી વાર આ કળાકૃતિને જોઈ ત્યારે તેની સઘનતા અને સુચિંતિત રચનામાં એક રીતે ઠાંસીઠાંસીને ભરેલી વિચિત્રતા ચકિત અને બેચેન એકસાથે કરી રહી હતી.

આ ચિત્રનો એક કિસ્સો જાણીતો છે કે જર્મન સૈનિકોએ આ કળાકૃતિ જોઈને આશ્ચર્ય સાથે પૂછેલું કે શું આ ચિત્ર તમે બનાવ્યું છે, ત્યારે પિકાસોએ એવો જવાબ આપેલો કે આ મારી નહીં તમારી કરતૂત છે! આજે પણ આપણે જો આ કૃતિને જોઈએ-સમજીએ તો એવું જ સમજાય છે કે આપણે આ હિંસક માહોલ ઊભો કર્યો છે, આપણી ચારેકોર આટલી ઝડપભેર ધોળા દિવસે થઈ રહેલા સમગ્ર વિદ્વંસ માટે આપણે જ જવાબદાર અને ગુનેગાર છીએ. તરત માલૂમ પડે છે કે આપણી પોતાની ‘ગુએર્નિકા’ મુક્તિબોધની લાંબી કવિતા ‘અંધારામાં’ છે, જે વિગતવાર, બહુ બધાં ચિત્રિત-બિંબિત વર્ણનોમાં, અંધારામાં, આપણી ભાગીદારીની ક્રૂર કથા કહે છે.

સાહિત્ય અને કળાઓ અંધારિયા સમયમાં આ જ કામ કરે છે કે કરી શકે છે. તે આપણને આપણી દબાયેલી-છુપાયેલી ભાગીદારીથી વાકેફ કરે છે. તે આપણને આપણે પવિત્ર-નિષ્કલંક હોવાની ગળચટ્ટી માન્યતાઓમાંથી મુક્ત કરે છે. તે આપણને અંધારા, આત્મામાં મચેલા રક્તપાત સામે ટક્કર લેવા માટે ઉત્તેજિત કરે છે. તે આપણને આપણા અંતઃકરણની વિશાળતાને સંકોચાતી અટકાવવાની શક્તિ પૂરી પાડે છે. ઘણી વાર તો આપણને તેના થકી જ ખ્યાલ આવે છે કે આપણું પણ અંતઃકરણ છે, જે પૂરેપૂરું સંવેદનહીન બનતાં-બનતાં બચી ગયું છે. સમયનાં તમામ દબાણોની સામે આવી કળાકૃતિ આપણી આત્મા અને અંતઃકરણની ગાથાઓ બની જાય છે. સમયનાં દબાણો વચ્ચે રચાયેલી હોવા છતાં પણ આવી કૃતિઓ સમય-મુક્ત કાલજયી બની જાય છે.

(સૌજન્ય : www.satyagrah.scroll.in, ‘કભી-કભાર’ કૉલમ, ૧૯-૬- ૨૦૧૬નો એક અંશ)                        

e.mail : divyeshvyas.amd@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 01 જુલાઈ 2016; પૃ. 14

Loading

...102030...3,5363,5373,5383,539...3,5503,5603,570...

Search by

Opinion

  • જય ભીમ’ ખરેખર શું છે? 
  • ભૂખ
  • ગાંધીબાગ કે ગાંધી ભાગ?
  • વિવેકહીન વ્યક્તિપૂજાનું વહેણ દેશને કઈ દિશામાં લઈ જશે?
  • બચ્ચે મન કે સચ્ચે

Diaspora

  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ
  • મારી દુનિયાનાં તમામ બાળકો

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved