Opinion Magazine
Number of visits: 9584564
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

નોટબંધી છતાં ઊંચો વૃદ્ધિદર!

રમેશ બી. શાહ|Opinion - Opinion|17 March 2017

દેશની આર્થિક નીતિનો એકમાત્ર આરાધ્યદેવ જી.ડી.પી.નો વૃદ્ધિદર બન્યો છે. તેના કેટલાંક પરિણામો નીપજ્યાં છે. તેના એક પરિણામ રૂપે જી.ડી.પી.નો અંદાજ વર્ષના અંતે મૂકવાને બદલે ત્રૈમાસિક ધોરણે મૂકવાની પ્રથા પડી છે. વિકસિત દેશોમાં મોટાભાગની આર્થિક પ્રવૃત્તિઓ ભારતમાં જેને સંગઠિત ક્ષેત્ર તરીકે ઓળખવામાં આવે છે એવાં ક્ષેત્રોમાં થાય છે. તેથી અર્થતંત્રમાં થતી ઉત્પાદનપ્રવૃત્તિની આંકડાકીય માહિતી સુલભ હોય છે. આ માહિતીના આધાર પર જી.ડી.પી.માં થતાં ફેરફારો, એટલે કે એના વૃદ્ધિદરનો અંદાજ ત્રૈમાસિક ધોરણે વિશ્વાસપૂર્વક મૂકી શકાય છે. વર્ષનાં અંતે આ ત્રૈમાસિક અંદાજોમાં નહિવત્‌ સુધારાવધારા કરવાના થાય છે.

આનાથી ઊલટું, ભારતના અર્થતંત્રમાં રોજગારીની દૃષ્ટિએ અસંગઠિત ક્ષેત્ર ઘણું મોટું છે પણ જી.ડી.પી.માં તેનો હિસ્સો ઘણો ઓછો છે. દા.ત. ખેતીમાં ૪૮ ટકા લોકો રોકાયેલા છે, પણ જી.ડી.પી.માં તેનો હિસ્સો ૧૫ ટકાની આસપાસ રહે છે. બીજા લગભગ ૪૫ ટકા લોકો અસંગઠિત ક્ષેત્રમાં રોકાયેલા છે, પણ જી.ડી.પી.માં તેમનો હિસ્સો ત્રીસેક ટકા જેટલો છે. આ ક્ષેત્રોમાં થતી ઉત્પાદનપ્રવૃત્તિની વિગતો મેળવવામાં સમય વીતે છે. વળી ખેતીમાં ત્રૈમાસિક ધોરણે જી.ડી.પી.ના આંકડા કરેલા અર્થપૂર્ણ બને તે એક પ્રશ્ન છે. ટૂંકમાં, ભારતમાં ત્રૈમાસિક ધોરણે જી.ડી.પી.નો અંદાજ મૂકવાની ખરેખર કોઈ ભૂમિકા નથી. વાસ્તવિકતા તો એ છે કે ભારતમાં જી.ડી.પી.ના કોઈ એક વર્ષના અંદાજને પણ પછીનાં બે વર્ષોમાં સુધારવામાં આવે છે. તેને ‘સુધારેલો અંદાજ’ (Revised Estimate) અને ‘અંતિમ અંદાજ’ (Final Estimate) એ શીર્ષક નીચે રજૂ કરવામાં આવે છે. આમ જી.ડી.પી.નો  અંદાજ મૂકવા માટેની પ્રસ્તુત માહિતી મેળવવાની એને તેને સંસ્કારવાની પ્રક્રિયા ત્રણેક વર્ષ ચાલે છે. આ પ્રક્રિયામાં જે તે વર્ષના જી.ડી.પી.ના અંદાજમાં કેટલાક દાખલાઓમાં મોટો ગણી શકાય, એવો વધારો ઘટાડો થતો હોય છે. મુદ્દો એ કે ભારતમાં વર્ષના અંતે મૂકવામાં આવતો જી.ડી.પી.નો અંદાજ પણ કામચલાઉ (provisional) હોય છે. ત્રૈમાસિક અંદાજ તો અર્થતંત્રના કેવળ સંગઠિત ક્ષેત્રની વિગતો પર આધારિત હોઈ તદ્દન કામચલાઉ હોય છે. આવા અંદાજને એક સાક્ષરી વ્યાયામ (academic excercise) તરીકે જોવામાં આવે તે અપેક્ષિત છે અને તેમાં વિવેક પણ છે.

પણ ભારતમાં જી.ડી.પી.ના વૃદ્ધિદરનો રાજકીય ઉપયોગ કરી લેવાની ચતુરાઈ ધરાવતા વડાપ્રધાન આ વિવેક જાળવે, એવી અપેક્ષા રાખી શકાય તેમ નથી. ઑક્ટોબર-ડિસેમ્બરના ત્રૈમાસિક ગાળામાં સાત ટકા વૃદ્ધિદરનો અંદાજ આવ્યો, તે પોતાના ‘હાર્ડવર્ક’ને આભારી છે અને નોટબંધીની અસર વિશે હાર્વર્ડના અર્થશાસ્ત્રી ખોટા પડ્યા એ વિશે વ્યંગ કરીને વડાપ્રધાને તત્કાળ રાજકીય સ્કોર કરી લીધો. પણ ઉપર દર્શાવ્યું છે તે પ્રમાણે જી.ડી.પી.નો ત્રૈમાસિક અંદાજ તદ્દન કામચલાઉ હોય છે અને તેમાં અસંગઠિત ક્ષેત્રોમાં થતી ઉત્પાદનપ્રવૃત્તિમાં થઈ રહેલાં પરિવર્તનોનું પ્રતિબિંબ પડતું હોતું નથી. બીજી બાજુ, નોટબંધીની અસર મુખ્યત્વે સારા પ્રમાણમાં રોકડ નાણાંનો ઉપયોગ કરતા અસંગઠિત ક્ષેત્ર પર પડી છે.

અસંગઠિત ક્ષેત્રમાં વધતી બેકારી, ઘટતું ઉત્પાદન અને ઘટતા વેતનના અહેવાલો અખબારોમાં નિયમિત પ્રગટ થતા હતા. નગરવિસ્તારમાં બેકાર થયેલા કામદારો ગ્રામવિસ્તારમાં પણ પાછા ફર્યાના અને ‘મનરેગા’ હેઠળ રોજગારી માગતા હોવાના અહેવાલો પણ અખબારોમાં પ્રગટ થતા હતા. ખેડૂતોને તેમનાં શાકભાજીના ભાવો ખૂબ નીચા મળ્યા હોવાની વિગતો પણ પ્રગટ થઈ હતી. આમાંની એક પણ હકીકત જી.ડી.પી.ની વૃદ્ધિના આંકડામાં ઝિલાઈ નથી. ભારતમાં જી.ડી.પી.ના વૃદ્ધિદરની મોટી મર્યાદા આ અનુભવમાંથી ઊપસી આવે છે. ખેતીનું ઉદાહરણ લઈને આ મર્યાદાને સમજીએ.

દેશમાં ૨૦૧૪-૧૫ અને ૨૦૧૫-૧૬ ઉપરાઉપરી પડેલા બે મોટા દુષ્કાળનાં વર્ષો હતાં. એને પરિણામે ખેતીમાં સર્જાતી જી.ડી.પી. લગભગ સ્થિર રહી હતી અને ખેડૂતો આર્થિક રીતે વિષમ સ્થિતિમાં મુકાઈ ગયા હતા. એને પરિણામે ખેડૂતોની આત્મહત્યાના કિસ્સા પણ બનતા રહ્યા હતા, પણ એ બે વર્ષોમાં જી.ડી.પી.નો વૃદ્ધિદર અર્થતંત્રનું ગુલાબી ચિત્ર દર્શાવતો હતો. એ બે વર્ષોમાં જી.ડી.પી.માં અનુક્રમે ૭.૨ ટકા અને ૭.૬ ટકાનો વધારો થયો હતો. આ અનુભવ એ સૂચવે છે કે દેશના લગભગ ૫૦ ટકા લોકોની આવકમાં વધારો ન થવા છતાં કે અલ્પ વધારો થયો હોવા છતાં દેશની જી.ડી.પી.માં સાત ટકાથી ઊંચા દરે વધારો થઈ શકે છે. અને આ વૃદ્ધિદર દુનિયાના ૪૨ મોટા દેશોમાં સહુથી ઊંચા દરે વૃદ્ધિ પામી રહેલા અર્થતંત્રનું ગૌરવ લઈ શકાય તેટલો મોટો છે. આમ, દેશના અર્થતંત્રમાં ઊંચા દરે થતી જી.ડી.પી.ની વૃદ્ધિનો લાભ અર્થતંત્રના અસંગઠિત ક્ષેત્રમાં રોકાયેલા લોકોને અલ્પ પ્રમાણમાં મળતો હોય કે બિલકુલ ન મળતો હોય એવું બની શકે છે. દેશમાં જેમ ‘ઇન્ડિયા’ અને ‘ભારત’ છે, તેમ અર્થતંત્રમાં ‘સંગઠિત’ અને ‘અસંગઠિત’ ક્ષેત્રો છે.

૨૦૧૬-૧૭ના વર્ષમાં ખેતીના ક્ષેત્રે જી.ડી.પી.માં ચાર ટકાથી અધિક વધારો થશે, એવો અંદાજ છે, પણ કુલ જી.ડી.પી.નો વૃદ્ધિદર સાત ટકા અને અપેક્ષા રાખવામાં આવે છે તે પ્રમાણે ઘટે તો ૬.૫ ટકા કે તેનાથી ઓછો રહેશે. આ દાખલામાં પણ ખેતીમાં વધેલી જી.ડી.પી.નો દેશની કુલ જી.ડી.પી.ના વૃદ્ધિદર પર પ્રભાવ પડ્યો નથી. આમ, દેશમાં ખેતીમાં રોકાયેલા લગભગ ૫૦ ટકા લોકોની આર્થિક સ્થિતિમાં થતા ફેરફારનો કોઈ નિર્દેશ જી.ડી.પી.ના વૃદ્ધિદરમાંથી સાંપડતો નથી. જે ખેતી માટે સાચું છે, તે અર્થતંત્રનાં અન્ય અસંગઠિત ક્ષેત્રો માટે પણ ઓછાવત્તા પ્રમાણમાં સાચું છે.

દેશની આંકડાકીય સંસ્થા (CSO)ના નિયામક દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે, તે પ્રમાણે દેશના અર્થતંત્રના અસંગઠિત ક્ષેત્ર પર પડેલી નોટબંધીની અસર તે ક્ષેત્રોની આંકડાકીય માહિતી પ્રાપ્ત થતાં થોડા મહિના પછી જાણી શકાશે. એ ક્ષેત્રો પર પડેલી અસરને કારણે જી.ડી.પી.ના વૃદ્ધિદરમાં ફક્ત અડધા ટકાનો ઘટાડો થાય, તો દેશની જી.ડી.પી.માં રૂ. ૭૫,૦૦૦ કરોડનો ઓછો વધારો થાય. આ ઘટ મુખ્યત્વે અસંગઠિત ક્ષેત્રોમાં કામ કરતા લોકોએ ગુમાવેલી રોજગારી અને આવકનું પરિણામ હશે. આ ક્ષેત્રમાં કામ કરતા મોટા ભાગના લોકોનું માસિક વેતન રૂ. પાંચ-સાત હજાર જેટલું હોય છે. પુરુષોની આ આવકમાં સ્ત્રીઓ કામ કરીને થોડી પૂર્તિ કરતી હોય છે, પણ આ આવકમાં તેમને પાંચ-સાત માણસોના કુટુંબનું ભરણપોષણ કરવાનું હોય છે. આવાં હજારો કુટુંબોએ જે આર્થિક આપત્તિ ભોગવી, તે જી.ડી.પી.ના અડધા ટકામાં અસરકારક રીતે થતી નથી, કેમ કે વૃદ્ધિદરમાં અડધા ટકાનો ઘડાટો નજીવો લાગે છે.

જી.ડી.પી.ના વૃદ્ધિદર અને તેના આધાર પર રોજગારીમાં થતા વધારા વચ્ચે કોઈ નિશ્ચિત સંબંધ નથી, એ હકીકતમાંથી જી.ડી.પી.ના વૃદ્ધિદરની બીજી મોટી મર્યાદા ઉદ્‌ભવે છે. વિકસિત દેશોની તુલનામાં ભારત જેવા વિકાસશીલ દેશોમાં આ પ્રશ્ન વધારે ગંભીર છે, પણ અમેરિકા જેવા વિકસિત દેશોમાં જી.ડી.પી.ના ત્રૈમાસિક વૃદ્ધિદરની સાથે બેકારીના આંકડા પણ પ્રગટ કરવામાં આવે છે. મતલબ કે દેશની આર્થિક તંદુરસ્તીને કેવળ જી.ડી.પી.માં થતા વધારાઘટાડાના આધારે તપાસવામાં આવતી નથી. તેની સાથે રોજગારીનો પણ એક નિર્દેશક તરીકે ઉપયોગ કરવામાં આવે છે. ભારતમાં આ બીજો નિર્દેશક વધારે અગત્યનો છે, કેમ કે દેશમાં દર વર્ષે યુવાનો માટે એક કરોડથી અધિક રોજગારીની તકો સર્જવી એ આપણી જરૂરિયાત છે. પણ ભારત જેવા વિકાસશીલ દેશોમાં રોજગારીવિહીન વૃદ્ધિ(જૉબલેસ ગ્રોથ)ની સમસ્યા ઘણી જાણીતી છે. ભારતમાં સાત ટકાનો ઊંચો વૃદ્ધિદર છેલ્લાં બે વર્ષોમાં બહુ ઓછી રોજગારી સર્જી શક્યો છે. આમ, ઊંચા દરે થઈ રહેલી આર્થિક વૃદ્ધિનો બહુ ઓછો લાભ રોજગારી શોધતા યુવાનોને મળે છે. આના ઉપાય રૂપે વૃદ્ધિદરને ૯-૧૦ ટકા પર લઈ જવાની ભલામણ કરવામાં આવે છે, પણ આર્થિક વૃદ્ધિનું સ્વરૂપ બદલ્યા વિના, કેવળ વૃદ્ધિદર વધારવાથી રોજગારીની તકો વધુ મોટા પ્રમાણમાં કેવી રીતે સર્જાશે, તે સ્પષ્ટ નથી.

છેલ્લે, ભારતનું અર્થતંત્ર દુનિયામાં સહુથી ઊંચા દરે વૃદ્ધિ પામી રહ્યું છે, એ હકીકતને યોગ્ય પરિપ્રેક્ષ્યમાં સમજીએ. આપણે સ્વીકારીએ કે ભારતનું અર્થતંત્ર ૭.૫ ટકાના દરે વૃદ્ધિ પામી રહ્યું છે અને બીજા નંબરે આવતું ચીનનું અર્થતંત્ર ૬.૫ ટકાના દરે વૃદ્ધિ પામી રહ્યું છે. આંતરરાષ્ટ્રીય નાણાભંડોળના અંદાજ પ્રમાણે ૨૦૧૬માં ચીનની માથા દીઠ આવક ૮૨૬૦ ડૉલર હતી અને ભારતની માથા દીઠ આવક ૧૭૧૯ ડૉલર હતી. જાડી ગણતરી પ્રમાણે ચીનની માથા દીઠ આવકમાં એટલે ૫૪૦ ડૉલરનો વધારો થાય, જ્યારે ભારતની માથા દીઠ આવકમાં ૧૩૦ ડૉલરનો વધારો થાય. ચીનનો વૃદ્ધિદર ભારત કરતાં ઓછો હોવા છતાં ચીનની માથા દીઠ આવક ડૉલરમાં ભારત કરતાં ચાર ગણી વધે. હવે ઊંચા વૃદ્ધિદરથી કેટલું ગૌરવ અનુભવવું એ વાચકે નક્કી કરવાનું છે.

પાલડી, અમદાવાદ-૦૭.

સૌજન્ય : “નિરીક્ષક”, 16 માર્ચ 2017; પૃ. 03-04 

Loading

આ ઉકરડા માટે છે સ્વચ્છતા-અભિયાન?

હિમાંશી શેલત|Opinion - Opinion|17 March 2017

આ છે દિલ્હીની લેડી શ્રીરામ કૉલેજમાં ભણતી વીસ વર્ષની ગુરમેહર કૌર. એણે એની ફેસબુક પર પોતાની તસવીર મૂકી, હાથમાં પૂંઠા સાથે, એમાં લખાણ કે ‘હું એ.બી.વી.પી.થી ડરતી નથી.’ તાજેતરમાં એ.બી.વી.પી.ના, યુનિવર્સિટી વિદ્યાર્થીઓ અને અધ્યાપકો પરના, હિંસક હુમલાના વિરોધમાં ગુરમેહરનો આ પ્રતિભાવ હતો. એણે જાહેર મંચ પરથી નથી કોઈનું અપમાન કર્યું કે નથી અપશબ્દો વાપર્યા. જમ્મુ-કાશ્મીરમાં વીરગતિ પામેલા કૅપ્ટન મનદીપ સિંહની આ પુત્રીને દેશભક્તિ એટલે શું, એની ખબર હોય એ સ્વાભાવિક છે. એણે જે હિંમતપૂર્વક કહ્યું, એના અર્થની ભીતર જવાને બદલે સોશિયલ મીડિયા પર એની સામે ગાળોનો મારો ચાલ્યો. આ આક્રમણ પાછળના હલકટ પુરુષ માનસને એક વિચાર પહેલો આવે, એટલે એવા કોઈ ગંદકીથી ખદબદતાએ ઓક્યું કે ‘નિર્ભયા કરતાંયે બૂરા હાલ થશે તારા!’

અહીં પ્રશ્ન ભાવ-પ્રતિભાવ પૂરતો મર્યાદિત ન રહેતાં એક વ્યક્તિ, જે સ્વતંત્ર અને નિર્ભય રહી વિચારે છે, એને થથરાવવા માટેની નિમ્ન સ્તરની યોજનાઓ સુધી વિસ્તરે છે, અને એમાં સરકારી પદાધિકારીઓ પણ ઝંપલાવે છે! ગુરમેહરને જે આઘાતક ધમકીઓ મળે છે, એની સામે બુલંદ પડકાર ફેંકવાને બદલે, યુનિવર્સિટી પ્રાંગણમાં હિંસા બિલકુલ ચલાવી ન લેવાય, એવી કૃતનિશ્ચય જાહેરાતને બદલે, સહુ ગુરમેહર પર તૂટી પડે છે. છોકરી છે, તે ય વીસ વરસની અને પોતે નિર્ભય છે એમ કહે છે? ચલાવી લેવાય આવો અનાચાર આ દેશમાં? માતૃભૂમિનાં ગુણગાન ગાવાનાં હોય, ત્યારે નાની કે મોટી ટિપ્પણી કરનાર આ બેઅદબ કોણ? આપો ધમકી બળાત્કારની. માની રક્ષા કરવાની વાતો કરવાની મોટે અવાજે, અને ટ્‌વીટર-બ્લૉગ પર ડરાવવાનું બળાત્કાર નામના નમાલાઓના શસ્ત્ર વડે! ગુરુમેહર કૌરની સામે જે જોખમ છે, તે દેશની બોલતી અને બોલી શકતી કોઈ પણ સ્ત્રી સામે હોઈ શકે. જો તમે હા જી હાની જમાતમાં નથી, જો તમે ખુશામતખોરોની ધમધમાટ દોડતી ગાડીમાં નથી, જો તમે ચૂપ રહીને ‘કશામાંયે હાજર નથી’ની મૃતઃપ્રાય દશાને પસંદ કરનારાં નથી, તો તમે અનેકોને ખૂંચવાના એ નક્કી.

વિરોધનો એકાદ સૂર કાઢનારી વ્યક્તિને ‘દેશદ્રોહી’ કહેવાની ફૅશન ચાલી છે આજકાલ. રેમ્પ પર ચાલનારા વરવા વેશધારીઓનું ટોળું મોટું થતું જાય છે. પોતાની આસપાસ આવડી મોટી જમાત છે એનો ઉન્માદ ભલભલાંને નશીલી અવસ્થામાં મૂકી દે છે. ચૂંટણીપ્રચારમાં કેવું-કેવું બોલ્યા છે સત્તાધારીઓ અથવા સત્તા-મહત્ત્વાકાંક્ષીઓ ! બંધારણના સોગંદ લઈ ગળું ફાડતાં કોઈને યાદ નથી આવતું કે ગુરમેહર પરનું આક્રમણ અંતે તો બંધારણ પરનું આક્રમણ ઠરે છે. હજી હમણાં જ કોણ બોલ્યું હતું કે સ્ત્રીઓ પર અત્યાચાર કરનારને રહેંસી નાખવા જોઈએ, એ બોલનારાં ઉમા ભારતી કે …?

સત્તાને શરણે બધાં ન્યાય-અન્યાય, અધિકાર-ગુલામી, સમતુલા અને ઉદ્દંડતાનો અર્થો ભૂલી જાય છે. બાકી ગુરમેહરને બળાત્કારની ધમકી મળે અને મેનકા ગાંધી કે સુષમા સ્વરાજ કશું જ ન અનુભવે એમ બને? પદલાભ મેળવવો એટલે સ્વતંત્રતા અભરાઈ પર ધૂળ ખાવા મૂકી દેવી. પદ મેળવ્યા બાદ એ ક્યારે ય ખપ ન લાગે એવી ચીજ. એની હાજરીની જાણ કેટલાકને હોય ખરી, પણ ધૂળની ઝાપટઝૂપટ કરી એનો ઉપયોગ કરવા જેટલી સજગતા કેટલા પાસે?

સત્તાનો મદ વિવેકને ધક્કે ચડાવે છે. ‘અમને કોઈ કહેનાર નથી’ એવો અહંકાર વાણી અને વર્તનને નિરંકુશ બનાવે છે. ઠેઠ ઉપર બેઠેલા કોઈને ડારતા નથી, રોકતા નથી, એમને તો આ ઘાતક ખેલમાં નથી કશું ખોટું દેખાતું, નથી કંઈ અટકાવવા જેવું લાગતું! પહેલાંયે ક્યારે લાગેલું, તે હવે લાગે?

મારા દેશમાં વીસ વર્ષની એક છોકરીને ધમકી મળે છે. નિર્ભયાથીયે બૂરા હાલ થવાની, અને સઘળો નાટારંગ યથાવત્‌ ચાલતો રહે છે એનો માથાવાઢ પ્રહાર ખમવા જેટલાં જડસુ આપણે છીએ, એને પણ આમ તો વિકાસ જ કહેવાયને? ને આ મંદવાડ અને ગંદવાડ માટે છે સ્વચ્છતા – અભિયાનની જોગવાઈ આપણે ત્યાં?

અબ્રામા, વલસાડ

સૌજન્ય : “નિરીક્ષક”, 16 માર્ચ 2017; પૃ. 04

Loading

વિનાશ કરવો એ દેશપ્રેમ નહીં, જોહુકમી છે

પેટ્ટી ડેવિસ|Opinion - Opinion|17 March 2017

હું મોટી થતી ગઈ એમ મારા ડૅડીની દેશદાઝ પ્રત્યે મારો આદર વધતો ગયો, પરંતુ તેમના મોટા ભાગના રાજકારણની હું વિરોધી છું. ખાસ કરીને, ૬૦ના દાયકાના તેમના રાજકારણનો હું સખત વિરોધ કરું છું. એ ગાળામાં વિયેતનામ યુદ્ધ વખતે યુએસ મરીન્સમાં ફરજ બજાવતા મારા એક મિત્રે એ ભૂમિ પર ખેલાયેલા મોતના તાંડવ વિશે મને પત્ર લખીને જાણકારી આપી, ત્યારે હું ખળભળી ઊઠી હતી. કોઈની લાગણીઓની કદર કરવી અને તેમને ઓળખવા એ બે બિલકુલ અલગ બાબત છે. હું ક્યારે ય અમેરિકાનું રાષ્ટ્રગીત ગાતી વખતે કે ધ્વજ ફરકતો હોય, એ સ્થળે રડી નથી.

જો કે ૯/૧૧ પછી એ સ્થિતિ બદલાઈ ગઈ. એ પછી મારા ડૅડી પણ અલ્ઝાઇમરમાં પટકાયા અને પથારીવશ થઈ ગયા. એ અત્યંત ઉદાસ હતા. એક સવારે હું ડ્રાઇવ કરીને મારાં માતા-પિતાના ઘરે જઈ રહી હતી. એ દિવસે મેં એક ખૂણામાં ટોળાં નજીક ઊભેલો એક ભિખારી જોયો, જે ચીંથરેહાલ અમેરિકન ધ્વજ ફરકાવી રહ્યો હતો. એનાં આંસુ જોઈને મારા માટે આગળ ડ્રાઇવ કરવું અઘરું થઈ ગયું અને એ બધા આગળ વધ્યા ત્યાં સુધી હું ઊભી રહી. એ લોકો જ્યાંથી આવતા હતા એ વાતે જ મને પરેશાન કરી મૂકી. મને એવું લાગ્યું કે મારા આખા જીવન દરમિયાન તેઓ મારી પ્રતીક્ષા કરી રહ્યા હતા. હું જાણતી હતી કે દેશ માટે રડ્યા પછી મને ‘ટેકન ફોર ગ્રાન્ટેડ’ લેવામાં આવી શકે છે!

મને એવા લોકો માટે રડવું આવ્યું કે જે સ્વચ્છ આકાશ હતું, ત્યારે સવારે વિમાનમાં ક્યાંક જવા નીકળ્યા હતા, જેમણે ક્યારે ય વિચાર્યું પણ ન હતું કે સ્વતંત્રતાની આ ભૂમિ પર આવો કાળ ત્રાટકવાનો છે. એ લોકો જાણતા ન હતા કે તેઓ આવતી કાલ જોવાના નથી. મારાં માતાપિતાના ઘરે પહોંચ્યાં પછી હું અને મારી મમ્મા, મારા પિતાની પથારી નજીક બેઠાં હતાં. એ વખતે મેં તેમને કહ્યું, આપણી સાથે, અમેરિકા સાથે કંઈક ખરાબ થયું છે. એક વિમાન બિલ્ડિંગમાં ઘૂસી ગયું અને અનેક લોકોનાં મોત થયાં છે, પરંતુ કોઈ જાણતું નથી કે આવું કેવી રીતે શક્ય બન્યું. હવે એ વિશે તમે અમને કંઈક કહો.

જો કે, એ વખતે ડૅડી કશું જ બોલવા સક્ષમ ન હતા, પરંતુ હું હંમેશાં માનતી હતી કે તેમનો આત્મા મને સાંભળતો હતો. તેઓ અલ્ઝાઇમરના ભોગ બન્યા ત્યારથી મારી માન્યતા હતી કે તેમનો આત્મા ક્યારે ય બીમાર ના થઇ શકે. એ સમયે તેઓ પોતાના વ્હાલા દેશને લઈને હૃદયભગ્ન થઈ ગયા હતા.

હું ડૅડીને મળવા જતી હતી, ત્યારે કારમાં રેડિયો પર વ્હિટની હ્યુસ્ટનનું ‘અમેરિકા ઇઝ બ્યુટીફૂલ’ વાગી રહ્યું હતું, અને એ વખતે આંસુ રોકાયાં નહીં ત્યાં સુધી હું ફરી એક વાર અટકી ગઈ હતી. મેં યાદ કર્યું કે, આ દેશ માટે મારા શરીરમાં ક્યાં પ્રેમ છે અને ક્યાં છે એ જખમોનું દુઃખ. ૨૦મી જાન્યુઆરીથી, મારી અંદરની એ એક જ જગ્યાના કારણે હું એકથી વધુ વખત આંસુ સારી ચૂકી હતી. જે કંઈ થયું એ ભયાનકતા અને જાનહાનિના કારણે હું ઊભરાઈ ગઈ હતી. મેં બીજી વાર બંધારણ વાંચ્યું, કારણ કે અમે કદાચ એ ગુમાવી ચૂક્યાં ત્યાં. એ ઉત્કૃષ્ટ દસ્તાવેજના પાયા પર જ આ ભૂમિ સર્જાઈ છે, જેને આપણે અમેરિકા કહીએ છીએ, તેના કારણે જ આપણી પાસે સ્વતંત્રતા, નિખાલસતા અને ન્યાયપ્રિયતા વચ્ચે સંતુલન સાધતી સરકારો છે. અમારી પાસે સ્વતંત્ર પ્રેસ છે, જેમાં સેન્સરની મુશ્કેલી નથી અને સરકારનો કોઈ હસ્તક્ષેપ નથી. અમે વિશ્વમાં સૌથી વિરલ છીએ. અમે અમારા ઇતિહાસનાં કાળાં પ્રકરણોને પાછળ છોડી દીધાં છે, પરંતુ અમેરિકા જે પાયા પર રચાયું છે એ મૂલ્યોને યાદ રાખીને અમે હંમેશાં સાચી દિશામાં આગળ વધવાનો પ્રયાસ કરીએ છીએ.

૨૦મી જાન્યુઆરીથી મેં ‘અમેરિકા ફર્સ્ટ’ સાંભળ્યું, એ દરેક વખતે મને કંપારી છૂટી ગઈ છે. એ ચાર્લ્સ લિન્ડબર્ગ જેવા યહૂદી વિરોધીનો નારો હતો. એ નારો અમેરિકા ફર્સ્ટ કમિટીનો હતો, જેમણે જર્મનીમાં થતા સામૂહિક નરસંહારને પણ અવગણ્યો હતો. તેઓ ઇચ્છતા હતા કે તમારી આંખો બંધ કરી દો, હૃદય બંધ કરી દો અને તમારી સરહદો પણ. મહેરબાની કરીને, ‘અમેરિકા ફર્સ્ટ’ નારો ક્યાંથી આવ્યો, એ ભૂલી ના જતા.

ટ્રમ્પ એડ્‌મિનિસ્ટ્રેશનના સલાહકાર સ્ટિવ બેને કહ્યું હતું કે ‘મને યાદ નથી કે મેં ક્યારે ય મારી જાતને લેનિનવાદી ગણાવીને કહ્યું હોય કે હું બધું જ ખતમ કરવા ઇચ્છું છું.’ જો કે, એક વાર તેઓ વહીવટી રાજ્ય ખતમ થઈ જવું જોઈએ એવું બોલ્યા હતા. તેઓ વિલિયમ સ્ટ્રોસ અને નીલ હોવે સ્વીકારેલી ઇતિહાસની સાઈકલની થિયરીમાં માને છે. આ થિયરીમાં હાલની કટોકટી અને દાવાનો સમાવેશ થઈ જાય છે, જેની કિંમત બીજાએ ચૂકવવાની છે. મિ. બેનન આવું કરવા કટિબદ્ધ છે. જે લોકો આ દેશનો તંતુ તોડી નાંખવા માંગે છે અને તેના પાયા હચમચાવી મૂકવા માગે છે, એ લોકોને આ દેશ સાથે કોઈ પ્રેમ નથી. વિનાશ કરવો એ દેશપ્રેમ નથી, પરંતુ જોહુકમી છે.

જોહુકમીથી ભયાનક વાવાઝોડા જેવો પ્રહાર નથી થતો અને તેનાથી રાતોરાત કશું પણ બદલાઈ નથી જતું, પરંતુ તેનાથી ધીમે-ધીમે આયોજનપૂર્વકનો સડો આવે છે. તેનાથી ભય વધે છે, તે દુશ્મનો પેદા કરે છે, તેનાથી સ્વતંત્રતા જોખમાય છે, ખાસ કરીને પ્રેસની સ્વતંત્રતા. બેનન જ્યારે મીડિયાને સંબોધીને એવું કહે છે કે, જો તમે એવું વિચારો છો કે અમે લડ્યા વિના તમને તમારો દેશ પાછો અપાવીએ, તો કમનસીબે તમે ભૂલ કરો છો.

આવું બોલીને તેઓ ભયનો માહોલ ઊભો કરે છે. કદાચ તેઓ બહુ અનુભવી નથી, પરંતુ ઘણા હોશિયાર છે અને જોહુકમીની સ્કૂલના નિષ્ણાતો છે. એવું પણ નથી કે અમેરિકાની શક્તિ અને તેની ટકી શકવાની ક્ષમતા અચળ છે. કોઈ દેશ એવો ના હોય. જેણે આ દેશને બનાવ્યો છે એવા આપણે ભયના માહોલમાં જીવીએ અને ગુસ્સે રહીએ અથવા આપણાં મૂલ્યોના પ્રેમ ખાતર એકજૂટ થઈએ. આપણે બેનનને સાંભળ્યા વિના, ફરી એક વાર એબ્રહામ લિંકનને સાંભળીએ.

લિંકને કહ્યું હતું કે ‘પરમાત્માની સાક્ષીએ આ દેશમાં સ્વતંત્રતાનો જન્મ થશે. આ ઉપરાંત લોકોની, લોકો વડે અને લોકો માટે સરકાર રચાશે, જેનો આ પૃથ્વી પરથી નાશ નહીં થાય …’

[અનુ.ઃ વિશાલ શાહ]

(Patti Davis, લેખિકા અમેરિકાના પૂર્વ પ્રમુખ રોનાલ્ડ રેગનનાં દીકરી અને રેસિઝમની પરની જાણીતી નવલકથા The Earth Breaks in Colorsનાં સર્જક છે.)

સૌજન્ય : “નિરીક્ષક”, 17 માર્ચ 2017; પૃ. 05

Loading

...102030...3,4243,4253,4263,427...3,4303,4403,450...

Search by

Opinion

  • પૈસા આપવાનું વચન આપીને RSS દ્વારા બોલાવાયેલા સત્યાગ્રહીઓ!
  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved