Opinion Magazine
Number of visits: 9553012
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ભારતના પશુજીવનમાં ગાયને થઈ રહ્યો છે સૌથી વધુ અન્યાય

રમેશ ઓઝા|Opinion - Opinion|2 August 2016

વાહ રે હિન્દુ ભારતવર્ષ !

ગાય સાથે મારો બાળપણનો સંબંધ છે. મારો જન્મ અને ઉછેર આજકાલ જે શહેર ગાયના કારણે ચર્ચામાં છે એ ઊનાની બાજુમાં આવેલા ગામમાં થયો હતો. જીવનનાં શરૂઆતનાં ૧૫ વરસ એ ગામમાં વિતાવ્યાં હતાં. અમારા ઘરમાં બે ગાય હતી. ગાયને સવારે ધણમાં મૂકવા જવી, સાંજે કોઈ કારણે ઘરે પાછી ન ફરી હોય તો ગોતવા જવી, ચારો નીરવો, સાંજે શાળાએથી ઘરે આવ્યા પછી વાડીએ રજકો (એક પ્રકારનો લીલો ચારો જે ઢોરને બહુ પ્રિય હોય છે) લેવા જવું, ખેતરમાંથી પાક લણી લેવામાં આવ્યો હોય એ પછી બા સાથે ખેતરમાં પડેલાં પાંદડાં વીણવાં જવું, ગાય વિયાઈ હોય એ પછી ખાણ આપવું, વાછરુંને પકડી રાખવું કે રમાડવું એમ ગોસેવાનાં બધાં કામ કર્યાં છે અથવા એમાં બાને મદદ કરી છે. હું તો જમતાં પણ મોડેથી શીખ્યો હતો એટલે મારું પોષણ પણ ગાયે એનું દૂધ આપીને કર્યું છે.

અમારું મકાન ગારમાટીવાળું હતું એટલે ત્રણ-ચાર મહિને છાણથી લીંપવાની જરૂર પડતી. લીંપણ ગાયના છાણથી જ કરવાનો રિવાજ છે. બીજા કોઈ પણ પશુના છાણ કરતાં ગાયના છાણ અને પેશાબમાં કંઈક અનોખાપણું છે એનો આ લખનારે અનુભવ કર્યો છે. ગામના પાદરે ચરાણ માટે જતાં પહેલાં ગાયો-ભેંસોનું ધણ ઊભું હોય ત્યાં જોઈએ એટલું છાણ મળી રહેતું. પાદરે પહોંચીને પોદળામાં સાંઠીકડું કે પથરો નાખીને પોદળો રિઝર્વ કરવાનું કામ અમે છોકરાંવ કરતા. છોકરાંવ પાદરે આવેલા ઝાડની ચોરડી કે ડાળ પર ચડીને ધણ પર નજર રાખતા. જેવી દૂરથી ગાયને પોદળો કરતી જોઈએ કે તરત એ ગાય તરફ આંગળી ચીંધીને ગાય પોઈ, ગાય પોઈ એમ બૂમ પાડવાની એટલે એ પોદળો આપણો. કોઈ હરીફ એ પોદળાને હાથ ન લગાડે. એ પછી સાંઠીકડું કે પથરો એમાં નાખી આવવાનો. વાસીદું અને લીંપણ બા કરતાં. એક વાર અમારી વાછડીને હડકાયું કૂતરું કરડી જતાં એને હડકવા થયો હતો. એનો ઝુરાપો જોઈ ન શકાય એવો હતો. એ જીવ દેહત્યાગ કરે એ માટે મારાં બાએ અમુક (સંખ્યા ભૂલી ગયો છું) નકોરડા સોમવાર કરવાની માનતા માની હતી. એ વાછડી મરી ગઈ એ રાતે અમારા ઘરમાં ચૂલો નહોતો પ્રગટ્યો. મને નથી લાગતું કે મારા અને અમારાં બા જેટલી ગોસેવા કોઈ હિન્દુત્વવાદી ગોસેવકે કરી હશે.

ના, એ ગોસેવા નહોતી. ગાય ગ્રામીણ જીવનનું, ગામડાંની સામાજિક તેમ જ આર્થિક વ્યવસ્થાનું અભિન્ન અંગ હતી. ગોસેવા તો એ લોકો કરે છે જેમને ગાયનો પૂજવા સિવાય બીજો કોઈ ખપ નથી. જો ખપ હોય તો ગાયને ખીલે બાંધવામાં આવે છે અને જો ખપ ન હોય તો કોઈ પણ રખડતી ગાયનું પૂછડું આંખે લગાડીને સેવા થઈ શકે છે. જો ખપ હોય તો મા-બાપને ઘરમાં રાખવામાં આવે છે અને જો ખપ ન હોય તો તેમને વૃદ્ધાશ્રમમાં મૂકી આવીને બેસતા વરસના દિવસે કે જન્મદિવસે પગે લાગી આવે છે એના જેવી જ સ્થિતિ છે. જે લોકો ગાયનો કોમવાદી એજન્ડા માટે ઉપયોગ કરે છે એવા વિકૃત માનસ ધરાવનારા લોકોની તો અહીં વાત જ નથી કરતા. તેઓ તો ગાયની સાચી પૂજા પણ નથી કરતા.

મારા બાળપણમાં (૧૯૬૦નો દાયકો) અમારા ગામમાં લગભગ દોઢસો-બસો ગાયો ખીલે બંધાયેલી હતી અને રખડતી ગાય તો એક પણ નહોતી. ગામમાં ગૌશાળા નહોતી, કારણ કે ઘરે-ઘરે ગૌશાળા હતી. જે લોકો કોઈ કારણસર ગાય નહોતા રાખતા તેમને વધુ નહીં તો છાશ તો મફતમાં આપવામાં આવતી હતી. ઠરાવેલા એકાંતરા દિવસે છાશ આપવામાં આવતી હતી એના પરથી છાશવારે શબ્દ રૂઢ થયો છે. ગયા વર્ષે હું ગામ ગયો ત્યારે તપાસ કરતાં ખબર પડી કે આખા ગામમાં ખીલે બંધાયેલી ગાય માંડ બે-પાંચ હશે. ગોંદરે જમા થતું ધણ તો હવે ઇતિહાસ બની ગયું છે અને ત્યાં એક ધાર્મિક સંસ્થાએ ગોંદરો વાળીને ગૌશાળા બાંધી છે. ખીલે બાંધવામાં આવેલી ગાય અને ગૌશાળામાં એટલો જ ફરક છે જેટલો મા-બાપને ઘરે રાખવામાં આવે અને વૃદ્ધાશ્રમમાં મૂકી આવે. ગાય વિયાય ત્યારે ઘરે લઈ આવે અને જ્યારે વસૂકી જાય ત્યારે મુંબઈના શેઠિયાઓના પૈસે ચાલતી ગૌશાળામાં મૂકી આવે.

આવું કેમ બન્યું? જે ગાય પાંચ દાયકા પહેલાં મારા અને મારા જેવા લાખો ભારતવાસીઓનાં જીવનનું અંગ હતી એ રખડતી કે ગૌશાળાની આશ્રિત કેમ થઈ ગઈ? મુંબઈનો શેઠિયો ગોસેવા કરીને પુણ્ય કમાય અને ગામમાં રહેતો ખેડૂત ગાયને પોતાના ફળિયેથી દૂર કરવાનું પાપ કરે એમ કેમ બન્યું? ૧૯૭૦માં અમે અમારું ગામનું ઘર સમેટીને મુંબઈ સ્થળાંતરિત થયા ત્યારે અમે અમારી ગાયને વેચી નહોતી, પરંતુ ગાય ન ધરાવતા એક પરિવારને આપી દીધી હતી. અમે ઘર બંધ કર્યું એના આગલા દિવસે એ માણસ અમારા ખીલેથી ગાય છોડીને લઈ ગયો એ દૃશ્ય આજે પણ નજર સામે તરવરે છે. મારાં બાએ આંખમાં ઝળઝળિયાં સાથે પ્રણામ કરીને ગાયને વિદાય આપી હતી. એ સમયમાં ગાય કોઈએ વેચી હોય એવું ભાગ્યે જ સાંભળવા મળતું. ઊલટું ગાયનો વેલો જાળવી રાખવામાં લોકો ગર્વ અનુભવતા.

આજે શા માટે મારા ગામમાં અને ગુજરાતના અન્ય કોઈ પણ ગામમાં ગાય રાખવા કોઈ તૈયાર નથી? આનાં અનેક કારણો છે અને એમાં સરકારની નીતિ મુખ્યત્વે કારણભૂત છે એની ચર્ચા આવતી કાલે કરીશું.

સૌજન્ય : ‘કારણ-તારણ’ નામક લેખકની કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 01 અૉગસ્ટ 2016

http://www.gujaratimidday.com/features/columns/cow-protection-in-india-2

•••••••

ગાયને નવા અર્થકારણે નિરુપયોગી બનાવી મૂકી છે, જીવદયાપ્રેમીઓએ દયાજનક બનાવી મૂકી છે ને કોમવાદી ગોરક્ષકોએ એને હથિયાર બનાવી છે

એક સમયે માનવીએ ગાયને દૂધના સ્વાર્થે ખીલે બાંધી. ખીલે જ્યારે એ પરવડનારી ન રહી ત્યારે કપાળે તિલક કરીને ગૌશાળામાં કેદ કરી. મારું એવું સૂચન છે કે જીવદયાપ્રેમીઓએ ગૌશાળાઓને ગોવંશઉછેર કેન્દ્રમાં ફેરવી નાખવી જોઈએ. ગાયની દયા ખાવાની જરૂર નથી. ગાયને ઉત્પાદકતાનો હિસ્સો બનાવશો તો ગાય એની મેળે ઉપયોગી થઈ જશે અને બચી જશે

બોલકો વિરોધ : ગાયની હત્યાના મામલે થોડા દિવસ પહેલાં દલિતો પર થયેલા અત્યાચારના વિરોધમાં રવિવારે ઊનામાં દલિત કમ્યુિનટીના હજારો લોકોએ પ્લૅકાર્ડસ સાથે વિરોધ દર્શાવ્યો હતો.

જે ગાય હજી હમણાં સુધી ગ્રામીણ જીવનનો હિસ્સો હતી, પરિવારની સભ્ય હતી એ ધીરે-ધીરે ઘરની ગમાણેથી ઊખડીને ગૌશાળાને શરણે કેમ થઈ ગઈ? કેટલીકને તો ગૌશાળાનું નસીબ પણ ઉપલબ્ધ નથી એ રખડીને જીવન પૂરું કરે છે. એક બાજુ ગાયનું પૂજન કરવાનું, સેવા અને રક્ષાના દાવાઓ કરવાના અને બીજી બાજુ ગાયને એના નસીબ પર છોડી દેવાની એવું કેમ બન્યું?

એક સમયે ખેતી ન ધરાવતા ગ્રામીણ પરિવારો પણ ગાય રાખતા હતા; જ્યારે આજે ખેડૂતો પણ ગાય નથી રાખતા, કારણ કે ગાય ગમાણે બાંધવી પરવડતી નથી. આર્થિક પરિબળો એટલાં નિર્ણાયક હોય છે કે એમાં લાગણી અને ફરજ ભૂલી જવી પડતી હોય છે. જે સંતાનો મા-બાપને વૃદ્ધાશ્રમમાં મૂકી આવે છે તેમની પણ આર્થિક મુશ્કેલી હોય છે. દરેક કિસ્સામાં લાગણી અને ફરજની સમજનો અભાવ હોતાં નથી. કાન ફાડી નાખે એવા હાઈ ડેસિબલમાં ગોરક્ષાની વાતો કરનારા લોકો કાં કોમવાદી રાજકીય એજન્ડા ધરાવે છે અને કાં અજ્ઞાની છે.

એક સમયે ગાય ગમાણે બંધાતી હતી, કારણ કે ગાય પરવડતી હતી. ગુજરાતનાં લગભગ મોટા ભાગનાં ગામોમાં ગોચરણની અનામત જમીન અને અવેડા હતાં. આ ઉપરાંત ઘાસિયાં મેદાનો હતાં અને ખેડૂતો પણ ફસલ લણી લીધા પછી ખેતરમાં ગાયને ચરવા દેતા હતા. આમ ચારો અને પાણી બન્ને મફતમાં મળતાં હતાં. ઘરધણીએ માત્ર ગાયને ધણમાં મૂકી આવવાની અને ગોવાળને વરસે ઠરાવેલી રકમ કે અનાજ આપવાનાં. અમારું ગામ જૂનાગઢનું નવાબી ગામ હતું. નવાબે ગોચરણ માટે ગામને જમીન આપી હતી અને રેંટથી અવેડા ભરનારને (જે અમારે ત્યાં અવેડિયા તરીકે ઓળખાતો હતો) તેના જીવનનિર્વાહ માટે અલગથી જમીન આપવામાં આવી હતી.

આજે એ જમીન રહસ્યમય રીતે અલોપ થઈ ગઈ છે. દરેક ગામની આવી સ્થિતિ છે. શહેરની નજીક આવેલાં ગામોમાં ગોચરણની જમીન વિકાસના નામે ઉદ્યોગપતિઓને આપવામાં આવી છે. જે ગામો શહેરથી દૂર છે એ ગામોમાં સહકારી મંડળીઓ રચીને કે બીજા કોઈ હથકંડા અજમાવીને રાજકારણીઓએ ગાયની જમીન પડાવી લીધી છે. અવેડા બંધ થઈ ગયા છે અને સરકારી હૅન્ડ-પમ્પો ચાલતા નથી હોતા. કેટલીક જગ્યાએ તો જમીનમાં પાણી જ નથી. બબ્બે કિલોમીટર દૂરથી સ્ત્રીઓ પીવાનું પાણી ઊંચકીને લાવતી હોય ત્યાં ગાય માટે ક્યાં પાણી લાવવાની? એક સમયે છાણ-વાસીદું કરો અને દૂધ પીઓની જે અનુકૂળતા હતી એ રહી જ નથી ત્યાં માણસ ગાય રાખે કેવી રીતે?

ગઈ કાલે કહ્યું એમ ગાયને વેચવામાં નહોતી આવતી. વેચવાની જરૂર જ નહોતી, કારણ કે મફતમાં ચારો અને પાણી મળી રહેતાં હતાં. મફત ચરાણની સવલત બળદ, ભેંસ કે બીજાં પશુઓ માટે નહોતી એટલે એના નિકાલ માટે એ જમાનામાં માલ-ઢોરની લે-વેચ કરનારી એક જમાત ગામેગામ ફરતી હતી. વરસમાં એક વાર નાનકડો પશુમેળો ગામેગામ થતો. જે ખેડૂતને વૃદ્ધ થઈ ગયેલો બળદ કે વસૂકી ગયેલી ભેંસ પરવડે એમ ન હોય તો તે પશુમેળામાં સાટાપાટા કરી આવતો. મોટા ભાગે તો પશુને ખીલે મરવા દેવામાં જ શોભા હતી, પરંતુ કોઈને પશુને બાંધી રાખીને ચારો નીરવો પરવડે એમ ન હોય તો ઉપાય ઉપલબ્ધ હતો. કહેવાની જરૂર નથી કે વૃદ્ધ પશુઓ ખાટકીઓના હવાલે થતાં હતાં.

એ જમાનામાં પશુઉપયોગ અને પશુવિનિયોગ બન્ને વ્યવહારના પાયા પર ઊભા હતા એટલે પશુપ્રેમ પણ વ્યાવહારિક હતો, આજની જેમ દેખાવ માટેનો કૃતક નહોતો. અવ્યવહારુ કૃતક સંબંધ ક્યારે ય લાંબો સમય ટકી ન શકે. શહેરના શેઠિયાઓની જીવદયા ગાયને કેદમાં રાખનારી અવ્યવહારુ જીવદયા છે. એક સમયે માણસે ગાયને દૂધના સ્વાર્થે ખીલે બાંધી. ખીલે જ્યારે એ પરવડનારી ન રહી ત્યારે કપાળે તિલક કરીને ગૌશાળામાં કેદ કરી. મારું એવું સૂચન છે કે જીવદયાપ્રેમીઓએ ગૌશાળાઓને ગોવંશઉછેર કેન્દ્રમાં ફેરવી નાખવી જોઈએ. ગાયની દયા ખાવાની જરૂર નથી. ગાયને ઉત્પાદકતાનો હિસ્સો બનાવશો તો ગાય એની મેળે ઉપયોગી થઈ જશે અને બચી જશે. આ ઉપક્રમ હાથ ધરવા જેવો છે અને એમાં જો નુકસાન થાય તો શહેરના શેઠિયાઓને કોઈ ફરક પડતો નથી, કારણ કે તેઓ તો આમ પણ દાન આપવા માગતા હતા. ટૂંકમાં; ગાયની દયા ખાઈને પરાણે જીવતી ન રાખો, એને ઉપયોગી બનાવીને હકથી જીવવા દો.

આગળ કહ્યું એમ ગાયને વેચવામાં જ નહોતી આવતી તો ગોહત્યાનો તો સવાલ જ નહોતો. મારા બાળપણમાં મેં ક્યારે ય મારા ગામમાં જ નહીં, અમારા આખા પંથકમાં ગાયની હત્યા થઈ હોય એવું સાંભળ્યું નથી. હા, દૂરના પ્રદેશોની અફવાઓ કાને પડતી રહેતી હતી. ઉપર કહ્યું એમ પશુઉપયોગ અને પશુવિનિયોગની સદીઓ જૂની ટકાઉ વ્યવસ્થા ઉપલબ્ધ હોય ત્યાં પશુહત્યા માટે બહુ ઓછી સંભવના રહે છે. અંગ્રેજોએ ભારત પર કબજો જમાવ્યો અને હિન્દુઓ અને મુસલમાનો વચ્ચે કોમવાદની હરીફાઈનું રાજકારણ શરૂ થયું એ પછી ગાય અને ડુક્કરની હત્યાને ભયંકર અપરાધ ઠરાવીને અફવાબજાર વિકસાવવામાં આવ્યું હતું. એકાદ-બે અપવાદ છોડીને હિન્દુ રિયાસતોમાં પણ ગોહત્યા પર પ્રતિબંધ નહોતો એનું કારણ જ આ છે. ગાય ઓશિયાળી નહોતી, ઉપયોગી હતી; રખડતી નહોતી એટલે રાજવીએ પ્રતિબંધ મૂકવો પડે એટલા પ્રમાણમાં હત્યાઓ થતી નહોતી.

ગાયને નવા અર્થકારણે નિરુપયોગી બનાવી મૂકી છે, જીવદયાપ્રેમીઓએ દયાજનક બનાવી મૂકી છે અને કોમવાદી ગોરક્ષકોએ એને હથિયાર બનાવી છે. એટલે તો ગઈ કાલે કહ્યું હતું એમ પશુજગતમાં સૌથી વધુ અન્યાય ગાયને થઈ રહ્યો છે.

સૌજન્ય : ‘કારણ-તારણ’, “ગુજરાતી મિડ-ડે”, 02 અૉગસ્ટ 2016

http://www.gujaratimidday.com/features/columns/beef-politics-and-religion-2

Loading

વાંચતાં વાંચતાં ગાઈ ઊઠીએ તેવું ‘ગા મેરે મન ગા’

અભિજિત વ્યાસ|Opinion - Opinion|1 August 2016

‘ગા મેરે મન ગા’ : લેખક – પ્રફુલ્લ દેસાઈ : પ્રકાશક – સાહિત્યસંકુલ, ચૌટાબજાર, સુરત : પૃષ્ટ 200 : કિંમત રૂ. 190

છેલ્લાં કેટલાંક વર્ષોમાં સિનેમા વિશે, ખાસ કરીને ફિલ્મ ગીતસંગીત વિશે અત્યંત અભ્યાસપૂર્ણ અને ગંભીરતાથી લખાઈ રહ્યું છે. આ અંગેનાં અનેક પુસ્તકો પ્રગટ પણ થઈ રહ્યાં છે. સુરત જેવું શહેર તો ખાસ હરીશ રઘુવંશીના નામથી જ ઓળખાય છે. આ જ સુરત શહેરમાંથી ફિલ્મ ગીત સંગીતના અન્ય એક અભ્યાસી પણ સુરતને એક નવી ઓળખ આપી રહ્યા છે, તે છે ડૉ. પ્રફુલ્લ દેસાઈ. અહીં ખાસ ઉલ્લેખનીય વાત એ છે કે વ્યવસાયે ડૉક્ટર એવા પ્રફુલ્લભાઈએ બહુ અભ્યાસપૂર્ણ રીતે ગીતસંગીતનો અભ્યાસ કરીને આ વિષયની છણાવટ કરી છે. આમ તો વિજ્ઞાન અને સંગીતને બહુ ઘનિષ્ટ સંબંધ છે, પણ અહીં ત્રિવેણીસંગમ જેવી રજૂઆત વાંચવા મળે છે. તેઓ સારા સાહિત્યકાર પણ છે, એટલે ગીતનાં સંગીતની સાથે-સાથે એમણે ગીતનો પણ આસ્વાદ કરાવ્યો છે. એમની પાસેથી જે સંચય મળે છે, તેમાં એમના સમગ્ર અભ્યાસનો લાભ વાચકોને મળે છે.

‘ગા મેરે મન ગા’ નામે લેખ સંગ્રહમાં તેમણે આપણી હિન્દી ફિલ્મનાં અવિભાજ્ય અંગ ગણાતાં ગીતોનો અને તેમની બંદિશોની વાત પ્રસ્તુત કરી છે. આ સંચય ‘ગુજરાતમિત્ર’માં આવતી એમની કૉલમના લેખોનો સંચય છે. આ કૉલમના લગભગ બસોથી વધારે લેખોમાંથી ૭૦-૭૫ લેખોને સંકલિત કરીને ભૈરવીથી મારવા સુધીના ચાલીસ જેટલા (પ્રસ્તાવનામાં એમણે ઉલ્લેખ કર્યા મુજબ પણ અનુક્રમણિકા મુજબ ૩૩) રાગોના લેખો આ સંચયમાં વાંચવા મળે છે. પ્રસ્તુત સંચયને આવકારતાં હસુ યાજ્ઞિક પ્રસ્તાવનામાં લખે છે, ‘અહીં મુખ્ય કેન્દ્રમાં સંગીત છે, એના ઉપાદાનમાં ફિલ્મી તરજ છે અને એનો અનુબંધ જે રાગસંગીતમાં વિસ્તરે છે તે અનેક સંદર્ભોમાં હસ્તામલકવત્ કરવામાં આવ્યો છે. આથી જ અહીં સંગ્રહસ્થ બધા જ લેખો બહુપાર્શ્વી આસ્વાદ્ય જ્ઞાનાશ્રયી એવા નિબંધનું સ્વરૂપ ધારણ કરે છે.’

‘ગા મેરે મન ગા’માં રાગનું સ્વરૂપ, તેમાં તૈયાર થયેલી ગીતની તરજ અને ગીતનો આસ્વાદ, એમ ત્રણેય અંગે વાંચવા મળે છે. લેખકે ફક્ત ગીતોનો ઉલ્લેખ જ નથી કર્યો પણ અહીં તો સમગ્ર ગીતકૃતિ તેની જે રીતે રજૂઆત થઈ છે, તેમ વાંચવા મળે છે. ગાયક- ગાયિકા અને કોરસના ઉલ્લેખ સાથે વાત થઈ છે. જ્યારે તે ગીત અંગે વાંચીએ છીએ, ત્યારે ગીતને વાચક ગણગણવા લાગે છે અને તે ગીત મનમાં સંભળાવા લાગે છે, જે રાગને અને તેના સ્વરૂપને સ્પષ્ટ કરી આપે છે. અહીં શરૂઆત ભૈરવથી થઈ છે. અને પછી કેટલાક પ્રચલિત રાગ જેવા કે જોગિયા, આહિર ભૈરવ, લલિત, ભટિયાર, હિંડોલ, બિલાવલ, આસાવરી, સિંધુભૈરવી, ભીમપલાસી, પટદીપ, કિરવાણી, પૂરિયા ધનાશ્રી અને મારવા જેવા રાગની સાથે-સાથે બહુ પ્રચલિત નહીં તેવા ભંખાર, બરવા, દેવગંધાર, સિંદૂરા, ધાની જેવા રાગો અંગે પણ વાંચવા મળે છે. ક્યારેક વાંચતાં-વાંચતાં એવું પણ થાય છે કે એ ગીત તો અનેક વખત સાંભળ્યું હોવા છતાં તેના રાગ અંગે સભાનપણે ધ્યાન ન દીધું હોય તેવું લાગે. અને પછી અચાનક ‘અરે આ તો આ રાગનું ગીત છે’ એમ સહસા આનંદ થઈ આવે એવી અનેક વિગતો વાંચવા મળે છે. આ રાગોમાં, તેમાં પ્રયોજાતા સ્વરો-વાદી, સંવાદી અને વર્જિતના ઉલ્લેખો પણ એમણે કર્યા છે. ખાસ સ્વરો અંગે એમણે વાચકો માટે નોંધ (પૃ.૩૧) મૂકી છે. અલબત્ત, આ નોંધ એમણે પુસ્તકનાં પ્રકરણોના આરંભ પહેલાં મૂકવી જોઈતી હતી.

સંગીતના રાગોમાં અનેક પ્રસંગોની જુદી-જુદી કથાઓ સાંભળવા મળે છે. એટલે એવું બને છે કે જુદા-જુદા લેખકોની પાસેથી એક જ પ્રસંગની અલગ-અલગ વાત વાંચવા મળે છે. અહીં આ સંચયમાં પણ એવું બને જ છે. જેમ કે તાનસેનના મૃત્યુ પછી રજૂ થયેલા રાગ તોડીની વાત વાંચવા મળે છે. આ વાતની રજૂઆતમાં સંગીતજ્ઞાતા પ્રફુલ્લભાઈની સાથે ચિકિત્સક પ્રફુલ્લભાઈનો પ્રવેશ પણ વાંચવા મળે છે. જેમ કે, “બિલાસખાને તોડીમાં સહેજ ફેરફાર કરી શુદ્ધ નિષાદને બદલે કોમલ નિષાદ લઈને એટલે કે તોડી સાથે આસાવરી મિશ્ર કરી ગાયો, ત્યારે અચાનક મૃત તાનસેનનો હાથ ઊંચકાયો. આધુનિક વિજ્ઞાનયુગમાં એને ‘રાઇગર મોર્ટિસ’ કહી શકીએ, જેમાં મૃત્યુ બાદ લાશનાં જકડાયેલાં અંગો છૂટાં થતાં હોય છે.” (પૃ. ૬૧) આમ, આવી રીતે એક રાગની વાત કરતાં-કરતાં એને સંલગ્ન રાગોની વાત પણ સાથે-સાથે વણી લે છે. જેમ કે, રાગ તોડીની વાત કરતાં તોડીના પ્રકારો વિશે અને રાગ બિલાવલની વાત કરતા અલ્હૈયા બિલાવલની વાતને પણ એ જ લેખમાં સમાવી લે છે. તેમ અત્યંત અપ્રચલિત એવા શુક્લ બિલાવલની વાત પણ લખે છે.

અહીં રાગ શુક્લ બિલાવલમાં સ્વરબદ્ધ થયેલી એક બંદિશની ચર્ચા એમણે બહુ સંયમિત રીતે કરી છે. સાયગલે ગાયેલું ‘તાનસેન’ ફિલ્મનું ગીત ‘સપ્ત સુરન તીન ગ્રામ’, જે પછીથી લતા મંગેશકરે પણ ગાયેલું તેની ચર્ચા કરતાં લેખકે આ ગીતને રાગ હેમંતનું લક્ષણગીત કેટલાકે ગણાવેલું છે તે વાતનો ઉલ્લેખ કર્યો છે. (પૃ. ૭૫) અને લતા મંગેશકરનું (મેં આ ગીત વિશે મારા પુસ્તક ‘રાગરંગ’માં ચર્ચા કરી છે) નામ લખવાનું ટાળ્યું છે. આમ એક મહાન ગાયિકાની ભૂલને લેખકે એના ઉલ્લેખ વગર બહુ સરસ રીતે ચર્ચી છે. એવી જ રીતે લતાનું ગાયેલું ફિલ્મ ‘ભાભી કી ચુડિયા’નું ગીત ‘જ્યોતિકલશ છલકે’નો મોટાભાગના શ્રોતાઓ રાગ ભૂપાલીનું માને છે પણ તે રાગ દેશકારનું છે, તેની યોગ્ય રજૂઆત કરી સમાન એવા આ બે રાગો – રાગ ભૂપાલી અને રાગ દેશકાર બે કેવી રીતે ભિન્ન છે તે સમજાવ્યું છે. (પૃ. ૮૬)

અલબત્ત, પુસ્તકમાં જે ગીતોને સમાવાયાં છે, તે બધાં જૂનાં છે અને નવા વાચકોને એમાંનાં કેટલાં ય ન પણ સાંભળ્યાં હોય તેવું બને. તેમ બધા વાચકોને બધાં જ ગીતો ગમતાં હોય તેવું ન પણ બને. તેમ છતાં એ બધાથી વાચકોને એ ગીતોના આસ્વાદને કારણે પસંદગીમાં બદલાવ પણ લાવી શકે એવું પણ બને. તેમ કેટલાક રાગો વિશે ખૂબ વિસ્તૃત તો કેટલાક વિશે ટૂંકમાં વાત થઈ છે. જેમ કે, રાગ બિલાવલ વિશે ૧૨ જેટલાં પૃષ્ઠોમાં અને રાગ સારંગ વિશે અગિયાર પૃષ્ઠોમાં તો રાગ ભંખાર વિશે ફક્ત બે પૃષ્ઠોમાં તો રાગ દેશકાર વિશે, પૃષ્ઠોમાં અને રાગ સિંદુરા વિશે પણ ફક્ત બે જ પાનાંમાં વાંચવા મળે છે.

‘ગા મેરે મન ગા …’ એક એવો સંચય છે તે સંગીતરસિકોની સાથે – સાથે ફિલ્મ ગીતરસિકોને અને અન્યોને પણ વાંચવો જ નહીં, મમળાવવો પણ ગમે એવો છે અને વાચક વાંચતાં-વાંચતાં ગાઈ ઊઠે એવું પણ બને જ. ગમતા ગીત માટે તો એવું ખાસ બની શકે. આવા સુંદર સંચય બદલ પ્રફુલ્લ દેસાઈ આપણા સૌના અભિનંદનના અધિકારી છે અને આ વાંચતા એમના હવે પછી પ્રગટ થતા સંગીતચિકિત્સાવિષયક પુસ્તક ‘સંગીતોપચાર’ વાંચવાની ઉત્કંઠા પણ જગાવે છે.    

e.mail :  abhijitsvyas@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 01 અૉગસ્ટ 2016; પૃ 11-12.

Loading

મૃત્યુ પછી મને ગુજરાતમાં દફનાવજો

મહાશ્વેતા દેવી|Opinion - Opinion|1 August 2016

જયપુર, જાન્યુઆરી ૨૫, ૨૦૧૩

પ્રસિદ્ધ લેખિકા અને ડાબેરી વિચારસરણી ધરાવતાં સામાજિક કાર્યકર મહાશ્વેતા દેવીએ કહ્યું છે કે તે અમર રહેવા માગે છે, પરંતુ તેમની ઇચ્છા છે કે જ્યારે તે મૃત્યુ પામે ત્યારે તેમના દેહને ગુજરાતની ધરતી પર દફનાવવામાં આવે. તેઓ એમ પણ ઇચ્છે છે કે તેમની કબર પર મહુડાનું ઝાડ ઉગાડવામાં આવે.

આ નરેન્દ્ર મોદીનું ગુજરાત નહીં પરંતુ ગુજરાતના આદિવાસીઓનો વિસ્તાર તેજગઢ છે. તેમણે એમ પણ કહ્યું કે આજના આધુનિક સમાજોએ આધુનિકતાના અસલી પાઠ રાજસ્થાન સહિત દેશના જુદા જુદા પ્રદેશોમાં રહેતા આદિવાસીઓ પાસેથી શીખવા જોઈએ કેમ કે તેમનામાં ભાગલા નથી.

જયપુર લિટરેચર ફેસ્ટિવલમાં ઉદ્ઘાટન ભાષણ બાદ ‘ભાસ્કર’ સાથેની વિશેષ વાતચીતમાં તેમણે કહ્યું, ‘હું નથી ઇચ્છતી કે મને અગ્નિદાહ આપવામાં આવે. મને પશ્ચિમ બંગાળના પુરુલિયામાં દફનાવવામાં આવે તેમ ઇચ્છું છું. અગ્નિદાહ અને અસ્થિ વિસર્જનમાં મને વિશ્વાસ નથી પરંતુ પુરુલિયામાં અત્યંત જૂની માન્યતા ધરાવતા હિન્દુઓ વસે છે. તેઓ મને ત્યાં દફનાવવાની મંજુરી આપશે નહીં. માટે મેં નિર્ણય કર્યો છે કે મને ગુજરાતમાં દફનાવવામાં આવે. તેજગઢ વિસ્તારમાં જીએનદેવી ગણેશદેવી  કામ કરે છે અને મેં આ વિસ્તાર પણ જોયો છે. આ મારા માટે શ્રેષ્ઠ વિકલ્પ છે. હું ઇચ્છું છું કે મને દફન કર્યા બાદ મારી કબર પર મહુડાનો છોડ લગાડવામાં આવે જે વૃક્ષ બનીને લહેરાયા કરે.’

[‘દિવ્ય ભાસ્કર’માંથી સાભાર]

સૌજન્ય : “નિરીક્ષક”, 01 અૉગસ્ટ 2016; પૃ. 12

Loading

...102030...3,5153,5163,5173,518...3,5303,5403,550...

Search by

Opinion

  • જય ભીમ’ ખરેખર શું છે? 
  • ભૂખ
  • ગાંધીબાગ કે ગાંધી ભાગ?
  • વિવેકહીન વ્યક્તિપૂજાનું વહેણ દેશને કઈ દિશામાં લઈ જશે?
  • બચ્ચે મન કે સચ્ચે

Diaspora

  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ
  • મારી દુનિયાનાં તમામ બાળકો

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved