Opinion Magazine
Number of visits: 9664565
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

એક ન્યાયતંત્ર જ બાકી હતું, તે ય શંકાના ઘેરામાં આવી ગયું …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|24 March 2025

રવીન્દ્ર પારેખ

14 માર્ચ, 2025 ને રોજ હોળીની રાત્રે, દિલ્હી હાઈકોર્ટના જસ્ટિસ યશવંત વર્માના ઘરે, સાડા અગિયારે લાગેલી આગમાં ફાયર બ્રિગેડને 15 કરોડથી વધુ રોકડ રકમનો જથ્થો હાથ લાગ્યો. 

6 જાન્યુઆરી, 1969ને રોજ અલ્હાબાદમાં જન્મેલા જસ્ટિસ વર્મા દિલ્હી હાઈકોર્ટના સૌથી મોટા બીજા ન્યાયાધીશ છે. તેઓ 2016થી 2021 સુધી અલ્હાબાદ હાઈકોર્ટના જજ રહી ચૂક્યા છે. જસ્ટિસ વર્માના સરકારી બંગલામાં આગ લાગી ત્યારે તેઓ ઘરે ન હતા એટલે પરિવારે ફાયર બ્રિગેડને જાણ કરી. ફાયરબ્રિગેડને ઘરના એક રૂમમાંથી રોકડ નોટોનો ઢગલો મળ્યો. આગ તો 15 મિનિટમાં કાબૂમાં આવી ગઈ, પણ 15 કરોડનો ધુમાડો દિલ્હી હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી તો પહોંચ્યો જ ને કોઈક રીતે આ સમાચાર લીક થતાં દેશ ભરમાં પણ ફેલાયો. 

આ દરમિયાન 20 માર્ચે સુપ્રીમના ચીફ જસ્ટિસ સંજીવ ખન્નાએ 5 સભ્યોના કોલેજિયમની એક બેઠક કરી અને જસ્ટિસ વર્માને ફરી અલ્હાબાદ હાઇકોર્ટમાં ટ્રાન્સફર કરવાનો પ્રસ્તાવ મૂક્યો. 21 માર્ચે સુપ્રીમે એક પ્રેસ રિલીઝમાં જણાવ્યું કે જસ્ટિસ વર્માની ટ્રાન્સફરના પ્રસ્તાવને અને બંગલામાંથી મળી આવેલ રોકડને કોઈ સંબંધ નથી. બંનેની આંતરિક તપાસ અલગ અલગ છે. તપાસનું તો એવું છે કે સુપ્રીમના કે હાઈકોર્ટના જસ્ટિસ સામે કાર્યવાહી કરવા માટે સુપ્રીમ પાસે આંતરિક તપાસ સમિતિ (ઇન હાઉસ) છે. હાઈકોર્ટના ચીફ જસ્ટિસ ઉપાધ્યાયે આ મામલે તપાસ કરીને 21 માર્ચે સુપ્રીમના સી.જે.આઈ. સંજીવ ખન્નાને રિપોર્ટ સોંપી પણ દીધો.

જો કે, જજો પર આઇ.પી.સી.ની કલમ 77 અને બી.એન.એસ. એક્ટની કલમ 15 મુજબ સામાન્ય માણસની જેમ ફોજદારી કેસ કરી શકાતો નથી. આમાં તો ન્યાયાધીશ રાજીનામું આપે અથવા તો મહાઅભિયોગથી તેમને દૂર કરી શકાય, એટલું જ થઈ શકે. 1999માં સુપ્રીમ કોર્ટે નક્કી કરેલી ગાઈડ લાઇન મુજબ સુપ્રીમના ચીફ જસ્ટિસ સંબંધિત જજ પાસેથી જવાબ માંગે છે. જવાબ સંતોષકારક ન હોય તો આંતરિક તપાસ સમિતિની રચના કરવામાં આવે છે. તપાસમાં જજ દોષિત ઠરે તો સુપ્રીમના ચીફ જસ્ટિસ તેમને રાજીનામું આપવાનું કહી શકે. જજ તેમ કરવા ન માંગે તો સુપ્રીમના સી.જે.આઈ. તેમની સામે મહાઅભિયોગની ભલામણ સરકારને કરી શકે. સંસદમાં મહાભિયોગ પસાર થાય તો રાષ્ટ્રપતિના આદેશથી જજને તેમના પદ પરથી દૂર કરવામાં આવે છે. 

સી.જે.આઈ. ખન્નાએ જસ્ટિસ વર્માની અલ્હાબાદ હાઇકોર્ટમાં બદલીની દરખાસ્ત મૂકી તો હાઇકોર્ટ બાર એસોસિયેશને તેનો એમ કહીને વિરોધ કર્યો કે અલ્હાબાદ હાઈકોર્ટ ડસ્ટબિન નથી કે ભ્રષ્ટ લોકોને ન્યાય આપવા અહીં મોકલી આપવામાં આવે. ટૂંકમાં, બાર એસોસિયેશન જસ્ટિસ વર્માના સ્વાગત માટે ઉત્સુક નથી. જસ્ટિસ વર્મા અત્યારે તો રજા પર છે, પણ તેમનું નામ અગાઉ સી.બી.આઈ.ની એફ.આઇ.આર.માં પણ ખૂલ્યું હતું. 2018માં યશવંત વર્મા સામે કેસ નોંધાયો હતો. તે વખતે તેઓ સિમ્ભોલી સુગર્સ લિમિટેડના નોન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર હતા. ઓરિએન્ટલ બેન્ક ઓફ કોમર્સે મિલમાં ગોટાળાઓ અંગે એવી ફરિયાદ કરી હતી કે સુગર મિલ દ્વારા બેન્ક સાથે છેતરપિંડી કરવામાં આવી હતી. 

15 કરોડની રોકડ મળવા અંગે દિલ્હી ફાયર સર્વિસના વડા અતુલ ગર્ગે પહેલાં તો નન્નો ભણ્યો, પણ પછી તેમણે નિવેદન પાછું ખેંચ્યું ને એમ કહ્યું કે રોકડ ન મળવા અંગેનું નિવેદન તેમણે આપ્યું નથી. એની સામે આગના ફોટો અને વીડિયો સામે આવ્યા છે, જેમાં 500ની નોટનાં બળેલાં બંડલો ફાયર બ્રિગેડના માણસો દ્વારા બહાર કઢાતાં દેખાય છે. જસ્ટિસ વર્માનું કહેવું છે કે મેં કે મારા પરિવારના કોઈ સભ્યે ક્યારે ય સ્ટોર રૂમમાં રોકડ રાખી નથી. આ રકમ મારી નથી. ઘટનાના દિવસે હું ને મારી પત્ની ભોપાલ હતા. મારી પુત્રી અને વૃદ્ધ માતા ઘરે હતાં. હું 15 માર્ચે પત્ની સાથે દિલ્હી પાછો ફર્યો. આ તો મને ફસાવવાનું ષડયંત્ર છે. એમને ષડયંત્ર કઈ રીતે લાગે છે એનો ફોડ એમણે પાડ્યો નથી. આ રકમ તેમની ન હોય, તો કોઈ આટલી રકમ શું કામ મૂકી જાય? એ દ્વારા રોકડ મૂકનારે શું મેળવવું હોય એના જવાબો મળતા નથી. જો કે, 22 માર્ચે સુપ્રીમના સી.જે.આઈ. સંજીવ ખન્નાએ જસ્ટિસ વર્મા વિરુદ્ધ આરોપોની આંતરિક તપાસ માટે 3 સભ્યોની કમિટી બનાવી છે ને દિલ્હી હાઈકોર્ટના ચીફ જસ્ટિસ ડી.કે. ઉપાધ્યાયને જસ્ટિસ વર્માને કોઈ ન્યાયિક કાર્ય ન સોંપવા જણાવ્યું છે.

એક બાબત સ્પષ્ટ છે કે કશુંક ધૂંધળું છે. સી.બી.આઈ. કે ઇ.ડી.ના દરોડા પડ્યા ત્યારે વર્મા સાહેબના ઘરેથી રોકડ નહોતી પકડાઈ, તે આગ લાગવાથી બહાર આવી. કોલેજિયમમાં લેવામાં આવેલા નિર્ણયો અંગે આગોતરી તકેદારી પણ કશુંક ધૂંધળું છે તેનો જ સંકેત આપે છે. જસ્ટિસ વર્માની ટ્રાન્સફર અને કોલેજિયમનો નિર્ણય એકબીજા સાથે સંબંધિત નથી કે અફવાઓથી દૂર રહેવાની વાતો પારદર્શી જણાતી નથી. વર્મા સાહેબને ત્યાં સી.બી.આઈ. કે ઇ.ડી.ના દરોડા પડવાનું એમ જ બન્યું હતું? એ તો ઠીક સુગર મિલ મામલામાં તેમની સામે સી.બી.આઈ.એ એફ.આઇ.આર. કરી છે તે પણ એમ જ થઈ છે? સી.બી.આઇ.ની એફ.આઇ.આર.માં તેમનું દસમું નામ હતું ને આરોપ એવો હતો કે ખેડૂતો માટે લેવાયેલી લોન અન્ય ખાતામાં ટ્રાન્સફર કરી દેવાઈ હતી. સવાલ તો એ પણ છે કે 14 માર્ચની મધરાતની આ ઘટનાની જાણ સુપ્રીમને છેક 20 માર્ચે થાય છે, કેમ? 15 કરોડ જેવી રકમ રાખ થઈ છે ને તે તો હવે હાથમાં રહી નથી, તો વર્મા સાહેબ તે રકમ પોતાની છે એવું કબૂલવાનું ડહાપણ પણ કેમ દાખવે, ખાસ તો વાત દુનિયામાં ચોળાઈ ચૂકી હોય? 

એ જે હોય તે, વધુ તો તપાસ પૂરી થયે ખબર પડશે, પણ સુપ્રીમનો, બદલી અને રોકડ વચ્ચે કોઈ સંબંધ ન હોવાનો ખુલાસો ગળે ઉતારવાનું મુશ્કેલ છે. વારુ, બદલી પણ અલ્હાબાદ હાઇકોર્ટમાં જ કેમ? ત્યાંથી જ તો દિલ્હી હાઇકોર્ટ આવ્યા હતા ! સુપ્રીમ કોલેજિયમે તો જે નિર્ણય કરવો હોય તે ભલે કરે, પણ માત્ર બદલી તો સજાને બદલે સંરક્ષણ પૂરું પાડવા જેવું થશે. સ્પષ્ટ વાત તો એ જ હોય કે બદલી કે કામ ન કરાવવાને બદલે રાજીનામું માંગી લેવાય કે મહાઅભિયોગના પ્રસ્તાવ દ્વારા તેમને હટાવવામાં આવે. 

આશ્ચર્ય તો એનું પણ છે કે અનેક વિસંગતિઓ છતાં કોલેજિયમ સિસ્ટમ અસ્તિત્વમાં છે. આ સિસ્ટમ ન્યાયિક સ્વતંત્રતા માટે હોય તેનો તો શો વાંધો હોય, પણ તેમાં ન્યાય સંદર્ભે જ બીજા પ્રશ્નો પણ ઊઠ્યા છે. વડા પ્રધાનથી માંડીને ક્લાર્ક સુધીની નિમણૂક પારદર્શી હોય, તો એવી પારદર્શિતા ન્યાયાધીશોની નિમણૂક બાબતે પણ અપેક્ષિત હોય. 15 કરોડ કોઈ ક્લાર્કના ઘરમાંથી મળે તો તેની બદલી કરવાથી ચાલી જશે? તો, ન્યાયાધીશને ત્યાંથી 15 કરોડ મળે તો તેની બદલીથી જ બધું સમેટાઈ જવું ન જોઈએ.

કોલેજિયમ સિસ્ટમમ, સુપ્રીમના મુખ્ય ન્યાયાધીશ, અને અન્ય ચાર કે પાંચ ન્યાયાધીશોની બોડી છે. તેનું મૂળ કામ સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના જજોની નિમણૂક કરવાનું છે. આમ તો એ નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે, પણ તે ઔપચારિકતા જ વધુ છે. કોલેજિયમ ન્યાયાધીશોનાં નામની ભલામણ કેન્દ્ર સરકારને કરે છે. કાયદા મંત્રી તે નામો વડા પ્રધાનને મોકલે છે. વડા પ્રધાન તે નામો રાષ્ટ્રપતિને મોકલે છે. રાષ્ટ્રપતિ તે પછી નોટિફિકેશન બહાર પાડીને જે તે નામની ન્યાયાધીશ તરીકે નિમણૂક કરે છે. આમાં સરકારની ભૂમિકા, ઇન્ટેલિજન્સ બ્યૂરો-IB દ્વારા ચકાસણી બાદ, નામો રાષ્ટ્રપતિ સુધી પહોંચાડવાથી વિશેષ નથી. સરકારને કોઈ નામ ઠીક ન લાગે તો તે પુનર્વિચારણા માટે કોલેજિયમને મોકલી શકે ને કોલેજિયમ એ જ નામ ફરી મોકલે તો, સરકાર તેની નિમણૂક કરવા બંધાયેલી છે. એક તબક્કે નિમણૂકનો અંતિમ નિર્ણય સરકાર પાસે હતો, પણ સરકારનો નિર્ણય રાજકીય હેતુઓ યુક્ત હોય તો ન્યાયિક સ્વતંત્રતા પ્રભાવિત થાય, એટલે કોલેજીયમનો મહિમા જળવાઈ રહે એ પણ જરૂરી હતું, પણ એમાં ય વિસંગતિઓ પ્રવેશી છે, તો કોલેજિયમ સિસ્ટમ અંગે પુનર્વિચાર થવો ઘટે.

આશ્ચર્ય તો એ વાતે પણ છે કે વિસંગતિઓ જાણવા છતાં જજોની નિયુક્તિની પ્રક્રિયામાં કોઈ પરિવર્તન આવ્યું નથી. એક તબક્કે ભા.જ.પ.ની કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય ન્યાયિક નિયુક્તિ આયોગ બનાવવાની કોશિશ કરી જોઈ, પણ સર્વોચ્ચ ન્યાયાલયે તેને અસંવૈધાનિક ઠેરવીને છેદ ઉડાડી દીધો. આયોગમાં ફેરફાર કરવાને બદલે તેનો છેદ એટલે ઉડાવાયો કે જજની નિમણૂક જજ જ કરે એવું વધુ યોગ્ય લાગ્યું હોય, પણ કોલેજિયમ દ્વારા થતી નિયુક્તિ ઉપરાંત ન્યાયતંત્રમાં પણ ભ્રષ્ટાચાર સંદર્ભે સવાલો ઉદભવ્યા છે. એવું તો નથી કે ન્યાયતંત્ર ભ્રષ્ટતાથી પર છે? બીજું કૈં નહીં તો, સાધારણ માણસનો ભરોસો ન્યાયતંત્ર પર ટકી રહે એટલી ચિંતા તો થવી જોઈએ …

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 24 માર્ચ 2025

Loading

એક ગુજરાતી યુવતીએ જ્યારે મરણાસન્ન ઈદી અમીનને કહ્યું હતું: મારી સામે જુઓ!

રાજ ગોસ્વામી|Opinion - Opinion|24 March 2025

રાજ ગોસ્વામી

ગુજરાતી ભાષાની પ્રસિદ્ધ ‘સરસ્વતીચંદ્ર’ નવલકથાના લેખક ગોવર્ધનરામ ત્રિપાઠી પરિવારના વારસ સલિલ ત્રિપાઠીએ ગુજરાતી સંસ્કૃતિ પર અંગ્રેજીમાં એક પુસ્તક લખ્યું છે. તે નિમિત્તે, એક્ટર અને એન્કર સાયરસ ભરૂચા સાથે તેમનું એક પોડકાસ્ટ સાંભળવાનો મોકો મળ્યો હતો. તેમાં, દેશ-વિદેશના ગુજરાતીઓની ઘણી વાત થઇ હતી. 

તે દરમિયાન, ગુજરાતીઓના પહેલા વિદેશી ડેસ્ટીનેશન ઇસ્ટ આક્રિકાની વાત નીકળી. તેમાં સલિલભાઈએ ગુજરાતીઓ કેવી રીતે આફતમાંથી ઊભા થાય છે અને પ્રગતિ કરે છે તેની એક રસપ્રદ વાત ટાંકી. જેણે ગુજરાતીઓને પહેરેલે લૂગડે હાંકી કાઢ્યા હતા તે યુગાન્ડાના તાનાશાહ ઈદી અમીન પાછળથી બીમાર પડ્યા અને સાજા થવા માટે સાઉદી અરેબિયા ગયા, ત્યારે ત્યાં વાસંતી મકવાણા નામની એક નર્સે તેમની સારવાર કરી હતી અને ઈદી અમીનને કહ્યું પણ હતું કે, “તમે અમને લોકોને તગેડી મુક્યા હતા અને હવે અમે તમારો જીવ બચાવી રહ્યા છીએ.”

આ વાત બહુ જાણીતી નથી લાગતી. ગુજરાતીઓ અને ગુજરાતીઓને લગતાં પુસ્તકોમાં તેનો ઉલ્લેખ નથી. થોડી છૂટીછવાઈ માહિતી પત્ર-પત્રિકાઓમાં પડેલી છે. કોણ હતી આ વાસંતી મકવાણા અને શું હતી ઈદી અમીનની વાર્તા?

રાજકોટથી નીકળતા ‘અબતક’ નામના સાંધ્ય દૈનિકના એક લેખ અનુસાર, વર્ષો પહેલાં પોરબંદરનો એક દલિત યુવાન, જહાજમાં મજૂર તરીકે આફ્રિકા ગયો હતો અને તેના શેઠના કહેવાથી યુગાન્ડામાં રોકાઈ ગયો હતો. પાછળથી તેણે તેની પત્નીને પણ બોલાવી લીધી હતી. તેને એક દીકરો થયો હતો અને તે યુગાન્ડાના નાગરિક તરીકે મોટો થયો હતો. આ દીકરાએ યુગાન્ડાની એક દલિત છોકરી સાથે લગ્ન કર્યાં હતાં. તેને એક દીકરી થઇ તેનું નામ વાસંતી મકવાણા.

1971માં, યુગાન્ડાની સેનાના કમાન્ડર ઈદી અમીને, ઇઝરાયેલની મદદથી, બળવો કરીને પોતાને ત્રીજા રાષ્ટ્રપતિ તરીકે સ્થાપિત કર્યા હતા. તેનું શાસન યુગાન્ડાના ઇતિહાસમાં સૌથી ઘાતકી હતું. યુગાન્ડાની સેનામાં વિરોધીઓને દબાવવા માટે થઈને ઈદીએ મોટા પાયે વંશીય સાફ-સફાઈ શરૂ કરી હતી અને થોડા જ સમયમાં તે વંશીય નરસંહાર બની ગયો હતો. કહેવાય છે કે તેના આઠ વર્ષના શાસનમાં 80 હજારથી લઈને 3 લાખ લોકોની કત્લેઆમ કરવામાં આવી હતી. એમ્નેસ્ટી ઈન્ટરનેશનલ 5 લાખનો આંકડો આપે છે.

1972માં, ઈદીએ યુગાન્ડામાં રહેતા ભારતીયોને 90 દિવસમાં દેશ છોડી દેવાનો હુકમ કર્યો હતો. તે વખતે ત્યાં 80 હજાર ભારતીયો રહેતા હતા. આ લોકો યુનાઇટેડ કિંગ્ડમ, કેનેડા, કેન્યા, પાકિસ્તાન અને ભારત રવાના થઇ ગયા હતા. 

1986માં, યોવેરી મુસેવેની નામના ઉદારવાદી નેતાએ દેશની કમાન સંભાળી, ત્યારે ઘણા ભારતીયો, ખાસ કરીને  ગુજરાતીઓ, યુગાન્ડા પાછા ફર્યા હતા. 

મુસેવેનીએ ત્યારે કહ્યું હતું કે, “યુગાન્ડાના સામાજિક અને ઔદ્યોગિક વિકાસમાં ગુજરાતીઓએ આગળ પડતી ભૂમિકા ભજવી છે. મને ખબર છે કે આ પ્રજા મારા દેશમાં જાદુ કરે તેવી છે.”

1972માં જે સ્થળાંતર થયું, તેમાં પેલો દલિત પરિવાર પણ હતો. તે થોડા સમય સુધી શરણાર્થી શિબિરમાં રહ્યો હતો અને પછી બીજા અસંખ્ય પરિવારોની સાથે બ્રિટન જતો રહ્યો હતો. તે વખતે વાસંતીની ઉંમર 14 વર્ષની હતી. તેની સાથે તેનાં બીજાં ચાર ભાડુંઓ હતાં. તે બ્રિટનમાં ભણીને ડોકટર બની હતી અને મિશનરીઓની મદદથી વધુ ભણવા માટે કેનેડા ગઈ અને ત્યાં જ સ્થાયી થઇ હતી.

1979માં, સેનાના જનરલ અને દેશના ઉપરાષ્ટ્રપતિ મુસ્તફા એદ્રિસીએ અમીન સામે બળવો કર્યો અને તેમને પદભ્રષ્ટ કર્યાં. તેઓ લીબિયા ભાગી ગયા અને અંતત: સાઉદી અરેબિયામાં શરણ લીધું. પાછલાં વર્ષોમાં તેમનું સ્વાસ્થ્ય કથળ્યું હતું. 19 જુલાઈ, 2003માં તે કોમામાં જતા રહ્યા હતા અને જેદ્દાહમાં કિંગ ફૈસલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

યોગાનુયોગ, તે સમયે વાસંતી મકવાણા એ જ હોસ્પિટલમાં વધુ મેડિકલ અનુભવ માટે આવેલી હતી. આ અંગે, ‘ન્યુ ઇંગ્લિશ રીવ્યુ’ નામની એક પત્રિકામાં વાસંતીનું લાંબુ બયાન પ્રગટ થયેલું છે. તેમાં તે કહે છે કે તેને એક રાતે અઢી વાગે એક વી.આઈ.પી. દર્દીની સારવાર માટે ઈમરજન્સી યુનિટનો ફોન આવ્યો હતો.

વાસંતી જ્યારે ઈમરજન્સી વોર્ડમાં પહોંચી ત્યારે તેના આઘાત અને આશ્ચર્ય વચ્ચે સ્ટેચર પર ઈદી અમીન હતા. વાસંતી કહે છે, “એ એક દુ:સ્વપ્ન જેવું હતું. આ માણસે હજારો એશિયન લોકોને તગેડી મુક્યા હતા. અને હવે મારી નજર સામે શ્વાસ લેવા માટે ઝઝૂમી રહ્યો હતો. મારું દિલ જોર જોરથી ધડકતું હતું. મેં જાતને કહ્યું હતું – વાસંતી, જાતને સંભાળ! આ માણસ ઘરડો થઇ ગયો છે, એ તને કશું નહીં કરે, તેને તારી મદદની જરૂર છે.”

વાસંતી કહે છે કે ઈદી અમીને તેનો હાથ પકડીને કમજોર અવાજમાં કહ્યું હતું, “પ્લીઝ હેલ્પ મી … હું બહુ બીમાર છું.” વાસંતીએ હિંમત ભેગી કરીને તેમના હાથ પર હાથ મૂકીને કહ્યું હતું, “સર, તમે કાબેલ હાથમાં છો અને અમે તમને સાજા કરવા માટે બનતું કરીશું.”

તેમને આઈ.સી.યુ.માં લઇ જવા પડે તેમ હતા. તેના માટે તૈયારી ચાલતી હતી તે વખતે વાસંતી પાસે થોડી મિનિટો હતી. તેમની સાથે વાત કરવાનો આ જ એક મોકો હતો. કદાચ તેને અંદેશો હતો કે અમીન બચવાના નથી. તે કહે છે, “મેં સીધું જ તેમની ડરેલી આંખોમાં જોયું અને સ્પષ્ટ રીતે કહ્યું – મારી સામે જુવો. હું પણ એ જ એશિયનોમાંથી એક છું જેમને તમે વર્ષો પહેલાં દેશ બહાર તગેડી મુક્યા હતા.”

ઈદી અમીનની આંખો પહોળી થઇ. તેમના મગજમાં વર્ષો જૂની યાદોનાં ઝાળાં સાફ થતાં હોય તેવું મોઢા પર દેખાતું હતું.  તેમની આંખોમાં જે ડર દેખાતો હતો તે વાસંતીથી ભૂલાય તેમ નહોતો. તે  કહે છે, “તેમનો એ ચહેરો મારા મનમાં કાયમ માટે જડાઈ ગયેલો છે. થોડીક જ સેકન્ડોની વાત હતી, પણ આ માણસને લગતાં મારાં બાળપણનાં દુ:સ્વપ્ન એ ક્ષણે ઓગળી ગયાં. મને મારી તાકાત પાછી મળી ગઈ હતી.”

“મેં તેમની સાથે નજર મિલાવી રાખી,” વાસંતી કહે છે, “મેં શ્વાસ લીધો અને સ્પષ્ટ રીતે કહ્યું – ગભરાશો નહીં. હું તમને નુકસાન નહીં પહોંચાડું. હું તમને સાજા થવામાં મદદ કરીશ. પણ તમારે એ જાણવું જોઈએ કે મારા પિતા વર્ષો સુધી યુ.કે.માં રહ્યા હતા. એ એમનું ઘર નહોતું અને તેમણે તમને ક્યારે ય માફ કર્યા નહોતા. તમે અન્યાય કર્યો હોવા છતાં, મોટા ભાગના એશિયનોએ બહેતર જીવન બનાવ્યું છે. “

એ પછી ઈદી અમીનને આઈ.સી.યુ.માં લઇ જવામાં આવ્યા. 16 ઓગસ્ટ 2003ના રોજ ઈદી અમીને શ્વાસ છોડી દીધો. તેમની ઉંમર 80 વર્ષની હતી. તેમને જેદ્દાહના કબ્રસ્તાનમાં દફન કરવામાં આવ્યા હતા અને તેની ખબર પરિવાર સિવાય કોઈને નહોતી. એ એક ગુમનામ મોત હતું. 

(પ્રગટ : ‘બ્રેકીંગ વ્યુઝ’, નામે લેખકની સાપ્તાહિક કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”; 23 માર્ચ 2025)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

બલૂચિસ્તાન એક બળતું ઘરઃ હિંસા, રાજકીય અવિશ્વાસ અને શોષણનાં વમળમાં ફસાયેલો દેશ

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|23 March 2025

બલૂચિસ્તાન રાજકીય, સામાજિક અને આર્થિક બાબતોને મામલે હંમેશાં અવગણના પામેલો પ્રદેશ છે.

ચિરંતના ભટ્ટ

પાકિસ્તાનની સરકાર અને બલોચ રાષ્ટ્રવાદી ચળવળોનાં કેન્દ્રમાં બહુ લાંબા સમયથી બલૂચિસ્તાન અટવાયેલો છે. રાજકારણને મામેલ હાંસિયામાં ધકેલાતો બલૂચિસ્તાન આર્થિક શોષણ અને રાજ્યનાં દબાણનો ભોગ બનતો આવ્યો છે. અહીં ઘણા કુદરતી સ્રોત છે, ભૌગોલિક રીતે અગત્યનાં કહી શકાય તેવાં સ્થળ છે – છતાં પણ બલૂચિસ્તાન પાકિસ્તાનનો સૌથી વધુ સંવેદનશીલ પ્રદેશ છે.

11મી માર્ચે બલૂચિસ્તાન લિબરેશન આર્મીના (બી.એલ.એ.) આંતકીઓએ ચારસો મુસાફરોથી ભરાયેલી એક ટ્રેનનું અપહરણ કર્યું. ટ્રેન ક્વેટ્ટા અને સીબી વચ્ચેના પહાડી પ્રદેશમાં હતી. સ્ત્રીઓ અને બાળકોને છોડી દીધાં પછી આ આંતંકીઓએ બાકીના મુસાફરોને એ શરતે મુક્ત કરવાની ખાતરી આપી કે પાકિસ્તાની જેલમાં રહેલા તેમના સાથીદારોને છોડી દેવામાં આવે, પાકિસ્તાનની સરકારે કોઇપણ વાટાઘાટ કરવાની ના પાડી અને બાંદી બનાવેલા મુસાફરોને છોડાવવા લશ્કરી ઑપરેશન મોકલ્યું અને છત્રીસ કલાકની મથામણ પછી બળવાખોરોથી મુક્તિ મળી. આ સંઘર્ષમાં એકવીસ નાગરિકો અને ચાર ફ્રન્ટીયર કોર્પ્સના માણસોએ જીવ ગુમાવ્યો. જો કે વિવિધ મીડિયા સૂત્રોના મતે પાકિસ્તાની સૈન્યમાં વધુ જાનહાનિ થઈ હોઈ શકે છે. પાકિસ્તાનના સુરક્ષા દળો પર બલૂચિસ્તાનના વિવિધ હિસ્સાઓમાંથી હુમલા કરવામાં આવ્યા. પાકિસ્તાને ભારત અને અફઘાન હેન્ડલર્સ પર અલગાવવાદી બલૂચી બળવાખોરોને ઉશ્કેરવાનો આરોપ મૂકી દીધો છે.  જો કે આ આક્ષેપબાજી પાછળ પાકિસ્તાનમાં દિવસો દિવસ આંતરિક સુરક્ષાને લઇને વધી રહેલી સંવેદનશીલતા છે.

બલૂચિસ્તાનનો ઇતિહાસ પણ જટિલ છે. ભારતને આઝાદી મળી પછી સ્ટેટ ઑફ કલાત – બલૂચિસ્તાન બસ્સોથી વધારે દિવસ સુધી અલગ રાજ્ય રહ્યું હતું. બલૂચિસ્તાનને પાકિસ્તાનમાં ભળવું નહોતું. અત્યારે પણ બલૂચિસ્તાનનો પ્રદેશ ત્રણ હિસ્સામાં વહેંચાયેલો છે. અમુક ભાગ પાકિસ્તાનમાં છે, ઈરાનમાં સિસ્તાનમાં છે તો અફઘાનિસ્તાનમાં – નિમરૂઝ, હેલબંધ અને કાંધાર બલૂચનો ભાગ છે. બલૂચિસ્તાનમાં મોટે ભાગે સુન્ની મુસલમાનો હોય છે, આ કારણે શિયા બહુમતિ ધરાવતા ઈરાનમાં જ બલૂચીઓ છે તે સુન્ની જ છે. પાકિસ્તાન બન્યા પછી બલૂચિસ્તાનમાં વિદ્રોહ કોઈ નવી વાત નથી. ચીને પોતાના સ્વાર્થ અને વ્યાપાર માટે બલૂચિસ્તાનમાં ઘૂસ મારી અને પછી સંજોગો વકર્યા છે. પાકિસ્તાને બલૂચિસ્તાનનો ગ્વાદર પોર્ટ ચીનને આપ્યો પણ બલૂચિસ્તાનને એ ગમ્યું નથી. 

જ્યારે ભારતના ભગાલા થયા, ત્યારે સ્વતંત્ર રજવાડા કલાતને પાકિસ્તાનમાં ભળવું નહોતું, એ જ રીતે જે રીતે હૈદરાબાદને ભારતમાં ભળવામાં રસ નહોતો. કલાતને સ્વાયત્ત પ્રદેશ રહેવું હતું અને આ માટે અફઘાનિસ્તાન અને ભારતની મદદ જોઈતી હતી પણ એ મદદ ન મળી.  ઝીણાની મુસ્લિમ લીગે બલૂચિસ્તાનને સ્વતંત્ર દેશ જાહેર કરવાનો કરાર કર્યો હતો પણ તેના થોડા મહિનાઓ બાદ માર્ચ 1948માં ઝીણાએ પાકિસ્તાની સેનાને સ્ટેટ ઑફ કલાતમાં ઘુસવાનો હુકમ આપ્યો અને તેને બળજબરીથી પાકિસ્તાનમાં ભેળવવાનો હુકમ આપ્યો હતો. આ થયું તેના બીજા જ દિવસે ઓલ ઇન્ડિયા રેડિયો પરના એક સમાચારમા જાહેરાત થઈ હતી કે બલૂચિસ્તાનને પાકિસ્તાનમાં નહોતું ભળવું અને તેઓ ભારતમાં એક થવા ઇચ્છતા હતા, પણ કેન્દ્ર સરકારે આ પ્રસ્તાવ નહોતો સ્વીકાર્યો. જો કે આ આ ચર્ચાથી વડા પ્રધાન નહેરુ અને ગૃહ મંત્રી સરદાર પટેલે છેટું રાખ્યું હતું.

બલૂચિસ્તાને પાકિસ્તાન સામે હંમેશાં બળવા પોકાર્યા છે. 1948માં પહેલો બળવો થયો તેને કચડી નંખાયો, પણ તે પછી બલૂચોએ પચાસ, સાંઈઠ અને 2000ની મધ્યે આવા વિદ્રોહ કર્યા જ છે. 

બલૂચિસ્તાનમાં સમાજ આદિવાસી જૂથમાં વહેંચાયલો છે અને અલગ અલગ વિરોધીઓના કે બળવાખોરોના જૂથો આ સમુદાયોની ફરિયાદોનું પ્રતિનિધિત્વ કરે છે. વર્તમાન સમયમાં મધ્યમ વર્ગીય શિક્ષિત યુવાનો આ જૂથોમાં જોડાવા માંડ્યા છે. બલૂચિસ્તાન લિબરેશન આર્મી જેને અમેરિકા અને પાકિસ્તાને આતંકી જૂથ તરીકે ઓળખાવ્યું છે તે ઉપરાંત બલૂચિસ્તાન લિબરેશન ફ્રન્ટ, બલૂચ રિપબ્લિકન ગાર્ડ્ઝ, સિંધુદેશ રિવોલ્યૂશનરી આર્મી, બલૂચ રાજી આજોઇ સાંગર પણ એવા ગ્રૂપ્સ છે જે પાકિસ્તાનના સૈન્ય અને ઇન્ટેલિજન્સ એજન્સી પર પૂર્વનિયોજિત હુમલા કરે છે.

ટ્રેનનું અપહરણ થયું તે પહેલાં બલૂચિસ્તાનમાં તંગ થઇ રહેલા સંજોગો અંગે ચિંતા ખડી થઇ જ હતી, પણ કોઈએ આટલી મોટી દુર્ઘટના બનશે તેવી કલ્પના નહોતી કરી. ટ્રેનના અપહરણ પરથી કળી શકાય છે કે આ બળવો પોકારનારાઓ પાસે એટલો શસ્ત્ર સરંજામ અને તાકાત છે જેનો ઉપયોગ કરીને તે પાકિસ્તાની સૈન્યની સામે થઈ શકે, તેમની પર હુમલા કરી શકે અને ચોવીસ કલાક સુધી તેને હંફાવી શકે. વધી આ સંઘર્ષમાં સ્ટેન્ડ ઑફ દરમિયાન બલૂચી બળવાખોરોએ અસરકારક રીતે સોશ્યલ મીડિયાનો ઉપયોગ કરીને પોતાના તરફની વાત દુનિયા સુધી પહોંચાડવામાં કંઇ બાકી ન રાખ્યું. બલૂચિસ્તાનમાં એકથી વધુ બળવો કરનારા જૂથો છે અને તેઓ બધા એકબીજા સાથે સંકળાઈને, જોડાઈને સહકારથી પોતાની યોજનાઓ પાર પાડે છે.

વાસ્તવિક્તા એ પણ છે કે બલૂચિસ્તાન રાજકીય, સામાજિક અને આર્થિક બાબતોને મામલે હંમેશાં અવગણના પામેલો પ્રદેશ છે. અહીં વર્ષો સુધી સેનાનું અને કેન્દ્રીય સરકારનું શાસન ચાલ્યું છે અને રાજકીય રીતે બલૂચિસ્તાનનું સશક્તિકરણ નથી થયું. અહીં કોલસો, કાંસુ, સોનું અને કુદરતી ગેસ જેવા કુદરતી સ્રોતો સારા એવા પ્રમાણમાં છે, તેનો ઉપયોગ પણ થાય છે પણ તેનાથી ત્યાં વસનારા લોકોની જિંદગીમાં કોઈ ફેર નથી પડ્યો. પીવાનાં પાણીના તેમને ફાંફાં છે તો દવાઓ અને પેટ્રોલ જેવી ચીજોના ભાવ સતત વધતા રહે છે. વળી ચાઇનિઝ ફિશિંગ ટ્રૉલર્સની હાજરીને કારણે બલૂચના સ્થાનિક નાના માછીમારોની રોજગારી પર સતત તવાઈ આવી હોય એવી હાલત હોય છે. મીડિયા રિપોર્ટ અનુસાર છેલ્લાં પંદર વર્ષમાં પાકિસ્તાની સેના પાંચ હજારથી વધૂ બલૂચોને ગાયબ કર્યા છે, તેઓ માર્યા ગયા છે કે ક્યાંક કેદ કરાયા છે તે અંગે કશી જ ભાળ નથી. બલૂચી સ્ત્રીઓએ ગયા વર્ષે કસ્ટડીમાં થતી હત્યાઓ અને ખોટા એન્કાઉન્ટરની સામે જબ્બર વિરોધ નોંધાવ્યો હતો. સૈન્યની બળજબરીને કારણે બલૂચીસ્તાનમાં અપહરણ અને ખોટી રીતે થતી અટકાયતોનો પણ પાર નથી.

બલૂચોને મૂળ અકળામણ તો ત્યારની છે જ્યારથી પાકિસ્તાન સૈન્યએ બળજબરીથી તેમની સ્વાયતત્તા છીનવીને બલૂચિસ્તાનને બળજબરીથી પાકિસ્તાનનો હિસ્સો બનાવ્યો હતો. ચીન-પાકિસ્તાન આર્થિક કોરીડોર(CPEC)માં બલૂચિસ્તાન એક મોટો હિસ્સો છે – બલૂચિસ્તાનને એ થવામાં રસ છે કે નહીં એવું તેને કોઈએ પૂછ્યું નથી. ચીને પોતાની રીતે માળખાંકીય સવલતો, રસ્તાઓ વગેરે પાછળ 46 બિલિયન ડૉલર્સ ખર્ચ્યા છે. આમાં બલૂચોના વિકાસની કોઈ ગણતરી નથી, આ માળખાંકીય સવલતોથી તેમને કોઈ સીધો લાભ નથી થતો. તેમને આ બહારી તત્ત્વોની પોતાના પ્રદેશ પરની પકડ પર સખત રોષ છે કારણ કે સ્થાનિકોને કોઈએ કંઇ પૂછ્યું નથી. આ તરફ ચીન હવે પાકિસ્તાનને સવાલ કરે છે તે બલૂચિસ્તાની બળવાખોરોથી ચીનને સલામત રાખવા માટે સક્ષમ છે કે પછી ચીને પોતાની ટૂકડીને સુરક્ષા માટે તૈનાત કરવી?

બલૂચિસ્તાનના સ્થાનિક લોકોને દિશાહીન લાગે છે કારણ કે તેમની આ અલગાવવાદી ચળવળ કે બળવાને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈ ટેકો નથી. તે ભારતથી દૂર હોવાને નાતે તેમને ભારત પણ કોઈ મદદ કરી શકે તેમ નથી. બલૂચિસ્તાનનો મોટો હિસ્સો ઇરાનમાં પહોંચેલો છે એટલે ઈરાનને એવી કોઈ ઇચ્છા નથી કે આ બળવાની ઝાળ તેની સરહદ પાર કરીને ત્યાં અશાંતિ કરે. ઇરાનને બલૂચિસ્તાનમાં ઈરાન વિરોધી આતંકવાદીઓ બેઠા થાય તેની પણ ચિંતા છે.

બીજી બાજુ પાકિસ્તાન અને અફધાનિસ્તાનની તાલીબાની સરકાર વચ્ચે તાણ વધી રહી છે. તાલીબાની સત્તા પાકિસ્તાન-અફધાનિસ્તાન સરહદને માન્યતા જ નથી આપતી અને તેહરિક-એ-તાલિબાન પાકિસ્તાન (ટી.ટી.પી.) જૂથ દ્વારા પાકિસ્તાનમાં થતા હુમલાઓ કે વિરોધો પર કોઈ પગલાં નથી લઇ રહી. એવું મનાય છે કે ટી.ટી.પી. અને બી.એલ.એ. ભેગાં મળીને કામ કરે છે જેને લીધે પાકિસ્તાન માટે મોટો પડકાર ખડો થાય તેમ છે.

બલૂચિસ્તાન સંજોગોના પાયામાં અવિશ્વાસ છે અને તે દૂર કરવાની જવાબદારી મહદંશે પાકિસ્તાન પર છે. વાટાઘાટ માટે સારો માહોલ ખડો થાય તે માટે પહેલાં તો પાકિસ્તાને સેનાની ઉગ્ર કામગીરી પર નિયંત્રણ લાદવું પડશે અને વિકાસ, પ્રાદેશિક અધિકારો અને લોકશાહીને કેન્દ્રમાં રાખવા પડશે. વળી બલૂચિસ્તાનને પોતાના જ સ્રોતોનો ઉપયોગ કરવા અને નિર્ણય લેવાની સ્વતંત્રતા આપનારા અઢારમા સુધારાને અમલમાં મુકવો જોઇએ.

બલૂચિસ્તાનના સંજોગો પાકિસ્તાનના આંતરિક રાજકારણનું પરિણામ છે. પૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાન સાથે પાકિસ્તાની સૈન્યએ જે વહેવાર કર્યો તેને કારણે જનતાને પાકિસ્તાની સૈન્ય પરથી વિશ્વાસ ઊઠી ગયો છે. અત્યારે જે સરકાર છે તે સૈન્ય પર સારો એવો આધાર રાખીને બેઠી છે. લાંબા ગાળાનો ઉકેલ ત્યારે જ શક્ય છે જ્યારે સત્તાનું વિકેન્દ્રીકરણ થાય અને બલૂચિસ્તાનના લોકોને તેમના કુદરતી ધન, વ્યવસ્થા વગેરેથી ફાયદા થાય. જ્યાં સુધી સૈન્ય અને નાગરિકોના અગ્રણી પ્રતિનિધિઓ આ અંગે સારા ઈરાદાથી સંવાદ સાધવાનો પ્રયાસ નહીં કરે ત્યાં સુધી બલૂચિસ્તાનમાં સંઘર્ષનો અંત આવે તેવી કોઈ શક્યતા વર્તાતી નથી. 

બાય ધી વેઃ 

પાકિસ્તાની સૈન્યનો વહેવાર અરાજકતા ફેલાવનારો છે. બલૂચિસ્તાનમાં શાંતિ સ્થપાય એ માટે સૌથી પહેલાં તો આ સૈન્યની પકડમાંથી તેને છૂટકારો આપવો પડશે. લોકશાહીને નામે બલૂચિસ્તાનમાં કંઇ નથી. વિકાસ અટક્યો છે, પ્રાથમિક સગવડના વાંધા છે તો લોકોના અપહરણ અને હત્યાઓનો પાર નથી. પહેલાં તો પાકિસ્તાની સૈન્યએ જે કર્યું છે તેની જવાબદારી સ્વીકાર્યા બાદ પાકિસ્તાને લોકશાહી અને સલામતીનું વાતાવરણ ખડું કરીને બલૂચી લોકોને ખાતરી આપવી પડશે તે સૈન્ય ત્યાંની સ્થાનિક વ્યવસ્થામાં ચંચુપાત નહીં કરે તો જ કદાચ આ સંઘર્ષોનો અંત આવશે.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 23 માર્ચ 2025

Loading

...102030...343344345346...350360370...

Search by

Opinion

  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો
  • નાનમ પણ ન લાગે …?

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 

Poetry

  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 
  • મુખોમુખ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved