Opinion Magazine
Number of visits: 9689330
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પ્રજ્ઞા સિંહો છટકી જાય એનો વાંધો નથી, ન્યાયવ્યવસ્થા ડૂબી રહી છે એની ચિંતા છે

રમેશ ઓઝા
, રમેશ ઓઝા|Opinion - Opinion|28 April 2017

વરસોનાં વરસ આ રીતે વીતે છે. નિર્દોષ સબડે છે, ગુનેગાર છટકી જાય છે અને શાસકોના પેટનું પાણી પણ નથી હલતું. કારણ બહુ સ્પષ્ટ છે, તૂટી પડેલી ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમ તેમને અનુકૂળ આવે છે. ન્યુ ઇન્ડિયાની વાતો કરનારાઓને કહેવું જોઈએ કે ન્યુ ઇન્ડિયાનો માર્ગ અહીંથી શરૂ થાય છે

મુંબઈની વડી અદાલતે માલેગાંવ બૉમ્બ-બ્લાસ્ટ કેસનાં આરોપી સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરને જામીન પર છોડવાનો હુકમ આપ્યો છે. ૨૦૦૮ની ૨૯ સપ્ટેમ્બરે માલેગાંવમાં બૉમ્બ-વિસ્ફોટ થયા હતા જેમાં છ લોકોનાં મૃત્યુ થયાં હતાં અને સો જેટલા લોકો ઘાયલ થયા હતા. બ્લાસ્ટ કબ્રસ્તાનની બહાર થયા હતા અને માર્યા ગયેલાઓ અને ઘાયલ થયેલાઓ બધા જ મુસલમાન હતા. શરૂઆતની તપાસ પછી પોલીસને હિન્દુ ઉગ્રવાદી જૂથનો હાથ હોવાની શંકા ગઈ હતી. એ પછી ઑક્ટોબર-નવેમ્બરમાં પ્રજ્ઞા સિંહ ઠાકુર, સ્વામી અસીમાનંદ, લેફ્ટનન્ટ કર્નલ પ્રસાદ પુરોહિત, શિવનારાયણ કલસાગરા વગેરેની ધરપકડ કરવામાં આવી હતી. એ પહેલાં શંકાના આધારે કેટલાક મુસલમાન શકમંદોની ધરપકડ કરવામાં આવી હતી જેમનો નિર્દોષ છુટકારો હજી હમણાં વરસ પહેલા થયો હતો.

પ્રજ્ઞા સિંહ ઠાકુર અને બીજા આરોપીઓ આઠ વરસથી જેલમાં હતા. આઠ વરસે હજી એ ઠરાવવાનું બાકી છે કે તેમની સામે પ્રથમદર્શી પુરાવાઓ છે કે નહીં. આરોપનામું તો હજી બહુ દૂરની વાત છે. ૨૦૦૮માં ATSએ આરોપીઓ સામે મોકા અંતર્ગત કેસ દાખલ કર્યો હતો. ૨૦૦૮ની ૨૦ જાન્યુઆરીએ ATSએ આરોપીઓ સામે પહેલું આરોપનામું દાખલ કર્યું હતું. ૨૦૧૧ના એપ્રિલ મહિનામાં આ કેસ નૅશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી(NIA)ને સોંપવામાં આવ્યો હતો. ૨૦૦૯થી ૨૦૧૧ દરમ્યાન ATSએ ગોકળગાયની ઝડપે તપાસ આગળ વધારી હતી. ૨૦૧૧થી ૨૦૧૬ સુધી NIAએ એ જ ઝડપે તપાસ આગળ વધારી હતી.

૨૦૧૪માં કેન્દ્રમાં અને મહારાષ્ટ્રમાં સરકાર બદલાઈ હતી અને ૨૦૧૬માં NIAએ પ્રજ્ઞા સિંહ ઠાકુર અને બીજા પાંચ આરોપીઓ સામેના મોકા ધારા અંતર્ગત મૂકવામાં આવેલા આરોપો પડતા મૂક્યા હતા. આરોપ જ પડતા મૂકવામાં આવ્યા ત્યાં બીજું કે અંતિમ આરોપનામું દાખલ થવાનો તો સવાલ જ નથી. ગઈ ૧૧ નવેમ્બરે NIAએ અદાલતને જણાવ્યું હતું કે પ્રજ્ઞા સિંહ ઠાકુરને જામીન આપવામાં આવે એની સામે એજન્સીને વાંધો નથી. ૨૫ એપ્રિલે વડી અદાલતે જામીન આપ્યા હતા. લેફ્ટનન્ટ કર્નલ પુરોહિતને જામીન આપવામાં નથી આવ્યા, કારણ કે NIAએ એની સામે વાંધો લીધો છે. પુરોહિત લશ્કરમાં હતો અને લશ્કરમાં શીખવાડવામાં આવતી ટેક્નૉલૉજીનો તેણે દુરુપયોગ કર્યો હતો એ જામીનનો વિરોધ કરવાનો અને જામીન નહીં આપવાનું મુખ્ય કારણ છે. દરમ્યાન ૮ માર્ચે જયપુરની NIAએ અદાલતે ગુજરાતમાં ડાંગમાં આશ્રમ ધરાવતા સ્વામી અસીમાનંદને તમામ આરોપોમાંથી મુક્તિ આપી હતી.

આમ બનવાનું જ હતું અને એના આસાર કેન્દ્રમાં અને મહારાષ્ટ્રમાં સરકાર બદલાઈ એ સાથે જ મળવા લાગ્યા હતા. સવાલ એ નથી. સવાલ એ છે કે ૨૦૦૮થી ૨૦૧૪ સુધી કેન્દ્ર અને રાજ્યમાંની કૉન્ગ્રેસની સરકાર શું કરતી હતી? શા માટે ઝડપથી તપાસ આગળ નહોતી વધતી અને શા માટે અંતિમ આરોપનામાં નહોતાં ઘડાયાં? આનો અર્થ એવો નથી કે કૉન્ગ્રેસની સરકાર પણ આરોપીઓને છાવરતી હતી. આનો અર્થ એ થાય છે કે આપણે ત્યાં ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમ પડી ભાંગી છે. સરકાર દખલગીરી ન કરે તો પણ એક-એક દાયકા સુધી તપાસ પૂરી નથી થતી, આરોપનામું અને ખટલો તો બહુ દૂરની વાત છે. પ્રજ્ઞા સિંહ ઠાકુર અને બીજા પાંચ જણ સામે કોઈ આરોપ નથી તો શા માટે તેમને આઠ વરસથી વધુ સમય માટે જેલમાં ગોંધી રાખવામાં આવ્યાં? ૨૦૧૩થી આસારામ જેલમાં છે. આવતા સપ્ટેમ્બરમાં ચાર વરસ પૂરાં થશે, પરંતુ તેની સામેની તપાસ પૂરી થશે એની કોઈ ખાતરી નથી. તે જો નિર્દોષ સાબિત થશે તો તેનાં વેડફાયેલાં વર્ષો અને બદનામી માટે જવાબદાર કોણ?

આરોપી જો ગુનેગાર છે તો તેને કાયદેસર સજા નથી થતી અને આરોપી જો નિર્દોષ છે તો તેનો સમયસર છુટકારો નથી થતો. વરસોના વરસ આ રીતે વીતે છે. નિર્દોષ સબડે છે, ગુનેગાર છટકી જાય છે અને શાસકોના પેટનું પાણી પણ નથી હલતું. કારણ બહુ સ્પષ્ટ છે. તૂટી પડેલી ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમ તેમને અનુકૂળ આવે છે. ન્યુ ઇન્ડિયાની વાતો કરનારાઓને કહેવું જોઈએ કે ન્યુ ઈન્ડિયાનો માર્ગ અહીંથી શરૂ થાય છે. જે દેશમાં કાયદો વાંઝિયો હોય અથવા પસંદગીના ધોરણે કાયદો સક્ષમ કે વાંઝિયો હોય તેમ જ જે દેશમાં ન્યાયતંત્ર ન્યાય ન આપી શકતું હોય એ દેશ નૂતન અવતાર ધારણ ન કરી શકે. ન્યુ ઇન્ડિયાનાં સપનાં જોઈને રાચનારાઓને આ સત્ય જણાવવું જોઈએ.

સ્વામી અસીમાનંદને જયપુરની અદાલતે મુક્તિ આપી એના અાગલા દિવસે મહારાષ્ટ્રની ગડચિરોલીની સેશન્સ કોર્ટે દિલ્હી યુનિવર્સિટીના પ્રાધ્યાપક જી. એન. સાઈબાબાને ૧૦ વરસની આકરી કેદની સજા કરી હતી. તેમનો ગુનો એ હતો કે તેમના ઘરમાંથી નક્સલવાદી સાહિત્ય મળી આવ્યું હતું અને પોલીસે એનો અર્થ એવો કર્યો હતો કે તે નક્સલવાદી છે. આ સિવાયનો એક પણ સંગીન આરોપ અને સંગીન પુરાવો પોલીસ પાસે નહોતો. એક બાજુ સંગીન ગુનાનો આરોપ ધરાવનારાઓનો છુટકારો થાય અને બીજી બાજુ હાસ્યાસ્પદ આરોપ ધરાવનારાઓને થોડીઘણી નહીં, દસ વરસની સજા થાય એવી આપણી ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમ છે. સાઈબાબાની ધરપકડ ૨૦૧૪ના એપ્રિલ મહિનામાં કરવામાં આવી હતી જ્યારે દેશમાં લોકસભાની ચૂંટણી યોજાઈ રહી હતી અને મહારાષ્ટ્રમાં કૉન્ગ્રેસની સરકાર હતી. આશ્ચર્ય થશે, માત્ર ત્રણ વરસમાં સાઈબાબાનો ખટલો ચાલીને સજા પણ થઈ ગઈ છે. કારણ બહુ સ્પષ્ટ છે. એક બાજુ રાજકીય દરમ્યાનગીરી નહોતી અને બીજી બાજુ જજસાહેબે દિમાગ વાપરવાનું નહોતું કે ઘરમાં કોઈ વિચારધારાનું સાહિત્ય રાખવું કે વાંચવું એ ગુનો નથી. મારી પાસે નક્સલવાદી સાહિત્ય છે.

પ્રજ્ઞા સિંહો છટકી જાય એનો વાંધો નથી, ન્યાયવ્યવસ્થા ડૂબી રહી છે એની ચિંતા છે.

સૌજન્ય : ‘કારણ-તારણ’ નામક લેખકની કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 28 અૅપ્રિલ 2017

Loading

પ્રાણીરક્ષાની ચિંતા, ગોરક્ષાનું રાજકારણ

પ્રીતીશ નંદી|Opinion - Opinion|28 April 2017

ગોમાંસનો વ્યવસાય એવા પૈસાદાર અને શક્તિશાળી લોકો કરે છે, જેઓ નથી મુસ્લિમ હોતા કે નથી દલિત

હું ગોરક્ષક છું. ભલે તમારામાંના અનેક લોકોને (આજના વાતાવરણમાં) એ ગમે તેટલું ભયાનક લાગે. વર્ષો સુધી આપણામાંથી અમુક લોકો ગેરકાયદે કતલખાનાંમાં ગાયો અને વાછરડાઓની કતલ કરવા માટેની ગેરકાયદે હેરફેરને અટકાવવાનો પ્રયત્ન કરતા રહ્યા. (અમુક રાજ્યોમાં તો પ્રત્યેક કાયદેસર કતલખાનાની પાછળ સો ગેરકાનૂની કતલખાનાં છે) અનેક વખત આપણે સફળ થતાં, તો મોટા ભાગે નિષ્ફળ  જતા. તેઓ લાંચ આપીને કે વ્યક્તિગત લાગવગથી છૂટી જતા.

પરંતુ પ્રાણીઓ પ્રત્યે પ્રેમ રાખનારા આપણા બધા માટે આ ભયાનક દૃશ્ય હતાઃ કમનસીબ પ્રાણીઓના પગ ભાંગીને તેને ટ્રક અને ટેમ્પોમાં ભરવામાં આવતાં, જેથી વધારેમાં વધારે પ્રાણીઓને તેમાં ઠાંસી શકાય. એકબીજાંની ઉપર ચઢાવવામાં આવતાં. અમુક તો બિચારાં કતલખાને પહોંચતાં પહેલાં જ શ્વાસ રુંધાઈ જવાથી મૃત્યુ પામતાં. જેમને બચાવી લેવાતાં, તે પણ માત્ર નામના જ જીવતાં રહેતાં. હું માત્ર ગોરક્ષક જ નહીં, કૂતરાં રક્ષક, બિલાડી રક્ષક, ભેંસનો રક્ષક, ત્યાં સુધી કે ચકલીનો રખેવાળ પણ છું, અને તેને નષ્ટ થતી અટકાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું. મારા માટે આ એ પ્રાણીને બચાવવાનો મુદ્દો નથી, જેની પૂજા હું કરું છું.

આ તો પ્રાણીઓ — તમામ પ્રાણીઓ, પંખીઓ, બધાં જીવિત પશુઓની રક્ષા કરવાની વાત છે. કારણ કે હું માનું છું કે આ પૃથ્વી એટલી જ એમની પણ છે, જેટલી મારી અને તમારી. આટલાં વર્ષમાં હું બીજા લોકોને મળ્યો અને જાણ્યું કે કેવી રીતે સિંહરક્ષક, હાથીરક્ષક, કાળિયારરક્ષક કેવી રીતે બની શકું છું. મને તો બધાં પ્રાણીઓ પસંદ છે, સૌમ્ય સ્વભાવની એ નીલગાય પણ, જેને સરકારે ‘વર્મિન’(નુકસાનકર્તા)નો દરજ્જો આપ્યો છે. તેનો અર્થ એ છે કે તેને મારી શકાય છે. મને લાગે છે કે બધાં પ્રાણી દુનિયાને સુંદરતા અને જાદુથી ભરી દે છે, જેને આપણે માનવોએ જંગલ અને ચેરિયા(મેન્ગ્રૂવ્સ)ને નષ્ટ કરી રહ્યાં છીએ, જે આ પ્રાણીઓનું પ્રાકૃતિક રહેઠાણ છે.

પરંતુ તમામ લાંબી યાત્રાઓની જેમ આ યાત્રા પણ એક નાનકડા પગલાથી શરૂ થઈ હતી. એ પગલું હતું, આપણાં શહેરોની ગલીઓમાં રખડતાં પશુઓને બચાવવાનું. પાંત્રીસ વર્ષ પહેલાં હું જ્યારે મુંબઈ શહેરમાં આવ્યો હતો, તો રખડતાં કૂતરાંને જ્યાંત્યાંથી પકડીને મારી નાખવામાં આવતાં. શેરીઓને શ્વાનમુક્ત કરવા માટે નિર્દયતાથી મારવા માટે તેમને મોટા વૉટરટબમાં નાખીને વીજળીનો કરંટ આપવા સહિતની પદ્ધતિઓ અપનાવવામાં આવતી. આમ છતાં, દર વર્ષે તેમની સંખ્યા વધતી જતી.

આપણે પશુગણતરી કરી, અદાલતોમાં ગયા અને આવાં પગલાંના બદલે કૂતરાંની નસબંધી કરવાની રજૂઆત કરી. હંમેશાંની જેમ આંદોલનોમાં સમય તો લાગ્યો, પરંતુ આ હત્યાઓ બંધ કરાવી શકાઈ. આપણું ન્યાયતંત્ર ભલે ધીમું હોય, પણ માનવતાવાદી છે. આપણે રાહતનો શ્વાસ લીધો. હવે મુશ્કેલી એ હતી કે આપણા સામાન્ય સંસાધનોથી તેમની નસબંધીનો કાર્યક્રમ કેવી રીતે ચલાવી શકાય. સદ્‌નસીબે અનેક એન.જી.ઓ. સામે આવી અને એ કામ ઉપાડી લીધું. તેમણે અત્યંત પ્રશંસનીય કામ કર્યું. મારાથી સારાં સ્ત્રી-પુરુષો છે, જેઓ આપણા અદ્‌ભુત વન્યજીવોનું રક્ષણ કરે છે, તેમની સંભાળ રાખે છે.

આ અત્યંત અઘરું કામ છે, કારણ કે જંગલોમાંથી પૈસા મળે છે અને ત્યાં રહેલાં પ્રાણીઓના બદલે ગેરકાનૂની શિકારીઓને વધારે રક્ષણ મળે છે. એટલા માટે આપણે બધા જાણીએ છીએ કે કોણે સિંહ અથવા શિંગડાવાળા ગેંડાની હત્યા કરી છે (અને કયા હેતુસર). ગુનેગાર ખૂબ ઓછા બનાવોમાં ઝડપાય છે અને તેમને સજા મળે છે. જેમ કે આપણી પશુગણતરીથી ખ્યાલ આવ્યો હતો કે છોડી મુકાયેલાં પશુઓ આપણા રસ્તાઓ પર સૌથી વધારે સંખ્યામાં છે. એક વખત તેઓ બિનઉપયોગી બની જાય, તો તેમના માલિક તેમને રસ્તાઓ પર મૂકી દે છે. તેમાંથી મોટા ભાગનાં પ્લાસ્ટિક ખાવાથી મરે છે. કારણ કે તેમને એટલી ભૂખ લાગી હોય છે.

અમુક જ ગોરક્ષકોને તેમની ચિંતા હોય છે. તેઓ કતલખાને જતી ગાયો(અને હવે ભેંસો)નો પીછો કરવામાં વ્યસ્ત થઈ જાય છે. અનેક વખત તો ખોટા ઉત્સાહમાં તેઓ ગાયોને કાયદેસર કતલખાને લઈ જનાર લોકો પર જ હુમલો કરી દે છે, કારણ કે તમામ રાજ્યોમાં તો ગાયોને કતલખાને લઈ જવી ગેરકાનૂની નથી. કાશ! એવું હોત કે તમામ રાજ્યોમાં ગાયોની કતલની મનાઈ હોત. માત્રો ગાયો બચી જાત, ઉપરાંત માનવીય જિંદગીઓ પણ બચી જાત. ખાસ કરીને મુસ્લિમ અને દલિત તેમ જ વિચરતી જનજાતિઓ, જેઓ નવા યુગના બેફામ-બેકાબૂ ગોરક્ષકોના નિશાન પર આવી ગયા છે. તેઓ હવે શંકાના આધારે કોઈના પર પણ હુમલો કરી દે છે.

રોમાંચક વાત એ છે કે આપણે જ્યારે ગોરક્ષાની વાત કરીએ છીએ, ત્યારે આપણે વિશ્વના સૌથી મોટા ગોમાંસ નિકાસકાર તરીકે ઊભરી આવ્યા છીએ. અમેરિકન કૃષિ વિભાગ અનુસાર આપણે 2015માં ગાય અને વાછરડાંના 24 લાખ ટન માંસની નિકાસ કરી હતી અને આ આંકડો દર વર્ષે વધી રહ્યો છે. ભારત, બ્રાઝિલ અને ઑસ્ટ્રેલિયા મળીને વિશ્વનું 58.7 ટકા ગોમાંસ નિકાસ કરે છે. તેમાં એકલા ભારતની ભાગીદારી 23.5 ટકા છે. આઈ.સી.આર.એ.નું અનુમાન છે કે આગામી પાંચ વર્ષમાં આપણી ગોમાંસની નિકાસ 40,000 કરોડ રૂપિયા સુધી પહોંચી જશે.

એ વાત દુ:ખદ છે કે મોટા ભાગના પત્રકારો જે આ ઉપલબ્ધિને ઉત્સાહથી રિપોર્ટ કહે છે, તેને એ આધાર પર યોગ્ય ગણાવે છે કે ગાય નહીં, માત્ર ભેંસોને મારવામાં આવે છે. જ્યાં કતલખાનામાં કામ કરનારાઓ મોટા ભાગે મુસ્લિમ અને તેમની ચામડી ઉતરડનારા દલિતો હોય છે, પણ ગોમાંસનો વ્યવસાય એવા પૈસાદાર અને શક્તિશાળી લોકો કરે છે, જેઓ નથી મુસ્લિમ હોતા કે નથી દલિત હોતા. તેઓ પોતાના બિઝનેસને મુસ્લિમ નામોની બ્રાન્ડ બનાવી દે છે, જેથી મધ્ય-પૂર્વના બજારમાં તેને વેચવામાં સરળતા રહે અને પોતાની ઓળખ પણ છુપાવી શકાય. જો ગોરક્ષકો ગંભીર છે, તો તેઓ આ ગંદા કામમાં તેમને ત્યાં માત્ર કામ કરનારઓની મારઝૂડ કે હત્યા કરવાના બદલે આ મોટા લોકોને નિશાન કેમ નથી બનાવતા?

હા, હું હજી પણ ગોરક્ષક હું, પરંતુ એ પશુ આંદોલન જે આપણે આટલાં વર્ષ ચલાવ્યું, લોકોને બધાં પ્રાણીઓ પ્રત્યે કરુણા દર્શાવવાનો બોધ આપ્યો. હવે આ આંદોલન અમુક દાદાગીરી કરનારા અને હત્યારાઓના કારણે પોતાનું વાજબીપણું ગુમાવવાની અણીએ છે. કોઈને ખબર નથી કે એ અચાનક ક્યાંથી આવી ગયા. કોઈને ખબર નથી કે તેમને શું જોઈએ છે. વાત સ્પષ્ટ છે: તેમનો એજન્ડા ગાયોને બચાવવાનો નહીં, પણ લોકોની હત્યા કરવાનો છે.

સૌજન્ય : ‘ધંધાની વાત’, “દિવ્ય ભાસ્કર”, 27 અૅપ્રિલ 2017

Loading

પેરુમલ મુરુગન પોંખાય છે ત્યારે…

દિવ્યેશ વ્યાસ|Opinion - Literature|27 April 2017

પેરુમલ મુરુગનની જે કૃતિ પર કટ્ટરવાદીઓ પ્રતિબંધ લાદવા માગતા હતા, તેને રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો છે, એ શું સૂચવે છે?

વ્યક્તિ પોતાના શબ્દસામર્થ્યથી લેખક બની શકે છે. એક લેખકનું શરીર અમુક વર્ષો પછી નાશ પામે છે, પરંતુ તેનો શબ્દદેહ-સર્જનો તેના મૃત્યુ પછી પણ જીવંત રહેતાં હોય છે અને એટલે જ લેખક મૃત્યુ પછી પણ ઘણાં વર્ષો સુધી જીવતો રહેતો હોય છે! પણ શું તમે એવા કમનસીબ સાહિત્યકારને જાણો છો, જેણે જીવતેજીવ પોતાનામાં રહેલા લેખકની હત્યા કરી દેવી પડી હોય? આ કમનસીબ સાહિત્યકારનું નામ છે – પેરુમલ મુરુગન. આ તમિલ સાહિત્યકારે પોતાની નવલકથા ‘મધોરુબગન’ માટે કટ્ટરવાદી હિન્દુ સંગઠનો અને પોતાના જ સમાજની એવી સતામણી સહેવી પડી હતી કે પોતાનું ઘર-શહેર છોડવાં પડ્યાં. કટ્ટરવાદીઓએ ધાકધમકી આપીને પુસ્તક પાછું ખેંચાવ્યું અને બિનશરતી માફી મગાવી. ઉગ્ર વિરોધ અને ધાકધમકીના ઘટનાક્રમ પછી સ્થિતિ એવી સર્જાઈ કે આખરે પેરુમલ મુરુગને એક લેખક તરીકે પોતે મૃત્યુ પામ્યા છે, એવું જાહેર કરવું પડ્યું. પેરુમલ મુરુગને 12મી જાન્યુઆરી, 2015ના રોજ સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકેલી, ‘લેખક પેરુમલ મુરુગન મરી ગયો છે. એ ઈશ્વર નથી કે ફરીથી જન્મ લેશે. હવે તે ફક્ત પી. મુરુગન છે. ફક્ત એક શિક્ષક. એને એકલો છોડી દો.’

પેરુમલ મુરુગનની આ પોસ્ટ સમગ્ર દેશમાં ચર્ચિત બની હતી. એક વ્યક્તિને જીવતેજીવ લેખક તરીકે મરી જવા મજબૂર કરે, એવા ઘટનાક્રમે સમગ્ર દેશના સાહિત્યકારો અને સંવેદનશીલ લોકોને ઝકઝોરી નાખ્યા હતા. આ મામલે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પડેલા પડઘા જોઈને કટ્ટરવાદીઓએ જાહેરમાં વિરોધ પ્રદર્શનો તો બંધ કર્યાં, પણ લેખક પર યેનકેન પ્રકારેણ દબાણ લાવવા અશ્લીલતા, ઈશનિંદાથી માંડીને ધાર્મિક લાગણી દુભાવવાના તેમ જ સ્ત્રીના અપમાન સુધીના આરોપો લગાવીને પુસ્તકને પ્રતિબંધિત કરવા કેસ કર્યા હતા. તો સામે પી.યુ.સી.એલ. જેવી સંસ્થાઓએ લેખકની તરફેણમાં તેમના રક્ષણ માટે કોર્ટકાર્યવાહીનો માર્ગ લીધો હતો. આખરે જુલાઈ-2016માં મદ્રાસ હાઇકોર્ટે પેરુમલ મુરુગન તરફી આપેલા સજ્જડ ચુકાદાએ સૌનાં મોં બંધ કરી દીધાં હતાં. પેરુમલ મુરુગન નામના લેખકના શ્વાસમાં શ્વાસ આવ્યો હતો અને તેમણે ફરી હાથમાં કલમ પકડી હતી. મદ્રાસ હાઇકોર્ટનો ચુકાદો અભિવ્યક્તિની આઝાદીની લડાઈ માટેનો એક માઇલસ્ટોન ગણાયો હતો. છેલ્લાં કેટલાંક વર્ષોથી ધર્મ-સંપ્રદાય કે જાતિ-સમાજના નામે જે કટ્ટરતા અને અસહિષ્ણુતા વધતી જાય છે ત્યારે આ ચુકાદો લેખકો-સર્જકો-કલાકારો માટે આઝાદ પંછીની જેમ ઊડવાનો જાણે પરવાનો લઈને આવ્યો હતો!

તાજેતરમાં એક સારા સમાચાર આવ્યા છે કે પેરુમલ મુરુગનને પોતાની જે તમિલ નવલકથા ‘મધોરુબગન’ માટે અનેક સતામણી સહેવી પડી હતી, હવે એ જ પુસ્તકના અંગ્રેજી અનુવાદ ‘વન પાર્ટ વુમન’ને સાહિત્ય અકાદમી, દિલ્હી દ્વારા પોંખવામાં આવ્યો છે. આ પુસ્તકના અનુવાદક અનિરુદ્ધ વાસુદેવનને એવોર્ડ આપવાની જાહેરાત કરવામાં આવી છે. અહીં નોંધનીય બાબત એ છે કે મધોરુબગન નવલકથા આમ તો 2010માં પ્રકાશિત થઈ હતી, જે અંગ્રેજીમાં અનુદિત થઈને 2014માં ‘વન પાર્ટ વુમન’ના નામે પ્રકાશિત થયું હતું. આ પુસ્તકમાં એક નિ:સંતાન દંપતીની વ્યથા અને સમાજમાં એક સમયે ચાલતી અમુક પ્રથાઓનું વર્ણન કરવામાં આવેલું, જેની રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચા થઈ અને તેને કારણે હિન્દુત્વવાદી સંસ્થાઓએ તેનો વિરોધ શરૂ કરેલો. જો કે, દેશના બંધારણે અને ન્યાયપાલિકાએ એક લેખકની અભિવ્યક્તિની આઝાદીનું ચિરહરણ અટકાવ્યું હતું.

જે પુસ્તક પર પ્રતિબંધ લાદવા માટે કટ્ટરવાદીઓ તરફથી ધમપછાડા કરવામાં આવ્યા, એ જ પુસ્તક જ્યારે રાષ્ટ્રીય સ્તરે પોંખાય છે ત્યારે કટ્ટરવાદીઓ-સંકુચિત સંસ્થાઓએ આત્મમંથન કરવું જોઈએ. કટ્ટરતા કોઈ એક ધર્મનો ઇજારો નથી. દરેક ધર્મમાં કટ્ટરવાદી પરિબળો હોય જ છે અને અમુક રાજકીય કારણસર તેમને પોષવામાં પણ આવતાં હોય છે. આપણો દેશ બહુ સહિષ્ણુ છે, એવા અધકચરા સત્યના સહારે ગૌરવમાં જ રાચવાનું આપણને પોષાય નહીં. અસહિષ્ણુતાના મામલાની મજાક ઉડાવનારાઓએ એક વખત પેરુમલ મુરુગનનો આખો કિસ્સો જાણવો જોઈએ. એક નાગરિક તરીકે આપણે કટ્ટરતાનો તો વિરોધ કરવો જ પડે, પણ સાથે સાથે એ કટ્ટરતાને પોષક એવાં પરિબળોને પણ શોધવા પડે, ઓળખવાં પડે અને ‘સુધારવાં’ પડે.

(તસવીરો ગૂગલ પરથી મેળવી છે.)

(‘દિવ્ય ભાસ્કર’ની 26મી એપ્રિલ, 2017ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમની મૂળ પ્રત)

http://samaysanket.blogspot.co.uk/2017/04/Perumal.Murugan.html

Loading

...102030...3,4343,4353,4363,437...3,4403,4503,460...

Search by

Opinion

  • બંધારણ – દેશનું દર્પણ, દેશની ઓળખ, દેશની શોભા  
  • નથુરામનું ‘હુતાત્મા’ પદ અને કુરુંદકરનો તર્ક
  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ
  • ઝાંઝવાનાં જળ
  • એક ‘રાની પંખીડું’ જિતુભાઈ પ્ર. મહેતા

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved