Opinion Magazine
Number of visits: 9768655
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સિંહ જેવા શ્વાન

અંકિત દેસાઈ|Opinion - Literature|7 February 2017

હિમાંશી શેલતની પ્રાણીઓ સાથેની સ્મરણકથા ‘વિક્ટર’ પરની આ લેખશ્રેણીનો આજે [07 ફેબ્રુઆરી 2017] છેલ્લો લેખ, જેમાં વાત કરવી છે એમના બે પૅડિગ્રી ડૉગ લિયો (જર્મન શેફર્ડ) અને વિક્ટર(લેબ્રડોર)ની. જો કે ‘વિક્ટર’ પુસ્તકના મુખપૃષ્ઠ પરના વિક્ટરના ફોટોગ્રાફ પરથી એવું જરૂર કળી શકાય કે વિક્ટર શુદ્ધપણે લેબ્રાડોર નહોતો, એનામાં ક્યાંક દેશી શ્વાનની છાંટ પણ નજરે ચઢે છે! જો કે આ મારું અનુમાન છે કે, વિક્ટર વર્ણસંકર છે, સત્ય શું છે એ વિશે હિમાંશીબહેનને જ પૂછવું રહ્યું.

હિમાંશી શેલત સુરત છોડીને વલસાડ સ્થાયી થાય, એ પહેલાં એમના ઘરે લિયો આવેલો. લિયો વિશેના લેખમાં હિમાંશીબહેને જણાવ્યું છે કે, એમના બાપુજીના અવસાન પછી ઘરમાં બધાને ભેંકાર એકલતા લાગવા માંડેલી. તેઓ લખે છે :

‘બાપુજીના અવસાન પછી ઘર એકાએક જ મૂંગું બની ગયું. એમની અને મારા ભત્રીજા હરિતની ઘીંગામસ્તી દિવસના મોટા ભાગમાં વેરાતી રહે. બેયનાં ભાતભાતનાં નાટકો ચાલે. રાજા-પ્રધાન, ચોર-સિપાઈ, સરહદ પર ખેલાતા યુદ્ધો – બધા વેશ અહીં હાજર. લાકડાની તલવારો ઊછળે, વ્યૂહરચનાઓ ગોઠવાય, ને ધમાધમી બોલે. ક્યારેક વળી મસ્તી ચડી હોય તો હીંચકો ઝૂલે ને ઉપર બંનેની મહેફિલ જામે. બાપુજી ખુલ્લે સાદે એમના જમાનાનાં ગીતો લલકારે અને હરિત શ્રોતા બનીને એમાં ગુલતાન. છેવટ સુધી આ ક્રમ સચવાયેલો એટલે સોપો પડી ગયો બાપુજીના અચાનક ચાલ્યા જવાથી. વળી એ દિવસોમાં ઘર પ્રાણીઓ વિનાનું. લાલિયો પણ થોડા મહિના અગાઉ ગુજરી ગયેલો. પ્રાણીની ખોટ આ દિવસોમાં વરતાઈ એવી પહેલાં ક્યારે ય નહોતી વરતાઈ. વિષાદમાં થીજેલું ઘર એકાદ પ્રાણીની હાજરીથી ફરી ધબકવા માંડશે, મન પર થોડી તાણ લાગે છે તે ઓછી થશે અને ખાસ તો અમે બધાં ઘર બહાર કામે નીકળી જઈએ છીએ ત્યારે બાને વસ્તી રહેશે એમ અમારું ચોક્કસ માનવું હતું.’

આમ હિમાંશીબહેન જર્મન શેફર્ડનું એક બચ્ચું પોતાને ઘેર લઈ આવ્યાં, જેની ગરદન પાસે સિંહની યાળ જેવા વાળ હોવાને કારણે એનું નામ પડ્યું ‘લિયો’ અને એ લિયોનું કદ પણ પાછું સિંહ જેવું જખ્ખડ, એટલે જ લિયો વિશે લખાયેલા પ્રકરણનું નામ હિમાંશીબહેને ‘અમારે ઘેર સિંહ’ રાખેલું!

આલ્સેશન ડોગ તરીકે ઓળખાતા જર્મન શેફર્ડ આમે ય કદાવર હોય, એમાં લિયો ખાવાનો ભારે શોખીન એટલે લિયોની તંદુરસ્તી છાપરે ચઢીને પોકારે. હિમાંશીબહેન લખે છે :

‘પોતાના ખાવાના શોખથી લિયો અસલ સૂરતી કહેવાય એવો. લાંબે ગાળે અતિ આહારથી એ પ્રસિદ્ધ થવાનો એમાં બે મત નહીં. તીખું અને ગળ્યું – બંને પ્રેમથી ગ્રહણ કરતો આ હૃષ્ટપુષ્ટ જીવ ભાગ્યે જ કોઈ ખાદ્યપદાર્થ નકારે. આમ છતાં કશું ન ભાવે એવું લાગે ત્યારે ય પોતાની ‘ટેબલ મેનર્સ’ છોડે તો એ લિયો નહીં. તમે એવું કશું ધરો ત્યારે ય એ પેલી ચીજ મોંમાં તો લઈ જ લેવાનો. શિષ્ટાચાર ગળથૂથીમાંથી જ શીખીને આવેલો લિયો આપેલી ચીજનો અનાદર નહીં કરે. પછી કોઈ ન જુએ તે રીતે પેલી ચીજ જાળવીને બાજુમાં મૂકી દેશે!’

આવો નાતાવાન અને શરીરે હૃષ્ટપુષ્ટ શ્વાનનો સામનો કોઈ અજાણ્યા સાથે થાય અને સામેનું માણસ અમસ્તુ ય કૂતરા કે અન્ય પ્રાણીઓથી ડરતું હોય ત્યારે સિંહ જેવા લિયોને સામે જોય ત્યારે એના શું હાલ થાય એ કલ્પી શકાય છે.

એવો જ એક રમૂજી કિસ્સો લિયો વિશેના પ્રકરણમાં રજૂ કરાયો છે, જેમાં લિયોએ ઘરના કંપાઉન્ડમાં વગર પરવાનગીએ ઘૂસી આવેલા એક આગંતુકને કપાઉન્ડમાં રખાયેલી કારની ફરતે ‘ઓ … કૂતરો … કૂતરો …’ કરીને કઈ રીતે દોડાવેલા એ વિશે હાસ્ય અને રોમાંચભરી વાતો આલેખવામાં આવી છે. આવી જ એક મજેદાર વાત લિયો અને હિમાંશીબહેનનાં નાનીમાના સંબંધ વિશે રજૂ કરાઈ છે, જે પણ વાંચવા-માણવા લાયક છે.

હિમાંશીબહેન સુરતથી વલસાડ રહેવાં આવેલાં, ત્યારે ઘરના સભ્યોથી પણ લિયો વધુ દુઃખી થયેલો અને હિમાંશીબહેન જ્યારે પણ વલસાડથી સુરત આવે, ત્યારે લિયો એનાં સઘળાં કામ કોરાણે મૂકી, સતત હિમાંશીબહેન સાથે રહે અને એમની સોબત માણે. એ વિશે બહેન લખે છે :

‘ક્યારેક સુરત જવાનું લંબાય અને મને જોઈને બા કે હરિત દોડી આવે કે ભેટી પડે તો લિયોનો જીવ કપાઈ જાય! મારા પર કોઈ હક કરતું આવે એ એને જરીકે જચે નહીં. આવું કશું એનાથી સહન જ થતું હોય એમ એ વચ્ચે કૂદી પડે, બાને તો ધક્કો મારી બેસાડી જ દે!  કોઇ વધારે વાત કરે મારી સાથે તો એને ભસી ભસીને ચૂપ કરી દે! એકવાર માત્ર વિનોદ જ સુરત ગયો તો એની સામે આળોટીને, રડીને, એનો હાથ મોંમા લઈને, ઘડીઘડી ઓટલે દોડી જઈને એણે સ્પષ્ટ કરી દેખાડ્યું કે આ રીતે એકલા અવાય જ નહીં …

આ લિયો હિમાંશીબહેન અને ડૉ. કેતન શેલતને ત્યાં વર્ષો સુધી રહેલો. (હમણાં પણ એમને ત્યાં એક વૃદ્ધ શ્વાન છે, જેનું નામ પણ લિયો છે અને તે હવે સરખું ચાલી સુદ્ધાં નથી શકતો.) લિયોનું અવસાન ક્યારે થયું અને અવસાન સમયે લિયોની શું સ્થિતિ હતી એ વિશે હિમાંશીબહેને કશું આલેખ્યું નથી, કારણ કે આ લેખ વર્ષો પહેલાં લખાયેલો, જ્યારે લિયો સ્વસ્થ હતો. એવું કંઈક સાંભરે છે કે, હિમાંશીબહેનનાં બાનું અવસાન થયેલું, ત્યારે લિયો હાજર હતો અને બાના અવસાનથી એ અત્યંત વ્યાકુળ થઈ ગયેલો. કંઈક એવું પણ યાદ આવે છે કે, લિયો બાના શબ પાસે જ બેસી રહેલો અને થોડી થોડી વારે બાને ચાટી લેતો. જો કે આ વાતો હિમાંશીબહેને બા વિશે લખેલા એક લેખમાં આલેખી છે, જે લેખ એમણે સંપાદિત કરેલા પુસ્તક ‘પહેલો અક્ષર’માં સમાવ્યો છે.

હવે વિક્ટરની વાત. વિક્ટર વિશે હિમાંશીબહેન કહે છે, ‘ઊછળતા અને ધસમસતા ઉલ્લાસનો આકાર કેવો હોય એનો જવાબ મારી પાસે છે. એ હોય વિકી જેવો!’ વિક્ટરનો સ્વભાવ વર્ણવતા તેઓ લખે છે, ‘એ તો આવ્યો તેવો જ વળગી પડ્યો અમને બરાબર. નાનકો હતો ત્યારે સાવ સસલું લાગે, ચારે ય પગે કૂદતો ચાલે. એની આંખોનું ભોળું કુતૂહલ અમને ય એની સૃષ્ટિમાં ખેંચી જાય. ભોંય પર બેઠેલી ચકલીઓને ડોકું હલાવતો, કાન ફફડાવતો, પૂંછડી ફરકાવતો તાકી રહે. દેડકાને કૂદતો જોઈ ભયભીત થઈ ઘરમાં ભરાય, અને ભીંત પર સરકતી ગરોળીને ભસીભસીને જમીન પર આવી જવા પડકાર ફેંકે! ઘરમાં ઉત્તેજના ફેલાવી દીધી આ નાનકડા વિકીએ. એકલપેટો જરાયે નહીં. આસપાસની શ્વાન મંડળી જોડે દોસ્તી જમાવી. બે-ચાર કલાક માટે બહાર જવાનું થયું હોય અને પાછાં આવીએ ત્યારે જન્મજન્માંતરોના વિયોગ પછી મળતાં હોઈએ એવો વિકીનો ઉત્પાત હોય અને સાથે અનરાધાર પ્રેમવર્ષા. એ અમને વળગે, ચાટે, નાચે, કૂદે, જાતજાતના અવાજ કરે, હથેળીમાં માથું મૂકી દે, બૂટ-મોજાં-ચંપલ-રૂમાલ હવામાં ફંગોળે. મિલનના આવા ઝંઝાવાતી હરખ પછી એ જરા સ્વસ્થ થાય. એ અમારી ભાષા સમજે જ છે એવા પાકા વિશ્વાસ સાથે એની જોડે ગોઠડી મંડાય. કોઈ એ સાંભળે તો અમે માણસ જોડે વાત નથી કરતાં એ હકીકતથી અવશ્ય ડઘાઈ જાય!’

વિકી વિશે તેઓ એવું માનતાં કે વિકીએ ‘સખ્ય’ને મકાનમાંથી ઘરનો દરજ્જો આપેલો. વળી, અત્યંત મળતાવડા સ્વભાવના વિક્ટરને બહારની શ્વાન મંડળી સાથે પણ ઘણા સંબંધ એટલે એની સાથોસાથ સખ્યમાં બહારના શ્વાનોની આવલીજાવલી પણ સતત રહે, જેમાંના કેટલાક જમવાને ટાણે આવી ચડે તો વિકી એમને ભૂખ્યાં ન જવા દે. પોતાના નાતભાઈઓ જ નહીં, કોઇ માણસ પણ ‘સખ્ય’માં આવે તો વિકી ઓછોઓછો થઈ જાય અને અત્યંત્ય ભાવથી આવેલાને આવકારે. એની આ વૃત્તિ બાબતે હિમાંશીબહેન લખે છે, ‘માણસમાત્રને જોઈને એને અમથું અમથું વહાલ આવ્યા કરે. ચોરના દીદાર જો ચોર જેવા ન હોય તો એને ય આ માણસઘેલો પ્રેમથી ભેટવાનો એની મને તો ખાતરી જ રહેતી. પાંડવો પાછળ ગયેલો શ્વાન તે નક્કી આ જ એવી કથાઓ રચવાની અમને મઝા પડતી. અમારે ઘેર જેટલાં આવ્યાં હશે તે બધાં પર પોતાનું વહાલ વિકી વરસાવી ચૂકેલો, અને વહાલમાં વહેરોવંચો કે દિલચોરી લેશ નહીં.’

વિક્ટર ઘરમાં આવ્યા પછી હિમાંશીબહેન અને વિનોદ મેઘાણીનો આનંદ આસમાને પહોંચેલો. એ બંને, વિકી અને ‘સખ્ય’ની આસપાસની શ્વાન મંડળી રોજ સવાર-સાંજ ઘર નજીક આવેલી વાંકી નદીના ઢોળાવો પાસે ફરવા જતાં અને સવાર અને સાંજના સૌંદર્યમાં એમના આનંદનું ચંદન ભેળવી યાદોને સુંગધીદાર બનાવતાં. એમના આ સંબંધને ક્યાંક કોઈની નજર ન લાગી જાય એની પણ હિમાંશીબહેનને ચિંતા રહ્યા કરતી. તેઓ લખે છે, ‘આવી પ્રગાઢ દોસ્તી નજરાઈ તો નહીં જાય ને એવી દહેશત ક્યારેક પજવતી. જીરવી ન શકાય એવું ને એટલું સંબંધ-સુખ આપણી ઝોળીમાં ઠલવાઈ જાય ત્યારે આવો ભાવ સળવળે છે ઘણી વાર, બહુ રૅશનલ કહેવાય એવાં ચિત્તમાં પણ!’

આખરે થયેલું પણ એવું જ અને હિમાંશીબહેનને જે શંકા કે ભય હતો એ સાચો પડેલો, જે વિશે એમણે અત્યંત હૃદયદ્રાવક વર્ણન કર્યું છે. આ લખનારે વિક્ટરને ક્યારે ય જોયો નથી, પણ વિક્ટરના અંત વિશેનાં વર્ણન બાદ મને ય વિક્ટર દેખાયા કરેલો. હા સોનુને મેં જોયેલો અને બેએક વાર એને મળવાનું પણ થયેલું. વિક્ટરના અવસાન વિશેની વાતો અને સોનુના ગયા પછી હિમાંશીબહેનની મનઃસ્થિતિ વિશેની વાતો કાલે જોઈએ. લેખ લાંબો થાય ત્યારે વાત ટૂંકમાં પતાવવાની આવડત આપણામાં નથી. આવતા મંગળવાર સુધી રાહ નથી જોવી. કાલે જ સમાપન કરીએ.

e.mail : ankitdesaivapi@gmail.com

Khabarchhe.com

Loading

વીસમી સદીની વિચારધારાઓને અલવિદા

ઉર્વીશ કોઠારી|Opinion - Opinion|7 February 2017

સામ્યવાદ હોય કે મૂડીવાદ, આખરે વાદ પ્રમાણે દેશ ચાલતો નથી, દેશ પ્રમાણે વાદ ઊભા થાય છે

માનવ ઇતિહાસમાં સદીઓ સુધી લોકો ધાર્મિક, સામ્રાજ્ય સંબંધિત કે મર્યાદિત પ્રાદેશિક ઓળખ ધરાવતા હતા. ભારતની વાત કરીએ તો, રામાયણ-મહાભારત જેવાં મહાકાવ્યો થકી જુદા જુદા પ્રજાસમૂહો વચ્ચે સાંસ્કૃિતક જોડાણ ઊભું થયું હતું, પણ તે જોડાણમાં રહેલી ભાવના રાષ્ટ્રભાવના કરતાં જુદી અને ધાર્મિક ભાવનાથી વધારે નજીક હતી. ખ્રિસ્તી અને ઇસ્લામ ધર્મોમાં પણ ભૌગોલિક એકતા અને તેની વફાદારીને બદલે ધાર્મિક ઓળખની અને તેના આધારિત એકતાની બોલબાલા હતી. અઢારમી સદીથી યુરોપમાં રાષ્ટ્રનું ભૌગોલિક એકમ, તેના પ્રત્યેની વફાદારી-ભક્તિ અને અંગત હિત કરતાં રાષ્ટ્રહિતને ચડિયાતું ગણવાનો આદર્શ પેદા થયાં. યુરોપનો રાષ્ટ્રવાદ (નેશનલિઝમ) 19મી-20મી સદીમાં એશિયામાં પણ આવ્યો. કવિઓ-લેખકો-આગેવાનોએ તેને અપનાવ્યો, એટલું જ નહીં, તેને ભૂતકાળના ઇતિહાસમાં લાગુ પાડ્યો. એટલે કે ભૂતકાળના ઇતિહાસને રાષ્ટ્રવાદ અને રાષ્ટ્રીય એકતાના વર્તમાન માળખામાં બેસાડીને રજૂ કર્યો. ગુલામીની બેડીમાં જકડાયેલા દેશોના થોડા લોકોને રાષ્ટ્ર માટે ન્યોચ્છાવર થવામાં જીવનની સાર્થકતા જણાવા લાગી.

રાષ્ટ્રવાદની આ લાગણીમાં બીજી વિચારધારાઓ પાંગરવા માટે પ્રતિકૂળતા નહીં, બલકે ઘણી વાર અનુકૂળતા હતી. માટે, વીસમી સદીમાં જોવા મળેલી સામ્યવાદ, ફાસીવાદ, નાઝીવાદ, ગાંધીવાદ, સમાજવાદ જેવી અનેક વિચારધારાઓ કે રાજકીય વાદો રાષ્ટ્રવાદના છત્ર નીચે પાંગરી. તેમાંથી કેટલાકે રાષ્ટ્રવાદને વિકૃતિ સ્વરૂપ આપવામાં – તેને બદનામ કરવામાં મોટો ફાળો આપ્યો. જેમ કે, લાખો યહૂદીઓની ઠંડા કલેજે હત્યા કરનારા હિટલરનો નાઝીવાદ એ વખતે જર્મનીના બહુમતી લોકોના રાષ્ટ્રવાદને પૂરક હતો. વીસમી સદીના બીજા દાયકામાં રશિયાની ઝારશાહીને લોહિયાળ ક્રાંતિ દ્વારા દૂર કરીને રશિયામાં સામ્યવાદ સ્થપાયો. તેણે વીસમી સદીના મોટા હિસ્સા પર અને દુનિયાના ઘણા દેશો પર પોતાની અસર પાડી. વીસમી સદીના અંત ભાગમાં સોવિયેત રશિયાના વિઘટનથી સામ્યવાદનાં વળતાં પાણી થયાં. ત્યાર પહેલાં ચીન સામ્યવાદ અને મૂડીવાદના વિચિત્ર મિશ્રણ જેવું આર્થિક-રાજકીય મોડેલ અપનાવી ચૂક્યું હતું, જેમાં એક જ પક્ષ (સામ્યવાદી પક્ષ) પાસે સત્તા હોય. ચીની સરકાર રશિયાના સામ્યવાદની જેમ લોખંડી સકંજો ધરાવતી હતી અને મૂડીવાદી કંપનીઓની જેમ ધંધાદારી હતી.

સામ્યવાદીઓની સરખામણીમાં સમાજવાદીઓ આત્યંતિકતાથી દૂર અને મિજાજની રીતે વધારે લોકશાહીવાદી હતા. પણ તેમને તોડફોડ-હિંસાનો બાધ ન હતો. તે રાજ્યના હાથમાં બધી મિલકત રહે તેને બદલે, મિલકતની સમાન ધોરણે ફેરવહેંચણી થાય તેમાં માનતા હતા. ભારતમાં ગાંધીજીએ બધા વાદોથી અલગ પોતાનો ચીલો ચાતર્યો. તેમના અનુયાયીઓએ તેને ‘ગાંધીવાદ’ નામ આપ્યું. વર્તમાન ભારત સરકારે જેમ સ્વચ્છતા જેવી નિર્દોષ બાબતને ગાંધીવાદ તરીકે ખપાવી દીધી છે, તેમ જૂના વખતના ઘણા ગાંધીવાદી આગેવાનોએ દંભી સાદગી, ખાદીનો દૂરાગ્રહ અને દંભી બ્રહ્મચર્યને ગાંધીવાદનો પર્યાય બનાવી દીધા. સ્વાવલંબન, તેમાંથી પેદા થતી રોજગારી, તેમાંથી નીપજતું ગ્રામસ્વરાજ, ગામડાંને જ્ઞાતિવાદથી ખદબદતાં બનાવતી અસ્પૃશ્યતાનો વિરોધ, હિંદુ-મુસ્લિમ એકતા પર ભાર, સાધનશુદ્ધિ, જાહેર જીવનમાં મહિલાઓની સક્રિય સામેલગીરી … આ બધાં ગાંધીજીનાં – અથવા કહો કે, ગાંધીવાદનાં – પ્રમુખ લક્ષણ ગણાય, પરંતુ એવા ગાંધીવાદના લેવાલ ઓછા જ રહ્યા – અને એ પણ સરકારી સ્તરે તો નહીં જ.

મૂડીવાદી ગણાતા અમેરિકામાં રૂઢિચુસ્ત અને પ્રગતિશીલ પરિબળો વચ્ચેનો સંઘર્ષ મુખ્ય રહ્યો. બે રાજકીય પક્ષો પણ એ આધારે વહેંચાયેલા રહ્યા. જેમ કે ગ્રાન્ડ ઓલ્ડ પાર્ટી (GOP) તરીકે ઓળખાતા રિપબ્લિકન પાર્ટીના સરેરશ સભ્યો સજાતીય લગ્નો, ગ્લોબલ વોર્મિંગ, ઉત્ક્રાંતિવાદ વગેરેનો વિરોધ કરતાં હોય, જ્યારે સરેરાશ ડેમોક્રેટ્સનો આ બાબતો પ્રત્યેનો અભિગમ નવા જમાના પ્રમાણેનો હોય. રૂઢિચુસ્તોમાં પણ વળી જે એકદમ આત્યંતિક હોય તેવું જૂથ દસેક વર્ષ પહેલાં ‘ટી પાર્ટી’ તરીકે ઓળખાતું હતું. આ ‘ટી પાર્ટી’ના મુખિયા હોઈ શકે એવા ડોનાલ્ડ ટ્રમ્પે ડેમોક્રેટિક તો ઠીક, રિપબ્લિકન પક્ષના હરીફોને પણ મહાત કરીને, અમેરિકાનું પ્રમુખપદું મેળવી લીધું. તેમનો દાવો છે કે તે ‘અમેરિકા ફર્સ્ટ’માં માને છે. આ અભિવ્યક્તિ મૂડીવાદ-મુક્ત બજાર સાથે સુસંગત હોય કે ન હોય, તેની ટ્રમ્પને પરવા નથી. આખરે વાદ પ્રમાણે દેશ ચાલતો નથી, દેશ પ્રમાણે વાદ ઊભા થાય છેે.

ભારતમાં જવાહરલાલ નેહરુએ અમેરિકાને બદલે રશિયાનું આર્થિક મોડેલ અપનાવ્યું. પોતાના સમાજવાદી-આદર્શવાદી ખયાલોને કારણે, 1930ના દાયકાથી કૉંગ્રેસમાં અલગ ચોકો ધરાવતો થયેલો સમાજવાદ નહેરુના જમાનામાં ચરમ સીમાએ પહોંચ્યો. હિંદી પટ્ટાના ઘણા વર્તમાન નેતાઓ લોહિયા-જયપ્રકાશ જેવા સમાજવાદી નેતાઓનાં આંદોલનોની નીપજ છે, પરંતુ તેમને સમાજવાદના હાર્દ કે તેના સિદ્ધાંત સાથે એટલી જ લેવાદેવા છે, જેટલી (પેલા પ્રખ્યાત અવતરણ પ્રમાણે) માછલીને સાયકલ સાથે હોય. ભારતના સ્વતંત્રતા આંદોલનના અગ્રસ્થાને ગાંધીજી રહ્યા અને તેમના અનુયાયીઓએ સરકાર બનાવી, છતાં સત્તાવાર ઢબે ભારતને ગાંધીવાદ સાથે — તેનાં મૂળભૂત તત્ત્વો સાથે કશી લેવાદેવા ન રહી. પંડિત નેહરુએ સોવિયેત આર્થિક મોડેલ પ્રમાણે દેશને દોર્યો. તેમાં જાહેર સાહસો તરીકે ઓળખાતી મોટી કંપનીઓ સરકારની માલિકીની રહી અને ખાનગી ઉદ્યોગોને – મુક્ત બજારને – સ્પર્ધાને પ્રોત્સાહન આપવામાં આવ્યું નહીં. ઇંદિરા ગાંધીએ જૂની આર્થિક નીતિઓ અને સમાજવાદનો દંભી અમલ આગળ વધાર્યાં.

સોવિયેત રશિયાના વિઘટન પછી સામ્યવાદની ખોખલી દીવાદાંડી આખરે ધ્વસ્ત થઈ. ભારતને આર્થિક ઉદારીકરણ માટે અર્થતંત્રના ભીડાયેલા દરવાજા ખોલવાની ફરજ પડી. સામ્યવાદના પતન પછી અમેરિકાના મોડેલની સર્વોપરિતા સ્થાપિત થયાનું ગણી લેવાયું, પરંતુ એક-દોઢ દાયકામાં અમેરિકાનું મોડેલ પણ પડી ભાંગ્યું. 2008ની મંદી અને પરદેશની ભૂમિ પર આક્રમણો કરીને વહોરેલી દેવાદારીને લીધે અમેરિકાનો સુપરપાવર વૈશ્વિક સ્તરે નબળો બન્યો. મુક્ત બજારમાં ગુણવત્તા અને ભાવની સ્પર્ધાથી સૌ સારાં વાનાં થશે, એવી મુક્ત બજારવાદીઓની આશા ફળી નથી. આર્થિક અસમાનતામાં થતો વધારો – અને આઈ.ટી.ની શોધો પછી, મર્યાદિત ક્ષેત્રોને બાદ કરતાં વધતી જતી બેરોજગારી, એ બધી વિચારધારાઓને વળોટીને સામે આવી ઊભેલા સવાલ છે. તેના જવાબમાં ફરી કટ્ટર રાષ્ટ્રવાદ, પ્રોટેક્શનિઝમ (ખુલ્લાપણાના ભોગે દેશનાં આર્થિક હિતોના રક્ષણનો દાવો) અને બધી સમસ્યાઓનો ટોપલો એકાદ પરાયા જનસમૂહ(‘ધ અધર’)ના માથે ઢોળવાની બોલબાલા ભારત-અમેરિકા જેવી લોકશાહીમાં પણ વધી રહી છે. આ વિશ્વવ્યવસ્થામાં વીસમી સદીના વાદો હવે દેખાડા પૂરતા પણ ઉપયોગી રહ્યા નથી અને અઢારમી સદીના યુરોપનો રાષ્ટ્રવાદ એકવીસમી સદીના મંચ પર ફરી મુખ્ય ભૂમિકામાં આવ્યો છે.

સૌજન્ય : ચલતી કા નામ ગાડી’, “દિવ્ય ભાસ્કર”, 07 ફેબ્રુઆરી 2017

Loading

ખાનાબદોશી: આંખોમાં વિઝા અને સપનાંની સરહદો

રાજ ગોસ્વામી|Opinion - Opinion|7 February 2017

અંગ્રેજી શબ્દ માઇગ્રેશનનો પર્યાયવાચી શબ્દ યાત્રા અથવા યાયાવરી અથવા ખાનાબદોશી અથવા દેશાંતર થાય છે. માનવજીવનની જે કેટલીક નૈસર્ગિક ખૂબસૂરતીઓ છે તે પૈકીની એક આ માઇગ્રેશન અથવા યાયાવરી છે. એનો એક નાનકડો પહેલુ આ શબ્દમાં જ છે. સંસ્કૃત ધાતુ ‘યા’નો અર્થ થાય છે જવું, પસાર થવું અથવા પ્રયાણ કરવું. યા ઉપરથી યાત્રા બને છે અને યાત્રા પરથી યાયાવર. ‘જીવન ચલાયમાન છે’ એ અથવા ‘પરિવર્તન એ પ્રકૃતિનો ક્રમ છે’ તે બંને વિધાનોમાં યાયાવરીનો ભાવ નિહિત છે. પ્રકૃતિમાં રહેતાં પશુ-પંખી અને માનવજીવ યાયાવરી કહેવાયાં છે.  યાયાવરી એટલે એક સ્થાનેથી બીજા સ્થાને પ્રયાણ કરવું તે.

હિન્દી યાતાયાત અથવા અંગ્રેજી ટ્રાન્સપોર્ટમાં પણ આ યાયાવરીનો જ ભાવ છે. લેટિનમાં ફરવા માટે, ટ્રાન્સપોર્ટ માટે મિગ્રો શબ્દ છે, તેના ઉપરથી પશુ-પંખી કે માણસોના સ્થળાંતર માટે માઇગ્રેશન શબ્દ આવ્યો છે. માઇગ્રેશન એ માણસની આદિમ પ્રવૃત્તિ છે. આદિ માણસ લગભગ 100 કરોડ વર્ષોથી દેશાંતર કરતો રહ્યો છે, જ્યારે એણે પહેલીવાર આફ્રિકામાંથી યુરોશિયામાં સ્થળાંતર શરૂ કર્યું હતું. અમેરિકામાં 20 હજાર વર્ષ પૂર્વે માઇગ્રેશન શરૂ થયું હતું, અને 2 હજાર વર્ષ પૂર્વે પ્રશાંત મહાસાગરના તમામ દ્વીપો (જેમાં અમેરિકા એક છે) માણસોથી ભરાઇ ગયા હતા.

ગયા સપ્તાહે ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટી તંત્રએ 7 દેશોના મુસ્લિમો ઉપર અમેરિકામાં પ્રવેશવા પર પ્રતિબંધ મૂક્યો તે સાથે માણસની ખાનાબદોશીની કહાનીએ, છાપાળવી ભાષામાં કહીએ તો, એક વર્તુળ પૂરું કર્યું છે. અમેરિકાના પ્રતિબંધના પગલે ઇરાને અમેરિકનોના ઇરાન પ્રવેશ પર મનાઇ ફરમાવવાની ધમકી આપી છે. ઇરાને કહ્યું છે કે અમેરિકાએ સામે ચાલીને આતંકવાદીઓને ‘રમવા’ માટે ભેટ ધરી છે. પ્રતિબંધના બીજા જ દિવસે બે ઇરાકી મુસ્લિમો ન્યૂ યૉર્કની સ્થાનિક કોર્ટમાંથી મુસ્લિમો પરના પ્રતિબંધ ઉપર એવું કહીને કામચલાઉ મનાઇ હુકમ લઇ આવ્યા કે આ પ્રતિબંધથી અમેરિકન સંવિધાને આપેલી જીવન અને આઝાદીની રક્ષાની ખાતરીનો ભંગ થાય છે.

અમેરિકન સિવિલ લિબર્ટી યુનિયને અને કાઉન્સિલ ઓન અમેરિકન-ઇસ્લામિક રિલેશન્સે ટ્રમ્પની સરકાર સામે નાગરિકોના મુક્ત સ્થળાંતરના સંવિધાનિક અધિકાર ભંગ બદલ અદાલતમાં દાવો માંડવાની તૈયારી કરી છે. મુસ્લિમોના માઇગ્રેશન પર પ્રતિબંધ હોવો જોઇએ કે ન હોવો જોઇએ એની બે અંતિમ ચર્ચાઓ વચ્ચે માનવ જાતના કથિત વિકાસની ટ્રેજેડી એ હકીકતમાં છે કે ઇશુ પછીની ત્રીજી સદીમાં રોમન સામ્રાજ્ય હેઠળ યુરોપમાં પહેલીવાર કૃષિ-ગુલામો પર પ્રતિબંધ મુકાયા તે પછી વિઝા નિયમો, સરહદો પર કાંટાળી વાડ અને હવે દીવાલો ચણવાની વાતો વચ્ચે માણસના માઇગ્રેશનના વળતાં પગલાં શરૂ થયાં છે.

મેક્સિકોની સરહદે દીવાલ ચણવાની કે માઇગ્રેશન નિયંત્રણો મૂકવાની ટ્રમ્પની યોજના ઉપર આપણે ભલે રોકકળ કરીએ પરંતુ તાત્ત્વિક રીતે સરહદ, દીવાલ કે વિઝા વચ્ચે કોઇ ભેદ નથી. જેવી રીતે પશુ-પંખી કે આદિ માનવ ખોરાકની કે આરામદાયક રહેઠાણની તલાશમાં દેશાંતર કરતાં રહ્યાં હતાં તેવી જ રીતે આધુનિક જગતના વંચિત લોકો સમૃદ્ધ દેશમાં સ્થળાંતર કરતા રહ્યા છે. વિશ્વ બેન્કના એક અભ્યાસ પ્રમાણે સંસારમાં આજે 100 કરોડ જેટલા સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ખાનાબદોશી છે.

200 કરોડ જેટલા લોકો રોજના અઢીસો રૂપિયા ઉપર જીવે છે. માની લો કે તમે આ 200 કરોડ લોકો પૈકીના એક છો અને બહેતર જીવનની તલાશમાં અમેરિકા કે યુરોપમાં જવા ઇચ્છો છો. 1600મી સદીમાં અમેરિકામાં જવાનું એટલું જ આસાન હતું જેટલું એક રસ્તા પરથી બીજા રસ્તા પર જવાનું. આજે? આજે ત્યાં જવા માટે વર્ક કે પરમેનન્ટ વિઝા જોઇએ. એ વિઝા માટે અમેરિકામાં તમારી લોહીની સગાઇ હોવી જોઇએ, અથવા તમારામાં ચકચકતું કૌશલ હોવું જોઇએ. આવું કશું ન હોય અને છતાં ય અમેરિકા જતા વિમાનમાં બેસવું હોય તો તમારે એ સાબિતી આપવી પડે કે તમે ત્યાં નહીં રહી જાવ અને પાછા સ્વદેશ આવશો.

વધતા ઓછા અંશે તમામ સમૃદ્ધ દેશમાં વિઝાની આવી દીવાલો છે જેને લાંઘવાનું ગરીબ દેશોના 100 કરોડ લોકો માટે આસાન નથી, અને આવતાં 40 વર્ષમાં આ સંખ્યા ડબલ થવાની ધારણા છે. 21મી સદી એટલા માટે જ ખાનાબદોશીની સદી ગણાય છે, અને સરહદો પર દેખીતી કે ન દેખીતી દીવાલો ચણવાની ‘જરૂરિયાત’ એક પછી એક ઘણા દેશોમાં ઉદ્દભવી રહી છે. છેલ્લાં 20 વર્ષમાં જ, વિશેષ કરીને 2001માં ન્યૂ યૉર્કમાં આતંકી હુમલા પછી, દુનિયામાં જાત-ભાતની અનેક નવી ‘દીવાલો’, ઇલેક્ટ્રિક કે કાંટાળી વાડ, નજરબંધ કરવાના સેન્ટર, બાયોમેટ્રિક્સ પાસપોર્ટ, ડેટાબેઝ અને સિક્યુરિટી ચેકપોસ્ટ ઊભાં થઇ ગયાં છે.

એક તરફ માણસોની વિના રોકટોક અવરજવરનો હિમાયતી વર્ગ છે ત્યારે બીજી તરફ આવી અવરજવર પર સખત પાબંધી મૂકવાવાળો વર્ગ મોટો થઇ રહ્યો છે. અમેરિકામાં 62 પ્રતિશત લોકો એમની દક્ષિણ સરહદે દીવાલ બનાવવાના વિરોધમાં છે, પરંતુ બાકીના લોકોનો સહમતીનો સૂર પણ મોટો થઇ રહ્યો છે. અમેરિકામાં મેક્સિકન ખાનાબદોશોના આક્રમણનો ‘ભય’ તોળાઇ રહ્યો છે. યુરોપમાં, રોમના બાર્બેરિયનોની જેમ, સીરિયન રેફ્યુઝીઓ ‘દરવાજા’ ખખડાવી રહ્યા છે. ફ્રાન્સમાં રાષ્ટ્રપતિ ચૂંટણીની ફેવરાઇટ મરિન લે પેને એવી ભવિષ્યવાણી ભાખી છે કે 4થી સદીમાં બાર્બેરિયનોના ધાડાએ ફ્રાન્સની જે હાલત કરી હતી તેવી સ્થિતિ ફરી આવી રહી છે. યુરોપિયન કાઉન્સિલના પ્રમુખ ડોનાલ્ડ ટસ્કે પણ ‘રેફ્યુઝીઓના સૈલાબ’ની ચેતવણી ઉચ્ચારી છે.

અમેરિકા ખાનાબદોશનો દેશ કહેવાય છે. અમેરિકામાં પહેલું સ્થળાંતર ઇંગ્લેન્ડ અને નેધરલેન્ડથી થયું હતું. 1924માં અહીં પહેલીવાર ઇમિગ્રેશન જાતિ આવી હતી. અમેરિકાના 35મા રાષ્ટ્રપ્રમુખ જ્હોન કેનેડીએ અ નેશન ઑફ ઇમિગ્રંટ્સ નામની ચોપડી લખી હતી. એના 45મા રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ‘અમેરિકા ફર્સ્ટ’ની જાહેરાત કરીને એ લેબલ દૂર કરવાનું નક્કી કર્યું છે. સમૃદ્ધિ અને વિકાસની સાથે સાથે નિવાસીઓ અને પ્રવાસીઓ વચ્ચેનું અસંતુલન પણ એની ચોટી પર પહોંચ્યું છે. એક સમયે બંધ સરહદો એ માનવ જાતની સૌથી મોટી નૈતિક ત્રુટિ ગણાતી હતી. આજે, સૌથી મોટી આર્થિક આઝાદી હોવા છતાં, ખુલ્લી સરહદો માનવ જાત સામે સૌથી મોટો ખતરો બની ગઇ છે.

સમૃદ્ધ દેશો એમની સરહદો ખોલવા ઇન્કાર કરી રહ્યા છે. એની પેલે પાર માણસોના એક સૈલાબની આંખોમાં‘નો વિઝા’નાં બોર્ડ લટકી રહ્યાં છે, અને એનાં સપનાંની સરહદો સંકોચાઇ રહી છે.

ગુલઝારની સરખામણીમાં ફ્રેન્ચ ચિંતક રુસો કદાચ વધુ ‘વ્યવહારુ’ હતો, જેણે કહ્યું હતું ‘માણસ આઝાદ જન્મે છે, પણ એ સર્વત્ર બંદી છે.’

સૌજન્ય : ‘બ્રેકિંગ વ્યૂઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘રસરંગ’ પૂર્તિ, “સન્નડે ભાસ્કર”, 05 ફેબ્રુઆરી 2017

Loading

...102030...3,5233,5243,5253,526...3,5303,5403,550...

Search by

Opinion

  • યુદ્ધોન્માદી માહોલ, વસમા પાડોશી અને સંરક્ષણ બજેટ
  • શું ભારતની પ્રજા આવું કરી કે સહી શકશે?
  • સોશિઅલ મીડિયા એન્ટિ-સોશિઅલ છે…?
  • અમેરિકાના હાલ બેહાલ, હાથનાં કર્યા હૈયે વાગ્યાઃ વૈશ્વિક મહાસત્તાનો આત્મવિશ્વાસ જ આત્મઘાતક બન્યો
  • ચલ મન મુંબઈ નગરી—335

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 

Poetry

  • વિધ્વંસ
  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved