Opinion Magazine
Number of visits: 9584699
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

લાલ શાહબાઝ કલંદરની મઝાર પર મૂળભૂતવાદી મુસલમાનોનો હુમલો


રમેશ ઓઝા
, રમેશ ઓઝા|Opinion - Opinion|20 February 2017

લાલ પરી મસ્તાની અત્યારે હયાત નથી એ સારું જ થયું : એક વાર લાલ શાહબાઝ કલંદર અને તેમના મિત્ર બાબાઉદ્દ દ્દીન ઝકરિયા રણમાં રખડતા હતા અને રાત પડી ગઈ. અંધારા સાથે ઠંડી પણ હતી. લાકડાં તો હતાં, પરંતુ લાકડાં પેટાવવા માટે અગ્નિ નહોતો. બાબા ઝકરિયાએ લાલ શાહબાઝ કલંદરને કહ્યું કે તે બાજ બનીને નરકમાંથી અગ્નિ લઈ આવે. કલંદર જાય છે અને થોડી વારે ખાલી હાથે પાછા આવીને કહે છે : નરકમાં અગ્નિ નથી, ત્યાં જનારા દરેક અહીંથી પોતાની પીડા અને અગ્નિ સાથે લઈને જ જાય છે

સારું થયું કે લાલ પરી મસ્તાનીનું ચાર વર્ષ પહેલાં કુદરતી મૃત્યુ થયું. નહીંતર આપણા યુગનાં તે મહિલા સૂફી મહિલા ફિદાયીન બૉમ્બરનો શિકાર બન્યાં હોત. આમ પણ લાલ પરીને સ્વાર્થી સ્વજનોએ, કોમવાદીઓએ, ભાષાવાદીઓએ ક્યારે ય સુખેથી જીવવા દીધાં નહોતાં. લાલ કપડાંમાં કદાવર કાયા અને હાથમાં દંડૂકો ધરાવતાં લાલ પરી મસ્તાની ધમાલમાં ન આવે ત્યાં સુધી ધમાલ શરૂ ન થાય અને દંડૂકો વીંઝીને લાલ પરી જ્યારે નાચવાનું શરૂ કરે એ પછી ધમાલમાં કોઈ નાચ્યા વિના રહી ન શકે. કોઈક જાદુ હતો સેહવાનની લાલ શાહબાઝ કલંદરની એ મઝારમાં. કોઈક જાદુ હતો ધમાધમ મસ્ત કલંદરની ધમાલમાં. કોઈક જાદુ હતો લાલ પરીની મસ્તીમાં. એટલે તો તેઓ લાલ પરી મસ્તાની તરીકે ઓળખાતાં હતાં. ધમાલમાં જેટલા લોકો હાજર હોય એ બધા ટ્રાન્સનો, મસ્તીનો અનુભવ કરતા. સૂફી પરંપરામાં એને ફના કહેવામાં આવે છે.

જાણીતા હિન્દી પત્રકાર ઓમ થાનવી પાકિસ્તાન ગયા હતા. વીઝામાં જે સ્થાનો પર જવાની અનુમતિ હતી એમાં સેહવાનનો સમાવેશ નહોતો થતો. કોઈકે તેમને કહ્યું કે જો તેઓ સાધારણ બસમાં કરાચીથી લાહોરનો રાત્રિપ્રવાસ કરે તો સવારે બસ સેહવાન પહોંચશે અને ત્યાં ચા-પાણી માટે થોડો વધુ સમય થોભશે. લાલ શાહબાઝ કલંદરની મઝાર હાઇવેની બાજુમાં જ છે. ઓમ થાનવીએ લાલ શાહબાઝ કલંદરના સૂફી વારસાનાં વાઇબ્રેશન્સ (તરંગો) અનુભવવા રાત્રિપ્રવાસ કર્યો હતો. તેઓ કોઈ ધાર્મિક માણસ નથી. કોઈ મન્નત માની નહોતી કે શાહબાઝ કલંદર પાસે કોઈ માગણી કરી નહોતી. તેમને તો બસ સાંસ્કૃિતક વારસાની સમગ્રતાનો અનુભવ કરવો હતો. સાચો માનવી હંમેશાં સમગ્રતાનો પૂજારી હોવાનો, જ્યારે વિભાજિત મન ફિદાયીન પેદા કરે છે.

સેહવાન એ સિંધમાં આવેલી સૂફી દરગાહ છે, પણ એનાથી વધારે એ હિન્દુઓ અને મુસલમાનોનું સહિયારું ધર્મસ્થળ છે. અહીં એક જમાનામાં શિવજીનું મંદિર હતું અને સેહવાન સીવીસ્તાન તરીકે ઓળખાતું હતું. દરગાહમાં શિવજીનું લિંગ હતું જેને ૧૯૭૦માં ખસેડીને એક રૂમમાં રાખવામાં આવ્યું છે. હિન્દુ સિંધીઓ જેને ઝુલેલાલ કે દરિયાલાલ તરીકે ઓળખાવે છે એ જ આ લાલ બાદશાહ કલંદર. ઝુલેલાલનાં વસ્ત્રો પણ લાલ જ હોય છે એટલે હિન્દુ અને મુસ્લિમ એમ બન્ને સિંધીઓ માટે લાલ કલંદર છે. હવે સિંધમાં અને પાકિસ્તાનનમાં હિન્દુઓ નહીંવત્ છે, પરંતુ હજી આજે પણ દરગાહના સજદાનશીન એટલે કે રખેવાળ પરિવારોમાં એક પરિવાર હિન્દુ છે. લગભગ ૧૩મી સદીથી હિન્દુ અને મુસલમાન ઝુલેલાલ અર્થાત્ લાલ બાદશાહ કલંદરની સમાધિ કે મઝાર જે કહો એની ઇબાદત કરતા આવ્યા છે.

મૂળભૂતવાદી મુસલમાનોની નજરે પીર માત્ર શર્કિ (ખુદાની બરાબરી કરનારા) છે અને તેમની મઝાર પર માથું ટેકવનાર જાહિલ (ગમાર) છે. તેઓ હવે ઇસ્લામિક સ્ટેટની રચના કરવા માગે છે જેમાં શર્કિ અને જાહિલોને રહેવાનો અધિકાર નથી. એટલે તો તેઓ પાકિસ્તાનમાં સૂફી મઝારો પર એક પછી એક હુમલાઓ કરી રહ્યા છે જેમાં સેહવાન પરનો હુમલો અસ્વસ્થ કરી મૂકનારો છે. લાલ પરી મસ્તાની નસીબદાર કે ચાર વરસ પહેલાં જન્નતનશીન થઈ ગયાં.

મોટા ભાગે ભારતમાં રહીને ભારતના ઇતિહાસ પર કામ કરનારા બ્રિટિશ ઇતિહાસકાર વિલિયમ ડેલરીમ્પલે એક કે બીજી રીતે ઈશ્વરસમર્પિત નવ વ્યક્તિઓનાં રેખાચિત્રો લખ્યાં છે; જેમાં ધર્મ ખાતર ચીન સામે વિદ્રોહ કરનાર લામા, બાઉલ સાધુ, દેવદાસી, મૂર્તિકાર વગેરેનો સમાવેશ છે અને એમાં એક રેખાચિત્ર લાલ પરીનું છે. ‘નાઇન લાઇવ્ઝ’ નામના ખૂબ વખણાયેલા પુસ્તકમાં સમાવિષ્ટ રેખાચિત્રોમાં મને લાલ પરીનું રેખાચિત્ર ખૂબ ગમ્યું છે. વિલિયમે પાકિસ્તાનમાં સેહવાન જઈને લાલ પરીની મુલાકાત લીધી હતી. અહીં એ પુસ્તકના આધારે લાલ પરીની દાસ્તાન પ્રસ્તુત છે …

મારો જન્મ પૂર્વ બિહારમાં બંગલા દેશની નજીક આવેલા સોનેપુર ગામમાં થયો હતો. જમીન એટલી ફળદ્રુપ હતી કે અમે ગરીબ હોવા છતાં ક્યારે ય ભૂખ્યા નહોતા સૂતા. અમે કેરી, જાંબુ, નારિયેળ જેવાં ફળ તોડતાં અને ખાતાં. એ જમાનામાં ફળ ખાવાં માટે હતાં, વેચવાં માટે નહીં. મારા પિતા પાસે થોડી જમીન હતી જેમાં તે ચોખા ઉગાડતા. આ ઉપરાંત ક્યારેક તેઓ જંગલમાં જઈને હરણનો શિકાર કરી લાવતા. મારા પિતા સારા નિશાનબાજ હતા. મારા બાળપણમાં મેં ક્યારે ય હિન્દુ અને મુસલમાન વચ્ચે વૈમનસ્ય જોયું નહોતું. મારી ખાસ બહેનપણી બ્રાહ્મણની દીકરી હતી અને મારા પિતાના ખાસ મિત્ર પણ હિન્દુ હતા. મને યાદ નથી કે અમારા ગામમાં કોમી અથડામણ થઈ હોય. હું હવે ક્યારે ય લાલ કલંદરનો ખોળો છોડીને ક્યાં ય જવા માગતી નથી, પરંતુ એ છતાં ય એક વાર મારા બાળપણના ગામ સોનેપુરને જોઈ આવવાની ઇચ્છા થતી રહે છે.

યાતનાની શરૂઆત ત્યારે થઈ જ્યારે મારા પિતાનું ટીબીની બીમારીમાં અવસાન થયું. મારા પિતા ગુજરી ગયા પછી મારા કાકાએ અમારી જમીન પડાવી લીધી. આખરે મારી માએ પિયરમાં આશરો લેવો પડ્યો હતો. બીજા વરસે મારી માએ ફરી લગ્ન કર્યા, પણ મારા ઓરમાન બાપને હું ગમતી નહોતી. તે મને કદરૂપી તરીકે ઓળખાવતો હતો અને દારૂ પીધો હોય ત્યારે મારતો.

અમારા ગામમાં વડલાના ઝાડ અને કૂવાની વચ્ચે એક મઝાર હતી જ્યાં એક ફકીર રહેતો હતો. તે આખો વખત પલાંઠી વાળીને સાધના કરે અને મસ્ત મસ્ત મસ્ત એવો જાપ કરતો રહે. હું તેને મળવા જતી. મને તે માણસમાં ખૂબ રસ પડતો. તે ફકીરે મને અલ્લા હુ અલ્લા હુ અલ્લા હુનો મંત્ર આપ્યો હતો. બીજું પણ ઘણું શીખવાડ્યું હતું, પરંતુ એ નાની ઉંમરે એમાંનું બહુ ઓછું સમજાયું હતું. આમ છતાં વધુમાં વધુ સમય હું ફકીર સાથે વિતાવતી હતી.

૧૯૬૦ની વાત છે. મારા જીવનમાં વાવાઝોડું ત્યારે આવ્યું જ્યારે મારી ઉંમર ૧૩ વરસની હતી. મારી ખાસ બ્રાહ્મણ બહેનપણીએ આત્મહત્યા કરી લીધી હતી. તે હિન્દુ છોકરાના પ્રેમમાં હતી અને પરિવાર લગ્નની વિરુદ્ધ હતો. ગામમાં આ વાતે તંગદિલી હતી ત્યાં રાજકારણીઓએ નવી તંગદિલી પેદા કરી. પૂર્વ પાકિસ્તાન(અત્યારનું બંગલા દેશ)માં હિન્દુઓને અન્યાય થઈ રહ્યો છે અને તેમને ખદેડી મૂકવામાં આવે છે એ વાતે હિન્દુઓ નારાજ હતા. અમારા ગામમાં મુસલમાનોની વસ્તી વધુ હતી એટલે બધા એમ માનતા હતા કે ડરવાની જરૂર નથી. પરંતુ એક વખત શુક્રવારના દિવસે ગામના બધા પુરુષો મસ્જિદમાં હતા ત્યારે તૈયારી સાથે આવેલા હિન્દુઓએ મસ્જિદ પર હુમલો કર્યો હતો. એ હુમલામાં મારા કાકા, મારા પિતરાઈ અને મારા ઓરમાન પિતાનું મૃત્યુ થયું હતું. એમ કહોને કે ગામમાં એક પુરુષ નહોતો બચ્યો. એ લોકો જ માત્ર બચ્યા હતા જે એ દિવસે મસ્જિદમાં નહોતા. અમે બાળકો આંબાવાડિયામાં રમતાં હતાં અને મારી મા અને મામા ખેતરે હતાં. પંદર દિવસ અમે જંગલમાં ખાડામાં સંતાઈ રહ્યા હતા અને જંગલમાંથી જે મળે એ ખાઈ લેતા હતા.

હવે અમારા ગામમાં રહેવામાં જોખમ હતું. મારા મામાએ સરહદ ઓળંગીને પૂર્વ પાકિસ્તાન જતા રહેવાનો નિર્ણય લીધો. ત્યાં મારી માનો પિતરાઈ રહેતો હતો. હું તો રાજી હતી કે ચાલો નવા ગામમાં જઈશું અને નવા પિતરાઈ મામાઓને મળીશું. હવે સોનેપુરમાં ડર લાગવા માંડ્યો હતો. ઘણી લાંબી યાત્રા પછી અમે સરહદે પહોંચ્યા. મારા મામાએ સિક્યૉરિટી ગાર્ડને પૈસા આપ્યા અને તેણે જ અમને પોતાના ઘરમાં આશરો આપ્યો. રાત થઈ ત્યારે તેણે અમને સીધી કેડીએ ચાલતા રહેવાની સલાહ આપી. જો ફાયરિંગ થાય તો અટકવાનું નહીં, કોઈ મરે તો પણ અટકવાનું નહીં એવી તેણે ખાસ ચેતવણી આપી હતી. ફાયરિંગ તો કોઈ જગ્યાએ થયું નહીં અને અમે પૂર્વ પાકિસ્તાનમાં મામાઓના ગામે પહોંચી ગયા. મામાઓ ગામમાં વગ ધરાવતા હતા એટલે તેમને અમને થાળે પાડવામાં કોઈ ખાસ મુશ્કેલી ન પડી. મામાઓએ મને સ્કૂલમાં ભણવા પણ બેસાડી હતી.

પણ મારી જિંદગીમાં થાળે પડવાનું લખ્યું જ નહોતું. મારી યાત્રા લાલ કલંદરની ગોદમાં જ પહોંચીને પૂરી થવાની હતી. ૧૯૭૧માં બંગલા દેશની પાકિસ્તાન સામે લડાઈ થઈ અને પૂર્વ પાકિસ્તાન સ્વતંત્ર બંગાળી મુસ્લિમ રાષ્ટ્ર બની ગયું. ઇસ્લામિક રાષ્ટ્ર હવે બંગાળી રાષ્ટ્ર બની ગયું. ભારતમાં અમે મુસલમાન હતા એટલે સલામતી શોધવા ઇસ્લામિક રાષ્ટ્રમાં આશરો લીધો. હવે બંગલારાષ્ટ્ર બંગલા દેશમાં અમે બિહારી હતા એટલે વિશ્વાસઘાતી ગદ્દાર બની ગયા. બિહારથી આવેલા મુસલમાનો સાથેના અત્યાચારોની એકથી એક થથરાવી મૂકનારી વાતો ગામમાં આવતી હતી. હિન્દુ મુસલમાનને મારે એ તો હજીયે મને સમજાતું હતું, પરંતુ મુસલમાન મુસલમાનને શા માટે મારે છે એ મને સમજાતું નહોતું.

બંગલા દેશની સ્થાપના પછી પાકિસ્તાન સરકારે જાહેરાત કરી કે જે લોકો બંગલા દેશ છોડીને પાકિસ્તાનમાં રહેવા માગતા હશે તેમને દક્ષિણ પંજાબમાં સ્થાયી કરવામાં આવશે. અમે ભાઈ-બહેને વિચાર્યું કે અહીં નદીઓના અને નફરતના પૂરની વચ્ચે રહેવા કરતાં પંજાબમાં જઈને નસીબ અજમાવીએ. મારી માનો અને મામાઓનો વિરોધ હતો. તેમને એમ લાગતું હતું કે ફરી એક વાર નવી જગ્યાએ જોખમ લેવા કરતાં પરિચિત જગ્યાએ જોખમનો સામનો કરવામાં વધારે ડહાપણ છે.

અમને ખુલના લઈ જવાયા. ખુલનાથી ટ્રકમાં કલકત્તા, કલકત્તાથી દિલ્હી, દિલ્હીથી અમ્રિતસર થઈને લાહોર અને લાહોરથી મુલતાન. આખી યાત્રા અમે ટ્રકમાં કરી હતી. મુલતાનમાં અમને જમીન તો આપવામાં આવી નહીં, પરંતુ એક ઓરડી અને જીનિંગ ફૅક્ટરીમાં કામ આપવામાં આવ્યું. અહીં સંઘર્ષનો પાર નહોતો, પરંતુ સુરક્ષા હતી. આમ પણ મારી નિયતિ મને ફકીરી તરફ લઈ જતી હતી. મુલતાનમાં હું સમય મળે ત્યારે ફકીરો પાસે જતી અને ફના થવાની વાતો સાંભળતી. એવામાં મારો ભાઈ એક અકસ્માતમાં ગુજરી ગયો. ભાભીને હું જોઈતી નહોતી એટલે એક દિવસ હું નીકળી પડી. પરિવારનાં બધાં બંધનોનો અંત આવ્યો.

ઘર છોડ્યું એના આગલા દિવસે શેખ બાબાઉદ્દ દ્દીન ઝકરિયાની દરગાહે જઈને માથું ટેકી આવી હતી અને ક્યાં જવું એનું માર્ગદર્શન માગ્યું હતું. રાતે એક દાઢીવાળો વૃદ્ધ ફકીર સપનામાં આવ્યો અને તેણે ડર્યા વિના, પૈસા કે કોઈ ચીજ સાથે લીધા વિના પહેલી ટ્રેનમાં બેસી જવાની સલાહ આપી. મેં એમ જ કર્યું. રસ્તામાં હૈદરાબાદ સ્ટેશને લોકોની ભીડ જોઈ જેઓ સેહવાન ઉર્સમાં જતા હતા. અચાનક એક ફકીર મારા ડબ્બા પાસે આવ્યો અને તાવીજ આપતો ગયો. એ તાવીજ પર એ જ ફકીરની તસવીર હતી જે સપનામાં આવ્યો. મેં પૂછ્યું કે આ કોણ છે? તો કહે, લાલ શાહબાઝ કલંદર. હું ત્યાં ઊતરી પડી અને સેહવાન પહોંચી ગઈ.

૨૦ વરસથી અહીં છું અને હવે ક્યાં ય જવાની ઈચ્છા નથી. પહેલાં હું ધમાલ પછી ધમાલની રૂમ સાફ કરતી, હવે હું ધમાલ કરાવું છું. એક એવી મસ્તીનો અનુભવ થાય છે જેને વર્ણવી ન શકાય. હવે કોઈ વાતનો ગમ નથી, પણ એક વાતનો ગમ છે. વહાબી સલ્ફી મુલ્લાઓ અને તબલીગીઓ પીરોને શર્કિ સમજે છે અને અમને જાહિલ. તેઓ દિલ વિનાના પુસ્તકીય લોકો છે જેમને ખુદા સાથેના પ્રેમની મસ્તી શું કહેવાય એની જાણ જ નથી. ૨૦૦૯માં તેમણે દરગાહને બૉમ્બ વડે ઉડાડવાનો પ્રયાસ કર્યો હતો.

અને છેવટે લાલ પરી વિલિયમ ડેલરીમ્પલને એક પ્રસંગ કહે છે. એક વાર લાલ શાહબાઝ કલંદર અને તેમના મિત્ર બાબાઉદ્દ દ્દીન ઝકરિયા રણમાં રખડતા હતા અને રાત પડી ગઈ. અંધારા સાથે ઠંડી પણ હતી. લાકડાં તો હતાં, પરંતુ લાકડાં પેટાવવા માટે અગ્નિ નહોતો. બાબા ઝકરિયાએ લાલ શાહબાઝ કલંદરને કહ્યું કે તે બાજ બનીને નરકમાંથી અગ્નિ લઈ આવે. કલંદર જાય છે અને થોડી વારે ખાલી હાથે પાછા આવીને કહે છે : નરકમાં અગ્નિ નથી, ત્યાં જનારા દરેક અહીંથી પોતાની પીડા અને અગ્નિ સાથે લઈને જ જાય છે.

સૌજન્ય : ‘નો નૉન્સેન્સ’ નામક લેખકની કોલમ, ‘સન્નડે સરતાજ’ પૂર્તિ, “ગુજરાતી મિડ ડે”, 19 ફેબ્રુઆરી 2017

Loading

અન્યાયોનું એન્કાઉન્ટર અને માનવ અધિકારોનું જતન ડૉ. મુકુલ સિંહાનું જીવન મિશન બની રહ્યાં

સંજય શ્રીપાદ ભાવે|Samantar Gujarat - Samantar|20 February 2017

શોષિતો – આશ્રિતોની મુક્તિ માટેના એમના પ્રયાસોને આવતીકાલે સુરતમાં હ્યુમન રાઇટ્સ અવૉર્ડથી સન્માનાશે

આવતી કાલે [18-02-2017] સુરતમાં ધારાશાસ્ત્રી ડૉ. મુકુલ સિંહા(1951-2014)ને ભગીરથ હ્યૂમન રાઇટ્સ અવૉર્ડ આપવામાં આવશે.

તે સુરતની સેન્ટર ફૉર સોશ્યલ સ્ટડીઝ સંસ્થા દ્વારા ભગીરથ મેમોરિયલ ફન્ડ કમિટીના ઉપક્રમે   આપવામાં આવી રહ્યો છે. આ સન્માન મુકુલભાઈનાં પત્ની અને ‘જન સંઘર્ષ મંચ’નાં મોવડી નિર્ઝરી સિંહા  વિખ્યાત વકીલ પ્રશાન્ત ભૂષણને હસ્તે સ્વીકારશે.

સમિતિનું સન્માન પત્ર નોંધે છે કે ડૉ. મુકુલ સિંહાને આ અવૉર્ડ ‘માનવ અધિકાર માટેની તેમની તેમની જુસ્સાભરી લડત માટે’ આપવામાં આવી રહ્યું છે. તેમણે આ લડત અનેક મુકદ્દમા થકી ચલાવી હતી. તેના ભાગ રૂપે તેમણે સમાજના હાંસિયા પરના અને નબળા વર્ગોને મુક્તિ માટેના પ્રયત્નોમાં ટેકો આપ્યો અને સંગઠિત કર્યા એમ પણ સન્માનપત્રમાં જણાવવામાં આવ્યું છે. તેમાં મુકુલભાઈના જીવનકાર્ય વિશે મુખ્ય માહિતી આપવામાં આવી છે. મુકુલભાઈએ કાનપુરની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલૉજિમાંથી ભૌતિકશાસ્ત્રમાં માસ્ટર્સની અને અમદાવાદની ફિઝિકલ રિસર્ચ લૅબોરેટરિ(પી.આર.એલ.)માંથી પીએચ.ડી.ની પદવીઓ મેળવી હતી. પી.આર.એલ.માં સંશોધક તરીકેની કારકિર્દી તેમણે – જેમની સાથે સંસ્થા ખરાબ અને અન્યાયપૂર્ણ  વ્યવહાર કરતી હતી એવા – ચોકીદારો ખાતર જતી કરી. તેમાં વિજ્ઞાનને ખોટ ગઈ પણ કાયદાશાખાને અને સમાજને ફાયદો થયો. ડૉ. સિંહા કામદારો માટેના અગ્રણી વકીલ બન્યા. વળી તેમણે પી.આર.એલ., ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ, નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડિઝાઇન, અમદાવાદ બી.એમ. ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેન્ટલ હેલ્થ અને બીજી સંસ્થાઓના કર્મચારીઓનાં સંગઠનો પણ બનાવ્યાં. માનવ અધિકાર માટે સ્થાપેલાં જન સંઘર્ષ મંચ થકી તેઓ શ્રમજીવીઓ માટેના ઘણા કેસો લડ્યા. પૂજારીઓથી લઈને પોલીસ તેમ જ સનદી અધિકારીઓ સુધી અનેક પ્રકારના લોકો તેમના અસીલો હતા. તેમનું ઘર અને તેમની ઑફિસ હંમેશાં બધા માટે ખુલ્લાં રહેતાં. અન્યાય પીડિતોને તે હૂંફ અને ટેકા સાથે આવકારતા.

ભગીરથ અવૉર્ડનું સન્માન પત્ર ગુજરાતમાં 2002માં થયેલાં કોમી રમખાણો અને તેના પછીના તબક્કામાં મુકુલ સિંહાએ કરેલી કામગીરીની પણ નોંધ લે છે. તેમાં માનવ અધિકાર માટેની તેમની  સક્રિય નિસબત, વિજ્ઞાનનો કાયદામાં કુશળ વિનિયોગ, સામાજિક-કાનૂની સમસ્યાઓનું ચોકસાઈભર્યું વિશ્લેષણ અને તેમની તીક્ષ્ણ બુદ્ધિનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ગુજરાત અને મણિપુરનાં બનાવટી એન્કાઉન્ટર્સનો તેમણે પર્દાફાશ કર્યો હતો. રમખાણો પાછળની હકીકતો બહાર લાવવામાં નાણાવટી કમિશન સામે તેમણે બહુ જ અસરકારક કામગીરી કરી હતી. આ બંને બાબતોથી રાજ્ય સરકાર હચમચી ઊઠી હતી. ડૉ. સિંહા બાહોશ અને બહાદુર હોવાની સાથે, બીજાની પીડાને પોતાની ગણવાનું સંવેદન પણ ધરાવતા હતા. સન્માન પત્ર નોંધે છે કે તેમના અકાળ અવસાનથી ગુજરાતે અને દેશે માનવ અધિકાર માટેનો એક પ્રતિબદ્ધ, ધૈર્યવાન અને તેજસ્વી લડવૈયો એવા સમયે ગુમાવ્યો કે જ્યારે એની ખૂબ જરૂર હોય.

મુકુલ સિંહાના પહેલા સ્મૃિત દિને ‘પૅશન ફૉર જસ્ટિસ : મુકુલ સિંહાઝ પાયોનિયરિંગ વર્ક’ (પ્રકાશક: ‘ફ્રેન્ડસ ઑફ મુકુલ સિન્હા’) નામનું સવાસો પાનાંનું મહત્વનું પુસ્તક પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. તેમાં તેર કર્મશીલો/બૌદ્ધિકોએ મુકુલભાઈની ન્યાય માટેની લડતોનો આલેખ આપ્યો છે. તેમાંથી તેમની ઓછી જાણીતી જે સિદ્ધિઓ અંગે માહિતી મળે છે તેમાં પ્રિવેન્શન ઑફ ટેરરિઝમ અ‍ૅક્ટ -‘પોટા’ના ઉપયોગ સામેની તેમની લડતનો સમાવેશ થાય છે. તે કહેતા કે ઑક્ટોબર 2002 સુધીમાં ગુજરાતમાં આતંકવાદીઓ ન હતા એટલે આતંકવાદ સામે યુદ્ધ જાહેર કરવું મુખ્ય મંત્રી મોદીની સરકાર માટે અશક્ય હતું. પણ 2004ના ત્રીજા અઠવાડિયા સુધીમાં 180 ખૂંખાર આતંકવાદીઓ રાજ્યની જેલોમાં હતા, મતલબ દર મહિને સરેરાશ બાર આતંકવાદીઓ ગુજરાતે પેદા કર્યા. તેમના મતે ‘પોટા’ એટલે ‘પ્રોડક્શન ઑફ ટેરરિસ્ટ અ‍ૅક્ટ’. એ કહેતા : ‘ગુજરાત ‘પોટા’નો  દુરુપયોગ નથી કરતું, પણ આતંકવાદીઓ પેદા કરવા માટે તેનો ઉપયોગ કરે છે.’ મુકુલભાઈએ વડા પ્રધાન મનમોહન સિંહ સુધી અનેક સ્તરે ‘પોટા’ વિરુદ્ધ રજૂઆતો કરી. અનેક કિસ્સામાં આરોપીઓને ‘પોટા’માંથી મુક્ત કરાવ્યા. ‘પોટા’ રદ કરવા માટેની સફળ ચળવળમાં મુકુલભાઈનો ફાળો ખૂબ મોટો છે.

મુકુલ સિંહાનું બીજું ઓછું જાણીતું કામ તે મણિપુરના બનાવટી એન્કાઉન્ટર્સને ખુલ્લાં પાડવાનું. ત્યાંની છ હત્યાઓની તપાસ માટે સર્વોચ્ચ અદાલતે પૂર્વ ન્યાયમૂર્તિ સંતોષ હેગડેના વડપણ હેઠળ પંચ નીમ્યું. મુકુલભાઈ મૃતકોની પત્નીઓ વતી લડતા હતા. તેમાં મુકુલભાઈ સુરક્ષા  અધિકારીઓની એવી કડક ઊલટ તપાસ કરતા કે દરેક સવાલ વખતે ઑફિસર મૂંઝાઈને થોથવાવા લાગતા. સરંક્ષણ ખાતાના વકીલ કૂદીકૂદીને સવાલો સામે વાંધા ઊઠાવતા હતા જે નામંજૂર થતા હતા.

દેશવિદેશના કરોડપતિઓ જેમાં જોડાયેલા હોય તેવી અમદાવાદની એક પેઢીએ તેના દેવસ્થાનોનાં પૂજારીઓને વર્ષોથી સાવ નજીવા પગાર સાથે સલામતી વિનાની નોકરીમાં રાખ્યા હતા. આ શોષણમાંથી રસ્તો કાઢી આપવા આ પૂજારીઓના પ્રતિનિધિએ મુકુલભાઈની મદદ માગી. નાસ્તિક મુકુલભાઈએ શ્રદ્ધાળુ પૂજારીઓનું સંગઠન બનાવી તેમને હડતાળ પર ઊતાર્યા કે દેવસ્થાનોમાં ભગવાનનાં સ્નાન,પૂજા, આરતી બધું અટકી ગયું. હડતાળ જડબેસલાક ચાલી. મુકુલભાઈને કોરા ચેકની લાલચ પણ આપવામાં આવી. અંતે  માલિકોને એવું નમતું જોખવું પડ્યું કે પૂજારીઓને છઠ્ઠા પગારપંચ જેટલો પગાર મળતો થયો !  આ લડતની વાત પુસ્તકમાં વાંચવા મળે છે.

તદુપરાંત તેમાં સેક્યુલરિઝમ, વૈશ્વિકરણ, કોમવાદ જીવવાનો અધિકાર અને વિજ્ઞાનશિક્ષણ વિશે મુકુલ સિંહાએ પોતે લખેલા લેખો તેમ જ તેમની સાથેની એક લાંબી મુલાકાત પણ છે. ‘સેક્યુલારિઝમ અ‍ૅન ઇલ્યુઝન’ મથાળા હેઠળ શાહિદ આઝમી સ્મૃિત વ્યાખ્યાન વાંચવા મળે છે. તેમાં વક્તા આઝાદ ભારતમાં કોમવાદી હિંસા, તેની સામે ચાલેલા મુકદમા અને ન્યાયતંત્રના વિવાદસ્પદ દૃષ્ટિબિંદુનો આલેખ આપે છે. પછી તે આ તારણ પર આવે છે : ‘એટલા માટે સેક્યુલારિઝમ એક સંદિગ્ધ શબ્દ છે. ભારતમાં કટોકટીના અંધકારમય કાળમાં 1976માં તે બંધારણના અમુખમાં બેતાળીસમા સુધારા તરીકે દાખલ કરવામાં આવ્યો છે. આપણા દેશમાં એ શબ્દ ચૂંટણી દરમિયાન લઘુમતીઓની તરફેણમાં અને વિરુદ્ધમાં વાપરવા માટેનું સૂત્ર, સ્લોગન બન્યો છે.’  

પુસ્તકમાં મુકુલભાઈની એક લાંબી મુલાકાત છે. તેમાં તે કહે છે કે 2002ના રમખાણો બાબતે જન સંઘર્ષ મંચે એની ભૂમિકા હિંસાપીડિતોને સરકાર પાસે આર્થિક વળતર મળે એટલા પૂરતી મર્યાદિત રાખી ન હતી. મંચે રમખાણોમાં સરકારની ભૂમિકા અને જવાબદારી વિશે સવાલ ઊઠાવ્યો હતો. તે જ રીતે એનકાઉન્ટર્સમાં સરકારની ખુદની સંડોવણી બાબતે પણ ઠીક કામ થયું હતું. કોમી હિંસા અને ચાર બનાવટી એન્કાઉન્ટર્સના કેસોમાં મુકુલ સિંહાની શક્તિને કારણે ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી અને અત્યારના ભા.જ.પ.ના પ્રમુખ અમિત શાહ, આઇ.પી.એસ. ઑફિસરો ડી. જી. વણઝારા, રાજકુમાર પાંડિયન, દિનેશ કુમાર અને બીજા ચાળીસેક ઑફિસરોને કાચા કામના કેદી તરીકે જેલમાં જવું પડ્યું છે અથવા આરોપીના પાંજરામાં ઊભા રહેવું પડ્યું. આજે એ બધા ક્યાં છે અને કેમ છે એ સવાલ ડૉ. મુકુલ સિંહાને મળી રહેલાં મરણોત્તર સન્માન પ્રસંગે અસ્વસ્થ કરતો રહે છે.

16 ફેબ્રુઆરી 2017

++++++        

સૌજન્ય : ’ક્ષિતિજ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “નવગુજરાત સમય”, 17 ફેબ્રુઆરી 2017

Loading

સાયકલ પર વિશ્વભ્રમણ કરનારા ત્રણ ગુજરાતી

વિશાલ શાહ|Samantar Gujarat - Samantar|20 February 2017

ઈરાનના રણપ્રદેશમાંથી મેસોપોટેમિયા, સીરિયા અને સાયનાઈના અફાટ મેદાનો – જંગલોમાંથી સાયકલ લઈને સૌથી પહેલીવાર કોણ પસાર થયું હતું?

આખા કોરિયા ઉપખંડને ચીરતો સૌથી પહેલો સાયકલ પ્રવાસ કોણે કર્યો હતો?

અચ્છા, ત્રીજો સવાલ. સાયકલ પર ફક્ત ૧૬ કલાકમાં ૨૭૫ કિલોમીટરનું અંતર કાપવાનો સૌથી પહેલો વિશ્વ વિક્રમ કોણે નોંધાવ્યો હતો?

આ સવાલોનો આશ્ચર્યજનક અને અધૂરો જવાબ એ છે કે, આ ત્રણેય વિશ્વ વિક્રમ ગુજરાતી યુવાનોના નામે છે, જે ૧૯૨૩થી ૧૯૨૮ની વચ્ચે સર્જાયા હતા.

આટલાં વર્ષો પહેલાં ઈરાનનો રણપ્રદેશ, મેસોપોટેમિયા એટલે કે ઈરાકથી ગ્રીસ સુધીની ટાઇગ્રિસ અને યુફ્રેટિસ નદીના વેરાન મેદાનો, સીરિયાનું પાંચ લાખ સ્ક્વેર કિલોમીટરમાં ફેલાયેલું અફાટ રણ અને સાયનાઈ એટલે કે ઇજિપ્તના લાલ અને ભૂમધ્ય સમુદ્ર વચ્ચે આવેલા નિર્જન વિસ્તારમાંથી પહેલીવાર સાયકલ લઈને નીકળેલા સાહસિકો ગુજરાતીભાષી હતા. કોરિયા જેવા ‘અજાણ્યા’ ઉપખંડને ચીરતો પહેલો સાયકલ પ્રવાસ કરનારા ગુજરાતીભાષી હતા. આજે તો સાયકલ સવારીના અનેક વિશ્વ વિક્રમો નોંધાયા કરે છે, પરંતુ નવ દાયકાથી પણ વધુ સમય પહેલાં સાયકલ પર ફ્કત ૧૬ કલાકમાં ૨૭૫ કિલોમીટરનું અંતર કાપવાનો વિશ્વવિક્રમ નોંધાવનારા પણ ગુજરાતીભાષી હતા. સાયકલિંગની દુનિયામાં બીજી અનેક સિદ્ધિઓ ગુજરાતના સપૂતોના નામે છે. જેમ કે, બર્ફીલા તોફાનો વચ્ચે સ્વિત્ઝર્લેન્ડની આલ્પ્સ પર્વતમાળાઓને સાયકલ લઈને ખૂંદનારા તેમ જ ચીન-જાપાનનું યુદ્ધ ચાલી રહ્યું હતું ત્યારે આ બંને દેશના યુદ્ધક્ષેત્રોમાંથી સાયકલ લઈને પસાર થનારા પહેલવહેલા એડવેન્ચર ટ્રાવેલરો પણ ગુજરાતીભાષી હતા, એ હકીકતો જ કેટલી રોમાંચક છે!

ફેસબુક પર એવિડ ટ્રાવેલર કે એડરનલાઈન જંકી એવું સ્ટેટસ મૂકવું એ અલગ વાત છે અને કારકિર્દીને લાત મારીને, ફક્ત સાહસનો સળવળાટ સંતોષવા, ઘરેથી સાયકલ લઈને દુનિયા ફરવા નીકળી પડવું એ તદ્દન નોખી વાત છે. આ પ્રકારની સાહસ યાત્રામાં વ્યક્તિ સફળ થાય તો દુનિયા સલામ કરે પણ નિષ્ફળ જાય તો એ પ્રયાસને કોઈ યાદ સુદ્ધાં ના રાખે અને ગમે તેવો મહાન પ્રયાસ કરનારા પણ ગુમનામીની ગર્તામાં ધકેલાઈ જાય. દુ:ખની વાત એ છે કે, ૧૯૩૦ના દસકામાં ત્રણ પારસી યુવકોએ સાયકલ પર વિશ્વ ભ્રમણ કરીને સાયકલિંગ અને એડવેન્ચર ટ્રાવેલની દુનિયામાં અનેક વિશ્વ વિક્રમો નોંધાવ્યા હતા. આમ છતાં, ભારતમાં પારસીઓના પ્રદાનની વાત આવે ત્યારે તેમને ‘ગુજરાતી’ ગણાવીને છાતી ફૂલાવતા ગુજરાતે આ સાહસિક પ્રવાસીઓને, રાખવા જોઈએ, એવી રીતે યાદ રાખ્યા નથી.

***

૧૫મી ઓક્ટોબર, ૧૯૨૩ના રોજ બોમ્બે વેઇટલિફ્ટિંગ ક્લબના અદિ હકીમ, જલ બાપાસોલા, રૂસ્મત ભૂમગરા, કેકી પોચખનવાલા, ગુસ્તાદ હાથીરામ અને નરીમાન કાપડિયા નામના છ યુવાન સાયકલ લઈને દુનિયાનો આંટો મારવા નીકળ્યા હતા. જો કે, આ સાહસ યાત્રા અદિ, જલ અને રૂસ્તમ જ પૂરી કરી શક્યા હતા. સરેરાશ વીસ વર્ષની ઉંમરના એ ત્રણેય યુવાનો બોમ્બેથી દિલ્હી, આગ્રા, મુલતાન (હાલ પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં) બલુચિસ્તાનના ક્વેટાથી ભારતીય ઉપખંડની સરહદ પાર કરીને ઈરાન, ઈરાક, સીરિયા, પેલેસ્ટાઈન, ઇજિપ્ત, ઈટાલી, સ્વિત્ઝર્લેન્ડ, હંગેરી, ઝેકોસ્લોવેકિયા, જર્મની, હોલેન્ડ, બેલ્જિયમ, ફ્રાંસ, ઇંગ્લેન્ડ, સ્કોટલેન્ડ, આયર્લેન્ડ, યુનાટેડ સ્ટેટ્સ, જાપાન, કોરિયા, બર્મા અને શ્રીલંકાનો સાયકલ પ્રવાસ કરીને ૧૮મી માર્ચ, ૧૯૨૮ના રોજ ભારત પરત ફર્યા, ત્યારે તેમના નામે ૭૦,૮૧૨ કિલોમીટરનું અંતર સાયકલ પર કાપવાનો વિક્રમ નોંધાઈ ગયો હતો. બોલતા બોલતા હાંફી જવાય એટલા દેશોનો પ્રવાસ કરવા અદિ, જલ અને રૂસ્તમે ચાર વર્ષ અને પાંચ મહિનાનો સમય લીધો હતો.

મુંબઈની દાદરસ્થિત વેઇટ લિફટિંગ ક્લબની બહાર અદિ, રૂસ્તમ અને જલ તેમની સાયકલો અને અન્ય સાધનસરંજામ સાથે

આજે ય હાર્ડકોર ટ્રાવેલર સિવાય કોઈ જવાનું પસંદ નથી કરતું એવા અનેક સ્થળોએ અદિ, જલ અને રૂસ્તમ સાયકલ લઈને ફર્યા હતા. આ યુવાનોએ મુંબઈથી નીકળતી વખતે શક્ય હોય ત્યાં બધે જ દરિયાઈ અને રેલવે મુસાફરી અવગણી હતી કારણ કે, તેઓ ઈચ્છતા હતા કે તેમનો મહત્તમ પ્રવાસ સાયકલ પર જ થાય. આ રીતે પ્રવાસ કરવામાં અનેક સ્થળોએ તેમની જબરદસ્ત માનસિક કસોટી થઈ અને ક્યાંક તો સાક્ષાત મોતના દર્શન પણ થયા. જેમ કે, ભારત સહિત અનેક પ્રદેશોના જંગલોમાંથી ગાઢ જંગલોમાંથી પસાર થતી વખતે જંગલી પ્રાણીઓ, સાપ, લૂંટારા અને માણસને ય મારીને ખાઈ જાય એવી આદિ જાતિઓનો સામનો કર્યો. ઈરાકથી સાયનાઈ સુધીના ૧૦૦૭ કિલોમીટરનો પ્રવાસ કરતી વખતે ૬૦ ડિગ્રી ગરમીમાં સાયકલ ચલાવવી પડી. યુરોપના અમુક વિસ્તારોમાં પોચટ હૃદયના માણસના તો ગણતરીની ક્ષણોમાં જ રામ રમાડી દે એવી હિમવર્ષાનો સામનો કર્યો. કેટલાક વિસ્તારોમાં તો બર્ફીલા વાવાઝોડા સાથેના વરસાદથી બચવા માટે તેઓ પોતાની રજાઈઓનો ઉપયોગ કરીને માંડ માંડ મોતની ચુંગાલમાંથી બચ્યા. આ સાહસિકોને ક્યાંક ઉમળકાભેર આવકાર મળ્યો તો ક્યાંક જેલની હવા પણ ખાવી પડી.

સાયકલ યાત્રામાં આવરી લેવાયા હતા એ દેશો અને શહેરો

અદિ, જલ અને રૂસ્તમનો સાયકલ પ્રવાસ એક સાહસયાત્રાથી ઘણો વિશેષ છે કારણ કે, તેઓ કોઈ પણ દેશની સરહદોને અડીને નીકળી નહોતા જતા પણ જે તે વિસ્તારોના જાણીતા ભૌગોલિક પ્રદેશો, જંગલો, નદીઓ, કોતરો અને પર્વતમાળાઓ નજીક સાયકલ પ્રવાસ કરતા. એટલું જ નહીં, તેઓ વિવિધ દેશોમાં નક્કી કરેલા સમયમાં સ્થાનિક સ્થાપત્યો, મ્યુિઝયમો, સંસ્કૃિત વગેરે વિશે જાણ્યા પછી જ આગળ વધતા હતા. આ વાતની સાબિતીરૂપે તેમણે અનેક દેશોના વડાપ્રધાનો, વિદેશોમાં બ્રિટન વતી ફરજ બજાવતા વાઈસરોય, ગવર્નર જનરલો, ઉચ્ચ સરકારી અને યુદ્ધ ક્ષેત્રોનો હવાલો સંભાળતા લશ્કરી અધિકારીઓના હસ્તાક્ષર પણ લીધા હતા. કમ્ફર્ટ ઝોનમાં રહીને એક પર્યટક(ટુરિસ્ટ)ની જેમ પ્રવાસ કરવો અને એક પ્રવાસી(ટ્રાવેલર)ની જેમ ઘરેથી નીકળી પડવું એમાં આસમાન-જમીનનો ફર્ક છે. સામાન્ય વ્યક્તિ પ્રિ-પ્લાન વિના ટ્રાવેલિંગ કરીને ‘પેકેજ્ડ ટુરિસ્ટ’થી કંઈક અલગ કર્યાનો સંતોષ જરૂર મેળવી શકે, પરંતુ દુનિયા યાદ રાખે એવા ટ્રાવેલર બનવા માથે ભૂત સવાર થયું હોવું જરૂરી છે. અદિ, જલ અને રૂસ્તમ ઘરેથી સાયકલ યાત્રાએ નીકળ્યા ત્યારે સારી રીતે જાણતા હતા કે, કદાચ તેઓ પાછા ના પણ આવે! પરંતુ એ એ ત્રણેય યુવાનોના માથે ભારત માટે કંઈક કરવાનું ભૂત સવાર હતું.

અદિ, જલ અને રૂસ્તમ કહેતા કે, ‘‘એક યુવાન હોવાના નાતે અમે ભારત માતાનું નામ દુનિયાના એ દરેક ખૂણામાં લઈ જવાની અત્યંત પ્રબળ ઈચ્છા ધરાવીએ છીએ, જ્યાં ભારત ફક્ત એક ભૌગોલિક વિસ્તાર તરીકે ઓળખાય છે. કોઈ રાજકીય ક્ષેત્રે કામ કરે તો કોઈ આર્થિક, પરંતુ અમે રમતગમત ક્ષેત્રે ભારતનું નામ રોશન કરવા ઈચ્છીએ છીએ. રમતગમતમાં નામના ધરાવતા દેશો અને ભારત વચ્ચે અમે કડી બનવા માગીએ છીએ, જેનું મહત્ત્વ બિલકુલ ઓછું નથી. અમારે પણ દુનિયાનો ઓતપ્રોત થઈને અનુભવ કરવો છે. અમે વિશ્વને પણ ભારત અને ભારતીયોથી પરિચિત કરાવવા માગીએ છીએ. આ અઘરા મિશનમાં સાયકલ પ્રવાસ એક નાનું સાહસ છે, પરંતુ અમે અમારું પ્રદાન આપવાનો નિર્ણય લઈ લીધો છે…’’ ‘‘અમે ઈચ્છીએ છીએ કે, અમારા પ્રવાસને બીજી પણ એક દૃષ્ટિએ જોવામાં આવે. આજનો યુવાન આવતીકાલનો નાગરિક છે. દુનિયામાં કશું પણ મેળવવા ચરિત્ર જોઈશે. ભવિષ્યના ભારતને બહાદુર, ઊર્જાસભર, સ્વપ્રેરણાથી આગળ વધનારા, જૂની રૂઢિઓને ફગાવી દેનારા, વ્યવસાયિક સાહસનું બુદ્ધિપૂર્વક આયોજન કરીને તેનો પૂરેપૂરી ક્ષમતાથી અમલ કરી શકે એવા ઉચ્ચ ચરિત્ર ધરાવતા નાગરિકો જોઈશે …’’

અદિ, હકીમ અને રૂસ્તમે આશરે ૯૪ વર્ષ પહેલાં આ શબ્દો લખ્યા હતા. એટલું જ નહીં, આજે સાયકલ, બાઈક કે કાર લઈને વિશ્વભ્રમણ કરતા મોટા ભાગના સાહસિકોની સમગ્ર ટૂર સપોર્ટેડ હોય છે, જ્યારે આટલાં વર્ષો પહેલાં તેમણે અનસપોર્ટેડ સાયકલ ટૂર કરી હતી. સપોર્ટેડ ટૂરમાં ટ્રાવેલરને અગાઉથી નક્કી કરેલાં અનેક સ્થળે મદદ મળે છે, જ્યારે અનસપોર્ટેડ ટૂરમાં આ પ્રકારની ‘લક્ઝરી’ મળતી નથી.

***

અદિ, જલ અને રૂસ્તમની કહાની પ્રવાસ, ધૈર્ય, હિંમત, સહશક્તિની જ નહીં પણ પારસીઓની ઉદારતા, બુદ્ધિચાતુર્ય અને ભારત માતા પ્રત્યેની દેશદાઝની પણ કહાની છે. દેશમાં આટલી ઓછી વસતી ધરાવતા પારસીઓ એક સમાજ તરીકે કેમ જબરદસ્ત સફળતા મેળવી શક્યા છે એની પણ કહાની છે. પત્રકારત્વ, રંગભૂમિ અને વેપાર-ઉદ્યોગ ક્ષેત્રે પણ પારસીઓ હંમેશાં જમાનાથી આગળ કેવી રીતે રહી શક્યા છે એની પણ કહાની છે. આ કહાની એ પારસીઓની પણ છે, જે આઠમી સદીમાં શરણાર્થીઓ તરીકે ગુજરાતમાં સંજાણના દરિયાકાંઠે ઉતર્યા હતા અને હજુયે પારકી ભૂમિનું ચૂપચાપ ઋણ ઉતારી રહ્યા છે. આજકાલ શરણાર્થીઓને નફરત કરવાનો યુગ ચાલી રહ્યો છે અને શરણાર્થીઓ પણ શરણું આપનારા દેશોનો વિશ્વાસ જીતવામાં નિષ્ફળ રહ્યા છે, ત્યારે પારસીઓ દુનિયા માટે જીવતીજાગતી મિસાલ છે.

પુસ્તકનું કવરપેજ

આ કહાનીઓ ‘વિથ સાયકલિસ્ટ્સ અરાઉન્ડ ધ વર્લ્ડ’ નામના પુસ્તકના પાને પાને વાંચવા મળે છે. આ પુસ્તક પણ ખુદ એક કહાની છે. અદિ, જલ અને રૂસ્તમ મુંબઈ પરત ફર્યા ત્યારે સ્વજનો, સગાંવ્હાલા ંઅને બીજા અનેક લોકો તેમને સાયકલ પ્રવાસ વિશે સવાલો પૂછતા. આ લોકોને જવાબ આપવા તેમણે ‘વિથ સાયકલિસ્ટ્સ અરાઉન્ડ ધ વર્લ્ડ’ નામે એક ટ્રાવેલોગ પ્રકાશિત કર્યો, જે આ પ્રવાસ વખતે લખેલી ડાયરીથી વિશેષ ન હતો. રસપ્રદ વાત એ છે કે, ટાઇપ રાઇટર પર લખાયેલા આ પુસ્તકનું આમુખ જવાહરલાલ નહેરુએ લખી આપ્યું હતું. આમુખની પહેલી જ લીટીમાં નહેરુ લખે છે કે, આ પ્રકારનું પુસ્તક આપનારા જુવાનિયાઓની મને ઈર્ષા થાય છે…

આ પુસ્તક સહિત અદિ, જલ અને રૂસ્તમની ડાયરી, તસવીરો વગેરે અદિ હકીમના વડોદરાસ્થિત પુત્ર દારાયૂસ હકીમ અને રોડા હકીમના ત્યાં સચવાયેલું છે, જે તેમના ફેમિલી ફ્રેન્ડ એસ્થર ડેવિડના ધ્યાનમાં આવ્યું. એસ્થર ડેવિડ અમદાવાદસ્થિત જાણીતાં લેખિકા અને કળા વિવેચક છે. એ પછી એસ્થર ડેવિડના પ્રયાસથી વર્ષ ૨૦૦૮માં હકીમ પરિવારે અદિ, જલ અને રૂસ્તમની સાયકલ યાત્રા ‘વિથ સાયકલિસ્ટ્સ અરાઉન્ડ ધ વર્લ્ડ’ નામે પ્રકાશિત કરી. આ પુસ્તકમાં પણ નહેરુએ લખેલું આમુખ, અદિ-જલ-રૂસ્તમની પ્રસ્તાવના અને તેમણે લીધેલા વૈશ્વિક હસ્તીઓના હસ્તાક્ષરનો સમાવેશ કરાયો છે.

ત્રણેય સાહસવીરો (વચ્ચે રૂસ્તમ, જલ અને અદિ) પરત આવ્યા ત્યારે મુંબઈના માતૃ-પિતૃ નિવાસ નવરોઝ બાગની બહાર ક્લિક કરાયેલી એ ગર્વિષ્ઠ ઐતિહાસિક ક્ષણ

આ પુસ્તકના આધારે મહેન્દ્ર દેસાઈએ ‘ચિત્રલેખા’ સામાયિકમાં ‘પેડલ પર પૃથ્વીની પરકમ્મા’ નામે હપ્તાવાર નવલકથા લખી હતી. જુલાઈ ૧૯૮૪માં આ નવલકથા પુસ્તક સ્વરૂપે પણ પ્રકાશિત થઈ. એટલું જ નહીં, ગુજરાતીઓને ‘સળગતા સૂરજમુખી’ જેવો ઉત્કૃષ્ઠ અનુવાદ આપનારા સ્વ. વિનોદ મેઘાણીએ આ નવલકથાનો અંગ્રેજી અનુવાદ પણ કર્યો છે, જે પ્રકાશકો સાથે મેળ નહીં પડવાના કારણે હજુયે અપ્રકાશિત છે. આ અંગ્રેજી રૂપાંતર માટે તેમણે નવલકથાના વિવિધ પ્રસંગોના સુંદર સ્કેચ પણ તૈયાર કરાવ્યા છે, જે હાલ તેમના ઘરે સચવાયેલા છે.

બીજી એક વાત. ‘વિથ સાયકલિસ્ટ્સ અરાઉન્ડ ધ વર્લ્ડ’ એડવેન્ચર ટ્રાવેલ કેટેગરીમાં દુનિયાના શ્રેષ્ઠ પુસ્તકોમાં સ્થાન પામે એવું છે. આ પુસ્તક પારસીઓ માટે જ નહીં, તમામ ગુજરાતીઓ માટે ગૌરવ લેવા જેવો ઐતિહાસિક દસ્તાવેજ છે. આમ છતાં, તેનો હજુ સુધી ગુજરાતી અનુવાદ ઉપલબ્ધ નથી. ભારતીયો ઈતિહાસને કદાચ ગંભીરતાથી લેતા હોત તો, ગુજરાતના કોઈ શહેરમાં કે પછી મુંબઈમાં આ ત્રણેય સાહસિકોના નામે એક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ જરૂર હોત!

***

આ સાયકલ યાત્રની વાત અદિ, જલ અને રૂસ્તમના જ શબ્દોમાં પૂરી કરીએ. તેઓ કહેતા કે, ‘‘… આજના યુવાનોને પ્રેરણામૂર્તિની જરૂર પડે છે. જો અમારું સાહસ એ દરેક આશાસ્પદ યુવાનમાં પડેલી સુષુપ્ત શક્તિને પ્રગટ કરવામાં મદદરૂપ થશે, જો આ મિશનમાંથી લોકો શીખશે કે પ્રયાસ કરવાથી સફળતા મળે જ છે, જો અમારા આ પ્રયાસથી લોકો સમજશે કે જ્યાં સુધી તમે જાતની કસોટી કરતા નથી ત્યાં સુધી તમે તમારી શક્તિઓથી અજાણ રહો છો, જો આ સાહસથી યુવાનોને એવા ગર્વની લાગણી થશે કે ભારત માતાના સપૂતો પણ બીજા દેશોથી જરાયે ઉતરતા નથી, તો અમને પૂરો વિશ્વાસ છે કે અમારી આ સાહસયાત્રા નિરર્થક સાબિત નહીં થાય …’

‘ફ્રેન્કલી સ્પીકિંગ’ નામક લેખકની કોલમ, ‘શતદલ’ પૂર્તિ, “ગુજરાત સમાચાર”, 31 જાન્યુઆરી 2017

સૌજન્ય : http://vishnubharatiya.blogspot.co.uk

e.mail : vishnubharatiya@gmail.com

Loading

...102030...3,4463,4473,4483,449...3,4603,4703,480...

Search by

Opinion

  • પૈસા આપવાનું વચન આપીને RSS દ્વારા બોલાવાયેલા સત્યાગ્રહીઓ!
  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved