Opinion Magazine
Number of visits: 9767472
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

‘અન્નધમ્મ’ યોજનાનો ઐતિહાસિક પ્રારંભ

હરીશ મંગલમ્‌ - ડૉ. રતિલાલ રોહિત, હરીશ મંગલમ્‌ - ડૉ. રતિલાલ રોહિત|Samantar Gujarat - Samantar|22 June 2017

મોટા સમઢિયાળા, તાલુકો ઉના, જિલ્લો ગીર સોમનાથ(ગુજરાત)માં તારીખ ૧૧-૭-૨૦૧૬ના રોજ બનેલા અમાનુષી અત્યાચારે માનવતાની તમામ સીમાઓ ઓળંગી દીધી અને ફરી એક વાર ‘ગાયમાતાની રક્ષા’ના અંચળા હેઠળ હિંદુત્વની માનસિકતાનાં વરવાં દર્શન થયાં. રાજકીય રોટલો શેકતા ગુંડાઓએ બંધારણની ભાવનાનાં જગતચોકમાં ચીંથરાં ઉડાડ્યાં. ત્યારે ગુજરાતના અનુસૂચિત જાતિના લોકો ઊંઘતા ઝડપાયા. હજારો વર્ષોથી થતાં અન્યાયો, યાતનાઓ, અવહેલનાઓ અને અસ્પૃશ્યતાને લીધે રફેદફે થયેલા સમાજમાં આક્રોશ ભભૂકી ઊઠ્યો. પ્રતિકારનો પ્રતિઘોષ થયો. પ્રતિકારને દબાવી દેવા હીનકક્ષાના હિંસક પ્રયત્નો થયા, પરંતુ વિરાટ આંદોલનની જ્વાળાઓ પ્રસરી. વર્ચસ્વવાદીઓનાં સમીકરણોમાં હલચલ મચી ગઈ. મૃત પશુઓ નહીં ખેંચી જવાનો વાયરો વીંઝાયો. અસ્વચ્છ ધંધો ત્યજી દેવાનું સ્વાભિમાન-આંદોલન પ્રકટ્યું.

અત્રે યાદ રહે કે, ‘હયાતી’નો સપ્ટેમ્બર, ૨૦૧૬નો અંક ‘સ્વાભિમાન – વિશેષાંક’ તરીકે પ્રગટ કરવામાં આવ્યો હતો. મુખપૃષ્ઠ પર ડૉ. બાબાસાહેબ આંબેડકરના ચિત્ર સાથે તેમનું અવતરણ છાપ્યું હતું : ‘વર્ણવ્યવસ્થાથી અધિક પતનશીલ બીજી કોઈ વ્યવસ્થા હોઈ શકે નહિ’. આ આંદોલન વધુ વકર્યું. કેટલીક કલેક્ટરકચેરીઓ આગળ મૃત પશુઓનો ખડકલો કરવામાં આવ્યો. ચોખલિયાપણાનો દંભ કરતો સમાજ આ ગંભીર ચૅલેન્જથી ફફડી ઊઠ્યો. કોણે કયો વ્યવસાય કરવો, તેની સ્વતંત્રતા દરેકને છે. બળજબરીથી કશું થોપી ના શકાય. હિંદુ સમાજવ્યવસ્થાએ લાદી  દીધેલી અસ્વચ્છ ધંધાની અમાનુષી, સડી ગયેલી, અવૈજ્ઞાનિક પ્રથાના લીરેલીરા ઊડી ગયા. જનચેતના પ્રસરી. મૃત પશુઓ નહીં ખેંચી જવાના નિર્ણયથી ગામડાંઓમાં વિકટ સ્થિતિ સર્જાઈ, ઠેરઠેર દુર્ગંધ ફેલાઈ. બહુમતીના જોરે અનુસૂચિત જાતિના લોકો પર પુનઃઅત્યાચારો થયા અને બહિષ્કારનું હથિયાર ઉગામ્યું. ભેદભાવ અને ઊંચ-નીચના ખ્યાલોએ પોત પ્રકાશ્યું. મૃત પશુઓ ખેંચી જાઓ તો પણ માર પડે અને મૃત પશુઓ ખેંચી જવાનું બંધ કરો, તો પણ માર!!

સદીઓ સુધી માફ ના થાય તેવા આ ગુનાને ‘વર્લ્ડબુક’માં વિચિત્ર-હીન-અમાનવીય કક્ષામાં સ્થાન મળ્યું છે કે કેમ તેની ખબર નથી! પરંતુ અમાનવિયતાનાં આવાં કારમાં કૃત્યોનો વિશ્વ આખામાં જોટો જડે તેમ નથી. આવા હાલાકીભર્યા સંજોગોમાં સહાયરૂપ થવા માટેના શુભાશયથી ગુજરાતી દલિતસાહિત્ય અકાદમી તરફથી ‘અન્નધમ્મ’ યોજના શરૂ કરવામાં આવી. સમાજજાગૃતિ, સમાજચેતના અને ક્રાંતિકારી પરિવર્તન માટે માત્ર લેખિની પર આધાર રાખી શકાય નહીં. આંબેડકરવાદી સાહિત્યકાર એ માત્ર સાહિત્યકાર નથી, સાહિત્યકાર-કમ-ઍક્ટિવિસ્ટ છે.

જે ગામમાં સ્વેચ્છાએ મૃત પશુ ખેંચી જવાનું બંધ કરવામાં આવે, તેવા તમામ કુટુંબોને સહાયભૂત થવા તેમ જ તાત્કાલિક મનોબળ મજબૂત રહે તે માટે વિના મૂલ્યે અનાજની સહાય પહોંચાડવાનો દૃઢ નિર્ધાર છે, જેથી આ ક્રાંતિકારી આંદોલનમાં જોમ અને જુસ્સો ટકી રહે. આ યોજનાનો વ્યાપ ગુજરાતસ્તરે જ નહી બલકે, રાષ્ટ્રીય લઈ જવાની નેમ છે. આ યોજના પાછળનો બૃહદ્‌ અને મૂળ હેતુ તો અનુસૂચિત સમાજમાં ‘સ્વાભિમાન’ જગવવાનો છે. તદુપરાંત, જ્ઞાતિઓના ભેદવાડા, અસ્પૃશ્યતા, ઊંચ-નીચની બોદી. અવિચારી અને અવૈજ્ઞાનિક પ્રથાનો ભુક્કો બોલાવવાની પ્રચંડ પ્રતિકારશક્તિનો ધસમસતો  ધોધ છે એમાં.

‘અન્નધમ્મ’ યોજનાનો સૌ પ્રથમ ઐતિહાસિક પ્રારંભ ગુજરાતી દલિત – સાહિત્ય અકાદમીના સલાહકાર, સમ્યક્સાહિત્ય-અધ્યાપકસંઘના પ્રમુખ અને મુંબઈ યુનિવર્સિટીના પ્રોફેસર ડૉ. રતિલાલ રોહિતના વતન ગામ અભોર, તાલુકા પાદરા, જિલ્લો વડોદરા ખાતેથી તારીખ ૮-૫-૨૦૧૭ના રોજ કરવામાં આવ્યો. ડૉ. રતિલાલ રોહિતની પ્રતિબદ્ધતા અને અડગ મનોબળથી મૃત પશુઓ ખેંચી જવાની લાદી દીધેલી પ્રથાનો વિરોધ કરી સદંતર ત્યાગ કરી દીધો. આ કાર્યક્રમમાં અભોર ગામના વાલ્મીકિ કંચનભાઈ મેલાભાઈએ અસ્વચ્છ ધંધો અને રાત્રે વાળું માગવાની પ્રથાનો વિરોધ કરી સદંતર ત્યાગ કરી દીધો અને ડૉ. બાબાસાહેબ આંબેડકરની ‘સ્વમાન અને સ્વાભિમાનપૂર્વક’ જિંદગી જીવવાની વિચારધારા અપનાવી. સમગ્ર ભારતના સામાજિક ઇતિહાસમાં આ અપૂર્વ અને વિરલ ઘટના ગણાય. કંચનભાઈ મેલાભાઈને પણ અનાજ વિતરણ કરવામાં આવ્યું. ઉપસ્થિત સૌ લોકોએ હર્ષોલ્લાસથી કંચનભાઈને બિરદાવ્યા. હિંદુ ધર્મપ્રેરિત આ અમાનવીય પરંપરાને ત્યજીને તથાગત ગૌતમ બુદ્ધ અને સંવિધાનનિર્માતા ડૉ. બાબાસાહેબ આંબેડકરની વિચારધારાને આત્મસાત્‌ કરી પોતાના જીવનમાં અક્ષરસઃ અમલમાં મૂકનાર અભોર ગામના કુલ ૧૭ પરિવારોને આ યોજનાના ભાગ રૂપે ઘઉં, ચોખા અને દાળનું વિતરણ કરવામાં આવ્યું. ગુજરાતી દલિતસાહિત્ય અકાદમીની આ યોજનાના મૂળ અન્વેષક ડૉ. પી.ડી. વાઘેલાસાહેબની ‘પહેલ’ એક ક્રાંતિકારી પગલું સાબિત થઈ.

તારીખ ૮-૫-૨૦૧૭ના રોજ ગામ અભોર મુકામે એક અનોખો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ભંતે સદાનંદ મહાથેરો (અધ્યક્ષ, ઑલ ઇન્ડિયા ભિખ્ખુસંઘ ) ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતી દલિત સાહિત્ય અકાદમીના પ્રમુખ પ્રવીણ ગઢવીએ ‘અન્નધમ્મ’ યોજનાની વિસ્તારથી માહિતી આપી હતી. મહામંત્રી હરીશ મંગલમે સામાજિક એકતા પર ભાર મૂકી ગામના અનુસૂચિત જાતિના લોકોને ડૉ. બાબાસાહેબ આંબેડકરના વિચારો અપનાવીને સંગઠિત થવાની હાકલ કરી હતી. કોમવાદીઓ તરફથી વધતા જતા અત્યાચારોનો પ્રતિકાર કરવા પ્રેર્યા હતા. જે કુટુંબો આ અમાનવીય પ્રથાનો ત્યાગ કરશે તે સૌને ‘અન્નધમ્મ’- યોજનાનો લાભ આપવાવામાં આવશે, એવી જાહેરાત કરી હતી. આ કાર્યક્રમમાં સર્વશ્રી ચંદુ મહેરિયા, અરવિંદ વેગડા, નારાયણભાઈ મકવાણા, પથિક પરમાર, સુનીલ જાદવ, શકીલ કાદરી, ગિરીશ રોહિત, હેમલતા ચૌહાણ સહિત જાણીતા સાહિત્યકારો કર્મશીલો વગેરેએ ઉપસ્થિત રહ્યાં હતાં અને ‘અન્નધમ્મ’ યોજનાને આગળ ધપાવવા, વધુ સફળ બનાવવા માટે અભિનંદન પાઠવ્યા હતા.

સમગ્ર કાર્યક્રમનું કવરેજ ‘આવાજ ઇન્ડિયા’ દ્વારા કરવામાં આવ્યું હતું.

સૌજન્ય : “નિરીક્ષક”, 16 જૂન 2017; પૃ. 15

Loading

મલયાનિલ : વાર્તાકલાનું શિખર સર કરનાર પ્રથમ ગુજરાતી વાર્તાકાર

મુનિકુમાર પંડ્યા|Opinion - Literature|22 June 2017

ઈ.સ. ૧૮૯૨નું વર્ષ. આ વર્ષમાં ગુજરાતી સાહિત્યના ત્રણ સર્જકોનો જન્મ થયો. ધૂમકેતુ, રમણલાલ દેસાઈ અને મલયાનિલ. ત્રણેય ગદ્યસર્જકો છે, વાર્તાકારો છે. હા, અપવાદ રૂપે, રમણલાલ દેસાઈના ‘નિહારિકા’નાં કાવ્યસંગ્રહ પ્રગટ થયો છે ખરો, પણ એ કાવ્યસંગ્રહ રમણલાલનાં વિપુલ ગદ્યસર્જનોમાં ઢંકાઈ ગયો છે.

આપણે મલયાનિલ અને તેમના એકમાત્ર પુસ્તક ગોવાલણી અને બીજી વાતો વિશે વાત કરવાની છે. મલયાનિલનું મૂળ નામ કંચનલાલ વાસુદેવ મહેતા. અમદાવાદમાં તેમનો ઉછેર થયો. વિજ્ઞાનના વિષય સાથે બી.એ. થયા. વાચન, સંગીત અને ચિત્રકલાનો તેમને શોખ હતો. સાહિત્યના વિષય સાથે એમ.એ.ની પરીક્ષા આપવા મુંબઈ ગયા. પણ અચાનક બીમારી આવી અને પરીક્ષા આપી શક્યા નહીં. ઈ.સ. ૧૯૧૬માં એલએલ.બી. થયા. ઈ.સ. ૧૯૧૯માં જૂનની ૨૪મી તારીખે આંતરડાના  દર્દને કારણે તેમનું અવસાન થયું.

ઈ.સ. ૧૯૧૨માં ભાનુમતી સામે મલાયનિલનું લગ્ન થયું હતું. ભાનુમતિની વય ત્યારે ૧૨ વર્ષની હતી. મલયાનિલ ૧૯ વર્ષના હતા, ને કૉલેજમાં ભણતા હતા.

મલયાનિલે થોડો સમય મુંબઈ વસવાટ કર્યો, ત્યાં ભાનુમતી સાથે ઘર શરૂ કર્યું પણ નાદુરસ્ત તબિયતના કારણે અમદાવાદ પરત થયા. અહીં જ તેમનું અવસાન થયું.

હજી તો યુવાવય હતી. સંસાર શરૂ કર્યો હતો. યૌવનની મુગ્ધતા ઓસરી ન હતી અને બધું સંકેલાઈ ગયું.

‘ગોવાલણી અને બીજી વાતો’ સંગ્રહમાં કુલ – ૨૨ વાર્તાઓ છે. ઈ.સ. ૧૯૧૩થી ૧૯૧૮, કુલ ૬ વર્ષમાં આ વાર્તાઓ લખાયેલી છે. મલયાનિલે જે સમયગાળામાં આ વાર્તાઓનું સર્જન કર્યું, એ સમયગાળામાં તેમની સામે એનું મૉડેલ ન હતું કે જે વાર્તાલેખન માટે માર્ગદર્શક બની શકે. પાયાથી જ આરંભ કરવાનો હતો. મલયાનિલ આત્મવિશ્વાસપૂર્વક ઝંપલાવે છે, વાર્તનું સર્જન કરે છે.

આજે આપણે ટૂંકી વાર્તાક્ષેત્રે ઘણા આગળ નીકળી ચૂક્યા છીએ. વાર્તા સર્જનના અવનવા પ્રયોગો આપણી સામે છે. ટૂંકી વાર્તા એટલે શું-ની સૈદ્ધાંતિક ચર્ચાઓ પણ ઘણી થઈ ચૂકી છે. આ બધા આધારેથી ટૂંકી વાર્તાની ડબા સમજવાની દૃષ્ટિ આજે વિકસી છે.

જ્યારે મલાયનિલ પાસેનો આવી કોઈ આધાર ભૂમિકા હતી જ નહીં. મલયનિલની વાર્તાઓનું મૂલ્યાંકન કરતી વેળાએ આ વાત આપણે ભૂલવી જોઈએ નહીં.

અહીં મલયાનિલની બધી વાર્તાઓ વિશે વાત કરવી શક્ય નથી અને જરૂરી પણ નથી. કેટલીક એવી વાર્તાઓ વિશે વાત કરીશું કે જેનાથી મલયાનિલની સર્જનકલાનો પૂરતો પરિચય મળી રહે.

સંગ્રહની પહેલી વાર્તા છે. ‘રજનું ગજ’ મલયાનિલની નિરૂપણરીતિની એક વિશિષ્ટતા છે કે હાસ્યની આછી સરવાણી તેમની અનેક વાર્તાઓમાં વહેતી હોય છે. ‘રજનુ ગજ’ શીર્ષક વાર્તાના વસ્તુિવકાસનો ખ્યાલ તરત જ આપી દે છે. વાર્તા જેમ જેમ આગળ વધતી જાય છે તેમ તેમ તેમાં જુદાં-જુદા પાત્રો પ્રવેશે છે અને ચાલ્યાં જાય છે. પાત્રવૈવિધ્ય, એમનું બોલીવૈવિધ્ય વાર્તાને ગતિમાં રાખે છે. વસ્તુિવકાસ થતો રહે છે. રજનુંગજ થતું રહે છે, વા વાયાથી નળિયું ખસ્યું, એ દેખીને કૂતરું ભસ્યું. અદ્દલ એવો જ ઘાટ અહીં રચાય છે.

અમદાવાદની સાંકડીશેરીના એક ઘરમાં પતિ-પત્ની, પુત્રને વિલાયત ભણવા મોકલવો કે નહીં એની ચર્ચા કરે છે. ચર્ચાના અંતે કશો નિવેડો નથી આવતો. પતિ કંટાળીને બીડી પીવા બીડીનો દાબડો લે છે. પત્નીને લાગ્યું કે પતિ દાબડાનો મારી પર છુટ્ટો ઘા કરશે, પણ એવું કાંઈ થતું નથી.

આટલી અમથી વાતનું વતેસર થયું, કેવું જબરુ વતેસર થયું!

ઇંગ્લૅન્ડના છાપામાં સમાચાર આવ્યા કે અમદાવાદમાં હુલ્લડ ફાટી નીકળ્યું. આ નાનીએવી ઘટનાને લેખકે પૂરેપૂરી મલાવીને રજૂ કરી છે. લેખક બરોબર ખીલ્યા છે. અને વાર્તાને અંતે વિષયને સંબોધીને લેખક કહે છે!

વહાલા વાચક! હવે જરા વાર્તાની શરૂઆતમાં લખાયેલી હકીકત જરા વાંચી જા અને સરખામણી કર કે પહેલી અને અને છેલ્લી ખબર વચ્ચે કાંઈ પણ મળતાપણું છે? ડાર્વિનનો વિકાસવાદ અહીં પણ લાગુ પડે છેને.’

ઘટનાને હળવી રીતે રજૂ કરવી એ મલયાનિલને સહજ સાધ્ય છે. ‘રજનુ ગજ’ પછી ગોવાલણી વાર્તા પણ એ જ રીતે મતલબ કે હળવી રીતે લખાયેલી છે.

દરરોજ સવારમાં દૂધ વેચવા પોતાની શેરીમાં આવતી ગોવાલણી દલી તરફ વાર્તાનાયક ‘હું’, આકપેડિયુ છે. દલીના આંતર્‌બાહ્ય વ્યક્તિગત પરિચય ‘ચકને ‘હું’ના મનમાં ચાલતા દલીના વિચારો દ્વારા મળતો જાય છે. દલીની અલ્લડતા ઊપસતી જાય છે. અંતે અત્યાર સુધી અલ્લડ અને ભોળી લાગતી ગોવાલણી દલી કેવી તે ઉસ્તાદ છે, એનો હું’ સાથે વાચકને પણ પરિચય થાય છે.

મલયાનિલ ધીરે ધીરે ‘ખૂબીપૂર્વક વાર્તા’ને વળ ચડાવતાં રહે છે. દલીનું વ્યક્તિત્વ અને ‘હું’નું બાધાપણું, કુશળતાથી ઉપસાવે છે. ચમત્કૃિતપૂર્ણ અંત પછી લેખક લખે છે. ‘ચિતારાને અહીં ત્રણ ચિત્ર ચીતરવાનાં હતાં : એક કાલિકા, બીજી જાદુગરણી ને ત્રીજો બેવકૂફ.’

‘પૂર્ણ વિરામનો પશ્ચાત્તાપ’ વાર્તા નથી પણ નાટક છે. ૨૭ પાનાંમાં પથરાયેલી અને સાત પ્રવેશોમાં વહેંચાયેલી આ નાટકની રચના સાલ ઈ.સ. ૧૯૧૪ છે. બટુભાઈ ઉમરવાડિયાનાં નાટકો ‘લોમહર્ષિણી’ મત્સ્યગંધા અને ગાંગેય – આપણને ઈ.સ. ૧૯૨૨-૨૪ના અરસામાં મળે છે. ‘પૂર્ણ- વિરામનો પશ્ચાત્તાપ’ એની અગાઉ લખાયેલ છે. બીજનિક્ષેપ વસ્તુિવકાસ આદિથી અંત લગી એક જ વસ્તુ પર રહેતી લેખકની નજર[focus]થી નાટક ધારી અસર ઊભી કરે છે. એકાધિક પ્રવેશોમાં નાટક વહેંચાયેલું છે. એના લીધે નાટક મંચનક્ષમ બને છે.

આમ તો આ એકાંકી છે, પણ મલયાનિલ તેને નારંગ તરીકે ઓળખાવે છે. બટુકભાઈનાં નાટકો એકાંકી છે, છતાં બટુકભાઈ એ રચનાઓને નાટક તરીકે જ ઓળખાવે છેને! એ નાટક વચ્ચે ભેદ સ્પષ્ટ હોવા છતાં એકાંકીનો ઉલ્લેખ નાટક તરીકે થતો.

મારું કલેક્શન વાતોના આરંભે વાચકને સંબોધે તે ટૂંકી નોંધ લેખકે મૂકી છે.

‘પ્રિય વાચક, આજનું મારું ચરિત્ર’ લખતાં મને જેટલો શોક થાય છે, એટલો જ કદાચ તને વાંચતા થશે. પણ તારે એમ ઉદ્વેગ પામવાનું કે નિરાશ થવાનું કાંઈ કારણ નથી. એવા સંયોગમાંથી કદાચ તારે પસાર થવાનું આવે, તો મારા જેવું હુંતું ન કરે, એની સાવધાની રાખવા જ આ વૃત્તાંત અહીં હું આલેખું છું.

આટલી નોંધ પછી વાર્તા-જેને લેખક વૃત્તાંત કહે છે, એ શરૂ થાય છે. કિશોરવયનાં ભાવિ પતિ-પત્નીના પરસ્પરના વિજાતીય આકર્ષણનું નિરૂપણ લેખકે કુશળતાથી કર્યું છે. નાયક-નાયિકાનાં લગ્ન પછી થોડો સમય પ્રેમની ભરતી રહે છે, પણ બાળકના જન્મ પછી એમાં ઓટ આવવી શરૂ થાય છે. એકબીજાં માટેનો પ્રેમભાવ ઘટી જાય છે.

પ્રણયની આ ભરતી અને આ ઓટ એકાએક નથી આવતાં વાચકને ગળે ઊતરે એ રીતે ક્રમશઃ માનસશાસ્ત્રીય ઢબે નિરૂપણ થયું છે.

મારું સ્નેહલગ્ન ૨૦ પાનાંની કૃતિ છે. આ કૃતિને લાંબીટૂંકી વાર્તા કે ટૂંકી વાર્તા કહી શકાય નહીં. ‘લઘુ નવલકથા’ માટે એક ‘વૃત્તાંત’ કે કાચી સામગ્રી ‘મારું પ્રેમલગ્ન’ કૃતિને ગણી શકાય.

પ્રણયની મુગ્ધતા હજી ઓસરી ન હોય એ ૨૬ વર્ષની યુવાવયે ‘મલયાનિલ’ ચાલ્યા ગયા. પ્રણયનો મુગ્ધ ભાવ તેમની અનેક વાર્તાઓમાં જોવા મળે છે. અને બીજી વસ્તુ છે, મલયાનિલનો નિસર્ગપ્રેમ. તેઓ ચિત્રકાર હતા. ‘મોગરાનું ફૂલ’ વાર્તા ગદ્યમાં લખાયેલું ઊંડી છે. એવી જ બીજી એક વાર્તા છે મૃગચર્યા કલાપીના ભાણાનો યુગખંડકાવ્યનું સ્મરણ કરાવતી ‘મૃગચર્યા’માં પણ વાર્તાપ્યાલોની નાયિકાનો મૃગ પરનો અનન્ય સ્નેહ નિરૂપાયો છે.

‘ચહાનો પ્યાલો’ અને ‘સાકર પિરસણ’ હળવા લલિતનિબંધ સવિશેષ લાગે છે. ‘ચહાનો પ્લાયો’ જુદા-જુદા દાખલાઓ આખી પોતાને જે મુદ્દા વિશે વાત કરવી છે એને લેખક વળ ચડાવતાં જાય છે.

અર્વાચીની ટૂંકી વાર્તા વિશે કોઈ વિવેચકે વિધાન કરેલું છે કે આજના (ગુજરાતી) વાર્તાકારો ગોવાલણીની મટુકીમાંથી નીકળી આવ્યા છે! ‘ગોવાલણી’ નામધારી વાર્તાને ધ્યાનમાં રાખીને આ વિધાન કરવામાં આવેલું છે. ‘ગોવાલણી’ વાર્તાના સુગ્રથિત આદિમધ્ય અને અંત તેમ જ અંતમાં આવતી ચોટ મલયાનિલ પછીના વાર્તાકારો માટે માર્ગદર્શક બને છે. ગોવાલણ વાર્તામાં કોઈ બોધ-ઉપદેશ કે વિચારનું પ્રાધાન્ય નથી. કલા ખાતર કલાનું સહજ રીતે અનુસરણ થયેલું છે. આના કારણે ‘ગોવાલણી’ વાર્તા અર્વાચીનમાં આધુનિક વાર્તા તરીકે સ્થાન પામી શકે છે.

મલયાનિલનું વાચન વિશાળ હોવાથી તેમની લેખન શૈલી સંમાર્જિત છે. દરેક કૃતિ પાછળ મલ્યાનિલે ઠીકઠીક મહેનત લીધી હોય એમ લાગે છે. મોટા ભાગની રચનાઓમાં નાયક પહેલો પુરુષ ‘હું’  છે. આના કારણે અનુભવની સચ્ચાઈ જોવા મળે છે. અલબત્ત એમનું અનુભવવિશ્વ મર્યાદિત છે એ સ્વાભાવિક છે, કારણ કે તેઓ યુવાવયમાં જ ચાલ્યા ગયા.

અનુભવવિશ્વ ભલે મર્યાદિત હોય, પણ લેખન માટે તો તેમનો ઉત્સાહ તેમને અવનવા પ્રયોગ કરવા પ્રેરે છે. આ પ્રયોગોનું અનુસરણ મલયાનિલ પછીની પેઢીના વાર્તાકારોમાં થયેલું છે.

૧૯૧૩થી મલયાનિલ લેખનકાર્ય શરૂ કરે છે. ૧૯૧૮માં ‘ગોવાલણી’ નામધારી વાર્તા પ્રગટ થઈ. ૨૦૧૮માં ‘ગોવાલણી’ વાર્તાને ૧૦૦ વર્ષ પૂરાં થશે. ‘ગોવાલણી’ વાર્તા દ્વારા મલયાનિલે વાર્તાકલાના ક્ષેત્રે એક શિખર સર કર્યું, જે અનુગામી વાર્તાસર્જકો માટે પ્રેરણાદાયી બની રહ્યું.

અને ટૂંકી વાર્તાના આલોચકોને પણ ‘ગોવાલણી’ વાર્તા દાખલારૂપ બની રહી. એના ઓથારે વાર્તાનાં મૂલ્યાકન થતાં રહ્યાં. ગદ્યસ્વરૂપમાં સૌથી વધુ આલોચના ટૂંકી વાર્તાની થતી રહી છે. તેને કરાણે જ નબળી વાર્તાઓ હડસેલાતી ગઈ અને સારી વાર્તાઓ પોષાતી હતી.

ઍરપોર્ટ રોડ, રાજકોટ

સૌજન્ય : “નિરીક્ષક”, ૧૬ જૂન 2017; પૃ. 16-17 

Loading

રાષ્ટ્રપતિપદના ઉમેદવાર રામનાથ કોવિંદ દલિત છે ફુલસ્ટૉપ

રમેશ ઓઝા|Opinion - Opinion|21 June 2017

સાવ કોરી પાટી. એ કોરી પાટી પર અક્ષર કોરવા માટે એક બાજુએ બંધારણ છે અને બીજી બાજુ નાગપુર છે. તેઓ ક્યાંથી અક્ષરજ્ઞાન મેળવશે એ તો સમય બતાવશે. એક દલિત આંબેડકર હતા જેમણે દલિત તરીકેના ડંખ ભૂલીને ‘આઇડિયા ઑફ ઇન્ડિયા’ને બંધારણમાં મઢવાનું કામ કર્યું હતું. એક દલિત નારાયણન હતા જેમણે આંબેડકરની પરંપરાને આગળ વધારી હતી. હવે જોઇએ રામનાથ કોવિંદ કલંક લગાડે છે કે કલગી

ભારતના અત્યાર સુધીના રાષ્ટ્રપતિઓમાં સર્વશ્રેષ્ઠ રાષ્ટ્રપતિ કોણ એવો સવાલ જો મને પૂછવામાં આવે તો હું ક્ષણભર પણ વિચાર કર્યા વિના એક દલિતનું નામ આપું. એ દલિત હતા કે. આર. નારાયણન્‌. કેરળના એક દલિત પરિવારમાં તેમનો જન્મ થયો હતો, હરિજન સેવક સંઘની શાળામાં તેઓ ભણ્યા હતા, ભણવામાં અત્યંત બ્રાઇટ નારાયણન્‌ને ઉચ્ચ શિક્ષણ મેળવ્યા પછી સ્કૉલરશિપ મળી હતી અને તેઓ લંડન સ્કૂલ ઑફ ઇકૉનૉમિક્સમાં ડૉક્ટરેટ કરવા ગયા હતા. લંડન સ્કૂલ ઑફ ઇકૉનૉમિક્સના વડા વિશ્વપ્રસિદ્ધ રાજનીતિશાસ્ત્રજ્ઞ હેરોલ્ડ લાસ્કી હતા. નારાયણન્‌ ડૉક્ટરેટ કરીને ભારત પાછા ફરતા હતા ત્યારે લાસ્કીએ ભારતના વડા પ્રધાન જવાહરલાલ નેહરુને પત્ર લખ્યો હતો કે આ યુવકનો સરકાર ઉપયોગ કરે; તેઓ અત્યંત ખંતીલા, બુદ્ધિમાન અને મૂલ્યનિષ્ઠ માણસ છે.

એ પછી જે બન્યું એ ઇતિહાસ છે. નારાયણને સરકારી નોકરી કરી હતી અને એ પછી કૉન્ગ્રેસમાં જોડાઈને કેન્દ્ર સરકારમાં પ્રધાન તરીકે કામગીરી બજાવી હતી. તેમની સૌથી મોટી યશકલગી રાષ્ટ્રપતિપદ હતું. હોદ્દાની દૃષ્ટિએ નહીં, હોદ્દાની પ્રતિષ્ઠા જાળવવાની અને વધારવાની દૃષ્ટિએ. સંપૂર્ણપણે બંધારણનિષ્ઠ. તેમના કાર્યકાળમાં તેમણે બંધારણની જોગવાઈઓની અવગણના થવા દીધી નહોતી. કોઈ પ્રશ્ન વિશે જાહેરમાં બોલ્યા વિના કે જાહેરમાં બાખડ્યા વિના તેમણે સરકારના કાન આમળ્યા હતા. તેમના કાર્યકાળમાં ગુજરાતમાં ગોધરા અને અનુગોધરા ઘટનાઓ બની હતી અને રાષ્ટ્રપતિએ ત્યારે અટલ બિહારી વાજપેયી સરકારની નીંદ હરામ કરી નાખી હતી. બિહાર સરકારને ડિસમિસ કરવાના સરકારના પ્રસ્તાવને પણ તેમણે પાછો મોકલ્યો હતો.

રાષ્ટ્રપતિ પાસેથી બંધારણીય અપેક્ષા એવી છે કે તેઓ દેશના અંતરાત્માના અવાજ (કૉન્શ્યસ કીપર) તરીકે અને બંધારણના રખેવાળ તરીકે કામ કરે. ભારતના પહેલા દલિત રાષ્ટ્રપતિ આ ફરજ બજાવવામાં તેમના પુરોગામીઓ કરતાં સવાયા સાબિત થયા હતા. તેઓ ભારતના પહેલા રાષ્ટ્રપતિ હતા જેમણે લોકસભાની ચૂંટણીમાં મતદાન કર્યું હતું. રાષ્ટ્રપતિ તટસ્થતા બતાવવા માટે મતદાન નથી કરતા. નારાયણને કહ્યું હતું કે તેઓ પહેલા નાગરિક છે અને પછી રાષ્ટ્રપતિ છે. ભારતના નાગરિક હોવું એ તેમની બંધારણદત્ત પ્રાથમિક ઓળખ છે અને બાકીની ઓળખ હોદ્દાની રૂએ મુદત પૂરતી મેળવેલી હોય છે. તટસ્થતાની આડે નાગરિકત્વ નથી આવતું જો બંધારણની સમજ હોય અને એના માટે નિષ્ઠા હોય.

એની સામે ભારતનાં પહેલાં મહિલા રાષ્ટ્રપતિ નામે પ્રતિભા પાટીલ કેવાં હતાં એ આપણે જાણીએ છીએ. નામ સાંભળીને મનમાં કોઈ આદર જ પેદા ન થાય, બલકે રંજ થાય કે આટલાં નાનાં માણસોને રાષ્ટ્રપતિભવનમાં મોકલવામાં આવશે તો દેશનું શું થશે? કૉન્ગ્રેસે તેમને રાષ્ટ્રપતિ બનાવ્યાં એ અનુકૂળ નંબરની દાદાગીરી હતી. અમારી પાસે નંબર છે અને અમે રાજુલાના પાણાને પણ રાષ્ટ્રપતિ બનાવી શકીએ છીએ, જાઓ થાય એ કરી લો. ભારતીય જનતા પાર્ટીએ કોઈ રામનાથ કોવિંદને રાષ્ટ્રપતિપદના ઉમેદવાર ઘોષિત કર્યા એ આવી ઘટના છે. દેશના ૯૫ નાગરિકોએ નામની જાહેરાત કરવામાં આવી એ પહેલાં તેમનું નામ નહીં સાંભળ્યું હોય. મને તો શંકા છે કે તેમનું નામ અમિત શાહે વડા પ્રધાનને કે વડા પ્રધાને અમિત શાહને સૂચવ્યું હશે ત્યારે તે બેમાંથી એકે તે કોણ છે એવો સવાલ કર્યો હોય તો આશ્ચર્ય નહીં.

તેઓ દલિત છે. (પૂર્ણવિરામ. ફુલસ્ટૉપ.) બસ, ઓળખ પૂરી થઈ. તેઓ ભારતીય જનતા પાર્ટીની દલિત સેનાના અધ્યક્ષ હતા. દલિતોના કોઈ પ્રશ્ને આંદોલન તો ઠીક છે, બોલ્યા હોય એવું પણ યાદ નથી. તેઓ બે મુદત માટે રાજ્યસભાના સભ્ય હતા, પરંતુ રાજ્યસભામાં કોઈ દહાડો મોઢું ખોલ્યું હોય એવું પણ યાદ નથી. તેઓ અલાહાબાદની વડી અદાલતમાં અને સર્વોચ્ચ અદાલતમાં પ્રૅક્ટિસ કરતા હતા એમ કહેવામાં આવે છે, પરંતુ વકીલ તરીકે કોઈ મોટો ખટલો જીત્યા હોય કે અદાલતમાં લોકોના (લોકોના જવા દો, દલિતોના) હિત માટે લડ્યા હોય એવી કોઈ જાણકારી નથી. તેઓ ઉત્તર પ્રદેશમાંથી એક વાર લોકસભાની અને એક વાર વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા અને બન્ને વખત તેમનો પરાજય થયો હતો. બીજે તો ઠીક, તેમના વતનના રાજ્ય ઉત્તર પ્રદેશમાં પણ તેમનો દલિત નેતા તરીકે ક્યારે ય ઉપયોગ કરવામાં આવ્યો નથી જે બતાવે છે કે તેમનો દલિતો સાથે અને દલિતોના પ્રશ્નો સાથેનો સંબંધ નહીંવત્‌ છે.

રામનાથ કોવિંદ ૭૧ વરસના છે. આવું મૂલ્યવાન રતન યોગ્ય સમય માટે અત્યાર સુધી ઢાંકીને રાખવામાં આવ્યું હતું એવી કોઈ દલીલ કરે તો આશ્ચર્ય ન પામતા. પ્રતિભા પાટીલ કમસે કમ જાણીતાં તો હતાં. આ તો સાવ અજાણ્યું રતન છે. નૅશનલ ડેમોક્રૅટિક અલાયન્સ પાસે નંબર છે અને એ ધારે તેને રાષ્ટ્રપતિ બનાવી શકે છે. હા, એક વાત બનશે. તેઓ દેશની જનતાની કોઈ પણ પ્રકારની મોટી અપેક્ષા વિના રાષ્ટ્રપતિભવનમાં પ્રવેશશે. આજના યુગમાં આ પણ સિદ્ધિ છે. સાવ કોરી પાટી. એ કોરી પાટી પર અક્ષર કોરવા માટે એક બાજુએ બંધારણ છે અને બીજી બાજુ નાગપુર છે. તેઓ ક્યાંથી અક્ષરજ્ઞાન મેળવશે એ તો સમય બતાવશે. એક દલિત તરીકે તેઓ ભારતના પ્રત્યેક નાગરિક માટે પૂજનીય ડૉ. આંબેડકરને અનુસરશે તો દેશ પર મોટો ઉપકાર થશે. એક દલિત આંબેડકર હતા જેમણે દલિત તરીકેના ડંખ ભૂલીને ‘આઇડિયા ઑફ ઇન્ડિયા’ને બંધારણમાં મઢવાનું કામ કર્યું હતું. એક દલિત નારાયણન્‌ હતા જેમણે આંબેડકરની પરંપરાને આગળ વધારી હતી. હવે જોઈએ રામનાથ કોવિંદ કલંક લગાડે છે કે કલગી.

વાચકોના મનમાં કદાચ સવાલ થતો હશે કે હજી તો રામનાથ કોવિંદને ઉમેદવાર ઘોષિત કરવામાં આવ્યા છે તો અત્યારે જ તેમને ભાવિ રાષ્ટ્રપતિ માનીને લેખ કેમ લખ્યો છે? આનું કારણ એ છે કે જો કોઈ અસાધારણ ઘટના ન બને તો કોવિંદનો રાષ્ટ્રપતિભવનમાં પ્રવેશ નિશ્ચિત છે. ચૂંટણી લગભગ એકપક્ષીય છે. રહ્યો સવાલ દલિતને રાષ્ટ્રપતિ બનાવીને દલિતોને રીઝવવાનો તો નિસ્તેજ માણસને સત્તા વિનાના હોદ્દા પર બેસાડી દેવાથી દલિતો રાજી થઈ જાય એવું બનતું નથી. જો એમ હોત તો કે. આર. નારાયણન્‌ના કારણે ૧૯૯૮ અને ૧૯૯૯ની લોકસભાની ચૂંટણીમાં કૉન્ગ્રેસનો વિજય થવો જોઈતો હતો. નારાયણન તો પાછા દલિતો ગવર્‍ લઈ શકે એવા તેજસ્વી હતા.

સૌજન્ય : ‘કારણ-તારણ’ નામક લેખકની કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 21 જૂન 2017

Loading

...102030...3,4213,4223,4233,424...3,4303,4403,450...

Search by

Opinion

  • યુદ્ધોન્માદી માહોલ, વસમા પાડોશી અને સંરક્ષણ બજેટ
  • શું ભારતની પ્રજા આવું કરી કે સહી શકશે?
  • સોશિઅલ મીડિયા એન્ટિ-સોશિઅલ છે…?
  • અમેરિકાના હાલ બેહાલ, હાથનાં કર્યા હૈયે વાગ્યાઃ વૈશ્વિક મહાસત્તાનો આત્મવિશ્વાસ જ આત્મઘાતક બન્યો
  • ચલ મન મુંબઈ નગરી—335

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 

Poetry

  • વિધ્વંસ
  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved