Opinion Magazine
Number of visits: 9688343
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

અપનો પારસ આપ

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|5 May 2017

એ દિવસો હતા જ્યારે હૃદયાત્ અને પ્રથમદર્શી પ્રમાણવશ બે પરંપરાગત ઉક્તિઓ – ખરું જોતાં એક ઉક્તિ અને બીજી સૂક્તિ – સહજ ચાલી આવી હતી : ‘આપ સમાન બળ નહીં’, એ ઉક્તિ; અને ‘અપનો પારસ આપ’ એ સૂક્તિ. આપ કહેતાં આમ આદમી પાર્ટીની પ્રભાવક ગુંજાશના સાક્ષાત્કારી ખયાલે આવી પડેલ એ સહજોદ્ગાર હતો. આજે દિલ્હીનાં મ્યુિનસિપલ પરિણામો સાથે શું કહીશું? અરવિંદ કેજરીવાલના પૂર્વસાથી યોગેન્દ્ર યાદવના અભિજાત ટિ્વટમાં કહેવાયું છે કે અરવિંદે શાલીનતાથી પરાજયનો સ્વીકાર કરવો જોઈએ. યાદવની આ ટિ્વપ્પણીમાં જેમ ઇ.વિ.એમ. છળચાતુરી પર ટોપલો નાખી છૂટી જવા સામેનો સંકેત છે તેમ આત્મનિરીક્ષણની જરૂરતનું સૂચન પણ છે. એવા જ એક, જો કે યોગેન્દ્ર યાદવ કરતાં ઓછા જાણીતા પણ મુંબઈસ્થિત હોવાને કારણે ગુજરાતને તાજેતરનાં વરસોમાં ઠીક ઠીક પરિચિત થયેલા પૂર્વસાથી મયંક ગાંધીની ટિ્વપ્પણી છે કે આ કિસ્સો એક વીરનાયકના નકરા સત્તાભૂખ્યા બનવાનો છે.

૨૦૧૩, ૨૦૧૪, ૨૦૧૫, ૨૦૧૭નાં દિલ્હી પરિણામો – પછી તે વિધાનસભા નિમિત્તે હોય કે લોકસભા અગર સ્થાનિક નિમિત્તે – રાષ્ટ્રીય મિજાજના ચઢાવઉતાર લેખે એક અચ્છું ચિત્ર આપનારાં છે. પહેલી ત્રણે ચૂંટણીમાં ઉત્તરોત્તર સંકોચાતી ગયેલી કૉંગ્રેસ ૨૦૧૭માં ખાસા ૨૧ ટકા મત લઈ ગઈ છે, અને જો જણનારીમાં જોર હોય તો નવજીવનની શક્યતા લગોલગ સીમિત સંદર્ભમાં ઢૂંકી પણ છે. ૨૦૧૪ની ભા.જ.પ.ની ફતેહ સામે ૨૦૧૫ની આકરી હાર, વળી એક બીજા  છેડાનું ચિત્ર રજૂ કરે છે. આ ચૂંટણીઓમાં ‘આપ’ની હાજરી જેમ એના વધતા કદના ઉત્તરોત્તર નીચે જઈ શકતા ગ્રાફની રીતે તેમ – અને આ ‘તેમ’ બહુ અગત્યનું છે – કૉંગ્રેસ અને ભા.જ.પ.માં સીમિત ચર્ચામાં છૂટી જતી ક્ષિતિજોનીયે દ્યોતક છે. આ ક્ષિતિજોમાં શું શું સૂચવાતું હશે તે બાબતે થોડીકેક ઉપલક ઉભડક નુક્તેચીની કરીએ તો પણ એટલું તો કહી શકીએ કે કૉંગ્રેસે પાછલાં વરસોમાં જે બધાં ધારાધોરણોને નેવે મૂક્યાં તેણે વિકલ્પ માટે જગ્યા બનાવી છે. આ જગ્યા, સ્વાભાવિક જ સૌથી મોટા સંગઠિત પક્ષ તરીકે ભા.જ.પ. ભરી શકે. પણ ભા.જ.પ.માં, તેમ છતાં, કાંક કશુંક ખૂટેખટકે છે એટલે એના ને કૉંગ્રેસ સિવાયના સક્ષમ વિકલ્પ માટે પણ પ્રજામાનસમાં અવકાશ હોઈ શકે છે. જો દિલ્હીને ક્યારેક લાગ્યો હતો એમ આપ જેવો સક્ષમ વિકલ્પ હોય તો બધી રાજકીય ભોંય કેવળ અને કેવળ ભા.જ.પ. (અને કૉંગ્રેસ) જ ખંડી લઈ શકતાં નથી.

કૉંગ્રેસ જો ૨૧ ટકા મતે પહોંચી શકતી હોય અને ભા.જ.પ. જો મતસંખ્યામાં મોટા નોંધપાત્ર વધારા વગર બહુમતી બેઠકો જીતી જઈ શકતો હોય તો એનો અર્થ એ થયો કે મતદાનીય ટેકાની રીતે નવજીવનપ્રાપ્ત કૉંગ્રેસ અને પરાજિત આપ બેઉ મળીને ભા.જ.પ. કરતાં નિર્ણાયક ધોરણે આગળ હોઈ શકે છે. જો પેરેલલ જ સંભારવો હોય તો ૧૯૭૨-૭૩માં ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં ઇંદિરા કૉંગ્રેસના હેમવતીનંદન બહુગુણા વિભક્ત વિપક્ષની કૃપાથી સાવ ઓછા મતે ગાદીનશીન થયા હતા એ સંભારી શકીએ. એમાંથી પદાર્થપાઠ લઈને ૧૯૭૫માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી વખતે વિપક્ષ જનતા મોરચારૂપે ગઠિત થયો … અને કહેવાય છે તેમ ધ રેસ્ટ ઈઝ હિસ્ટરી!

અલબત્ત, આ એક સરલીકૃત ચિત્ર છે, અને એમાં એક મહત્ત્વનું પરિમાણ ચૂકીયે જવાય છે. તે પરિમાણ જયપ્રકાશના આંદોલનનું છે જેણે કંઈક રાસાયણિક એવો પરિવર્તનકારી પ્રભાવ પાડ્યો હતો. કંઈ નહીં તો એની એક પ્રેરક એટલી જ ઉદ્દીપક કાર્યભૂમિકા હતી. નકરા અંકગણિતને વટી જતા બીજગણિતનો કિસ્સો એ હતો. ગમે તેમ પણ, આ પેરેલલ સંભારવા સાથે અહીં અભિમત મુદ્દો એ છે કે ત્યારે જો બિનકૉંગ્રેસવાદની ભૂમિકા હોઈ શકતી હતી તો અત્યારે બિનભાજપવાદનીયે ભૂમિકા હોઈ શકે છે. બલકે, અણ્ણાના આંદોલનથી માંડીને આપના ઉદયનો આખો દોર (એ જ ગાળામાં નિર્ભયા મુદ્દે જનવિરાટનું રસ્તા પર આવવું) એક રીતે જેપી-તહરીર ફ્રિક્વન્સી પરની ઘટના હતી. આ આંદોલન આપગ્રસ્ત બની કાળધર્મ પામ્યું; નાગરિક ધર્મ દેખીતો લંઘાયોલકવાયો; કેજરીવાલ પેલી ટિ્વપ્પણી મુજબ વીર અને ધીર મટી ધીટ અને ધૂર્ત ઊપસ્યા એ સાચું પણ જનવિરાટની વિકલ્પભૂખ અને વિકલ્પચેષ્ટા જેવી તેવી પણ જારી છે એ ય સાચું.

અહીં કેજરીવાલ પ્રકરણ અને આપકારણની લાંબી ચર્ચામાં નહીં જતાં એટલું જ કહીશું કે યોગેન્દ્ર યાદવની ‘સ્વરાજ ઇન્ડિયા’ કોશિશ (પ્રત્યક્ષ પરિણામથી નિરપેક્ષપણે) એકંદર અરવિંદાયન અને આપકારણ અંગે બોલતી ટીકારૂપ છે. દેશમાં ગાંધીજેપી પરંપરામાં કશીક પણ નવી ભોં ભાગવાની હશે તો તે માટેનો દિશા-અને-ગતિ-બોધ આપની સ્વરાજ ઇન્ડિયા મીમાંસામાંથી મળતો રહેશે. અને એમાં બિહારના નીતિશ-લાલુ અંકગણિતથી ઉફરાટે આગળ જવાની ખાસી શક્યતા છે. ૧૯૬૭ના સંવિદ(સંયુક્ત વિધાયક દળ)ના દોરે ૧૯૭૫-૭૭ના જનતા દોર રૂપે જે આશાઅપેક્ષા જગવતું કાઠું કાઢ્યું હતું તે આ સંદર્ભમાં સ્મરણીય છે.

જે રીતે અરવિંદ અને આપ ઉપરાઉપરી હાર તરફ (પંજાબમાં વિપક્ષ તરીકે આશ્વાસન ઇનામ છતાં) જઈ રહ્યાં છે તે ગતિમાં શરૂઆતમાં એક કારુણિકા અનુભવાતી હતી. હવે જે રીતે મંડળી આખી ઈ.વિ.એમ.-ઈ.વિ.એમ.નો દેદો કૂટવા લાગી છે (અને આત્મનિરીક્ષણના મુખ્ય મુદ્દાને ગૌણ બનાવવા લાગી છે) તે જોતાં પેલી કારુણિકા ફારસની દિશામાં લોટ ખાતી માલૂમ પડે છે. જ્યાં સુધી ભા.જ.પ.નો સવાલ છે, એણે ઉમેદવારપસંદગીમાં ‘નો રિપિટ થિયરી’ (એન.આર.ટી.) અજમાવી બિનકાર્યક્ષમ મ્યુિનસિપલ પાર્ટીને ઍન્ટિ-ઈન્કમ્બન્સીમાંથી બચાવી લઈ મોદીનામે ફતેહ હાંસલ કરી હોય તો પણ આ મત જેટલો આપવિરોધી છે એટલો ભા.જ.પ.તરફી નથી તે ભા.જ.પ.ને મળેલા મતોના ઓછા વૃદ્ધિદર પરથી સાફ સમજાઈ રહે છે. જ્યાં સુધી કૉંગ્રેસનો સવાલ છે, વધેલા મતોમાં આશ્વાસન ખોળવાને બદલે અને જૂના ખોરડાના વૃથા ગૌરવમાં રહેવાને બદલે સૌ બિનભા.જ.પ. બળોના એકત્રીકરણના વ્યૂહમાં જરૂર પડ્યે પાછલા ક્રમમાં પણ રહેવાની સમજ અને ધીરજ એણે કેળવણી જોઈશે.

રાજ્યની પોતાની પ્રકૃતિ, કોર્પોર્મેન્ટની અનવસ્થા, ફાઈનાન્સ બિલમાંને બીજી બાબતોમાં જોવા મળે છે તેમ સત્તાકીય મનમુરાદવાદ, ઉગ્ર બિચારધારાવાદ અને સંકૃચિત મનોવલણોની વર્તમાન વાસ્તવિકતા, આ બધું મળીને જે ચિત્ર રજૂ કરે છે તે સંયુક્ત પડકારની તાકીદ સમજાવે છે. અલબત્ત, સંયુક્ત પડકારની આ તાકીદને એવા મિત્રો મળી રહેવા જોઈશે કે નવી દુનિયાની ઝંખના સેવતાં ન થાકે. એ ઝંખનાવશ જે પણ ટીકાટિપ્પણી આવી પડે તે સાંભળતાં બિનભા.જ.પ. જમાવટ ન થાકો!

‘આપ’માં રહેલી શ્લેષસુવિધાથી હટીને નાગરિકે સમજવાનું છે કે આપ સમાન બળ નહીં. હાસ્તો, આખરે તો, આપનો પારસ આપ.

એપ્રિલ ૨૭, ૨૦૧૭

સૌજન્ય : “નિરીક્ષક”, 01 મે 2017; પૃ. 01-02

Loading

‘હિંદુત્વ ઓર હિંદસ્વરાજ’

રમેશ કોઠારી|Opinion - Opinion|5 May 2017

સાહિત્ય અકાદેમી, દિલ્હીના ભૂતપૂર્વ પ્રમુખ, જ્ઞાનપીઠ પુરસ્કારવિજેતા અને કન્નડ સાહિત્યકાર યુ.આર. અનંતમૂર્તિ, ‘સંસ્કાર’ જેવી મૂલ્યવાન કૃતિ આપ્યા બાદ તેમના દેહાવસાનપૂર્વે, પોતાના દેશબાંધવો દ્વારા સચવાયેલા અને સંવર્ધન પામેલા ‘સંસ્કારો’ પર પાશવી બિનલોકશાહી  અમાનવીય પરિબળો દ્વારા તરાપ મરાતી જુએ, સંતાપ અનુભવે, ત્યારે એક ઘોષણાપત્ર સ્વરૂપની કૃતિ ‘Hindutva or Hind Swaraj’ લઈને ન આવે, તો જ આશ્ચર્ય. શિવ વિશ્વનાથન આમુખમાં નોંધે છે તેમ, અનંતમૂર્તિની આ અંતિમ કૃતિ ઘોષણાપત્રથી કંઈક વિશેષ છે. તેમના જ શબ્દોમાં, ‘It was a prayer, a confession, a plea, an argument, a conversation capturing a world we might lose.’ પોતાની આ વિશદ ભૂમિકામાં તે અનંતમૂર્તિના વર્તમાન શાસકોના ખામીપૂર્ણ અભિગમ તરફના આક્રોશને વ્યક્ત કરે છે. આ રહ્યા આમુખના કેટલાક અંશો :

He reads Modi as a symptom of a deeper malaise.

U.R.A. contends that Modi is only enacting the logic of a Savarkar script.

Majoritarianism can not be a basis of either a rule of law or a rule of reason.

આજે જ્યારે ‘હિંદુત્વ’, ‘વિકાસ’, ‘દેશભક્તિ’ જેવી સંજ્ઞાઓ, રાજકીય લાભ ખાટવા માટે પ્રયોજાઈ રહી છે, ત્યારે અનિષ્ટને પારખવું અને પોતાના ગેરમાર્ગે દોરવાઈ રહેલા દેશબાંધવોને સત્યાભિમુખ કરવા તે કર્તવ્યબોધ બની રહે છે. અનંતમૂર્તિ જેવા સંવેદનશીલ સર્જકને મોદી-વ્યક્તિ માટે સહેજ પણ કડવાશ ન જ હોય. જ્યાં જરૂર જણાય ત્યાં કૉંગ્રેસની નબળાઈઓ પર પણ પ્રહાર કર્યા છે. તે કહે છે, ‘There is never a time when it is not necessary to oppose the State.’ જેઓ બહુમતી ધરાવતા નથી, તેમને અવગણવાનું, દબાવી દેવાનું, હાંસિયામાં ધકેલી દેવાનું વલણ જોવા મળે છે, પણ અનંતમૂર્તિના મતે ‘For me, providing room for those not in the majority is fundamental to democracy.’

શાસકો સાવ બિનજવાબદાર છે. કરોડોનાં કૌભાંડોમાં સંડોવણી કરનાર ‘રાષ્ટ્રપતિ’ને આગળ ધરીને વાત કરે, ત્યારે હાસ્યાસ્પદ જ લાગે અને પ્રજા લાચારી અનુભવવા સિવાય બીજું કરી પણ શું શકે ? તેમના જ શબ્દોમાં,

‘Every time the leaders of the Modi Government open their mouths, they utter the words in the National interest, one can do anything.’

કમનસીબે, દેશપ્રેમ અને વિકાસ પાછળ ડોકાતાં અનિષ્ટને ઓળખવામાં આપણે નિષ્ફળ જઈએ છીએ, જ્યારે અનંતમૂર્તિ જેવા દેશપ્રેમીઓને વતન છોડવાની ફરજ પાડવામાં આવશે, ત્યારે એ સમય દૂર નહીં હોય કે સાચા દેશભક્તો દેશ બહાર જ હશે !

વિકાસની વાત કરીએ તો, વિકાસને નામે ઇતિહાસ અને કુદરત સાથે ચેડાં કરવાં જરૂરી બની જાય છે. આપણી નજર સામે ઇતિહાસને ખોટો આકાર આપી રહ્યા છીએ. બંધો, નદીઓ, જંગલો, પર્વતો, વૃક્ષો,  ખાણો, પાવરપ્લાન્ટ, વિકાસના અનિષ્ટના દાયરામાં આવે છે.

અનંતમૂર્તિ વીર સાવરકર અને મહાત્મા ગાંધીની વિચારસરણીઓનો તુલનાત્મક અભ્યાસ કરે છે. સાવરકરવાદ બહાદુરીનો તો ગાંધીવાદ નૈતિકતાનો પુરસ્કર્તા છે. આજે આપણને વિકાસની નહીં પણ સર્વોદયની જરૂર છે. ગાંધીજી હયાત હોત તો શાસકોની વિકાસ માટેની ઘેલછાને સર્વોદયના શસ્ત્ર વડે પડકારી હોત.

લેખક ખ્રિસ્તી માન્યતા અને ભારતીય માન્યતાને સરખાવતાં કહે છે, કે પહેલામાં ખોટું કરનાર વ્યક્તિને જ તેનાં ફળ ભોગવવાં પડે છે, જ્યારે બીજામાં એકનાં દુષ્કૃત્યોની વ્યાપક અસર અન્યત્ર થાય છે. ગુજરાતનાં રમખાણોમાં વિધર્મીઓની ઠંડે કલેજે કતલ, મોદી માટે કાર નીચે કચડાઈ મરેલા ગલુડિયાથી વિશેષ મહત્ત્વ ન ધરાવતી હોય, પસ્તાવો કરવો પડે, તેવી બાબત ન હોય, પણ મેધા પાટકર, તીસ્તા સેતલવાડ, અરુણા રૉય જેવાં ક્રિયાશીલો નૈતિક જવાબદારીથી અલિપ્ત ન રહી શકે.

સત્તાના મદમાં છકેલા શાસકો પ્રત્યેનો અનંતમૂર્તિનો રોષ તો જુઓઃ

‘While a dead rabbit can be seen as edible flesh, the dead body of a ruler is not worth even a single beetle nut.’

વિકાસ અને વિનાશ એકમેક સાથે સંલગ્ન છે. આમુખમાં કહેવાયું છે તેમ He claims that those whom Gods wish to destroy, they first seek to develop.

ગાંધીજીને વિવિધ ધર્મોની સહોપસ્થિતિ સામે કોઈ વાંધો નહોતો, કારણ કે તેમની નજરે કોઈ પણ ધર્મ સર્વાંગસંપૂર્ણ નથી હોતો, દરેકને પોતાની વિશેષતા સાથે મર્યાદા રહેવાની જ. સાવરકરની ‘હિંદુરાષ્ટ્ર’ની કલ્પના તેમને માન્ય નહોતી. એક રાષ્ટ્ર, એક ધર્મ, એક ભાષાના ખ્યાલને તે આત્મસાત્ કરી શક્યા નહીં.

અનંતમૂર્તિના મતે ઈઝરાયેલ અમેરિકાની મદદથી પૅલેસ્ટાઇનવાસીઓને દબાવે છે, તે જ ઇઝરાયેલ ચીંધ્યા માર્ગે મોદી પ્રસ્થાન કરી રહ્યા છે.

મોદીની ‘લાર્જર ધેન લાઇફ’ ઇમેજના સર્જન માટે મીડિયા પણ જવાબદાર છે.

આ પુસ્તકમાં ગાંધીજીની હત્યા માટે શા માટે તે પ્રેરાયો, તેનો ખુલાસો કરતા ગોડસેના વક્તવ્યમાં અમુક અંશો પણ આપવામાં આવ્યા છે.

કીર્તિ રામચંદ્ર અને વિવેક શાનબાગે મૂળ કન્નડ કૃતિને અંગ્રેજીમાં અનુવાદિત કરી યજ્ઞકાર્યમાં પ્રદાન કર્યું છે.

અનંતમૂર્તિને દંભ સામે ભારોભાર નફરત છે, પછી તે કૉંગ્રેસ દ્વારા આચરવામાં આવતો હોય કે ભા.જ.પ. દ્વારા. ગાંધીજીની હત્યા બાદ હાશકારો અનુભવતા કૉંગ્રેસીઓ અનાથ બની ગયાનો દેખાડો કરે કે મોદી ગાંધીના ફોટાને નીચા નમીને નમન કરે કે ગંગામૈયાની આરતી ઉતારી કે પાઘડી પહેરીને ફોટા પડાવે, તો લોકો તો મૂળ ચહેરો જોઈ જ શકતા હોય છે.

આભાર અનંતમૂર્તિનો આ parting gift માટે.

સૌજન્ય : “નિરીક્ષક”, 01 મે 2017; પૃ. 03

Loading

રાષ્ટ્રીય દુરસ્તતા અભિયાન

રોહિત શુક્લ|Opinion - Opinion|5 May 2017

તમે આપણા ચોથેશ્વર ઉર્ફે ચોથિયાને તો ઓળખોને! આમ તો બહુ ભલો માણસ. તમે એને ચોથિયો કહો તો ય વાંધો નહીં. એ તો કહેશે, ‘ભાઈ, એ તો જેવું કૂવામાં હોય તેવું જ આવેને! મારે તો શા લેવા અને શા દેવા’. અને પછી પેલા પીળચકા દાંત દેખાડીને, અડધું-પડધું હસતો હસતો કો’ક જાણતલ જોશીડાની જેમ પૂછી નાંખે ‘જેવા મિજાજ અને જેવા વિવેક હોય તેવું બધા બોલે. એમાં આપણું હું જાય?’ પણ ચોથિયાના ગૌરવના રખેવાળ એવા ચોથેશ્વરીને આ ગમે નહીં. લાલ ટશિયાફૂટી આંખે અને કાનના ખૂણા ઊંચા કરીને તે આ સાંભળી તો લેતા, પણ જેવો પેલો આગંતુક વિદાય થતો કે તરત ચોથિયાને તે ઝપટમાં લેતા. ‘લ્યા જરા તો લાજ. આ આજકાલના વૈણસંકર જેવા તને ‘ચોથિયો’ શીના કે’? અને તું ય તે પાછો હસતો રહીને વેઠી લે છે?’ ‘લ્યો ત્યારે તમે ય ઉતાવળા જ થયા કે’વાવને.’ ચોથિયાએ ચોથેશ્વરીના ગહન ગાંભીર્યને ટપારતાં કહ્યું. ‘મેં કીધું જ ને કે ‘કૂવામાં હોય તેવું આવે’ – તેનો માયનો શો ? માયનો ઇ કે તેના વંશમાં કોઈએ વિવેક ભાળ્યો હોય, તો વાણીમાં અવતરેને! મતલબ કે ઘરના કોઈને ય કેમ બોલાય કે હળાય મળાય તેની ગતાગમ નથી અને તેથી જ ભચડે રાખે છે. અમે તો શીખેલા કે ‘આવડે તેટલું બોલીએ નહીં અને ભાવે તેટલું ખાઈએ નહીં.’ અને હાવ હાચું કૌ – આ જમાનો જ જાળવી જવા જેવો છે.’ ચોથિયાએ ફળફળતો નિહાહો મેલીને કહ્યું. ચોથેશ્વરીના સદ્ભાવભર્યા ચહેરાથી નજર હટાવી લઈને દૂર આથમતા સૂરજ તરફ જોતાં-જોતાં ઉમેર્યું. પછી તો ભૈ, ચોથિયાએ ડૂબતા સૂરજ સામે જોયું એટલે ચોથેશ્વરીએ પણ જોયું. અને ચોથેશ્વરીએ જોયું, એટલે શ્વેતકેશી, રક્તાક્ષ, એકદંતગૂમ, યપ્પી અને તાજેતરમાં જ મહેમાન બનીને આવેલા શ્વેતકર્ણ અને શ્યામકર્ણે પણ નજરું નોંધી. હવામાં આકડાનાં ફૂલ વહે તે રીતે બધાની નજર આ સૂર્યાસ્ત જોનારા ઉપર પડતી અને એમ કરતા-કરતા સમગ્ર વાનરસમૂહો આથમતા સૂરજ તરફ જોતા થઈ ગયા. પોતાની માના મોંઢા તરફ જોવું કે પછી મા જે તરફ જોઈ રહી છે, તે જોવું – સમગ્ર વાનરજાતના દૃષ્ટિસમાગમબિંદુ સમાન આથમતા સૂરજ તરફ જોવું તે નક્કી નહીં કરી શકનાર એક વાનરબાળે હળવેથી પૂછ્યું. ‘મમ્મા, આપણે બધા આથમતા સૂરજને કેમ તાકી રહ્યાં છીએ?’ એમાંથી કોઈક ફળફળાદિનો રથ આવવાનો છે?’

‘આથમતા સૂરજમાં પણ ફળફળાદિના રથની આશા રાખનાર હે બાલવાનર તું ધન્ય છે’, ચોથિયાએ કહ્યું. તારા જેવાં બાળકો જન્મતાં રહેશે, ત્યાં સુધી આ વાનરજાતનો જયવારો જ થવાનો.’ વાનરબાળની ભૂરી-ભૂરી પ્રશંસા કરતાં ચોથિયાએ કહ્યું.

‘જો ચોથિયા, બીજી બધી આડીઅવળી વાતો પડતી મેલ – અમને કહે કે આથમતા સૂરજ અને આશાના રથના મેળાપનો મુદ્દો શો છે?’

‘ચોથેશ્વરી, વાતનો ફોડ તો હું પાડું, પણ પછીનો કોયડો ઉકેલવાનું મારું કોઈ ગજું નથી. હું તો ભાઈ મારા વાઇફાઇમાં ઝિલાતાં મોજાંનો અહેવાલ, ગીતાના સંજયની જેમ આપવાનો ચાકર. પણ પછીની વાત મારી નહીં’ એમ કહીને ચોથિયાએ વાત માંડી. ‘આ છેલ્લાં અઢી વરસથી આ દેશની આબોહવામાં પલટો આવ્યો છે તે જૂઓ છો ? જૂઓ થોડાક નમૂના પેશ કરુંઃ’

૧. હૈદ્રાબાદની સેન્ટ્રલ યુનિવર્સિટીના રોહિત વેમુલાથી શરૂ કરીને જે.એન.યુ.ના કન્હૈયાકુમાર થઈને રામજસ કૉલેજ સુધી પહોંચો.

૨. મહંમદ અસફાકથી આરંભી ઊના થઈને કુલ અગિયાર સ્થાનોએ થઈને અલવર સુધી પહોંચો.

૩. નોટબંધીથી લઈને ખેડૂતોની આત્મહત્યા થઈને ગબડતા અર્થતંત્ર અને રઝળતા બેકાર યુવાધન સુધી પહોંચો.

૪. ખેડૂતોની જમીનો અને પાણી ઝૂંટવી જનારાં ઉદ્યોગગૃહોની કુરનિસમાં ખડેપગે રહેતા તંત્ર સામે નજર નોંધી ‘વિકાસ’ની આભા નીરખો.

૫. મનરેગા, આધારકાર્ડ અને જી.એસ.ટી.ના અત્યાર સુધીના સાવ વિરોધી એવા મહાન નેતાના તાજેતરના ઉદ્ગારો કેટલી ઝડપથી બદલાઈ ગયા છે તે જુઓ.

૬. શિક્ષણની બેહાલી, ઊંચી ફીની નફાખોરી કરતી સંસ્થાઓ તરફ સરકારી રહેમનજર, ગુણવત્તાના નામે મસમોટું મીંડું અને ગરીબો ભણી જ ના શકે તેવાં પરોક્ષ કાવતરાંની ખાંચાખૂંચી જુઓ.

૭. ભ્રષ્ટાચાર વગર કામ થતું નથી, તેવો લોક-અનુભવ અને સામે પડતા સરકારી દાવા વચ્ચેના સાંકળિયાની રમત નીરખો.

આવી આવી ઘણીબધી બાબતો જોવા જેવી છે – પણ હવે થોડી બીજી વાત. નવી નવેલી વહુવારુઓની જેમ નવી સરકારને ય હૈયામાં હોંશ તો હોય જને! અને આ તો પછી સાત ખોટની! આઝાદીની લડતમાં ભાગ ન લેવાનો તેનો ભવ્ય ભૂતકાળ છે. લોકસભામાં બે બેઠકોથી શરૂ કરો તો અત્યાર સુધીમાં કેટકેટલાં તોફાનો, આંદોલનો અને દાવપેચ પછી સત્તા સાંપડી છે તે તો જુઓ. એમનામાંના કેટલાકના કહેવા પ્રમાણે લગભગ પાંચેક લાખ વરસ પહેલાં જન્મેલા અને અગિયાર હજાર વર્ષનું આયુષ્ય ભોગવીને અવતારકાર્ય દીપાવનારા ભગવાન શ્રીરામ માટે આખરે દેશવ્યાપી(?) રથયાત્રા કાઢી. પણ જેમણે રથ દોડાવ્યો, તેમના ગળામાં સત્તાનો હાર આવવાને બદલે ‘વેઇટિંગ’નો ખિતાબ આવી પડ્યો.

પણ હવે તો અમારો વિચાર આ દેશની દુરસ્તીનો જ છે. આખેઆખા દેશને દુરસ્ત કરવો રહ્યો. એ તો અમારું યુગકાર્ય છે. અમારા ‘રાષ્ટ્રીય દુરસ્તતા અભિયાન’માં અમે સૌથી મોખરે ગૌ-માતાને રાખવા માંગીએ છીએ. સઘળા પુરાણો, જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્ર જેવા, મહાનતમ આદર્શોના આધારે આ હિંદુસ્તાન અને નહીં કે ભારત નામના દેશની નવરચના કરવા માંગીએ છીએ. ગાયોની વાત લો. તેને સમજવા કે તેના મહત્ત્વને પિછાનવામાં તમારી આધુનિક કેળવણી આડી આવે છે. છતાં અમે વિદેશી યુનિવર્સિટીઓનું શિક્ષણ તો જોગવવાના જ. તમને અહીં આધુનિકતા અને પછાતપણા વચ્ચે ઘર્ષણ થતું દેખાય છે? તો એનો રસ્તો કરીએ. શહેરી, ઉચ્ચ વર્ગના ઉપલા મધ્યમવર્ગના સમૂહો માટે ભલે પશ્ચિમી કેળવણી જોગવાય – પણ આપણી ધરોહરની ઓળખ સમા ગામડાના ગરીબ લોકો માટે તો આપણી ભવ્ય સંસ્કૃિતની ઓળખ જ પૂરતી છે. ગાયો પણ ખરી અને ઉપગ્રહો પણ ખરા.’

પણ આખી વાતનો મરમ નહીં જાણનારા શ્વેતકર્ણે મોટો ડખો ઊભો કર્યો. ‘તે હેં ભઈ, આ પવિત્ર પણ વસૂકી ગયેલી ગાયોને આપણા દેશની સર્વશ્રેષ્ઠ ગણાય તેવી આઈ.આઈ.એ.મો કે આઈ.આઈ.ટી.ઓનાં પરિસરોમાં રાખવાની ફરજ પડાય તો કેવું હેં. એયને બધી ફૅકલ્ટી મહાન અને મોટા પ્રોફેસરો સવાર-સવારમાં છાણ-વાસીદું કરીને સ્વચ્છતા-અભિયાનથી રાષ્ટ્રભક્તિ સાથેની ગૌભક્તિથી દિવસનો પ્રારંભ કરે!’ છાણ-વાસીદું કરતા જાય અને ગણિત અને હોટલથી હૉસ્પિટલો અને બૅંકોથી બજાર સુધીનું સંચાલન પણ શીખવતા જાય. આપણી મહાનતા અને ભવ્યતા. ઉત્તમતા અને ઉદાત્તતા. વીરતા અને પટુતા એમ બધ્ધાના સંસ્કારો અને નૈતિકતા આપણે ગૌસેવા કરતાં કરતાં જ શીખીએ. પછી તો છેને તે દુનિયાભરની શ્રેષ્ઠ એવી હાર્વર્ડ. (‘હાર્ડ વર્ક’ નહીં હોં!) કૅમ્બ્રિજ કે ઑક્સફર્ડ જેવી યુનિવર્સિટીઓમાં, જગતગુરુના નાતે. અમે પણ વસૂકી ગયેલી ગાયોના પાલન થકી પ્રાપ્ત થનાર ઉત્તમ જ્ઞાન વડે વિશ્વના જ્ઞાનસમુચ્ચયમાં ચિરંજીવ પ્રદાન કરી શકીશું.’

પણ જ્યારે જ્યારે શ્વેતકર્ણ કંઈ પણ બોલે ત્યારે-ત્યારે શ્યામકર્ણને પણ ઝુકાવ્યા વગર ચેન પડતું નહીં. બંને વચ્ચે જાણે કે કોઈક જુગલબંધી હોય તેવું જ સમજોને. શ્યામકર્ણે લાગલું જ ઉમેર્યું, ‘હાસ્તો વળી, એમ થશે, ત્યારે પેલી જે.એન.યુ.ઓ કે રામજસોનાં વિદ્યાક્ષેત્રોમાં જે જ્ઞાનદીપો પ્રગટશે તેની રોશની થકી ‘સામ્યવાદ કે સમાજવાદ’ જેવા વિચારોનો પણ (પડોશી દેશમાં) દેશનિકાલ થઈ શકાશે. આપણે સૂત્ર બનાવીએ – ‘દેશ-દુરસ્તી કાજે દેશનિકાલ’.

‘પણ એ તો કહો કે કોનો કોનો દેશનિકાલ તમે કરશો ?’ ‘શ્વેતકેશીએ સહેજ પોરસાવતા હોય તેમ પૂછ્યું.’ કેમ વળી, એટલું ય સમજતા નથી? સમાજવાદ અને સામ્યવાદનો દેશનિકાલ, માનવવાદ અને વિજ્ઞાનવાદનો દેશનિકાલ, ગાયોની સેવા ન કરનારાનો દેશનિકાલ … ’યપ્પીએ તક ઝડપી દેતાં ઠેકડો મારીને પડમાં આવતાંની સાથે કહ્યું. પણ અતિ ઉત્સાહમાં આ કૂંડાળામાં કૂદી પડવાથી તાલીમમાં ગોખાવાયેલા અન્ય ઠૂમકા લગાવવાનું તે વીસરી ગયો. જરાક ઓઝપાઈને પણ જરા ય હેબતાયા વગર તેણે દંતાવલી દાખવતાં કહ્યું, ‘ધ્યાન રાખજો, આ દેશમાં રહેવું હોય તો સરખા થઈને રહેજો. તમને ઊનાથી અલવર સુધીની મુસાફરી વારેવારે કરાવવી પડે તે ઠીક નહીં.’ શ્વેતકેશીને આવા સંજોગોમાં ચૂપ રહેવાનું ફાવતું નહીં. તેમણે હળવે રહીને પૂછ્યું. ‘ભાઈલા, ઊનામાં તો તમે દલિતો ઉપર કારમો જુલમ ગુજાર્યો. ખરુંને ? અને અલવરમાં તો તમારી સામે એક મુસલમાન હતા. તમે હવે દલિતો અને મુસલમાનો બધાને દેશનિકાલ કરી દેશો ? તમારો આ દલિત અને મુસ્લિમ બંનેનો એક સમાન અને સાવ સહિયારો દેશનિકાલી કાર્યક્રમ સમજાતો નથી, તેથી જાણવા ખાતર પૂછું છું હોં બાપા ખોટું ના લગાડતાં. ‘વાતને આડે કાં ચડાવો? અમે તો માત્ર ગાયને પવિત્ર માનીએ છીએ અને તેમાં આડે આવનાર કોઈને ય અમે છોડીશું નહીં.’ યપ્પીએ ઘૂરકાટ સાથે કહ્યું. ‘ઠીક ભાઈ, એ વાત તો તમારી બરાબર. પણ હવે ગાયો પાળશે કોણ? તમારા ધાર્મિક અખાડા, સંસ્થાઓ, પાંજરાપોળ વગેરેમાં ગાયોનો પાળવા વાસ્તે હવે અનુદાન-સબસિડી આપવાની શરૂઆત કરો. જે ઉદ્યોગોને તમે મફતના ભાવે જમીનો આપી કે બીજા તરસ્યાનું ઝૂંટવીને પાણી આપ્યું તે ઉદ્યોગોને પણ હવે પાંચસો-હજાર ગાયો ભળાવો. આ ગાયો પણ વસૂકી ગયેલી હોવી જોઈએ. એ જ રીતે તમે જે યુનિવર્સિટીઓ કે નિશાળોને મફતના ભાવે જમીનો આપી છે, તેમને પણ હવે ભણવામાં ગો-પાલન, ગોરક્ષ અને ગો-સંવર્ધનના અભ્યાસક્રમો ચલાવવા કહો. હા, આ બધું ભણાવવા માટે કોઈ પણ ધર્મ કે મજહબના નીવડેલા ગોપાલકોને સાતમા પગારપંચના ધોરણે પ્રોફેસર તરીકે પણ રાખવા રહ્યા. ગાયોની બાબતની આપણી પેઢીગત ‘સ્કિલ’ને હવે ‘ડેવલપ’ કરીને સાચવવી પડશેને.’ શ્વેતકેશીને આજકાલ અતિ ગંભીર પ્રકારના પ્રશ્નોની અતિ સરળ ઉકેલો ભળાવા માંડ્યા હતા.

‘ઉદ્યોગોને તો આવી બધી વાતોમાં ભેરવવાનું છોડી જ દેજો હોંકે’, ગળે ટૂંપો દેતી ટાઈનો કાંઠલો ઠીક કરતાં રક્તાક્ષે કહ્યું. ‘અમે કારખાનામાં ગાયો પાળીને ધર્માદા કરવા બેસીએ તો પછી, અમારા ધંધા-ધાપાનું શું? આવા એકમોના હરીફાઈ અને કાર્યક્ષમતાઓ જેવા આર્થિક માપદંડોનું શું? અને તમે તો નવી આર્થિક ફિલસૂફી અનુસાર ગરીબોને પણ સબસિડી આપવાના વિરોધી છો. અમે વસૂકી ગયેલી ગાયો પાળીએ, તો તે માટે તમે બજેટમાં સબસિડીની જોગવાઈ કરવાના છો? તમે તો ભાઈ વાતને વિચિત્ર વાઘા પહેરાવવાના. એમ કરીને – જરાક ગાયોની વધુ સેવા કરીને આવા પ્રશ્નોનો વધારે સારો ઉકેલ શોધી લાવોને!’ ઉદ્યોગપતિ જે બોલે તે હંમેશા વજૂદવાળું જ હોય, એમ માનનારા પાંચ-દસ વાનરોએ એકમેકની સામે સંમતિસૂચક માથાં હલાવ્યાં.

ચોથેશ્વરીએ હવે વાતને પાછી વાળતા કહ્યું, દેશ સામેનો સૌથી મોટો સવાલ ગરીબી અને બેકારીનો ગણાય. તેને સર્વસમાવેશી સ્વરૂપે વિચાર્યા અને ઉકેલ્યા વગર – માત્ર કોમવાદી પ્રતીકો અને માનસિકતાઓને આગળ કરતાં રહીને આ પ્રાણપ્રશ્નોનો ઉકેલ આણી ન શકાય. સમાજજીવનના પ્રાણવાન પ્રવાહો આ દેશમાં સદીઓથી વહેતા આવ્યા જ છે. તમે તેને ગંગાનાં નીર ગણી શકો. વિવિધતા આ દેશનું સામર્થ્ય પણ છે અને સૌંદર્ય પણ છે. સદીઓને પોતાનાં હાડમાંસમજ્જામાં સંગોપિત રાખીન ઊભેલા આદેશમાં આજ લગી તો કોઈએ આત્યંતિકતા આચરીને કોઈને દેશનિકાલની વાતો કરી નથી. આવી વાતો નથી આ દેશના ધર્મ સાથે કે નથી તેના સંસ્કાર સાથે સુસંગત. હું તો એટલું જ કહું, આ દેશની ચિંતા એટલે તેના ગરીબો અને વંચિતોની ચિંતા. આ ચિંતાનાં ધોરણોમાંથી જ તો સમાજવાદ પાંગર્યો છે. દેશના ધર્મ અને સંસ્કારો પણ સમાજવાદી જ છે. જો તમે આ ઉકેલ આણો, તો આ આથમતો સૂરજ પણ કાલે સોનાનો થઈને ઊગી શકે. એ સૂરજ માત્ર મારા તમારા ઘરનો જ થઈને નહીં રહે – એ તો ગામેગામ અને ઘરેઘરનો સૂરજ હશે. દેશને ભાગાકાર નહીં પણ સરવાળાની જરૂર છે, હોંકે.’

અને જેવું તમે આ દેશદુરસ્તીને બદલે વિચાર-દુરસ્તીનું વિચારવા માંડશો, એટલે તરત તમારા રોહિત વેમુલા કે જે.એન.યુ. ખેડૂતોની આત્મહત્યા કે શિક્ષણની અનવસ્યા ઉદ્યોગોને અપાતાં મફત જમીન-પાણી અને ઉદ્યોગ સામે ખેતી સાથેના ઓરમાની વ્યવહાર એમ બધાંની ગાંઠો ખૂલતી જશે. એ જ માર્ગ, થોડી ધીરજ અને સમજ સાથે આગળ વધશો, તો ગરીબી અને બેકારીની સમસ્યાઓના ઉકેલની દિશા પણ દેખાવા માંડશે. ભળભાખરું આપોઆપ જ થતું હોય છે – તેને કોઈ આયોજનો કે સારવારની જરૂર હોતી જ નથી. સવારના કૂણા તડકા તરફ પ્રયાણ પણ આપોઆપ જ – આ ધરતીને ગતિ વડે જ થઈ રહેશે. પેલા ગાંધીબાપુએ આ જ તો શીખ આપી છે. સાદું જીવો – વહેંચીને ખાવ, મહેનત કરો અને સૌમાં રામ જુઓ. રસ્તો તો આ જ છે, પણ જો તમારે સત્તા અને પૈસાની તાબેદારી કરતા રહેવું હોય તો એ વાત તો તમારી અને તમારા ભગવાન વચ્ચેની જ કહેવાય.’ ચોથેશ્વરીએ વાત આટોપી.

આથમતા સૂરજની તામ્રવર્ણી તડકો ચોથેશ્વરીના ચહેરાને ચમકાવતો હતો. તેથી અભિભૂત થયો હોય કે ગમે તેમ – ચોથિયાને લાગ્યું કે ચોથેશ્વરીની વાતમાં આવી જવા જેવું તો હતું જ.

E-mail : shuklaswayam345@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 01 મે 2017; પૃ. 05-06 

Loading

...102030...3,4293,4303,4313,432...3,4403,4503,460...

Search by

Opinion

  • બંધારણ – દેશનું દર્પણ, દેશની ઓળખ, દેશની શોભા  
  • નથુરામનું ‘હુતાત્મા’ પદ અને કુરુંદકરનો તર્ક
  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ
  • ઝાંઝવાનાં જળ
  • એક ‘રાની પંખીડું’ જિતુભાઈ પ્ર. મહેતા

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved