Opinion Magazine
Number of visits: 9552725
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

એમ. ક્રિશ્નન : એક ક્લાસિક કોલમિસ્ટ

વિશાલ શાહ|Opinion - Opinion|3 August 2016

અખબારો કે સામાયિકોમાં લખતા કોઈ કોલમિસ્ટ માટે સૌથી મોટી સિદ્ધિ કઈ હોઈ શકે? જો કોલમ વર્ષોવર્ષ ચાલતી રહે, એનું પુસ્તક થાય અને એ પણ વર્ષો સુધી વંચાતુ રહે તો એ લેખકની સિદ્ધિ ગણાય. પણ તમે એવું સાંભળ્યું છે કે, કોઈ કોલમિસ્ટે લખેલા સંખ્યાબંધ લેખો ક્લાસિકની કેટેગરીમાં આવી ગયા હોય? હા, એ શક્ય છે પણ એવું બહુ ઓછું બનતું હોય છે.

ઓકે, બીજો સવાલ. જો એ લેખકે રાજકારણ, સાહિત્ય, સામાજિક પ્રવાહો, શિક્ષણ અને વિજ્ઞાન-ટેક્નોલોજી જેવા એકેય વિષય પર નહીં પણ પક્ષીઓ વિશે લખ્યું હોય તો?

હા, એવું પણ શક્ય છે, જો એ લેખકનું નામ માધવિયા ક્રિશ્નન હોય!

પુસ્તકનું કવર અને બાજુમાં એમ. ક્રિશ્નન

ટૂંકમાં એમ. ક્રિશ્નન નામે જાણીતા આ સિદ્ધહસ્ત લેખકે ‘ધ સ્ટેટ્સમેન’માં ૪૬ વર્ષ સુધી પ્રકૃતિ, પશુ-પક્ષીઓ અને જીવજંતુઓ પર ‘કંટ્રી નોટબુક’ નામની પખવાડિક કોલમ લખી હતી. વર્ષ ૨૦૧૨માં એલેપ બુક કંપનીએ આ લેખમાળા ‘ઓફ બર્ડ્સ એન્ડ બર્ડસોન્ગ’ નામના પુસ્તક સ્વરૂપે પ્રકાશિત કરી હતી. ક્રિશ્નનની આશરે પાંચ દાયકાની કોલમ યાત્રાનું સંપાદન કરવાનું ભગીરથ કામ શાંતિ ચંડોલા અને આશિષ ચંડોલા નામના વાઈલ્ડ લાઈફ ફિલ્મમેકર અને ફોટોગ્રાફરોએ કર્યું છે.

આ પુસ્તકનું નામ વાંચીને ખ્યાલ આવી જાય છે કે, તેમાં પક્ષીઓની અને પક્ષીવિજ્ઞાનની વાત કરાઈ છે! જો કે, આ લખાણો એટલી રસાળ શૈલીમાં છે કે, જેમને પક્ષીઓની દુનિયામાં રસ ના હોય એ લોકો પણ એકવાર આ પુસ્તક હાથમાં લીધા પછી પૂરું કર્યા વિના રહી શકતા નથી. આ પ્રકારનો વિષય હોવા છતાં પુસ્તકનાં પાને પાને લેખકની ‘સેન્સ ઓફ હ્યુમર’ અને ‘સેટાયર શૉટ’ વિખરાયેલા પડ્યાં છે. દાખલા તરીકે, મોરનું વર્ણન કરતી વખતે તેઓ લખે છે કે, ‘’… રોજ સવારે અને સાંજે તેઓ કઠોર ગગનભેદી અવાજથી વાતાવરણ ગજવી મૂકે છે. એ મને રાજકારણીઓની યાદ અપાવે છે. શું એટલે જ મોરને ભારતનું રાષ્ટ્રીય પક્ષી જાહેર કરાયું છે? …’’

બીજું એક ઉદાહરણ વાંચો. ક્રો ફેઝન્ટ નામના પક્ષીની માહિતી આપતા ક્રિશ્નન કહે છે કે, ‘‘ક્રો-ફેઝન્ટ બિલકુલ મજા ના આવે એવું નામ ધરાવતું પક્ષી છે કારણ કે એ નથી ક્રો (કાગડો) કે નથી ફેઝન્ટ (તેતર), પણ એક સ્વાવલંબી કોયલ છે. આ કોયલ તેની વંશપરંપરાને ગંભીરતાથી લે છે અને પોતાના ઈંડા બીજાને વળગાડી દેવાના બદલે જાતે જ માળો બાંધે છે …’’

આ લેખોમાં ક્રિશ્નન જંગલી પક્ષીઓ જ નહીં, આપણી આસપાસ રોજેરોજ દેખાતા પક્ષીઓની પણ અવનવી વાતો કરે છે. ક્રિશ્નન જે પક્ષીની વાત શરૂ કરે તેની આદતો, વિચિત્રતાઓ, માળો બનાવવાની શૈલી, સંવનન અને માતા-પિતા તરીકે તેમનું જીવન કેવું હોય છે એ બધું જ રસાળ શૈલીમાં પીરસતા જાય છે.

જેમ કે, પક્ષીઓ વિશે થોડી ઘણી જાણકારી ધરાવનારને ખ્યાલ હોય કે, ગરમ પ્રદેશમાં રહેતા મોટા ભાગના પક્ષીઓ ભરબપોરે આરામ ફરમાવતા હોય છે. પણ તમને એ ખબર છે કે, ફ્લેમિંગો જેવા મોટા વૉટરબર્ડ્સ બપોરે આરામના મૂડમાં હોય ત્યારે એક પગ પાણીની બહાર રાખતા હોય છે? ખબર છે, કેમ? જવાબ: શરીરની ગરમી બચાવવા. જો કે, પેરાકિટ (લાંબી પૂંછડીવાળો નાનકડો પોપટ) બે પગ પર સૂતો હોય તો સમજવું કે, તેની તબિયત નથી સારી.

શું તમને ખ્યાલ છે, કોમન કિંગફિશર ઇંગ્લેન્ડનું સૌથી રંગીન પક્ષી તરીકેનું સન્માન ભોગવે છે? જો કે, આ પક્ષી ભારતના કિંગફિશર સાથે હરીફાઈ કરી શકે એમ નથી. આપણું નાનકડું ડ્વાર્ફ કિંગફિશર ગમે તેવા રંગીન કિંગફિશર સાથે હરીફાઈ કરી શકે એમ છે. આ પહેલાં ડ્વાર્ફ કિંગફિશર ભારતમાં ‘થ્રી ટો કિંગફિશર’ એટલે કે ‘ત્રણ અંગૂઠાવાળા કિંગફિશર’ તરીકે ઓળખાતું હતું. આ કિંગફિશરનું નામ બ્રિટિશ બર્ડવૉચર્સે બદલી નાંખ્યું હતું.

પર્પલ સનબર્ડ નામનું નાનકડું સુંદર પંખી મોટા ભાગના લોકોએ જોયું હશે! સનબર્ડ પણ હમિંગબર્ડની જેમ ફૂલોનો રસ ચૂસીને પેટ ભરે છે પણ હમિંગબર્ડની જેમ પાંખો ફફડાવીને હવામાં ઊભું રહી શકતું નથી. જે સનબર્ડના કુમાશદાર પીળા ગળાથી લઈને પેટ સુધી પર્પલ લીટી હોય એ મેલ હોય અને એવી લીટી ના હોય તો સમજવું કે એ ફિમેલ છે.

તમે ગીધ પણ જોયા હશે! ગીધની ઉડવાની ક્ષમતા ગજબની હોય છે પણ તેઓ સમુદ્રની ઉપર ભાગ્યે જ મંડરાય છે. એટલે જ તો શ્રીલંકામાં ગીધ જોવા નથી મળતા. પણ ગીધ કેમ સમુદ્રની ઉપર નથી ઉડતા? કદાચ હાડપિંજરો અને પશુઓના મૃતદેહ ખાઈને પેટ ભરવાની ગીધોની કુદરતી આદતના કારણે એવું હોઈ શકે!

કોમન પેટ્રિજ નામનું કબૂતર જેવું પક્ષી બધે જ જોવા મળતું હોવાથી તેના નામ આગળ ‘કોમન’ શબ્દ છે, પરંતુ ક્રિશ્નને તેને ‘ફાઈનેસ્ટ પૂઅર મેન્સ ડૉગ’ નામ આપ્યું છે. ક્રિશ્નનને વાંચ્યા પછી કબૂતરને પણ ધ્યાનથી નીરખ્યા કરવાની ચાનક ચઢે છે. કબૂતરને સંદેશો મોકલાવાની તાલીમ કેવી રીતે અપાય અને રેસિંગ હોમર (રેસિંગમાં ઉપયોગમાં લેવાતા કબૂતર) શું ખવડાવવું જોઈએ એવી જાતભાતની વાતો ક્રિશ્નન સહેજ પણ ભાર વિના સમજાવી દે છે.

આવી રીતે ક્રિશ્નન ફકરે ફકરે કુતૂહલ સંતોષાય એવી રીતે માહિતી આપે છે. આ પુસ્તકનું સૌથી મજબૂત પાસું એ છે કે, તેનાં બધાં જ પાસાં મજબૂત છે. જેમ કે, એમ. ક્રિશ્નનનું અસ્ખલિત અને રસાળ અંગ્રેજી, નક્કર માહિતીની સુંદર ગૂંથણી અને વાચકના માનસપટ પર પક્ષીઓની દુનિયા છવાઈ જાય એવી રીતે ખુદ એમ. ક્રિશ્નને દોરેલા પેન્સિલ સ્કેચ. જો કે, ક્રિશ્નનનું અંગ્રેજી વાંચતી વખતે ડિક્શનરી હાથવગી રાખવી પડે છે કારણ કે, તેઓ નવા નવા શબ્દોનો વારંવાર ઉપયોગ કરે છે અને ક્યારેક નવા શબ્દો પણ સર્જે છે. જો કે, આ લખાણો વાંચતી વખતે વાચકને કંટાળો નથી આવતો, ઊલટાની ઇંતેજારી વધતી જાય છે અને અંગ્રેજી ભાષાનું પણ સતત જ્ઞાન મળે છે.

જેમ કે, ‘સીન થ્રૂ ધ કેરેજ વિન્ડો’ નામના પ્રકરણમાં ક્રિશ્નનને એક સુંદર શબ્દ સર્જ્યો છે. તેઓ લખે છે કે, ‘‘તમે ટ્રેનની બારીની બહાર સુંદર પક્ષીઓનું નિરીક્ષણ કરીને કંટાળાજનક પ્રવાસને આનંદદાયક મુસાફરીમાં બદલી શકો છે. રેલવેના પાટા જ્યાં જાય છે ત્યાં અનંત સુધી ટેલિગ્રાફ વાયરો પણ વિસ્તરેલા હોય છે. આ વાયરો ખાસ પક્ષીઓ માટે જ ડિઝાઈન કરાયા હોય એવું લાગે છે …’’ આ પ્રકારના બર્ડવૉચિંગને ક્રિશ્નને ‘ટેલિફોના’ નામ આપ્યું છે કારણ કે, અંગ્રેજીમાં વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિ માટે ‘ફ્લોરા એન્ડ ફોના’ શબ્દ છે. એટલે ક્રિશ્નને ટેલિફોનના વાયરો અને ફોના પરથી નવો જ શબ્દ સર્જ્યો, ટેલિફોના.

ક્રિશ્નનનાં લખાણો સામાન્ય પક્ષીઓને જોવાની નવી દૃષ્ટિ આપે છે એ રીતે તેમ જ બીજી ઐતિહાસિક રીતે પણ અત્યંત મહત્ત્વનું છે. ક્રિશ્નને અનેક પક્ષીઓને ‘કોમન’ની કેટેગરીમાં મૂક્યા છે, જે આજે દુર્લભ છે અથવા સહેલાઈથી જોવા નથી મળતા! આટલા દાયકામાં ‘કોમન બર્ડ’ તો ઠીક ઘરની આસપાસ દેખાતાં ચકલી અને કાગડા જેવાં પક્ષીઓની સંખ્યા પણ જબરદસ્ત ઘટી ગઈ છે. આ સિવાય પણ ક્રિશ્નનનાં લખાણોમાં આવતી અનેક હકીકતો પ્રકૃતિવિદો માટે પ્રમાણિત દસ્તાવેજો સમાન છે.

વર્ષ ૧૯૬૭માં ક્રિશ્નને યુનિવર્સિટી સ્તરના અનેક વિદ્યાર્થીઓને લાલ રંગનાં ફૂલો આપતાં બે વૃક્ષ અને ફક્ત ભારતમાં જ જોવા મળે એવા પ્રાણીનું નામ પૂછ્યું હતું. કોઈ વિદ્યાર્થી આ સવાલનો જવાબ આપી ન શકતા ક્રિશ્નને વ્યથિત થઈને લખ્યું હતું કે, ‘’… આપણા યુવાનો સાથે શૈક્ષણિક અને સાંસ્કૃિતક દૃષ્ટિએ ધરમૂળથી કંઈક ખોટું થઈ રહ્યું છે. તેઓ મારા એક સીધાસાદા સવાલનો જવાબ નથી આપી શકતા. કે પછી હું વધારે પડતો ઉત્સાહી છું અને એટલે સમજી નથી શકતો કે, મારો સવાલ જ અયોગ્ય છે? …’’

આ પ્રકારના વિચારો ધરાવતા ક્રિશ્નનને લેખન અને વાચનના સંસ્કાર ગળથૂથીમાં જ મળ્યા હતા. ક્રિશ્નનો જન્મ ૩૦મી જૂન, ૧૯૧૨ના રોજ તમિલનાડુના તિરુનેલવેલીમાં થયો હતો. તેમના પિતા એ. માધવિયા મદ્રાસ સરકારમાં ઉચ્ચ અધિકારી અને સુધારાવાદી વલણ ધરાવતા લેખક હતા. તેમણે તમિલ ભાષાની પહેલી વાસ્તવવાદી નવલકથા ‘પદ્માવતી ચરિત્રમ્’ લખી હતી, જે ઈ.સ. ૧૮૯૮માં પ્રકાશિત થઈ હતી. વર્ષ ૧૯૧૬માં તેમણે ‘થિલ્લાઇ ગોવિંદન’ નામે અંગ્રેજી નવલકથા પણ લખી હતી. નિવૃત્તિકાળમાં એ. માધવિયાએ ‘પંચમિત્રમ્’ નામના સામાયિકનું પણ પ્રકાશન કર્યું હતું. વર્ષ ૧૯૨૫માં તેમનું અવસાન થયું ત્યારે એમ. ક્રિશ્નનની ઉંમર માંડ ૧૩ વર્ષ હતી.

પિતાના મૃત્યુ પછી ક્રિશ્નનનું બાળપણ મદ્રાસના માયલાપોરમાં વીત્યું. અહીં જ તેમણે હિંદુ હાઈસ્કૂલ અને પ્રેસિડેન્સી કોલેજમાંથી શિક્ષણ લીધું. નાનપણથી જ ક્રિશ્નન ગોફણ અને ચપ્પુ લઈને આસપાસના જંગલોમાં તેમ જ નીલગિરી-કોડાઈકેનાલની ટેકરીઓ પર પશુપક્ષીઓને જોવા રઝળપાટ કરતા. અભ્યાસ પૂરો કર્યા પછી તેમણે રાજકીય સચિવ, શિક્ષક અને ન્યાયાધીશ જેવા હોદ્દે પણ ફરજ બજાવી. વર્ષ ૧૯૪૨ પછી ક્રિશ્નને ‘ધ ઈલસ્ટ્રેટેટ વિકલી ઓફ ઈન્ડિયા’માં ‘વાઈલ્ડલાઈફ ફોટોગ્રાફર્સ ડાયરી’ નામે એક લેખમાળા લખી. એ પછી તેમને ‘ધ હિંદુ’માં પણ લખવાની તક મળી. આ દરમિયાન ક્રિશ્નને અનેક નાના-મોટા તમિલ સામાયિકોમાં ચિત્રો અને કાર્ટૂન પર પણ હાથ અજમાવ્યો. એ પછી વર્ષ ૧૯૫૦માં તેમને ‘ધ સ્ટેટ્સમેન’માં પખવાડિક કોલમ લખવાની ઑફર થઈ, જે ૧૮મી ફેબ્રુઆરી, ૧૯૯૬ના રોજ તેમના મૃત્યુ સુધી પ્રકાશિત થઈ. વર્ષ ૧૯૭૦માં ભારત સરકારે તેમને પદ્મશ્રી આપીને સન્માનિત કર્યા હતા.

છેલ્લે, એમ. ક્રિશ્નનના જ એક ક્વૉટેબલ ક્વૉટ સાથે વાત પૂરી કરીએ. ક્રિશ્નને ભારતીય શિક્ષણ પદ્ધતિ પર બળાપો કાઢતા કહ્યું હતું કે, ‘‘… એક સરેરાશ શિક્ષિત વ્યક્તિ દેશના છોડફૂલ અને પશુપક્ષી વિશે બહુ જ ઓછી કે બિલકુલ જાણકારી નથી ધરાવતી. ઢોરઢાંખરમાં તેમને રસ નથી પડતો અને તેમને એમ લાગે છે કે, દુનિયા એટલે ફક્ત માણસો. તેઓ ક્યારે ય પર્વતો અને કૂતરા સાથે દોસ્તી કરી શકતા નથી. જો તેની સાથે વાત કરવા કોઈ ના હોય, વાંચવા પુસ્તક ના હોય અને ચાલુ-બંધ કરવા કોઈ ગેજેટ ના હોય તો તે ગયો જ સમજો. આ બધા માટે સ્કૂલનું શિક્ષણ જ જવાબદાર છે …’’

સૌજન્યઃ "ગુજરાત સમાચાર", 'શતદલ' પૂર્તિ, 20મી જુલાઈ, 2016, ફ્રેન્કલી સ્પીકિંગ- વિશાલ શાહ

http://vishnubharatiya.blogspot.in/

e.mail : vishnubharatiya@gmail.com

Loading

તમે શોષિતો માટે ‘કમ્ફર્ટ ઝોન’ છોડવા તૈયાર છો?

વિશાલ શાહ|Opinion - Opinion|3 August 2016

ઊનાના દલિત અત્યાચાર કાંડની ગરમી હવામાં હતી ત્યાં જ બે મહત્ત્વના યોગાનુયોગ સર્જાયા. પહેલો, કર્ણાટકના બેઝવાડા વિલ્સનને રેમન મેગ્સેસે પુરસ્કારથી સન્માનિત કરાયા અને બીજો, મહાશ્વેતા દેવીનું મહાપ્રયાણ. વિલ્સને માનવ વિષ્ટાની હાથથી સફાઈ કરવાની પ્રથા બંધ કરાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી, જ્યારે મહાશ્વેતા દેવીએ આદિવાસીઓ અને સમાજના સૌથી છેવાડાના વર્ગની વેદનાને વાચા આપવાનું કામ કર્યું. ફેસબુક પર વિચરતા ડાઘિયા કૂતરા જેવા દૂધપીતા અભિપ્રાયબાજો પાટીદાર અને દલિત આંદોલનને એક જ લાકડીએ હાંકી રહ્યા છે અને બંને આંદોલનમાં રાજકીય કાવતરું સૂંઘીને હાઉ હાઉ કરી રહ્યા છે ત્યારે બેઝવાડા વિલ્સન અને મહાશ્વેતા દેવીને યાદ કરીને થોડું મનોમંથન કરીએ.

પાટીદાર આંદોલન અનામત માટે હતું, જ્યારે દલિતોનું કાચુંપાકું આંદોલન હજારો વર્ષોથી સહન કરાતા અન્યાય, પીડા, અપમાન અને આક્રોશમાંથી ઊભું થઈ રહ્યું છે. પાટીદાર આંદોલનનો હેતુ ફક્ત અનામત મેળવવાનો હતો એટલે પાટીદારોને સમાજના બીજા વર્ગનો ટેકો ના મળે એ સમજી શકાય છે, પણ દલિત આંદોલનને સવર્ણો સહિત આખા સમાજનો મજબૂત ટેકો કેમ નથી મળતો? દલિતોને માર મારતો વીડિયો વાયરલ કરવામાં રાજકીય કાવતરું ક્યાંથી આવ્યું? જો એ રાજકીય કાવતરું હોય તો પણ શું? આ પ્રકારની ગુંડાગર્દીનો વિરોધ કેમ ફક્ત દલિતો જ કરે? દલિત આંદોલનને યોગ્ય દિશા આપવા દલિત સંગઠન, દલિત આગેવાન કે કોઈ દલિત હીરો બનીને બહાર આવે એની રાહ કેમ જોવી પડે છે?

પાટીદારોએ અનામત માગી. પણ કોના માટે? આખા પાટીદાર સમાજ માટે. ભલે પછી એ પાટીદાર આર્થિક-સામાજિક રીતે સંપન્ન હોય કે નિષ્પન્ન. એનાથી કશો ફર્ક નથી પડતો. ટૂંકમાં દરેકે દરેક પાટીદારને અનામત જોઈએ, એવું નહીં કે જેને ખરેખર જરૂર છે એવા કોઈ પણ ધર્મ-જાતિ-સમાજના વંચિત વર્ગને. અહીં અનામતની માગ યોગ્ય છે કે નહીં એની નહીં પણ કોણ કોના માટે લડી રહ્યું છે એની વાત કરવાનો ઈરાદો છે. ટૂંકમાં માણસના મૂળભૂત અધિકારની લડાઈ કોઈ જ પ્રકારનું લેબલ નહીં ધરાવતા લોકો એકજૂટ થઈને કેમ નથી લડતા?

કમનસીબે આપણા આંદોલન પણ જાતિવાદી, વર્ગવિગ્રહી અને ધર્મઆધારિત હોય છે એટલે જ તેને ખૂબ ઝડપથી 'રાજકીય રંગ' લાગી જાય છે. પાટીદાર કે દલિત આંદોલનની હવામાં પણ 'મુખ્યમંત્રી હટાવો'ની બદબૂ આવવા માંડી હતી. આ પ્રકારના ‘રાજકીય આંદોલન’નો હેતુ પૂરો થઈ ગયા પછી સામાન્ય માણસ ત્યાંનો ત્યાં રહે છે. જાતિવાદી આંદોલનમાંથી પેદા થયેલા નેતાઓ ચોક્કસ વર્ગના જ નેતાઓ હોય છે. રાજકારણમાં ઝંપલાવ્યા પછી જાતિવાદના જોરે ઊભરેલા નેતાઓએ પણ મતબેંકના રાજકારણમાં રચ્યાપચ્યા રહેવું પડે છે. આ રીતે ચોક્કસ સમાજ કે જાતિની ન્યૂસન્સ વેલ્યૂ ઊભી કરીને મેળવેલી સત્તા ખુદ નેતાને જ ‘ન્યૂસન્સ વેલ્યૂ’ બનાવી દે છે. આજે દેશમાં આવા નેતાઓની ભરમાર છે. કોઈ દલિત નેતા છે, કોઈ હિંદુ નેતા છે, કોઈ મુસ્લિમ નેતા છે, કોઈ મરાઠી-તમિલ તો કોઈ આદિવાસી નેતા છે. આ બધા માટે જવાબદાર કોણ? રાજકારણીઓ કે પછી ભારતવર્ષની મહાન ‘લેબલ-શૂરી’ પ્રજા? ભારતને તમામ શોષિત વર્ગ માટે કામ કરે એવો નેતા કેમ નથી મળતો?

કદાચ શોષિતો લાચાર છે અને સંપન્નો તેમના 'કમ્ફર્ટ ઝોન'માંથી બહાર નથી આવતા.

***

હજુ ડિસેમ્બર ૨૦૧૬માં જ બેઝવાડા વિલ્સને દેશભરના ૫૦૦ જિલ્લામાં ૧૨૫ દિવસની એક બસ યાત્રાનું આયોજન કર્યું હતું, જેને તેમણે ભીમ યાત્રા નામ આપ્યું હતું. ભીમ યાત્રા માટે વિલ્સને દેશના ૫૦૦ જિલ્લા કેવી રીતે પસંદ કર્યા હતા, ખબર છે? દેશના કુલ ૬૮૬ જિલ્લામાંથી વિલ્સને પસંદ કરેલા ૫૦૦ જિલ્લાની ગટરો, સૂકા જાજરૂ વગેરેમાંથી માનવમળની સફાઈ કરતી વખતે ઓછામાં ઓછા એક સફાઈ કર્મચારીનું મોત થયું હતું, એટલે ત્યાં જાગૃતિ ફેલાવવા તેઓ ભીમ યાત્રા લઈને ગયા હતા. 

વિલ્સનનું કહેવું છે કે, માનવમળની હાથથી સફાઈ કરવાની, માથે મેલું ઉપાડવાની અને સૂકા જાજરૂની પ્રથા સદંતર બંધ કરાવવાની મારી ત્રણ દાયકાની યાત્રાનું આ સૌથી તાજું પગલું એટલે ભીમ યાત્રા. આ યાત્રામાં મારી સાથે મોટા ભાગે દલિતો જોડાયા હતા, જે સૂકા જાજરૂ(મોટા ભાગે ખાડા સંડાસ)માંથી માનવ વિષ્ટાની સફાઈનું કામ કરતા. આજે ય દેશમાં બે લાખથી વધારે સફાઈ કામદારો માનવ વિષ્ટાની હાથથી સફાઈ કરે છે. આ બધી જ સફાઈ કર્મચારી મોટા ભાગે દલિત સ્ત્રીઓ છે.

વર્ષ ૧૯૯૩માં વિલ્સને હાથથી માનવમળની સફાઈ કરવાની પ્રથા સંપૂર્ણપણે બંધ કરાવવા  'સફાઈ કર્મચારી આંદોલન' શરૂ કર્યું હતું. એ પછી વિલ્સને જિલ્લે-જિલ્લે સાત હજાર જેટલા કાર્યકર્તા તૈયાર કર્યા અને હાથથી માનવમળ સાફ કરાવવાની પ્રથા સદંતર બંધ કરાવવાની સુપ્રીમ કોર્ટમાં અરજી કરી. એટલું જ નહીં, આ લોકોના પુનર્વસવાટ માટે પણ તેમણે કાયદાકીય લડત આરંભી. દેશમાં પાણીની સુવિધા નહીં ધરાવતા સૂકા સંડાસની સંખ્યા કેટલી છે એનો ડેટા પણ સરકારને વિલ્સનના અશોકા ફાઉન્ડેશને જ આપ્યો હતો.

વિલ્સનના આંદોલનના કારણે જ વર્ષ ૨૦૧૦માં સફાઈ કર્મચારીઓને પંચવર્ષીય યોજનામાં મહત્ત્વનું સ્થાન અપાયું હતું. એ જ વર્ષે નેશનલ એડવાઈઝરી કાઉન્સિલે વડાપ્રધાન કાર્યાલયને પત્ર લખીને હાથથી માનવમળની સફાઈ કરવાની પ્રથાને 'રાષ્ટ્રીય શરમ' જાહેર કરવાની તેમ જ તેને સદંતર બંધ કરાવવા પ્રાથમિકતા આપવાનું સૂચન કર્યું હતું.

એ પછી તો સરકારે જ દેશભરમાં હાથથી માનવમળની સફાઈ કરતા કર્મચારીઓનું સર્વેક્ષણ કરવા, તેમનું પુનર્વસન કરાવવા અને કાયદાની મદદથી આ પ્રથા રોકવા એક ટાસ્કફોર્સની રચના કરી. આયોજન પંચે પણ  વિલ્સન બેઝવાડાની આગેવાનીમાં સફાઈ કર્મચારીઓના એક જૂથની રચના કરી, જેમનું કામ સરકારને વિવિધ અહેવાલો આપવાનું છે. આ આંદોલન હજુયે ચાલી રહ્યું છે.

***

બેઝવાડા વિલ્સન કેમ આટલું મોટું આંદોલન કરી શક્યા એ સમજવા જેવું છે. તેમનો જન્મ કર્ણાટકના કોલર ગોલ્ડફિલ્ડમાં જેકબ બેઝવાડા અને રશેલ બેઝવાડા થોટી દંપતીના ત્યાં થયો હતો. થોટી જાતિના લોકો હજારો વર્ષોથી માનવમળની સફાઈનું કામ કરે છે. આ પ્રકારનું કામ કરતા હોવાના કારણે જ આ સમાજના લોકો પાંચેક હજાર વર્ષથી છૂતાછૂત પણ સહન કરી રહ્યા છે. બેઝવાડા વિલ્સનના પિતા જેકબ વિલ્સને ગુજરાન ચલાવવા બીજી નોકરીઓ શોધવાના પણ પ્રયાસ કર્યા હતા, પરંતુ કોઈ તેમને બીજું કામ આપવા તૈયાર ન હતું. ટૂંકમાં વંશપરંરાગત વ્યવસાય વ્યક્તિ બદલી જ ના શકે. કેટલું અન્યાયી!

વિલ્સને એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, મારા માતાપિતા માનવમળની સફાઈ કરવાનું કામ કરે છે એવું જાણ્યા પછી હું દુઃખી થઈ ગયો હતો. આ વાતને લઈને સ્કૂલમાં પણ બીજા લોકો મને ચીડવતા.

થોટી પરિવારમાં વિલ્સન પહેલો યુવક હતો જેને ઉચ્ચ શિક્ષણ નસીબ થયું હતું. વર્ષ ૧૯૮૬માં ફક્ત વીસ વર્ષની ઉંમરે વિલ્સને કર્ણાટકમાં સૂકા જાજરૂ બંધ કરાવવા તત્કાલીન વડાપ્રધાન રાજીવ ગાંધીને સંખ્યાબંધ પત્રો લખ્યા હતા. વિલ્સનના આંદોલનની સફળતા પાછળ તેમનો આક્રોશ, માતાપિતાની બદતર સ્થિતિ, બાળપણમાં અનુભવેલી શરમ, અન્યાયની ભાવના અને એ બધામાંથી સર્જાયેલી પોતાના સમાજ માટે કંઈક કરવાની ખેવના જેવા અનેક પરિબળો જવાબદાર હોઈ શકે છે!

જો કે, બેઝવાડા વિલ્સનના આંદોલનને હજુ પૂરેપૂરી સફળતા મળી નથી. તેઓ પોતે ય જાણે છે કે, આ આંદોલન ઘણું ધીમું ચાલી રહ્યું છે એટલે જ તેમણે કાયદાકીય શક્યતાઓ તપાસીને આ પ્રથા બંધ કરાવવાના પ્રયાસ કર્યા છે.

હવે મૂળ વાત એ છે કે, આ પ્રથા બંધ કરાવવા માટે બીજા લોકો પણ કેમ આગળ ના આવે? પાંચેક હજાર વર્ષ જૂની અન્યાયી, ક્રૂર અને ભારત જેવા મહાન દેશ માટે શરમજનક કહેવાય એવી પ્રથા બંધ કરાવવા દલિત સમાજ સિવાયના લોકો પણ કેમ આગળ નથી આવતા?

***

વંચિત, શોષિત અને કચડાયેલા વર્ગની સ્થિતિ સમજવા, નક્સલવાદી હિંસા કે કાશ્મીર હિંસા જેવા તમામ જટિલ મુદ્દે ‘એક ઘા અને બે કટકા’ જેવી ‘તાળીઉઘરાઉ અભિવ્યક્તિ’ કરવાનો સુવર્ણ યુગ ચાલી રહ્યો છે ત્યારે મહાશ્વેતા દેવીનું સાહિત્ય ‘કાળઝાળ ગરમીમાં શીતળતા’નો અનુભવ કરવા ઉત્તમ છે.

મહાશ્વેતા દેવીની વાર્તાઓમાં એવી અનેક આદિવાસી જાતિઓ વિશે જાણવા મળે છે, જે વંશપરંપરાગત ધંધા-વ્યવસાયના કારણે આદિવાસી (કે દલિત) બની જાય છે. ઉદાહરણ તરીકે, મહાશ્વેતા દેવીની 'અનાજની બિછાત' વાર્તામાં ગંજુ નામના આદિવાસી સમાજ કે સંપ્રદાયની વાત આવે છે. આ લોકોનું વંશપરંપરાગત કામ જ મરેલા ઢોરોની ચામડી ઉતારવાનું છે. આ વાત કરીને તેઓ જે તે સમાજનો જન્મ કેવી રીતે થાય છે તેની પુરાણ કથા પણ આલેખે છે. આ માહિતી આપીને તેઓ નવલકથા કે વાર્તાઓમાં ફક્ત નાટકીય તત્ત્વ નથી ઉમેરતા પણ શોષિત વર્ગને ઇતિહાસના પટ સામે ઊભા રાખીને ઉચ્ચ વર્ગના 'શિકાર' તરીકે રજૂ કરે છે.

'હજાર ચૌરાસી કી માં', 'અગ્નિગર્ભ', 'અરણ્યેર અધિકાર' અને 'રુદાલી' તેમની જાણીતી કૃતિઓ છે, પરંતુ મહાશ્વેતા દેવીના સાહિત્યમાં એ દરિયામાં ટીપાં સમાન છે. મહાશ્વેતા દેવીએ આશરે ૧૦૦ જેટલી નવલકથા અને વીસ વાર્તા સંગ્રહ આપ્યાં છે, જેમાં તેમણે ફક્ત છેવાડાના માણસ માટે અવાજ ઉઠાવ્યો છે. રસપ્રદ વાત એ છે કે, તેમણે જે સામે જોયું એને શબ્દોથી વાચા આપી, બસ. મહાશ્વેતા દેવીએ સામ્યવાદના બે મહાન પ્રણેતા માર્ક્સ કે લેનિનને વાંચ્યા ન હતા.

મહાશ્વેતા દેવીના પિતા મનીષ ઘટક બંગાળી ભાષાના જાણીતા સાહિત્યકાર હતા. તેઓ બંગાળી સાહિત્યના અત્યંત મહત્ત્વના ગણાતા કલ્લોલ આંદોલન સાથે પણ સંકળાયેલા હતા. મનીષ ઘટકના ભાઈ એટલે જાણીતા ફિલ્મમેકર રિત્વિક ઘટક. મહાશ્વેતા દેવીના માતા ધારિત્રી દેવી પણ જાણીતાં લેખિકા અને સામાજિક કાર્યકર હતાં. ધારિત્રી દેવીના ભાઈ, એટલે કે મહાશ્વેતા દેવીના મામા સચિન ચૌધરીએ 'ઈકોનોમિક એન્ડ પોલિટિકલ વિકલી ઓફ ઈન્ડિયા' જેવું અત્યંત પ્રતિષ્ઠિત સામાયિક શરૂ કર્યું હતું. 

શિક્ષિત-પ્રતિષ્ઠિત બંગાળી પરિવારમાં જન્મેલા મહાશ્વેતા દેવી ચૈનની જિંદગી જીવી શકતા હતાં, પરંતુ તેમણે શોષિત વર્ગ માટે પોતાનો 'કમ્ફર્ટ ઝોન' છોડી દીધો. તેઓ દેશની એકમાત્ર વ્યક્તિ હતાં જેમને સાહિત્ય-પત્રકારત્વની સેવા બદલ જ્ઞાનપીઠ અને રેમન મેગ્સેસે એમ બંને પુરસ્કારથી સન્માનિત કરાયા હતાં.

અત્યારે ગુજરાતીઓ પાસે શોષિત-દલિત વર્ગને સંપૂર્ણ માનવીય હક્કો આપીને દેશમાં જ નહીં વિશ્વભરમાં ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવાની તક છે. ખરા અર્થમાં ગુજરાતની અસ્મિતાનો ઝંડો લહેરાવવાની તક છે.

આ તક આવી છે ત્યારે એક સવાલ પૂછવાનું મન થાય છે. શું તમે શોષિત વર્ગ માટે તમારો 'કમ્ફર્ટ ઝોન' છોડવા તૈયાર છો?

—–

સૌજન્યઃ "ગુજરાત સમાચાર", 'શતદલ' પૂર્તિ, ત્રીજી ઓગસ્ટ, 2016, ફ્રેન્કલી સ્પીકિંગ- વિશાલ શાહ

http://vishnubharatiya.blogspot.in/

e.mail : vishnubharatiya@gmail.com

Loading

… શિરામણમાં હું શીરો છું!

અરુણા જાડેજા, અરુણા જાડેજા|Opinion - Opinion|3 August 2016

પહેલાં શીરો શબ્દ આવ્યો હશે કે શિરામણ? આ પેચીદો સવાલ છે. કારણ કે શીરો શબ્દ ફારસી અને શિરામણ અસલ તળપદી, પાઘડી પહેરેલો; તો શીરો સાવ સામી પાટલીએ બેઠેલો — ટોપી અને તે ય પાછી મુસ્લિમ ટોપી પહેરેલો. એટલે શીરા પરથી આપણું શિરામણ આવ્યું કે આપણા શિરામણમાંથી એમણે શીરો ચોરી લીધો! આમ તો આ બન્ને સ્વજનો જ પણ સામસામી પાટલી પર બેઠા તેથી મૂળ ધાતુમાં હૃસ્વ-દીર્ઘનો ફેર થઈ ગયો બાકી એમનો ભાઈચારો તો અકબંધ જ.

પહેલાના જમાનામાં સવારના નાસ્તામાં આ શીરો ખવાતો હશે તેથી સવારના નાસ્તા અર્થાત્ દેશી બ્રેકફાસ્ટ માટે શિરામણ શબ્દ વપરાશમાં આવ્યો હશે. શીરો એ ફારસી વાની છે, મીઠી વાનગી છે, અતિ મધૂરું વ્યંજન છે.

શિરામણ શબ્દ અને મહેરામણ બન્ને આગલા જન્મના ભાઈઓ. સવારસવારમાં મસમોટા તાંસળામાં રેલમછેલ કરતું ઘી રેડાયું છે, ઘીને અગ્નિદેવતાનો સાથ મળે છે અને એમાં ઘઉંનો લોટ પડે છે, ઘીમાં ભળી જઈને શેકાય છે, ફળિયામાં બધાની નાસિકા સંત જ્ઞાનેશ્વરે કહ્યું છે તેમ પોતે જ સુગંધ બની જાય છે, બાજુમાં ઊકળતું ગોળવાળું ફફળતું પાણી રાહ જોઈ રહ્યું છે — ઘી અને લોટ સાથે હસ્તધૂનન કરવાની. અને આ ત્રણેય ભેગા થઈને એક મસ્તધૂનન માટેની હવા સર્જી આપે છે.

વાડીએ કે પેઢીએ જનારા નાહીધોઈપરવારીને રસોડાની બહાર બેસી જાય છે, ટોળે વળીને. સુગંધિત નાસિકાવાળા પાસપાડોશી પણ એ ટોળામાં સામેલ થઈ જાય છે. એ જામ્યો મહેરામણ શિરામણ ટાણે!

તો આ છે શિરામણ અને શીરાની દોસ્તીનું રહસ્ય.

ભલેને પહેલાના જમાનામાં સવારના નાસ્તા માટે શિરામણ વપરાતો પણ એનો આ શીરો તો આઠે પહોર માટે વપરાતો થઈ ગયો. સવારના મંગળાના દર્શનથી માંડીને રાતના શયન સુધી શીરાની બોલબાલા રહી છે આપણે ત્યાં.

મીઠીમધૂરી વાનગીઓમાં આપણા ગુજરાતીઓમાં શીરો શિરમોર સમો. સવારસવારમાં મોહનથાળ ન ઠરે કે મેસૂબની જાળી ન જામે કે માલપૂઆ ન ઊતરે કે ઘેવરની જાળી ન પડે. એ તો વાટકામાં શીરો જ પડે.

આપણે આ શીરોપૂરીને જેટલા મોંઢે ચઢાવ્યા છે એટલા બીજા કોઈને ય નહીં. ન શિખંડપૂરી કે ન બાસુંદીપૂરી કે ન રસપૂરી. અને આમે ય આ બધા તો વરસના વચલે દહાડે પધારનારા પણ શીરાભાઈ ઘરના જ! ભર શિયાળામાં શિંખડપૂરીનું નામ મોંએ ન ચડે કે ઉનાળા સિવાય રસપૂરીનું નામ જીભે ન ચડે, શ્રાદ્ધ સિવાય દૂધપાકપૂરી નહીં, તો બાસુંદીપૂરી ભાગ્યે જ કાને પડે પણ શીરોપૂરી રોજેરોજ જડે.

શીરો એટલે ઘઉં-ગોળ-ઘીની સંગત, તબલા-હારમોનિયમ-કંઠ જેવી સૂરીલી. પછી એ કંઠ ખાંસાહેબનો હોય કે બાઈનો હોય. ફાડા હોય, વચલો બાટ હોય કે થૂલીનો બાટ; આખરે તો ઘઉં જ. લાપસી હોય, કંસાર હોય કે શીરો પણ આંધણ તો એક જ, ગોળનું. અર્થાત્ કૂળગોત્ર તો એક જ.

ઘઉં-ગોળ-ઘીનો શીરો પૌષ્ટિકતામાં અવ્વલ નંબરે બિરાજે, એલચીનો છંટકાવ એને ઓર નિખારે, તો લાલ દ્રાક્ષ (કિશમિશ) શીરાને મૂઠી ઊંચેરો બનાવે. શીરાની બહેન એ શીરી, એટલે આપણી રાબ. એનો ય શો રુઆબ! બદામ-ખસખસથી સોહંતી અને એલચી-કેસરથી મહેંકતી. માંદા પડવાની એ જ તો છે મજા. અને પંજાબીઓ આમ તો શીરાને સૂજી કા હલવા કહે પણ રાબને શીરી કહેતા મેં મારા પંજાબી પાડોશીને સાંભળ્યા છે. તો અમારા મદ્રાસી મિત્ર શીરાને કેસરી નામે બોલાવે. એમ તો ચણાના લોટનો પણ શીરો થાય, ઢીલો મોહનથાળ જોઈ લો. શેકતી વખતે થોડી મલાઈ નાંખો, શીરાને મલાવીમલાવીને ખાવાનું મન થઈ આવશે.

રવાનો શીરો રૂપેરંગે સોહામણો પણ ભારે વાયડો. તોયે સત્યનારાયણની પૂજાનો પ્રસાદ ખરોને, દાઢે વળગી જાય, બ્રશ કરવાનું મન ન થાય. કથા સિવાય અમસ્તાયે એ જ પવિત્ર ભાવથી શીરો શેકવામાં આવે તો એ જ પ્રસાદનો સ્વાદ દાદ લઈ જાય. છલોછલ ઘી ને એમાં —શ્રી કૃષ્ણ શરણમ્ મમ-ની ધૂન ગાતાંગાતાં — શેકાતો ગુલબિયો રવો, કિશમિશ તો ખરી, બદામની કતરણ જોજો ન ભૂલાય. અને પછી એમાં પડતું છમ્મકારા સાથે ઊકળતું દૂધ. એ દૂધ સહેજ ભળે ન ભળે ત્યાં જ ખાંડ ભળી જાય, દૂધ બળવાની રાહ નહીં જોવાની. રવો-દૂધ-ખાંડ એ ત્રિપૂટી હાથમાં હાથ મિલાવી કડાઈમાં દોડાદોડ કરી મૂકે. પછી એમને ઠારવા પાણીવાળી થાળી ઉપર ઢાંકી દો, પેલી ત્રિપૂટીની ધમાલ પણ થાકીને ઠરી જશે અને આપણી જીભબાઈ ફાવી જશે. થાળી ઊતારીને જુઓ તો જાણે પારણામાં હસતા બાળકૃષ્ણ, એમની નજર ઊતારવા છાંટી દો એલચીનો ભૂકો. રંગ-રૂપ-રસ-સ્વાદ-સુંગધનો દરિયો હેલે ચઢે.

માનતા રાખીને કરેલી પૂજામાં ધરાવાતો એકમાત્ર ખાસમખાસ પ્રસાદ એટલે શીરો. ન કે મોહનથાળ કે ન મેસૂબ કે દૂધપાક કે ન બાસુંદી, ન રસ કે ન શિખંડ.

ભર શિયાળામાં આગળ પડતું ઘી નાંખેલા રવાના શીરાને થાળીમાં ઠારીને મોહનથાળની જેમ ચકતાં પડતા પણ ગામડામાં જોવા મળે.

સો વાતની એક વાત : શીરાનો સિદ્ધાંત એક જ, લોટમાં ઘી ને દૂધ (કે પાણી) ઓછા ન ખપે.

*

બડે મિંયા તો બડે, છોટે મિંયા ભી સુભાનલ્લા !

નાનું બાળક પણ શીરાનો મહિમા જાણે અને તેથી જ શીરાના નામે જ રીઝે. “રાધે રાધે રાધે, શિરોપૂરી ખાજે.” તો એ નાનકું હસી પડે ને બે હાથે તાળી પાડવા મંડે. પણ “રાધે રાધે રાધે” સાથે “શિખંડપૂરી” કે “રસપૂરી” બોલી જોજો, એ નાનકું અવળું ફરીને ભાંખોડિયા ભરવા લાગશે; એ ય બધું સમજે. નાના ઊછરીને મોટા થાય તે શીરા થકી જ, કૌવત મેળવે તે શીરા થકી જ.

શીરાની સખી પૂરી અને ભજિયાં તો એના હજૂરિયા; ના, ના હનુમાનજી. સિંહાસને બિરાજેલાં શ્રીરામ-સીતા ને ચરણોમાં દાસ એવો ફોટો નજર સામે તરી આવે આ શિરો-પૂરી ને ભજિયાંનું નામ પડતા.

પૂરી ને ભજિયાં ન હોય તોયે શીરો તો જામે જ. સાંજના નાસ્તામાં શીરો હોય તો એની સાથે પાપડ કે સારેવડું સરસ જાય, અમારા મરાઠીઓમાં તો બપોરની ચા સાથે શીરો હોય તો રકાબીમાં બાજુમાં ખાટાં અથાણાંનું ચીરિયું અચૂક હોય.

રવા ઉપરાંત મગની દાળનો શીરો પણ એકદમ સ્વાદિષ્ટ, બરફી જેવો કણીદાર. માત્ર ને માત્ર બદામનો શીરો તો શાહી શીરો, રસના ચટકાની જેમ બદામના શીરાની ય ચમચી-બે ચમચી જ હોય, વાટકો નહીં. લેવાના દેવા થઈ જાય!

*

ઉપવાસ તો શીરાનો મહિમા ઓર વધારે. કેટકેટલા ઉપવાસી શીરા! શિંગોડાનો, રાજગરાનો, બટાકાનો, શક્કરિયાનો. શીંગશિંગોડાનો શીરો ખાઈ જોજો. શિંગોડાના લોટમાં ભારોભાર શેકેલી શીંગના ભૂકાની મસ્તી થાવા દો અને પછી પેટમાં એમની દોસ્તી થાવા દો. આ બધા શીરા એકએકથી ચડિયાતા. સવારે પેટભાઈને બસ એક વાડકો ભરીને શીરો ખવડાવી જુઓ, આખો દી’ શી વાતે ઓશિંગણ થઈને તમારા ઉપવાસને પેટ ખમી લેશે.

કચ્છડાની જેમ અને રોટલા કે બટાકાની જેમ આ શીરો તો બારે માસ ને આઠે પહોર. ને પછી કરો લીલા લહેર. લસલસતો શબ્દ શીરા જેટલો કોઈ સાથે ન જાય. ગળે ઊતરવામાં પણ લસલસતા શીરાની તોલે કોઈ ન આવે. કોઈ પાસ થઈ ગયું કે કોઈને પ્રમોશન મળી ગયું કે બાબો આવ્યો કે લક્ષ્મીજી પધાર્યાં કે સારા સમાચાર આવ્યા તો ભઈ, ઝટપટ શીરો શેકી નાંખો, બજારમાંથી પેંડા આવે એટલી રાહ કોણ જુએ? અતિથિ પધાર્યા તો શીરો સામેથી દોડ્યો આવે. હાથવગો ને હોઠવગો, તેથી જ તો એ હૈયાવગો !

***

e.mail : arunataijadeja@gmail.com

Loading

...102030...3,5133,5143,5153,516...3,5203,5303,540...

Search by

Opinion

  • વિવેકહીન વ્યક્તિપૂજાનું વહેણ દેશને કઈ દિશામાં લઈ જશે?
  • બચ્ચે મન કે સચ્ચે
  • હગ ડિપ્લોમસી અને આકરી પસંદગી: પુતિનની મુલાકાત અને ભારતની વ્યૂહરચના
  • ભારત નથી અમેરિકાને નારાજ કરી શકતું કે નથી રશિયાને છોડી શકતું
  • ચલ મન મુંબઈ નગરી —318

Diaspora

  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ
  • મારી દુનિયાનાં તમામ બાળકો

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved